વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • દિલીપ પરીખની એક અનોખી ચિત્ર શ્રેણી – પદાર્થ વિજ્ઞાન અને આધ્યાત્મિક સમન્વય

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

    વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;…અખિલ બ્રહ્માંડમાં,….

    પટંતરો= પરોક્ષ સ્થિતિ. 

    નરસિંહ મહેતા આવી ગહન વાત સરળતાથી કહી ગયા.

    વૃક્ષમાં બીજ છુપાયેલું છે અને બીજમાં વૃક્ષ. જે પરોક્ષ છે એ જ પાસે છે.

     …પુરૂષ અને પ્રકૃતિ, પરોક્ષ અને પ્રત્યક્ષ, આ તથ્ય વિશે આગળ જોઈએ.


    E=MC2 paintings (1, #2, #3) have two aspects: Physics and Spiritual.

    Physics aspect: Matter and Energy are two different states of the same thing (Einstein: E = MC2).

    The ‘black circle’ in the center represents a ‘black hole’ — a source of the energy, which manifests as the visible universe. Everything is nothing but the Energy.

    Spiritual aspect: The Unmanifested, the Infinite, the Changeless Spirit is called Brahman: the one Absolute. This is described as Aum-Tat-Sat.

    Aum is the creative vibration that upholds the worlds through Prakriti, mother nature. Brahman projected through His Maya.

    The painting (#1) shows “Maya” as a power of creation. The other paintings have two faces (Purush and Prakriti, Brahman and Maya) merged in one, representing absolute and manifested energy. The creator and the creation are not separate, but one…

    Dilip Parikh.

    [ચિત્રો (#1, #2, #3) ના બે પાસાં છે: પદાર્થ વિજ્ઞાન અને આધ્યાત્મિક

    પદાર્થ વિજ્ઞાન પાસું:

    દ્રવ્ય અને ઊર્જા એક જ વસ્તુની બે અલગ અલગ સ્થિતિઓ છે (આઈન્સ્ટાઈન: E = MC2).

    કેન્દ્રમાં ‘કાળું વર્તુળ’ એક ‘બ્લેક હોલ’ દર્શાવે છે – ઊર્જાનો એ સ્ત્રોત, દૃશ્યમાન બ્રહ્માંડ તરીકે પ્રગટ થાય છે. બધું જ ઊર્જા સિવાય બીજું કંઈ નથી.

    આધ્યાત્મિક પાસું:

    અવ્યક્ત, અનંત, પરિવર્તનશીલ આત્માને બ્રહ્મ કહેવામાં આવે છે: એક પરમ. આને ઑમ-તત્-સત્ તરીકે વર્ણવવામાં આવ્યું છે. 

    ઑમ એ સર્જનાત્મક સ્પંદન છે જે માતુલ્ય પ્રકૃતિ દ્વારા વિશ્વોને ટકી રહેવા માટે સમર્થન આપે છે. બ્રહ્મ પરમની માયાનું નિરૂપણ છે..

    ચિત્ર (#1) “માયા” ને સર્જનની શક્તિ તરીકે દર્શાવે છે. અન્ય ચિત્રોમાં બે ચહેરા (પુરુષ અને પ્રકૃતિ, બ્રહ્મ અને માયા) એકમાં ભળી ગયા છે, જે સંપૂર્ણ અને પ્રગટ ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. સર્જક અને સર્જન અલગ નથી, પરંતુ એક છે.]


    નોંધઃ ચિત્રોનો પરિચય ગુજરાતીમાં શ્રી દાવડાસાહેબનો લખેલો છે

    #1 CREATION. DKP. 3’x4’ oil color.

    ચિત્રમાં ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિક વિષયો છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને પુરવાર કર્યું કે પદાર્થ અને શક્તિ બન્ને એક જ છે, અને એના પ્રખ્યાત સમીકરણ E=mC2 પ્રમાણે એક બીજામાં પરિવર્તિત થઈ શકે છે. બીજા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સના કહેવા પ્રમાણે પહેલા માત્ર એક ઘનિષ્ઠ શક્તિપુંજ જ અસ્તિત્વમાં હતો. એક જબરજસ્ત વિસ્ફોટ દ્વારા એનો વિસ્તાર થયો અને આ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. બિગ બેન્ગ.

    # 2 BRAHMAN-MAYA. DKP. 3’x4’ oil color.

    ચિત્રમાં જે કાળું ગોળ આકાર દેખાય છે, એ શક્તિપુંજ છે, એનું ન્યુક્લીયસ પણ દેખાય છે. નીચે વિસ્તરતું બ્રહ્માંડ દેખાય છે. આ બન્ને વૈજ્ઞાનિકોની થીયરીના પરિણામ સ્વરૂપ જે અસ્તિત્વમાં આવ્યું, તે પ્રકૃતિ અને પુરુષ પણ ચિત્રમાં સ્પષ્ટ કર્યું છે. મનુષ્ય આકૃતિની ચારે તરફ શક્તિ દર્શાવીને ચિત્રકારે પોતાની વાત સ્પષ્ટ કરી છે. કહેવાની જરૂર નથી કે એક પરિપક્વ ચિત્રકારની રંગોની સમજ અને પીંછીના સ્ટ્રોકની તાકાત ઉડીને આકર્ષે છે

     

    બ્રહ્માંડનો વિસ્તાર અને માયા

    # 3 PURUSH and PRAKRITI. DKP. 3’x4’

    આ ચિત્ર આ પહેલાના ચિત્રની હકીકત પછીનું Second Stage દર્શાવે છે. Big Bang ના પરિણામે બ્રહ્માંડના વિસ્તારની પ્રકીયા શરૂ થઈ ગઈ (જે આજ સુધી ચાલે છે), પણ બ્રહ્માંડના વિસ્તારની સાથે પ્રકૃતિ અને પછી પ્રાણી અને મનુષ્યનું આગમન થયું. જ્યાં વિજ્ઞાન અટકે છે, ત્યાંથી પરમ તત્વ Take over કરે છે, અને આપણે એ અકળ પ્રશ્નોને પરમ તત્વની માયા તરીકે ઓળખીએ છીએ. ચિત્રકારે આ સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ નાજૂક રીતે દર્શાવી છે.

    Big Bang પહેલાનું શક્તિપુંજ એક કાળા ટપકાં તરીકે દર્શાવાયું છે. વિસ્ફોટ પછી વિસ્તરતું બ્રહ્માંડ બીજા અને ત્રીજા Circle અને એની વચ્ચે પ્રસરતી ઉર્જાના રૂપમાં દર્શાવ્યું છે. સમગ્ર પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ ઓમ, જેના સર્જનાત્મક સ્પંદનોથી પ્રકૃતિ અને પુરુષનું સર્જન થયું તે જે રીતે દર્શાવ્યું છેએ એક સિધ્ધહસ્ત કલ્પનાશીલ કલાકાર જ દર્શાવી શકે. ત્યાર પછી પ્રકૃતિ અને પુરુષનો ચોતરફ થતો વિકાસ. માયાને Enlarge કરીને દર્શાવી છે. પ્રથમ મુખ એ માયા-પ્રકૃતિ છે, પણ એની પાછળ છુપાયેલો ચહેરો એ સત્ય-પુરુષ છે.


    અવલોકનઃ 

    …’સર્જન’, ‘બ્રહ્મ-માયા’, ‘પુરુષ-પ્રકૃતિ’ શીર્ષકધારી ચિત્રોમાં ભારતીય પૌરાણિક અને અધ્યાત્મ ધારાઓનું સુચારુ આલેખન છે. ફિઝિક્સ અને અધ્યાત્મની વિચારણામાંથી ચિત્રમાં માનવીય ચહેરાઓનું દ્વૈત પ્રગટ્યું છે એમ કહી શકાય. તે સ્થૂળ અને સૂક્ષ્મ, જેવા દ્વિભાવને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે…” અન્ય ચિત્રોમાં સૌરાષ્ટ્રીય સાથ અલંકૃત શૈલીમાં આકર્ષક મુખમુદ્રા અને કમનીય દેહછટા ધરાવતા ચિત્રો આપણને ભારતીય સંસ્કૃતિની સહેલગાહ કરાવે છે.”

    ડૉ.નિસર્ગ આહીર (Writer,Painter, Art critic) “


    The messenger. DKP. 3’x2’ 2006

    મેઘદૂત

    સાંવરિયા ના આવીયા, પરવશ હશે વિદેશ
    વિહ્વળ વ્યાકુળ સાહેલી, સુણ મેઘદૂત સંદેશ…

    સરયૂ


    સંવાદિતા. DKP.                                                       Harmony DKP

    મંજુલ એ પ્રેમરાગ કેટલીયે રાત, રસિલી લય રચના અનેક વિધ વાત …

    સરયૂ


    Village. DKP 3’x6’ 2011                            Waiting. DKP. 3’x6’ 2012

    SUJATA …DKP. 4’x6’ Oil color 2016.    A gift for mom. DKP. 1959
    Donated to a charity.

    DKP. Austin. TX.

    Note: The photocopies do not justify the original art.


    Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : અશોક વિદ્વાંસ – સેકન્ડ ઇનીંગ્સ [૧]

    અમેરીકામાં વસતા ગુજરાતી લેખકોમાં અગ્રગણ્ય એવા શ્રી અશોક વિદ્વાંસનો જન્મ વડોદરામાં(૧૯૪૩) અને બાળપણ સોનગઢમાં વીત્યું છે.એમના પિતા ગોપાળરાવ સિદ્ધહસ્ત લેખક હતા. શૈશવકાળથી જ એમને સાહિત્યમય વાતાવરણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

    અમદાવાદમાં અભ્યાસ કરી મિકેનિકલ એન્જિનીયરની ડીગ્રી મેળવી ભારતના વિવિધ શહેરોમાં માર્કેટીંગ એન્જિનીયરની સફળ કારકીર્દી સુધી પહોંચ્યા.

    ૧૯૮૩માં અમેરિકા આવ્યા પછી સિદ્ધિના જે સોપાનો સર કર્યા તેમાં તેમના પત્ની શૈલાનો અમૂલ્ય ફાળો છે.

    વ્યવસાય સાથે સાહિત્ય સર્જનની પ્રવૃતિ પણ તેઓ કરતા રહ્યા. માતૃભાષા મરાઠી સાથે ગુજરાતી અને અંગ્રેજી તો ખરી જ પણ બંગાળી ભાષાનો પણ એમણે અભ્યાસ કર્યો છે.

    લાંબા સમયથી અમેરીકાથી પ્રગટ થતા ત્રૈમાસિક સામયિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ની પ્રગતિમાં એમનો સહયોગ નોંધપાત્ર છે. મૌલિક વાર્તાઓ, મનનીય લેખો અને કુશાગ્ર વિવેચક બુદ્ધિથી એમણે ઉમદા સાહિત્યસર્જન કર્યું છે.

    હાલ તેઓ ન્યૂજર્સીમાં નિવૃત જીવન ગાળે છે. પ્રવાસના શોખને કારણે અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં તેઓ ફર્યા છે.

    Email: ashok@vidwans.com


    પ્રસ્તાવના

    મુખ્યત્વે તો આ મારી વાત છે.  પણ પાછલાં પચાસ વર્ષમાં મારી જિંદગીમાં જે કાંઈ બન્યું છે એમાં મારી પત્ની શૈલા સંપૂર્ણપણે ભાગીદાર રહી છે.  મારી જિંદગીમાં જે કાંઈ સારું, શુભ બન્યું છે એમાં નિઃશંક મારા કરતાં શૈલાનો ફાળો વધુ, અને વધુ મહત્વનો રહ્યો છે.  એટલે આ મારી વાત ક્યારેક કેવળ ’મારી’ છે તો ઘણીવાર એ ’અમારી’ છે.

    કોઇ વ્યક્તિની આત્મકથા એ માત્ર એના જીવનની તવારીખ – જીવનના બનાવોની ઘટમાળ – હોય એટલું પૂરતું નથી.  એ તવારીખ તો હોય જ, પણ સાથે-સાથે એમાંથી કથા-નાયકનાં વ્યક્તિત્વનો વિકાસ કરનારાં કયાં પરિબળો હતાં, અથવા એના વિકાસને રૂંધનારાં કારણો શું હતાં, એ અંગેની હકીકતો પણ ઉજાગર થવી જોઇએ.  માણસની જિંદગીનું પરમ ધ્યેય છે સુખી થવું; “Pursuit of Happiness”.  તેથી પ્રત્યેક વ્યક્તિની જિંદગીની કથા એટલે સુખી થવા માટે એણે કરેલા પ્રયત્નોની વાત.  મારી વાતમાંથી વાંચનારને આવું કાંઇક સાંપડે તો હું મારો પ્રયત્ન લેખે લાગ્યો માનીશ.

    ભારત છોડી અમેરિકા આવી વસવાટ કર્યાને મને હવે લગભગ ૪૦ વર્ષ થશે, અને એ પહેલાંના ૩૮ વર્ષ ભારતમાં. આમ તાર્કિક રીતે કહીએ તો હું ભારત કરતાં અમેરિકામાં વધુ રહ્યો છું.  વળી શૈશવના પાંચેક વર્ષ છોડી દઈએ, તો એમ ચોક્કસ કહી શકાય કે આયુષ્યનો મોટો ભાગ મેં અમેરિકામાં ગાળ્યો છે.  પણ સાથે જ મારી બાબતમાં એ હકીકત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મિકૅનિકલ ઍન્જિનીઅર થયા પછી મેં સત્તર વર્ષ ભારતમાં જવાબદારીપૂર્વક કામ કર્યું છે.  ભારતથી અહીં આવી વસવાટ કરનારાં મારી પેઢીનાં મોટાભાગનાં સભ્યો વિદ્યાભ્યાસ પૂરો કરી તરત જ અહીં આવી વસ્યાં છે.  પરિણામે આ બાબતમાં એ બહુમતી-સભ્યો કરતાં મારું અમેરિકા-આગમન મોડું અને જુદી પરિસ્થિતિમાં થયું છે.  એક વધુ સ્પષ્ટતા: અમેરિકામાં આવ્યા પછી મેં આગળ અભ્યાસ નથી કર્યો.  પરિણામે અહીંના મહાવિદ્યાલયમાં ભણવાનો લ્હાવો, અને એમ કરતાં અહીંના સમાજની વધુ પ્રત્યક્ષ ઓળખ; એ બંને વાતથી હું વંચિત રહ્યો છું.

    આમ, અમેરિકા આવવા પહેલાં જવાબદારીપૂર્વક કામ કરનાર સ્વતંત્ર ભારતના એક નાગરિક તરીકે મેં ભારતીય જીવન અનુભવ્યું છે.  અમારાં લગ્ન પછી અમે બાર વર્ષ ભારતમાં રહ્યાં અને નોકરી કરી. આનો મને અમેરિકાનિવાસમાં સતત ફાયદો થયો છે.  આમ ભારતમાં લગભગ અડધી જિંદગી વીતાવી બાકીની અડધી માટે હું અમેરિકા આવ્યો છું.  આથી જ, ’ટેસ્ટ મૅચ ક્રિકેટ’ની પરિભાષા વાપરી મેં મારી વાતને “સેકન્ડ ઇનીંગ્સ” નામ આપ્યું છે.

     

    સોનગઢનાં વર્ષો

    મારો જન્મ ૧૯૪૩ના નવેમ્બરની ૫મી તારીખે વડોદરામાં.  ત્યારે ’ભાઉ’ એટલે મારા પિતાજી (શ્રી ગોપાળરાવ ગ. વિદ્વાંસ) ત્યાં નોકરી કરતા હતા.  ઘરમાં અમે સહુ તેમને ’ભાઉ’ કહી બોલાવતાં; એ જ રીતે મરાઠી રિવાજ પ્રમાણે મારાં બા (સુમતિબેન)ને અમે ’આઈ’ કહેતાં અને હવે પછી તેઓ બંનેનો ઉલ્લેખ હું એ સંબોધનો વાપરીને કરીશ.  અમારાં કુટુંબમાં એ સમયે મારાથી મોટા ત્રણ ભાઈઓ (આનંદભાઈ, શિશિરભાઈ અને ભરતભાઈ) અને એક માત્ર નાની બેન શોભાબેન, હતાં.  પણ એ ઉપરાંત મારા કાકા શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ (જેમને ઘરમાં સહુ ’દાદા’ કહી સંબોધતા) પણ અમારાં કુટુંબનાં એક અવિભાજ્ય અને સહુથી વધુ મહત્વના સભ્ય હતા.  સારી-નરસી બધી પરિસ્થિતિમાં ’દાદા’ અમારાં કુટુંબનો આધાર હતા અને અમારાં સહુ પર એમના અગણિત ઉપકાર છે.

    વડોદરાની ઝાઝી વાતો મને યાદ નથી.   એકવાર શિશિરભાઈ મને ખભે બેસાડી દોડતા’તા અને પડી ગયા.  ત્યારે મારા કરતાં એમને જ વધુ વાગ્યું હતું, તેમ છતાં હું જ વધારે રડતો’તો!  એકવાર હું રસ્તાપર રમતો હતો અને દોડાદોડીમાં એક કારની નીચે ’લગભગ’ આવી ગયો, પણ બચી ગયો; એવા એકાદ-બે પ્રસંગ હજી સાંભરે છે.  એ વર્ષોમાં ભાઉ અમને સહુને હાલરડા તરીકે શ્રીમદ્‍ ભાગવતમાં આવતી, (इति मतिरूपकल्पिता वितृष्णा …….. ) એ શબ્દોથી શરૂ થતી ’ભીષ્મસ્તુતિ’ મીઠા, લયબદ્ધ સ્વરે ગાઈ સંભળાવતા. આજે અનેક દસકા પછી પણ એ સ્તુતિ અને ભાઉનું ગાન, મારાં સુખદ સ્મરણોમાંનું એક છે.  જે ખાનગી પ્રકાશન સંસ્થા (આર. આર. શેઠની કંપની)માં ભાઉ વડોદરામાં કામ કરતા હતા એનું કામ ત્યાંથી સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસેના સોનગઢ નામના એક નાનકડા ગામડામાં ફેરવવાનું નક્કી થયું.  એ સાથે અમારું કુટુંબ વડોદરા છોડી સોનગઢનું રહેવાસી બન્યું.  ૧૯૪૮થી એપ્રિલ ૧૯૬૦ સુધીના ૧૧-૧૨ વર્ષ અમે ત્યાં જ રહ્યાં અને હું એસ.એસ.સી. થયો પછી મારા કૉલેજના અભ્યાસ માટે અમે અમદાવાદ રહેવા ગયાં.  આજે જ્યારે સિત્તેર વર્ષ પછી સોનગઢનાં એ વર્ષોનો વિચાર કરું છું ત્યારે સમજાય છે કે મારાં જીવનમૂલ્યો ઘડવામાં વિદ્યાર્થીકાળનાં એ વર્ષોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે.

    અમે સોનગઢ ગયાં અને તરત જ હું એ ગામની ’ગુરુકુળ હાઈસ્કૂલ’ નામની નિશાળમાં દાખલ થયો અને ત્યાંથી જ ૧૯૬૦માં એસ.એસ.સી. પાસ થયો.  એ શાળાનાં, ત્યાં થયેલા અનેક મિત્રોનાં, નિષ્ઠાપૂર્વક શિક્ષણના કામને વરેલા ત્યાંના શિક્ષકોનાં, અભ્યાસની સાથે અનુભવેલી અનેક વિવિધ પ્રવૃત્તિઓનાં, એમ અસંખ્ય મીઠાં સ્મરણો આજે પણ મારા મનમાં તાજાં છે.  આજે પણ પ્રત્યેક ભારત-મુલાકાત દરમિયાન શૈલા અને હું અચૂક ગુરુકુળ જઈ ત્યાંના શિક્ષકો સાથે હળીમળી એમની વાતો સાંભળીએ છીએ અને એમના પ્રશ્નો હલ કરવામાં શક્ય તેટલા સહભાગી બનીએ છીએ.  પહેલા ધોરણથી ૧૧મી સુધી એક જ વર્ગમાં મારી સાથે ભણેલા છ મિત્રો (ભગત શેઠ, ઘનશ્યામ ખસિયા, ચંદ્રકાન્ત મહેતા, શશિકાન્ત પારેખ, બળવંત દેસાઈ, અને શામજી વાણિયા)નાં નામ અને ચહેરા આજે પણ મને સ્પષ્ટ યાદ છે.  આમાં શામજી હરિજન હતો છતાં વર્ગમાં અમારી સાથે જ બેસતો!  આશ્ચર્ય એ વાતનું છે કે એ સમયનું સોનગઢ તો આજથીયે વધુ રૂઢિચુસ્ત ગામડું હોવા છતાં માત્ર શામજી જ નહીં શાળાના અન્ય વર્ગોમાં બીજા પણ હરિજન વિદ્યાર્થી હતા અને એ બધા પોતપોતાના વર્ગમાં બીજા ’સવર્ણ’ છોકરાઓ સાથે જ બેસતા!!  અમારી શાળાનું સંચાલન વડોદરા સ્થિત ’આર્યસમાજ ટ્રસ્ટ’ને હસ્તક હતું.  આજે એમ લાગે છે કે ધર્મ અને રીતિરિવાજ પરત્વે એનું વલણ હિંદુ ધર્મની અન્ય પેટાશાખાઓ જેટલું સંકુચિત નહીં હોય એટલે જ આ શક્ય બન્યું હશે.  ગુરુકુળમાં ખૂબ મોટી સંખ્યામાં આદરણીય શિક્ષકો હતા અને એમણે સહુએ મારું તથા અન્ય સેંકડો વિદ્યાર્થીઓનું જીવન સમૃદ્ધ બનાવવા પોતાનું આખું આયુષ્ય શિક્ષણ અને કેળવણીના ઉમદા ધ્યેય પાછળ ખર્ચી નાખ્યું.  વળી, એ બધું એમણે એટલી સહજતાથી કર્યું જાણે એ જ એમનો ધર્મ હતો, એમનું કર્તવ્ય હતું.  માણસ જેટલું પ્રત્યક્ષ ઉદાહરણથી શીખે છે એટલું શિખામણથી નથી શીખતો.  આજે વર્ષો પછી મને મારા વર્તનમાં ક્યાંક-ક્યારેક એ ગુરુજનોમાં જે જોયેલું એનું પ્રતિબિંબ દેખાય છે.  કેમ બેસવું, કેમ ચાલવું, અક્ષર શી રીતે સુધારવા, એવી નાની વાતોથી શરૂ કરી કોઇ કઠિન પ્રશ્ન આવે તો એનો ઉકેલ શી રીતે વિચારવો, લાંબી મુસાફરી માટે શી તૈયારી કરવી, વડીલો સાથે મતભેદ થાય તો શું કરવું?  ભાષા, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ-ભૂગોળ ભણાવવા સાથે જ, સાર્થ અને સફળ જીવન જીવવાના આવા અનેક પાઠ એમણે અમને શીખવ્યા.

    એ સમયમાં સોનગઢ સાવ નાનકડું ગામડું હતું અને આજે પણ લગભગ એવું જ રહ્યું છે.  હું શાળાના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યાં સુધી એ ગામમાં વીજળી નહોતી.  સૂરજ આથમે પછી ઘરનાં બધાં કામ ફાનસના અજવાળે જ થતાં.  આઈની રસોઇ, ભાઉનું મરાઠી પુસ્તકોના અનુવાદ કરવાનું કામ, અને અમારો બધાનો અભ્યાસ, આ બધી પ્રવૃત્તિ ફાનસના અજવાળે જ થતી.  આઈ રોજ બપોરે ફાનસના કાચ (ફોટા) રાખથી ઘસીને ઉજળા કરતા જેથી રાતે એમાંથી ચોખ્ખું અજવાળું મળે.  અમે ગરીબ ન હતા, પણ એ સમયમાં બધાનાં જ ઘરમાં સુવિધા કે સગવડ વધે એવાં સાધન બહુ ઓછા હતાં.  ત્યાંનો વેપારીવર્ગ જતો કરીએ તો કદાચ આખા ગામમાં ભાઉનો મહિને ૨૫૦ રૂપિયા પગાર સહુથી વધારે હશે.  છતાં અમારા ઘરમાં ચાવી આપવાથી ચાલતું ઘડિયાળ અને રસોઇ માટેનો કૅરોસીન-સ્ટવ, એ બે જ ’મિકૅનિકલ’ સાધન હતાં!  અમારા કે ગામમાં બીજા કોઇના ઘરોની ભીંત પર લક્ષ્મી, ગણપતિ, કે એવા જ કોઇ ભગવાનના ચિત્રવાળા કૅલેન્ડર સિવાય શોભાની બીજી કોઇ જ ચીજ જોયાનું મને યાદ નથી.  અન્યોન્ય પર વિશ્વાસ એ ત્યાંની બહુ મોટી મૂડી હતી.  ઘરનાં મુખ્ય બારણાંને અંદરથી બંધ કરવા સાંકળ તો હતી પણ એ માત્ર રાત્રે જ વસાતી.  દિવસ આખો માત્ર અંદરથી તેમ જ બહારથી પણ બારણું ઉઘાડી કે બંધ કરી શકાય એવો ’આગળિયો’ જ ઘરનું રક્ષણ કરતો.  બાર વર્ષનાં અમારા વસવાટ દરમિયાન, અમે બહારગામ જઈએ ત્યારે જ ઘરને તાળું મરાતું; બાકી કાયમ રામ ભરોંસે!

    સોનગઢમાં મેં જોયું અને અનુભવ્યું કે ગ્રામીણ સમાજને એક આગવી આચારસંહિતા અને મૂલ્ય-પ્રણાલી હોય છે: જેમ કે દરેક જણ એકબીજાને ઓળખે.  લોહીના સંબંધથી આપણા વડીલ ન હોય એ પણ આપણને દબડાવી કે ઠપકો આપી શકે; અને એ જ રીતે મુશ્કેલીમાં આપણને મદદ પણ કરે.  ઋણાનુબંધ એવો કે દરેક વ્યક્તિનો અન્ય સહુ પર વિશિષ્ટ હક્ક અને એવી જ અન્ય સહુ પ્રત્યેની ફરજ.  આપણા પિતાજીને જે લોકો ’ભાઈ’ કહી સંબોધતા હોય એ સહુ આપણા કાકા કે ફોઇ.  જે જુવાનિયા કૉલેજમાં ભણવા ગામ છોડી ભાવનગર, અમદાવાદ કે મુંબઈ ગયા હોય એ વેકેશનમાં પાછા આવે ત્યારે જે વડીલ મળે એને નીચે નમીને પગે લાગે.  બહારગામથી ગામ પાછા ફરનારા ભેટ માટેની વસ્તુ ભાગ્યે જ લાવે, પણ સાચા હેતનું મોટું પોટલું જરૂર બાંધી લાવે.  અમારાં કુટુંબ જેવાં બહારથી આવી વસેલાં દસ વર્ષ રહ્યા પછી પણ ’બહારનાં’ જ ગણાય.  ’ગામનો માણસ’ હોય એનું તો ગામમાં ઘર અને સીમમાં ખેતર હોય!  જ્ઞાતિનાં અને ચાતુરવર્ણનાં નિયમો અને બંધનોનું સરકારી કાયદા કે દંડસંહિતાથી પણ વધુ વર્ચસ્વ.

    એ સમયમાં તો ચોક્કસ, અને કદાચ આજે પણ, ગામડામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી અંધશ્રદ્ધા અને વહેમનું સામ્રાજ્ય જોરદાર છે.  અમારા પડોશી સોનગઢની એક જાણીતી શિક્ષણ સંસ્થાના મુખ્ય કાર્યકર હતા.  પરંતુ એકવાર એમને ઘેર કોઇ કારણસર ગામનો ભૂવો ’બેસાડેલો’.  એ ભૂવો ધૂણતો હતો ત્યારે લોકોએ એને ઘણાં વિચિત્ર સવાલ પૂછેલા અને એ બધાના એણે એથીયે વધુ બેહૂદા જવાબ આપેલા.  દીકરો અવતરે એ માટે ભૂવાએ એક બહેનને ટોપરાની બાધા રાખવાની સલાહ આપેલી!  એ બધું આજે યાદ કરૂં છું ત્યારે મને એ સમગ્ર સમાજ પ્રત્યે હમદર્દીની લાગણી થાય છે.

    ભાઉ જ્યાં કામ કરતા ત્યાં આર. આર. શેઠની કંપનીનો ’પ્રિંટીંગ પ્રેસ’ હતો અને એ જગ્યા ’પ્રેસ’ તરીકે ઓળખાતી.  પુસ્તકો છાપવાનું કામ ત્યાં સતત ચાલતું અને ત્યાં જ પુસ્તકોનું ઘણું મોટું ’ગોડાઉન’ પણ હતું.  બાળ, કિશોર અને યુવા વયના સહુને વાંચવા ગમે એવાં અસંખ્ય પુસ્તકો ત્યાં હતાં.  ત્યાં બેસીને મેં શ્રી ગિજુભાઈ બધેકાનાં બધાં જ પુસ્તકો; ઍડગર રાઈઝ બરોની ટારઝનની દીર્ઘ કથાનું ગુજરાતી ભાષાંતર; ’સાહસિકોની સૃષ્ટિ’, ’પાતાળ પ્રવેશ’, ’ખજાનાની શોધમાં’, ’એંશી દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા’, જેવાં જુલ વર્નનાં પુસ્તકોનાં અનુવાદ, ’ગોળીબારની મુસાફરી’, એવું-એવું ઉમદા કિશોર સાહિત્ય; તેમ જ શ્રી ર. વ. દેસાઈ, ક. મા. મુનશી, વિ. સ. ખાંડેકર, ઝવેરચંદ મેઘાણી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મોટા ગજાના લેખકોની રસિક નવલકથાઓ, એવું અઢળક સાહિત્ય વાંચ્યું.  આ બધામાંથી મને ગુજરાતી ભાષા તથા સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને થોડીક કલ્પકતા મળ્યાં.  ભવિષ્યમાં હું પણ આમના જેવો મોટો લેખક થઇશ એવી અભિલાષા એ સમયે જાગી હોય તો નવાઈ નહીં.

    ’પ્રેસ’નું મકાન ’આર. આર. શેઠ’ના માલિક આદરણીય શ્રી ભુરાભાઈ શેઠની વિશાળ એવી ’ભગતવાડી’માં હતું.  વાડીમાં મોટો કુવો હતો અને એમાંથી કોસ વડે પાણી કાઢવામાં આવતું, એથી વાડી કાયમ શાકભાજી, રજકો, અને પપૈયાનાં ઝાડથી લીલીછમ રહેતી.  કોસ ચાલતો હોય ત્યારે એના થાળામાં નહાવાની અનેરી મજા પડતી  ત્યાં મિત્રો સાથે વીતાવેલા સમયનાં બહુ મીઠાં સ્મરણો આજે પણ તાજાં છે.   પોતાની વાડી કરતાં પણ ભુરાભાઈનું દિલ ઘણું વધારે વિશાળ હતું.  એ મહામના વડીલનાં પણ મને એવાં જ મીઠાં સ્મરણ છે.

    વીસમી સદીના ગુજરાતના અગ્રિમ કેળવણીકાર આદરણીય શ્રી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી બે ગ્રામ-શિક્ષણસંસ્થાઓ ’ગ્રામ દક્ષિણામૂર્તિ’ અને ’લોકભારતી’, સોનગઢની નજીકનાં ’આંબલા’ અને ’સણોસરા’ ગામમાં છે.  ભાઉના જીવનનાં શરૂનાં વર્ષો શ્રી નાનાભાઈ ભટ્ટ તથા શ્રી ગિજુભાઈ બધેકા સાથે વીતેલાં, અને આખર સુધી ભાઉને એ બંને પ્રત્યે અતિશય આદરભાવ હતો.  એટલે અમે સોનગઢ ગયાં ત્યારથી ભાઉની સાથે એ બંને સંસ્થાની મુલાકાત લેવાનો લહાવો મને પણ મળ્યા કર્યો.  ત્યારે એ સંસ્થાનું મહત્વ મને નહોતું સમજાયું, પણ એ પછીનાં વર્ષોમાં સમજાયું કે કોઇ પણ સમાજની પ્રગતિ સાધવા માટે પ્રજાની કેળવણી, અને એમાંયે ગામડાનાં લોકોનું સાક્ષરપણું ખૂબ મહત્વનાં છે.  પરિણામે આજે ૩૫-૪૦ વર્ષથી શૈલા અને હું એ બંને સંસ્થાઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલાં છીએ.  ભારતની મુલાકાત દરમિયાન એક-બે દિવસ એ સંસ્થાઓમાં ગાળીએ ત્યારે મનને જે સંતોષની લાગણી થાય છે એ શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી છે.

    ગુરુકુળમાં મારી પ્રગતિ નિયમિત અને સંતોષકારક હતી.  મને યાદ છે બીજા ધોરણની પરીક્ષામાં હું ૮મે નંબર પાસ થયો.  ભાઉ વઢ્યા તો નહીં પણ પોતાની પાસે બેસાડી મને અભ્યાસનું મહત્વ સમજાવ્યું.  આજુબાજુ રહેતા લોકોમાંથી કોણ ભણેલા છે અને કોણ નથી એ બતાવી એમનાં જીવનમાં શું વિશિષ્ટતા કે ઉણપ છે એ પણ બતાવ્યું.  ત્યારે મને ખબર ન હતી કે ભાઉ મદ્રાસ પાસેના અડિયાર ગામમાં ખુદ મૅડમ મૉન્ટેસોરિ પાસે શિક્ષણપ્રથાના પાઠ ભણ્યા હતા!  એ સમજાવટને પરિણામે ત્રીજા ધોરણમાં હું ૪થે નંબર અને ચોથા ધોરણમાં બીજે નંબર પાસ થયો.  ચોથા ધોરણ સુધી અમે પ્રાથમિક શાળામાં હતા ત્યાં સુધી બધા જ વિષય અમને એક જ શિક્ષક ભણાવતા.  પાંચમા ધોરણથી અમે શાળાની એ જ ઇમારતમાં માધ્યમિક શાળાનાં વિદ્યાર્થી બન્યા.  દરેક ’પિરીયડ’માં જુદાજુદા શિક્ષક આવી અમને અલગ-અલગ વિષય શીખવવા લાગ્યા.  હિંદી ભાષા, અને ગણિતના એક ભાગ તરીકે ભૂમિતિ, એ બે નવા વિષય શરૂ થયા.  વર્ષના અંતે પરીક્ષા આવી અને હું પહેલા નંબરે પાસ થયો!  ત્યારથી અગિયારમી (એસ.એસ.સી.) પાસ થયો ત્યાં સુધી મારું એ સ્થાન મેં કાયમ ટકાવી રાખ્યું.

    પ્રાથમિકશાળા પૂરી કરી અમે માધ્યમિક શાળામાં આવ્યા ત્યારે આજુબાજુનાં જે ગામમાં આગળ ભણવાની સુવિધા નહોતી ત્યાંના વિદ્યાર્થીઓ પણ નવા ચહેરા સાથે પાંચમા ધોરણમાં અમારા સાથી બન્યા.  વર્ગમાં પહેલી જ વાર છોકરીઓ આવી.  એ ઉંમરે તો અમ સહુ મિત્રોના મનમાં બાળસહજ કુતૂહલથી વધુ એનું કશું મહત્વ ન હતું.  અમને ક્યાં ખબર હતી કે લગભગ એ ઉંમરમાં જ હૃદયમાં ક્યાંક અણકથ્યા સંવેદનો (Hormones)નો ઉદ્‍ભવ થતો હોય છે.  કમનસીબે માત્ર એ ઉંમરે જ નહીં, એ પછી ક્યારેય અમને એ અતિશય અગત્યના વિષયનું વિધીસર જ્ઞાન આપવાનું કોઇને સૂઝ્યું જ નહીં!  આ ને પરિણામે કેટલાક મિત્રોએ, અને કેટલાક અમારા હિતેચ્છુ નહીં એવા વડીલોએ, એ વિષય અંગે અમને જે સમજાવ્યું એને જ અમે સાચું માની બેઠા!  ખબર નહીં શી રીતે પણ આગળ ક્યારેક એ અજ્ઞાનમાંથી હું સાચી વાતો સમજતો થયો.  મને લાગે છે કે આજે હવે ’જાતીયજ્ઞાન’ આપણા સમાજમાં આવો ’આભડછેટ’નો વિષય નથી રહ્યો.

    પાંચમા ધોરણથી વર્ગમાં, મને જેમાં ખૂબ રસ પડ્યો એવી એક પ્રવૃત્તિ શરૂ થઈ.  વિજ્ઞાનના શિક્ષક અમને અવનવા પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ માહિતી અને જ્ઞાન આપવા માંડ્યા, તો ભૂગોળના શિક્ષક વર્ગમાં નકશા તથા પૃથ્વીનો ગોળો લાવી અમને ઈંગ્લેન્ડ કે જાપાન જેવા દેશ, તથા વિષુવવૃત્ત અને કર્કવૃત્ત ક્યાં આવેલા છે એ દેખાડવા લાગ્યા.  બસ, પછી તો અમારું કુતૂહલ અમને ક્યાંનું ક્યાં લઈ ચાલ્યું.  ડાહ્યાભાઈ કિકાણી, ઘનશ્યામભાઈ દેસાઈ, ભોથાભાઈ ખસિયા જેવા પ્રગત માનસના શિક્ષકોએ અમને પ્રશ્નો પૂછવા ઉત્તેજીત કર્યા અને કદીયે ટોક્યા નહીં.  ગામડાની એ શાળામાં મને આ બધું મળ્યું એ ખરેખર બહુ મોટો યોગાનુયોગ હતો.

    અમારા ઘરની સામે એક ખુલ્લું, મોકળું મેદાન હતું.  ગામના લોકો એને પાદર કે ’પાદરડું’ કહેતા.  અમારા મિત્રોની ટોળી માટે એ મેદાન એટલે અમારું બીજું ઘર હતું.  લાકડાના પાટિયાનું બેટ અને રબરનો કે ગાભાનો બૉલ લઈ અમે ત્યાં ક્રિકેટ રમતા.  ગેડી-દડો, ગિલ્લી-દંડો (કે મોઇ-ડાંડિયો), લખોટી, નારગોલ, અને એવી અનેક રમતો હું ત્યાં શીખ્યો અને સોનગઢ છોડ્યું ત્યાં સુધી નિયમિતપણે રમ્યો.  રમત એટલે બે સામસામી પાર્ટી વચ્ચેની સ્પર્ધા અને હાર-જીત; અને એ બધા સાથે અટળપણે આવતી ખટપટ અને પૉલિટીક્સ.  બાળક મટી કિશોર બનતી વ્યક્તિને આ બધું ’વ્યવહારુ’ અને ’સમજદાર’ બનાવે છે; પણ સાથે જ બાળમાનસની નિર્દોષ લાક્ષણિકતા ધીમે-ધીમે અલોપ થતી જાય છે.  એ પાદરડામાં જ હું ગાળો બોલતાં, દેતાં અને ખાતાં શીખ્યો.  જાણ્યે-અજાણ્યે દરેક વ્યક્તિ પુખ્ત જીવનનાં આ વરવા રંગઢંગ દરેક ગામના આવા ’પાદરમાંથી’ શીખતી હોય છે.  અંગ્રેજ કવિ આલ્ફ્રેડ લૉર્ડ ટૅનિસનની એક કવિતાની લીટી છે: “Strife comes with manhood and waking with the Day.” મારો દિવસ જાણે ધીરે-ધીરે ઊગતો જતો હતો.

    અપવાદરૂપે, જવલ્લે જ કોઇક એવા નસીબદાર વીરલા નીકળે છે કે જેમની નિર્દોષતા પુખ્ત વયે પણ એમનો સાથ નથી છોડતી કે જગતનું ’વહેવારુપણું’ એમને નથી વળગતું.  જગત એમને ’ઓલિયા’, ’અવ્યવહારુ’, કે ’મૂરખ’ સમજે છે.  કાશ હું એવા લોકોની ન્યાતમાં ભળી શક્યો હોત!

    મારા પિતાજી અને કાકા (ભાઉ અને દાદા) બંને ચૂસ્ત ગાંધીવાદી હતા અને બંનેએ ૧૯૩૦ અને ’૩૨ના સત્યાગ્રહમાં ભાગ લીધેલો, જેલમાં ગયેલા, અને દાદાએ તો મીઠાના સત્યાગ્રહ સમયે પોલિસનો લાઠીમાર પણ ખાધો હતો.  અમારાં ઘરનાં વાતાવરણ પર, અને પરિણામે અમારાં બધાંના સંસ્કાર-ઘડતરમાં આ વિચારધારાની પ્રબળ અસર છે.  ભાઉ ’મેથેમૅટીશીઅન’ હતા.  પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ગણિત વિષય સાથે તેઓ ગ્રૅજ્યુએટ થયા હતા.  ગુજરાતી અને મરાઠી ઉપરાંત સંસ્કૃત ભાષાપર પણ તેમનું સરસ પ્રભુત્વ હતું.  સોનગઢનાં શરૂઆતનાં વર્ષોમાં રોજ સવારે અમને ત્રણેને (ભરતભાઈ, શોભાબેન અને હું) વહેલાં ઉઠાડી તેઓ અમારી પાસે ગાંધીજીની ’આશ્રમ ભજનાવલી’ના શ્લોક બોલાવતા, એનો અર્થ સમજાવતા, અને ગોખાવતા.  હજી આજે પણ અનેક સંસ્કૃત સુભાષિત મને યાદ છે.  એ જ રીતે રોજ રાત્રે અમારી પાસે ’આંકના ઘડિયા’ પાઠ કરાવતા.  હું સાતમા ધોરણમાં આવ્યો પછી રોજ એમની નજીક બેસી તે દિવસનું ’Times Of India’ વાંચવાનું કામ અમારા નિત્યક્રમમાં ઉમેરાયું.  આમ બધી રીતે અમારો વિકાસ થાય એ માટે એ વર્ષોમાં ભાઉએ જે કર્યું એનો આગળના આયુષ્યમાં અમને ખૂબ લાભ થયો.  સોનગઢમાં ગાળેલાં એ વર્ષો એ મારો ’બ્રહ્મચર્યાશ્રમ’ કાળ હતો અને એ સમયમાં મેં ઘણું-ઘણું પ્રાપ્ત કર્યું, પણ બે અગત્યની બાબત તરફ મેં ધ્યાન ન આપ્યું.  એક એટલે મેં સારું શારીરિક સ્વાસ્થ્ય ન કેળવ્યું.  બીજું, પરીક્ષાના મૂલ્યાંકન પ્રમાણે વર્ગમાં સતત સફળ રહેવા છતાં મારું સ્વભાવગત શરમાળપણું – ક્ષોભ – હું ન છોડી શક્યો.  પરિણામે કાંઈક અંશે આત્મવિશ્વાસનો અભાવ રહ્યો.  આ બંને ઉણપનાં પરિણામ મેં આખી જિંદગી બરદાશ્ત કર્યાં.

    એ સમયની જ એક વાત છે: એક સવારે ભાઉ ઑફિસે જવા નીકળ્યા અને એમણે જોયું કે અમારા ઓટલા પર ૧૨-૧૩ વર્ષનો એક છોકરો રડતો બેઠો હતો.  એમણે છોકરાને રડવાનું કારણ પૂછ્યું, રડતાં-રડતાં છોકરો બોલ્યો, “કાકા, હું પાંચવડા (નજીકનું ગામ)થી દળણું દળાવવા આવ્યો હતો, લોટ ભરીને પાછો જતો’તો ને લોટની થેલી ફાટી ગઈ.” કહી એણે ફાટેલી થેલી ભાઉને બતાવી.  ભાઉએ જોયું કે એક ગરીબ કુટુંબના રોટલા ધૂળમાં મળી જવાની શક્યતા હતી.  બૂમ મારી એમણે મને બહાર બોલાવ્યો અને ઘરમાંથી સોયદોરો તથા થીગડું મારવા માટે કાપડનો ટુકડો લાવવા કહ્યું.  પાંચ મિનિટમાં ભાઉએ એ છોકરાની થેલી લોટ ન ઢોળાય એ રીતે બરાબર સાંધી આપી, અને મને “આ છોકરાને એક ગોળનો ગાંગડો અને પીવાનું પાણી આપજે.” એમ સૂચના આપી ઑફિસ તરફ ચાલવા માંડ્યા.  ઘટના ખૂબ નાની હતી, પણ એ આખું ચિત્ર આજે પણ મારા સ્મૃતિપટ પર સ્પષ્ટ છે.

    સાતમા-આઠમા ધોરણથી અમારા અબ્યાસક્રમમાં ઇંગ્લીશ, સંસ્કૃત, અને બીજ-ગણિત, એમ ત્રણ નવા વિષયો આવ્યા.  ’સામાન્ય વિજ્ઞાન’નો એક વિષય હવે અમે પદાર્થ-વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને જીવ-વિજ્ઞાન એમ ત્રણ ભાગમાં ભણવા માંડ્યા.  આ બધા વિષયોમાં હું બહુ સહેલાઈથી ’પ્રવીણ’ થતો ગયો.  મેટ્રિક સુધીના શિક્ષણનો મને કદી ભાર લાગ્યો જ નહીં, કે મેટ્રિકના વર્ષમાં પણ ક્યારેય રાત્રે દસ વાગ્યાથી વધુ સમય જાગીને મારે અભ્યાસ કરવાની જરૂર ન પડી.  શાળાનો અભ્યાસ મેં સહેલાઈથી પતાવ્યો એ ખરું, પરંતુ એ પછીનાં વર્ષોમાં ઘણીવાર એમ થયું કે અગિયારમા ધોરણમાં મેં વધુ મહેનત કરી હોત તો વધુ સારા માર્ક્સ મળ્યા હોત અને મારી નિશાળ કાયમ અભિમાન લઈ શકે એવું કશુંક કરીને શાળાનું થોડું ઋણ હું ફેડી શક્યો હોત.

    સામાન્ય રીતે અબોલ, બોલે ત્યારે ધીમા પણ પ્રેમાળ અવાજે બોલનાર મારાં બા ઉર્ફે ’આઈ’ વિષે શું લખવું સમજાતું નથી.  આઈ ક્યારેય અમારામાંથી કોઇને પણ વઢ્યાં હોય એવું મને બિલકુલ યાદ નથી, પછી શિક્ષા કરવાની તો વાત જ ક્યાં રહી?  ઉલટાનો હું જ ક્યારેક રીસાઈને ’જા મારે નથી જમવું’ એવી હઠ કરું તો ’અશોક, બાપુ હવે જમીલે ને.’ એવી વિનવણી કરતાં.  અક્ષરશઃ તેઓ કાયમ અમારાં સુખે સુખી અને અમારાં દુઃખે દુઃખી થતાં.  મને નથી લાગતું એમને એમનું પોતાનું અન્ય કાંઈ સુખ હોય!  પ્રેસિડંટ લિંકનનું એક વાક્ય છે: “God cannot be everywhere, therefore He made mother.”  મારા માટે જિંદગીનો એક મોટો વસવસો એ છે કે આઈનાં સુખ માટે હું ખાસ કશું નથી કરી શક્યો.

    આ વર્ષો દરમિયાન એકવાર ભાઉ પક્ષઘાતની બિમારીમાં ઝડપાયા.  મારા મામા ત્યારે સોનગઢથી નજીક ભાવનગર રહેતા’તા.  તેઓ તરત જ આવી ભાઉને પોતાને ત્યાં લઈ ગયા, અને પછી દાદાની સલાહ મુજબ ભાઉને અમદાવાદ લઈ ગયા.  યોગ્ય સારવારથી ભાઉ પૂરા સાજા થઈ સોનગઢ પાછા આવ્યા.  એ માંદગીમાં ભાઉ કાયમ માટે પરવશ થઈ જાય એવી શક્યતા હતી.  એવું તો ન થયું પણ ગંભીર માંદગી, હોસ્પિટલ, દવા અને વિટામીન્સ, વગેરે અવનવી વાતોથી મારા કાન ટેવાયા.  એ પછી રોજ રાત્રે અમે ત્રણે ભાઈઓ ભાઉને પગે માલિશ કરતા એ યાદ છે.  કુટુંબની આર્થિક પરિસ્થિતિની વાતો પણ હવે મારા ધ્યાનમાં આવવા માંડી.  ઘરખર્ચનો હિસાબ ભાઉ કાયમ બહુ ચીવટપૂર્વક લખતા અને એ એમણે માંદગી પછી પણ ચાલુ રાખ્યું, પણ હવે એની કેટલીક વિગત તેઓ મને બતાવતા થયા.

    ગુરુકુળની વાતોમાં એક અગત્યની નોંધ બાકી છે.  અનુક્રમે સાતમા અને આઠમા ધોરણમાં અમારા વર્ગમાં રીટા નામની છોકરી અને દેવરાજ નામનો છોકરો દાખલ થયાં.  એકાદ-બે વર્ષમાં આ બંને સાથે મારે મૈત્રી થઈ, અને અમે નવમા-દસમા ધોરણામાં આવ્યાં ત્યારે એ મૈત્રી ગાઢ બની.  એ સમયમાં કોઇ છોકરો કોઇ છોકરીને મળે, એની સાથે વાતો કરે, કે એ બંને વચ્ચે મૈત્રી થાય; એને સમાજ માત્ર એક જ દ્રષ્ટિથી મૂલવતો: “આ બંને વચ્ચે પ્રેમ છે, અને એવું કરી એ બંને પારંપરિક મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.”   સોનગઢના રૂઢિચુસ્ત સમાજને અમારી એવી મૈત્રી કબૂલ ન હતી.  એટલે સુધી કે વર્ગમાં, શાળામાં, અને ગામમાં મારા અને રીટાના નામે ટિખળ, કૂથલી અને ચણભણ શરૂ થયા.  પરિણામે મારું દસમીનું વર્ષ માનસિક તાણ અને ચિંતામાં ગયું.  સદ્‍ભાગ્યે એ બધું વધુ સમય ન ચાલ્યું.  પણ એ કપરા સમયમાં સતત મારી પડખે ઊભા રહી દેવરાજે મને ખૂબ સહારો આપ્યો.  એ દિવસોમાં ફરી એક વખત મને “કોના ઉપર વિશ્વાસ મૂકવો અને સ્વાર્થી તથા અવિશ્વાસુ કોણ થઈ શકે?” એ સમજવાનો પાઠ મળ્યો!  ૧૯૬૦માં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કરી અમે ત્રણે છૂટાં પડ્યાં, પણ આજે ૬૦ વર્ષ પછી પણ રીટા અને દેવરાજ મારાં નિકટતમ મિત્રો છે.  શાળા પછી દેવરાજ ભારત છોડી કેન્યા જઈ વસ્યો અને ખૂબ કમાયો.  ૧૯૯૫માં અમે કેન્યામાં એના મહેમાન બની ભરપુર મજા કરી હતી.  પચાસેક વર્ષથી રીટા અને એનાં પતિ શ્રીધર લૉસ એંજેલિસ પાસે રહે છે, અને અમે વખતોવખત મળીએ છીએ.  છેક પાંચમા ધોરણથી મને મળેલો એક ત્રીજો મિત્ર જીવરાજ સુતરિયા.  એની સાથેની દોસ્તી સોનગઢ છોડ્યા પછી, અને વધુ તો હું અમેરિકા આવ્યો પછી, ગાઢ થતી રહી છે.  ભારત જઈએ ત્યારે અમે અચૂક એની વાડી પર રહેવાનો મોકો ઝડપીએ છીએ.  એ જબરો ફિલોસૉફર છે.  દેવરાજ અને જીવરાજ બંને ઇતરવાચનના રસિયા હતા.  અમે નવમા-દસમા ધોરણમાં હતા ત્યારે જ જીવરાજે લિઓ ટોલ્સટોયનાં ’વૉર ઍન્ડ પીસ’ નું ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું, તો દેવરાજે ક. મા. મુનશીનું ’ગુજરાતનો નાથ’ અને ચુનીલાલ મડિયાનું ’લીલુડી ધરતી’ પુસ્તકો વાંચ્યાં હતાં.  એ બંને આ પુસ્તકોની વાતો કરતા.  એ દિવસોમાં હું વિ. સ. ખાંડેકર તથા ર. વ. દેસાઈનાં પુસ્તકો વાંચવામાં મશગૂલ હતો.

    ૧૯૫૯ના માર્ચ સુધી ગુરુકુળમાં સહશિક્ષણની પ્રથા હતી.  છોકરાઓ અને છોકરીઓ એક જ વર્ગમાં સાથે ભણતાં.  હા, સામાન્ય રીતે એવું થતું કે છોકરા-છોકરીઓ પરસ્પર સાથે ભાગ્યે જ બોલતાં.  છોકરીઓ વર્ગના એક ખૂણામાંની બેન્ચ પર બેસતી.  વર્ગમાં આવતાં-જતાં ભાગ્યે જ કોઇ છોકરી છોકરાઓ બેઠા હોય એ દિશામાં નજર પણ નાખતી.  ટૂંકમાં બંને પક્ષ, વર્ગમાં જાણે બીજા પક્ષની હાજરી છે જ નહીં એ પ્રમાણે વર્તતા.  ૧૯૨૮માં શાળા પ્રથમ શરૂ થઈ ત્યારથી ૧૯૫૯ માર્ચ સુધી, એક અવાચ્ય (પરસ્પર વાત પણ ન કરે એવા લોકો વચ્ચેના) સહઅસ્તિત્વમાં અમારી શાળામાં સહશિક્ષણ ચાલ્યું આવ્યું હતું.  પણ જુન ૧૯૫૯માં શાળાનું નવું વર્ષ શરૂ થયું ત્યારે વર્ષો જૂની આ પ્રથા ફગાવી દઈ શાળાના અધિકારીઓએ તાત્કાલિક વ્યવસ્થા કરીને અમારી શાળાથી અડધો માઈલ દૂર, છોકરીઓ માટે ’દયાનંદ કન્યા ગુરુકુળ’ નામની નવી શાળા શરૂ કરી!  જુન ૧૯૫૯માં એક તો આ વાતનું સામાજિક ગાંભીર્ય સમજવા જેટલો હું સમજણો ન હતો, અને બીજું એસ.એસ.સી. નો અભ્યાસ ત્યારે મારા માટે સહુથી વધુ અગત્યની બાબત હતી.  એ વર્ષ પૂરું થયું, હું સારા માર્ક્સ સાથે પાસ થયો, અમારું કુટુંબ સોનગઢ છોડી અમદાવાદ ગયું; અને જાણે ’ગુરુકુળમાં સહશિક્ષણ’ એ વાત મારા મગજમાં ક્યારેય હતી જ નહીં એમ વીસરાઈ ગઈ.  પણ, આજે ૬૨ વર્ષ પછી પણ સોનગઢ જેવા નાના ગામમાં છોકરાઓ અને છોકરીઓ બે જુદી-જુદી નિશાળમાં ભણે છે એ વાત મારા મનને છળે છે.  શિક્ષણનું કામ કરતી કોઇપણ સંસ્થા વિદ્યાર્થીને માત્ર વિજ્ઞાન, ગણિત, ભાષા કે ભૂગોળ ભણાવવા માટે નથી હોતી.  એનું મુખ્ય કામ તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવાનું હોય છે.  એ દિશામાં કુમળાં માનસનાં છોકરા-છોકરીઓ સાથે ભણે, સાથે રમતગમતમાં ભાગ લે, સાથે પ્રવાસ કરે, અને સાથે નાટક જેવી પ્રવૃત્તિમાં સામેલ થાય; એ બધું ખૂબ અગત્યનું છે.  આ બધી પ્રવૃત્તિમાં સહુ ખેલદિલીપૂર્વક સહભાગી થાય, તેમ જ એમાંથી કશું અયોગ્ય વર્તન ન ઉદ્‍ભવે એ જોવાની જવાબદારી શિક્ષકો અને શાળાના સંચાલકોની છે.  આમ કરતાં ૧૬-૧૭ કે ૧૮ વર્ષનાં કોઈ છોકરો અને છોકરી એકમેક પ્રત્યે આકર્ષાય અને પ્રેમમાં પડે તો એ એમની સહજ અને નૈસર્ગિક ઊર્મિનો પ્રાદુર્ભાવ છે.  પણ આવી બધી શક્યતા ટાળવા માટે સહશિક્ષણ બંધ કરી દેવું એ તો મેદાન છોડી ભાગી જવાની વાત છે.  ગુરુકુળમાં સહસિક્ષણ બંધ થયું એ બાબતે મને ત્રણ હકીકતનો અફસોસ છે; એક, જે શાળા પ્રત્યે મને અતિશય લાગણી અને માન છે એના એ સમયના અધિકારીઓ આ જવાબદારી સ્વીકારવામાં ઊણા ઊતર્યા, બીજું, એ અધિકારીઓએ આવો અઘટિત નિર્ણય લીધો એનું પ્રત્યક્ષ કારણ મારી અને રીટાની મૈત્રી હતું એટલે કે કાંઈક અંશે એ નિર્ણય માટે હું જવાબદાર હતો, અને ત્રીજું, આજે ૬૦ કરતાં વધુ વર્ષો પછી પણ પરિસ્થિતિમાં કશો ફરક નથી થયો.  અમારા ગુરુકુળનું નિષ્ઠા-વાક્ય છે: सा विद्या या विमुक्तये, અર્થાત, માણસને બધા પ્રકારના બંધનમાંથી જે મુક્ત કરે એનું નામ વિદ્યા.  મને અફસોસ છે કે અમારી શાળાના સંચાલકો જ એમની કેટલીક માનસિક નબળાઈઓમાંથી મુક્ત નહોતા થયા.

    ૧૯૫૯નું વર્ષ અમારા કુટુંબ માટે ખૂબ દુઃખદ નીવડ્યું.  ૧૯૪૨થી જેમની કંપનીમાં અને સાંનિધ્યમાં ભાઉએ કામ કર્યું એ શ્રી ભુરાભાઈ શેઠ બહુ ટૂંકી માંદગી પછી, ૨૭મી જુનના દિવસે અચાનક ગુજરી ગયા.  હજી એ ઘાવ તાજો જ હતો ત્યાં માત્ર ચાર દિવસ પછી, ૧લી જુલાઈને દિવસે સમાચાર આવ્યા કે મારા મોટાભાઈ આનંદભાઈનું મહારાષ્ટ્રના ’બેળગામ’ નામના ગામ પાસે કાર ઍક્સિડન્ટમાં અવસાન થયું છે.  ભાઉ અને આઈ માટે આ ઘા અસહ્ય હતો.  એ પછી ભાઉ વીસ વર્ષ જીવ્યા, પણ ફરી કદી એમના મોં પર મેં પ્રસન્ન-હાસ્ય ન જોયું.  ’પુત્રશોક’ની ઘેરી કાલિમા જાણે કાયમ ત્યાં છવાયેલી રહેતી.  ભાઉ ફરી માંદા પડ્યા અને દાદા ફરી એમને સારવાર માટે અમદાવાદ લઈ ગયા.  ૧૯૬૦ના માર્ચ મહિનામાં મેં એસ.એસ.સી.ની પરીક્ષા આપી અને ૨જી એપ્રિલ ૧૯૬૦ના દિવસે, બાર વર્ષના વસવાટ પછી સોનગઢ ગામ કાયમ માટે છોડી અમે અમદાવાદ રહેવા ચાલ્યાં ગયાં.


    ક્રમશઃ

  • તારા બગીચામાં રહેતી ગઈ

    પન્ના નાયક

    તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઇ
    અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

    ઝાડવાની લીલેરી માયા મને,
    ફૂલની સુગંધની છાયા મને,
    અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
    અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

    આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
    અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
    હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ
    અને કહેતી ગઈ કે હવે જાઉ છું.


    :આસ્વાદઃ

    સુરેશ દલાલ

    આ ગીત “વિદેશિની” સંગીત-આલ્બમમાં સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયા દ્વારા સ્વરબદ્ધ કરાયું છે અને એને સુરીલા કંઠ આપનાર ગાયિકા છે કલ્યાણી કૌઠાળકર.

    પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એમના એક ગીતસંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી. આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના, નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત.

    આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યો આનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને ‘આવજો’ કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે. જીવનમાં જયારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે?

    ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો, એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે. હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: ‘કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.’ આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે. કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:~

    “આખરને અવસરિયે,
    વણું જુહાર, જયાં વાર વાર,
    ત્યારે જ મેં અરે, જાણ્યું
    મારે આવડો છે પરિવાર.
    રણની રેતાળ કેડીએ
    જાતા ઝાકળને જળ ન્હા.”

    અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી. કાવ્યનાયિકા કહે છે કે; “હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું.”

    ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ – ચિત્રકાર ખલિલ જિબ્રાને ‘આવજો’ કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં, પણ આંખથી કહેવાનું હોય છે.

    આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય, ‘અંતિમ યાત્રા’નો અનુવાદ મૂકું છું, જે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.

    “લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
    ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
    લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

    લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
    નીલ, શાંત, આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
    હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
    નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
    લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

    મારી કમી પછીયે લોક મરણને અધીન થશે અહીં,
    અને ગામ પણ હર વરસે દહાડે નવીન થશે અહીં,
    ફિક્કો મારો બાગ- એકખૂણો ગમગીન હશે, ત્યહીં-
    જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
    લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

    અને એકલો જાઉ : વટાવી ઘરના ઉંબર-પહાડ,
    નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
    હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
    -તો ય હશે અહીં
    પંખીસૂરે ફાગણ ફૂલ્યો-ફાલ્યો!
    લ્યો, હું તો અહીંથી ચાલ્યો!”.

    *****************************************************

    સૌજન્ય સાભારઃ

    દિવ્ય ભાસ્કર – ૨૦૦૯,’હયાતીનાં હસ્તાક્ષર’ – કવિતાના આસ્વાદની કોલમ ~ સુરેશ દલાલ અને આપણું આંગણુઃ

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    થોડા સમય પૂર્વે અમદાવાદની અદાલતમાં એક અજીબ પ્રકારનો માનહાનિનો કેસ આવ્યો હતો. અમદાવાદની રેફ્રિજરેટર બનાવતી ખાનગી કંપનીના જુનિયર એન્જિનિયરે તેમના સહકર્મીઓ પર તેમને અટકથી બોલાવીને બદનક્ષી કરતાં હોવાની ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં સરકારી અને ખાનગી કચેરીઓમાં વ્યક્તિને નામને બદલે અટકથી ઓળખવાનો તથા બોલાવવાનો ચાલ છે.  પેલા એન્જિનિયરસાહેબની અટક ‘ બાયડી’ હતી અને સહકર્મીઓ તેમને ‘ બાયડી’  કહીને બોલાવતા હતા. આ પ્રકારની અટક બદલવાને બદલે તેમણે અદાલતમાં બાયડી  શબ્દના ઉચારણથી પોતાની સાથે મહિલાઓની પણ બેઈજ્જતી થતી હોવાની દલીલ કરી હતી. અટકને કારણે કેવી સ્થિતિ સર્જાય છે તેનું આ કનિષ્ઠ ઉદાહરણ છે.

    નામને બદલે અટકથી માણસને બોલાવવાની પ્રથા માત્ર કચેરીઓમાં જ નથી, શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓના નામમાં પહેલા અટક લખાય છે. હવે ગુજરાત સરકારે ચાલુ શૈક્ષણિક સત્રથી તેમાં ફેરફાર કર્યો છે. એટલા માટે નહીં કે સરકારને અટકના આટાપાટા ઉકેલવા છે પણ એટલા માટે કે વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એકરૂપતા નહીં હોવાથી સમસ્યાઓ સર્જાઈ છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જનરલ રજિસ્ટર અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં હવે વિદ્યાર્થીના પૂરા નામમાં અટક પહેલાં નહીં પણ છેલ્લે લખવાનો સરકારી આદેશ થયો છે.

    આદિ માનવોની ઓળખ તેમની ટોળી કે શિકારના સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. માનવી સમૂહમાં રહેતો થયો, કુટુંબ સંસ્થા અસ્તિત્વમાં આવી તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે. સમાજશાસ્ત્રી વિધ્યુત જોશીના મતે નામ  એ વ્યક્તિગત ઓળખ છે પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગૌત્ર, કુટુંબસમૂહ, ગામ કે વ્યવસાયના સ્વરૂપનું હોઈ શકે છે. એક બીજો મત વસ્તી વૃધ્ધિ અને વ્યવહારની ઘનતાને કારણે અટકની જરૂરિયાત ઉભી થયાનો પણ પ્રવર્તે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય , વતન ગામ, બાપદાદાના નામ પરથી બનેલી અટકો ભારતમાં  જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે. વ્યક્તિના નામોમાં આધુનિકતા પ્રવેશી છે પરંતુ વ્યક્તિને જેમ જન્મ સાથે જ્ઞાતિ વારસામાં મળે છે તેમ અટક પણ મળે છે.  જોકે તેમાં ફરક એટલો છે કે નામ-અટક બદલી શકાય છે. મેડિકલ કોલેજોમાં ભણતા દલિત વિદ્યાર્થીઓને જ્ઞાતિસૂચક અટક પરથી ભેદભાવનો ભોગ બનવું પડે છે. એટલે મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત ડોકટર્સ ,  કોન્ટ્રાકટર્સ, પ્રાઈવેટ સેકટરમાં કામ કરતા કે  અન્ય વ્યવસાયિક દલિતો અટકો બદલે છે. પરંતુ એક અભ્યાસ પ્રમાણે નામ-અટક બદલવાથી જ્ઞાતિ બદલ્યાનો આભાસ ઉભો કરી શકાય છે પણ વાસ્તવમાં તે બદલી શકાતી નથી.

    ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશમાં અટકનો પર્યાય અડક જણાવી તેનો અર્થ ગોત્ર, ધંધો કે વતન ઈત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ (પૃષ્ઠ-૧૩) એવો દર્શાવ્યો છે. લોકબોલીમાં શાખ, નુખ, અંગ્રેજીમાં સરનેમ અને સંસ્કૃતમાં અવટંક જેવા શબ્દોથી ઓળખાતી અટકનો એક અર્થ સાર્થ જોડણીકોશમાં નડતર કે અવરોધ પણ આપ્યો છે. જે જ્ઞાતિસૂચક અટકને કારણે યથાર્થ છે.સ્વામી સચ્ચિદાનંદે દલિતોને જ્ઞાતિદર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા અપીલ કરી હતી. કથિત ઉચ્ચજ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ઘૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીને જ્ઞાતિ નિર્મૂલનની દિશાનું પગલું માનવામાં આવે છે.

    ૨૦૨૫માં ઈન્ડિયન સ્કૂલ સર્ટિફેકેટની પરીક્ષામાં કોલકાત્તાની ૧૭ વરસની સૃજની સો ટકા  માર્કસ મેળવી ટોપર બની હતી. સૃજનીએ તેના પરીક્ષા ફોર્મમાં જ તેની અટક લખી નહોતી. એટલું જ નહીં ધર્મના ખાનામાં માનવતા લખ્યું હતું. નોંધપાત્ર છે કે સૃજની કથિત ઉચ્ચજ્ઞાતિની છે. છતાં તેણે સમજપૂર્વક જ્ઞાતિસૂચક અટકનો ત્યાગ કર્યો હતો. જાણીતા ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાન પણ ફિલ્મો અને ટી.વી. સિરિયલોમાં કામ કરે છે. તેમણે પણ ખાન અટક્નો ત્યાગ કરવાની ઘોષણા કરી છે.

    પેરિયાર ભૂમિ તમિલનાડુમાં વીસમી સદીના આરંભે જે સ્વાભિમાન આંદોલન થયું હતું તેમાં ઘણાં લોકોએ અટકો છોડી હતી. જે.પી. આંદોલનમાં નામની પાછળ માતાની ઓળખ રાખવાનું બન્યું હતું. સૃજની કે બાબિલના એકલદોકલ પ્રયાસો અટકને લીધે થતા ભેદભાવોની નાબૂદીમાં મહત્વના છે. જોકે જાણીતા રાજનેતાઓ જયપ્રકાશ નારાયણ,  ચરણસિંઘ, ચંદ્રશેખર અને જગજીવન રામે અટકોનો ત્યાગ કર્યો હતો. પરંતુ તેમની જ્ઞાતિ નાનું છોકરું પણ જાણે છે. એટલે અટકના ત્યાગથી જ્ઞાતિ નાબૂદ થઈ જ જશે તેમ કહી શકાતું નથી.

    અટકો સ્ત્રી-પુરુષ ભેદભાવની બાબતમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં લગ્ન પછી સ્ત્રીએ પોતાના નામ પાછળ પતિનું નામ અને અટક ધારણ કરવાં પડે છે. કેટલાક રાજ્યોના સમાજોમાં તો તેનું નામ પણ બદલવામાં આવે છે. મહિલાને એક સ્વતંત્ર માણસ નહીં પણ જાણે કે પિતા કે પતિ પર આધારિત વસ્તુ માનતી પિતૃસત્તાનું આ પરિણામ છે.

    ભારતમાં જ નહીં વિશ્વના સમૃધ્ધ અને વિકસિત દેશ જાપાનમાં પણ આવી સ્થિતિ છે. ઓગણીસમી સદીના અંતિમ વરસોમાં(ઈ.સ.૧૮૯૬) જાપાને કાયદો ઘડીને લગ્ન પછી પતિ-પત્નીએ એક સમાન અટક રાખવાનું નક્કી કર્યું હતું. એક અંદાજ મુજબ જાપાનની ૯૬ ટકા મહિલાઓને સમાન અટકના કાયદાનું પાલન કરવા પતિની અટક ધારણ કરવી પડતી હતી. મહિલા સમાનતા અને સ્ત્રી જાગ્રતિકરણના આ જમાનામાં જાપાની મહિલાઓને સમાન અટકનો કાયદો ખટકતો હતો અને  તેને નાબૂદ કરવા માંગણી કરતી હતી. જાપાની મહિલાઓના લાંબા સંઘર્ષ પછી લોકમત  મહિલાઓના વિરોધમાં હોવા છતાં જાપાની સરકારે થોડા વરસો પહેલાં આ કાયદો નાબૂદ કર્યો છે.

    જાપાનથી સાવ સામા છેડાનું અટક્પુરાણ દક્ષિણ આફ્રિકાનું છે. દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલતે પતિઓની પત્નીની અટકો અપનાવવાની માંગણી સ્વીકારી છે. મહિલા સમાનતાની દિશામાં આવું પણ જોવા મળે છે પતિઓને પત્નીની અટક અપનાવવાની મંજૂરી આપતો દક્ષિણ આફ્રિકા કંઈ પહેલો દેશ નથી. પૂર્વે અમેરિકાના કેટલાક રાજ્યો અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં પણ આવી મંજૂરી આપવામાં આવી છે.

    જ્ઞાતિ અને ધર્મ સૂચક અટકોની નાબૂદીની દિશામાં વિચારતાં જાપાનની તોહોફુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકની એક ગણતરી જાણવા જેવી છે. જાપાનમાં સૌથી વધુ લોકોની  અટક સેટો છે. તે પછીના ક્રમે સુઝુકી છે. પ્રો. હિરોશી યોદિશાનો અભ્યાસ જાણાવે છે કે પાંચસો વરસો પછી એટલે કે ઈ.સ. ૨૫૩૧ સુધીમાં બધા જાપાનીઓની અટક સેટો હશે. જો અર્થશાસ્ત્રી હિરોશીની ગણતરી સાચી પડે તો અટક નાબૂદીની દિશામાં તે મહત્વનું હશે. તેનાથી જાપાની પ્રજા અટકને બદલે નામથી ઓળખાતી થશે.પરંતુ શું ભારતમાં આવું ક્યારેય થઈ શકે ખરું?

  • લોકશાહી સર્વને સમાવતું ઘર છે

    મંજૂષા

     વીનેશ અંતાણી

    ભારતની પ્રજાસત્તાક શાસનપદ્ધતિપશ્ચિમમાંથી ઉછીનો લેવામાં આવેલો ખયાલ નથી, બલકે એનો પ્રસાર ભારત અને ગ્રીકમાંથી થયો છે.

    આપણે ત્યાં પ્રાચીન સમયમાં શાસનમાં પ્રજાની ભાગીદારીની પરંપરા હતી. તે સમયે ઘણાં જનપદોના શાસકો વિદ્વાન. શાણા અને અનુભવી લોકોની સલાહ અનુસાર નિર્ણયો લેતા. વૈદિક સમયમાં લોકો કબીલામાં રહેતાં. કબીલાના સંચાલન માટે ‘સભા’ અને સમિતિ’ મહત્ત્વની સંસ્થા હતી. ‘મુખિયા’ની પસંદગી લોકો કરતા. પાછળથી પંચાયતને નિર્ણય લેવાની સ્વત્રંતતા મળી હતી. ઘણાં જનપદો પ્રજાસત્તાક શાસનપદ્ધતિનાં ઉત્તમ ઉદાહરણ હતાં.

    અત્યારના ઉત્તર બિહાર વિસ્તારમાં ‘વજ્જિ’ નામનું જનપદ હતું. મગધના રાજા અજાતશત્રુ વજ્જિ જનપદ પર આક્રમણ કરવા માગતો હતો. નિર્ણય લેતા પહેલાં એણે ભગવાન બુદ્ધનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. બુદ્ધે વજ્જિ જનપદમાં પ્રચલિત ગણતંત્રની કેટલીક મૂલ્યવાન પરંપરાઓ સમજાવી હતી. એમણે કહ્યું હતું તેમ વજ્જિના વહીવટ માટે પસંદ કરવામાં આવેલા લોકો નિયમિત મળતા અને દરેક મુદ્દાના બધાં પાસાંની ઘનિષ્ઠ ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેતા. શાસનના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી માંડી સામાન્ય પ્રજાજનો કાયદાના અનુશાસનનું ચુસ્ત પાલન કરતા. વડીલો-મુરબ્બીઓનું માન જાળવવામાં આવતું. સ્ત્રીઓનું રક્ષણ કરવાની જવાબદારી શાસકોની હતી. ધર્મસ્થાનો અને ધર્મગુરુઓ-સંતોને આદર આપવામાં આવતો. ભગવાન બુદ્ધે કહ્યું હતું: ‘જ્યાં સુધી વાજ્જિ જનપદના શાસકો અને લોકો આ મૂલ્યોને જાળવશે ત્યાં સુધી એમની પ્રગતિ થતી રહેશે.’

    લોકશાહી પાયામાં રહેલાં આ મૂલ્યોનું આજે દરેક લોકશાહી દેશના શાસકો અને પ્રજાએ સમજવાની જરૂર છે. વર્તમાન સમયમાં ચાલી રહેલાં યુદ્ધો, વાતેવાતે યુદ્ધની ધમકી, ગેરમાર્ગે દોરતી જૂઠી માહિતીઓ, આર્થિક ક્ષેત્રમાં અનિશ્ચિતતા , પર્યાવરણના પ્રશ્નો, એકહથ્થુ સત્તાની લાલસા જેવા વાતાવરણથી દુનિયા ઘેરાઈ ગઈ છે. લોકશાહીનો આદર્શ નબળો પડવા લાગ્યો છે. ભારતમાં જ્યારે પણ લોકશાહી પર ખતરો ઊભો થયો ત્યારે પ્રજા તરીકે આપણે વધારે મજબૂત બન્યા છીએ. એની સરખામણીમાં પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળમાં પ્રવર્તતી ગંભીર પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે ભારતની પ્રજામાં વહેતી પ્રજાસત્તાક સંસ્કૃતિનું મહત્ત્વ સમજાય છે.

    ભારતને આઝાદી મળી પછી બંધારણના ઘડવૈયાઓએ લોકશાહીનાં મૂલ્યોને સમાવતા તંત્રની મજબૂત ભૂમિકા રચી આપી છે. બંધારણની અવગણનાની એક ભૂલ અને દેશના સાંસ્કૃતિક વારસાને ડાઘ લાગતાં વાર નહીં લાગે. આજે દુનિયામાં કેટલાક શાસકો પોતાને દેશથી મોટા માનવા લાગ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તરંગી નિર્ણયોને લીધે વિશ્વ સામે ઘણા પડકાર ઊભા થયા છે. એના પોતાના દેશની લોકશાહી સામે પણ ભય ઊભો થયો છે. ટ્રમ્પે અમેરિકાની લોકશાહીના મૂળભૂત ઢાંચાને દેખીતી રીતે તોડી પાડ્યું નથી, પરંતુ એના પાયા હચમચાવી નાખ્યા છે. એ પોતાને જ ‘શાસન’ માને છે. અનુકૂળ ન હોય એવાં ચૂંટણી-પરિણામોનો એ ખુલ્લેઆમ અસ્વીકાર કરે છે. એના વિરુદ્ધ ચુકાદા આપનાર ન્યાયાધીશો માટે અશોભનીય વિધાનો કરે છે. પ્રેસને દુશ્મન કહીને ઉતારી પાડે છે. એણે લોકશાહીના સ્તંભ સમાન સંસ્થાઓને બાજુએ હડસેલી દેવાનું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ કોઈ સરમુખત્યારને પણ પાછળ રાખી દે એવા શાસકોના પ્રતિનિધિ અને પ્રતીક બની ગયા છે. એનો ચેપ કેટલાક બીજા દેશોના રાજનેતાઓને પણ લાગવાનો ભય ઊભો થયો છે.

    આવા સંજોગોમાં લોકશાહીનું માળખું જ રહે છે, એનું આંતરિક સત્ત્વ ખોખલું બની જાય છે. લોકશાહી માત્ર પાર્લામેન્ટ કે બંધારણમાં અસ્તિત્વ ધરાવતી નથી. એના દ્વારા લોકો એકબીજાની સાથે જોડાયેલા રહે છે. સંવાદ, મતભેદ, બીજાના મતનો સ્વીકાર અને પ્રજાના હિતમાં સમાધાન કરવાની તૈયારી હોય તો લોકશાહીનું સંવર્ધન શક્ય બને છે. લોકશાહીમાં સરકાર અને પ્રજા વચ્ચે મજબૂત ભરોસો ખૂબ અગત્યની શરત છે. ચૂંટણીનાં પરિણામો જ લોકશાહીની સફળતાનો માપદંડ નથી. નાગરિકો કેવળ મતદારો નથી, દેશનું ભાવિ એમના હાથમાં છે. પ્રજાની સત્તાનું ઉલ્લંઘન કોઈ પણ દેશની લોકશાહીના પતનનું નિર્ણયક બળ બની શકે છે.

    માનવીય ગરિમાની જાળવણી લોકશાહીનું હાર્દ છે. આ શાસનપદ્ધતિમાં દરેક સ્તરના નાગરિકોનું સમાન સ્થાન છે. દરેક મતદારનો મત નાત, જાત, લિંગ, ધર્મ, ગરીબ-શ્રીમંત ભેદભાવ વિના એકસરખું વજન ધરાવે છે. લોકશાહી પરસપર વિરોધી સ્થિતિમાં પણ સમાનતા અને એકતાના પાઠ શીખવે છે. નાગરિકોનું કર્તવ્ય માત્ર થોડાંથોડાં વર્ષે મતદાન મથકે ઊભા રહી વોટ આપી આવવાનું નથી, પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સભાન રહેવાનું પણ છે. લોકશાહીમાં કોઈ પ્રેક્ષક નથી, બધા નગારિકો સમાન હક્ક ધરાવતા ખેલાડી છે. વિરોધમાંથી જ સમાધાનની ભૂમિકા રચાય છે.

    એક ગામમાં નવો કૂવો ખોદવાની જરૂર હતી. એ માટે પંચાયતના સભ્યોની મીટિંગ ચાલતી હતી. દરેક સભ્ય પોતાની જ સવલતનો ખ્યાલ રાખી નવા કૂવાની જગ્યા માટે આગ્રહ રાખતા હતા. ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું. એકબીજા પર આક્ષેપો થવા લાગ્યા. વાતાવરણ હદથી બહાર બગડ્યું ત્યારે એક વૃદ્ધ મહિલા સભ્ય ઊભી થઈ. એણે કહ્યું: ‘આપણે એકબીજાનાં દુશ્મન નથી, આપણા ગામનું ભવિષ્ય નક્કી કરવા ભેગા મળેલા પડોશી છીએ.’ એ સાંભળી દરેક જણને સમજાયું કે તેઓ એકબીજાનો વિરોધ કરવા માટે ચૂંટાયા નથી. એમને ગામના લોકો અને ભાવિ પેઢીની સુખાકારી માટે યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. લોકશાહી એવી સમજણમાંથી મજબૂત બને છે.

    લોકશાહી સર્વને પોતાની અંદર સમાવી સુરક્ષા બક્ષતું ઘર છે. ભાડાનું ઘર નહીં, આપણું પોતાનું – ઘરનું ઘર. આજે એ ઘરનો ઢાંચો થોડો નબળો પડતો જણાય છે. ભીંતોમાં તિરાડો દેખાવા લાગી છે. કદાચ લોકશાહી નામનું ઘર આપણને સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી ઉપાડીને થોડું થાકી પણ ગયું હોય.

    શક્ય છે કે એ પરિસ્થિતિનો લાભ લેવા કોઈ ખૂણામાં એક બુલડોઝર રાહ જોતું ઊભું હોય. એ સંજોગોમાં નિર્ણય લોકશાહીના કેન્દ્રમાં રહેલી પ્રજાએ લેવો પડે છે – શું જરૂરી છે, બુલડોઝર કે વરસોની મહેનત પછી બનાવેલા ઘરની સલામતી?


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી…

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ગાંધીનિર્વાણના ઉંબર કલાકોમાં લખી રહ્યો છું ત્યારે ચિત્તમાં કંઈક હથોડાબંધ ટકોરા દઈ રહેલો વૈકલ્પિક પ્રયોગ ગાંધીહત્યા બલકે ગાંધીવધ છે. બાકી દુનિયાએ જે ઘટનાને એક બલિદાની અંતિમ સમર્પણ તરીકે જોઈ, કંઈક અંશે નિર્ઘૃણ હત્યા રૂપે જોઈ, એને આતતાયી વધ તરીકે જોનારા જેમ ત્યારે હશે તેમ અત્યારે પણ છે. સાધારણપણે ત્રીસમી જાન્યુઆરી પ્રાર્થનાભાવ જગવતી રહે છે- અને એ ઠીક જ છે. પણ કંઈક અવસાદ પ્રેરતી એટલી જ ગીતાપ્રોક્ત મન્યુ જગવતી ઘટના એ નથી એમ તો કહી શકાતું નથી: નિર્વાણથી માંડી વધ સુધીનાં આ વિચારઝોલાંનું તત્કાળ નિમિત્ત હજુ હમણેના કલાકોમાં ગુજરાતવગાં થયેલાં બે પુસ્તકોએ પૂરું પાડ્યું છે: ‘લેટ્સ કિલ ગાંધી’ (તુષાર ગાંધી) અને ‘ગાંધીનો હત્યારો ગોડસે’ (ધીરેન્દ્ર ઝા).

    તુષાર અલબત્ત ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તેમજ અજંપ ઉધમાત થકી જાણીતું નામ છે. એને મુકાબલે ધીરેન્દ્ર ઓછા જાણીતા હશે. જોકે, તાજેતરનાં વરસોમાં સંઘકારણના અચ્છા અભ્યાસી તરીકેની એમની પ્રતિભા ચીલેચલુ પત્રકારિતાને વટી ગઈ છે, અને છબછબિયે રાજી રહેતા કલમનવીસોને મુકાબલે ઊંડું અવગાહન કે સંશોધન કરનાર તરીકે ઊભરી છે. ‘લેટ્સ કિલ ગાંધી’ના ગુજરાતી અનુવાદ સાથે તુષાર ગાંધીના એ ફરિયાદબોલ પણ આપણી સામે આવે છે કે અંગ્રેજીમાં પ્રગટ થયાનાં ખાસાં દસબાર વરસે ગુજરાતી વાચક સુધી પહોંચવાનું બન્યું છે. ‘ગોડસે’ વિશે પૂરા કદનું ઠીક ઠીક સંશોધનમંડિત પુસ્તક ગુજરાતીમાં જ નહીં પણ ત્રણ-ચાર વરસ પર અંગ્રેજીમાં આવ્યું ત્યારેય કદાચ પહેલું જ હશે.

    મુદ્દો એ છે કે ગાંધીહત્યા પછી તપાસ થઈ, કેસ ચાલ્યો, ગોડસેને સજા પણ થઈ છતાં કેમ જાણે આખી પ્રક્રિયામાં કદાચ જાણતે છતે પણ કંઈક ચુકાઈ ગયું તે ચુકાઈ જ ગયું. તુષાર ગાંધીએ બધી વિગતો સંકોરીસમેટી કકળતી આંતરડીએ આપેલું ચિત્ર એ છે કે મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસ આ પ્રશ્ને કેટલી શિથિલ રીતે વરતી હતી અને પૂર્વસંકેત સમજી જરૂરી ચોંપમાં મુંબઈનું ખેર-મોરારજી પ્રશાસન કેટલું ઊણુંઊતર્યું હતું. ગોડસેને ફાંસી થઈ, બીજાઓનેય ઘટતી સજા થઈ, પણ તપાસની કસર તો છેક ૧૯૬૬માં કપૂર પંચ સાથે જ પૂરી થઈ- કોરોબરેટિવ પુરાવાને અભાવે બાઈજ્જત (ખરું જોતાં, બેનિફિટ ઓફ ડાઉટ, બહુ બહુ તો) સાવરકર બહાર આવ્યા હતા, એ સાફ થયું. સ્વરાજ આગમચ અને વાંસોવાંસ, આગળપાછળ મળીને સાવરકર અને સંઘને આ સંદર્ભમાં સમજવા માટે ધીરેન્દ્રનું ‘ગોડસે’ અને થોડા વખતમાં ગુજરાતીમાં આવનારું ‘ગોળવલકર’ મજબૂત સંશોધનમંડિત સામગ્રી લઈને આવે છે

    મુદ્દે, ૧૯૪૮-૪૯માં તપાસ અને કેસના દોરને અંતે સંઘ સૂત્રોએ આપેલી બલકે ઊપજાવેલી છાપ એ હતી કે અમારે અને ગોડસેને કોઈ સંબંધ જ નથી. આરંભે આ પ્રકારના દાવા પછી કેટલીક વિગતોના ઉજાસમાં આ સૂત્રોએ લગીર કોર્સ-કરેક્શનની રીતે એવી મુદ્રા અંગીકાર કરી કે ભાઈ, નથુરામ સંઘમાં પૂર્વે હતો તો ખરો, પણ પછી એ છૂટો થઈ ગયેલો અને ‘હિંદુ રાષ્ટ્ર દળ’ ચલાવતો હતો. આ વિગત, દાયકાઓ સુધી વિશેષ તપાસને અભાવે જડબેસલાક જામી પડી અને જનતા પક્ષના ઉદભવથી માંડી લોકસભામાં વાજપેયીની છટાદાર રજૂઆત મારફતે એ અધોરેખિત થતી રહી. જોકે, વચમાં ૧૯૬૪માં ગોપાલ ગોડસેએ છૂટ્યા પછી ચોખ્ખું લખ્યું હતું કે અમે અમારી જુબાનીમાં તાત્યારાવ (સાવરકર)ને અને સંઘને બચાવી લીધા હતા. સંઘ-જનસંઘ એ વખતે એટલા ચિત્રમધ્ય નહોતા કે વ્યાપકપણે એની નોંધ લેવાય અને પ્રજાકીય સ્મૃતિમાં તે ઝમે. ધીરેન્દ્રનું સંશોધન આગળ જાય છે.

    દસ્તાવેજી સામગ્રીને આધારે એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના સંઘચાલક કાશીનાથ લિમયે અને સાવરકરના સક્રિય સહયોગમાં આ હિંદુ રાષ્ટ્ર દળ કાર્યરત હતું. દળના બૌદ્ધિક વર્ગોમાં ને શિબિરોમાં મુખ્ય વક્તાએ ઘણે ભાગે સંઘના રહેતા. હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરંભથી ગાંધીહત્યા સુધી ઓછાવત્તા સંકળાયેલા રહ્યા. હિંદુ રાષ્ટ્ર દળના સંચાલનમાં કાશીનાથ લિમયે મારફત સંઘ અને હિંદુ મહાસભા સહયોગી હતા. ગુજરાતીમાં સદ્યપ્રકાશ્ય ‘ગોળવલકર’માં ધીરેન્દ્રે ઉપસાવેલો મુદ્દો એ છે કે સ્વરાજપૂર્વ થોડાં વરસોમાં સંઘે રજવાડાઓમાં પાકો પ્રવેશ જમાવ્યો હતો અને ભાગલા નજીક જણાયા ત્યારે રાજાઓને આગળ કરીને પોતાનું પ્રભાવક્ષેત્ર ઊભું કર્યું હતું. સ્વતંત્ર રહેવા ઈચ્છતા રજવાડામાં સંભવિત ‘હિંદુ રાજ્ય’ની આશા ને શક્યતાની રાજકીય ગણતરી હતી. એક પછી એક રજવાડામાં સંઘ સ્વયંસેવકોની રાજસલામીથી એક લશ્કરી અર્ધલશ્કરી માહોલ ઊભો કરાયો હતો.

    ને થોડું ‘ગાંધી આસપાસ. નેહરુપટેલ ભાગલાની દિશામાં એકતરફી આગળ વધી ગયા પછી ગાંધીએ પોતાની વિરોધ લાગણી છતાં કોમી ઉત્પાતના કારી ઘાને ખાળવા ને રૂઝવવામાં સાર્થક્ય જોયું. બંગાળમાં શાંતિ સ્થાપન પછી ગાંધી પંજાબ જતાં દિલ્હી રોકાયા તે શાંતિસ્થાપન અર્થે રોકાઈ જ પડ્યા. એક રીતે હવે એ એકલા જેવા હતા. દેખીતો ઓસરતો પ્રભાવ હતો. પણ ધીરેન્દ્ર દસ્તાવેજી વિગતો સાથે સમજાવે છે કે શાંતિના નેહરુ પ્રયાસોમાં ને સરદારની મથામણમાં એક એક મોટું બળ બની રહ્યા. રજવાડે થનગન ને દિલ્હીજેતા થવાનું સપનું જોતા સંઘને માટે આ એક મોટી રુકાવટ હતી. લગભગ એવી લાગણી હતી કે ગાંધી દિલ્હી છોડે પછી આપણે સારુ અવકાશ મળી રહેશે. અમે તોફાનોમાં નથી અને શાંતિ-સહભાગી છીએ એવી અપીલ કરવાનું ગાંધીનું સૂચન ગોળવલકરને ગ્રાહ્ય નહોતું. ગાંધીહત્યાનો વિધિવત વિરોધ અને આતતાયી વધને અનુમોદના, સંઘ શતાબ્દીએ આની કળ વળશે, ન જાને.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૮-૧-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • વારસદાર

    અર્જુનસિંહ.કે.રાઉલજી

    ડો.પ્રસાદે જે વાત કરી તેનાથી બધાંને આંચકો લાગ્યો. ડો.પ્રસાદ આવું કહી જ કઈ રીતે શકે ? આવું બોલતાં પહેલાં ડો.પ્રસાદે સો વાર વિચારવું જોઈએ….. !

    રણજીતરાય એમના બાપ હતા તે વાત સાચી , પણ તેઓ ડો.પ્રસાદના પણ બાપ જેવા જ હતા. અગણિત ઉપકારો હતા રણજીતરાયના ડો.પ્રસાદ ઉપર ..! એ બધા ઉપકારો એ ભૂલી ગયા ? માત્ર પૈસાની લાલચમાં જ..! અને રણજીતરાયે ડો.પ્રસાદ પાસેથી દસ લાખ  રૂપિયા ઉછીના લીધા હતા વગર વ્યાજે – એ વાત પણ ઘરના કોઈની સમજમાં આવતી નહોતી . બાપાને આમ પૈસા ઉછીના લેવાની શી જરૂર પડી ? અને લીધા હોય તો ઘરમાં કોઈકને તો ખબર હોયને ? પણ, મા પણ આ વાત જાણતી નથી. ત્રણે ભાઈઓ દવાખાનાના વેટિંગરૂમમાં બેઠા હતા અને આજ ચર્ચા કરતા હતા. સાથે તેમના કાકા પણ હતા. પરિવારની સ્ત્રીઓ પણ ખરી જ..! સવારમાં લગભગ સાત વાગ્યે રણજીતરાયે પોતાનો દેહ છોડી દીધો હતો ત્યારનાં બધાં જ આવી ગયાં હતાં , માત્ર એક બહેન આવવાની બાકી હતી , બહેનની  આર્થિક સ્થિતિ સારી નહોતી અને જો બસમાં આવવા રહે તો બપોર ચઢી જાય એમ હતું એટલે મોટા જયદીપે જ બહેનને કહી દીધું હતું કે, “તમે લોકો ટેક્ષી કરીને આવી જાવ. ટેક્ષીનું ભાડું હું આપી દઈશ એટલે આમ તો ખાલી બહેનની જ રાહ જોવાની હતી ..પણ આ ડોક્ટરે વચ્ચેથી ખરૂં તૂત ઊભું કર્યું !

    રણજીતરાય બાવીસ દિવસથી દવાખાનામાં એડમિટ હતા. આઇ.સી.યુ.માં વેન્ટીલેશન ઉપર રાખેલા હતા. પડી ગયા ત્યારે માથામાં વધારે વાગવાના લીધે કોમામાં જતા રહ્યા હતા. ડો.પ્રસાદે તેમને બચાવવાના બધા જ પ્રયત્નો કર્યા હતા પણ …છેવટે તેઓ ન બચી શક્યા. ડોક્ટરે ત્રણે ભાઈઓ અને તેમના કાકાને પોતાની ચેમ્બરમાં બોલાવીને કહ્યું હતું કે – “તમારા પિતા હવે હયાત નથી. એ મારા પણ અન્નદાતા હતા. એમના મારા ઉપર અગણિત ઉપકાર છે, એમણે જ મને ભણાવ્યો છે અને ડોક્ટર બનાવ્યો છે ..એ ઉપકારનો બદલો તો હું વાળી શકું તેમ નથી …એટલે મારે મારી ફી કે દવાખાનાનો કોઈ ચાર્જ લેવાનો નથી પણ,”  કહીને ડોક્ટર અટક્યા હતા. તેમનો કંઠ રૂંધાઈ ગયો હતો કે પછી તેમને બોલવામાં સંકોચ થતો હતો ! બધા તેમના ચહેરા તરફ આતુરતાથી જોઈ રહ્યા હતા, ડોક્ટર શું કહેવા માગે છે તેની એમનામાંથી કોઈને સમજ પડતી નહોતી, પણ પછી ડોક્ટરે જ ફોડ પાડતાં કહ્યું હતું કે, “રણજીતરાયે તેમની પાસેથી ત્રણ વરસ અગાઉ દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેમને તેનું વ્યાજ જોઈતું નથી. આપતી વખતે જ તેમણે રણજીતરાયને કહી દીધું હતું કે તેઓ વ્યાજ લેવાના નથી, પણ હવે રણજીતરાય રહ્યા નહોતા એટલે તેમના પૈસાનું શું ?”

    ત્રણે ભાઈઓ અથવા તેમના કાકા આ પૈસાની કબૂલાત કરી લો ..તેમને હમણાંને હમણાં તો પૈસા જોઈતા નથી પણ તેમના પૈસાની ગેરન્ટી જોઈએ છે…!”

    કોણ કબૂલ કરવા તૈયાર થાય ? કોણ દસ લાખ રૂપિયાની ખોટ ભોગવે ?બધાંએ ચોખ્ખી ના પાડી દીધી. તેમની તો એક જ વાત હતી કે અમને ખબર નથી કે અમારા પિતાજીએ અમારાથી છુપાવીને દસ લાખ રૂપિયાનું દેવું કર્યું છે. તેમને એટલા બધા પૈસાની જરૂર હોય તો તેઓ તેમને કહે જ..! પણ તેમણે કોઈને વાત કરી નથી. એ લોકોએ તો ચોખ્ખો નન્નો જ ભણી દીધો. અંદરો અંદર ચર્ચા કરતા હતા કે બાપાએ પૈસા લીધા જ નહીં હોય, આ ડોક્ટર તેમની પાસેથી પૈસા પડાવવા માગે છે. પણ, ડો.પ્રસાદ તો છેલ્લા પાટલે બેસી ગયા, તેમણે તો અલ્ટીમેટમ આપી દીધું કે, “મારે હમણાંને હમણાં પૈસા જોઈતા નથી, પણ કોઈકની કબૂલાત જોઈએ છે જે આ પૈસા આપવાનું કબૂલે તેની પાસે જ હું ઉઘરાણી કરીશ .જ્યાં સુધી મારા પૈસાની કબૂલાત નહીં થાય ત્યાં સુધી હું ડેડબોડી સોંપીશ નહીં. ત્યાં સુધી લાશનો કબજો મળશે નહીં.”  બધાં વિમાસણમાં મુકાઈ ગયાં હતાં.શું કરવું તેની કોઈને સમજ પડતી નહોતી …!

    ડો. પ્રસાદ આમ તો તેમના ફેમિલી મેમ્બર જેવા હતા. ડો.પ્રસાદ અનાથ હતા અને રણજીતરાયને ખબર પડી કે આ છોકરો અનાથ જ છે, તેનાં માતાપિતા નથી, તે તેના દૂરનાં માસીને ત્યાં જ રહે છે એટલે તેમણે પહેલાં તો તેને દત્તક લેવાનો પ્રયત્ન કર્યો, પણ તેનાં માસીએ ના પાડી એટલે પછી તેના ભણવાનો બધો જ ખર્ચ તેઓ આપતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ તેમના પાલક પિતા જ હતા. મેડીકલનાં મોંઘા ભણતરનો બધો જ ખર્ચ રણજીતરાયે ઉપાડ્યો હતો. તેમના લીધે જ તે ડોક્ટર બની શક્યા હતા. પ્રસાદે આ વાત ભૂલવી ના જોઈએ, પણ એ માણસ નગુણો કહેવાય ..! બાકી આટલો ઉપકાર કર્યો હોય તે કેમ ભૂલાય ?

    … તો કોઈક વળી કહેતું હતું કે આમાં ડોક્ટર પ્રસાદનો કોઈ વાંક નથી , તેઓ રણજીતરાયે કરેલા ઉપકારના બદલામાં પોતાની બધી જ ફી અને દવાખાનાનો ચાર્જ તો જતો કરે છેને ..! આ તો તેમણે આપેલા પૈસાની વાત છે ..તેમણે દસ લાખ રૂપિયા આપ્યા હોય તે થોડા છોડી દે ..! તેમાં તેમનો કોઈ વાંક નથી .

    — તો તરત જ બીજો ભાઈ બોલી ઉઠતો –તને ડો.પ્રસાદનું આટલું બધું કેમ લાગે છે ? એવું હોય તો તેમના પૈસા તું જ  કબૂલ કરી લેને ..એટલે વાતનો ફેંસલો આવી જાય ..! તરત જ પેલો ભાઈ નન્નો ભણતાં કહેતો – હું એકલો શા માટે ભોગવું ? તમે લોકો બાપાની જમીનમાંથી મને બે એકર વધારે આપવાના છો ? કે ઘરમાં ભાગ છોડી દેવાના છો ? પછી હું શા માટે ?

    તરત જ ત્રીજો બોલી ઉઠતો – ડો.પ્રસાદ છે જ નગુણા. બાપાએ ભણાવ્યો ના હોત તો દસ લાખ રૂપિયા તો શું દસ હજાર કમાવાની પણ તેની ત્રેવડ ના રહેત અને એવું જ હતું તો બાપા જીવતા’તા ત્યારે કેમ ના બોલ્યો ? કશું નહીં એને બાપાના નામે આપણી પાસે પૈસા પડાવવા છે .

    કોઈક કહેતું –બધી બે આંખોની શરમ છે .બાપા જીવતા  હતા ત્યારે પૈસા માગવામાં તેને શરમ આવતી હશે , પણ હવે બાપાની આંખો મીંચાઈ ગઇ એટલે શરમ નડતી નથી .

    સો વાતની એક વાત કે ત્રણે ભાઈઓમાંથી કે કાકા કોઈ પૈસા કબૂલવા તૈયાર નથી … અને સામા પક્ષે ડોક્ટર પણ મક્કમ છે કે જ્યાં સુધી કોઈ તેમના પૈસા કબૂલશે નહીં ત્યાં સુધી તે લાશનો કબજો સોંપશે નહીં. એ તો એમ પણ કહે છે કે રણજીતરાય તેમના પણ બાપા હતા . એમનામાંથી જો કોઈપણ લાશનો કબજો લેવા તૈયાર નહીં થાય તો તે પોતે તેના અંતિમ સંસ્કાર કરી દેશે ,કાંઈ લાશને સડવા કે ગંધાવા નહીં દે ..!

    સામા પક્ષે મહિલામંડળમાં પણ દરેક સ્ત્રી પોતાના પતિને કહેતી રહી કે ભૂલેચૂકે તમે એ પૈસા કબૂલ કરતા નહીં …મિલ્કતનો ભાગ બધા લેશે, કોઈ કટકો જમીન પણ છોડવાનો નથી, પછી આપણે પૈસા કાઢીને શા માટે મૂરખા બનવું? કોકડું ખરેખર ગુંચવાયેલું હતું એવામાં બહેન આવી ..! આવતાંવેંત જ ચક્કર ખાઈને બાપા ઉપર જ પડી અને મોટી પોક મૂકી. તેના મોટે મોટેથી રડવાનો અવાજ સાંભળી ડોક્ટર પણ પોતાની કેબિનમાંથી બહાર આવ્યા. રણજીતરાયની દીકરીને રડતી જોઈ તેઓ તેની નજીક આવ્યા , તેના માથે હાથ ફેરવતાં બોલ્યા- “રડીશ નહીં બહેન …થવા કાળ હતું તે થઈ ગયું. તને તો ખબર છે કે એ મારા પણ બાપા હતા ..મેં મારાથી બનતા બધા પ્રયત્નો તેમને બચાવવા કર્યા પણ વિધિના લેખ કોણ ટાળી શકે છે ? બાપાની ખોટ તો નહીં પૂરી શકાય પણ આ ભાઈના ઘરનાં બધાં જ બારણાં સદાય તારા માટે ખુલ્લાં રહેશે .જ્યારે પણ તને બાપાની યાદ આવે ત્યારે મારી પાસે દોડી આવજે , હું તને બાપાની ખોટ નહીં પડવા દઉં . “ કહેતાં કહેતાં ડો.પ્રસાદની આંખો પણ છલકાઈ ઉઠી એટલે સીસ્ટરને પાણી આપવાનો ઇશારો કરી ડો.પ્રસાદ પોતાની કેબિનમાં જતા રહ્યા.

    કેબિનમાં બેસતાંવેંત જ તેઓ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા અને ટેબલ ઉપર રાખેલા રણજિતરાયના ફોટા તરફ જોઈ મનોમન બોલ્યા-“  મને માફ કરજો , મારી પાસે બીજો કોઈ વિક્લ્પ નહોતો એટલે જ મારે નાછૂટકે  આ રસ્તો લેવો પડ્યો છે બાકી તમારા ઉપકારનું ઋણ તો હું સાત ભવ સુધી ઉતારી શકું તેમ નથી. મારી ચામડીનાં જૂતાં સીવડાવી તમને પહેરાવત તો પણ તમારું ઋણ ઉતારી શકત નહીં.”  ડોક્ટર ના જાણે ક્યાંય સુધી રણજીતરાયના ફોટા સાથે મનોમન વાતો કર્યા કરત પણ કેબિનનું બારણું ખખડ્યું એટલે તેમણે ઉંચે જોયું. બારણામાં બહેન રોતલ ચહેરે ઉભી હતી. અંદર આવી તે ડોક્ટરને પગે લાગી અને બોલી ,” ભાઈ , મારી એવી સ્થિતિ નથી કે હું તાત્કાલિક તમારા પૈસા આપી શકું ..પણ હું તમને વચન આપું છું કે મારા પિતાએ તમારી પાસેથી જેટલા પણ પૈસા લીધા હશે તે બધા દૂધે ધોઈને આપી દઈશ . મારા ઉપર વિશ્વાસ રાખો જ્યાં સુધી હું તમારૂં દેવું ચૂકતે નહીં કરૂં ત્યાં સુધી જંપીને બેસીસ નહીં ..” ડો.પ્રસાદ ઘડીભર તો બહેન સામે જોઈ રહ્યા, તેના ચહેરા ઉપર એક મક્કમતા ઝળહળતી હતી. ડોક્ટરે બેલ મારી પટાવાળાને બોલાવ્યો અને કહ્યું કે રણજીતરાયનાં બધાં સગાંને અહીં બોલાવો.

    બધાં જ આવી ગયા. રણજીતરાયના ત્રણે દીકરાઓ, તેમની પત્નીઓ, તેમનો ભાઈ ..બધાં જ.

    ડો.પ્રસાદે મોટા દીકરા જયદીપ તરફ જોઈ બોલવાનું શરૂ કર્યું ,” જુઓ , આ તમારી બહેન મારા રૂપિયા પાછા વાળવાનું કબૂલ કરે છે, તમને કોઈને તેનો વાંધો તો નથીને ?” અને પછી વારાફરતી દરેકના ચહેરા જોવા લાગ્યા . મોટો જયદીપ જ બોલ્યો,” એ કબૂલ કરતી હોય તો એ જાણે,  એમાં અમારી કોઈ જવાબદારી નહીં. તેની આર્થિક સ્થિતિ તમારા આટલા બધા રૂપિયા આપી શકે તેવી નથી,અમે તે જાણીએ છીએ, એટલે પછી પાછળથી અમને કહેવાનું નહીં ..!” લગભગ ચીમકી જ આપી દીધી જયદીપે.

    “ હું તમારી પાસે નહીં આવું એની ગેરન્ટી, પણ તમારી બહેન આ પૈસા કબૂલ કરે તેનો તમને કોઈને વાંધો તો નથીને ?”

    “ અમને શું વાંધો હોય ? એ કબૂલ કરે તો તે એની જવાબદારી …અમારે શું લાગે વળગે ? “ નાનો બોલ્યો . બધાંએ તેમાં સંમતિ આપી એટલે ડોક્ટરે ખોંખારો ખાધો અને પછી બોલ્યા,” મારે આજ જાણવું હતું .. વાસ્તવમાં રણજીતરાયે મારી પાસેથી એક પૈસો પણ લીધો નથી, પણ મને દવાખાનું ખોલવા માટે ત્રીસ લાખની મદદ કરી હતી અને મારે એ ત્રીસ લાખ રૂપિયા કોને આપવા એ અંગે હું મૂંઝાતો હતો , જો કે તમારા અને મારા પણ પિતાએ મને કહ્યું હતું કે મારે આ પૈસા પાછા આપવાના નથી, પણ તેના કારણે મારા દિલ ઉપર મોટો બોજો હતો , હું એ બોજો ઉતારવા માગતો હતો –અસલી હકદાર અને વારસદારને એ રકમ પરત કરીને.. એટલે હવે એ રકમ હું બહેનના જ હાથમાં આપું છું.” ડો.પ્રસાદની વાત સાંભળીને બહેન સિવાયના બધાના ચહેરા ઉપરથી તેજ હણાઈ ગયું-જાણે કે જીવતો સાપ પકડી લીધો હોય તે રીતે ..! પણ બહેન બોલી, “ પ્રસાદભાઈ, બાપુએ એ રકમ તમને આપી હતી અને પાછી લેવાની ના પાડી હતી તેમ છતાં જો હું એ રકમ હાથમાં પણ પકડું તો મારા બાપુને ચોક્કસ  દુ:ખ થાય એટલે મારા માટે તો એ રકમ હરામ બરાબર છે.” કહેતાં બહેન ફરીથી જોરથી પોક મૂકીને રડી પડી ,ડો.પ્રસાદ તેના બરડે હાથ ફેરવતા રહ્યા.


    અર્જુનસિંહ.કે.રાઉલજી. 42 , કૃષ્ણશાંતિ સોસાયટી-2 ,મુજમહુડા ,અકોટા રોડ , વડોદરા-390020.(મો) +91 9974064991.

  • મુખવટો

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    “અમે છીએ એવાં ભાગ્યશાળી સંતાન,
    કોઈ ન હોઈ શકે અમારાથી મહાન,
    રવિ કિરણોથી ઝળહળ, નીલ ગગન સુધી અમારી ઉડાન.

    પહેલી વાર વિમાનમાં લંડન જવાના અનેરા આનંદ અને ઉત્સાહ સાથે બાળપણના આ ગીતને યાદ કરીને સુદામ ભટ્ટ ખુદને ભાગ્યશાળી માનીને ખુશી અનુભવી રહ્યા. દિવસના ઉજાસમાં વાદળોની ઉપર ઊડતું વિમાન, રાતના અંધકારમાં તારામંડળની જેમ ઝગમગતો પ્રકાશ જોઈને સુદામ ભટ્ટ રોમાંચિત થઈ ઊઠ્યા.

    વિમાનની તેજ ગતિની સાથે એટલી જ તેજ ગતિથી મન ગામ તરફ ધસી રહ્યું હતું. ગામની હાઇસ્કૂલના સન્માનીય શિક્ષક સુદામબાબુ હાલમાં નિવૃત્ત થયા. ગામના મોટાભાગના વૈશ્ય, ખેડૂત અને શુદ્ર શ્રેણીના અભણ લોકોની વચ્ચે એક માત્ર બ્રાહ્મણ પરિવાર એટલે અમુક લોકો તો જાતિભેદના લીધે એમની પાસે આવતા ડરતા. શિક્ષક હોવાની સાથે કર્મકાંડમાં પારંગતતાના લીધે એ વિવાહ, ગૃહપ્રવેશ ઉપરાંત શ્રાદ્ધ પણ કરાવતા એથી સૌ એમને ગોસાંઈ મહાપ્રભુના નામથી બોલાવતા.

    એમના દીકરા તપનને ઉચ્ચ શિક્ષણના લીધે ચેન્નઈની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી. કંપનીએ એને પાંચ વર્ષ માટે લંડન મોકલ્યો.

    સુદામબાબુ નોકરીમાંથી નિવૃત્ત થાય એ પહેલાં એમની પત્નીનું અવસાન થવાના લીધે સુદામબાબુ એકલા થઈ ગયા. તપને જીદ કરીને એમને લંડન બોલાવ્યા. સુદામબાબુ રૂઢિચુસ્ત હોવાના લીધે ખાવા-પીવાની સમસ્યા થશે એવી ખબર હતી. આ સમસ્યાને લીધે એમને લંડન જવાની જરાય ઇચ્છા નહોતી, પણ તપનનું ઘણું સમજાવ્યા બાદ રાજી થયા.

    તપનના પાંચમા માળે આવેલા અપાર્ટમેન્ટના ઝરુખામાં ઊભા રહીને જે લંડન દેખાયું એમાં ભલે વતનની માટીની સુગંધ નહોતી, પણ મન પ્રસન્ન થઈ જાય એવો મનોરમ્ય નઝારો જોઈને સુદામબાબુ ખુશ થઈ ગયા. આકાશની લાલિમા તો જાણે કોઈ સુંદરીની માથે પૂરેલા સિંદૂર જેવી ભાસી. ગગનચુંબી મકાનોની નીચે સડકો પર દોડતી ગાડીઓ, બસો, પગપાળા કે સાઇકલ પર  જતા લોકો, દૂરથી દેખાતી રમકડાં જેવી મેટ્રો ટ્રેનો જોઈને સુદામબાબુ તો ભારે અચંબિત.

    “બાબુજી, પહેલાંનું થોડું કામ બાકી છે. મારે ઑફિસે વહેલા જવાનું છે. હું ઑફિસની કેન્ટિનમાં જમી લઈશ. આજે તમારું લંચ ઑનલાઇન ઓર્ડર કરી દીધું છે. કાલથી જમવાનું ઘેર બનાવીશું.” કહીને તપન તૈયાર થઈને ઑફિસે જવા નીકળ્યો.

    જોકે સુદામબાબુએ બહારનું ખાવા કરતા ફળ ખાવાનું પસંદ કર્યું. લિટલ ઈંડિયા તરીકે ઓળખાતા સાઉથૉલ વિસ્તારમાં તપન રહેતો. સાંજ પડે સુદામબાબુ ચાલવા નીકળતા. રસ્તાની બંને બાજુની હોટલ, સ્ટોર, દુકાન અને રેસ્ટોરાંનાં નામ પણ ભારતીય હતાં.

    એક દિવસે ‘મહારાજા’ નામની રેસ્ટોંરાની બહાર બેસીને વાતો કરતી થોડી પ્રૌઢ વ્યક્તિઓને જોઈને સુદામબાબુ અટકી ગયા. દેખાવે ભારતીય લાગતા આ સૌ હિંદી મિશ્રિત ઉર્દૂમાં વાત કરતા હતા. એ લોકોની વાતચીતમાં સુદામબાબુને રસ પડતા ત્યાં બેસવાનું મન થયું. એટલામાં બેઠેલી વ્યક્તિઓમાંથી કોઈએ રેસ્ટોરાંના માલિક ભટ્ટબાબુને ચાનો ઓર્ડર આપવા બૂમ મારી.

    રેસ્ટોરાંના માલિકનું નામ કુલનામ ભટ્ટ સાંભળીને આજ સુધી બહારનું પાણી પીવા સુદ્ધાંના વિરોધી સુદામબાબુએ ખુશ થઈને ચાનો ઓર્ડર આપ્યો.

    એ દિવસથી રોજ સાંજે ‘મહારાજા’ હોટલમાં ચા પીવાનો, રાત્રે નવ વાગ્યે તપન આવે ત્યાં સુધી સૌની સાથે બેસવાનો સુદામબાબુનો ક્રમ બની ગયો.

    અનાયાસે એક દિવસ કુલનામ ભટ્ટ સાથે સુદામબાબુને વાત કરવાની તક મળી. સુદામબાબુએ પોતાની ઓળખ આપતા કુલનામ ભટ્ટની સાથે વાત માંડી. કુલનામ ભટ્ટના પિતા પણ ભારતથી આવ્યા હતા. રોજની મુલાકાતના લીધે બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને સુદામબાબુ એ પૌઢ વ્યક્તિઓના ગ્રુપમાં પણ ભળી ગયા. રવિવાર કે રજાના દિવસોમાં બંધુ-ભોજનમાં સુદામબાબુને આમંત્રણ મળવા માંડ્યા.

    જ્યારે જ્યારે સુદામબાબુ બહાર ફરતા ત્યારે નાતિ-જાતિના ભેદ વગર મળતા, ભળતા ભારતીય યુવાન-યુવતીઓને જોઈને એમના રૂઢિવાદી માનસને થોડો આંચકો લાગતો.

    એક સાંજે ભટ્ટબાબુને કુલનામ ભટ્ટના ઘેર જમવાનું આમંત્રણ મળ્યું. ‘અતિથિ દેવો ભવઃ’માં માનતા કુલનામ ભટ્ટના ઘેર સુદામબાબુનું ઉષ્માભર્યું સ્વાગત થયું. સરસ મઝાનું ઘર, ઘરમાં મુમતાઝ- શાહજહાં, તાજમહાલ જેવી તસવીરો જોઈને સુદામબાબુ રાજી થયા કે, વાહ, ધન્ય છે આ લોકો જે ભારતનો ઇતિહાસ પરદેશ સુધી લઈ જાય છે.

    ઔપચારિક વાતોથી શરૂ થઈને બંનેના પરિવાર સુધીની અંગત વાતો થતી રહી.

    કુલનામ ભટ્ટના પિતા મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ અને બાલિસ્તાનના નિવાસી હતા. વિભાજન સમયે કોઈ અંગ્રેજની મદદથી ઈંગ્લેન્ડ આવ્યા હતા. ઘરઘરાઉ કામ કરતા કરતા  હોટલના માલિક બન્યા. પિતાજીના મૃત્યુ બાદ હવે કુલનામબાબુ હોટલ સંભાળે છે, વગેરે વગેરે..

    “તો પછી હોટલનું નામ મહારાજા કેમ?” સુદામબાબુએ પૂછી જ લીધું.

    ‘વાત જાણે એમ છે’ કે, કહીને કુલનામ ભટ્ટે વાત માંડી.

    “અહીં બહોળી સંખ્યામાં ભારતીયો છે વળી વિશ્વભરમાં પાકિસ્તાનીઓની તુલનામાં વિશાળ સંખ્યામાં ભારતીય રહેવાસી અને પ્રવાસીઓ છે. ભારતીયો વિદેશ આવીને ભારતીય રેસ્ટોરાંનું ભારતીય ખાણું જ પસંદ કરે છે એટલે ભારતીયોને આકર્ષિત કરવા પિતાજીએ ‘મહારાજા’ નામ રાખ્યું.

    “વર્તમાનમાં અને ખાસ કરીને ૯/ ૧૧ ના ટ્વિન-ટાવર પરના આતંકી હુમલાના લીધે ઈંગ્લેન્ડ, અમેરિકા, યુરોપના લોકો પાકિસ્તાનીઓ સાથે વ્યવહાર રાખવાનું પસંદ નથી કરતા. એમની નફરત અને થોડા ડરને લીધે અનેક મુસ્લિમોની જેમ હું પણ મારો અસલી પરિચય છુપાવીને ભારતીય તરીકે ઓળખાવાનું પસંદ કરું છું.

    “હોટલ પર સદંતર ભારતીય પોષાક અને પરંપરા સાચવું છું,પણ મારું ખરું નામ મકબૂલ ભટ્ટ છે. અમે કઈ જાતિના છીએ એની જાણ નથી, પણ અમે ઈસ્લામ ધર્મનું પાલન કરીએ છીએ.”

    કુલનામ ભટ્ટની વાતથી આંચકો ખાઈ ગયેલા સુદામ ભટ્ટના પેટમાં વમળ ચઢ્યાં. જે કંઈ ખાધું એ હમણાં જ બહાર નીકળી જશે એવા ડરથી એ ઓડકાર પર ઓડકાર ખાવા માંડ્યા. હવે અહીં એક પળ રોકાવાની ઇચ્છા મરી પરવારી. છતાં, ઘરની બહાર નીકળવામાં એમને વિવેક આડો આવતો હતો.

    સુદામ ભટ્ટના મનની સ્થિતિથી અજાણ મકબૂલ ભટ્ટ વાત આગળ વધારતા બોલ્યા,

    “સત્તરમી સદીમાં પશ્ચિમ ભારત પાકિસ્તાન ઈસ્લામી રાજ્યમાં પરિવર્તિત થઈ ગયું, પણ હિંદુ-મુસ્લિમનાં કુલનામમાં સમાનતા રહી ગઈ. કેટલાક કાશ્મીરી ભટ્ટે ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો, પણ એ સૌના પૂર્વજ હિંદુ હતા. કેટલાક પાકિસ્તાની કે બાંગ્લાદેશીઓએ વિદેશ આવીને ભારતીયતા ન છોડી.

    “હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતનો ત્રિરંગો ફરકાવીને પોતાની જાન બચાવી એમ અમે સૌએ પણ સલામતી માટે ભારતીય મુખવટો પહેરી રાખ્યો છે.”

    હવે સુદામબાબુના મનમાં શીત યુદ્ધ શરૂ થયું. ખુદની સમીક્ષા કરતા કરતા એક નિષ્કર્ષ પર પહોંચ્યા કે, ખરેખર કોણે મુખવટો પહેર્યો છે અને કોનો મુખવટો ઉતરી ગયો, એમનો કે મકબૂલ ભટ્ટનો? પોતે કરેલા પ્રશ્નથી મકબૂલ ભટ્ટે પહેરેલો ભારતીય મુખવટો ઉતરી ગયો છે કે વાસ્તવમાં પોતે જાતિ-ધર્મના નામે પહેરેલો અહંકારનો મુખવટો મકબૂલ ભટ્ટની વાતથી ઉતરી ગયો?

    મહેમાનગતિ માટે આભાર માનીને સુદામબાબુ નીકળ્યા ત્યારે વાદળોની આડશ ખસી જતા પૂર્ણરૂપે ચમકતા ચંદ્રની જેમ એમનો ચહેરો પણ ચમકી રહ્યો. સાપ પોતાના શરીર પરથી કાંચળી ઉતારે એમ એમના વિચારોની શુદ્રતાનું આવરણ ઉતારી ગયું.

    ગામમાં મુઠ્ઠીભર માનવીઓ વચ્ચે રહીને કૂવામાંના દેડકાની જેમ સંકુચિત વિચારોમાં રાચતા હતા એમાંથી જાતને વિશ્વ-માનવરૂપે જોતા થયા.

    ભલે વિશ્વભરમાં ભારતીયતાનો મુખવટો પહેરીને ફરતા લોકો પોતાનો મુખવટો ઉતારે કે નહીં, પણ આજે સુદામબાબુ અને મકબૂલ ભટ્ટના મુખવટા તો ઉતરી જ ગયા હતા.


    દાશરથિ ભૂયાં લિખિત, ડૉ. ભગવાન ત્રિપાઠી અનુવાદિત ઉડિયા વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જામ્ભૂળ આખ્યાન

    નીતિન વ્યાસ

    એક કાળો, પડછંદ, રુક્ષ ચહેરાવાળો નટ છે. આ એની એવી વિશિષ્ટતાઓ છે જેને કારણે એની સાથેના કલાકારો આપોઆપ વામણા અને કોમળ લાગે છે.

    નટ, લેખક, નિર્દેશક અને ગાયક : વિઠ્ઠલ ઉમપ

    હવે તમને કોઈ એમ કહે કે આ મોટાભાઈ દ્રૌપદીની ભૂમિકા ભજવવાના છે તો તમને કેવી અણગમાની લાગણી થાય ? પણ આ તમારો તીવ્ર અણગમો નાટકને અંતે નામશેષ થઈ જાય અને કેવળ પ્રશંસાના ઉદ્ગાર સરી પડે એ કક્ષાનો વિઠ્ઠલ ઉમપનો અભિનય જોવો એ રંગભૂમિ પરનો યાદગાર અનુભવ બની રહે.

    વળી, એ માત્ર નટ નથી. મહારાષ્ટ્રની એક લોકનાટકની પરંપરા ગોંધળનો આ પ્રમુખ ગોંધળી નર્તક, ગીતકાર, ગાયક, નિવેદક અને સૂત્રધાર જેવાં અનેક પાસાંઓ પર સરખું પ્રભુત્વ ધરાવે છે. દ્રૌપદીની ભૂમિકાનો પ્રારંભ થતાં જ એના રુક્ષ ચહેરા પર જે સ્ત્રીસહજ  ભાવો આવે છે. એની ચાલ અને એના અવાજમાં જે ફેરફાર થાય છે અને પછી બીજી જ ક્ષણે સૂત્રધાર તરીકે એ અભિનયનું જે વૈવિધ્ય રજૂ કરે છે એ આપણા કોઈ પણ શહેરી કલાકારને સ્તબ્ધ કરી મૂકે એવા છે. ગદ્યપદ્ય સંવાદો બોલતી વખતે એ જે રીતે સમય સાચવે છે એ જોવાની મજા જ અનેરી છે. એકાદ-બે સફળતાઓ કે સ્પર્ધામાંથી અથવા તો
    નાનીમોટી સંસ્થામાં તાલીમ લેતાં જ પોતાને મહાન ઍક્ટરો’ માનતા લબરમૂછિયાઓએ તો વિઠ્ઠલ ઉમપ અને એના સાથીઓની આ ભજવણી એટલા માટે જોવી જોઈએ કે ‘નટ’ એટલે શું એનો કુદરતી ઉત્તર અહીં જોવા મળે છે.

    ‘અહીં’ એટલે રવિવારિયા શહેરી મનોરંજનમાં નહિ, પણ આપણી કેટલીક લોકનાટ્યની પરંપરામાં આખું જીવન ખરચી નાખતા કલાકારોની રજૂઆતમાં આવા વિઠ્ઠલ ઉમપો જોવા મળે છે. આઇ.એન.ટી. લોકકલા સંશોધનકેન્દ્રના ઉપક્રમે અશોકજી પરાંજપેના માર્ગદર્શન હેઠળ ‘લોકમહાભારત’ તરીકે ગોંધળ-પરંપરામાં જામ્ભૂળ આખ્યાનનો પ્રયોગ ગયા અઠવાડિયે એન.સી.પી.એ.માં રજૂ થયો એની બહુ ઓછાને જાણ હશે.

    ‘ટોટલ થિયેટર’ની વિભાવનાને પોષતાં આપણાં ગણ્યાંગાંઠ્યાં આધુનિક નાટકોમાં ગીત, સંગીત, નૃત્ય ઇત્યાદિનું જે સંકલન આપણને સૌથી વધુ સ્પર્શી ગયેલું એવું જ અહીં જોવા મળે છે એનું સુખદ આશ્ચર્ય છે.
    હા, લેખન અને ગોંધળની પરંપરાને ચુસ્ત રીતે વળગી રહેવાને કારણે મૂળ નાટક તરીકે સંતોષે એવું અહીં ઓછું છે. ‘લોકમહાભારત’, લોકભોગ્ય રીતે મહાભારતના વિવિધ પ્રસંગોની નાટ્યાત્મક રજૂઆત કરે છે. જામ્ભૂળ આખ્યાન પણ એવો જ એક પ્રસંગ છે, જેમાં દ્રૌપદી કર્ણ ૫૨ મોહી પડેલી એ ઘટનાના અનુસંધાનમાં કૃષ્ણ દ્વારા જાંબુવનમાં દ્રૌપદીના સતની કસોટીની વાત કહેવામાં આવી છે. મજાની વાત એ છે કે આ વાત એટલી હળવાશથી, આ પૌરાણિક પાત્રોને પ્રેક્ષકોની સમકક્ષ લાવી, અંતે ઉપદેશ આપે એ રીતે તદન સરળતાથી કરવામાં આવે છે. જાંબુનાં ફળ ઊંધાં કેમ લટકે છે કે જાંબુ ખાતાં મોઢું કાળું કેમ થઈ જાય છે એનાં કારણો જામ્ભૂળ આખ્યાન દ્વારા મળે છે.

    જામ્બુળ આખ્યાન  

    તારીખ હતી ૨૭  નવેમ્બર ૨૦૧૦ , મહારાષ્ટ્રના સૌથી જાણીતા લોક કલાકાર વિઠ્ઠલ ઉમપ ના આકસ્મિક અવસાન થી સ્તબ્ધ થઈ ગયેલા, હજારો ચાહકો ચૈત્યભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે પહેલાં શ્રદ્ધાંજલિ આપવા માટે ચાર કલાક સુધી કતારમાં ઉભા રહ્યા.

    આ નિરાભિમાની  સરળ અને ખેલદિલ કલાકાર અસીમ ઉર્જા ધરાવતા હતા જે રંગભૂમિ અને તેમના ચાહકો માટે જીવ્યા અને જીવનની અંતિમ  ક્ષણો  પણ રંગમંચ પર વિતાવી. શુક્રવારે એક ટેલિવિઝન ચેનલના લોન્ચિંગમાં હાજરી આપવા માટે નાગપુરમાં હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને સેંકડો લોકોની હાજરીમાં મંચ પર તેમનું અવસાન થયું. થોડીવાર પહેલા, તેમણે “જય ભીમ!” ના જોરદાર નારા લગાવીને પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું. આયોજકો તેમને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

    શાંત મગજ, બાજ નજર અને ત્વરિત બુદ્ધિ ધરાવતા ઉમાપ “તાલ્યગલ્યાતલી માનસે” (પાણીના મૂળના લોકો) જેવી સ્વરચના , જેના પોતેજ  સંગીતકાર, ગાયક અને અભિનેતા હતા તે માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજા ગયા હતા. , તેમણે તેમના નાટક ‘જાંભુલ આખ્યાન’ દ્વારા ઇતિહાસ રચ્યો જેમાં મહાભારતમાં દ્રૌપદીના કર્ણ પ્રત્યેના ગુપ્ત પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવેચકો તેમને, કાળા ચહેરા અને સફેદ દાંત સાથે છ ફૂટ ઊંચા, સાડી પહેરેલા અને રંગેલા ચહેરા પહેરેલા, અત્યાર સુધી જોયેલા સૌથી ઉત્તેજક દ્રૌપદી તરીકે વર્ણવે છે. ‘જાંભુલ આખ્યાન’ એ ૫૦૦ શો પૂર્ણ કર્યા અને ત્યારબાદ ‘મી મરાઠી’ ના 300 શો કર્યા, ‘ખંડોબાચા લગીન’, ‘વિઠુ-રખુમાઈ’ અને ‘બયા દાર ઉઘાડ’ તેમના અન્ય યાદગાર લોકનાટકો હતા.

    ‘ફૂ બાઈ ફૂ’

    ‘ફૂ બાઈ ફૂ’ તેમના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક હતું, જે તેમણે પાછળથી પોતાની આત્મકથા માટે પસંદ કર્યું. ઉમાપે ઘણી મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો અને ગાયું, જોકે તેમનો હિન્દી અને ઉર્દૂ પર પણ ઈર્ષા ભાવપૂર્ણ કબજો હતો.

    ૧૯૩૦ ના દાયકાના અંતમાં, આઠ વર્ષના ઉમરમાં, ઉમાપે નાયગાંવના આંબેડકર-કેન્દ્ર માં  ઉછેર,બાળપણથી   આંબેડકર-પ્રેરિત થઈને સમાજમાં ફેલાયેલા જ્ઞાતિવાદ સામે બળવા પોકારતાં  ગીતો ગાવાનું શરૂ કર્યું. સાથો સાથ  લોક સંગીત ના તમામ સ્વરૂપો પર તેમની નિપુણતા તેમને પાંચ ખંડોમાં એવા દેશોમાં ચાહકો બનાવ્યા જ્યાં લોકો અંગ્રેજી બોલતા નથી, હિન્દી કે મરાઠી તો દૂરની વાત.

    પશ્ચિમ યુરોપ માં આવેલ દેશ આયર્લેન્ડના કોર્ક શહેરમાં યોજાયેલ લોકકલા અને લોકનાટક ફેસ્ટિવલમાં શ્રી વિઠ્ઠલ ઉમપ અને તેમના સાથીદારોને પ્રથમ ઇનામ મળ્યું હતું.

    આવા લોકલાડીલા કલાકાર અંગે વારસો પહેલા શ્રી ઉત્પલ ભાયાણી નો લેખ વાંચેલો. .આ YouTube ના જમાનામાં शाहिर विठ्ठल उमप “कोळी गीत” 7 million views ની વિડિઓ લિંક નજરે પડી. શ્રી ઉત્પલભાઈ નું પુસ્તક શોધી ને ફરી વાંચ્યું,શ્રી ઉમપ વિષે થોડી વધુ માહિતી મેળવી.

    તેઓ બહોળા કુટુંબ સાથે મુંબઈના પરાં વિસ્તારમાં સરકારી આવાસ યોજના હેઠળ મળેલ મકાન રહેતા હતા. જીવનની અંતિમ ક્ષણ સુધી તે કાર્યરત રહ્યા.

    “कोळी गीत”

    આ મહારાષ્ટ્રનાં કોળી ગીત ની  પરંપરાગત લગભગ 300 વર્ષ પુરાણી છે. અને એટલી જ જૂની નાટ્ય  ગીત જેમાં  ગીત-કથા+નૃત્ય વગેર નો સમાવેશ હોય છે.આજે પણ વારે તહેવારે ત્યાંના ગામડાઓમાં સાંભળવા મળે છે.

    આપણા દેશમાં , લોક જાગૃતિ વધારવા માટે સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓ વિશે મહત્વપૂર્ણ સંદેશાઓ ફેલાવવા માટે લોક રંગભૂમિનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. સ્વદેશી સ્વરૂપ હોવાથી, તે માનવીય ક્રિયાપ્રતિક્રિયા પરની કોઈપણ ઔપચારિક મર્યાદાઓને પાર કરે છે અને લોકો માનસ સીધી અસર કરે છે.

    આ વિઠ્ઠલ ઉમપે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કહે  કે એ ગામના ચોરે ભાડુતી પેટ્રોમેક્સ ના અજવાળે વેશ ભજવતા ભગવાનને એક જ પ્રાર્થના કરતો કે આજનો મારો આ ખેલ લોકોને ગમે  જેથી એક રાત મને અને મારા કુટુંબને ખાવાનું તો મળે…

    વણઝારા જેવું જીવન જીવતા આ કલાકારો સમયાંતરે ભૂલાતા જશે પણ તેણે  ગાયેલાં ગીતો, કહેલી કથા અને ભજવેલો વેષ  લોકોને વરસો સુધી યાદ રહેશે.


    (શ્રી ઉત્પલ ભાયાણી નાં પુસ્તક “તર્જીની નિર્દેશ” અને YouTube સાથે અન્ય માહિતીને આધારે આ લેખ  તૈયાર કર્યા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૬)


    સંપર્કઃ 

    નીતિન વ્યાસ:   ndvyas2@gmail.com

  • વાદ્યવિશેષ (૩૮) – તાલવાદ્યો (૩) : ઢોલક

    ફિલ્મી ગીતોમા વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ગઈ કડીમાં આપણે જેનો પરિચય કર્યો, તે તબલાં જેટલી જ વ્યાપક પ્રસિદ્ધી ઢોલક પણ ધરાવે છે. વળી ઉપયોગીતાની દૃષ્ટીએ પણ ઢોલક તબલાંને સમકક્ષ જ ગણાવી શકાય. એક વ્યાપક માન્યતા મુજબ ઢોલક્ તાલવાદ્ય તરીકે પહેલાં ચલણમાં આવ્યું હશે અને સમય જતાં તેને બે ભાગમાં વિભાજિત કરીને તબલાં બનાવવામાં આવ્યાં હશે. ઉત્તરીય અને મધ્ય ભારતીય વિસ્તારોમાં તબલાંનો મહિમા વધારે જોવા મળે છે, જ્યારે ઢોલકનું સૌથી વધુ ચલણ પંજાબમાં અને તેની આસપાસના પ્રદેશોમાં હોય છે. એક નોંધનીય બાબત એ છે કે શાસ્ત્રીય ગાયન-વાદન સાથે તબલાંની જ સંગત હોય છે. તે જ રીતે લોકગીતો સાથે મહદઅંશે ઢોલકનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે ઢોલકને બેય છેડેથી પાતળા દોરડાથી બાંધી, ગળામાં ભેરવી સહેલાઈથી વગાડી શકાય છે. આથી તે ઉત્સવો અને ઉજાણીઓમાં વગાડાતું જોવા મળે છે. આ તબક્કે એક સ્પષ્ટતા કરવી રહી કે વરઘોડામાં કે સરઘસોમાં દાંડી વડે વગાડવામાં આવતાં હોય છે એ ઢોલ કહેવાય છે, એ ઢોલક નથી.

    ઢોલકની રચના પણ સાગ અથવા અન્ય કોઈ મજબૂત વૃક્ષના થડને આડું કાપીને મેળવેલા એક લંબઘન ટૂકડામાંથી થાય છે. આવા ટૂકડાની અંદરના ગર્ભભાગને દૂર કરતાં બનતા પોલાણની બન્ને બાજુએ બકરા અથવા ઘેટાની ચામડી લગાવી દેવામાં આવે છે. ત્યાર બાદ મૃત પ્રાણીના આંતરડામાંથી બનાવેલી દોરી જેવી રચના વડે એ ચામડીને મજબૂતીથી સીવી લેતાં ઢોલકનું નિર્માણ થાય છે. તેની બન્ને બાજુ ઉપર યોગ્ય રીતે હળવો પ્રહાર કરતાં ઉત્પન્ન થતી અનુનાદિય અસર થકી અપેક્ષિત બોલ વગાડી શકાય છે.

    એક રસપ્રદ બાબત એ છે કે પ્રથામ દૃષ્ટીએ આ વાદ્ય જેવાં દેખાતાં અન્ય તાલવાદ્યો પણ ચાલણમાં છે. જેમ કે પરંપરાગત ઢોલક કરતાં નાનું કદ ધરાવતું વાદ્ય ઢોલકી કહેવાય છે. એનાથી પણ નાના કદનું વાદ્ય માદલ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત નાળ, પખાવજ અને મૃદંગ પણ થોડાઘણા અંશે ઢોલક જેવી રચના ધરાવતાં હોય છે. આ બધાં જ તાલવાદ્યો જેને તેને વગાડતાં ઉત્પન્ન થતા બોલ અને વાદનની શૈલી વડે એકબીજાંથી ખાસ્સાં જુદાં પડે છે. આ કડીમાં આપણે એવાં ફિલ્મી ગીતો માણીએ, જેમાં તાલવાદ્ય તરીકે ઢોલકનો પ્રભાવક ઉપયોગ થયો હોય.

    સૌ પ્રથમ જે બે ગીતો સાંભળીએ તે ૧૯૫૧ની એવી ફિલ્મનાં છે, જેનું નામ ઢોલક હતું! શ્યામસુંદર નામના પ્રમાણમાં ઓછા જાણીતા એવા સંગીતકારના નિર્દેશનમાં આ ફિલ્મ માટે સંગીત તૈયાર થયું હતું.

    પહેલાં સાંભળીએ ‘મૌસમ આયા હૈ રંગીન’. પરદા ઉપર મોટું વાદ્યવૃંદ નજરે પડે છે, જેમાં વાદકો તરીકે યુવતીઓ છે. આ ક્લીપ પરથી ઢોલકના લાક્ષણિક બોલોનો ખ્યાલ આવી શકે છે. શરૂઆતમાં કેટલીક યુવતીઓ ઢોલક વગાડતી પણ દેખાય છે.

    હવે આ જ ફિલ્મનું અન્ય ગીત ‘હલ્લા ગુલ્લા લઈલા’ માણીએ. આ ગીતમાં પણ તખ્તા પરથી થઈ રહેલી રજૂઆતમાં વિવિધ વાદ્યોના સ્વર સાથે ઢોલકના બોલ સ્પષ્ટ સંભળાય છે.

    આગળ વધીએ ૧૯૫૬ની ફિલ્મ ચોરી ચોરીના ગીત ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ તરફ. શંકર-જયકિશનના સંગીતનિર્દેશનમાં તૈયાર થયેલા આ ગીત સાથે ઢોલકનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.

    ફિલ્મ દો આંખેં બારાહ હાથ(૧૯૫૭) માટે વસંત દેસાઈએ તૈયાર કરેલાં બધાં જ ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના ગીત ‘અય માલિક તેરે બંદે હમ’ (પુરુષોના સમુહસ્વરમાં) સાથે વાગી રહીલા ઢોલકના બોલ આગવી અસર ઉભી કરે છે.

    આ જ ફિલ્મના અન્ય ગીત ‘ઊમડ ઘૂમડ કર આયી રે ઘટા’માં પણ ઢોલક પોતાની હાજરી પૂરાવતું રહે છે. નોંધીએ કે પરદા ઉપર ગીતની શરૂઆતમાં નાયક વગાડે છે તે ઢોલ છે, પણ પછી સમગ્ર ગીત દરમિયાન ઢોલક કાને પડતું રહે છે.

    ફિલ્મ દિલ અપના ઔર પ્રીત પરાઈ(૧૯૬૦)માં શંકર-જયકિશનનું સંગીત હતું. આ ફિલ્મના ગીત ‘અંદાઝ મેરા મસ્તાના’ માણીએ. એક બિનદસ્તાવેજી માહીતિ મુજબ આ ગીત સાથે સહાયક સંગીતકાર દત્તારામે ઢોલક વગાડ્યું હતું.

    ૧૯૬૧માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ આસ કા પંછીના ગીત ‘તુમ રૂઠી રહો મૈં મનાતા રહૂં’ સાથે ઢોલકના બોલ પ્રભાવક રીતે સંભળાતા રહે છે, સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું હતું.

    હવે સાંભળીએ ઢોલકના તાલ વડે સજાવાયેલું ફિલ્મ મેરે સનમ(૧૯૬૫)નું ગીત ‘હમદમ મેરે માન ભી જાઓ’. સ્વરનિયોજન ઓ.પી. નૈયરનું છે. શરૂઆતમાં પાશ્ચાત્ય તાલવાદ્યો સંભળાય છે, પણ ગાયકીની સાથે ઢોલકના બોલ શરૂ થઈ જાય છે.

    ફિલ્મ પથ્થર કે સનમ(૧૯૬૭)ના ગીત ‘કોઈ નહીં હૈં ફીર ભી હૈ મુઝ કો’ સાથે ઢોલક વાગે છે તે સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલની લાક્ષણિક તાલશૈલીને અનુરૂપ છે.

    ૧૯૬૮ની ફિલ્મ રાજા ઔર રંક માટે પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલે સંગીત તૈયાર કર્યું હતું. તે ફિલ્મના ગીત ‘મેરા નામ હૈ ચમેલી’ સાથે પણ લાક્ષણિક શૈલીમાં ઢોલકવાદન કાને પડે છે.

    આ કડીના અંતમાં સાંભળીએ ૧૯૭૮ની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું ઢોલકપ્રધાન ગીત ‘ભોર ભયી પનઘટ પર’. આ ફિલ્મ માટે સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું.

    https://www.youtube.com/watch?v=5o_GLXqUBek&list=RD5o_GLXqUBek&start_radio=1

    આવતી કડીમાં અન્ય તાલવાદ્યો સાથે મળીશું.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com