-
એક અનોખી ચિત્ર શ્રેણી – આનંદ અનુભવ. ચિત્રકારઃ ડૉ.ગીતા આચાર્ય [૧]
રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ
ચિત્રની સર્જનાત્મક કડીએ
મારા કાર્ય અને જીવનને
સંપૂર્ણ સુમેળમાં રાખ્યું.ડો. ગીતા જોષી-આચાર્ય

ન્યુ જર્સી સ્થિત ખુશદિલ કલાકાર, ગીતા આચાર્ય પોતાની કલા દ્વારા બને તેટલી સમાજ સેવા કરવા તત્પર હોય છે. મુંબઈમાં ડોક્ટર માતા પિતાના પ્રોત્સાહનથી નાનપણથી ચિત્રોનો શોખ તેમના નિયમિત જીવનનો હિસ્સો બની રહેલ છે. મુંબઈમાં ડેન્ટીસ્ટની અને હેલ્થકેરમાં એમબીએની ડિગ્રી સાથે વર્ષોથી એક વિશિષ્ટ કાર્ય ક્ષેત્ર- a school and hospital for children and adults with medically complex developmental disabilities માં કાર્ય કરી રહ્યા છે..
ગીતા કહે છે કે “ચિત્ર દોરવાનો આનંદ હંમેશા અનુભવ્યો છે. પહેલાં ઓઈલ કલરથી શરુ કર્યા પછી વોટર કલર વાપરવાનું વધારે અનુકૂળ લાગ્યું. ઈંગલેન્ડમાં રહેતાં હતાં ત્યારે ઘણા ચિત્રકારો પાસે વોટર કલરનો વધુ અભ્યાસ કરવાનો લાભ મળ્યો.”

ગીતા આચાર્ય છેલ્લા ઘણા વર્ષોથી તેમનાં પતિ મલય સાથે ન્યુજર્સીમાં સ્થાયી થયા છે અને સંગીત, સાહિત્ય અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે. ગીતાએ હિમાલયની ગોદમાં અને Tuscanyમાં આર્ટ વર્કશોપમાં અનુભવ લીધો છે. ભારતમાં થોડી સેવાઓ સાથે જોડાયેલા હોવાથી અવારનવાર ત્યાં જાય છે.

ગીતા આચાર્યનાં શબ્દોમાં, “I enjoy painting landscape and nature. I have had good fortune
of showing my paintings at various locations and also have sold a number of paintings. The proceeds from the sale of my paintings support a number of different charities.”
ગીતાબહેને પોતાના ચિત્રો અનેક વાર The Semper Fi Fund અને Share and Care સંસ્થાઓને દાનમાં આપ્યા છે. તાજેતરમાં એમણે મહારાષ્ટ્રમાં શાળામાં જતા આદિવાસી બાળકોને સાઈકલો ભેટમાં આપી છે.

ગીતાબહેન ઘણાં વરસ સુધી ઈંગ્લેંડ્માં Surrey માં Chiddigfol ગામમાં રહ્યા હતા. આ ગામમાં કુદરતી સૌંદર્ય ભારોભાર ભર્યું હતું. ગામમાં એક જૂનું ચર્ચ હતું, એક ૧૩૮૦સાલથી ચાલતી મોટેલ ક્રાઉન ઇન, શાળા, ચર્ચ તેમજ આકાશ, વૃક્ષ, પાણી…નૈસર્ગિક રંગોમાં આખું ગામ આવરી લીધું છે.

વોટર કલરકેટલાક રંગીન તત્વોને પાણીમાં ઓગાળી, જરૂરત પ્રમાણે ઘટ્ટ બનાવી, કાગળ, કેનવાસ, લાકડું કે ચામડા ઉપર પીંછીની મદદથી ચિત્રકામ કરવામાં વાપરવામા આવે છે. આ જૂની ચિત્રકલા માટે રંગો અને કાગળની પસંદગી ખાસ ધ્યાન માંગી લે છે. વજનદાર કાગળ જે ૧૦૦ ટકા કોટનમાંથી બનાવેલું હોય એને વધારે પસંદ કરવામાં આવે છે.
દરેક ચિત્ર માટે આવા રંગો બનાવવા ન પડે એટલે રંગીન તત્વોને એક ખાસ પ્રકારના મીણ સાથે મેળવી એની પેસ્ટ કે ચોસલા બનાવવામાં આવે છે, જેમાં જરૂર પૂરતું પાણી મેળવી, જોઈએ એટલું ગાઢું કે પાતળું કરી વાપરવામાં આવે છે.
આ ચિત્રો બનાવતી વખતે ભીના રંગો કાગળ ઉપર સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યાં સુધી એની કાળજી લેવી પડે છે. આવા રંગો સુકાઈ જાય પછી તેને ધોઈને સુકાવી ફરીને રંગ ગહેરા કરવાની કુશળતા કેટલાક કલાકારોએ હસ્તસિદ્ધ કરી હોય છે.
આ રંગોના પણ બે પ્રકાર છે. એક પ્રકારને પારદર્શક (Transparent) તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર અર્ધપારદર્શક કે અપારદર્શક હોય છે. કેટલાક રંગોના મૂળ તત્વો દાણેદાર હોય છે જે કાગળના Textureમાં ગોઠવાઈ જાય છે અને ચિત્રને સારો ઉઠાવ આપે છે.
Geeta sent me the following note.
Date August 2020.
Hi Saryu Ben,
I did about 90+ days of daily painting/meditation of stay well cards.

The original cards are for sale for various charities.
Geeta. geetaa4@gmail.com NewJersey.
ગીતા આચાર્યે ઘણા stay well cards બનાવ્યા હતા.
વધુ ચિત્રો આવતા લેખમાં જોઈશું.
Saryu Parikhસરયૂ પરીખ www.saryu.wordpress.com
-
સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૫]
આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની અમેરિકામાં સ્થાયી થવાથી થઈને નિવૃતિ કાળ સુધીની યાત્રાની કેડીની સફર કરીહવે આગળ…….
બાલ્યકાળ
મારો જન્મ જામવંથલી ગામમાં ભાદરવા વદ બારસ (૨૩ સપ્ટેંબર ૧૯૪૬)ને સોમવારે રાત્રે ૧૦ વાગે ઘરમાં જ થયો હતો. પિતા હરિલાલ અને માતા ગંગાબેન. જામવંથલી, જામનગરથી અંદાજે ૩૫ થી ૪૦ કિલોમીટર દૂર આવેલું એક નાનકડું ગામડું છે. મારા જન્મસમયે તો જામવંથલી પાયાની સગવડ વગરનું ગામડું હતું, કુવેથી પાણી સિંચીને બેડાં ભરીને લાવવાનું, શૌચક્રિયા માટે વહેલા સવારે ઊઠીને દૂર ગામના પાદરે જવાનું, એવું હતું જામવંથલી. ગામમાં દસ બાય બારની એક નાનકડી ઓરડીમાં અમે દાદા-દાદી, બા-બાપુજી, બે કાકા અને હું રહેતાં. દાદાનો દરજી કામનો ધંધો, પણ નાના ગામમાં એટલું કામ મળે નહિ એટલે આજુબાજુના બીજા ગામોમાં કે જામનગર શહેરમાં શેઠિયાઓને ત્યાં રોજે કપડાં સીવવા જતાં. ત્રણ – ચાર દિવસના રોજિયામાં અઠવાડિયાનું કામ નીકળી જતું, બે ટંક જમવાનો મેળ પડી જતો અને ઉપરથી રોજની આવક. મહિનો માંડ પચ્ચીસ રૂપિયામાં પૂરો થતો.
અધૂરામાં ભગવાનને હજી અમારી ગરીબીની કસોટી વધુ કરવી હશે. તેમ ઘરની સુત્રધાર અને ખમતિધર વ્યક્તિ એટલે કે મારા દાદા બીમાર પડ્યા. એમને લકવો થઈ ગયો અને આખું ડાબું શરીર ખોટું પડી ગયું. દાદાની તબિયતને લીધે મારા બાપુજી કાયમ મૂંઝવણમાં રહેતા કે આવક કેવી રીતે વધારવી. હું બે વર્ષનો થયો ત્યારે મારા નાના ભાઈનો જ્ન્મ થયો. અમારા ઘરમાં જ કુળદેવીની સ્થાપના હતી માટે ત્યાં મારી બાએ દીવો કરી મારા બાળ-મોવાળાં ઉતાર્યા. તે દિવસે મારી બાએ સરસ રસોઈ બનાવી અને અમારા ગામના બ્રાહ્મણ લક્ષ્મીશંકર દયાશંકર અદાને જમવાનું નિમંત્રણ આપ્યું. ભોજન પત્યા બાદ લક્ષ્મીશંકર અદાના ખોળામાં મને મૂકી મારી બાએ એમને મારું ભવિષ્ય જોવાનું કહ્યું. લક્ષ્મીશંકર અદાએ મારી હથેળી જોઈ, જન્મ સમય, તિથિ, તારીખ અને જન્મ દિવસ જેવી માહિતીઓ પૂછી જન્માક્ષરના ચોકઠામાં અમુક ગણતરીઓ કરીને પછી કહ્યું કે આ બાળક તો કુળદીપક છે અને તે તમારું આખું કુટુંબ તારશે, તમને ગરીબી માંથી બહાર કાઢશે અને લાખો રૂપિયા કમાશે. મહિને માંડ પચ્ચીસ રૂપિયામાં ગુજરાન ચલાવતા મારા બા અને બાપુજી આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયાં. પણ લક્ષ્મીશંકર અદાએ કહ્યું કે એ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે તમે આ બાળકને જેટલું ભણવું હોય એટલું ભણાવશો. તે દિવસે મારા બા-બાપુજીએ નક્કી કર્યું કે મને ખૂબ ભણાવશે અને હોંશિયાર બનાવશે. તેમની બધી જ આશાઓ હવે મારા ભવિષ્ય સાથે જોડાઈ ગઈ.. અમે જ્યારે મુંબઈ જવાના હતાં ત્યારે મારી બા મને લક્ષ્મીશંકર અદાને ત્યાં પગે લગાડવા માટે અને આશીર્વાદ લેવા લઈ ગઈ હતી. લક્ષ્મીશંકર અદાએ મારા માથે હાથ ફેરવી મને કહ્યું કે તારા ઘરમાં સાક્ષાત કુળદેવી નો વાસ છે, તેને પગે લાગ, તારી બધી મનોકામના પૂર્ણ થશે. અને કહ્યું કે જીવનભર યાદ રાખજે બેટા કે સરસ્વતી માંની ઉપાસના કરીશ તો લક્ષ્મીદેવી તારા પર આપોઆપ પ્રસન્ન થશે. ત્યારે તેમનું ક્થન હું બહુ સમજ્યો નહોતો, પરંતુ આગળ જતાં તે શબ્દોમાં રહેલ ગૂઢાર્થ સમજાયો અને જીવન ની બધી જ મહત્વકાંક્ષાઓના સ્વપ્નને સિદ્ધ કરવામાટે સરસ્વતીની આરાધનામાં લગાડી દીધું. માતાજીએ હમેંશ મારી મનોકામનાઓ પૂર્ણ કરી છે અને એના દર્શનનો લાભ મને પાવાગઢ, ચોટીલા, અને વૈષ્ણોદેવીની યાત્રામાં પણ થયો છે. પાછલી જિંદગીમાં અમેરિકામાં માતાજીની ચોકી કે જાગરણમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે અને ભજન દ્વારા ભક્તિનો અનેરો આનંદ અનુભવી શક્યો છું.
મુંબઈની સફર
જ્યારે હું ચાર વર્ષનો થયો ત્યારે મારા બાપુજી અમને મુંબઈ લઈ આવ્યા. મુંબઈની એક ચાલીમાં ૧૦ રૂપિયામાં એક નાનકડી ઓરડી ભાડે રાખી હતી. સમય જતા બાપુજીએ બંને કાકાઓ અને દાદા-દાદી ને પણ અમારી સાથે રહેવા બોલાવી લીધા હતાં. મુંબઈમાં પણ બાપુજી રોજે કપડાં સીવવા જતાં અને રાત્રે વખત રહેતા ઘરે કપડાં સીવવાનું કામ કરતાં. ખૂબ મહેનત કરતાં. રોજ રવિવારે સવારે ઘરે જલેબી, ફાફડા, ગાંઠિયા, પપૈયાનો સંભારો, અને તળેલા મરચાં લઈ આવતા, અને અમે બધા બેસીને ચાની સાથે સાથે ફાફડા જલેબીની રંગત માણતા. હું એક થી દસ લખતાં વાંચતાં શીખ્યો અને હું પાંચ છ વર્ષ નો થયો ત્યાં સુધીમાં તો મને એકડે એકથી લઈને વીસ સુધીના બધા પાડા મોઢે કરાવી નાખ્યા હતાં. રાતે ગોદડું પાથરીને રસ્તા પર સૂઈ જતાં અને સવારે ટ્રામ આવે ત્યારે ઊઠી જતાં. પરેલ, દાદર સુધી બસમાં અને આગળ ટ્રેનમાં મુસાફરી થતી.
ત્યાં અચાનક અમારા જીવનમાં એક અકલ્પનીય ઘટના બની ગઈ જેને લીધે અમે ખૂબ દુખી થઈ ગયાં. મારો નાનો ભાઈ શીતળામાં ગુજરી ગયો અને મારા બા-બાપુજી ને શોકમાં ગરકાવ કરી ગયો. એ સમયમાં મુંબઇમાં ખૂબ હુલ્લડો થયાં હતાં અને એ હુલ્લડોમાં મારા બીજા કાકા મૃત્યુ પામ્યા. મારા સંવેદનશીલ બાપુજી માટે આ બધું સહન કરવાનુ બહુ વસમું થઈ પડ્યું.
પિતાનો વિરહ અને માના આશીર્વાદ
સાત વરસનો હું ત્રણ વાગ્યે શાળાએથી પાછો આવ્યો ને બાપાને ઘરની બહાર નીકળતા જોયાં. મારા પિતા હરિભાઈનો ધંધો દરજીનો. સ્વભાવના સાલસ અને સહુ કોઈના કપડાં પ્રેમથી સીવી આપે. વારે તહેવારે કોઈની સગવડ ના હોય તો ઉધારીમાં પણ કપડાં સીવી આપે. વાત ૧૯૫૩- ૫૪ના જમાનાની. મુંબઈ જેવા શહેરમાં પણ લોકો એકબીજાનો વિશ્વાસ કરે. હેત પ્રેમ અને સંબંધને લોકો માન આપે. સગવડે એકબીજાની ઉધારી ચૂકવાય. હરિભાઈ પણ મહિનાના અંતે એક દિવસ ઉઘરાણીનો રાખે. દુકાન એ દિવસે બંધ હોય. ઘરેથી જમી આરામ કરી, નાનકડો મનુ (મારું લાડકવાયુ નામ અને ઘરમાં બધા મને તે નામે જ બોલાવે) શાળાએથી ઘરે આવ્યો અને હરિભાઈ ઉઘરાણીએ નીકળ્યા. નાનકડા મનુના માથે પ્રેમભર્યો હાથ ફેરવતા કહેતા ગયાં “મનિયા આજ તો તારા માટે ખાટી મીઠી ગોળીને નાનકડી રમવાની ગાડી લઈ આવીશ, બહુ દિવસથી જીદ કરતો હતોને!” સાથે સાથે ગંગાબહેન એટલે કે “મનિયાની માને ” કહેતા ગયાં કે રાતે આવતાં મોડું થાશે, ઉઘરાણી માટે ઘણા ઘરાકોને ત્યાં જાવાનું છે માટે તમે જમીને સુઈ જાજો.
સાત વરસના મનુને માથે પિતાનો એ છેલ્લો પ્રેમભર્યો સ્પર્શ હશે એ ક્યાં ખબર હતી. વિધાતાએ શું ધાર્યું હશે તે ક્યાં કોઈને ખબર હોય છે. હરિભાઈ એ દિવસે બપોરે ઘરેથી નિકળ્યા, એ દિવસ અને આજની ઘડી. ક્યાં ગયાં, કોઈને ખબર નથી. બે દિવસ ઘરના લોકોએ બધે શોધખોળ કરી, જાણતા હતાં એટલા ઘરાકોના ઘર ફરી વળ્યા, હોસ્પિટલોમાં કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે કે નહિ એની તપાસ કરી, છેવટે થાકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી. વરસ સુધી પોલીસ ચોકીએ ધક્કા ખાધા, પણ હરિભાઈનો કોઈ પત્તો ના લાગ્યો. ઘરમાં ગંગાબહેનનું જીવવું મુશ્કેલ થતું ગયું. સાસુ સસરાં દિયર સહુ ગંગાબહેનને જવાબદાર ઠેરવવા માંડ્યા. “તું જ છપ્પરપગી છે, અમારા દીકરાને ભરખી ગઈ એવું લાંછન રોજનું થઈ ગયું” વરસ દહાડો મેણાટોણા સાંભળ્યા બાદ ગંગાબહેને પોતાને પિયર જતા રહેવાનું નક્કી કર્યું. પિયરમાં એક ભાઈ ભાભી હતાં, એમની સ્થિતિ પણ સામાન્ય જ હતી એનો ગંગાબહેનને ખ્યાલ હતો. માતાના દિલે એક કપરો નિર્ણય લીધો.
એક રાતે આઠ વરસના મનુને પાસે બેસાડી પૂછ્યું ” દીકરા, તું ઘરનું વાતાવરણ જુએ છે, રોજના આ કંકાસથી હું થાકી ગઈ છું, ગામડે મામાને ત્યાં જવાનો વિચાર કરૂં છું, ત્યાં તારે મારી સાથે આવવું છે કે અહીં રહી ભણવું છે. દાદા, દાદી કાકાને મારા પર ગુસ્સો છે, તું તો એમનો લાડકો છે. તારા ભવિષ્યનો વિચાર કરી નિર્ણય લેજે.” આઠ વરસના મનુ પર એ નાનકડી ઉંમરે કપરો નિર્ણય લેવાનો વારો આવ્યો. એક તરફ મા અને બીજી તરફ પોતાનું ભવિષ્ય. કાકાએ ખાતરી આપી કે મનુને મારા દીકરાની જેમ રાખીશ અને ગંગાબહેન હું કાંઇ વિચારુ તે પહેલા કાકાના એ વચન ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકીને કકળતે હૈયે ભાઈને ત્યાં જતા રહ્યાં.
ત્રણ ચાર વર્ષ તો મા દીકરાનો સંપર્ક પત્ર વ્યવહારથી જળવાયો, પણ વખત જતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. કાકીએ મનુને તો દીકરાની જેમ અપનાવી લીધો, પણ મનુ માથી દુર થઈ ગયો. ગંગાબહેનના પત્રો મનુના હાથમાં ન આવતા. ગંગાબહેન ગામમાં લોકોના ઘરે કપડાં વાસણ કરી ભાઈને જે મદદ થાય એ કરતાં, દીકરાના કાગળની રાહ જોતાં. મનુ ભણવામાં હોશિયાર અને કિશોરાવસ્થા, મુંબઈનું જીવન, અને કાકા કાકીના પ્રેમમાં ધીરે ધીરે માની છબી મનથી ક્યારે ઝાંખી થવા માંડી એનો ખ્યાલ પણ ન રહ્યો.
શાળાના મિત્રો
મારા પાંચમાં ધોરણમાં મેં નવી શાળામાં પ્રવેશ કર્યો. શેઠ ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ (જી ટી હાઈસ્કૂલ), એને અમે ઘોડાનો તબેલો કહેતા. મારો મેટ્રિક સુધીનો અભ્યાસ આ શાળામાં જ થયો હતો. દરેક વર્ગના છ થી સાત વિભાગો હતાં. એ,બી,સી,ડી,ઈ,એફ,અને જી એમ વિભાગો હતાં અને દરેક વિભાગમાં લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ ભણતા, એટલેકે દરેક વર્ગમાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો વિદ્યાર્થી ભણતા. દર વર્ષે એક છોકરો પ્રથમ નંબરે આવતો જેને અમે જે.પી. કહીને બોલાવતા. જે.પી. ભણવામાં ખૂબ જ હોંશિયાર અને સ્વભાવે ખૂબ જ માયાળું હતો. શાળામાં દર વર્ષે એક દિવસ રમત-ગમત નો મેળાવડો થતો અને એ ક્રિકેટના કોઈ મોટા સ્ટેડિયમમાં થતો. રમત-ગમતમાં જીતનારાઓમાં દરેક વર્ગમાંથી સાત લોકોને ઈનામ મળતા. જે.પી. એમાં પણ કાયમ પ્રથમ આવતો. મારો નંબર એકથી સાતમા આવી જતો, ક્યારેક બીજો, તો ક્યારેક ચોથો. પણ એ સાત વિદ્યાર્થીઓ જે દર વર્ષે ઈનામ જીતતા એ બધા અમે આખી જિંદગીના ખાસ મિત્રો બની ગયાં. એકબીજાના ઘરે આવતા-જતાં. જો કોઈના ઘરે હું જમવાના સમયે ગયો હોઉ, તો એમની સાથે મારી પણ એક થાળી પડે. એ બધા મિત્રોમાં એક હતો રવિન્દ્ર પોપટ, જેણે આજે પણ મૈત્રી નિભાવી રાખી છે. મારા એ મિત્રોમાં એક વસંત ભૂરાલાલ શાહ પણ મારો ઘનિષ્ઠ મિત્ર. વસંતના મમ્મી અને તેના ભાભી પણ ઘણા સ્નેહથી મને રાખતા. હું વસંતના ઘરે ચેસ રમવા કે કેરમ રમવા અથવા ગણિતના દાખલા કરવા જતો ત્યારે મને ચા-નાસ્તો કર્યા વગર જવા દેતા નહીં. બીજા મિત્રોમાં એક હતો સુરેશ દાણી. એને અંકગણિતમા સો માંથી સો મળતા. આગળ જતાં એ સુરેશ દાણી સિવિલ એંજિનિયરિંગમા સ્નાતક થયો, પણ પહલેથી એનું સપનું હતું કે મુંબઈ માં એક ઉત્તમ કક્ષાના કોચિંગ વર્ગો ખોલવા, જે એણે પૂરું કર્યું અને આજે પણ મુંબઈમાં તે કોચિંગ વર્ગોના વ્યવસાયમાં એક નિષ્ણાંત છે. એમજ બીજા મિત્રોમાં મહેન્દ્ર સંઘવી, દિલિપ કપાસી, દિલિપ પંડયા અને દિનેશ આશર હતાં. આ બધા મિત્રોએ મારા એકાકી જીવનમાં કાયમ મારો સાથ નિભાવીને મારા જીવનને સાર્થક બનાવ્યું. જિંદગી આખી જે.પી.એ મારી સાથે મૈત્રી નિભાવી. જે. પી. અને મહેંદ્ર સંઘવી બન્ને સિવિલ એંજીનિયર થયા. ભાગીદારીમાં બિલ્ડર તરીકે ધંધો કર્યો અને સફળ થયા.
નવમાં ધોરણમાં ઇન્ડિયન મરચંટ્સ ચેંબર ઓફ કોમર્સ અધિકૄત બુકકિપિંગની પરિક્ષા મેં આપી. ૩૦૦ વિદ્યાર્થીઓમાં મારો બીજો નંબર આવ્યો. પ્રશ્નપત્રમાં દાખલામાં ૨૦૦૦ રૂપિયાની લોન હિસાબમાં ગણવાની હતી. તેમાં જો -૨૦૦૦ ન લખો તો તાળો ન મળે અને તમે ખોટા પડો. મારા બાકીના જીવનમાં પણ મારે ઘણી વખત ઉધારીથી જ શરુઆત કરવી પડી.
દશમાં ધોરણમાં એક જીવદયા મંડળ દ્વારા આયોજીત નિબંધ સ્પર્ધામાં મેં ભાગ લીધો. શાકાહારના ફાયદા અને માંસાહારના ગેરફાયદા વિષે ૧૧ પાનાનો નિબંધ લખ્યો. તેમાં પણ મારો બીજો નંબર આવ્યો. અને મને પુરસ્કાર મળ્યો.
મેટ્રિકમાં એટલે કે એસ એસ સી માં ૬૫ ટકાએ પાસ થયાં પછી કોલેજમાં પ્રવેશ મળવો ખૂબ અઘરો થઈ ગયો હતો. એ વખતની મુંબઈની પ્રખ્યાત કોલેજો જેમકે જયહિંદ અને જેવિયર્સમાં તો ૭૦ ટકાથી ઓછામાં એડમિશન મળવું અશક્ય હતું. મેં આઈ.આઈ.ટી માં પણ ત્યારે કોશિષ કરી હતી પણ નંબર ના લાગ્યો. ત્યારે મારી ગલીમાં રહેતા મારા એક મિત્ર જગદીશ ચોક્સીએ મને સુજાવ આપ્યો કે સાયનમાં એસ.આઈ.ઈ.એસ. (સાઉથ ઈંડિયન એજ્યુકેશન સોસાઈટી) નામની એક નવી જ કોલેજ ખૂલી છે, ત્યાં પ્રવેશ સહેલાઈથી મળી જશે. એટ્લે એસ.આઈ.ઈ.એસ. કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ માં પ્રવેશ લીધો. આજે મારી એ જ કોલેજ મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજોમાં ની એક છે. ત્યારે છ માસિકની ફી રૂપિયા ત્રણસો હતી, જે મારી પાસે હતાં નહીં. મને અલગ અલગ જગ્યાએથી સ્કોલરશીપ મળતી હતી તેમાંથી મારી પાસે સો રૂપિયા ભેગા થયા હતાં. બાકીના સો રૂપિયા મારા કાકાએ એમની બચતમાંથી મને આપ્યા અને અમારા સંબંધી રામજી અદાએ મને સો રૂપિયા આપ્યા અને આમ કોલેજમાં મારી બેઠક હું ૩૦૦ રૂપિયા ભરીને સુરક્ષિત કરી શક્યો.
ક્રમશઃ
-
ઘર એટલે ક્યાં?
પ્રીતિ શાહ-સેનગુપ્તા
ન્યૂયૉર્ક શહેરમાં અને આસપાસમાં કોઈ કોઈ વર્ષે ઉનાળો બહુ આકરો બનતો હોય છે. જુલાઈના મહિનામાં, આકાશમાંથી આગ વરસતી હોય એવા સળંગ દસ-પંદર દિવસો આવે ત્યારે વાતાવરણ ધૂંધળું બને, રસ્તાઓ પરથી વરાળ ઊઠતી દેખાય, અને ઉષ્ણતામાનનો પારો ચઢતો ચઢતો ૩૭-૩૮ સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય. ઋતુ-વિગ્નાનીઓ જાહેર કરે કે છેલ્લાં કેટલાં વર્ષોમાં આવી કાળઝાળ ગરમી પડી નથી.
એવો એક દિવસ યાદ છે, જ્યારે સાંજે પણ એવો બાફ હતો કે વાતાનુકૂલ મશિનની પણ અસર ના થાય. છેવટે રાતે અગિયાર વાગ્યા પછી જરા પવન ચાલુ થયો હતો. તે ય પાછો ઠંડકવાળો નહીં, હતો તો હુંફાળો જ, પણ એનાથી સારું તો લાગ્યું જ. મારાથી બોલાઈ ગયું, “આ તો અમદાવાદ જેવો પવન! એક જમાનામાં ગમે તેવી અસહ્ય ગરમી પછી પણ સાંજ ઢળતી ત્યારે આવો જ, ગરમીનો થાક ઉતારી દે તેવો પવન અમદાવાદમાં શરૂ થઈ જતો.”
આ વળી કેવી યાદ? જાતજાતની ઘણી વાતો આપણને યાદ રહી જતી હોય છે, અને એ સ્વાભાવિક પણ લાગે, પરંતુ પવનનો સ્પર્શ પણ યાદ હોય, તે શું માની શકાય? હા, એ માનવું જ રહ્યું, કારણકે એવું પણ કોઈ હોઈ શકે છે જે પરદેશ-સ્થાયી હોય, પણ જેનું મન કિશોરાવસ્થાના ઘરનાં સ્પર્શ, સુગંધ, સ્વાદ, ધ્વનિથી વિખૂટું ના પડી શકયું હોય.
ખરેખર, ઘર એટલે વળી ક્યાં? જેને છોડ્યું તે ઘર? જેને માટે છોડ્યું તે ઘર? જ્યાં છીએ તે ઘર? જ્યાં નથી તે ઘર? જ્યાં શરીર છે તે ઘર? જ્યાં મન-હૃદય છે તે ઘર? તો કહો, ખરેખર ક્યાં હોય છે ઘર?
અમુક લોકો એવા હોય કે જે જૂની ટેવોના ગુલામ બનીને રહેતા હોય, વર્ષો પહેલાંનાં સંવેદનોમાં અટવાયેલા રહેતા હોય, જ્યારે અમુક લોકો એવા પણ હોય જે પારકા દેશ માટે પ્રેમ અને સમજણ કેળવે, અને એ રીતે ત્યાં પણ ઘરના જેવા બની જાય.
ન્યૂયૉર્ક શહેરની જીવન-ચર્યામાં આવા બનાવો ઘણી વાર જોવા મળી જાય. જેમકે, અહીંના એક કળાગૃહમાં ભારતનાં મધ્યયુગીય મંદિર-શિલ્પોનું પ્રદર્શન કરવામાં આવેલું. આપણે ઘણાંએ નાનપણથી આવાં શિલ્પમંડિત સ્થાનો જોયાં હોય, પણ અહીંનાં પ્રજાજનોને માટે આ પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી હતું. ઉપરાંત, દર્શકોમાં ભારતની લોક-સંસ્કૃતિમાં રસ અને સમજણ પેદા થાય તે માટે દર રવિવારે કથકલી નૃત્ય-પ્રકાર માટેનાં મુખ-ચિત્રણ, ભારતીય વસ્ત્ર-પરિધાન તથા કઠપૂતળીના ખેલ જેવા કાર્યક્રમ પણ યોજવામાં આવેલા.
આમાં કઠપૂતળીના ખેલથી તો હું પણ ખૂબ પ્રભાવિત થઈ. મંચ પર બરાબર આપણે નાનપણથી જોયું હોય તેવું જ વિરચન કરેલું, પૂતળીઓ પણ એવી જ. ટિપ્પણ અંગ્રેજીમાં થતું, અને એ ખેલ કરનારો પણ હતો એક અમેરિકન જ. આ કળામાં એ સંપૂર્ણપણે નિપુણ હતો. પોતાની સર્જનાત્મક કલ્પના દ્વારા એણે અહીંનાં નાનાં-મોટાં બધાંને મઝા આવે એવી વાતો વણી લીધી હતી.
ખેલ પૂરો થયા પછી હું એની સાથે વાત કરવા ગઈ. થોડાં વર્ષો પહેલાં એ ઉદેપુરના લોકકળા-કેન્દ્રમાં રાજસ્થાની કઠપૂતળી શીખવા ગયેલો. પછીથી ત્યાં કોઈ એક ગરીબ કુટુંબ સાથે રહેલો. કહે, “એ લોકો દરેકે દરેક વસ્તુમાં મરચું નાખીને ખાય. મારું તો આખૂં શરીર બળતું!”
પણ વધારે તો, અમેરિકા પાછાં આવીને બે વર્ષ સુધી એ પણ રાજસ્થાની કઠપૂતળીવાળાઓની જેમ આ દેશમાં ઠેર ઠેર ફરતો રહેલો, ને ગામે ગામે ખેલ કરતો રહેલો. પ્રથાગત બધા ખેલ – કસરતબાજ, તલવાર ગળનાર, મદારી અને સાપ, મશાલ સાથેનો ઘોડેસ્વાર, નાચનારી વગેરે – એ જાણતો હતો. સાથે સંગીત પણ વગાડતો. એને ફરી ભારત જવું છે, પણ કળાકાર પાસે વળી પૈસા ક્યાંથી હોય?
હવે એ પરણ્યો છે. એણે અને એની અમેરિકન પત્નીએ પોતાના કળા-ઉદ્યોગનું નામ ‘લીલા પપેટ થિયેટર’ રાખ્યું છે, અને હજી આખા દેશમાં ખેલ રજૂ કરતાં ફરે છે. સાવ જુદી અને પારકી સંસ્કૃતિ માટે પ્રેમ, સમજણ તેમજ કૌશલ કેળવ્યાં હોય તેવો આ એક પ્રેરણાત્મક દાખલો.
કોઈ એક બીજા દિવસે ન્યૂયૉર્કના રસ્તા પર એક ટેક્સી ઊભી રાખી. બારણું ખોલતાં જ તલત મહેમુદના અવાજમાં એક સંભળાયું. ચાલક એક હઠ્ઠોકઠ્ઠો, બાંય વગરનું કાળું ગંજી પહેરેલો માણસ હતો. મારે જ્યાં જવું હતું તેનું સરનામું મેં હિન્દીમાં જ આપ્યું. પછી થોડી વાતચિત થઈ.
એકાદ વરસ પહેલાં જ એ પાકિસ્તાનથી અમેરિકા આવેલો. આખું કુટુંબ હજી ત્યાં જ હતું. એ પોતે અહીં ટેક્સી ચલાવે, અને છોકાઓને કરાટે શીખવાડે. પોતાના દેશભાઈઓ સાથે એક નાના ઘરમાં, શહેરના દૂરના કોઈ લત્તામાં રહે, અને પેલાં સંવેદનોથી બંધાયેલો રહીને, જેને છોડીને આવ્યો છે તે ઘરને માટે ઝૂરે. પાકિસ્તાન, બૉંગ્લાદેશ ને ભારતના ઘણા પુરુષો ન્યૂયૉર્કમાં ટેક્સી ચલાવતા મળી આવે છે. એમની હાલત વખાના માર્યા જેવી, અને ટેક્સીમાં સવારી કરનારાંને બહુ નવાઈ સાથે પૂછે, “તમે અહીં કઈ નોકરી કરો છો?”
એ અર્થમાં કે તમારી પાસે ટેક્સીમાં ચડવાના પૈસા કઈ રીતે થયા?
જે ઘર હતું તેને તો દૂર મૂકી દીધું, અને જ્યાં આવીને રહે છે તેને ઘર ગણી નથી શકતા. એ માટે સમય જોઈએ, જીવનમાં સુખ અને શાંતિ જોઈએ. આર્થિક અને માનસિક કફોડી સ્થિતિ આવા ઘણાની થતી હોય છે. અમેરિકાને બધાં સ્વપ્નોનો દેશ માને છે. અગણ્ય લોકો એને માટે સ્વપ્ન સેવે છે, એ સ્વપ્નોને પૂરાં કરવાની આશાથી વિદેશ-વાસ સ્વીકારે છે, સહે છે, પણ દરેક જણનાં સ્વપ્ન ફળતાં નથી હોતાં. ને ત્યારે એવાં જણ ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં જીવતાં રહી જાય છે. જાણે નહીં દેશી, નહીં વિદેશી, નહીં ગરીબ, નહીં શ્રીમંત.
ભારતીયોનો ઘણો મોટો વર્ગ આમાં પડતો નથી. એ સુખી વર્ગ છે; એણે ધન-સંપત્તિ, ગ્નાન-અભ્યાસનાં સ્વપ્ન સિદ્ધ કરી લીધાં હોય છે. આ વર્ગ લગ્ન, વર્ષગાંઠ, સ્નાતકીકરણ વગેરે પ્રસંગો ધામધૂમથી ઉજવે છે. બસો-પાંચસો સંબંધીઓ, મિત્રોની હાજરીમાં, અને મોંઘાં વસ્ત્રાભૂષણ, વાતો, ખાણીપીણીના અતિરક સાથે આ પ્રસંગો સંપન્ન થાય છે. મોટે મોટેથી ફિલ્મી સંગીત વાગતું રહે છે.
અમેરિકન પ્રસંગોની ઉજવણી ખૂબ જુદી પડે. અતુલ્ય શ્રીમંતાઈ હોય ત્યારે પણ વર્તાવ સંયત હોય છે. એક અમેરિકન લગ્નમાં કોઈ હોટેલનો મોટો કક્શ નહીં, પણ લીલા ઘાસ, ગાઢ વૃક્ષો અને રંગીન ફૂલોવાળા બાગનો પરિસર ભાડે રાખેલો. ખ્રિસ્તી પદ્ધતિના વિધિની વચ્ચે વચ્ચે ભારતીય શાસ્ત્રીય વાંસળીવાદન અને તબલાંની સંગતના મધુર, કર્ણપ્રિય વિષ્કંભક રાખવામાં આવેલા. યજમાન અમેરિકન જ હતા, પણ ભારતીય શાસ્ત્રીય સંગીત માટે પ્રેમ ધરાવે, ને તેથી લગ્ન-પ્રસંગને શોભાવે તેવું સંગીતમય વાતાવરણ ઊભું કરાવડાવેલું.
કોઈ ક્યાંથી આવ્યું, અને ક્યાં રહે છે એમાં એમનો સાચો પરિચય નથી, પણ એમણે શું અપનાવ્યું છે, શું ઊંડાણ પ્રાપ્ત કર્યું છે, અને એ પોતે શું બન્યાં છે એમાં વ્યક્તિનો સાચો પરિચય મળે છે. પરિપક્વતા પામ્યા પછી “બહારનું” અને “ઘરનું” – એ બે વચ્ચેનો નિરર્થક ભેદ રહેતો નથી. જૂની અને નવી સ્મૃતિઓની ઈંટોથી મન અને બુદ્ધિની અંદર એક નિત નવો આકાર રચાતો જાય છે, શણગારાતો જાય છે.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
નિસબત
ચંદુ મહેરિયા
દૂધને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે. આપણા રોજિંદા આહારમાં દૂધનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધમાંથી પ્રોટીન, મિનરલ્સ અને કેલ્શિયમ જેવા પોષકતત્વો મળે છે. પરંતુ આપણે અવારનવાર દૂધમાં ભેળસેળ થતી હોવાનું અને નકલી દૂધ વેચાતું હોવાનું વાંચીએ-સાંભળીએ છીએ. મિલાવટી મિલ્ક સંપૂર્ણ આહાર મટી આરોગ્યને નુકસાન કરે છે. આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના પાંચેક ગામોના ૧૬ લોકોના મોત ભેળસેળયુક્ત દૂધ પીવાથી થયા હોવાની ઘટના હજી થોડા મહિના પહેલાંની જ છે. દૂધમાં ભેળવેલા ઝેરી તત્વની અસર આ લોકોની કિડની પર થઈ અને મોત પણ થયા.
ઉજળા દૂધનો કાળો કારોબાર માંડી બેઠેલા લોકો દૂધમાં પાણી મેળવે તે તો હવે સાવ સામાન્ય બાબત છે. પરંતુ દૂધમાં યુરિયા, કોસ્ટિક સોડા, ગ્લુકોઝ, ડિટર્જન્ટ, બ્લીચ, સફેદ રંગ, રિફાઈન્ડ તેલ, ફોર્મેલિન અને બીજાં રસાયણો ભેળવવામાં આવે છે. નેશનલ સર્વે ઓફ મિલ્ક અડલ્ટ્રેશનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. મિલાવટ કરનારા પાણી ભેળવીને દૂધનું પ્રમાણ વધારે છે. તેનાથી દૂધ પાતળું થઈ જાય તો ડિટર્જન્ટ ભેળવીને દૂધને જાડું કરે છે અને ફીણ વળે છે. યુરિયા દૂધમાં મિક્સ કરીને પ્રોટીનયુક્ત દૂધ હોવાનું પુરવાર કરવામાં આવે છે. આ અને આવી ભેળસેળ માનવ શરીર માટે ઘાતક બને છે. તેથી દૂધ સંપૂર્ણ ખોરાક મટીને ઝેર બની જાય છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સંસદના અંદાજપત્ર સત્રમાં રાજ્યસભામાં ઝીરો અવર્સમાં તે વખતના આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ દૂધમાં ભેળસેળનો મૂદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે દૂધના ૭૧ ટકા નમૂનામાં યુરિયા અને ૬૪ ટકામાં ન્યૂટ્રલાઈઝર જોવા મળ્યું છે. તેમણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા( FSSAI)ના મિલ્ક સર્વેલાન્સ રિપોર્ટનો હવાલો આપ્યો હતો. આ અહેવાલ પ્રમાણે ૨૦૨૨માં જે ૭૯૮ દૂધના નમૂનાની તપાસ થઈ હતી તેમાંથી અડધામાં મિલાવટ જોવા મળી હતી. દર ત્રણમાંથી એક નમૂનો ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ હતો. ૨૦૧૫ કરતાં ૨૦૧૮માં દૂધમાં ભેળસેળ ૧૬.૪ ટકા વધી હતી. સ્વતંત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ ‘ ટ્રસ્ટિફાઈડ’ ના રિપોર્ટમાં દેશના પ્રતિષ્ઠિત બ્રાન્ડના પેકેજ્ડ દૂધમાં કોલિફોર્મ નામના હાનિકારક બેકટેરિયા નિર્ધારિત મર્યાદા કરતાં ૯૮ ગણા વધુ જણાયા હતા.ઉત્તર ભારતમાં કાચા દૂધના ૪૭ ટકા, પશ્ચિમ ભારતના ૨૩ ટકા, દક્ષિણ ભારતના ૧૮ ટકા અને પૂર્વના ૧૩ ટકા નમૂના અપ્રમાણિત હતા. આ હકીકતો દૂધમાં ભેળસેળનું પ્રમાણ કેટલું હાનિકારક અને વધારે પ્રમાણમાં છે તે દર્શાવે છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરના એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે દૂધના નમૂનાઓના પરીક્ષણમાં તે નિયત ધોરણ મુજબનું કે હલકી ગુણવતાનું હોવાનું માલુમ પડેલ છે. પરંતુ કેમિકલયુક્ત જણાયું નથી. ૧૧૬૪૮ નમૂનાઓના પરીક્ષણમાંથી ૮૬૮ નમૂના નિયત ધારાધોરણ કરતાં સબસ્ટાન્ડર્સ જણાયા હતા, જે કુલ નમૂનાના ૭.૪૫ ટકા છે.
આંધ્રપ્રદેશમાં મિલાવટી દૂધના કારણે ૧૬ લોકોના મોતનો હાહાકાર મચ્યો હતો ત્યારે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુ તિરુમાલા મંદિરમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગથી લાડુ બન્યા હોવાનું જણાવી રહ્યા હતા. પૂર્વ સરકારના ૨૦૧૯ થી ૨૪ના સમયગાળા દરમિયાન ૫૯.૭૧ લાખ લીટર મિલાવટી ઘી થી ૨૦ કરોડ લાડુ બનાવવામાં આવ્ય હતા અને મોટાપાયે ખાયકી થઈ હતી. તેના ઉકેલ માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે ૪૦ લોકોની ટીમ સાથેની એક લેબોરેટરી બનાવી છે..જે લાડુના સ્વાદ અને સુગંધની તપાસ કરશે. ઈ ટંગ અને ઈ નોઝ બંને સેન્સર અને કમ્યુટર્સ સિસ્ટમ આધારિત છે. જે ઈલેકટ્રોનિક જીભ અને નાકથી ભેળસેળનું પરીક્ષણ કરશે.
જોકે વેંકેટેશ્વર મંદિર જેવી મોંઘી નહીં તો સસ્તી અને સરળ પધ્ધતિથી ભેળસેળ પકડવા માટે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના ૨૬ વર્ષીય ધ્રુવ તોમરે દૂધની શુધ્ધતાના પરીક્ષણ માટે પેપર પ્રો તૈયાર કર્યું છે. ૪૦ રૂ. ની કિમતનું અને ખિસ્સામાં રાખી શકાય તેવા આ કાર્ડ પર દૂધના થોડાં ટીંપા નાંખીને દૂધની મિલાવટ પકડી શકાય છે. ગ્રાહકો અને નાના દુકાનદારો માટે તે ઉપયોગી બની શકે તેમ છે.
પ્રતિદિન ૩ કરોડ લીટર દૂધનું વેચાણ કરતી ભારતની સૌથી મોટી અમૂલ ડેરીના દૂધની ગુણવતા સામે સવાલ ઉઠાવતો આશરે ૩૦ મિનિટનો એક વીડોયો ગયા વરસે રાજકોટના નિવૃત હોમિયોપેથિક તબીબે બનાવ્યો હતો.તેમણે અમૂલ દૂધ પેકીંગ પછી સાત દિવસે ગ્રાહકો સુધી પહોંચતું હોવાનો અને દૂધમાં ડીડીટી નામક જંતુનાશક સહિત અન્ય ૨૨ કેમિકલ ભેળવાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. અમૂલ સાથે ગુજરાતના ૧૮,૬૦૦ ગામના ૩૬ લાખથી વધુ કિસાનો અને પશુપાલકો જોડાયેલા છે. તેના દૂધ અને દૂધની અન્ય બનાવટો ભારતભરમાં અને વિદેશોમાં પણ જાણીતી છે એટલે તેના દૂધની ગુણવત્તા સામે સવાલો ઉઠાવનાર સામે અમૂલે પોલીસ ફરિયાદ કરી હતી,. તેણે આરોપોને નિરાધાર, ભ્રામક અને જૂઠ્ઠા ગણાવ્યા હતા.
દૂધના ઉત્પાદન અને વપરાશમાં સમગ્ર દુનિયામાં ભારત અવ્વલ છે.હાલ ભારતમાં ૨૩૯.૩૦ મિલિયન ટન દૂધનું ઉત્પાદન થાય છે. વિશ્વના કુલ દૂધના ઉત્પાદનમાં ભારતનું યોગદાન ચોથા ભાગનું કે ૨૫ થી ૩૨ ટકા આસપાસનું છે. ૧૯૫૧માં ભારતમાં ૧૭ મિલિયન ટન દૂધનું ઉત્પાદનં થતું હતું. આજે ૨૪૦ મિલિયન ટન ઉત્પાદન થાય છે. દેશના જીડીપીમાં તેનો ફાળો ૫ ટકા છે. દેશમાં દૂધાળા પશુઓ ૧૧૨ મિલિયન છે. આ બધા કારણોથી ૨૦૨૬માં દેશ ૨૪૨ મિલિયન ટન દૂધના ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે. જોકે દૂધમાં થતી ભેળસેળ માટે દૂધના ઉત્પાદન કરતાં તેનો વપરાશ વધુ હોવાથી તેનો લાભ લઈને ભેળસેળ થતી હોવાની આશંકા રહે છે. દૂધન ઉત્પાદનના ચોક્કસ આંકડા મળે છે પરંતુ ઉપયોગના મળતા નથી તેથી આ આરોપ પુરવાર કરી શકાતો નથી.
દૂધના વપરાશકર્તા અને ગ્રાહકોએ પણ દૂધમાં થતી મિલાવટથી બચવા સાવધ રહેવાની જરૂર છે. ગ્રાહકોએ દેશની પર્તિષ્ઠિત કંપનીનું જ દૂધ ખરીદવું જોઈએ. દૂધના વપરાશની એકસપાયરી ડેટ સાથે તેના પેકેજિંગની ડેટ પણ ખાતરી કરીને ખરીદવું જોઈએ.દૂધને ચોખ્ખા વાસણમાં સારી રીતે ઉકાળીને ઢાંકીને રાખવાની કાળજી લેવી જોઈ. દૂધને ઉકાળીને રાખવાથી બેકટેરિયા નાશ પામે છે. સરકારી તંત્ર ભેળસેળ અટકાવવામાં નાકામ હોય ત્યારે ગ્રાહકોએ જ જાગ્રત થવું રહ્યું.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સગડ
સુરેશ જાની
આગલા દિવસે વરસાદ પડ્યો હતો, એટલે ગઈકાલે પાર્કમાં ચાલતાં આ ત્રણ સગડ (પગેરાં) જોવાં મળ્યાં.

પહેલી ટ્રેક્ટરના પૈડાંની છાપ તો કોન્ક્રિટના રસ્તા પર પડી હોવાના કારણે જલદી નીકળી જશે. પણ કાદવમાં પડેલાં બીજાં બે પગલાં હવે પછી સૂર્યના તડકામાં સૂકાઈને સચવાઈ રહેશે.
આમ તો આ સાવ સામાન્ય ઘટના છે પણ કોણ જાણે કેમ એણે મનમાં વિચારોનાં ટોળેટોળાં ખડાં કરી દીધાં. આપણે સામાન્ય જીવો આવા સગડ અજાણે જ છોડી જતાં હોઈએ છીએ. એની કોઈ યાદ આપણા દિમાગમાં રહેતી નથી. પણ, અમારા ગામથી પચાસેક માઈલ દૂર આવેલા એક સ્થળમાં કરોડો વર્ષ પહેલાં નદીના પટમાં ચાલેલા ડાયનોસોરના આવા સગડ હજુ આજે પણ જોવા મળે છે.

પ્રચંડ ધરતીકંપોના કારણે તહસ નહસ થઈ ગયેલી ધરતીના પડનાં આવાં દૃશ્યો પણ એવી કુદરતી ઘટનાનાં સગડ છે.

પણ કોઈક અસામાન્ય વીરલાઓ અને હીરલાઓને પોતાનાં સગડ કાયમી રીતે સચવાઈ રહે તેવા અભરખા હોય છે! દુનિયાને જીતી લેવાના અભરખાવાળા અમૂક તો બીજાંની સલ્તનતો અને મહાલયોને તહસ નહસ કરી ખંડેરમાં ફેરવી લેવામાં ગૌરવ માણે છે. નાલંદાનાં આ ખંડેર એવા જુલમીઓના સગડ છે.

ઘણા માંધાતાઓ પોતાના જીવન બાદ પણ લોકો એમને યાદ કરે – એ માટે પોતાની પ્રતિમાઓ જેવાં સગડ છોડી જતા હોય છે. અથવા એમના અવસાન બાદ એમના પ્રશંસકો આવાં શિલ્પ બનાવી એમની યાદ સાચવી રાખે છે. એ પણ સગડ જ ને?!

અવકાશી પદાર્થો અને ઘટનાઓ વર્ણવતું એક પુસ્તક વાંચતાં પ્રચંડ ધડાકાથી નષ્ટ થઈ જતા તારાઓની વાત વાંચવા મળી.

આપણા સૂર્ય કરતાં અનેક ગણા વિશાળ તારાના નષ્ટ થઈ ગયાના આ સગડ!
અમાપ બ્રહ્માંડની સરખામણીમાં સાવ રજકણ જેવી પૃથ્વી પર રજકણથી પણ નાના એવા આપણા માનવજીવોની ક્ષુદ્રતા પર હસવું કે રડવું?
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
મારી આંતરયાત્રા : પ્રસ્તાવના
પૂર્વી મોદી મલકાણ
કેટલીક રચનાઓ આપણે લખતા નથી, તે પોતે જ ઉદ્ભવી જાય છે. “મારી આંતરયાત્રા” એવી જ એક રચના છે, જેનો ઉદ્ભવ કોઈ પૂર્વયોજના વિના, જીવનના સતત પરિવર્તનો વચ્ચે સહજ રીતે થયો.છેલ્લાં પાંચ વર્ષમાં મારા જીવનમાં અસંખ્ય બદલાવો એકસાથે આવ્યા. કદાચ આવું દરેકના જીવનમાં બનતું હશે, પરંતુ જ્યારે પાછળ વળી જોઉં છું ત્યારે સમજાય છે કે આ પરિવર્તનો કેટલા ઊંડા અને નોંધપાત્ર હતાં. ૨૦૨૧થી ૨૦૨૬ સુધીનો સમયગાળો અમારા માટે જાણે વણઝારાની કતાર જેવો રહ્યો—આજે અહીં તો કાલે ક્યાં! નવી જગ્યાઓ, નવા શહેરો, નવી માટી અને નવા લોકો વચ્ચે અમે સતત ફરતાં, અટવાતાં અને કંઈક શોધતાં રહ્યાં.આ જ સમયગાળામાં મેં મારા જીવનનો એક મોટા આધારસ્તંભ સમાન નિજજનો ગુમાવ્યાં . પૂર્વી મોદી મલકાણ માંથી કેવળ પૂર્વી મલકાણ પાછળ રહી ગઈ અને સમગ્ર મોદી પરિવારને એક પછી એક ક્ષિતિજની પેલે પાર જતાં જોયો. જે પરિવાર સાથે મારી સવાર ઉગતી હતી અને સાંજ આથમતી હતી, જેની સાથે મારું બાળપણ હસ્યું-રમ્યું હતું, જેની ગોદમાં બેસીને હું મોટી થઈ હતી—એ મારી જીવનયાત્રાની અગત્યની વ્યક્તિઓ મને મૂકીને ચાલી ગઈ. એક સમયે હું ઘરે પહોચી ત્યાં સુધીમાં મને સંભાળનાર અને મને સાંભળનાર કોઈ જ બચ્યું ન હતું. અલબત્ત, મલકાણ પરિવારનો પ્રેમ અને સાથ આજે પણ મારી સાથે છે, પરંતુ નાનપણની સ્મૃતિઓ સાથે જોડાયેલા ચહેરાઓની ખોટ એક અલગ જ પ્રકારની ખાલી જગ્યા સર્જે છે. એ એકલતાને શબ્દોમાં વ્યક્ત કરવી સરળ નથી.કદાચ એ જ કારણ હતું કે હું એક પછી એક સર્જનાત્મક પ્રોજેક્ટમાં વ્યસ્ત થતી ગઈ. લેખન મારા માટે માત્ર વ્યવસાય કે શોખ ન રહ્યું; તે મારા મન સાથેની વાતચીતનું માધ્યમ બની ગયું. પહેલાં એક લેખક તરીકે જેટલી વ્યસ્ત હતી, તેનાથી પણ વધુ વ્યસ્ત બનતી ગઈ. ક્રીયા અને પ્રવાસ વચ્ચે હું એવી સંતાઈ ગઈ કે મનને સ્મૃતિઓના દરિયામાં ડૂબી જવાની ફુરસદ જ ન મળે. આજે વિચારું છું તો લાગે છે કે કદાચ આ મારા પોતાના લોકો પાસેથી ભાગવાની પ્રક્રિયા હતી—અથવા કદાચ તેમની યાદોને સહન કરવાની રીત.આ જ આંતરિક પ્રક્રિયાએ આ લેખમાળાને જન્મ આપ્યો.આ યાત્રા દરમિયાન મને અનેક યાત્રીઓ મળ્યા. કેટલાક થોડા સમય માટે આવ્યા, કેટલાક લાંબો સાથ આપી ગયા, પરંતુ દરેકે મારા જીવનના કોઈ ને કોઈ પાને પોતાનો રંગ જરૂર ભરી દીધો.પછી આવ્યો ૨૦૨૫ના નવેમ્બર મહિનાનો સમય. એક નવા પ્રોજેક્ટ માટે ભારત યાત્રાનો કાર્યક્રમ બન્યો. ચાર મહિનાની આ યાત્રા માત્ર ભૂગોળની સફર નહોતી; તે મારા અંતર સુધી પહોંચતી બીજી એક યાત્રા પણ હતી. મને સૂચન મળ્યું કે આ સમગ્ર પ્રવાસને હિન્દી ભાષામાં કોલમ સ્વરૂપે લખવો. પરંતુ રોજના ચારથી પાંચ કલાક ફાળવીને વિગતવાર કોલમ લખવી શક્ય ન હતી. તેથી નક્કી થયું કે દિવસ દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ક્ષણોને હું દર સાંજે કાવ્યરૂપે શબ્દ આપી સંપાદકની કચેરીએ મોકલીશ.આ રીતે ભારત યાત્રા શરૂ થયા પછી દરેક દિવસની નોંધ હિન્દી કવિતામાં ઉતરવા લાગી.હું પોતાને કવિ નથી માનતી, પરંતુ આ યાત્રામાં કવિતા મારું માધ્યમ ચોક્કસ બની. જ્યાં ગદ્ય થાકી જતું હતું, ત્યાં કાવ્ય મારા માટે બોલતું હતું. જ્યાં શબ્દો ઓછા પડતા હતા, ત્યાં લાગણીઓ પંક્તિઓ બનીને વહેતી હતી.આજે એ જ હિન્દી કવિતાઓનો ગુજરાતી અનુવાદ કરીને હું એ તમામ ક્ષણોને વાંચકો સાથે વહેંચી રહી છું. જોકે આ તમામ ક્ષણમાં આપ સૌને કેવળ લેખિકા પૂર્વી નહીં પણ એક ગૃહિણી, એક પ્રવાસીની પૂર્વી પણ જોવા મળશે. જે કયારેક હારે છે કયારેય જીતે છે ને કયારેક ખોવાઈ જાય છે. આશા છે કે મારા અગાઉના લેખોની જેમ આ નવી યાત્રા પણ આપના હૃદય સુધી પહોંચશે અને આપનો પ્રેમ પ્રાપ્ત કરશે.
હવે પછીઃ
-
કરણ ઘેલો -પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના
ગુજરાત વિશ્વકોશમાં ‘કરણઘેલો’ની પરિચય નોંધ
લેખક નંદશંકર તુળજાશંકર મહેતાની ગુજરાતની પહેલી ગણનાપાત્ર નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એમાં સમકાલીન રંગો પણ સારી પેઠે પૂરેલા છે. લેખકે વૉલ્ટર સ્કૉટ જેવાની કૃતિથી પ્રેરાઈ આ કથા લખી છે. ઘટનાનિરૂપણ, એની ગૂંથણીની રીતિ, વર્ણનો તથા પાત્રનિરૂપણ પાશ્ચાત્ય નવલકથાની પરંપરા અનુસાર છે.
પાટણનો રાજા કરણ વાઘેલો એના પ્રધાન માધવની પત્ની રૂપસુંદરીને જોઈ એની પર મુગ્ધ થાય છે અને માધવને કોઈ બહાને પરગામ મોકલી એના ઘર પર હલ્લો કરીને રૂપસુંદરીનું હરણ કરે છે. એમાં માધવનો ભાઈ કેશવ લડતાં માર્યો જાય છે અને કેશવની પત્ની ગુણસુંદરી સતી થાય છે. સતી થતી વખતે તે કરણને શાપ આપે છે કે એનો સર્વનાશ થશે. માધવ એનું વેર લેવા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને પાટણ પર ચઢાઈ કરવા પ્રેરે છે. કરણ પાટણ છોડીને ભાગે છે. અલાઉદ્દીન એની પત્નીને લઈ જાય છે. પાછળથી એની પત્ની એની છોકરીને પણ તેડાવે છે. કરણનું અપમૃત્યુ થાય છે. આ ઐતિહાસિક ઘટનાઓમાં લેખકે સમકાલીન વાતાવરણને વણ્યું છે અને પ્રસંગો અને પાત્રોનું ઉમેરણ કર્યું છે. એ પ્રથમ નવલકથા હોવાથી એમાં થોડી કચાશ છે. છતાં પ્રસંગવર્ણન તથા પાત્રનિરૂપણમાં લેખકની વૈયક્તિક શક્તિઓ દેખાય છે. આ નવલકથા લખવાનો હેતુ ‘વ્યભિચારની હાર અને મગરૂબીનો માર, પાપનો ક્ષય અને ધર્મનો જય’ આલેખવાનો છે. એમાં એમને થોડેવત્તે અંશે સફળતા મળી છે એમ કહી શકાય. ગુજરાતી ગદ્ય કથન અને વર્ણનમાં અહીં ઘડાતું જાય છે. નવલકથાલેખનના પ્રથમ પ્રયાસ તરીકે એનું સાહિત્ય ઇતિહાસમાં સ્થાન છે.
મણિલાલ હ. પટેલ
સંપાદકીય નોંધ:
૧. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘ગુજરાતી સાહિત્ય’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૨. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા.
એક વાર્તા.

કર્ત્તા : નંદશંકર તુળજાશંકર
આ પ્રાંતના ઘણા ખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્ત્તાઓ વાંચવાનો ઘણો શોખ છે, પણ હજી સુધી એવી વાર્ત્તાઓ ગદ્યમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે, અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પુરી પાડવાને તથા અંગ્રેજી ગાથા તથા વાર્ત્તાના જેવાં ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઈન્સપેકટર મહેરબાન રસલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્ત્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. તે ઉપરથી આ પુસ્તક મેં આસરે ત્રણ વર્ષ ઉપર રચ્યું, પણ કેટલાંએક કારણેને લીધે તેને જલદીથી છપાવવાનું બન્યું નહી.
જેઓએ અણહિલપુર પાટણનો ઇતિહાસ વાંચ્યો હશે તેઓ આ પુસ્તકમાં લખેલી કેટલીએક બીનાથી જાણીતા હશે. કરણ ઘેલા વિષે જેટલી હકીકત ઇતિહાસ ઉપરથી જણાય છે તેમાં બીજી નવી કલ્પિત વાતો ઉમેરીને આ વાર્ત્તાનો વિસ્તાર કીધો છે, જે વખતે આ સઘળી બીનાઓ બની તે વખતે લોકોની રીતભાત કેવી હતી, તેઓના વિચાર કયા પ્રકારના હતા, ગુજરાતના રજપૂત રાજા તથા દિલ્હીના મુસલમાન પાદશાહની રાજનીતિ વગેરે કેવી હતી, રજપૂતોના પુરૂષો તથા સ્ત્રીઓનું શૂરાતન તથા જાત અને કુલ અભિમાન કેટલું હતું, મુસલમાનોમાં કેટલો જુસ્સો, ધર્માંધપણું, તથા હિંદુઓ ઉપર અને તેઓના ધર્મ ઉપર કેટલો દ્વેશ હતો, એ વગેરે બીજી કેટલીએક હકીકતોનું જેમ બને તેમ ખરેખરું ચિત્ર બતાવી આપવું એ જ આ પુસ્તકનો હેતુ છે, એ હેતુ કેટલે દરજ્જે પાર પડ્યો છે તેનો નિર્ણય કરવાનું વાંચનારાઓને સોંપીએ છીએ.
આ પુસ્તકમાં ભૂત, પ્રેત, વગેરે વહેમોની વાત આવે છે, તથા કેટલાએક વિષય ઉપર જુદા જુદા માણસોએ પોતાના અભિપ્રાય જણાવ્યા છે – તેઓ સઘળા માનવા લાયક તથા તે વાતો સાચી છે એવો મારો વિચાર નથી. જે વખતે એવી વાત બની એમ લખ્યું છે તે વખતે તેઓ ઉપર લોકોને ઘણો ભરોસો હતો, અને એવી મતલબની દંતકથાઓ હજી પણ આ પ્રાંતમાં ચાલે છે, તે માત્ર જણાવવી એ જ હેતુથી આ પુસ્તકમાં તે દાખલ કીધી છે, અને જે માણસોએ જેવા અભિપ્રાય આપ્યા છે તેવા જ તેઓના ખરેખરા હતા તે બતાવી આપવાને આ ઠેકાણે તે પ્રસિદ્ધ કીધા છે.
આવી જાતનું પુસ્તક ગુજરાતીમાં પહેલું જ છે માટે તેમાં ખામીઓ તો હશે જ, તેને માટે સુજ્ઞ વાંચનારાઓ તરફથી માફી મળવાની આશા રાખું છું. જો આ પુસ્તકથી વાંચનારાઓને આનંદ માત્ર થશે તો એ લખવાની મતલબ ઘણે દરજ્જે પાર પડી એમ હું સમજીશ.
નં. તુ.
હવે પછીઃ પ્રકરણ ૧ લું
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
વાદળ છો કે નેતા છો?
આ વખતે તો બહુ તરસાવ્યા! વાદળ છો કે નેતા છો?ઠાલા ઠાલા હાલ્યા આવ્યા! વાદળ છો કે નેતા છો?તમે અમારી તરસ ઉપર પણ તરસ ન ખાધી…..આવા અંગારા વરસાવ્યા? વાદળ છો કે નેતા છો?ખોબો ટાઢક માંગી’તી કાંઇ બીજું નહોતું માગ્યું હો…એમાં ગર્જીને ધમકાવ્યા? વાદળ છો કે નેતા છો?એક તમે પણ ના વરસ્યા ને ઉપરથી વીજળીના ફાંફા,..શું કામ ખેતર ખેડાવ્યા ? વાદળ છો કે નેતા છો ?ચોમાસાની આ સંસદમાં ટીંપુયે પણ નહીં વરસીને…ખુદને છાપામાં ચમકાવ્યા! વાદળ છો કે નેતા છો?અમે જ ચૂંટી ચૂંટીને વિશ્વાસ તમારી આંખ્યે આંજયો…અમને ધોળે દી’ નવરાવ્યા? વાદળ છો કે નેતા છો?લાગે છે કે હવે તમે પણ ઘરભેગુ કરતા શીખી ગ્યા….કોણે આવા પાઠ ભણાવ્યા? વાદળ છો કે નેતા છો?~ કૃષ્ણ દવે -
કદર ના જાની, કદર ના જાની
ધિક્કારનાં ગીતો
હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના…
દીપક સોલિયા
નવામાં નવી પેઢીનાં છોકરાંવ પણ કિશોર-રફી-મુકેશ-લતા-આશાનાં ગીતોથી થોડાઘણા તો પરિચિત છે જ, કારણ કે આ કલાકારોએ એટલાં બધાં અને એટલાં યાદગાર ગીતો ગાયાં છે કે એ બધાં ગીતો સાવ જ વિસરાઈ જાય એવો યુગ હજુ ઘણો ઘણો ઘણો દૂર છે.
આ બધાંમાંથી કિશોર કુમાર -અને મુકેશ પણ- એવા ગાયકો હતા જેમણે શાસ્ત્રીય સંગીતની ઝાઝી તાલિમ તો નહોતી લીધી, પરંતુ તેઓ એવી રીતે ગાઈ શકતા જેથી તેમની ગાયકી સીધી લોકોના હૃદયને સ્પર્શી શકે. તેમાં અતિ વિદ્વત્તા, સજ્જતા, શાસ્ત્રીયતાનો ભાર નહોતો. કિશોરના ગીતોમાં ગાવા ઉપરાંત વાત કરવાનો, સંવાદ સાધવાનો ભાવ વધુ પ્રબળ રહેતો. એટલે જ્યારે જ્યારે એવું બન્યું છે કે એક જ ગીત કિશોર કુમારે પણ ગાયું હોય અને અન્ય ગાયક કે ગાયિકાએ પણ ગાયું હોય ત્યારે મોટા ભાગના કિસ્સામાં કિશોરવાળું ગીત પ્રમાણમાં વધુ લોકપ્રિય બન્યું છે. જેમ કે, ફિલ્મ પ્યાર કા મૌસમનું એક ગીત છે, તુમ બિન જાઉં કહાં, કે દુનિયા મેં આકર કુછ ન ફિર ચાહા કભી તૂમ કો ચાહ કે…
મજરૂહ સુલતાનપુરીએ લખેલા આ ગીતના શબ્દો એકદમ સામાન્ય છે (ફટ જાએંગી દીવારેં સુન કે મેરી સદા), પરંતુ આર. ડી. બર્મનનું સંગીત એકદમ કેચી છે, યાદગાર છે. ફિલ્મમાં આ ગીત કિશોરે પણ ગાયું છે અને રફીએ પણ. રફીએ તો બે વાર ગાયું છે. ફિલ્મના હીરો શશી કપૂરને રફીનો અવાજ મળ્યો છે, જ્યારે ફિલ્મમાં શશી કપૂરના પિતાની ભૂમિકા કરનાર ભારત ભૂષણને કિશોરને અવાજ ફાળવાયો છે. બન્ને ગાયકોએ એટલી શાનદાર ઢબે ગાયું છે કે બેમાંથી બહેતર કોણ એ નક્કી કરવું ન કેવળ મુશ્કેલ છે, બલ્કે એ કવાયતમાં પડવા જેવું નથી. હા, બેમાંથી કયા ગાયકે ગાયલું વર્ઝન વધુ લોકપ્રિય-યાદગાર બન્યું એની વાત કરીએ તો ચુકાદો સ્પષ્ટ છેઃ કિશોરવાળું વર્ઝન વધુ ‘ચાલ્યું’. તમે આ ગીત યાદ કરશો તો તમને ગીતના આરંભે યોડેલિંગ (હા હા હા હં હં આ હા હા)વાળું, કિશોર કુમારવાળું વર્ઝન પહેલું યાદ આવશે.
એક આડવાત. કિશોર કુમાર યોડેલિંગ માટે જાણીતા છે. યોડેલિંગ એ ગાયકીનો એવો એક પ્રકાર છે જેમાં ઊંચા અને નીચા સ્વર વચ્ચે ઝડપી આવજા કરવામાં આવે છે. યોડેલિંગના મૂળિયાં સ્વિત્ઝર્લેન્ડની રૂપાળી ખીણોમાં રહેલા છે. ત્યાં વસતા સમુદાયો વચ્ચે પ્રત્યાયન (કમ્યુનિકેશન) માટે અને ત્યાંના ભરવાડો દ્વારા ગાયોનું ધણ એકઠું કરવા માટે યોડેલિંગનો ઉપયોગ થતો. કિશોર કુમારે અનેક ગીતોમાં, જેમ કે ફિલ્મ અંદાઝના ગીત ‘જિંદગી એક સફર હૈ સુહાના’માં યોડેલિંગના સુંદર નમૂના પેશ કર્યા છે.
તો, ‘તુમ બિન જાઉં કહાં’નું કિશોરના યોડેલિંગથી શરૂ થતું અને પછી એકદમ સરળ, લોકભોગ્ય રીતે ગવાયેલું કિશોરવાળું વર્ઝન રફીએ ગાયેલા વર્ઝન કરતાં વધુ લોકો સુધી પહોંચ્યું. અલબત્ત, એનો અર્થ એવો નથી કે કિશોરની ગાયકી વધુ ઊંચી હતી. ના, વાત ફક્ત એટલી જ છે કે કિશોરવાળું વર્ઝન વધુ લોકોને વધુ સમય સુધી યાદ રહ્યું. આવો જ કિસ્સો ફિલ્મ શર્મીલીના ગીત ‘ખીલતે હૈ ગુલ યહાં’નો છે. આ ગીત કિશોરે પણ ગાયું છે અને લતા મંગેશકરે પણ, પરંતુ તમે આંખ બંધ કરીને યાદ કરશો તો લતા કરતાં પહેલાં કિશોરવાળું વર્ઝન તમને યાદ આવે તેની શક્યતા વધુ છે. ફરી એ જ વાત, ગાયકીમાં લતા કરતાં કિશોર ઊંચા હતા એવું નથી, પરંતુ આપણે ફક્ત હકીકત પર જ ફોકસ કરીએ તો લતા કરતાં કિશોરવાળું વર્ઝન વધુ ‘સફળ’ રહ્યું તે સ્વીકારવું પડે. વળી, આ ગીત પૂરતી એક દલીલ એવી પણ થઈ શકે કે આ ગીત પ્યાર માટે આમંત્રણ આપતું ગીત છે અને પ્યારનું આમંત્રણ આપવાનું કામ સામાન્ય રીતે સ્ત્રી કરતાં પુરુષો વધુ કરતાં હોય છે અથવા એમ કહીએ કે પ્યારની પહેલ પુરુષ કરે તે આપણને વધુ સહજ લાગે છે. માટે કદાચ કિશોરવાળું વર્ઝન વધુ ચાલ્યું હોય એવું બને.
આપણે જે ગીતની વાત કરવાની છે એ છે કિશોર તથા અન્ય ગાયકે ગાયેલા એક ત્રીજા ગીતની. એ ગીત છે હમે તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના.
આ ગીત પણ લેખના આરંભે નોંધેલા ગીત – તુમ બિન જાઉં કહાં-ની જેમ મજરૂહે લખેલું અને આર. ડી. બર્મને સંગીતમાં ઢાળેલું અને તેને બે ગાયકોએ ગાયેલું, કિશોર કુમારે અને પરવીન સુલતાનાએ. ગીત પોતે સુપરહિટ છે, પરંતુ બેમાંથી વધુ સુપરહિટ વર્ઝન કયું એનો જવાબ સ્પષ્ટ છેઃ કિશોરવાળું વર્ઝન. આજે પણ કિશોરના ગીતોના પ્રોગ્રામમાં આ ગીત તમને અવારનવાર સંભળાશે. ગીતના શબ્દો અને સંગીત બન્ને એકદમ સરળ છે, સંવાદ સાધનારા છે. એ ગીત સાંભળીએ તો એવું લાગે કે એક પુરુષ શાંતિથી ઊભો ઊભો તેની પ્રેમિકાને કહી રહ્યો છે; પદ્યમાં નહીં, બલ્કે જાણે ગદ્યમાં વાત કરી રહ્યો છે કે હું તને કેટલી ચાહું છું એ તો ખબર નથી, પણ એટલી ખબર છે કે તારી વિના જીવી નહીં શકું.
ખેર, આ ગીતનું કિશોર કુમારવાળું વર્ઝન વધુ લોકપ્રિય બન્યું તેનો કશો જ વિરોધ નથી, પરંતુ એક વાત ભૂલવા જેવી નથી અને ખાસ નોંધવા-સમજવા જેવી છે કે આ ગીતનું વધુ ધારદાર-અણિદાર-શાનદાર વર્ઝન પરવીન સુલતાનાવાળું ફિમેલ વર્ઝન છે. પુરુષ કરતાં સ્ત્રી, કિશોર કરતાં પરવીન વધુ અસરકારક, વધુ હૃદયભેદી રીતે ઇર્ષ્યાનો ભાવ વ્યક્ત કરી શક્યાં છે.
દ્વેષ-ગીતોની આ શ્રેણીમાં આ પ્રેમાળ ગીત –હમેં તુમસે પ્યાર કિતના-ને સમાવવાનું કારણ છે ઇર્ષ્યા. પહેલી નજરે કોમળ જણાતું આ ગીત અસલમાં ફરિયાદનું ગીત છે, જલનનું ગીત છે, જેમાં ગાયિકા રીપિટેડલી કહે છેઃ કદર ન જાની, કદર ન જાની. તને મારી કદર નથી, તને મારી કદર નથી.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
વાદ્યવિશેષ : (૪૩) – તાલવાદ્યો (૮) – પખાવજ
ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

તસવીરમાં જોઈ શકાય છે કે પ્રથમ દૃષ્ટીએ પખાવજનો દેખાવ અગાઉ વર્ણવેલાં ઢોલક, ઢોલકી, માદલ કે ખાસ કરીને મૃદંગ સાથે ખાસ્સો મળતો આવે છે (અમુક જાણકારો પખાવજને મૃદંગનું ઉત્તર ભારતીય સ્વરૂપ કહે છે) . એ બધાં તાલવાદ્યોની જેમ જ પખાવજ પણ સાગ કે અન્ય કોઈ મજબૂત વૃક્ષના થડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થડના લગભગ બેથી અઢી ફીટ જેટલા ટૂકડાને લઈ, તેને અંદરથી પોલો કરી દેવામાં આવે છે. જો કે કેટલાક કલાકારો માટી વડે બનાવાયેલા પખાવજનો આગ્રહ રાખતા હોય છે. તે પછી બન્ને બાજુના ખુલ્લા છેડા પર બકરા, ઘેટા કે ભેંસના ચામડા વડે તેને મજબૂતીથી સેવી લેવાય છે. સીલાઈ માટે ચામડામાંથી બનાવાયેલા પાતળા પટ્ટા વપરાય છે. અપેક્ષિત બોલ નીપજાવવા માટે બેય બાજુના ચામડાનું ખેંચાણ ચોક્કસ દરજ્જાનું કરવા માટે પખાવજની રચનાના નળાકારની ઉપસેલી બાજુએ લાકડાના નાના કદના ઘન નળાકાર ટૂકડાઓ ગોઠવવામાં આવે છે.
દેખાવે મૃદંગ કે ઢોલ જેવું આ વાદ્ય તેના વાદનથી શી રીતે અલગ પડે તે સવાલ થવો સ્વાભાવિક છે. જાણકારો આ બાબત આસાનીથી સમજી શકે પણ એક સરેરાશ સંગીતપ્રેમી ભાવકને સરળ શબ્દોમાં સમજાવી શકાય કે સરખામણીએ પખાવજનો અવાજ વધુ ઘેરો અને ઊંડાણવાળો હોય છે. આ કારણથી કોઈ ફિલ્મી ગીત સાથે તેનો ઉપયોગ સળંગ થાય તે શક્યતા ઓછી હોય છે. આખા ગીતના કોઈ ચોક્કસ ભાગમાં તે પ્રયોજાતું હોય છે. કાનને શ્રવણથી કેળવતા જવાથી આ તાલવાદ્યના બોલ અલગ તારવી સ્શકાય છે.
પખાવજનો ઉપયોગ મહદઅંશે ધ્રુપદ શૈલીના શાસ્ત્રીય ગાન સાથે તેમ જ કથ્થક અને ઓડીસી જેવી નૃત્ય શૈલી સાથે સંગત કરવા માટે કરાય છે. સુખ્યાત પખાવજવાદક પંડીત ભવાની શંકરને આ તાલવાદ્ય પર જપતાલ વગાડતા સાંભળવાથી તેના બોલનો ખ્યાલ આવશે.
હવે કેટલાંક પખાવજપ્રધાન ફિલ્મી ગીતો માણીએ.
શરૂઆત કરીએ ૧૯૪૯ના વર્ષમાં પરદા પર આવેલી મશહૂર ફિલ્મ મહલનાં બે ગીતો સાથે. તેના સંગીતકાર ખેમચંદ પ્રકાશે એવી ધૂનો સર્જી હતી કે પોણી સદીનાં વ્હાણાં પણ આ ફિલ્મનાં ગીતોની તાજગીમાં કશીય ઝાંખપ લાવી નથી શક્યાં.
પહેલાં સાંભળીએ પખાવજના તાલથી સભર એવું ગીત, ‘એક તીર ચલા દિલ પર લગા’.
એ જ ફિલ્મનું અન્ય ગીત ‘દિલ ને ફીર યાદ કીયા, બેવફા લૌટ કે આ’ માણીએ. આ ગીત સાથે પણ પખાવજનો ઉપયોગ મુખ્ય તાલવાદ્ય તરીકે કરાયો છે.
૧૯૫૬ની ફિલ્મ ન્યુ દિલ્હીનું ગીત ‘મુરલી બૈરન ભયી’ આજે પણ સંગીતની મહેફીલોમાં ગવાતું/સંભળાતું રહે છે, શંકર-જયકિશનના સંગીતથી સજેલા આ ગીતમાં પખાવજના બોલ સ્પષ્ટ સાંભળી શકાય છે,
https://www.youtube.com/watch?v=SlnI7xJL5e0&list=RDSlnI7xJL5e0&start_radio=1
આગળ વધીએ ફિલ્મ નવરંગ (૧૯૫૯)ના ગીત ‘કારી કારી કારી અંધિયારી થી રાત’ તરફ. વસંત દેસાઈના નિર્દેશનમાં બનેલા આ નૃત્યગીતમાં ચોક્કસ સ્થાને પખાવજના તાલનો સંગાથ ખુબ જ ઈષ્ટ લાગે છે. આ ગીતની બાંધણી બહુ વિશિષ્ટ છે. પહેલાં તેમાં શબ્દોનું પઠન છે અને પછી એ જ શબ્દોનું ગાયનરૂપે પુનરાવર્તન થાય છે. આમાં ‘જબ સઘન ગગન પે ગરજ ઉઠી’ શબદાવલી પછી વાદળોના ગરજવાના અવાજની અસર પખાવજવાદન વડે ઉપસાવવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=Vw2DLtEcKzQ&list=RDVw2DLtEcKzQ&start_radio=1
૧૯૭૧ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ પાકીઝાની સાફળતામાં તેનાં ગુલામ મહંમદનાં બનાવેલાં ગીતોનું મોટું પ્રદાન હતું. ઉલ્લેખનીય છે કે કેટલાંક કારણોસર આ ફિલ્મનું નિર્માણ અધવચ્ચે અટકી પડ્યું હતું અને છેક અગીયાર વરસ પછી ચાલુ થયું હતું. જો કે એ સમયગાળામાં ગીતો તો રેકોર્ડ થઈ ગયાં હતાં. છેવટે ફિલ્મ પરદા ઉપર આવી, ત્યારે ખેમચંદ પ્રકાશ તેમના સંગીતની સફળતા જોવા માટે આ દુનિયામાં નહોતા રહ્યા. આ ફિલ્મનું પખાવજપ્રધાન ગીત ‘કૌન ગલી ગયો શ્યામ’ સાંભળીએ.
ફિલ્મ એક નયી પહેલી (૧૯૮૪) માટે ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ તૈયાર કર્યાં હતાં. તેના ગાત ‘ઈસ મન કો ઈક ઠેસ લગી’ના વાદ્યવૃંદમાં તાલવાદ્ય તરીકે પખાવજનો ઉપયોગ થયો છે.
હવે પછીનું ગીત ૨૦૦૭ની ફિલ્મ ભૂલભૂલૈયાનું ‘મેરે ઢોલના’ છે. પ્રીતમે સ્વરબદ્ધ કરેલા આ ગીતમાં પખાવજના બોલ સતત ધ્યાન ખેંચતા રહે છે.
૨૦૧૫માં પરદા પર આવેલી ઐતિહાસિક ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું એક પખાવજના બોલોની સંગત ધરાવતું ગીત ‘બજને દે ધડક ધડક’ સાંભળીએ. આ ફિલ્મનાં ગીતો તેના દિગ્દર્શક સંજય ભણસાલીએ જ તૈયાર કર્યાં હતાં. પરદા ઉપર અલબત્ત, કલાકારો ઢોલ વગાડતા દેખાડવામાં આવ્યા છે.
આમ તો આ શ્રેણીમાં હિન્દી ફિલ્મી ગીતોનો સમાવેશ કરવાનો ધારો રાખ્યો છે, પણ અપવાદરૂપે એક સંગીતપ્રધાન મરાઠી ફિલ્મ કટ્યાર કલેજિત ઘૂસ લીનું એક ગીત ‘દિલ કી તપીશ’ સાંભળીએ. મૂળ જીતેંદ્ર અભિષેકીએ તૈયાર કરેલી શાસ્ત્રીય ધૂનને ફિલ્મી ગાયકીના ઢાળમાં શંકર-એહસાન-લોયની સંગીતકાર ત્રીપૂટીએ ઢાળી છે. સંગત પૂરાવતા પખાવજના બોલ ખાસ્સા ધ્યાનાકર્ષક બન્યા છે.
આખરમાં સાંભળીએ ફિલ્મ પદ્માવત(૨૦૧૮)નું પ્રખ્યાત એવું ‘ઘૂમર’ નૃત્યગીત. આ ઐતિહાસિક ફિલ્મના દિગ્દર્શક સંજય ભણસાલીએ ફિલ્મના ગીત-સંગીતનો હવાલો પણ પોતે જ સંભાળ્યો હતો.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
