વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું : પ્રકરણ ૧ – કાશ્મીરનું સ્વપ્ન

    “કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું” ઈ. સ. ૧૯૧૧માં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલું.

    ઈ. સ. ૧૮૯૨માં માત્ર અઢાર વર્ષની ઉમ્મરે તેમણે આ પુસ્તક પહેલવહેલું લખેલું. એમાં તેમના સંસ્કારી હૃદયની, તેમની સૃષ્ટિસૌંદર્ય નીરખવાની ને તેને સરળ ને રસિક શૈલીથી આલેખવાની તેમની શક્તિની આપણને પ્રતીતિ થાય છે.

    ⁠પોતાના કાશ્મીરના પ્રવાસનું વર્ણન તેમણે તેમના શિક્ષક સ્વ. નરહર બાલકૃષ્ણ જોશીને ઉદ્દેશીને લખાયેલા પત્રરૂપે આલેખ્યું છે. એમાં તે સમયના કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યનું તેમ જ પ્રવાસમાંની સગવડ-અગવડનું ચિત્રણ ચીતર્યું છે, જે આજેય સુરમ્ય લાગે છે.

    “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ”ના તત્કાલિન પ્રમુખ શ્રી મનુ સુબેદારનાં પુસ્તકની બીજી આવૃતિમાંના નિવેદનમાંથી


    સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

    ૧-કાશ્મીરનું સ્વપ્ન1

    શાર્દૂલવિક્રીડિત

    ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
    વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;
    ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,
    જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

    ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,
    નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;
    ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,
    તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

    છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
    કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી;
    વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
    કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

    જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
    એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?

    ⁠:૧૮૯૨

    1“ફકીરી હાલ” પહેલાંના કેટલાક કાવ્યો


    ક્રમશઃ


     હવે પછી : પ્રકરણ ૨ – પત્રની શરૂઆત

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભાટીઆની કુળકથા

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


    પુસ્તક ક્રમાંક: ખ ૧૧૪/ ૬૪૪  

    પુસ્તકનું નામ: ભાટીઆની કુળકથા

    મૂળ હિંદીમાંથી ભાષાંતર કરનાર: મથુરાદાસ લવજી

    છાપનાર: સુબોધપ્રકાશ છાપખાનું, મુંબઈ

    પ્રકાશન વર્ષ: સંવત ૧૯૪૦

    કિંમત:

    પૃષ્ઠસંખ્યા: ૬૧

    વિગત: ‘ન્યાતિબંધુઓને પોતાની જાતનો ઈતિહાસ જાણાવાને ઉપયોગી જાણીને મૂળ હિંદુસ્તાની ભાષામાં છપાયલા ગ્રંથનો ગુજરાતીમાં તરજુમો’ કરવામાં આવેલો છે. આ ઉપરાંત પણ થોડી વિગત ઉમેરવામાં આવી છે. પુસ્તકમાં ભાટીઆ વંશના ઉદ્‍ભવથી લઈને તેના વિસ્તાર અને કુલ ૮૪ નુખનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. આ ૮૪ નુખનાં સાત મુખ્ય ગોત્ર અને પેટા ગોત્રનો તેમાં ઉલ્લેખ છે. ભાટીઆઓ સમગ્ર દેશના કયા કયા વિસ્તારોમાં વસેલા છે તેની રસપ્રદ વિગતો સમાવાયેલી છે.


    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/ebooks-143


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • દુઃખ : એક ઉત્સવ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ગામ-શહેરનાં ચોક, બજાર, ગલી, મહોલ્લામાં ચારેકોર સ્મશાનવત્ સૂનકાર હતો. કોરોનાની મહામારીના આતંક લીધે  નિસ્તબ્ધતા છવાયેલી હતી. મોતની સંખ્યા દિવસે દિવસે વધતી હતી. નાનાં-મોટાં, અમીર-ગરીબ, નેતા-અભિનેતા વચ્ચે ભેદ રાખ્યા વગર કોરોનાએ અનેક પરિવારોને પરેશાન કરી દીધા.

    સુરેશ આમાંથી બાકાત નહોતો. છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ જરાય ઓછો નહોતો થતો. અકાળ મૃત્યુનો ડર તીક્ષ્ણ ધારની જેમ મનને છેદી રહ્યો હતો એના ચહેરા પર ભય અને પીડાનો આતંક સાફ દેખાતો હતો. નાની અમસ્તી વાત કે વસ્તુ પણ ભયાનક સ્વરૂપે દેખાતી.  અખબાર, ટીવી., મોબાઇલ પર મિત્રો સાથે વાતોમાં કે ખાવા-પીવામાંય મન નહોતું લાગતું. પતિની પીડા જોઈને અનુપમા હોસ્પિટલમાં દાખલ થવા કહેતી. હોસ્પિટલનું નામ સાંભળતા જ સુરેશ સહેમી જતો.

    દર્દીની સારવાર કરવામાં કોવિડથી સંક્રમિત થવાની શક્યતાને લીધે હોસ્પિટલમાં સારવારમાં લાપરવાહી વર્તાતી હોય છે એવો ભ્રમ એના મનમાં ઘર કરી ગયો હતો. મરણાસને પહોંચી ગયો હોય એવી લાગણીથી ઘેરાયેલા સુરેશને મૃત્યુ સિવાય અન્ય કોઈ વિચારોય નહોતા આવતા. જીવન અર્થહીન લાગવા માંડ્યું.

    એ મરશે ત્યારે શત્રુઓ કેટલા ખુશ થશે, પત્ની બીજા લગ્ન કરશે, મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર કરવાના બદલે એની લાશને જમીનમાં દાટી દેવાશે એવા સંભવિત દૃશ્યોની કલ્પનામાંથી જાતને જુદો તારવી નહોતો શકતો.

    સુરેશના શ્વાસ ખૂબ તીવ્રતાથી ચાલતા હતા. અડોશપડોશમાં કોઈનેય સુરેશની બીમારીની જાણ ન થાય એવી સતર્કતાથી અનુપમા દવા લઈ આવતી.

    “જાણો છો, અષાઢ મહિનામાં દર વર્ષે રથયાત્રાના પંદર દિવસ પહેલાં ઠાકુર જગન્નાથજીને પણ તાવ આવે છે, એમનેય નાની કોટડીમાં બંધ રહેવું પડે છે? આપણે તો સામાન્ય માણસો છીએ અને આ તો સીઝનલ તાવ છે. થોડી પીડા વેઠવી પડે એમાં ડરવાનું નહીં. જગન્નાથજી સહાય કરશે ને સૌ સારા વાના થશે. પણ, હવે સરકારી નિયમ અનુસાર ઓળખપત્ર આપીશું તો જ દવા મળશે ને વળી સ્વાસ્થ્યકર્મીઓ ઘેર આવીને તમને જોઈ જશે.” અનુપમા સુરેશને આશ્વાસન આપતા બોલી.

    સ્વાસ્થ્યકર્મી આવીને કોવિડ છે એવું કહેશે તો હોસ્પિટલમાં જવું પડશે, એ વિચારે સુરેશ વધુ ગભરાઈ ગયો. થોડીવારમાં સ્વાસ્થ્યકર્મીઓ આવ્યા. નજીકના પરીક્ષણ કેન્દ્ર પર લઈ જઈને પરીક્ષણ કરવામાં આવ્યું. રિપોર્ટ આવે ત્યાં સુધી ઘરમાં જ ઈલાજ કરવાની સૂચના મળી. તત્કાળ તો સુરેશને હાશ થઈ, પણ એ હાશ લાંબી ન ચાલી.

    સોસાયટીમાં સુરેશને કોરોના થયાની અફવા ફેલાવાથી લોકોએ એનાથી અંતર રાખવા માંડ્યું. દૂધવાળા, છાપાવાળા, શાકભાજીવાળાએ ઘેર આવવાનું ટાળ્યું. સોસાયટીના લોકોના વ્યવહારથી એ વધુ ભયભીત થયો.

    હવે તો સુરેશને સપનામાંય કાળાં, બિહામણા, ડ્રેગન જેવી આગ ઓકતા રાક્ષસો, હાથમાં તલવાર અને ગળામાં ખોપરીઓની માળા પહેરેલી રાક્ષસીઓ દેખાતી. ઘડીભરમાં એ સૌના ચહેરા સોસાયટીવાળાના ચહેરામાં ફેરવાઈ જતા. એમના પાશમાંથી છૂટવા મથતા સુરેશને એ લોકો ચારેકોર લપકારા લેતી આગ કે જ્વાળામુખીમાં ફેંકી દેતા.

    ઊંઘમાંય સુરેશ ‘કોરોના ….કોરોના…’ની બૂમો મારતો. પરસેવાથી લથબથ સુરેશને અનુપમા હડબડાવીને ઊઠાડી દેતી.

    એટલામાં ડોર-બેલ વાગ્યો. પરીક્ષણ કેન્દ્રમાંથી રિપોર્ટ લઈને ‘કોરોના વૉરિઅર’ ઊભો હતો.

    “અભિનંદન મી.સુરેશ. તમારો કોવિડ રિપોર્ટ નેગેટિવ છે.” સુરેશ કંઈ પૂછે એ પહેલાં એ બોલ્યો.

    સુરેશ તો ખુશીથી પાગલ…

    “મેં કોવિડ જેવા અજાણ્યા શત્રુને મહાત કર્યો.”

    સુરેશ તો જાણે જંગ જીત્યો, પણ કોરોનાએ જે જંગ આદર્યો હતો એનાથી ફરી લૉકડાઉનની જાહેરાત થઈ. જાનહાનીનો આંક ઉત્તરોઉત્તર વધતો ચાલ્યો. લાશોના ખડકલા વધતા ચાલ્યા. જાનલેવા બીમારીના ભયના લીધે સ્વજનોને અંતિમ સંસ્કાર આપવાથીય લોકો દૂર રહ્યા.

    સૌને સમજાયું કે પ્રકૃતિની સામે માનવ કેટલો પામર, કેટલો અસમર્થ છે. જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, સ્મિત-શોક, હાનિ-લાભ જીવનના અંશ માત્ર છે.

    સુરેશ સાથે પણ એમ જ બન્યું. થોડા સમય પહેલાં કોરોના સામે જંગ જીતીને ખુશ થયેલા સુરેશના નસીબમાં એ ખુશી ઝાઝી ટકી નહીં.  કોવિડ વૅક્સીન, બુસ્ટર ડૉઝ લેવા છતાં એ ફરી બીમાર પડ્યો. જીવન મોત સામે જંગ હારી ગયું.

    સુરેશ-અનુપમાના પ્રેમલગ્ન બંનેમાંથી એક પણ પરિવારે સ્વીકાર્યા નહોતા. પતિના મૃત્યુ બાદ અનુપમા પોતાની જાતને સંભાળવા અસમર્થ હતી ત્યાં નાનકડી દીકરીને ક્યાં સંભાળે? મોત જ એક રસ્તો દેખાતે હતો જેનાથી આ સંજોગો સામે મુક્તિ મેળવી શકે. એણે નિર્ણય લઈ લીધો, પણ માનવીએ લીધેલા નિર્ણયને ઉપરવાળો ક્યાં માન્ય રાખે છે? આત્મહત્યા કરવા નદીમાં કૂદવા જતી અનુપમાને કોઈએ બચાવી લીધી.

    “મને મરવા દો. મારા જીવનમાં માત્ર દુ;ખ અને અંધકાર જ છે.” અનુપમા રડી પડી.

    “સંસારમાં પરિવર્તન અફર છે. દિવસ પછી રાત અને હર રાત પછી દિવસ આવે જ છે. સુખ-દુઃખનું પણ એમ જ છે. બંનેમાંથી એક પણ સ્થાયી નથી, એ સત્ય જે સમજી લે એ કશાથી ચલિત નથી થતાં. કૃપા કરીને હું જ્યારે બોલાવું ત્યારે જરૂર આવજો. મહત્વપૂર્ણ વાત કરવી છે.” કહીને અનુપમાને બચાવનાર એ વૃદ્ધે એને એક કાર્ડ આપ્યું.

    એટલામાં દીકરીના રડવાનો અવાજ સાંભળીને સફાળી ચોંકી.

    “અરેરે.. વગર વિચાર્યે એ શું કરવા બેઠી હતી !! જાણે વૃદ્ધના સ્વરૂપે આવીને ભગવાને એને અનર્થમાંથી બચાવી લીધી.

    એક દિવસ એને નિશ્ચિત સ્થળે બોલાવવામાં આવી.

    આખો હૉલ ભરેલો હતો. મંચ પર ઉપસ્થિત પેલા સજ્જનનું ભાષણ શરૂ થયું.

    “પ્રિયજનો,

    “આપને એવું લાગે છે કે, આપ સૌ વિફળ અને પરાજિત લોકો છો, પણ ખરેખર તો તમે સૌ હાર્યા પછી પણ વિજેતા બની શકો છો. વિફળતા વિરામચિહ્ન કે દુઃખદાયક સ્થિતિ નથી.

    “તમે જ સિદ્ધ કરી શકશો કે જીવન મૂલ્યવાન હીરો છે. માત્ર એને ચમકાવવાની જવાબદારી પોતાની છે.

    “આપણે હવા ભરેલો ફુગ્ગો લઈએ છીએ, પણ બીજા દિવસે એના હાલ જુદા હોય છે. સાચવીને રાખવા છતાં એમાંથી ધીમેધીમે હવા નીકળતી જાય એમ એ ઢીલો પડતો જાય છે. એવી રીતે મોહ-માયા, સુખઃદુખમાંથી પણ સમય આવતા તમારું મન મુક્ત થશે.

    “નિષ્ફળતા કાયમ સાથે નથી રહેતી. કેટલીય ચૂંટણીઓ હાર્યા પછી અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા. ૧૦૦ થી વધુ શૉટ અને ૩૦૦ મેચ હાર્યા પછી માઇકલ જોર્ડન બાસ્કેટ- બોલના શ્રેષ્ઠ ખેલાડી ગણાય છે.

    “રામેશ્વરમ્ માં અખબાર વેચવાવાળો છોકરો- અબ્દુલ કલામ ‘મિસાઇલ-મેન’નું બિરુદ અને ભારતના રાષ્ટ્રપતિનું સન્માન પામ્યા.

    “એક અખબારમાંથી છુટ્ટા કરવામાં આવેલ યુવાન વૉલ્ટ ડિઝનીનું નામ આજે પણ અમેરિકાની એનિમેશન ઇન્ડસ્ટ્રિમાં આદરથી લેવાય છે.

    “કમ્પ્યૂટર, ઈ-મેઇલ કે ઇન્ટરનેટથી સાવ અજાણ એવા જેક- મા ચીનના સૌથી સફળ મેગ્નેટ, રોકાણકાર, અલીબાબા ગ્રુપના સહ-સ્થાપક ધનિક વ્યક્તિ તરીકે વિશ્વભરમાં જાણીતા છે.

    “જેમની મા માનસિક રોગીઓની હોસ્પિટલમાં હતી, પિતાના મૃત્યુ પછી ભારે જહેમતથી ભાઈને ઉછેર્યો, જેમનું બાળપણ અતિ કષ્ટદાયી હતું એવા ચાર્લી ચેપ્લિન આજે પણ સૌ કોઈની સ્મૃતિમાં છે.

    “યાદ રાખજો, ખરું ગૌરવ નિષ્ફળતા પછી હાર માનવાના બદલે ઊભા થઈને સફળ થવાનો પ્રયાસ કરવામાં, નિષ્ફળતા પરથી પાઠ શીખીને વિજેતા બનવામાં છે.”

    મંચ પર વક્તવ્ય પૂરું થયું ત્યારે ઉપસ્થિત શ્રોતાના ચહેરા પરથી દુઃખની છાયા ઓસરી અને સાહસ, ઉત્સાહની ભરતી ચઢી. સુરેશના ગયા પછી અનુપમાને પહેલી વાર દુઃખને સફળતાનો પાયો કેવી રીતે બનાવાય એ સમજાયું.


    દાશરથિ ભૂયાં લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નવાં ચંપલ

    આશા વીરેંદ્ર

    રંગય્યા ને નિર્મળાનાં પાંચ પાંચ સંતાનો હરિશરણ થયાં. એ પછી કેટલાય દોરા-ધાગા કર્યા પછી રમણ જીવ્યો તો ખરો પણ એના જન્મતાંની સાથે જ નિર્મળાએ આંખ મીંચી દીધી.

    ‘દેવા રે દેવા,આ તેં મારી સાથે કેવી મજાક કરી?  એની માને દીકરાના કેટલા ઓરતા હતા ને એ તો એનું મોઢું જોવાય ન ઊભી રહી!’ રંગય્યા મનોમન પ્રભુ સાથે આવા સંવાદ કરતો પણ પછી એણે રમણમાં જ પોતાનો જીવ રેડી દીધો.

    એ મોચીકામ કરતો. ચંપલ ને છત્રી રિપેર કરવાં, બૂટનું તળિયું નાખવું, એવાં નાનાં-મોટાં કામ કરીને બાપ-દીકરા જોગું કમાઈ લેતો. બરાબર સરકારી નિશાળની સામે એની બેસવાની જગ્યા હતી. ત્યાં લીમડા નીચે એ પોતાની પેટી લઈને બેસતો. એ કામ કરતો હોય ત્યારે રમણ એની બાજુમાં બેસી રહેતો. એક દિવસ શાળાના મુખ્ય શિક્ષક દિલીપસરની નજર આ બાપ-દીકરા પર પડી. એમણે રંગય્યાને કહ્યું, “ભાઈ, તું આખો દિવસ છોકરાને તારી પાસે બેસાડી રાખે છે એના કરતાં નિશાળમાં ભણવા મોકલતો હોય તો? વાંચતાં-લખતાં શીખશે તો કાલ ઊઠીને આગળ આવી જશે.”

    રંગય્યાને પોતાના કાન પર ભરોસો ન બેઠો. એને થયું, સાહેબ મારી મજાક તો નહીં કરતા હોય ને? અમારા જેવા ચામડા સાથે કામ કરનારના છોકરાને કોણ ભણાવે? બે હાથ જોડી એણે કહ્યું, “મારા રમણને નિશાળમાં આવવા દેશો? અમે તો… અમે તો પેલી બસ્તીમાં રહેવાવાળા લોકો છીએ.”

    “એમાં શું થયું? હું ઊંચ-નીચમાં નથી માનતો. મારે માટે તો બધા સરખા. કાલથી છોકરાને મોકલવા માંડ. સરકારની મધ્યાહ્ન ભોજન યોજનામાં એને જમવાનું પણ મળશે એટલે તારે જરાય ચિંતા નહીં.”

    રમણ નિશાળમાં ભણવા જશે? હજીય રંગય્યાના માનવામાં નહોતું આવતું. ઘરે જઈને  પાઈ પાઈ કરીને જે કમાણી ભેગી કરી હતી એ પૈસા લઈ એ બજારમાં ગયો. રમણ માટે એક ખમીસ અને ચડ્ડી ખરીદ્યાં. બીજે દિવસે નવાં કપડાં પહેરીને રમણ તૈયાર થયો ત્યારે એ કોઈ રાજકુંવર હોય એમ રંગય્યા એને તાકી રહ્યો.

    “લો સાહેબ, આજથી આ છોકરો તમને સોંપ્યો. તમારે જ એનો ઘાટ ઘડવાનો છે.” ગળગળા સાદે આટલું બોલીને એણે રમણનો હાથ દિલીપસરના હાથમાં મૂક્યો. થોડા દિવસ પછી એણે પૂછ્યું, “સાહેબ, છોરો બરાબર ભણે છે ને? તોફાન નથી કરતો ને?”

    “એમ કર ભાઈ, આજે તો તું જ આવીને જોઈ લે કે, તારો છોકરો શું કરે છે?”

    કંઈક ડરતો અને કંઈક સંકોચાતો રંગય્યા છોકરાઓ જ્યાં ભણતા હતા એ પરસાળ નજીક જઈને ઊભો. રમણનો અવાજ સાંભળતાં એના કાન સરવા થયા. પાસે જઈને જોયું તો બાકીના છોકરાઓ બેઠા હતા અને રમણ વચ્ચે ઊભો રહીને બોલતો હતો, “આજે હું તમને ‘બાલશિક્ષા’માંથી એક વાર્તા વાંચી સંભળાવું છું. એક વખત એક રાજા શિકારે નીકળ્યો… ”

    ‘લે, મારા રમણિયાને વાંચતાં આવડી ગયું! આટલા બધા છોરાઓની સામે ઊભો રહીને કેવો વાંચે છે!’ રંગય્યાની આંખમાંથી ટપટપ આંસુ પડવા માંડ્યાં. દિલીપસરે બાજુમાં આવી એને ખભે હાથ મૂકી કહ્યું, “તારો દીકરો બહુ પાણીદાર છે. એટલે જ તો મેં એને મોનિટર બનાવ્યો છે. એક દિવસ રમણ તને મોટરમાં બેસાડીને ફેરવશે જોજે! આજથી એની બધી જવાબદારી મારી, બસ?”

    જાણે સાક્ષાત્ ભગવાનને જોતો હોય એમ રંગય્યા બે હાથ જોડીને સાહેબને જોઈ રહ્યો. વાંકો વળીને એમને પગે લાગવા ગયો ત્યારે એણે સાહેબનાં તૂટેલાં ચંપલ જોયાં. “સાહેબ, આજનો દિવસ તમારાં ચંપલ મને આપો. કાલે નવાં કરીને પાછાં આપીશ. ના ન પાડશો સાહેબ, મને આટલું કરવા દો.”

    સાહેબે હસીને કહ્યું, “સારું લઈ જા ને મારે માટે કંઈક કરવાની તારી ઇચ્છા પૂરી કર. મને તો ખુલ્લા પગે ફરવાની આદત છે એટલે તને ચંપલ આપવામાં વાંધો નથી.”

    ઘરે જઈને રંગય્યા ખાધા-પીધા વિના ચંપલની મરામત પાછળ લાગી પડ્યો. દોઢ-બે કલાકની મહેનતને અંતે ચંપલ એકદમ નવાં જેવાં થઈ ગયાં ત્યારે પોલિશ કરીને, ચમકાવીને એણે અભરાઈ પર મૂક્યાં ને ઘડીક આડે પડખે થયો. હજી તો માંડ આંખ મળી હશે ત્યાં ચારે બાજુ હો હા ને બૂમાબૂમ સંભળાવા લાગી, “ભાગો, ભાગો, બસ્તીમાં આગ લાગી છે. જલદી ઘરની બહાર નીકળો.”

    આંખો ચોળતો રંગય્યા ઊભો થવા ગયો ત્યાં એણે જોયું કે, એનું ઝૂપડું પણ આગની ઝપટમાં સપડાઈ ગયું છે. બેબાકળો થઈને એ દોડવા ગયો ત્યાં એને ચંપલ યાદ આવ્યાં. એ વળી પાછો અંદર ઘૂસ્યો. બહારથી લોકો બૂમ પાડતા હતા, “રંગય્યા, જલદી બહાર નીકળ. તારું ઝૂપડું હમણાં બળીને ખાખ થઈ જશે.” ચંપલ છાતીએ લગાડીને એ ધુમાડાથી ભરેલા ઘરમાંથી ખાંસી ખાતો બહાર નીકળ્યો એ ભેગું ઝૂંપડું કડડભૂસ કરતું તૂટી પડ્યું. આગના ખબર મળતાં દિલીપસર પણ બસ્તીમાં આવી પહોંચ્યા હતા. લથડિયાં ખાતો રંગય્યા એમની પાસે પહોંચ્યો અને માંડમાંડ બોલ્યો, “સાહેબ, જુઓ, ચંપલ એકદમ નવાં જેવાં થઈ ગયાં છે ને?”

    “આ તેં શું કર્યું રંગય્યા? ચંપલ તો બીજાં પણ લઈ શકાત પણ તને કંઈ થઈ જાય તો તારા રમણનું કોણ?”

    “તમે છો ને સાહેબ, મારી કરતાં સવાયા ! હું તો જીવું તોય એને ચંપલ સાંધવા સિવાય બીજું કંઈ શીખવી શકું એમ નથી. જ્યારે તમે? તમે તો એને મોટરમાં ફરતો કરવાના છો. એને મોટો સાહેબ બનાવવાના છો. વધારે કંઈ નહીં તોય હું તમારા પગમાં ચંપલ પહેરાવ્યાનો સંતોષ તો લઈને જઈ શકું ને?” બોલતાં બોલતાં એનો શ્વાસ ફૂલવા લાગ્યો. સાયરન વગાડતી એમ્બ્યુલંસ આવી પહોંચી. રંગય્યાને એમાં સુવડાવી દિલીપસર એની બાજુમાં બેઠા અને એનો હાથ પકડીને કહેવા લાગ્યા, “તને કંઈ નહીં થાય.”

    હળવું સ્મિત કરતા રંગય્યા બોલ્યો, “મને કંઈ થાય એની મને ચિંતા નથી. હું જાણું છું કે, મારા દીકરાને એક બીજો બાપ મળી ગયો છે.”


    (વેંકટ નારાયણરાવની તેલુગુ વાર્તાને આધારે)


    ભૂમિપુત્ર : ૧૬ મે, ૨૦૨૪

  • રોશન પછીનાં, રોશન પહેલાંના એક સંગીતકાર રોશન

    બીરેન કોઠારી

    ગાયિકા- સંગીતકાર તરીકેની તેમની ઓળખ, પણ એ ક્ષેત્રે તેમનું પ્રદાન સાવ મર્યાદિત જણાય છે. ૧૯૪૮માં રજૂઆત પામેલી ‘અમ્બિકા ફિલ્મ્સ’ નિર્મિત, એમ.આઈ.ધરમશી દિગ્દર્શીત ફિલ્મ ‘અનોખા પ્યાર’માં તેમનું એક યુગલ ગીત હતું એમ જાણવા મળ્યું. આ ફિલ્મ સંગીતપ્રેમીઓને યાદ છે એમાંના લતા મંગેશકરે ગાયેલાં ગીતો માટે. સંગીતકાર અનિલ બિશ્વાસે ફિલ્મનાં દસ ગીતો પૈકી નવ ગીતમાં લતાના સ્વરનો ઉપયોગ કર્યો હતો. દસમું ગીત મુકેશનું એકલગાન હતું. લતાએ ગાયેલાં નવ ગીતમાંથી બે યુગલગીત હતાં, અને સાત એકલગીત. આ બે યુગલગીતમાંથી એક ગીતના સહગાયક છે મુકેશ, જ્યારે બીજા ગીતમાં લતાનાં સહગાયિકા છે ઈરા નાગરથ.

    ઈરા નાગરથ

    હિન્દી ફિલ્મોમાં આપણે એક જ ‘નાગરથ’ને જાણીએ છીએ- રોશનલાલ નાગરથ. ઈરા નાગરથ તેમનાં પત્ની. મૂળ તો ઈરા મોઈત્રા, પણ રોશનલાલ સાથે લગ્ન કર્યા પછી ‘નાગરથ’ બન્યાં.

    હરમંદીરસિંઘ ‘હમરાઝ’ સંપાદિત હિન્દી ફિલ્મ ગીતકોશ અનુસાર આ ગીત મૂળ તો અનિલ બિશ્વાસે મીના કપૂર પાસે ગવડાવીને તેનો ઉપયોગ ફિલ્માંકનમાં કર્યો હતો, પણ આ ગીતની રેકોર્ડ બહાર પાડતી વખતે મીના કપૂર બીમાર હોવાથી તેમણે એક યુગલ ગીતમાં મીના કપૂરને બદલે ઈરા નાગરથના સ્વરનો ઉપયોગ કર્યો.

    યુ ટ્યૂબ પર આ યુગલ ગીત ‘એ દિલ મેરી વફા મેં કોઈ કસર નહીં‘ ઉપલબ્ધ છે, અને તેમાં લતાનાં સહગાયિકા તરીકે ઈરા નાગરથનું નામ છે, પણ ગીતકોશની માહિતી અનુસાર ફિલ્માંકન મીના કપૂરના સ્વરમાં કરવામાં આવ્યું હોવાથી આ સ્વર હકીકતમાં મીના કપૂરનો હોવો જોઈએ. આ ગીતની 78 આર.પી.એમ.ની રેકોર્ડ નં. N 35594 પર ઉપલબ્ધ ગીતમાં ઈરા નાગરથનો સ્વર હશે.

    ઈરા નાગરથના સ્વરવાળી રેકોર્ડ સિને પ્લોટ પર મુકાયેલ છે. .

    ‘અનોખા પ્યાર’આં અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલું, લતા સાથેનું યુગલગીત અહીં સાંભળી શકાશે, આ ફિલ્મની ક્લિપ હોવાથી તેમાં સ્વર મીના કપૂરનો છે.

    ૧૯૪૮ની જ એક અન્ય ફિલ્મ ‘ગજરે’માં પણ ઇરા નાગરાથનું લતા મંગેશકર અને કોરસ સાથેનું એક ગીત પણ મળી આવે છે.

    રોશનના ૧૯૬૭માં થયેલા અવસાન વખતે અધૂરી રહેલી ફિલ્મ ‘અનોખી રાત’ (૧૯૬૮)માં પાર્શ્વસંગીત સલીલ ચૌધરીએ આપ્યું હતું. અન્ય ગીતો રોશને તૈયાર કરી દીધાં હશે, પણ ‘મહલોં કા રાજા મિલા’ ગીત ઈરા રોશને પૂર્ણ કર્યું હતું. એ ફિલ્મના ટાઈટલમાં ‘એસોસિયેટ મ્યુઝીક ડિરેક્ટર’ તરીકે ઈરા રોશનનું નામ જોઈ શકાય છે.

    ‘અનોખી રાત’નાં ટાઈટલ

    રોશનના પુત્ર રાજેશ રોશને સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી હજી અપનાવી નહોતી. એ છેક ૧૯૭૪માં ‘કુંવારા બાપ’થી બન્યું.

    ૧૯૮૧માં રજૂઆત પામેલી ફિલ્મ ‘શાકા’માં પણ સહાયક સંગીતકાર તરીકે ઈરા રોશનનું નામ છે. આ ફિલ્મમાં રાજેશ રોશનનું સંગીત હતું.

    ‘શાકા’નાં ટાઈટલ

    રાજેશ રોશનના સંગીતવાળી, ૨૦૦૨માં રજૂઆત પામેલી ‘આપ મુઝે અચ્છે લગને લગે’ના આખરી ટાઈટલમાં પણ સહાયક સંગીત નિર્દેશક તરીકે તેમનું નામ છે.

    ‘આપ મૂઝે અચ્છે લગને લગે’નાં ટાઈટલ

    એમ લાગે છે કે ઈરા રોશનની પોતાની સાંગિતીક પ્રતિભા સિમીત હશે અથવા તેમણે પોતે એ સાવ સિમીત કરી દીધી હશે.

    હકીકત જે હોય એ, આ વીસરાયેલાં રોશનને આ પોસ્ટ થકી યાદ કરીએ.


    (તસવીર નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આશા ભોસલેનું અન્ય સ્ત્રી ગાયિકા સાથેનું સૌ પ્રથમ યુગલ ગીત: ૧૯૫૪-૧૯૫૭

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    આશા ભોસલેનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથેનાં સૌ પ્રથમ યુગલ ગીતની ખોજમાં ગતાંકમાં આપણે ૧૯૪૯ થી ૧૯૫૩ના વર્ષો દરમ્યાન ૧૦ પાર્શ્વગાયિકાઓ સાથે આશા ભોસલેએ ગાયેલાં સૌ પ્રથમ યુગલ ગીતની યાદ તાજી કરી.

    હવે આગળ……

    ઔરત મરી તો મર્દ કો નયી બીવી મિલી – ખુશ્બુ  (૧૯૫૪) – માલા સાથે – ગીતકારઃ જી એસ નેપાલી – સંગીતઃ શંકર લાલ

    પોતાની લગ્નને લાયક ઉમર છે ત્યારે પોતાનો બાપ ફરી વાર લગ્ન કરવા નીકળ્યો છે.  બે બહેનો આવી વિચિત્ર પૈતૃક સમાજ સામે ફરિયાદ કરે છે.

    ગીતનો વિષય પરંપરાગત સમાજ વ્યવસ્થા સામે છે પણ ગીતની વાદ્યસજ્જા નવા જમાનાની છે.

    કૈસે કહું અપને મનકી વિપતિયાં રે – મહાત્મા કબીર (૧૯૫૪) – અમીરબાઈ કર્ણાટકી સાથે –  ગીતકારઃ ચંદ્રશેખર પાંડેય – સંગીતઃ અનિલ બિશ્વાસ

    અમીરબાઈ કર્ણાટકી જેવાં બહુ અનુભવી ગાયિકા સાથે આશા ભોસલેનું સ્થાન થોડું ગૌણ હોય તે સ્વાભાવિક છે. પરંતુ, તેથી આશા ભોસલેની ગાયકીને એ સ્થિતિ આડે નથી આવતી.

    ગોરી આજ હો ગયી હૈ પરાઈ હમે દે કે ચલી હૈ જુદાઈ – રમ્મન  (૧૯૫૪) – સુધા મલ્હોત્રા સાથે –  ગીતકારઃ અઝીઝ કશ્મીરી – સંગીતઃ વિનોદ

    લગ્ન સમયે કન્યાની સખીઓ ગીત ગાતી હોય એ પ્રથા ભારતમાં બહુ પ્રચલિત છે. તેથી ફિલ્મોમાં પણ ગીત મુકવા માટે આ પ્રસંગ બહુ હાથવગો બની રહેતો જોવામળે છે. આગળ જતાં આશા ભોસલેના ફાળે પણ આ સીચ્યુએશનનાં ઘણાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો ગાવાનાં આવશે.

    મૌજ ખામોશ હૈ બહતા હુઆ ધારા ઠહરા ….. હો જાકે લાગે નૈના વો પાયે નહીં ચૈના – શમા પરવાના (૧૯૫૪)  – સુરૈયા સાથે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ હુસ્નલા ભગતરામ

    સુરૈયાનો શ્રેષ્ઠ કાર્યકાળ લતા મંગેશકરના શરૂઆતનાં વર્ષો સાથે વધારે રહ્યો. તેના પ્રમાણમાં આશા ભોસલે સાથે તેમનો કર્યકાળ ઓછો રહ્યો ગણાય. તેની એક અસર એ  જોવા મળે છે કે સુરૈયાનાં લતા મંગેશકર સાથે ચાર સ્ત્રી – સ્ત્રી યુગલ ગીતો છે તેની સામે આશા ભોસલે સાથે આ એક માત્ર સ્ત્રી – સ્ત્રી યુગલ ગીત છે. આશા ભોસલેના ભાગે ગૌણ કલાકાર માટે પાર્શ્વગાયન કરવાનું આવ્યુ છે, પણ તેનો પ્રભાવ તેમની ગાયન શૈલી પર પડેલો નથી જણાતો.

    ક્યોં દિલ પર રખા હૈ હાથ હો ન હો કુછ બાત હૈ  – દરબાર (૧૯૫૫) – મધુબાલા ઝવેરી સાથે – ગીતકારઃ અસદ ભોપાલી – સંગીતઃ હંસરાજ બહલ

    અહીં પણ બન્ને ગાયિકાઓ આખું ગીત એક સાથે ગાવાનું આવ્યું છે.

    ઓ અલબેલે પછી તેરા દૂર ઠિકાના હૈ – દેવદાસ (૧૯૫૫) – ઉષા મંગેશકર સાથે – ગીતકારઃ સાહિર લુધિયાનવી – સંગીતઃ એસ ડી બર્મન

    એસ ડી બર્મન સાથે બહુ જ શરૂઆતનું આ ગીત ગણાય. તે પછી તો જોત જોતામાં આશા ભોસલેએ એસ ડી બર્મનનાં મહત્વનાં ગાયકોમાં સ્થાન નિશ્ચિત કરી લીધું. આગળ જતાં આશા ભોસલેના ફાળે બાળ કલાકારો માટે ગીતો ગાવાના પ્રસંગો પણ વધતા જતા જોવા મળશે.

    મેરા અમ્મી સે પ્યાર રહે – લુટેરા (૧૯૫૫) – સબીતા બેનર્જી સાથે – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતઃ સી રામચંદ્ર

    અહીં આશા ભોસલે ‘અમ્મી’ તરીકે ગાય છે તો સબીતા બેનર્જી દીકરી તરીકે સ્વર પુરાવે છે.

    દિલ કો લગા કે હુઝુર હમ હુએ મઝબુર – રૂખ્સાના (૧૯૫૫) – ગીતકારઃ કુમાર બારાબંક્વી – સંગીતઃ સજ્જાદ હુસ્સૈન

    કોઠાનાં ગીતો ગાવા માટે જેમને ટાઈપકાસ્ટ કરી દેવામાં આવ્યાં એવાં મુબારક બેગમ સાથે આશા ભોસલે કોઠાનું સ્ત્રી – સ્ત્રી યુગલ ગીત ગાય છે.

    આંખ લડતે હી દિલ ક્યા બદલા, દુનિયા બદલી – પન્ના (૧૯૫૬) – રેખા સબનીસ સાથે – ગીતકારઃ બી ડી મિશ્રા – સંગીત એસ એન ત્રિપાઠી

    રાજા મહારાજાઓના સમયકાળના વિષયોની ફિલ્મોમાં રાજ દરબારમાં કમ સે કમ એક તો સ્ત્રી સ્ત્રી નૃત્ય ગીત હોવું જોઈએ એ વણલખ્યો નિયમ બની ગયો જણાય છે.

    મી હો મરાઠા, હું છું ગુજરાતી – હમ પંછી એક ડાલ કે (૧૯૫૭) – સુમન કલ્યાણપુર સાથે – ગીતકારઃ પી એલ સંતોષી – સંગીતઃ એ દત્તા

    દેશની સંસ્કૃતિનાં વૈવિધ્યમાં એકતા કેટલી સહજ છે તે દર્શાવવા માટે એક નૃત્ય નાટિકા ભજવાય છે.

    આડવાત :

    ખરેખર તો આશા ભોસલે – સુમન કલ્યાણપુરનું ૧૯૫૫નું યુગલ ગીત,  પનઘટ પે ચલી સવાર ગોરી (શ્રી ગણેશ વિવાહ – ગીતકારઃ જી એસ નેપાલી – સંગીતઃ ચિત્રગુપ્ત) આ સ્થાને હોવું જોઈએ. પરંતુ આ ગીત નેટ પર મળ્યું નથી.

    આશા ભોસલેનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથેનાં સૌ પ્રથમ યુગલ ગીતની ખોજમાં સ્વાભાવિક છે કે આશા ભોસલેની કારકિર્દીના આ તબક્કાનાં ગીતો પણ આપણે ખાસ સાંભળ્યાં ન હોય; એટલે આપણે અહીં હજુ એક વિરામ લઈએ કે જેથી આ ગીતોને સારી રીતે મમળાવી શકાય.

  • ઘાટ ઘડીયા પછી નામ-રૂપ ઝૂજવાં

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    ઘાટ ઘડીયા પછી નામ-રૂપ ઝૂજવાં
    અંતે તો હેમનું હેમ હોએ

    નરસૈંયો ભક્ત હરિનો.

    તમામ માનવીઓ તો એક જ તત્વથી બન્યા છે. અપાયેલાં નામો તેને નોખા પાડે છે. સમજાય તો ઝાઝા ઝઘડાઓ આવાં નામોનાં છે. આ વાત સમજાવતી એક મજેદાર કહાની છે.

           ધર્મધ્યાનમાં વિશેષ રુચિ રાખતી કુંવરી તરફ રાજાની બહુ અનુકંપા નહોતી. દરેક ધર્મમાં રાજાને કોઇ ને કોઇ ખામી જ જણાતી હતી. આત્મોદ્ધારની આકાંક્ષા હોવા છતાં ફરી વળેલાં બધાં તીર્થસ્થાનોમાં યે બધે તેને ગંદકી જ ભળાતી હતી. પિતાનું ધ્યાન સ્વધર્મમાં સ્થિર થાય તેવા પ્રયત્નોમાં રાજકુંવરી હતી.

           એમાં તેને એક અનુકૂળ પ્રસંગ હાથ લાગી ગયો. નગરમાં એક નામી સંત પધાર્યા હતા.રાજકુંવરીએ તેની પધરામણી રાજમહેલમાં કરી. તેનો સંગ તેણે પિતાજી સાથે કરાવ્યો. સંતશ્રીએ રાજવીને પૂછ્યું, “આપને શ્રેષ્ઠધર્મ વઇશે જાણવું છે ને ?  તો આપને ગામની બહાર જે નદી વહે છે તેના સામે કિનારે મારી સાથે આવવું પડશે. ત્યાં હું આપને શ્રેષ્ઠધર્મનું જ્ઞાન આપીશ.” રાજવી તો તરત તૈયાર થયા છે અને રાજવીનો હુકમ થયા ભેળી નદી પાર કરવા કેટલીય નૌકાઓ હાજર થઈ ગઈ ! પણ સંતે રાજાને રોક્યા, અને કહ્યું, “ “આ નૌકા તો જૂની છે, આ નૌકા તો કાળી છે, આ હોડી તો સાવ નાની છે, અરે ! આ નૌકામાં તો છીદ્ર હોય તેવી શંકા છે,- આવી નૌકાઓ તો ડુબાડી જ મારે ને ?“ સંતને બસ આવું જ કહ્યા કરતા સાંભળી રાજવીએ તેમને સમજાવ્યું.  “અરે બાપજી ! આટલી નાની એવી નદી છે, ગમે તે એક નૌકામાં બેસીશું તો પણ ઘડીકમાં સામેપાર પહોંચી જઈશું. એમાં આટલી બધી ખોટ-ખામીઓ દર્શાવો છો તે બરાબર નથી.”

              ત્યારે સંત હસી પડ્યા અને કહ્યું કે “ રાજવી ! આ જ મારો તમને જવાબ છે ! તમે એ ધર્મરૂપી દૂધમાંથી પૂરા શોધવાનું – પડતું કરો અને કોઇ પણ એક ધર્મ પકડી લ્યો ! બધા જ ધર્મોનો આશય સંસાર સાગર તરી જવાનો છે. બધા જ ધર્મો સાધનાના સાધન છે.”

            મારા કૃષક ભાઈઓ-બહેનો ! આ ઉદાહરણ આપી મારે એ વાત કહેવી છે કે આપણે ખેડૂતો પણ પેલા રાજવીની જેમ “આ ખેતી પદ્ધત્તિમાં આટલી ખામી છે”, “આ પદ્ધત્તિમાં તો બહુબધી નબળાઇઓ છે”, “આ પદ્ધત્તિમાં તો સિદ્ધાંત જેવી કોઇ વાત જ નથી. આમાં તો બધું આડેધડ ચાલે છે,” “આના કરતા અમારી પદ્ધત્તિ ઉત્તમ ગણાય” એવું કહી, એકબીજાને નસેડવાનું બંધ કરીએ. કારણ કે “સજીવખેતી” કહીએ કે “જૈવિકખેતી” કહીએ, અરે ! ‘ઓર્ગેનિક ફાર્મિંગ” જેવું નામ આપી સંબોધન કરીએ કે “ઋષિખેતી”, “પ્રાકૃતિકખેતી” કે ભલેને “ગાય આધારિત ખેતી” કહીએ. આ બધી જ પદ્ધત્તિઓનો હેતુ બસ એક સમાન જ છે, શુભ જ છે.

    બધી પદ્ધત્તિઓનો મૂળ હેતુ :  આ બધી જ પદ્ધત્તિઓ બસ રસાયણ મુક્ત ખેતી કરવાની જ વાત કહી રહી છે. હાલની પારંપારિક ખેતીમાં ખેતીપાકની પોષણપૂર્તિ માટે “રાસાયણિક ફર્ટિલાઇઝર્સ”, ખેતીપાકના રોગ-જિવાત સામેના રક્ષણ વાસ્તે વપરાતી “ઝેરીલી પેસ્ટીસાઈડ્ઝ” અને નિંદણનાશ તથા શાકભાજી-ફળફળાદિ-મરીમસાલાના પાકોમાં તેના જીવનચક્રને કૃત્રિમરીતે તોડફોડ કરનારા હોર્મોંસનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે બધાના હિસાબે જમીનનું બંધારણ બગડી રહ્યું છે, તેની જીવંતતા નષ્ટ થઈ રહી છે, તેની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઓટ ઊભી તઈ રહી છે. તથા પાણીના તળ તૂટી રહ્યા છે, ઝેરી બની રહ્યા છે. અરે, પર્યાવરણને ન પૂરી શકાય તેટલું નુકશાન થઈ રહ્યું છે, ઉપરાંત ખેતર-વાડીઓમાં જે ઉત્પન્ન થઈ રહ્યું છે, તેને આરોગવાથી જીવજગતની તંદુરસ્તી જોખમમાં મૂકાવા લાગી છે. આવાં બધાં તારણો હાથ લાગ્યાં પછી-આ બધી બદીઓમાંથી છૂટકારો મેળવવા ઉપરાંત ખેતીમાંથી ઓછા ખર્ચથી નરવ્યું અને વધારે ઉત્પાદન મેળવવું હોય તો કેવા પ્રકારની ખેતી પદ્ધત્તિ અપનાવી હોય તો આ બધા હેતુઓ સુપેરે પાર પડે ? એ માટે થઈને કેટલાક દ્રષ્ટિસંપન ખેડૂતો, વિજ્ઞાનીઓ, પ્રયોગવીરો અને શુભચિંતકોના પ્રયોગગૃપ દ્વારા આ બાબતે જે અનેકવિધ અખતરા-પ્રયોગો થઈ રહ્યા છે તે પ્રયોગપદ્ધત્તિને આવાં જુદાં જુદાં નામો અપાયાં છે. આ બધી જ પદ્ધત્તિઓનો બસ “રાસાયણિક ખેતીની ચુંગાલમાંથી છૂટવું” એ એક જ આશય રહ્યો છે.

    એક નાનકડું ઉદાહરણ : માની લો કે આપણે ૫૦ ખેડૂત જુવાનિયા ગિરનારના ઊંચા શીખરે બિરાજમાન અંબાજીની ટુંકના દર્શને જવા નીકળ્યા. તળેટીમાં જઈ પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે શીખર ઉપરે તો “રોપ વે” દ્વારા, “ડોળી દ્વારા”, “પગથિયા દ્વારા” અને “કેડી” દ્વારા-એમ ચાર રીતે ચડી શકાય છે. બધાને મનગમતી રીતે શીખર ચડવાની છૂટ હતી. એક ટુકડી કહે અમારે તો રોપવે દ્વારા પહોંચવું છે. બીજી ટુકડી ડોળીઓમાં બેસી ઉપર જવા તૈયાર થઈ. ત્રીજી ટીમના યુવાનોએ ચણતર કરી બાંધેલ પગથિયા ચડીને ઉપર પહોંચવાનું નક્કી કર્યું. જ્યારે કેટલાક સાહસિક અને મક્કમ મનોબળ વાળા યુવાનો નીકળ્યા કે જેમણે વાંકીચુંકી પગદંડીએ પગપાળા ચાલીને જ ઉપર પહોંચવાની હોંશ દેખાડી.

          આપણે જોયું કે આ યુવાનોમાં દરેકના શીખર ચડવાના રસ્તા જુદા જુદા હોવાછતાં દરેકનો હેતુ બસ એક જ રહ્યો કે અંબાજીની ટુકના દર્શને પહોંચવું. આમાં આપણે કોઇ એવું થોડા કહી શકવાના કે “કેડીએ કેડીએ ચાલીને” કે “પગથિયા ચડીને” દર્શને જવું એ બરાબર નથી. દર્શને તો બસ, “રોપવે દ્વારા” જઈએ તો જ સાચા દર્શન થયા ગણાય ? બસ, આવું જ ત્રણ-ચાર નામધારી ખેતી પદ્ધત્તિઓ આવી વિશિષ્ટ રીતથી ખેતી કરવાના પંથે આગળ વધી રહી છે તે સૌનું ધ્યેય બસ એક જ રહ્યું છે કે આ રાસાયણિક ખેતીની નાગચૂડમાંથી કેમ છૂટવું ? બધી જ પદ્ધત્તિના શુભ આશય  વિશે થોડી વિગત જાણીએ.

    [અ]….સજીવખેતી પદ્ધત્તિ : છેલા ૩૦-૩૫ વરસોથી માત્ર ગુજરાત રાજ્ય જ નહીં, પણ અન્ય રાજ્યોમાં અને દેશ લેવલે આ પદ્ધત્તિનો વ્યાપ કેમ વધે તે વાસ્તે ખેડૂત અને ઉપભોક્તાને જાગૃત કરવા અનેક જાતના પ્રચાર-પ્રસારના કાર્યક્રમો-નિદર્શનો-પ્રદર્શનો-સભા-સંમેલનો-સાહિત્ય પ્રચાર અને જણસીના વેચાણકેંદ્રો જેવા અનેકવિધ કાર્યક્રમો વડોદરામાં આવેલ “જતન ટ્રસ્ટ” [શ્રી કપીલભાઇ શાહ] દ્વારા ચલાવાઇ રહેલ છે. જેમાં ખેતીપકના જી.એમ.બીજ, રાસાયણિક ફર્ટિલાઇઝર્સ, ઝેરીલી પેસ્ટીસાઇઝ અને નિંદણનાશક રસાયણો તથા વિવિધ પ્રકારના હોર્મોંસ થકી થઇ રહેલાં નુકશાન સમજાવી, સામે દેશી તથા સંકર બીજના ઉપયોગની સાથે પાકની ફેરબદલી, મિશ્રપાક, લીલો પડવાસ, કઠોળ વાવેતર, ગોપાલન અને કંપોસ્ટ ખાતરની ભેર, અળસિયાં પાલન, સૂર્યપ્રકાશ અને કુદરતી સ્ત્રોતોની મદદ, વૃક્ષ ઉછેર, તથા જળસંચય અને પાણીનો વિવેકસભર વપરાશ, ગોબર-ગોમુત્ર અને વાનસ્પતિક પાક રક્ષકો, મિત્ર કીટકોનો ઉછેર, ફેરોમેન ટ્રેપ, પ્રકાશપિંઝર, પંખીવસાહત, અને વાડી ફરતી જીવંતવાડ જેવાં અનેકવિધ કાર્યક્રમોના અમલ થકી  એક આખો જીવંતમાહોલ ઊભો કરી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા ઉપરાંત બિનઝેરી ઉત્પાદન તૈયાર કરી સારાએ સમાજને ચરણે ધરનારી અને ખેડૂતને પણ પ્રમાણમાં ઓછા ખર્ચથી તેમની મહેનતનું વ્યાજબી વળતર મળી રહે અને ઉપભોક્તાને અહિંસક પોષક આહાર મળી રહે તે અંગેની ચિંતા સેવનારી જે પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે તે પદ્ધત્તિને આપણે “સજીવખેતી” જેવા નામથી ઓળખીએ છીએ. આવી ખેતીને કેટલાક “પ્રાકૃતિક ખેતી”,”જૈવિકખેતી” કે ‘ઓર્ગેનિક ફાર્મિંગ”ના નામથી પણ સમ્બોધતા હોય છે.

    જમીન વિજ્ઞાનીઓનો અભિપ્રાય : જમીન વિજ્ઞાનીઓનું એવું તારણ છે કે ખેતર-વાડીની જમીનની અંદર કઠ્ઠણ સ્વરૂપે પડી રહેલા ખનીજ ઘટકોમાંથી તત્વો ખેંચવાનું કામ વનસ્પતિના મૂળિયાં માટે ઘણું અઘરું છે. પણ આ કઠ્ઠણ કામ જમીનની અંદર રહેલા બેક્ટેરિયાને બહુ ફાવે છે. પણ એ બેક્ટેરિયાની સંખ્યા ઘણી ઓછી પડે છે. એ બેક્ટેરિયાની સંખ્યા જો વધારી દેવામાં આવે તો એ બધા બેક્ટેરિયા ખુબ બધા ખનીજોને ખાઇ ખાઇ એવા સુપાચ્ય રસ સ્વરૂપે બનાવી દે છે કે હવે મૂળિયાં એ બધું આસાનીથી ચૂસી શકે છે. એ બધા જ બેક્ટેરિયા ખુબ ખનીજો ખાઇ, પોતે તગડા બની જ્યારે મરી [આયુષ્ય સાવ ટુંકું હોઇ] જાય છે, ત્યારે તે મૃત પદાર્થો ખેતી પાકનાં મૂળિયાં માટે મિજબાની સમાન હોય છે. આવા ઉપયોગી બેક્ટેરિયાની સંખ્યા દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સુધીની હોય છે.

    એક ખાસ વાત : મહારાષ્ટ્રના વિજ્ઞાની ડૉ. આનદ કર્વે એ એક પ્રયોગ કરેલો. ૧ કિલો વાડીની માટી લઈ તેમાં પાણી સાથે માત્ર અરધો ગ્રામ શુદ્ધ સાકર નાખી જોઇ. તો એ માટી માહ્યલા બેક્ટેરિયાની સંખ્યા ૨૪ કલાકમાં ૫૦૦ ગણી વધી ગયેલી જોઇ. જ્યારે ગાયના ગોબરમાં તો માટી કરતાં પણ અનેકગણા જીવાણું હોય છે. પણ એ ગોબર-ગોમુત્રમાં ખોરાકરૂપી શર્કરા-એટલે કે ગોળ-શેરડીનો રસ કે પાકાં ફળો જેવાનું ગળપણ અને સાથે પ્રોટીનયુક્ત શક્તિ અર્થે કોઇપણ કઠોળનો લોટ ઉમેરાય તો જીવાણુની સંખ્યા અધ..ધ અનેકગણા ગુણાંકમાં વધી જાય. અને હવે આવું દ્રાવણ પાકને આપવાનું ગોઠવ્યું હોય તો બીજા કોઇ પદાર્થોના ઉપરથી ઉમેરણની જરૂર રહેતી નથી.

    [બ] ગાય આધારિત સુભાષપાલેકર – આધ્યાત્મિક ખેતી:    મહારાષ્ટ્રના ખેડૂત પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ ખેડૂતોને રાસાયણિક ખેતીની ચુંગાલમાંથી મુક્ત કરવાની જે શોધ ચાલુ કરી તેના પાયામાં [૧] બીજામૃત,[૨]જીવામૃત [૩]આચ્છાદન [૪]બાષ્પ.આ ચાર ફેક્ટરના ઊંડા અભ્યાસમાંથી એવો સુજાવ મળી ગયો.કે જેમાં રાસાયણિક ફર્ટિલાઇઝર નાખવાની તો જરૂર ન જ પડે, પણ ગાડામોઢે ગોબરયુક્ત ખાતરો પણ નાખવાની જરૂર ન પડે ! સતત ૬ વરસના સંશોધન કાર્ય બાદ તેમને માલુમ પડ્યું કે જો ખેડૂત પાસે એક દેશી ગાય હોય તો તે પોતાની ૩૦ એકર જમીનમાં અન્ય કોઇ ખાતરરૂપી પદાર્થના ઉમેરણ વિના માત્ર ગાયના ગોબર-ગોમુત્ર સાથે કેટલાક પદાર્થોના સહયોગથી પાકના પોષણ અને સંરક્ષણની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય છે. આ વાતને વ્યવહારમાં મૂકવા તેમણે એક ૨૦૦ લીટર પાણી ભરેલા બેરલમાં ૧૦ કિલો દેશી ગાયનું ગોબર, ૧૦ લીટર ગોમુત્ર, ઉપરાંત ૨ કિલો ગોળ અને ૨ કિલો કોઇપણ કઠોળનો લોટ તથા ખોબો ભરી શેઢાપાળાની માટીનું ઉમેરણ કરી, બેરલને છાંયડે રાખી, ત્રણથી સાત દિવસ લાકડીના દંડાથી સવાર-સાંજ હલાવતા રહી જે દ્રાવણ તૈયાર થયું તેને  “જીવામૃત” એવું નામ આપ્યું. આવું દ્રાવણ મહિનામાં એક વાર એક એકરમાં પાણી સાથે પાઈ દેવાથી પાકની ખોરાકી જરૂરિયાત સંતોષાઇ જાય છે. અને આ જ રીતે ગાયના ગોબર-ગોમુત્ર થકી બનતું સુકું-ઘન જીવામૃત તથા અન્ય પદાર્થોના ઉમેરણ થકી બીજ માવજત માટે “બીજામૃત”, ચૂસિયાં અને નાની ઇયળો માટે “નીમાસ્ત્ર”, મોટી ઇયળો માટે “બ્રહ્માસ્ત્ર” તથા ફળઝાડો-અને ફળોમાં નુકશાન કરતી  માટે “અગ્ન્યાસ્ત્ર” તથા બધા જ પ્રકારની નુકશાન કારક જીવાતો માટે દસપર્ણીઅર્ક” જે કેટલાક લીમડો, સીતાફળી, કરંજ, કરેણ, ધતુરો, બીલી, આંકડા જેવી વનસ્પતિના સહયોગ થકી ઓછા-વધુ પ્રમાણ રાખી પાક પર છંટકાવ અને ફુગ માટે છાશની આશનો છંટકાવ અક્સીર ઉપાય લાગ્યો છે. આ બધી બાબતોમાં કેંદ્રમાં “ગાય” હોઇ, ”ગાય આધારિત સુભાષ પાલેકર આધ્યાત્મિક ખેતી” નામ અપાયું છે.

    [ક] માત્ર બેક્ટેરિયલ કલ્ચર થકી થતી ખેતી પદ્ધત્તિ  નેશનલ સેંટર ઓફ ઓર્ગનિક ફાર્મિંગ કો-ઓપરેશન-ગાજિયાબાદ થકી બહાર પાડેલ “વેસ્ટ ડી કમ્પોઝર” કે જેમાં અનેકવિધ વનસ્પતિઓમાંથી ઉપયોગી બેક્ટેરિયા એકઠા કરી, તેને ફ્રોજન કરી એક નાની બોટલમાં સંગ્રહિત કરેલા હોય છે. ૨૦૦ લીટર પાણીમાં આ એક બોટલ માહ્યલા સુષુપ્ત બેક્ટેરિયાના જથ્થા સાથે માત્ર ૨ કિલો ગોળ ઉમેરી, છાંયડે રાખી, રોજ સવાર-સાંજ દ્રાવણને લાકડીના ડંડાથી હલાવતા રહી- પાંચ સાત દિવસે જ્યારે દ્રાવણ કેસરી રંગ પકડે ત્યારે 1 એકરમાં પાણી સાથે મહિનામાં બે વાર પાઇ દેવાનું. પછીથી નવું દ્રાવણ બનાવવા તૈયાર દ્રાવણમાંથી ૨૦ લીટર દ્રાવણ લઈ, ૨૦૦ લીટર પાણીમાં ૨ કિલો ગોળ સાથે ઉમેરી દેવાથી કામ ચાલી રહે છે. નવું બેક્ટેરિયલ કલ્ચર ઉમેરવાની જરૂર પડતી નથી.. આ રીતે જોઇએ એટલા બેરલ તૈયાર કરી શકાય છે. વળી આ જ દ્રાવણ પાક સંરક્ષણ અર્થે ખેતીપાકો પર છંટકાવ કરવામાં અને કાચા –કુચાવાળા સેન્દ્રિય ખાતરને સેડવીને કમ્પોસ્ટીંગ કરવાના કામમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.

         અને ઉત્તમ અને કમ ખર્ચાળ ખેતી કરવા માટે કોઇ રાસાયણિક ફર્ટિલાઇઝર અને ઝેરીલી પેસ્ટીસાઇડ્ઝની જરૂર ન પડે તેવો હેતુ પારપાડનારા “ગો-કૃપા અમૃતમ-બેક્ટેરિયા” બંસી ગીર ગોશાળાવાળા શ્રી ગોપાલભાઇ સુતરિયા દ્વારા બહાર પડાયા છે. તેનાં પરિણામો પણ ઉત્તમ મળી રહ્યાં છે, અરે ! ખેડૂત અને ખેતીને ખુબ જ લાભદાયી પુરવાર થઇ રહ્યા છે.

    અંતે..: જળ જમીન અને પર્યાવરણની સુરક્ષાની સાથોસાથ જીવજગતને ગુણવત્તા યુક્ત આહાર આપી શકાય અને પ્રમાણમાં કમ ખર્ચથી વધુ ઉત્પાદન પણ મેળવી શકાય એવી પદ્ધતિનો વ્યાપ વધે તો જ ખેડૂત, ખેતી અને જન સમાજ શાંતિથી ટકી શકે. આવા હેતુ સર  અમલમાં આવી રહેલી આ ખેતીની જુદી જુદી પદ્ધતિઓ બધી સમાન ધ્યેયવાળી અને ભગિની પદ્ધતિઓ છે. આમાં કોઇ ઉંચ કે નીચ નથી. બધી શુભ જ છે. આ બધી જ પદ્ધતિઓની ખોજ અને એના પ્રચાર-પ્રસારમાં લાગેલા સૌ મહાનુભાવો-ખેડૂતો-વિજ્ઞાનીઓ અને પદ્ધતિને અમલમાં મૂકી ખેતી કરનારા સૌ ખેડૂત ભાઇ-બહેનો બધા જ વંદનના અધિકારી છે. સૌએ છાતી માથે હાથ રાખી નક્કી બસ એટલું જ કરવાનું છે કે ભૂલમાંયે આપણા કોઇમાંથી ક્યારેય “આ પદ્ધત્તિ ઉત્તમ છે” અને “પેલી પદ્ધત્તિ ઉતરતી કક્ષાની છે” એવું વિધાન કે ચર્ચા-વેણ આપણા મુખમાંથી નીકળવા ન જોઇએ. એવું થયા કરશે તો આમાંની કોઇ ને કોઇ પ્રયોગપદ્ધતિને જબરો અન્યાય થઈ બેસશે હો મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • તુઈ: જૂના વૃક્ષોનો રંગીન રહેવાસી

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    ભારતના જંગલો અને શહેરોને રંગીન બનાવતા અનેક પક્ષીઓમાં Plum-headed Parakeet એટલે કે ગુજરાતીમાં “તુઈ” તરીકે ઓળખાતું સુંદર અને નયનરમ્ય પક્ષી છે. ઘણી વાર તે વૃક્ષોની ટોચ ઉપરથી ઝડપથી ઊડતા જ દેખાય છે અને તેની તીક્ષ્ણ સીટી જેવી કિલકારીઓથી પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. તેનો અવાજ સંભાળીએ તો જાણે તે “તુઈ-તુઈ” બોલતું હોય તેવું લાગે જેથી તેનું ગુજરાતી નામ તુઈ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે મળતા સુડો પોપટની સરખામણીએ તે ઓછો નજરે પડે છે, પરંતુ તેની સૌમ્ય સુંદરતા અને રંગોની અનોખી ભવ્યતા તેને ખાસ બનાવે છે.

    [લાલાશ પડતો જાંબલી રંગ ધરાવતા નર અને રાખોડી જાંબલી ધરાવતા માદા તુઈ માણસો દ્વારા આપેલું અનાજ ચણતા]
    તુઈ મધ્યમ કદનો પોપટ છે, જેના શરીરનો મુખ્ય રંગ લીલો હોય છે અને તેની લાંબી પૂંછડીમાં આસમાની-વાદળી છાંટ જોવા મળે છે. આ પક્ષીની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં સ્પષ્ટ લૈંગિક ભિન્નતા (sexual dimorphism) જોવા મળે છે. પુખ્ત નરના માથા પર ઘાટો ગુલાબી-જાંબલી રંગ હોય છે, ગળા પાસે કાળી પટ્ટી અને ચહેરા આસપાસ વાદળી આભા જોવા મળે છે. માદાનું માથું રાખોડી-જાંબલી રંગનું હોય છે અને તેમાં નર જેવી ગાઢ ગળાની પટ્ટી જોવા મળતી નથી. બન્નેમાં પીળાશ પડતી ચાંચ અને લાંબી આકર્ષક પૂંછડી હોય છે. નાનાં પક્ષીઓ શરૂઆતમાં માદા જેવા દેખાય છે અને નર વધતા વધતા તેનું વિશિષ્ટ જાંબલી માથું વિકસાવે છે.

    [નર તુઇ પોતાના બચ્ચાને ચાંચ દ્વારા ફળ ખવડાવતું]
    આ પક્ષી સુકાં પાનખર જંગલો, ખુલ્લાં વૃક્ષવાળા વિસ્તારો, ખેતરો, બાગો, નદીકાંઠાના જંગલો અને શહેરોના હરિયાળા વિસ્તારોમાં વસવાટ કરે છે. તુઈ માનવ વસાહતોની નજીક પણ સારી રીતે અનુકૂલન કરી લે છે, જો ત્યાં જૂના અને મોટા વૃક્ષો ઉપલબ્ધ હોય. ખાસ કરીને કુદરતી પોલાણ ધરાવતા વૃક્ષો તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ આવા પોલાણમાં માળો બનાવે છે.

    ગુજરાતમાં તુઈનું વિતરણ સૌરાષ્ટ્ર, ગીર વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને હરિયાળા શહેરી વિસ્તારો સુધી ફેલાયેલું છે. તે ઘણીવાર જંગલની ધાર, ગામડાંઓ, વાડીઓ, ખેતીવાડી પ્રદેશો અને શહેરોના બગીચાઓમાં જોવા મળે છે, ખાસ કરીને જ્યાં ફળ આપતાં વૃક્ષો વધુ હોય. ભલે તે રોઝ-રિંગ્ડ પેરાકિટ એટલે કે સૂડો પોપટ જેટલો સામાન્ય ન હોય, પરંતુ ઘણા વિસ્તારોમાં નાનાં ટોળાં નિયમિત રીતે સવાર અને સાંજના સમયે ખોરાક અને વસવાટ માટે અવરજવર કરતા જોવા મળે છે.

    વર્તનમાં તુઈ અત્યંત સામાજિક પક્ષી છે. તે સામાન્ય રીતે જોડીમાં અથવા નાનાં ટોળાંમાં જોવા મળે છે, જોકે ખોરાકની ઉપલબ્ધતા વધારે હોય ત્યારે મોટા જૂથોમાં પણ ભેગાં થાય છે. તેની ઉડાન ઝડપી અને સીધી હોય છે, અને તેની ધાતુ જેવી તીક્ષ્ણ કિલકારીઓ તેને દેખાયા પહેલાં જ ઓળખાવી દે છે. ખોરાક લેતી વખતે તે તેની વાંકી ચાંચ અને પગની મદદથી ડાળીઓ પર અદભુત ચપળતા દર્શાવે છે. તેનો મુખ્ય ખોરાક ફળો, બીજ, ફૂલો, જંગલી બેરીઓ અને ક્યારેક પાકના દાણા હોય છે. ફૂલધારી વૃક્ષો પર ખોરાક લેતાં તે ક્યારેક પરાગસંચારમાં પણ મદદરૂપ બને છે.

    [નર તુઇ વડના ટેટા ખાય છે]
    પર્યાવરણની દૃષ્ટિએ તુઈ અત્યંત મહત્વપૂર્ણ પક્ષી છે. ફળો ખાઈને તેના બીજને અલગ-અલગ સ્થળે ફેલાવીને તે જંગલોના કુદરતી પુનર્જીવનમાં મદદ કરે છે. ઘણા શિકારી પક્ષીઓ માટે તે ખોરાકનો ભાગ પણ બને છે, એટલે ખોરાક જાળમાં પણ તેની અગત્યની ભૂમિકા છે. જૂના વૃક્ષો પર તેની નિર્ભરતા દર્શાવે છે કે તે સ્વસ્થ જંગલ અને શહેરી પર્યાવરણનો એક સારો સંકેતક પક્ષી છે.

    તુઈની એક રસપ્રદ વાત એ છે કે હવે તે ધીમે ધીમે એક “શહેરી પક્ષી” થતું જાય છે. ભારતના અનેક શહેરોમાં તે રસ્તા કિનારાના વૃક્ષો, બગીચાઓ, કોલેજ કેમ્પસ અને રહેણાંક વિસ્તારોની હરિયાળીનો ઉપયોગ કરીને માનવો સાથે સહઅસ્તિત્વ શીખી રહ્યું છે. તેની હાજરી આપણને યાદ અપાવે છે કે શહેરોમાં રહેલી જૂના ઝાડ; વડ, ઉંબરો, શેમડો, બિલી કે કેસુડા જેવા સ્વદેશી વૃક્ષોની હાજરી અનેક પક્ષીઓ, જીવજંતુઓ, ખિસકોલીઓ અને અન્ય જીવસૃષ્ટિને જીવન આપે છે.

    આજના ઝડપથી શહેરીકરણ પામતા સમયમાં, જ્યારે સિમેન્ટ અને કોંક્રીટ હરિયાળીને બદલી રહ્યા છે, ત્યારે સાંજના આકાશમાં ઊડતી તુઈની ઝલક આપણને યાદ અપાવે છે કે કુદરત હજી પણ આપણા આસપાસ જીવંત છે. “તુઈ” માત્ર એક સુંદર રંગબિરંગી પોપટ નથી તે સહઅસ્તિત્વ, અનુકૂલન અને કુદરતની મધુર સુંદરતાનું જીવંત પ્રતિક છે.

    તુઇનો એક વિડિઓ જેમાં તેનો મધુર અવાજ અને વર્તન જોવા મળે છે!

     


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • પ્રસૂતાઓનાં મૃત્યુ સૂચવે છે કે હજી આપણે લાંબો પંથ કાપવાનો છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સ્વાસ્થ્ય અને શિક્ષણ કોઈ પણ રાજ્યવ્યવસ્થાની પાયાની જરૂરિયાત છે. આ બન્ને ક્ષેત્રો એવાં છે કે જેમાં પરિણામ લાંબે ગાળે મળે. આથી તેના અંગેની નીતિઓ કે માળખાકીય બાબતોને તૈયાર કરતાં ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. વખતોવખત તેની પુન:ચકાસણી કે પુનર્મૂલ્યાંકન કરતાં રહેવું જરૂરી બની રહે છે.

    યુ.કે.ના અતિ પ્રતિષ્ઠિત ગણાતા સ્વાસ્થ્ય સામયિક ‘ધ લાન્‍સેટ જર્નલ’માં સ્વાસ્થ્યસંબંધી વિવિધ વિષયોના અભ્યાસ પ્રકાશિત થતા રહે છે. આ અભ્યાસ નક્કર ક્ષેત્રીય વિગતોના આધારે કરવામાં આવે છે. હમણાં તેમાં પ્રસૂતાઓના મૃત્યુદર વિશેનો એક અભ્યાસ પ્રકાશિત કરાયો છે. એ આંકડા ૨૦૨૩ના છે. અભ્યાસ દર્શાવે છે કે વિશ્વભરમાં થતા પ્રસૂતાઓના મરણ પૈકી ૩૬ ટકા મરણ કુલ પાંચ દેશોમાં થાય છે. આ પાંચ દેશો છે: નાઈજીરિયા, ભારત, ઈથિઓપિયા, પાકિસ્તાન અને કેમેરૂન. બીજી રીતે કહીએ તો, પ્રસૂતાઓનાં થતાં મરણ પૈકી ત્રીજા ભાગનાં મરણ આ પાંચ દેશોમાં જ થાય છે અને આ જ ક્રમમાં. એટલે કે આપણા ભારત દેશનો તેમાં દ્વિતીય ક્રમ છે.

    વર્ષ ૨૦૨૩માં ભારતમાં કુલ ૨૪,૭૦૦ પ્રસૂતાઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જે નાઈજીરિયા પછીના ક્રમે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં કુલ બે લાખ ચાલીસ હજાર પ્રસૂતાઓ મૃત્યુ પામી હતી. એટલે કે કુલ એક લાખ બાળકોના જન્મ દરમિયાન ૧૯૦.૫ માતાઓનાં મરણ નીપજ્યાં. આશ્વાસન એટલું છે કે અગાઉ ૧૯૯૦માં આ પ્રમાણ ૩૨૧ મૃત્યુનું હતું.

    સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન.) દ્વારા ૨૦૧૫માં કુલ ૧૭ ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્‍ટ ગોલ્સ’ (એસ.ડી.જી.) નક્કી કરીને ફરજિયાત બનાવાયાં હતાં, જે પૈકીનું એક પ્રસૂતાઓના મૃત્યુદરમાં ઘટાડાનું પણ છે. એ મુજબ ૨૦૩૦ સુધી પ્રત્યેક એક લાખ બાળકના જન્મ દીઠ પ્રસૂતાના મૃત્યુનું પ્રમાણ ૭૦થી ઓછું કરવાનું લક્ષ્યાંક છે. મતલબ કે હજી લક્ષ્યાંકની સરખામણીએ આ મૃત્યુ દર ત્રણ ગણાથી સહેજ જ ઓછો છે.

    આ અભ્યાસમાં કુલ ૨૦૪ દેશોને આવરી લેવાયા હતા, જેમાં જણાયું હતું કે હજી એકસો ચાર દેશો આ લક્ષ્યાંક સિધ્ધ કરવાથી ઘણા ઘણા છેટે છે. આ દેશોમાં ઊપસહરા (સહરાના રણની દક્ષિણે આવેલો વિસ્તાર) અને દક્ષિણ એશિયાના દેશોનો સમાવેશ થાય છે. મૃત્યુનાં બે મુખ્ય કારણ જોવા મળ્યાં છે: રક્તસ્રાવ (હેમરેજ) અને ઊચ્ચ રક્તચાપ (હાઈ બ્લડપ્રેશર). આ આંકડા અને અભ્યાસનો અર્થ એ થયો કે ૨૦૩૦ સુધીમાં યુ.એન.નું લક્ષ્યાંક સિધ્ધ કરવું હોય તો તત્કાળ અને એકદમ કેન્‍દ્રિત પગલાં લેવાં પડે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ભારતમાં ૪૫ ટકા પ્રસૂતાઓનાં મૃત્યુ આ બે કારણોથી થાય છે. અલબત્ત, રક્તસ્રાવથી થતાં મૃત્યુનું પ્રમાણ ૧૯૯૦માં ૪૫ ટકા હતું, જે હવે ઘટીને ૩૩.૭ પર પહોંચ્યું છે, પણ ઊચ્ચ રક્તચાપથી થતાં મૃત્યુનું પ્રમાણ ૧૦ ટકાથી વધીને ૧૨.૧ ટકાનું થયું છે.

    બીજી એક ચિંતા પ્રસૂતિ દરમિયાન કે એ પછી તરત નહીં, પણ મોડાં થતાં  મૃત્યની છે, જે શિશુના  જન્મ પછીના ૪૩ દિવસથી એક વર્ષના સમયગાળાની અંદર થાય છે. આ પ્રમાણ વૈશ્વિક સ્તરે બમણું થઈને ૧.૩ ટકાથી ૩.૨ જેટલું થયું છે. આનો સીધો અર્થ એ થાય કે પ્રસૂતિ પછી રખાતી સંભાળમાં બેદરકારી દાખવવામાં આવે છે યા તેને સદંતર અવગણવામાં આવે છે.  પ્રસૂતિ કેવળ યોગ્ય રીતે સંપન્ન થાય એટલું પૂરતું નથી, એ પછીની સારસંભાળ પણ એટલી જ જરૂરી છે.

    ઊપસહરા પ્રદેશના દેશો પ્રસૂતાઓના મૃત્યુદરનું મુખ્ય કેન્‍દ્ર કહી શકાય. અહીંના વીસ પૈકીના પંદર દેશોમાં આ પ્રમાણ અતિશય વધુ છે.

    આપણા દેશની વાત કરીએ તો આ દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે એમ લાગે. ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ અંતર્ગત ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોની સગર્ભા મહિલાઓની દર માસની નવમી તારીખે શારિરીક તપાસ કરવામાં આવે છે. સરકાર દ્વારા આરંભાયેલી કોઈ પણ યોજનાની કાર્યક્ષમતા અને સફળતાનો આધાર સ્થાનિક પ્રશાસનની જોગવાઈઓ અને તેના ઈરાદા પર અવલંબિત હોય છે. વિવિધ યોજનાઓની ઘોષણા એક વાર કરી દેવાય છે, પણ તેના અમલીકરણ માટેની માળખાકીય સવલતો બાબતે પૂરતી તૈયારી કરાતી નથી.

    આમ છતાં, આ દિશામાં જેટલું પણ કામ થઈ શક્યું છે એ મહત્ત્વનું ગણાવી શકાય. આવા ગંભીર મામલે એવું આશ્વાસન લેવું તદ્દન ખોટું છે કે અમુકતમુક દેશની સરખામણીએ આપણે ત્યાં પરિસ્થિતિ ઘણી સારી છે. કેમ કે, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી મહત્ત્વની બાબતોમાં સરખામણી હંમેશાં આપણાથી પાછળ હોય એની સાથે નહીં, પણ આપણાથી આગળ હોય એની સાથે કરવાની હોય છે.

    અત્યારે પ્રચારનું જોર એવું છે કે એ ભલભલા સત્યને ઢાંકી શકે, એટલું જ નહીં, સાવ બદલી શકે. સરકારનું આખેઆખું તંત્ર સરકારની વિવિધ ક્ષેત્રે સફાળતા દર્શાવવા માટે કામે લાગેલું હોય છે. આથી સાચાખોટાનો ભેદ પારખવો મુશ્કેલ બની રહે છે. યુ.એન.ના નિર્ધારીત લક્ષ્યાંકને પાર પાડવા આડે હવે માંડ ચાર વરસ રહ્યાં છે. આપણા દેશમાં સ્વાસ્થ્યની સુવિધા અને પહોંચ છેવાડાના લોકો સુધી વિસ્તરે એ મહત્ત્વનું છે. કેમ કે, હજી ઘણા પ્રદેશો તેનાથી વંચિત છે. પ્રસૂતિ અંગેની સુવિધાઓ એકદમ પાયાની અને મૂળભૂત ગણાય. તેના અમલીકરણ અંગેની પ્રણાલિ સુદૃઢ અને હજી વધુ સુવિકસીત બને તો માતાઓના મૃત્યુદરને નિયંત્રણમાં લાવી શકાય. આ સંજોગોમાં આવા અભ્યાસ વિવિધ શાસકોને અંતર્દર્શનની તક પૂરી પાડે છે, જો એ કરવાની ઈચ્છા હોય તો.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૯-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : ભાષાઓમાં મુખ્ય, મધુર અને દિવ્ય ભાષા

    દેવિકા ધ્રુવ

    શ્લોકઃ                       

    भाषासु मुख्यामधुरा दिव्या गीर्वाणभारति । 
    तस्मात् हि काव्यं मधुरं, तस्मात् अपि सुभाषितम् ।।
     
    સમાસ વિભાજન અને  શબ્દશઃ ગુજરાતી અર્થ: 
    भाषासु= ભાષાઓમાં, मुख्या+मधुरा= મુખ્ય અને મધુર, दिव्या=દિવ્યगीर्वाण+भारति =વાણી,સંસ્કૃત
     
    तस्मात्=તેમાંहि=પણकाव्यं मधुरं= કાવ્ય મધુર છે. तस्मात् अपि=તેનાથી પણ વધુ सुभाषितम् =સુભાષિતો છે.
     
    શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
     
    ભાષાઓમાં મુખ્ય, મધુર અને દિવ્ય વાણી સંસ્કૃત છે અને તેમાં પણ કાવ્ય મધુર છે. અને તેનાથી પણ વધુ મધુર સુભાષિત છે.
     
    વિચારવિસ્તારઃ 
     
    આ શ્લોકમાં સુભાષિતોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિશ્વમાં ઘણી બધી ભાષાઓ છે અને તે દરેકને પોતપોતાનું સૌંદર્ય છે. તેમ છતાં એ પણ એક હકીકત છે કે, સંસ્કૃત ભાષા બધી ભાષાઓનું મૂળ છે તેથી મુખ્ય છે. દિવ્ય વાણી સંસ્કૃતમાં અવતરી હતી અને  તે ખૂબ જ મધુર છે. તેનાથી પણ વધુ કાવ્ય અને કાવ્યથી પણ વધુ મધુર સુભાષિતો છે.
     
    Sanskrit shlok in English script :
     
    Bhashaasu mukhyaamadhuraa divyaa girvaanbharati
    tasmaat hi kaavyam madhuram,tasmaat api subhaashitam.

    Word to word meaning in English:

    Bhashasu=In languagesmukhyaa=main, madhuraa=sweetdivyaa= divinegirvaan= language, bharati=Indian-sanskrit,

    tasmaat=In that, hi=also, kaavyam =poetrymadhuram=sweet tasmat=In that api= alsosubhaashitam= good quotes

    Translation in English:.
     

    Amongst languages, Sanskrit is the foremost, sweetest, and the most illuminating language.

    Within Sanskrit, the most melodious is its poetry. And within poetry, supreme are its Subhashitas,  the pearls of wisdom.


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com