વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ઉંબરો

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    હજુ તો ઈપ્સિતા મા અને પિતાજી સાથે ઘરનો ઉંબરો ઓળંગે ત્યાં કાળી બિલાડીએ રસ્તો ચાતર્યો.

    “બિલાડી આડી ઊતરી છે. પાછાં અંદર ચાલો, થોડીવાર પછી વાર પછી જઈશું.” પિતાજીએ નીકળવાની મનાઈ ફરમાવી.

    ઈપ્સિતા આવી અંધશ્રદ્ધામાં માનતી નહીં. વળી, આ તો આખો દિવસ ઘરમાં પડી રહેતી પાળેલી બિલાડી જેવી. એનાથી અપશુકન હોય?

    ઈપ્સિતા પરીક્ષા માટે નીકળતી હતી એટલે એ સિવાય બીજો કોઈ વિચાર કરવો નહોતો છતાં, ક્ષણવાર માટે મનમાં શંકા થઈ કે આજે મનોજ સાથે મુલાકાત નહીં થાય કે શું?

    ઘરમાં ઈપ્સિતા અને મનોજના પ્રેમસંબંધની સાથે કોર્ટમાં લગ્ન માટે મનોજે કરાવેલા રજીસ્ટ્રેશનની જાણ થઈ કે એની આસપાસ મા, પિતાજી, ભાઈ-બહેનની નજરોની અદૃશ્ય દીવાલ રચાઈ ગઈ. ઈપ્સિતાએ એ નજરકેદ નીચે બે મહિના પરાણે પસાર કર્યા. બહારની દુનિયાથી એનો સંપર્ક જ તૂટી ગયો. મનોજે લખેલા પત્રો પણ પિતાજી જ લઈ લેતા. પિતાજીની નજરે ન ચઢે એવો માંડ એકાદો પત્ર એના સુધી પહોંચતો.

    હવે આ કેદમાં જ એનું જીવન જશે એવા વિચારે ઈપ્સિતાને હતાશા ઘેરી વળતી.

    કૉલેજની અંતિમ પરીક્ષા આપવા મળશે કે નહીં એ માટે શંકા હતી,પણ મોટાભાઈની સલાહથી ઈપ્સિતાને પરીક્ષા આપવાની મંજૂરી મળી ખરી.

    પરીક્ષા હૉલ માસીના ઘરની નજીક હોવાથી ઈપ્સિતા મા સાથે માસીના ઘેર રહેશે એવું નક્કી થયું.

    ‘હાશ, કમ સે કમ પરીક્ષા હૉલ સુધી તો એ જઈ શકશે. ત્યાં ગમે તેમ કરીનેય એ મનોજને મળી લેશે.’

    ઈપ્સિતાના ઘરમાં  આ સંબંધ સામે વાંધો હતો, બાકી મનોજના ઘરનાં સૌ આ સંબંધથી ખુશ હતાં.

    મનોજની યોજના મુજબ પરીક્ષા દરમ્યાન જ એની સાથે ચાલી નીકળવાનું હતું. ઈપ્સિતાને મનોજ પર વિશ્વાસ હતો, પણ આજે આડી ઊતરેલી બિલાડીએ એનું મન આશંકિત કરી દીધું.

    છતાં, ઘરથી નીકળતાં પહેલાં એણે થોડી તૈયારી કરી લીધી. કોઈનેય જાણ ન થાય એમ બેગમાં એને ગમતી સાચા રેશમની સાડીઓ મૂકી. ઘરમાંથી માલ લઈને ગઈ છે, એવું કોઈને કહેવાનો મોકો આપવો નહોતો એટલે કાનમાં પહેરેલાં સોનાનાં ભારે ઝૂમકાં કાઢીને નાના ટોપ્સ અને ગળામાં પહેરેલી સોનાની ભારે માળા કાઢીને પાતળી ચેન પહેરી લીધી. હાથની બંગડીઓ બદલીને કાચની બંગડી ચઢાવી દીધી.

    આજ સુધી આ ઘર એનું  હતું. ઘરની કેટલીય ચીજો એની હતી. પુસ્તકો, ભગવાનનો ફોટો, શોખથી ભેગાં કરેલાં પેન્ટિંગ અને ગ્રીટિંગ કાર્ડ્સ. કાશ, એ લઈ જઈ શકતી હોત !

    નીકળવાની આગલી સાંજે એણે અગાશી પર જઈને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી એનું શહેર મન ભરીને જોઈ લીધું. અતીતની કેટલીય યાદો અહીં મૂકીને જવાનું હતું. આ શહેર, અહીંની ગલીઓ, રસ્તાઓ, દુકાનો ફરી જોવા મળે કે ન મળે એ વિચારે એનું મન ભારે થઈ ગયું હતું. લગ્ન પછી વિદાય લેતી કન્યા રડે, એમ એ રડી પડી.

    ઘરમાંથી નીકળતી વખતે પિતાજીની સામે જોતાં એનું મન અપરાધ બોજથી ભારે થઈ ગયું, પણ, મા અને ઈપ્સિતાને બસમાં બેસાડીને પિતાજી પાછા વળ્યા ત્યારે એણે અત્યંત હળવાશ અનુભવી. કેટલાય દિવસો પછી એ ઘરની બહાર નીકળી હતી. પ્રાકૃતિક હવામાં શ્વાસ લેતા સારું લાગ્યું. રસ્તા પરનાં વૃક્ષો, પર્વતની હારમાળા, ખુલ્લું આસમાન જોઈને એ ખુશ થઈ ગઈ.

    કટકના બસ-સ્ટેશને પહોંચતાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. જેવી બસ ઊભી રહી કે સામે એક દુકાન પાસે ઊભેલો મનોજ નજરે ચઢ્યો. એને મનોજ પર ગુસ્સો આવ્યો. ‘અહીં કેમ આવ્યો હશે?’

    જો મા મનોજને જોઈ જશે તો જે બખેડો થશે અને એને પરીક્ષા સુદ્ધાં આપવા નહીં જવા દે એ  કલ્પનાથી એ કાંપી ઊઠી.. મનોજ પર ઉતાવળી નજર નાખીને એણે બસ-સ્ટેશનથી માસીના ઘેર જવા રિક્ષા ઊભી રાખી. ભાડું નક્કી કર્યા વગર જ હાથ ખેંચીને માને રિક્ષામાં બેસાડી દીધી.

    માસીના ઘેર પહોંચીને શ્વાસ હેઠો બેઠો. માસીનું ઘર મોટું હતું. માસી અને માસા સિવાય હાલ આ ઘરમાં કોઈ નહોતું. શહેરની વચ્ચોવચ્ચ આવેલા આ ઘરમાં ખામોશી હતી ! ઉનાળામાં કે પ્રસંગોપાત દીકરો-પુત્રવધૂ અને પોતરાંઓ આવે એ સિવાય અન્ય રૂમનો વપરાશ ઓછો હોવાના લીધે એ બંધ જેવા હતા. આવું ખાલી મોટું ઘર એને ખાવા ધાતું હોય એવું લાગ્યું. આખી રાત પડખાં ઘસતી રહી, પણ ઊંઘ એનાથી આઘી જ રહી. મનોજ સાથે જવા એ માનસિક રીતે તૈયાર હોવા છતાં આ ક્ષણે શું થશે એ વિચારે એને બધું જ આકરું અને અકારું લાગવા માંડ્યું.

    સવારે ઊઠીને બારી બહાર ફરી મનોજને ઊભેલો જોયો.

    “આ શું માંડ્યું છે એણે? શા માટે આમ સામે આવીને ઊભો રહેતો હશે? એને મારી દશાનો વિચાર સુદ્ધાં નહીં આવતો હોય?”

    કોઈ બહાને બહાર જઈને મનોજને મળવા માંગતી હોય તો એ શક્ય નહોતું. જાણતી હતી કે મા એની સાથે આવશે જ. મા મનોજને જાણતી હતી. એને ઈપ્સિતાની પસંદ સામે વાંધો નહોતો, પણ પિતાજીની મરજી નહીં હોય તો મા સાથ નહીં જ આપે એ ઈપ્સિતા જાણતી હતી.

    પરીક્ષા આપવા જતી ઈપ્સિતાને મા બારણાં સુધી મૂકવા આવી. સાંજે ક્યારે પાછી આવશે એ પણ પૂછી લીધું. પરીક્ષાના ચારેચાર દિવસ સમયસર એની આવનજાવન રહી.

    આ ચાર દિવસમાં એણે મનોજને ક્યાંય ન જોયો. એને ચિંતા થઈ. પહેલાં દિવસે એને મળવા બહાર ન ગઈ એનાથી એ ગુસ્સે થયો હશે?

    ઈપ્સિતાને કટક આવેલું વ્યર્થ લાગ્યું. પરીક્ષા માટે મળેલી આઝાદી એળે ગયેલી લાગી.

    આજે પરીક્ષાનો અંતિમ દિવસ હતો. આજે પણ મનોજ નહીં આવે તો શું? મન મક્કમ કરીને પેપર લખવામાં મન પરોવ્યું.

    પેપર આપીને બહાર નીકળી તો સામે મનોજ.

    મનોજ એને લેવા આવ્યો હતો. એને ખાતરી હતી કે, કોઈ કાળે ઈપ્સિતાના ઘેરથી આ લગ્ન માટે મંજૂરી નહીં મળે. જો આજે ઈપ્સિતા પાછી ઘેર જશે તો પ્રેમ પ્રકરણનો અંત નિશ્ચિત.

    ઈપ્સિતાને પણ આ વાસ્તવિકતાની જાણ હતી.

    એ મનોજ સાથે ચાલી નીકળી. ગોઠવણ મુજબ કોર્ટમાં લગ્ન સંપન્ન થયા. ન શરણાઈ, ન આતશબાજી, ન મંત્રોચ્ચાર, ન યજ્ઞવેદિ .

    એનાં નામ સાથે એક બીજું નામ જોડાયું. મનોજ.

    અને અચાનક એનાથી કેવોય મોટો અપરાધ થઈ ગયો હોય એમ એ ધ્રુસકે-ધ્રુસકે  રડી પડી.

    ઈપ્સિતાને એની કુશળતા માટે ભગવાનને પ્રાર્થનાઓ કરતી મા યાદ આવી. ભોળી એવી એની મા જમવા માટે રાહ જોતી ઘરની અંદર-બહાર આંટા મારતી હશે. ઈપ્સિતાને ન જોઈને ઘરમાં પાછી જશે ત્યારે માસીના, ઘેર જશે ત્યારે પિતાજીના સવાલોના કેવી રીતે જવાબ આપશે? ઈપ્સિતાનાં આ પગલાં માટે પિતાજી માને જવાબદાર ઠેરવશે?

    ‘ઓ ભગવાન, આ એણે શું કર્યું?’

    ઈપ્સિતાને થયું, કાશ એ પાછી વળી જાય. ભલે પછી એ ન રહે ઘરની કે ન રહે બહારની. ભલે ને માત્ર ઘર અને બહારની વચ્ચેનો ઊંબરો બનીને રહી જાય, પણ એ પાછી વળી જાય.


    સરોજિની સાહુ લિખિત દિનેશ કુમાર માલી અનુવાદિત ઉડિયા વાર્તા ઓતરંગને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઠ્ક…ઠક…ઠકાક…

    સ્નેહા પટેલ

    ત્રણ રુમ ધરાવતા ફ્લેટની રસોડાની બહાર આવેલી ચોકડીમાંથી અવાજ આવી રહ્યો હતો. રુપા – શહેરમાં સ્થાયી થવાના અરમાનો સાથે એના એક ના એક પુત્ર અને પતિ સાથે ગામડાંની તાજગીભર્યુ વાતાવરણ છોડીને આવેલી અને અહીં આવીને પતિ કાળુને પૈસા કમાવામાં મદદરુપ થવાના હેતુથી થોડા ઘરના વાસણ – ક્પડાં ધોવાનું કામ કરતી હતી. આ ત્રણ રુમની માલકિન પૂર્વી ફોન પર કોઇની સાથે વાત કરતાં કરતાં ઘરના બીજા કામ આટોપી રહી હતી. રુપા એના અસ્સલ લહેંકામાં કોઇ ગામઠી ગીત ગણગણતી હતી અને કપડાં ધોવાનું કામ કરી રહી હતી. કપડાં ધોકાવતી હતી અને ત્યાં જ એના કાને પૂર્વીનો અવાજ અથડાયો,

    ‘રુપા, જરા ધીમેથી ધોકા માર. આમ ને આમ તો કપડાં ફાટી જશે .’

    અને રુપાની મસ્તીમાં ખલેલ પડી.

    ‘આ બેનને તો કાયમ દરેક વાતમાં કચકચ જ હોય. વળી હું ક્યાં એમના કપડાં રોજ ધોઉં છું ? એમણે ક્યાં આ કામ બંધાવ્યું છે? આ તો એમનું વોશિંગ મશીન બગડયું છે ને મને આજીજી કરી એટલે સમય ન હોવા છતાં મેં એમનું આ કામ કરી આપવાનું સ્વીકાર્યું હતું, પણ મૂઉ આ શહેર – અહીં કોઇને સમય સાચવ્યાંની કદર જ ક્યાં છે ? બધી વાતો પૈસાથી જ થાય છે.’ અને અચાનક રુપાના જમણાં હાથનો છેલ્લી આંગળીનો નખ ધોવાઈ રહેલ બ્લ્યુ જીન્સના કાપડમાં ફસાઇ ગયો. પાણીમાં પલળવાથી થોડો પોચો થઈ ગયેલ નખ તરત જ તૂટી ગયો અને રુપાના મોઢામાંથી એક ‘હાય’ નીકળી ગઈ. સાબુવાળું પાણી હોવાથી તરત બળવા લાગ્યું. એણે ફટાફટ હાથ ધોઇને નખને સાચવીને દાંત વડે કાપી નાંખ્યો અને ગેલેરીમાં થૂંકી દીધો. પૂર્વી પ્રત્યેની બધી કડવાશ પણ એમાં થૂંકાઈ ગઈ અને ફરી પાછી રુપા પોતાની મસ્તીમાં આવી ગઈ, પેન્ટ પર સાબુ લગાવવા લાગી. અચાનક એનો હાથ અટકી ગયો અને આ પેન્ટ પહેરનારા ઘરના માલિકનો ચહેરો એની નજર સમક્ષ તરવરવા લાગ્યો.

    નાજુક નાક નકશાવાળો સ્વસ્તિક ! કાલે કામ કરવા આવતી જ હતી અને લિફ્ટમાં માલિક એની સાથે થઈ ગયા હતાં. આખી લિફટમાં સ્વસ્તિકના બોડીસ્પ્રેની સુગંધ તરતી હતી. રુપાએ નજરની કિનારીએથી જ સ્વસ્તિકની સામે જોયું તો એ એની મસ્તીમાં મસ્ત થઈને ઉભો હતો.વારે ઘડીએ એની નજર ઘડિયાળમાં જતી હતી. રુપાથી સભાનપણે એક અંતર જાળવેલું જેથી કરીને એના કપડાંને પણ ના અડકી જવાય. રુપા એના ગોરા ચિટ્ટા અને એમાં કાળી કાળી દાઢીથી ભરેલ પૌરુષથી ભરેલા ચહેરાંને જોતી જ રહી ગઈ. સ્વસ્તિકનું ઇસ્ત્રી ટાઈટ ફુલ સ્લીવનું વ્હાઈટ શર્ટ જોઈને એની ક્રીસ પર હાથ ફેરવવાનું મન થઈ ગયું. પોતાની આખી જીંદગીમાં રુપાએ આવા ઇસ્ત્રીટાઈટ્ કપડાં નહતાં જોયાં. સલૂકાઈથી શર્ટના કોલરના બટન પણ બંધ કરેલા હતાં અને છેક ઉપરનું બટન પણ બંધ કર્યું હતું , કદાચ એ ટાઈ પહેરવાનું વિચારતા હશે. ટાઈવાળા શર્ટના બટન છેક સુધી બંધ હોય એવું એને હમણાં હમણાંથી થોડું ખબર પડી રહી હતી. વ્હાઈટ શર્ટ અને નીચે લાઈટ સ્કાય બ્લ્યુનુ જીન્સ એ છ ફૂટના વ્યક્તિત્વને અદભુત ઓપ આપતો હતો. ત્યાં જ લિફ્ટ ખચાક દઈને ઉભી રહી ગઈ. બે ય જણ લિફ્ટમાંથી નીકળીને પોતપોતાની મંઝિલ તરફ વળી ગયાં. રુપાના મગજમાં હજી પેલી બોડીસ્પ્રેની સુગંધ તરી રહી હતી. આજ એ જ બ્લ્યુ ડેનિમનું જીન્સ એના હાથમાં હતુ. અચાનક રુપાના મગજના અમુક કીડાં સક્રિય થઈ ગયાં.

    ‘સ્વસ્તિક.’

    કેટલું સરસ નામ અને સ્વભાવ પણ કેવો સરસ ! માલકિણ અને એમની દીકરીને કેવાં હાથમાં ને હાથમાં રાખે છે ! ક્યારેય એમના મોઢામાંથી ઉંચો કે કડવો અવાજ નથી સાંભળ્યો. ગયા મહિને માલકિણ એની બે રજાનો પગાર કાપવા જતી હતી ત્યારે એમણે માલકિણને ટોકી હતી અને કહેલું કે,

    ‘જવા દે ને પૂર્વી, આ બિચારીએ બે રજા જ તો પાડી છે , બાકીન અઠ્ઠાવીસ દિવસ તારા એ કેવા પ્રેમથી સાચવી લે છે. વળી એ પણ માણસ છે ને, આખો મહિનો એકધારા કામના ઢસરડાં ..’

    ‘આ તમે પુરુષો શું સમજો ઘરની વાતો ? આમ ને આમ આ લોકોને માથે ચડાવીએ ને તો એક દિવસ આંગળી આપતાં પહોંચો પકડી લે. તમે કંઈ બોલશો નહીં’ અને પૂર્વીએ ધરાર એની બે દિવસના પૈસા કાપી લીધાં હતાં. રુપાનું મોં પડી ગયેલું. એ જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે પૂર્વી બેડરુમમાં આડી પડીને કોઇ પુસ્તક વાંચી રહેલી. સ્વસ્તિક ધીરેથી ઉભો થઈને રુપાની પાસે ગયો અને ચૂપચાપ એને સો રુપિયાની નોટ પકડાવી દીધી હતી. મોઢા પર આંગળી મૂકીને ચૂપચાપ એને નીકળી જવા આંખથી જ આદેશ આપી દીધેલો. બે પળ શું કરું – શું ના કરું ની દ્વિધામાં અટવાયેલી રુપા તરત જ સભાન થઈ ગઈ અને આંખોથી જ સાહેબનો આભાર માનીને ત્યાંથી નીકળી ગઈ.

    ‘સાહેબ.’

    અને રુપાનો હાથ જીન્સ પર ફરવા લાગ્યો. જીન્સના પાંયચા, ઢીંચણ આગળથી થોડું સફેદ થઈ ગયેલ કાપડ, કમરની બે બાજુના એક ખીસાની અંદર બીજું નાનું ખીસું, જાડી અને મોટી પિત્તળની મજબૂત ચેન..આ બધા પર સાબુવાળો હાથ હતો કે બીજુ કંઈક..રુપાનું મન લપસવા લાગ્યું. જાણે જીન્સ નહીં જીન્સનો માલિક સાક્ષાત ત્યાં હતો. આંખો ઘેરાવા લાગી હતી. મગજમાં બધું સૂન્ન થઈ જતું હતું. પોતાનો રુખ્ખો હાથ જીન્સને વાગી ના જાય એમ ધીમે ધીમે ફેરવતી હતી.અને

    ‘રુપા.’

    અચાનક પૂર્વીના અવાજથી એની તંદ્રા તૂટી ગઈ.

    ‘જી..જી ભાભી..’

    ‘આ મારું વોશિંગ મશીન રીપેર થઈ ગયું છે. હવે કાલથી તું કપડાં ના ધોઈશ. ફકત કચરાં પોતાં અને વાસણ. તારા આટલા દિવસના કપડાં ધોવાના જે પૈસા થતા હોય એ લઈ જજે.’

    અને રુપાના દિલમાં એક ધ્રાસકો પડ્યો.

    ‘બેન, આટલો મહિનો ધોવડાવી દો ને કપડાં.’

    ‘અરે, મારે શું કામ ખાલી ખાલી તને પૈસા આપવાના ? વળી બ્રશ અને ધોકા મારી મારીને તેં મારા કપડાંની જો હાલત કરી છે એ. ના બાબા ના..તું તારે આજનો છેલ્લો દિવસ કપડાં ધોઈ લે. તમારા લોકોની આ જ તકલીફ છે. કામ બંધાવો એટલે છોડાવીએ ત્યારે દાદાગીરી જ કરી ખાઓ…’ આગળ પણ કેટલું ય બોલી ગઈ પણ રુપાના કાને રોજની જેમ એની કચકચને કાનમાં ઘૂસવા જ ના દીધી અને કામે વળગી.

    ડ્રોઇંગરુમમાં પૂર્વી ફોનમાંથી એનું ગમતું ગીત શોધીન કાનમાં ઇયરપ્લગ ભરાવીને આંખો બંધ કરીને સોફામાં આડી પડી ગઈ.

    રુપાનો જીવ કળીએ ને કળીએ કપાતો જતો હતો. ચોકડીમાં સામે હજી પેલું જીન્સ પડ્યું હતું, એની સામે જાણે અટ્ટહાસ્ય કરીને એની મજાક ઉડાવી રહ્યું હતું.

    ‘મૂઆ આ વોશિંગ મશીનની શોધ કોણે કરી હશે ? આવા રુપાળા જીન્સને સ્પર્શવાનો આજે છેલ્લો દિવસ !’

    અને રુપાની આંખમાં બોર બોર જેવડાં આંસુ ઉભરાઈ ગયાં. પાણી નાંખીને જીન્સમાંથી સાબુ કાઢ્યો અને વધારાનો સાબુ નીકળી જાય એ હેતુથી બીજું પાણી નાંખીને વધારાનો સાબુ કાઢવા હેતુ હળવા હાથે ધોકો મારવા લાગી.

    ‘ધબ..ધબ…ધબા..ધબ..’

    ‘અલી, કપડાં જરા ધીરેથી ધોકાવતી હો તો. આમ ને આમ મારા કપડાં ફાડી કાઢીશ.’

    અને અચાનક રુપાના મગજમાં શું ભૂત ભરાયું ખબર નહીં એ ધોકો લઈને ઉભી થઈ . જોયું તો ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો, મોઢા પર હિંમત વધી ગઈના ભાવ સ્પષ્ટ થયાં અને હતી એટલી બધી તાકાત ભેગી કરીને એણે સોફા પર આંખો બંધ કરીને ગીતો સાંભળતી પૂર્વીના માથામાં ઉપરા ઉપરી ચાર પાંચ ઘા કરી દીધા.

  • મહેન્દ્ર શાહનાં એપ્રિલ ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Art Creatios for April 2026


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ – રાખનાં રમકડાં

    આલેખનઃ રાજુલ કૌશિક

    સૂર, શબ્દ અને સંગીતને ક્યારેય સરહદરૂપી સીમાડા નડ્યા સાંભળ્યા છે? સંગીત તો એક એવી ઊર્જા છે જે તન, મનની ચેતનાઓને ઊર્જિત પણ કરે અને ઘેરા ભાવમાં પણ ખેંચી શકે. આ ગીત સંગીત તો સદીઓથી આપણા તન, મનની ચેતાઓને માત્ર જાગ્રત કરતાં આવ્યા છે એના કરતાંય જીવનના અનેક ગૂઢ સત્ય સમજાવતા આવ્યા છે..
    અવિનાશ વ્યાસના આવ્યા પહેલાંય ગુજરાતી ગીતો લખાતા અને ગવાતા આવ્યા જ છે. જે સમયે ગીતો કોને કહેવાય એવી સમજ ઊગે એ પહેલાંથી આપણી આગળની ઘણી બધી પેઢી પણ આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો લલકારતી જ હતી ને?  પરંતુ અવિનાશ વ્યાસ આવ્યા અને એમણે નવા જ પ્રકારના ગીતો લખ્યા-સંગીતબદ્ધ કર્યા, અનેકવિધ રચનાઓ આપી અને ગુજરાતી સંગીતનાના પર્યાય કહી શકાય એવા ગીતકાર-સંગીતકાર તરીકે ઓળખાયા.

    જેવી એમની રચનાઓ અનોખી એવા વ્યક્તિ તરીકે પણ અનોખા.

    કહેવાય છે કે અવિનાશ વ્યાસ એટલા તો મોકળા અને ઉદાર મનના હતા કે ક્યાંક એમની ટીકા થઈ છે એવું લાગવા છતાં કોઈની સાથેના એમના સંબંધમાં ઊણપ કે ઓટ આવી નહોતી. સુગમ સંગીતની વ્યક્તિ હોવા છતાં ફિલ્મના પ્રોડ્યૂસર કે દિગ્દર્શકને પણ ક્યારેય નિરાશ કર્યા નહોતા.

    આજ સુધી ઘણીવાર એવું સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસે ‘રાખના રમકડાં’ની રચના કરી એ એક માત્ર રચના આપી હોત તો પણ એ અમર થઈ ગયા હોત.

    પણ આ ‘રાખના રમકડાં’ એમના માટે લાખના પૂરવાર થયા એવું એમની વાતમાં પડઘાય છે. એ કહે છે કે “ આ ગીત તો મને ગીત તરીકે ગમે જ છે પણ આ ગીતે તો મારી પર જે ઉપકાર કર્યો છે એના લીધે પણ ગમે છે.” એમના કહેવા મુજબ એમનું આ ગીત એટલું તો લોકપ્રિય, લોકભોગ્ય બન્યું હતું કે ને ૧૯૪૯ની સાલમાં એટલે કે ૭૬ વર્ષ પહેલાં આ ગીતે એમને રોકડા પચીસ હજાર રૂપિયા અપાવેલા એટલે એમના માટે રાખના રમકડાં લાખના રમકડાં નિવડ્યા એટલું જ નહીં ‘મંગળફેરા’ ફિલ્મમાં રજૂ થયેલા આ ગીતનું તો વિક્રમી વેચાણ થયું. એ.એમ.વી કંપનીએ તેમને દસ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રોકડા રૂપિયા એ જમાનામાં આપ્યા.

    સૌને યાદ તો હશે જ એ ભજન..

    રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
    મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
    રાખનાં રમકડાં, રમકડાં …

    આજે અચાનક આ ભજન કેમ યાદ આવ્યું હશે? ખબર નહીં કેમ પણ ગમે એટલો પ્રયત્ન કર્યા પછી આજે આ ભજન મનને ઘેરી વળ્યું છે કદાચ આપણી આસપાસના ઉદ્વિગ્ન વાતાવરણની મન પર અસર થઈ જ જતી હશે એટલે?

    ચારેકોર સત્તાની સાઠમારીને લઈને યુદ્ધ, હિંસા, વિશ્વને ભરડામાં લેતા આતંકની મન પર છવાયેલી અસર હશે? એવું જ હશે..

    અવિનાશ વ્યાસ કહેતા કે, “સુખ કે દુઃખની પારાકાષ્ઠાથી પીડાતી કોઈ એક વ્યક્તિનું કાળજું ચીરીને   ચિત્કાર ફાટી પડે, કોઈ અજંપાનો ઉજાગરો વેઠીને વેદનાની વાણી ઘાયલ થઈને ગાય ત્યારે જ ઍબ્સોલૂટ પોયેટ્રી (પૂર્ણ કાવ્યસૌંદર્ય)નો જન્મ થાય. બાકી બધા ફાંફા.”

    હવે આપણને એ તો ખબર નથી કે સુખ-દુઃખની કઈ પારાકાષ્ઠાની અનુભૂતિ એમને થઈ હશે કે કેવા અજંપાની, વેદનાની ઘાયલ ક્ષણો એમના જીવનમાં આવી હશે ત્યારે આ ભજનનો આવિર્ભાવ થયો હશે? પણ, આજે આ ક્ષણે એ વાત કેટલી તથ્યવાળી બની રહી છે એ સમજાય છે. આપણે પણ સહુ રાખના રમકડાં જ છીએ અને આ સંસારમાં છીએ એ પણ આપણાં કારણે તો નથી જ. આ ઉપર બેઠેલા રામે આપણને જ્યાં સુધી રમતાં રાખ્યા છે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ. એ પછીની ક્ષણે તો આ માનવદેહ પણ રાખનો ઢગલો. આપણી રમતો પણ એણે જ નિર્ધારેલી. આપણે તો ખાલી અમથા જ એવા ભ્રમમાં રહ્યા કે જે કંઈ છે એ આ સંસારમાં આપણે માંડેલી રમત છે. જ્યારે એક સામટો, ઓચિંતો એ ભ્રમ ભાંગી ગયો કે આપણે તો માત્ર આ નિશ્ચિત કરેલો સમય પસાર કરી રહ્યા છીએ. નિશ્ચિત કરેલા જીવનપથ પરથી સાવ અજાણભાવે પસાર થઈ રહ્યા છીએ બાકી કાળ તો એની પાંખો આમતેમ વીંઝતો ભમ્યા જ કરતો હોય છે. ભલેને એ કોઈ પણ સ્વરૂપે કેમ ન હોય? આજે એ આતંક સ્વરૂપે એની પાંખ વીંઝવા માંડ્યો છે ત્યારે એ કોને અને ક્યારે એની અડફેટમાં લઈ લેશે એની જ આપણને જરાય જાણ નથી હોતી પણ એની ઝપટમાં જે આવે એ તો પળવારમાં રાખ, એ વાત નિશ્ચિત.

    આજે તો બસ આટલું જ……


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સદાકાળ ગુજરાત

    ૧લી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ.

    સંસ્કૃતિ,સમતા અને સમજદારી  એટલે ગુજરાત.

    જ્યાં ખંત, ખુમારી અને ખમીર ખીલે તે ગુજરાત..

    તો ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું ગૌરવ ગણાતી અમર કવિતાને કેમ ભૂલાય?

    ‘અદલ’ ઉપનામથી લખતા કવિની પૂણ્યસ્મૃતિ સાથે..

    અરદેશર ખબરદાર

     

  • સાર્વભૌમ કાર્યસૂચિ – દબાણ હેઠળનાં અમલીકરણથી સ્વેચ્છાપૂર્વકનો અમલ

    ધંધેકા ફંડા

    ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself!તિજોરીનો નિયમ – વ્યક્તિગત ચઢિયાતાપણાની સ્થાપત્યશૈલી કંડારવીપર આવીને અટક્યાં હતાં. હવે એ માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના બીજા પડાવ વિશે વિચાર કરીએ ….

    ઉત્પલ વૈશ્નવ

    આપણી રોજબરોજની દુનિયામાં આપણે મોટા ભાગે ‘એ તો કરવું જ પડે’ જેવાં અનેક “દબાણ હેઠળ” બધી પ્રવૃતિઓ કરતાં રહેતાં રહીએ છીએ. આપણે ખરાબ દેખાવાના કે પાછળ પડી જવાના ડરથી કાર્યક્રમોમાં હાજરી આપીએ છીએ, મહત્વની કામગીરીઓનાં લક્ષ્યાંકોનાં સૂચકો (KPIs) પૂરાં કરીએ છીએ અને અનેક સામાજિક જવાબદારીઓનું વહન કરીએ છીએ.

    આપણે દાવો કરતાં રહી છીએ કે આપણી પાસે મોટાં, વ્યૂહાત્મક, પગલાં માટે “સમય નથી” કારણ કે આપણું દૈનિક સમય પત્રક નાનાં નાનાં, ફરજિયાત લેવાનાં હોય એવી પ્રવૃતિઓથી ભરેલું છે. આ એક ભાડૂઆતની માનસિકતાને છાજે એવું સમયપત્રક છે – એક એવું જીવન જ્યાં તમારું ધ્યાન બાહ્ય અપેક્ષાઓ અને સામાજિક કોલાહલ પર કેન્દ્રિત છે.

    સાર્વભૌમ સ્થપતિ જાણે છે કે “સમય ક્યાં છે” એ એક પ્રણાલીગત જૂઠાણું છે.

    જ્યારે આપણે કહીએ છીએ કે આપણી પાસે સમય નથી, ત્યારે આપણે ખરેખર સ્વીકારીએ છીએ કે આપણે સમય ક્યાં વાપરીએ છીએ તે જોઈ શકતા નથી.

    આપણે પ્રાથમિકતાઓ જોઈ શકતા નથી, આપણે આપની ક્રિયા-પ્રક્રિયાઓ અસર જોઈ શકતા નથી, અને આપણે નેતૃત્વ કરવાની તક જોઈ શકતા નથી. ઉચ્ચ-નિર્ધાર પ્રેરિત પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થા બનાવવા માટે, આપણે બહાનાઓને દૂર કરવાં જોઈશે અને આપણી પસંદગીની શક્તિથી કાર્ય કરવું જોઈએ.

    અમલીકરણનું બંધારણશાસ્ત્ર 

    અમલીકરણથી દૂર રહેવું એ એક નિષ્ક્રિય સ્થિતિ છે જે આપણી ચયાપચય ઊર્જાને ખાલી કરી નાખે છે:

    • સામાજિક મહોરું: આપણે પડોશીઓના સંબંધીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપીએ છીએ અથવા તેમના ડિજિટલ સંદેશાઓ પર કલાકો બગાડીએ છીએ કારણ કે આપણા વિશે બીજાં શું માનશે આપણને એ વાતનો ડર છે. આપણે બાહ્ય પરિબળો દ્વારા “ધકેલાતાં” રહીએ છીએ.
    • KPIનું છટકું: આપણે પરિણામ ને બદલે, આપણને અપાયેલી “સૂચના” અને “જે કામનો હિસાબ લેવાશે” પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણે અગ્રણીની ભૂમિકામાં આવવા માટે પહેલાં ધક્કો વાગે તેની રાહ જોઈએ છીએ.
    • બહાનાંઓની દોરવણીઓની તાકાત: “હું ખૂબ વ્યસ્ત છું” એ પ્રતિકાર માટેનું પ્રિય શસ્ત્ર છે. તે વાસ્તવિકતા જેવું લાગે છે, પરંતુ તે સામાન્ય રીતે નબળા સ્વ-સંગઠન અને “ના” કહેવાની અસમર્થતા માટે માત્ર એક મહોરું છે.

    પસંદગીનું શસ્ત્ર

    આપણી પસંદગીઓની બાબતે આપણું સાર્વભૌમત્વ એ આપણી પસંદગીઓને પ્રણાલીગત વિકાસ માટેનાં શસ્ત્રોમાં ફેરવવાની આદત છે.

    ૧. પહેલાં આપણી જાતને દોરી જઈએ: જો આપણે નેતૃત્વની ભૂમિકામાં હોઈએ, તો આપણું એકમાત્ર કર્તવ્ય નેતૃત્વ પુરું પાડવાનું છે. કોઈપણ બહાનું જે તમને ઉચ્ચ-કક્ષાના પરિણામોથી દૂર રાખે છે તે વ્યય છે. પસંદગી કરવી એ સમયની મર્યાદાઓ કે સામાજિક દબાણ છતાં પણ પોતાને (પોતે નિશ્ચિત કરેલ દિશામાં) દોરી જવાનો નિર્ણય છે.

    ૨. વ્યૂહાત્મક “ના”: એક સ્થપતિ જાણે છે કે બિનમહત્વપૂર્ણ કામ / સુઝાવને “ના” કેવી રીતે કહેવી જેથી તે મહત્વપૂર્ણ કાર્યને ઉચ્ચ-નિષ્ઠાથી “હા” કહી શકે. ખોટી જગ્યાએ હાજરી પુરાવવી એ યથોચિત ઉદ્દેશ્ય સિદ્ધિ પરનો કર છે.

    ૩. ‘હવે પછી’ પર માલિકી: પસંદગીનો નિર્ણય એ અનિશ્ચિત “આગળ શું છે” સામે આપણું વલણ છે. જ્યારે અન્ય લોકો શું કરવું તે કહેવાવાની રાહ જોતાં હોય ત્યારે આપણે કરેલી પસંદગી ઇરાદાપૂર્વકની ઇચ્છા છે જે આપણને ધ્યેય તરફ આગળ વધતા રાખે છે, .

    રૂપરેખા: કાર્યસૂચિનું ઑડિટ

    કાર્ય આયોજન અને અમલીકરણ તરફનો સંધિકાળ પોતાની પસંદગી દ્વારા સંચાલિત થઈ રહ્યો છે તેની ખાતરી કરવા માટે, કાર્યસૂચિની રૂપરેખા (Agenda Protocol) લાગુ કરો:

    ૧. (બિનમહત્વની બાબતોની) “અમલીકરણ”માંથી છટણી

    આવતા અઠવાડિયાના આપણા સમયપત્રક પર નજર કરીએ. કમસે કમ એવી ત્રણ વસ્તુઓને ઓળખી કાઢીએ જે ફક્ત “ફરજીયાત” અથવા ખરાબ દેખાવાના ડરથી છે. તેમને રદ કરીએ. એમ કરવાથી જે સમય-શક્તિ-(શારીરિક – માનસિક) ઉર્જા બચે તેને “બ્લુપ્રિન્ટ” અથવા “સિગ્નલ્સ” ન્યૂઝલેટર માટે વાળીએ.

    ૨. “ન પળાયેલાં વચન” ને અલગ કરીએ

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

     “સમય નથી” નો અર્થ ઘણીવાર એ થાય છે કે આપણે એવું વચન આપ્યું હતું જે આપણે જાણતા હતા કે પાળી નહીં શકાય. આજે જ આવું એક માથે લીધેલું ‘વચન’ ખોળી કાઢીએ. ભૂલ સ્વીકારીએ; કાર્યના અમલ માટેની સમયરેખા વિશે ફરીથી વાટાઘાટો કરીએ; અને નહીં તો છેલ્લે , એવાં કાર્યને સંપૂર્ણપણે નકારી કાઢીએ. એક નનૈયો સો બહાનાંમાંથી બચાવે છે. કડવી લાગતી સ્પષ્ટતા વિલંબ સ્વરૂપે થતી નિષ્ફળતા કરતાં મીઠી પરવડી શકે છે.

    ૩.  “સાર્વભૌમ પસંદગી” ની આદત પાડીએ

    આગામી મીટિંગ અથવા પ્રોજેક્ટના તબક્કામાં, આપણી જાતને પૂછીએ: “મારા પર દબાણ છે માટે હું અહીં છું; કે મેં મારા લક્ષ્યોને આગળ વધારવા માટે આ માર્ગ પસંદ કર્યો છે?”  જો દબાણ હોય તો તેનો પ્રતિકાર કરીએ.  આપણી “પસંદગી”ને રજૂ કરીએ. અને તે શક્ય ન હોય તો વિનયપૂર્વક એ કામમાંથી થોડો સમય માગી લઇએ. તમારું ધ્યાન અમલીકરણ પર કેન્દ્રિત રહે તે વધારે મહત્વનું છે.

    #DhandheKaFunda: જો નેતૃત્વની ભુમિકા અદા કરવા માટે બાહ્ય દબાણની જરૂર પડતી હોય, તો આપણે ‘અગ્રણી’ કહેવડાવવા પાત્ર નથી; આપણે ‘મુસાફર’ છીએ. ફરજિયાત અમલીકરણ ભાડેદારો માટે છે; સ્વૈચ્છિક પરંદગી માલિકો માટે છે. આપણા આડૉશી પડોશીઓને અને આપણા KPI ને આપણું સમયપત્રક લખવા દેવાનું બંધ કરીએ. આપણી પસંદગી પર આપણો પ્રભાવ ફરીથી મેળવીએ, તેને તીક્ષ્ણ હથિયાર બનાવીએ. એક એવી કાર્યસૂચિ બનાવીએ જે આપણૉ આગવો મુદ્રાલેખ બની રહે. સમય એ એકમાત્ર સંસાધન છે જે આપણે પાછું ખરીદી શકતા નથી – તેને એક સાર્વભૌમ વ્યક્તિ તરીકે ખર્ચ કરીએ.


    હવે પછી શું ? ની આપણી યાત્રાના બીજા પડાવ Think for yourself! : The Sovereign Strategy Stack: Architecting the Board  વિશે હવે પછી


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સુબ્રોતો બાગચીનાં નેતૃત્વ વિશેનાં કેટલાંક મનનીય કથનો

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    શ્રી સુબ્રોતો બાગચીએ તાજેતરમાં એમ્પ્લોઇ ગ્લોબલ ન્યૂઝલેટરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે કેટલીક ખૂબ જ રસપ્રદ (અને ગહન) મર્મસ્પર્શી સૂઝ  વિશે વાત કરી હતી..

    તે ઇન્ટરવ્યુના કેટલાક મનનીય અંશો અહીં રજૂ કરેલ છે:

    સેવક નેતૃત્વ પર

    સેવક ધર્મ નેતૃત્વની વિભાવના સ્પષ્ટ છે કે “તે ફક્ત એક સાધન છે; સાધ્ય હેતુ નથી, તે વાહનવ્યવહારનું માધ્યમ છે; મ્યુનિસિપલ પાણીની પાઇપની જેમ, તેનું કામ પાણી પહોંચાડવાનું છે અને પોતાની તરસ છીપાવવાનું નથી.”

    નેતા તરીકે ગ્રહણશીલતા વિશે

    “જાપાનીઓ કહે છે કે મન પર્વત કે ખીણ જેવું હોઈ શકે છે. પર્વત ગમે તેટલો ઊંચો હોય, અને તેના પર ગમે તેટલો મુશળધાર વરસાદ પડે, તે પાણીને રોકી શકતો નથી. પાણીને રોકી રાખવા માટે, તમારે તમારા મનને ખીણ બનાવવાની જરૂર છે.”

    માળી બનવા વિશે

    “વરિષ્ઠ નેતૃત્વનું કામ નવા અગ્રણીઓ ઘડવાનું છે. છે. “જેમ માળી તેના એક-એક-એક છોડની અલગ અલગ રીતે સંભાળ રાખે છે તેમ નવા અગ્રણીઓનું ઘડતર એક એક વ્યક્તિની અલગ અલગ માવજત દ્વારા થવું જોઈએ. દરેક છોડની અલગ અલગ સમયે અલગ અલગ જરૂરિયાતો હોય છે અને માળીને તેનો અંદાજ હોવો જોઈએ અને  તે માટે તેણે પહેલેથી સક્રિય રહેવું જોઈએ. છોડ માળી પાસે આવતા નથી; માળીએ ત્યાં જવું જોઈએ જ્યાં છોડ હોઈ શકે છે.”


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • એસ ધમ્મો સનંતનો – સૃષ્ટિ સર્જન પ્રક્રિયા : (૧) વૈદિક પરંપરા

    પ્રવાસી યુ. ધોળકિયા

    વૈદિક ગ્રંથો પ્રમાણે આપણા સપ્તર્ષિઓએ પ્રારંભથી જ પરમ ચૈતન્ય ઈશ્વરને બ્રહ્મ નામ આપ્યું. પછી તેઓ એ વિશ્વમાં જે અનેક બ્રહ્માંડો અને સજીવ સૃષ્ટિ રહે છે તેના પર પણ ગંભીર વિચારણા કરી. આ સમગ્ર પ્રક્રિયાને સરળ શબ્દોમાં નીચે મુજબ સમજાવી શકાય.

    ૧) બ્રહ્મનો મૂળભૂત ગુણધર્મ જ વિકસવાનો અને સતત સર્જન કરવાનો છે. આ માટે તેણે પ્રથમ ઇચ્છા કરી અને તેને પરિણામે સૃષ્ટિ સર્જનની પ્રક્રિયા શરૂ થઈ. આ કાર્ય પ્રજાપતિ બ્રહ્માને સોંપવામાં આવ્યું.

    ૨) વેદાંગ પ્રમાણે કપિલ મુનિ આ સર્જન પ્રક્રિયાને પચીસ તત્વોનો આધાર લઈને સમજાવે છે. આ સાંખ્ય પરંપરા મુજબ વિશ્વમાં પ્રથમ પ્રકૃતિ અને પુરુષ તત્વો હતાં. આ બંને તત્વોમાં સત્વ, રજસ અને તમસ એમાં ત્રણ ગુણો શાંત રીતે સમાયેલા હતા. આ ત્રણ ગુણોમાં એકાએક વિક્ષોભ થતાં પ્રકૃતિ જાગૃત થઈ ગઈ, અને પુરુષે નિવૃતિ સ્વીકારી. પ્રકૃતિ તત્વે તે પછીથી મહત, અહંકાર અને મનસનું સર્જન કર્યું. આ પછી અન્ય તત્વોની સહાયથી પંચમહાભૂત સૃષ્ટિનું સર્જન થયું, તેના ભાગ રૂપે માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ, કિટકો અને ભૂમિગત ખનીજોનું સર્જન થયું.

    ૩) દરમ્યાનમાં બ્રહ્મે  જે ઇચ્છા કરી હતી ત્યાં  अ અને उ શબ્દોનું પ્રાગટ્ય થયું. પછીથી વર્ણમાળાના બાકીના સ્વરો અને વ્યંજનો મળીને ૬૪ અક્ષરની વર્ણમાળા બની. આપણી દેવવાણી સંસ્કૃતની બારાક્ષરી તેમાંથી બની.  अ અને उ નો એકીકૃત નાદ ૐ થયો.

    ૪) ૐકારનાં સ્પન્દનોથી જ આ પ્રક્રિયામાં પાંચ મુખ્ય પ્રાણ – પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન અને છ ઉપપ્રાણો – નાગ, કર્મ, ક્રિકારા, દેવદત, ધનંજય અને વૃકલ – મળીને ૧૧ પ્રાણોનું પ્રાગટ્ય થયું. સાત છંદોએ આ સ્પન્દનોને ગતિ આપી. તેથી બ્રહ્માંડમાં કશું સ્થિર નથી. ભૌતિક જગતની તમામ ચીજો પોતાના કેન્દ્રની આસપાસ તેમ જ અન્ય કેન્દ્રોની આસપાસ લંબવર્તુળાકારે ઘુમી રહી છે. ઉદાહરણ તરીકે આપણી પૃથ્વી અને સૂર્યમાળાના અન્ય ગહો પોતપોતાની ધરી પર અને સૂર્યની આસપાસ સતત ઘુમી રહ્યા છે. પૃથ્વી પોતાની ધરી પર ૨૩ ક. – ૫૬ મી.ના સમયગાળે એક ભ્રમણ કરે છે, અને સાથેસાથે સૂર્ય ફરતાં, લગભગ વર્તુળાકાર કક્ષામાં ૩૬૫ ૧/૪ દિવસના સમયગાળે કક્ષાભ્રમણ કરે છે; પૃથ્વીની ધરી ત્રાંસા ભમરડાની જેમ ૨૫,૮૦૦ વર્ષના સમયગાળે ભ્રમણ કરે છે જેને અયનચલન – Precession of Equinox – કહેવાય છે. આ અયનચલનની પ્રક્રિયાને કારણે યુગપરિવર્તન થાય છે. સૂર્ય આપણી આકાશગંગાના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરી રહ્યો છે. તેને એક ચક્ર પુરું કરતાં ૨૨૫ મિલિયન વર્ષ (૧ ગાંગેય વર્ષ) લાગે છે.

    ૫) આ પ્રક્રિયા આગળ ચાલી ત્યારે તેમાંથી ૭ વ્યાહૂતિ – ભૂઃ, ભુવઃ, સ્વઃ, મહર, જન, તપ અને સત્ નામના સાત ઊર્ધ્વલોક થયા. તે સાથે સાત અધોલોક – તલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતળ, મહાતલ અને પાતાળ (નર્ક ) – નું પણ સર્જન થયું. સાથે સાથે અનેક બ્રહ્માંડો, નિહારિકાઓ, તારાઓ, સૂર્યમાળાઓ અને વેદમાં વર્ણવેલ સાત છંદો- ગાયત્રી, ઉષ્ણિ, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ (વિરાટ),  ત્રિષ્ટુપ અને જગતિ-નાં આદોલનો સાથે કાળ અને મૃત્યુ પણ સર્જાયાં.

    ૬) બ્રહ્મે જ્યારે માનવજીવી સજીવ સૃષ્ટિ સર્જી તેના પ્રતિરૂપ આત્માને પણ તેમાં પ્રસ્થાપિત કર્યો. બ્રહ્મની માફક આત્મા પણ શાશ્વત છે. સાચું જ કહેવાયું છે કે ‘યથા બ્રહ્માંડે તથા પિંડે.’

    ૭) માનવ માટે કર્મ કરવું ફરજિયાત બન્યું. કર્મ ફળને પરિણામે તેને જન્મજન્માંતર સુધી સંસારમાં વિવિધ રૂપે, અનેક વાર, જન્મ લેવો આવશ્યક બન્યું. સાથે સાથે સત્કર્મોનો પણ ઉદય થયો હોય તો માનવીને મોક્ષપ્રાપ્તિની પણ તક મળે છે.

    આ તબક્કે એ પણ સમજવું આવશ્યક છે કે સમગ્ર વિશ્વમાં કંઈ પણ જડ નથી, બધું ચેતનામય છે. અસંખ્ય પરમાણુની બનેલી આ સૃષ્ટિના દરેક કણમાં અસંખ્ય બ્રહ્માંડો રચવાની શક્તિ રચાયેલી છે.

    આપણે અગાઉ અવારનવાર કહી ચૂક્યા છીએ કે આજે આપણે શ્વેત વરાહ કલ્પના વૈવશ્વત મન્વંતરમાં  જીવન વ્યતીત કરી રહ્યાં છીએ. કળિ યુગ હવે સમાપ્ત થઈ ગયો છે અને આપણે હવે ૧૦૦ વર્ષના યુગ સંધિના પડકારો ઝીલી રહ્યાં છીએ.

    ઉપરોક્ત સ્રૂષ્ટિ સર્જનની પ્રક્રિયાના સમર્થનમાં અથર્વવેદમાં એમ જાણાવાયું છે કે પરબ્રહ્મે ઇચ્છા કરી પછી સર્વપ્રથમ તેઓએ હિરણ્યગર્ભને પગટ કર્યો, આ હિરણયગર્ભે પ્રજાપતીનું રૂપ ધારણ કરી જડચેતન સૃષ્ટિની સ્થાપના કરી. તેઓ આ લોક – પરલોકમાં વ્યાપ્ત છે. હિરણ્યગર્ભ સનાતન અને અવિનાશી છે.


    આ દીર્ઘ લેખમામાળના અંતિમ મણકા તરીકે આપણે તંત્ર અને પુરાણમાં વર્ણવેલ સૃષ્ટિસર્જનની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • આપણી એક ક્લિક અને પૃથ્વીના તાપમાનમાં વધારો

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ઈન્‍ટરનેટ અને તેના થકી સુલભ વિવિધ પાસાં હવે મોટા ભાગના લોકોના જીવનનું એ હદે અભિન્ન અંગ બની ગયાં છે કે ઘણાને કદાચ ખાવાપીવા ન મળે તો ચાલે, પણ ઈન્ટરનેટ વિના ન ચાલે. આ વાત એવા વ્યાવસાયિકોની નથી કે જેમના વ્યવસાયનો મુખ્ય આધાર ઈન્‍ટરનેટ હોય, બલ્કે એવા લોકોની છે, જેઓ કેવળ મનોરંજન ખાતર તેનો ઊપયોગ કરે છે. એ.આઈ. (આર્ટિફિશ્યલ ઈન્‍ટેલિજન્‍સ) તરીકે ઓળખાતી વિશેષતા હવે જે પણ સાધનોમાં ઈન્‍ટરનેટનો ઊપયોગ થતો હોય એમાં સુલભ બની એટલે જાણે કે બાળકને નવું રમકડું મળ્યું હોય એમ લોકો તેના થકી જાતભાતનાં ગતકડાંના ચાળે ચડ્યા. કોઈ પણ આધુનિક બાબતને અપનાવવામાં પોતે પાછળ ન રહી જાય એમ ધારીને એ.આઈ. દ્વારા ઈન્‍ટરનેટનો કસ કાઢનારાને ભાગ્યે જ જાણ હશે કે પોતે પર્યાવરણને કેવું નુકસાન કરી રહ્યા છે. અત્યાર સુધી ઈન્‍ટરનેટના વધુ પડતા ઊપયોગથી પોતાને થતા નુકસાન વિશે લોકોને જાણ હતી, પણ પર્યાવરણને શી રીતે નુકસાન થાય?

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ઈન્‍ટરનેટની સુવિધા આપણા સુધી પહોંચે છે વિવિધ કંપનીઓનાં ડેટા સેન્‍ટર થકી,જ્યાં ડેટાના જંગી જથ્થાને સંઘરવા, પ્રોસેસ કરવા અને તેને મોકલવા માટે હજારો સર્વર, સંગ્રહ પ્રણાલિઓ અને નેટવર્કિંગનાં ઊપકરણો ગોઠવાયેલાં હોય છે. વિવિધ વ્યવસાયો અને ગ્રાહકોને તે ક્લાઉડ કમ્પ્યુટિંગ, એ.આઈ. અને ઈન્‍ટરનેટ જેવી સવલતો પૂરી પાડે છે. આથી આ ડેટા સેન્‍ટરોને ડિજીટલ સેવાઓની કરોડરજ્જુ કહી શકાય.

    ડેટા સેન્‍ટરો એટલી વિશાળ માત્રામાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે કે તેઓ જે તે સ્થળને ‘ગરમ ટાપુ’માં ફેરવી દે છે. આસપાસના સ્થળમાં તેઓ ૧૬ અંશ ફેરનહીટ જેટલી ગરમી વધારી દેતા હોવાનું એક સંશોધનમાં જણાયું છે. આની અસર ૩૪ કરોડ લોકોને થાય છે.

    યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ‘અર્થ ઓબ્ઝર્વેશન ગૃપ’ સાથે એસોસિયેટ પ્રોફેસર તરીકે સંકળાયેલા આન્‍ડ્રિઆ મોરીનોનીએ હાથ ધરેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે ડેટા સેન્ટરોની સંખ્યા દિન બ દિન વધી રહી હોવા છતાં તેની અસરોને સમજવામાં હજી જોઈએ એવું કામ થયું નથી. પ્રો.મોરીનોની અને તેમની ટીમે રીમોટ સેન્‍સર દ્વારા છેલ્લા વીસ વરસના તાપમાનની વિગતો મેળવી. આ વિગતોને તેમણે વિશાળ ડેટા સેન્‍ટર આવેલાં હોય એ સ્થળના તાપમાન સાથે સરખાવી. મોટા ભાગનાં સેન્ટરો છેલ્લા દાયકામાં ઊભાં થયાં હતાં. અતિશય ગીચ શહેરી વિસ્તારોથી દૂર આવેલાં છ હજારથી વધુ ડેટા સેન્‍ટરોને તેમણે લક્ષમાં લીધાં, કેમ કે, આવા વિસ્તારોમાં તાપમાન પર અન્ય કોઈ પરિબળ લઘુત્તમ અસર કરતું હોય છે.

    તેમના જોવામાં આવ્યું કે ડેટા સેન્‍ટર કાર્યરત થયા પછી જે તે સ્થળના તાપમાનમાં સરેરાશ ૩.૬ ફેરનહીટનો વધારો  થયો હતો. કેટલાક કિસ્સામાં આસપાસના વિસ્તારોમાં આ વધારો ૧૬.૪ જેટલો અધધધ કહી શકાય એવો પણ હતો.

    યુરોપ, અમેરિકાનાં વિવિધ સ્થળોએ આવી પરિસ્થિતિ જોવા મળી. સૌથી નવાઈ પમાડે એવી બાબત એ હતી કે વધેલા તાપમાનની અસર કેવળ આસપાસના વિસ્તાર પૂરતી મર્યાદિત નહોતી, બલ્કે એ દસેક કિ.મી. દૂર સુધી પહોંચી હતી.

    આ સમગ્ર બાબત ચેતવણીસૂચક છે. કેમ કે, અત્યારે પૃથ્વીના તાપમાનમાં વધારો થવાની સમસ્યા અને તેનાં વિપરીત પરિણામો ચિંતાનો વિષય છે, અને બીજી તરફ આગામી સમયમાં ડેટા સેન્‍ટરોની સંખ્યા વધતી જવાની પણ નક્કી છે.

    ડેટા સેન્‍ટર દ્વારા ઊત્સર્જિત ઊર્જાની આ સમસ્યા બાબતે ખાસ ચર્ચા થતી નથી. એ.આઈ.થી માનવજાતનું ભાવિ કેવું બદલાશે, તેના ધંધારોજગાર પર તેમજ અન્ય ક્ષેત્રે શી અસર થશે વગેરે ચર્ચાની અત્યારે મોસમ છે. જેમને આ બધા સાથે ખાસ કશી લેવાદેવા નથી એ લોકો એ.આઈ.ના ઊપયોગથી વિવિધ તસવીરો અને ચિત્રો બનાવીને રમત રમે છે અને પોતાને ‘આવડી ગયું’નો ભાવ અનુભવીને રાજી થાય છે.  પણ એ.આઈ.ના વધતા જતા ઊપયોગ અને તેનાથી પર્યાવરણ પર થતી વિપરીત અસરો વિશે વાત થતી ખાસ સાંભળવા મળતી નથી.

    બીજી તરફ કેટલાક દેશોમાં આ દિશામાં કામ કરવાની પહેલ થઈ છે. ડેટા સેન્‍ટર દ્વારા થતા ઊર્જાના વપરાશને શી રીતે ઘટાડવો, અને તેનાથી પેદા થતા ગરમીના પ્રચંડ જથ્થાને શી રીતે નિયંત્રીત કરવો એ બાબતે વિવિધ ઊપાયોની અજમાયશ થઈ રહી છે. અલબત્ત, આમાં ક્યાંય તેના ઊપયોગને નિયંત્રીત કરવાની વાત નથી, કેમ કે, એ હવે શક્ય નથી રહ્યું.

    માનવે પોતાની જરૂરિયાતો એટલી બધી વધારી દીધી છે કે એ દરેકની પર્યાવરણ પર વિપરીત અસર અનિવાર્યપણે થાય એ નિશ્ચિત છે. એ.આઈ. એમાં છેલ્લામાં છેલ્લો ઊમેરો કહી શકાય. કોઈ સમસ્યાને ઓળખીને એની વિપરીત અસરોનો અભ્યાસ થાય, એ બાબતે કશાં નક્કર પગલાં લેવાય એ પહેલાં તો એ સમસ્યાનો વ્યાપ એટલો વધી ગયો હોય છે કે એનો ઊકેલ લાવવો આકાશમાં થીંગડાં મારવા જેવું લાગે.

    આ સમસ્યાનું ફલક એટલું વિશાળ છે કે તેમાં એકલદોકલ સંકલ્પથી ખાસ કશો ફરક ન પડે. આમ છતાં, ઈન્ટરનેટનો ઊપયોગ કરનારા સંયમ રાખીને અનિવાર્ય સંજોગો સિવાય એ.આઈ.નો ઊપયોગ ટાળે તો એની અસર પડે કે ન પડે, પણ એટલો સંતોષ થાય કે કમ સે કમ પોતે એમાં પ્રદાન કર્યુ નથી. વધુમાં આવી વિપરીત અસરો બાબતે જાગૃતિ ફેલાવવામાં આવે, તેના વિશે વધુ વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવે અને વિવિધ પ્રકારના અભ્યાસ થાય તો કદાચ કશો ફેર પડે તો પડે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૩-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ-૩

    મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ [૨] થી આગળ

    રામચંદ્ર ગુહા

                    અનુ. ડંકેશ ઓઝા

    સમગ્રપણે આધુનિક સંસ્કૃતિનું ગાંધીએ જે તાત્ત્વિક અને ટીકાત્મક અવલોકન કર્યું છે તેનો આજે આપણા જીવનની શૈલી પર અને આજના પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. તેઓ કહેતા ‘આધુનિક સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ એ જ છે કે આપણી જરૂરિયાતો અનંતગણી છે. આની સરખામણીએ પ્રાચીન સંસ્કૃતિઓમાં અનિવાર્ય એવો સંયમ હતો અને જરૂરિયાતો પર કડક નિયમન હતું.’ (‘યંગ ઇન્ડિયા’ તા. ૨-૬-૧૯૨૭) સામાન્ય એવા અસંયમી સ્વરે તેમણે સમય અને અંતરને કાપી નાખતી ગાંડી ઇચ્છાઓ, પશુઓની જેમ વધતી ભૂખ અને તેને સંતોષવા પૃથ્વીના બીજા અંતિમે પહોંચવાની તૈયારીની સંપૂર્ણપણે ભર્ત્સના કરી છે. ‘જો આધુનિક સંસ્કૃતિ આ જ કરવાની હોય અને જે હું સમજ્યો છું તે બરાબર હોય તો હું તેને શેતાની કહીશ.’ (‘યંગ ઇન્ડિયા’ ૧૭-૩-૧૯૨૭)

    વ્યક્તિગત ધોરણે, ગાંધીની સ્વૈચ્છિક સાદગીની વાત આધુનિક જીવનશૈલી સામે એક ટકાઉ વિકલ્પ પૂરો પાડે છે. પર્યાવરણના નીતિશાસ્ત્રનું એક સૂત્ર અતિ ઉત્તમ છે, તે ગાંધી પૂરું પાડે છે : “પ્રત્યેકની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે દુનિયામાં પૂરતું છે. પરંતુ પ્રત્યેકના લોભને સંતોષવા અહીં પર્યાપ્ત નથી.” ગાંધીએ ખુદ એનો અમલ કરી બતાવ્યો. સંસાધનોને ફરી ફરી વાપરવાં અને જરૂરિયાતો ઘટાડતાં જવું એ વાત એમના જીવનમાં વણાઈ ગઈ હતી. એમણે આર્થિક વિકાસની વ્યાપક પ્રક્રિયાઓનું જે પૃથક્કરણ કર્યું છે, ગ્રામીણ નવરચના માટે જે કાર્યક્રમ આપ્યો છે અને જિવાતા જીવનનું જે નીતિશાસ્ત્ર આપ્યું છે, એ ગાંધીનાં લખાણોને સાંપ્રત સંદર્ભમાં તપાસીએ તો આજની પર્યાવરણીય કટોકટી બાબતે તેમાંથી ઘણી સૂક્ષ્મ સમજણો ઊભી થાય છે. તેમના જીવનકાળ દરમ્યાન મહાત્માના અંગત શિષ્યોમાંના એક જે.સી. કુમારપ્પાએ ગાંધીના આર્થિક વિચારોને બરાબર સમજાવીને આપણી સમક્ષ રજૂ કર્યા છે. ગાંધીની પર્યાવરણીય સમજને ખૂબ સુંદર રીતે મૂકી આપનાર તે સૌથી પહેલા છે. એમના તરફ, એમના કાર્ય તરફ બહુ ધ્યાન ગયું નથી તેથી એનું મૂલ્યાંકન અહીં રજૂ કરવું વાજબી ગણાશે.

    કુમારપ્પા તમિળ ખ્રિસ્તી હતા. તેમને લંડનમાં હિસાબ પદ્ધતિની તાલીમ મળેલી. મુંબઈમાં ઓડિટર તરીકેની તેમની પ્રેક્ટીસ ધમાકેદાર ચાલતી હતી. એ છોડીને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં થોડો સમય અનુસ્નાતક અભ્યાસ માટે ગયેલા. ત્યાં તેમણે જાહેર નાણાં પદ્ધતિનો અભ્યાસ કરેલો. એ દરમ્યાન ભારતીય અર્થકારણનું કેવું વસાહતી શોષણ પદ્ધતિસર થઈ રહ્યું છે તેનો તેમના મનમાં ઉઘાડ થયેલો. ૧૯૨૯માં તેઓ વિદેશથી પાછા ફર્યા. હવે તેઓ રાષ્ટ્રવાદી હતા. તરત જ ગાંધીના સંપર્કમાં આવ્યા. જાહેર નાણાં પદ્ધતિ અંગેના તેમના વિચારો ‘યંગ ઇન્ડિયા’માં ક્રમશ: પ્રગટ થતા ગયા. કુમારપ્પાએ ઓડિટરની પ્રેક્ટીસ છોડીને સાબરમતી આશ્રમમાં જોડાવાનું નક્કી કરી દીધું. ગ્રામીણ પુન:રચના જે ગાંધીની મહત્ત્વની યોજના હતી તેનો હવાલો તેમને સોંપાયો. પછીના દાયકાઓમાં તેમણે કૃષિ અર્થતંત્ર અંગેનાં મહત્ત્વનાં સર્વેક્ષણો હાથ ધર્યાં અને અખિલ ભારતીય ચરખા સંઘ અને અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ જેવી ગાંધીની સંસ્થાઓ ચલાવવામાં સહાયરૂપ બની ગયા.

    ઓગણીસસોની ત્રીસી અને ચાળીસી દરમ્યાન જે.સી. કુમારપ્પાએ સંખ્યાબંધ પુસ્તકો લખી ગાંધીના અર્થશાસ્ત્રને ઔપચારિક રૂપ આપવાનો પ્રયાસ કર્યો. ગાંધીની માફક કુમારપ્પાનાં લખાણોમાં પણ પર્યાવરણની પ્રગાઢ અસરો અંગેનાં નિરીક્ષણો સતત આવતાં રહે છે. આમાંથી જ પર્યાવરણ અંગેની જવાબદારી માટે પાયાની શરત ઊભી થાય છે : “આપણને જરૂરી બધી ચીજવસ્તુઓ જો સ્થાનિક વિસ્તારમાંથી ઊભી કરવામાં આવે તો આપણે તે ઉત્પાદન પદ્ધતિઓ પર પૂરી નજર રાખી શકીએ. પરંતુ જો આપણે પૃથ્વીના બીજે છેડેથી આપણી જરૂરિયાતો પૂરી કરતા હોઈએ તો એ ઉત્પાદન પદ્ધતિઓ પર નિગરાની રાખવાનું અશક્ય બનતું હોય છે.”

    પોતાના ગુરુની માફક જે.સી. કુમારપ્પાએ પણ ઔદ્યોગિક સંસ્કૃતિની આકરી ટીકા કરી છે. તેમનું નિરીક્ષણ રહ્યું છે કે લૂંટફાટ વિના ઔદ્યોગિકીકરણ શક્ય નથી. એની સરખામણીમાં ખેતી એ વ્યવસાયોમાં ઉત્તમ છે અને રહેશે. જેમાં મનુષ્ય કુદરત પર અને પોતાના પર્યાવરણ પર એવો કાબૂ ધરાવે છે.’ જેમાં ઉત્પાદનનાં સૌથી સારાં પરિણામો તે મેળવી શકે. આવું કહેતી વખતે તેમણે કુદરત પર ખેતી અને ઉદ્યોગ બંનેની અસર કેવો વિરોધાભાસ ઊભો કરે છે તે નીચેના શબ્દોમાં પ્રગટ કર્યું છે.

    “કૃષિ સંસ્કૃતિમાં ઈશ્ર્વરદત્ત પ્રણાલી ઉપર કોઈ આક્રમણ કરવામાં આવતું નથી. ખેતી દરમ્યાન કરવામાં આવતું પરિવર્તન કુદરતી પુન: સર્જનને આવકારે છે. કુદરતમાં જે લાંબે સમયે દેખા દે છે તેને પ્રગટ કરવામાં ખેડૂત કુદરતને સહાયભૂત થાય છે અથવા એની ગતિની તીવ્રતા ટૂંકા ગાળા માટે ઊભી કરે છે…. ઔદ્યોગિક સમાજની આર્થિક પદ્ધતિમાં…. જે પરિણામો મેળવવા પ્રયત્ન થાય છે તે કુદરત સામે હિંસાનાં સ્વરૂપો હોય છે. કારણ કે તેમાં માંગની પરવા કર્યા વિના મોટો પુરવઠો ઊભો કરવામાં આવે છે. પછી બનાવટી રીતે આ સાધનો માટેની માંગ ઊભી કરવામાં આવે છે. તે માટે જાહેરાતની ચાલાકીભરી યુક્તિઓ પ્રયોજાય છે.

    એમની પેઢીના બીજા ગાંધીજનોની માફક કુમારપ્પાને મુખ્ય રસ સૈદ્ધાંતિક વિચારણામાં ન હતો, પરંતુ ભારતના ખેડૂતો અને કારીગરોએ જે કંઈ ગુમાવ્યું હતું તેને બચાવવામાં હતો. એમનાં બધાં જ લખાણોમાં કૃષિ અર્થતંત્રનાં કુદરતી સંસાધનોના કાળજીપૂર્વકના સંવર્ધનની વાત સાતત્યપૂર્વક કરવામાં આવી છે. માનવમળને ખાતર તરીકે વાપરવાની વાત પર તેઓ ભાર મૂકે છે. એ માટે વ્યક્તિગત સબસીડી આપવી જોઈએ એમ પણ કહે છે. જ્ઞાતિના ભેદભાવથી ઉપર ઊઠીને માનવમળ એકઠો કરીને તેનો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવા સૂચવે છે. સાથોસાથ, જમીનની ગુણવત્તા સાચવવા તેનું ધોવાણ ન થાય, તેમાં સતત પાણી ભરાઈ ન રહે, તે ચકાસતા રહેવાની વાત પર પણ ભાર મૂકે છે.

    જળ અને જંગલો એ એવી બાબતો છે જેનાથી આજે ભારતની પર્યાવરણીય ચળવળ સતત મૂંઝવણમાં છે. આ સંદર્ભે જાણવા જેવું છે કે અંગ્રેજ શાસન દરમ્યાન પણ સિંચાઈનાં તળાવોની પર્યાપ્ત જાળવણી થતી નથી એવી ટીકા કરવામાં કુમારપ્પાએ પાછીપાની કરી ન હતી. તેઓ  કહેતા કે ભૂતળનું જળ જળવાય અને ખારાશ ઘટે તે માટે સઘળા પ્રયાસો કરવા જોઈએ. જંગલ વ્યવસ્થાપનના સ્વીકાર્ય મોડેલ બાબતે સારગર્ભ ટિપ્પણી કરતાં તેઓ કહે છે :

    “સરકારે જંગલોની જાળવણીની તેની નીતિમાં ધરખમ સુધારણા કરવાની જરૂર છે. જંગલ જાળવણીની પાછળ મહેસૂલ એકઠું કરવાની નીતિ ન હોવી જોઈએ. પણ પ્રજાની જરૂરિયાતની વિચારણા હોવી જોઈએ. આસપાસ રહેતા ગામલોકોની આવશ્યકતા શી છે તે વિચારીને વનોનું આયોજન થવું જોઈએ. જંગલોને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવાં જોઈએ :

    (૧) લાંબા ગાળાની દૃષ્ટિથી સમયાંતરે લાકડાનો પુરવઠો પૂરો પાડનારાં

    (૨) ઈંધણ અને ઘાસ પૂરું પાડનારાં. આ બંને પ્રજાને ક્યાં તો વિના મૂલ્યે ક્યાં તો પ્રતીક મૂલ્યથી આપવાં જોઈએ. ગ્રામોદ્યોગમાં તાડનો ગોળ, કાગળ ઉત્પાદન, માટીકામ વગેરે તો જ વિકસી શકે જો ઈંધણ અને ઘાસ તેમને સસ્તા દરે મળતાં રહે.”

    જૈવિક બળતણ કે કચરાની ગ્રામીણ અર્થતંત્રમાં કેવી અછત રહે છે એ બાબતે કુમારપ્પાની દીર્ઘદૃષ્ટિ હતી. તેમને ઘાસચારાની ઉપલબ્ધતા અંગે વિશેષ ચિંતા હતી. તેમણે કહ્યું છે કે શણ, તમાકુ અને શેરડી જેવા રોકડિયા પાક તરફ આપણે વળીએ છીએ પરિણામે માણસ માટે અનાજ ઘટે છે અને ઘરેલુ પ્રાણીઓ માટે ઘાસચારો. તેમણે ખેડૂતોની એ ફરિયાદ પણ નોંધી હતી કે એમનાં પશુઓ માટે પૂરતાં ગૌચર નથી. કિંમત ચૂકવ્યા વિના એટલે કે વિના મૂલ્યે પડતર જમીનમાં ગૌચર ઊભાં ન કરતી અંગ્રેજ સરકાર સામે તેમણે ઘણી ટીકાઓ કરી હતી.

    જમીનની જાળવણી અને ઉત્પાદકતા, પાણીની જાળવણી અને એની પુન:પ્રાપ્તિ, ગામ લોકોના જંગલ અંગેના અધિકારો અને જૈવિક કચરાના અંદાજો – ગ્રામીણ પર્યાવરણની સમસ્યાઓની આ કાર્યસૂચિ આજે પણ આપણો કેડો મૂકતી નથી. ખેતીને કુદરતના આયોજનમાં દૃઢતાથી સ્થાપિત કરવામાં કુમારપ્પાએ ગાંધીવિચાર મુજબ પર્યાવરણનો આખો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આજના પર્યાવરણવાદીઓ ભલે એમના કામથી સુપરિચિત ન હોય પણ તેઓ કુમારપ્પાના કામને જ આગળ લઈ જઈ રહ્યા છે.

    બીજી વ્યક્તિ જે ગાંધીની સાથીદાર હતી અને જેના પર્યાવરણ વિશેના વિચારો ઘણા પ્રગતિશીલ હતા તે હતાં મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાંબેન. તેઓ અંગ્રેજ એડમીરલની પુત્રી હતાં અને ૧૯૨૫માં સાબરમતી આશ્રમમાં ગાંધી સાથે જોડાયાં હતાં. જે.સી. કુમારપ્પાની માફક મીરાંબહેન પણ મહાત્માના આંતરિક વર્તુળમાં હતાં અને તેમના અનુયાયીઓમાં અગ્રગણ્ય હતાં. તમિળ અર્થશાસ્ત્રી કુમારપ્પાની માફક જ મીરાંબહેન પણ ગ્રામીણ પુન: રચનામાં અગ્રેસર હતાં. તેમાં ઘણાં વર્ષો વીતાવ્યાં હતાં. ગાંધીના એ અંગેના વિચારોને વ્યવહારુ રીતે અમલમાં મૂકીને આગળ લઈ ગયાં હતાં.

    ૧૯૪૭માં તેમણે હિમાલયની તળેટીમાં ઋષિકેશ નજીક પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. તે પછી ઘણાં વર્ષો બાદ તેઓ ભીલંગણા ખીણ તરફ જઈને રહ્યાં હતાં. એ સમયે એમણે જે લેખો લખ્યા તેમાં મીરાંબહેને હિમાલય વિસ્તારમાં જંગલો ઓછાં થવા વિશે, જમીન ધોવાણ અને નદીઓનાં પૂર વિશે પ્રજાને તેમજ નીતિ નક્કી કરનારાઓને સાવચેત કર્યા હતા. બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી છે તેના પર ભાર મૂક્યો હતો. ચિપકો આંદોલનનાં વર્ષો પહેલાં આ ટીકાઓએ લોકોને બળ પૂરું પાડ્યું હતું.

    મીરાંબહેને શોધી કાઢ્યું હતું કે જંગલની જાળવણીમાં ગામલોકોને બાકાત કરાય છે તે સારી બાબત નથી. ઓકનાં વૃક્ષોને બદલે ઘણા વિસ્તારોમાં પાઈન વવાતાં હતાં એની પણ એમણે ટીકા કરી હતી. કારણ કે તેનાથી વરસાદનું પાણી જળવાવાની શક્તિ ઘટતી હતી. તેમણે આ બાબતોની વિગતે ફોટા પાડીને વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ મોકલેલા. નહેરુએ તે વનઅધિકારી તરફ મોકલેલા પણ વર્ષો બાદ મીરાંબહેને સખેદ નોંધ્યું હતું કે આ એવા પાયાના ફેરફારો હતા જે જંગલખાતું કરી શકે તેમ ન હતું.

    ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં લાંબાં વર્ષોના નિવાસ દરમ્યાન મીરાંબહેને ભારતીય કૃષિ અને તેની સાથે જોડાયેલી પર્યાવરણની મહત્ત્વની સમસ્યાઓ બાબતે જે ટીકાઓ કરેલી તે અધિકારીઓની સમજમાં આવે તેમ ન હતી. આ બાબતોમાં જોઈએ તો નહેર દ્વારા જે સિંચાઈ થાય છે તેમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઊભી થાય છે; મીરાંબહેન જોઈ રહ્યાં હતાં કે જે ઝડપથી પર્યાવરણમાં ફેરફારો કરાઈ રહ્યા છે તે આધુનિક જીવનનું વિશિષ્ટ અને અવરોધક લક્ષણ જ છે. ઉત્તર અમેરિકા અને મધ્યપૂર્વની પ્રાચીન સંસ્કૃતિઓનો વિનાશ કુદરતી પર્યાવરણને નજરઅંદાજ કરી તેનો દુરુપયોગ કરવાથી જ થયો હતો એમ તેમણે તા. ૫-૬-૧૯૫૦ના રોજ ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના એક લેખમાં લખ્યું.

    એમણે આગળ એમ પણ લખ્યું કે ભૂતકાળમાં સંપૂર્ણ વિનાશ થતાં સદીઓ વીતી છે. પણ આધુનિક વિજ્ઞાન અને યંત્રશાસ્ત્ર તે આજે બહુ થોડાં વર્ષોમાં કરી નાખશે.

    ગાંધી અને કુમારપ્પાની માફક મીરાંબહેનની પાયાની ચિંતા ભારતના ગ્રામીણ અર્થતંત્રને કેમ ફરી પાટે ચઢાવવું એની જ રહી. તેમ છતાં ઘણી બધી વખત એમનો નિસર્ગ સાથેનો અનુબંધ આધ્યાત્મિક રહ્યો અને તે યુરોપની વર્ડઝવર્થની ભાવનાપ્રધાન પરંપરા મુજબનો હતો. તેઓ કહેતાં કે હું મૂળભૂત રીતે પૃથ્વીમાતાની એક ભક્ત જ છું.

    એપ્રિલ – ૧૯૪૯માં મીરાંબહેને લખ્યું કે :

    “આજના શિક્ષિત અને ધનિક વર્ગો સંપૂર્ણપણે અસ્તિત્વની મહત્ત્વની પાયાની બાબતોથી અજાણ થઈ ગયા છે – પૃથ્વીમાતા, પ્રાણીઓ અને બીજી સજીવ સૃષ્ટિ વગેરે વિશે જાણે તેને કંઈ જ પડી નથી. એ તો તક મળે એટલે કુદરતના સહજ આયોજનને ઉશેટવા, એને અસ્તવ્યસ્ત કરવા અને લૂંટી લેવા બેઠો હોય એવાં એનાં વૃત્તિ અને વલણ છે. વિજ્ઞાન અને યંત્રો શક્ય છે કે એને કેટલોક સમય મોટાં વળતર અપાવશે. પણ અંતે તો પૃથ્વી એનાથી વેરાન જ બનવાની. ખરેખર તો આપણે કુદરતના સંતુલનનો, અને કુદરત એના નિયમો મુજબ ચાલે છે તેની સાથે જોડાઈને આપણો વિકાસ સાધવાની પદ્ધતિનો અભ્યાસ કરવાની જરૂર છે. આમ કરીશું તો જ આપણે શારીરિક રીતે તંદુરસ્ત અને નૈતિક રીતે સારી પ્રજાતિના છીએ એમ ગણાઈશું.”