વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ગણેશિયો

    ચંદ્રકાન્ત સોની

    મુઠ્ઠીવાળી, એણે મજુરીના મળેલા પૈસા ખિસ્સામાં મૂક્યા. પૈસા મળતાં એનો ચહેરો પુલકિત થઈ ઉઠ્યો.

    બજાર વિંધતાં ઝુંપડપટ્ટી તરફ એણે પગ ઉપાડ્યા. મોટીમોટી ફાળો ભરતો જાય, અને ખિસ્સામાં વારંવાર હાથ નાખી શાંતિ અનુભવતો જાય.

    કપડાંની એક દુકાનની બહાર લટકતી સાડીઓ તે તાકી રહ્યો. ખિસ્સામાં હાથ નાખી પાછો કાઢી લીધો

    એ વિચારે ચડ્યો. બે વર્ષ અગાઉની દીવાળીએ પાંદડીએ એક શેઠાણીનું દિવાળીનું ઘરકામ કરી આપેલું અને શેઠાણીએ પોટલી ભરીને ખાવાનું અને જૂની બે સાડીઓ આપેલી, એ પહેરીને બે બે વર્ષથી પાંદડી દિવાળી પર હરખાતી..

    હરખાતી પાંદડીને તાકી રહેવાનું તેને ગમતું…મા આઘીપાછી હોય ત્યારે પાંદડીને મીઠું અડપલુ કરતાં કહેતો, “આજે તું અવ્વલ શેઠાણી લાગે છે,”ને બંને ખડખડાટ હસી પડતાં.

    તેની વૃદ્ધ મા દર દિવાળીએ ઓછાં થીગડાં હોય એવો ,જાતે ધોઈને, વાળીને ઓશિકા નીચે મુકેલો સાડલો પહેરી સપરમા દાડે થોડું હરખાઈ લેતી.

    રોડની એક બાજુના ફૂટપાથ પર નાના બાળકોના તૈયાર કપડાં વેચતા ફેરિયા પર તેની નજર પડી.. એણે તે તરફ પગ ઉપાડ્યા. બાર વર્ષના મણિયાને માપનાં કપડાં અને આઠ વર્ષની જયલીને થાય એવું ફ્રોક તેને પસંદ પડ્યું.  ભાવની રકઝક કરી..તેના બંને સંતાનો માટે ખરીદી લીધાં.

    ઘેર પહોંચીને જોયું તો, પાંદડી તેના બ્લાઉઝની બાંયોને માપસરની કરવા ટાંકા લઈ રહી હતી, તો મા એક થીગડાંવાળા સાડલાને બીજા થીગડાં માટે, કાપડના ટૂકડા અને સાડલાના કાણા વચ્ચે સમાધાન સાધી રહી હતી.

    મણિયો અને જયલી, એકેએક થેલો લઈને રેલ્વે સ્ટેશન બાજુએ કાગળના ડૂચા પ્લાસ્ટિક અને લોખંડનો ભંગાર વિણવા ગયા હતા, તે હજુ આવ્યા ન હતા.

    રાત્રે ઓસરીમાં પાથરેલા ખાટલામાં પડ્યો પડ્યો તે વિચારે ચડ્યો.

    આજથી બાર તેર વર્ષ પહેલાં પિતાજીના મૃત્યુ પછી એ ઘરફોડ ચોરી કરવાને ઈરાદે તેના પિતાજીનો ગણેશિયો લઈને અંધારામાં નીકળવાની તૈયારી કરતો હતો ને તેની પત્ની પાંદડીએ તેના પગ પકડીને, ખોળો પાથરી હવે આવા ચોરીના ધંધા છોડી દેવા વિનંતી કરતી રડતી રડતી એના પેટમાંના બાળકના સોગંદ આપેલા અને એણે ગણેશિયાને માથું નમાવી યથાસ્થાને મૂકી દીધેલો.

    બીજે દીવસે પાંદડીને સાથે લઈ મજૂરીએ ઉપડી ગયેલો.

    પાંદડીએ પણ તેના ખભેખભા મિલાવી મજૂરી કરવામાં કોઈ કસર ના છોડી…પણ તેની વૃદ્ધ માની બીમારીએ તેના બે આવકના છેડા ભેગા કરવા મુશ્કેલ કરી દીધા.

    આજે તેના મનમાં ચોરી કરવાનો નઠારો વિચાર આવી ગયો.એક બાજુ પૈસાની ખૂબ જ અછત અને બીજી બાજુ દિવાળી જેવો ઉમંગનો તહેવાર આવી રહ્યો હતો. દિવાળીને કારણે પાંચપાંચ દીવસ બજાર પણ બંધ રહેવાનું હતું.. તેની સામે બીમારીમાં કણસતી મા, તો ઓશિયાળા થઈ ટળવળતા બાળકો અને જીવનના તમામ અભરખા છોડી દીવસે દીવસે ગળતી જતી તેની પત્ની પાંદડી.

    બજારમાં મજૂરી કરતાં કરતાં એણે છેક છેવાડેની કરિયાણાની દુકાન જોઈ રાખી હતી. તે દુકાનની પાછળની લાકડાની એક બારી એક ધક્કે તોડી શકાય એમ તેનો અંદાજ કંઈ ખોટો ન હતો…અંદરના કબાટનાં તાળાં તોડવામાં તેનો ગણેશિયો કાફી હતો…ભલે પૈસા ટકા ના મળે પણ દીવાળી પર શાંતિથી રાંધી શકાય એટલું કરિયાણું મળે એટલી જ ચોરી કરવાનો તેનો નિશ્ચય હતો..

    પાંદડી, નાના બાળકો અને તેની મા હવે ઊંઘતા હશે એમ માની એ ધીમે પગલે ઉઠ્યો.

    ગણેશિયો હાથમાં લઈને “પહેલાં સમરૂં ગણપતિ દેવા વિગન દેજો કાપી રામા..”મનોમન પ્રાર્થના કરી, ગણેશિયાને હાથ જોડી, ગણેશિયો હાથમાં લઈને માથે અડકાડ્યો..પણ તે થોડો ધ્રુજી ઉઠ્યો…પાંદડીએ ફરી ગણેશિયો હાથમાં ન લેવા કે ચોરીનો વિચાર પણ ન કરવા’ મેલડી મા’ના સોગંદ આપેલા…

    ગણેશિયો તેના હાથમાંથી નીચે પતરાની પેટી પર પડતા, અવાજ સાંભળી પાંદડી અને બંને બાળકો સાથે ખાં,…ખાં..ખાં કરતી મા પણ જાગી ગઈ.

    બંને બાળકોએ પાંદડી સામે જોયું.. પાંદડીએ પેલી પતરાની પેટી ખોલી…એક થેલીમાં પરચૂરણ છૂટ્ટા પૈસા અને બીજી થેલીમાં થોડી ફાટેલી ચુંથાયેલી રૂપિયાની નોટો હતી.

    માએ નીચે પડેલો ગણેશિયો હાથમાં લીધો બોલી..”આ ગણેશિયાના જોરે તો તારા બાપની અડધી જિંદગી સપાઈઓનો માર ખાવામાં અને જેલમાં રહેવામાં પૂરી થઈ ગઈ બેટા…”

    “બાપા, આ મેં અને જયલીએ દીવાળી કરવા ભેગા કરેલા પૈસા..અને સવારે સવારે તમે મજૂરીએ ઉપડી જાઓ ત્યારે મારી માએ પણ હમણાં હમણાં બે ચાર ઘરનું છૂટક ઘરકામ પણ બાંધ્યું છે એના છૂટક કામની આ નોટો.” મણિયો તેને તાકતો કહી રહ્યો.

    “આજથી તું મારો ખરો ગણેશિયો.”.કહેતાં મણિયાને બાથમાં લઈ તેની આંખો ભીની થઈ… તે દીવસથી એણે મણિયાનું નામ ગણેશિયો પાડી દીધું.

    હવે તો મણિયો પણ તેની બરાબરીમાં મજૂરી કરતો થઈ ગયો હતો…

    માના મૃત્યુ વખતે માની લાશના પડખામાં ગણેશિયો મૂકી દીધો..ચિતાના ભડભડતા અગ્નિમાં ગણેશિયો પણ ઓગળી ગયો…પેઢી દર પેઢીનો ગણેશિયાનો સંબંધ સ્મશાનમાં ઓગળીને વિલીન થઈ ગયો.


    ચંદ્રકાન્ત જે સોની | મોડાસા

  • અંતિમ વિદાય

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    મા-બાપુ, પમ્મી, મોહન, મોહનની પત્ની શીલા, સોહન અને નિમ્મી.

    આ મધ્યવર્ગી પરિવારની મોટી દીકરી પમ્મીને પરણે પાંચ વર્ષ થયાં પછી પણ એના સાસરે થતા ક્લેશના લીધે અવારનવાર પિયર પાછી આવતી.

    આજે ફરી આખા ઘરમાં સન્નાટો ફેલાઈ ગયો. કારણ? પમ્મીનો પત્ર.

    છેલ્લા કેટલાક સમયથી આમ જ થતું. પમ્મીનો પત્ર આવતો અને સૌ ખળભળી જતાં. અકળાયેલા બાપુજી બહાર ચાલ્યા જતા. મા રસોડામાં જઈને રૂદન ખાળવાનો પ્રયાસ કરતી છતાં આંખમાંથી આંસુના પૂર વહી આવતા. સોહન ભણવાના બહાને ભાઈબંધના ઘેર ચાલ્યો જતો અને જમવાના સમય સુધી પાછો નહોતો ફરતો.  મોઢું ચઢાવીને નિમ્મી પોતાના રૂમમાં ચાલી જતી.

    આવા સમયે ઘરમાં સૌથી વધુ ભાર મોહન અને શીલા અનુભવતાં. હંમેશાં ડરતાં કે, ભૂલથી પણ એવું કશું ના બોલાઈ જાય જેનાથી દારુખાનામાં આગ ચાંપવા જેવી સ્થિતિ સર્જાય.

    પમ્મીના પત્રની સૌથી વધુ અસર મા પર થતી.

    પાંચ વર્ષના વૈવાહિક જીવનમાં છેલ્લાં ચાર વર્ષથી પમ્મીની એકધારી ફરિયાદ આવતી કે, “જો મારે અહીં વધુ રહેવાનું થશે તો પછી કશું હાથમાં નહીં રહે. હું કંઈક ખાઈ બેસીશ તો તમે મને ખોઈ બેસશો.”

    શરૂઆતમાં પમ્મી પિયર ચાલી આવતી તો સૌ એને સાચવી લેતાં. બેચાર દિવસ પછી બાપુજી ખુદ પમ્મીના સાસરે જઈને એણે કરેલા કે ન કરેલા અપરાધોની માફી માંગી લેતા. ક્યારેક જમાઈને બોલાવીને સમજાવતા, પણ સઘળું વ્યર્થ.

    પમ્મી આવતી ત્યારે ઘરના રોજિંદા ક્રમની સાથે મહિનાનું બજેટ પણ ખોરવાઈ જતું. પમ્મીને ખુશ રાખવા મા ઢગલો રૂપિયા ખર્ચી નાખતી.

    આ બધું કરવામાં શીલાનાં જ પૈસા ખર્ચાતા. ઘરમાં આરોપ-પ્રતિ આરોપનો સિલસિલો શરૂ થઈ જતો.

    આ બધું જોઈને પમ્મીને પણ અતિ દુઃખ થતું. ક્યારેક એ બોલી દેતી કે, “મારા આવવાથી ઘરનું વાતાવરણ સાવ આવું થઈ જશે એવી ખબર હોત તો હું મારા ઘેર શું ખોટી હતી?”

    અને સાચે જ સૌ પમ્મીના જવાની તૈયારી આદરી દેતાં. ઢગલો સામાન સાથે પમ્મીને અપાતી વિદાય કપરી રહેતી. ઘરની નજીવી આવકમાં મોટો ખાડો પડતો. પમ્મીની વિદાય સાથે ઘરનાં સૌની જરૂરિયાત પર કાપ આવી જતો.

    પમ્મીને સાચવવાની મથામણમાં ઘરખર્ચમાં જે ખાઈ ઊભી થતી એ પુરાય ત્યાર પહેલાં તો પમ્મીનો બીજો પત્ર આવતો. આમ ક્યાં સુધી ચાલશે એની દ્વિધા સાથે એક ડર સૌના મનમાં રહેતો.

    આ વખતે પમ્મીનો પત્ર આવતા ફરી ઘર આખામાં ખળભળાટ મચ્યો. મોહન પમ્મીને લઈ આવવાની તરફેણમાં હતો. માર્ચ મહિનાથી સોહન અને નિમ્મીની પરીક્ષાઓ શરૂ થતી હતી. પમ્મીના આવવાથી ભણવા-વાંચવા પર અસર થશે એ વિચારે સોહન પમ્મીને બોલાવવાના મતમાં નહોતો.

    નિમ્મી પણ સોહન સાથે સંમત હતી કારણ કે પમ્મીની આવવાથી ઘરનું વાતાવરણ અશાંત થઈ જતું. પમ્મી પોતાની દીકરીની તો વાત દૂર ખુદને માંડ સંભાળી શકતી. હતાશાને લીધે ગુમસૂમ થઈને એક રૂમમાં બેસી રહેતી પરિણામે બંનેને સાચવવામાં ઘરમાં સૌની જવાબદારી વધી જતી.

    “વાહ, શું કળયુગ આવ્યો છે, પોતાની બહેન પણ સૌને નડે છે?” સોહન અને નિમ્મીની વાતથી મા અકળાતી.

    અંતે બાપુજીએ પમ્મીને પત્ર લખીને જણાવી દીધું કે, ‘સોહન અને નિમ્મીની પરીક્ષાઓ પૂરી થશે ત્યારે એ ખુદ એને લેવા આવશે.’

    પણ, હજુ તો પત્ર પહોંચે એ પહેલાં પમ્મી આવી પહોંચી. એને જોઈને સૌના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો.

    એ દિવસે ઘરમાં આનંદનું વાતાવરણ હતું. મોહને નિમ્મીના વિવાહ અંગે વાત કરવા એના એક પરિચિત પરિવારને જમવાનું આમંત્રણ પાઠવ્યું હતું. મુલાકાતના બહાને એ લોકો ઘર અને નિમ્મીને જોઈ લે એવી એની ઇચ્છા હતી.

    ઘર અને નિમ્મીને સજાવીને શીલાએ સાસુમાને પણ તૈયાર કર્યા. મહેમાનોની આગતાસ્વાગતા શરૂ જ થઈ હતી ને પમ્મી આંધીની જેમ આવીને વાવાઝોડાની જેમ વરસી.

    “મને ત્યાં ભઠ્ઠીમાં છોડીને અહીં તમે સૌ મહેમાનોને બોલાવીને મઝા માણો છો? કેટલા પત્રો લખ્યા, પણ કોઈએ ખબર લેવાની તસ્દી સુદ્ધાં ના લીધી કે પમ્મી જીવે છે મરી ગઈ. હું આટલી ભારે પડતી હતી તો હાથ-પગ બાંધીને મને કૂવામાં જ ફેંકી દેવી હતી ને? તમારી પાસે આપવા જેટલું કંઈ હતું નહીં તો મારા લગ્ન કરવાની જરૂર ક્યાં હતી?”  પમ્મીનો શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો.

    મહેમાનોની હાજરીમાં જે તમાશો થયો એનાથી સૌ અત્યંત ભોંઠા પડી ગયાં. અનેકવાર ક્ષમાયાચના માંગીને મહેમાનોને વિદાય કર્યા. નિમ્મી માટે એમનાં તરફથી શું જવાબ આવશે એ તો નિશ્ચિત જ હતું.

    મહિનાના આખરી દિવસો હતા છતાં નિમ્મીના ભવિષ્ય માટે થઈને મોહને મહેમાનગતિ માટે જેમતેમ કરીને સગવડ કરી હતી. મોહનના કર્યા-કારવ્યા પર પાણી ફરી ગયું. ઘરમાં માતમ જેવું વાતાવરણ છવાઈ ગયું.

    મા અને શીલા સિવાય સૌએ પમ્મીની ઉપેક્ષા કરી હોય એમ પોતપોતાનાં કામે વળગ્યાં.

    બે દિવસ તો પમ્મી શાંત રહી શકી, પછી લાવાની જેમ ઉકળવા માંડી.

    “લાગે છે કે મારું અહીં આવવું કોઈને ગમ્યું નથી. આવું અપમાન થશે એવી ખબર હોત તો મારા જ ઘરમાં અપમાન સહન કરીને બેસી રહેત કે પછી નાનીમોટી નોકરી શોધી લેત.”

    “હા, ભાઈ-ભાભીની છાતી પર મગ દળવા કરતાં તો નોકરી જ શોધી લેવી જોઈતી હતી. જ્યારે મન થાય ત્યારે ચાલી આવે છે, ક્યાં સુધી તારા માટે સૌએ હેરાન થવાનું? ઘરમાં એક બીજી છોકરી પણ છે જેને પરણાવવાની છે, એટલી તો તને ખબર હોવી જોઈએ.” આ વખતે તો સોહને સંભળાવ્યું.

    “તારા ઘેર આવું ત્યારે આટલો રોફ દેખાડજે. અત્યારે તો મારા પિતાના ઘેર આવું છું.”

    “પિતાનું ઘર….? વિચારી જોજે.” કહીને સોહન ઘરની બહાર ચાલ્યો ગયો. નાનો હતો, અપરણિત હતો એટલે આગળપાછળનું વિચાર્યા વગર પોતાનો ઉકળાટ ઠલવવા જેટલી સ્વતંત્રતા લઈ લીધી.

    સોહન આટલું બોલી ગયો છતાં બાપુજી કંઈ જ ન બોલ્યા એ વાતે પમ્મી સ્તબ્ધ હતી. જેમના આધારે, વગર વિચારે પોતે ચાલી આવી હતી એમણે પણ સોહનને બોલતા ન રોક્યો એ વિચારે પમ્મીનો આઘાત બેવડાયો.

    “બાપુજી….?”

    “હું  શું કરું પમ્મી ? શક્ય હતું ત્યાં સુધી પહોંચી વળવા પ્રયાસ કર્યા, પણ હવે આ બુઢ્ઢા બાપમાં એટલી તાકાત રહી નથી કે, આ બધું સંભાળી શકે. મારાં પેન્શનમાંથી દવાઓ જ માંડ આવે છે. દીકરાના ભરોસે દિવસો કાઢું છું ત્યાં એના માથે કેટલો ભાર વધારું?  પમ્મી દીકરા, અમે તારા જન્મ માટે જવાબદાર છીએ. કર્મની ગતિ તો તારે જ ભોગવવી પડશે. સુખ કે દુઃખ જે નસીબમાં લખાયું છે એ તો તારા ઘરે રહીને ભોગવ્યા સિવાય છૂટકો જ નથી.  આમ ને આમ ચાલશે તો નિમ્મીના વિવાહ કેવી રીતે કરીશું?”

    ચાર દિવસ પછી સોહન સાથે પમ્મીને સાસરે મોકલી ત્યારે બાપુજીને લાગ્યું કે જાણે દીકરીને અંતિમ વિદાય ના આપી રહ્યા હોય !

    નથી ને કાલે કશું અજુગતું બન્યું, પમ્મીના સાસરિયાઓએ એની સાથે કશું અઘટિત કર્યું તો એમાં પોતે પણ બરાબરના હિસ્સેદાર જ ગણાશે.


    માલતી જોશી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • વાદ્યવિશેષ (૩૯) – તાલવાદ્યો (૪) : ઢોલકી, નાળ અને માદલ

    ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ગઈ કડીમાં આપણે ઢોલકનો પરિચય કર્યો. રસપ્રદ બાબત એ છે કે ઢોલક જેવી જ મૂળભૂત રચના ધરાવતાં અન્ય તાલવાદ્યો પણ છે. બહુ ઝીણી નજરે જોઈએ તો જ એ બધાં વચ્ચેનો તફાવત ખ્યાલ આવી શકે છે. આવાં અલગઅલગ તાલવાદ્યોના વાદનની શૈલી થોડાઘણા અંશે જુદી પડતી રહે છે. વળી દરેકના બોલ પણ જુદા પડતા હોય છે. આ કડીમાં આપણે તે પૈકીનાં ત્રણ – ઢોલકી, નાળ અને માદલ- વિશે વાત કરીએ.

    ઢોલકી મોટા ભાગે મહારાષ્ટ્રના લાક્ષણિક લોકનૃત્ય લાવણી સાથે વગાડવામાં આવે છે. ઢોલક કરતાં કદમાં નાની અને પરિણામે વજનમાં હલકી હોવાથી તેને આસાનીથી બન્ને છેડે પાતળી દોરડી વડે બાંધી, ગળામાં પહેરી, કલાકારો નાચતા કૂદતા વગાડી શકે છે.

    ઢોલકી

               ઢોલકી

    ઢોલકીનું વાદન કેવું હોય તેનો અંદાજ આ ક્લીપ પરથી આવી શકશે.

    નાળ અને ઢોલકી કદમાં અને દેખાવમાં લગભગ સરખાં હોય છે. કેટલાક વિસ્તારોમાં એક જ તાલવાદ્યને નાળઢોલ તરીકે ઓળખવામાં આવે છે. પણ જાણકારોના મત પ્રમાણે ઢોલકી કરતાં નાળનો દાંયા તરીકે ઓળખાતો ભાગ વધુ સાંકડો હોય છે. આમ હોવાથી તે બાજુએ વગાડવાથી નિષ્પન્ન થતો ધ્વનિ સરખામણીએ તીવ્ર હોય છે.

    નાળ

    નાળનો વ્યાપક ઉપયોગ પંજાબી લોકનૃત્યો સાથે થતો હોય છે. નાળના અવાજનો કંઈક અંદાજ આ વિડીઓ ક્લીપમાં આવી શકશે.

    https://www.youtube.com/watch?v=RlnkOo3oUIQ

    માદલ દેખાવે ઢોલકીનું જ નાનું સ્વરૂપ હોય તેમ જણાય છે. જો કે તેના બોલ અને વાદનની શૈલી ખાસ્સાં અલગ પડે છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં નાળ એક લોકવાદ્ય તરીકે ખુબ જ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે. ફિલ્મી વાદ્યવૃંદમાં માદલને સ્થાન આપવાનું શ્રેય રાહુલદેવ બર્મન અને તેમના સહાયક મનોહારી સિંહને જાય છે. રણજીત ગઝમેર નામના એક યુવાન માદલવાદકને તેઓ કલકત્તાથી મુંબઈની ફિલ્મી દુનિયામાં લઈ આવ્યા. આ નાનકડા વાદ્ય થકી કેટલાંયે ફિલ્મી ગીતો સાથે તાલના વિશિષ્ટ પ્રયોગો થયા છે.

    માદલ

    માદલવાદનની આ ક્લીપ થકી તેના અવાજનો ખ્યાલ આવી શકશે.

    https://www.youtube.com/watch?v=7O1EWGNyynQ

    ઉલ્લેખનીય છે કે આ ત્રણમાંથી એકેય વાદ્ય સ્વતંત્ર રીતે શાસ્ત્રીય પદ્ધતિએ તાલ વગાડવા માટે અથવા તો શાસ્ત્રીય વાદન/ગાયન સાથે તાલ પૂરાવવા માટે ઉપયોગે નથી લેવાતું.

    હવે કેટલાંક ફિલ્મી ગીતો સાંભળીએ, જેમાં આ પ્રકારનાં તાલવાદ્યોનો ઉપયોગ થયો હોય. નોંધનીય છે કે ફિલ્મી વાદ્યવૃંદોમાં એક કરતાં વધારે પ્રકારનાં તાલવાદ્યો ઉપયોગે લેવાતાં હોય છે. આથી કોઈ ગીતમાં ચોક્કસ એક તાલવાદ્યનો અવાજ સંપૂર્ણપણે અલગ પાડી શકાય એવું ક્યારેક જ બનતું હોય છે.

    ૧૯૪૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ મહલ માટે સંગીતકાર ખેમચંદ પ્રકાશે તૈયાર કરેલાં ગીતો આજે પણ ભારે લોકચાહના ધરાવે છે. તેમાંનું એક ગીત ‘એક તીર ચલા દીલ પર મેરે’ સાંભળીએ. ગાયકીની સાથે તાલ પૂરાવતાં તાલવાદ્યોમાં નાળની ચાટીનો તીવ્ર અવાજ પારખી શકાય છે.

    ૧૯૪૯ની સાલની  ફિલ્મ રીમઝીમમાં પણ ખેમચંદ પ્રકાશનું જ સ્વરનિયોજન હતું. આ ફિલ્મનું ગીત ‘ના તુમ આયે ના નીંદ આયી’ પણ નાળના તાલથી સજાવાયેલું છે.

    ફિલ્મ આવારા (૧૯૫૧)ના સ્વપ્નગીતના બીજા ભાગ ‘ઘર આયા મેરા પરદેસી’ના રેકોર્ડીંગ સમયે રાજ કપૂર અને સંગીતકાર જોડી શંકર-જયકિશન તાલવાદંનથી સંતુષ્ટ નહોતા. આ સમયે આખરી ઉપાય તરીકે સહાયક સંગીતકાર દત્તારામે લાલા ભાઉ નામેરી એક સાવ અજાણ્યા ઢોલકીવાદકને તેડાવ્યા. તે કલાકારે પોતાના કસબ વડે ગીતમાં જાન ભરી દીધો. ગીત સાંભળતાં જ ઢોલકીના બોલ સ્પષ્ટ તરી આવે છે.

    ફિલ્મ દાગ (૧૯૫૨)ના ગીત ‘દેખો આયા કૈસા જમાના’ સાથે ઢોલકીનો પ્રયોગ માણી શકાય છે. સંગીત શંકર-જયકિશને તૈયાર કર્યું હતું.

    https://www.youtube.com/watch?v=Sf6dbWkCEHg&list=RDSf6dbWkCEHg&start_radio=1

    હવે માણીએ ૧૯૭૧ની ફિલ્મ હરે રામા હરે ક્રિશ્નાનાં બે ગીતો, જેના વાદ્યવૃંદમાં માદલનો પ્રયોગ પહેલી વાર થયો. પહેલાં સાંભળીએ ‘કાંચી રે કાંચી રે’. નેપાળી પૃષ્ઠભૂમી પર ફિલ્માવાયેલા આ ગીત સાથે માદલના બોલ બરાબર તાલ મિલાવે છે. અગાઉ જણાવ્યું તેમ આ ગીતના વાદ્યવૃંદમાં રણજીત ગઝમેરે પહેલી વાર માદલ વગાડ્યું અને તેમની કાયમી ઓળખાણ કાંચા તરીકે જ બની રહી. વળી તેઓ રાહુલાદેવની ટીમના કાયમી સભ્ય બની રહ્યા.

    આ જ ફિલ્મના અન્ય એક ગીત ‘ગલીયોં મેં ઘૂમો, સડકોં પે ઝૂમો’ સાથે પણ ઢોલકી અને માદલના બોલ સંભળાતા રહે છે.

     ફિલ્મ દો ફૂલ (૧૯૭૩)ના ગીત ‘મુથુકોડી કંવારી હડા’ સાથે માદલના બોલ આસાનીથી પારખી શકાય છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

    ૧૯૭૩ની જ ફિલ્મ દાગ માટે ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યાં હતાં. તેનું ગીત ‘મૈં તો યાર મનાના ની’ માણીએ. પરદા ઉપર કલાકારો ઢોલ વગાડતા દેખાય છે, પણ ઢોલકીના ખુબ જ પ્રભાવક બોલ કાને પડતા રહે છે

    ફિલ્મ ઈમાન (૧૯૭૪)નું ગીત ‘કૈસે મીટ્ટી કે માધવ સે પાલા પડા હૈ’ સાંભળીએ. તાલવાદ્ય તરીકે ઢોલકી અને માદલના બોલ સાંભળી શકાય છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

    https://www.youtube.com/watch?v=susUIXy5bUA&list=RDsusUIXy5bUA&start_radio=1

    ૧૯૭૮ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ઘરનું એક ગીત ‘તેરે બિના જીયા જાયે ના’ માણીએ. રાહુલદેવ બર્મનના સ્વરનિયોજનમાં તૈયાર થયેલા આ ગીત સાથે માદલનો પ્રયોગ ખુબ જ કર્ણપ્રિય બની રહે છે.

    https://www.youtube.com/watch?v=-W3hN8dgAy4&list=RD-W3hN8dgAy4&start_radio=1

    આ કડીની આખરમાં માદલના બોલ વડે સજાવાયેલું ૧૯૮૧ની ફિલ્મ ઝમાને કો દીખાના હૈનું ગીત ‘હોગા તુમ સે પ્યારા કૌન’ સાંભળીએ. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

    આવતી કડીમાં નવાં ગીતો સાથે મળીશું.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ઠંડા ચાબખા વધુ વાગે

    ધિક્કારનાં ગીતો

    દ્વેષ જ્યારે ગુસ્સા ને બદલે ઠંડકથી વ્યક્ત કરવામાં આવે ત્યારે પણ દઝાડી જ શકે.

    દીપક સોલિયા

    ફિલ્મ અનામિકાના આકરા દ્વેષ-ગીત ‘મેરી ભીગી ભીગી સી’ વિશે વાત કરી, જેમાં દાઝે ભરાયેલા પુરુષે મધૂર ટ્યૂનમાં ગાતાંગાતાં ‘આગ સે નાતા’ અને ‘નારી સે રિશ્તા’ને એકસમાન ગણાવી દીધાં. એટલેથી ન અટકતાં એણે સ્ત્રીને શાંતિથી શ્રાપ પણ આપી દીધો કે જા, તું રસ્તા પર નીકળીશ ત્યારે લોકો તારા પર હસશે, થૂથૂ કરશે. તેરી બેવફાઈ પે હંસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે…

    આવો શ્રાપ આમ તો નારીદ્વેષની હાઈટ ગણાવો જોઈએ. પણ એવું નથી. નારીદ્વેષ આનાથી પણ વધુ ઊંચાઈ સર કરી શકે છે. એ નારીનું સર કાપી શકે છે. રોષે ભરાયેલો પુરુષ માત્ર શ્રાપ આપીને અટકવાને બદલે નારીની હત્યા કરવા સુધી પહોંચે અને હત્યા કર્યા બાદ લાશના નિકાલ વખતે ઠંડી ક્રૂરતા અપનાવે એવા કિસ્સાઓની ઝાઝી નવાઈ નથી. હાલમાં બહુ ચગેલા આફતાબ-શ્રદ્ધાના કિસ્સામાં ખૂન કરવાની કે દેહના ટુકડા કરવાની ઘટનાથી પણ વધુ થિજાવનારી બાબત છે દેહના ટુકડાનો હિસાબ. જો આફતાબે 34 પણ નહીં અને 36 પણ નહીં, પરંતુ ખરેખર 35 ટુકડા કર્યા હોય તો સ્વાભાવિક છે કે એકએક ટુકડો તેણે ગણીને રાખ્યો હશે. ગણવા માટે ફોકસ જોઈએ. ગણતરી વખતે તેનું મગજ જરાય આડુંઅવળું નહીં ફંટાયું હોય. શક્ય છે કે તેણે ટુકડા કરતી વખતે નહીં, બલ્કે બાદમાં નિકાલ કરતી હિસાબ કર્યો હોયઃ આજે ત્રણ ટુકડાનો નિકાલ કર્યો… આજે એક… આજે બે… અને પછી આખા દેહના બધા જ ટુકડાનો નિકાલ થઈ ગયા બાદ તે સરવાળો કરવા બેઠો હશે અને એમાં કુલ આંકડો આવ્યો હશે, 35. ટૂંકમાં, ટુકડાઓનો હિસાબ કરતી વખતે દાખવવામાં આવેલી ઠંડક… એ છે આ ભયાનક ઘટનાક્રમનું સૌથી ચિલિંગ-થિજાવનારું પાસું. આગ દઝાડે જ, પરંતુ ઠંડક પણ ઓછી ‘કરપીણ’ નથી હોતી.

    દ્વેષની અભિવ્યક્તિને પણ આ વાત લાગુ પડે છે. નારી પ્રત્યેનો દ્વેષ વ્યક્ત કરવા માટે પુરુષ ક્યારેક ગરમીને બદલે નરમીની રીત અપનાવતો હોય છે. એ નારીની સીધી ટીકા કરવાને બદલે પ્રેમના જોખમ ગણાવીને અને ડાહીડાહી, શાણીશાણી વાતો કરીને આડકતરી રીતે સ્ત્રીનો વિરોધ કરતો હોય છે કે સ્ત્રીથી પિંડ છોડાવવા મથતો હોય છે.

    આવું એક ગીત છે, ફિલ્મ મજબૂરનું. ગીતના શબ્દો છે, આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ…. ગીતમાં હીરો પહેલી નજરે તો એકદમ શાણપણભરી વાત કરે છે કે માણસે બોલવામાં તો ઠીક, સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આજે આપણે જે બોલીએ-સાંભળીએ છીએ અને આજે આપણે જે સદદુઆ-બદદુઆ આપીએ છીએ તે પછી જિંદગીભર આપણો પીછો કરે છે (માટે તું મારો પીછો છોડી દે, પ્લીઝ).

    શબ્દો ધ્યાનથી વાંચોઃ

    આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ
    ઝિંદગીભર વો સદાએં પીછા કરતી હૈ
    આદમી જો દેતા હૈ, આદમી જો લેતા હૈ
    ઝિંદગીભર વો દુઆએં પીછા કરતી હૈ.

    માટે, આપણે બોલવામાં તો ઠીક સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈને શાંતિથી સાંભળીએ તો પણ પ્રેમ થઈ શકે. પછી પ્રેમ પીછો કરે. કોઈનાં સિક્રેટ્સ સાંભળ્યા બાદ એ સિક્રેટ આપણાથી ક્યાંક લીક ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી બની રહે છે અને એ સિક્રેટ બીજું કોઈ લીક કરે તો પણ આરોપ આપણા પર આવી શકે કે આણે ચાડી ફૂંકી. માટે, બોલવામાં તો ઠીક સાંભળવામાં પણ ચેતવું. અને કોઈનું ભલું-બૂરું ઇચ્છવામાં પણ ચેતવું, કારણ કે આપણી શુભેચ્છાઓ કે આપણી હાય કામ કરી પણ જાય… કંઈ કહેવાય નહીં.

    આ આખા ‘ઉપદેશ’માં ક્યાંય નારીદ્વેષ શોધ્યો પણ ન જડે. છતાં, આ ગીત દ્વારા નાયક (અમિતાભ) નાયિકા (પરવીન બાબી)ને જે કહેવા માગે છે તે એ છે દૂર રહે મારાથી, પ્રેમમાં પડવા જેવું નથી, રૂપાળાં સપનાં જોવાં જેવાં નથી.

    કોઈ ભી હો હર ખ્વાબ તો સચ્ચા નહીં હોતા
    બહોત ઝ્યાદા પ્યાર ભી અચ્છા નહીં હોતા
    કભી દામન છુડાના હો તો મુશ્કિલ હો
    પ્યાર કે રિશ્તેં ટૂટે તો, પ્યાર કે રસ્તે છૂટે તો
    રાસ્તે મેં ફિર વફાએં પીછા કરતી હૈ.

    ભાઈ ભારે પ્રામાણિક. ચોખ્ખું કહી દે છે કે ખોટાં સપનાં જોયાં હોય અને બહુ પ્રેમ કર્યો હોય તો દામન-પિંડ છોડાવવાનું કામ અઘરું બની જાય છે, કારણ કે છૂટતી વખતે  અગાઉનો અલ્પ સમયનો પ્રેમ પીછો કરે, પીડા આપે.

    એક ચોક્કસ સ્ત્રીને દૂર ધકેલવા માટે આટલું કહ્યા બાદ હીરો એકદમ ઓવરઓલ ફિલોસોફી, વ્યાપક તત્ત્વચિંતન પર ઉતરી જાય છેઃ

    કભી કભી મન ધૂપ કે કારણ તરસતા હૈ
    કભી કભી ફિર ઝૂમ કે સાવન બરસતા હૈ
    પલક ઝપકેં યહાં મૌસમ બદલ જાયે
    પ્યાસ કભી મિટતી નહીં, એક બૂંદ ભી મિલતી નહીં
    ઔર કભી રિમઝિમ ઘટાએં પીછા કરતી હૈ.

    મળતું કશું નથી ને માથે ઘણું પડે છે… ખાયાપિયા કુછ નહીં, ગિલાસ ફોડા બારાહ આના… આવી આકરી વાત કવિ કાવ્યાત્મક ઢબે કહે છેઃ એક બૂંદ પણ નથી મળતી નથી અને જળથી ભરેલાં વાદળાં પીછો કરે છે.

    ટૂંકમાં, હે સ્ત્રી, દૂર રહે મારાથી, પ્રેમમાં પડવાનું કામ આપણે રહેવા દઈએ.

    અલબત્ત, ફિલ્મ મજબૂરમાં તો હીરો પોતાની મજબૂરીને લીધે, જાનલેવા બિમારીની જાણ થવાને લીધે હિરોઈનને પ્રેમથી દૂર કરવા કહી રહ્યો છે, પરંતુ આ બધું બૅકગ્રાઉન્ડ જાણ્યા વિના કોઈ આ ગીત સાંભળે તો તેને એવું લાગી શકે કે પ્રેમમાં પડવામાં બહુ સાર નથી… નારીથી દૂર રહેવું જ સારું…

    અને આમ પણ કોઈએ યોગ્ય રીતે જ કહ્યું છે તેમ, પ્રેમનો સામેનો છેડો દ્વેષ નથી. પ્રેમના સામેના છેડે છે નિર્લેપતા, ઇનડિફરન્સ… એક વ્યક્તિને ધિક્કારવા કરતાં પણ વધુ રોષયુક્ત કૃત્ય એ છે કે એના અસ્તિત્વને જ નકારી કાઢવું. ‘તું ખરાબ છે… તું બેવફા છે… તું પાપીણી છે…’ એવા શબ્દો કરતાં પણ વધુ ખતરનાક શબ્દો આ છેઃ ‘તું મારા માટે કશું છે જ નહીં… તું વળી કોણ… મારે કંઈ કહેવું નથી… મારે કંઈ સાંભળવું નથી…’

    માટે આ એકદમ નિર્દોષ લાગતું ગીત આમ જુઓ તો ભારે ખતરનાક છે, જે કહે છેઃ આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ, ઝિંદગીભર વો સદાએં પીછા કરતી હૈ. માટે, છોડો પ્રેમ-બ્રેમ.

    https://youtu.be/J4i7hGkR3g8?si=eS8p8MRVGe43mMtp


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • ચકલી

    લતા હિરાણી

     

    એક હતી ચકી.
    ચીં ચીં ચીં ચીં કર્યા કરે.

    આમ ઊડે તેમ ઉડે અને ફેરફુંદરડી ફરે.
    ચકી ની મમ્મી કહે – તું હવે મોટી થઈ છે. હવે તારે સ્કૂલે જવાનું છે અને ખૂબ ભણવાનું છે.
    ચકી કહે – ના રે ના મારે તો કંઈ ભણવું નથી .

    એ તો ક્યાંક નળ ટપકતો હોય તો એની નીચે જઈને ફરરરર કરીને નહાઇ લે.

    નાનકડું ખાબોચિયું ભરાયું હોય તો એમાં બેસે. પાંખો કરે ફરરરર.. ચારેબાજુ છાંટા ઉડાડતી જાય અને ઉડી જાય.
    આખો દિવસ ચકી રમ્યા કરે, એની બહેનપણીઓ સાથે ભમ્યા કરે અને ગીતો ગાયા કરે.

    એક દિવસ ચકી ઉડતી ઉડતી જંગલમાં ગઈ. જંગલમાં એને પરી મળી. પરી તો બહુ સુંદર.

    એને જોતાં જ ચકી ખુશ ખુશ થઈ ગઈ. – વાહ રે વાહ, કેવી સુંદર પરી ! ભૂરા ભૂરા વાંકડિયા વાળ અને રંગબેરંગી પાંખો ! વાહ, વાહ’ એને મન થયું કે હું પણ પરી જેવી સુંદર થઈ જાઉં.

    પરી જેવું બનવા માટે શું કરવું? મોટી મોટી આંખોવાળી પરી પાસે બે પાંખો હતી. પાંખો સુંદર અને રંગબેરંગી.

    ચકીને થયું, મારી પાસે બે પાંખો તો છે જ. પરીની પાંખો મોટી તો મારી પાંખો નાની, પણ પાંખો છે તો ખરી ! હું પણ એને શણગારીશ. આ ભૂખરી ભૂખરી પાંખો સારી નથી લાગતી.

    ચકી જંગલમાં ખૂબ ફરી. નાના નાના સુંદર રંગબેરંગી પીંછાઓ શોધ્યા. એને ઘણાં મોરપીંછ પણ મળ્યા. બધું વીણીને એ ઘેર લઈ ગઈ.

    ચકીની મમ્મી કહે – આ બધું શું લાવી ?

    ચકી કહે – મારે પરી જેવું સુંદર બનવું છે.

    મમ્મી કહે – તું સુંદર જ છે.  ચકલી જેવી સુંદર. કોઈના વાદ ના કરાય.

    પણ ચકી ન માની.

    એણે કાતર લઈને રંગીન પીંછાઓને નાનાં નાનાં કાપ્યાં.

    મોરના પીંછામાંથી સુંદર રંગીન ચાંદલા કાતર્યા અને  પછી ગુંદર લઈને બેઠી.

    એણે એની એક ફ્રેન્ડને બોલાવી અને કહ્યું કે તું આ બધું મારી પાંખો પર ચોંટાડી દે. પેલીએ તો એમ કરી દીધું !

    ચકીને થયું – હું અરીસામાં તો જોઉં કેવી લાગું છું ?

    એ અરીસા તરફ ઊડવા ગઈ પણ ઉડાયું જ નહીં. પાંખો ભારે થઈ ગઈ હતી. એ ધીમે ધીમે ચાલતી ચાલતી ગઈ. એની પાંખોનો વજન વધી ગયું હતું. એને ચાલતાં યે થાક લાગતો હતો. માંડ માંડ એ અરીસા સુધી પહોંચી.

    એણે અરીસામાં જોયું. એને જરાય ગમ્યું નહીં, એ બહુ વરવી લાગતી હતી. જરાય સારી લાગતી નહોતી.

    એણે ગુસ્સે થઈને અરીસા પર ચાંચો મારવા માંડી. અરીસો બિચારો શું કરે એ તો જડ વસ્તુ !

    ચકી વધારે ગુસ્સે થઈ. એણે વધારે જોરથી ચાંચો મારી ને એની ચાંચ તૂટી ગઈ.

    એવામાં એની મમ્મી આવી – અરે, આ શું કરે છે?

    ચકી રડવા લાગી  – હું પરી જેવી સરસ નથી લાગતી.

    ચકીની મમ્મીએ એને સમજાવી – બેટા, તું સાવ ખોટું વિચારે છે. તું સરસ જ છે. એ પરી જેવી સરસ. તું ચકલી જેવી સરસ. એ જુદી અને તું પણ જુદી. આવું ના કરાય બેટા.

    પછી એની મમ્મીએ માંડ માંડ ચકીની પાંખો ધોઈ. ગુંદરથી ચિપકાવેલા બધાં પીંછા અને ચાંદલા કાઢ્યા.
    ચકીને બહુ દુઃખ્યું પણ શું થાય ?

    એણે સંકલ્પ કર્યો કે હવે કદી આવું નહીં કરું હવે કદી કોઈના વાદ નહીં કરું.

    મમ્મી કહે – તો હવે શું કરીશ ?

    ચકી કહે – વડદાદા પાસે જઈને ભણીશ, ગીતો ગાઈશ અને પાણીમાં નહાઈશ.

    મમ્મી – વાહ મારી વહાલી દીકરી !

    મમ્મીએ ચકીને બાથ ભરીને પપ્પી કરી લીધી.


    ( ‘એક હતી વાર્તા’માંથી)


     

  • મોબાઈલમાં વાઘ

    ગિરિમા ઘારેખાન

     રાજુ અને મોહિત બે ભાઈઓ હતા. રાજુ તેર વર્ષનો અને મોહિત આઠ વર્ષનો. એ લોકો એક નાના શહેરમાં રહેતા હતા. શાળામાં વેકેશન પડ્યું હતું. એમના ઘણા મિત્રો એમના મમ્મી-પપ્પા સાથે ફરવા ઉપડી ગયાં હતાં. કોઈ સીમલા ગયું હતું તો કોઈ ગોવા. કોઈ વળી યુરોપ કે અમેરિકા પણ ગયાં હતાં. રાજુ અને મોહિતને ઘરમાં કંટાળો આવતો હતો. રાજુ તો ક્યારેક એના મોબાઈલ ઉપર થોડી રમતો રમી લેતો. પણ નાનો મોહિત બહુ કંટાળતો હતો.

    એક દિવસ ગામડે રહેતા એમના મામા એમને ઘેર આવ્યા. એમણે એમના ભાણીયાઓને કહ્યું, ‘ચાલો મારી સાથે ગામડે. ત્યાં ખેતરોમાં ફરો, સાંકળ સાતતાળી, મોઈ દંડો, નાગોળચું, જેવી દેશી રમતો રમો. આખો દિવસ ટી. વી. જોયા કરો છો એના કરતાં તમને ત્યાં બહુ મજા પડશે.’

    રાજુ અને મોહિત તો મામાની સાથે પહોંચી ગયા એમના ગામડે. ત્યાં એમને નવા ભાઈબંધો પણ મળી  ગયાં. ખાસ કરીને મોહિતને તો એના આ નવા મિત્રો સાથે નવી નવી રમતો રમવામાં બહુ આનંદ આવતો. આંબલી પીપળીની રમતમાં ઝાડ ઉપર ચડીને પછી નીચે ભૂસકા મારવાનું એને બહુ ગમતું. મામાના ગામની બહારથી જ એક જંગલ ચાલુ થતું હતું. એટલે ત્યાં ઝાડ પણ બહુ હતાં.

    હવે બન્યું એવું કે થોડા દિવસથી આ ગામમાં એક દીપડો પેધો પડ્યો હતો. એ રાત્રે ગામમાં આવતો અને કોઈની બકરી, કોઈનું ઘેટું, જે નાનું પ્રાણી એના હાથમાં આવે એને ઉઠાવી જતો. લોકો બહુ ડરી ગયાં હતાં. બધાંએ પોતપોતાના બાળકોને કહી દીધું હતું કે અંધારું થાય એ પહેલાં ઘરમાં આવી જવાનું.

    એક દિવસ સાંજે મામા ખેતરેથી ઘેર આવ્યા ત્યારે મોહિત ઘરમાં ન હતો. રાજુ મામીને કામમાં મદદ કરતો હતો. મામાએ પૂછ્યું,

    ‘રાજુ, બેટા, મોહિત કેમ દેખાતો નથી ?’

    ‘મામા, એ બાજુવાળા કોકિલામાસીને ઘેર રમવા ગયો છે.’ રાજુએ જવાબ આપ્યો.

    ‘તો તો એમના ભરત સાથે રમતો હશે. હમણાં ઘેર આવી જશે.’

    કહીને મામા નહાવા માટે ગયા. મામી ગાયોને દોહવા ગયાં. અંધારું થવા માંડ્યું હતું. હવે રાજુને મોહિતની ચિંતા થવા માંડી. મોહિત ક્યારેય કોઈને ઘેર આટલું બધું રમતો ન હતો. એ બાજુવાળા કોકિલા માસીને ઘેર પૂછવા ગયો. ત્યાં એમના દીકરા ભરતે થોડું ડરતાં ડરતાં જણાવ્યું કે એણે અને મોહિતે દોડવાની હરીફાઈ કરી હતી અને બંને જંગલ તરફ દોડ્યા હતા. પણ થોડા સમય પછી મોહિત બહુ આગળ નીકળી ગયો અને દેખાતો બંધ થઇ ગયો એટલે એ તો ઘેર પાછો આવી ગયો હતો.

    હવે રાજુને મોહિતની ખૂબ ફિકર થઇ ગઈ. એનો ભાઈ જંગલમાં ભૂલો પડી ગયો હશે તો! ત્યાં એનો ભેટો દીપડા સાથે થઇ જશે તો ! એણે એના નાના ભાઈને શોધવા જવું જ જોઈએ અને હમણાં જ જવું જોઈએ.  એ તો મામાને જણાવવા પણ ન રહ્યો અને નીકળી પડ્યો જંગલ તરફ.

    જંગલમાં ઘણા બધા વૃક્ષો હતાં એટલે અંધારું વધારે લાગતું હતું. પોતપોતાના માળામાં પાછા ફરી ગયેલા પંખીઓનો કલશોર સંભળાતો હતો. ઝાડીઓમાંથી તમરાંનો અવાજ આવતો હતો અને ચારે બાજુ આગિયા ઊડી રહ્યાં હતાં. રાજુને ડર તો લાગતો હતો પણ નાના ભાઈને યાદ કરીને એ હિંમત મેળવી લેતો હતો. એના ખીસામાં એનો મોબાઈલ હતો. એણે મોબાઈલ હાથમાં લઈને એની બેટરી ચાલુ કરી અને એના અજવાળામાં આગળ વધતો રહ્યો.

    ત્યાં તો અચાનક નજીકની ઝાડીમાંથી દીપડાની ત્રાડ સંભળાઈ. રાજુ થથરી ગયો. હવે શું કરવું ? એ જો દોડવા માંડે તો પણ દીપડો એની ઝડપથી થોડી વારમાં જ એની નજીક આવી જાય. ત્યારે રાજુને એના મોબાઈલમાં રહેલી એક એપ યાદ આવી ગઈ. એના પપ્પાએ જંગલના પ્રાણીઓને બહુ નજીકથી જોવા માટે એ એપ ડાઉન લોડ કરી આપી હતી. એ ચાલુ કરે તો વાઘ, સિંહ, જેવા પ્રાણીઓ એમના સાચુકલા રંગ અને કદ સાથે સામે જ આવીને ઊભા રહ્યાં હોય એવું લાગતું.

    દીપડાનો અવાજ હવે નજીક આવવા માંડ્યો હતો. રાજુએ મોબાઈલની પેલી એપ ચાલુ કરી. ત્યાં તો દીપડાની તગતગતી બે આંખો દેખાઈ. રાજુએ એપમાંથી વાઘને કાઢીને એની અને દીપડાની વચ્ચે   મૂકી દીધો. હવે સાચૂકલો લાગતો વાઘ દીપડા તરફ મોં ફાડીને ઊભો હતો અને ત્રાડ નાખી રહ્યો હતો. રાજુના હાથના હલાવવાથી એ ધીરે ધીરે દીપડા તરફ આગળ વધી રહ્યો હતો. એ જોઇને દીપડો તરત જ પાછો ફરી ગયો અને ઝાડીઓમાં ગૂમ થઇ ગયો. એ એપ ચાલુ જ રાખીને રાજુ ઘર તરફ વળ્યો. પણ ભાઈને એ શોધી ન શક્યો એટલે એને રડવું આવતું હતું.

    ત્યાં તો અચાનક બાજુના એક ઝાડની ઉપરની ડાળીએથી અવાજ આવ્યો, ‘ભાઈ!’

    રાજુએ ઉપર જોયું. ત્યાં ઝાડની બે ડાળીઓની વચ્ચે મોહિત બેઠેલો હતો. રાજુને જોઇને એણે લગભગ ઉપરથી ભૂસકો જ માર્યો. રાજુએ એને ઝીલી લીધો. રસ્તામાં મોહિતે એને જણાવ્યું,

    ‘ભાઈ, દોડવાની રેસમાં હું બહુ આગળ નીકળીને જંગલ સુધી પહોંચી ગયો હતો. અંધારું થવા માંડ્યું હતું. મને ઘેર પાછા ફરવાનો રસ્તો પણ યાદ આવતો ન હતો. એટલામાં મને દીપડાનો અવાજ સંભળાયો. એટલે હું ઝાડની ઊંચી ડાળી ઉપર ચડીને બેસી ગયો હતો. મને ખબર હતી કે તમે બધાં મને શોધવા આવશો જ.’

    રાજુએ મોહિતના માથે હાથ ફેરવ્યો અને એનો હાથ પકડીને ઝડપથી ઘર તરફ ચાલવા માંડ્યો. ત્યાં તો એમને શોધવા નીકળેલા મામા અને એમના મિત્રો સામે મળી ગયાં. બધાએ એમની વાત સાંભળીને એમની બહાદુરી અને સમયસૂચકતાના બહુ વખાણ કર્યા. ખાસ કરીને મોબાઈલનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવા માટે રાજુને બહુ શાબાશી આપી.


    https://www.androidauthority.com/google-3d-animals-1150271/

    [ઉપર મોબાઈલ માં પ્રાણીઓ જોવા માટેની લીંક આપી છે.]


    [બાલ આનંદ – ઓગસ્ટ ૨૦૨૪ ]


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯

  • સંભારણું – ૧૩ જેવી કરણી તેવી ભરણી

    શૈલા મુન્શા

    જેવી કરણી તેવી ભરણી એ કહેવત પરથી મારી સખીએ કહેલી વાત યાદ આવી ગઈ.

    વર્ષો પહેલાની વાત છે. મહારાષ્ટ્ર ગુજરાત હમણાં હમણાં જ તો બે જુદા રાજ્યો બન્યા હતાં. મુંબઈ ભલે મહારાષ્ટ્રની રાજધાની નહોતું, પણ એની ગણના નાણાકીય પાટનગર જેવી જ હતી. એનો દબદબો, શોભા એ જાળવી રહ્યું હતું, અને એનું એક ઉપનગર વિલે પાર્લે એક સાંસ્કૃતિક ધામ જેવું ગણાતું. જુની બાંધણીના બંગલાઓ એની જાહોજલાલી હતી.

    એવી જ એક વાડીના બંગલામાં એક ધનાઢ્ય મારવાડી કુટુંબ રહેતું હતું. મબલખ પૈસો અને છોગામાં પિતા વ્યવસાયે ડોક્ટર. બાપ દાદાના જમાનાથી જમીનમાં રોકાણ, અને હજી તો જ્યાં જનજીવન એટલું વિકસ્યું નહોતું ત્યાં પણ કેટલાય એકર જમીન ખરીદી રાખી હતી. બાંકેલાલજીને તો પોતાના ડોક્ટરી વ્યવસાયમાં જરાયે ફુરસદ નહોતી કે જમીનની જાળવણી કે દેખભાળ કરે. બોરીવલીની આગળ તો કોઈ જવાની પણ કલ્પના ના કરે ત્યાં એમણે કેટલીક જમીન ખરીદી રાખી હતી, આ જમીન પર ત્યાંના માફિયાઓની નજર ગીધની જેમ મંડરાતી રહેતી. શરૂઆતમાં તો બાંકેલાલ પાસે જમીન ખરીદવા ફોન આવતાં, પણ સાવ પડતર ભાવે જમીન વેચવા બાંકેલાલ તૈયાર નહોતા.

    એમનું કુટુંબ પણ વૃધ્ધિ પામી રહ્યું હતું, બે દીકરા અને બે દીકરીઓથી ઘર ભર્યું ભર્યું હતું. બાળકો મોટા થતાં જતા હતાં અને ભવિષ્યમાં એ જમીન પર ઘર બાંધવાના મનસુબા બાંકેલાલના મનમાં ઘોળાતા.
    મોટો દીકરો સ્વભાવે થોડો ધુની, ભણ્યો તો ખરો પણ Autistic. એ જમાનામાં માનસિક વિકલાંગ બાળકોના આ પ્રકાર વિશે લોકોને પુરતી માહિતી નહોતી. Autistic બાળકો ઘણા હોશિયાર હોય, પણ દરેક બાબત એમની મરજી મુજબ થવી જોઈએ. લોકો મોહનને અર્ધા ગાંડામાં જ ગણી લેતા અને શહેરમાં એના લગ્ન માટે યોગ્ય કન્યા મળવાની મુશ્કેલી હોવાથી બાંકેલાલ દૂર ગામડેથી કન્યા શોધી લાવ્યા. મારવાડી રિવાજ મુજબ કન્યાના માતાપિતાએ દીકરીને મોટું દહેજ પણ આપ્યું. મબલખ પૈસો હોવાં છતાં ચમડી તૂટે પણ દમડીના છૂટે એવા સ્વભાવ વાળા બાંકેલાલે બીજા જ વર્ષે વહુના દહેજને પોતાની દીકરીને પરણાવવામાં આપી દીધું.

    મોહનની પત્નીથી આ સહન ના થયું, પતિને કહેવાનો તો સવાલ જ નહોતો, કારણ બાંકેલાલ સામે ઘરમાં બોલવાની કોઈની તાકાત નહોતી. સાસુ અને નણંદની જોહુકમી અલગથી!!

    વહુએ દીકરાને જન્મ આપ્યો પણ પતિનું ધુનીપણું અને સાસરિયાના ત્રાસથી કંટાળી પંદર દિવસના બાળકને લઈ પાડોશીની મદદથી એણે રાતોરાત પિયરની વાટ પકડી લીધી. થોડા વખતમાં જ મોહનને ભર બપોરે બજાર વચ્ચે માફિયાઓએ ચાકૂના વાર કરી રહેંસી નાખ્યો અને ધમકી આપતાં ગયા કે કોઈ એના શરીરને હાથ પણ લગાડશે તો એની પણ ખેર નહિ રહે.

    આટલી ધમકી પછી પણ બાંકેલાલ જમીન વેચવા તૈયાર નહોતા. મુંબઈ વિકસી રહ્યું હતું. લોકો વસઈ, વિરાર સુધી રહેવા જવા લાગ્યા હતાં અને જમીનના ભાવ વધવા માંડ્યા હતાં. મોટા દીકરાના કમોતના આઘાતમાં મા પણ દુનિયા છોડી ગઈ પણ બાંકેલાલની વિચારધારા ના બદલાઈ.

    બીજા દીકરાને પરણાવવા પાછો એ જ રસ્તો અપનાવ્યો. દૂર ગામડેથી છોકરી શોધી લાવ્યા. મોટા દહેજ સાથે કન્યા ઘરે આવી.

    કહેવત છે કે હાથના કર્યાં હૈયે વાગ્યાં એ જ હાલત બાંકેલાલની થઈ. મોટી દીકરીના સાસરિયાં પણ એવા જ માથાભેર મળ્યાં. બાંકેલાલની સંપત્તિની એમને ખબર હતી અને વહુને રોજ વધુ દહેજ માટે સતાવવા માંડ્યા, છેવટે થાકીને દીકરી પાછી ઘરે આવી ગઈ.

    નાની દીકરીને પરણાવી તો ખરી પણ છ મહિનામાં જ એનો પતિ રેલ્વે અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને સાસરિયાએ વહુને છપ્પરપગી, વરને ભરખી જનારી કહી ઘરમાંથી કાઢી મુકી.

    બાંકેલાલનો નાનો દીકરો એંજિનિયર થઈ નોકરી અર્થે બેંગલોર રહેતો હતો, મહિને બે મહિને અઠવાડિયું રજા પર ઘરે આવે. ઘરમાં બે નણંદોને નાની વહુ પર દાદાગીરી કરવા મોકળું મેદાન મળી ગયું.

    પોતાના પર થયેલ ત્રાસનો બદલો નાની વહુને સતાવી લેવા માંડ્યા. થોડો વખત તો વહુએ સહન કર્યું, પતિને ફરિયાદ પણ કરી પણ કાંઇ વળ્યું નહિ. સામેના બંગલામાં રહેતા રમેશ જોડે દિલ મળી ગયું અને એક રાતે ઘરની તિજોરી સાફ કરી વહુ રમેશ સાથે ભાગી ગઈ. વહુ પણ ગઈ અને પૈસા પણ ગયા એ આઘાતમાં બાંકેલાલ પણ હ્રદયરોગના હુમલામાં મરણ પામ્યા.

    ઘરમાં બે દિકરીઓ અને ભાઈ રહ્યાં પણ કોઈને ખબર નહોતી કે વસઈની જમીનના કાગળીયાં ક્યાં છે અને માફિયાઓએ તો ક્યારની એ જમીન પચાવી પાડી ત્યાં બહુમાળી ઈમારતો ખડી કરી દીધી હતી.
    થોડા જ વખતમાં ભાઈનુ કાર એક્સિડન્ટમાં અવસાન થયું અને મોટી બહેન કેન્સરના રોગમાં રિબાઈ રિબાઈને મરી.

    વિલે પાર્લેમાં વસતી વધવા માંડી. સાઉથ મુંબઈ પછી પાર્લા ખરીદીના ક્ષેત્રમાં પણ આગળ પડતું ઉપનગર ગણાવા માંડ્યું વાડીઓ તૂટી મકાનો બનવા માંડ્યાં. મોટી મોટી કંપનીઓ કરોડોની કિંમતે જમીન ખરીદવા માંડી. બાંકેલાલના બંગલાનો પણ પચાસ કરોડમાં સોદો થયો અને નાની દીકરીને નવા બંધાયેલા બિલ્ડીંગમાં એક ફ્લેટ પણ મળ્યો, પણ જીવન એકાકી થઈ ગયું. પૈસાનો સદુપયોગ કરી દાન ધરમ કરવાનો વિચારના આવ્યો, ઉલ્ટું સહુને શંકાની નજરે જોતી થઈ ગઈ, જાણે સહુ એનો પૈસો હડપવાની જ તૈયારીમાં હોય!!

    મબલખ પૈસો હાથમાં તો આવ્યો, પણ આખું કુટુંબ લોભને કારણ તિતર બિતર થઈ ગયું. કહેવત આવા માણસો પરથી જ પડતી હશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારાં ભુખે ના મરે” અને “જેવી કરણી તેવી જ ભરણી”.

    આપણી કહેવતોમાં કેટલું સામર્થ્ય હોય છે એ આ સંભારણાંએ તાજું કરી આપ્યું.

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • એક ‘પુલકિત’ પરિચય

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

    ‘તમને સાહિત્યમાં રસ હોય, ઠીક ઠીક પુસ્તકોનું વાચન કર્યું છે એવું માનતા હો અને તમને પુ લ, ના નામની ખબર ના હોય તો તમે મહારાષ્ટ્રીયન તો નથી જ પરંતુ હું તમને ગુજરાતી માનવા પણ તૈયાર નથી.’ પુ લ ના ગુજરાતી ભાષામાં અનુવાદ પામેલા પુસ્તકોની સંખ્યા બેચારની જ હશે. પરંતુ એ વાંચ્યા બાદ તમને મારાં આ કથનમાં અતિશયોક્તિ દેખાશે નહિ.

    હાસ્યલેખક વિનોદ ભટ્ટે ક્યાંક એવું લખ્યાની સ્મૃતિ છે કે મહારાષ્ટ્રના હાસ્યલેખક પુ. લ. દેશપાંડેને ત્યાંની પ્રજાએ જેટલા લાડ લડાવ્યા છે તે પ્રમાણે ગુજરાતી પ્રજાએ જ્યોતી‌ન્દ્ર દવેની કદર કરી નથી. વિનોદ ભટ્ટના આ વિધાનમાં ગુજરાતીઓ માટે ફરિયાદના સૂર અને જ્યોતી‌ન્દ્ર દવે પ્રત્યે અહોભાવનું મિશ્રણ છે. અલબત્ત જ્યોતી‌ન્દ્ર દવે ગુજરાતી ભાષાના એક મોટા હાસ્યલેખક હતા એ બાબતે બેમત છે જ નહિ, ઉપરાંત મહારાષ્ટ્રની પ્રજાનાં પ્રમાણમાં ગુજરાતના લોકોનો સાહિત્ય પ્રત્યેનો ઓછો લગાવ પણ જાણીતો છે. બીજા ગુજરાતી લેખકોને જેમ ગુજરાતી પ્રજાએ જ્યોતી‌ન્દ્ર દવેને પણ ઓછા વાંચ્યા હશે. પરંતુ પુ લ ના નામથી જ વિશેષ ઓળખાતા એવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે(૧૯૧૯થી ૨૦૦૦)ની ઓળખ માત્ર હાસ્યલેખકની તરીકેની જ નથી. તેઓ હાસ્યકાર, નાટ્યકાર, પટકથાલેખક, ફિલ્મનિર્માતા, નાટકના તેમજ સંગીતના દિગ્દર્શક, પરફોર્મર, સામાજિક કાર્યકર, વક્તા અને અભિનેતા પણ હતા. એથી તો તેમને ચોસઠ કળાના જાણકાર કહેવાયા છે. મહારાષ્ટ્રની સામાન્ય પ્રજામાં તેમની ઓળખ હાસ્યલેખક કરતાં એક મોટા નાટ્યકાર, સંગીતકાર અને મિમિક્રી કલાકાર તરીકેની વિશેષ છે અને એ જ તેમની અસાધરણ લોકપ્રિયતાનું કારણ છે. પરંતુ અહીં આપણે પુ લનાં અરુણાબા જાડેજા દ્વારા અનુવાદિત એક પુસ્તક ‘પુલકિત’ના અને મુખ્યત્વે તેના આઝાદીનાં પચીસ વર્ષે લખાયેલા પ્રકરણ ‘એક ગાંધીટોપીનો પ્રવાસ’ મારફત પુ લને માત્ર સાહિત્યકાર અને ખાસ કરીને હાસ્યલેખક તરીકે જોવા છે.

    પુ લ ની ખૂબી એ છે કે તમે એમનાં લખાણોને ગંભીર લેખ તરીકે વાંચવા જાઓ તો તમને હાસ્યલેખ વાંચતા હો તેમ લાગે અને જો હાસ્યલેખ સમજીને વાંચવાની શરૂઆત કરો તો તમને એ લખાણમાં ગંભીરતાનો અનુભવ થયા વિના રહેશે નહિ. તેમના લેખોમાં હાસ્ય સાધ્ય નથી પરંતુ ગંભીર બાબતો સમજાવવા માટેનું સાધન માત્ર છે એટલું જ નહિ તેમણે ઘણુંખરું લખ્યું છે પણ એક જાગૃત અને સંવેદનશીલ નાગરિક તરીકે સમાજને જોવાની દૃષ્ટિને કારણે.

    ‘પુલકિત’ના અનુવાદની પ્રસ્તાવનામાં અરુણાબા જાડેજાએ લખ્યું છે,

    “પુ લનાં સાહિત્યમાં જોવા મળતો શિરમોર સમો તો છે એમનો જાગ્રત સામાજિક દૃષ્ટિકોણ. જોવાનું તો એ છે કે લોકોને હસાવનારા આ લેખક સાહિત્યની સાંકળ વિષે અતિ ગંભીરતાથી સમજાવે છે. અને એ જ મુદ્દો વાચકને વિચાર કરતો કરી મૂકે છે. ભલે ને એમની બોલબાલા હાસ્યલેખક તરીકેની થઈ હોય. પણ ખાસ તો એમની સામાજિક સંપ્રજ્ઞતાએ મહારાષ્ટ્રીયનોને આકર્ષ્યા. પ. પૂ. શ્રી સાને ગુરુજીના સંસ્કારોને લીધે એમનામાં સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા આવી હતી.”

    તેમનું સાહિત્યસર્જન વિશાળ છે. પરંતુ તેમનાં ગુજરાતીમાં આનુવાદિત થયેલા માત્ર બે પુસ્તકો વાંચવાથી જ તેમની પ્રતિભાના દર્શન થયા વિના રહેશે નહિ. એ બે પુસ્તકો છે અરુણાબા જાડેજા સંપાદિત ‘પુલકિત’ અને બીજું શકુંતલા મહેતા દ્વારા સંપાદિત ‘ભાત ભાતકે લોગ’. પુલકિતમાં વિષયોનું વૈવિધ્ય છે જ્યારે ‘ભાત ભાત કે લોગ’ વ્યક્તિ ચિત્રો છે. એ બન્ને ઠેકાણે હાજર છે ‘ચિતળે માસ્તર’ જેને વાંચ્યા પછી તેનું બન્ને પુસ્તકોમાં હો‌વું અકારણ નહિ લાગે.

    પુ લના  વિદ્વાન નાનાજી શ્રી વામન મંગેશ દુભાષી ગાંધીભક્ત હતા અને તેમનાં પત્ની સુનીતાબાઈ રાષ્ટ્ર સેવા દળમાંથી આવેલાં. એથી દેશભક્તિ અને ગાંધીજીના વિચારો તો ઘરમાં જ હાજર હતા. તેમનાં ખાનપાન અને રહેણીમાં ક્યાંય ગાંધીજી દૃષ્ટિગોચર થતા નહિ, તો પણ ગાંધીજીને તેમણે ભલભલા ગાંધીવાદીઓ કરતા વિશેષ આત્મસાત કર્યા હતા. પોતે ગાંધીજી સાથે કઈ રીતે જોડાયા તે બાબતે તેમણે એક આખું પ્રકરણ ‘પુલકિત’માં લખ્યું છે જેનું શીર્ષક છે “જ્યારે મારો નાતો એક સૂર્ય સાથે જોડાયો હતો.”!

    ‘એક ગાંધીટોપીનો પ્રવાસ’ માં ગાંધીટોપી એ ગાંધીજીનાં મૂલ્યો કે સિધ્ધાંતોનું પ્રતીક છે. આઝાદીના આંદોલન દરમિયાન શરૂ થયેલો આ ટોપીનો પ્રવાસ આઝાદી પછી અધ:પતન પામીને ક્યાં પહોંચ્યો તેનું વર્ણન વાંચતા હોઇએ ત્યારે ગાંધીમુલ્યોનો હ્રાસ થવાની પ્રક્રિયા જાણે ચલચિત્રમાં જોતા હોય તેમ લાગે છે.

    પુ લનાં બાળપણના દિવસો તો દેશની ગુલામીના હતા એ સમયનું વર્ણન કરતા તેઓ લખે છે,

    “ મારું બાળપણ વિલેપાર્લેમાં ગયું-એટલે મુંબઈને બીજે છેડે, સાહેબ કોલાબામાં કે મલબાર હિલ પર-આજકાલ ભારતના નવધનિકો અને પ્રધાનોનાં જ્યાં આલીશાન રહેઠાણો છે ત્યાં રહેતો. આથી એનાં દર્શન તો દુર્લભ જ! ના ના કહીએ તો સહેજે સેંકડો અંગ્રેજ સ્ત્રીપુરુષો શનિ-રવિમાં જુહૂના દરિયે નાહવા જતા, અમારા ગૌરાંગપ્રભુ અને ગૌરાંગનાદેવીઓનાં(ખાસા ઉઘાડા) દર્શન ત્યાં થતાં, પણ એય દૂરથી! કારણ કે સાહેબનો કુટુંબકબીલો જે પાણીમાં ઉતરતો ત્યાં ડુબકી મારવા જવાનું જિગર અમારામાં નહોતું. ટૂંકમાં સાહેબ છેટો જ હતો.”

    “એમ તો અમને એમની કાંઇ ડાયરેકટ કનડગત નહોતી. મારા બાપુ એક દેશી કંપનીમાં હોવાથી ઘરમાં જેક્સન કે જો‌ન્સન સાહેબની વાતો જામતી નહિ. સદભાગ્યે અમારા કે પછી મોસાળનાં ખનદાનમાં પણ કોઇ રાયબહાદુર પાક્યો નહિ. આથી અમારા ઘરમાં સાહેબનો ફોટો કૃતજ્ઞતાપૂર્વક ટાંગેલો નહોતો. નાનપણમાં અંગ્રેજ સત્તાના જુલમ કરતા ગણિત, ભૂગોળ, વ્યાકરણ, કક્કો વગેરે શિખવાડનારા માસ્તરોનો જુલમ વધું હતો”

    પુ લ જ્યારે બીજી અંગ્રેજીમાં આવ્યા ત્યારે ગાંધીજીની ચળવળ શરૂ થઈ ચૂકી હતી અને પછી તો ચોતરફ -ગાંધી- ગાંધી -ગાંધી જ સંભળાતુ, પણ દરેક વખતે ગાંધીજીના માનમાં જ નહિ ક્યારેક મજાકમાં અને ગુસ્સામાં પણ. જો કે પુ લનાં પરિવારમાં તો ગાંધીજી પ્રત્યે આદરભાવ જ હતો. પોતે ગાંધીજી સાથે જોડાયા (અલબત્ત માનસિક રીતે) તે અંગે લખે છે,

    “ મારા આઠમાં વર્ષે માથા પરથી કાળી ટોપી ગઈ અને ગાંધીટોપી ચઢી. મેટ્રિક થતાં સુધી એનો મુકામ માથા પર હતો. અઠવાડિયે ક્યારેક તેને નાહવા મળતું. એમ તો આ ટોપી ડાહીડમરી! ધોઈને ગડી વાળીને સહેજસાજ થાબડો એટલે શિરોધાર્ય થતી. એ ટોપીની માફક ગાંધીજીએ અમારાં નનકડાં માથાનો કબજો લીધો હતો. પણ એમના રૂબરૂ દર્શન થયાં નહોતાં.”

    પુ લ ને ગાંધીજીનાં પહેલવહેલાં દર્શન થયા મુંબઈમાં પશ્ચિમ પાર્લાનાં એક ચર્ચમાં યોજાયેલી એક સભામાં. તેમના નોંધ્યા મુજબ ગાંધીજીની કથનશૈલી કોઈપણ જાતના નાટકીય ઉતરચઢ વગરની હતી તો પણ તેઓ લખે છે કે તે દિવસે જેમ મારા પામર જીવનમાં ગાંધીજી પેઠા તેવા સેંકડોના જીવનમાંય ગજબની સહજતાથી પેઠા. પછીનાં કેટલાય વર્ષો ગાંધીમય થઈ રહ્યાં. અસંખ્યોના માથા પર ગાંધીટોપી દેખાવા લાગી હતી અને શરીર પર ખાદી ચઢી હતી. કાંતણકામના વર્ગો શરૂ થયા. ગાંધી સાથે જોડાયેલા લોકો પ્રમાણિકતાની મિસાલ બન્યા તે એટલે સુધી કે જેલમાં જતી વખતે પોતાનાં ઘરેણા કોઈને સોંપતી બહેનોને પૂછવામાં આવે કે તમને આમારા પર વિશ્વાસ કેમ આવે છે? તો બહેનો કારણ બતાવતા કહેતી કે તમે ખાદી પહેરેલી છે!, કોઇપણ સાધુસંત કરતા ખાદી પહેરેલો જણ જનમાનસમાં વધુ પવિત્ર હતો.

    વિદેશી માલના બહિષ્કારની ચળવળમાં સામાન્ય માણસોના બલિદાનોની વાત પુ લ એક ઉદાહરણ આપીને કહે છે. બાબુ ગેનુ નામના એક મજૂરે વિદેશી માલ ભરેલી લોરી ‘ આગળ નહિ જવા દ‌ઉ’ એવા નિરધાર સાથે પોતાની જાતને એ લોરી નીચે કચડાવી મારી હતી.

    એ સમયે ગાધીજીના વિરોધી સમુદાયની પુ લએ કરેલી વાતની નોંધ પણ લેવી રહી. બાબુ ગેનુનાં બલિદાન જેવા સેંકડો દાખલાઓ નજર સમક્ષ બનતા હોવાછતાં આ ચળવળ હવે ક્યાં પહોંચી છે તેનું ભાન ગાંધીજીના વિરોધમાં આ અંધ થયેલા લોકોને થતું ન હતું. પુ લ ના શબ્દોમાં કહીએ તો એમાં પ્રગતિશીલ(?) રાવબાહદુરોય ખરા! હિંદુત્વવાદીઓમાંના મોટા ભાગનાની તો ‘આપણે ટિળક સંપ્રદાયના છીએ’ એવી ગેરસમજ પણ હતી. કમ્યુનિસ્ટોનો જુદો ચૂલો હતો. પણ એમાંના ડાંગે, પાટકર , મિરજકર, રણદીવે જેવા નેતાઓએ પારાવાર ત્યાગ કર્યો હતો. ‘હિંદુમહાસભાના’ અનુયાયીઓમાં એમની તોલે આવે કોઈ નહોતો. હિંદુમહાસભાના અનુયાયીઓની સાદાઇ તો નોકરી-વ્યવસાયમાં માપસરના આર્થિક મળતરને કારણે હતી. ગાંધીજીની ચળવળનું સામર્થ્ય જ તેમનાં ધ્યાનમાં આવતું નહોતું. એમને તો ગાંધીજી બસ મુસલમાન તરફી જ લાગતા. ગોરા સાર્જન્ટ કે સોલ્જરિયાએ કરેલા અત્યાચારીનો નિષેધ કરવા કરતા મુસલમાન ગુંડાએ કરેલા બળાત્કાર વખતે એમની જીભ અને કલમને જોર ચઢતું!”

    હિંદુત્વવાદીઓની બહાદુરી કેવી હતી તેનું વર્ણન ઉદાહરણ આપતા તેમણે લખ્યું છે, .

    “મુંબઈમાં હુલ્લડો ફાટ્યાં હતાં. પાર્લામાં કોક બત્તીવાળો, કે કોક છત્રી સમારવાવાળો કે કાચવાળો વહોરો બાદ કરતાં મુસલમાનો સાથે પનારો પડતો નહિ. તોય ‘આત્મરક્ષણ’ માટે હિંદુઓના ચોકીપહેરા શરૂ થયા. બધા *ડોન ક્વિક્ઝોટના ભાઈઓ! રાતબેરાત લાઠીઓ ઠોકતાં ઠોકતાં અમથા ફર્યા કરવું. દુશ્મનો સામે લડવા માટે મોકાની જગ્યાએ મોરચો માંડવો પડે એમ કહીને પહેરો બંગલાની અગાશી થતો! અમારી મિત્રમંડળી એકાદો કાર્યક્રમ પતાવીને રાત્રે ઘરે પાછી ફરતી હતી. મોટેથી વાતોના તડાકા મારતા અમે જઈ રહ્યા હતા. એટલામાં અગાશી પરથી ‘હિંદુત્વરક્ષકો’ની બૂમ સંભળાઈ, શત્રુ કે મિત્ર? ’ અમે બરાડ્યા ‘શત્રુ’. હવે ઉપરવાળા ગૂંચવાયા હતા. ‘શત્રુ’ એવો જવાબ મળ્યો છે, હવે આગળ શું કરવું, બેચાર મિનિટ તો કિલ્લામાં સોપો પડી ગયો. અમે પાછા બરાડ્યા “શત્રુ’! ઉપરથી અવાજ આવ્યો, “જાવ …………”

    “સ્વતંત્રતાના આટલા હવનકુંડો સળગેલા હોવા છતાં આ લોકો કોણ જાણે કયા ઐતિહાસિક જમાનાની અમથી યુદ્ધકલ્પ્નામાં મગ્ન હતા! બ્રિટિશરો વિરુદ્ધ હરફેય નહોતો. સઘળું બળ અને કળ નર્યું ગાંધીદ્વેષથી ભર્યું હતું. હિંદુમુસલમાનોનાં હુલ્લડોમાં અમારા કોંકણી રામલાઓ અને મિલમજૂરો ગુંડાઓના ટાલકા ફોડવા બહાર પડતા. સોડાવોટરની બાટલીઓની ‘ફ્રી ફાઈટ’માં સીધો ‘તું મારું માથું ફોડ કે હું તારું ફોડું’ એવો જ કાયદો હતો, પણ આ હિંદુધર્મ રક્ષકો માત્ર હવામાં લાઠી વીંઝીને દુશ્મનોના ટાલકાં ફોડવાનાં દિવાસવપ્નો જોતા હતા.”[1]

    આ બધું ચાલતું હતું તેવામાં બીજું વિશ્વયુદ્ધ આવી પહોંચ્યું. દેશના એક વર્ગમાં હિટલર અંગ્રેજોનો કાંટો કાઢી નાખશે અને દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવીશું તો આઝાદી મળી જશે એવો ભ્રમ સેવાતો હતો. પરંતુ પુ લને યહુદીઓ પર ગુજારેલા ત્રાસને કારણે હિટલરનું વિજેતા બનવું પસંદ ન હતું. સામ્યવાદીઓએ યુદ્ધને તો પ્રજાયુદ્ધ છે તેમ કહીને અંગ્રેજોને સહકાર આપવાનું ઠરાવ્યું. હિંદુ મહાસભાને હિટલરે વપરેલા ‘આર્ય’ શબ્દ અને સ્વસ્તિકનું ચિહ્ન ભલે ઉંધુ હોય તો પણ હિટલર માટે અહોભાવ થયો. પરંતુ પુ લ ને આ બધામાં ગાંધીજી જ મહાન લાગ્યા કારણ કે તેમણે અંગ્રેજોને સાફ સાફ કહી દીધું કે અમારે તો આઝાદી જ ખપે. અમે સ્વતંત્ર નાગરિક તરીકે જ ફાસીવાદીઓની વિરુદ્ધમાં લડીશું.

    અને છેવટે આઝાદી આવી અને પેલી ગાંધીટોપીનું શું થયું તે જાણીએ.

    આઝાદી તો આવી પણ દેશના ભાગલા, તેને પગલે થયેલા ભયંકર હુલ્લડો, નિરાશ્રિતોના પ્રવાહો અને હિંદુમુસ્લિમ વચ્ચે પ્રવર્તતા કોમી વૈમનસ્ય વચ્ચે સરાકારી ઇમારતો પર ત્રિરંગો લહેરાવા લાગ્યો. વાઇસરોયની લોજમાં ધોતિયાવાળો ‘ગવર્નર જનરલ’ થઈને રહેતો. બીજી બાજુ જેમની સામે કરોડો ભારતવાસીઓએ આશાભરી મીંટ માડી હતી એ ગાંધીબાપુ ઘરબાર છોડીને નોઆખલીમાં હજારોનાં આંસુ લૂછવા માટે ફરી રહ્યા હતા અને પોતાના સાથીદારોને કહી રહ્યા હતા ‘સત્તાની ગાદી પર જશો નહિ.’ પરંતુ અહીં તો દેશમાં રાજ્યે રાજ્યે તેમના ગઈ કાલના નિષ્ઠાવાન અનુયાયીઓ માથે મોડ બાંધીને સત્તાને માયરે પોંખાવા માટે થનગની રહ્યા હતા. બ્રિટિશરોની આંખમાં ખૂંચનારી ગાંધીટોપીનો જે પ્રવાસ પહેલાં જેલ તરફ હતો એ હવે રાજમહેલ તરફ ફંટાયો હતો. જો ટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફુંકવાનું ગજુ ચાલતું ન હતું એ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું.

    લોકશાહીમાં ‘મંત્રી’ નામના નવા નવાબનો જન્મ થયો. એ પણ જૂના નવાબોની જેવો તુક્કાબાજ. એનાથી નાની અમથી ટીકા પણ ખમાતી નહિ અને વેર વાળવાની વૃતિએ દેખા દીધી. ખુદ ગાંધીજીએ જ ઉદગારો કાઢ્યા, “ સત્તાનાં લોહીનો ચટાકો લાગતા શું થાય છે તેના દર્શન મને થયા છે.” પછી તો ગાંધીજીની હત્યા થઈ અને તેમની આંખની શરમ પણ ગઈ, ટોપીનો રસ્તો હવે સાફ થયો.

    આઝાદી પહેલાં ગાંધી ટોપીએ સ્વપ્નાં તો સમાજવાદનાં આપ્યાં હતાં, પરંતુ આઝદી આવ્યા બાદ એક બાજુ પાંત્રીસ પાંત્રીસ માળની ઈમારતો ઊભી થ‌ઇ અને બીજી તરફ ઝૂંપડપટ્ટીઓ પણ વધતી ગઈ. નવા યુગમાં વૈજ્ઞાનિક અભિગમને બદલે આઝાદી પછી જન્મેલો યુવાનને વિજ્ઞાન વિભાગના પ્રમુખને સત્યસાંઈ બાબાની પાછળ દોડતા જુએ છે. હવે આપણે જ આપણું ભાવિ ઘડવાનું છે એમ કહીને સમાજવાદના જયઘોષ કરતા આગેવાનોને પ્રધાનપદા માટે ગણપતિબાબાની બાધા રાખતા ભાળે છે. ખુદ વડાપ્રધાન તિરુપતિના બાલાજીની કૃપા મેળવવા પહોંચી જાય છે.

    કબ્બડી કે કુસ્તીથી માંડીને યુનિવર્સિટિઓ જેવા તમામ ક્ષેત્રોમાં રાજકારણીઓ ધૂસ મારવા લાગ્યા. વિષયની જાણકારી હોય કે ના હોય પરંતુ ‘પ્રધાનપદા’ને  ભાષણ ઠોકવાના પરવાના તરીકે ગણવામાં આવ્યું.

    આ સિવાય પુ લ એ સમાજનાં દરેક ક્ષેત્રમાં નૈતિક પતનના પ્રતિક તરીકે ગાંધી ટોપીને જોઈ. સૌથી મોટી વિડંબના તેમને એ લાગી કે રાજકારણમાં બધું આવું જ હોય એમ સ્વીકારીને નાગરિકોને કોઠે પડી ગયું.

    અંતમાં ગાંધીજીની ચળવળમાં ભાગ લઈ ચૂકેલા એક બુજર્ગ સાથેના નીચે પ્રમાણેના સંવાદ સાથે પુ લ પોતાની વાત પૂરી કરે છે.

    એ બુજર્ગને પૂછ્યું “ છેલ્લાં પચીસ વર્ષોમાં સૌથી મોટું પરિવર્તન શેમાં થયેલું લાગે છે?”

    “ગાંધીટોપીમાં”

    “એ ક‌ઇ રીતે?”

    “પહેલાં ગાંધીટોપી પહેરતી વખતે અંગ્રેજ સરકારની બીક લાગતી હતી. હવે આપણી જનતાની લાગે છે”


    (આ લેખ અરુણાબા જાડેજા દ્વારા સંપાદિત પુસ્તક ’પુલકિત’ -‌પુ લ ના લેખોનો સંગ્રહ-ના આધારે લખાયો છે.)


    [1] સ્પેનિશ નવલકથા ‘ડોન ક્વિક્ઝોટ’ નું પાત્ર. નવલકથાની વાર્તા તેના મુખ્ય પાત્ર ડોન ક્વિક્ઝોટ અને તેના નાઈટ (બ્રિટિશ ઇલ્કાબ knight) હોવાનો ડોળ કરતા દુ:સાહસોની આસપાસ ફરે છે.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કુદરતી સંતુલનને ખોરવવાની સજા માણસે ભોગવવી રહી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આપણી પૃથ્વી પર અનેકવિધ જીવો વસે છે, જેમાંના ઘણાબધા વિશે આપણને જાણ સુધ્ધાં નથી. આમ છતાં, જાણ્યેઅજાણ્યે, અને ઘણું ખરું તો જાણીબુઝીને આપણાં કરતૂતો દ્વારા આપણે એ જીવોને પૂરતા પ્રમાણમાં નુકસાન પહોંચાડીએ છીએ. ક્યારેક આખેઆખી પ્રજાતિ પર તેના અસ્તિત્વનું જોખમ તોળાવા લાગે છે, તો ક્યારેક કોઈક પ્રજાતિના જીવોની સંખ્યા અપ્રમાણસર રીતે વધી જાય છે. નુકસાન બન્ને રીતે થાય છે.

    દરિયાઈ તસવીરકળાના ફ્રેન્‍ચ નિષ્ણાત અને અભ્યાસી સર્જ મેલીશન એકાદ દાયકાથી હિંદ મહાસાગરમાં આવેલા માયોટ ટાપુ પર વસે છે. આ ટાપુ તેનાં પરવાળાનાં ખડકોથી જાણીતો છે. સર્જ અહીંના યુવાનોને આ પ્રાકૃતિક સંપદાના રક્ષણની કેળવણી પણ આપે છે. ઊપરાંત આ બાબતે તેઓ વિવિધ સ્થાને લખતા પણ રહે છે.

    માયોટ ટાપુ પરના દરિયામાં ડૂબકીઓ લગાવવા દરમિયાન માયોટે એક વિશિષ્ટ પ્રકારની માછલીની હાજરી નોંધી. લાયન ફીશ તરીકે ઓળખાતી આ માછલી શરીર પર ચટાપટા ધરાવે છે. તેની ઝાલરનો આકાર પંખા જેવો હોય છે, અને તે ઝેરી ડંખ ધરાવે છે. મોટે ભાગે કોઈક ખડક પર કે સ્થિર પાણી હોય એવી જગ્યાએ તે પડી રહે છે. દેખાવ જાણે કે પરીકથામાં આવતી સૃષ્ટિના કોઈ પાત્ર જેવો. પણ આ પ્રકારની માછલીની ઉપસ્થિતિ, તેમજ તેની સતત વધતી જતી સંખ્યા એક પ્રકારના નૈસર્ગિક અસંતુલનનું સૂચક છે. ઈન્ડો પેસિફિક ક્ષેત્રનું આ પ્રાણી માયોટના ઉષ્ણકટિબંધવાળા પાણીમાં દેખા દે એ ચિંતાજનક છે. જીવલેણ ડંખ, વીજળીક ઝડપ અને પરવાળાંની નાનકડી માછલીઓને હડપ કરી જતી તેની અમર્યાદ ભૂખને કારણે તે પરવાળાંની અતિ નાજુક ગણાતી પર્યાવરણપ્રણાલિનો નાશ કરે છે. એનું કારણ એ કે આ માછલી અન્ય કોઈ જીવનો ખોરાક નથી. તેને કારણે એની વસતિ ઝડપભેર વધે છે અને પરવાળાંનાં સમીકરણોને તે બદલતી રહે છે. તે એટલી ખાઉધરી છે કે પોતાના શરીરના વજન જેટલો શિકાર રોજેરોજ ઝાપટી જાય છે. અને તે એટલી ઉત્પાદનશીલ છે કે એક માદા પ્રતિ વર્ષ વીસ લાખ ઈંડાં મૂકે છે. આમ, અમર્યાદ ભૂખ અને ઝડપી પ્રજનનના સંયોજનને કારણે લાયન ફીશ દરિયાઈ જૈવવિવિધતા માટે ખતરારૂપ બની રહી છે.

    Lionfish in Mayot – Photo Serge Melesan
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    એના પ્રભાવનું પ્રમાણ નવાઈ પમાડે એવું છે. એટલાન્‍ટિકના પરવાળામાં રહેતી એક જ લાયન ફીશ થોડાં સપ્તાહમાં જ ત્યાંની સ્થાનિક માછલીની ૭૯ ટકા જેટલી સંખ્યાને ભરખી શકે છે. બહામા ટાપુઓમાં લાયન ફીશના આક્રમણ પછી સ્થાનિક પ્રજાતિઓનું પ્રમાણ ૯૫ ટકા જેટલું ઓછું થઈ ગયું. લાયન ફીશનો સપાટો કેવો હશે એ કલ્પના જ કરવી રહી.

    આ માછલીઓના નિવાસસ્થાન એવા હિંદ મહાસાગરના વિગતવાર આંકડા ઊપલબ્ધ નથી, પણ માયોટના મરજીવાઓ અને વિજ્ઞાનીઓ તેના પ્રમાણમાં થઈ રહેલી દેખીતી વૃદ્ધિ બાબતે એકમત છે.

    માયોટની ખાડીમાં સામાન્ય રીતે એન્‍થિઆ નામના જીવડાની પ્રજાતિ વધુ જોવા મળે છે, પણ હવે લાયન ફીશ તેના કરતાંય વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ બાબત સામાન્ય ન કહી શકાય. પરવાળાંને લાગતો ઘસારો અને દરિયાઈ જળના વધી રહેલા તાપમાનને કારણે પરવાળાંનાં બંધારણ નબળાં પડ્યાં છે, જેને કારણે લાયન ફીશને ફાવતું જડે એવું વાતાવરણ પેદા થાય છે. એક સમયે જવલ્લે જોવા મળતી આ માછલી હવે મૃત:પ્રાય થઈ રહેલાં પરવાળાંના ખડકોની તિરાડોમાં વ્યાપક પ્રમાણમાં વસવા લાગી છે.

    એક સમયે તેમનો સામનો કરતી પરવાળાંની માછલીઓ પોતે જ હવે બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. જૈવપ્રણાલિ જેમ નબળી, એમ લાયનફીશની તરફેણના સંજોગો બળવત્તર. વર્તમાન યુગમાં વિવિધ માનવીય ગતિવિધિઓ ભૌગોલિક પ્રણાલિને આકાર આપી રહી છે. આવા વિશિષ્ટ યુગની વિશેષ શિકારી એટલે લાયન ફીશ. એટલે કે અતિ નાજુક જૈવપ્રણાલિઓ સાવ પડી ભાંગે ત્યારે લાયન ફીશ જેવી પ્રજાતિ વકરવા લાગે.

    એક સમયે કેવળ હિંદ મહાસાગર અને પશ્ચિમ પેસિફિક સમુદ્ર પૂરતી મર્યાદિત લાયન ફીશ આ નવાં સ્થાને બે મુખ્ય માર્ગે આવી છે. એક તો એક્વેરિયમના વ્યાપાર થકી અને બીજી સમુદ્રી માર્ગો થકી. અમેરિકામાં કાં આકસ્મિકતાથી કે ઈરાદાપૂર્વક છોડી મૂકાયેલી લાયન ફીશે કેરિબીયન અને એટલા‍ન્‍ટિકના સમુદ્રતટો પર આક્રમણ શરૂ કર્યું છે. તો ભૂમધ્ય સમુદ્રમાં તે સુએઝ નહેરના માર્ગે આવી છે. અગાઉ જે સ્થળે એ નહોતી ત્યાં તેમણે ગરમ પાણીનો લાભ લઈને નવાં સ્થળોએ અડ્ડો જમાવવા માંડ્યો છે. તેમનો શિકાર કરનાર કોઈ ન હોવાથી, તેમજ સમુદ્રજળનું તાપમાન સતત વધતું રહેવાને કારણે તેમની સંખ્યા ઝડપભેર વધી રહી છે.

    ઘણે બધે ઠેકાણે ‘લાયનફીશ ડર્બી’ યોજાય છે, જેમાં મરજીવાઓ પરવાળાંના ખડકો પરથી લાયનફીશને હટાવે છે, તો દરિયાઈ આહાર તરીકે પણ તેને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આમ, પહેલાં તેના સૌંદર્યથી અભિભૂત થવાનું, પછી તેને બેકાબૂ બનવા દેવાની, અને છેવટે નિયંત્રણના બહાને તેનું નિકંદન કાઢવાનાં પગલાં ભરવાનાં. આવો ક્રમ કેવળ લાયન ફીશ માટે જ નહીં, અનેક જીવો માટે માનવ દ્વારા બનાવાયેલા નિયમ સમો બની રહ્યો છે.

    લાયન ફીશનું ઉદાહરણ વધુ એક વાર એ હકીકત નીચે ઘેરી લીટી દોરે છે કે માનવજાત થકી જે કંઈ પણ અસંતુલન સર્જાશે તે છેવટે એક મોટી જૈવપર્યાવરણની કટોકટી તરફ દોરી જશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૯ – ૨– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • કેળવણીનાં શિલ્પી : કુ. એન સુલીવાન

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    ભારતીય ચિંતન મનુષ્યજીવનના ઘડતરમાં માતા, પિતા અને ગુરૂ – એ ત્રણ શક્તિઓનું મહત્ત્વ પ્રપત્તિભાવે સ્વીકારે છે. મનુષ્યમાં સુષુપ્ત રીતે પડેલી પ્રતિભા, માતા-પિતા દ્વારા વાવવામાં આવી હોય તો ગુરુ એનું સંમાર્જન કરે છે, એને સંકોરે છે. ગુરુનું કાર્ય આ અર્થમાં દુષ્કર છે. શિષ્યમાં રહેલું હીર તેને ઓળખતાં આવડવું જોઈએ ને તે પછી તેને યોગ્ય દિશામાં ઢાળવાની કલા તેનામાં હોવી જોઈએ. આવો ગુરુ શિષ્યથી કેટલો મહાન હોઈ શકે એ પણ સમજી શકાય તેમ છે.

    ગુરૂની ઊંચાઈની કલ્પના, કેટલાંક વ્યક્તિત્વોને જોતાંવેત કરી શકાતી હોય છે. પૂર્વ તેમ જ પશ્ચિમના દેશોએ કેટલાક વિરલ માનવગુરુઓ આપ્યા છે. આ વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રની છે. સોક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલની ગુરુ-શિષ્ય ત્રિપુટીએ ચિંતન અને સાહિત્યના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કર્યું; રામકૃષ્ણ-વિવેકાનંદે જગત માટે નવીન પ્રકારનો ધર્મપ્રકાશ રેલાવ્યો; ગાંધીજી-વિનોબાએ રાજનીતિનું આધુનિક અર્થચટન કર્યું. આ પ્રકારની વ્યક્તિઓએ માનવસમાજના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો.

    કેળવણી જેવા દુષ્કર ક્ષેત્રની અપાર નિષ્ઠાથી ખેતી કરનારું એક અભૂતપૂર્વ મહિલા વ્યક્તિત્વ આ સંદર્ભમાં સમગ્ર માનવજાત માટે દર્શનીય બની રહે છે. એ વ્યક્તિ છે કૂ. મેન્સ્ફિડ સુલીવાન, જેમણે ત્રણ ત્રણ ઇન્દ્રિયોથી વંચિત એવી એક શિષ્યા હેલન કેલરને કેળવવાનો પડકાર હાથમાં લઈને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. કુ. સલીવાને કુદરતના પંજામાં ફસાયેલી હેલનને જે રીતે ઉઠાવી ને એ પછી દુનિયાના અંધજનો માટે જે કાર્ય તેમણે કર્યું તેણે તેમને અન્‍ય ક્ષેત્રોના મહામાનવોમાં અગ્રગણ્ય સ્થાન આપ્યું.

    જન્મ પછી માત્ર ૧૯ માસ બાદ ભયંકર માંદગીનો ભોગ બનેલા હેલન કેલર ત્રણ ઇન્દ્રિયો ગુમાવી બેઠાં.  એક સાથે આંખ, કાન ને જીભ આ ત્રણેય ઈન્દ્રિયોથી વંચિત એવી બાળા હેલનને લોકોએ મૂર્ખ, મંદબુદ્ધિ ઠેરવી. દુનિયા સાથેનો તેમનો સંબંધ જ કપાઈ ગયો. વાસ્તવમાં જેને દુનિયા જ ન કહેવાય તેવી દુનિયામાં તેઓ રહેવાં લાગ્યાં. સંજોગોના આ પ્રકારના આક્રમણે હેલનના વ્યક્તિત્વને “ફેન્ટમ” જેવું બનાવી દીધું. વાતવાતમાં ગુસ્સે થવું, આજુબાજુના લોકોનો તિરસ્કાર કરવો, જીવનને ધિક્કારવું એ હેલનના જીવનની નિયતિ બની રહી. હેલનની આ સ્થિતિથી હતાશ થયેલાં માતા-પિતાને પુત્રીનું ભાવિ અંધકારમય ભાસી રહ્યું હતું ત્યારે હેલનની માતાના હાથમાં ચાર્લ્સ ડિકન્સના ઉત્તર અમેરિકાના પ્રવાસ વર્ણનનું ૧૮૪૨માં પ્રકાશિત થયેલ ‘અમેરિકન નોટ્સ’[1] વાંચવામાં આવ્યું. એ પુસ્તકમાંથી તેમને બોસ્ટનની પર્ડિન્સ સંસ્થા વિશે જાણવા મળ્યું. આ સંસ્થાએ લોરા બ્રિજમેન નામની હેલન જેવી જ એક અંધ બાળાને વાંચતાં-લખતાં શીખવેલું. પરંતુ આ બનાવને તો પચાસ વર્ષ વીતી ગયાં હતાં. આ જાણીને નિરાશ હૃદયે હેલનનાં માતા-પિતા તેને બાલ્ટીમોર લઈ ગયાં. બાલ્ટીમોરમાં તેમને ટેલિફોનના શોધક ડૉ. એલેફઝાન્ડર ગ્રેહામ બેલને મળવાનું સૂચન કરવામાં આવ્યું. ડૉ. બેલને મળ્યા પછી પર્કિન્સની સંસ્થા સાથે હેલનના પિતાનો પત્રવ્યવહાર થયો. આ સંસ્થાના સંચાલક ડૉ. માઇક એનેગ્રોસે હેલનના પિતાની માગણીથી પોતાની એક સ્નાતિકાને હેલનની શિક્ષિકા તરીકે મોકલી આપી. આ સ્નાતિકા તે જ કુ. સુલીવાન, જેઓ ત્યારે માત્ર એકવીસ વર્ષની ઉંમરનાં હતાં.

    પર્કિન્સ સંસ્થામાંથી આવી રહેલી આ યુવતીનું અંગત જીવન અત્યંત કષ્ટસાધ્ય હતું. તેમની બાલ્યાવસ્થા ભારે દુઃખમાં ગુજરી હતી. ઉત્તર-પૂર્વ આયર્લેન્ડના મેસેચ્યુસેટ્સના ફીડિંગ હિલ્સમાં, ઈ.સ. ૧૮૬૬ની ચોથી એપ્રિલે તેમનો જન્મ. આ સમયે આયર્લેન્ડના વતનીઓ સૌથી વધુ તિરસ્કૃત ગણાતા. અસાધારણ ગરીબીમાં જન્મેલાં સુલીવાનને પણ નાનપણથી જ આંખની તકલીફ હતી. આઠ વર્ષની ઉમરે તેમણે માતા ગુમાવી. એક વર્ષ પછી પિતા, એન તેમજ એ પછીનાં બે બાળકોને મૂકીને ક્યાક ચાલ્યા ગયા. નાની બહેન મેરીને સગાં-વઠાલાંઃ પોતા પાસે સખી પછી એન તથા નાના ભાઈ જીમીન રાજ્ય તરકથી ચાલતા ટક્સબરીના ભિક્ષાગૃહમાં મોકલી અપાયાં. બેનને આંખની તકલીક હતી ને ભાઇને પગની, બંને જાઈ-બહેનનો ઉછેર રખડતી હાલતમાં થયો.

    ઇ. સ. ૧૮૭૬ના ફેબ્રુઆારીમાં દસ વર્ષની એને ભિક્ષાગૃહમાં પ્રવેશ કર્યો ને મે માસમાં ભાઈનું મોત થયુ. આ આવાત જીવનભર તેમને પીડતો રહ્યો એવો ઉલ્લેખ હેલન કેલરે કર્યો છે. ભિક્ષાગૃહમાં તેમનો કોઈ મિત્ર નહોતો. કોઈએ તેમના જીવનમાં રસ લીધો નહોતો.  એવી સ્થિતિમાં તેઓ ચાર વર્ષ રહ્યાં. એ દરમિયાન અંધજનો માટેની શાળાઓ વ્રિશેની માઢિતી તેમને સાંપડી જેથી શિક્ષણ પ્રાપ્ત કરવાની તેમની સ્પૃહા તીત્ર બની. સુલીવાનનાં સદ્‍ભાગ્યે અચાનક ભિક્ષાગૃહનાં દૂષિત વાતારરણની તપાસણી થઈ. તપાસ સમિતિના સભ્યો ગૃહમાં આવ્યા ત્યારે એને સમિતિના પ્રમુખ સમક્ષ પોતાને ભણાવવા માટે વિનંતી કરી.

    ૧૮૮૦ના આંક્ટોબરમાં, ૧૪ વર્ષની વયે એનને પર્કિન્સ ઇન્સ્ટિટયૂટમાં દાખલ કયાં. અહીં આંગળીઓના વાચન દ્રારા તેમનું શિક્ષણ શરૂ થયું. વેકેશન દરમિયાન સંસ્થામાં રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી તેઓ બોસ્ટનની એક લોજમાં રહ્યાં. કોઈ અજ્ઞાત સહૃદયીની સહાયથી તેઓ મેસેચ્યુસેટ્સની આંખ-કાનની ઇસ્પિતાલમાં પહોંચ્યાં.  ડૉ. બ્રેબ્રેફોર્ડે તેમની ડાબી આંખ પર ને થોડા સમય પછી જમણી આંખ પર શસ્ત્રક્રિયા કરી જંના પરિલામે તેઓ થોડો સમય વાંચવા માટે સક્ષમ બન્યાં. પર્કિન્સ ઇન્ક્ટિટ્ટુટમાં છ વર્ષ ગાળ્યા બાદ ૧૮૮૬માં તેઓ સ્નાતક થયાં.

    સ્નાતકની પદવી મળતાંવેત તેમની સમક્ષ હેલનને શિક્ષણ આપવાનું અટપટું કામ આવી પદ્ટું. એકવીસ વર્ષની યુવતી માટે આ કાર્ય અસિધારાવ્રત સમાન હતું. ઝા અગાઉ લોરા બ્રિજમેન માટે થયેલા કાર્યને પચાસ વર્ષ વીતી ગયાં હતાં. અન્ય શિક્ષિકાઓએ આ પ્રકારનાં બાળકો માટે કામ કર્યું હતું પશ કોઈને જોઈએ તેવી ગ્રકળતા મળી નહાતી. તેમાં પશ સુલીવાનની સ્થિતિ વધારે મુશ્કેલ એટલા માટે હતી કે તેમની પાસે સાઘનો નહોતાં, માનસિક સજ્જતા નહોતી. તેમણે આ પ્રકારનાં કાર્યને બદલે પોતા માટે કોઈક રોમાંચક કાર્ય ઇચ્છ્યું હતુ.  ને તેમ છતાં આ નોકરી સ્વીકાર્યા વિના તેમનો છૂટકો નહોતો. નોકરી માટે આવેલી ઓફરોમાંથી તેમને માટે આ ઓફર સૌથી વધુ ફાયદાકારક હતી. આથી આ કાર્ય તેમણે પ્રેમપૂર્વક સ્વીકાર્યું.

    હેલન પાસે જતાં પઢેલાં ડૉ. હોએ લોરા માટે કરેલા કાર્યનો રિપોર્ટ વાંચવામાં તેમણે ધવા મહિના ગાળ્યા. જે ઘટના એક વ્યક્તિ માટે જીવનની સૌથી મોટી પરીક્ષા હતી તે જ ઘટના બીજી વ્યક્તિ માટે ઈશ્વરના આશીર્વાદનો સંકેત બની રહી. ઈ.સ. ૧૮૮૭ની ત્રીજી માર્ચ હેલનના જીવનમાં પ્રેમ અને પ્રકાશની ઉષા બનીને ઊગી. ત્રીજી માર્ચને હેલને પોતાના આત્માના જન્મદિન તરીકે ઊજવ્યો કેમકે આ દિવસે સુલીવાને તેના જીવનમાં કાયમને માટે નિવાસ કરવા પ્રવેશ કર્યો. તે દિવસની નોંધમાં હેલન જણાવે છે : ‘હું મારા અંધકાર ઇજિપ્તમાંથી નીકળીને પ્રકાશના સિનાઈ પર્વત*[2] આગળ આવીને ઊભી. ત્યાં કોઈ દિવ્ય શક્તિએ માર! આત્માને અડીને મને પ્રજ્ઞાચક્ષુ આપ્યાં, જે વડે મે ઘણા ચમત્કારો પછી જોયા… જે બે પ્રકારનાં જીવનને આ દિવસ સાંધે છે એની વચ્ચેના અસામાન્ય ભેદનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે આશ્ચર્યચકિત થાઉ છું.’

    એ દિવસની સાંજે આકાંક્ષિત ચિત્તે ખડકોમાં ઊભેલી હેલનને તેની ક્ષણો પછી થનારી આશીર્વાદની વર્ષાની જાણ નહોતો. છેલ્લા અઠવાડિયાથી એ ક્રોધ અને કટુતાના આક્રમણમાં ફસાઈ હતી. આવી ક્ષણોની વચ્ચે તેણે કોઈકનો પગરવ સાંભળ્યો. માતાને આવતી ધારીને હેલને પોતાનો હાથ પસાર્યો. કોઈકે તેને ઝાલીને ઊંચકી લીધી. જેઓ વસ્તુમાત્રનો અંધકાર દૂર કરવા આવ્યાં હતાં, બલકે વધુ તો જેઓ હેલન પર પ્રેમ કરવા આવ્યાં હતાં એમણે હેલનને પોતાની બાથમાં લીધો. તેમનું આ પ્રથમ આલિંગન ગુરુ-શિષ્યાના પછીથી રચનારા અદ્વૈતનો સંકેત્ત બની રહ્યું.

    હેલન કેલર અને એન સુલીવાન

    એન પોતાના આગમનના બરાબર એક માસ પછી હેલનના આત્માને સ્પર્શી શક્યાં. હેલને લખેલી ‘ટીચર્સ બુક ‘ની પ્રસ્તાવનામાં શ્રી નીલા જ્વેડી, પહેલી માર્ચ પછી આવેલી પાંચમી એપ્રિલને પણ એટલી જ અગત્યની ગણાવે છે કેમ કે તે દિવસે હેલન પહેલી વાર ‘જીવન’ નામના તત્ત્વનો પરિચય પામી ને તેની સાધે હાથ મેળવતાં શીખ્યાં. જલાગાર પર હેલનને ફરવા લઈ ગયેલા સુલીવાને પમ્પમાં પાણીની નીચે હેલનનો હાથ ધરીને પાણીના તેને થતા સ્પર્શની સાથોસાર હાથ પર “પાણી’ શબ્દની જોડણી લખી. એ જ ક્ષણે, અચાનક હેલનમાં સુપ્ત પડેલું ભાષાનું ગૂઢ જ્ઞાન જાગ્રત થયું. તેમના જીવનનું બિડાયેલું પૃષ્ઠ ખૂલી ગયું. હેલનને પહેલી વાર ખબર પડી કે પાણીનો અર્થ તેમના હાય પર લડી રહેલો ચમત્કારી પદાર્થ છે. એ પદાર્થના જીવંત સ્પશે તેમના આત્માને જાગ્ર્ત કરીતેમાં પ્રકાશ, આશા અને આનંદ રેડ્યાં. એ દિવસે તેઓ ‘મારા’ પિતા’, ‘બહેન’ અને ‘શિક્ષક’ એ શબ્દો શીખ્યાં. એ રાત્રે તેમના આનંદને વાગોળતાં પહેલી વાર નવો દિવસ ક્યારે ઊગે તેની પ્રતિક્ષા કરી.

    સુલીવાને. હેલનન જીવનમાંથી જ કેળવણો મેળવવાનું શીખવ્યું. હેલનમાં સુષુપ્ત રૂપમાં પડેલી શક્તિઓને સમજીને સહજ રીતે તેઓ ખીલવતાં ગયાં. હેલનના જીવનમાં તેમનો પ્રવેશ થવાથી હેલનની આસપાસ ચીજો પ્રેન મે અર્થતી સભર બની. વસ્તુમાત્રની સુદરતા હેલનને બતાવવાનો એક પણ પ્રયત્ન એને જતો ન કર્યો. હેલનના જીવનને મધુર ને ઉપયોગી બનાવવા તેમણે થઈ શકે એવું બધું જ પોતાના આચરણ ને વિચારશક્તિ દ્રારા કર્યું.

    કુ. સુલીવાને હેલનના જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે તે આવાં હિમ્મતભર્યા કામને માટે ઘણી નાની હતી; તેમનું વ્યક્તિત્વ સામાન્ય હતું. ભણતર પણ કંઈ વિશેષ ન હતું. ઉપરાંત, તેમની કેટલીક શારીરિક મર્યાદાઓ તો હતી જ. આવાં વિરોધી પરિબળો વચ્ચે એવું કયું તત્વ હતું જે તમને મહાન વ્યક્તિત્વની ભેટ આપી શક્યું એવો પ્રશન સહેજે થાય. આ પ્રશ્નનો ઉત્તર એમની જીવન જોવાની મૌલિક દૃષ્ટિમાં મળે છે.

    બાળપણથી જ સુલીવાનને ફાળે કુદરત સામે ચુદ્ધ કરવાનું આવ્યું હતું. આર્થિક, માનસિક, શારીરિક વિશમતાઓ વચાળે ઘેરાયેલા રહેવાથી તેમની વિચારરણીમાં નાસ્તિકતા પ્રવેશી ગઈ હતી. કુદરત પ્રત્યે તેમનામાં અનાસ્થા વિકસી હતી. આ પ્રકારની અનાસ્થા કેળવવાનો જોકે તેમને હક્ક હતો, પણ નાસ્તિક વિચારસ્રસોએ તેમને નિરાશ ન બનાવ્યાં. ઊલટું. પરિસ્થિતિઓની સામે લડતાં-લડતાં તઓ ગરિમામય જીવન જીસ્‍તાં શીખ્યાં. કહેવાતી ઘાર્મિક શ્રદ્ધા તેમને નહોતી ધર્મ વિશેની સમજ અને તેનું વ્યવહારમાં આચરણ, સુલીવાનની હેલનના ઉછેરે પછીનો બીજી મોટી સિદ્ધિ છે. કહેવી હોય તો તેને પ્રથમ કમની સિદ્ધિ પણ કહી શકાય.

    સુલીવાનના વ્યક્તિત્વમાં રહેલી ખુમારીને કારહે તેઓ સૌન્દર્ય અને સૌષ્ઠવથી રહિત એવું કંઈ જ સહી શકતાં નહિ. વિચાર વિનાની વાતોના ગપાટા કે કામ ખાતર જ કામ કરવાની વૃત્તિ પર તેમને ચીડ હતી. શિક્ષણની બધો જ અનુકુળતાઓ છતાં પણ વ્યક્તિઓમાં અભદ્રતા ને અશિપ્ટતા રહેતાં તેને તેઓ કદી માફ કરી શકતાં નહીં.

    પોતાની મહાત્વાકાંક્ષાને સર કરવા તેઓ સદા આગ્રહી રહેતાં. જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવાના એક લાંબો ગાળો આવેલો ત્યારે પણ સ્વસ્થતા ને ગોરવથી એ સંજોગો સામે ટકવાની તેમની ક્ષમતા તેઓ સિદ્ધ કરી શક્યાં. હેલનના ધિતાએ સાત વર્ષ સુધી તેમને કમું જ આપ્યુ નહોતુ છતા પણ હેલન સમક્ષ આ અંગે ઉચ્ચાર સુધાં કર્યો નહોતો.  તેમનું વ્યક્તિત્વ એક ક્ષત્રિય વીરનું હતું. ઘમંડ લાગે એટલી હદે તેમનું સ્વાભિમાન પ્રગટ થતું. તંમને મતે, ગર્વોન્મત મસ્તકે પણ એવા દિવસોનું સ્વાગત કરીને  મહત્વાકાંક્ષાને મેઘધનુષની અંતિમ પણછ સુધી ખેંચી જવી જેઈએ. તેમનો આ અભિપ્રાય આંતરિક અભિજ્ઞતામાંથી આવતો હતો. પોતાના અસ્તિત્વને તેમણે કદી દેવાધીન કે કોઈ સંતને અધીન માન્યું નહોતું. તેમના વિચારોમાં નૂતનતા ને સ્વતંત્રતાનો સમન્વય હતો. સાથોસાથ અન્યની સ્વતંત્રતાને જાળવવાની અપાર ઉદારતા પણ હતી. ઊછરતી વયની હેલનન પણ તેમણે હંમેશાં સ્વતંત્રતા જ શીષવી. એક અધ્યાત્મગુરુની હેસિયતથી તેમણે હેલનને જીવનની ભૂલભુલામણીમાં કદી અટવાઈ ન જવાનું સમજાવ્યું તેમ જ સાચી સ્વતંત્રતા મનુષ્યના મનમાં જ રહેલી હોવાનું શીખવ્યું.

    હેલનને પોતાનાં ગરુ ઉપર અપાર આદર હોવાનું એક મુખ્ય કારણ જ એ હતું કે સુલીવાને હેલનનો એક સ્વસ્થ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. હેલનની આજુબાજુના જોકે તેને અન્યના જેવું સર્વસાધારણ બાળક માને એવો સુલીવાનનો પ્રયત્ન રહ્યો. વ્યક્તિગત રીતે પણ તેમણે હેલન તરફના વર્તાવમાં ભારે સહજતા પ્રગટ કરી. હેલન તરફ તેમણે કદી દયા બતાવી નથી કે બતાવવા દીધી નથી. કોઈ કામ હેલન સારી રીતે પાર પાડે તો તેઓ અવશ્ય પ્રશંસા કરતાં પણ હેલનની અનુચિત પ્રશંસા તેમણે ક્યારેય કરો નથી. ગુલાબ ચૂંટતી હેલનને વાગતા કાંટા જેમ દરેકને વાગે એ રીતે જ વાગે છે એવું તેમણે હેલનને અને સૌને સમજાવ્યું. તેમનો પ્રયત્ન એટલો જ હેલન પોતાની સીમાઓને ઉચ્છેદીને આચ્છાદિત થયેલા સૌંદર્યને જોઈ શકે. સુલીવાનના પ્રયત્નોને લઈને જ હેલનના વાચકો સામાન્‍ય મનોવિજ્ઞાનને સમજી શક્યા એને અંધો તથા બધિરો પ્રત્યે પ્રગતિશીલ વલણ અપનાવી શક્યા એવું હેલનનું માનવું છે.

    એક કેળવણીકારમાં હોવો જોઈતો જીવન પ્રત્યેનો વિધાયક દૃષ્ટિકોણ ધૈર્ય, વિદ્યાર્થી પ્રત્યે નિસ્વાર્થ મમતા, આગવી સૂઝ, વિષય પ્રત્યેની અભિરુચિ – જેવાં અનેક પાસાંઓ સુલીવાનના વ્યક્તિત્વમાં રહેલાં છે. હેલનના પ્રારંભિક શિક્ષણ સમયે તેમણે વહાલનો આશ્રય લીધેલો. જે દિવસે સવારે ‘પ્રેમ’ શબ્દનો અર્થ જાણગાનું હેલને પહેલી વાર ઈચ્છ્યું  સુલીવાનનો પ્રતિભાવ હેલનના જ શબ્દો જોવા જેવો છે : કુ. સુધીવાન મૃદુ ભાવે મને પોતાની પાસે લીધી અને મારા હાથમાં લખ્યું ‘હું તને પ્રેમ કરૂં છું.’ મેં પૂછ્યું ‘પ્રેમ એટલે શું?’  તેમણે મને પોતાની વધારે નજીક લીધી અને મારા હૃદય તરફ નિશાની કરીને કહ્યું : “તે અહીં છે.’ હૃદયના  ધબકારાની મને પહેલી જ વાર ખબર પડી. એમના ઉત્તરથી હું ખૂબ મૂંઝાઈ. કેમકે કોઈ વસ્તુને હું સ્પર્શું નહીં તયા સુધી, તે વખતે મને તેની સમજ ન પડતી. તે દિવસે ને તે, પછી દરેક બાબતને હેલન ‘આ પ્રેમ છે ?’ એમ પૂછ્યા કરતી. તેના ઉત્તરમાં એક વારે તેમણે જણાવ્યું : “તું જાણે છે કે વાદળને તારાથી અડકી ન શકાય, પણ વરસાદને તું અનુભવે છે. દિવસના તાપને અંતે તરસી ધરતી તથા ફૂલોને વરસાદ મળે તો તે કેવાં ખુશ થાય છે એ તને ખબર છે. તેમ જ તું પ્રેમને અડકી ન શકે પણ દરેક વસ્તુમાં તે મધુરતા રહે છે એવું અનુભવે છે. પ્રેમ ન હોય તો તું સુખી ન થાય અથવા રમવાની ઇચ્છા ન કરે.’ આવી હતી તેમની શિક્ષણ આપવાની કળા.

    સુલીવાને તદન મૌલિક અભિગમથી હેલનને કેળવણી આપી. ડૉ. હોએ લોરા બ્રિજમેનને કેળવણી આપેલી તેનો રિપોર્ટ સુલીવાને વાંચેલો. પણ, એ પછી જે પદ્ધતિ તેમણે અપનાવી તે એમની પોતાની હતી, આત્મસૂઝ ને સ્વાનુભવ દ્વારા પ્રગટેલી હતી. હેલનની બધી ઇન્દ્રિયો કાર્યરત જ હોય એમ માનીને તેમણે હેલનને કેળવી. સાંભળતા બાળકની સાથે વાત કરતાં હોય તે રીતે જ તેઓ હેલનની સાથે વાત કરતાં. ફરક એટલો જ હતો કે હેલનના હાથમાં તેમણે લખી આપવાનું રહેતું. વિચાર પ્રગટ કરવા માટે હેલનને શબ્દ ન સૂઝે તો તેઓ શબ્દ પણ સૂચવતાં. ભણવાનું કામ હેલનને રમત જેવું લાગે એવો તેમનો પ્રયત્ન રહેતો. હેલનને રસ પડે તેવાં કાવ્યો કે વાર્તાઓ દ્વારા તેમનું શિક્ષણ ચાલતું. આથી જ તો વ્યાકરણ કે હિસાબ જેવા, બીજાં બાળકોને દુષ્કર જણાતા મુદ્દાઓ હેલનને કદી કંટાળાજનક લાગ્યા નહોતા.

    હેલનને જ્ઞાનં આપવાના સમયમાં પણ તેઓ ચોક્કસ પ્રકારની ગણતરીથી ચાલતાં. હેલન નોંધે છે : “આ વસ્તુ તેમને પ્રત્યક્ષ હતી કે બાળકનું માનસ એક અગાઘ વહેળિયા જેવું છે. કેળવણીના પથ્ઘરિયા પ્રદેશ પર નાચતું ખેલતું એ ખળખળ વહે છે. એક જગાએ તેમાં ફૂલ તો બીજી જગ્યાએ છોડ ને દૂર વળી ઊનના ઢગ જેવું વાદળ એમાં પ્રતિબિંબિત થાય છે. આવી જાતના એના પ્રવાહને દોરવાનું કામ તેમણે કર્યુ, એ સમજ રાખીને કે વહેળિયાની જેમ તેને પર્વતમાંથી જ ગુપ્ત રીતે પોષણ મળવું જોઈએ. જેથી છેવટે તે પરિપુષ્ટ થઈને એક અગાધ નદી બને.”

    હૈલનના જીવત્તમાં સુલીવાને અમૃત તત્ત્વનો સંચાર કર્યો ને તેમ છતાં હેલનની વિચારસરણી પર પોતાના વિચારોનો ઓછાયો સુધ્ધાં ન પડે તેની કોમળતાથી માવજત કરી. અનેક બાબતો એવી હતી જેમાં સુલીવાનની વિચારધારા હેલન કરતાં એકદમ જુદી પડતી હતી. વિચારની આ ભિન્નતાને તેઓ આનંદથી સ્વીકારતાં. પોતા પ્રત્યેના આદરને કારણે પણ હેલન પોતાના વિચારોથી સંમત થાય એ તેમને પસંદ ન હતું. હેલનને ધર્મ પ્રતયે ખૂબ શ્રદ્ધા હતી અને માનવીની અમરતામાં વિશ્વાસ હતો. જ્યારે સુલીવાનને :ધર્મ પ્રત્યે બિલકુલ શ્રદ્ધા નહોતી તેમ જ નહોતો માનવીની અમરતામાં વિશ્વાસ. તેમ છતાં હેલનની શ્રદ્ધાનો તેઓ આદર કરતાં હતાં કારણ કે હેલનની શ્રદ્ધા આપત્તિમાંથી બચવાની પ્રાર્થનારૂપે નહોતી પણ પ્રભુને દિવ્યાનંદનો અશ માનવાને કરણે હતી ને તેથી સાચી હતી. સુલીવાનના વિચારોમાં રહેવી આ પ્રકારની સૂક્ષ્મ સમજ એક્સાથે તેમના બૌદ્ધિક માનદંડને તેમ જ શિષ્યાના વ્યક્તિત્વને સમજવાની શક્તિને ચીધે છે. તેમણે હેલન પાસે માત્ર આટલું જ ઇચ્છ્યું કે હેલન સંપ્રદાયો અને વાડાઓથી મુક્ત રહે ને જેની સાથે વિચારોનું સામ્ય ન હોય તેના પ્રત્યે પણ ન્યાયી અને ઉદાર બને. બુદ્ધિપૂર્વક વિચારવાની ધૂનમાં કોઇના હૃદયને ભુલેચુકે પણ ઈજા ન પહોંચાડવી એનું જ નામ ધર્મ એવું તેમનું માનવું હતું. જીવન પ્રત્યે સુલીવાને સ્વસ્થ અભિગમ દાખવ્યો. નાસ્તિકતાએ તેમને વૈચારિક ક્લેશનાં ભોગ ન બનાવ્યાં. જીવન પ્રત્યેનો આચારનિષ્ઠ વિવેક તેમણે માર્દવપૂર્વક જાળવી જાણ્યો. આ અર્થમાં તેમને આસ્તિક કહી શકાય.

    માનવીની દુષ્ટતા પ્રત્યેનું તેમનું વલણ અત્યંત સમુદાર રહેતું. માનવીને જો પોતાની દુષ્ટતાની જાણ હોત તો તો એ દુષ્ટ થાત જ નીં એવું તેમનું માનવું હતું. મનુષ્યને તેઓ એક એવું રહસ્ય માનતાં જે કદી માનવી દ્રારા ન ઉકલાય તેવું હતું. આ આ પ્રકારનો વ્યર્થ માથાફટમાં ન પડવા તેઓ હેલનને સમજાવતાં. તેમનું જીવનદર્શન આ દૃષ્ટિએ રીતે એક ૠષિની કોટિનું જણાય છે.

    મનુષ્ય વિશે સુલીવાને એક મનોચિકિત્સકની હેસિયતથી વિચાર્યું છે. તેમને મતે મનુષ્ય કદી સર્વાંશે સારો કે ખરાબ હોઈ શકે નહીં. બીજાના કલ્યાણ માટે પૈસા બચાવતા માણસને કંજૂસ કહેવો કે આસપાસના વાતાવરણમાં રહેલાં સ્વાર્થ જેવાં તત્ત્વોને કારણે પુણ્યપ્રકોપ પ્રગટાવતા મનુષ્યને ક્રોધી કહેવો એ મનુષ્યનું, તેમને મન અધુરૂં મૂલ્યાંક્ન કહેવાય.. સુલીવાનમાં રહેલી મુક્ત વિચારસરણીએ તેમને માત્ર હેલનનાં શિક્ષક રહેવાને બદલે લોકશિક્ષક ઠેરવ્યાં. તેઓ લોકસમૃહને ચાહતાં મનુષ્ય હતાં. પ્રાકૃત જીવન જીવતા લોકોને જ્યાં સુધી સંસ્કૃત ન બનાવે ત્યાં સુધી તેમને ચેન ન પડતું. આમ કરવાથી તેઓ થાકી પણ જતાં ને છતાંયે તેમની શિક્ષકવૃત્તિ સારું કાર્ય તેમની પાસે કરાવીને જ જંપતી. હેલને નોંધ્યું છે તેમ, તેમની આ પ્રકૃતિને લઈને સુલીવાન અનેક લોકોનું પ્રેરણાસ્થાન બન્યાં. રેન્થમના તેઓના ઘરમાં અનેક લોકોના મેળાવડા થતા જેનો પ્રાણ સુલીવાન હતાં.

    સુલીવાનને મન ધર્મ કરતાં જીવન વધારે અગત્યની વસ્તુ હતી. “અહીં ને અત્યારે ‘ એ તેમનો જીવનમંત્ર હતો. કોઈ પણ કામ પૂર્ણ રૂપમાં કરવાનું તેઓ પસંદ કરતાં કેમ કે બીજાઓ પર તેની ગંભીર અસર પડે છે એવું તેમનું માનવું હતું. ગૌતાકારે જેને “લોકસંગ્રહ” કહ્યો તેના પર સુલીવાને વજન આપ્યું. આ માટે તેમને કોઈ ધર્મગ્રયો કે મહાપુરુષોનાં વચનોનો ટેકો લેવાનું જરૂરી લાગ્યું નહોતું. આથી જ તો બાઇબલને તેમણે એક સારા કાવ્યથી વિશેષ માન્યું નહોતું. તેમનું ક્રાન્તિવીર વ્યક્તિત્વ આવા અનેક વિચારો ને એ પ્રમાણેના આચારમાં ઝળકી ઊઠે છે.

    જે જે પરિસ્થિતિઓમાંથી સુલીવાનને પસાર થવાનું આવ્યું તેને લઈને તેમની વિચારસરણી ધડાતી રહી. ક્યારેક તેમના વિચારો સામસામા છેડાના પણ જણાતા. હેલને નોંધ્યું છે તેમ, તેમની પદ્ધતિ તરંગી પણ હતી. સુલીવાન પોતે પણ પોતાને સારી રીતે ઓળખતાં. પોતાના જીવન ને માનસનું તેમણે કડક આત્મપરીક્ષણ કર્યુ છે. તેમના વિચારોમાં દેખાતું તરેગીપણું એ કદાચ એક પ્રકારની પ્રવાહિતા હતી, જે તેમની અસ્થિરતા નહિ પણ વિકાસયાત્રાની સૂચક હતી. જીવનના પ્રારંભે વેઠેલાં  અસાધારણ દુ:ખોએ તેમને આળાં બનાવી દીધેલાં. તેમણે લખેલી ડાયરીમાં તેમના રાગાવેગો, દ્વેષભાવ છલકાતા જણાય. પાછળથી તેમણે એ ડાયરી બાળી નાખીને પોતાનો વિકાસ પ્રગટ કરેલો.

    સુલીવાનના એકલવાયા જીવનમાં જોન મેસીના પ્રવેશથી આનંદ છવાયો. જોન દ્વારા તેમને અપાર પ્રેમ મળ્યો. તેમનું વ્યક્તિત્વ સભર બન્યું. જોને હેલન ઉપર પણ પુષ્કળ વાત્સલ્ય વરસાવ્યું. આ વર્ષો સુલીવાન, જોન ને હેલનનો સુવર્ણકાળ બની રહ્યાં. પાછળથી પતિ-પત્ની વચ્ચે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય એવા સંકેતો તેમના ચરિત્રને ઉપસાવતાં નીલા બ્રેડીએ આપ્યા છે. જો કે કોઈ સ્પષ્ટ વિગતો મળતી નથી, પણ એની ઘેરી અસર સુલીવાન ઉપર પડી છે. આ પ્રકારના બનાવથી તેઓ જરૂર હલી ઊઠયાં છે પણ સાથોસાથ તેમણે માનસિક તાકાત કેળવી છે.

    આવી ક્ષણોમાં તેમણે હેલનનો સાથ માગ્યો છે જેથી તેઓ બંને અન્યોન્યનો બોજો ઉઠાવીને વાસ્તવ સાથે સુમેળ સાધે તેમ જ સંવેદનાનું કલ્યાણકર શક્તિમાં રૂપાંતર કરે જેથી પોતાની પરિસ્થિતિનું દુ:ખ અનુભવવાને બદલે આજુબાજુના વાતાવરણમાં ઉત્સાહ સરજી શકાય.

    એકલતાને કારણે ઊઠતા તોફાનથી સુલીવાન પરિચિત છે. એકાકી મનુષ્ય ક્રૂર થઈ જાય છે એમ માનતાં સુલીવાને તેના ઉપાય તરીકે સજ્જન બનવા સૂચવ્યું છે. સજ્જનતા તેમને મન સુંદર પુષ્પ કે પાકેલાં ફળ જેવી હોય છે. તેનો વિકાસ ધીમો હોય છે પણ તેના દ્વારા અંગત અણગમાની ભાવના દૂર થાય છે. આંતરિક રીતે ગુપ્ત રહેલાં મૂલ્યો સજ્જનતા વડે અભિવ્યક્ત થાય છે. એકલતાને આ રીતે નાથવી જ જોઈએ એવું તેમનું સ્પષ્ટ માનવું છે કેમ કે અત્યંત મેધાવી મનુષ્ય પાસે પણ જો કવિ જેવું દર્શન ન હોય તો તેનું જીવન નીરસ બને છે; ને નીરસ બનવું એનું પરિણામ છે આસપાસની વ્યવસ્થાને પણ નીરસ બનાવવી – જેના જેવું પાપ બીજું એક પણ નથી.

    દયાની ભાવના પ્રત્યે સુલીવાનને તિરસ્કાર હતો. અપંગ કે નિર્બળ માનસવાળાને મળતું શિક્ષણ એ સમાજ તરફથી મળેલું દાન છે અં વાત તેમને બિલકૃલ મંજૂર નહોતી. મનુષ્યમાં, ખાસ કરીને અપંગ મનુપ્યમાં સ્વતંત્રતા કેળવવા તેઆ ઝઝૂમ્યાં. હેલનને પણ તેમણે એ જ રીતે કેળવણી આપી. હેલનનું માથું ક્યારેક અફળાતું કે બીજી કોઈ તકલીહ થતી તો તેઓ કદી ચિંતા ન કરતાં, આવી ક્ષણોમાં વ્યક્તિએ જાતે જ કદરત સામે લડીને તેને મહાત કરવાની જરૂ૨ છે અંવું તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું.

    ઇ સ. ૧૯3૧માં સુલીવાનને ન્યૂટનના પ્રયત્નો અને અનુરોઘથી ટેમ્પલ યુનિવર્સિટી દ્વારા ‘ડૉકટર ઓફ ધ્યુમન લેટર્સ ની પદવી એનાયત થઈ. આ પછી ‘ફેલોઝ ઑફ ધી એજયુકેશન ઈન્સટીટ્યુટ ઓફ સ્કૉટલેન્ડ’નું સન્‍માન પણ તેમને મળ્યું. આ સંદર્ભ પ્રત્યુત્તર આપતાં તેમણે યશનો કળશ વિદ્યાર્થીઆલમ પર ઢોળીને નિર્વિકારભાવે જણાળ્યું : “જે શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને પોતાનું સર્વસ્વ આપ્યું છે તેમના કરતાં હું વધારે પ્રશંસાને પાત્ર છું એમ કદી મેં વિચાર સરખોય કર્યો નથી. આવા શિક્ષકોના સન્નિષ્ઠ પ્રયાસો છતાં વિદ્યાર્થીઓની સુપુપ્ત પ્રતિભા જાગ્રત કરવામાં જો તેઓ નિષ્ફળ ગયા હોય તો એમ જ માનવું રહ્યું કે એ વિદ્યાર્થીઓમાં પ્રતિભા જ નહોતી.’

    મનુષ્યની શક્તિમાં સુલીવાનને અપાર વિશ્વાસ હતો. દરેક મનુષ્યમાં કંઈક ને કઈક શક્તિ રહેલી જ હોય છે. માત્ર તેને જાગ્રત કરવાની જરૂર હોય છે એવું તેઓ માનતાં. જેમ ગરુડ પોતાના શિકાર પર તૂટી પડીને તેને ઊંચે પવનની પીઠ પર લઈ જાય છે તેમ તેમને પૂર્ણ શ્રદ્ધા હતી કે તેઓ હેલનના જીવનસાફલ્યને ઊર્ધ્વ બનાવી શકશે. આ શ્રદ્ધા તેઓ સાબિત કરીને જ રહ્યાં.

    સુલીવાનના વિચારોમાં રહેલી ગરિમા ઉપરછલ્લી નહોતી. અંધજનો માટે સતત કાર્યરત રહેતી આ મહિલાએ અહમ્‌, અંધો પ્રત્યેની ખોટી સત્તા કે કાર્યશક્તિને મંદ કરી નાખે તેવી દાનવૃત્તિ કદી પસંદ કરી નહિ. તેઓ આદર્શ વ્યવહાર રહ્યાં. હેલને શિક્ષિકામાં રહેલા આ ગુણવિશેષ વિશે સાદર જણાવ્યું છે : ‘શિક્ષિકાને સુખી થવા માટે મહાન આદર્શ સાથેનો આજીવન પરિણય જરૂરી હતો. પુણ્યકર આત્માને સર્જવા માટે નિષ્કલંક સર્જનશીલતાની આવશ્યકતા હતી જે તેમનામાં સાંગોપાંગ બિરાજેલો ગુણવિશેષ હતો.”

    સુલીવાન આજીવન શિક્ષકધર્મ પાળતાં રહ્યાં. માંદગીના બિછાને પડેલાં હોગા છતાં જપાન દેશના અંધત્વ વિમોચન આંદોલનના નેતા ટાકેઓ ઈવાકાશી તેમને મળવા આવ્યા ત્યારે તબિયતની નાદુરસ્તીને કારણે તેઓ જાપાન તો જઈ ન શક્યાં પણ પોતાના મૃત્યુ પછી હેલનને આ કાર્ય ઉપાડી લેવાનું જણાવ્યું. જીવનભર તેમણે અંધ ને મૂક લોકો માટે જાત રેડીને કામ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી “અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ’ની સ્થાપના થઈ જેમને શિક્ષિકાએ “મહાન બનાવ’ ગણાવીને આવકારી. આ સંસ્થાને કારણે અપંગો પોતાને પ્રભુનાં બાળકો તરીકે ગૌરવભેર જોઈ શકશે તેનો તેમને અપાર આનંદ હતો. શિક્ષિકાનાં કાર્યમાં હેલન યુગોના પરિશ્રમ અને ચિંતન રહેલાં જુએ છે. તેમ જ તેમને નૂતન સંસ્કૃતિના પ્રણેતા ગણાવીને પોતાને તેમનાં શિષ્ય તરીકે ફતાર્થ થયેલાં માને છે.

    પોતાના જીવનકાર્યને ઈશ્વર જેટલો પ્રેમ કરતી આ સ્ત્રી હેલન માટે કરીને મૃત્યુને ઠેલવા ઇચ્છે છે. હેલન પ્રત્યેનું તેમનું માતૃત્વસભર વલણ તેમનામાં આવી અપેક્ષા જગવે છે. બીજી બાજુ, હેલનને પોતાના માળામાં બેસાડવા તેમણે કદી ઇચ્છ્યું નથી. તેમના મૃત્યુના થોડા સપ્તાહ પહેલાં કોઈકે તેમને ઝડપથી સાજા થઈ જવાની શુભેચ્છા આપતાં જણાવ્યું કે તમારા વિના હેલન શૂન્ય બની જશે. તે વ્યક્તિને ઉત્તર આપતાં સુલીવાને જણાવ્યું : “તેનો અર્થ એટલો જ કે મારા કાર્યમાં હું નિષ્ફળ નીવડી છું.’ પણ સુલીવાનને ખાતરી હતી કે તેઓ નિષ્ફળ નીવડ્યાં નહોતાં. હેલનમાં તેમણે સીંચેલો સ્વતંત્રતાનો ખ્યાલ, તેમની ઉપસ્થિતિ દરમિયાન જ હેલનમાં ઊગી નીકળેલો ને તેમની ગેરહાજરીમાં પણ હેલને શૂન્ય ન બનતાં ગુરુની ઇચ્છાઓની પૂર્તિ કરેલી.

    જીવનભર પોતાનું સઘળું હેલન માટે અર્પણ કરી રહેલી આ મહાન નારીએ ૧૯૩૬ના ઓક્ટોબરની ૨૦મી તારીખે પોતાનું ધબકતું ચૈતન્ય, જે ઈસુને એ માનતી નહોતી તેમને ચરણે ધરી દીધું ! તેમના મૃત્યુને પચાવવું હેલન માટે આકરી પરીક્ષા સમાન હતું. શિક્ષિકાનાં મૃત્યુએ હેલનનાં જીવનને અસ્તવ્યસ્ત કરી મૂક્યું. શિક્ષિકા વિનાની પોતાની સ્થિતિને હેલને ગ્રીક દંતકથાના મીલીગર સાથે સરખાવતાં નોંધ્યું છે તેમ, મીલીંગરનું જીવન તેની માતાએ જલતી રાખેલી જ્યોતને આધારે ટકી રહેલું. એ જયોત બુઝાઈ જવાથી હેલન પણ મીલીગરની જેમ અશક્ત બની ગઈ. એને લાગ્યુ કે શિક્ષિકાની સદ્ય પ્રજ્વલિત આંતરજ્યોતિમાં તેણે જે પ્રકાશ, સંગીત તથા જીવનની ભવ્યતા ભાળ્યાં હતાં એ જાણે નષ્ટ થઈ ગયાં.

    ગુરૂના મૃત્યુએ આપેલી ઘોર નિરાશાની વચ્ચે સમતા ટકાવવાનું બળ પણ ગુરુએ આપેલી વિચારશક્તિએ જ બક્ષ્યું એનો એકરાર કરતાં હેલન નોંધે છે : “મારાં શિક્ષિકાને હું સદાકાળ મને ઉષ્મા ને પ્રકાશ આપનાર, મારાં પ્રભાકર માનું છું. ગુરૂના અસ્તિતવમાં રહેલા સદ્‍ગુણો તથા એમની અંતર્નિહિત શક્તિઓમાં પ્રસારની એવી તો અદભુત ક્ષમતા હતી કે એમનાં મૃત્યુ પછી તેમની આ જ શક્તિએ સતત ખંત અને સહનશીલતા પ્રાપ્ત કરવા માટે મારા હૃદયમાં પ્રેરણા સીચ્યા કરી છે… મમત્વ અને નિજત્વની સંકીર્ણતાને ભૂમિસાત્‌ કરીને, અંધત્વ સામે પ્રભુએ નિર્મેલા જંગ માટે તેમણે મને તૈવાર કરી તેમને મારામાં અનંત શદ્ધા હતી. અને એં શ્રદ્ધાને બેવફા ન બનવાનો મેં દૃઢ નિર્ધાર કર્યો. અન્યના અંતરમાં રહોલા કલ્યાણકર અગ્નિની આંચ પેટાવવા પ્રભુએ પોતાના જ હેતુ માટે શિક્ષિકાનો ઉપયોગ કર્યા છે.’ પોતાને મળે સુલીવાન રૂપી અમૂલ્ય ભેટને જોઈને પ્રભુ પામે અન્ય કાંઈ માગવાનું દુઃસાહસ કરવાનું હેલન ટાળે છે; બલકે આ બક્ષિસ માટે પોતાને થોગ્ય બનાવવાનું હેલન પ્રભુ પાસે પ્રાર્થે છે ‘શિક્ષિકાનો વિકલ્પ કોણ ?’ આ પ્રશ્નના ઉત્તરમાં હેલનનું કહેવું છે તેમ, શિક્ષિકાના વિકલ્પમાં ઈશ્વરે જાતે જ આવવું પડે. આ કથનમાં અતિશયોક્તિનો અશ પણ નથી એમ સુલીવાનનાં વ્યક્તિત્વને જોતાં જણાય.

    હેલન માટે કરીને સુલીવાને પોતાની અનેક શક્તિઓને ગોપનીય બનાવી દીધી. પરતુ તેમની જ આંગળી પકડીને ચાલેલી હેલન ગુરુની શક્તિઓથી પૂરેપૂરી જ્ઞાત છે. હેલન માટે કરીને સુલીવાને પોતાનાં સ્વત્વને ઢબૂરી દીધું તેનો હેલનને ક્યારેક વસવસો પણ જાગ્યો છે. સુલીવાને જો સ્વતંત્ર જીવન ગાળ્યું હોત તો તેઓ ઘણી સ્ત્રીઓ કરતાં વધારે સુખી થઈ શકત. તેમની સ્પષ્ટ વિચારસરણીને લીધે તેઓ નેતા ન બની શક્યાં હોત; લેખનકળાની તેજસ્વિતા ને તાજગીને લઈને સારાં લેખિકા પણ થઈ સક્યાં હોત. પણ તેમણે એ બધાં દ્વારો બંધ કરીને પોતાનો તમામ શક્તિસ્રોત હેલન પ્રતિ જ વરસાવવો યોગ્ય ધાર્યો. તેમની શિક્ષણકથા જ તેમની જીવનકથા બની રહી.

    ૮૮મા વર્ષે પોતાના જીવનસમગ્રને જોતાં પ્રસન્નતાપૂર્વક હેલન નોંધે છે : ‘અંધકારન! વર્તુળમાંથી બહાર કાઢીને તેમણે મને સુખના સોનેરી સમયમાં, પરસ્પર પ્રેમ અને સ્વપ્નોથી ગૂંથાયેલા સુંદર વિચારોના પ્રદેશમાં દાખલ કરી છે. જીવનને વધારે વિશાળ બનાવવા મેં મારા હાથ લંબાવ્યા છે.’

    જીવનના અંત તરફ સરકતાં હેલનને શિક્ષિકાની મધુર યાદ નાની બાળા બનાવી દે છે. વૃદ્ધ થતાં હેલનને સુલીવાનના આત્મપ્રકાશમાં પુનર્જન્મ તથા યૌવનનો આનંદ માણ્યાનો અનુભવ થાય છે. હેલનને ખાતરી છે કે ગુરુની સર્જનાત્મક પ્રજ્ઞા તથા માન્યતા કદીવે નાશ નહીં પામે.

    આચાર્ય કાકાસાહેબ કાલેલકર જેવા સમર્થ કેળવણીકાર ને કેળવણીપ્રેમીને સુલીવાનની આરાધના એવી તો ડોલાવી ગઈ છે કે હેલન કેલરની આત્મકથાનો પ્રસ્તાવનામાં તેઓ નાંધે છે : “સંધ્યા સમયે આકાશની નાની-શી ચન્દ્રકલા અને ચળકતી શુકની તારિકા પાસે પાસે શોભતી જોઈ કવિ વડ્ર્ઝવર્થ એને પૂછી બેસે છે કે તમારા બેમાં રાણી કોણ અને સખી કોણ તે તમે જ નક્કી કરીને કહો.’ હેલનની આત્મકથા વાંચ્યા પછી આપણને પણ પ્રશ્ન થાય છે કે અલૌકિક પ્રતિભાશક્તિ તે કોની કહેવાય – હેલનની કે સુલીવાનની !’ કાકાસાહેબના પ્રશ્નનો ઉત્તર હેલન પાસેથી સાંપડે છે તે પણ પાછી ગુંચ ઊભી કરે તેવો છે; “મારાં ગુરુ અને હું એટલા નિકટ છીએ કે તેમનાથી અલગ મને હું મારા વિશે વિચાર જ કરી શકતી નથી.. મને લાગે છે કે એમનો અને મારો આત્મા અવિભાજય છે.’ શિક્ષિકાની જીવનકથા લખવા ઈચ્છતાં હેલનને સુલીવાને જણાવ્યું છે તેમ, હેલનની જીવનકથા તે જ તેમની પણ જીવનકથા છે, બન્ને જણ એકબીજાંમાં અભિન્નત્વ પામ્યાં છે. સુલીવાનની જીવનયાત્રા અદ્વૈતની યાત્રા બની રહી હોવાથી કેળવણીકાર તરીકે તેમનું મૂલ્ય ઘણું ઊચું બને છે.


    [1] American Notes by Charles Dickens

    [2] *બાઈબલના જૂના કરારની આખ્યાયિકા પયગંબર મુસા ઇજિપ્તમાં બંધનમાં હતા. પ્રભુની આજ્ઞા થતા તેઓ સિનાઈ પર્વત પર ગયા જ્યાં તેમને સાક્ષાત્કાર થયો.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.