વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે…

    નિસબત

    ચંદુ મહેરિયા

    અંગ્રેજોની ગુલામીની ધૂંસરી ફગાવી લોકતાંત્રિક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યે આપણને પોણી સદી કરતાં વધુ સમય વીતી ગયો છે. રાજાશાહીના રહ્યાસહ્યા અંશો પણ હવે તો નામશેષ થઈ ગયાં છે. તો પણ સુશાસન અને પ્રજાવત્સલ શાસકની વાત આવે છે ત્યારે આપણે કેટલાંક રાજવીઓને યાદ કરીએ છીએ. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ (જન્મ ૧૧ માર્ચ ૧૮૬૩, અવસાન- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) નું નામ તેમાં મોખરે છે. ઉદાર, પ્રગતિશીલ અને  સુધારક રાજા તરીકે સયાજીરાવનું પ્રદાન ભલભલા લોકશાહી શાસકોની તુલનામાં પણ અનેકગણું ચડિયાતું છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ગાયકવાડ વંશના પણ રાજાના સીધા વારસદાર નહીં પણ દત્તક પુત્ર તરીકે  રાજવી બનેલા સયાજીરાવ ત્રીજા રૂપે ઓળખાતા સયાજીનું બાળપણનું નામ ગોપાળ હતું. તેમનું જન્મ સ્થળ  મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાનું કવળાણા ગામ. બાર વરસના સગીર ગોપાળનો ૨૭મી મે ૧૮૭૫ના દિવસે  વડોદરાના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો ત્યારે તે નિશાળનું પગથિયું ચડ્યો નહોતો. સાવ જ નિરક્ષર સયાજીનું અંગ્રેજો અને બીજાઓ દ્વારા એવું તો શિક્ષણ થયું કે ૭૬ વરસની આયુ અને ૫૮ વરસના રાજવટને અકલ્પ્ય સામાજિક નિસબત અને ન્યાય સાથે તેમણે દીપાવ્યા હતા અને એક ઓજસ્વી અને તેજસ્વી રાજા તરીકે દેશભરમાં નામના પામ્યા હતા.

    ૮૬૦૦ ચોરસ માઈલનું વડોદરા રાજ્ય વડોદરા, કડી, નવસારી અને અમરેલી પ્રાંતોનું બનેલું હતું. ૧૮૯૦માં ૨૨ લાખની વસ્તીના વડોદરા રાજ્યમાં ૨૯૩૧ ગામડાં આવેલાં હતાં. લગભગ ૧૯મા સૈકાની છેલ્લી પચીસી અને ૨૦મા સૈકાની પહેલી પચીસી (ઈ.સ.૧૮૮૧થી ૧૯૩૯)ના શાસનકાળ દરમિયાન સયાજીરાવે પ્રજાહિતનાં અનેક કામો થકી વડોદરાને એક વિકસિત  અને આધુનિક રાજ્ય તરીકે વિશ્વનકશે મૂક્યું હતું. આરંભે નિરક્ષર એવા આ મહારાજાએ પોતાના રાજ્યમાં શિક્ષણને સર્વોચ્ચ  પ્રાથમિકતા આપી. તેમાં પણ મહિલાઓ, પછાતવર્ગો  અને ખાસ તો કથિત અસ્પૃશ્યોના બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. કન્યાઓ અને દલિત બાળકો માટે શાળાઓ શરૂ કરી હતી. ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો તથા તેનો દ્રઢતાથી અમલ કર્યો હતો. ૧૮૯૨માં મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરતી વેળાના જાહેર વ્યાખ્યાનમાં  તેમણે કહ્યું હતું કે,”  પ્રાથમિક શિક્ષણનો પ્રચાર કરવાના ઉદ્દેશ જેટલી બીજી કોઈ વસ્તુ મને પ્રિય નથી” આજથી લગભગ એકસો પંદર વરસો પૂર્વે ૧૯૦૯માં વડોદરા રાજ્યમાં ૩૩૬ અંત્યજ શાળાઓ ચાલતી હતી અને તેમાં ૧૦,૦૦૦ છોકરા-છોકરીઓ ભણતા હતા. ડો.આંબેડકર સહિત ઘણાં લોકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા તેમણે આર્થિક મદદ કરી હતી.

    જેમ શિક્ષણ તેમ આભડછેટ નિવારણ પણ તેમની પ્રાથમિકતા હતી. ” કમકમાટી ઉપજાવે તેવા ઉચ્ચ વર્ણના લોકોનાં જુલ્મ જહાંગીરી સામે હું બળવાનો પોકાર કરવાની તક લઈશ” એવી ૧૯૦૯માં એમણે ઘોષણા કરી હતી અને તેને ચરિતાર્થ પણ કરી હતી. પોતાના રાજ્યમાં જ્યારે બ્રાહ્મણ શિક્ષકોએ દલિત બાળકોને ભણાવવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે તેમણે આરંભે તેના વિકલ્પે મુસ્લિમ અને ખ્રિસ્તી શિક્ષકોને નિમ્યા હતા. પરંતુ તક મળી ત્યારે આભડછેટમાં માનનારાને પાઠ પણ ભણાવ્યો હતો. ૧૯૧૩માં મૂળદાસ વૈશ્ય( જે પછીથી આઝાદ ભારતની પાર્લામેન્ટના સભ્ય બન્યા હતા)  નામના એક દલિત કિશોરને  વડોદરાની સરકારી હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો તો તેના વિરોધમાં વિધ્યાર્થીઓએ  હડતાળ પાડી હતી. મહારાજા સયાજીરાવને તેની જાણ થતાં તેમણે હડતાળમાં સામેલ રાજ્યના સરકારી અમલદારોના બાળકોના નામ-ઠામ મંગાવવાનો અને બધા શિક્ષકો ભેગા થઈ દલિત કિશોર મૂળદાસને ભણાવે તેઓ હુકમ કર્યો હતો. તેથી બેત્રણ દિવસમાં જ હડતાળ સમેટાઈ ગઈ હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીને તેઓએ પ્રવેશમાં  દલિત વિધ્યાર્થીઓ માટે બે સીટ્સ રિઝર્વ રાખવાની શરતે દાન આપ્યું હતું. ૧૯૩૩માં જ્ઞાતિ ત્રાસ નિવારણ ધારો ઘડ્યો હતો. ૧૯૩૬માં સયાજી હીરક મહોત્સવ ટાણે ગ્રામ-પછાતવર્ગો માટે રૂ. એક કરોડના અલગ નિધિની જોગવાઈ કરી હતી.  જોકે આજ વડોદરા રાજ્યમાં દલિત હોવાને કારણે રહેવા ઘર ન મળતાં ડો.આંબેડકરને નોકરી છોડવી પડી હતી. તે પણ કડવી વાસ્તવિકતા છે.

    વડોદરા રાજ્યમાં બરોડા કોટન એન્ડ સ્પિનિંગ મિલ્સ તથા બરોડા બેન્કની સ્થાપના સયાજીરાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. શાળા- મહાશાળા,  હોસ્પિટલ અને ન્યાય મંદિર તેમના રાજમાં બન્યા હતા. દુકાળ રાહત , નળથી જળ અને સિંચાઈ યોજના જેવી નવતર યોજનાઓ પણ ઘડી હતી. વડોદરા રાજ્ય તેના ગ્રંથાલયો માટે આજે પણ જાણીતું છે. ન માત્ર નગરોમાં નાના ગામોમાં અને ફરતા પુસ્તકાલયો તેમણે સ્થાપ્યા હતા.  સંસ્ક્રુત પાઠશાળા ઉપરાંત સઘળી કલાઓ માટેની આર્ટસ ફેકલ્ટી સાથેની યુનિવર્સિટી અને કલાભવન પણ તેમની ભેટ છે. રાજવહીવટ ગુજરાતીમાં જ ચલાવવાનો આદેશ તેમણે કર્યો હતો.

    લોકશાહી છેક નીચેના ભાગ સુધી પહોંચે તે માટે તેમણે ૧૮૯૧માં ગ્રામ પંચાયતોની રચના કરી હતી. જેમ રાજવહીવટમાં તેમ રાજ્યની ધારાસભામાં દલિતો માટે અનામત બેઠકોનો કાયદો ઘડ્યો હતો.મહિલાઓ માટેના અનેક ક્રાંતિકારી પગલાં તેમણે ભર્યાં હતા. હિદુ વિધવા પુનર્લગ્ન કાયદો( (૧૯૦૧), ખાસ લગ્ન ધારો, (૧૯૦૮),  બાળ લગ્ન નિષેધ ધારો(૧૯૧૫), સગોત્ર વિવાહછૂટ અને છૂટાછેડા ધારો(૧૯૩૧), સ્ત્રીવારસાહક વિસ્તુતિ(૧૯૩૩), વિધવા મિલકતહકનો કાયદો( ૧૯૩૮)  વગેરે કાયદા ઘડ્યા હતા. જે એ જમાનાથી ઘણાં આગળના હતા.સરકારી નોકરીઓમાં મહિલાઓના પ્રવેશના પણ તે પક્ષધર હતા. સાથે જ મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે સ્ત્રી ઉધ્યોગાલયની સ્થાપના કરી હતી.

    વડોદરા રાજ્ય અને તેના રાજવી અંગ્રેજોના મિત્ર ગણાતા હતા પરંતુ સયાજીરાવ આઝાદીના આંદોલનોથી  સાવ અળગા રહેતા નહોતા. ગાંધીજીને તેઓએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે આર્થિક મદદ કરી હતી. ૧૯૩૦ની દાંડીયાત્રાને તેમના રાજ્યમાં રાજ્યાશ્રય આપતાં તેઓ અચકાયા નહોતા. અવસાનના વરસોમાં તેઓ ‘ જવાબદાર રાજતંત્ર’ ની કોંગ્રેસની માંગણી અને પ્રજામંડળો સાથે પણ પરોક્ષપણે જોડાયેલા રહ્યા હતા. ૧૯૩૯ની ૨૦ થી ૨૨ જાન્યુઆરી( અવસાનના પખવાડિયા પહેલાં)  ‘ પ્રજામંડળ’ ના નિમંત્રણે સરદાર પટેલ વડોદરા આવ્યા હતા અને ત્રણ દિવસ મોટું તોફાન પણ થયું હતું.

    સયાજીરાવ ગાયકવાડને પણ એ સમયના અન્ય રાજાઓની જેમ કંઈક અંશે વિલાસી લાગે તેવા શિકાર, મોંઘા કપડાં , સારી ખાણીપીણી, ઘોડેસવારી. કિંમતી આભૂષણો અને મહિલા મિત્રાચારીના શોખ હતા. પરંતુ તેમના હૈયે વડોદરા રાજ્યનું અને તેની પ્રજાનું હિત  સદાય વસેલું હતું. ખુદના અધિકારો પર કાપની પરવા વિના છેક ૧૯૦૭માં તેમણે રાજ્યમાં કાયદા ઘડવા ધારાસભાની રચના કરી હતી. તેમને એક એક થી ચડિયાતા દીવાનો મળ્યા અને દેશ-વિદેશના જાણીતા વિદ્વાનો( અરવિંદ ઘોષ, ડો.આંબેડકર, ધર્માનંદ કોસાંબી, વિઠ્ઠલ રામજી શિંદે)નો સાથ મળ્યો હતો. જેમ પુસ્તકાલયો તેમ વ્યાખ્યાનો માટે પણ તેમણે ખાસ પ્રયત્નો કર્યા હતા.

    આજે તો વડોદરાનો સયાજીબાગ કે લક્ષ્મીવિલાસ પેલેસ સયાજીરાવની ઓળખ બની જાય તેવી સ્થિતિ છે ત્યારે તેમના અનેક ક્રાંતિકારી, અનોખા અને દીર્ઘદ્રષ્ટા કાર્યોની સ્મૃતિ સાથે લોકશાહી ભારતમાં  તેના ઘડતર અને અમલની હાલત વિચારણીય નથી શું?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સંસ્પર્શ- ૨૧

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    મિત્રો,મહાભારતની દ્રૌપદીનું પાત્ર વ્યાસમુનિએ એટલું તેજસ્વી સર્જ્યું છે કે, તેની આભાથી દરેક વ્યક્તિ અંજાઈ જાય. અનેક કવિઓ અને લેખકોએ દ્રૌપદીનાં પાત્રને પોતપોતાની નોખી રીતથી મૂલવ્યું છે. કોઈએ એની અનોખી પ્રતિભાની વાત કરી છે. તો વળી કોઈકે ,દુર્યોધન જ્યારે પાંડવોનાં ઈન્દ્રપ્રસ્થ નગરીનાં મહેલમાં પાણીમાં પડી જાય છે ત્યારે દ્રૌપદીએ કટાક્ષમાં હાંસી ઉડાવતાં કહેલા કટુવચન” આંધળાના દીકરા આંધળા “ નાં લીધે જ મહાભારતનું યુદ્ધ થયું તેમ કહી દ્રૌપદીને યુદ્ધનાં કારણરૂપ દોષિત ઠરાવી છે. પરતું, ધ્રુવદાદાએ તો હંમેશાં તેમનાં સ્ત્રી પાત્રોને તેજસ્વી,પ્રતિભાવંત અને સશક્ત જ સર્જ્યા છે. અગ્નિકન્યામાં દાદાએ તેમની દ્રૌપદી કેવી કલ્પી છે તેની આજે વાત કરવી છે.

    ધ્રુવદાદા હંમેશા તેમના નવલકથાનાં પાત્રોને આગવી અને નોખી રીતે જ કલ્પે છે ને! સૌ પ્રથમ તો સામાન્ય રીતે કોઈ લેખક કોઈ સ્ત્રીનાં વર્ણનું વર્ણન કરે, તો સ્ત્રી સંગેમરમર જેવી ગોરી કે શ્યામ કે ઘઉંવર્ણી જેવું વર્ણન હોય. પરતું દાદાએ દ્રૌપદીનાં વર્ણનું ખૂબ નોખું જ વર્ણન કર્યું છે. અગ્નિમાંથી જન્મેલ બાળકી,અગ્નિની શિખા પૂરી થાય અને ધ્રૂમસેર શરુ થાય તે સ્થળે પ્રગટતા રંગ જેવો બાળકીનો રંગ હતો એમ ધ્રુવદાદાએ કહી દ્રૌપદીનો વર્ણ રક્તશ્યામ હતો તેવું વર્ણન કર્યું છે. વર્ણનું પણ કેટલું નોખું વર્ણન!

    રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીનાં, પિતા સાથેનાં અને મોટાભાઈ શિખંડી સાથેના સંવાદોમાં પણ તેની જિજ્ઞાસા,વાકચાતુર્ય અને ઉચ્ચ બુદ્ધિમતાનાં દર્શન કરાવ્યાં છે. તેને પૂછ્યા વગર થયેલાં તેના સ્વંયંવર રચવાની વાત અને અર્જુન તેના સ્વયંવરમાં લક્ષ્યવેધ કરી તેને વરશે તે વાત તેને ખૂંચે છે તે વાત દાદાએ પોતાના સંવાદમાં દર્શાવી છે. આ સંવાદ થકી મહાભારતનાં સમયથી સ્ત્રીઓને પિતાની અને વડીલોની ઈચ્છા મુજબ લગ્ન કરવા પડતા તેમ પણ સૂચવ્યું છે. નવલકથાની પૃષ્ઠભૂમિ સુંદર રીતે બાંધી દ્રૌપદીનાં પાત્રનું સર્જન કેમ થયું તેની અદ્ભુત રજૂઆત કરી, વિધિએ દરેક વ્યક્તિનું નિર્માણ ચોક્કસ ભૂમિકા માટે કર્યું હોય છે તે નિયમ આપણને સમજાવ્યો છે.

    કૃષ્ણનાં મુખે દાદાએ મૂકેલ આ સંવાદ મહાભારતમાં દ્રૌપદીનાં પાત્રની મહાનતા અને દાદાનાં સ્ત્રીપાત્રની સબળતાનું સર્જન સૂચવે છે. કૃષ્ણ કહે છે, “હું તમને મળવા અને જે કહેવા અહીં રોકાયો છું તે આ વાત છે, કૃષ્ણા! તમારે ઘણું કરવાનું છે. કદાચ બધું જ પ્રિય હોય તેવું ન પણ બંને; પરતું પાંચાલકુમારી, ધ્યાનથી સાંભળો, કેટલાક માનવીઓ ચોક્કસ કાર્ય માટે જન્મ લેતા હોય છે. તેમને અંગત લાગણીઓ અને ગમા-અણગમાને અવગણીને પણ આનંદથી જીવવું પડે છે; અને દ્રૌપદી, કદાચ તમે પણ એમાંનાં એક છો, જેમની આર્યાવર્તને અત્યારે ખૂબ જરૂર છે.” જ્યારે દ્રૌપદી આનાં જવાબમાં કૃષ્ણને કહે છે કે “આપ પુરુષ છો અને સમર્થ છો ; જ્યારે હું તો સ્ત્રી છું” તેવું કહેવા જાય છે ત્યારે કૃષ્ણ કહે છે,” આપ સ્ત્રી છો અને સમર્થ વ્યક્તિ છો. હું પુરુષ છું માટે કરી શકું અને તમે સ્ત્રી છો માટે ન કરી શકો તે હું સ્વીકારતો નથી. તમે સમર્થ છો જ. કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. પ્રશ્ન માત્ર શ્રદ્ધાનો છે.” આમ સ્ત્રીઓ દરેક પડકારજનક પરિસ્થિતિમાં અવિચળ રહી પુરુષથી પણ વધુ સામર્થ્યપૂર્વક જીવન જીવી સમાજ સામે પડકાર ફેંકી શકે છે તે વિચાર દ્રૌપદી દ્વારા રજૂ દાદાએ સ્ત્રીનાં સામર્થ્યને બિરદાવવાની વાત કરી છે.

    તેમજ વ્યાસમુનિ દ્રૌપદીને જે વાત કહે છે તે સંવાદ દ્વારા દાદા દ્રૌપદીનાં પાત્રની અપ્રતિમ વિશેષતા દર્શાવે છે, “પાંચે પાંડવો એક તંતુએ બંધાઈ રહે તેમાં આર્યવર્તની પ્રજાનું હિત અમે જોયું છે. પાંચે જણા જુદુંજુદું વ્યક્તિત્વ ધરાવે છે અને પાંચે જણા અપ્રતિમ છે. એમને બાંધી રાખવાનું કામ આ જગતમાં ફક્ત બે જ જણ કરી શકે છે. એક તારી સાસુ, જે હવે વૃદ્ધ થયાં છે અને બીજી પાંચાલી તું. તારે માથે ઘણો મોટો બોજો છે. પાંચેય પાંડવ કુમારો સળગતા અંગારા જેવા છે. તે ક્યારેય બુઝાય નહીં એ તારે જોવાનું છે.”

    આમ ધ્રુવદાદાએ અગ્નિકન્યામાં દ્રૌપદીનાં પાત્રની ઉત્તમ ભૂમિકા દર્શાવી છે. જગતને સ્ત્રીઓનું સર્જન પ્રભુએ કરેલ અનોખી ભેટ છે તેમ તેમના સ્ત્રી પાત્રો થકી દાદા સૂચવે છે.

    આમ અગ્નિકન્યાનાં અનેક સંવાદો સામાજિક જીવનની સત્યતાને રજૂ કરે છે અને સ્ત્રીઓએ મુશ્કેલીઓ સામે લડતાં જીવનમાં કેવો અભિગમ રાખવો જોઈએ તેનું આડકતરું સૂચન પણ છે.આ સાથે આ ધ્રુવગીતને પણ માણીએ.

    ‘નિજના તમામ દોષને આગળ ધરી ગયા
    એના ગુનાઓ એમ અમે છાવરી ગયા
    લો દાઢ ગઈ,દંશ ગયા,દંશવું ગયું
    ઉત્પાત બધાં ઝેરની સાથે ઝરી ગયા

    મારા પછીયે હું જ ઊભો છું કતારમાં
    જાણ્યું કે તુર્ત દૃશ્યને દૃષ્ટિ ફરી ગયાં
    માંડો હિસાબ કોઈ કસર રાખીશું નહીં
    આ જેટલું જીવ્યા તે બધુંયે મરી ગયા

    ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા
    રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા
    હોવું અમારું વૃક્ષ સરળ એમ થઈ ગયું
    પર્ણોની જેમ નામના અક્ષર ખરી ગયા.’

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભરતખંડના રાજ્યકર્તા / લૉર્ડ લૉરેન્‍સ

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


    ભરતખંડના રાજ્યકર્તા / લૉર્ડ લૉરેન્‍સ

    બીરેન કોઠારી

    પુસ્તક ક્રમાંક: ખ ૬૪/ ૦૦૪૮૭  

    પુસ્તકનું નામ: ભરતખંડના રાજ્યકર્તા / લૉર્ડ લૉરેન્‍સ

    મૂળ લેખક: સર ચાર્લ્સ એચ્ચિસન, કે.સી.એસ.આઈ; એમ.એ. એલ.એલ.ડી, પંજાબનો માજી લેફ્ટેનંટ ગવરનર 

    ગુજરાતીમાં ભાષાન્‍તરકર્તા: મણિલાલ છબારામ ભટ્ટ

    પ્રકટકર્તા: ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ‘ગુજરાતી’ના તંત્રી

    પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૫

    કિંમત:

    પૃષ્ઠસંખ્યા: ૨૧૧

    વિગત: ગુજરાતી ભાષામાં ચરિત્રાત્મક સાહિત્ય ઓછું છે અને પ્રાચીન તેમજ અર્વાચીન કાળના અનેક પ્રતાપી તેમજ ખ્યાતનામ શાસકો વિશેની માહિતી જૂજ હોવાનું આ ગ્રંથના પ્રકટકર્તા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અંગ્રેજીમાં લખેલી પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. ક્લેરેન્‍ડન પ્રેસ ઑફ ઑક્સફર્ડ દ્વારા પ્રકાશિત તેવીસ પુસ્તકોની આવી શ્રેણી પૈકી દસ પુસ્તકોને ગુજરાતીમાં ઉતારવા માટે પસંદ કરાયાં છે. એ પૈકીનું એક પુસ્તક એટલે આ. ‘ગ્રન્થકર્તાની પ્રસ્તાવના’માં લેખક સી.યુ.એચ્ચિસન જણાવે છે: ‘રૂલર્સ ઓફ ઈન્‍ડિયા’ નામની આ પુસ્તકમાળા, જેણે હિંદુસ્તાનને બચાવ્યું તથા તેમાં રાજ્ય કર્યું એવા એક મહાપુરુષની ગણના વગર અસંપૂર્ણ કહેવાય: એટલે જો કે કંઈ નવું લખવાનું ન હોય તો પણ બધું કંઈક જુદી રીતે લખી શકાશે એમ સમજીને હું આ યત્ન કરવા લલચાયો છું.’ કુલ બાર પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં પ્રથમ પ્રકરણ ‘ઉપોદ્‍ઘાત’ અને અંતિમ પ્રકરણમાં ‘ઉપસંહાર’ છે. લૉર્ડ લૉરેન્‍સ વિશે લખાયેલાં વિવિધ પુસ્તકોના સંદર્ભ પણ અહીં ટાંકવામાં આવ્યા છે. તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીનો સમગ્ર જીવનકાળ આ પ્રકરણોમાં આવરી લેવાયો છે.


    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/lord-lawrence-sir-charles-aitchison-ebooks


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • રંગભેદથી જ્ઞાતિભેદ સુધી: સંવેદનાની એક સદી

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    એક તો ટ્રમ્પાઈટિસ, ને એમાં ઉમેરાયો મુવો એસ્પ્ટિનાઈટિસ- બેઉના દોર ને શોર વચાળે ફેબ્રુઆરીનો બ્લેક ઈતિહાસ માસ, એની કકળતી આંતરડીનો ઝીણો અવાજ બચાડો ક્યાંય દબાઈ ગયો… અને હવે હિંદ આંગણે તે બીજે એપ્રિલનો દલિત ઈતિહાસ માસ દસ્તક દઈ રહ્યો છે. શી ખબર, એની ઝીણીતીણી ચીસ ને ટીસ કશેક પણ પાધરી પહોંચશે કે કેમ. બ્લેક હિસ્ટ્રી મન્થ એ અમેરિકા-કેનેડા આદિની એક ધીંગી પરંપરા છે, જેને હમણાં જ એક સૈકો પૂરો થયો. ફેબ્રુઆરી ૧૮૦૯માં લિંકનનો જન્મ અને ફેબ્રુઆરી ૧૮૧૮માં ફ્રેડરિક ડગ્લાસનો.

    આ ડગ્લાસ બાળપણમાં દક્ષિણ અમેરિકા રાજ્યમાં ધરાર ગુલામીમાં ઉછરેલ જણ, ભોગજોગે એ ગુલામીનું પાંજરું તોડી ખુલ્લાણમાં આવ્યો ને દક્ષિણ પેઠે ગુલામીમાં નહીં રાચતા ઉત્તર અમેરિકામાં કોળ્યો. સમતાલક્ષી વક્તા તરીકે એણે હાંસલ કરેલી મહારત હેરતઅંગેજ હતી- ને ન્યૂયોર્કની ગોરી વસ્તી, ઓય મા, એક ગુલામની આ સિદ્ધિ, એમ એના પર ફિદા ફિદા હતી. લિંકન-ડગ્લાસની સ્મૃતિ સાંકળીને ૧૯૨૬થી હર ફેબ્રુઆરીમાં બ્લેક હિસ્ટ્રી મન્થ મનાવવાનો અને એ મિશે આફ્રિકન-અમેરિકન અધિકારોની સભાનતા કેળવવાનો ને એકંદર સમાજમાં સમસંવેદન જગાવવાનો ચાલ શરૂ થયો.

    લિંકનથી ઓબામા વાયા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એમ જાડી રૂપરેખા આપણે જાણીએ છીએ, પણ આફ્રિકી-અમેરિકી તબકો વ્યાપક સમાજમાં પૂરા કદનો સમાસ પામે એ માટે સહૃદયતાની કેળવણીની કેવીક કુમક કથિત રાજકીય ફિરકાઓની બહારથી મળી રહી છે, એનો અંદાજે અહેસાસ છે આપણને? છેક ૧૮૫૨માં હેરિયર બીચર સ્ટોની કલમે ‘અંકલ ટોમ્સ કેબિન’ અવતરી અને એણે ગોરા અમેરિકી ચિત્તને સંવેદનાએ ઝંઝેડી નાખ્યું. અમેરિકી સિવિલ વૉરમાં લિંકનની સિદ્ધિ (અને દુર્નિવાર શહાદત) ફલવતી બને એની ભોંય ટોમકાકાની કહાણીએ કેળવી હતી.

    પણ કમબખ્ત રેસિસ્ટ હેંગઓવર, એ તો ઊતરતાં દાયકાઓ શું સૈકો આખો કે એથીયે વધુ વખત લે. આ લખું છું ત્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’નો ખાસો એક સૈકો ને લટકામાં લગભગ દસકો થયે જ્હોન હાવર્ડ ગ્રિફિનની કલમે આલેખાયેલ ‘બ્લેક લાઈક મી’ (‘મો સમ શ્યામ’) ધારાપ્રવાહ વાંચ્યાનું સાંભરે છે. મેં, જેને રિપોર્ટર્સ જર્નલ કહી શકાય તેવી આ હપ્તાવાર દાસ્તાં ત્યારે એક આનાના અંગ્રેજી દૈનિક ‘ફ્રી પ્રેસ જર્નલ’ની રવિવારી ‘ભારત જ્યોતિ’માં વાંચેલી. ગોરા ગ્રિફિન મશાયને શું સૂઝ્યું કે એમણે કેમિકલ સહાયથી ચહેરો કાળો કીધો અને દક્ષિણનાં રાજ્યોમાં જ્યાં હજુ અલાયદા વાડાની રેસિસ્ટ રસમ જડબેસલાક જેવી હતી ત્યાં કાળી વસ્તી વચાળે રહીને તેમ ત્યાંના ગોરાઓ વચ્ચે કાળા હોવું તે શું એનો જે જાતઅનુભવ લીધો એની આ દાસ્તાં છે.

    પહેલાં તો, એ કહે છે, મારી સામે તકાતી ગોરી નજરોથી હું પ્રીછતો થયો કે ‘હેઈટ સ્ટેર’ (ઘૃણા ને તિરસ્કારે રવરવતી નજરનો ધણી) શું છે. એક વિલક્ષણ જોકે દર્દનાક જોક પણ ક્યાંક નોંધી’તી ગ્રિફિને- મેં જ્યાં પ્રવેશ હોય એવા કેથલિક ચર્ચ વિશે પૃચ્છા કરી તો કાળી વસ્તીમાંથી સાંભળવા મળ્યું કે ભલા ભાઈ, પહેલાં તો તને ધોરણસરની યુરિનલની સોઈ મળે એને સારુ પ્રાર્થના કરી શકે તોયે ઘણું! ગ્રિફિને બસમાં એક ગોરા બાનુ વાસ્તે જગ્યા ખાલી કરવાનો વિવેક કર્યો તો એક પા સાથી આફ્રિકી-અમેરિકી ઉતારુઓની ખફગી આવી પડી ને બીજી પા પેલાં બાનુ બીજા ગોરાઓને કહેતાં સંભળાયાં કે મુઆ કાળાયે કેવા દોઢડાહ્યા થાય છે.

    ‘બ્લેક લાઈક મી’ની આ તો એક ઉપલક ઝલક માંડ છે. પાંચ-છ વરસ પર ફ્લોઈડની ઘટના બની અને બ્લેક લાઈપ મેટર્સ એ ઝુંબેશ શરૂ થઈ ત્યારે આ જ શીર્ષ પંક્તિ લઈ લખાયેલી ગવાયેલી એક રચના મિકી ગાયટનના કંઠે[1] ખાસી ઊંચકાઈ હતી: If you think we live in the land of the free/you should try to be black like me. (તમને જો એમ લાગતું હોય કે તમે ખરેખર આઝાદ માણસો માટેના મુલકમાં રહો છો તો જરા મારી પેઠે કાળા બનવાની કોશિશ કરો, અને-) આપણે ત્યાં અને દેશ બહાર પણ દલિત સંઘર્ષ અને આત્મસ્થાપન સારુ પ્રતિમાપુરુષ રૂપે ઉભરેલ આંબેડકરના જન્મ માસ એપ્રિલને દલિત ઈતિહાસ માસ તરીકે ઊજવવાની કોશિશ હમણે હમણે નજર સામે આવે છે: આ જ એપ્રિલમી ૧૧મી ફુલે જયંતી છે જેમ ૧૪મી તે આંબેડકર જયંતી છે.

    પ્રજાસત્તાક બંધારણનો પ્રકલ્પ ને સંકલ્પ પાર પાડવામાં અગ્રભૂમિકા સારુ આંબેડકરનું સુપ્રતિષ્ઠ હોવું, દલિતનું દલિત હોવું ને સૌ સવર્ણ પેઠે નાગરિકમાં સ્થપાવું, એ કોયડો ઉકેલવામાં ઉપયોગી થઈ પડે એવો ઈતિહાસનુસખો છે. ગાંધીએ આંબેડકરનું નામ કેમ સૂચવ્યું હશે એનો તરત જડતો જવાબ કદાચ એ હોઈ શકે કે જોડાનો પહેરણહાર સ્તો જાણે છે કે એ ક્યાં ડંખે છે. લોકશાહીની વ્યાખ્યાની રીતે આ પ્રયોગ સોજ્જે છે. પણ ચંદુ મહેરિયાએ એક સ્મૃતિ નિબંધમાં ઉપસ્થિત કરેલો તીવ્ર મુદ્દો સાંભરે છે- જોડો છે જ ક્યાં કે ડંખે. દેશજનતાએ સ્વરાજને નાતે કેટલું મોટું અંતર કાપવાનું છે એનું આ યજ્ઞદૃષ્ટાંત છે. બને કે દલિત ઈતિહાસ માસ વિશે એપ્રિલમાં વધુ લખવાનુંયે થાય, હમણાં તો આવાં ઉજવણાં બેઉ છેડાની કામગીરી બજાવે છે જેમ આરતી જેની ઊતરે છે અને જે ઉતારે છે, તે બેઉને આલોકિત કરે છે તેમ.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧-૩-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.


    [1] Mickey Guyton – Black Like Me

  • ખાન

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ‘અમ્મા…..ઓ અમ્મા.., હિંગ લઈશ ને? ” લગભગ ૩૫ વર્ષની ઉંમરનો ખાન આંગણે આવીને ઊભો હતો.

    “હમણાં કશું નથી લેવાનું…જાવ અહીંથી.” નવ-દસ વર્ષના બાળકે બહાર આવીને કહી દીધું, પણ એમ ક્યાં ખાન માને?

    “અમ્મા, હીંગ લઈ લે.  હું દેશ જાઉં છું. પાછા આવવામાં બહુ દિવસો થઈ જશે.” ખાને રટણ ચાલુ રાખ્યું.

    “અરે, હજુ પંદર દિવસ પહેલાં તો તારી જ પાસેથી બહુ બધી હિંગ લીધી છે.” સાવિત્રીએ બહાર આવતાં ખાનને કહ્યું.

    “એક નંબરની હિંગ છે, મા. ઘરમાં પડી રહેશે. તારા હાથથી સારી બોણી થાય છે. એક તોલો તો લઈ લે. દેશમાં જઈશ પછી ખબર નથી ક્યારે પાછો આવીશ.” કહીને ખાને એક ડબ્બી સાવિત્રી તરફ સરકાવી.

    ઘરમાં હાજર બાળકોની મના છતાં સાવિત્રીએ હિંગ રાખી લીધી. પૈસા લઈ, સલામ કરીને, ખાન ચાલ્યો ગયો.  છોકરાંઓ અકળાયાં.

    “હિંગની જરૂર તો હતી નહીં તો ખોટા પૈસા ખર્ચ્યાને? હવે એ હિંગવાળાને આપ્યા એટલા પૈસા અમનેય આપી દે.” સૌથી મોટા છોકરાએ જીદ કરી.

    “મા એમ કંઈ આપણને પૈસા નહીં આપે. ખાન એનો પહેલો દીકરો છે, ખાનને તો એ આપશે જ.” સાવિત્રીની દીકરી તોબરો ચઢાવીને બોલી.

    સાવિત્રી છોકરાંઓની વાત સાંભળીને હસી પડી, પણ ચહેરા પર ખોટા ગુસ્સાના ભાવ સાથે બોલી,

    “ખાને પૈસાની સામે હિંગ આપી, તમે શું આપશો?”

    “માટી….” છોકરાઓનો જવાબ સાંભળીને એ સાચે જ ફરી હસી પડી.

    “સારું, સારું.. ત્રણે જણને એક સરખા હિસ્સામાં પૈસા વહેંચી આપીશ, બસ? ” કહીને એ કામે લાગી.

    આ વાતને કેટલોય સમય થઈ ગયો. સાવિત્રી પાસે હતી એ બધી હિંગ પૂરી થઈ ગઈ. એ ખાનના આવવાની રાહ જોતી હતી એવામાં હોળી આવી. હોળી પર શહેરમાં ઘણાં તોફાનો થયાં. એને વારંવાર ખાનની યાદ આવતી હતી સાથે ખાનની ચિંતાય થતી.

    ‘આ તોફાનોમાં ખાનને કંઈ થયું તો નહીં હોય ને?’

    સાવિત્રીની ચિંતાના જવાબમાં એક સવારે ખાન આવીને ઊભો રહ્યો. આટલા દિવસે ખાનને જોઈને સાવિત્રીને થોડી હાશ થઈ.

    “અરે ખાન! આટલા દિવસ ક્યાં હતા? મારા ઘર સુધી આવવામાં ડર ના લાગ્યો?”

    બંને કાન પર હાથ મૂકીને તોબા કરતા ખાન બોલ્યા,

    “દેશમાંથી બે દિવસ પહેલાં જ પાછો આવ્યો અને આવું કેમ બોલે છે મા ? દીકરાને તે વળી અમ્માના ઘેર આવવામાં ડર હોય?”

    “ખબર છે, અહીં તો કેવા દંગલ થયાં છે?”

    “ખબર છે. દંગલ કરવાવાળાઓમાં અક્કલ નથી.” કહીને ખાને ડબ્બો ખોલીને સાવિત્રીને હિંગ તોળી આપી. સાવિત્રી કે ખાન પાસે હિસાબ પ્રમાણે થતા આપવા-લેવાના છુટ્ટા પૈસા નહોતા. ફરી આવીને લઈ જશે કહીને ખાન ચાલ્યા ગયા.

    દિવસો, મહિનાઓ પછી શહેરમાં થોડી શાંતિ ફેલાઈ. સમય પસાર થતો રહ્યો. સૌ દશેરાની તૈયારીમાં લાગ્યા. સાંજે ચાર વાગ્યે મા કાલીનું સરઘસ નીકળવાનું હતું. બાળકો એ સરઘસ જોવા ઉત્સાહી અને ઉતાવળા હતાં.

    એક તો સાવિત્રી ખૂબ ડરપોક અને વળી એના પતિ બહારગામ હતા. એણે છોકરાંઓને રમકડાં અપાવવાના, સિનેમા બતાવવાના, શક્ય હોય એટલાં પ્રલોભન આપ્યાં. પણ, બાળકો ના માન્યાં તે ના જ માન્યાં. ઘરનો નોકર રામુ પણ એટલો જ ઉત્સાહી હતો.

    “ચિંતા ના કરતા માજી.  હું એમની સાથે જઈશ. જેવાં જઈશું એવાં તરત પાછા…”

    હવે છોકરાંઓને મોકલવા જ પડે એવી સ્થિતિ હતી. છોકરાંઓનું ધ્યાન રાખવાનું અને સાંજ પહેલાં પાછાં આવી જવાનું કહીને સૌને રામુ સાથે સરઘસ જોવા મોકલ્યાં.

    જોતજોતામાં સાંજ ઢળવા માંડી. અંધારું થવા માંડ્યું, પણ છોકરાંઓ આવ્યાં નહોતાં. હવે સાવિત્રીની ચિંતા વધવા માંડી. ઘરની અંદરબહાર આંટાં મારતી સાવિત્રીને દૂર ભાગાભાગ કરતા લોકો નજરે ચઢ્યા.

    “રમખાણ ફાટી નીકળ્યું છે…રમખાણ…” સાથે બુમરાણ પણ સંભળાઈ.

    સાવિત્રીના હાથ-પગ ઠંડા પડવા માંડ્યાં.

    ત્યાંથી પસાર થતી એક વ્યક્તિને ઊભા રાખીને છોકરાંઓની ભાળ લાવી આપવા વિનંતી કરી.

    “અમે ક્યાં તમારાં છોકરાંઓને ઓળખીએ છીએ, માજી.” કહીને એ વ્યક્તિ પણ દોડી ગઈ.

    ‘વાત તો સાચી. છોકરાંઓને જાણતાં હોય એ પણ આવી ભીડમાં એમને કેવી રીતે શોધે?’

    પોતે લીધેલા સાહસી, અવિચારી નિર્ણય પર સાવિત્રીને જાત પર ક્રોધ ચઢ્યો. છોકરાંઓ તો જીદ કરે. એણે જવા શું કામ દીધાં? ના પાડી દેવાની હોય ને?

    બહાવરી બનેલી સાવિત્રી છોકરાંઓની મંગળકામના માટે યાદ આવ્યાં એ તમામ દેવી-દેવતાઓને પ્રાર્થના કરી.

    ધીમેધીમે શોરગુલ ઓછો થવા માંડ્યો. રાતની સાથે નીરવતા ઘેરી થવા માંડી. હતાશ સાવિત્રી જોરજોરથી રડવા માંડી.

    એટલામાં એક પરિચિત અવાજ સંભળાયો.

    “અમ્મા…”

    સાવિત્રી દોટ મૂકતી બહાર આવી. ખાન સાથે છોકરાંઓ હેમખેમ પાછાં આવેલાં જોઈને એનો જીવ હેઠો બેઠો. છોકરાંઓ દોડીને સાવિત્રીને વળગી પડ્યાં.

    “સમય સારો નથી, અમ્મા. છોકરાંઓને આવી ભીડમાં બહાર મોકલાતાં હશે ?”


    સુભદ્રાકુમારી ચૌહાણ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક સપનું – “મેધા, તુ કહાં, યે બતા” (ભાગ ૧)

    જયશ્રી વિનુ મરચંટ

    મને ભાતભાતનાં, ચિત્ર, વિચિત્ર સપનાંઓ આવતાં. કોઈક કોઈક સપનાં તો અક્ષરસઃ યાદ રહેતાં, અને એય કાયમ માટે ન ભૂલી શકાય એવી છાપ મૂકી જતા પણ મોટા ભાગનાં સપના તો પહેલા વરસાદમાં ઊઠતાંવેંત વિલય થઈ જતી માટીની સુગંધ જેમ જ વિસરાય જતા. મને સપના જોવાની ખૂબ મજા આવતી અને યાદ રહી ગયેલા સપનાંઓને પછી વાગોળવાની પણ એટલી જ મજા આવતી.

    અનેકવાર મારા સપનાના દેશમાં સમયનો ગાળો અને સ્થળનો તાળો, બિલકુલ તાલમેલ વગરનો થઈ જતો….! મને યાદ છે, ૨૦૧૬, ઓક્ટોબરના કોઈ તો વીકએન્ડમાં અમારા મિત્રને ત્યાં પાર્ટી હતી. ૨૦૧૬, નવેમ્બરમાં અમેરિકાના પ્રમુખનું ઈલેક્શન હતું. પાર્ટી પૂરી થઈ ત્યાં સુધી, મિત્રો સાથેની વાતોનો એ મુખ્ય વિષય રહ્યો હતો. ઈલેક્શનમાં ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની, હિલરી ક્લિન્ટન અને અમેરિકાના બિલિયનર બિઝનેસમેન ડોનાલડ ટ્રમ્પ વચ્ચે પ્રમુખપદ માટે ખરી રસાકસી હતી. અમે સહુ પાર્ટી પછી ઘેર જતાં હતાં ત્યારે મેં સહુને મજાક્માં કહ્યું, “આજે તો સહુને સપનામાં પણ હિલરી અને ટ્રમ્પ આવશે..!”

    અને સાચે જ, એ રાતે મને જ સપનું આવ્યું અને એ સ્વપ્નપ્રદેશમાં, ૨૦૧૬માં વાસ્તવિક જીવનમાં ૬૭ વરસની હું, જાદુઈ રીતે ૨૧ – ૨૨ વરસની સ્ટુડન્ટ બની ગઈ હતી…! સપનામાં હિલરી અને ટ્ર્મ્પ તો ન આવ્યાં પણ, બિલ ક્લિન્ટન પધાર્યા હતા!

    આમ જુઓ તો મારું એ સ્વપ્ન શું ક્યાંકથી બાકી કે અધૂરી રહી ગયેલી સુષુપ્ત ઈચ્છાઓ સાથેનું અનુસંધાન હતું..? કોને ખબર, પણ એ “હોચપોચ” અને વિચિત્ર શમણાંમાં, ૨૧ – ૨૨ વર્ષની હું, એક્સ-પ્રેસિડન્ટ, બિલ ક્લિન્ટનના ફાઉન્ડેશનમાં ઈન્ટર્નશિપ કરતી હતી…!  (એનો રોમાંચ આજે પણ મને થાય છે કે કાશ, ખરેખર એવું હોત તો…..?)

    મારા એ સપનામાં, તે દિવસે હું ક્લિન્ટન ફાઉન્ડેશનની ઓફિસમાં સમયસર પહોંચી ગઈ હતી. સવારના સાડા નવ થવા આવ્યા હતા. બિલ ક્લિન્ટન હજી આવ્યા નહોતા. જ્યારે પણ બિલ ક્લિન્ટન શહેરમાં હોય ત્યારે સવારના નવના ટકોરે એ હાજર થઈ જ જતા. સર ઓફિસમાં ન આવવાના હોય ત્યારે અમને, એટલે કે, સ્ટાફને એમના પર્સનલ સેક્રેટરી તરફથી આગોતરી નોટિસ મળી જતી હતી. નવ ને પાંચ મિનીટ થઈ હતી પણ ક્લિન્ટન હજુ ઓફિસમાં આવ્યા નહોતા. તે દિવસે અમને એવી કોઈ નોટિસ પણ મળી નહોતી. મને મનોમન થયું, શું થયું હશે કે બિલ ક્લિન્ટન આજે ઓફિસમાં નથી આવ્યા?

    પછી થયું, ‘ચલો, આજે સમય છે તો ફેસબુક પર જોઉં અને મારી ત્રણ ખાસ સખીઓ, મેધા, સીમા ને આયેશામાંથી કોઈ જો ચેટ પર હોય તો એમની સાથે વાત કરું.’

    આયેશા અને હું કોલેજના મિત્રો હતાં પણ મેધા, સીમા અને હું, એક જ સ્કૂલમાં સાથે ભણ્યા હતાં. અમે જ્યારે કોલેજમાં ગયાં ત્યારે અમારી ત્રણેયની કોલેજ અને અભ્યાસની શાખાઓ અલગ થઈ ગઈ હતી. છતાં પણ, અમારી દોસ્તી સમય અને સ્થળના અંતર સામે અડગ અને અડીખમ રહી હતી..! (જો કે મને હજુ આજે પણ સમજાયું નહોતું કે મારા ધડ માથા વિનાના એ સપનામાં આમ ક્યાંથી મેધા અને સીમા ઓચિંતા જ આવી ગયાં!)

    બિલ ક્લિન્ટન ફાઉન્ડેશનની ઑફિસમાં કશાયે કામ વિના બેઠેલી મેં, ફેસબુકમાં લોગ-ઇન કરીને જોયું કે મેધા પણ ઓન-લાઈન હતી અને મેં ચેટ કરવાનું ચાલુ કર્યુંઃ

    હુંઃ      “અરે, તું ઓનલાઈન છેને કંઈ? શું વાત છે, દોસ્ત? મને થયું કે આ ટાઈમે તું ડિનરની તૈયારી કરતી હશે! કેમ છે તું?

    મેધાઃ   “બસ, એમ જ. આજે કામ પરથી આવતાં મોડું થઈ ગયું તો ઓફિસમાં થોડું કચરપચર ખાધું હતું તો ડિનર પણ મોડેથી હવે લઈશ. તારું શું ચાલે છે? આજે સવારસવારમાં ચેટ માટે નવરી પડી? કામ બામ છે કે ખાલી ટલ્લાં મારે છે?”

    હુંઃ      “એક્ચ્યુઅલી સાચે જ ટલ્લાં મારું છું..! મારી બોસ હજુ આવી નથી. એણે જે કામ આપ્યું હતું એ પૂરૂં કરી નાંખ્યું છે. આથી અમથી જ બેઠી છું. બિલ પણ હજુ ઑફિસમાં આવ્યાં નથી. તો મને થયું, તારી સાથે વાત કરીને તને બોર કરું. શું કરે છે તું?”

    મેધાઃ   “તને તો મજા છે, યાર! તું તારા ગોરા, હેન્ડસમ ક્લિન્ટનની રાહ જો! અમારે ભાગે તો કોઈ દેશીની રાહ જોવાનું યે નસીબમાં નથી હજુ સુધી! અહીં બેઠીબેઠી મમ્મીની બૂમો સાંભળું છું કે ‘કામવાળી આવી જશે, હવે જમવાનું પતાવે તો સારું!’ બાય ધ વે, ટેલ મી, વન થીંગ, શું ક્લિન્ટન આજે, ૨૦૧૬ માં પણ હજુ એટલા જ હેન્ડસમ લાગે છે, જેટલા ૧૯૯૨માં લાગતા હતા?”

    હુંઃ     “આપણે ક્યાં ૧૯૯૨માં જન્મ્યા હતાં? કુછ ભી…!”

    મેધાઃ  “જન્મ્યાં નહોતાં પણ એ સમયના ક્લિન્ટનને ટીવી પર અને બીજા પ્લેટફોર્મ પર જોયા તો છે ને? સો, ટેલ મી, હજુ એટલા જ હેન્ડસમ છે?”

    હુંઃ     “ઓફ કોર્સ. ખરેખર, વોટ અ હેન્ડસમ મેન! એન્ડ વોટ અ પર્સનાલીટી! ને, ઉફ્.. કેટલી એનર્જી! નોન-સ્ટોપ કામ કરી શકે છે. ચલ, આઈ હેવ ટુ ગો. આઈ સી હીમ કમીંગ હીયર ફ્રોમ માય ક્યુબીકલ. પછી વાત કરીશું.!”

    અને, મેં ફેસબુક ચેટ બંધ કરી. બિલ વોઝ હીયર. મારી ક્યુબની સામે જ એમની ઓફિસ હતી. મને એમના એક્સટેનશન પરથી ફોન આવ્યો.

    બિલઃ    “હેલો, કાપડિયા (મારી લગન પહેલાંની અટક), મે આઈ સી યુ ઈન માય ઓફિસ રાઈટ નાઉ?”

    હુંઃ       “યસ સર” .

    અને, હું એમની ઓફિસમાં ગઈ. (અમારા વચ્ચેની વાતો, અલબત્ત, એ સપનામાં થઈ હતી પણ મને જે રીતે હજુ યાદ છે એને જ અહીં અંગ્રેજી મિક્સ ગુજરાતીમાં રજુ કરું છું.)

    બિલઃ    “મીસ કાપડિયા, તમે થોડા દિવસોથી કઈંક પરેશાન લાગો છો. આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો, કે બધું બરાબર છે ને? અહીં ઓફિસમાં તો તમને કોઈ તકલીફ નથીને?”

    હુંઃ     “સોરી સર, જસ્ટ ફિલિંગ હોમસીક! નથીંગ એલ્સ. સર, ફાઉન્ડેશનમાં કામ કરતાં અમારા જેવા ઈન્ટર્નની પણ તમે આટલી સંભાળ રાખો છો એ બદલ સાચે જ ગદગદ છું! થેંક્યુ સર. પણ સર, તમને સમય હોય તો તમારી સાથે હું કંઈ પર્સનલ વાત કરી શકું?”

    બિલઃ   “બિલકુલ સમય છે. બોલો. હું શું કરી શકું તમારા માટે?

    હુંઃ     “સર, હું તમને અને મીસ હિલરી ક્લિન્ટનને મારા આદર્શ માનું છું. અભ્યાસ પૂરો કરીને, ભારત પાછા જઈ મારે, પોલીટીક્સમાં કામ કરવું છે અને દેશની સેવા કરવી છે.”

    બિલઃ   “તમે પાછા જઈને તમારા દેશ માટે કામ કરવા માગો છો, એ તો ખૂબ સારી વાત છે. ન્યુ બ્લડ ઓલવેઝ બ્રીંગસ ન્યુ એનર્જી. શું પૂછવું છે પૂછો.”

    હુંઃ     “સર, મારે તમને એક સવાલ પૂછવો છે. તમારી પરવાનગી હોય તો પૂછું. મને થોડો અચકાટ થાય છે. સર, સાચે જ પર્સનલ છે અને આપને જવાબ ન આપવો હોય તો ન આપશો. હું આપને તથા મીસ  ક્લિન્ટનને મારા રોલ મોડલ માનું છું. આ સવાલનો જવાબ તમારા તરફથી મળશે તો મને નવી દિશા ચીંધશે”

    બિલઃ   “જરા પણ મૂંઝાયા વિના પૂછો મીસ કાપડિયા. મારાથી જેટલી પ્રામાણિકતાથી જવાબ અપાશે એટલો આપીશ. પણ એક શરત છે કે આ સવાલનો જવાબ તમને કઈંક સારું ને સાચું શીખવા માટે પ્રેરણા આપે તો જ પૂછશો.” પછી એમની લાક્ષણિક ઢબમાં હસીને કહે, ”આજે મારી ફ્રેન્કનેસ ને તમારી વિવેકબુધ્ધિની પરીક્ષા છે.”

    હુંઃ (હસીને) “સર, આ સવાલનો જવાબ આપ્યા પછી આપને પણ મને કહેવું પડશે કે હું આ Exam માં પાસ થઈ કે નહીં.”

    હું શ્વાસ ખાવા ઊભી રહી અને પછી મનોમન હિંમત ભેગી કરીને અંતે પૂછી જ નાખ્યું.

    હુંઃ      “સર. તમે આઠ વર્ષો સુધી વ્હાઈટ હાઉસમાં કીંગની જેમ રહ્યા અને મીસીસ ક્લિન્ટન ફર્સ્ટ લેડી તરીકે રહ્યાં હતાં. મેં સાંભળ્યું છે કે, પરંપરાગત રીતે, ફર્સ્ટ લેડી, વ્હાઈટ હાઉસમાં, પ્રેસિડન્ટના રહેઠાણ અને ઓફિસના રેમોડેલીંગ, કીચનમાં ડિનર શું બનાવવું, મહેમાનોની આગતા-સ્વાગતા અને લોક-કલ્યાણનાં કામકાજમાં સમય વીતાવે છે.”

    આટલું કહીને હું શ્વાસ ખાવા ઊભી રહી.

    બિલઃ    “ટ્રુ. તમારી માહિતી બિલકુલ સાચી છે.”

    હુંઃ       “પણ હવે આ વર્ષે જો મીસીસ ક્લિન્ટન ઈલેક્શન જીતીને વ્હાઈટ હાઉસમાં પ્રેસિડન્ટ બનીને જશે તો આપ, “ફર્સ્ટ જેન્ટલમેન” તરીકે શું કરશો? સર, બીઈંગ અ મેન, તમે પણ પરંપરાગત ડ્યુટીસ કરશો, સર?”

    અંતે મેં ડરતાં ડરતાં આ સલાલ પૂછી જ લીધો. આજ સુધી આ સવાલ ઉદભવ્યો જ નહોતો કારણ કે અમેરિકામાં હજુ સુધી કોઈ સ્ત્રી પ્રમુખ બની જ નથી.

    એક આંગળી પોતાના જમણા ગાલ પર મૂકી, ખુરસી થોડી ટેબલ તરફ ખસેડીને ટેબલ પર જમણા હાથની કોણી ટેકવી, સહજ સ્મિત સાથે તેમણે મારી સામે જોયું અને વાત આગળ વધારી.

    બિલઃ     “ખૂબ જ સરસ સવાલ પૂછ્યો છે તમે. સાચા અર્થમાં આ વિષે મેં કઈં જ વિચાર્યું નથી. પણ હવે તમે આ સવાલ પૂછી લીધો છે તો આજથી જ હું મારી જાતને તૈયાર કરવા માંડીશ, જેથી જે જવાબદારી ફર્સ્ટ લેડી તરીકે હિલરી નિભાવતી હતી, તે બધી જ હું નિભાવી શકું.  હું માનું છું કે દરેક પરંપરા-ટ્રેડીશન, સમયની ખાસ ડીમાન્ડમાંથી જન્મે છે. લુક, સમય-સંજોગને honor કરીને, આપણું કામ નિષ્ઠાથી અદા કરવાની આપણી જવાબદારી છે.”

    હુંઃ       “સર, તમારી પાસેથી આજે એક લેસન મને શીખવા મળ્યો છે, જેને હું કાયમ જ યાદ રાખીશ.”

    બિલઃ (સ્મિત સાથે) “થેંક્યુ. પણ એક વાત હજુ કહેવાની છે. જો હિલરી ઈલેક્ટ થાય તો પછી એણે દિલથી નિઃસ્વાર્થ ભાવે અમેરિકાને પોતાની સર્વીસ આપવી જ જોઈએ. વ્હાઈટ હાઉસમાં ડોમેસ્ટીક કામોમાં એનો સમય વેડફાવો ન જ જોઈએ. એના બેટર હાફ તરીકે એ બધાં કામ હું, કોઈ ઈગો ઈસ્યુ વિના ખુશીથી કરીશ. એ “ફર્સ્ટ લેડી” હતી ત્યારે ખૂબ ડેડિકેશનથી રોજના આ કામ કરતી હતી. હું ઈચ્છું કે હું પણ એનાં જેવા ડેડીકેશનથી એ બધાં જ કામ કરી શકું! હિલરીનો સાથ નિભાવવાનો ટર્ન હવે મારો છે.”

    હુંઃ (અભિભૂત થઈને) સર! મારી જાતને હું ભાગ્યશાળી સમજું છું કે આપની જોડે આજે ક્લિન્ટન ફાઉન્ડેશનમા મને કામ કરવાનો મોકો મળ્યો છે અને આ વાતો “ફર્સ્ટ હેન્ડ” આપ પાસેથી શીખવાની તક મળી છે.”
    આ બોલતાં બોલતાં મારો અવાજ ગળગળો થઈ ગયો અને આંખો થોડી ભીની પણ થઈ જાય છે…!

    ——-ને, —–આંખો લૂછવા, હું મારા ચશ્મા કાઢવા મથું છું ત્યાં જ મારી આંખો ખૂલી જાય છે.
    વધુ કઈં વિચાર્યા વિના, મારી પથારીમાંથી ઊભી થઈ, બાજુના ટેબલ પર પડેલા મારા ચશ્મા પહેરીને, સમય જોઉં છું, તો સવારના ૩ વાગ્યા હતા. મને સપનાનો એ સંવાદ અને બિલનું વાક્ય યાદ આવી ગયા! ”લુક, સમય-સંજોગને honor કરીને, આપણું કામ નિષ્ઠાથી અદા કરવાની આપણી જવાબદારી છે.” —

    ઊંઘ પાછી આવે એવા ચાન્સીસ તો ઓછા હતા. મારી અર્ધ તંદ્રામાં પણ કોણ જાણે કેમ, મને ઓચિંતું જ થયું કે રાતના આ સુંદર સપનાની વાત મારે મેધાને તો કરવી જ રહી. આમેયે સપનાંમાં બિલને પૂછવાનું રહી ગયું હતું કે વિવેકબુધ્ધિની પરીક્ષામાં હું પાસ થઈ કે નહીં, તો મેધાને આ આખી વાત કરીશ તો એ એનાં અંદાજમાં કહેશે કે, “”તું કદી સુધરવાની નથી…! સપનાના ગગનમાં વિહાર કરવાનું છોડ અને ધરતી પર આવ…!” હું હજુયે અડધી તંદ્રામાં અને મારા સપનાનાં કેફમાં હતી. મને થયું કે મારે હંમણાં જ મેધાની સાથે વાત કરવી જોઈએ અને હું ફેસબુકની એપ્લિકેશન ‘મેસેન્જર’ ખોલીને, આઈ ફોન પર…‘મેધા’ ટાઈપ કરીને લાસ્ટ નેમ માટે અટકું છું. ‘શું હતી મેધાની સરનેમ?’ અને અચાનક જ…મારી એ અર્ધતંદ્રા તૂટી ને હું વાસ્તવિકતામાં ફેંકાઈ ગઈ..! જાણે મારા મસ્તક પર સમયે હથોડો મારીને મને જગાડી…! “અરે, આ તો સપનું હતું…! રીયલ લાઈફમાં તો ચાર દસકાથીયે વધુ સમય સરી ગયો છે, મેધાને મળે કે એની સાથે કોઈ પણ કોન્ટેક કરે!”

    મેધા તો લગ્ન કરીને એકાદ વરસ જ ભારત રહી અને પછી મસ્કત જતી રહી હતી. એનો ત્યાર પછી કોઈ જ નિયમિત સંપર્ક તો નહોતો, હા, શરૂઆતમાં વચ્ચે વચ્ચે એનાં પત્રો આવતાં પણ છેલ્લા પાંત્રીસથીયે વધુ વરસોથી તો મેધાના કોઈ જ ખબર કે આસાર નહોતાં.

    તો, મારા એ વિચિત્ર સપનામાં, કોણ જાણે ક્યાંથી, ઓચિંતી જ મેધા મારા ફેસબુક પર ચેટ કરતી મળી આવી? હું જાતજાતનાં વિચારોના વમળોમાં ફંગોળાતી રહી. શું આ નિયતિનો કોઈ સંકેત હતો? ક્યાં હતી મેધા? મસ્કતમાં કે ભારતમાં?? મેધાની પરણ્યા પહેલાની સરનેમ તો પાટીદાર હતી પણ પરણ્યા પછીની સરનેમ શું હતી?  મને યાદ જ નહોતું આવતું. કેવી રીતે આટલી સરસ સખીનો સંપર્ક મેં સાવ જ છૂટી જવા દીધો? એનો છેલ્લો પત્ર આવ્યો તો હતો પણ હું મારામાં જ વ્યસ્ત થઈ ગઈ અને ….!’ આ સપનાએ જ મૂછ મરડીને સૂતેલા સવાલોના નાગને  જગાડી દીધો હતો, અને મને હચમચાવી દીધી હતી.

    મેધા વરસોનો આ ગાળો આમ એક ઝાટકે ઓળંગીને મનમાં ઘર કરી ગઈ હતી. મેધાનો વિચાર અડધી રાતેય મનમાંથી ખસતો નહોતો. મેધામય થયેલી હું વિચારતી રહી કે જિંદગીનો સાથ નિભાવતાં, મેં જોયું પણ નહીં કે પાછળ કેટલું બધું છૂટી રહ્યું છે……!

    હવે તો મેધાને શોધવી જ રહી, પણ ક્યાં અને કેવી રીતે? ક્યાં હશે એ મારી વ્હાલી સખી? શું કરતી હશે?

    રીયલ લાઈફમાં તો હું ફેસબુક વાપરવાનું નવું નવું જ શીખી હતી. સાચા અર્થમાં તો એ માટે હજુ કમ્પ્યુટર પર ડાફાં જ મારતી હતી! ફેસબુકના બધા ફીચર્સ હજુ તો આવડતાં પણ નહોતાં, છતાં પણ, રાતના સાડાત્રણ વાગે, મેં ફેસબુક પર મારું સ્ટેટસ અપડેટ કર્યુંઃ

    તુ કહાં યે બતા…! માને ના મેરા દિલ દિવાના”,બસ, મેધા લખવાનું બાકી રાખ્યું…!


    સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.


    આ વાર્તાનો બીજો ભાગ ૨૯-૩, રવિવાર,ના રોજ પ્રકાશિત થશે….

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૫] : આશા પારેખ

    નિરંજન મહેતા

    આશા પારેખની ફિલ્મી કારકિર્દી બહુ લાંબી છે અને લગભગ બધી ફિલ્મોમાં તેમણે સુંદર અભિનય આપ્યો છે. આમ તો કેટલીક ફિલ્મોમાં એક જ ગાયિકા હોય છે તેમ છતાં એવી કેટલીક ફિલ્મો છે જેમાં એક કરતા વધુ ગાયિકાઓએ આશા પારેખ માટે સ્વર આપ્યો છે.  આમાંની પહેલી ફિલ્મ છે ૧૯૬૦ની ફિલ્મ ‘ઘૂંઘટ’

    लागे न मोरा जिया, सजना नहीं आये, हाय
    लागे न मोरा जिया
    देख लिये पिया तेरे इरादे, झूठ निकले जा तेरे वादे\
    तड़पत-तड़पत याद में तेरी, नैन नीर भर आए, हाय

     

    આ એક દર્દભર્યું ગીત છે જેના ગાયિકા છે લતાજી.

     

    તો અન્ય ગીત છે જે યુગલ ગીત છે.

    दो नैन मिले दो फूल खिले
    दुनिया में बहार आयी
    एक रंग नया लाय

    ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ. આશા પારેખ સાથે છે પ્રદીપકુમાર.

    https://youtu.be/EfSRHGeFUJA?si=H3Z-yubK0c9ncLqA

    બંને ગીતોના ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર રવિ.

    ૧૯૬૩ની ફિલ્મ ‘ભરોસા’નું આ ગીત એક મેળામાં ગવાયું છે જે એક નોકઝોક સમાન છે.

    काहे इतना गुमान छोरिये
    ये मेला दो दिन का
    काहे इतना गुमान छोरिये
    ये मेला दो दिन का

     

    ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ. આશા પારેખ સાથે છે ગુરુદત્ત

    https://youtu.be/PMpwuiLwGTM

     

    તો બીજા ગીતમાં ફરી દર્દભરી આહ

    वो दिल कहाँ से लाऊँ तेरी याद जो भुला दे
    मुझे याद आनेवाले, कोई रास्ता बता दे

    रहने दे मुझको अपने कदमों की ख़ाक बनाकर
    जो नहीं तुझे गंवारा, मुझे ख़ाक में मिला दे

    ગાયિકા લતાજી

    https://youtu.be/FY0G3DcxRKA

    બંને ગીતોના ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર રવિ.

    ૧૯૬૩ની વધુ એક ફિલ્મ છે ‘મેરી સૂરત તેરી આંખે’

    ये किसने गीत छेड़ा, दिल मेरा नाचे थिरक-थिरक
    किसने गीत छेड़ा
    ये किसकी ज़ुल्फ़ बिखरी, जग सारा गया महक-महक
    किसकी ज़ुल्फ़ बिखरी

    સ્વર છે સુમન કલ્યાણપુર અને મુકેશનાં. અશાપારેખ સાથે છે પ્રદીપકુમાર.

    https://youtu.be/TnTLQ3rSsFk

     

    બીજું ગીત છે જે આશા પારેખ પ્રદીપકુમાર માટે ગાય છે પણ અશોકકુમારને લાગે છે કે તે તેના માટે ગાય છે.

    तेरे खयालों में, तेरे ही ख्वाबों में
    दिन जाए रैना जाए रे
    जाने ना तू सांवरिया
    तेरे खयालों में, तेरे ही ख्वाबों में

    લતાજીનો સ્વર. આશા પારેખ સાથે અશોકકુમાર

    https://youtu.be/8z4iXgaUScw

    બંને ગીતોના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

     

    ૧૯૬૪ની ફિલ્મ ‘ઝીદ્દી’નું આ ગીત આશા પારેખનું ચુલબુલી રૂપ દર્શાવે છે.

    यह कौन जाने मैं क्या हूँ
    सुनना चाहते हो सुणो
    मै एक चाँद हु जिसके माथे में एक दाग है
    मेरा दिल एक जलता हुआ हरग है
    यह मेरी जिंदगी एक पागल हवा

     

    ગાયિકા લતાજી.

    https://youtu.be/yKpZUOrPbW8

     

    બીજું ગીત છે જે એક નૃત્યગીત છે અને સ્ટેજ પર ગવાયું છે.

    आया न कोई ऐसे यहाँ, छम से न होगा
    ओ काम किया हमने वो, रुस्तम से न होगा
    रात का समा झूमे चन्द्रमा
    तन मोरा नाचे रे जैसे बिजुरिया
    रात का समा

     

    સ્વર છે આશા ભોસલે.

    બંને ગીતમાં આશા પારેખ સાથે છે જોય મુકરજી.

    https://youtu.be/hK1jXZCq1Ho

    બંનેનાં ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને

     

    ૧૯૬૬ની ફિલ્મ ‘દો બદન’નું ગીત છે જે વિરહગીત સમાન છે.

    जब चली ठण्डी हवा, जब उठी काली घटा
    मुझको ऐ जान-ए-वफ़ा तुम याद आए
    ज़िंदगी की दास्तां, चाहे कितनी हो हंसीं
    बिन तुम्हारे कुछ नहीं,  बिन तुम्हारे कुछ नहीं
    क्या मज़ा आता सनम,  आज भूलेसे कहीं
    तुम भी आजाते यहीं, तुम भी आजाते यहीं
    ये बहारें ये फ़िज़ा,  देखकर ओ दिलरुबा
    जाने क्या दिल को हुआ,  तुम याद आये

     

    ગાયિકા આશા ભોસલે

    https://youtu.be/FFt2iiWS8YA

     

    આ ફિલ્મનું બીજું ગીત પણ એક દર્દભર્યું  વિરહ ગીત છે.

    लो आ गयी उनकी याद, वो नहीं आये
    दिल में गये हैं, ग़म के सिंगार कर के
    आँखें भी थक गयी हैं, अब इंतज़ार कर के
    इक आस रह गयी है, वो भी न टूट जाये

     

    ગાયિકા લતાજી

    https://youtu.be/HNsItgvVun4

    બંને ગીતોના ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર રવિ

     

    ૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘આયે દિન બહાર કે’નું આ ગીત એક કાર્યક્રમમાં કરાતું નૃત્યગીત છે જેમાં પ્રેમીનો પત્ર ન મળતા પોતાની વ્યથા ટપાલી આગળ વ્યક્ત કરે છે.

    अब के बरस भी बीत न जाये
    ये सावन की रातें
    देख ले मेरी ये बेचैनी
    और लिख दे दो बातें

    खत लिख दे सांवरिया के नाम बाबू
    कोरे कागज़ पे लिख दे सलाम बाबू
    वो मान जाएंगे, पहचान जाएंगे
    कैसे होती है सुबह से शाम बाबू

     

    ગાયિકા આશા ભોસલે

    આ ફિલ્મનું અન્ય ગીત છે

     

    सुनो सजना पपीहे ने कहा सब से पुकार के
    संभल जाओ चमनवालो के आये दिन बहार के
    फूलों की डालियाँ भी यही गीत गा रही हैं
    घड़ीयां पिया मिलन की नज़दीक आ रही हैं
    हवाओं ने जो छेड़े हैं, फसाने हैं वो प्यार के

     

    ધર્મેન્દ્રની રાહ જોતી આશા પારેખ પર આ ગીત રચાયું છે જે પછીથી મિલનગીત બની જાય છે.

    ગાયિકા લતાજી

    https://youtu.be/iCsa5eG9oo0

    ૧૯૬૯ની ફિલ્મ ‘મહલ’નું આ ગીત એક પ્રેમગીત રૂપે છે.

    आँखों आँखों में हम तुम हो गए दीवाने
    बातों बातों में देखा, बन गए अफ़साने

    આશા પારેખ અને દેવઆનંદ વચ્ચે રચાયેલા આ ગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર

    https://youtu.be/Ckpm_Wu_yfs?list=RDCkpm_Wu_yfs

    બીજું ગીત એક પાર્ટી ગીત છે જેમાં દેવઆનંદ પણ દેખાય છે.

    बड़े ख़ूबसूरत हो तुम नोजवा
    तुम्हे लोग कहते है जाने जहा
    मगर माफ़ करना हमें मेहरबा
    हम कहा तुम कहा

    ગાયિકા લતાજી

    https://youtu.be/1Q-WcAJ4QoI?list=RD1Q-WcAJ4QoI

    બંને ગીતમાં સાથે છે દેવઆનંદ. બંને ગીતોના રચયિતા આનંદ બક્ષી અને સંગીતકાર કલ્યાણજી આણંદજી.

    ૧૯૬૯ની ફિલ્મ ‘સાજન’નું આ ગીત એક કાર્યક્રમનું નૃત્યગીત છે.

    बांसुरी तिहारी नंदलाल
    बानी मोरि सौतनिया
    यह पास तेरे बैरन
    हूँ दुर मैं सजनिया

    ગાયિકા આશા ભોસલે

    https://youtu.be/n2-E7OUgEms?list=RDn2-E7OUgEms
    બીજું ગીત છે

    ऐ मेरे मेहरबान
    मेरे हमनशीं
    खूबसूरत हसीन कोई तुझ सा नहीं
    आते हैं नज़र ऐसे चहरे मगर
    कभी कभी कहीं कहीं

    આ એક રમુજી ગીત છે જે દિવાસ્વપ્નમાં રાચતી આશા પારેખ પર રચાયું છે.

    ગાયિકા લતાજી

    https://youtu.be/kxA8Djlnolc?list=RDkxA8Djlnolc

    બંને ગીતમાં સાથે છે મનોજકુમાર. બંને ગીતોના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ

    ૧૯૭૧ની ફિલ્મ ‘કારવાં’નું ગીત એક પ્રેમગીત છે

    कितना प्यारा वडा
    है इन मतवाली आँखों का
    इस मस्ती में सूझे ना
    क्या कर डालूं हाल
    मोहे संभाल

     

    ગાયિકા લતાજી અને રફીસાહેબ

    https://youtu.be/K-6rS_EjRMU?list=RDK-6rS_EjRMU

     

    બીજું ગીત એક રમુજી પ્રકારનું ગીત છે

    दैया हाय में ये कहाँ आ फसी
    हाय रे फसी कैसे फसी
    रों आवे ना आवे हसी
    पापे बचालो तुषि

     

    ગાયિકા આશા ભોસલે

    https://youtu.be/gT7dABHA92E?list=RDgT7dABHA92E

    બંને ગીતોમાં આશા પારેખ સાથે છે જીતેન્દ્ર. બંને ગીતોના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.

     

    ૧૯૭૧ની ફિલ્મ ‘આન મીલો સજના’ નું આ ગીત છેડછાડભર્યું છે જે રાજેશ ખન્નાને ઉદ્દેશીને ગવાયું છે

    पलट मेरी जान, तेरे क़ुर्बान ओ तेरा ध्यान किधर है
    ऊँची नीची टेढ़ी मेढ़ी प्यार की डगर है
    जाता किधर है, रस्ता इधर है

     

    ગાયિકા આશા ભોસલે

    https://youtu.be/NAy6GBt5ZiE

    તો અન્ય ગીત પ્રેમીને મનાવવા માટે ગવાયું છે.

     

    तेरे कारण,तेरे कारण
    तेरे कारण मेरे साजन
    जाग के फिर सो गयी
    सपनों में खो गयी
    आग लगे सारी दुनिया को
    मैं तेरी हो गयी रे बालम

     

    ગાયિકા લતાજી

    https://youtu.be/rfTQOOKvroQ

     

    આ ગીતમાં પણ રાજેશ ખન્ના દેખાય છે. બન્ને ગીતોના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

     

    ૧૯૭૧ની ફિલ્મ ‘જવાં મોહબ્બત’ નું ગીત પીકનીક પર ગયેલી સાહેલીઓ સાથે ગવાય છે.

    नज़र में रंग और
    मस्ती भरा तूफ़ान लेके
    लो हमपे आ गयी अब
    खैर हो जवानी की

     

    ગાયિકા લતાજી

    https://youtu.be/ATBgx13M-tY

    બીજું ગીત છે જે રૂઠના મનાના પ્રકારનું છે.

    न रूठो न रूठो
    न रूठो मेरी जान
    इसी बहाने आज तेरी
    मेरी हो गयी पहचान

     

    ગાયકો આશા ભોસલે અને રફીસાહેબ . આશા પારેખ સાથે છે શમ્મીકપૂર

    https://youtu.be/fVhW6EOtSWM

    બંને ગીતોના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

    ૧૯૭૨ની ફિલ્મ ‘સમાધી’ નું આ ગીત પણ એક પ્યારભર્યું ગીત છે.

    जब तक रहे तन में जिया वादा रहा ओ साथिया
    हम तुम्हारे लिये तुम हमारे लिये

    ગાયિકા આશા ભોસલે.  આશા પારેખ સાથે છે ધર્મેન્દ્ર

    https://youtu.be/-XVWwDnOX6Q

    બીજું ગીત પણ છે એક કાર્યક્રમનું નૃત્યગીત.

    बंगले के पीछे तेरी बेरी के नीचे
    हाय रे पिया आहा रे आहा रे आहा रे पिया
    काँटा लगा
    हाय लगा
    हा आजा हा राजा

    ગાયિકા લતાજી

    https://youtu.be/zGQoRzWbx7Q

    બંને ગીતોના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.

    ૧૯૭૮ની ફિલ્મ ‘મૈ તુલસી તેરે આંગન કી’નું આ ગીત આશા પારેખની માનસિક વ્યથાને ઉજાગર કરે છે.

    मैं तुलसी तेरे आँगन की
    कोई नहीं मैं
    कोई नहीं मैं तेरे साजन की
    मैं तुलसी तेरे आँगन की

    લતાજીનો સ્વર.

    આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

    ત્યાર પછીનું બીજું ગીત એક કોઠા પર ગવાતું નૃત્યગીત છે

    सैया रूठ गये सैया रूठ गये
    में मनाती रही सैया रूठ गये
    में मनाती रही जी सैया रूठ गये
    शाम जाने लगे में बुलाती रही
    में बुलाती रही

    ગાયિકા શોભા ગુર્તું.

    આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને અમીર ખુસરો. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું..

    મોટા ભાગના ગીતો નૃત્યગીત રૂપે દર્શાવાયા છે. તો કેટલીએ ફિલ્મો છે જેમાં આશા પારેખ માટે એક જ ગાયિકાએ સ્વર આપ્યો હોય. પણ જ્યાં એક ગાયિકાના એકથી વધુ ગીતો છે તેમાંથી એક ગીત આ લેખમાં સમાવાયું છે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • મહારાણી પદમિની (૧૯૬૪)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    મહારાણી પદમિનીની કથાને ચમકાવતી ફિલ્મ ‘પદમાવત’ રજૂઆત પહેલાં જ એટલા પ્રચારમાં આવી ગઈ અને અપેક્ષા મુજબ વિવાદનું કેન્દ્ર બની. આખરે સમાધાન થયું અને ફિલ્મનું નામ બદલવામાં આવ્યું. સમય સમયની વાત છે. એવું તો હતું નહીં કે આ વિષય પર પહેલવહેલી વાર ફિલ્મ બની રહી હોય. આ અગાઉ ૧૯૬૪માં ‘મહારાણી પદમિની’ ફિલ્મ રજૂઆત પામી હતી, જેમાં જયરાજ, અનિતા ગુહા, શ્યામા, સજ્જન જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ પ્રકારની ફિલ્મ હોય એટલે સામાન્યપણે ભરત વ્યાસ અને એસ. એન. ત્રિપાઠીની જોડીનાં અનુક્રમે ગીત અને સંગીત હોય એવું બને છે. પણ આ ફિલ્મમાં ગીતો દીનાનાથ મધોકનાં અને સંગીત સરદાર મલિકનું હતું. સહાયક સંગીતકાર તરીકે કિશોર દેસાઈનું નામ વાંચી શકાય છે. ડિલાઈટ મુવીઝ નિર્મિત, જસવંત ઝવેરી દિગ્દર્શીત ‘મહારાણી પદમિની’માં કુલ નવ ગીતો હતાં.

    નટખટ પરે હટ છોડ છોડ‘ (ઉષા તિમોથી અને સાથીઓ), ‘નૈના રે દેખે ઉસકે નૈન‘ (સુમન કલ્યાણપુર), ‘ચૈન કહાં આરામ કહાં‘ (સુમન કલ્યાણપુર), ‘મોરે રુઠે બલમ ઘર જા‘ (ઉષા મંગેશકર અને સાથીઓ), ‘ઉનસે કહ દો કનખીયોં સે ન દેખે હમકો‘ (આશા, કમલ બારોટ), ‘ગિર ગયા શેરે બબ્બર રણ મેં ગરજનેવાલા‘ (મ.રફી), ‘બાંધ કમર નીકલે દિવાને‘ (મ.રફી), ‘પાંવ ઉઠતે ન થે સુલતાન કે‘ (મ.રફી) અને ‘જિસ મિટ્ટી મેં ખેલ રહે હૈં’ (મ.રફી) પૈકી ‘જિસ મિટ્ટી મેં ખેલ રહે હૈં’ ગીત ટાઈટલ સોન્‍ગ તરીકે લેવામાં આવ્યું છે.

                  (સરદાર મલિક)                                           (દીનાનાથ મધોક)

    આ ગીતના આરંભે રાજસ્થાનની ભૂમિનો મહિમા ગવાયો છે, જેમાં અહીં કેવાં કેવાં રત્નો પાક્યાં તેનો ઉલ્લેખ છે. એ પછી છેલ્લા અંતરામાં પદ્મિનીની વાત કરવામાં આવી છે.

    ગીતના શબ્દો આ મુજબ છે.

    शमा परवाने के जलने पे हंसा करती है
    आप परवाना बने शमा
    ये वो धरती है
    जिस मिट्टीमें खेल रहे हैं बच्चे राजस्थानी
    उस मिट्टी की तुम्हें सुनाता हूं मैं अमर कहानी

    तूटेफूटे मंदिर है ये उनकी यादगारों के
    दूर दूर बजते थे डंके जिनकी तलवारों के
    बाप्पा रावल, राणा सांगा, पृथ्वीराज चौहाण
    जान पे खेल गये सब सहा न भूमि का अपमान
    जय बोलो ईस भूमि की
    जिस जाई पन्ना दाई

    अपना बेटा देकर जिसने उम्र की जान बचाई
    कि एक सुनायें या सौ सौ तराने
    शमे वतन पर कैसे जल जल जाते थे परवाने
    यहीं हुई है बरसों पहले एक पदमिनी रानी
    पूनम का चंदा भरता था जिसके सामने पानी
    पूनम का चंदा भरता था जिसके सामने पानी
    होली के दिन होली खेली
    रही थी वो सखियन सी
    नाच रही थी बनके राधिका
    बीच में एक मस्तानी

    આ ગીત અહીં આપેલી લીન્ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોન્ટેક્ટ પેપર અને કટ-પેસ્ટ કળા ભાગ ૨

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kalasampoot – ContactPaper and Cut-and-Psate art Part 2

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ત્યારે અને અત્યારે : રાજકારણ – સેવા એ જ વ્યવસાય ?

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ર. વૈદ્ય

    ગઈ સદીના ૧૯૬૦-૭૦ નાં વર્ષોની આસપાસના સમયની વાત છે. તે ગાળામાં બે વાર અમારા વિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા શ્રી કુંદનલાલ ધોળકિયા વ્યવસાયે વકીલ હતા. તેઓ એક ટર્મ તો ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ હતા. એમની વકીલાતની ઓફિસ મુખ્ય રસ્તા ઉપર જ પડતી. બજાર જતી વખતે ડોકું ફેરવો તો તેની બારીમાંથી તેઓ અને તેમની સામે બેઠેલા મુલાકાતીઓ દેખાઈ જાય. ઓફિસમાં દાખલ થવાનો માર્ગ બાજુની ડેલીમાં થઈને હતો. ડેલીના તોતિંગ  બારણા આપણે પોતે જ ઉઘાડીને દાખલ થઈ શકીએ. ત્યાં કોઈ દરવાન ન હતો કે ન હતા કોઈ પોલીસવાળા. એમની આસપાસ કોઈ પહેલવાન બાઉન્સરો પણ દેખાતા નહીં. એ પદ ઉપર હતા ત્યારે કે પછી,  ચૂંટણી હારીને પદ પર ન હોય ત્યારે તેમની વકીલાત ચાલુ રહેતી કારણ કે એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જન પ્રતિનિધિ  હોવું તે સમાજ સેવાનો એક ભાગ હતો.

    તેઓ કંઈ મોટો અપવાદ ન હતા. એ જમાનામાં રાજકારણમાં પડેલા મોટા ભાગના લોકોને પોતાનો એક વ્યવસાય હતો અને રાજકારણ જિંદગીનું માત્ર એક પાસું હતું. વકીલો ઉપરાંત ડોક્ટરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ ચૂંટણી લડતા અને નગરપાલિકા, વિધાનસભા અને લોકસભામાં જતા. બીજા શબ્દોમાં કહો તો એ પાર્ટ-ટાઇમ પ્રવૃતિ હતી. અમારા શહેરમાં કેટલીક ગ્રહીણીઓ પણ કોર્પોરેટર અને વિધાનસભ્ય બની હતી. આ બધા લોકોને ચૂંટણી લડે ત્યારે  હારી જવાનો ડર ન હતો કારણકે એ બધા બીજી રીતે વ્યસ્ત હતા જ. આપણે જાણીએ છીએ કે આઝાદીની લડતમાં ઝંપલાવનારા પણ મુળે કંઇક વ્યવસાય કરતા જ હતા. મોરારજીભાઈ  દેસાઈ જેવા ઘણા તો સરકારી નોકરીમાં પણ હતા. પાછળથી એવું થયું કે બહુ જ ટોચના નેતાઓ વ્યવસાય  પાછળ ધ્યાન આપી ન શક્યા અને અપવાદરૂપે પૂર્ણ વેળના રાજકારણી બની ગયા. તેનું મોટું ઉદાહરણ ગાંધીજી પોતે જ.

    આ ચિત્ર આજ  કરતાં તદ્દન જુદું જણાશે. છેલ્લા ચાલીસ પચાસ  વર્ષથી ક્રમશઃ એવા લોકો રાજકારણમાં આવવા લાગ્યા છે જેને વિકલ્પે કોઈ વ્યવસાય જ નથી. રાજકારણ કરવું એ એક જ કામ તેમને આવડે છે. તે ઉપરાંત આ હોદ્દાઓનાં મહેનતાણાં એવા આકર્ષક  છે  કે બીજી નોકરી કે ધંધો હોય તો પણ તે ફીકાં લાગે !  તે ઉપરાંત વિશેષ અધિકારો જુદા.  એટલે હવે તો ચૂંટણી જીતવી બહુ અગત્યની  બની ગઈ છે. ૧૯૭૬ પછી તો સાંસદ અને ધારાસભ્યોને પેન્શન પણ મળવા લાગ્યાં છે. આથી જનપ્રતિનિધિ બનવું એ વ્યાખ્યાથી જ હવે વ્યવસાય (એમનું પ્રોફેશન) બની ગયું છે; તે એટલે સુધી કે જેમ વેપાર ધંધો વારસામાં જાય તેમ રાજકીય પદો પણ વારસામાં દેતા જવાની ઈચ્છા, લાલચ અને દોડ લાગી પડ્યાં છે. આપણું માનસિક વલણ સામંતવાદી હોવાથી પ્રજા પણ ઘણીવાર વંશ ના વારસો ને જ પોતાની માથે બેસાડે છે. આવા ઉદાહરણો ઉપરથી નીચે, જિલ્લા સ્તર સુધી ફેલાયેલા છે અને તેમાં પક્ષ પક્ષ વચ્ચે  કોઈ ફરક નથી.

    પગાર અને ભથ્થા ઉપરાંત બીજી સગવડો એટલી બધી છે કે આમાંથી નિહિત સ્વાર્થ ઉભો થાય છે. વિશેષાધિકારો આદત બની જાય છે અને તેને ન છોડવા માટે જે કરવું પડે તે નેતાઓ કરે છે, જેમ કે જો અમુક પક્ષ ની ટિકિટ ન મળે તો પક્ષ જ છોડી દે છે. પોતાને ન મળે તો પુત્ર-પુત્રીઓ માટે ટિકિટ મેળવવા માટે સોદા થાય છે. આને કારણે વિચારધારા જેવું કોઈ વળગણ હવે રહ્યું નથી. એ જમાનામાં આયારામ-ગયારામ  પ્રખ્યાત થયા હતા,પણ . હવે તો ધુરંધરો ય આશ્ચર્ય પમાડે તે રીતે તદ્દન વિરુદ્ધ ની વિચારધારાની ટ્રેનમાં ચડી જાય છે. સુજ્ઞ વાંચકોને આવાં ઉદાહરણો પોતાની આસપાસ મળી રહેશે. જો વિચારધારા અગત્યની ન હોય તો મૂલ્યનિષ્ઠા પ્ણ ન જ હોય; આથી ભ્રષ્ટાચારનો પણ છોછ નથી રહ્યો. છૂટોછવાયો ભ્રષ્ટાચાર કદાચ સીત્તેર વર્ષ પહેલાં પણ હશે પરંતુ એ ત્યારે શરમની વાત હતી. આજે ન નેતા, ન પ્રજા, ભ્રષ્ટાચારની વાતથી ચોંકે છે.

    વ્યાવસાયિક રાજકારણીઓને માટે યેન કેન પ્રકારે ચૂંટણી જીતવાની જરુરત રહે છે. આ નવી તરાહના કારણે ચૂંટણી લડવાનો ખર્ચ પણ આકાશે પહોંચ્યો છે. તેથી સીધા સાદા સમાજસેવક માટે ચૂંટણી લડવી અસંભવ બની ગઈ છે. એક સર્વે મુજબ દેશના વિવિધ રાજ્યોના વિધાનસભ્યોમાં છ થી આઠ ટકા તો અબજોપતિ છે. કરોડપતિ વિશે ખબર નથી પરંતુ લખપતિ તો લગભગ  બધા જ હશે. લખપતિ ન હોય તે લોકશાહીના મંદિરમાં પ્રવેશ કરી શકે તેમ જ નથી. ( આમાં માત્ર સામ્યવાદી પક્ષના સભ્યો અપવાદરૂપ છે.)

    સમય જતાં એક બીજો તફાવત પણ સ્પષ્ટ રીતે ઉભો થયો છે. આઝાદી પછીના વીસ પચીસ વર્ષ સુધી વહીવટી અમલદારો અને રાજકારણીઓ ના કાર્યક્ષેત્ર અલગ હતાં.  બંને સ્વતંત્ર રીતે કાર્ય કરતા. આપણા બંધારણમાં જ કાર્યપાલિકા (એક્ઝિક્યુટિવ – વહીવટ કરનારા) અને સાંસદ/ધારાસભ્ય  એટલે કે ચૂંટાયલા પ્રતિનિધિ ને અલગ રાખવામાં આવ્યા છે. પહેલાના વખતમાં યશ પામી લેવાની હોડ તો હતી નહીં જ, પરંતુ અમલદારની નિપુણતાના યશને ચોરી લેવાનો પ્રયત્ન પણ રાજનેતા કરતા નહીં. આ ક્રમશઃ એવું બદલી ગયું છે કે જિલ્લા સ્તરે સંસદ સભ્ય અને તાલુકા સ્તરે  વિધાનસભ્યો પોતાને સ્થાનિક શાસક સમજવા લાગે છે. વહીવટી તંત્રમાં દખલ દેવાને કે તેને હુકમ દેવાને પોતાનો  અધિકાર સમજે છે, જે અગાઉ ન હતું. તેને બીજી રીતે જુઓ તો રાજકારણી વર્ગે પોતાનાં કામ એટલા વધારી દીધાં છે કે લોક પ્રતિનિધિ બન્યા પછી પોતાના અંગત વ્યવસાય ઉપર સમય આપવો મુશ્કેલ પણ થતો હશે અને એટલે જ વ્યવસાયી  લોકો પણ રાજકારણમાં આવીને પૂર્ણ વેળના રાજકારણી બની જાય છે.

    આ સિવાય  ઘણા નેતાઓ વિવિધ પ્રકારના ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે ગોઠવાઇ જાય છે, જેવા કે સામાજિક, ધાર્મિક, સાહિત્ય કે મંદિરના ટ્રસ્ટ. રમતગમતને લગતાં દેશનાં બધાં જ ફેડરેશનમાં રાજકારણીઓ આજીવન હોદ્દે બેઠા છે. એક રીતે એ તેઓની પબ્લિક  રિલેશન્સ પ્રવૃત્તિ છે. નેતાજી સેવા તો આપે છે પરંતુ તે સાથે પોતાની જાતનું માર્કેટિંગ પણ તેણે કરવું પડે છે, જેથી કરીને રાજકારણમાં ટકી શકાય. એ વધુ પડતું થઈ જાય ત્યારે ક્યારેક એ પ્રજા ઉપર ઉપકાર કરતા હોય તેવી ભાષા પણ આવી જાય છે.  સત્તા  વિના સેવા ન થઈ શકે એવો કદાચ તેઓનો ખ્યાલ હશે. એ લોકોને જોયા પછી આવતી પેઢીઓને વિનોબા, જયપ્રકાશ, મધર ટેરેસા, ઈલા ભટ્ટ  વગેરે જેવા સેવકોએ સત્તા વિના સેવા કરી અને નેતૃત્વ પણ કર્યું એ વાત તદ્દન દંતકથા જેવી જ લાગશે.


    સાંદર્ભિક તસવીર – નેટ પરથી


    સૌજન્યઃ નવનીત સમર્પણ, ડિસેમ્બર, ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.


    આ લેખ સાથે ‘ત્યારે અને અત્યારે’ લેખમાળા સમાપ્ત થાય છે.
    આપના પ્રતિભાવો આવકાર્ય છે.