વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સુધી | અણધારી આ હલચલ થઈ ગઈ

    સુધી

    – પન્ના નાયક

    હું મારા મનની મોસમને
    પૂરેપૂરી માણું છું
    અને
    કોઇને પણ ન પિછાણવાની
    મારી લાપરવાહી મારા ખભે નાખીને ચાલતી હોઉં છું.

    એકાંત જ મને મારા તરફ લઇ જતું હોય છે
    અને મને મારાથી દૂર કરતું હોય છે.

    વિશ્વ આટલું સુંદર હશે
    એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
    એટલે જ
    મને મારું પાગલપન ગમે છે.


    અણધારી આ હલચલ થઈ ગઈ

    – દેવિકા ધ્રુવ

     અણધારી  હલચલ થઈ ગઈ.
    અંદર ઉથલપાથલ થઈ ગઈ.

    નાની શી ચિનગારી સળગી,
    ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

    ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
    કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

    વયનો પડદો હાલ્યો ત્યાં તો,
    સમજણ આખી સળવળ થઈ ગઈ.

    શીતલ વાયુ સ્હેજ  સ્પર્શ્યો,
    પાંખડી મનની શતદલ થઈ ગઈ.

    કોણે જાણ્યું ક્યાંથી આવી,
    બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ સાતમું. – છુપાં શસ્ત્રો

    પ્રકરણ ૬ ઠું. : દાનવને ચરણે રક્તની ભેટ થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    તલવારનું રાજ્ય કેવું ? ચાલો, થોડીક વીગતો તપાસીએ.

    ૧૯૧૬–૧૯૧૭ ની અંદર, સરકારી આંકડા પ્રમાણે ૮૨,૧૨૧ કોરીયાવાસીઓને લશ્કરી અધિકારીએ, કામ ચલાવ્યા વગર જ પરબારી સજા ઠોકી દીધી. ફક્ત છોકરાઓ, અને તંદુરસ્ત શરીરવાળા મરદોનેજ નહિ, પણ સ્ત્રીઓને અને વૃધ્ધોને પણ ફટકા લગાવેલા. રમખાણોમાં ઘાયલ થયેલા કોરીયાવાસીઓ શીઉલ–નગરની ઇસ્પીતાલોમાં સૂતા હતા. જાલીમો ફટકા મારવા આવ્યા. દાક્તર ને આયાઓ ના પાડતા રહ્યાં, અને ફટકાનો માર એ જખ્મી શરીરો ઉપર પડ્યો. તહોમતદારો પાસેથી બાતમી મેળવવા માટે કેવી કેવી કળાઓ વપરાતી ? પુરૂષોનાં અને બચ્ચાંનાં બાવડાં બાંધી ઉંચે ટીંગાડવામાં આવતાં, અને છેક બેશુદ્ધ બની જાય ત્યાંસુધી, એ બાંધેલી દોરી ખેંચાતી ને ઢીલી થતી ધગાવેલા સળીયા ઉપર એની આંગળીઓ ચાંપવામાં આવતી. એના શરીરના માંસમાં ધગધગતા ખીલા ઘોંચાતા. આંગળીના નખને ચીમટાથી ખેંચી કાઢવામાં આવતા.

    વરસે વરસે ૭૫ હજાર કોરીયાવાસીઓ ઘરબાર છોડીને મંચુરીયા તરફ ચાલી નીકળવા લાગ્યાં. રસ્તે ભૂખમરો, કડકડતી ઠંડી, અને મૃત્યુ રાહ જોઇ રહ્યાં હતાં. પણ જાપાની જુલ્મની અંદર રહેલું અપમાન આ માર્ગના મૃત્યુમાં નહોતું.

    દેશ છોડીને ચાલી જનારી નારીઓનાં અંગ ઉપર નગ્નતા ઢાંકવા જેટલાં પણ વસ્ત્રો નહોતાં. પીઠ ઉપર એનાં નાનાં બચ્ચાં બાંધેલાં હતાં, તેથી એક બીજાના શરીરની હુંફ મેળવીને તેઓ ચાલતાં. બાળકોનાં નાજૂક આંગળાં ઠંડીમાં એક બીજા સાથે ચોંટી જતાં. વૃદ્ધ સ્ત્રી પુરૂષો, વાંકી કેડ કરીને ગાઉના ગાઉ સુધી ચાલ્યા જતાં. આખરે એ જર્જરિત શરીર થાકી જાય, આગળ ચાલી ન શકે, અને માર્ગમાંજ પ્રાણ છોડે.

    દેશના ઉકળેલ લોહીના કેટલાએ યુવાનોએ ‘ધર્મ સેના’ નામનું એક લશ્કર ખડું કર્યું. આ લશ્કર જાપાનીઓ ઉપર અચાનક હલ્લો કરે, જાનમાલની ખુવારી કરે, ને પાછું પહાડોમાં છુપાઈ જાય. જાપાનીઓએ વેરની વસુલાત નિર્દોષ લોકો ઉપર વાળી. ગામડાં બાળ્યાં, લોકોપર ગોળીબાર ચલાવ્યો, ને સ્ત્રીઓની લાજ લૂંટી. આ કતલની અંદર ખ્રીસ્તીઓનો પણ ભોગ લેવાયો. કતલનાં ચિત્રો કાંઈ બહુ વિવિધ નથી હોતાં. કારાગ્રહ, કોયડાના માર, સ્ત્રીઓપર અત્યાચાર, ગોળીબાર અને આગ–આ બધાં સુધરેલી પ્રજાના હાથમાં, રાજદ્રોહને ચાંપી દેવાનાં હથીઆરો. એનાં એ હથીઆરો ઘણી ઘણી રીતે વાપરી શકાય. જેવો વાપરનારો ! જાપાને એ તાલીમ પ્રથમ તો યુરોપની પાસેથી લીધી. પછી એણે પોતાની બુધ્ધિ અજમાવીને એ વિદ્યાને ખુબ કેળવી. કોરીયાનો ધ્વંસ એજ એનું પ્રમાણપત્ર !

    ફરી એક વાર કોરીયાની નાડીમાં પ્રાણ આવ્યા. જગત આખાને સ્વતંત્રતા આપવા નીકળી પડેલા પેલા અમેરિકાના હાકેમ વિલ્સન કોને યાદ નથી ? એના પ્રજાસંઘમાં ન્હાની પ્રજાઓને પણ ખુરશી મળવાની ખૂબ વાતો વિલ્સન સાહેબે કરી નાખેલી. કોરીયાએ તો આશાતુર હૃદયે પોતાની હકીકત પારીસ કોન્ફરન્સમાં રજુ કરવા નક્કી કર્યું. કોરીયાની અંદરથી તો જાપાન કોઈને જવા જ શાનું આપે ? અમેરિકાની અંદરથી ત્રણ કોરીયાવાસીઓનાં નામ નક્કી થયાં. અમેરિકા કહે કે પાસપોર્ટ જ નહિ મળે !

    ત્રણમાંનો એક ગમે તેમ કરીને પારીસ પહોંચ્યો. મિત્ર રાજ્યોના હાકેમો કહે કે “નહિ મળી શકીએ !”

    હવે તો કોરીયાએ પારકી આશા છોડી. આખા દેશ ઉપર કેસરીયાં કરવાની વાતો ચાલી. ચતુર આગેવાનો ચેત્યા. માતા કોરીયાને નામે, એણે આણ ફેલાવી કે—

    જે કાંઈ કરો તેમાં જાપાનીને અપમાન દેશો નહિ.
    પત્થર ફેંકશો નહિ.
    મુક્કાઓ મારશે નહિ.
    કારણ, એ તો જંગલી પ્રજાનાં કામ છે.

    જાપાન તો તાજ્જુબ બનીને જોતું રહ્યું કે આ બહાદૂર પ્રજાનો પ્રાણ તલવારથી નથી જવાનો. તલવાર ચલાવીને દુશ્મન ચાહે તેટલું લોહી ચૂસી શકે, વસ્તીની ગણતરીના આંકડા ઓછા કરી શકે; પણ એ લોહીના ઉંડાણમાં, ને એ આંકડાઓથી છેક અગમ્ય, પ્રજાને એક એવો પ્રાણ હોય છે કે જેને જાલીમનાં શસ્ત્રો સ્પર્શી જ ન શકે. એ પ્રાણ, તે પ્રજાની સંસ્કૃતિ, પ્રજાનું ચારિત્ર્ય. જાપાને કોરીયાની એ સંસ્કૃતિને ભ્રષ્ટ કરવાનું ને એ નીતિનો ધ્વંસ કરવાનું કામ આરંભ્યું.

    પહેલું પગલું — કોરીયાના ઇતિહાસનાં તમામ પુસ્તકો ને જીવન–કથાઓ નિશાળોમાંથી, પુસ્તકાલયોમાંથી અને ખાનગી માણસોને ઘેરથી એકઠાં કરાવી બાળી નખાવ્યાં. મહામૂલું પુરાતન સાહિત્ય પલવારમાં તો બળીને ભસ્મ બન્યું. વર્તમાન પત્રો, પછી તે રાજ્યદ્રોહી હો કે વિજ્ઞાનને લગતાં, તદ્દન બંધ થયાં. છાપાને લગતા એવા કાયદા ઘડ્યા કે વર્તમાનપત્ર કાઢવું જ અશક્ય હતું. નીચે લખેલા પ્રસંગો ઉપર, અટ્ટહાસ કરવું કે આંસુ પાડવાં એ સમજાતું નથી.

    કોરીયાનાં બાલકો માટે અંગ્રેજી ભાષામાંથી એક હાથીની વાર્તા કોરીયાની ભાષામાં ઉતારવામાં આવી. છાપાના અધિકારીએ એ વાર્તાને જપ્ત કરી. શા માટે ? વાર્તાની અંદરનો હાથી પોતાના નવા માલીકને કબ્જે થવા નાખુશ હતો, એ વાતને રાજ્યદ્વારી અર્થમાં ઘટાવી બાલકો એવું શીખી બેસે કે પોતાના નવા માલીક જાપાનને તાબે ન રહેવું. !

    એક ધાર્મિક વર્તમાનપત્રે ‘વસંત’ ઉપર કાવ્ય છાપ્યું. એ કાવ્ય સત્તાએ દાબી દીધું. કારણ, એમાં ‘નૂતન વર્ષનો પુનર્જન્મ’ એ મિસાલનો ઉલ્લેખ, કોરીયાવાસીના મનમાં કદાચ “પ્રજાનો પુનર્‌–ઉદય” એવો અર્થ સૂચવી, સરકાર સામે પ્રજાને ઉશ્કેરી મૂકે !

    કોલેજની એક કુમારિકાએ ‘સ્વતંત્રતા’ ઉપર એક ગીત જોડ્યું, તે બદલ તેને બે વરસની સજા પડી ! વર્તમાનપત્રનો ધ્વંસ થઈ ચુક્યો.

    બીજું પગલું — સભા સમિતિઓ ગેરકાયદેસર જાહેર થયાં લોકોને મ્હોંયે પણ ડુચા દેવાયા, રાજ્યદ્વારી વિષયમાં પડવું એ કોરીયાવાસીઓને માટે મહાભયંકર ગુનો ગણાયો.

    ત્રીજું પગલું — કોરીયા સ્વતંત્ર હતું ત્યારે એને ગામડે ગામડે લોકો શાળાઓ ચલાવતા. વિદ્વત્તા મેળવી મશહુર થવાનો પ્રત્યેક બાલકનો મહામનોરથ હતો. જાપાને આવીને એવા કાયદા કર્યા કે ખાનગી નિશાળો મરણને શરણ થઈ. મહાન્‌ વિદ્યાલયો જાપાને વીંખી નાખ્યાં. કેળવણી આપવા માટે કોરીયાની ભાષા કાઢીને જાપાની ભાષા દાખલ કરી. નિશાળોમાં શિક્ષકો જાપાની નીમાયા. જાપાની શિક્ષક ન સ્વીકારનાર શાળાનાં બારણાં બીજા દિવસથી બંધ થઇ જાય. પાઠ્ય–પુસ્તકો જાપાની સરકારની પસંદગીનાંજ ચલાવાય. યુરોપ કે અમેરિકાનો રે, ખુદ પોતાની માતા કોરીયાનો ઇતિહાસ બાલકોને કાને નજ પડી શકે. જાપાનનોજ ઇતિહાસ શીખવાય. એ ઇતિહાસમાં એવી વાતો ઘુસાડવામાં આવી છે કે જાણે જાપાનેજ કોરીયાને જંગલી હાલતમાંથી છોડાવ્યું, જાણે કોરીયાનો ઈતિહાસ ફક્ત બે હજાર વરસનોજ જુનો છે, અને જાપાનના છત્ર નીચેજ કોરીયા ફુલ્યું ફાલ્યું છે, અને છેલ્લી વાત–કોરીયા પોતાની ઇચ્છાએજ, પોતાની સલામતી ખાતરજ જાપાનને આધીન બન્યું છે ! જાપાનનાં પૂજારીઓ પેદા કરવાનાં આ કારખાનાંની અંદર એકેય સાધનની ઉણપ નથી. રે ! જાપાની શિક્ષકો કમ્મર પર તલવાર બાંધીને શાળામાં શીખવી રહ્યા છે. આઠ નવ વરસની ઉંમરનાં બાલકો આગળ એ ગુરૂદેવોની તલવારોના ખણખણાટ કેવી શોભા, કેવો પ્રતાપ, કેવો ભય ઉપજાવી રહ્યાં હશે !

    પણ વીરાંગનાનાં સંતાનો એટલેથી યે વશ ન થાય. પોતાની માતાનું હૃદય વાંચવાની ભાષાનેજ શત્રુઓ ભૂંસી નાખે એ વાત બાલકોથી શે સંખાય ? કોરીયાનાં સંતાનો છાનાં છાનાં પોતાની માતાને મળે છે. નિશાળમાંથી છુટ્યા બાદ ચાર ચાર બાલકોની મંડળી એકઠી મળીને કોરીયાની ભાષા શીખે છે, અને માતૃભૂમિનાં છિન્ન ભિન્ન સ્મરણોમાંથી ચાર હજાર વરસોનો જુનો ઇતિહાસ ઉકેલે છે. અમર રહેવા સરજાયેલું એમ સ્હેલાઈથી શી રીતે મરે ?

    ચોથું પગલું — શિક્ષણને પલટી નાખવાથી તો માત્ર મગજ ડોળાય. પણ જાપાનનો અભિલાષ તો કોરીયાના આત્માનેજ જલદી કલુષિત કરી નાખવાના હતો. જાપાન ચારિત્ર કે પવિત્રતા સરખી ચીજને જરીયે ઓળખતું નથી. જૂના કાળમાં, પોતાનાં માવતરની ગરીબી ટાળવા જુવાન દીકરી પોતાનું શિયળ વેચે, એ તો જાપાનમાં મહાપવિત્ર કાર્ય ગણાતું. અત્યારે પણ જાપાની અમલદારો, પ્રધાનો, ને શિક્ષકો છચોક વેશ્યાઓને ઘેર જાય, વ્યભિચાર સેવે, રખાતો રાખે. એક શાળાના અધ્યાપકે તે ખુલ્લેખુલ્લું કહેલું કે મ્હારા શિક્ષકોને હું વેશ્યાગારોમાં જવા દઉં છું, વેશ્યાનાં બીલો મ્હારી પાસે પરબારાં આવે છે, તે હું શિક્ષકોના પગારમાંથી પરબારાંજ ચુકવું છું.

    આમ જાપાને કોરીયામાં વેશ્યાઓનાં પૂર છોડી મૂક્યાં. દેશના પ્રત્યેક શહેરમાં પરવાનાવાળાં વેશ્યાગારો ખોલાયાં, શહેરના ઉત્તમ લત્તાઓમાં વેશ્યાઓને મકાનો અપાયાં, એટલે કુલીન પાડોશીઓ પોતાનાં ઘરબાર જાપાનીઓને નામની જ કિંમતે વેચી મારીને ચાલી નીકળ્યા. કોરીયાની કુમારિકાઓને જાપાની ગીધડાં ચૂંથવા લાગ્યાં. વેશ્યાઓની અક્કેક મંડળી લઇને જાપાની સોદાગરો ગામડે ગામડે ભટકવા લાગ્યા.

    એક બંડખોર કોરીયન કુમારીએ અદાલતના ઓરડામાં ન્યાયાધિકારીને ખુલ્લેખુલ્લું કહેલું કે “તમે અમારી ખાનગી નિશાળો ઝુંટવી લીધી, અને તેને બદલે જાહેર વેશ્યાવાડા આપ્યા. શિક્ષકને પરવાનો મળતાં મહા મુશીબત પડે, પણ વેશ્યાને તો સહેલાઇથી પરવાનો મળે છે, મહારાજ !” આજ કોરીયાની પુણ્યભૂમિ પર વેશ્યાઓએ એ ભયંકર ગુપ્ત રોગો ફેલાવી દીધા છે.

    પાંચમું પગલું — કોરીયા જ્યારે સ્વતંત્ર હતું ત્યારે કોરીચાની અંદર અફીણનો પગ નહોતો. અફીણ લઈ આવનારો પકડાય તો તેનું માથું ધડથી જુદું થતું. પણ જાપાનને હાથ ગયા પછી કોરીયાની અંદર અફીણના વેપારીઓ આવી પહોંચ્યા. ખુદ જાપાનમાં તો અફીણનો ઉપયેાગ એક ભારે અપરાધ ગણાય છે, અફીણને કાઢવા ચાંપતા ઇલાજો લેવાય છે. એજ જાપાને ઇરાદાપૂર્વક કોરીયાની અંદર અફીણ પેસાડ્યું, રે ! અફીણના ડોડવાનાં વિશાળ વાવેતર કરાવ્યાં. સુધરેલી પ્રજાની દૃષ્ટિએ હલકા ન પડવા ખાતર, કાયદો તો અફીણ નિષેધનોજ રાખવો પડ્યો છે, પણ બીજી બાજુ ખુદ જાપાની સરકારેજ ખેડુઓને બીયાં પૂરાં પાડેલાં છે.

    અફીણનો ધંધો આબાદ કરવામાં જાપાનને બે ફાયદા. (૧) રાજ્યને કમાણી. (૨) રીતસરના વિષ–પ્રયોગ વડે એ વીર–પ્રજાનો ધીરો ધીરો પણ ખાત્રીબંધ વિનાશ.

    છઠું પગલું — સ્ત્રી પુરૂષોને સાથે ન્હાવાનાં જળાશયો બંધાયાં. જાપાનીઓ એ જળાશયમાં નિર્લજ્જ બની ક્રીડા કરે. પણ શિયળને પવિત્રતાનું પૂજક કોરીયા એ પિશાચી ક્રીડાથી અળગું જ રહ્યું.

    આવા પદ્ધતિસરના અધઃપતનમાંથી એક પરવશ અને પરાજીત પ્રજા ક્યાંસુધી ઉગરે ?

    આવતા અંકેઃ પ્રકરણ ૮ મું.- કેસરીયાં


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • મહેન્દ્ર શાહનાં ફેબ્રુઆરી ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Art creations for February 2026

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ – લોકહૃદયે બિરાજમાન ગીતો

    આલેખનઃ રાજુલ કૌશિક

    અવિનાશ વ્યાસની રચનાઓમાં એમનો પોતાનો સૂર, પોતાની આગવી કલ્પના, આગવી શૈલી ઝીલાયેલી હોવા છતાં એ ક્યારેક લોકગીતની કક્ષાએ મૂકી શકાય એવા મઝાનાં બન્યાં છે કારણ કે એમાં લોકગીતની ઝલક ભારોભાર અનુભવાય છે.

    સુરેશ દલાલ કહેતા કે, “ગીતનું ગંગોત્રીસ્થાન લોકગીત છે. લોકગીતમાં કાવ્યસૌષ્ઠવ ઓછું હોય પણ એના ભાવ સાવ સ્વાભાવિક અને માર્મિક હોય છે.”

    અવિનાશ વ્યાસના ગીતોમાં સુરેશ દલાલે કહ્યું એમ ગંગોત્રીસ્થાને બિરાજેલા લોકગીતો જેવી અનુભૂતિ છલકાય છે.

    લોકગીત એટલે છલોછલ છલકતાં ગ્રામ્યજીવનનું દર્શન. ગામની કલ્પના કરીએ અને આપણા મનમાં જે દૃશ્ય દેખાય એમાં ઊગતા સૂરજની સાખે થતાં મંદિરના ઘંટારવ સંભળાય, રાશે જોડેલા બળદોને હંકારી જાતા ખેડૂતો દેખાય, માથે ઈંઢોણી અને એની પર ગોઠવાયેલાં બેડાં લઈને હલકભેર હાલી જતી ગામની દીકરી કે નાક સુધી લાજ ખેંચીને નીચી નજરે જતી વહુવારુઓ દેખાય. સાંજ પડે ગામની પાદરે ઘેઘૂર વડલાની છાંયા હેઠળ ભેગા થયેલા વડીલો દેખાય, સમી સાંજે ગોધૂલી સમયે ચરીને આવતી ગાયોના લીધે આછી આછી ઊડતી રજ નાક સુધી પહોંચતી અનુભવાય. આ વાત કરવાનો હેતુ એ જ કે, હવે આપણે અવિનાશ વ્યાસ રચિત જે ગીતની વાત કરવાના છીએ એ ગીત પણ ક્યાંક અજાણતા લોકગીતની શ્રેણીમાં મુકાયેલું જોયું છે.

    “છલકાતું આવે બેડલુ” યાદ આવે છે?

    છલકાતું આવે બેડલું, મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું

    વાત એમાં સાવ સાદી છે. ગામની એક નારીને, કદાચ ગામની દીકરી પણ હોઈ શકે, એને ગરબો કોરાવો છે, એ ગરબાને મુકવા માંડવડી તો જોઈશે ને? એ માંડવડી ઘડવા સુતારી, એને મઢવા લુહારી, રંગવા રંગારી જોઈશે. માંડવડી તૈયાર થઈ ગઈ. હવે જેના માટે આ બધી તૈયારી કરી છે એવો ગરબો તો સૌથી મહત્વનો. વળી કોરેલા ગરબા માંહી મુકવા કોડિયું જોઈશે તો એના માટે કુંભાર, પ્રગટાવવાની દિવેટો માટે પિંજારી, એમાં દિવેલ પૂરવા ઘાંચી અને અંતે એને શણગારવા મોતીઆરો આવશે અને પછી જ એ હિલોળે ચઢશે અને એમ કંઈ એકલા એકલા રંગત ના જામે એટલે એ ગામની બેની, દીકરિયું, વહુવારુ અને ભાભીનો પણ સાથ જોડશે.

    અહીં અવિનાશ વ્યાસની આ રચનામાં ગામમાં એક નાનકડા ઉત્સવને લઈને જે ઉત્સાહ ઉમટે છે એનો પડઘો સંભળાય છે. અહીં સાહેલીનું બેડલું જ નથી છલકાતું, એમાં છલકાય છે એ નારીનો ઉમંગ, એની ઊર્મિઓ. કેવા હેતે, કેવા ભાવે એ દીકરી સૌને પોતાના રાજીપામાં જોડાવાનું ઈજન આપે છે? ગામ આખું જાણે એક થઈને હિલોળે ચઢશે.

    એક તરફ છે આવા ઉમંગની છોળો તો બીજીય એક બાજુ છે જે આપણું ભીતર ભીંજવી દે એવી વ્યથાઓ કારણકે કદાચ ગામની દીકરી જેટલી દરેક વહુઓ નસીબની ઉજળી નથી હોતી. ગામની દીકરીઓ સાથે તો એના ઉમંગો, તરંગો સાથે તાલ મિલાવે એવા સૌ છે, પણ આવા ગામમાં ક્યાંક કોઈ એવી માવતરને છોડીને આવેલી વહુવારુ પણ છે જેનો સાસરામાં સ્નેહથી સમાવેશ નથી, ઉમળકાભેર આવકાર નથી, જ્યાં એના હૃદયની વાત સાંભળનાર, એની વ્યથા સમજનાર કોઈ નથી ત્યારે એના માટે વાતનો વિસામો જ કૂવો છે.

    ક્યારેક પેલા વડીલ જેવા ઘેઘૂર વડલાના સ્થાને જેનું તળ ઊંડું છે એવો કૂવોય આ વહુઓની વ્યથાને અને ક્યારેક એ વહુને પોતનામાં સમાવીને ય નિતાંત સ્થિર બની જાય છે.

    “કૂવાના કાંઠડે હું એકલી, કૂવો જાણે વહુવારુની વાત રે…
    વહુનો ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ”

    હજુય આગળ નોંધારી સ્ત્રીની વેદના ઠાલવતા ગીતકાર લખે છે કે …

    “ઉરમાં અરમાન પૂર્યા આંસુની સાંકળે,
    ઉર બોલ્યું ને મારું દુઃખ કૂવો સાંભળે..
    ભર્યા રે સાસરીએ મારી નોંધારી જાત,
    સાસુ સતાવે ને ધણી ના બોલે તો
    વહુ જઈને કૂવાની કાયા ઢંઢોળે.”

    થોડામાં ઘણું કહી જતા આ ગીતના શબ્દે શબ્દે વ્યથા ટપકે છે.

    ૧૯૭૭માં ‘મનનો માણીગર’ ફિલ્મ માટે અવિનાશ વ્યાસે સર્જેલ સંસ્કરણ

    ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડની શ્રેણીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ યાદ છે ને?

    અહીં પણ પિતૃ-પતિ-પુરુષપ્રધાન સંસ્કારો વચ્ચે પીસાતી સ્ત્રીઓની વાત છે. દરરોજ સવારે દૂરના સ્થળે પાણી લેવા જાય ત્યારે એમને આ બંધિયાર હવામાંથી થોડો સમય છૂટકારો મળે, ત્યાં તેમને જાણે ખુલ્લી હવામાં શ્વસવાનો, મુક્તપણે કંઈક કહેવાનો, એમની લાગણીઓને વહેવાનો, થોડીક ક્ષણો જીવી લેવાનો સમય મળે જે એને અવસર જેવો લાગે જ્યારે અહીં આ ગીતમાં વહુઓને કૂવો એમની વ્યથા ઠાલવવા મા કે બાપના ખોળા જેવો લાગે છે.

    અવિનાશ વ્યાસની આ રચના અંગે એક જરા અજાણી રહી ગયેલી વાત રજૂ કરવી છે. આ ગરબો ‘અર્ચન અકાદમી’ દ્વારા સ્ટેજ પર ગવાયો હતો ત્યારે આ પરફોર્મન્સમાં એક નવિનતાની દૃષ્ટિ ઊમેરાઈ હતી. એમાં ન તો તાળીનો અવાજ હતો કે ન તો ચપટીનો અવાજ… જાણે તાળી -ચપટીને મ્યુટ પર મૂકી દીધા હતા. કલાકારોએ આ વ્યથાના પ્રતીકરૂપે કાળા કપડાં પસંદ કર્યા હતાં. સૌ કોઈએ એ સમયની વહુવારુઓની સામાજિક સ્થિતિ દર્શાવતો માથેથી ગળા સુધી ઘૂમટો તાણ્યો હતો. સ્ટેજ પર આછા પ્રકાશ પર આછા લાલ અને ભૂરા રંગના ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો. ગીતના અંતે કલાકારોએ જ વર્તુળમાં ગોઠવાઈને જાણે કૂવો, એના થાળાનો અને એમાં એક કલાકાર પડતું મૂકશે એવો આભાસ સર્જી ગરબાનો અંત આણ્યો હતો.

    અવિનાશ વ્યાસે શબ્દોમાં રજૂ કરેલી નારીના મનની વેદના, વ્યથાને આવી હૃદયસ્પર્શી રીતે, હૃદયને ઝંઝોડી મૂકે એવી રીતે કૉરિયૉગ્રાફ થયેલી જોઈને આખું સભાગૃહ સ્તબ્ધ અને સ્થિર બની ગયું હતું…

    આજે પણ આ ગરબો સાંભળવામાં આવે એટલી વાર એ પરફોર્મન્સ નજર સમક્ષ દેખાય છે.
    આવી તો અવિનાશ વ્યાસની કેટલીય સાવ અનોખી રચનાઓ અને અનોખી વાતો છે જેના વિશે આપણે વાત કરવા મળતા રહીશું.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • બાગકામ અને સુધારણા – એક અનુકરણીય કહાણી

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    સુધારણા એ કોઈ પરિણામ નથી. તે એક પ્રક્રિયા છે. સતત સુધારણાની યાત્રા દરમ્યાન, આપણે ક્યારેય જાહેર કરી શકતાં નથી કે આપણે નિર્ધારિત સ્થળે પહોંચી ગયાં છીએ, કેમ કે આ સફરમાં કોઈ પૂર્વ નિશ્ચિત ગંત્વય સ્થાન નથી. જો આપણી કાર્યસિદ્ધિ કોઈ બાહ્ય ધોરણ સામે પ્રમાણિત થતી જણાય તો એ માત્ર એવું સીમાચિહ્ન છે જે વધુ સુધારવા માટે નવી દિશા પૂરી પાડી શકે છે. સંસ્થાઓ ઘણીવાર ISO જેવા બાહ્ય પ્રમાણપત્રના લક્ષ્યની સિદ્ધિને એક ગંતવ્ય તરીકે માની લેવાની જાળમાં ફસાઈ જાય છે. પરિણામે આગળની મુસાફરી કરવાની પ્રેરણા અને તક ગુમાવે છે.

    આ મને સુબ્રતો બાગચીના પુસ્તક “ધ હાઇ પર્ફોર્મન્સ આઁત્રપ્રેન્યુર” માં વાંચેલી એક ખૂબ જ રસપ્રદ વાર્તા યાદ અપાવે છે:

    એક જાપાની ભિક્ષુક બગીચાની માવજત કરી રહ્યા હતા. એ કામ દરમ્યાન તેઓ કલાકો સુધી કાળજીપૂર્વક, ફૂલોની ઝાડીઓને ચોખ્ખી કરવા માટે એક એક સૂકી ડાળીઓ દૂર કરી રહ્યા હતો. એક રાહદારી તેમને આ કામ કરતા જોઈ રહ્યો હતો. ભિક્ષુકની સંપૂર્ણ એકાગ્રતા અને માવજતથી તે એટલો પ્રભાવિત થયો કે હવે પોતાને રોકી શક્યો નહીં.

    તેણે સાધુને પૂછ્યું, “હે ભિક્ષુક, તમારું કાર્ય ક્યારે પૂર્ણ થશે?”

    ઉપર જોયા વિના, ભિક્ષુકે જવાબ આપ્યો, “જ્યારે બગીચામાંથી છેલ્લી સૂકી ડાળી દૂર થશે”.

    બાગચી ઉમેરે છે,

    “સંસ્થા પણ, બગીચા જેવી, એક જીવંત વસ્તુ છે. તેમાંથી સૂકી ડાળીઓ દૂર કરવાની પ્રક્રિયા ક્યારેય સમાપ્ત થતી નથી. તેથી, ભિક્ષુકનીની જેમ, ટોચનું સંચાલન મડળ ક્યારેય કહી શકતું નથી કે કામ પુરૂં થયું.”

    પરંપરાગત રીતે સુધારણા વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. જો સતત સુધારા થતા રહે તો વિકાસ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જેમ જેમ સ્પર્ધા વધુ વૈશ્વિક અને તીવ્ર બને છે, તેમ તેમ સતત, અને ઘણીવાર તો નાટકીય, સુધારાઓ ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા માટે આવશ્યક બની જાય છે.

    વ્યાપાર ઉદ્યોગના અગ્રણીઓ માટે,  ઝેન માળીની માનસિકતા અપનાવવાથી એક એવી સંસ્કૃતિ બનાવવામાં મદદ મળે છે જેના વડે સ્પર્ધા તેમને આવું કરવા દબાણ કરે તે પહેલાં જ સુધારા પ્રક્રિયાનો અમલ શરૂ કરવાની ભુમિકા તૈયાર બનતી રહે છે.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • હવે પછી શું?

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    ઉત્પલ વૈશ્નવ

    થાય છે એવું કે માત્ર માણસને જ કંઈ નવું શીખવા માટે શાળાકૉલેજની જરૂર પડે છે. માનવી સિવાયનાં બધાં પ્રાણીઓ જોઈ જોઈને અને જાતે કરીને શીખે છે. (Think for yourself! હવે પછી)

    હમણાં મને એક એવા અનુભવથી શીખવા મળ્યું જે કદાચ કોઈ યુનિવર્સિટીએ શીખવાવાનું  તો ઠીક, પણ આવો વિષય શીખવવા યોગ્ય છે તેવું પણ વિચાર્યું ન હોત.

    વેબ સિરીઝ, House of Cards,નાં મહાન વહીવટકર્તા પાત્ર, ડગ્લાસ ‘ડગ’ સ્ટૅમ્પર, દ્વારા ‘હવે પછી શું?’ શીખવા મળ્યું.

    પોતા માટે કરેલી નોંધઃ  શીખવું તો જ અર્થપૂર્ણ બને છે જો તેને વ્યવહારમાં અમલમાં મુકવામાં આવે. ઘણાં લોકો નવું શીખે છે, પણ તેનો અમલ નથી કરતાં. ઘણા લોકોને ઘણું બધું કરવું હોય છે, પણ કેમ કરવું તેનું જ્ઞાન્નથી હોતું. આવડત અને અમલનાં મધુર મિલનને શક્ય બનાવવું એ જ મહત્વની કડી છે. કેમ કરવું? / જોઇને કે કરીને?

    બહુ ઉત્કટ અનુભવે મને શીખવાડ્યું કે હવે પછી શું ? સવાલના જવાબમાં જીવનની  દિશા બદલી કાઢવાની અદ્‍ભૂત શક્તિ રહેલી છે.  (What’s next? વિશે વધુ વિગતમાં હવે પછી)

    👉 નિષ્ફળતામાં ઘેરાયેલો હો તો આ એક સવાલ તમને નવું બળ પ્રેરી શકે છે.

    👉 સફળતાનાં વાદળ પર ઊડી રહ્યાં હો તો આ એક સવાલ આપણને જમીન સાથે જોડી રાખી શકે છે.

    👉 અનિર્ણયતાની દશામાં આ એક સવાલ તમારાંમાં નવી પ્રવૃતિનો તણખો પેટાવી શકે છે.

    👉 આ એક સવાલ જીવનના પ્રવાહનું વહેણ બદલી નાખી શકે છે.

    આ સવાલની વધુ વિશદ ચર્ચા The Momentum Protocol: The Power of “What’s Next?” માં હવે પછી….


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧૩

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ગયાના દેશના કેન્દ્ર ભાગમાં આવેલો કાઇયેટ્યર ધોધ એવો સ્વરૂપવાન હતો, કે એને જોવામાં, એની પાસે ફરતાં રહેવામાં ઘણો આનંદ મળતો હતો. ત્યાં પણ હતો તો તડકો જ, કારણકે આમ બધે ગાઢ જંગલ હતું, પણ નદીના આ તરફના પટ પર ખુલ્લું ને સૂકું હતું. છતાં, તટ પરના પથ્થરોની વચમાં ભેગા થયેલા પાણીમાં હાથ ધોયા, મોઢું ભીનું કર્યું, અને થોડી રાહત મળી.

    કાઇયેટ્યર ધોધ
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    કહે છે, કે આ કાઇયેટ્યર ધોધ અમેરિકા-કૅનૅડાની સરહદ પરના નાયગરાથી ચાર ગણો ઊંચો છે, તેમજ ઝિમ્બાબ્વે-ઝામ્બિયાની સરહદ પર આવેલા વિક્ટોરિયા ધોધથી બમણો ઊંચો છે. કાઇયેટ્યરની પૂરેપૂરી ઊંચાઇ ૨૫૧ મિટર છે, તો નાયગરા ૫૭ મિટર જેટલો ઊંચો, અને વિક્ટોરિયા ૧૦૮ મિટર ઊંચો છે.

    આંકડા જોયા પછી પણ જાણે આ વાત મનાતી નથી. પણ અત્યંત ફોર્સની સાથે પાણી અહીં નીચે, ઊંડી ગર્તમાં  પછડાય છે, ને પોતાનો જ ધક્કો ખાઈને ઉપર પાછું આવે છે, તેથી એની આખી ઊંચાઈ સ્પષ્ટ દેખાતી જ નથી. હા, જે દેખાય છે તે મહાપરિમાણમાં છે.

    કાઇયેટ્યરને નજરમાં રાખી બધાં આમતેમ ફરતાં રહ્યાં. સમય થતાં, ગાઇડ રૉમૅલ અમને પાછાં લઈ જવા માંડ્યો. પ્રપાત જેવો પાછળ રહી ગયો, તેવું જ ફરી જંગલ શરૂ થઈ ગયું. એટલેકે, છોડ, ઝાંખરાં, અને પાતળાં થડવાળાં ઊંચાં ઝાડ. હવે પથની ઉપર ડાળીઓ સળંગ ઝૂકેલી હતી. હાશ, હવે ચાલવું કૈંક સહ્ય બન્યું.

    રૅસ્ટ સ્ટૉપના મકાનના આગલા ઓરડામાં સરસ મોટું ટેબલ અને ઘણી ખુરશીઓ હતાં. સિલિન્ગ ફૅન ધીમે ફરતો હતો. ટૂર કંપની તરફથી બધાંને એક એક બ્રેડ-બન આપવામાં આવેલો. એ સિવાય, અમારી પાસે ચવાણું, શેવ જેવો નાસ્તો હતો. બધાંને જ છાંયડામાં થોડું બેસવાની જરૂર હતી.

    એ માટે થોડો સમય મળ્યો, ને પછી ફરી અમે નાનકડા સેસ્નામાં સમાયાં. પંખી સીધું ઊડે તે પ્રમાણે, અહીંથી જ્યૉર્જ ટાઉનનું અંતર એક હજાર માઇલ થાય છે. ખીણો ને પહાડો ખુંદતાં, ને નદીઓમાં વહેતાં કોઈ જાય તો કેટલુંયે વધારે લાંબું બને. નીચેનાં ગામડાંના કેટલા અમેરીન્ડિયન લોકો જતા હશે શહેર સુધી?

    આકાશ સ્વચ્છ હતું. હમણાં બીલકુલ વાદળ નહતાં. વિમાન નીચેથી ઉપર જતું ગયું, તેમ જંગલો બધી વિગતે દેખાતાં ગયાં. વૃક્ષો પોતપોતાની ખાસિયતો પ્રમાણે જુદાં પડે. વચમાં વચમાં, નાળિયેરી જેવાં ઊંચાં ઝાડ રમ્ય લાગે. પથ પર ચાલતાં મેં નોંધ્યું હતું તેમ, અહીં બધાં જ વૃક્ષોનાં થડ ઊંચાં ને ખૂબ પાતળાં હોય છે.

    વાદળ પણ આવ્યાં તો ખરાં જ. અમે એમની નજીકથી ગયાં, એમની વચમાં થઈને ગયાં. પછી વાદળ પાછળ રહી ગયાં. નીચેનું ભૂમિચિત્ર વિશદ હતું. માઝુરિની અને કાબુરી નદીઓ દૃષ્ટિગત થઈ. પોટારો છે તો પાતળી, પણ એની અગત્ય ભારે છે. મહાજળપ્રપાત કાઇયેટ્યરને એણે જ ધારણ કરેલો છે ને. છેલ્લે પોટારો નદી ઍસૅકીબોના વિપુલ જળરાશિની અંદર સમાઈ જાય છે.

    નદીઓની વચમાંના અતિવિશાળ પ્રદેશમાં ડાંગરનાં ખેતર
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આ બધી નદીઓની વચમાંના અતિવિશાળ પ્રદેશમાં ડાંગરનાં ખેતર બનેલાં છે. જોકે સૂકાં છે, પાણીથી છલ છલ નથી થતાં, એમની અંદર નીલ ગગનનાં પ્રતિબિંબ નથી પડતાં. તે છતાં યે એટલો તો સુંદર લાગે છે આ ક્શેત્રપ્રદેશ. એકસરખાં અને વ્યવસ્થિત લંબચોરસ ખેતરોની હારની હાર થયેલી છે. બે સમાંતર હારની વચમાં નહેરો છે, કે જે ઍસૅકીબોમાંથી બનાવાયેલી છે.

    આટલો નાનો દેશ, ને પાણીની કેટલી છૂટ. કેટલું સહેલું બન્યું છે જળસિંચન આ દેશમાં. બીજી વાર જોઈ રહ્યાં હતાં આ પરિપ્રક્શ્યને, તેથી જાણે પરિચિત બન્યો હતો એ, અને થોડો વધારે સમજાતો પણ હતો. જે વૅનૅઝુઍલા અને બ્રાઝીલ જેવા પાડોશી દેશોની વચમાં ભિંસાય છે, ને જેના નકશામાં જુઓ તો મહાતિમહાનદ ઍમૅઝૉનનાં વનસંપુટનું ઘોર અંધારું આસપાસ બનેલું દેખાય છે, તે ગયાના દેશમાં ડાંગરનું ઉત્પાદન અને શાકભાજીનો ઉછેર બહુ વ્યવસ્થિત અને સફળ રીતે થતો જણાય છે.

    ઍસૅકીબોના એક તરફના પટ પર એકદમ સમાંતર લાઇનમાં બનેલાં, અને એકસરખા પર્ફેક્ટ આકારનાં ખેતરો થયેલાં હતાં, અને એના બીજા પટ પર શરૂ થયેલો, મુખ્ય શહેર જિયોનો વિસ્તાર પણ એવી જ સમાંતર લાઇનોમાં થયેલો હતો. પહેલાં આ જોયેલું તો ખરું, પણ હવે રસ્તાઓનું અને ભૂમિક્ષેત્રોનું સમાંતર પર્ફેક્શન વધારે સમજાયું.

    ઍસૅકીબોનો પટની વચમાં ફૉર્ટ આઈલૅન્ડ કહેવાતો ટાપુ
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    હવે ઍસૅકીબોનો પટ વધારે પહોળો થતો જાય છે. વચમાં ફૉર્ટ આઈલૅન્ડ કહેવાતો ટાપુ એટલો મોટો છે કે વિમાનમાંથી પણ જાણે એ આખો ના દેખાય, અને ટાપુ નહીં, પણ નદીનો કિનારો જ આવી ગયેલો લાગે. આવા મોટા અને બીજા નાના, એમ કુલ ૩૬૫ ટાપુઓ આ નદીમાં બનેલા છે. મારી નજર ચકળવકળ ફરે, કારણકે વધારે ને વધારે જોવું હોય.

    દેશમાં દક્ષિણે આવેલા આકારાઇ પર્વતોમાંથી નીકળેલી, ૧,૦૧૦ કિ.મિ. લાંબી આ નદી જ્યારે ઍટલાન્ટીક સુધી પહોંચે છે ત્યારે એનું મુખ બત્રીસ કિ.મિ. જેટલું પહોળું બનેલું હોય છે. એટલું પહોળું, કે સમુદ્ર જ લાગે.

    આ મુખ-ત્રિકોણમાં કાંપ ભેગો થતો રહે છે, અને આછું ઘાસ વગેરે ઊગતું રહે છે. આથી પ્રવાહ કૈંક છીછરો પણ બને છે, અને છેક સમુદ્ર સુધી બોટ લઈ જવાતી નથી. ત્યાંથી વીસેક કિ.મિ. અંદર તરફ ડક્કા થયેલા છે, અને પછી એંસી કિ.મિ. દૂર સુધી, બાર્તિકા શહેર સુધી, બોટ વાટે જઈ શકાય છે.

    માથું ફેરવી ફેરવીને, નજર વાળી વાળીને હું આ કાદવિયા રંગના અજીબ પ્રસ્તારને જોતી રહી. દુનિયાનો એ એવો હિસ્સો હતો, જેને જાણે અંત કે આરંભ નહતો. આ બધા વિષે જે વાંચેલું, તે હવે નરી આંખે જોવા મળ્યું હતું. બહુ જ અર્થપૂર્ણ રહ્યું હતું આ ઉડ્ડયન, અને અસાધારણ રહ્યો હતો આજનો આ જળ અને જંગલ પરનો પ્રવાસ.


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પાણી: જરૂરિયાત નહીં, વૈભવ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ‘બોટલ કે રેગ્યુલર?’

    ભોજન માટે બહાર ગયા હોઈએ ત્યારે પાણીની માગણી કરતાં જ આવો સવાલ પૂછાય છે, જેનો જવાબ મોટે ભાગે ‘બોટલ’ હોય છે. એટલે કે પાણી પણ ખરીદેલું, શુદ્ધ હોય એવું પીવાનું. આવા વલણ પાછળ મોટા ભાગના લોકોને મન પાણીની શુદ્ધતાનું નહીં, પણ પોતાની ખરીદશક્તિનું મહત્ત્વ વધુ હોય છે. હકીકતમાં પીવાના શુદ્ધ પાણીનો અધિકાર પ્રત્યેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ પાણીનું હવે વ્યાપારીકરણ થઈ ગયું હોવાથી તે હવે ‘ખરીદવાની’ ચીજ બની ગઈ છે. પ્લાસ્ટિકની શીશીઓમાં વેચાતું પાણી પીવાઈ ગયા પછી રહી જાય છે કેવળ પ્લાસ્ટિક, જે અઢળક પ્રદૂષણ કરે છે. આ પાણી પણ અલગ અલગ કદની શીશીઓ કે પ્લાસ્ટિકના પાઉચમાં મળે છે. હવે મુસાફરીમાં પાણીભરેલી શીશી રાખવામાં મોટા ભાગના લોકોને શરમ અનુભવાય છે, અને તેઓ ‘જરૂર પડ્યે ખરીદી લઈશું’ની ભાવના ધરાવતા થઈ ગયા છે.

    આજકાલ બજારમાં પીવાના પાણીની અનેક મોંઘી અને મોટી તેમજ સ્થાનિક બ્રાન્‍ડ ઊપલબ્ધ બની રહી છે. કહેવાય છે કે તેઓ વાસ્તવમાં પાણી નહીં, પ્લાસ્ટિક જ વેચે છે,  કેમ કે, એક વાર ખરીદાયા પછી અંદર રહેલું પાણી થોડા સમયમાં જ વપરાઈ જાય છે, અને રહી જાય છે ફક્ત પ્લાસ્ટિક.

    સુરક્ષિત પીવાનું પાણી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત માનવાધિકાર હોવા છતાં દેશભરમાં શહેરી વિસ્તારનાં ઘરો પૈકી કેવળ છ ટકા સુધી જ તે સુલભ થઈ શક્યું છે. બાકીના કરોડો લોકો તેના માટે અન્ય સ્રોત પર આધારિત છે.

    ભારત સરકારના નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા ‘કોમ્પોઝિટ વોટર મેનેજમેન્‍ટ ઈન્‍ડેક્સ (સી.ડબલ્યુ.એમ.આઈ.‌) અહેવાલ’, ૨૦૧૮ અનુસાર આપણા દેશમાં સુરક્ષિત પાણીની અધૂરપને કારણે દર વર્ષે બે લાખ લોકો જીવ ગુમાવે છે. આપણા દેશની જળકટોકટી કેવળ અછત પૂરતી મર્યાદિત નથી, બલકે પાણીની ઊતરતી કક્ષાની ગુણવત્તા પણ જાહેર સ્વાસ્થ્ય માટે એટલી જ જોખમકારક છે. આ બાબતનું ઉદાહરણ થોડા મહિના પહેલાં જ ઈન્‍દોરમાં જોવા મળ્યું કે જેમાં પીવાના મલિન પાણીને કારણે લોકોએ જાન ગુમાવવા પડ્યા.

    દિલ્હી, બેંગલુરૂ અને ચેન્નાઈ જેવાં મહાનગરોમાં પાણીની કટોકટી અતિ ગંભીર છે. પાણીનો અપૂરતો જથ્થો અને ઊતરતી ગુણવત્તા બન્ને સમસ્યાઓ તીવ્રપણે અહીં જોવા મળે છે. તો મૂંબઈ, હૈદરાબાદ, જયપુર, પૂણે, કોલકાતા અને ઈન્‍દોર સહિત બીજાં અનેક શહેરો ભૂગર્ભજળના અતિશય વપરાશ અને વધતી જતી માગને કારણે થતા પુરવઠામાં ઘટાડાને કારણે પાણીની તંગી વેઠી રહ્યાં છે.

    આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે આ કેવળ વિકાસશીલ દેશોની સમસ્યા નથી, બલ્કે વૈશ્વિક સમસ્યા છે. પ્રતિ વર્ષ ચારસો કરોડથી વધુ લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા હોવાનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક અહેવાલ જણાવે છે, જેમાં જણાવાયું છે કે આમ ને આમ ચાલતું રહ્યું તો વર્ષ ૨૦૩૦ સુધીમાં પાણીની માગ ચાલીસ ટકા જેટલી વધી જશે.

    ભારતમાં પાણીની માંગ અને પુરવઠો – ૨૦૦૮માં અને ૨૦૨૩૦માં -બિલિયન ક્યુ. મી. માં
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    એવું નથી કે કેવળ વસતિવધારો, શહેરીકરણ અને કૃષિ જેવાં પરીબળોને કારણે જ પાણીની માગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધુ છે. સતત વધી રહેલા ઉદ્યોગો અને ડીજીટલ માળખાનો થઈ રહેલો સતત વિકાસ પણ તેના માટે જવાબદાર છે. કૃષિક્ષેત્રમાં પાણીના લગભગ સિત્તેર ટકા જથ્થાનો ઊપયોગ થાય છે, તો ડેટા સેન્ટરો, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એ.આઈ.ના ઊપયોગમાં પણ ઝપાટાભેર વધારો થઈ રહ્યો છે. એક અંદાજ અનુસાર ડેટા સેન્‍ટરના વૈશ્વિક ઉદ્યોગો એકલા જ વરસેદહાડે ૫૬,૦૦૦ કરોડ લીટર પાણી વાપરી નાખે છે, જેમાંનું મોટા ભાગનું ઠંડક માટે વપરાય છે. ઈન્‍ટરનેશનલ એનર્જિ એજન્‍સીના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૩૦ સુધી તે વધીને એક લાખ વીસ હજાર કરોડ લીટરે પહોંચશે.

    એ પણ જાણી લેવા જેવું છે કે સો મેગાવોટનું એક હાઈપરસ્કેલ ડેટા સેન્ટર વરસેદહાડે અઢીસો કરોડ પાણી વાપરે છે. આશરે એંસી હજાર લોકોની રોજિંદી જરૂરિયાત માટે વરસે આટલો જથ્થો પર્યાપ્ત થઈ પડે. માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી કંપનીઓનાં ડેટા સેન્‍ટરમાં પાણીનો વપરાશ દિન બ દિન વધતો ચાલ્યો છે અને હજી વધતો રહેશે. એટલે કે આપણે સાચીખોટી રીતે એ.આઈ. જેવી સેવાઓ થકી જે ગતકડાં કરીએ છીએ એ છેવટે કોઈકના ભાગનું છીનવેલું પાણી હશે એમ કહી શકાય.

    બીજી તરફ લોકોમાં હવે શીશીમાં રહેલું પાણી પીવાનું ચલણ વધતું ચાલ્યું છે. જોવા જેવી વાત એ છે કે સડકના કિનારે આવેલા ગલ્લામાં દસ-વીસ રૂપિયામાં વેચાતું એ જ પાણી કોઈ હોટેલમાં વેચાવા જાય એટલે કશા વાજબી કારણ વિના મોંઘું બની જાય છે. સુરક્ષાના કે  શુદ્ધતાના પોતાના ખ્યાલોથી કે પછી આર્થિક સ્થિતિના કાલ્પનિક ખ્યાલથી પ્રેરાઈને તેને ખરીદનારને ભાગ્યે જ સમજાય છે કે પીવાનું શુદ્ધ પાણી મેળવવું ખરેખર તો પોતાનો મૂળભૂત અધિકાર છે. ઊલટાનું હવે પૈસા ખરચતાં પીવાનું શુદ્ધ પાણી બધે જ આસાનીથી મળી રહે છે એ જોઈને તે હરખાય છે.

    દુષ્કાળ, વરસાદની બદલાતી તરાહ, ગ્લોબલ વોર્મિંગ જેવાં પરિબળો પાણીની અછત માટે જવાબદાર ખરાં, પણ એ ન ભૂલવું જોઈએ કે કહેવાતા વિકાસ અને મૂડીવાદી પરિબળોને કારણે પાણીના ઉપયોગની પ્રાથમિકતા બદલાઈ ગઈ છે, અને ઉદ્યોગ, ઉર્જા, ડીજીટલ ક્ષેત્ર જેવા ક્ષેત્રે તે પ્રચંડ માત્રામાં વપરાય છે, જે સરવાળે પીવાના પાણીની અછત તરફ દોરી જાય છે.

    આથી જળકટોકટી કેવળ જળવાયુની સમસ્યા નથી, પણ સામાજિક, આર્થિક અને રાજકીય સમસ્યા પણ છે. આટલું સમજાય, સ્વીકારાય તો પછી તેના ઊકેલની વાત આવે, જે શક્ય લાગતું નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૬ – ૨– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : સરયૂ દિલીપ પરીખ – મારી સફર… [૧]

    કલાની સતત સાધના એ સરયૂ પરીખનું સૌથી મોટું જમા પાસુ છે.

    ૧૯૪૬માં ભાવનગરમાં જન્મ થયો ત્યારથી કલાનું જીવનમાં મહત્વ એમને શ્વાસ સમાન સાહજિક લાગ્યું છે. માતા ભાગીરથીને લેખનકળા હસ્તગત હતી અને લગ્ન પછી પતિ દિલીપ પણ કલારસિક, આથી એમની સાધનાને વેગ મળ્યો.

    પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી મુનિભાઈ મહેતાના બહેન તરીકે સરયૂબહેન પર ભાઈના પ્રોત્સાહનની પણ ઘણી અસર છે. તેઓ ગુજરાતી સાથે અંગ્રેજી કવિતાઓ પણ લખે છે. અંગ્રેજીમાં બે નવલકથાઓ, સત્યકથાઓ મળીને તેમના છ પુસ્તકો પ્રકાશિત થયા છે.

    વિજ્ઞાનમાં માસ્ટર ડીગ્રી મેળવી ૧૯૬૯માં તેઓ અમેરિકા આવ્યા પછી વ્યવસાય તરીકે મેડિકલ ટેકનોલોજીસ્ટ તરીકે કામ કર્યું. છેલ્લા બે દસકામાં સમાજ સેવાના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.

    હાલ નિવૃત્તિ કાળ દરમ્યાન પરિવાર નજીક Austin, Texasમાં એમની કલા સાધના ચાલુ છે. ગંગોત્રી નામના એમના બ્લોગનું એડ્રેસઃ www.saryu.wordpress.com છે.

    Email: saryuparikh@gmail.com


    જીવનમાં પરિસ્થિતિઓ સર્જાતી રહે છે…તેનો પ્રમાણિક ભાવે સ્વીકાર કરી, કોઈ તેને મંગલમય બનાવે અને કોઈ તેને ક્લેશમય બનાવે.

    આજે ૨૦૨૨ના વર્ષમાં, જીવનસફર વિષે લખતાં અનન્ય આનંદનો અનુભવ થાય છે. ભાવનગર જેવા નાના શહેરમાંથી ભણી, વડોદરામાં M.Sc. Botany પછી PhD. કરતી હતી ત્યારે, આકસ્મિક અને અણધારી પરિસ્થિતિમાં અજાણ્યા અમેરિકામાં, ૧૯૬૯માં આવી ચડેલી સરયૂની કહાણી જાણીએ.

    ૧. જાગીને જોયું…

    સરયૂ હરિભાઈ મહેતાનું બચપણ યાદ કરતા એક પ્રસંગ સ્મિતની લહેરખી લાવે છે…જ્યારે ભાવનગરમાં, એક માત્ર ફોટો studioમાં પાંચ વર્ષની હું, ભાઈ સાથે ઊભી હતી…અને અંધારું થતાં દોડાદોડ કરી રહી હતી. એ સમયના મારા જીવનના મુખ્ય વ્યક્તિઓમાં, માતા-ભાગીરથી, પિતા-હરિશંકર મહેતા અને ત્રણેક વર્ષ મોટો ભાઈ મહેશ, જે મુનિભાઈના નામથી ઓળખાતો. બે ઓરડાનાં મામાના ઘરમાં, આડોશી પાડોશીનાં સંગમાં, બચપણ રમતું ચાલ્યું. એક સવારે જાગીને જોયું તો વચલા મુખ્ય રૂમનું બારણું બંધ હતું. હું તો ત્યાં આળસમાં બેસી રહી હતી, ત્યાં અંદરથી એક લેડી ડોક્ટર બહાર આવ્યાં અને ઘોડા-ગાડીમાં બેસી રવાના થયાં. મોટાકાકી હસતાં આવીને મારો હાથ પકડી અંદર લઈ ગયાં અને કહ્યું, “જો આ તારી નાની બહેન, ઉર્વશી.” મારા આશ્ચર્યનો પાર નહોતો. કાથીનો ખાટલો બારી પાસે હતો અને ત્યાં બા અને નાની બાળકી સૂતેલાં હતાં. મેં માન્યું કે બારીમાંથી બેબી આવી અને ત્યાર પછી જ્યારે પણ નવજાત શીશુને કોઈનાં ઘરમાં જોઈને ખાતરી કરતી કે ખાટલો બારી પાસે છે ને!

    સરયૂનો જન્મ ૧૯૪૬માં અને ઉર્વશીનો જન્મ ૧૯૫૩માં થયો હતો. પિતા પ્રાથમિક શાળામાં અને બા માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં નોકરી કરતાં હતાં. કૃષ્ણનગરમાં છૂટા બંગલા અને મધ્યમાં મોટું બાલ ક્રીડાંગણ હતું, જે અમારી સાંજની સ્વતંત્રતાનું મેદાન હતું. હું બીજા છોકરા-છોકરીઓ સાથે રમતાં રમતાં, બા ઉર્વશીને ચાલતાં શીખવી રહ્યાં હોય તે જોઈ લેતી. ઘણી વખત, મુનિભાઈ અને ઉર્વશી ભેગા થઈ મને એટલા ચીડવતા કે એ બન્નેને દુશ્મનની પંક્તિમાં મૂકી દીધા હતા. એ સમયે નજીકમાં જ અમારું…મહેતા પરિવારનું નવું ઘર બંધાવવાનું શરૂ કર્યું હતું.

    ઉર્વશીને એક દિવસ તાવ આવ્યો. બા કહે, “ખાલી તાવ છે, પણ હું રજા લઈ લઉં.” અમારા ઘરનાં સભ્ય જેવા, હરીબેન ઘરનું કામ કરતાં અને ઉર્વશીની સંભાળ પણ રાખતાં. તે ચિંતા ભર્યા વારંવાર આંખનાં ઝળઝળિયાં લૂછતાં હતાં. ડોક્ટરમામા, મારા બાનાં કાકાના દીકરા, સવારથી બે વખત આવીને ઉર્વશીને તપાસી ગયા હતા. સાંજે ઉર્વશીને આંચકી આવી. એ સમયે નવા દરદ ‘મેનિન્જાઇટિસ’ meningitisની વાતો સંભળાતી હતી. પિતાજીની દોડાદોડ, તાબડતોબ બાળકોનાં ડોક્ટર સાથે ડોક્ટરમામાનું આગમન, રડતાં બા અને મુનિભાઈને હું મૂંજાતી જોઈ રહી. રાતના આઠેક વાગે, ડોક્ટર નિરાશામાં માથું હલાવી બહાર નીકળી ગયા. બસ, પાંચ વર્ષની ઉર્વશીના અચેતન દેહને વળગીને બા રડતાં રહ્યાં. પછી અનેક દુઃખના દિવસોમાં હું સ્થિર મનોભાવ સાથે બાનો આધાર બની રહી હતી. એ વર્ષે જ નાના મામા અને યુવાન પિત્રાઈ ભાઈના મૃત્યુને પ્રત્યક્ષ જોતા…જીવન-મૃત્યુની સત્યતાનો સચોટ અનુભવ થઈ ગયો.

    થોડા મહિનાઓમાં નવું ઘર ‘ગંગોત્રી’ તૈયાર થઈ ગયું અને અમે ત્યાં રહેવા ગયાં…અને અગિયારેક વર્ષની ઉંમરે, મારું બચપણ પાછળ રહી ગયું અને આત્મવિશ્વાસ અને જાગરૂકતા સાથે નવા પાડોશમાં નવા પગરણ મંડાયાં.

    એ સમયે ભારત સાથે એક સૂરમાં જોડાયેલ અનેક ગુજરાતીની જેમ, અમારા પરિવારના સભ્યો પણ મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન પાછળ ન્યોચ્છાવર હતાં. મારા બા અને પિતાજી ખાદીના કપડા પહેરતાં. ચોખ્ખાઈ, પ્રમાણિકતા, સદાચાર, જાતમહેનત વગેરે સદગુણો પ્રતિ બહુ ધ્યાન દોરવામાં આવતું. કોઈ ઓળખીતા પિતાજીને કહે, “હરિભાઈ, મારી કારમાં બેસી જાઓ, તમને ઉતારી દઉં.” તો ના જ પાડે. હું પૂછું કે કેમ ના પાડી? જવાબ, “આજે લાભ લઈએ એટલે કાલે પણ આશા બંધાય…જે ન પૂરી થતાં ગુસ્સો આવે.” આમ સરળ ભાષામાં ગીતા જ્ઞાન આપી દેતા. બાનો આગ્રહ કે રોજ એક ગીતાનો શ્લોક મોઢે કરવાનો. એ તો ન કર્યું પણ ભગવત ગીતા પુસ્તક કેટલું અગત્યનું છે તે છાપ હોવાથી આગળ જતાં ગહન અભ્યાસ કર્યો. સાથે સમજ એ આવી કે, બાળકોને સદવિચાર, સદાચાર વિશે કહેતાં રહેવું…લાગે કે સાંભળતા નથી પણ કટોકટીના સમયે તે શબ્દો પડઘાય છે, અને તેઓ સમજે છે.

    ભણવામાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થતી વિદ્યાર્થિનીની એ વર્ષે જીવન દિશા બદલાઈ ગઈ. ભણવાના અગત્યના વર્ષ ઇન્ટર સાયન્સમાં, મેં  સિતાર શીખવાં જવું, તેમજ અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાનું સાહસ કર્યું. ફર્સ્ટ ક્લાસ તો આવ્યો પણ એક ટકાની ઓછપને કારણે મેડિકલ કોલેજમાં એડમિશન ન મળ્યું. ઘરમાં તો ખાસ પ્રતિભાવ ન હતો. મુનિભાઈ એ સમયે I.I.T. Bombay માં Chemical engineerનું ભણતા હતા. ભાવનગરમાંથી પ્રથમ વિદ્યાર્થીને આવી અવ્વલ દરજ્જાની કોલેજમાં પ્રવેશ મળ્યો હતો…જેમાં ખર્ચ પણ વધારે હતો. આમ, મારા જીવનના જુદા વળાંક પર, B.Sc.ના અભ્યાસ દરમ્યાન, મનભરીને ઈતર પ્રવૃત્તિઓ કરી. સૌથી માનભરી અને યાદગાર હતી તે…Best cadet of Bhavnagar, National Cadet Corps તરીકે પસંદગી. બહુ વર્ષોથી  NCC સાથે જોડાયેલી હતી. 1965, જાન્યુઆરીની શરૂઆતમાં, આખા ગુજરાતમાંથી ચૂંટાયેલાં કેડેટ્સ સાથે એક સપ્તાહ અમદાવાદ અને પછી ત્રણ સપ્તાહ દિલ્હીની ઠંડીમાં સખત કવાયત તાલીમ પછી,  રાજઘાટ પર છવ્વીસ જાન્યુઆરીની પરેડ, ભારતના વિવિધ પ્રાંતમાંથી આવેલાં સભ્યોનો સહવાસ અને બસમાં આગ્રાની સફર અને તાજમહાલના દર્શન…એ જાદુ ભરી સ્મૃતિઓ મારા મન-ચિત્ત પર અક્ષર બની ગઈ.

    બચપણથી બાલક્રીડાંગણમાં અમે છોકરા છોકરીઓ સાથે રમતાં. એ સમયે સહજ-સરળ મિત્રતાના અનુભવને લીધે, કિશોર અવસ્થામાં ચોરીછૂપી સંબંધો બાંધવા કે અયોગ્ય કિશોર માટે આકર્ષણ થવું…એવાં pitfallsથી બચી શકાયું. અનેક પ્રવૃત્તિઓમાં છોકરાઓ સાથેની મુસાફરી, નૃત્ય-ગરબા અને રમત-ગમતમાં સતત સહવાસ…જેમાં પોતાની રક્ષા કરવાની મનમાં ગજબ જાગૃતિ અને હિંમત હતાં.
    ઘણા મા-બાપ, ‘છોકરાઓ સાથે નહીં રમવાનું, વગેરે,’ દબાવ થોપતાં હોય છે. પરંતુ મારું માનવું છે કે તંદુરસ્ત સંબંધ માટે સમજ સાથે સ્વતંત્રતા આપવી બહુ જરૂરી છે.

    ભાવનગરના કોલેજ કાળમાં બને તેટલો અંગ્રેજી શીખવાનો મારો આત્મ-પ્રયાસ હતો…ગુજરાતીમાં પાઠ ભણાવતા હોય અને હું અંગ્રેજીમાં લખું. ૧૯૬૬માં આગળ અભ્યાસ,  M.Sc. કરવા માટે વડોદરા ગઈ ત્યારે તે અભ્યાસ મદદરૂપ નીવડ્યો. પંડિતા ગાર્ગી હોસ્ટેલમાં બે વર્ષ રહી. કંઈક ખાસ કરી બતાવવાની ધગશ અને યુવાનીનાં સ્પંદનોને વેગ મળ્યો. લગ્ન વિષય વાતો આવી. સ્વતંત્ર મનમૌજમાં બે વર્ષ રહેવાનો અનુભવ લઈ પાછી ભાવનગરમાં આવી…Central Government તરફથી સ્કોલરશીપ મળતા, Central Salt & Marine Chemicals Research Institute (CSMCRI), Bhavnagarમાં PhD. શરૂ કર્યું.

      ————

    ૨.  બાનાં વ્યક્તિત્વનું તેજ

    મારા લગ્નની વિચારણા ચાલી એ સાથે માતા ભાગીરથીનાં લગ્ન કઈ રીતે થયા હતા…એ વિષય પર ઉઘાડ થયો. અત્યાર સુધી તો સરયૂની નજરે તેના બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતાં.  એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધાં. બાનો જન્મ ૧૯૧૫માં થય અને એક વર્ષ પછી માતાનું અવસાન થયેલું. ભાગીરથીનાં જીવનમાં લગ્નનો અનુભવ…જ્યારે એક દિવસ ભુવા નામના ગામડાંમાં વૈદ્ય ભાણજી કાનજી દવે, ભાગીરથીનાં પિતાએ કોટડા ગામથી પાછા આવીને કહેલું કે, “મોટાભાઈ નાથાલાલનું સગપણ નર્મદા સાથે અને સાથોસાથ ભાગુનાં લગન, મહેતાના દીકરા હરિશંકર સાથે નક્કી કરતો આવ્યો છું.” તેર વર્ષની ભાગીરથીએ આ સમાચાર પર ખાસ ધ્યાન ન આપ્યું. પણ, લગ્નની તૈયારીઓ થઈ અને ગાડામાં બેસાડી અજાણ્યાને ઘેર મોકલી હતી…એ શિરસ્તો અસહ્ય હતો.

    હરિશંકર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતાં. ગરીબી અને અપમાનજનક રહેણીકરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. બાલીશ અજ્ઞાનને લીધે, ધૂડી નિશાળમાં ભાગીરથીએ “મારે નિશાળે નથી જઉં” કહ્યું હતું ત્યારે, ‘છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ’ એવા સામાજિક વિચારોનાં પ્રોત્સાહન સાથે, ઘરકામ શીખવામાં પળોટાઈ ગયાં હતાં. લગ્નજીવનના પાંચ વર્ષના મનોમંથન અને ભાઈ કવિ નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોનાં વાંચનથી એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનું છે. એ સમયે સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોનાં વિરોધનો સામનો કરતી,   અઢાર વર્ષની ઉંમરની ભાગીરથીએ, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં દાખલ કર્યાં. હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થીની સાથે શરૂ થતા, કર્વે કોલેજના વર્ગમાં ભણવાનું ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતા હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને ઘરકામ કરશે ભાયડા.” એ જ બહેનોને લાચાર પરિસ્થિતિમાં ભાગીરથીની મદદ લેવા જઉં પડતું. ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “મારા માટે રંગબેરંગી મીલના કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઉમેરો થયો.

    ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું, પણ રજા પડતાં કોટડામાં લાજ કાઢી, સામાન્ય વહુવારૂઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ. ની પરીક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરૂ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ. એ સમયમાં ભણેલી બહેનોને જરૂરિયાતોને કારણે ખેંચાઈ-ખેંચાઈને નોકરી કરવી પડતી, પણ ઘરની જવાબદારીમાં જરા પણ  હળવાશ મળતી નહોતી, …આવું મેં અમારાં જેવા ઘણાં મધ્યમ વર્ગના પરિવારોમાં જોયેલું.

    બાએ તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કર્યો. લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જેઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયાં. તેમની પ્રતિભાની અસાધારણ અસર અનેક બહેનો અને ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર જોવા મળી હતી. ભુવા અને કોટડા બન્ને ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવા સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.

    મુનિભાઈના લગ્ન, શિશુવિહારના સ્થાપક, શ્રી માનશંકરભાઈ ભટ્ટની પુત્રી ઈલા સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે પતિના સખ્ત વિરોધ છતાંયે બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે. પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત.

    ભાગીરથી મહેતાનાં અધ્યાત્મ ગુરુ, પૂજ્ય વિમલાતાઈએ “જાહન્વી” તખલ્લુસ આપ્યું. અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે “જાહ્‍નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે. બાને યાદ કરતાં કલારસિકોને જોઉં છું ત્યારે એ દિવસો યાદ આવે છે… જ્યારે  કવિતાની રજુઆત માટે, સફેદ ખાદીની સાડી પહેરેલ, જાજરમાન બહેન ભાગીરથી, બધી હિંમત ભેગી કરીને બોલવા ઊભાં થતાં. મારા બા, ભાગીરથી મહેતાનું ‘સ્ત્રી સંત રત્નો’ પુસ્તકની માંગણી વધતા અમે ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી છે.

    ૧૯૯૩માં, રાતના ચાર વાગે અવાક્ બાનો અશક્ત હાથ પકડી હું બેઠી હતી ત્યારે તેમણે પ્રયત્નપૂર્વક…

    હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા;
    આવકાર, આભારગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.
    અરવા  બંધનને અશ્રુની અંજલીસ્મરણો અસ્તિત્વને હસાવતા,
    છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુબિંદુ રહ્યાં સિંચતા.

    ———–

    ૩. આંતરજ્ઞાતિય લગ્ન ૧૯૬૯

    સરયૂ અને દિલીપની મુલાકાત કરાવવાની વિચારણા થવા લાગી. ભલે અમે ક્યારેય મળ્યાં ન હતા પણ એકબીજાનાં પરિવારનો પરિચય હતો. દિલીપના પપ્પા, કવિ કૃષ્ણકાંત પરીખ સરકારી વકીલ હતા. નોકરીને કારણે પાટણ છોડી જામનગર અને પછી દસેક વર્ષ ભાવનગરમાં રહેલા. એ સમયે દિલીપથી નાના ભાઈ અને મુનિભાઈ હાઈસ્કૂલમાં મિત્રો હતા. પરીખ કુટુંબમાં પાંચ ભાઈઓ અને એક બહેન, બધા ભણવામાં આગલી હરોળમાં હતા. કવિ સંમેલનોમાં દિલીપના પપ્પાનો પરિચય મારા બા અને મામા સાથે થયેલો. મજાની વાત એ હતી કે દિલીપના પપ્પા કેવા વ્યક્તિ છે તે વિષે મારા બા એક વકીલમિત્રને પૂછવા ગયાં. તે સજ્જન કહે, “કૃષ્ણકાંત બહુ સારા વ્યક્તિ છે પણ, વકીલાતમાં બહુ કમાયા નથી.” મારા બા કહે, “હું તો એ મુદ્દાને જમા ખાતામાં મૂકું.”

    પપ્પા હાઈકોર્ટમાં વકીલાત માટે પરિવાર સાથે અમદાવાદ જઈને વસ્યાં. દિલીપ મેટ્રિક પછી વડોદરા ભણવા ગયા હતા. દિલીપ M.Sc. Physics, ભૌતિક વિજ્ઞાન વિષયમાં distinction સાથે ગોલ્ડ મેડલિસ્ટ થયા પછી, સ્કોલરશીપ મેળવી University of Maryland અમેરિકામાં ૧૯૬૫ની સાલમાં આવ્યા હતા. અમેરિકામાં કોઈ સગા-સંબંધી ન હતાં અને મિત્રને લખેલા પત્ર પર આધાર રાખી અનેક આશંકાઓ સાથે JFK Airport પર આવ્યા. સદભાગ્યે, વડોદરાના મિત્રો, સત્યેન-Sam પિત્રોડા અને ભૂપેન ત્રિવેદીને છેક શિકાગોથી ન્યૂયોર્કના એરપોર્ટ પર આવેલા જોઈ દિલીપને આનંદ થયો હતો. લેવા આવનાર પાસે કાર નહોતી તેથી સામાન સાથે બસમાં સવારી કરી કોઈ મિત્રના એપાર્ટમેન્ટમાં ગોઠવાયા. એ સમયે ઘણા દેશીઓની જેમ, એક મોટી કાર…તેમાં ‘એક કાર અને ઘણા સવાર’ એ રીતે નાયગ્રા ફોલ જોવા ગયા. ન્યૂયોર્કથી મેરિલેન્ડ બસમાં જતા દિલીપને ફફડાટ હતો કે કોલેજ સ્ટેશન પસાર ન થઈ જાય. તેથી કંડક્ટરને વારે વારે સંકોચ સાથે પૂછી લેતા. સાંજના પાંચ વાગે પહોંચી, મોટી બેગ અને સામાન સાથે બને તેટલી ઝડપથી કેમ્પસની ઓફીસમાં ગયા અને ત્યાં સામાન મૂકી એક સેક્રેટરીની સાથે orientation meetingમાં ગયા. પાછા ફર્યા ત્યારે ઓફિસ પર તાળા લાગી ગયા હતા. શુક્રવારની સાંજ, તેથી દિલીપ ગભરાયા કે ‘સામાન વગર બે દિવસ શું કરીશ!’ પણ સેક્રેટરીએ પહેરગીરની ભાળ કાઢી, તેણે આવીને ઓફિસ ખોલી આપી અને દિલીપને સામાન મળી ગયો. દિલીપની ત્રેવીસ વર્ષની ઉંમર, પહેલી વાર ગુજરાતની બહાર નીકળી અમેરિકાની અજબ-ગજબ દુનિયામાં અજાણ સાથે રહેવાનું, ભણવાનું અને Teaching Assistantship મળી હતી તેથી ભણાવવાનું પણ ખરું. હિમવર્ષાનો પ્રથમ અનુભવ અને તેમાં બધે ચાલતા જવાનું. પોતાની કાર લેતા તો વર્ષો નીકળી ગયાં. આવી બધી અગવડતા વચ્ચે, ભારતમાં સ્વજનો સાથેનો પત્રવ્યવહાર જીવનદોર બની રહેતો.

    પહેલી નોકરી ન્યૂજર્સીમાં મળી. મિત્રની કારમાં સામાન ભરી, વૈજ્ઞાનિક Albert Einsteinના સુંદર ગામ, પ્રિન્સટનમાં આવી ગયા. દિલીપ જ્યાં પણ રહ્યા, કલાકાર જીવ… હંમેશા મ્યુઝિયમ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત વગેરેમાં સક્રિય રહેતા. પહેલી કાર Volkswagen -Bug જર્મન-કાર, અલબત્ત, એક જર્મન મિત્રના માર્ગદર્શન નીચે લીધી. standard shift car– ચલાવતાં શીખવામાં ઉપાધી ઘણી…અને વર્ષો પછી મને અને નાના ભાઈને પણ એ કાર ચલાવતાં શીખવવાનો, ગીયર બદલવામાં થતાં ગોટાળાનો અનુભવ, યાદ રહી જાય તેવો હતો. Automatic transmission car આવતા ઘણી સરળતા થઈ ગઈ.

    અમેરિકામાં દિલીપ ચાર વર્ષ રહ્યા બાદ ભારતની મુલાકાત માટે આવતા હતા. દિલીપ માટે ત્રણ ચાર કન્યાઓ જોઈ રાખી હતી તેમાં સરયૂનું પણ નામ હતું. એ સમયે ભાવનગરમાં મને PhD.ના અભ્યાસમાં  એકાદ વર્ષ થયું હતું. દિલીપના નાનાભાઈ અને મુનિભાઈ વચ્ચે પત્રોની આપ-લે થઈ અને દિલીપ સાથે લગ્નની શક્યતાઓની વાતો શરૂ થઈ.  ત્રણેક મહિના પહેલાં હું થોડા કલાકો માટે અમદાવાદમાં દિલીપના માતા-પિતા(પપ્પા-અમ્મી), બહેન અને સૌથી નાના ભાઈને મળી હતી પણ તેમનું ઘર નહોતું જોયું. ભલે છોટી સી મુલાકાત હતી પણ એકબીજા માટે આદરભાવની લાગણી સ્પષ્ટ હતી. વડોદરામાં કોઈનાં ઉછીનાં કેમેરાથી લીધેલા મારા બે ફોટા દિલીપને મોકલવામાં આવ્યાં…અને મુલાકાત માટે ભાવનગર આવવાની ગોઠવણ થવા માંડી. મને કોલેજકાળમાં ભણવામાં, નૃત્ય-સંગીતમાં તેમજ રમત-ગમતમાં ધ્યાન ખેંચે તેવી સફળતા મળેલી. જ્યારે એક વડોદરામાં ભણતા મિત્રને સરયૂના વિષે દિલીપે અભિપ્રાય પૂછેલો… મિત્રનો જવાબ હતો, “બધાંમાં અલગ તરી આવે તેવી છે.”

    એ અરસામાં કોઈ મહેમાન હોટેલમાં રહે એ વિચિત્ર લાગતું. સદભાગ્યે, નજીકમાં નવી હોટેલ/રેસ્ટોરન્ટ એક નાગર બહેને શરૂ કરી હતી, ત્યાં દિલીપને રહેવાની સગવડ થઈ ગઈ. દિલીપ સાથે બે દિવસનો સમય ઘણો સહજ અને સરળ હતો. જેમકે સવાલ હોય કે, “સરયૂ તમને કયા શોખ છે?” “મને ગાવાનો શોખ છે.” હવે આવો જવાબ કોણ આપે? હું વિશેષ તૈયાર થઈને ફરવા નહોતી ગઈ, તેથી ઘણી વખત સાંભળવામાં આવ્યું કે, ‘તું કેટલી સાદી સાડી પહેરીને આવી હતી!’ પણ, પોતાનો વધુ પડતો આગ્રહ છે તેવું બતાવવા નહોતી માંગતી. આપણા દરેક આચાર પાછળ માનસિક વિચાર-સંદેશનો સંચાર હોય છે. બીજે દિવસે, દિલીપને ગાંધી સ્મૃતિમાં ચિત્રોનો વિભાગ ખાસ બતાવવા લઈ ગઈ. એક વિચાર, ‘મને આ વ્યક્તિની બાજુમાં ચાલવું ગમે છે” એ હકારાત્મક લાગણી સ્પષ્ટ યાદ છે. દિલીપ એક બાબતમાં ચોક્કસ હતા કે પોતાની જીવન સંગિનીને શાસ્ત્રીય સંગીતમાં રસ હોવો જોઈએ. ઘર તરફ જતાં, મારી ખાનગી વાતો જાણતી સખી પ્રફુલાના ઘર પાસે અમે અટક્યાં…અને એ તો બધું નક્કી જ હોય તેમ અમને વધાવતી ચાલી. ઘરે ગયાં ત્યારે પિતાજીને દિલીપ પહેલી વખત મળ્યા અને મુનિભાઈના મિત્રના મોટાભાઈ તરીકે સામાન્ય વાતચીત કરી અમદાવાદ પાછા ગયા.

    બીજે દિવસે સવારમાં જ પિતાજી બેઠા હતા ત્યાં જઈને બાએ વાત શરૂ કરી. “સરયૂને દિલીપ સાથે લગ્નની વાત થઈ છે.” તેમને આ વાતના એંધાણ તો આવી જ ગયા હતા. “વાણિયા છે ને? તને બ્રાહ્મણનો અવતાર મળ્યો છે…વગેરે” પિતાજીએ તેમનો અભિપ્રાય સખત શબ્દોમાં જણાવ્યો. આગળનાં દિવસોમાં વિરોધ વધતો ગયો. એક સાંજે દિલીપના ભાઈ આવેલા અને તેમણે દિલીપના સદગુણો બતાવતી અમ્મીની લખેલી ચિઠ્ઠી બાને આપી…એ પિતાજીએ પણ વાંચી અને ત્યારે નાનાભાઈની સામે જ પિતાનો પ્રકોપ જાહેર થઈ ગયો. તેથી દિલીપના પરિવારમાં ‘અમારા મિલાપની શક્યતા નથી’…એ જાણ થઈ ગઈ. દિલીપને બીજી કન્યાઓ સાથે મન નહોતું માનતું, તેથી તેણે કહી દીધેલું કે હું લગ્ન કર્યા વગર પાછો જઈશ પણ પસંદગીમાં બાંધછોડ નહીં કરું. આ તરફ મને અમેરિકા વિશે બે ચાર મોટા શહેરોનાં નામ સિવાય બીજી કોઈ જાણકારી નહોતી. એ સમયે telephone or television અમારાં ઘરમાં ન હતાં. એક નાના radioમાં ફિલ્મ સંગીત સાંભળવાનો આહ્લાદક આનંદ મળતો હતો. ભલે બાને દિલીપે કહેલું કે, ‘ત્રણ વર્ષમાં ભારત પાછા ફરશું,’ તો પણ, બા દીકરીને એટલી દૂર મોકલવાનાં વિચારથી ગભરાતાં હતા. દિલીપ અને તેના કુટુંબનો અછડતો પરિચય…વગેરે વિચારો અમને ઘેરી વળ્યા…ખબર નથી અમેરિકામાં દિલીપ કઈ રીતે રહેતા હશે! એ સંજોગોમાં ‘પિતાને નારાજ કરી મારે લગ્ન નથી કરવા’ એવો નિર્ણય કરીને અમે ના જણાવતો પત્ર લખી દીધો.

    …પરંતુ સરયૂના એક શબ્દને કારણે આખી પરિસ્થિતિ પલટાઈ…”મારું inclination નહોતું.” આ વાક્ય વાંચીને દિલીપના logical, તર્કશુદ્ધ મગજના પ્રશ્ન સાથે વળતો જવાબ આવ્યો, “તમે કહેલું કે મારા તરફથી હા છે અને તમારી બેનપણી પણ એ જતાવતી હતી. ‘મારા તરફ અનુરાગ નહોતો’ એ હું માનતો નથી. મને સમજાય છે કે તમે પિતાને નારાજ કરવા નથી માંગતા.” એ વિષય પર આગળ ‘સમાજ શું કહેશે!’ બાબત બીજો પત્ર પણ આવ્યો. એવામાં હું એક લગ્ન પ્રસંગે અમારા સગામાં ઘેરાયેલી હતી. આસપાસ નજર કરતાં વિચાર્યું કે ‘હું દુઃખમાં હોઈશ તો આમાંથી કોઈ મદદ કરવા નહીં આવે.’ ચહેરા પર “સીનેમે સુલગતે હૈ અરમાન, આંખોમે ઉદાસી છાઈ હૈ…”નો ભાવ જોઈ મામાએ પૂછ્યું, “તારે દિલીપ સાથે લગ્ન કરવા છે?” અને મેં ‘હા’ કહી દીધી. પછીથી સંદેશાની આપ-લે કરવા ટેલિફોનની ઘણી અગવડો થઈ, પણ સપ્તાહનાં અંતે, દિલીપ સાથે બે ભાઈઓ અને એક બહેન ભાવનગર આવ્યાં. મારા સસરા-પપ્પાના સૂચન સાથે અમે આર્યસમાજની વિધિથી લગ્ન કર્યા, ત્યારબાદ પિતાજીને જણાવ્યું. નરમ દિલ પિતા થોડા દિવસ નારાજ રહ્યા પણ મને સુખી જોઈ યથાવત થઈ ગયા.

    આમ એક વાક્ય, ”મારું inclination નહોતું” અને સગા સાથેનાં એક દિવસના સહવાસ પછીના અંતર ઉજાસે…મારું જીવન વહેણ બદલી નાખ્યું.


    ક્રમશઃ

  • દિલીપ પરીખની એક અનોખી ચિત્ર શ્રેણી – નીતરતી સાંજ…પ્રકાશિત, અને અપ્રકાશિત ચિત્રકામ

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

    Aloneness.                                                 Loneliness. DKP 2023.
    એકાંતઃ શાંતિ, સંતોષ, આનંદ.                      એકલતાઃ વ્યાકુળતા,ઝંખના,હતાશા
    DKP
    Passion. DKP. 2022
    Sweet Moments…2019 DKP
    પહેલી પહેલી પ્રીતનો જુવાળ, મત્ત ઝરણ બુંદ બુંદનો ઉછાળ
    રસિક નયણે ઈશારા દિલદાર, અલી આછેરી ઓઢણી સંવાર.
                                                                                       સરયૂ

    સંગીતના સ્વર કેટલા પ્રમાણમાં સ્પર્શી શકે એ તો દરેક આત્માની જન્મજાત ક્ષમતા પર આધારિત છે.  

    ભાવનગરમાં વહેલી સવારથી મીઠા સૂરની અને ઘરકામના અવાજોની જુગલબંધી ચાલતી હોય. કોઈ ગીત વાગતું હોય એની સાથે, ‘’શિવરંજની રાગમાં લાગે છે કે, ‘પેલું ગીત સોહિણી રાગમાં હશે’ તેવી મમ્મીની અટકળો દિલીપ બાળપણથી સાંભળતા.

    વડોદરામાં કોલેજના અભ્યાસ સાથે દિલીપનો શાસ્ત્રીય સંગીતનો રસ ઘેરો ઘૂંટાયો. અમેરિકામાં શિષ્યવૃત્તિમાંથી ડોલર બચાવીને પહેલી ખરીદી ટેપ રેકોર્ડરની કરી. વિદ્યાર્થી તરીકે પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાનને નજીક બેસીને સાંભળવાની અમેરિકામાં તક મળી. દિલીપની જીવનસાથીની પસંદગીમાં ’સંગીતમાં રસ હોવો જોઈએએ એક આવશ્યક મુદ્દો હતો.

    દિલીપ-સરયૂ પ્રિન્સટનમાં રહેતાં અને ભારતમાં પરિવારને મદદ પહોંચાડતાં…એવા વ્યવસ્થિત જીવનમાં, ૧૯૭૦ના અરસામાં, ઘણા એન્જિનિયરની માફક, દિલીપને નોકરીમાંથી લે-ઓફ મળ્યો. દિલીપ આ દેશમાં પહેલા આવનાર હોવાથી કોઈ સગા-સંબંધીની ઓથ ન હતી. યોગ્ય જોબ શોધવા પૂર્વ છેડાથી કેલિફોર્નિયા તરફ એકલા કારમાં નીકળ્યા અને જોબ મેળવ્યો.

    કેલિફોર્નિયામાં સંગીતનો સુવર્ણ યુગ: કેલિફોર્નિયામાં ડિઝનીલેન્ડ નજીક વિશાળ ઘરમાં રહેવા ગયા. ૧૯૮૦ની સાલમાં  ઉસ્તાદ ઝાકીર હુસૈન થોડા કલાકારોને ડિઝનીલેન્ડ લાવવાનીયોજના કરે છે તેમ જાણવા મળતા દિલીપે આમંત્રણ આપ્યું. તેમાં સંતુર વાદક, પંડિત શિવકુમાર, વાયોલિન વાદક પંડિત વી.જી.જોગ, શ્રીમતી કાનન, કીચલુ, અજય ચક્રવર્તી અને અન્ય સંગત સભ્યો હતાં. અવનવા કાર્યક્રમમાં, ઉપરના વિશાળ રૂમમાં આતુર આનંદથી છલકતાં એંસી સંગીતપ્રેમીઓ ગોઠવાયાં. શ્રીમતી માલવિકા કાનનનું કંઠ સંગીત અને બીજા ભાગમાં જોગસાહેબની વાયોલિન અને ઝાકીર હુસૈનના તબલાને અજબ દાદ મળી. શિવજી અને અન્ય કલાકારો, જોગ સાહેબની વાયોલિન સાંભળવા શ્રોતાગણ સાથે બેસી ગયા હતા. હાર્મોનિયમની સંગત આપતા યુવાન (પદ્મશ્રી)અજય ચક્રવર્તીએ હસીને સ્પષ્ટતા કરી હતી, “હું એક ગાયક છું.” નવ મહેમાનો બે રાત રોકાયા. પછીના વર્ષોમાં ઘણી વખત ફરી મહેમાન બન્યા. ૧૯૮૦-૮૫માં અઢાર કાર્યક્રમો કર્યા. આ પ્રવૃત્તિઓમાં ભાઈ સંજયનો સાથ પણ હતો.

    ભારતરત્ન પંડિત ભીમસેન જોશી નો કાર્યક્રમ નક્કી થયો અને​ પંડિતજી સમેત છ સભ્યો અમારી સાથે ચાર દિવસ રહ્યા. ૧૯૮૨માં ભીમસેનજીનો એક કાર્યક્રમ મોટા સભાખંડમાં અને બીજો અમારે ઘરે ગોઠવાયો હતો. ત્યારબાદ આવેલા ખાસ કલાકારો​માં, પાકિસ્તાની સંગીતકાર સલામત, સરોદ-વાદક અમજદ અલી,  ગિરિજાદેવી,પદ્મ વિભુષણ પંડિત જસરાજ, પ્રભા અત્રે, શ્રુતિ સડોલીકર, ઈમરત ખાન જેવા ઉત્તમ કલાકારોનું આદરાતિથ્ય કરવાનો અવસર મળ્યો. છેલ્લે પદ્મ વિભૂષણ કિશોરી આમોનકરનો કાર્યક્રમ યોજ્યા પછી AT&T Bell Labsમાં જોડાઈ, ઓર્લાન્ડો, ફ્લોરિડામાં નિવાસ કર્યો.

    The Musicians. DKP. 2018

    Mysterious Life. DKP. 2022

    ઊર્મિલ સંચાર, નવલિકા.
    સત્યકથાઓ, કવિતા… લેખિકા. સરયૂ પરીખ.

    Poems and stories in Gujarati and English by Saryu. Paintings by Dilip K. Parikh. Book published in 2011.

    નીતરતી સાંજ  Essence of Eve.

    Note: The photocopies do not justify the original art.


    Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com