વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સ્મૃતિસંપદા : ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ [૨]

    ગતાંકમાં આપણે ડૉ. ઇન્દુબેન શાહ કેવા સંજોગોમાં પરિવાર સાથે અમેરિકા “ઉતર્યા” તે જાણ્યું.
    હવે આગળ….

    છ અઠવાડિયા સુધી ડો. રંજનબેનના ઘેર રહ્યા પછી અમે two bedroom apt. in Norwood (subarb of Boston, MA) રહેવા ગયા.

    Residency મળતા મળતા બીજા સાડા ત્રણ વર્ષ પસાર થઈ ગયા. તે દરમ્યાન, રમેશ બે જોબ કરતા, સોમવારથી શુક્રવાર પાર્ટ ટાઇમ Respiratory therapist તરીકે અને શનિ–રવિ ઘરડાઘરમાં. થોડા વખત પછી ઘરડાઘરની નોકરી છોડીને private companyમાં Holter Moniter (ElectroCardioGram_ECG-reader) તરીકેની નોકરી શરુ કરી. સાથે સાથે રમેશને બ્રુકલિન(Brooklyn, MA)ની બેથ ઈઝરાયલ(Beth Israel) હોસ્પિટલમાં રિસર્ચ જોબ મળ્યો. ઓપોસમ (opossum-possum, a marsupial) અને મનુષ્ય જાતિના મોટા આતરડાના ગુદા ભાગના જ્ઞાનતંતુ સરખા છે તે સાબિત કરવાનું કામ તેઓએ કર્યું. This research work was accepted in American Physiology journal.

    અમેરિકામાં શાળા જુલાઈમાં શરુ થાય. ઉનાળાના વેકેશન દરમ્યાન હાઈસ્કુલના વિદ્યાર્થી થોડા ક્લાક જ્યાં મળે ત્યાં નોકરી કરે, તેના ફાયદા; બાળકોને વ્યવસાયનો અનુભવ મળે, પૈસાનું  મહત્વ સમજાય અને કોલેજની ફી માટે બચત કરીને બને એટલુ આત્મનિર્ભર  થઈ શકાય.

    અમારી મોટી દીકરી પારૂલને Franconiaની ફ્લુમ રેસ્ટૉરન્ટમાં ૪ કલાકની નોકરી મળી ગયેલ; નાની દીકરી શીતલ ઘર-કામમાં માસીને મદદ કરતી અને માસીની અમેરિકન બહેનપણીને ત્યાં થોડા કલાક બેબી સિટીંગ કરતી. એક દિવસ કપડા સુકવતા તેણીની આંખમાં આંસુ આવ્યા, મારી બહેનના સાસુ એ જોઈ ગયા;  ‘શીતલ અમેરિકામાં બધાએ ઘરકામ કરવું પડે, અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટર ચુંટણી હારી ગયા, અત્યારે વોશિંગટનનું  white house છોડી પોતાના ગામમાં ખેતી કરે છે. થોડા વર્ષ જ મહેનત કરવાની છે, તમારા મમ્મી-પપ્પા અંહીના ડાકટર થઈ જશે અને તમે બન્ને અહીંની કોલેજમાં ભણશો પછી કોઈ તકલીફ નહીં રહે.’ લેબર ડે પછી વેકેશન પુરું થયું, શાળાઓ ખુલી, બન્ને દીકરી ભારતમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલ છતાં અંગ્રેજી અને ગણીતની પ્લેસમેન્ટ પરીક્ષા લેવાઈ; બન્ને ને ૧૧માં અને ૯માં ધોરણમાં Admission મળી ગયું. ઘરકામમાં માસીને મદદ, બન્ને રાત્રે મોડે સુધી લેશન કરે, સવારે વહેલા ઊઠી શાળાએ જાય. પારૂલનો  GPA હંમેશા ૩.૫ અને ૪ વચ્ચે રહેતો. અમારી ગેરહજરીની સૌથી વધારે અસર શીતલના અભ્યાસમાં પડી રહી હતી. એક દિવસ ફોન કર્યો; સાધારણ વાત જ કરતા હતા; શીતલ રડી પડી, અમે કોઈ ઠપકો આપેલ નહી, છતા રડવાનું કારણ?  મારી આંખ ભીની થઈ એ જોઇ રમેશે નિર્ણય લીધો, આપણે Franconia જઈને દીકરીઓને અહીં (Norwood) લઈ આવીને Norwood highમાં દાખલ કરીએ.

    મારી બન્ને દીકરી ૧૨માં ધોરણમાં સારા GPA સાથે ઉતિર્ણ થઈ. પારૂલને ત્રણ વિષય, Physics, Chemistry & Biologyમાં ઈનામ મળ્યા. પારૂલના હાઇસ્કુલ ગ્રેજ્યુએશનમાં રમેશ હાજર નહી રહી શક્યા, કારણકે, મારો સૌથી નાનોભાઈ જયેશ ભારતથી immigration visa સાથે બોસ્ટન-હવાઈમથક એ જ સમયે આવવાનો હતો, તેને લેવા જવાની જવાબદારી મારા બનેવીએ રમેશને સોંપેલ, જેથી તેઓને ન્યુ હેમ્પશાયરથી ડ્રાઈવ ન કરવું પડે. અમને હાઈસ્કુલ-ગ્રેજ્યુએશનનું મહત્વ આ દેશમાં આટલુ બધુ છે, તેની ખબર નહી. મે જોયું, ત્યારે મને ખબર પડી; મારી દીકરી આટલા બધા સારા માર્કસ અને ત્રણ ઇનામ સાથે ઊતિર્ણ થઈ, મારી આંખ ભરાઇ આવી આનંદથી અને મારા પતિની ગેરહાજરીના દુઃખથી!!

    મને Walpoleની બેન્કના ટ્રાન્સિટ ડિપાર્ટમેન્ટમાં  Reconcilliator of incoming checks from regional banks તરીકે રાતના૧૦થી સવારના ૭ સુધી નોકરી મળેલ. મારા Supervisor સાથે એ બધા સરવાળા ફરીથી તપાસવાના, આ કામ કોઇ વખત વહેલું પતી જાય, કોઈ વખત થોડી પણ ભૂલ થઈ હોય તો અમારે સરવાળા (reconciliation) કરવા પડે. મારી  Supervisor ઈટાલિયન હતી, મારી મોઢે સરવાળા કરવાની રીતથી ખૂબ પ્રભાવિત થતી.  એક દિવસ મને કહે, “તું એક વર્ષ કોલેજમાં જા, બેન્ક તારી ફી ભરશે, તને Supervisorની નોકરી મળી જશે.”

    મારો જવાબ; હું ઈન્ડિયાની ડોકટર છું, મારે બે દીકરીઓને ભણાવવાની જવાબદારી છે. મે અહીંની હોસ્પિટલમાં Residency માટે અરજી કરેલ છે.” તેણીએ શુભેચ્છા પાઠવી. મારા Supervisor સાથેના  સારા સંબંધની મારી સાથે કામ કરતી અમેરિકન બહેનોને ઈર્ષા આવતી! લંચ બ્રેક વખતે કોઇ મારી સાથે બોલે નહીં. હું મારું લંચ ઢોકળા થેપલા ઓફર કરું તો પણ ના લે. ખેર, હું ભારતીય હોવાથી મારા વખાણ તેઓથી સહન ન થાય તે સ્વભાવિક છે!

    એક દિવસ સવારે નોકરી કરી ઘેર આવતી હતી, મને ઝોકુ આવી ગયું, મારી ગાડી રોડ નીચે ઘાસમાં જતી રહી. મારી પાછળ પોલિસની સાયરન વાગી, મેં જાગીને ફ્લેશર્સ ચાલુ કર્યા, ઊભી રહી, પોલિસ આવ્યો, મારું લાયસન્સ અને રજિસ્ટ્રૅશન આપ્યા. મને પુછ્યું; “Ms, do you know why did I stop you? …Yes I know, after night job, was drowsy, lost control and car went on grass!” પોલિસે મને ટિકીટને બદલે ચેતવણી આપી. “રાતનો જોબ કર પરંતુ દિવસે પુરતો આરામ કર જેથી ફરી વાર આવું ન થાય.”  મે બાહેંધરી આપી, ફરી આવી ભૂલ નહી થાય. આત્મવિશ્વાસથી સાચો જવાબ આપી દઇએ તો અમેરિકામાં પોલીસ પણ તમને માફ કરે. લેશન મળ્યું – ગભરાયા વગર સાચું બોલવું.

    રમેશને રીસર્ચ પેપરના આધાર પર બ્રુકલિનની મેમોનિડીસ હોસ્પિટલ (Maimonides Hospital in Brooklyn, (NY) માં જનરલસર્જરીમાં Residency મળી.પરંતુ, ત્રીજા વર્ષમાં as per pyramidal system (!) એડમિશન ન મળ્યું, કારણ, ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ(FMG) with skin color and age difference! જો કે, Anesthesia ડિપાર્ટમેન્ટના Head (Program Director) ભારતના ડો.શેવડે હતા
    જેમણે રમેશને Anesthesia-Resident તરીકે લીધા.

    ૬ મહીના પછી, મેં પણ, Methodist Hospital (Brooklyn, NY) માં એનેસ્થેસિયામા residency શરુ કરી.  એ દરમ્યાન મને ડિફિકલ્ટ કેસ પ્રેઝન્ટ કરવાની તક મળી. દર મહિનાના છેલ્લા શુક્રવારે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટની કોન્ફરન્સ થાય ત્યારે મેં Dificult intubation નો કેસ પ્રેઝન્ટ કર્યો;   બાળકના હ્રદયના ધબકારા મંદ થતા હતા, ઇમરજન્સી C-Section કરવાનું હતું. Spinal Anesthesia વધારે સમય લે તે શક્ય નહી હોવાથી General Anesthesia was the best choice under the circumstances. ટુંકી ગરદન, અને મોટાપણાને લીધે, મેં જે સ્કોપ હતો તેનાથી તુરત જ ૭ નંબરની ટ્યુબ શ્વાસનળીમાં નાખી ૧૦૦% પ્રાણવાયુ આપ્યો; રજીસ્ટ્રારે તરત સર્જરી શરુ કરીને હેમખેમ બેબીને અને માને બચાવી લીધા. આ પ્રેઝ્ન્ટેશનનો ઉલ્લેખ ડો ટેંપેસ્ટાએ (Head of Deptt.) મારા ભલામણ-પત્રમાં કરેલ.

    અમે બન્ને રેસિડન્સી કરતા હતા, ત્યારે, ચિ. પારૂલને BU (Boston University)માં અને ચિ. શીતલને NorthEastern Uni.માં પ્રવેશ મળ્યો. અમે બન્ને NYમાં, અને બન્ને દીકરીઓ Norwoodમાં ! ત્યાર બાદ, રમેશને CardioVascular & Thoracic Anesthesia-Felloship Baylor College of Medicine, Houston, TXમાં અને મને, Felloship in OB-GYN anesthesia મળવાથી અમે હ્યુસ્ટન move થયા.

    પારૂલને સમર વેકેશનમાં વ્યસ્ત રહેવા માટે બે જગ્યાએ પાર્ટ ટાઇમ કામ મળી ગયું, આ કામની કમાણી તેના ખાતામાં જમા થતી જે તેને BUની ફી ભરવા ઉપયોગી થઈ, તે વખતે એક વર્ષની ફી ૨૨૦૦૦ ડૉલર હતી. પારૂલને ૧૦૦૦૦ ડોલર દર વર્ષે સ્કોલરશીપ મળવાની હતી, બાકીના પૈસા તેણીના વર્કના અને અમારા તરફથી. અમેરિકામાં ૧૨ ધોરણ સુધીનું ભણતર મફત. કોલેજનું ભણતર ખૂબ મોંઘુ હોવાથી કોલેજના ભણતરનો લાભ બહુ ઓછા વિદ્યાર્થીઓને મળે છે.

    પારૂલના આગ્રહને માન આપી બા બાપુજી કોલેજ Graduation માં હાજરી આપવા અમેરિકા આવ્યા તેમના આશીર્વાદ અને પારૂલની મહેનતથી ન્યુયોર્કની મેડીકલ કોલેજમાં એડમિશન મળ્યું. ચારવર્ષની Medical કોલેજ કર્યા બાદ ડલાસની સાઉથવેસ્ટ યુનિવર્સિટી-હોસ્પિટલમાં Internal Medicineમાં Residency મળી, શનિ-રવિ રજા હોય ત્યારે ડલાસ હિન્દુ મંદીરમાં દર્શન કરવા જતી ત્યાં પુર્ણિમાબહેન શાહ સાથે ઓળખાણ થઈ. તેમને ત્યાં સત્સંગમાં પુર્ણિમાબહેનના ભાણેજ ચિરાગ દેશાઈ સાથે પરિચય થયો. આ પરિચય પ્રણયમમાં પલટાયો. ચિરાગના માતા-પિતા ચુસ્ત વૈષ્નવ જય જય શ્રી ગોકુલેશમાં માને, અમે જૈન બન્નેના માતા-પિતાની સમજુતીથી ૧૯૯૭માં હ્યુસ્ટનમાં લગ્ન થયા.૧૯૯૮ના જુનમાં તેણીની રેસિડન્સિ પુરી થવાની હતી એપ્રિલની ૩૦ તારીખે અંજલી મારી પ્રથમ ગ્રાન્ડ ડોટરનો જન્મ થયો, હજુ રેસિડન્સિ પુરી થવાના બે મહિના બાકી હતા ૧૦ દિવસ શીતલ ફિલાડેલફિયાથી આવી અંજલીને રાખવા પારૂલ ડ્યુટિ પર હોય ત્યારે બ્રેસ્ટ પંપથી પોતાનું દુધ સ્પેસ્યિલ બેગમાં ભેગું કરે રેફરિજેટરમાં રાખે, તે બેગ બહાર કાઢી ગરમ પાણીના ગ્લાસમાં મુકવાનું નવસેકુ દુધ બોટલમાં ભરી અંજલીને પીવડાવવાનું.

    દસ દિવસ બાદ કોણ જાય? મે પારૂલના સાસુને પૂછ્યું તમે જશો? તેમનો જવાબ “ના બા ત્યાં તેની પાર્ટનર માછલી રાંધે મારાથી ન રહેવાય” ના હો મને એ ગેસ પર રાંધવાનું ના ગમે” જાણે ગેસ પર માછલી ચોટી જવાની હોય!

    ખેર સૌ સૌની માન્યતા! મારો નવો કોન્ટ્રેક છતા મારે અંજલીને રાખવા જવું પડ્યું.

    બે મહિના પછી એપાર્ટમેન્ટનો સામાન પેક કરી મારે ઘેર લાવવાનો, પારૂલની ઇન્ટરનલ મેડિસિન બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં, બે મહિના તેણી મારે ત્યાં રહે જેથી ઉપર તેના રૂમમાં શાંતિથી
    વાંચી શકે. અંજલી માટે અમારા મિત્રના બહેન સ્મિતા ભારતથી આવેલ તેમને ડોલર કમાવવાની જરૂર હતી જેથી જલ્દી પોતાનું ઘર લઈ શકે. અમે તુરત તેમને બેબી સીટર તરીકે રાખી લીધા, સવારના સાત વાગ્યામાં હું સ્મિતાબહેનને લઈ આવું. તુરત હોસ્પિટલ જવા નીકળું. ઉતાવળમાં એક દિવસ ગાડીમાં ગેસ ઓછો હતો હોસ્પિટલ ૨૫ માઈલ દુર જોયું મનમાં કશો વાંધો નહીં હોસ્પિટલ પહોંચી જવાશે ઘેર આવતા ગેસ લઈશ. હોસ્પિટલનું કામ પતાવી બે વાગે નીકળી ગેસની લાઇટ આવી ગયેલ હોસ્પિટલની નજીકના ગેસ સ્ટૅસન પર ગેસ લેવા ઊભી ખભે પર્સ લટકતું રાખી ગેસનું નોઝલ ટેંકના કાણામાં મુક્યું તુરત એક આફ્રો અમેરિકન છોકરી આવી “(can you shaw me where is north Houston hospital) મેડમ મને નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલનો રસ્તો બતાવશો? હું તેણીને જવાબ આપતી હતી ત્યાં અચાનક તેનો બોય ફ્રેન્ડ આવ્યો મારૂં પર્સ ખેંચી ભાગ્યો તેની પાછળ છોકરી પણ ભાગી બન્ને ગાડીમાં બેઠા પલાયન થઇ ગયાં મે બુમ મારી (thief thief snached my purse ran away) ચોર ચોર મારું પર્સ ખેંચી ભાગ્યો કોઈ દોડો પકડો, કોઈએ સાંભળ્યું નહી, કોઇ ગાડી ઊભી ના રહી!! મારી ગાડીમાં ગેસ નહીં મારી પાસે પૈસા નહી હુ બારીએ ગઈ એક દેશીભાઈ બેઠેલા હતા ખુશ થઈ બોલી ભાઈ મારું પર્સ ચોરાઇ ગયું બારીમાંથી તમે જોયું છે ,મને ૫ ડોલરનો ઊધાર ગેસ આપો હું નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલમાં ડોકટર છું,આવતી કાલે પૈસા આપી દઈશ, ભાઈનો જવાબ હું માલીક નથી, નોકરી કરુ છું મારાથી કોઇને ઉધાર ગેસ ન આપી શકાય.

    અત્યારે પારૂલ હ્યુસ્ટનમાં ૨૩ વર્ષથી   ઇન્ટર્નલ મેડિસિનની પ્રેકટિસ કરે છે. તેણીના બે બાળકો, મોટી દીકરી અંજલી સિવિલ એન્જિનિયર થઈ અત્યારે અમેરિકન નેવી-કોલેજમાં ઑફિસરની ટ્રેનિંગ લઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૨ ગ્રેજ્યુએટ-નેવલ ઓફીસર તરીકે અમેરિકન નેવી સાથે ૭ વર્ષનો કોન્ટ્રેક્ટ સાઇન કરેલ છે. નાનો દીકરો એરિસ (ARIS) યુનિવર્સિટી ઓફ ટેક્ષાસ-ડલાસમાં ન્યુરોસાયંસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

    નાની દીકરી શીતલ ન્યુયોર્કની લો કોલેજમાંથી ઊતિર્ણ થઇ તેના લગ્ન વિપુલ જાની સાથે ૧૯૯૭માં થયા; બન્નેના લગ્નમાં બાપૂજીએ હાજરી આપી, બા ૧૯૯૩માં અચાનક હ્રદય બંધ થવાથી પ્રભુને પ્યારા થઈ ગયેલ. શીતલ અત્યારે ફિલાડેલફિયા શહેરમાં કોરપોરેટ લોની પ્રેકટિસ કરે છે. તેણીની દીકરી સરિસા પિટ્સબર્ગ યુનિવર્સિટિમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે.અને ડીન લિસ્ટમાં તેનું નામ છે. જે અમારા માટે ગૌરવ છે. તેનો દીકરો સુમીત ૧૦માં ધોરણમાં છે. બન્ને દીકરીઓ તેમના કુટુંબ સાથે સુખી છે.

    અમારો અમેરિકા આવવાનો હેતુ સફળ થયો તેનો અમને બન્નેને આનંદ છે.


    ક્રમશઃ

  • વામા-વિશ્વ : કાશ્મીરની માટીકલા જીવંત રાખી સાઈમાએ

    જે સાચો કલાકાર છે, તે પોતાની કલાને સંપૂર્ણ સમર્પિત હોય છે. પોતાના જીવનના સંપૂર્ણ લાભો છોડી ને કલાની પાછળ આખું આયખું પસાર કરી દે છે

    આલેખનઃ અનુરાધા દેરાસરી

    કોઈ પણ કલાકાર તેની કલાને લુપ્ત થતી જોઈ શકતો/શકતી નથી. સાચો કલાકાર જીવનના બધા જ લાભછોડી, પોતાની જાતને પોતાની કલાને સમર્પિત કરી દે છે.

    કાશ્મીરની સાઈમા સફીએ આ જ રીતે પોતનું જીવન તેની પેશન અને કાશ્મીરની લુપ્ત થતી કલા, ‘પોટરી’ માટીકામને સમર્પિત કરી દીધું છે.

    ‘પોટરી’ એ કાશ્મીર રાજ્યની સદીઓ જૂની કલા છે. પરંતુ આધુનિક સમયની રફતારમાં તે લુપ્ત થતી જાય છે. સાઈમાએ આ કલા પાછળ, પોતાની સીવીલ એન્જિનિયરિંગની કારકિર્દીને પણ છોડી દીધી છે અને કાશ્મીરની આ લુપ્ત થતી કલા ‘પોટરી’ માટીકામને પુર્નજીવીત કરી, યુવાન અને આધુનિક પેઢી સુધી પહોંચાડવા માગે છે.

    આ લેખનો હાર્દ જ એ છે કે કલાકાર પોતાની કલાને કેટલો સમર્પિત હોય છે.

    જાણીએ ‘પોટરી’ કલાકાર જે હવે આખા કાશ્મીરમાં,Karl Koor  (આ કાશ્મીરી ભાષાનો શબ્દ છે એટલે પોટરી કલાકાર) તરીકે જાણીતી થઈ છે, તેની ‘પોટરી’ કલાની યાત્રા વિષે કેવી રીતે શરૂઆત થઈ, શું તેણે આ કલા માટે છોડ્યું, અને કેવી રીતે મૃતપ્રાય થતી કલાને નવી પેઢી સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહી છે અને તેના પ્રયત્નોની સફળતા.

    સાઈમા સફીના શબ્દોમાં ‘મને બાળપણથી કંઇક જીવનમાં આગવું કરવાની ઇચ્છા. મને નાનપણથી માટીની ઢીંગલીઓ જ રમવી ગમે. ફળીયાની દીકરીઓ બાર્બી વગેરેથી રમે, જ્યારે હું માટીની ઢીંગલીઓથી રમું, મને માટીકામ માટે આકર્ષણ.’

    સમયની રફતારમાં તે આકર્ષણ ભૂલાઈ ગયું. મેં સીવીલ એન્જિનિયરિંગની કારકિર્દી પસંદ કરી. આ અભ્યાસ દરમ્યાન અમારે શૈક્ષણિક ટુરમાં, ચંડીગઢ જવાનું થયું. અહીં મેં ‘પોટરી કલા’ની વિવિધ પ્રોડક્ટસ જોઈ અને મારા બાળપણનું આકર્ષણ અને પસંદગી તાજા થયા અને મેં આ પોટરીના કાર્યક્ષેત્રમાં વધુ કારકિર્દીની જાણકારી મેળવવાનું નક્કી કર્યું.

    સાઈમાએ આ પછીના વર્ષોમાં સીવીલ એન્જિનિયરિંગ કર્યું અને અનુસ્નાતક કરવા બનારસ ગઇ. અહીં તેણીએ પોરટરીની પ્રોડક્ટસ બનાવતી પ્રક્રીયા જોઈ અને તેનુ પોટરી – માટીકામ માટેનું આકર્ષણ વધ્યું. હવે સીવીલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક થયા પછી માતા-પિતાની ઇચ્છા પ્રમાણે કાશ્મીરની પી.ડબલ્યુમાં સરકારી નોકરી લીધી. આ તેના માતા-પિતાની ઇચ્છા પરંતુ સાઈમાની પોતાની ઇચ્છા પોટરીની કલાને જીવંત કરી કારકિર્દી બનાવવાની હતી.

    થોડો સમય, પી.ડબલ્યુ ડીમાં નોકરી કરી સાઈમાએ બેંગ્લોરમાં પોટરીની ટ્રેનીંગ લેવા માટે નક્કી કર્યું અને તેની આ પેશનને અમલમાં મૂકી.

    બેંગ્લોરની ટ્રેનિંગ દરમ્યાનની વાત સાઈમાના જ શબ્દોમાં જોઇએ, ‘અહીં બેંગ્લોરની ટ્રેનિંગમાં, સાઈમાં પોટરી માટેની જૂની પદ્ધતિઓ અને આધુનિક પદ્ધતિઓ વિષે શીખી. પોરટરીની શરૂઆતમાં તે પથ્થરના સ્વરૂપ એટલે કે ઢેફાના સ્વરૂપમાં આવે, તેને તોડવાની પ્રક્રીયા પછી તેને માટીના લોંદો બનાવવા માટે વીલ પર ફેરવવાની પ્રક્રિયા, પછી તેને સીધી કરવી, ત્યારબાદ તાપવાળી ભઠ્ઠીઓમાં અને આધુનિક ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં તપાવવા અને ત્યારબાદ પોરટરી માટે તૈયાર થાય પછી તેની જુદી જુદી પ્રોડક્ટસ બનાવવા વિષે શીખી. જુદા જુદા તાપમાને માટીને કેવી રીતે તપાવાય, તાપમાનની અસરો વિષે વગેરે શીખી. ઉપરાંત પ્રોડક્ટસ તૈયાર થાય પછી કેવી રીતે ‘ ફાયનલ ટચ આપવવો, ગ્લેસીંગ વગેરે શીખી.

    ‘અહીં મને પોટરી વિષે લગભગ સંપૂર્ણ જ્ઞાન મળ્યું અને મને આગળ વધવાનો રસ્તો મળ્યો અને મેં નિર્ણય કર્યો કે પોરટરી કાશ્મીરી કલાને પુર્નજીવીત કરી લુપ્ત થતી બચાવીશ અને સ્ટુડીયો બનાવી, આગલી પેઢી સુધી આ કલાને પ્રચલીત કરી.’

    કાશ્મીર પાછા આવ્યા પછી સાઈમા સફીએ જૂના પોટરી કલાકારોને મળવાનું શરૂ કર્યું. તેમની પાસેથી આ કલા વિષે માહિતી મેળવી. માટીકામની પ્રોડક્ટસને વધુ કેવી રીતે સુંદર બનાવવી તે વિષે ચર્ચા કરી, પોતાની આ કલાની યાત્રામાં જોડાવવાનું સૂચન કર્યું. આ પોટરી કલાકારોને પોતાનો અવાજ ઉઠાવનાર કોઈ મળ્યું આથી તેઓ સાઈમા સફી સાથે જોડાયા.

    પરંતુ કહેવાય છે ને સારા કામમાં અનેક વિઘ્નો આવે અને સાઈમાની પોટરી સ્ટુડીયો બનાવી આ કલાની યાત્રાને આગળ વધારવાની યાત્રામાં આર્થિક અને સરકારી તેમજ બીજા વિઘ્નો આવ્યા.

    પોરટરીની આધુનિક સાધનો માટે આર્થિક જરૂરીયાત વધારે હતી જે તેની પાસે નહોતી. ઉપરાંત એ દરમ્યાન કાશ્મીરમાં, ૩૭૦ કલમ રદ થતો કાયદો આવ્યો આથી તેનો આ પોટરી સ્ટુડીયોનો પ્રોજેક્ટ પાછો ઠેલાયો. પરંતુ સાઈમાએ આ વિઘ્નોનું સમાધાન મેળવ્યું અને પોટરી સ્ટુડીયો ચાલુ કર્યો.

    ક્યારેક સંતાને પોતાની નીજી પેશન કારકિર્દી અને માતા-પિતાની ઇચ્છાવાળી કારકિર્દીની તુમુલ યુદ્ધની કેનાલમાંથી પસાર થવું પડે છે. સાઈમા પણ આ કેનાલમાંથી પસાર થઈ, પરંતુ માતાની પ્રેરણાથી સીવીલ એન્જિનિયરિંગની કારકિર્દી છોડી સંપૂર્ણપણે પોટરીની કારકિર્દી માટે સમર્પીત થઈ.

    આ પ્રકારના તુમુલ યુદ્ધમાં માતા-પિતાએ ઝૂકવું પડે છે અને સાઈમાના માતા-પિતાએ સાઈમાને પોતાના રસ્તે જવાની સ્વતંત્રતા આપી.

    સાઈમાએ પોતાનો નાનો પોટરીનો સ્ટુડીયો શરૂ કર્યો. જેમાં અદ્યતન પોટરી માટેના સાધનો, ઇલેક્ટ્રીક ફરનેસ, સ્લેબ રોલરસ, ગેસની સગડીનો, ચાકડો, ને ઇલેક્ટ્રીકથી ફરે તે ગ્લેઝીંગ માટેની સામગ્રી પ્રોડક્ટસ પર ચિત્રકામ માટેની સામગ્રી વગેરે પારંપારિક અને અદ્યતન બન્ને સામગ્રીઓથી પોટરી સ્ટુડિયો વસાવ્યો. સાઈમા માટીકામ માટે કાશ્મીરી ટોરાકોટાની માટીનો ઉપયોગ કરવા લાગી. પરંતુ આ માટી ચળકાટવાળી હોય છે પરંતુ સખત હોય છે. આથી ખાસ ઉત્તરપ્રદેશથી માટી મંગાવવા માંડી. આ ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ માટીના ઓર્ડરો આપવા માંડી.

    પરંતુ સાઈમા જણાવે છે કે, આ માટીનો મોટો સ્ટોક લાવવામાં ટ્રાન્સપોર્ટેશન, ઠંડીની મોસમ અને કાશ્મીરમાં પડતા બરફને લીધે ઘણી મુશ્કેલીઓ પડે છે. પરંતુ શરૂઆતમાં તે કામ મુશ્કેલ લાગતું હતું હવે તેમાં પણ ફાવટ આવી ગઈ છે.

    સાઈમા સફી પોતાની પોટરીની પ્રોડક્ટસનો સાદો દાખલો આપતા કહે છે કે કાશ્મીરનો કાવો ખૂબ પ્રખ્યાત છે. તે માટેનો પોટરી કપ પારંપારિક સાદો આવતો. હવે તેમાં સુધારો કરી માઈક્રોવેવમાં મુકાય, તેમજ તેના પર ગ્લેઝીંગ કરી, આકર્ષક બનાવ્યો. આમ રસોડાના ઘણા વાસણો તેણે પોટરી પારંપારિક ને નવો ઓપ આપ્યો.

    સાઈમાએ પોતાના એન્જિનિયરિંગનું ડીઝાઈનીંગ, ને પ્લાનીંગનો પણ આમા ઉપયોગ કર્યો. તેમજ ડીજીટલ માર્કેટીંગનો પણ આધાર લીધો છે.

    સાઈમા સાફી જણાવે છે કે, ‘આ પ્રકારના વાસણો રોજીંદા ઉપયોગમાં વપરાશથી વૈજ્ઞાનિક રીતે પણ વ્યક્તિગત સ્વાસ્થ્યમાં પણ ફાયદાકારક છે.’

    સાઈમા સફીની પોટરી હવે કાશ્મીર કે ભારત પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ વિશ્વના દેશો જેવા કે ચીન, જાપાન, તુર્કી, (જ્યાં આ પ્રકારના પોરટરીના વાસણોનો ઉપયોગ થા છે) ત્યાંથી ઓર્ડરો આવે છે.

    પોટરીનો નાનો સ્ટુડીયો હવે, સતત કામથી ધમધમે છે અને સાઇમા સફીનું પોટરીની કલાને મૃતપ્રાય થતી અટકાવવાનું સફળ થયું છે.

    સાઈમાસફીની પોટરી કલાના સમર્પણને સેલ્યુટ.

  • ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતી અસમાનતા ક્યારે દૂર થશે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    બિનનહેરુ-ગાંધી પરિવારના પ્રથમ કોંગ્રેસી વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ (કાર્યકાળ- ૧૯૯૧-૧૯૯૬)ના નાણામંત્રી ડો.મનમોહન સિંઘે જુલાઈ ૧૯૯૧માં રજૂ કરેલા કેન્દ્રિય અંદાજપત્રમાં મિશ્ર અથતંત્રને બદલે બજાર કેન્દ્રી અર્થતંત્રનો માર્ગ અપનાવ્યો હતો. આર્થિક ઉદારીકરણની આ નીતિમાં ખાનગીકરણને વેગ મળ્યો હતો. દેશના સર્વ ક્ષેત્રોની જેમ શિક્ષણ ક્ષેત્ર પર પણ તેની મોટી અસર પડી હતી. ઉદારીકરણ પછી ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર થયો હતો. ઉદારીકરણ પૂર્વે દેશમાં ૧૬૪૪ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો હતાં જે આજે વધીને ૬૯,૫૩૪ છે. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશનમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં દેશમાં ૩૯,૯૩૧ કોલેજો હતી. ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો, સાક્ષરતા દર વધ્યો પણ તેથી કશો ફેર પડ્યો ખરો? દેશમાં પ્રવર્તતા ભેદભાવ અને અસમાનતામાં ઘટાડો થયો છે ખરા?

    ડો. આંબેડકરના ત્રિમંત્રમાં શિક્ષણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણને સિંહણનું દૂધ ગણાવીને જે તે પીશે તે ત્રાડ નાંખશે તેમ પણ કહેવાય છે. ઉચ્ચ શિક્ષણને તો આર્થિક સશક્તિકરણ અને સામાજિક પ્રગતિનો માર્ગ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા શી છે? તાજેતરનો અજીમ પ્રેમજી યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા ૨૦૨૬માં તેનો કેટલોક ખુલાસો જોવા મળે છે. રિપોર્ટ જણાવે છે તે પ્રમાણે ૧૫ થી ૨૯ વર્ષની ૩૬.૭ કરોડની વસ્તીમાંથી ૨૬.૩ કરોડની આબાદી ઉચ્ચ  શિક્ષણથી વંચિત છે.

    ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશનો દર વધ્યો છે પરંતુ તે તમામ સુધી પહોંચ્યો નથી. હજુ યુવાનો કરતાં યુવતીઓનો પ્રવેશ દર ૫ ટકા ઓછો છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં  કોલેજો શરૂ થઈ હોવાનું આશ્વાસન જરૂર લઈ શકાય છે પરંતુ મહિલાઓ માટે  અલાયદી કોલેજો હજુ માત્ર ૧૧.૦૪ ટકા જ છે. ગ્રામીણ ભારતના સામંતી અને જડ જ્ઞાતિવાદી સમાજમાં યુવાન છોકરીઓ માટે ગામની બહાર અને તે પણ મિશ્ર કોલેજમાં અભ્યાસ કરવો કપરો છે.  ગ્રામીણ વિસ્તારોની કન્યાઓ સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓ, આર્થિક તંગી અને ઘરની જવાબદારીઓને લીધે દસમા-બારમા ધોરણ પછી જ ભણવાનું છોડી દેવા મજબૂર હોય છે એટલે બહુ ઓછી કન્યાઓ કોલેજનું પગથિયું ચઢે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સ્ત્રી-પુરુષ વચ્ચેનો ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ આખી દુનિયામાં છે. વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણમાં ૧૦૦ મહિલાના નામાંકન સામે પુરુષનું નામાંકન ૮૮ જ છે પરંતુ મેનેજમેન્ટ,આઈટી, સાયન્સ, એન્જિનીયરીંગ, મેડિકલ જેવા ક્ષેત્રોમાં ડીગ્રી મેળવવામાં ૩૦ ટકા જ મહિલાઓ છે. આર્ટસ-કોમર્સમાં તેમનો પ્રવેશ ૫૪ ટકા છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક વિજ્ઞાનના વિષયોમાં મહિલાઓ વધુ અભ્યાસ કરે છે અને પુરુષો ઓછા છે. યુ.કેમાં ગ્રેજ્યુએશન બાદના પહેલા વરસમાં  પુરુષ કરતાં મહિલા સ્નાતક ૯ ટકા ઓછી કમાણી કરે છે. જે દસ વરસ પછી ૩૧ ટકા થાય છે.

    જેમ લૈગિંક ભેદ છે તેમ જ્ઞાતિગત ઉચ્ચ-નીચના ભેદ અને અસમાનતા પણ છે. ઉચ્ચ શિક્ષણમાં નામાંકનની રાષ્ટ્રીય સરેરાશ ૨૮.૪ છે પરંતુ દલિતો અને આદિવાસીઓ હજુ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. ૨૦૧૧માં અનુસૂચિત જાતિનો ઉચ્ચ શિક્ષણમાં નામાંકન દર ૧૧ ટકા હતો જે ૨૦૨૩માં વધીને ૨૬ ટકા થયો હતો. અનુસૂચિત જનજાતિનો નામાંકન દર ૨૦૧૧માં ૮ ટકાથી વધીને ૨૦૨૩માં ૨૧ ટકે પહોંચ્યો છે. પરંતુ હજુ તે રાષ્ટ્રીય સરેરાશથી ઓછો છે. એમ કહી શકાય કે કોલેજ-યુનિવર્સિટી શિક્ષણમાં દલિતો-આદિવાસીઓની ભાગીદારી વધી છે ખરી પણ હજુ સમાન કક્ષાએ પહોંચી નથી.

    સામાજિક અસમાનતા જેવી જ આર્થિક અસમાનતા ઉચ્ચ શિક્ષણમાં છે. સરકારી કોલેજોમાં ઈજનેરી શિક્ષણનો વાર્ષિક ખર્ચ રૂ. ૧,૨૩,૦૦૦ અને તબીબી શિક્ષણનો વાર્ષિક ખર્ચ રૂ. ૯૭,૪૦૦ છે. ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના આખા કુટુંબની  વાર્ષિક આવક પણ આટલી હોતી નથી  એટલે તેમના સંતાનો મેડિક્લ, એન્જિનીયરીંગ, મેનેજમેન્ટ અને એવું શિક્ષણ  ભાગ્યે જ મેળવી શકે છે.તેમણે તો આર્ટ્સ –કોમર્સમાં ભણીને હાયર એજ્યુકેશન મેળવ્યાનો સંતોષ માનવાનો હોય છે.

    શિક્ષણનું માધ્યમ પણ ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવનું કારણ છે. દલિત, આદિવાસી અને પછાતવર્ગના  વિધ્યાર્થીઓ મોટેભાગે સ્થાનિક ભાષામાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરે છે તે પછી જ્યારે તેમને તબીબી અને ઈજનેરી કોલેજોમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું થાય છે ત્યારે તે આકરું તો પડે જ છે સાથે સાથે તે લઘુતાગ્રંથિ અનુભવે છે. કોલેજના વર્ગખંડો, સેમિનાર, કોલેજ કેમ્પસ , મિત્રો અને સમાજમાં ફાંકડુ અંગ્રેજી બોલનારાની બોલબાલા હોય છે એટલે સ્થાનિક ભાષાના વિધ્યાર્થીઓ ઉપેક્ષાનો ભોગ બને છે. આ કારણે તેઓ સતત માનસિક તણાવ અનુભવે છે. દલિત-આદિવાસી વિધ્યાર્થીઓ જ્ઞાતિને કારણે તો ઉવેખાય છે તેમાં ભાષાનો ભેદ ભળે છે તેથી ઘણી વખત તેઓ આત્મહત્યા સુધી પહોંચે છે. ૨૦૨૨નો એક અભ્યાસ આ બાબતે જણાવે છે કે ૩૫ ટકા વિધ્યાર્થીઓ બોલવાની રીત પર ચિંતામાં હોય છે, ૩૩ ટકાને એવો ડર છે કે તેમની બોલવાની ઢબછબ કેરિયરમાં અંતરાય બનશે અને ૩૦ ટકા અંગ્રેજીમાં નબળા હોઈ કોલેજમાં મજાકનો વિષય બન્યા હતા.પ્રત્યાયનનું સાધન ભાષા કેવી અસમાનતા અને ભેદભાવ જન્માવે છે તે જણાય છે.

    અસમાનતા અને ભેદભાવની આ વિશ્વવ્યાપી સ્મસ્યા શું દૂર થઈ શકે તેમ નથી? અમેરિકાએ એફરમેટિવ એકશનનો માર્ગ પસંદ કર્યો છે .તેના કારણે બ્લેક્ને શિક્ષણ અને રોજગારમાં પ્રવેશ મળ્યો છે. બ્રાઝિલનો કોટા કાયદો પણ કાળાઓને લાભદાયી થયો છે. બ્રાઝિલની કેન્દ્રીય વિશ્વવિધ્યાલયોમાં અડધી બેઠકો સરકારી હાઈસ્કૂલોના વિધ્યાર્થીઓ માટે અનામત રાખી છે તેથી આફ્રિકી મૂળના વિધ્યાર્થીઓની સંખ્યામાં એક જ દાયકામાં ચાર ગણો વધારો થયો હતો.

    ભારતમાં ૧૯૪૭માં સાક્ષ્રરતા દર ૧૮.૩ ટકા હતો. જે આજે ૭૭ ટકા છે. ગુજરાત અને બીજા કેટલાક રાજ્યોમાં રાજ્યના સામાન્ય સાક્ષરતા દર કરતાં દલિતોનો સાક્ષરતા દર વધારે જોવા મળ્યો છે.પરંતુ તેનાથી સમાનતા આવી શકી નથી અને ભેદભાવો પૂર્ણ ભૂતકાળ બન્યા નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સમાનતાને પ્રોત્સાહન વિનિયમ ૨૦૨૬ને ભારતની સર્વોચ્ચ અદાલતે અસ્પષ્ટ અને દુરપયોગની સંભાવના ધરાવતો ગણાવી તેના અમલ પર રોક લગાવી છે. એટલે ભારતના ઉચ્ચ શિક્ષણમાં સમાનતાની મંઝિલ ઘણી દૂર લાગે છે.બંધારણના અનુચ્છેદ ૪૬, શિક્ષણનો અધિકાર કાયદો ૨૦૦૯ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ભારતની શિક્ષણ પ્રત્યેની બંધારણીય અને નીતિગત પ્રતિબધ્ધતા દર્શાવે છે. શિક્ષણનો અધિકાર માત્ર પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી સીમિત ન રહેતાં તે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવો જોઈએ. તે પણ સમાવેશી, ભેદભાવવિહોણું, સારી ગુણવતા ધરાવતું ઉચ્ચ શિક્ષણ હોય તો લિટરસી રેટનો વધારો સાર્થક ગણાય.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મોજે રીબા : અરૂણાચલ પ્રદેશના ક્રાંતિકારી

    માહિતી જંક્શન

    વિશાખા મોઠિયા

    આજે આપણે વાત કરવાની છે એક એવા ક્રાંતિકારીની, જેનું નામ લગભગ તો કોઈએ નહીં જ સાંભળ્યુ હોય અથવા તો માંડ બે પાંચ ટકા લોકોએ જ સાંભળ્યુ હશે. આ ક્રાંતિકારીએ આઝાદીની ચળવળની લડતમાં જોડાવા માટે પોતાનો વેપાર-ધંધો પણ બંધ કરી આ ચળવળમાં જોડાયા હતા, કારણ કે તેમનાં માટે પોતાના વેપાર કરતાં દેશ અને તેની આઝાદી સૌથી પહેલા હતી. તો ચાલો જાણીએ, અરૂણાચલ પ્રદેશનાં મોજે રીબા વિશે.

    મોજે રીબાનો જન્મ ૧૮૯૦ માં અરૂણાચલ પ્રદેશનાં સિયાન જિલ્લાનાં દરીંગ ગામમાં થયો હતો જે અત્યારે ‘દરી’ તરીકે ઓળખાય છે. મોજે રીબા વ્યવસાયે શેરડીનો વેપાર કરતાં હતાં. મોજે રીબા સ્વભાવે વિનમ્ર, દયાળુ અને હંમેશાં લોકોની મદદ કરવા તત્પર એવા સેવાભાવી વ્યક્તિ હતા. તેમનાં આ સ્વભાવને લીધે તેઓ પ્રેમથી “અબોહ ન્યાજી” તરીકે ઓળખાતા હતા, જેનો અર્થ થાય છે – બધાનાં વૃદ્ધ પિતા. ગામનાં લોકોએ તેમને “ગાંવ બુરાહ” એટલે કે ત્યાંના લીડર બનાવી દીધા હતા.

    મોજે રીબા શેરડીનો વેપાર કરતાં હતાં. એકવાર તેઓ તેનો શેરડીનો માલ વેપાર અર્થે બ્રહ્મપુત્ર નદી પાસે આવેલ દિબ્રુગઢમાં રહેતાં તેનાં હિંદી ભાષી મિત્રોને આપવા જાય છે, ત્યારે તેમને તેના હિંદી ભાષી મિત્રો પાસેથી દેશમાં અંગ્રેજો વિરુદ્ધ ચાલી રહેલી આઝાદીની લડત વિશેની માહિતી મળે છે. બસ આ જ ક્ષણથી તેમનામાં દેશસેવાની ભાવના જાગી અને મનોમન આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. તેમની માટે વેપાર કરતાં દેશની આઝાદી વધુ મહત્વની હતી, કારણ કે વેપાર તો થાતો જ રહેશે પરંતુ દેશની આઝાદીની ચળવળમાં જોડાવાની તક પાછી ક્યારેય નહીં મળે અને આપણો દેશ આઝાદ થાય એ જરૂરી હતું એ સમયે.

    ૧૯૨૦ ની આસપાસ તેઓ પોતાનો વેપાર છોડીને આઝાદીની લડતની ચળવળમાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓને ટેકો આપવાનાં સંદર્ભમાં તેઓ તેમનાં ગ્રામ્યવાસીઓ સાથે દિરાંગ જાય છે અને ત્યાંથી તેઓ સાદિયા જવાનું નક્કી કરે છે. ત્યાં તેઓ ગોપીનાથ બોરડોલાઈ અને લલીત હઝારીકાને મળે છે. મોજે રીબાના નેતૃત્વ હેઠળ અનેક આંદોલનો અને રેલીઓ થઈ જેની માટે તેઓને ક્યારેક જેલ પણ થઈ હતી. તેમના ઉમદા કાર્ય જોઈને તેમને વધુ ઉમદા કામ કરવા માટે એ સમયની સરકાર આઈ. એન. સી. (ઈંડિયન નેશનલ કોંગ્રેસ)માં જોડાવાનું કહેવામાં આવે છે. ૧૯૩૦ માં આઈ.એન.સી. માં જોડાયા અને ઘણાં ઉમદા કાર્યો કર્યા. તેઓ અરૂણાચલ પ્રદેશનાં એક માત્ર વ્યક્તિ હતા જેઓ આઈ.એન.સી. માં જોડાયા હતા.

    ભારતની આઝાદીની ચળવળમાં આપેલા તેનાં અમૂલ્ય યોગદાન તેમજ બલિદાન માટે ૧૫ ઓગસ્ટ, ૧૯૭૨ના રોજ તેઓને તે સમયનાં વડાપ્રધાન શ્રીમતી. ઈન્દિરા ગાંધીનાં હસ્તે “તામ્રપત્ર”નું સન્માન આપવામાં આવ્યું હતું.  ૨૨ જાન્યુઆરી, 1૧૯૮૦ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

    આમ, દેશની આઝાદીની ચળવળમાં જોડાયેલ ક્રાંતિકારી (અનસંગ હીરો) મોજે રીબાની દેશ પ્રત્યની સેવા-ભાવનાની પ્રેરણા હંમેશાં આવનારી પેઢીને પ્રેરણા આપશે.


    સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘ભારત એક ખોજ’નું સંગીત – ‘ભારત માતાકી જય’ અને ‘આરંભ’

    દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

    બીરેન કોઠારી

    પહેલા હપ્તાનું શીર્ષક ‘ભારત માતા કી જય’  અને બીજા હપ્તાનું શીર્ષક ‘આરંભ’ છે.

    પહેલા હપ્તામાં પુસ્તકની પૂર્વભુમિકા રજૂ કરાઈ છે. પંડિત નેહરૂ જ્યારે પણ કોઈ સભામાં જતા ત્યારે સમગ્ર પ્રજા ‘ભારત માતાકી જય’ ના ઘોષથી તેમનું અભિવાદન કરતી. પંડિતજી લોકોને પુછતા કે ‘ભારત માતા’ કોણ છે?. તમે લોકો કોનો ‘જય’ ઈચ્છો છો?.

    અહમદનગરની જેલમાં પુસ્તક લખવાની શરૂઆત કરતાં નેહરૂના મનમાં  સવાલ થાય છે ભારતના ભૂતકાળમાં એવી તે શું શક્તિ હતી જેને કારણે ભારત એ સમયમાં મહાન સંસ્કૃતિ હતી? એવું તે શું થયું કે વર્તમાનમાં એ શક્તિ હણાઈ ગઈ છે?

    તેમના આ સવાલોના મનોમંથન સ્વરૂપે સિરીયલનાં શીર્ષ ગીતનું મહત્વ રહેલું છે. તે દર્શાવવા માટે શીર્ષ ગીત ફરીથી – @૧૦.૨૭ થી  @૧૪.૧૨ સુધી – ગીતના બોલને અનુરૂપ દૃશ્યો સાથે આખું ગીત, અંતમાં  ‘હૈ કીસી કો નહીં પતા નહીં પતા’ બોલ સાથે, રજૂ થાય છે.

    રેલ્વે યાત્રા કરતાં કરતાં તેઓ  સમગ્ર દેશનું પરિભ્રમણ કરતા રહે છે. એ સમગ્ર દૃશ્યો દરમ્યાન કીબોર્ડના સુરો સાથેનું પાર્શ્વસંગીત વાગતું રહે છે. યાત્રાની સમાપ્તિ સમયે નેહરૂ બોલતા સંભળાય છે કે ‘અત્યાર સુધી જે વિષય મારા માટે માત્ર બુદ્ધિગમ્ય હતો તેને હવે હું લાગણી અને વાસ્તવિક ભારતની સાચી સમજ સાથે જોવા લાગ્યો હતો. ૧૮.૨૭થી ૨૨.૪૫  સુધી બેકગ્રાઉન્ડમાં શાસ્ત્રીય આલાપની સાથે ભારતની પ્રાચીન સંસ્કૃતિનાં સ્થાપત્યોનાં દૃશ્યો આપણી નજર સામેથી પસાર થાય છે.

    આ એપિસોડમાં તેઓ મધ્ય કાળમાંથી મોગલ સામ્રાજ્યના અકબરના સમય સુધી આવે છે ત્યારે નેહરૂની સામે ભારતના ઇતિહાસના ઉતારચડાવ, જયની પરાકાષ્ઠાઓ અને પરાજયની પીડાઓનું દર્શન ચારે તરફ ઉઘડવા લાગે છે. તેમનાં વિવરણના આ તબક્કાને પણ @૨૮.૩૧ થી લઈને @૩૦.૪૨ સુધી નહેરૂના સ્વગત સંવાદ અને આપણી સામે ચાલી રહેલી દૃશ્યાવલી સાથે શાસ્ત્રીય સંગીતના આલાપથી બેકગ્રાઉન્ડમાં વણી લેવાઈ છે.

    પહેલા હપ્તાના અંતમાં નેહરૂનું મનન વર્તમાન પરિસ્થિતિ સુધી પહોંચે છે અને શીર્ષ ગીતના બોલ સાથે પહેલો એપિસોડ પુરો થાય છે.  દરેક એપિસોડના અંતમાં શીર્ષ ગીતના બોલ  સંભળાતા રહે એ ક્રમ પણ સિરીયલની સિગ્નેચર ઓળખ બની રહે છે.

    આ હપ્તો અહીં જોઈ શકાશે.

    ****

    મૂળ પુસ્તકની પૂર્વભૂમિકા પછી બીજા હપ્તાથી જવાહરલાલ નેહરૂએ આલેખેલા ઈતિહાસનું દર્શન શરૂ થાય છે. આ હપ્તાનું નામ છે. ‘આરંભ’.

    પુસ્તકના પ્રકાશન અને ટી..વી.ધારાવાહિકના નિર્માણ વચ્ચેના લગભગ અડધી સદીના સમયગાળામાં અનેક બાબતો બદલાઈ, અને પુસ્તકમાંની અનેક વિગતો અંગે માહિતી પણ ઊપલબ્ધ થઈ શકે. શ્યામ બેનેગલે આ મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને અભિનેતા ઓમ પુરીના સ્વરમાં આ પૂરક માહિતીનું કથન  ઊમેર્યું છે. જેમકે પ્રાચીન ભારતની સંસ્કૃતિના વિકાસની અગમ્યતાનાં પંડિત નેહરૂનાં વિવરણ સાથે @૫.૦૦થી ૫.૩૮ સુધીમાં નહેરૂના મનોભાવની સાથે ઓમ પુરીના સ્વરમાં આ પૂરક માહિતીનું કથન અને તેની સાથે ઊંડો ઊંડો શંખનાદ સંભળાતો હોય તેવું પાર્શ્વસંગીત પણ સંભળાતું રહે છે.

    પ્રાચીન ભારતની સિંધુ સંસ્કૃતિના તે સમયની પર્શિયા, મેસોપોટેમિયા અને ઈજિપ્ત જેવી અન્ય સંસ્કૃતિઓના રોજબરોજના જીવનવ્યવહારનો પરિચય કરાવવા માટે કોઈ વિધિની દૃશ્યાવલી સાથે @૨૫.૪૩ થી ૨૭.૦૦ સુધી લોકવાદ્ય સંગીત વાગતું રહે છે.

    બીજા એપિસોડના અંતમાં મોહન જો દરો અને હડપ્પાની સંસ્કૃતિના પહેરવેશ, વિધિઓ, કળા-કારીગીરી અને રહનસહનનું વર્તમાન સાથે કેટલું સામ્ય છે તે દર્શાવવા એ ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો બતાવાઈ રહ્યા છે તેની સાથે પણ એક આલાપ @૪૧.૦૦ થી ૪૧.૫૨ સુધી મંત્રોચ્ચારની શૈલીમાં સંભળાય છે, જે તે પછીથી તરત જ કીબોર્ડ વડે સર્જાતા પાઇપતરંગના સુર જેવાં સંગીતમાં એપિસોડના અંતમાં પરિણમે છે.

    આ હપ્તો નીચેની લિન્‍ક પર જોઈ શકાશે.


    ક્રમશઃ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


    Disclaimer:

    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

  • જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો : પ્રાસંગિક પરિચય

    વેબ ગુર્જરી પર ” સુશ્રી જીનાબેન શેઠનાં પુસ્તક “જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો” પર આધારિત નવી લેખમળા શરૂ કરી રહ્યાં છીએ.

    “જૂની રંગભૂમિના લોકપ્રિય ગીતો”
    લેખિકાઃ જીના શેઠ
    પહેલી આવૃતિ, પૃષ્ઠ : 16+448
    પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, અમદાવાદ ૩૮૦૦૧

    સુશ્રી જીનાબેન શેઠ પોતા વિશે કહે છે કે “ન તો હું કલાકાર છું, ન તો કોઈ સંશોધક, ન લેખક.” તેઓ અન્ય કોઈ સંદર્ભમાં તેમનો પરિચય જણાવવા તેમનો વ્યવસાય જણાવે તો “ગૃહિણી” એમ જ લખે. જ્યાં સુધી જીનાબેનના અન્ય શોખ અને રસ વિશે વધારે જાણવા ન મળે ત્યાં સુધી કોઈ પણ એવું જ માને. જીનાબેનનાં વ્યક્તિત્વમાં જે  સંશોધક કે લેખક છુપાયેલ હતાં તેને તેમણે પોતાની ગૃહિણી તરીકેની વ્યસ્તતામાંથી બહુ સહજ, અને સભાન,પણે બહાર આવવાં દીધા. તેમનાં રૂપાંતરણની આ અનુભૂતિની વાત તેમના જ શબ્દોમાં જાણીએ.

    અનુભૂતિની એરણે…

    ભારતમાં ગીતગંગા તો અનાદિ કાળથી વહેતી આવી છે. કોઈ કાંઠે બેસી એનાં નિર્મળ નીરને નીરખ્યાં કરે છે, કોઈ એનું પાન કરે છે, તો કોઈ એ રસસરિતામાં ડૂબકી મારી એનો આહ્‌લાદક રસાનંદ લે છે. મને પણ બાળપણથી જ ગીતો ખૂબ ગમતાં. તેમાં આવતું સંગીત, તેના શબ્દો, સૂર, લય, તાલ મનને જકડી રાખતાં. નવાં ગીતો લખવા જેટલી તાકાત તો હતી નહીં, પણ પ્રમાણમાં થોડી મોટી ઉંમરે ગીતનું સંગીત જેમ ગમતું તેમ તેના શબ્દો અને ભાવને સમજવાનું પણ ગમવા લાગ્યું. શાળામાં આ પ્રવૃત્તિને લીધે ભાષાના વિષયોમાં સારા માકર્સ મળતા તો પછીથી આ જ આવડતને થોડી મઠારી “ગુજરાતી કથાગીતો’ પુસ્તક પણ તૈયાર થયું.

    આ પુસ્તક વખતે શ્રી હસમુખભાઈ મહેતાએ વિનયકાંત દ્વિવેદી દ્વારા સંપાદિત “મીઠા ઉજાગરા? પુસ્તક આપ્યું હતું. જે ખૂબ ગમ્યું હતું. તે વખતે તો તેનાં ગીતોનો કોઈ ખાસ ઉપયોગ નહોતો કર્યો, પણ તેમાં થોડી નોંધો કરી રાખી હતી જે થોડા સમય પછી ફરી હાથમાં આવી ત્યારે ફરી મન ખેંચાયું. આ પુસ્તકમાં જૂની રંગભૂમિનાં ગીતો છે. સાથે બે સી.ડી. પણ છે. જે જોઈ-માણી. ખૂબ મજા આવી, પણ આ વિષય અંગે કોઈ જ જાણકારી ન હતી. થોડાં પુસ્તકો મેળવ્યાં. વાંચ્યાં. ગીતો જેટલી જ એની વાતો પણ રસપ્રદ હતી.

    જ્યારે આ તમામ કલાકારો વિશે જાણ્યું ત્યારે રંગભૂમિ પ્રત્યેની તેમની અપ્રતિમ નિષ્ઠા, સમર્પણ અને પ્રેમ જોઈને હું દંગ રહી ગઈ. ગુજરાતી રંગભૂમિના વિકાસ અર્થે આ કલાકારોએ કેવું અભૂતપૂર્વ કામ કર્યું છે તે મને ત્યારે સમજાયું. મનમાં વિચાર આવ્યો કે શું આ વિષયમાં થોડું કામ કરી શકાય ? પણ મારી શી લાયકાત ? ન તો હું કલાકાર છું, ન તો કોઈ સંશોધક, ન લેખક…. કયા રૂએ આ કામ થાય ? પણ ખબર નહીં કોઈક ધક્કો મારી રહ્યું હતું !

    આ સમય દરમિયાન જૂની અને નવી રંગભૂમિના ઉત્તમ કલાકાર ઉત્કર્ષ મજુમદાર અમદાવાદ આવ્યા હતા. એમના મોઢે એ રસમય વાદો… એમની રંગયાત્રાની વાતો સાંભળી ત્યારે જલસો પડી ગયો. એ આનંદે પણ થોડો ચેપ લગાડયો અને આ દિશામાં પ્રેરિત કરી. પછી તો યૂ-ટ્યૂબ પર સરિતા જોશીની વાતો પણ સાંભળી અને એમના અનુભવો પણ માણ્યા અને જેમ “વેણુ વાંસળી વાગે ને સૂતાં જાગે’ એમ ફરી મનમાં સળવળાટ થયો. આમ આ બધાં જ પરિબળોએ પોતાનું કામ કર્યું

    મેં તો મોજ ખાતર આ માહિતી ભેગી કરી છે. થોડા મારા વિચારો છે, થોડા અન્યોના. દસ્તાવેજીકરણનો કે કડીબદ્ધ ઇતિહાસનો કોઈ દાવો નથી. બસ માણ્યું તેનો ગુલાલ જ છે આ! રસ પડે તો તમે પણ મારી સાથે ભીંજાજો…

    આ વિષયે એક ગૃહિણીની બીબાઢાળ જિંદગીને રસમય બનાવી છે. એની આંખોમાં રોમાંચ અને રોચકતા આંજી છે. એની કલા અને કલાકારો પ્રત્યે જોવાની દષ્ટિ બદલી નાખી છે. અરે! જીવન પ્રત્યે જોવાની દષ્ટિ પણ બદલી નાખી છે. કલા, કલાની કદરદાની, કલાકારોની મહેનત અને લગન પ્રત્યે ભાગ્યે જ એણે ધ્યાન આપ્યું હતું કે એ રીતે એની તરફ જોયું હતું. નાનપણથી જ એ અભિનયકારોને જાદુગરની જેમ જોતી. ને હંમેશાં એ વિસ્મય થતું કે કઈ રીતે એક જ વ્યક્તિ આટલા જુદા-જુદા રોલ સફળતાથી ભજવી શકતી હશે! એના એ વિસ્મયે અને એના મનમાં ધરબાયેલી એ જિજ્ઞાસાએ જ કદાચ એની પાસે આ કામ કરાવડાવ્યું હશે !

    આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘરના વડીલો સાથે પણ જ્યારે-જ્યારે વાત થતી ત્યારે એમની આંખોની ચમક, એમની યાદોની તાજગી, એમના મોઢે એ ગીતોનો ગણગણાટ સાંભળી મનમાં થતું કે ચોક્કસ એ સમય રંગભૂમિનો સુવર્ણકાળ જ હશે !!!

    તમે મીરાંનાં ગીત ગાઓ, ગાલિબની ગઝલ સાંભળો કે ગરબાને ગળે લગાડો, છેવટે તો હૃદય સોંસરવું ઊતરે એ જ સર્જન સાચું. જેમ ગુજરાતી લોકસંગીત પછી અવિનાશ વ્યાસના સુગમસંગીતનાં ગીતો આખાય ગુજરાતમાં ગવાતાં રહ્યાં છે, એ જ રીતે ગીત તરીકે સાહિત્યિક ગુણવત્તા ગુમાવ્યા વગર ટકી શકે એવાં થોડાં ગીતો જૂની રંગભૂમિએ પણ આપ્યાં છે. એને સજાવવા પાછળ કરેલી કલાકારોની અથાગ મહેનતને લીધે એ જીવ્યાં. ચિરંજીવ બન્યાં. એની વય કેટલી ? એક-બે-ચાર મહેફિલ પૂરતી નહીં, સિત્તેર-એંસી અરે સો વર્ષ પછી પણ તરોતાજા ! હિતેન આનંદપરા લખે છે તેમ.

    એક મહેફિલ પૂરતી મહેનત નથી
    કાવ્યને પોતાની વય છે, લે કલમ!

    કેવા હશે એ ગીતકાર, સ્વરકાર કે જેમના શબ્દો, જેમના સૂર આજે પણ લીલાછમ છે!

    કોઈ ગીત એના શબ્દોને લીધે ગમી જાય, કોઈ એની સરળતાને લીધે, કોઈ એના સંગીતને લીધે તો કોઈ એની ગાયકીને લીધે. અહીં રજૂ થયેલાં ગીતો પૈકી કદાચ કોઈ ગીત થોડું અપરિચિત હશે, પરંતુ આ તમામ ગીતો અત્યંત મધુર અને ગમી જાય એવાં છે. ઘણાં ઉત્તમ ગીતો રહી પણ ગયાં હરો, કારણ આવાં તો સેંકડો ગીતો છે જૂની રંગભૂમિનાં, જે માણવાલાયક છે. આ તો પાશેરામાં પહેલી પૂણી છે. સો-સવાસો વર્ષનો જૂની રંગભૂમિનાં ગીતોનો ઇતિહાસ… એમાં પ્રગટતી સ્ત્રી-સંવેદનાની, લાગણીઓની તથા ગુજરાતી સમાજ, પરંપરા તથા સંસ્કૃતિની હજારો રંગ છટાઓ છે આ ગીતોમાં ! આ ગીતો સાંભળ્યાં ત્યારે અજાણપણે જ આ ગીતો સાથે એક ભાવસેતુ બંધાયો અને એણે મારી ચેતનામાં ઊંડે સુધી પ્રભાવ જન્માવ્યો હશે એવું મને લાગે છે, નહીંતર મારો અને નાટકનો વળી શો સંબંધ ? હા, સંબંધ માત્ર એટલો જ કે હું નાટક કે અન્ય કલા સાથે હોઉં છું ત્યારે હું મારી જાત સાથે હોઉં એવો અહેસાસ મને ઘણી વાર થાય છે. આ જ અસ્તિત્વનો આનંદ છે એમ મોડે-મોડે પણ સમજાવા લાગ્યું છે.

    સો-સવાસો વર્ષ સુધી ગુજરાતના કલારસિક પ્રેક્ષકોને કલાના રસાનુભવનો આનંદ કરાવીને રંગભૂમિએ રંગ રાખ્યો છે. ગુજરાતી રંગભૂમિએ પોતાનાં નાટકો દ્વારા પ્રજાને જે ઉત્સાહ અને પ્રેરણા આપી છે તે ખરેખર સ્તુત્ય છે. એ નાટકોમાં ગીત, સંગીત, પ્રહસન (કૉમેડી), નૃત્યો આજે જેને આપણે “ટોટલ થિયેટર’ કહીએ છીએ તે બધાં જ તત્ત્વો હતાં. એનો વિષય-વિસ્તાર તો વિરાટ સાગર જેવો છે, તેને ઉલેચવો દુર્ગમ છે. ગાગરમાં સાગર સમાવવા જેવું આ દુઃસાધ્ય કાર્ય ગણી શકાય. આ તો મહાસાગર છે. અહીં તો માત્ર મહાસાગરની એક નાનકડી છાલક જ છે.

    જૂની રંગભૂમિ – એમાં જે તન્મયતા, લાલિત્ય, શિષ્ટતા, વિશિષ્ટતા અને જે ભાવાભિનય દેખાતાં હતાં તે અજોડ હતાં. સંઘર્ષો છતાંય ગુજરાતી રંગભૂમિને ટકાવી રાખનારા એ તમામ કલાકારો અને પ્રેક્ષકોને તમે પણ મારી સાથે સલામ મારો એ માટે મારું ઇજન છે. પ્રજાજીવનને સંસ્કારવામાં, સુધારવામાં, શિષ્ટ મનોરંજન પૂરું પાડવામાં કેટલીય શક્તિશાળી નાટકમંડળીઓ, કેટલાય ખ્યાતનામ નાટયલેખકો, કુશળ કલાકારો, કવિઓ, કસબીઓએ કોઈ કસર બાકી રાખી નથી. એની નોંધ તો લેવાવી જ જોઈએ.

    “ગુજરાતી રંગભૂમિ’ ઉપર અનેક શ્રદ્ધેય પુસ્તકો લખાઈ ચૂક્યાં છે અને હું આ વિષયની કોઈ તજજ્ઞ નથી એટલે સંભવ છે કે ક્યાંક કદાચ કોઈ ત્રુટિ રહી ગઈ હોય, તેને મારી મર્યાદા ગણી ક્ષમ્ય કરશો. અહીં રજૂ થયેલી વાતોને વાચકો જે-તે સમય અને પરિસ્થિતિના સંદર્ભમાં જાણશે – સમજશે એવી આશા રાખું છું.

    રંગભૂમિની નાટચસંપદા અને ગીતસંપદાનું અનેરું મહત્ત્વ છે. નવી પેઢી પણ આ ગીતમાધુર્યથી વંચિત ન રહી જાય તો સારું. સર્વ સુધી એની મહત્તા અને સંવેદનશીલતા વિસ્તરો એ જ અભ્યર્થના.

    કલાદેવીની કુપા આપણા સૌ ઉપર હો અને આપણે બધાં કલા થકી વધુ ઊજળાં બનીએ એવી ભાવના સાથે વિરમું છું.

    આમાંનાં ઘણાં ગીતો સોશિયલ મીડિયા પર પણ મળી જશે. સમય ફાળવીને જરૂર સાંભળજો.

    તેમના આ શોખને તેમણે જે વ્યવસ્થિત રૂપે દસ્તાવેજ કર્યો તેના પરિપાક રૂપે તેમણે જૂની રંગભૂમિનાં ગીતોને ઉજાગર કરતું પુસ્તક “જૂની રંગભૂમિના લોકપ્રિય ગીતો” આપ્યું. આ ઉપરાંત તેમણે ‘ગુજરાતી કથાગીતો’ પરનું પુસ્તક લખ્યું છે અને ‘વહાલનું અક્ષયપાત્ર’ પુસ્તકમાં હરેશભાઈ ધોળકિયા વિશે તેમનાં સ્વજનો, મિત્રો, સમકાલીનો અને સાહિત્યકારો વગેરે એ જે સંસ્મરણો લખ્યાં તેનું સંકલન કર્યું છે.

    “જૂની રંગભૂમિની રોમાંચક દુનિયા “ વિશે જીનાબહેને ગુજરાતી વિશ્વકોષની ભગિની સંસ્થા ‘વિશ્વા’ના ઉપક્રમે તાજેતરમાં એક વ્યાખ્યાન પણ કર્યું જે અહીં જોઈ / સાંભળી શકાશે:

    “જૂની રંગભૂમિની રોમાંચક દુનિયા” પુસ્તકને પ્રકરણ ક્રમાનુસાર  વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાની સહમતી આપવા બદલ વેબ ગુર્જરી સુશ્રી જીનાબહેન શેઠનો હાર્દિક આભાર માને છે.


    પ્રસ્તુત લેખમાળા જૂન ૨૦૨૬ થી દર મહિને બીજા સોમવારે વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાનું આયોજન છે.


    સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧૧ મું. – અમેરિકાની દીલસોજી.

    પ્રકરણ ૧૦મું. : વેદનાની મીઠાશ થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    સુવોન નગરને સ્ટેશને ઉતરીને એક અમેરીકાવાસી બાઈસીકલ ઉપર ચાલ્યો જતો હતો. થોડે દૂરના એક ગામડામાંજ એને જવું હતું, છતાં એ પ્રવાસી છૂપાતો છૂપાતો પહાડોની પ્રદક્ષિણા ફરીને જતો હતો. એને ખબર હતી કે સીધે રસ્તે જાપાની પહેરગીરોનું થાણું છે, સિપાહીઓ એને આગળ જવા નહિ આપે.

    ઘણા ગાઉનો ઘેરાવો ખાઇને એ મુસાફર એક ગામડામાં દાખલ થયો. લોકોને એ પૂછવા લાગ્યો કે “આંહી આગ લાગી હતી ને ?” થરથરતાં ગામલોકોએ એક ઉદ્‌ગાર પણ ન કાઢ્યો. પ્રવાસી સમજી ગયો. ગામમાં સરકારી અમલદારો હાજર હતા.

    સરકારી અમલદારો સીધાવ્યા પછી લોકોએ આવીને મુસાફરને વાતો કરી.

    ૧૫ મી તારીખે બપોરે સોલ્જરો ગામમાં આવેલા. હુકમ કાઢ્યો કે “દેવાલયમાં હાજર થાઓ, ભાષણ દેવું છે.” ઓગણત્રીસ ખ્રીસ્તીઓ દેવાલયમાં ગયા, ને દિગ્મૂઢ બની બેઠા. પલવારમાં તો સોલ્જરો દેવાલયને વીંટળાઈ વળ્યા, બારીઓમાંથી બંદુકો છોડી; શ્રોતાજનો મરાયા, ઘવાયા, ત્યાં તો સોલ્જરોએ દેવળને આગ લગાડી. બહાર નીકળવા દોડનારાને સંગીનથી વીંધ્યા. ગોળીબાર સાંભળીને બે શ્રોતાઓની સ્ત્રીઓ તપાસ કરવા આવી. ગાળીઓના વરસાદમાં થઈને દેવાલયમાં જવા લાગી, ત્યાં તો બન્નેને સોલ્જરોએ કાપી નાખી. પછી સોલ્જરો ગામને આગ લગાડીને ચાલી નીકળ્યા.

    બીજા એક ગામડામાં લોકોએ સ્વાધીનતાની ચીસ પાડી છપ્પન લોકોને પોલીસ થાણામાં બોલાવવામાં આવ્યા. દરવાજા બંધ કરીને દિવાલ ઉપરથી સિપાહીઓએ ગોળીઓ છોડી. તમામ લોકોના પ્રાણ ઉડી ગયા.

    ત્રીજા એક ગામડાને આગ લગાડી સોલ્જરો ઉભા ઉભા એની જ્વાળાઓ જોઇ રહ્યા હતા. લોકો પોતાનાં ઘરબારની આગ બુઝાવવા દોડ્યાં. સોલ્જરોની ગોળી છુટી, સંગીનો ઘોંચાયાં, મારપીટ પડી. ગામવાસીઓ પણ પોતાના સુંદર ગામને સળગતું જોતાં જોતાં ઉભા રહ્યાં.

    ગામડે ગામડે આગ લાગે, માતાઓ સ્તનપર વળગેલાં બાળકોને લઈ ભાગે, પિતાઓ મોટાં છોકરાંને ઉપાડી ન્હાસે, પાછળ સોલ્જરોની ગોળીઓ છૂટતી આવે: આવાં તો કેટલાંયે ગામડાં ભસ્મીભૂત બની ગયાં. એનાં વર્ણનમાં કલ્પનાના રંગો નથી પૂરી શકાતા.

    એકાદ ઘર સળગતું જોયું છે ? એ સ્ત્રીઓની ચીસો, બચ્ચાંઓના આક્રંદ ને મરદોના હાકલ પડકારા કાને પડ્યાં છે ? ખાઉં ખાઉં કરતી જ્વાળાઓ આંહીંથી ત્યાં દોડતી, સંહાર કરતી નિહાળી છે ? સેંકડો લોકોની સહાય, અને સાંત્વન વચ્ચે પણ શી શી ભયાનકતા માત્ર એક ઘરની આગમાંથી ઉભી થાય છે ! ખ્યાલ કરો, કોરીયાની અંદર સરકાર આખાં ગામડાં ને ગામડાં સળગાવી મૂકે, બુઝાવવા જનારનો બંદુકે પ્રાણ કાઢી નાખે.

    અને આ બધો વિનાશ શું એ ચાર પાગલ બની ગએલા સોલ્જરોએ પોતાની મોજને ખાતર કરેલો ? જાપાની લશ્કરની સખ્ત દેખરેખમાં મગદૂર નથી એક પણ સૈનિકની કે પોતાની જવાબદારી ઉપર એ એક ગોળીબાર પણ કરી શકે. સેનાપતિઓના હુકમો હતા. સોલ્જરોની આખીને આખી ટુકડીઓ ફરતી હતી.

    પરદેશીઓએ એ ધ્વંસ નજરે નિહાળ્યો, ગવર્નરની પાસે પોકાર પહોંચાડ્યો, એ પાયમાલીની છબીઓ બતાવી ગવર્નરે દિલગીરી દર્શાવી ગુન્હેગારોને નશીયતે પહોંચાડવાનું વચન આપ્યું. એક પણ અપરાધીને સજા નથી થઈ. રે ! રૂખ્સદ તો નથી મળી, પણ પગારમાં કશો ઘટાડો યે નથી થયો !

    ત્યારે શું આ કૃત્યો કેવળ કોરીયાની સરકારનાં જ હતાં ? જાપાની પ્રજાનો જરાયે અપરાધ નહોતો ? એણે શું આ નિર્દોષ આશ્રિત પ્રજાના ધ્વંસ ઉપર કદી એક પણ આંસુ વરસાવ્યું છે ? ઇતિહાસ ના પાડે છે. જાપાનની પ્રજા આ બધી વિગત જાણતી હતી. કોઈ પણ પ્રજાજને આ જુલ્મ સામે આંગળી ઉંચી નથી કરી, તિરસ્કાર નથી પ્રગટ કર્યો. જાપાનની પ્રજા તો ‘મહત્ જાપાન’ નાં સ્વપ્નાં જોતી હતી !

    પરંતુ યુરોપી પરદેશીઓ તો ટોળાબંધ કોરીયામાં વસતા હતા. અમેરિકાવાસીઓનો હાહાકાર શું સામે કિનારે પોતાની ભૂમિમાં ન પહોંચ્યો ? આવા દારૂણ ધ્વંસની એક પણ કથની કાં કોઇએ પોતાને ઘેર ન લખી મોકલી ?

    કારણ એટલું જ કે ટપાલખાતું ને તારખાનું સરકારના હાથમાં હતું. પત્રવ્યવહાર ઉપર સજ્જડ ચોકી ગોઠવાઈ ગઈ હતી. એક પણ સમાચાર એ ચોકીદારોની નજર ચુકાવી કોરીયાના સીમાડા ન વટાવી શકે. અમેરિકામાં બેઠેલા કોરીયાવાસી પોતાને ઘેર કાગળો લખે એ સરકારી ચોકીદાર ફોડે; એ કાગળમાં સરકારના કારભારને લગતી લગારે હકીકત હોય તો એ કાગળના ધણીને સજા થાય. આની બેવડી અસર થાય. કોરીયાવાસી રાજ્યદ્વારી ખબરો લખતો અટકે, ને પરદેશથી એવા ખબર મેળવતો બંધ થાય. કોરીયામાં વસનારો અમેરિકાવાસી પોતાને દેશ જઈ જાપાની સરકારના સંબંધમાં કશુ ભાષણ કરે, કે લેખ લખે, તો કોરીયન કોન્સલ એ ભાષણ કે લેખ કોરીયા સરકારને મોકલે. પેલો અમેરિકાવાસી પાછો કોરીયામાં આવે એટલે એને કોરીયા છોડી જવાનો આદેશ મળે.

    ત્યારે અમેરીકાવાસીઓ કોરીયાની હાલત સંબધે કેવી માહીતી ધરાવતા ? એ માહીતી આપનાર કોણ ? એ માહીતી આપનાર સરકાર પોતે. શી રીતે ? પોતાનાં પક્ષનાં વર્તમાનપત્રો મારફત આંકડાશાસ્ત્રમાં કાબેલ બનેલી સરકાર, હકીકતો અને વિગતોને શણગારવામાં પ્રવીણ કોરીયન સરકાર શી શી અસરો ન કરી શકે ?

    પરદેશીઓ અંજાઈ જાય એવી એ ઈંદ્રજાળ હતી.

    એટલુંજ બસ ન હોય. જાપાન મનુષ્યસ્વભાવ જાણતું હતું. મનુષ્યના અંતરાત્માને–રે આખી ને આખી પ્રજાના અંતરાત્માને–ખરીદી લેવાની કળા જાપાને પશ્ચિમને ચરણે બેસી આબાદ કેળવી લીધેલી. સુલેહની પરિષદ્‌ને સમયે જાપાને યુરોપી રાજ્યોની અંદર એક કરોડ ડોલર (ચાર કરોડ રૂપીયા) છૂટે હાથે વેરી દીધેલા હતા. અત્યારે પણ અમેરિકાનું હૃદય હાથ રાખવા માટે જાપાન દર વરસે લાખો ડોલરો એટલે કરોડો રૂપીયા ખરચી રહ્યું છે. છાપાંઓ જાપાનની વાહવા પોકારે તેનો આ મર્મ છે. વક્તાઓ ઠેર ઠેર જાપાનની રાજનીતિનાં યશોગાન ગાય તેનો આ મર્મ છે. બીજી બાજુ જાપાનીઓ અમેરિકાની અંદર મોટાં મોટાં મંડળો ખોલે છે, વરસે વરસે મિજબાનીઓ ને મ્હેફિલો થાય છે. બબ્બે હજાર ઇજ્જતદાર અમેરિકાવાસીઓ એ મંડળના સભાસદો છે. મ્હેફીલનાં મેજ ઉપર પેટ ભરીને પછી દારૂની છલકતી પ્યાલીઓ ઉડાવતા ઉડાવતા અમેરિકાવાસીઓ ફીદા થઈને જાપાનની સ્તુતિ કરે છે.

    જાપાની અત્યાચારના બચાવનો એક નમુનો લઈએ. ૧૯૧૯ ની ઝુમ્બેશ સંબધે એક અમેરિકાવાસી લેખક અમેરિકામાં લખે છે કે “બદમાશોને ‘અમર રહો મા’ એવો ધ્વનિ કરવાના ત્રીશ ત્રીશ પૈસા મળે છે. ત્રીશ પૈસાને ખાતર આ બદમાશો ટોળે વળે, બૂમો પાડે, પોલીસ થાણાં ઉપર હલ્લો કરે, પત્થર ફેંકે, પછી તો જાપાની સૈનિકો સરખાં શાંત માણસોને પણ ખીજ તો ચડેજ ને !”

    બરાબર છે ! કોરીયાની બઝારમાં મનુષ્યનો જાન સસ્તે ભાવે મળી શકે છે ! પણ એટલો તો સસ્તો નહિજ, કે ત્રીશ પૈસાને ખાતર કોરીયાવાસી વીંધાઈ જવા કે કપાઈ જવા તૈયાર થઈ જાય !

    આખરે ઈન્દ્રજાળ ભેદાણી. કેટલાએક મીશનરીઓ રેલ્વેમાં બેસી છેક ચીનમાં પહોંચ્યા, ને ત્યાંથી પોતાને દેશ કાગળો રવાના કર્યા. અમેરિકાનાં વર્તમાનપત્રોમાં કોલાહલ ચાલ્યો. જાપાની અધિકારીઓએ ઘણા યે ખુલાસા ચોમેરથી બહાર પાડ્યા. પણ અમેરિકાવાસીને મન સંદેહ રહી ગયો. એક મંડળી કોરીયામાં આવવા તૈયાર થઈ. એ ઇસારો થતાં તો જાપાની સરકારનાં ભાડુતી વર્તમાનપત્રોએ બૂમરાણ મચાવ્યું કે “જાશો ના, જાશે ના, કોરીયામાં કોલેરા ચાલે છે.” પણ પેલી મંડળી માની નહિ. એટલે બીજી બૂમ પડી કે “ખબરદાર તમારી જીંદગી જોખમમાં છે. કોરીયામાં તમારા પ્રાણ લેવા એક કાવતરૂં રચાય છે.” પણ પેલા મહેમાનોનાં હૈયાં થડક્યાં નહિ. જાપાની સરકારે જણાવ્યું કે “તમે તો નહિ સમજો, પણ અમારા માનવંત મિજબાન તરીકે તમારૂં રક્ષણ કરવાની અમારી ફરજ છે. ફિકર નહિ; તમારી સાથે અમારી પોલીસ હાજર રહેશે. સાવધાન, પોલીસની સૂચનાને અનુસરજો, નહિ તો જોખમ છે.”

    મિજબાનોનું મંડળ આવી પહોંચવાનું હતું તે દિવસે સ્ટેશનથી ઉતારાના મુકામ સુધી રસ્તા પર સિપાહીઓ ઉભેલા કોરીયાવાસીઓ અમેરિકાના મિજબાનોને આવકાર દેવા હોંશે ભર્યા દોડ્યાં આવ્યાં.

    પોલીસે તલવાર કાઢી, નાદાનોને નસાડ્યાં. મહેમાનોની ગાડી ગામમાં નીકળી ત્યારે બન્ને બાજુ પોલીસ, અને રસ્તો સ્મશાન સમો નિર્જન ! મિજબાનો ચકિત થયા. ક્યાં હતો કોલેરા ? ક્યાં ગયું પેલું કાવરૂં ?

    મહેમાનોએ હઠ પકડી કે અમારે તો દેશ જોવો છે. સરકાર કહે કે તમને લૂંટવા ને મારી નાખવા મોટી ટોળી ખડી થઈ છે. મહેમાનો કહે ફિકર નહિ. સરકાર સમજી કે ચોક્ખી ના નહિ પડાય. પણ એક ઇલાજ હતો. કોરીયાવાસીઓનેજ મહેમાનો પાસે આવવા ન દેવા !

    મહેમાનોને મ્હેફિલો પર મ્હેફિલોઅપાવા લાગી. સરકારી નિશાળો, કચેરીઓ, અદાલતો, બતાવવામાં આવ્યાં. મહેમાનો મહેમાનીમાંજ તલ્લીન બન્યા. મિષ્ટાન્ને કોનું મ્હોં નથી ભાંગી નાખ્યું ?

    આખી મંડળીમાં એક માણસ મક્કમ રહ્યો. એણે તો હઠ પકડી કે મ્હારે આ દેશવાસીઓને જોવાં છે. એણે જણાવ્યું કે હું એકલોજ આથડીશ. મારી સાથે પોલીસ નહિ. એણે એક સભા ભરી. મંડપમાં મેદની માતી નથી. મહેમાનનું ભાષણ બધાં તલ્લીન બની સાંભળે છે. ત્યાં તો સોલ્જરોનાં સંગીનો ઝબૂક્યાં. શ્રોતાજનોની ધરપકડ ચાલી. મહેમાનને કહેવામાં આવ્યું કે કૃપા કરી ચાલ્યા જાઓ.” મહેમાને આંખો ફાડી જણાવ્યું કે “પહેલી બેડી મને પહેરાવો. પછી જ આ નિર્દોષ મંડળીને તમે આંહીથી લઈ જઈ શકશે.” એકજ આદમીની મક્કમતા ! સેના શરમાઈને ચાલી ગઈ.

    આ એક મિજબાનના મનમાં એવો તિરસ્કાર, એવો કોપ વ્યાપી ગયો કે એણે પોતાની મંડળીનો સંગાથ છોડ્યો, એકાકી એ આખા કોરીયામાં રખડ્યો. અમેરિકામાં જઈને એણે આખું ભોપાળું એના નગ્ન સ્વરૂપમાં રજુ કર્યું.

    એ મંડળીના નિવાસ દરમ્યાન સરકાર શુ કર્યા કરતી હતી ? તારો પર તારો છૂટતા હતા કે મહેમાનો વિરૂદ્ધ કાવતરૂં ચાલે છે, મહેમાનોની ગાડીને પટકવા માટે પાટા ઉખેડી નાખેલા છે, બોમ્બ છૂટવાની તૈયારી છે.

    અમેરિકામાં પાછાં આવતાં એક પણ મુસાફરે આ રેલગાડીના અકસ્માત, કાવતરાં કે બોમ્બ વિષે એક ઉચ્ચાર, સરખો યે નથી કર્યો. ઉલ્ટું મિજબાનોએ ઠેર ઠેર જણાવ્યું કે એ રમણીય ભૂમિનાં લોકો-પુરૂષો, સ્ત્રીઓ ને બચ્ચાંઓ, -સ્ટેશને સ્ટેશને આઘે ઉભાં ઊભાં અમારી સામે દયામણી આંખે નિહાળી રહ્યાં હતાં. ક્વચિત કવચિત એ હર્ષનાદ કરતાં હતાં, પણ ઘણું ખરું તો એ ચુપચાપ ઉભાં રહેતાં. એની ચુપકીદીમાં અમે એનાં હૈયાં વાંચી શકતા. એના પ્રાણ પરદેશી સત્તાની સામે પોકારતા હતા.

    આવતા અંકેઃ પ્રકરણ ૧૨ મું – ભીષણ સૌંદર્ય.


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • મારી પથ્થરની કાયામાં | સાહેબ મારા મેલા કપડાં ધૂએ

    મારી પથ્થરની કાયામાં 

    અનિલ જોશી 

    મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે

    પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી
    પગલીથી ચિતરાયાં ફળિયાં.
    રમકડાંના મોરલા ગહેક્યા કરે
    ને ઊડ્યાં વાદળાં બનીને મારાં નળિયાં.
    મારા કમખામાં ચોમાસું એવું બેઠું
    કે હવે સહરાના કાંઠાયે છલકે.

    મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે


    પંખા ઉપર કોઈ માળો ન બાંધશો,
    પંખો ફરશે ને વિખરાશે.
    રમકડાંના મોરલા ગહેકશે નહીં
    અને ફળિયામાં પગલી ખોવાશે.
    મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ
    એનાં પાંદડાંઓ ડાળમાંથી સરકે.

    મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે



    સાહેબ મારા મેલા કપડાં ધૂએ

    – સુરેન ઠાકર ‘મેહુલ’

    સાહેબ મારા મેલા કપડાં ધૂએ
    તરવેણીને તીર ઊભો ઈ
    આજુબાજુ ના જુએ.

    મેલ ભરાયો અગમ ખૂણે ઈ
    ધોતાં ધોતાં રૂએ.
    ટીપે ટીપે અડસઠ તીરથ
    અનરાધારે ચૂએ… સાહેબ

    ફાટ્યું વસ્તરમરમી મારો
    તન તોડીને તૂને.
    તપના તાપે સૂકવી વ્હાલો
    નચંત થઈને સૂવે… સાહેબ

    સોનલવરણી સાંજ ઢળે ને
    ઝાલર ટાણે ઝગે.
    સુમિરન કરતાં સત-ચિત્ત-આનંદ
    હોનાર હોય સો હુએ… સાહેબ..

  • કર્મયોગી (૧૯૭૮)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી


    ‘૧૯૭૮’માં રજૂઆત પામેલી, એ.આર.પ્રોડક્‍શન્સ નિર્મિત, રામ મહેશ્વરી દિગ્દર્શીત ‘કર્મયોગી’માં રાજકુમાર (બેવડી ભૂમિકામાં), માલાસિંહા, જિતેન્દ્ર, રેખા, રીનારોય, અજિત, યોગીતાબાલી જેવા મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં, જેના ગીતકાર હતા વર્મા મલિક, અને તેને સંગીતબદ્ધ કર્યાં હતાં કલ્યાણજી-આણંદજીએ.

    ઈક બાત કહૂં મૈં સજના‘ (લતા), ‘મુહોબ્બત હૂં, હકીકત હૂં, જવાની હૂં‘ (આશા), ‘આઈયે હુજુર બૈઠિયે‘ (આશા), અને એક કવ્વાલી ‘તુમ નહીં યા હમ નહીં‘ (આશા, રફી, કિશોર અને સાથીઓ). આ ઉપરાંત ‘તેરે જીવન કા હૈ કર્મોં સે નાતા’ ફિલ્મનું ટાઈટલ સોન્ગ હતું, જે મન્નાડેના સ્વરમાં હતું. આ ગીત ફિલ્મના મુખ્ય પાત્રની લાક્ષણિકતાઓને વર્ણવે છે, સાથે ગીતાનો ટૂંકસાર પણ જણાવે છે. ટાઈટલ દરમિયાન તેનો એક અંતરો વાગે છે, એ પછી વચ્ચે એનો એ જ અંતરો પુનરાવર્તિત થાય છે, અને એક નવો અંતરો વધુ એક વાર સાંભળી શકાય છે. નવાઈ લાગે એવી વાત એ છે કે ફિલ્મના અંતે એકાદ અંતરો અપેક્ષિત હતો, પણ ત્યાં એ મૂકાયો નથી.

    (વર્મા મલિક)

    આ ગીતના શબ્દો આવા છે:

    तेरे जीवन का है कर्मों से नाता
    तेरे जीवन का है कर्मों से नाता
    तू ही अपना भाग्यविधाता
    ओओओओओ

    जैसी लिखेगा कर्मों की रेखा
    जैसी लिखेगा तू कर्मों की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा

    तेरे जीवन का है कर्मों से नाता
    आज तू जिसको अच्छा समझे
    जान ले उसका कल क्या है,
    कल क्या है
    सोच ले चलने से पहले तू
    उन राहों की मंजिल क्या है,
    मंजिल क्या है
    जो भी किया है आगे आता
    तू इतना भी सोच न पाता
    ओओओओओ

    जैसी लिखेगा कर्मों की रेखा
    जैसी लिखेगा तू कर्मों की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    तेरे जीवन का है कर्मों से नाता

    ફિલ્મનાં ટાઈટલ્સ અહીં પૂરાં થાય છે, જે આખી ફિલ્મની લીન્‍ક્માં નીચે ક્લિક કરીને 2.34 સુધી સાંભળી શકાશે.

    એ પછી એક વાર આ જ મુખડું અને અંતરો પુનરાવર્તિત થાય છે.

    અને ત્રીજી વાર આ ગીતનો એક અંતરો વાગે છે, જે આ મુજબ છે:

    सच की राह कांटों से भरी,
    दुख कदम कदम पे आता है
    जो दुख और सुख में एक रहे,
    वो ही कर्मयोगी कहलाता है
    ओ ओ ओ

    माना के काले कर्मों से
    तुझको खुशियाँ और सुख मिलता है,
    खुशियाँ और सुख मिलता है
    आसमां को छूने वाले
    ये कितने दिन चलता है,
    ये कितने दिन चलता है
    काहे रेत के महल बनाता,
    झुठे बल से तू क्युं इतराता
    ओओओओ

    जैसी लिखेगा कर्मो की रेखा
    जैसी लिखेगा कर्मो की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    तेरे जीवन का है कर्मों से नाता
    तू ही अपना भाग्य विधाता
    जैसी लिखेगा कर्मों की रेखा
    जैसी लिखेगा कर्मों की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा.
    ओओओओ

    આટલો ભાગ નીચેની લિન્‍ક પર 33.26 સુધી સાંભળી શકાશે.

    जैसी करनी वैसी भरनी
    ये तो एक सच्चाई है
    ये तो एक सच्चाई है
    देख ले तू तेरी करनी,
    तेरे आगे आई है,
    तेरे आगे आई है,
    जो है करता, वो ही पाता,
    कोई किसी के साथ न जाता,
    ओओओओ

    जैसी लिखेगा तू कर्मो की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा

    આટલો ભાગ નીચેની લિન્‍ક પર 1.07.15 સુધી સાંભળી શકાશે.

    ચોથી વાર આ ગીતનો અંતરો નાયકને ફાંસીના સમાચાર અખબારમાં આવે અને તેની પત્ની જુએ ત્યારે વાગે છે, અને એ સાથે આખું ગીત પૂરું થાય છે. ચોથો અંતરો આ મુજબ છે:

    खुशी लूटी, घरबार गया,
    छूटा जीवन का साथी,
    दुनिया के मालिक ये तो बता,
    अब कौन सी परीक्षा है बाकी…

    અંતરાનો આ ભાગ નાયિકાને લાગુ પડે છે, આથી અહીં ‘તેરે જીવન કા હૈ કર્મોં સે નાતા’વાળું મુખડું નથી.

    ગીતનો આટલો ભાગ આ લીન્‍ક પર 1.10.24 સુધી સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૭] : સાધના

    નિરંજન મહેતા

    સાધના એક ઉત્તમ અદાકારા હતી. લગભગ તેની બધી ફિલ્મો સફળ રહી અને તે ફિલ્મોના મોટા ભાગના ગીતો પણ આજે ગવાય છે અને તેનો આનંદ લેવાય છે. પરંતુ મોટા ભાગની ફિલ્મોમાં તેને માટે એક જ ગાયિકાએ સ્વર આપ્યો છે, કાં તો લતાજી અને કાં તો આશા ભોસલે. તેં છતાં જે થોડી ફિલ્મોમાં એક કરતાં વધુ ગાયિકાઓએ સાધના માટે સ્વર આપ્યો છે તેનો આ લેખમાં ઉલ્લેખ કરૂં છું.

    સૌ પ્રથમ છે ૧૯૬૪ની ફિલ્મ ‘દુલ્હા દુલ્હન’ :

    मुझे कहते है
    मुझे कहते है कल्लू कव्वाल
    कल्लू कव्वाल
    कि तेरा मेरा तेरा मेरा साथ रहेगा
    मैं हूँ ठुमरी तो तू है ख़याल
    तू है ख़याल
    तेरा मेरा तेरा मेरा साथ रहेगा

    આગાની સતામણી કરતુ આ ગીત સાધના અને રાજકપૂર પર રચાયું છે. સ્વર છે સુધા મલ્હોત્રા અને મુકેશના. ગીતના શબ્દો છે ગુલશન બાવરાનાં અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    આ ફિલ્મનું બીજું ગીત છે જે સાધના રાજકપૂરને ઉદ્દેશીને ગાય છે.

    हम ने तुझ को प्यार किया है जितना
    कौन करेगा इतना
    आँख चुराई ठेस लगाई दिल भी तूने तोड़ा
    लाख छुपाया तूने दामन हम ने साथ न छोड़ा
    तेरे करम को तेरे सितम को सहते रहें हम जितना

    ગાયિકા લતાંજી. ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    ૧૯૬૪ની ફિલ્મ ‘રાજકુમાર’નું ગીત સાધના અને શમ્મીકપૂર પર રચાયું છે.

    तुम ने पुकारा और हम चले आए
    दिल हथेली पर ले आए रे
    तुम ने पुकारा और हम चले आए
    जान हथेली पर ले आए रे

    રફીસાહેબ અને સુમન કલ્યાણપુર ગીતના ગાયકો. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીતકાર છે શંકર જયકિસન.

    આ ફિલ્મનું બીજું ગીત છે જેમાં સાધના શામ્મીકપુરને ઉદ્દેશીને કહે છે

    आ जा आई बहार दिल है बेक़रार
    ओ मेरे राजकुमार तेरे बिन रहा न जाए
    आ जा आई बहार दिल है बेक़रार
    ओ मेरे राजकुमार तेरे बिन रहा न जाए

    ગાયિકા લતાજી. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

    આ જ ફિલ્મમાં હજી એક ગીત છે જેને માટે ત્રીજી ગાયિકાનો સ્વર લેવાયો છે.

    दिलरुबा दिल पे तू ये सितम किये जा किये जा
    हम भी तो आग में जलते रहे
    प्यार के शोलों पे चलते रहे हो

    આ ગીતના ગાયિકા છે આશા ભોસલે. શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

    ૧૯૬૬ની અત્યંત પ્રચલિત ફિલ્મ ‘મેરા સાયા’નાં ગીતો છે

    तू जहाँ जहाँ चलेगा
    मेरा साया साथ होगा

    આ ગીત સુનીલ દત્તને ઉદ્દેશીને ગવાયું છે જેના ગાયિકા છે લતાજી.

    https://youtu.be/fMz1FovSyVw?list=RDfMz1FovSyVw

    તો બીજું ગીત એક નૃત્યગીત છે જે સાધના રસ્તા વચ્ચે કરે છે.

    झुमका गिरा रे हाय
    झुमका गिरा रे
    बरेली के बाजार में

    આશા ભોસલેનો સ્વર.

    https://youtu.be/UscktZOMGJY?list=RDUscktZOMGJY

    બંને ગીતોના શબ્દકાર છે રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર છે મદન મોહન.

    ૧૯૭૪ની ફિલ્મ ‘ગીતા મેરા નામ’નું આ ગીત એક ક્લબમાં સાધના પર અત્યાચાર કરાય છે ત્યારે ગવાયું છે.

    हा मुझे मार डालो मई मार जौंगी
    मरते मरते ये साबित कर जौंगीके
    ज़िंदगी भी मौत है मौत भी है ज़िंदगी

    ગાયિકા છે આશા ભોસલે.

    https://youtu.be/tOuoeH4PyfY?list=RDtOuoeH4PyfY

    બીજું ગીત સુનીલ દત્તને ઉદ્દેશીને ગવાયું છે.

    सुनिए ज़रा देखिये ना
    हम आपकी दीवार के साये में बैठे है

    ગીતના ગાયિકા છે લતાજી.

    https://youtu.be/kVJ-lS_IpkU?list=RDkVJ-lS_IpkU

    બંને ગીતના રચયિતા રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

    તેમની જાણીતી ફિલ્મો ‘વો કૌન થી’, ‘અનિતા’, ‘પરખ’ વગેરેમાં અગાઉ જણાવ્યું તેમ એક જ ગાયિકાના સ્વરનો ઉપયોગ થયો છે એટલે તે ફિલ્મોના ગીતોનો ઉલ્લેખ આ લેખમાં નથી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com