તમારે નદી,પહાડો,સાગનાં વૃક્ષો,જંગલો ,અરે! સમગ્ર પ્રકૃતિ સાથે વાતો કરતાં શીખવું છે? તેમની મૌન ભાષાને સમજી તેના પ્રેમરસને આંખોથી પીવો છે? સર્જનહારે સર્જેલ જડ ચેતન,પશુ-પંખી સમગ્ર કાયનાત સાથે મોજ માણતાં જીવતાં શીખવું હોય, સૃષ્ટિનાં સર્જેલ દરેક ગરીબ,ભણેલા ,અભણ,જંગલમાં રહેતા આદિવાસી,સાધુ, ફકીર,ભૂત ભૂવા દરેકની સંવેદનાને તેના હૃદય પર કાન ધરી સાંભળવી હોય, આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને શ્વસીને તેની હૂંફને માણવી હોય તો ધ્રુવદાદાની ‘તત્વમસિ’ નવલકથા જરૂર વાંચવી રહી. જો જીવનરસને મનભરી પી તેમાં મસ્ત થવું હોય, જીવનની સચ્ચાઈને જાણવી અને માણવી હોય તો આ નવલકથા વાંચો.
આપણે અનેક નવલકથા વાંચતાં હોઈએ છીએ. લેખક તેની કલ્પનાનાં દ્વાર ખોલીને આપણને કલ્પનાઓમાં જ ક્યાંય આકાશમાં ઉડાડે છે અને પછી નવલકથા પતે એટલે નીચે લાવી મૂકે છે. તેમાં બધું જ કાલ્પનિક. અહીં આ નવલકથામાં દાદાએ આપણને જીવનની નકરી વાસ્તવિકતા,સકળ બ્રહ્માંડ સાથેની આપણી એકરુપતા ,તેમજ દુન્યવી સત્ય,કરુણા અને પ્રેમનાં દર્શન સહજતાથી કરાવ્યાં છે.
ભૌતિક સુખ,પ્લાસ્ટિકની દુનિયા અને આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં શું ફરક છે? તે ઊંડાણપૂર્વક સરળતાથી આ નવલકથા દ્વારા સમજાવ્યું છે.
પરદેશમાં લાંબાં સમયથી રહેલ અને અનેક સગવડો વચ્ચે રહેલ વ્યક્તિ પણ જ્યારે ભારતીય પરંપરા, સંસ્કૃતિને જાણે છે અને સામાન્ય માનવીઓનાં હૃયમાં રહેલી સંવેદનાને સંવેદે છે ત્યારે તેનાથી અભિભૂત થયા વગર રહી શકતો નથી. તેની ડાયરીનાં એક એક પાનાં પર તેણે અનુભવેલી એક એક લાગણીની ટશરોની ભીનાશ પથરાયેલી અનુભવાય છે. નવલકથા વાંચીને તે ભીનાશમાં પલળવાની વાચકને પણ મજા પડે છે. આપણી સંસ્કૃતિ આપણી પરંપંરાને જાણી તેની અહલેકની પહેચાન થતાં તેની સાથે જીવનને માણી તેનો અનોખો આનંદ અનુભવે છે.આ આખી વાત તે પોતાનાં શબ્દોમાં ડાયરીમાં ઉતારે છે.
વિદેશથી પોતે કમને આવેલ પણ ધીરેધીરે વતનની માટીની સુગંધ,પ્રકૃતિની ગોદ,જંગલની હરિયાળી, નર્મદા કિનારો,નર્મદાનાં પરિક્રમા કરવાવાળા,તેમની માન્યતાઓ,નર્મદા તટવાસીઓ, અભણ ,અત્યંત ગરીબાઈમાં પણ ખુશ રહીને જીવતાં આદિવાસીઓ વગેરે કેવી રીતે એક પરદેશીને ,આકર્ષી પોતાનો બનાવી દે છે તે વાતની ખૂબ સુંદર શબ્દ ગૂંથણી કરી ધ્રુવદાદાએ નવલકથાનું સર્જન કર્યું છે. એટલે જ આ નવલકથા સાહિત્ય પરિષદ અને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા હકદાર બની છે. તેના ઉપરથી બનેલ ફિલ્મ ‘રેવા’ ને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે કારણ વાર્તાની પટકથા જ એટલી મજબૂત અને ભારતીય મૂળ સાથે જોડાએલી છે કે પ્રેક્ષક અને વાચકનાં હૃદયને તેની સંવેદના સ્પર્શી જાય છે. વાચકનાં હૃદયને ,પરંપરાને સંસ્કૃતિનાં મૂળિયા હચમચાવી મૂકે છે અને ભારતીયતાની સમગ્ર ઓળખ બહારથી અને ભીતર સુધી કરાવે છે.
તત્વમસિ – તત્+ત્વમ્+ અસિ = તે તું જ છે. છાંદોગ્ય ઉપનિષદનાં ચાર મૂળ સિદ્ધાંતોમાંનો એક ‘ તે તું જ છે’ને સુપેરે રજૂ કરતી નવલકથા એટલે તત્વમસિ. નર્મદાને અને આપણી પવિત્ર નદીઓ પાસેથી આપણે શું પામીએ છીએ અને તેને આપણી સંસ્કૃતિ માતા તરીકે કેમ ઓળખાવે છે તેની વાત કરીશું આવતા અંકે.
આજે ચાલો જોઈએ એવું જ. કુદરત પાસે લઈ જતું અને આપણને જગાડતું જ નહીં, આત્માને ઢંઢોળતું ધ્રુવગીત,
ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ ક્યાંક વાગે છે ઢોલ ,ચાલ જાગીએ.
આઘેના ડુંગરમાં બોલે છે મોર એનો ઝીણો કલશોર,ચાલ જાગીએ.
ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની આંખો હિંડોળ ,ચાલ જાગીએ.
ઝીણી ઘોડી ને એનો ઝીની અસવાર કહે દરવાજા ખોલ,ચાલ જાગીએ.
ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યો આખોયે ચોક,ચાલ જાગીએ.
ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ બધી ધારણાઓ ફોક,ચાલ જાગીએ.
આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર હવે પડછાયા છોડ,ચાલ જાગીએ.
ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર એમાં દર્પણને તોડ ,ચાલ જાગીએ.
કેટલું અદ્ભુત ગીત લખ્યું છે !દાદાએ.કુદરત સાથે રહેતા અને સમગ્રતાથી તેને માણતા દાદા આપણને પણ ઊગતા પહોરે ક્યાંક વાગતા અનહદનાં ઝીણા નાદને કાન માંડીને સાંભળવા ,જાગી જવાનું કહે છે.દૂર દૂર ડુંગરમાં બોલતાં મોરના ટહુકા અને ઝીણા કલશોરનો આનંદ લેવા દાદા આપણને જગાડે છે. ઝીણાં વરસાદનાં વરસતાં ચંદરવાને ઝીલીને એ વરસતાં આકાશમાં આપણા સપનાંઓને ઝબોળવાનું સૂચવે છે.અહો! કેટલી સુંદર કલ્પના! આવી વરસાદી રાતે એક ઝીણો અસવાર ઝીણી ઘોડી લઈને આપણા દ્વાર ખખડાવે છે ત્યારે આ ઝરમરતી રાતમાં ઉજાગરો કરજે ,નશીલી રાતમાં ઊંઘી ન જતો. આમ કહી દાદા બારણે આવીને દ્વાર ખખડાવતા એ પરમનાં અનાહત નાદને સાંભળવા આપણને જાગતાં રહેવાની સલાહ આપેછે. ફૂલ છે તો ફોરમ છે અને રંગ,રૂપનાં લોજીકમાં કે માથાકૂટમાં પડ્યા વગર તે ધારણાઓને તોડીને, અતૂટ શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ સાથે ઝીણેરાં ઝાડમાંથી વેરાએલ પુષ્પોથી આચ્છાદિત ચોકની સુગંધ માણવા ,જાગવાનું દાદા કહે છે. અંધકારનાં પડછાયા છોડી, વીજળીનાં ઝબકારે ,પાનબાઈની જેમ મોતીડાં પરોવવાનું સૂચન દાદા કરી આપણને ભવાટવીની નીંદરમાંથી જાગી સત્યને પામવા જાગતા રહેવાનું સૂચવે છે.
આ ધ્રુવગીત જેવી વાતો દાદાએ એમની નવલકથામાં તેમનાં પાત્રો અને પ્રકૃતિ દ્વારા આપણને સૂચવી છે. એના માટે સૌએ તેમની નવલકથા જ વાંચવી રહી.
સાંભળ્યું છે કે ગાંધીજીની દિનવારીની જેમ મરાઠીમાં કોઈ સંશોધક ડો.બાબાસાહેબ આંબેડકરના દીર્ઘ જાહેરજીવન પૈકીના સીમિત સમયગાળાની દિનવારી તૈયાર કરી રહ્યા છે. અગાઉ બાબાસાહેબની દિનચર્યાની પુસ્તિકા પ્રગટ થઈ હતી.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ડો.આંબેડકરના ઘણાં સમકાલીનોએ તેમની આત્મકથાઓ લખી છે. ડો.આંબેડકરને પણ લખવી હતી. પરંતુ તેમની સામે ઉકેલ માંગતો દલિતોની બરાબરીના હકનો સવાલ, બંધારણના ઘડતરનું ગંજાવર કામ, ગાંધીજી અને કોંગ્રેસ સામેનો અવિરત સંઘર્ષ અને આજાર શરીરે એમ થવા દીધું નહીં હોય. જોકે તેમણે ‘ વેઈટિંગ ફોર વિસા’ નામક અધૂરી આત્મકથા જરૂર લખી છે. ડો. આંબેડકરના અક્ષરદેહમાં તે સામેલ છે અને ભારતની ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગુજરાતીમાં તો તેના એકાધિક અનુવાદો ( ઉર્વીશ કોઠારી, ડો.ગણપત વણકર, ડો.મિતાલી સમોવા અને મિતેષ પરમાર) જોવા મળે છે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
બાબાસાહેબની પૂરા કદની આત્મકથાની ખોટ પૂરી કરવા તેમના અભ્યાસુઓ પ્રયત્નશીલ હતા. મહારાષ્ટ્રના આંબેડકરી કર્મશીલ જ.ગો.સંતે આંબેડકરના વિપુલ સાહિત્યભંડારમાંથી આત્મકથનાત્મક લખાણો-ભાષણો તારવીને આત્મકથા તૈયાર કરી છે. હવે તે ગુજરાતી સહિત ઘણી ભાષાઓમાં અનૂદિત થઈ પ્રકાશિત થઈ છે.
વિદેશીઓને ભારતમાં જડ ઘાલી ગયેલી આભડછેટનો પરિચય થાય તેવા આશયથી કથિત અસ્પૃશ્યો સાથેના વ્યવહારના અંગત-બિનઅંગત છ પ્રસંગો બાબાસાહેબે તેમના લખવા ધારેલા આત્મકથનના આરંભના પ્રકરણ ‘ વેઈટિગ ફોર વિસા’ માં વર્ણવ્યા છે. સયાજીરાવ ગાયકવાડની આર્થિક મદદથી વિદેશ અભ્યાસ કરી વડોદરા રાજ્યમાં નોકરી કરવા આવેલા ડો.આંબેડકરને વડોદરામાં રહેવા ઘર ન મળ્યું અને જાકારો મળ્યો તેનું હ્ર્દયદાવક વર્ણન અહીં વાંચવા મળે છે. દલિત અધિકારો માટેની તેમની નિસબત વ્યક્ત કરતાં તેમણે લખ્યું છે કે મુંબઈની પોઈબાવાડી ચોકી પાસે ૪૮ અને ૫૦ નંબરની ખોલીમાં મેં કણકી અને રોટલા પર દહાડા ટૂંકા કર્યા છે. પિતાની છાંયડામાં થાય તેવું કામ કરવાની શિખામણ અવગણીને સમાજ સેવાનો કઠિન માર્ગ અપનાવ્યો છે.
બાબાસાહેબના આત્મકથનાત્મક લખાણો પરથી તૈયાર થયેલી આ આત્મકથામાં જીવનના અનેક પ્રસંગો અને વિચારો નિરૂપાયા છે. ગુજરાતીમાં મૂળજીભાઈ ખુમાણ અનૂદિત અને નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત ” મારી આત્મકથા” ૫૬ પ્રકરણોમાં વહેંચાયેલી છે. મરાઠી દૈનિક ‘લોકમત’ ના સંપાદક મ.ય.દળવીએ આવકારમાં તેને સહ્રદયી વાચકોની આંખો ભીની કરે તેવું લાક્ષણિક, આગવું અને અનોખું ચરિત્ર ગણાવ્યું છે.
આત્મકથામાં ડો.આંબેડકરના બાળપણ, શિક્ષણ, આભડછેટના અનુભવો, વિદેશમાં અભ્યાસ, દલિતોની સ્થિતિ, દલિત મુક્તિ આંદોલનો- સત્યાગ્રહો, ગોળમેજી પરિષદ, પૂનાકરાર, કામદાર પ્રધાન, કાયદા મંત્રી, બંધારણના ઘડતરમાં યોગદાન, ધર્મપરિવર્તન અને બૌધ્ધ ધર્મ જેવા જીવન પ્રસંગો આલેખાયા છે. બાબાસાહેબના જીવનના ખૂબ ઓછા જાણીતા પાસાં આ આત્મકથામાં જાણવા મળે છે. બાળક પાસે માતા-પિતા તેના જન્મથી જ કેટલીક અપેક્ષાઓ રાખતા થઈ જાય છે. બાળ ભીમરાવ માટે પણ એવું જ હતું. તેમના માટે ‘ આ છોકરો જીવનમાં કશું ઉકાળી શકશે નહીં’ અને ‘ અપશુકનિયાળ’ ની છાપ હતી.તો મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોઈ તે કુળ તારણહાર નિપજશે તેવી પણ આશા હતી. આ બંને છેડાની આશા-અપેક્ષા અહીં વ્યક્ત થઈ છે.
ડો.આંબેડકર ૧૯૨૩ થી ૧૯૩૬ સુધી કોલેજમાં પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ હતા. અધ્યાપક આંબેડકર કેવા પરીક્ષક હતા તેનું રસપ્રદ બયાન તેમણે કર્યું છે. જે ઉત્તરવહીઓ તે તપાસતા તેમાં અડધા માર્ક્સ જવાબના નિષ્કર્ષના અને અડધા તેની રીતના આપતા હતા. તે કોઈ વિધ્યાર્થીને નાપાસ નહોતા કરતા તેમ વધારે પડતા માર્ક્સ પણ નહોતા આપતા. મુંબઈ યુનિવર્સિટીમાં તેઓ એકઝામિનર છે તે જાણીને કોઈ દલિત વિધ્યાર્થીના વાલી તેમની પાસે ભલામણ માટે આવ્યા ત્યારે તેમણે તેમને ઝાટકી નાંખ્યા હતા.
રાજકીય નેતાઓ સામે તેઓ પોતાની જ્ઞાતિનું હિત પહેલા જુએ છે તેવા આરોપ આજે પણ લાગે છે. બાબાસાહેબ પણ તેમાંથી મુક્ત રહી શક્યા નથી. વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિસિલના લેબર મિનિસ્ટર આંબેડકર સામે તેઓ મહારોનું બહુ ખેંચે છે તેઓ આરોપ લાગ્યો હતો બાબાસાહેબે તેમના કાર્યકાળમાં થયેલી ભરતીમાં કેટલા મહારો છે અને કેટલા દલિતોની અન્ય પેટાજ્ઞાતિના છે તેના આંકડા જાહેર કરવા પડ્યા હતા.
પ્રથમ પત્ની રમાબાઈના દેહાંત પછી તેઓ બીજું લગ્ન કરવાનો કોઈ ઈરાદો ધરાવતા નહોતા.નબળી તબિયતે તેમના એ નિર્ધારને ડગાવ્યો હતો. એ સમયની મન:સ્થિતિ તેમણે આત્મકથનાત્મક લખાણોમાં વર્ણવી છે. “મારું જીવન એટલું બધું એકાકી બની ગયું છે કે તેના કારણે (કથિત) અસ્પૃશ્ય પુરુષો અને (કથિત) સ્પૃશ્ય હિંદુ સ્ત્રીઓ સાથે મારો જરાય સંબંધ નથી” એમ જાહેર કરનાર બાબાસાહેબે તેમની દેખભાળ કરનાર ડોકટરના સહાયક સવિતા આંબેડકર સાથે બીજા લગ્ન કર્યા હતા. માઈસાહેબ તરીકે જાણીતા થયેલા સવિતા આંબેડકરે પણ બાબાસાહેબના જીવનમાં તેમની ભૂમિકાને યશોધરાની ગણાવી સુપેરે નિભાવી હતી.
બંધારણના ઘડવૈયા બાબાસાહેબ માટે રાજકીય લોકશાહી જેટલું કે તેના કરતાં વધુ મહત્વ સામાજિક લોકશાહીનું હતું. રાજકીય લોકતંત્રને સામાજિક લોકતંત્રમાં પરિવર્તિત કરવા ઝઝૂમવું પડશે તેમ તેઓ વારંવાર કહેતા હતા. તેમના મતે સામાજિક લોકશાહી એટલે સ્વતંત્રતા , સમાનતા અને બંધુતાને પ્રત્યેક ભારતીય નાગરિકના જીવનનો ભાગ બનાવવો.
આત્મકથાના નાયક આંબેડકર સ્વીકારે છે કે તેઓ સ્વભાવે જિદ્દી છે અને ક્રોધી છે. જોકે તેઓ તેમના ક્રોધને માના ક્રોધ જેવો પ્રેમમૂલક ગણાવે છે. તેઓ અઠંગ વાચક હતા તે વાત જગજાહેર છે. જીવનનો મોટો ભાગ તેમણે પુસ્તકો સાથે ગાળ્યો છે. તેને કારણે પત્ની અને બાળકોનું ધ્યાન રાખવામાં બેપરવા હોવાની ફરિયાદ કુટુંબની જ નહીં નજીકના મિત્રોની પણ હતી. જોકે બાબાસાહેબ ‘ વાચનમાં સમય પસાર કરીને એકાકી જીવન જીવવું એ મારો સ્વભાવ છે’ તેવો બચાવ કરે છે.
જ.ગો.સંતે તૈયાર કરેલી બાબાસાહેબની આત્મકથા જેમ તેમની આત્મચરિત્રની ખોટ પૂરે છે તેનું આશ્વાસન છે તેમ તેની અનેક ઉણપોનું દુ:ખ પણ છે. બાબાસાહેબે તેમની અધૂરી આત્મકથાને ‘ વેઈટિંગ ફોર વિસા’ (પરવાનાની પ્રતીક્ષા) જેવું ચોટડુક અને અર્થસભર નામ આપ્યું હતું પણ તેમના નામે પ્રગટ આત્મકથાને મરાઠીમાં ‘ માઝી આત્મકથા’ , અંગ્રેજીમાં ‘ માય ઓટોબાયોગ્રાફી’ , હિન્દીમાં ‘ મેરી કહાની, મેરી જુબાની’ જેવા સરળ નામ આપ્યા છે તે ખૂંચે છે. જોકે કેટલાક પ્રકરણોના નામો જરૂર સાહિત્યિક સ્પર્શ પામ્યા છે. ‘ તે તો હું નથી ને?’ , ‘ ત્યારે મને સમજાયું’ , ‘ એ તો સૌ કોઈ જાણે છે’ , ‘ તેમણે મને ઘડ્યો’ – તેના ઉદાહરણો છે.
ડો. આંબેડકરનું જીવન ચરિત્ર દેશ અને દુનિયામાં સૌથી પહેલા ગુજરાતીમાં પ્રગટ થયું હતું. આજે તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખકોથી માંડીને નવોદિતોએ પણ આંબેડકર ચરિત્રો લખ્યા છે.પરંતુ બાબાસાહેબની આત્મકથા તેમાં નોંધપાત્ર ઉમેરણ છે.
ઈંગ્લેન્ડ વિવિધ કાઉન્ટીઓનો દેશ છે (લેન્કેશાયર, યોર્કશયાર ઈત્યાદિ), જે ‘શાયર’ તરીકે ઓળખાય છે. કાઉન્ટીઓની પોતાની ખાસિયતો છે. બર્કશાયર કાઉન્ટી એની ભવ્યતાને કારણે રોયલ કાઉન્ટી તરીકે ઓળખાય છે તો બ્રિસ્ટોલ કાઉન્ટી સિટી ઓફ બ્રિજિસ કહેવાય છે અને કેમ્બ્રિજશાયર શિક્ષણનું ધામ કહેવાય છે.
લિંકનશાયર કાઉન્ટીમાં પ્રાકૃતિક સૌંદર્ય ઠાંસી ઠાંસીને ભરેલું છે. યુકેના પ્રવાસમાં ચાર – પાંચ દિવસ લિંકનશાયરના સ્કેગ્નસ નામના ટાઉનમાં સ્નેહીને ત્યાં મુકામ કરવા મળ્યો ત્યારે ન્યૂટનના જન્મસ્થાન અને જીર્ણોદ્ધાર કરેલા એક કિલ્લાની મુલાકાતનો અવસર મળ્યો. આ બંને સ્થળનો `મુંબઈ સમાચાર’ સાથે નાતો હોવાનું ધ્યાનમાં આવતા આનંદ આનંદ થઈ ગયો.
ન્યૂટનનું જન્મસ્થાન ને સફરજનનું ઝાડ
`મુંબઈ સમાચાર’ આયોજિત `માતૃભાષા ભાગવત સપ્તાહ’માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે `સનાતન ધર્મમાં સવાલ પૂછવાની છૂટ છે.’ વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટનને સનાતન ધર્મની જાણકારી નહીં જ હોય, પણ એમની સવાલ પૂછવાની વૃત્તિએ જ જગતને The Law of Gravitation- ગુત્વાકર્ષણના સિદ્ધાંતની ભેટ આપી એ આપણે બધા જાણીએ છીએ. સ્કેગ્નસથી ન્યૂટનનું જન્મસ્થાન નજીક હોવાથી તેમના બાળપણના નિવાસસ્થાન અને દંતકથા બની ગયેલા સફરજનના વૃક્ષને નિહાળવાનો મોકો નહોતો છોડવો.
સ્કેગ્નસથી દોઢેક કલાકની કાર મુસાફરી કરી પહોંચ્યા વુલસ્થોર્પ મનોર નામના ફાર્મહાઉસ પર. ન્યૂટનનો જન્મ અહીં થયો હતો અને એમનું જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું બાળપણ સુધ્ધાં અહીં જ વીત્યું હતું. પ્લેગના રોગચાળાને કારણે તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજનો અભ્યાસ પડતો મૂકી ૧૬૬૫માં વુલસ્થોર્પ મનોર પાછા આવવું પડ્યું હતું. અહીં અભ્યાસ ચાલુ રાખી તેમણે ઘણા પ્રયોગો કર્યા જે આજના વિજ્ઞાનમાં પણ પાયાના સિદ્ધાંતો તરીકે જોવા મળે છે.
આ જ જગ્યાએ ત્રિપાર્શ્વકાચની મદદથી સૂર્યકિરણને મેઘધનુષના સાત રંગમાં વિભાજિત કરી દર્શાવ્યું, જેને આપણે ગુજરાતીમાં `જાનીવાલીપીનારા’ તરીકે અને અંગ્રેજીમાં VIBGYOR તરીકે ઓળખીએ છીએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જ જગ્યાએ વૃક્ષ પરથી સીધા પડેલા સફરજનને જોઈ તેમણે ગત્વાકર્ષણનો અદ્ભુત સિદ્ધાંત આપ્યો.
ટિકિટનું ઓનલાઈન બુકિગ કર્યું હોવાથી સીધા અંદર ગયા જ્યાં બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા અને પુખ્ત વયના થયા એ સમયગાળાનો ન્યૂટન કોણ છે એનો પરિચય આપતી એક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી. ફિલ્મમાં વૈજ્ઞાનિક તરીકે તેમના અસાધારણ કૌશલ પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ત્યારબાદ વિવિધ ઓરડાઓમાં લટાર મારી અને ન્યૂટન જ્યાં બેસી અધ્યયન કરતા હતા એ જગ્યા જોઈ એને મનોમન વંદન કર્યા.
દરેક ઓરડો ન્યૂટન વિશે `કુછ કેહતા હૈ’ જેવો હતો. દરેક જગ્યાએ ગાઈડ હાજર હતા અને દરેક પ્રશ્નના ઉત્તર આપતા હતા. સાયન્સ સેન્ટરમાં પ્રકાશ સંબંધિત ખેલ જોવાનો લ્હાવો મળ્યો અને કેટલાક જિજ્ઞાસુઓ (ભાગવત કથામાં શંકરાચાર્યએ જિજ્ઞાસા વૃત્તિને બિરદાવી હતી) ગુત્વાકર્ષણ અને વિજ્ઞાનની અમુક મૂંઝવતી બાબતો અંગે વોલ્યુન્ટિયર્સને સવાલો પૂછી જિજ્ઞાસા વૃત્તિ સંતોષી રહ્યા હતા.
ત્યારબાદ અમે વિશ્વવિખ્યાત સફરજનના વૃક્ષ પાસે પહોંચ્યા. સફરજનના જે વૃક્ષ નીચે બેઠેલા ન્યૂટનના દિમાગમાં નીચે પડતા (માથા પર પડ્યું હતું એ ઉપજાવી કાઢેલી વાત છે એમ કહેવામાં આવ્યું) સફરજન પડતા `સફરજન કેમ સીધા જમીન પર પડે છે? ડાબી કે જમણી બાજુ કેમ નથી પડતા?’ સવાલો ઊભા થયા અને એ કુતૂહલ – એ જિજ્ઞાસા તેમને ગુત્વાકર્ષણના સિદ્ધાંતની ખોજ તરફ ખેંચી ગયા.
આ વૃક્ષ ફરતે રક્ષણ માટે એક નાનકડી વાડ બાંધવામાં આવી છે. સ્થળ પર આપેલી જાણકારી અનુસાર ૧૮૨૦ના વાવાઝોડામાં આ વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે, એના મૂળિયાં એટલા મજબૂત હતા કે એ ઉખડી ન ગયા અને ધીમે ધીમે નવેસરથી વૃક્ષ ઉગી નીકળ્યું, જે આજે સહેલાણીઓ જુએ છે અને માણે છે. મૂળિયાં મજબૂત હોય તો કોઈ તાકાત વિકાસ ન અટકાવી શકે એ ફિલસૂફી આવી ઘટનાથી જ આવતી હશે.
ફાર્મહાઉસમાં સૌથી વધુ હાજરી આ વૃક્ષ પાસે જોવા મળી. આ વૃક્ષ આજની તારીખમાં અનેક ફળ આપે છે અને એની ડાળીઓ કાપી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં એપલ ટ્રી ઉગાડવાની કોશિશ થઈ રહી છે. વૃક્ષ ઊગેછે પણ એની નીચે બેસી સફરજન ખાનારમાંથી બીજો ન્યૂટન તૈયાર થયો કે નહીં એની જાણકારી નથી.
કિલ્લો અને મુંબઈ સમાચાર
ખંડિત અને પુનર્જીવિત ઈમારતો જોવાની અને એની સાથે સંકળાયેલા રસપ્રદ ઈતિહાસ વિશે જાણવાનું કુતૂહલ હંમેશાં હોય. પણ થાય છે એવું કે ઘણીવાર Ruins and Restoration (ભગ્નાવશેષ અને જીર્ણોદ્ધાર)ની કહાણીમાં કેટલીક બાબતો સરખી હોવાથી વિશેષ ઉમળકો નથી રહેતો, સિવાય કે એ ઈમારતનું કોઈ અનન્ય પાસું આકર્ષિત કરી જાય.
સ્થાનિક રહેવાસીએ ટેટરશોલ કાસલની લાક્ષણિકતાઓનું વર્ણન કરતી વખતે આ કિલ્લો લાલ ઈંટમાંથી તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું ત્યારે એની મુલાકાત પ્રાથમિકતા બની ગઈ. `મુંબઈ સમાચાર’ની ઈમારત પણ લાલ ઈંટ -Red Bricks વડે બનેલી છે અને Red House તરીકે પ્રખ્યાત હોવાથી કિલ્લો જોવાની તાલાવેલી વધી ગઈ. વિદેશમાં પણ દેશની ભવ્યતાનું સ્મરણ આનંદિત કરી દે છે.
સ્કેગ્નેસથી માત્ર પોણો કલાકના કાર પ્રવાસમાં ટેટરશોલ કાસલ પહોંચી ગયા. સંપત્તિ અને સત્તાના પ્રતીકની આજે જે ઈમારત ઊભી છે એ પુન:નિર્માણ કરેલી છે. લાલ ઈંટને કારણે લીલાછમ મેદાન પર લાલચોળ લાગતી ૧૨૯ ફૂટ ઊંચી ઈમારત મધ્યકાલીન યુગના માનવી કૌશલનું સુંદર પ્રતીક છે.
લિંકનશાયરનો ટેટરશોલ કાસલ મધ્યકાલીન યુગમાં વેપાર-વણજનું મહત્ત્વ ધરાવતું કેન્દ્ર હતું. યુરોપના ઘણા વેપારીઓ જળમાર્ગે ઈંગ્લેન્ડ પહોંચી અહીં ટર્કીશ કાર્પેટ્સ જેવી લક્ઝુરિયસ આઈટમ તેમજ મસાલાના વેપાર માટે આવતા હતા. ૧૨૩૧માં રાજા હેન્રી ત્રીજાએ આ કિલ્લો રોબર્ટ ટેટરશોલને શિરપાવ રૂપે ભેટ આપ્યો અને પછી એ ટેટરશોલનું નિવાસ્થાન બની ગયો. ત્યારબાદ માલિકી બદલાતી ગઈ અને એમાં સમય અને રુચિ અનુસાર ફેરફાર પણ થતા રહ્યા, પણ બાંધકામમાં કિલ્લાના સ્થાપત્ય (આર્કિટેક્ચર)ને પ્રાધાન્ય મળતું રહ્યું.
સત્તરમી સદીના અંતિમ દાયકામાં નવા માલિક ત્યાં રહેતા ન હોવાથી જાળવણીના અભાવે એની અવદશા શરૂ થઈ અને એક તબક્કે ભવ્ય કિલ્લાના આંગણાનો પરિસર ઢોર ઢાખરને ચરવાનું સ્થળ બની ગયો. જોકે, કિલ્લાની ખંડિત અવસ્થા જોવા સહેલાણીઓ ઉમટતા હતા. ૧૯૦૫માં `બંગાળના ભાગલા’ માટે ભારતીયો જેને ધિક્કારે છે એ વાઈસરોય જ્યોર્જ કર્ઝનએ આ કિલ્લાના જીર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું.
ત્રણ વર્ષમાં નવી ઈમારત ખડી થઈ ગઈ અને પહેલા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. ૧૯૨૫માં કર્ઝનના અવસાન પછી ટેટરશોલ કાસલ યુકેના `નેશનલ ટ્રસ્ટ’ને સોંપી દેવામાં આવ્યું. છેલ્લાં સો વર્ષથી ટ્રસ્ટ એની જાળવણી કરે છે.
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
વિગત: ગુજરાતી ભાષામાં ચરિત્રાત્મક સાહિત્ય ઓછું છે અને પ્રાચીન તેમજ અર્વાચીન કાળના અનેક પ્રતાપી તેમજ ખ્યાતનામ શાસકો વિશેની માહિતી જૂજ હોવાનું આ ગ્રંથના પ્રકટકર્તા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અંગ્રેજીમાં લખેલી પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. ક્લેરેન્ડન પ્રેસ ઑફ ઑક્સફર્ડ દ્વારા પ્રકાશિત તેવીસ પુસ્તકોની આવી શ્રેણી પૈકી દસ પુસ્તકોને ગુજરાતીમાં ઉતારવા માટે પસંદ કરાયાં છે. એ પૈકીનું એક પુસ્તક એટલે આ.
કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં પ્રથમ પ્રકરણ ‘પૂર્વાવસ્થા’ અને અંતિમ પ્રકરણ ‘હિંદની કારકિર્દી અને જીવનની અવધિ’ છે. તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીનો સમગ્ર જીવનકાળ આ પ્રકરણોમાં આવરી લેવાયો છે.
એક સવારે અશોકને આભાસ થયો કે, એની યાદશક્તિમાં કંઈક તો ગોટાળો છે. નામ ભૂલી જવાય છે કે શું?
આમ તો અશોક તનમનથી એકદમ સ્વસ્થ હતો. રોજિંદા કામો સ્ફૂર્તિથી કરી લેતો. વકીલ તરીકે કોર્ટમાં અને વ્યક્તિ તરીકે સમાજમાં એના વિચારોનું, વક્તવ્યનું મૂલ્ય હતું. બધું જ બરાબર હતું, પણ જ્યાં વ્યક્તિઓનાં નામની વાત આવે કે સમસ્યા સર્જાતી. રોજેરોજ મળનારી, આસપાસ રહેતી વ્યક્તિનાં નામ સુદ્ધાં યાદ નહોતાં રહેતાં.
સવારે શાક વેચવાવાળા કાકા આવ્યા.
આ કોણ હશે, ગોપી, જગ્ગુ કે મોતી? ચહેરો જ નહીં વ્યક્તિ પણ જાણીતી લાગે છે. જ્યાં રહે છે એ ગલી, એનું ઘર, જમાઈએ મારીને પાછી મોકલેલી એની જુવાન દીકરી યાદ આવી. દીકરીનાં ભરણપોષણ માટે કંઈક કાર્યવાહી કરવાની કાકાએ વિનંતી કરી હતી. કાકાની કરમકથની સાંભળીને એમના ઘેર ગયો હતો. દીકરીને જોઈને દુઃખ થયું હતું. દીકરીનાં ભરણપોષણની વ્યવસ્થા કરી આપવા એણે પૂરો પ્રયત્ન કર્યો હતો. પણ, જેનું નસીબ જ નબળું હોય એને કોણ બચાવે? શીતળાની ઝપટમાં આવીને એ મરી ગઈ એ બધું જ યાદ આવ્યું, પણ એનું નામ યાદ નહોતું આવતું.
શું કરું? કયા નામથી બોલાવું? નામ પૂછીશ તો કાકાને ખરાબ લાગશે. એમના મનમાં પોતાના માટે જે આદર, સ્નેહ હશે એ ગુમાવી બેસશે. કેવી રીતે વાત શરૂ કરું?
એણે અણધાર્યો સવાલ કર્યો, “કરમદાં લાવ્યા છો?”
બુઢ્ઢા કાકાને નવાઈ લાગી. કરમદાં? એ તો ક્યારેય આવ્યો નથી અને હજુ તો એ બજારમાં આવ્યાંય નથી.
અશોક ઊભો થઈને અંદર ચાલ્યો ગયો. ગઈકાલની જ વાત હતી. એક પાર્ટીમાં ગયો ત્યાંય કોઈને સાચાં નામથી બોલાવી શક્યો નહોતો. અને હવે આ કાકા, એટલું જ નહીં રસ્તામાં મળતા લોકોનાં નામમાં પણ ગોટાળા થઈ જતાં.
“આજકાલ તો સૌ વૃદ્ધ જ ને? બનાવટી ઘી-તેલ, પાણી મેળવેલું દૂધ પીને જુવાન કે બુઢ્ઢા, સૌના સ્વાસ્થ્ય પર અસર થવા માંડી છે, પણ જવા દો એ વાત. આપણી વાત કરીએ.” સામે ઊભેલા ભાઈ બોલ્યા.
“હા, એ વાત સાચી. કહો, તમારું કામ કેવું ચાલે છે?” કંઈક કરતાં પરિચિતતાનો તાળો મળે એવો અશોકે સવાલ કર્યો.
“અમારું કામ તો તમે અખબારમાં જોતા જ હશો ને?” સસ્મિત જવાબ મળ્યો.
“અં…હા…હા..વાચું છું ને. તમારું કલેક્ટરીનું કામ કેમ ચાલે છે?”
“કોણ કલેક્ટર, કયું કામ?”
‘ઓહ, આ કલેક્ટર નથી! હાથમાં ચામડાની બેગ છે તો ઇન્સ્યોરન્સવાળા હશે?’
હવે અશોકના ધૈર્યનો અંત આવવા માંડ્યો. એણે સીધું જ પૂછી લીધું,
“માફ કરજો, પણ મને તમારું નામ યાદ નથી આવતું.”
“તાજુબ્બીની વાત. તમારા નાના ભાઈને એક વર્ષ ટ્યુશન આપ્યું હતું. આપણે એક વર્ષ લૉ સાથે ભણ્યા. તમારા પિતા સાથે પણ મારી કેટલી ઘનિષ્ઠતા હતી? ભૂલી ગયા? ખરા છો તમે તો!”
“ભાઈને કેટલાય લોકોએ ભણાવ્યો હતો. લૉ કૉલેજમાં તો અઢીસો વિદ્યાર્થી હતાં અને પિતાજીના મિત્રોની સંખ્યા સાંભળશો તો તમે છક થઈ જશો.”
પછી એ ભાઈએ કચેરીની મુલાકાત યાદ કરાવી.
“વાત લાંબી કરવાના બદલે તમારું નામ કહી દો ને ભઈસાબ.” અશોક ખરેખર અકળાયો.
“ઓહ, એમ વાત છે. મારું નામ નીલ માધવદાસ છે. આઇ. એસ. કર્યા પછી કાશ્મિર કમિશનમાં છું. સસરા ગુજરી ગયા એટલે અહીં આવ્યો છું. લાગે છે કે સાચે જ તમને ઠીક નથી લાગતું.” નીલનું આત્મસન્માન ઘવાયું.
શરમથી અશોક નીચું જોઈ ગયો.
“હા, કેટલો સમય સાથે પસાર કર્યો હતો નહીં ! તમને સમોસા બહુ ભાવતાં….હવે યાદ આવ્યું. એ કેવી રીતે ભુલાય? પણ, નર્વસ બ્રેક ડાઉનના લીધે નામ યાદ નથી રહેતાં. શું કરું?”
નીલને વિશ્વાસ ન આવતો હોય એમ ડોકું ધુણાવ્યું. નમસ્કાર કરીને ચાલવા માંડ્યા.
એ પછી તો રસ્તામાં કેટલાય લોકો મળતા રહ્યા. દરેક વખતે એમની સાથે સુખ-દુઃખની, હસી-મજાકની વાતો થતી રહી. પણ, નામ ન જ યાદ આવ્યાં. હવે અશોકને ચિંતા થતી કે, રખેને એ કોઈને ભળતા નામે ના બોલાવી બેસે એટલે ફક્ત ‘કેમ છો, સાહેબ?” કહીને કામ ચલાવવા મથતો.
કોઈના ઘેર જવાનું થાય તો એમની નેમપ્લેટ પરથી ઓળખ પામવા મથતો. ક્યાંક આખા નામના બદલે ‘એમ.સી.મહાંતિ’ જેવી નેમપ્લેટ હોય તો ભારે અટવાતો.
માધવચંદ્ર મહાંતિ કે માર્કંડ મહાંતિ, શું નામથી બોલાવવાના?
પછી જાતને સાંત્વન આપવા મથતો. એ નામ ભૂલે છે, કોઈના ગુણ નથી ભુલતો ને ! વિધાતાએ બનાવેલી સૃષ્ટિમાં સંબંધોનું મૂલ્ય છે, એની ના નહીં, પણ સંબંધોમાં લાગણીઓની ભરતી-ઓટ આવે એનાથી જીવન અટકી નથી જતું. ચહેરો જોઈને નામ નથી યાદ આવતું છતાં આંખો જોઈને અંતઃકરણ તો પરખાય છે ને?
એ આંખોથી વ્યક્તિને પારખવા મથતો. ક્યારેક કોઈ વ્યક્તિની ધૂંધળી ઓળખ મનમાં આવતી-જતી. નામ-વિસ્મૃતિના લીધે હવે માર્કંડ કે માધવ વચ્ચે કોઈ ફરક રહ્યો નહોતો.
હા, ફરક એટલો જરૂર પડ્યો કે યૌવન આથમે એ પહેલાં વિસ્મૃતિના રોગને લીધે એ ઘર ન વસાવી શક્યો.
ગોપીનાથ મોહંતી લિખિત ઉડિયા વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
ન્યૂયૉર્કના એ સબર્બનાં ઘણાં ઇન્ડિયન ઘરોમાં વાત પહોંચી ગઈ હતી – માયા પરણવાની છે.
શોમાને જાણ બધાંથી મોડી થઈ હશે, એટલે સમાચાર મળતાં જ એ તો ખુશ થઈને કહેવા લાગી, લાવ, હમણાં જ નીલાને ફોન કરીએ. એ તો બહુ જ આનંદમાં હશે. દીકરીનાં લગ્ન છે એટલે હવે તો એને બીજા કશા માટે ટાઇમ નહીં મળવાનો. ચાલ, નીલાને ફોન કરીએ. હરખ કરીએ.
મંજુએ એને રોકી. ‘અરે, ઊભી રહે. અહીં તો હરખ નહીં, ખરખરો કરવો પડે તેવી વાત છે.’
‘શું કહે છે? માયા પરણવાની છે, એમ કહ્યું, તો ખરખરાની વાત ક્યાં આવી?’
બંને જણ કોલ્ડ કૉફી લઈને બેઠાં. ઠંડી શરૂ થઈ જાય પછી પીવી નહીં ગમે, એમ કહીને બંનેને આજે ગરમ ચ્હાને બદલે કોલ્ડ કૉફી પીવી હતી. બરાબર ઇન્ડિયામાં પીતાં હતાં તેવી બનાવજે, હોં, મંજુએ શરત મૂકેલી.
શોમાએ કોલ્ડ કૉફીની સાથે લીલવાની કચોરી બનાવેલી. બનાવેલી એટલેકે ફ્રીઝરમાંથી કાઢીને અવનમાં ગરમ કરીને તૈયાર રાખેલી. હવે અહીં ફ્રોઝન આઇટમોનું બહુ સુખ થઈ ગયું છે, નહીં?, અમેરિકામાં આવ્યા પછીથી ગૃહિણી બનેલી ઇન્ડિયન બહેનપણીઓ એકબીજાંને કહેતી.
‘કૉફી સરસ થઈ છે, હોં. તને આવડી ખરી બનાવતાં.’ મંજુએ શોમાને જરા ચિડાવી.
‘તે કોલ્ડ કૉફી તો ઇન્ડિયામાં કેટલી યે વાર પીધી હોય. સ્વાદ કાંઇ ભુલાયો નથી. પણ હવે તો કહે કે આ માયાના લગનની શું વાત છે?’
મંજુએ ધીમેથી કહ્યું – આસપાસ કોઈ હતું નહીં તોયે – ‘અરે, ગયા વર્ષે કુટુંબ સાથે માયા ઇન્ડિયા ગઈ પછી ત્યાં રહી ગઈ હતીને, કર્ણાટકમાં – કે કેરાલામાં – કોઈ એનજીઓમાં કામ કરવા? તે ત્યાં કોઈ મળ્યો એને, ને એવો ગમી ગયો કે બસ, એને હવે એ છોકરાને જ પરણવું છે. નીલાએ અને ડૉ. રગડેએ બહુ સમજાવી, કે તું અમેરિકામાં જન્મી, ઊછરી, ભણી, મોટી થઈ, તને સાવ એક ઇન્ડિયન સાથે નહીં ફાવે.’
પણ નીલાએ તો હંમેશાં એમ જ કહ્યા કર્યું છે કે એ માયાને ઇન્ડિયનની સાથે જ પરણાવશે. તો ઇન્ડિયન જ તો છે એ કર્ણાટકવાળો – કે કેરાલાવાળો, પછી શેનો વાંધો હશે? નાત-જાતનો? જા, જા, ડૉ. રગડે જેવા ભણેલા-ગણેલા પણ નાત-જાતમાં માનતા હશે?’
‘શોમા, શોમા, તું ધડાધડ જે મનમાં આવ્યું તે સામટું બોલી ગઈ. હવે હું કાંઈ કહું?’
પછી મંજુએ એને સમજાવ્યું, ‘હા, એ સાવ સાચું છે કે નીલાને માયા માટે ઇન્ડિયન વર જ જોઈએ છે. પણ ઇન્ડિયન એટલે અહીંનો ઇન્ડિયન, ઇન્ડિયાનો ઇન્ડિયન નહીં.’
આવું શોમાએ ક્યારેય સાંભળ્યું નહતું, અને કલ્પ્યું પણ નહતું. એ જરા ડઘાઇ ગઈ. ઇન્ડિયાનો ઇન્ડિયન નહીં. એની સાથે નહીં ફાવે માયાને.
વિચાર કરતાં કરતાં શોમા બબડતી ગઈ. પછી કહે, ‘પણ કેમ નહીં ફાવે? નીલા અને એના હસબંડ તો જિંદગી આખી બડાઇ મારતાં રહ્યાં કે એમની માયામાં એમણે ઇન્ડિયન સંસ્કાર ખૂબ સરસ સીંચ્યા છે. એ બિલકુલ શાકાહારી છે, આપણી ભાષા પણ બોલે છે, અને અમારી સાથે મંદિરે પણ રૅગ્યુલરલિ આવે.’
શોમા આગળ બોલી, ‘તો છોકરીને અમેરિકામાં ઇન્ડિયનની જેમ ઉછેરી, ને એ બાબતે અભિમાન કર્યું, તો હવે છોકરીને ઇન્ડિયામાંના એક સ્થાનિક કન્નડ – કે મલયાલી – સાથે પરણવું હોય તો એમને તો ગૌરવ થવું જોઇએ.’
‘હા, નિરાંત તો થવી જ જોઇએ. તને યાદ છે કે નહીં, મને ખબર નથી, પણ માયાને પહેલાં એક વાર એક ગોરા અમેરિકન સાથે બહુ ગાઢ મૈત્રી હતી. બંને કૉલૅજમાં સાથે હતાં. તે વખતે માયાને એ ડેવિડ સાથે જ પરણવું હતું. ખાસ્સી ધમાલ કરેલી એણે. પછી વળી પેલો આર્મિમાં ગયો, ને લાંબી રાહ જોવાનો રિવાજ તો આ જમાનામાં છે નહીં.’
‘હા, મેં એવું કાંઈ સાંભળ્યું હતું ખરું, શોમા બોલી. મા-બાપને કેવી શાંતિ વળી હશે એ વખતે – એ ઘેલછા પૂરી થઈ ગઈ હશે ત્યારે. ત્યાં આ ફરીથી ધમાલ જેવું શરૂ થયું લાગે છે. કદાચ આ પ્રૉબ્લૅમ પણ એની મેળે ઉકેલાઈ જાય. શું લાગે છે તને?’
‘ભઇ, મારે એ લોકોની બાબતે માથું નથી દુઃખાડવું. મંજુએ કૉફી પૂરી કરતાં વાત બદલી, તું હવે લંચ પાર્ટીને બદલે આવી કોલ્ડ કૉફીની પાર્ટી રાખજે.’
‘હા, કોલ્ડ કૉફી, અને સાથે ચટણી સૅન્ડવિચ. બરાબર હૅવમૉરનું મૅન્યુ, નહીં?’
પણ મંજુએ તો હૅવમૉરનું નામ પણ નહતું સાંભળ્યું. એ કહે, ‘ભઇ, અમારે નાગપુરમાં છોકરીઓ માટે બહુ બહાર જવાનું બનતું નહતું. જે ખાવું હોય તે ઘેર જ બને, નહીં તો ક્યારેક નાનો ભાઈ જઈને ખરીદી લાવે – કાલોજામ, કચૌડી – પણ તે પપ્પા ના હોય ત્યારે જ.’
ફરીથી એ ધીમા અવાજે કહે, ‘પરણવાથી તો મારું ભાગ્ય ખુલી ગયું. શરદ નાગપુરથી સીધી મને અહીં ન્યૂયૉર્કના આવા સરસ સબર્બમાં લઈ આવ્યો, ને ઘરમાં આખું બજાર ખડું કરી દીધું. શરૂઆતમાં તો અમે રોજ બહાર ખાવા જતાં. મૅક્સિકન શું, ને ઇટાલિયન શું, ત્યારે એવી કશી ખબર જ ક્યાં હતી. ને હવે જુઓ.’
શોમાએ પણ ધીરેથી જ કહ્યું, મનમાં કશા બીજા જ વિચાર ચાલતા હોય તેમ, ‘તો આપણે પણ ઇન્ડિયન તો રહ્યાં, છતાં એવાં બદલાયાં કે ઇન્ડિયાનાં ઇન્ડિયન જેવો ભેદ કરતાં થઈ ગયાં.’
ફરીથી લગભગ એનું એ જ બોલતી ગઈ – ‘આપણે ઇન્ડિયન રહેવું તો છે, ને આપણી સંસ્કૃતિના નામનું ગાયા કરવું છે, પણ જેમ આપણે અમેરિકનો અને બીજી જાતિઓના લોકોથી જુદાં છીએ તેમ શું હવે આપણે આપણા બાપદાદાથી પણ જુદાં થઈ ગયાં છીએ?’ એના અવાજમાં ધ્રૂજારી હતી.
પણ હવે મંજુને ઘેર જવાની ઉતાવળ હતી. શોમાના અન્યમનસ્ક ગણગણવાથી એ કંટાળી. કહેતી ગઈ, ‘સાંભળ, તું નીલાને ફોન કરીને બાફતી નહીં. જો એ તને ફોન કરે તો તું તારો હરખ વ્યક્ત કરજે. ને વધારે જાણવું હોય તો ક્યારેક કાન્તા સાથે વાત કરજે. એને બધી ગૉસિપની ખબર હોય છે.’
એકલાં પડ્યા પછી પણ શોમા વિચારોમાં ફસાયેલી જ રહી. પોતે તો છવ્વીસ જેટલાં વર્ષોથી અમેરિકામાં હતી, ને વારંવાર દેશ જતી હતી. એના સાસરામાં અને પિયરમાં હજી બધાંની સાથે આત્મીયતા હતી. એક-બે મિત્રો જોકે એને કહ્યા કરતી હોય છે કે, તું બહુ લકી છું કે હજી તમારાં કુટુંબોમાં આટલા સારા સંબંધ છે. જીવનની વાસ્તવિકતા એવી ખરી કે જેમાં દરેક વ્યક્તિ એકમેકથી જુદી હોય જ. જગ્યા, ઉછેર, બોલી, ખોરાક વગેરેને કારણે દરેક જણ જુદું તો પડવાનું જ. પણ સામાંને ઊતરતાં કઈ રીતે માની લેવાય?, તે શોમાને મૂંઝવતો પ્રશ્ન હતો.
એમ તો પોતે પણ અંદરખાનેથી ઘણી બદલાઈ હતી, પણ ફરવા દેશ જાય અને સગાંની સાથે હોય ત્યારે કોઈને એવો ખ્યાલ પણ ના આવે. અચાનક એને ભોલી યાદ આવી ગઈ. ભોલી તો પરણીને હજી બે વર્ષ પહેલાં જ અમેરિકા આવી હતી. એનો વર જસબીરસિંઘ ખાસ અમૃતસર જઈને પરણી આવેલો. બંને ટ્રૅડિશનલ શીખ કુટુંબ, પેઢીઓનો પરિચય, ને જસબીરસિંઘ માટે વધારે કશી તપાસ કરવાની જ નહતી.
પણ જેવાં બે જણ ન્યૂયૉર્ક આવ્યાં કે જસબીરે દાઢી કાઢી નાખી, માથાના વાળ મૉડર્ન કપાવી નાખ્યા. હબક ખાઈ ગયેલી ભોલીને કહે, બે-ચાર વર્ષે જ્યારે દેશ ફરવા જાઉં ત્યારે વધારીને જતો હોઉં છું.
એણે ભોલીને કહી દીધું, સરવાલ-કમીઝ અહીં રોજ ના પહેરાય. બધાંની જેમ તૈયાર થતાં શીખી જા.
પછી તો ભોલીને જીન્સ જ નહીં, ટૂંકાં ફ્રૉક પહેરવાની ટેવ પણ પાડવી પડી.
એક દિવસ જસબીરસિંઘે કહ્યું, જો ડાર્લિન્ગ, અમેરિકામાં કોઈને તારું નામ બોલતાં આવડતું નથી. તને બધાં ‘ભોલી’ નહીં પણ ‘બોલી’ કહે છે, એ ખ્યાલ કર્યો તેં? અહીં કોઈ “ભ” ચોખ્ખો બોલી ના શકે. તેથી હવેથી તારું નામ પૉલી છે. પૉલા, પૉલી, ને પુરુષો માટે પૉલ જેવાં નામ એમને ફાવે.
બે એકલાં સાથે હતાં ત્યારે એક વાર ભોલીએ શોમાને કહ્યું હતું, ‘દિદિ, બહારથી જેટલી જુદી લાગું છું તેટલી અંદરથી હું હજી સુધી નથી બદલાઈ. પણ જઈ તો રહી છું એ જ દિશામાં.’
પતિ સાથે ક્લબમાં જતાં જતાં ભોલી વાઇન પીતી થઈ ગઈ હતી. ક્યારેક જસબીરસિંઘ પોતાના હાથમાંની સિગારેટ એને આપતો. જસબીરને પોતાને પણ અમૃતસરની ટ્રૅડિશનલ શીખ છોકરી જ જોઈતી હતી – ફક્ત એનાં મા-બાપને જ નહીં. પણ વાઇફ થયા પછી એ મૉડર્ન સ્ટાઇલની વાઇફ હોય, એવું જ એને પસંદ હતું.
શોમા પાસે ભોલીએ દિલ ખોલ્યું હતું એક વાર. દિદિ, કેટલી હદ સુધી મારે એને ગમે, અને ગમતી રહે એવી મૉડર્ન સ્ટાઇલની વાઇફ બનવાનું? મને તો એ વિષે વિચાર કરતાં જ ડર લાગવા માંડે છે ભવિષ્ય માટે.
બે-ત્રણ દિવસ થઈ ગયા, પણ શોમાએ કોઈને ફોન કર્યા નહીં. નીલા કદાચ ઉદાસ હોય, અને કોઈ મિત્ર સાથે વાત કરવા માંગતી પણ હોય. છતાં શોમા એ ફોન કરે એની રાહ જોતી રહી. એણે કાન્તાને પણ ફોન ના કર્યો. ગૉસિપ કરવાનું એને મન નહતું થતું.
એના પર જે ફોન આવ્યો તે કૅથૅરીનનો આવ્યો. એને પણ માયાના પરણવાની, અને પૅરન્ટ્સના વિરોધની વાતની ખબર પડી હતી. કૅથૅરીન કાન્તાના ભાઈની વાઇફ હતી. જાણે એ એક જ નૉન-ઇન્ડિયન ફ્રૅન્ડ આ ગ્રૂપમાં હતી. સારી ભળી ગઈ હતી, ને તોયે બધી ઇન્ડિયન-અમેરીકન ગૃહિણીઓ એને ફૉરેનર જ ગણતી. અમુક તો એમ પણ માનતી કે ઓહ, કૅથૅરીન વળી શું સમજે?
‘આ ઇન્ડિયાના ઇન્ડિયન અને અહીંના ઇન્ડિયનનો રૅફરન્સ હું સમજી નથી શકતી’, કૅથૅરીને શોમાને કહ્યું. શોમા પણ ક્યાં એ સમજી શકતી હતી.
કૅથૅરીન ન્યૂયૉર્કમાં વકિલાત કરતી હતી. એની વાતો હંમેશાં બુદ્ધિપૂર્વકની રહેતી. ‘પણ આવા ભેદ પાડો તો એ ગેરકાનૂની ના ગણાય?’, એણે પૂછેલું. પછી તરત એ ગંભીર ભાવે જરા હસેલી, કે પર્સનલ ભેદભાવ રાખવામાં જો કાનૂનનો ભંગ થતો ગણાતો હોત તો દુનિયા આખીની બધી જેલો ઊભરાતી હોત.
ખરું કે નહીં?, એણે ઉમેરેલું. ફોન પર એના ભાવ દેખાય તો નહીં, પણ એના અવાજ દ્વારા એ શોમાને જાણે સંભળાયા હતા ખરા.
આઠેક દિવસ થઈ ગયા હશે. નીલાએ કોઈને ફોન કર્યા હોય તેવું લાગતું નહતું. શોમા પર તો નહતો જ આવ્યો એનો ફોન. પણ શોમાએ ખરાબ ના લગાડ્યું. ઊલટું, નીલા પોતે કેવી દુઃખી થતી હશે એમ વિચારીને શોમા જીવ બાળતી હતી.
એક દિવસ અમિતાનો ફોન આવ્યો. મંજુ પાસેથી સાંભળ્યા પછી એને કોલ્ડ કૉફી અને ચટણી સૅન્ડવિચની આફ્ટરનૂન પાર્ટી પોતાને ત્યાં કરવી હતી, અને શોમાની મદદ જોઇતી હતી. શોમાને હસવું આવેલું કે બીજું કાંઇ નહીં તો કોલ્ડ કૉફી માટે પોતે ફેમસ થવાની હવે.
અમિતાની દીકરી એક અમેરિકનને પરણેલી, ને બંને ડૉક્ટર હતાં. એક વાર કૅથૅરીને શોમાને સમજાવેલું કે અમિતાનો જમાઇ અમેરિકામાં જેને “બૉસ્ટન બ્રાહમિન” કહે છે તેમાંનો, એટલેકે પેઢીગત કૌટુમ્બિક વારસાની તેમજ આભિજાત્યની દૃષ્ટિએ અમેરિકાના ઇતિહાસમાં જે ઉત્તમ ગણાય તેવા સામાજિક વર્ગમાંનો હતો. આ લોકો ખૂબ પૈસાદાર હોય, ખૂબ ભણેલા હોય, અને સાથે જ, “શો-ઓફ” કરવામાં, કે મોટાઇ બતાવવામાં ના માનતા હોય.
આટલું સમજ્યા પછી શોમાને લાગતું કે અમિતા એના જમાઇ અને વેવાઇ-કુટુંબ પાસેથી ઘણું શીખી છે. બડાઇ મારવાને બદલે જાણે એ હવે એકદમ સાધારણ ભાવે દીકરીના ખબર આપતી. વળી, બહેનપણીઓનાં છોકરાંઓને વિષે રસ લેતી, સાચી લાગણી બતાવતી. કૅથૅરીનનું ધ્યાન પણ આ ચેન્જ પર ગયું હશે, કારણકે એણે શોમાને કહ્યું હતું, મોટે ભાગે લોકો પાસેથી આપણે મોટી મોટી વાતો સાંભળવી પડતી હોય છે, પણ અમિતા બહુ સ્વીટ છે, એ એના ફેમસ જમાઇની વાતો પણ ભાગ્યે જ કરે છે.
કૅથૅરીન પણ બહુ સ્વીટ હતી. એ ક્યારેય “તમે ઇન્ડિયન, તમે ઇન્ડિયન” કરીને બોલતી નહીં. એ હંમેશાં ક્યાંતો ‘બધા લોકો’, અથવા ‘આપણે બધાં’ કરીને જ વાત કરતી. પોતે કોઈ રીતે જુદી, કે વધારે હોંશિયાર છે તેવું ક્યારેય ના લાગે તેનો ખ્યાલ એ રાખતી. શોમાને થતું, કેટલાં બધાંએ કૅથૅરીન પાસેથી પણ સ્વભાવની ઉદારતા શીખવા જેવી છે.
અમિતાને ત્યાં શોમા આગળથી પહોંચી ગઈ હતી. કૅથૅરીન પણ મદદ કરવા આવી ગઈ હતી. કોલ્ડ કૉફી અને સૅન્ડવિચની સાથે અમિતાએ ઢોકળાં અને પાપડ-પૌંઆ બનાવ્યાં હતાં, અને ફરસી પૂરી એ પટેલ બ્રધર્સની દુકાનમાંથી લઈ આવી હતી. સરસ રીતે બધું ગોઠવતાં ગોઠવતાં ફરી માયાની જ વાત નીકળી હતી.
એ ત્રણેને નીલા પ્રત્યે સહાનુભૂતિ હતી. અમિતા કહે, દીકરી તો અહીં જન્મી એટલે એ પોતે તો અમેરિકન જ થઈ. તેથી એ અમેરિકનને પરણે તો પણ પૅરન્ટ્સને વાંધો ના હોવો જોઈએ.
કૅથૅરીન કહે, અને ધારો કે ઇન્ડિયાનો ઇન્ડિયન હોય, તો પણ શું? જેવી દીકરીની ઇચ્છા. ખરું કે નહીં?
અમિતા બોલી, હા, એ છોકરો કોણ છે, કેવો છે, શું ભણેલો છે -જેવી બાબતોની તપાસ તો કરવી જ જોઇએ, પણ ખરેખર તો, મૅચ્યૉર થયેલી દીકરી માટે મા-બાપે બહુ ચિંતા કરવાની ના હોય.
શોમા કહે, ભઇ, આ તો મૉડર્ન જમાનો છે. મા-બાપે બધું જોઈ-કરીને પરણાવ્યાં હોય તો યે ભૂલ થયેલી લાગે છે ઘણી વાર. એના મનમાં ભોલીની જિંદગીનો સંદર્ભ તરી આવેલો, પણ એણે એ વિષે કશું કહ્યું નહીં.
ત્યાં જ કૅથૅરીનને કશું સૂઝ્યું હશે, તેથી એ ફરીથી કહેવા લાગી, ‘મેં જોયું છે કે લગભગ બધાં કુટુંબોમાં છોકરાની વાઇફ ઇન્ડિયન હોય તેવી જ ઇચ્છા વધારે હોય છે. અહીં જો સારી, ડાહી, દેખાવડી ઇન્ડિયન છોકરી નજરમાં ના આવે તો દેશમાંથી શોધી લાવવામાં આવતી હોય છે.’
જરાક શ્વાસ લઈને પછી એણે પૂછ્યું, ‘ઇન્ડિયાની ઇન્ડિયન છોકરી જો ડૉટર-ઇન-લૉ તરીકે બહુ ડિઝાયરેબલ ગણાતી હોય, તો ઇન્ડિયાનો ઇન્ડિયન છોકરો સન-ઇન-લૉ તરીકે કેમ ડિઝાયરેબલ નથી ગણાતો?’
શોમા અને અમિતાએ એકબીજાની સામે જોયું, પણ બંને કશું કહી ના શક્યાં. કૅથૅરીન ઇન્ડિયન મૅન્ટાલિટીને કેટલા ઊંડાણથી સમજતી હતી. ને એનો પ્રશ્ન એકદમ લૉજિકલ હતો, પણ કોઈ પણ રીતે એનો જવાબ આપવો સહેલો નહતો.
એટલામાં જ બારણાની બૅલ વાગી. કૅથૅરીને જઈને બારણું ખોલ્યું. મંજુ હતી. એનો સ્વભાવ કહેલા સમયથી વહેલાં આવવાનો. આજે એનું ધ્યાન કૅથૅરીન, કે શોમા, કે હૉસ્ટૅસ અમિતા પર પણ નહતું. એના એક હાથમાં ઘરના બાગમાંથી ચૂંટેલાં ફૂલોનો ગુચ્છ હતો, અને બીજા હાથમાંના સૅલ ફોન પર એની વાતો ચાલુ હતી.
‘જા, જા, શું કહે છે, ખરેખર?’ એટલું કહેતાંમાં તો એનું હસવું માતું નહતું. ના હોય. ખરેખર? હસતાં હસતાં એનો બીજો હાથ પેટ પર કે મોઢા પર જતો હતો. એ હાથમાંનાં ફૂલો ક્યારે નીચે પડ્યાં, ને વિખેરાઇ ગયાં તેની પણ એને ખબર નહતી.
ફોન બંધ કરીને તરત એ કહેવા માંડી, ‘માયાની આખી વાત શું છે, ખબર છે? આ હમણાં કાંતાએ મને બધું કહ્યું.’
પેલાં ત્રણે કશો રસ બતાવ્યો નહીં, પણ મંજુએ આગળ ચલાવ્યે રાખ્યું. ‘માયાને પેલા સ્થાનિક કન્નડ – કે મલયાલી – સાથે કેમ પરણવું છે – એટલેકે કેમ પરણવું હતું તે ખબર છે? એટલા માટે કે માયા એ બિચારાને મદદ કરવા માગતી હતી. પોતે અમેરિકન એટલે એને પરણીને પેલાને પણ અમેરિકાની સિટિઝનશીપ મળી જાય, ને એમ એની જિંદગી સુધરી જાય. પછી બંને છૂટાં પડી જાય, એવું માયાને કરવું હતું.’
કૅથૅરીને તરત મુદ્દો ઉઠાવ્યો, કાનૂન પ્રમાણે આમ પરણવું ને છૂટાં થઈ જવું કાંઇ હવે સહેલું …
મંજુએ એને ત્યાં જ અટકાવી. ‘અરે, તારા કાનૂનને હમણાં બાજુ પર રાખ. આખી વાત સાંભળ.’
શોમાએ જોયું કે કૅથૅરીન ગંભીર થઈ ગઈ હતી. કદાચ ઉદાસ પણ. ગૉસિપમાં એ ક્યારે પણ રસ લઈ નહતી શકતી. અને બીજાંની વાત પર આમ હસવું ને એની મજાક કરવી તે એને બહુ ક્રુડ લાગતું હતું.
એ તરફ મંજુનું ધ્યાન નહતું. એ બોલ્યે ગઈ, મૂળ વાત એમ છે કે માયાએ છાનાંમાનાં લગ્ન તો કરી પણ લીધાં છે. ને પાછાં ક્યારનાં યે.
હવે તો અમિતા પણ સ્તબ્ધ થઈ ગયેલી.
‘અરે, માયા તો એના બીજા અમેરિકન બૉયફ્રૅન્ડ માઇકલને પરણી ગઈ છે. એ તો છેલ્લે એના જ પ્રેમમાં હતી, પણ એનજીઓમાં કામ કરતાં એને કોઈ સ્થાનિક છોકરાનું ભવિષ્ય સુધારવાનો વિચાર આવેલો.’
ફરીથી મંજુ ખડખડાટ હસવા લાગી. કહે, પેલી નીલાડી એ જ લાગની છે. એણે છોકરીને રાજકુમારીની જેમ રાખેલી. હવે શું મોઢું બતાવે બધાંને?
કૅથૅરીને ચૂપચાપ નીચે પડેલાં ફૂલોને ભેગાં કરવા માંડેલાં. એણે ગુચ્છ શોમાના હાથમાં આપ્યો, ને એ બારણા તરફ જવા માંડી. શોમાએ રોકવા પ્રયત્ન કર્યો, પણ એ ફીક્કું હસીને બહાર નીકળી ગઈ. એટલાંમાં બીજી બહેનપણીઓ અંદર આવવા લાગી. એ બધાંને ફરીથી મંજુ વિગતે માયાની અને નીલાની વાત કરવા લાગી. જોકે એના જેટલું બીજું કોઈ હસતું નહતું.
શોમાને બહુ શરમ જેવું લાગતું હતું. એને થયું કે એ પણ જતી રહે. એ એક વાર કૅથૅરીનની પાછળ જોતી રહી, અને પછી ભેગી થયેલી સ્ત્રીઓ તરફ.
અમિતા સમજી ગઈ હોય તેમ જરા દૂરથી એની સામે જોતી હતી. એણે આંખોથી જ શોમાને વિનંતી કરી, તું ના જતી રહેતી. પ્લીઝ. મારે ખાતર.
શોમાએ બાજુના નાના ટેબલ પર રહેલા વાઝમાં ફૂલો મૂક્યાં, અને એમાં થોડું પાણી નાખવા રસોડા તરફ ગઈ. એણે જોયું કે ડાઇનિંગ રૂમના ટેબલ પર ગોઠવેલા છ-સાત ગ્લાસમાં કોલ્ડ કૉફી ગરમ થતી હતી, અને પ્લેટમાં મૂકેલી ચટણી સૅન્ડવિચ સૂકાતી જતી હતી.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” એટલેકે Love એક અલૌકિક અને અદભુત અહેસાસ છે.જીવનની આ સર્વશ્રેષ્ટ અનુભૂતિને આવરી લેતી અનેકાનેક રચનાઓ કવિવરની કલમ દ્વારા પ્રગટી છે. જે તેમણે પ્રેમ પારજોયની રચનાઓમાં આવરી લીધી છે.
જેમ દિવસ પછી રાત આવે, સુખ પછી દુઃખ આવે તેમજ જ્યાં પ્રેમ હોય ત્યાં પીડા પણ હોય જ. When there is love, there is pain. આ પીડા અનેક કારણોસર ઉભી થઇ શકે. કોઈકવાર પ્રિયજનની ક્ષણિક ગેરહાજરીના હૃદયને વિરહની વેદનાને છલકાવી મૂકે તો કોઈક વાર પ્રિયજન પાસેથી કોઈક અપેક્ષાની પૂર્તિ થવામાં ચૂક થાય તો હૃદય ખિન્ન થઇ જાય અથવા તો જેને આપણે “પ્રિયજન” માની સાચો પ્રેમ કર્યો હોય તે એ પ્રેમને ઠુકરાવીને આપણી જિંદગીમાં થી સદાને માટે દૂર થઇ જાય… કારણ ગમે તે હોય અને પીડાની માત્રા વધતી ઓછી હોય પણ આ પીડાના મૂળમાં અઢી અક્ષરનો શબ્દ “પ્રેમ” જ હોય.
ગુરુદેવના અંગત જીવનમાં પણ એવી અનેક ક્ષણો આવી જયારે તેમને પ્રેમની સાથે વણાયેલી પીડાની સ્વ-અનુભૂતિ થઇ. આ વિરહની વેદનાને કવિવરે કલમ સાથે વહાવી દીધી. આવીજ એક વિરહભરી સંવેદનશીલ રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. ૧૯૨૭માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે তোমার গীতি জাগালো স্মৃতি (તોમારો ગેતી જાગલો શ્રીતી) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અશ્રુના લીલેરા તોરણ…” જેનું સ્વરાંકન કવિવરે મલ્હાર રાગમાં કર્યું છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.
ગુરુદેવની આ નાનકડી રચનામાં શબ્દે શબ્દે વિરહની વેદના ટપકે છે. જયારે પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી ન હોય ત્યારે અશ્રુના તોરણ તો નયનોમાં બંધાય જ પણ સાથે સાથે આસપાસની સૃષ્ટિમાં પણ સતત પ્રિયજનના જ ભણકારા સંભળાય…અને મન અને હૃદયને કાબુમાં રાખવું મુશ્કેલ બની જાય.
આપણે સૌ જાણીએ છીએ તેમ ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ પ્રિયજન પ્રત્યેના અલૌકિક પ્રેમની પરાકાષ્ટા ગણાય છે શ્રીમદ ભાગવતજીમાં એક સુંદર પ્રસંગ છે. ગોપીઓને પોતાના પ્રેમનો સાત્વિક ઘમંડ હોય છે અને એ મદ અને મોહને તોડવા મદનમોહન મહારાસલીલા સમયે અચાનક અંતર્ધ્યાન થઇ જાય છે અને ગોપીઓ એટલી પ્રચંડ માત્રામાં વિરહની વેદના અને વિયોગની પીડા અનુભવે છે કે તેઓ બાવરી બનીને વૃંદાવનના દરેક વૃક્ષને વીંટળાઈને તેમના કનૈયાની ભાળ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે…
કદાચ પ્રેમનું જેટલું ઊંડાણ વધુ તેટલી વિરહની વેદના પણ પ્રચંડ… The deeper the love, the steeper the pangs of separation. પ્રેમમાં ઘણીવાર પ્રિયજનનું પ્રત્યક્ષ “હોવું” જ જરૂરી બનતું હોય છે. એ હાજરી જ ચાલક બળ બની રહેતી હોય છે અને પ્રિયજનની ગેરહાજરીમાં વિરહ અને વિયોગ મને અને હૃદય પર આધિપત્ય જમાવી દે છે આવાજ કોઈ સંજોગોમાં કવિવર દ્વારા આ રચનાનું સર્જન થયું હોવું જોઈએ.
તો ચાલો, વિરહની વેદના વ્યક્ત કરતી આ રચના પર મનન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું.
આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
હેમંતકુમાર – જેમને આપણે સહુ હેમંતદા’ના નામે ઓળખીએ છીએ, એન્જીનીયરીંગ કૉલેજમાં દાખલ થયા હતા. સંગીતના શોખના કારણે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડ્યો. પરમાત્માએ તેમને પત્થરના પુલ બનાવવાને બદલે માનવ હૃદયોને જોડવાનાં ભાવનાત્મક પુલનું નિર્માણ કરવાનું કામ સોંપ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખાંસાહેબ ફૈયાઝખાનસાહેબ પાસે લીધું, પરંતુ ખાંસાહેબના નિધનને કારણે શાસ્ત્રીય સંગીત અધવચ્ચે મૂકીને રવીંદ્રસંગીત તથા બંગાળના આધુનિક સંગીત તરફ વળ્યા. રવીંદ્ર સંગીતમાં તેમણે ગાયેલા ગીતો બેજોડ ગણાયા. ખાસ કરીને ‘મોને રોબે કિના રોબે આમારે’, ‘પાગલા હવા, બાદલ દિને’, ‘મન મોર મેઘેર સંગી, ઉડે ચલે દિગ્ દિગંતેર પાને’ તેમના પછી અનેક ગાયકોએ ગાયા. એટલું જ નહિ, અમારી અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીઓમાં બંગાળી મહિલાઓ અને અફસરો આ ગીતો શોખથી ગાતાં, અને હજી પણ ગાય છે! પણ હેમંતદા’એ જે રીતે કવિગુરૂના શબ્દોને, સંગીતને મૂર્ત બનાવ્યું, વાહ! આ ગીત તો હેમંતદા’નું જ ગણાય!
તેમણે સૌથી પહેલું હિંદી ગીત ગાયું હોય તો તે ફૈયાઝ હાશમીનું ‘કિતના દુ:ખ ભુલાયા તુમને, પ્યારી!’
(ગયા અંકમાં જિપ્સીએ તેની માન્યતા પ્રમાણે લખ્યું હતું કે તેમનું પહેલું ગીત ‘આંચલસે ક્યું બાંધ લિયા‘ હતું. કદાચ તે ભુલ ભરેલી માન્યતા હોય!)
હેમંતદા’ના સમકાલિન ગાયકો હતા જગન્મય મિત્ર – જેમને આપણે સુરસાગર જગમોહનના નામે ઓળખીએ છીએ, ધનંજય ભટ્ટાચાર્ય (જેમણે ‘યાત્રિક’માં ‘તુ ખોજતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’ ગાયું હતું) જેવા ગાયકો. અંગ્રેજી સાહિત્યમાં જેમ Romantic Period હતો, તેવો તે સમયે બંગાળમાં રોમૅન્ટીક, પ્રેમ ગીતોનો યુગ હતો. જગમોહન – ખેર, આજની વાત હેમંતદા’ની છે. જગમોહનની વાત ફરી કદી! તેઓ તો સુરસાગર જ હતા! બન્નેએ જુદા જુદા માર્ગ અપનાવ્યા અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય નીવડ્યા. ગમે તે હોય, હેમંતદા’ની વાત નિરાળી જ છે.
હેમંતદા’એ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા અને લોકોના હોઠે રમવા લાગ્યા! તેમણે ફિલ્મ અનારકલીમાં ગાયેલી બાગેશ્રી ‘જાગ દર્દે ઇશ્ક જાગ/દિલકો બેકરાર કર’ પણ એવું ગીત છે, કોઇ તેને કદી ભુલી શક્યું નથી.
તેમનો forté હતો ઉર્દુ શાયરોની આર્દ્રતાભરી ગઝલ પેશ કરવાનો. અગાઉ જણાવ્યા પ્રમાણે તેમણે ગાયેલું ‘પત્થરકી તરહ હો દિલ જીસકા‘ તો આપે સાંભળ્યું જ હશે.
પણ ત્યાર બાદ તેમણે ગાયેલ ‘જાને વો કૈસે લોગ થે..‘ એવી હૃદયસ્પર્શી હતી, રસિકો ઘણી વાર વિમાસણમાં પડતા કે હેમંતદા’એ ગાયેલી આ ગઝલને કારણે, સચીન દેવ બર્મનના સંગીત, ગુરૂ દત્તના અભિનયને લીધે કે પછી કવિની કરૂણાંતિકા-કથાને કારણે ‘પ્યાસા’ ફિલ્મ પ્રખ્યાત થઇ હતી.
હકીકત તો એ છે કે આ બધા કલાકારો-સર્જકોએ તેના સર્જનમાં પોતાની ભાવનઓનું તેમાં સિંચન કર્યું હતું, તેથી. ત્યાર પછી હેમંતદા’એ ગાયેલી ‘તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’, હજી પણ શ્રોતાને તેના સ્નેહ જગતમાં લઇ જાય છે. છેલ્લા અંતરામાં તેઓ એવી હળવાશથી કહે છે, ‘મુખ્તસરસી બાત હૈ, તુમસે પ્યાર હૈ..’ સાંભળીને કોઇ પણ યુવતિ યુવાનના પ્રેમનો સ્વીકાર કરી લે!
આપને તેમનું ‘યહ નયન ડરે ડરે હુવે’ યાદ છે?’ કેવી હળવાશથી તેઓ જાણે પ્રેયસીના કાનમાં આ વાત ન કહેતા હોય!
જિપ્સીને તેની કિશોરાવસ્થામાં સાંભળેલ તેમનું ગીત ‘મૈં સાઝ બજાઉં, તુમ ગાઓ!’ તેના પ્રિય ગીતોમાંનું એક બની ગયું છે.
હેમંતદા”એ સંગીતકાર તરીકે baton સંભાળ્યો, ત્યારે તેમણે ‘નાગિન’ જેવી સામાન્ય કથાને એવી હિટ ફિલ્મ બનાવી, ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેનાં ગીતોની રૅકર્ડ્ઝના વેચાણમાંથી જ ફિલ્મનો ખર્ચ નીકળી ગયો! ત્યાર પછી હેમંતદા’ના સંગીત પર વૈજયન્તીમાલાએ કરેલા નૃત્યો અભૂતપૂર્વ ગણાયા. ખાસ કરીને ‘મૈં આયી રે તેરે લિયે સારા જગ છોડકે’ ગીત પર કરેલા તેમનાં નૃત્યે તો ધમાલ મચાવી હતી.
(અહીં વૈજયન્તીમાલાના નૃત્યની વાત કરીએ તો હેમંતદા’એ રચેલા આ ગીત બાદ તેમણે કોઇ ફિલ્મમાં ઉત્તમ નૃત્ય કર્યું હોય તો તે ‘જયુએલ થીફ’માં ‘હોઠોંપે ઐસી બાત’ હતું જેને જિપ્સી ન ભૂતો ન ભવિષ્યતિ ગણે છે! આવાં નયનરમ્ય, કલાપૂર્ણ નૃત્યો ફરી કદી રૂપેરી પરદા પર રજુ થયા નથી.)
તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘ખામોશી’નાં ગીતોએ તો માનવીની ભાવનાઓને સૂરમય બનાવી દિધી. તેમના નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલ ગીત ‘વો શામ, કુછ અજીબ થી’હજી પણ ‘તે’ સંધ્યાને તાજી બનાવી દે છે. આવો હતો હેમંતદા’નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. આપણા મિત્ર શ્રી. માર્કન્ડભાઇએ ગયા અંકમાં આની વાત લખી છે તે આની સાક્ષી પૂરે છે.
હેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! અને તેમણે ગાયેલાં ગીતોની! તેમના સંગીતને આપણે માણી શક્યા તે આપણું સદ્ભાગ્ય જ ગણાય.
માત્ર ચૂલો, કડાઇ, તાવેથો અને તાપની ગોઠવણ કર્યે “ શીરો ” બની જતો હોત તો ઘી, ગોળ કે લોટ-પાણીનો કોઇ ભાવ જ ન પૂછત ! એ રીતે આકાશથી ઉતરી આવતો સૂર્યપ્રકાશ અને હવા માંહ્યલો અંગારવાયુ વનસ્પતિના લીલા પાંદડે પહોંચી જવા માત્રથી વનસ્પતિનો ખોરાક તૈયાર થઇ જતો નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પહેલી જરૂર પડે છે પોષક તત્વોથી સભર એવા રંધાનારા કાચા ખોરાક રૂપી જમીનના રસની, અને એને જમીનમાંથી ચૂસી પાંદડા સુધી પહોંચાડ્યા કરવાનું પાયાનું કામ કરે છે – આપણી નજરને નહીં ભળાતા એવા જમીનમાં ધરબાએલા ઝાડ-છોડના મૂળિયાં .
મૂળિયાનું એવું જ બીજું બહુ અગત્યનું કામ છે – ઝાડ-છોડને ધરતી પર મજબૂતીથી ઊભો રાખવાનું. તોફાની પવનની આંટીઓ કે વાવાઝોડું સિમેંટ-રેતીથી ધરબેલા અને ચોતરફ તાણિયા કસેલ વીજળીના થાંભલાને પાયામાંથી ઉખાડી જમીનદોસ્ત કરી દેતા હોય છે. પણ નહીં ફાંઉડેશન કે નહીં એકેય તાણિયો ! ઝંઝેડી નાખતા ઝંઝાવાત ફળ-પાંદડા તો ખેરી નાખે, ડાળીઓય ભાંગી નાખે, થડિયુંયે ફંહાય જાય પણ વૃક્ષના મૂળિયાં માટીની પકડ મૂકતા નથી. ઝાડ કે છોડને પોષનારું અને ધરતી પર અડીખમ ઊભુ રાખનારું કોઇ પરિબળ હોય તો તે છે તેનાં મૂળિયાં !
દુ;ખ જ આપણું આ છે = આપણે બધા પાકના ખોરાકી તત્વો એટલે કે વિવિધ જાતના સેંદ્રિય અને રાસાયણિક ખાતરોના ઉમેરણની જેટલી ચિંતા રાખીએ છીએ એનાથી પાંચમાં ભાગનીયે દરકાર એ ખોરાકી તત્વોને જમીનમાંથી ચૂસી ઉપર ધકેલનારા ઝીણાં-મોટા મૂળિયાંની લેતા નથી. ખોરાક ભલેને ઢગલામોઢે પડ્યો હોય – એ ચૂસનારા મૂળિયાં જ જો માયકાંગલા અને અલ્પ જથ્થામાં હોય તો ? છતે ખોરાકે છોડવાને ભૂખે મરવાનો વારો આવે કે નહીં ?
ઈમારત કેટલી ઉંચી લઇ જઇ શકાશે તેનું ગણિત તેના પાયાની મજબૂતાઇ કેટલી કરવામાં આવી છે તેને ધ્યાને લઇને એંન્જીનીયરો કરતા હોય છે. આપણા છોડવા કે ઝાડવા કેવાક ફાલશે-ફૂલશે કે કેટલું ઉત્પાદન આપવા સક્ષમ બનશે તેનું ગણિત પણ તેનું મૂળતંત્ર કેવુંક મજબુત, ફેલાએલું અને કાર્યરત છે તેના પર જ મંડાવાનું .
એક ઝાડવાને એક થડ હોય-એ તો હોય ! એમાં કંઇ નવું કે અચંબો પમાડે એવું નથી. પણ એક ઝાડવાને એકથી વધારે થડિયાં હોય એવું જોયું છે ક્યાંય ? યાદ કરો બરાબર ! કોઇ કોઇ ગામના ગોંદરે કે તળાવની પાળે ઊભેલા વૃક્ષ-જગતના વડિલ એવા વડદાદાને નીરખીને જોજો જરા ! જૂઓને, કવિ સુંદરમે દરેક કુટુંબના વડીલ દાદાઓને વડ સાથે સરખાવ્યા છે.
પણ તે તો વડને કુદરતે દીધેલી વિશિષ્ટ શક્તિ દ્વારા મૂકાએલી વડવાઇઓએ પકડેલા થડના સ્વરૂપો છે.
આ વડવાઇઓ શું છે ? વડ કે પીપર જેવા ખાસ વિશિષ્ટ ખાસિયત ધરાવતા ઝાડવાઓ પૂખ્ત ઉંમરના થતાં તેની પાકટ ડાળીઓમાંથી પાતળાં મૂળિયાં ફૂટી ધરતી તરફ લંબાતા હોય છે. જમીન સુધી પહોંચ્યા પછી તે જમીનમાં પ્રવેશી મૂળનું માળખું બનાવી જમીનમાંથી પોષણ ખેંચી ખેંચી ઉપર મોકલવાનું કામ બજાવવા લાગે છે. સમય જતાં તે માળખું મોટું બનતું જાય છે અને જમીનથી મુખ્ય ડાળી સુધીની એ વડવાઇ હવે પાતળાપણું છોડી ,લોંઠકી બની થડનું રૂપ ધારણ કરી લે છે. વખત જતાં એની જાડાઇ એટલી બધી વધી જતી હોય છે કે મૂળ થડ ક્યુ અને વડવાઇઓ દ્વારા બનેલાં થડ ક્યા ? એ પારખવું અઘરું થઇ પડતું હોય છે.
તમે જોજો ! આવું જ લીમડે લટકતી ગળોની વેલી પણ પોતાના શરીરમાંથી વડવાઇઓ જેવા તાંતણાં લટકાવી નીચે જમીન પર પહોંચ્યાં ભેળા જ તેના અગ્ર ભાગેથી ઝીણાં મૂળો પ્રસરાવી રસ ખેંચાણ કરવાની પેરવીમાં જ કાયમ ભળાતી હોય છે.
પણ દુ:ખ એ વાતનું …….કે : ખાટલે મોટી ખોટ્ય કે વડ-પીપર જેવા વડવાઇઓ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવનારા વૃક્ષો, વૃક્ષ તરીકેના અનેક લાભો દેતા હોવા છતાં સ્વાદિષ્ટ અને પોષક ખોરાક ઉપરાંત બજારૂ આવક આપનારા ફળો દેવા માટે ઊણા ઊતરે છે. એટલે કોઇ ખેડૂત વાડીની અંદર તેનું વ્યવસ્થિત વાવેતર તો ન જ કરે ને ?
આપણી અભિલાષા : આપણને ઘડીભર એમ થાય કે વડ-પીપરના જેવી વધારાની થડ-મૂળ બનાવી શકવાની વિશિષ્ટ શક્તિ ભગવાને માનવીય ખોરાકમાં ઉપયોગી એવાં મીઠાં અને મધુંરાં ફળો આપતાં બધાં વૃક્ષોને આપી હોત તો ? જામો પડી જાત હો ! ખેતરે ખેતરે કબીરવડ જેવાં ફળઝાડો લહેરાતાં હોત ! પણ જવા દો એ વાત.
ઝાડની આ આવડતનો લાભ આપણે લઇ શકીએ ? = હા, ખેતીના આધુનિક વિજ્ઞાને આ પડકાર જીલ્યો છે અને “ કલમ ” ના સિધ્ધાંતને સહારે નવું કૌતૂક ઊભું કર્યું છે. કેવી રીતે તે જરા જોઇએ.
રીત સાવ સહેલી છે = રાયણના પઠ્ઠા પર ભેટ કે નૂતન કલમ કરી ચીકુનું વર્ધન કરવાનું ખેતી વિજ્ઞાને શીખવાડ્યું છે. બસ, એ જ રીત-પધ્ધતિએ લગભગ બધા ફળઝાડોને વધુ થડ-મૂળ ઉમેરી શકાય છે. જેમકે ચીકુનું ઝાડ ઉછરી મોટું ડાળીઓ વાળું બની જાય એટલે મુખ્ય થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી દેવાનો. પઠ્ઠો જમીનમાં ચોટી જઇ જોરદાર રીતે વધવા માંડે ત્યારે તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાનો. કલમનો સાંધો મળી જાય – બન્ને એક્જીવ થઇ જાય એટલે રાયણના પઠ્ઠાનું માથું કાપી નાખવાનું, પણ ચીકુની ડાળીને તેના ઝાડથી અલગ નહીં કરી દેતા –એમને એમ લાગેલી રહેવા દેવી. જેથી રાયણનો પઠ્ઠો હવે ચીકુનું નવું થડ બની ગયું, અને એના મૂળિયાં હવે ખોરાક ચૂસી ચૂસી ઉપર ચીકુના ઝાડને મોકલવાનું શરુ કરી દે છે. આવા બે ત્રણ કે ચાર વધારાના થડ બનાવી દીધા હોય તો ઝાડ આસાનીથી તેનો મૂળવિસ્તાર સવાયો-દોઢો વિસ્તારી, એટલી વધારાની જમીનમાંથી રસકસ ચૂસી ઝાડને મોકલી શકે. એટલે સહેજે આપણને એક થડ વાળા ઝાડની સરખામણીએ આવા ઝાડમાં વધારે ઉત્પાદન મળવા લાગે.
આ રહ્યો બોલતો પુરાવો = આ રીતે ફળઝાડોને વધુ થડ-મૂળિયાં ઉમેરાયા હોય એવું પ્રત્યક્ષ કામ જોવા ઈચ્છતા હોય તેમને માટે માહિતી આપું. શ્રી હિરાભાઇ રાજાભાઇ કરમટા-[જી.ઇ.બી.વાળા] મો. 94272 29603 ની 12 એકરની ચીકુવાડી ગામ-ખેરા તા-માળિયા,જિ. જુનાગઢમાં આવેલી છે. ખેતી પધ્ધતિ સજીવવાળી છે. આ વાડીના 700 ચીકુનાં તમામ ઝાડવાં જોઇ વળો- એક થડ વાળું શોધ્યું નહીં જડે ! લગભગ તમામને બે થી માંડી ત્રણ-ત્રણ ને ચચ્ચાર સુધીના થડ જોવા મળશે. તેઓ આ વિશિષ્ટ પ્રકારના ઝાડ ઉછેરની મહેનત પોતાના મોટાભાઇની ગણે છે અને વધુને વધુ મૂળને પરિણામે ફળોનું ઉત્પાદન પણ ધીંગું રહ્યાનું કબુલે છે. આ બાગ જોયા પછી પ્રગતિશીલ માનસ ધરાવતા ખેડૂતો જરૂર કંઇક નવું કરવા પ્રેરાશે.
શું બીજા વૃક્ષોમાં આવું થઇ શકે ? હા, જરૂર થઇ શકે. જે જે ઝાડમાં ભેટકલમ શક્ય બને છે તે બધા જ ઝાડ- આંબા, જામફળી, આમળા, ગુંદા,આમલી વગેરે ઝાડવાઓમાં વધારાના થડ-મૂળિયાં ઉભા કરી , વધુ ખોરાક ઝાડને પહોંચતો કરી, ફળરૂપે ઉત્પાદનમાં રૂપાંતરિત કરી શકાય છે.
આપણે પણ આવું કરી શકીએ :
[૧] તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી માટી ચડે તેવા પાળા ચડાવી દીધા હોય તો તે ગાંઠોમાંથી નીકળતી વડવાઇઓને જમીનમાં પ્રવેશ કરવાનો મોકો ઊભો થશે, અને તેના દ્વારા ધરતીમાંથી વધારાના રસ-ખેંચાણનો લાભ ઉત્પાદનમાં ચોક્કસ મળવાનો જ !
[૨] એવું જ દૂધી, તૂતિયાં, ગલકાં, ટીંડોરાં, કાકડી, કારેલાં જેવાં વેલાવાળા પાકોમાં પણ જોશો કે વેલાની ગાંઠોમાંથી વડવાઇઓ જેવાં પાતળાં મૂળો ફૂટતાં હોય છે.પણ વેલો પવન-પાણીથી આડો-અવળો થતો રહેતો હોઇ, તે મૂળિયાં જમીનમાં પ્રવેશી શકતાં નથી. પરંતુ જો આવા વેલાને એની કોઇ કોઇ ગાંઠો પર પાણતિયા દ્વારા પાવડોભરી માટીની ઢગલીઓ કરાવતા થઈ જઈએ, તો આ વડવાઇઓ પણ જમીનને વળગી, પોષણ ચૂસી વેલાને મોકલવા માંડે છે, અને વેલો વધુ ઉત્પાદન આપવા શક્તિમાન બને છે. આતો અમારો જૂનો થઈ ગયેલો જાત અનુભવ છે.
તલસ્પર્શી નિરીક્ષણની ટેવ હોય તેવા ખેડૂતોને આ પ્રકારના અનુભવો થતા રહેતા હોય છે. આ લખાણને વાંચી રહેલા કોઇ પ્રયોગશીલ ખેડૂતભાઇને આવી કોઇ નવી વાત જાણવા મળી હોય તો સૌને જાણકારીનો લાભ મળે એ ખાતર મને જાણ કરવા વિનંતી. સુખ તો વહેંચવાથી જ વધે ને, મિત્રો !
જેમ જેમ ઉનાળાની ઋતુ અંત તરફ જાય છે તેમ પ્રકૃતિ ધીમે ધીમે બદલાતી લાગે છે, ઉનાળાની તીવ્ર ગરમી ઓછી થવા લાગે છે, પવનમાં ભેજનો અહેસાસ થાય છે અને આકાશમાં વાદળો ભેગા થવા લાગે છે. આ સમય દરમિયાન, જો તમે બાવળ કે ખજૂરના ઝાડને ધ્યાનથી જુઓ, તો તમને તેમાં લટકતી નાની રચનાઓ દેખાશે. આ છે Baya Weaver—જેને ગુજરાતીમાં “સુગરી” કહેવાય છે તેના ગૂંથેલા માળા.શરૂઆતમાં આ માળા તાજા લીલા અને અપૂર્ણ દેખાય છે, જાણે હજી પણ પવન સાથે આકાર લઈ રહ્યા હોય.
આ પક્ષી શિયાળાના સમયમાં સાદું ચકલી જેવું ભૂખરા રંગનું દેખાય છે જે થી તે ખેતરો અને ઘાસવાળા વિસ્તારોમાં સરળતાથી ભળી જાય છે અને ખાસ ધ્યાન ખેંચતું નથી આ સમયમાં તેના રંગ-રૂપને નોન બ્રીડિંગ પ્લુમેજ કહેવામાં આવે છે. પરંતુ ચોમાસું નજીક આવે ત્યારે નર પંખીનો રૂપ-રંગ બદલાઈ જાય છે. તેનું માથું તેજસ્વી પીળા રંગનું થઈ જાય છે અને તે ખૂબ સક્રિય બની જાય છે—તેનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે: માળો બનાવવો અને માદા સુગરીને આકર્ષવી.
[માદા સુઘરી અને નર સુઘરી પ્રજનન કાળ સિવાયના સમયે બિન – સંવનન પીછાંપરિવેશમાં હોય છે અને સાદા ચકલી જેવા ભૂખરા રંગના દેખાય][નર સુગરી પ્રજનન કાળ સમયે સંવનન પીછાંપરિવેશમાં, સુંદર કાળું મુખ અને શિર અને છાતીના ભાગનો ચમકદાર પીળો રંગ]નર સુગરીઓ પહેલા યોગ્ય ડાળી પસંદ કરે છે, સામાન્ય રીતે એવી કે જે પાણી ઉપર લટકતી હોય અથવા કાંટાવાળા ઝાડમાં હોય. આથી સાપ જેવા શિકારી પ્રાણીઓથી રક્ષા મળે છે અને અવરજવર પણ ઓછી રહે છે. ત્યારબાદ તે ઘાસના તંતુઓને ખૂબ કુશળતાથી વણીને માળા બનાવવાની શરૂઆત કરે છે. પ્રથમ અવસ્થા “હેલ્મેટ સ્ટેજ” તરીકે ઓળખાય છે—આ સંપૂર્ણ માળો નથી, પરંતુ માદાને આકર્ષવા માટેનું પ્રદર્શન છે.
નર તેમાં લટકી રહે છે, અવાજ કરે છે અને સતત હલચલ કરીને માદાને આકર્ષે છે. માદા આવે છે અને માળાની સારી રીતે તપાસ કરે છે. જો માળો મજબૂત, સુરક્ષિત અને યોગ્ય લાગે, તો તે તેને સ્વીકારી લે છે અને પછી માળો સંપૂર્ણ બોટલ જેવા આકારમાં બને છે. જો માળો સ્વીકારવામાં ન આવે, તો નર તે માળાને ત્યજી ઉડી જાય છે. એક જ ઝાડ પર લટકતા ઘણા માળાઓમાંના ઘણા માળા નકારેલા પણ હોય છે—પ્રકૃતિમાં પસંદગી કેટલી કડક છે તેનું આ એક ઉદાહરણ છે.
આ સમગ્ર પ્રક્રિયા ચોમાસા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. વરસાદ સાથે નવી ઘાસ ઊગે છે, જે માળા બનાવવા માટે જરૂરી છે. ખેતરોમાં બીજ વધે છે અને જીવાતોની સંખ્યા વધી જાય છે—જે નવજાત બચ્ચા માટે મહત્વપૂર્ણ ખોરાક છે. એટલે સુગરી માટે ચોમાસું માત્ર એક ઋતુ નથી, પણ જીવનચક્રનો આધાર છે.
જ્યારે માદા કોઈ માળો સ્વીકારી લે છે, પછી જ નર તેને પૂર્ણ કરે છે. માદા તેમાં સામાન્ય રીતે ૨ થી ૪ ઈંડાં મૂકે છે અને તેમની ઉષ્ણતા જાળવે છે. થોડા સમયમાં બચ્ચા બહાર આવે છે અને જ્યાં સુધી તેઓ ઉડવા તૈયાર ન થાય ત્યાં સુધી માતા-પિતા તેમને ખવડાવે છે.
સુગરીના માળાનો એક રસપ્રદ પાસો એ છે કે તે હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે માળાનું મુખ ચોમાસાના તેજ પવનની દિશાથી વિપરીત રાખવામાં આવે છે, જેથી વરસાદ અને પવનનો પ્રભાવ ઓછો પડે. માળાનો લાંબો અને સંકોચાયેલો પ્રવેશદ્વાર પણ વરસાદી પાણી અંદર જવાથી રોકે છે. આ પ્રકારની રચનાને કારણે માળાના અંદરનું વાતાવરણ તુલનાત્મક રીતે સ્થિર રહે છે, જે ભારે વરસાદ દરમિયાન ઈંડાં અને બચ્ચા માટે વધુ સુરક્ષિત બને છે.
સુગરી સામાજિક પક્ષી છે અને સામાન્ય રીતે ટોળાંમાં રહે છે. આ ટોળાં ખોરાક માટે સાથે મળીને શોધખોળ કરે છે—ઘાસમાંથી બીજ ખાય છે. કાપણી થયેલા ખેતરોમાં તે મોટા ટોળાંમાં ભેગા થઈને બાકી રહેલા દાણા, ખાસ કરીને ધાન, ખાય છે. તેમના ટોળાંનું ઉડાન પણ ખાસ હોય છે. તે ટોળામાં એકબીજાની નજીક રહીને ઝડપથી વળાંક લેતા, સંકલિત રીતે દિશા બદલતા ઉડે છે!
પ્રજનન સમય દરમિયાન તેઓ જીવાતો જેમ કે ઈયળ, પતંગિયા અને અન્ય કીટકો પણ પકડે છે, જે બચ્ચા માટે જરૂરી પ્રોટીનનો સ્ત્રોત બને છે. ક્યારેક તેઓ નાનાં દેડકા અને ગરોળી પણ પકડે છે. તેમની હાજરી ખોરાકની ઉપલબ્ધિ પર આધારિત હોય છે—જ્યાં ખોરાક મળે, ત્યાં તેઓ જાય છે. સાંજ પડે ત્યારે તેઓ પાણીના સ્ત્રોતની આસપાસના રીડ-બેડમાં(નદી અથવા તળાવમાં રહેલી મોટી અને લાંબી ઘાસમાં)ટોળાંમાં બેસી રહે છે.
ક્યારેક તેઓ પાકને નુકસાન પહોંચાડે છે, પરંતુ સાથે સાથે તેઓ જીવાતો ખાઈને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ પણ કરે છે.
બચ્ચા ઉડી જાય પછી માળાની વાર્તા પૂરી થતી નથી. ઘણા માળા ખાલી રહી જાય છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે. પરંતુ તે વ્યર્થ નથી જતા. નાના પંખીઓ જેમ કે મુનિયા અથવા સિલ્વરબિલ આ માળાઓનો ઉપયોગ કરે છે. નાના જીવાતો અને મકોડાં પણ તેમાં રહેવા લાગે છે. એટલે એક માળો, જે એક પરિવાર માટે બનાવાયો હતો, પછી બીજા ઘણા જીવો માટે આશ્રય બને છે.
આ કારણે, આવા માળાઓને સજાવટ માટે ઘરે લઈ જવું યોગ્ય નથી. જે માળો આપણને ખાલી લાગે છે, તે હકીકતમાં પર્યાવરણનો એક ભાગ છે.
સુગરી પોતાની રીતે પર્યાવરણનું પ્રતિબિંબ છે. તેની હાજરી બતાવે છે કે આસપાસનો વિસ્તાર સ્વસ્થ છે—જ્યાં ઘાસ, પાણી અને ખોરાક પૂરતો છે. તેનો પ્રજનન મોન્સૂનના આગમનને દર્શાવે છે, અને તેની પ્રવૃત્તિ ઋતુના ફેરફારો સાથે જોડાયેલી છે.
આવતા વરસાદ સાથે, સુગરી ફરી પાછી આવે છે—અને આ ચક્ર આમ જ ચાલતું રહે છે.