વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • દયાળુ દેવાંગી

    ગિરિમા ઘારેખાન

    એક નાની છોકરી હતી. નામ હતું એનું દેવાંગી. સાત વર્ષની દેવાંગી એક શહેરમાં એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. દેવાંગી ખૂબ દયાળુ હતી. કોઈની પણ તકલીફ એનાથી જોઈ ના શકાય. એ બધાને થાય એટલી મદદ કરે. ઊંચી જગ્યાએ ફસાઈ ગયેલા બિલાડીના બચ્ચાને ઉપર ચડીને લઇ આવે. રસ્તા ઉપર રમતું બાળક પડી જાય તો એને ઊંચકીને પોતાની ચોકલેટ એને આપી દે. એટલે દેવાંગીને બધાં બહુ વહાલ કરતાં.

    દેવાંગીની સોસાયટીની બાજુની સોસાયટીમાં એની ખાસ બહેનપણી મોના રહેતી હતી. દેવાંગી ઘણી વાર એની આ બહેનપણીને ઘેર રમવા જતી હતી.

    એ દિવસે મોનાનો જન્મ દિવસ હતો. એણે સાંજે પોતાને ઘેર થોડી બહેનપણીઓને બોલાવી હતી. એટલે દેવાંગી ખૂબ ખુશ હતી. એને નવાં નવાં કપડાં પહેરવાનો બહુ શોખ હતો. એને ખબર હતી કે જન્મ દિવસની પાર્ટીમાં જવા માટે એની મમ્મી એને નવું ફ્રોક પહેરાવશે.

    સાંજ પડી. પાર્ટીમાં જવાનો સમય થઇ ગયો. દેવાંગીની મમ્મીએ એને એકદમ નવું ગુલાબી રંગનું ફ્રોક પહેરાવ્યું. માથામાં ગુલાબી રંગનું બક્કલ પણ નાખી આપ્યું.

    દેવાંગીએ કહ્યું, ‘મમ્મી, આ તો મારું સહુથી વધારે ગમતું ફ્રોક છે. મને લાગે છે કે આજે તો મારી બધી બહેનપણીઓ પણ આ ફ્રોકના બહુ વખાણ કરશે.’

    મમ્મીએ કહ્યું, ‘એકદમ નવું ફ્રોક છે. ગંદુ ના થવા દેતી. બક્કલ પણ ખોઈને ના આવતી.’

    ‘સારું’ કહીને ખુશ ખુશ થતી દેવાંગી મોનાને ઘેર જવા નીકળી.

    હવે થયું હતું એવું કે એમની સોસાયટીની બહારના રસ્તા ઉપર અચાનક ગટરનું પાણી ઊભરાયું  હતું. એને લીધે રસ્તાની બાજુમાં કીચડ થઇ ગયો હતો. દેવાંગી ખૂબ સાચવીને ત્યાંથી પસાર થતી હતી. ત્યાં એણે જોયું કે રસ્તાની એક બાજુ ઊભી રહીને એક વૃદ્ધ સ્ત્રી રડતી હતી. એણે એમની પાસે જઈને પૂછ્યું,

    ‘મા, તમે કેમ રડો છો ? શું થયું ?’

    જવાબમાં માજીએ રડતાં રડતાં એમની આંગળી કીચડ તરફ કરી. હવે દેવાંગીએ એ તરફ નજર કરી. એણે જોયું કે એક નાનું કુરકુરિયું ત્યાં કીચડમાં ફસાઈ ગયું હતું.  એ બિચારું બહાર નીકળવા માટે છટપટી રહ્યું હતું. પણ એના ગળે બાંધેલો પટ્ટો એના પગમાં ફસાઈ ગયો હતો. એ બહાર ન હતું આવી શકતું.

    માજીએ કહ્યું, ‘આ મારું જીપ્સી છે. રોજ હું એને ચલાવવા માટે બહાર નીકળું છું. અહીંથી પસાર થતી હતી ત્યારે મારું તોફાની જીપ્સી અચાનક કીચડ તરફ દોડ્યું અને પછી ત્યાં ફસાઈ ગયું. બિચારું. હવે એ કેવી રીતે બહાર નીકળશે ? હું તો અંદર જાઉં તો પડી જ જાઉં. હવે શું કરું ?’

    દેવાંગીએ આજુબાજુ નજર કરી. ત્યાંથી થોડા માણસો તો પસાર થતાં હતા. પણ ગટરના પાણીની વાસ એટલી આવતી હતી કે બધાં પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને ત્યાંથી ઝડપથી પસાર થઇ જતા હતા.  કોઈ ત્યાં ઊભા રહેવા જ તૈયાર ન હતું, તો જીપ્સીને કાઢવા કીચડમાં તો કોણ જાય?

    દેવાંગીએ જોયું કે પેલું જીપ્સી તો કીચડમાં વધારે ને વધારે ફસાઈ રહ્યું હતું. એને એના ઉપર અને પેલા રડતાં માજી ઉપર ખૂબ દયા આવી ગઈ. પોતે બહેનપણીના જન્મ દિવસની પાર્ટીમાં જવા નીકળી હતી, નવું ફ્રોક પહેર્યું છે, બધું જ એ ભૂલી ગઈ અને ઉતરી પડી કીચડમાં. ધીરે ધીરે ચાલીને એ જીપ્સી પાસે પહોંચી અને એને ઊંચકીને બહાર લઇ આવી. આમ કરવામાં એનું આખું શરીર ગંદુ થઇ ગયું. ફ્રોકનો રંગ તો ઓળખાય એવો જ ન હતો રહ્યો. માજીએ દેવાંગીના માથે પોતાનો હાથ મુક્યો. એમણે એનું ઘર ક્યાં  છે એ પણ પૂછ્યું. પછી એ જીપ્સીને લઈને જતા રહ્યાં.

    દેવાંગીએ હવે જોયું કે કીચડમાં ઉતરવાથી એનું નવું ફ્રોક તો સાવ જ ગંદુ થઇ ગયું હતું. આવું ફ્રોક પહેરીને કોઈની બર્થ ડે પાર્ટીમાં થોડું જવાય? હવે તો એણે ઘેર જઈને નહાવું જ પડશે. જો કે એને એનો બિલકુલ અફસોસ ન હતો. એને તો આમ પણ કુરકુરિયાં બહુ ગમતાં. એને જીપ્સીને બચાવવાનો આનંદ જ હતો.

    દેવાંગી ઘેર પાછી આવી ગઈ. એણે મમ્મીને બધી વાત કરી. મમ્મીએ એને બરાબર નવડાવીને સાફ કરી. ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ગયું હતું. દેવાંગીએ મોનાને ફોન કરી દીધો.

    બીજે દિવસે દેવાંગી સ્કૂલથી પછી આવી ત્યારે એની નવાઈનો પાર ન રહ્યો. એના ઘરમાં પેલા માજી બેઠા હતા. એમના પગ પાસે જીપ્સી રમતું હતું. એને જોઇને જીપ્સી સીધું એની પાસે આવ્યું અને વહાલ કરવા માંડ્યું. દેવાંગીએ એને ઊંચકી લીધું અને રમાડવા માંડી.

    હવે પેલા માજીએ દેવાંગીને પાસે બોલાવી અને એના હાથમાં એક પેકેટ મુક્યું. એમણે કહ્યું, ‘આ તારે માટે છે બેટા.’ દેવાંગીએ પેકેટ ખોલ્યું અને જોયું તો એમાં એના ફ્રોક કરતાં પણ સરસ ગુલાબી રંગનું ફ્રોક હતું. એણે અને એના મમ્મીએ એ લેવાની ના પાડી કે દેવાંગી તો એમ જ બધાની મદદ કરતી હતી. પણ માજીના આગ્રહથી એમણે તે લેવું પડ્યું. વધારે મોટું આશ્ચર્ય તો હજી બાકી હતું. માજી બહાર મુકેલી પોતાની બાસ્કેટ અંદર લઇ આવ્યા અને એ પણ દેવાંગીને આપી. એણે બાસ્કેટ ખોલીને જોયું  તો અંદર એક નાનું, સુંદર, કુરકુરિયું સૂતેલું હતું. માજીએ કહ્યું, ‘આ જીપ્સીનો ભાઈ છે. એ તારે માટે ગીફ્ટ છે. મને ખબર પડી ગઈ છે કે તને પપ્પી ખૂબ ગમે છે. એટલે તો તેં તારું ફ્રોક ગંદુ કરીને, તારી પાર્ટી જતી કરીને, એને બચાવ્યું. બરાબર ને ? મને તારી મમ્મીએ તારા દયાળુ સ્વભાવની બધી વાત કરી.’

    દેવાંગીએ એવું વિચાર્યું પણ ન હતું કે કોઈને એક નાની મદદ કરવાથી એને આવો મોટો બદલો મળશે.  એક પપ્પી લેવાની ઈચ્છા તો એને ક્યારથી હતી. ખુશીથી ઉછળતી દેવાંગીએ જીપ્સીના ભાઈનું નામ  પાડી દીધું, ‘જર્સી’. એણે અને એની મમ્મીએ માજીનો ખૂબ આભાર આપ્યો. હવે તો એ લોકો અવાર નવાર એ એકલાં રહેતાં માજીને ઘેર જાય છે અને એમને કંઈ કામ હોય તો પણ કરી આપે છે.


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯

  • એક હતી પિંકી

    લતા હિરાણી

    એક હતી પિંકી. એને દરિયો બહુ ગમે.

    એનું શહેર અમદાવાદ. દરિયાથી માઇલો દૂર.

    પિંકીના મામાનું શહેર પોરબંદર દરિયા કાંઠે આવેલું હતું. એ જ્યારે મામાને ઘરે જાય ત્યારે દરિયે ફરવા-રમવા જાય.

    પિંકી સવારમાં ઉઠે બ્રશ કરે અને કહે, – મામા દરિયે જાઉં ?

    મામા કહે, અરે જરા ખાઈ પી તો લે ! પછી જઈશું.

    ‘ના મને દરિયો બોલાવે છે.’

    અને એના નાનીમા ખડખડ કરતા હસે.

    ‘એમ કરીએ. તને દરિયો બહુ ગમે છે ને! તો મોટી થઈશ એટલે તને દરિયા સાથે પરણાવી દઈશ.’

    પિંકી તો કુદવા માંડે, ‘હા તો તો મને બહુ મજા આવે. મારે દરિયા સાથે જ રહેવાનું ને !’

    મામી કહે,  ‘ડૂબી જઈશ ડૂબી….દરિયો કોક દિવસ તાણી જશે તને. ખસતી જ નથી ને પાણી પાસેથી !’

    બધા પિંકીને ચિડવ્યા કરે પણ એ કોઈનું કંઈ સાંભળે નહીં. એને તો દરિયો ગમે એટલે ગમે. બસ બીજી કોઈ વાત નહીં.. રોજ સાંજે મામા-મામી એને દરિયાકાંઠે ફરવા લઈ જાય. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો. એ દિવસે બધા વહેલાં  દરિયે ફરવા ગયા.

    પિંકી ખૂબ રમી. રેતીમાં એણે મજાનું ઘર બનાવ્યું. કિનારેથી કેટલા શંખલા છીપલા વીન્યા. મામા નો હાથ પકડી ક્યાં સુધી દરિયાના મોજામાં પગ પલાળ્યા. પગ શું, એનું આખું ફ્રોક પલળી ગયું હતું પણ પિંકી જેનું નામ, દરિયાથી ધરાય નહીં.

    મામાને પણ ખબર હતી એટલે એ પણ મોડે સુધી તેનો હાથ પકડીને ઉછળતાં મોજામાં ઉભા રહ્યા.

    પિંકીને તો આગળ આગળ જવાનું બહુ મન થતું હતું પણ મામા હાથ ના છોડે. સમજાવે કે આગળ જઈએ તો મોજું તાણી જાય.

    અંધારું થવા આવ્યું. મામા કહે – ચાલો ઘરે જઈએ.

    પિંકી ઉદાસ થઈ ગઈ. કાલે સવારમાં તો એણે અમદાવાદ જવાનું હતું. અમદાવાદ તો દરિયો ક્યાં મળે !
    ‘થોડીવાર રહોને ! પિંકીએ કહ્યું.

    એમ કરતાં કરતાં બીજો અડધો કલાક થયો.

    મામા કહે, ‘હવે બેટા જવું પડશે. તને ભૂખ લાગી છે ને !’

    પિંકી કહે, ‘દરિયો હોય તો ભૂખ ના લાગે ને તરસ પણ ન  લાગે.’

    મામી કહે, ‘એમ કર તું કે થોડો દરિયો તારી સાથે લેતી જા.’

    પિંકી તો ખુશીથી કૂદી પડી. ‘સાચે જ મામી ! કેવી રીતે લઈ જાઉં દરિયાને?’

    મામાને વિચાર આવ્યો. એમની પાસે પાણીની બોટલ હતી. એ ખાલી કરી નાખી પછી કહે કે આમાં તારો દરિયો ભરી લે.

    પિંકી ખુશખુશાલ થઈ ગઈ. એણે તળિયે થોડી રેતી ભરી. થોડાક શંખલા છીપલા નાખ્યાં. કિનારે ઉગેલી દરિયાઈ વેલના થોડાક પાંદડા નાખ્યા પછી મોજું આવે એટલે બોટલમાં પાણી ભરાઈ જાય એમ વાંકી વળી ને ઉભી રહી.

    બોટલનું મોં સાંકડું. અંદર માંડ થોડાક ટીપાં પાણી જાય. પછી પિંકીએ બોટલ ડુબાડી દરિયાને એમાં ભરી લીધો.

    અમદાવાદ આવીને પિંકીએ બોટલ ટેબલ પર મૂકી દીધી.

    હવે ઘરે કોઈ મહેમાન આવે તો મમ્મી કહે, ‘ચલો તમને દરિયો બતાવું. પિંકીના રૂમમાં લઈ જાય.

    પિંકી ખુશખુશાલ થઈ ને બધાને બોટલ બતાવે અને કહે, ‘આ જુઓ મારો વહાલો દરિયો….’


    લતા હિરાણી * એક હતી વાર્તા (બાળવાર્તાઓ) * સ્વયં ૨૦૨૧

     

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ – ૨

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ગયાના દેશ છોડીને પનામા દેશમાં પહોંચતાં ક્યાં બહુ વાર થઈ? બપોરથી માંડ સાંજ થતાંમાં દેશ બદલાઈ ગયા, ને એમાં મારા અનુભવ જુદા થઈ ગયા. સમયના વર્તાવથી જીવનનો દરેક અનુભવ સ્વપ્ન જેવો બની નથી જતો?

    હોટેલની જગ્યા કન્વિનિયન્ટ હતી, અને બહાર નીકળતાં પહેલાં હોટેલમાં નાસ્તો મળી જાય, એટલે મને નિરાંત લાગે, કારણકે બહાર ક્યાંય કશું શોધવા ના જવું પડે. શાંત બ્રેકફાસ્ટ રૂમમાં બેસીને મેં પૅનકેક અને કૉફી લીધાં. પછી દિવસ દરમ્યાન કશું ખાવું ના પડ્યું.

    મારી હોટેલ ઍવનિદા હુસ્તો આરોસેમૅના નામની ગલીમાં હતી. નકશામાં એનું સ્થાન જોઈ લીધું, એટલે હું ચોક્કસપણે અમુક દિશામાં ચાલવા લાગી. જરાક આગળ જતાં નૅશનલ લૉટરીનું મકાન દેખાયું. એની પાસેનું દૃશ્ય બહુ આશ્ચર્યકારક હતું. ફૂટપાથ પર અનેક જણ લૉટરીની ટિકિટ વેચવા બેસી ગયેલાં હતાં. કોઈક જમીન પર, તો કોઈ ખુરશી ને ટેબલ લઈને બેઠું હતું.

    એવાં પચાસ કે સાઠ જેટલાં, મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો હશે. લગભગ દરેકને ખરીદનાર પણ મળતાં હતાં. જોકે ધક્કામુક્કી જેવી ભીડ નહતી થયેલી. મેં અનુમાન કર્યું, કે આ ખેલ દરરોજ ખેલાતો હશે, ને આખો દિવસ ચાલતો રહેતો હશે. બીજા દેશોમાં લૉટરી વેચાતી જોઈ છે, પણ આવું દૃશ્ય બીજે ક્યાંય જોયું નથી.

    મેં મકાનની અંદર પણ આંટો માર્યો. ત્યાંના હૉલમાં પણ આ જ રીતે લૉટરી વેચાતી હતી. સવારે નીકળતું હશે તે છાપું પણ મળતું હતું. બીજી નવાઇ એ કે કશો શોરબકોર નહતો. વેચનારાં, ખરીદનારાં – બધાં પોતપોતાના કામમાં મગ્ન. મને નવાઇની સાથે મઝા પણ આવી આ દિનચર્યા જોવાની.

    પછીના રસ્તા પાસે એક નાનો ગાર્ડન આવ્યો. ફૂલો નહીં, પણ થોડાં ઝાડ-છોડ ખરાં. વચમાં એક ફુવારો અને એના પર એક શિલ્પ. ભૂતકાળમાં સ્પૅનિશ કૉલોનિ થઈને રહેલા દેશોમાં આ સ્પૅનિશ અસર દેખાતી રહે છે. ખુલ્લી જગ્યા શહેરમાં નિરાંત, શાંતિ અને સ્થાનિક લોકોને બેસવા-ફરવાની સગવડ આપે છે. પેલી બાજુ પર નૅશનલ આર્કાઇવ મ્યુઝિયમનું ખાસ્સું મોટું મકાન હતું. એ નકશામાં જણાયેલું. હું અંદર ગઈ નહીં. લાગ્યું પણ બંધ હોય તેવું.

    અહીં ડાબી બાજુ વળી એટલે ઍવનિદા સૅન્ત્રાલ આવી ગયો. આમ તો રસ્તા પર નામનાં કોઈ પાટિયાં નથી હોતાં, ને સરખો નકશો પણ નથી આ શહેરનો; પણ થોડું આશરે, અને થોડું આગલી યાદો પરથી અનુસરીને મારે જ્યાં જવું હતું તે તરફ હું જવા લાગી. ઘણાં વર્ષે પનામા સિટીમાં આવી હતી, પણ દિશા હવે મને ખબર હતી. હું શહેરના દક્ષિણ ભાગમાં જઈ રહી હતી.

    ફૂટપાથ પર સસ્તી, નાની ચીજો વેચાતી હતી. ક્યાંક શાક વેચનારાં ઊભાં હતાં. જોઈ-સાચવીને એક પછી એક પગ મૂકવા પડતા હતા. બધે જ ફૂટપાથના પથ્થર ઊંચાનીચા હતા, અને કિનારીઓ તૂટી ગયેલી હતી. આ રસ્તા પર સારી એવી ભીડ હતી.નજીકમાં ક્યાંક મોટું બસ-સ્ટેશન પણ હતું, ને બસોની અતૂટ હાર ચાલતી રહેતી હતી..

    આ રસ્તાની વચમાં છે “સિન્કો દ માયો” કહેવાતો એક જાહેર નગર-ચૉક. એની ફરતે, બધી દિશામાં જતા મોટા રસ્તા છે, અને ટ્રાફીક સતત ચાલુ જ રહે છે. વચમાં એક મોટો પાર્ક છે. લોકો આખો દિવસ ત્યાં ફરતા હોય છે, ઝાડની નીચે મૂકેલી બૅન્ચો પર બેઠા હોય છે. ત્યાં અચાનક ગાંધીજીની પ્રતિમા દેખાઈ. એવી રીતે હતી કે એનો સારો ફોટો કોઈ રીતે લેવાય તેમ નહતો. પણ એને જોઈને સુખ થયું.

    રસ્તાને સામે છેડે છે એ હિસ્સો, કે જેના નાકા પરની હોટેલમાં હું ગયા વખતે રહી હતી. આ હિસ્સો ફરી જોવાનું બહુ મન હતું મને, એટલે સૌથી પહેલાં હું ત્યાં આવી પહોંચી હતી. પણ પહેલી જ નજરે લાગ્યું કે આ ભાગ સાવ બદલાઈ ગયો છે. ને જેમ થોડું ચાલી તેમ ખાતરી થતી ગઈ.

    પેલી હોટેલ ત્યાં જ હતી ખરી, ને એક ડોકિયું કર્યું, પણ હવે એ બહુ સારી રહી હોય તેવું ના લાગ્યું. એની બાજુમાંથી શરૂ થતો, વાહન વગરનો, ફક્ત ચાલનારાં માટેનો રસ્તો હતો તો હજી એમ જ, પણ એના પરની દુકાનો બદલાઈ ગઈ હતી. એક સમયે ત્યાં સરસ કપડાં, ચંપલ-સૅન્ડલ વગેરે મળતું. હવે અહીં બધું સસ્તું ને સાધારણ જ દેખાયું, સારું કશું જ નહીં. બે-ત્રણ દુકાનોમાં અંદર-બહાર કર્યું, પણ લેવા જેવું હવે કશું રહ્યું નથી. પેઢી બદલાઈ એની સાથે પસંદ પણ બદલાઈ છે.

    મને જેમની સાથે પરિચય થયેલો તે કુટુંબો પેઢીઓથી અહીં જ વસેલાં, પણ હવે શહેરના બીજા ભાગમાં રહેતાં થઈ ગયાં છે. તે વખતે, મુસ્લિમ ઇન્ડિયનોની એક કમ્યુનિટી અહીં વસેલી હતી. છોકરાં રોજ સાંજે સરસ સફેદ ચોખ્ખાં કપડાં પહેરીને મદરસામાં જતાં, સ્ત્રીઓ ભેગી મળીને શૉપિન્ગમાં નીકળતી, અને પુરુષો ક્રિકેટની સીઝનમાં, ચૅનલ પરની રજુઆત ખાસ ભાડે કરતા.

    હવે અહીં કેવળ સ્થાનિક તળ-લોકો દેખાય છે. કેટલા બધા લોકો હોય આસપાસમાં, પણ જરા પણ અવાજ નહીં. કોઈ વેચનારો બૂમો ના પાડતો હોય. ઠેર ઠેર વેચાતાં શાક અને ફળ ઘણાં સસ્તાં હોય છે આ પાડોશમાં. લાલ, તેમજ લીલી, દ્રાક્ષ ખૂબ જ મોટી મોટી હતી. એક બાજુ શેરડીનો સંચો હતો. એ પણ સરસ રંગીન ચીતરેલો હતો. દૃશ્ય રંગરંગીન અને જીવંત લાગતું હતું.

    બીજી નાની નાની, સાંકડી, પાછલી ગલીઓમાં ઘણું ચાલી. એ બધે નામની જ ફૂટપાથ હતી, ને ગાડીઓ તો પાછી ચાલ્યા જ કરતી હોય, તેથી ત્યાં ચાલવાની મઝા નહતી. જોકે મારે તો હજીયે આગળ જવું હતું – છેક દક્ષિણે, શહેરના છેક જૂના હિસ્સામાં, તેથી ચાલ્યા કર્યું.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ભગવાન કૃષ્ણ જેવી નિયતિ આપણા સૌની

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    દર ઊનાળે તાપમાન અવનવા વિક્રમ બનાવે છે. દાવાનળની ઘટનાઓનું પ્રમાણ ઊત્તરોત્તર વધી રહ્યું છે. સમુદ્રજળનું સ્તર વધી રહ્યું છે. આત્યંતિક હવામાનના પરચા વારંવાર જોવા મળે છે, જેની વિપરીત અસર ખેતી પર તેમજ સૌની દિનચર્યા પર થાય છે. આમ, જળવાયુ સંબંધિત જોખમ સતત વધતાં રહ્યાં છે છતાં, તેને લગતા સમાચારનું પ્રમાણ ઘટતું રહ્યું હોવાના અહેવાલ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોની ‘મીડિયા એન્‍ડ ક્લાઈમેટ ચેન્‍જ ઓબ્ઝર્વેટરી’ વિશ્વભરના સમાચારસ્રોતોમાં જળવાયુ સંબંધિત સમાચારોના પ્રસાર પર નજર રાખે છે. આ સંસ્થાના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૫માં સતત ચોથા વર્ષે જળવાયુ સંબંધિત સમાચારોમાં ઘટાડો જોવા મળ્યો. નવાઈ લાગે એવી બાબત એ છે કે ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫ના વર્ષમાં ૧૪ ટકા અને ૨૦૨૧ના વર્ષ કરતાં ૩૮ ટકા ઘટાડો જણાયો.

    અને આ ઘટાડો કોઈ એક પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો, યુરોપ તેમજ ઊત્તર અમેરિકા એમ બધે જ આ સમાચારોનું પ્રમાણ ઘટી રહ્યું છે. આમ થવાનું કારણ? આ અહેવાલના મુખ્ય લેખક મેક્સ બોયકોફના જણાવ્યા અનુસાર આર્થિક દબાણ, પ્રસાર માધ્યમોનું એકીકરણ વગેરે જેવી દેખીતી બાબતો આના માટે જવાબદાર ખરી. સાથોસાથ એ હકીકત છે કે જળવાયુ પરિવર્તન હવે કેવળ વિજ્ઞાન પૂરતો મર્યાદિત મુદ્દો રહ્યો નથી. હવે તે રાજનીતિ, સમાજ અને અર્થવ્યવસ્થા સાથે ગાઢ રીતે સંકળાયેલો મહત્ત્વનો અને સંવેદનશીલ વિષય બની ચૂક્યો છે. આમ હોવા છતાં, તેના ને રાજનીતિ અને અન્ય મુદ્દાઓ હાવી થઈ રહ્યા છે. પ્રસાર માધ્યમોનાં સંસાધનોનો અભાવ અને કાપ વગેરે પણ આમાં ભાગ ભજવે છે. બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે વાચકોને આ જ સમાચાર વારેવારે વાંચવાનો ‘થાક’ અનુભવાય છે એટલે તેમની રુચિ ઘટી રહી છે. આ વિષયના સતત થઈ રહેલા રાજકીયકરણને કારણે પણ પત્રકારો તેના વિશે લખતાં ખચકાય છે.

    આ વિષય અત્યાર સુધી વિશેષજ્ઞો પૂરતો મર્યાદિત હતો. પણ લોકો કંઈ આવા અભ્યાસનાં સંશોધનપત્રો વાંચે નહીં. તેઓ અખબાર, ટી.વી. અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી પોતાની સમજણનું ઘડતર કરે છે. આથી આવાં પ્રસાર માધ્યમો જળવાયુની કટોકટી વિશે પૂરતી વાત ન કરે, તેનાં વિવિધ પાસાંની ચર્ચા ન કરે તો એ હકીકત સમજવી મુશ્કેલ બની રહે છે કે હવે આ સંકટ કોઈ દૂરના દેશમાં કે ભવિષ્યમાં નહીં, પણ આપણા રોજબરોજના જીવન પર, આજીવિકા પર અને ભાવિ પર કેટલી ઘેરી અસર કરી રહ્યું છે.

    કેવી વક્રતા છે કે એક તરફ આવા સમાચારોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ આ સંકટ વધુ ઘેરું અને વાસ્તવિકતા વધુ ભયાનક થઈ રહી છે. છેલ્લાં ચાર વર્ષોમાં અશ્મિજન્ય ઈંધણથી થતા  ઉત્સર્જનનું પ્રમાણ સતત નવો વિક્રમ સર્જી રહ્યું છે. વીત્યાં ત્રણ વર્ષો ઈતિહાસનાં સૌથી ગરમ વર્ષો હતાં. ઔદ્યોગિક યુગની તુલનાએ તાપમાન દોઢ અંશ સેલ્સિયસ વધી ચૂક્યું છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ તાપમાન દોઢ અંશ સેલ્સિયસથી વધે તો આપણી પૃથ્વી ખતરનાક ‘ટીપીંગ પોઈન્‍ટ્સ’ તરફ આગળ વધી શકે છે. ‘ટીપીંગ પોઈન્‍ટ્સ’ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં નાનામાં નાનો ફેરફાર સુધ્ધાં મોટી દુર્ઘટનાને નોંતરી શકે. આથી હવે જરૂર છે પરંપરાગત ઊપાયોને બદલે લોકો સુધી પહોંચવાના નવા ઊપાયો શોધવાની. કેવળ સંશોધનપત્રો અને ટેક્નિકલ પરિભાષા પૂરતાં નહીં થઈ રહે. વાર્તાઓ, વિડીયો, નાટક, વિડીયો, કાર્ટૂન, કળા, હાસ્ય એવાં લોકભોગ્ય માધ્યમો દ્વારા લોકો સાથે સંવાદ સાધવો પડશે, જેથી લોકો આ સંકટની તીવ્રતા અને ગંભીરતા સમજી શકે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સામાન્ય લોકોના જીવનમાં અમસ્તાય ટકી રહેવાના સંઘર્ષ એટલા હોય છે કે આવી બધી બાબત પોતાને પણ લાગુ પડે એનો તેમને અણસાર સુધ્ધાં હોતો નથી. તો સંપન્ન લોકો માટે આ મુદ્દો પ્રાથમિકતામાં આવતો નથી. કોઈ પણ વ્યક્તિ દ્વારા કરાતી ગમે એવી સામાજિક કે જાહેર ઉજવણી પર્યાવરણ પર વિપરીત અસર કરે છે, જેની સીધી અસર જળવાયુ પરિવર્તન પર થતી હોય છે. તહેવારો દરમિયાન ફેલાતા પ્રદૂષણની માત્રા ઓછી હોય એમ ચૂંટણીટાણું આવે એટલે પ્રચારનાં વિવિધ નુસખા થકી અઢળક પ્રદૂષણ ફેલાતું હોય છે. એકે રાજકીય નેતા કે પક્ષની પ્રાથમિકતામાં આ બાબત આવતી નથી.

    હજી વિવિધ માધ્યમોમાં રાજકારણ, મનોરંજન, સામાજિક ગપસપ વગેરે વધુ પ્રમાણમાં જગ્યા રોકે છે. એમાં પણ રાજકારણ અને મનોરંજન ક્ષેત્રના સમાચારો મોટે ભાગે સુઆયોજિત પ્રચારના ભાગ તરીકે ફેલાવાતા હોય છે. વિવિધ પક્ષોના સુશાસનના મુદ્દામાં ક્યાંય પર્યાવરણની સમસ્યાઓનો ઊલ્લેખ જોવા મળતો નથી. જોવા મળે તો પણ કેવળ નામ પૂરતો. ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તેના અહેવાલ ચમકે, અને એ પણ મોટે ભાગે તેનાથી થયેલા જાનમાલના નુકસાનના. તેના અસલ કારણ વિશેની વાત ભાગ્યે જ થતી જોવા મળે છે. જાનમાલના નુકસાનના સમાચાર પણ રાજકારણપ્રેરિત હોય છે. જળવાયુ સંકટ એવી ગંભીર પરિસ્થિતિ છે કે એ જેમ નાનામોટા દરેકને અસર કરે છે, એમ નાનોમોટો દરેક માણસ એના માટે કારણભૂત અને જવાબદાર પણ હોય છે. ભયાનક દેખાતી ભાવિની આ શક્યતા હવે ભયાનક વર્તમાન બની ગઈ છે અને આપણા ઘરનો દરવાજો ખટખટાવી રહી છે. છતાં તેના વિશે ભાગ્યે જ વાત થાય એ કેવી વક્રતા! ભગવાન કૃષ્ણે જેમ પોતાના વંશનો વિનાશ લાચાર બનીને નિહાળ્યો એવી જ સ્થિતિ આપણા સૌની થાય એ કંઈ કલ્પના કે અતિશયોક્તિયુક્ત આગાહી નથી. એ ચાલુ વર્તમાનકાળ છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૪-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • બૂકે…

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    સવાર પડેને દલપત આખો ફૂલોથી મઘમઘી રહે. ગુલાબ, મોગરા કે કેસરી,પીળા ગલગોટાની સુગન્ધ શ્વાસમાં ભરતો જાય અને હાર ગૂંથતો જાય. ફૂલો વચ્ચે લીલાછમ્મ નાજુક પર્ણોની ગૂંથણી એવી તો સરસ કરે કે ફૂલોની શોભામાં ચાર ચાન્દ લાગી જાય. તો બાજુમાં તેની પત્ની સુન્દર મજાના બૂકેની સજાવટ કરવામાં વ્યસ્ત હોય. આસપાસનું વાતાવરણ પણ સુરભિત સુરભિત..

    ચાર વરસની દીકરી વહેલી સવારે સૂતી હોય ત્યાં હારનો ટોપલો તૈયાર થઇ જાય એટલે ઉપર થોડાં છૂટા ફૂલો પણ મૂકી દે અને  પત્ની સામે મીઠું હાસ્ય વેરી ગણપત ટોપલો લઇને ઉપડે ત્યારે પંખીઓ કિલકિલાટ કરી સવારના સૂર્યને વધાવવવાની તૈયારી કરતાં હોય.

    દલપતના ચહેરા પર સદા હાસ્ય રમતું હોય. હમેશ પ્રસન્નચિત્ત..કયારેય કોઇ ફરિયાદ નહીં..અભાવનો કોઇ અજંપો નહીં. કયારેય ભૂખ્યા નહોતું સૂવુ પડતું. પત્ની પણ એવી જ હસમુખી મળી હતી.દીકરીને મ્યુનીસીપલ સ્કૂલમાં ભણાવી શકાતી હતી. એક ઓરડી હતી. માથા ઉપર છત. અંગ ઢાંકવા બે જોડી કપડાં, અને પેટનો ખાડો પૂરાતો હતો.એથી વિશેષ શું જોઇએ ?

    દલપતના મોટા ભાગના ઘરાકો બાન્ધેલા હતા. ગ્રાહકો સાથે હસીને વાત કરતો જાય અને જાણે સૌને ફૂલોની લહાણી કરતો હોય તેમ બધાને મહેકાવતો જાય. આજે તો ગણપતનો  ટોપલો રોજ કરતાં પણ વહેલો ખાલી થઇ ગયો. હવે છેલ્લો એક બુકે બાકી હતો. ત્યાં જ એકી સાથે બે ઘરાક આવ્યા. એક પચાસની આસપાસના કાકા હતા. અને એક બાર તેર વરસની મીઠડી છોકરી હતી. બૂકે એક જ બચ્યો હતો. કોને આપવો ? અજુબાજુમાં બીજા કોઇ ફૂલવાળા નહોતા એટલે એકને તો નિરાશ કરવા જ પડે તેમ હતા.

    ત્યાં કાકાએ કહ્યું,’ લાવ ભાઇ, જલદી કર..કોઇની નનામી પર મૂકવા જોઇએ છે. પછી થોડી ચીડથી ઉમેર્યું, ’આ મોટા માણસોને મર્યા પછી પણ ફૂલનું નજરાણુ ધરવું પડે. ‘

    ત્યાં પેલી છોકરી બોલી ઉઠી,’ અંકલ, આજે મારા પપ્પાનો બર્થડે છે. મારે એને સરપ્રાઇઝ આપવું છે. પ્લીઝ..મને બૂકે આપોને..!  મેં મારા પોતાના પૈસા ભેગા કરી રાખ્યા છે.’

    દલપત એકાદ ક્ષણ બંને સામે જોઇ રહ્યો. પછી ધીમેથી બૂકે તેણે છોકરીના હાથમાં મૂકયો. છોકરીનો ચહેરો ગુલાબની માફક ખીલી ઉઠયો. ને સાથે દલપત પણ…

    પોતાના જન્મદિવસની તો કયાં ખબર હતી ? છતાં કયારેક પોતાની પુત્રી પણ પોતાને આમ કયારેક ફૂલો આપશે..અને પોતે કેવો મઘમઘી રહેશે..!


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • સ્મૃતિસંપદા : ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ [૩]

    ગતાંકમાં અમેરિકા આવ્યા પછી સ્થિર થવાના સમય વિશેની ડૉ. ઈન્દુબેન શાહની વિટંબણાઓ અને પરિતૃપ્તિની સફર બાબતે જાણ્યું.
    હવે આગળ….

    હવે મારી વાત, મારા બે વર્ષ મેથોડિસ્ટ હોસ્પિટલમાં પુરા થયા ૧૯૯૨માં હ્યુસ્ટનની બેલર કોલેજમાં
    ગાયનેક એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં જ્ગ્યા ખાલી થયાની ખબર મળતા મારા પતિએ મને હ્યુસ્ટન આવવા જણાવ્યું પાછી દ્વિધા મારી બન્ને દીકરી ન્યુયોર્કમાં અભ્યાસ કરતી હતી બન્નેને મુકીને મારે મારી કેરિયર માટે પાછું હ્યુસ્ટન આવવાનું.બન્ને દીકરીને ગાડી આપી,એપાર્ટમેંટ લઈ આપ્યું જોઇતો સામાન આપ્યો. હું હ્યુસ્ટન આવી.

    મારા પતિ કોલ પર હતા. હું મારો નાનોભાઈ જે હ્યુસ્ટનમાં ૪ વર્ષથી સી એ ની પ્રેકટિસ કરતો હતો તેને ત્યાં હતી, ત્યાંથી મારો ભાઈ તેની ગાડીમાં મને Baylor collage ઈન્ટરવ્યુ માટે લઈ ગયો મારી ભાભીએ જતા પહેલા મને દહી ગોળ ખાવાના શુકન કરાવ્યા,પાર્કિંગ કરવાનું મુશ્કેલ મારો ભાઈ મને ઉતારી પોતાના કામ પર ગયો.

    હું ડો. સુરેશની ઓફિસની બહાર બાંકડા પર બેઠી, બે ત્રણ બીજા ઉમેદવાર પણ બેઠેલ મનમાં બીક આ બધા અમેરિકન હું ભારતની ઉંમરમાં મોટી મારા ચાન્સ અલ્પ જણાતા હતા, હશે પ્રભુ ઇચ્છા જે થશે તે માન્ય, આમ વિચારમાં આંખો બંધ કરી બેઠેલ અને મારું નામ સંભળાયું ઉભી થઈ ઓફિસમાં દાખલ થઇ ગુડમોર્નિંગ મેડમ બોલી ડો સુરેશ સામે જોયું એકદમ સાદા સરળ સૌમ્ય ડો સુરેશે ગુડ મોર્નિંગ બોલી સામેની ખુરશી પર બેસવા જણાવ્યું મે મારી C V તેમજ મેથોડિસ્ટ હોસ્પિટલના ડો ટેંપેસ્ટા તથા ડો જ્યોર્જના (Recommendation)પ્રમાણ પત્રો બતાવ્યા ડો સુરેશે મારી C V જોઇ મુંબઈ યુનિવર્સિટીના બે ડિપલોમા જોયા D G O, D A.મને ભારતમાં કરેલ મારા વ્યવસાય વિશે થોડા પ્રશ્નો પૂછ્યા. શા માટે એમ. ડી. નહી કર્યું?

    મે જણાવ્યું મારા પતિ એમ. એસ  જનરલ સર્જન હતા અમારે તેમના ગામ સુરેન્દ્રનગરમાં તબીબી વ્યવસાય શરુ કરવાનો હતો ત્યાં કોઈ એનેસ્થેસ્યોલોજીસ્ટ નહોતા તેથી મેં એમ.ડી ગાયનેકમાં કરવાનો વિચાર છોડી દીધો અને King Edward હોસ્પિટલમાં એનેસ્થેસ્યામાં બે વર્ષ રેસિડન્સી કરી અને બન્ને ડિપ્લોમા લીધા જેથી હું મારા પતિના દર્દીને સુરેન્દ્રનગરમાં એનેસ્થેસિયા આપી શકું તથા મારા દર્દીને પણ સ્પાઈનલ આપી C Section કરી શકું.

    ડો સુરેશ કર્નાટકના નાના ગામના હતા મારી વાત સમજી શક્યા.

    મને ત્રીજા વર્ષમાં રેસિડન્સી મળી ગઈ. રેસિડન્સ કવાર્ટસ મળી શકે તેમ નહતું તેથી Baylor કોલેજની નજીકના એપાર્ટમેન્ટ કોમ્લેક્ષમાં એક બેડરુમનું એપાર્ટમેન્ટ ભાડે લીધુ. થોડો સામાન મારા પતિ લાવેલ અને થોડો સામાન હું લાવેલ તથા મારા ભાઈએ ફોમના બે ગાદલા આપેલ તેનાથી અમારો સંસાર શરુ થયો શનિ- રવિ સમય મળતા અમે બન્ને થોડું જરુરિયાત પુરતું ફર્નિચર લેવા જઈએ, એક સોફા કમ બેડ લીધો એક ચાર ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ લીધું.
    હ્યુસ્ટનમાં જૈન સેંટર હતું ત્યાં રવિવારે તથા પર્યુષણ પર્વ વખતે અમે દર્શન કરવા જતા ત્યાં સુરેન્દ્રનગરના જૈન સાથે ઓળખાણ થતા મિત્રતા થઈ. ખાસ રજનીભાઈ અને વીરાબહેન શાહ, રજનીભાઇ સુરેન્દ્રનગરના અને વીરાબહેન મુંબઈના એટલે અમને વાતો કરવાના વિષય મળી રહેતા. ત્યારબાદ બીજા સુરેન્દ્રનગરના જૈન પરિવાર સાથે ઓળખાણ થઈ અને અમે રજનીભાઈને ત્યાં નિર્ણય લીધો સુરેન્દ્રનગર મિત્રમંડળની સ્થાપના કરી, છ પરિવાર બધા સુરેન્દ્રનગરના દર મહિને એક પરિવારને ત્યાં બધા ભેગા થાય રાત્રી ભોજન કરે સાથે નાનો લલિતકળા કાર્યક્ર્મ પણ હોઇ, કોઈ વખત રમુજી જોક્સ, કોઈ વખત સંગીત, નૃત્ય,નાનું બાળકો દ્વારા નાટક, પર્યુષણ પર્વ હોય ત્યારે જૈન સ્તવનનો કાર્યક્ર્મ, આમ મોટા નાના સહુને તેમના મનપસંદ પ્રોગ્રામનો આનંદ મળે. આ રીતે અમારા અમેરિકાના જીવનની શરુઆત થઈ, મારી દીકરી પારૂલને ડલાસ રેસિડન્સી મળી ગયેલ તેથી શનિ રવિ ડ્રાઇવ કરી જયારે કોલ પર ના હોય ત્યારે સુરેન્દ્રનગર મિત્રમંડળના કાર્યક્રમમાં ભાગ લેવા આવતી, પરિવારના આનંદ સાથે તેણીને ધર્મના સંસ્કાર મળતા.

    હ્યુસ્ટનમાં ૩૦ વર્ષથી સ્થાયી થયા. આ ૩૦ વર્ષમાં અમને બન્નેને ઘણા સારા માઠા અનુભવો થયા.
    મહાવીર જયંતિનાં કાર્યક્રમમા અમે જૈન મંદિરમાં હતા. ઘેર આવ્યાને ફોન પર સુરેંદ્રનગરથી ડોકટરનો મેસેજ સાંભળ્યો; મારા સાસુનું અચાનક અવસાન થયેલ છે. મારા પતિએ તાત્કાલિક ટ્રાવેલ એજંટ મારફત ટિકિટ બુક કરાવી. બેયલર કોલેજમાંથી ફક્ત એક અઠવાડીયાની રજા મળી, અને મારા પતિ ભારત ગયા. મને અહીંના કાયદા અનુસાર ત્રણ દિવસની રજા માન્ય થઈ. આ ત્રણ દિવસ મને ૩૦ દિવસ જેવા લાગ્યા. મારા ભાભી મને બીજે દિવસે જમવાનું ટિફીન લઈને મળવા આવ્યા; સારું લાગ્યું. મારી બન્ને દીકરી રોજ બે વખત ફોન કરતી; શીતલ ન્યુયોર્કથી અને પારૂલ ડલાસથી.

    મારા સસરાને અમેરિકા લઈ આવવા માટે વીસાની તજવીજ કરવામા રમેશનું રોકાણ વધારે થયું.

    મે બેયલર કોલેજના મારા પતિ સાથે કામ કરી રહેલ સાઉથઇન્ડીયન ફેલોને વિનંતી કરી કે મારા પતિના કોલની જવાબદારી લે. ફેલો-જુનિયર ફેકલ્ટી તેઓ એકબીજાની જવાબદારી સ્વીકારે તો પ્રોગ્રામ ડિરેક્ટરને કોઈ વાંધો ના હોય.

    રમેશ આવ્યા પછીના બીજા જ દિવસે હોસ્પિટલ ગયા તેમની ઓફિસમાં લેટર(dated March, 1994)  પડેલ વાંચ્યો:

    “Dear Dr. Shah,

    Your 2 years of fellowship/junior faculty position will be compeleted as of June 30th 1994. Your position is eliminated. Your certificate of completion would be ready. You are free to start your private practice anywhere. Good luck in your future endeavours.”

    Subsequently, મારા પતિને જાણવા મળ્યું; ફેલોએ રમેશના કોલના દિવસે ફેમિલી- ઇમરજન્સીનું કારણ આપી રમેશનો કોલ ન કરવો પડે તે માટે રજા લીધી; વરિષ્ઠ ફેકલ્ટીને કોલ એટૅન્ડ કરવો પડેલ. અમને શીખવા મળ્યું; કદી દેશી(!) પર વિશ્વાસ નહીં કરવાનો. આ સમાચાર જાણી બાપૂજીને દુઃખ થયું; “મારે કારણે તમારી નોકરી ગઈ!” અમે બન્નેએ બાપૂજીને ધીરજ આપી કે અમેરિકામાં કોઇ ડૉક્ટર કામ વગરના ના રહે, એક નહીં તો બીજી હોસ્પિટલમાં નોકરી મળી જાય અને નોર્થ હ્યુસ્ટન-હોસ્પિટલ એક અઠવાડીયામાં મળી પણ ગઈ!

    મારા પૂ. સસરાને સિટિઝન થવા માટે મારા પતિએ અરજી કરેલ. એકના એક દીકરાના ૭૫ વર્ષના પિતાની સિટીઝનશીપની અરજી મંજુર થઈ; અંગ્રેજી અને ગણિતના શિક્ષક બાપુજીની મૌખિક પરીક્ષા લેવાઇ. પરીક્ષા પાસ કરી સિટીઝન થઇ ગયા. ૬ માસ દરમ્યાન દિવસે એકલા ઘરમાં રહીને, સ્વાભાવિક કંટાળો આવે જ. દિવસે થોડો વખત ટીવી અને રામાયણ-મહાભારત ના વિડીયો જોઈને સમય પસાર કરતા.  શનિ-રવિ હું અથવા રમેશ, કોલ પર ના હોય ત્યારે જૈન સેન્ટરમાં અથવા હ્યુસ્ટન-સિનિયર સિટીઝન એસોસિયેશનની મિટીંગમાં લઈ જતા. બાકી બાપુજીને દેશમાં પાછા જવાની ઇચ્છા તીવ્ર હતી. અમે બાપુજીની મુંઝવણ સમજતા હતા. રોજ સાંજે જમતી વખતે બાપુજી પૂછે, “ભાઈ, મારી ટિકીટ બુક કરાવી? હું સિટીઝન થયો છું, જરુરથી પાછો આવીશ, તમારા બે માંથી એક જણે મને લેવા આવવાનું.”

    હવે તો તેમને રોકવાનું કોઈ કારણ અમારી પાસે રહ્યું નહી. રમેશનો નવો જોબ અને મારી O B Recidancyની ટ્રેનીંગના કારણે, અમારા બેમાંથી કોઈ બાપુજી સાથે જઈ શકે તેમ ન હોવાથી એર ઇન્ડિયાની ટિકિટ લીધી જેથી તેમને ખાવાની તથા એર હોસ્ટૅસ સાથે વાત કરવાની સરળતા રહે.. મારા મોટાભાઈ તેઓને મુંબઈ-એરપોર્ટ લેવા ગયા. મારા ભાભીએ વેવાઈ માટે દાળ ભાત શાક કઠોળ ગરમ રોટલી મીઠાઇની થાળી પીરસી. બાપુજી ભાભીના વખાણ કરતા બોલ્યા: “પ્રમિલાબહેન, આજે છ મહિના પછી હું ગરમ ગરમ રોટલી સાથે જમું છું. અમેરિકામાં તો ફિયાસ્ટાની તૈયાર રોટલી ગરમ કરી ખાવાની!” ભાભીએ આગ્રહ કરી જમાડ્યા.

    આ વાતની ખબર મને એક વર્ષ બાદ હું જ્યારે બાપુજીને પાછા અમેરિકા લેવા આવી ત્યારે પડી.
    ભાભીએ મને પૂછ્યું; “ઇન્દુબહેન, તમે તમારા સસરાને ફિયાસ્ટાની રોટલી ખવડાવતા’તા?”
    “હા ભાભી, હું કોલ પર હોઉ, ૩૬ કલાકે ઘેર આવુ, દાળ ભાત શાક આગલા દિવસે કરીને
    ફ્રિજમાં રાખું, રોટલી કરવાનો સમય ના હોય અને અમે જે ખાતા તે જ બાપુજીને ખવડાવતા.”

    ઔપચારિક વાતચીત કર્યા પછી હું સુરેંદ્રનગર આવી.

    ભાભીની મહેમાનગતી માણી બાપુજી અમારા ગામ સુરેંદ્રનગર પહોંચ્યા.

    હવે એકલા ઘરમાં રહેવાનું!!

    બે-ત્રણ દિવસ પાડોશીએ જમાડ્યા. એ જમાનામાં સુરેન્દ્રનગરના જૈન સમાજમાં વડીલનું માન સન્માન જળવાતું.

    બાપુજીને સમાચાર મળ્યા; જોરાવરનગરના એક જૈન કુટુંબને મોટા ભાઈએ ઘરમાંથી કાઢી મુક્યા છે. બાપુજીએ તેમને ઘરે લાવીને આશરો આપ્યો. અમારા ફળિયામાં એક ઓરડીમાં સુધારો વધારો કરાવડાવીને, તેમના આખા કુટુંબને રહેવાની સગવડતા કરી આપી; કોઈ ઘર-ભાડુ નહીં લેવાનું, બાપુજીને રસોઈ કરી આપવાની અને ઘરનું કામકાજ કરવાનું. બાપુજીને કુટુંબ સાથે લેણદેણ. કાનજીભાઈ, તેમના પત્ની રસિલાબહેન અને બે દીકરાઓએ બાપુજી જીવ્યા ત્યાં સુધી બાપુજીની સેવા કરી.


    ક્રમશઃ

  • વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – પ્રસ્તાવના

    પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ, જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫
     ISBN: 978-93-48694-79-9                    કિંમતઃ રૂ. ૨૫૦/-

    શ્રી હરેશ ધોળકિયાનાં પુસ્તક “ગીતાના શાશ્વત સૂત્રો’ મૂળે તો વિદ્યાર્થી વર્ગને ઉદ્દેશીને લખાયેલ છે. પરંતુ ભગવદ્‍ ગીતા દરેક વ્યક્તિ માટે પોતપોતાના સંદર્ભમાં નવો વિચાર, નવી દિશા પ્રદાન કરતું  રહેલ વાંચન છે.

    વેબ ગુર્જરી પર આ પુસ્તક હપ્તાવાર પ્રકાશિત કરવાની સહમતિ આપવા બદલ વેબ ગુર્જરી શ્રી હરેશ ધોળકિયાનો હાર્દિક આભાર માને છે.

    હવેથી દર મહિના ત્રીજા મંગળવારે “ગીતાના શાશ્વત સૂત્રો’માંથી એક એક સૂત્રની સમજ પ્રકાશિત કરીશું.

    સંપાદક મંડળ, વેબ ગુર્જરી


    હરેશ ધોળકિયા

    સરકારે નવી શિક્ષણ નીતિમાં જે વિવિધ મુદાઓ મુક્યા છે, તેમાં એક મુદ્દો વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનો પરિચય આપવાનો છે. ભગવદ ગીતા એ ધર્મ ગ્રંથ જ નથી, પણ જીવન ગ્રંથ પણ છે. જીવન સંગ્રામમાં નિરાશ થઇ જવાય કે આસક્ત થઇ જવાય ત્યારે શું વિચારવું અને કેમ જીવવું અને તે માટે કયા કર્મો કઈ રીતે કરવા તેનું સંપૂર્ણ માર્ગદર્શન ગીતા આપે છે. ગીતા ભલે પાંચ હજાર વર્ષ જુનો ગ્રંથ હોય, પણ તેમાં ચર્ચેલા મુદ્દા માનવીના મનને લગતા હોવાથી સનાતન છે. એટલે દરેક યુગમાં ગીતાએ તત્કાલીન વિચારકોને અને સામાન્ય માનવીને પણ માર્ગદર્શન આપ્યું  છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીઓને પણ તે ઉપયોગી થઇ શકે તેવી સંભાવનાથી કદાચ આ મુદ્દો દાખલ કર્યો હશે.

    ગીતા શિક્ષણમાં હોવી જોઈએ કે નહિ તે મુદ્દો ચર્ચાનો છે, પણ જયારે તેને અભ્યાસક્રમમાં ઉમેરી જ છે, ત્યારે વિદ્યાર્થીઓ સામે ગીતાને કઈ રીતે રજુ કરવી જોઈએ તે સવાલ થાય છે. ગીતા તો તત્વજ્ઞાનનો  ગ્રંથ છે. સામાન્ય સંદર્ભમાં સમજાય તેવો ગ્રંથ નથી. હા, તેને માત્ર મોઢે કરવી હોય તો બરાબર છે, પણ તેનું અર્થઘટન વિદ્યાર્થીને સમજાય તેવી રીતે કરવું હોય તો તેને      બાળ કે કિશોર કે તરુણ માનસના સંદર્ભમાં જોવી જોઈએ. આવા વિચાર આ જાહેરાત આવેલ ત્યારે આવેલા. પણ હું તો નિવૃત થઇ ગયો હતો. મારે શિક્ષણ સાથે સીધો સંબંધ હતો નહિ. એટલે મારી કોઈ જવાબદારી ન હતી કે મારે આ બાબતે કોઈ વિચાર કરવો. પણ તકલીફ એ હતી કે, નિવૃતિના ૩૩ વર્ષ પછી પણ, શિક્ષકના જંતુ હજી શરીરમાં જીવંત હતા. તે મગજને શિક્ષણ બાબતમાં સક્રિય રાખતા હતા. એટલે, ન ઇચ્છવા છતાં, આ વિચાર તો આવતા જ હતા.

    તે પળે, મારા  એક પ્રકાશક અને “જયકો”ના ગુજરાતના સંચાલક શ્રી કેતનભાઈ કોઠારીનો મને ફોન આવ્યો અને કહ્યું કે તે વિદ્યાર્થીઓ માટે તેમને સમજાય તે ભાષામાં ગીતા તૈયાર કરવા માગે છે. હું તે કરી શકું- આ તેમનો સવાલ હતો. મનમાં વિચાર તો ચાલતો જ હ્તો અને તેમાં આ સુચન આવ્યું. હું તો કૂદી પડ્યો અને વિચાર્યા વિના જ હા પાડી દીધી. થોડા વખત પછી મારે અમદાવાદ જવાનું થયું અને ત્યાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં જવાનું થયું. ત્યાં અકસ્માતે જયકોના જ વિભાગની મુલાકાત લેવાની થઇ. તપાસ કરતા કેતનભાઈ ત્યાં હાજર હતા. તેમના સાથે રૂબરૂ વાત થઇ અને તેમણે એકાદ બે પુસ્તકો આપ્યા. વાત પાકી થઇ. પછી પણ તેમણે એક હિન્દી પુસ્તક મોકલાવ્યું. તે જોઈ કેમ લખવું તે સંકલ્પના પાકી થઇ અને તરત કામ શરુ કર્યું.

    વિચારવું સરળ હતું, પણ લખવું કઠિન હતું. આઠથી અઢાર  વર્ષના વયના વર્તમાન “જનરેશન ઝેડ”ના વિદ્યાર્થીઓ કેમ વિચારે અને તેમને ગીતા વાંચવી ગમે કે કેમ અને ગમે તો તેમને કેમ  સમજાવાય તે મુખ્ય મુદ્દો હતો. તત્વજ્ઞાન પણ રહેવું જોઈએ અને તે તેમની ભાષામાં  રજુ થવું જોઈએ. તેમને ઝડપથી સમજાય  માટે તે સંદર્ભના દૃષ્ટાંતો હોવા જોઈએ જે મુદાને વધારે સ્પષ્ટ બનાવે. આ બધાને ધ્યાનમાં રાખીને લખવાનું હતું. પ્રથમ સમગ્ર ગીતામાંથી ૭૦ જેટલા સૂત્રો પસંદ કર્યા. તેમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમાં મુદાને અનુકુળ દૃષ્ટાંતો  ઉમેર્યા. સમગ્ર મુદાને મહતમ હળવી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. છતાં ગીતા તો ગીતા છે. કેટલાક સૂત્રો આધ્યાત્મિક છે. તેનો સંદર્ભ પણ આધ્યાત્મિક  છે. તેમાં “ભગવાન” શબ્દ પણ દાખલ થાય છે. તેમાં શરણાગતિ જેવા શબ્દો આવે છે. આ બધાને કેમ સમજાવવા ? પણ પ્રયાસ કર્યો અને  તેને હળવાશથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ રીતે આ પુસ્તક તૈયાર થયું છે. ગીતાની પૂર્વભૂમિકા રૂપે એક પ્રકરણ પણ આપેલ છે.

    ખ્યાલ નથી કે પુસ્તક, એટલે કે ગીતાને, ન્યાય મળ્યો  છે કે નહિ ! પણ પ્રયાસ કર્યો છે. અને બહુ પ્રેમપૂર્વક પ્રયાસ કર્યો છે, કારણ કે, પાંડુરંગ શાસ્ત્રીની પ્રેરણાથી, છેલ્લા છ દાયકાથી નિયમિત રીતે ગીતા વાંચું અને માણું  છું, જે જીવનની પળે પળને જાગૃત અને તાજગીભરી રાખે છે. સેંકડો વાર વાંચ્યા છતાં હજી તૃપ્તિ થતી નથી. તેને વધારે સમજાવતા વિનોબાનું “ ગીતા પ્રવચનો” કે રામસુખદાસનું “ ગીતા; સાધક સંજીવની” જેવા પુસ્તકો સમજને ગાઢ બનાવે છે. એટલે તે વર્ષોથી મનમાં વાગોલાયા  કરે છે. એટલે જ લખવાની મજા ભોગવી છે. આશા રાખું, વિદ્યાર્થીઓ પણ વાંચશે ત્યારે તેનો અંશ માણશે. તો લખ્યાનું સાર્થક થશે.

    આશા છે, પુસ્તકનો શિક્ષણ જગતમાં સ્વીકાર થશે અને વિદ્યાર્થીઓને ગમશે. તેમાંથી એકાદને પણ ગીતાનો છંદ લાગી જશે અને તેઓ તેના અભ્યાસુ થશે, તો તેમના જીવનમાં ક્રાંતિ આવી જશે તેની શ્રદ્ધા છે. આવું થશે તો તેના નિમિત બનવાનો પણ, ભલે પરોક્ષ,  આનંદ  થશે. કોઈ અભિપ્રાય મળશે તો વધારે આનંદ થશે.


    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • ચૂંટણીમાં બિનહરીફ વિજેતા લોકતંત્ર સામેનો પડકાર છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટ સમક્ષની એફિડેવિટમાં ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થવાને એક દુર્લભ અને અપવાદરૂપ બિના ગણાવી છે. પંચે તેની દલીલના સમર્થનમાં જણાવ્યું છે કે ૧૯૫૧થી ૨૦૨૪ સુધીની ૧૮ સામાન્ય ચૂંટણીઓમાં કેવળ નવ જ વખત અને ૧૯૯૧ પછી માત્ર એક જ વખત આવું બન્યું છે. આઝાદી પછીના બે દસકામાં ૩૫ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા છે. એક અન્ય અભ્યાસમાં ૨૯૮ ધારાસભ્યો વગર ચૂંટણીએ જીત્યા હોવાનું જણાવાયું છે.

    ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૨૫ બેઠકો પર જ ચૂંટણી થઈ હતી. સુરત લોકસભા બેઠક પરના  ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા એટલે તે બેઠક પર મતદાન થયું નહોતું. એ જ વરસે લોકસભા સાથે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ૬૦ બેઠકોની ચૂંટણી હતી. અરુણાચલની આ ચૂંટણીમા ૧૦ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. તાજેતરની ગુજરાતની પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ૭૦૦ કરતાં વધુ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. તેમાંથી મોટાભાગના ઉમેદવારો સ્વાભાવિક જ બીજેપીના છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે કોંગ્રેસના ૧૨ ઉમેદવારો અને ૩ અપક્ષો પણ બિનહરીફ થયા છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી બીજેપીની રાજવટ હોય અને કોંગ્રેસ અસ્તિત્વ માટે ઝઝૂમતી હોય ત્યારે તેને એક ડઝન બેઠકો તેની સામે કોઈ ઉમેદવાર જ ન હોવાથી વગર ચૂંટણી લડે મળે તે આશ્ચ્રર્યજનક સમાચાર નથી શું? વળી આ બાબત બિનહરીફ ચૂંટણી (Uncontested Election) ના મુદ્દાને ઑર પ્રાસંગિક બનાવે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૫૩(૩)માં બિનહરીફ ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ છે. તે મુજબ જો કોઈ ચૂંટણીમાં ભરવાપાત્ર બેઠકોની સંખ્યા જેટલા જ ઉમેદવારો હોય, દા.ત. એક બેઠક માટે એક જ ઉમેદવાર હોય,  તો કોઈ મતદાન કરાવવાનું રહેતું નથી. વગર મતદાને ચૂંટણી અધિકારી ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરે છે. આ જોગવાઈ અને તેની અસરો સંબંધે અદાલતો સમક્ષ રજૂઆતો થઈ છે અને છેલ્લે સર્વોચ્ચ અદાલતે પણ નિર્વિરોધ ચૂંટણી અંગે કેટલાક આકરા નિરીક્ષણો કર્યા છે.

    સુપ્રીમ કોર્ટે બિનહરીફ ચૂંટાવા બાબતે થયેલી જાહેરહિતની અરજીઓ પર સરકાર અને ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે. દરમિયાનમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વગર ચૂંટણીએ કોઈ ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરવો તે લોકતાંત્રિક મૂલ્યોની વિરુધ્ધ છે. બિનહરીફ ઉમેદવારને ચૂંટાયેલો જાહેર કરતાં પહેલા તેણે અમુક લઘુતમ મતો તો મેળવ્યા જ હોવા જોઈએ તેવી જોગવાઈ થવી જોઈએ તેમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. નિર્વિરોધ વિજેતા માટે લઘુતમ મતોની અનિવાર્યતાની જોગવાઈ લોકતાંત્રિક પ્રક્રિયાને વધુ પારદર્શી અને મજબૂત બનાવી શકે છે.

    નાગરિકોના મતદાનના અધિકાર(Right to Vote)ની સુરક્ષા માટે જરૂરી છે કેબિનહરીફ ઉમેદવાર મતદારોનું પર્યાપ્ત સમર્થન મેળવે. મતદારોને પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો જે મૂળભૂત અધિકાર મળ્યો છે તે મતદાન દ્વારા જ તે વ્યક્ત કરે છે. જો વગર મતદાને તેમનો લોક્પ્રતિનિધિ ચૂંટાઈ જાય તે ભલે કાયદેસર કે બંધારણીય હોય પણ મતદારોનું તે સાચું પ્રતિનિધિત્વ કરતો નથી તેમ કહી શકાય. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાનો અધિકાર મતદાન થકી મળે તે પહેલાં જ તે ચૂંટાયેલો જાહેર થઈ જાય તેનાથી મતદારોની લાગણી અને લોકતાંત્રિક ભાવના આહત થાય છે.

    ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત તો કહે છે કે જો કોઈને ૫ ટકા મતદારોનું પણ સમર્થન નથી અને તે પૈસાના જોરે કે સત્તાના બળે બધા ઉમેદવારોને મનાવી લે છે તો આવા ઉમેદવારને લોકપ્રતિનિધિ તરીકે સંસદ કે વિધાનગૃહમાં પ્રવેશવાનો કોઈ અધિકાર જ નથી.

    બિનહરીફ ચૂંટાતો ઉમેદવાર મતદારોનો નોટા કે નકારનો મત,  જેના દ્વારા મતદારો મતપત્રમાં જણાવેલ પૈકીનો એકેય ઉમેદવાર તેના મતને પાત્ર નથી,  તેવી જે જોગવાઈ છે તેનો ઉપયોગ કરે છે,  તેને રોકે છે. બિનહરીફ ચૂંટાવાથી મતદારને નોટાનો અધિકાર વ્યક્ત કરવાની તક મળતી નથી. ૨૦૧૩નો  સુપ્રીમ કોર્ટનો એક આદેશ જણાવે છે તે પ્રમાણે નોટા  પસંદ કરીને નકારાત્મક મત આપવાનો મતદારનો હક બંધારણના અનુચ્છેદ ૧૯ મુજબ સંરક્ષિત છે. આ અધિકાર ચૂંટણી લડતા ઉમેદવારોની સંખ્યાથી સ્વતંત્ર છે. એટલે માત્ર એક જ ઉમેદવાર હોવાથી ચૂંટણી ન કરાવવી તે મતદારોના નોટાના અધિકારનું હનન છે. જોકે સરકારનો મત છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૭૯(બી) હેઠળ નોટાને ઉમેદવાર માનવામાં આવતો નથી. એટલે બિનહરીફ વિજેતાના કિસ્સામાં મતદાન કરાવવાની માંગણી કરવી અને નોટાના ઉપયોગની છૂટ આપવી તે વાજબી નથી.

    વગર ચૂંટણીએ લોકસભા કે ધારાસભાના સભ્ય થઈ જવાનું આ વલણ જો વધે તો તેના માઠા પરિણામો આવી શકે છે. ૨૦૨૪માં સુરત લોકસભા સીટ પર કુલ ૨૯.૪૦ લાખ મતદારો હતા. બિનહરીફ ચૂંટણીને કારણે આશરે ત્રીસ લાખ મતદારોના પ્રતિનિધિ એક પણ મત મેળવ્યા સિવાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની શક્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં કુલ બેઠકોના આશરે ૧૦ ટકા પણ બિનહરીફ ચૂંટાયા છે તો તેમણે પણ લાખો મતદારોનું મતદાન દ્વારા કોઈ સમર્થન મેળવ્યું નથી. એ દ્રષ્ટિએ વિચારતાં આ બાબત મતદારોની પસંદગીની તકને છીનવે છે, તેમની મતદાન થકી લોકશાહીમાં ભાગીદારીને સીમિત કરે છે. કેમ કે મતદાન નહીં થવાથી મતદારો તેમના પસંદગીના ઉમેદવારને ચૂંટી શકતા નથી કે બિનહરીફ જાહેર થયેલને નકારનો મત પણ આપી શકતા નથી.

    ગાંધીજીએ સર્વસંમતિ આધારિત શાસનની પરિકલ્પના કરી હતી. પરંતુ સમરસ પંચાયતો કે બિનહરીફ ચૂંટણી  ન તો ગાંધીની પરિકલ્પના પ્રમાણે છે કે ન તો લોકતંત્રના સિધ્ધાંતો પ્રમાણે છે. આ તો નિષ્પક્ષ પ્રતિનિધિત્વનો છેદ ઉડાડે છે. ભારતમાં લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પોણી સદી વટાવી ગઈ છે અને ખાસ્સી પુખ્ત થઈ ગઈ છે. આજે દેશમાં રાજકીય પક્ષો વધ્યા છે તો ચૂંટણી લડવાની મહત્વાકાંક્ષા સેવનારા લોકો પણ વધ્યા છે એટલે ઉમેદવારોની સંખ્યા અને હરીફાઈ વધવી જોઈએ. બિનહરીફ ચૂંટણી તો અતિ દુર્લભ કે ભાગ્યે જ બનતી ઘટના બનવી જોઈએ. તેના બદલે તેનું ચલણ વધી રહ્યું છે.

    ” વિધિ: સેન્ટર ફોર લીગલ પોલિસી”  અને અન્યની જાહેર હિતની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થવાની છે. બિનહરીફ ચૂંટણી સંદર્ભમાં લઘુતમ લોક સમર્થનની અનિવાર્યતા લાગુ પાડવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભૂમિકા અને મહત્વ જરૂર વધશે. લોકતાંત્રિક આદર્શોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બિનહરીફ ચૂંટણી પર લગામ લગાવવી પડશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું : પ્રકરણ ૧ – કાશ્મીરનું સ્વપ્ન

    “કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું” ઈ. સ. ૧૯૧૧માં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલું.

    ઈ. સ. ૧૮૯૨માં માત્ર અઢાર વર્ષની ઉમ્મરે તેમણે આ પુસ્તક પહેલવહેલું લખેલું. એમાં તેમના સંસ્કારી હૃદયની, તેમની સૃષ્ટિસૌંદર્ય નીરખવાની ને તેને સરળ ને રસિક શૈલીથી આલેખવાની તેમની શક્તિની આપણને પ્રતીતિ થાય છે.

    ⁠પોતાના કાશ્મીરના પ્રવાસનું વર્ણન તેમણે તેમના શિક્ષક સ્વ. નરહર બાલકૃષ્ણ જોશીને ઉદ્દેશીને લખાયેલા પત્રરૂપે આલેખ્યું છે. એમાં તે સમયના કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યનું તેમ જ પ્રવાસમાંની સગવડ-અગવડનું ચિત્રણ ચીતર્યું છે, જે આજેય સુરમ્ય લાગે છે.

    “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ”ના તત્કાલિન પ્રમુખ શ્રી મનુ સુબેદારનાં પુસ્તકની બીજી આવૃતિમાંના નિવેદનમાંથી


    સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

    ૧-કાશ્મીરનું સ્વપ્ન1

    શાર્દૂલવિક્રીડિત

    ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
    વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;
    ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,
    જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

    ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,
    નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;
    ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,
    તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

    છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
    કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી;
    વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
    કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

    જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
    એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?

    ⁠:૧૮૯૨

    1“ફકીરી હાલ” પહેલાંના કેટલાક કાવ્યો


    ક્રમશઃ


     હવે પછી : પ્રકરણ ૨ – પત્રની શરૂઆત

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભાટીઆની કુળકથા

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


    પુસ્તક ક્રમાંક: ખ ૧૧૪/ ૬૪૪  

    પુસ્તકનું નામ: ભાટીઆની કુળકથા

    મૂળ હિંદીમાંથી ભાષાંતર કરનાર: મથુરાદાસ લવજી

    છાપનાર: સુબોધપ્રકાશ છાપખાનું, મુંબઈ

    પ્રકાશન વર્ષ: સંવત ૧૯૪૦

    કિંમત:

    પૃષ્ઠસંખ્યા: ૬૧

    વિગત: ‘ન્યાતિબંધુઓને પોતાની જાતનો ઈતિહાસ જાણાવાને ઉપયોગી જાણીને મૂળ હિંદુસ્તાની ભાષામાં છપાયલા ગ્રંથનો ગુજરાતીમાં તરજુમો’ કરવામાં આવેલો છે. આ ઉપરાંત પણ થોડી વિગત ઉમેરવામાં આવી છે. પુસ્તકમાં ભાટીઆ વંશના ઉદ્‍ભવથી લઈને તેના વિસ્તાર અને કુલ ૮૪ નુખનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. આ ૮૪ નુખનાં સાત મુખ્ય ગોત્ર અને પેટા ગોત્રનો તેમાં ઉલ્લેખ છે. ભાટીઆઓ સમગ્ર દેશના કયા કયા વિસ્તારોમાં વસેલા છે તેની રસપ્રદ વિગતો સમાવાયેલી છે.


    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/ebooks-143


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી