વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • માથાના દુ:ખાવાની ગોળી લો તો પર્યાવરણ પર અસર થાય? હા

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આપણને ઠીક નથી લાગતું. આથી આપણે કોઈક ગોળી લઈએ છીએ. એ પછી આપણને બહેતર જણાય છે. બસ, વાત પૂરી. આમ તો, આ આખો મામલો રેપરમાંથી ગોળીના નીકળવાથી આપણા પેટમાં પહોંચવા સુધીનો જ ગણાય. આની પર્યાવરણ પર કશી વિપરીત અસર પડી શકે એ આપણી કલ્પના બહારની વાત છે. પણ આજે ઔષધીય એટલે કે ફાર્માસ્યુટિકલ પ્રદૂષણ પર્યાવરણ માટે માથાના દુ:ખાવા સમાન બની રહ્યું છે એ હકીકત છે. નદી, તળાવ તેમજ ભૂગર્ભ જળમાં વિવિધ ઔષધિઓના અવશેષ મળી આવે છે. જૈવિક રીતે સક્રિય હોય એવાં સંયોજનોમાં ‘એ.પી.આઈ.’ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્‍ગ્રેડિયન્‍ટ/સક્રિય ઔષધિય ઘટકો) ની હાજરી હવે દરેક ખંડની જળપ્રણાલિઓમાં જોવા મળી રહી છે. આ સમસ્યાનો વ્યાપ આધુનિક દવાઓના ઝડપી વિકાસની સાથે તેજ બન્યો છે. વિશ્વભરમાં આશરે ચાર હજાર ઔષધિય ઘટકો ચલણમાં છે. એ પૈકીના ૬૩૧ ઘટકો અથવા તેનાં રૂપાંતરોને ૭૧ દેશોના પર્યાવરણમાં ભળેલા ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં જણાવાયું છે.

    તસવીર સૌજન્ય: Al Granberg | The Scientist
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    રેપરમાંથી આપણા શરીરમાં થઈને પર્યાવરણમાં ભળવાની દવાની આ મુસાફરી આમ જોઈએ તો જટિલ નહીં, પણ સીધીસાદી છે. આપણે એન્‍ટિબાયોટિક, એન્‍ટિ ડિપ્રેસન્‍ટ કે દર્દશામક દવાઓ લઈએ ત્યારે તેના અમુક હિસ્સાનું પાચન જ આપણા શરીરમાં થાય છે. એ સિવાયનો હિસ્સો મળમાર્ગે બહાર નીકળીને સ્યુએજ પ્રણાલિમાં જાય છે. નિકાલ કરાયેલા પાણીની ટ્રીટમેન્‍ટ કરતા મોટા ભાગના પ્લાન્‍ટ આવાં જટિલ રસાયણોને દૂર કરી શકે એવી પ્રણાલિ ધરાવતા નથી હોતા. આથી મોટા ભાગના ઔષધિય અવશેષ આવા ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટમાંથી હેમખેમ પસાર થઈને છેવટે નદી, તળાવ કે તટીય પર્યાવરણપ્રણાલિમાં ભળે છે.

    પાકિસ્તાનમાં વહેતી રાવી નદી ઔષધિય પ્રદૂષણમાં વિશ્વભરમાં મોખરે છે. આવી દવાઓ સૌ વરસોથી લેતા આવ્યા છે, તો શું અચાનક તેનાં ઘટકોનું પ્રદૂષણ શરૂ થઈ ગયું? વિજ્ઞાનીઓના મત અનુસાર, આ ઘટકો પર્યાવરણમાં વરસોથી મોજૂદ હશે, પણ બહેતર નિરીક્ષણને કારણે હવે તેની ઉપસ્થિતિની જાણ થવા લાગી. વેસ્ટવોટર ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ તેની સાંદ્રતા ૯૦ થી ૯૫ ટકા ઘટાડી શકે છે, છતાં તેનો નાનકડો અંશ પાણીમાં રહી જાય છે. કદાચ માનવોને એની વિપરીત અસર ઓછી થાય એમ બને, પણ પાણીમાં રહેતાં જળચરોની વિવિધ પ્રજાતિઓને તે મોટું નુકસાન કરી શકે છે. અલબત્ત, આપણા શરીરની પાચનપ્રણાલિમાં થઈને નીકળતા આ દ્રવ્યો બાબતે કશું કરવું આપણા હાથમાં નથી એ એક વાત થઈ. બીજો મુદ્દો વિવિધ દવાઓના અયોગ્ય નિકાલનો છે, જે વધુ ચિંતાજનક છે. વણવપરાયેલી કે મુદત વીતી ચૂકી હોય એવી દવાઓને આપણે મોટે ભાગે રસોડાના સિન્કમાં, સંડાસના ફ્લશમાં વહાવી દઈએ  છીએ યા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. આ દવાઓ સીધેસીધી સ્યુએજ પ્રણાલિમાં પહોંચે છે યા કચરા ભેગી લેન્‍ડફિલમાં ઠલવાઈને આસપાસની જમીનમાં કે ભૂગર્ભ જળમાં ભળે છે.

    તેનું ઉત્પાદન થતું હોય એવા વિસ્તારોમાં પણ તેનું પ્રદૂષણ ફેલાય છે. ઘરમાંથી નિકાલ થતા પાણીની સરખામણીએ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાંથી નીકળતા પાણીમાં વિવિધ દવાના ઘટકોનું પ્રમાણ દસથી એક હજાર ગણું સુધી વધુ હોય છે. કેટલાક કિસ્સાઓમાં દવાઓનું ઉત્પાદન કરતા વિસ્તારથી ત્રીસેક કિ.મી. દૂર સુધી આ રસાયણો મળી આવે છે.

    આ ઊપરાંત કૃષિ અને પશુપાલનમાં વિવિધ હેતુસર અનેક એન્‍ટિબાયોટિક તેમજ હોર્મોનનો ઊપયોગ કરવામાં આવે છે, જે છેવટે એક યા બીજા માર્ગે પર્યાવરણમાં જ ભળે છે. આ દ્રવ્યોની સાંદ્રતા કદાચ ઓછી હોય તો પણ આવાં સક્રિય રસાયણોની વિવિધ જળપ્રણાલિમાં વ્યાપક ઊપસ્થિતિની લાંબા ગાળાની અસરો ચિંતા કરાવે એવી હોઈ શકે છે.

    નદી, તળાવ કે તટીય વિસ્તારના પાણીમાં ભળતાં તે વન્યજીવન અને વિવિધ પર્યાવરણ પ્રણાલીની નૈસર્ગિક જૈવિક પ્રક્રિયાઓને ખોરવી શકે છે. ગર્ભનિરોધકોમાં વપરાતા કૃત્રિમ અંત:સ્રાવનું પ્રમાણ લિટર દીઠ એક નેનોગ્રામ જેટલું ઓછું હોય તો પણ તે માછલીઓની પ્રજનન પ્રણાલિને બદલી શકે છે. નર માછલીમાં તે માદાના ગુણો વિકસાવવા જેવી વિપરીત અસર તેનાથી થઈ શકે છે. દક્ષિણ એશિયામાં ગીધ લગભગ નામશેષ થઈ ગયાં એનું મુખ્ય કારણ ઢોરને અપાતી દર્દશામક દવાઓ હતી. એન્‍ટિબાયોટિક નદી કે અન્ય જળપ્રણાલિમાં પ્રવેશે ત્યારે તે એવી સ્થિતિ પેદા કરે છે જેને કારણે બેક્ટેરિયા આ દવાઓના પ્રતિરોધક બની જાય છે. આને કારણે એવાં જંતુઓ પેદા થાય છે કે જે સાદી સારવારને ગાંઠતા નથી.

    માનવ માટે કદાચ પીવાના પાણીમાં રહેલા ઔષધિય અવશેષોને લઈને એટલું જોખમ ન હોય તો પણ તેની લાંબા ગાળાની અસર બાબતે વિજ્ઞાનીઓ સાવચેતી વરતી રહ્યા છે.

    આ પ્રદૂષણના નિવારણનો કોઈ ઊપાય ખરો? સમસ્યાની ઓળખ અને તેના સ્વીકાર પછીનો તબક્કો તેના ઊપાય વિચારવાનો છે. અનેકવિધ મોરચે તેના માટે કામ કરવું પડે એમ છે. દવાઓનો આડેધડ  નિકાલ ન થાય એ વ્યક્તિગત તેમજ સામૂહિક ધોરણે સુનિશ્ચિત થાય એ જરૂરી છે. નકામા પાણીના નિકાલ માટેના પ્લાન્‍ટની  ટેક્નોલોજીમાં પરિવર્તન કરવું અતિ જરૂરી છે. તેમાં કાર્બન ફિલ્ટરેશન, ઓઝોનેશન, આધુનિક ઓક્સિડેશન પ્રક્રિયાઓએ સંતોષકારક પરિણામ દેખાડ્યાં છે.

    આ ઊપરાંત નીતિગત જોગવાઈ મહત્ત્વનું પરિબળ બની રહે એમ છે. સરકારોએ નિરીક્ષણનું સુયોગ્ય માળખું ગોઠવવું જરૂરી છે. આ ઉપરાંત ઔષધિય ઉત્પાદનઉદ્યોગ ક્ષેત્રે પણ આ બાબતે જાગૃતિ લાવવી જરૂરી છે, જેથી તેઓ પોતાના સ્તરે આનો અમલ કરી શકે. આ સમસ્યાનો વ્યાપ એટલો બધો જોવા મળ્યો છે કે એ ચિંતા કરાવે. આથી તેના અંગે અત્યારથી યોગ્ય રીત વિચારવામાં નહીં આવે તો આખી  સમસ્યા વકરીને કાબૂબહાર થઈ જાય એવી પૂરી શક્યતા છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૬-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • અનુયાયીઓ બનાવવા માટેની માર્ગદર્શિકા

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    શબ્દાર્થ પ્રમાણે અનુયાયી એટલે કોઇની પાછળ ચાલનાર. આ શાબ્દિક વ્યાખ્યાનું ઇ‌નપુટ કોમ્પ્યુટરને આપવામાં આવે તો આઉટપુટ એવું પણ આવવા સંભવ છે કે કોઇ મહિલાની પાછળ ચાલતા આવારા જણને તે અનુયાયી કહી દે. એ જ રીતે કોઇની ગતિવિધિ જાણવા માટે તેની પાછળ પાછળ ચાલીને જાસુસી કરનારને કોમ્પ્યુટર તો અનુયાયી જ માને. પરંતુ આ વ્યાખ્યાને લોકસ્વીકૃતિ મળે તેમ નથી. આથી સાચો ઉત્તર શોધવા હંમેશની જેમ આપણાં શાસ્ત્રપુરણોને શરણે જવું રહ્યું.

    મહાભારતનાં વનપર્વમાં એક કથા આવે છે. એક યક્ષને પાંડવોમાં એન્સાઈક્લોપીડિયા દેખાયો હશે, તેથી તેણે જળાશયમાં પાણી પીવા જતા દરેક પાંડવને વારફરતી સવાલ પૂછવા પ્રયાસ કર્યો. ભીમ, અર્જૂન, સહદેવ અને નકુળે તેમને પૂછાયેલા સવાલની અવગણના કરી, તેથી તેઓ મૂર્છા પામ્યા. પરંતુ ધર્મરાજા યુધિષ્ઠિરે બધા જ સવાલોના જવાબો આપ્યા. પછી યક્ષને ક્યાંક જવું હશે પણ તેની પાસે ગૂગલ મેપ ન હતો, તેથી તેણે ધર્મરાજાને પૂછ્યું, “હે ધર્મરાજા, મને જણાવો કે મારે કયા રસ્તે જવું?” ધર્મરાજા પાસે ચોક્કસ જવાબ ન હતો આથી તેમણે કહી દીધુ “ महाजनो येन गतः स पन्थाः। તું કોઇ મહાજનને જતા જુએ તો તેની પાછળ જા”. યક્ષ પછી કોની પાછળ ગયો તે વિશે વ્યાસ ભગવાને લખ્યું નથી, પરંતુ ધર્મરાજાનો જવાબ શાસ્ત્રવચન થઈ પડ્યો.

    આ શાસ્ત્રવચન પ્રમાણે મહાજન એટલે મોટો માણસ એવું તો સમજાયું. પરંતુ મોટો માણસ કોને કહેવો એ સવાલ તો ઊભો જ રહ્યો. કેટલાક જ્ઞાનીઓનું કહેવું છે કે સમાજમાં જેની પ્રતિષ્ઠા વધારે તેને મોટો માણસ ગણવો. પરંતુ પ્રતિષ્ઠા માપવાનું મીટર હજુ સુધી શોધાયું નથી. આથી લોકોએ માની લીધું કે જેને વધારે લોકો અનુસરે તેને પ્રતિષ્ઠિત ગણવો. મોર જેમ પીંછે રળિયામણો તેમ માણસ અનુયાયીઓથી આબરૂદાર. આથી સમાજમાં પ્રતિષ્ઠિત થવા માટે અનુયાયીઓની સંખ્યા વધારવી રહી.

    અનુયાયીની આવશયકતા માત્ર ધર્મના ઠેકેદારોને જ નથી હોતી. રાજનેતાઓના, સામાજિક કાર્યોમાં નેતૃત્વ કરનારાઓના, સ્વૈચ્છિક સંસ્થા સંભાળનાર સેવકોના, જુદી જુદી વિચારસરણીઓના પ્રવર્તકોના પણ અનુયાયીઓની જરૂર  હોય છે. અને હવે તો સોશિયલ મિડિયાને કારણે ફેસબુક વગેરેમાં પણ કોઇ લોકોને અનુયાયીઓ જોઇએ છે. કુદરતી વ્યવસ્થા પ્રમાણે જેમ કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે તેમ દરેક અનુયાયીઇચ્છુકને પોતાનાં ગજા પ્રમાણે અનુયાયીઓ મળી રહેતા હોય છે.

    અગાઉ જણાવ્યા પ્રમાણે કોઇ વ્યક્તિ જેમ જેમ અનુયાયીઓ વધારતો જાય, તેમ તેમ તે વધુ ને વધુ પ્રતિષ્ઠિત બનતો જાય છે. પરંતુ અનુયાયીઓ વધારવા માટે કેટલીક યુક્તિઓ કરવી પડે. જો કે નોખાં નોખાં ક્ષેત્રોમાં અનુયાયી બનાવવા માટેની યુક્તિઓ નોખી  નોખી હોય છે. આથી નમૂના તરીકે કેટલાક ક્ષેત્રોમાં અનુયાયીઓ બનાવવા માટેની ચાવીઓ આપવા પ્રયાસ કરું છું.

    સૌ પ્રથમ જ્યાં પુષ્કળ પ્રમાણમાં અનુયાયીઓ મળવાની શક્યતા છે, તે ધર્મક્ષેત્રની વાત કરીએ. દરેક ઉત્પાદન માટે કાચા માલની પસંદગી મહત્વની હોય છે, તેમ અહીં એવા લોકો પસંદ કરવા કે જેમનામાં વિચારવાની કે તર્ક કરવાની શક્તિ લઘુત્તમ હોય. આ પ્રકારના લોકોને દિવો લઈને શોધવા જવાની જરૂર નથી. જેમ જાળ નાખવાથી કેટલીક માછલીઓ આપોઆપ સપડાઇ જાય છે, તેમ કેટલાક વેશ ભજવવાથી થોડાઘણા અનુયાયીઓ આપોઆપ મળી રહે છે. પરંતુ કેટલીક માછલીઓ જાળમાંથી કૂદીને બહાર નીકળી જાય છે તેમ ચાલાક લોકો અનુયાયી બનવામાંથી છટકી જાય છે.

    શરૂઆતમાં અનુયાયીઓની સંખ્યા ખાસ વધે નહિ, તો ધીરજ ગુમાવવી  નહિ. દરેક ધંધા માટે એક સુત્ર યાદ રાખવાનું હોય છે કે વરસ બે વરસ તો ઘરના રોટલા ખાવા પડે. હૈયાધારણ રાખવી કે  જેટલા પણ અનુયાયી મળ્યા હોય તે બધા જ ક્યારેક ને ક્યારેક પ્રચારકો બની જશે. તો પણ આ બધામાંથી કેટલાકની યોગ્ય પસંદગી કરીને સ્ટાર પ્રચારકો તરીકે નિમણૂક કરવી જોઈએ.

    ચમત્કારો એ ધાર્મિક અનુયાયીઓ મેળવવા માટે ઉત્તમોત્તમ સાધન સર્વ કાળે સિદ્ધ થયું છે. પરંતુ પોતાના તથાકથિત ચમત્કારની વાત સ્વમુખે કદી ન કરવી. પેલા સ્ટાર પ્રચારકોને જરૂરી તાલીમ આપવાથી તે પોતે જ યોગ્ય સ્થળે અને યોગ્ય માધ્યમમાં તમારા ચમત્કારની મનગડત વાતો કરશે. આથી અનુયાયીઓનો પૂરતો પુરવઠો મળવો શરૂ થશે.

    આટલું કર્યા પછી થોડું રોકાણ કરીને નાનકડું સ્થાનક ઊભુ કરવું. આજથી પચાસેક વર્ષ પહેલા આ સ્થાનકોને ‘જગ્યા’ તરીકે ઓળખવમાં આવતાં. જેમ કે ફલાણા સંત કે બાપુની જગ્યા. પરંતુ નવા જમાનામાં આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ તરફ પાછું ફરવાનું હોવાથી સ્થાનકને ‘જગ્યા’ જેવા પ્રાકૃત શબ્દને બદલે આશ્રમ તરીકે ઓળખાવવું રહ્યું. આશ્રમની મુલાકાતે આવનારને શરૂઆતમાં મફત ભોજનપાણી આપવાથી આ સ્થળ માટે આકર્ષણ ઊભુ થશે. પછી આશ્રમનું મહત્વ, ચમત્કારો અને બાધાઆખડીની વાતો કાલ્પનિક દાખલા સહિત પેલા સ્ટાર પ્રચારક મારફત ફેલાવવામાં આવતા ધીમે ધીમે ત્યાં દાનની સરવાણી ફૂટીને આગળ ઉપર પ્રવાહ વહેવા માંડશે અને આશ્રમની સાથે સાથે અનુયાયીઓની સંખ્યાનો પણ વિકાસ થશે. ગુજરાતના એક બહોળા સંપ્રદાયમાં તો એક મંત્ર છે, “આજે જમશે તો બીજા દિવસે આવશે અને ત્રીજા દિવસે માનશે!”

    પોતાને બૌદ્ધિક માનતા હોય તેવા ધાર્મિક અનુયાયીઓ મેળવવા માટે વિશેષ લાયકાત હોવી જોઇએ. શાસ્ત્રોના અર્થઘટનો તર્કબદ્ધ ભાસે એવાં અને એ રીતે કરવા કે જેથી વિવાદો ઊભા થાય. જો અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોય તો ચાર ચાંદ લાગી જશે.

    ‘ધર્મક્ષેત્ર’થી આપણે ‘કુરુક્ષેત્ર’ એવા રાજકારણ પર આવીએ. વર્ષો પહેલા અહીં અનુયાયીઓ બનાવાવા માટે આદર્શવાદીઓની પસંદગી કરવામાં આવતી. સમાજસેવાની ભાવના કે ‘સામજ કો બદલ ડાલો’ જેવા સુત્રો સાથેના ક્રાંતિકારી વિચારો ધરાવતા યુવાનોને રાજકારણમાં આનુયાયીઓ બનાવી શકાતા. આ અનુયાયીઓમાંથી કેટલાકને પોતાના ગુરુની વાસ્તવિક્તાનો પરિચય થતા તેઓ અનુયાયી તરીકે રાજીનામું આપે દેતા. બાકીના વાસ્તવિક્તા સ્વીકારી લઈને સેવાની ભાવના કે ક્રાંતિકારી વિચારો દેખાવ પૂરતા રાખીને ‘સ્વના વિકાસમાં જ સર્વનો વિકાસ છે’ એ સત્ય સમજાતા પોતાના રાજકીય ગુરુના સાચા અનુયાયી બની રહેતા.

    પરંતુ નવા જમાનામાં અનુયાયી બનવા માટે સેવાભાવી હોવું કે ક્રાંતિકારી વિચારક હોવું જરૂરી નથી. રાજકારણમાં પ્રવેશ માટે સેવકનું મહોરું પણ હવે જરૂરી રહ્યું નથી. સરકારી નોકરીમાં ઔપચારિક શિક્ષણ ભલે આવશ્યક હોય પરંતુ રાજકારણમાં અનુયાયી માટે એ જરૂરી તો નથી જ, ક્યારેક તો ઉચ્ચ શિક્ષણ ગેરલાયકાત બની જાય છે. જેના પર એકાદ બે પોલીસ કેસ થયા હોય તેવા લોકો અનુયાયી તરીકે વિશેષ લાયક હોય છે. વળી આવા લોકો અનુયાયી બનવા તત્પર પણ હોય છે, કારણ કે જેમનો ઈતિહાસ ગુનાહિત હોય તેવા લોકોને અનુયાયીમાંથી નેતા બન્યાનાં અનેક ઉદાહરણો તેમની નજર સમક્ષ હોય છે. આથી જેના પર પોલીસે વધારે ગુન્હાઓ નોંધ્યા હોય તેવા લોકો નેતા તરીકેનાં પ્રમોશનની આશાથી અનુયાયી બનવા માટે ઉત્સાહી હોય છે.

    દરેક ઉત્પાદનનાં વેચાણ માટે સમૂહ માધ્યમોમાં તેની જાહેરાત કરવી જરૂરી છે. ‘ધર્મક્ષેત્ર’ અને ‘કુરુક્ષેત્ર’ પણ તેમાંથી બાકાત નથી. અહીં પણ અનુયાયી વધારવા માટે જાહેરખબરોનું  મહત્વ ખૂબ છે. હવે તો હાથવગું એવું સોશિયલ મિડિયા પણ ઘણાબધા અનુયાયીઓ ખેંચી લાવી શકે છે.

    આપણને સૌને ભણાવવામાં આવ્યું છે કે માણસ સામાજિક પ્રાણી છે. પરંતુ એક વિચારકે આગળ વધીને કહ્યું છે કે માણસ સામાજિક  ઉપરાંત રાજકીય પ્રાણી પણ છે. આથી રાજકરણમાં અનુયાયી માટેના નિયમો સેવાભાવી કે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વત્તેઓછે અંશે લાગુ પડે છે. ઘણીખરી કહેવાતી સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓમાં લેબલ સેવાનું હોય છે, પરંતુ આશય મેવા મેળવવાનો હોય છે. આથી આવી સંસ્થાઓમાં મેવાવાંચ્છુઓ અનુયાયી તરીકે વિશેષ લાયક હોય છે. અલબત્ત જૂજ સંસ્થાઓ એવી હોય છે કે જે સેવા અને માત્ર સેવાનો મંત્ર લઈને જ કામ કરે છે, પરંતુ તે સંસ્થાઓને વધારે અનુયાયીઓ મળી શકતા નથી.

    સેના કે પોલીસમાં સિપાઇઓ મેળવવા માટે ભરતી મેળાઓ યોજાતા હોય છે. એ રીતે રાજકીય, ધાર્મિક, કે સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ ઉત્સવો અને સમૈયા નામે ઓળખાતા ભરતી મેળાઓ યોજવાથી વધારે અનુયાયીઓ મેળવી શકાય છે. આ ઉત્સવ માટે કોઇને કોઇ નિમિત્ત શોધવું રહ્યું. જેમ કે સ્થાપના દિન, પાટોત્સવ દિવસ, કોઇ મોટી મનાતી વ્યક્તિનો જન્મદિવસ(80 વર્ષ થયા હોય તો અશિતી વંદના), સામાજિક કે ધાર્મિક તહેવારો, ખાતમુહૂર્તો ,ઉદ્ઘાટનો,આંદોલનો, પરિષદો વગેરે. આ ભરતી મેળાનો બીજો લાભ એ છે કે કોઇક અનુયાયી ભૂલેચૂકે પણ વિચારતો થયો હશે તો ભરતી મેળાની ભીડમાં તેની વિચાર પ્રક્રિયા બંધ થઈ જશે.

    અહીં એક જરૂરી ચેતવણી આપવી રહી. અનુયાયી પસંદ કરવામાં પૂરતી કાળજી રાખવામાં ન આવે તો તમારો અનુયાયી તમારો પ્રતિસ્પર્ધી  બની જવાની પૂરી સંભાવના છે. પ્રતિસ્પર્ધી બનીને તમારા અનુયાયીઓને પોતાના સંપ્રદાયમાં કે રાજકીય પક્ષમાં ખેંચી જશે. ક્યારેક હવેલી લેતા ગુજરાત ખોવાનો વખત પણ આવવા સંભવ છે.

    આખરે જેમ ધનસંપત્તિ મેળવવા માટે નસીબ હોવું જરૂરી હોય છે તેમ અનુયાયી મેળવવા માટે પણ નસીબ જોઇએ. અહીં નસીબના પ્રવેશનું કારણ પ્રખ્યાત વિચારક જ્યોર્જ ‘બર્નાડ શો’ ના શબ્દોમાં મૂકીને મારી વાત પૂરી કરું છું. “મહાન માણસોને તેમની મહાનતા બદલ શી સજા કરવી તેની ગતાગમ ન હોવાના કારણે નસીબ તેમને ચેલાઓ આપે છે.


    (ઉંબાડિયું :

    એક જણે  શહેરના વીસ પ્રતિષ્ઠિત માણસોને પત્રોમાં લખ્યું,

    “બધાને જ ખબર પડી ગઈ છે”

    પછી એ વીસે વીસ પ્રતિષ્ઠિતો શહેર  છોડી ગયા.)


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા : રેખા સિંધલઃ શૂન્ય થી અનંતની સફર [૪]

    સુશ્રી રેખાબહેન સિંધલની શૂન્ય થી અનંતની સફર ની શરૂઆત તેમના અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષથી થઈ અને પછી મારી વિદ્યાયાત્રા અને મારી લેખન યાત્રા અને કુટુંબધર્મ અને હ્રદયમંદિરના પડાવ સુધી આપણે સંગાથ કર્યો..
    હવે તેમની સાથે સફરમાં આગળ વધીએ …..

    ઈતરપ્રવૃતિઓ

    અસ્તિત્વના અનેક ટુકડામાં પ્રતિબિંબિત બધી પ્રવૃતિઓ ક્યારેક ઈતરપ્રવૃતિ જેવી લાગે છે. કબીરનો એક દોહો યાદ આવે છે.

    લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ
    કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ!

     જીવનની ભાગદોડમાં આ મુખ્ય પ્રવૃતિ જ ઈતર બની ગઈ.

    એકવાર ભોમિયા વિના ડુંગરાઓ ભમવા નીકળી પડી. ગ્રાંડ કેન્યનના પથ્થરોને કાળજે કોતરેલી કલા જોઈ એ ખીણોમાં મને મારી અલ્પતાનું વિરાટ દર્શન થયું. ‘ઈશ્વરે ગ્રાંડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સડોનામાં’ વાંચીને સડોના ગઈ તો ત્યાં જે અનુભૂતિ થઈ તે અવર્ણનીય રહી. યલોસ્ટોન નેશનલ પાર્કમાં જ્વાળામુખીથી ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય મહાઆશ્ચર્ય જગાડી ગયું. મધદરિયાના ટાપુઓની સહેલે એક અલગ દુનિયાના દર્શન કરાવ્યા. ઓલિમ્પિકની વોટરસ્પોર્ટસ માટે એકવખત પસંદ થઈ હતી તે ઓકોઈ નદીના તોફાન અને ઊંડાણનો પરિચય વ્હાઈટ વોટર રાફ્ટીંગથી થયો. મેમથ કેવ્સ(ગુફાઓ)ની હજારો માઈલો સુધી પથરાયેલી કોતરોના અંધારમાં ફૂટતા ઝરણાઓનું સંગીત પણ માણ્યું. સાન ડિયાગોની દરિયાઈ પટ્ટીના મોજાંમાં જીવનની ખારાશને વ્હાવીને રેતીમાં અક્ષરો કોતર્યા. વાદળોની પેલે પાર જવાની ચેષ્ઠા પણ સ્મોકી માઉન્ટન પર જઈને કરી. નાઈગ્રા ધોધની વાછંટોમાં મન ભરીને નાહ્યાં. આનંદનું આ તો ફક્ત આચમન હતું. અમેરીકાની ધરતીનું આ સૌંદર્ય જોઈ થયું કે પૃથ્વી પરનું સ્વર્ગ અહીં જ છે. આ દેશની ધરતી પર સ્વદેશના મારાં ગીરના જંગલ અને અમારી આંબાવાડી જેટલો જ પ્રેમ ઉપજ્યો.

    ઇતિહાસમાં આલેખાયેલી રેડઈન્ડયન એટલે કે અમેરીકાની આદિવાસી પ્રજાના નિર્દોષ માનવ સમુહની હત્યાના સૂકાયેલા આંસુઓને પગલે પગલે(trail of the tears) ગઈ ત્યારે બચી ગયેલા એક પરિવારની ઊગતી પેઢીની ક્લીટા નામની એક યુવતી મળી હતી. તે ત્યાં રીસેપ્નીસ્ટ તરીકે કામ કરતી હતી. તેની સાથેના વાર્તાલાપે મારૂં હ્રદય ઢંઢોળ્યું. અમેરીકાના એક પ્રખ્યાત પ્રકૃતિપ્રેમી કલાકારનું નામ આ સ્થળ ‘Trail of the tears’ ને અપાયેલ જોઈ મને તેના વિષે જાણવાની જીજ્ઞાસા થઈ. આ કલાકારનું નામ હતું જોન જેમ્સ ઓડોબન. કલાકાર અને પ્રકૃતિપ્રેમી તરીકે ખ્યાતિ મેળવેલ આ ફેંચ-અમેરીકને દોરેલા પક્ષીઓના જગવિખ્યાત સુંદર ચિત્રોને મેં વખાણ્યા ત્યારે ક્લીટા કહે, “પણ એની એક વાત મને નથી ગમતી, ચિત્રો દોરવા માટે તે પક્ષીઓને મારી નાખતો અને પછી તેમાં વાયર ભરાવીને જુદા જુદા પોઝ તૈયાર કરી પછી તે ચિત્રો દોરતો. એવું સાંભળ્યુ છે કે તેણે શિકાર કરેલાં મૃતપક્ષીઓના બાસ્કેટો લઈને ફરતો તે ઘણીવાર જોવામાં આવતો.” મને અચંબો એ વાતનો થયો કે પ્રકૃતિપ્રેમી કલાકારો પણ શું આટલા ક્રૂર હોઈ શકે? ઓડોબનની ગોળીઓથી વીંધાયેલા કેટલાય પક્ષીઓના રક્તબિંદુઓ પણ આ ટ્રેઈલ પર સૂકાયા હશે અને છતાં ટ્રેઈલના નામ થકી એ કલાકાર પ્રત્યે ચિરંજીવી આદર દર્શાવવામાં આવ્યો છે. પ્રકૃતિપ્રેમીઓ માટેની જાણીતી સેવા સંસ્થાનું નામ ઓડોબન સોસાયટી પણ આ કલાકારના નામ પરથી છે. જગતમાં ક્રૂરતાને આમ જ આડકતરૂં પોષણ મળતુ હશે ને? કલા ખાતર જીવહિંસાની વાત સાંભળી સર્જક થવા મથતી મારી અંદરની લેખિકા ખળભળી ઊઠી.

    સમાંતરે ચાલતી બીજી એક પ્રવૃતિ તે શક્ય હોય ત્યાં સંસ્થાઓમાં નિ:શુલ્ક સેવા આપવાની. સેવા આપવાનો આનંદ લેવા કરતાં વધારે જ હોય તે આપણે જાણીએ છીએ. આવી તકો હંમેશા મળતી રહી તેનો આનંદ છે. ભારતીય વિજ્ઞાભવનની બોસ્ટન શાખામાં પબ્લીક રીલેશનનો વિભાગ સંભાળવાનું કામ ૯૦ના દાયકામાં કર્યું. એ સમયમાં કવિ સંમેલનોનું આયોજન મારી ગમતી પ્રવૃતિ હતી. સ્વદેશથી મુલાકાતે આવેલા લેખકો અને કવિઓ પણ ક્યારેક એમાં જોડાય. આ સમેંલનો હ્રદયના તાર ઝંકૃત કરીને મને મારાં કોચલામાંથી બહાર આવવા પ્રેરે. ટેનેસી મુવ થયા પછી ગુજરાતી એસોશીએશન ઓફ મિડલ ટેનેસીમાં પ્રમુખ પદે રહીને ગુજરાતી સંસ્કૃતિને અહીં ધબકતી રાખવા કાર્યક્રમો યોજતી રહી. આ પ્રવૃતિઓ થકી મારાં ઘરમાં ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર સાચવી શકી. પરેશ રાવલના ગુજરાતી નાટકો, આસિત અને હેમા દેસાઈના ગુજરાતી ગીતો, નવરાત્રી મહોત્સવ વિગેરેને કારણે નરસિંહ અને મીરાં સુધીની સંસ્કૃતિ ઉજાગર થતી. ગુજરાતી વાંચતાં લખતાં શીખવવાના વર્ગો શની-રવિમાં મારાં ઘરે ચલાવીને માતૃભાષાને પ્રણામ કરી લેતી. પ્રમુખ પદ છોડ્યા પછી ટ્રસ્ટીપદે રહીને સેવા આપી. મંદિર દ્વારા યોજાયેલ મેળામાં ગુજરાતી પુસ્તકોનું બુથ મુકું. લગભગ ૫૦૦ જેટલા ગુજરાતી પુસ્તકોની લાયબ્રેરી ઘરમાં હતી. લાયબ્રેરીદિન ઉજવીને પછી અહીંના ગુજરાતીઓ માટે તે ખુલ્લી મૂકેલી. આપણી ભાષા અને સંસ્કૃતિનો વારસો બાળકોને મળે તે માટે ઘરમાં અને સંસ્થામાં પ્રયત્ન કરી શકી તે માટે સંસ્થાના સ્થાપકોની આભારી છું. હિંદી કવિસંમેલનો અને મંદિર થકી ચાલતા હિંદી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંદિરની કલ્ચર કમિટિમાં પણ જોડાઈ. ટેનેસી રાજ્યના ઈંગ્લીશ સમાચાર પત્ર ‘The Tennessean’ની મલ્ટિ કલ્ચરલ કમિટિમાં આમંત્રણ મળ્યું ત્યારે અહીંના સ્થાનિક લેખકોને મળી. એમની સાથેની વાતોથી અહીંના સમાજ વિષે ઘણું જાણવા મળ્યું. આ બધા અનુભવ પછી મેં ‘South Asian Heritage Group’ નામની સંસ્થા સ્થાપી જાણીતા ગાયક અને નાટ્યકાર પદ્મ શ્રી શેખરસેનને એમના હિંદી નાટક ‘કબીર’ માટે મેં આંમત્રણ આપ્યું. એક અઠવાડીયું તેઓ મારાં ઘરે સપરિવાર રહ્યા. એમના પત્ની શ્વેતાજી પણ સારા ગાયક છે. સવારના ચા-નાસ્તા પછી મારી વિનંતિને માન આપી શ્વેતાજીએ એક ગીત ગાયું અને મને મારી એક કવિતા સંભળાવવા મજબૂર કરી. શેખરજીને ગુજરાતી સમજાય તેથી મારી કવિતા સાંભળીને કહે, “તમે બંગાળમાં હોત તો આ ક્ષેત્રે ઘણા આગળ આવ્યાં હોત.” નજીકની હજારો એકરમાં પથરાયેલી ગુફાઓના વિસ્તારમાં અમે સાથે ફર્યા તે ક્ષણો ચિરંજીવી બની ગઈ.

    નવા ઘરમાં મુવ થયા પછી અમારી હાઉસીંગ સોસાયટીની કમિટિમાં જોડાઈને મેં સાંસ્કૃતિક કાયક્રમો યોજવાની જવાબદારી લીધી હતી. Dana Pitts નામની એક અમેરીકન કમિટિમાં પ્રમુખ સ્થાને હતી. તેની સાથે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં રહેલી સામ્યતાની વાતોથી અમને બંનેને આનંદાઆશ્ચર્ય થાય. સામ્યતાથી જોડવાના બદલે આપણે મોટેભાગે ભિન્નતાની વાતોમાં જ અટવાયેલાં રહીએ છીએ. બીજી નવાઈની વાત એ છે કે આલ્બર્ટ આઈસ્ટાઈન ડાનાની માતા ના સગા કાકા થાય તેની જાણ મને ડાના પાસેથી નહીં પણ બીજા એક પડોશી જિમ પાસેથી એક વર્ષ પછી પડી હતી. જિમને હ્રદયની બિમારી હતી. તેના હાર્ટ ટ્રાંસપ્લાંટની સર્જરી થઈ ત્યારે ડાના અને બીજા પડોશીઓએ ફાળો એકઠો કરી મદદ કરી હતી. કંઈક આપવાની ભાવના બીજા પડોશીઓની જેમ મારાંમાં પણ જાગી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે જિમ વિશ્વના અનેક દેશોમાં પ્રવચન આપવા જતો. ભારતમાં પણ ઘણીવાર ગયેલો તેની વાતો કરે. એકવાર પિકનીક દરમ્યાન મારે એની સાથે ધર્મની ચર્ચા થઈ. ઈશુ ખ્રિસ્તના અને ગીતાના ઉપદેશના અર્થઘટન અને સંદેશમાં રહેલા સામ્ય અંગે જાણીને ધર્માંતરની જરૂર નથી એ સ્પષ્ટ થયું.

    પહેલા સગા એવા પડોશીઓએ જાતિ, ધર્મ અને સંસ્કૃતિના વાડાઓમાંથી બહાર નીકળી ‘વસુધૈવકુટુંબકમ’ની મારી ભાવનાને પોષી છે. એરીઝોના ત્રણ વર્ષ રહી એ દરમ્યાન મોર્નિગ વોકમાં રોજ મળતા ૮૫ વર્ષના મિ. આર્થર સાથે ટુંક સમયમાં જ ગાઢ પરિચય કેળવાયો. જેના ઘરનો દરવાજો ગમે તે સમયે ખખડાવી શકાય તેવા એરફોર્સના આ રીટાયર્ડ મેજરની પત્ની વિવિયન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરની બહાર નીકળતી પણ ખુબ પ્રેમાળ. મારાં દોહિત્ર સાથે હું અવારનવાર એમને ત્યાં જતી. તેમણે લખેલ એક પુસ્તક વાંચીને પ્રમુખ ઓબામાએ ૨૦૧૬માં તેને પત્ર લખી ધન્યવાદ આપ્યા હતા. આ પુસ્તક તેણે મને હસ્તાક્ષર સાથે ભેટ આપ્યું. એમાં એમણે એનો કરૂણ ભૂતકાળ લખ્યો છે. જેકોબ આર્થરનો જન્મ અને ઉછેર અમેરીકામાં થયો હોવા છતાં બાર વર્ષની ઊંમરે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેને નાઝી માનીને જર્મનીની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં સાત વર્ષ તેણે યાતનાઓ ભોગવી. જગતના દરેક નાગરિકે જાણવા જેવા આ કિસ્સામાં તેના પિતા જર્મની હોવાથી અમેરીકન સરકારે તેને જર્મની(નાઝી) ગણી હદપાર કર્યો અને અને જર્મની લોકોએ તેને અમેરીકન ગણી તરછોડ્યો હતો. બાળપણના કરૂણ અનુભવો છતાં જન્મભૂમિને તેણે દિલથી ચાહી છે. તેને જેલમાંથી છોડાવનાર એક અમેરીકન દંપતિની સાર-સંભાળને કારણે ઉત્તમ નાગરિક બની શકનાર મિસ્ટર આર્થર જેકબની બાલ્કનીમાં અમેરીકન ફ્લેગ ફરફરતો મેં હંમેશાં જોયો છે.

    દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવી વસેલા મારાં પડોશીઓમાં આરબ, મુસ્લિમ, આફ્રિકન, રશિયન, સ્વદેશના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા લોકોની સાથે સાથે અહીંના સ્થાયી કાળા-ગોરાનો જીવનસંઘર્ષ પણ જોવા જાણવા મળે. એમના બાળકો માટે વેકેશનમાં ગણિતના વર્ગો ફ્રી ઓફ ચાર્જ ગોઠવી આનંદથી છલકાઈ જાઉં. કેટલાંક બાળકો સ્વેચ્છાએ મારી પાસે નિયમિત આવે. અમારી નાની મોટી સામાજિક મુંઝવણ બાજુમાં રહેતો જેરેમી નામનો પાદરી તરત ઉકેલી આપે. તેના બાળકો પણ અમને સીનીયર સીટીઝનને મદદ કરવા તત્પર રહે એવા સંસ્કારી છે. કેટલાંક ગુજરાતી પડોશીઓ સાથે દેશના સંસ્મરણો વાગોળીએ. અમારી આગળની શેરીમાં રહેતા બળદેવભાઈ એક જમાનામાં વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે કામ કરતાં. મોદી કચરો વાળે અને પોતે પોતુ કરે તે ગરીબાઈના દિવસોની વાતો કરે. જાણીતા ગાયક નીતિન મુકેશની ભાણેજ સુરભિના બાળકો મારી પાસે ગણિત શીખે સાથે બીજી ઘણી ય વાતો કરે. અમે બંને પરિવારે એક જ શેરીમાં સામસામે ઘર લીધું એ પહેલાંથી અમારો ગાઢો સંબંધ! પુત્રી સમાન સુરભી સાથે અલકમલકની વાતોમાં સમયનું ભાન ન રહે. ક્યારેક તક મળ્યે અનાયાસે ટી.વી, રેડિયો, સમાચાર પત્ર કે મેગેઝીનમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવવાની કોશિષ કરતી રહું. થોડોઘણા બચેલા સમયમાં મારાં બ્લોગ axaypatra.wordpress.com પર લાગણીઓને રમતી મૂકયા કરૂં. શરૂઆતના દિવસોના ડર અને અસલામતીની જગ્યાએ હવે અમે પ્રેમ અને સલામતી અનુભવીએ છીએ.

    સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની ઈચ્છાથી આ વર્ષે(૨૦૨૨) એક કામ હાથમાં લીધું છે. સ્વદેશ છોડી પરદેશની અજાણી ભૂમિમાં કાયમી વસવાટનું સાહસ ખેડનારા સાહસિકોની જીવનયાત્રાના અનુભવોની તેમના શબ્દોમાં લખેલ કૃતિઓનું સંકલન પુસ્તકરૂપે કરવું. પરદેશની ધરતી પર લખાયેલ સાહિત્યમાં રહેલી સમાનતા અને ભિન્નતા પર સંશોધન કાર્ય કરવાની અભિલાષા પણ મનમાં છે. મને આશા છે કે આ પ્રકારના સાહિત્ય પ્રકાર માટે ડાયાસ્પોરાને બદલે સર્વ સ્વીકાર્ય વધારે સારૂં શિર્ષક આપી શકાશે.

    ઘરથી દૂર બે ઘર

    ૧૯૯૪માં અમારી મેડિકલ લેબોરેટરી બીજી લેબોરેટરી સાથે મર્જ થઈ ત્યારે સીનીયોરીટી પ્રમાણે સૌથી પહેલી મને છૂટી કરી. બોસની ઓફિસમાંથી સમાચાર લઈને હું બહાર નીકળી ત્યારે મારાં મોઢા પરની પ્રસન્નતા સહકાર્યકરો માટે આશ્ચર્યની વાત હતી. હું રડી પડીશ તેમ તેઓએ માન્યું હતું. એક મિત્રએ નવાઈથી પૂછયુ, “નોકરી ગઈ તેનું તને દુઃખ નથી?” મેં કહ્યું, “હવે તો મારી પાસે અનુભવ છે. ભાષા પર પણ પકડ વધી છે અને નવી કાર લઈ લીધી છે. ચિંતા શા માટે? મને ખુશી છે કે બીજી નોકરી શોધતા પહેલાં હું ઈંડીયા જઈને મારાં માબાપને મળી શકીશ.” વતનમાં ગઈ તો બા એ ચિંતાથી પૂછ્યુ, “નોકરી જલ્દી નહીં મળે તો શું કરીશ?” અનુભવને કારણે હવે નોકરી મળે જશે તે વિશ્વાસ હોવા છતાં મેં મારી બાને ચિંતામુક્ત કરવા અનએમપ્લોયમેંટની વાત કરી. સાંભળીને તેના મુખે ઉદગાર સરી પડ્યા, “અરરર…સરકારના પૈસા મફતમાં લઈએ એ તો ખોટું કહેવાય. એ તો અશક્ત લોકો માટે હોય.” અમેરીકા પાછી ફરી ત્યારે વોઇસ મેલમાં મર્જ થયેલી લેબોરેટરીમાંથી સંદેશ હતો. પગારવધારા સાથે મને તે જ જગ્યાએ ફરી નોકરી મળી ગઈ હતી.

    ૧૯૯૭માં ઈંડીયા જઈ એકતાના લગ્ન પતાવી ત્યાંથી ટેનેસી આવ્યા. ફરી એકડે એકથી શરૂઆત કરી. લગ્ન થકી બે પરિવારોની જુદી સંસ્કૃતિ અને પરદેશાગમનથી બે દેશોની જુદી સંસ્કૃતિ પછી હવે બે રાજ્યોની અલગ સંસ્કૃતિનો પરિચય થવાનો હતો. ટેનેસી એગ્રીકલ્ચરલ રાજ્ય છે જ્યારે મેસેચ્યૂસેટ્સ ઈંડસ્ટ્રીયલ. સૂરતી ગુજરાતીની માફક અહીંની અંગ્રેજી બોલી જુદી. બંનેની જીવનરીતિમાં દેખીતો વિરોધાભાસ. ટેનેસી સાઉથમાં અને મેસેચ્યૂસેટ્સ નોર્થમાં તેથી હવામાનમાં પણ ઘણો ફર્ક. ટેનેસીમાં ચક્રવાત અને ઝંઝાવાત અવારનવાર વિઝાંય. મારાં જીવનમાં પણ ઝંઝાવાત આવ્યો હતો. પ્રતાપે જોબ છોડી ધંધામાં ઝંપલાવ્યું હતું. આ નવા સાહસ માટે ખરીદેલો કન્વેનીયંટ સ્ટોર ખોટમાં હતો. અમેરીકન રેડક્રોસમાં મને નોકરી મળી તેમાં ઘર ચાલતું હતું પણ આર્થિક ભીંસ વધી ગઈ. ફરી મુસીબતોના એ જ ચક્રમાં આવી ફસાયા. કામની ભાગદોડ વધી ગઈ.

    અદિતિ ડાઉનટાઉનમાં આવેલી મેગ્નેટ સ્કૂલમાં ભણતી હોવાથી સ્કૂલએ લેવા મૂકવામાં રોજ બે કલાક મારે આપવા પડતા. અવનિની સગાઈ કરીને જે છોકરાને અમે બહુ મોટી આશાએ અહીં લઈ લાવેલ તેણે અમારાં સમય અને પૈસા વાપરી બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. અવનિ ફાર્મસી બોર્ડની પરીક્ષાની તૈયારીમાં પડી હતી. મારાં બીજા ત્રણ ભાઈબહેનો પણ ઈંડીયાથી અહીં સેટલ થવાની સ્ટ્રગલમાં હતા. બધાને મારી પાસે મદદની આશા હતી અને બધામાં વહેંચાયેલી હું કોઈને ન્યાય આપી શક્તી નહીં. મારી દીકરીઓને પણ નહીં. પ્રતાપ આખો દિવસ સ્ટોર પર હોય એટલે રસોડામાં પણ મદદ નહીં. મેનોપોઝનો પિરિયડ એટલે મગજની નસો તણાય. મારી તકલીફ કોઈ સમજી શક્તું નહીં. મને થયું કે બસ હવે હાર્ટએટેક નજીકમાં જ છે.

    એ સમયે મારી બા ઈંડીયાથી આવ્યાં અને સૌ પ્રથમ તેમણે મારાં ડાયેટમાં ફેરફાર કર્યો. લેફ્ટઓવર બિલકુલ નહીં. રસોઈમાં તેમની મદદ એટલે સમયની ખેંચ ઓછી થઈ. પ્રતાપની મહેનતથી સ્ટોરમાં આવકનો પ્રશ્ન પણ સારી રીતે થયો હલ થયો. અમેરીકા આવ્યાના દસ વર્ષ બાદ ઘરનું ઘર લીધું. ઘરમાં તોફાન પછીની શાંતિ છવાઈ ગઈ. અદિતિએ ઉચ્ચ અભ્યાસ માટે ઘર છોડ્યું. અવનીએ બોર્ડની પરિક્ષા પાસ કરી જોબની નજીક ઘર લઈ ત્યાં રહેવા ગઈ અને ભાઈબહેનોએ પોતાનું સુકાન સંભાળી લીધું. બા દેશની આંબાવાડીએ પાછાં ગયાં. ઘરમાં હું એકલી પડી અને ડીપ્રેશનનો ભોગ બની ગઈ. જીવનમાં રસ રહ્યો નહીં. પુષ્કળ સમય હોવા છતાં મારી લેખન યાત્રા પણ અટકી ગઈ.

    આખો દિવસ સુડોકુ પઝલ અને ટી.વીના પડદા સામે પસાર થઈ જતો. કોઈ કામ ગમે નહીં અને ક્યાંય જવું પણ ગમે નહીં. કોઈના ફોન પણ રીટર્ન કરવા ગમે નહીં. કંટાળીને કાયમ માટે ઈંડીયા જવાનું નક્કી કર્યું. ત્યાં સેટ થયા પછી અહીં બધુ સંકેલવું એમ વિચારી પ્રતાપે મને એકલીને જવા દીધી. દેશમાં પુનઃવસવાટ ધાર્યા કરતાં વધારે અઘરો લાગ્યો. ઝડપી પરિવર્તનની અસર નીચે ઈંડીયામાં બધું જ બદલાઈ ગયું હતું, લોકોનું માનસ પણ અકળ લાગ્યું. મારાં જીગરી મિત્રો પણ “અહીં હવે તને ન ફાવે” કહી મારાં વિચાર નબળો પાડી દેતા હતા. મારી બા કહે, ”તારા બાળકોથી બહુ દૂર રહેવાનું તને નહીં ગમે.” મનને ક્યાંય ચેન ન હતું. નિરાશા વધતી જતી હતી. એકવાર રડીને મેં બા ને પૂછ્યું. “હવે જીવવું કોના માટે? જીવનનો કોઈ અર્થ નથી” ઝંઝાવાતોમાંથી પસાર થયેલી મારી જીવનનાવ જાણે કે દિશાવિહીન થઈ ગઈ હતી.

    દીકરીઓ પગભર થઈ ગઈ એટલે જીવનનું ધ્યેય જાણે કે પૂરૂં થઈ ગયું હતું. નિરાશાના અંધકારમાં કાગળ કલમ ખોવાઈ ગયાં હતાં. ક્યારેક દરિયાના સાંનિધ્યમાં, ક્યારેક આંબાવાડીને છાંયડે તો ક્યારેક રાજકોટની રોશની વચ્ચે આંટાફેરામાં ચાર મહીના નીકળી ગયા. પાછુ અમેરીકા જવું ન હતું અને અહીં રહેવું ન હતું. અમારી આંબાવાડીમાં ય ગોઠ્યું નહીં. સમુદ્રકિનારે આવેલા જૂના ઘરમાં પણ બાળકોના કિલ્લોલ વગર સૂનું લાગ્યું.

    સ્વદેશમાં હું પરદેશી હતી અને બાળકો પરદેશ હતા. બાળકો પાસે પાછાં ફરવાનો વિચાર બાને જણાવ્યો એટલે કહે, “આપણે જે કરીએ છીએ તે કોઈ માટે નહીં આપણા માટે જ કરીએ છીએ. આપણુ જીવન આપણે આપણા માટે જીવવાનું છે અને આનંદથી જીવવાનું છે. તું દુઃખી હોય તો બીજાને કેવી રીતે સુખ આપી શકે? ખુશીથી તું ત્યાં જાય તો જ અર્થ સરે. અહીં ઈંડીયામાં હું છું ત્યાં સુધી તને રહેવું ગમશે પછી નહીં ગમે.” ‘તારૂં હવે અહીંયા કામ નથી’ કહી જીગરી મિત્રોએ પણ સૂર પૂર્યો. રાત-દિવસ બાળકો અને પતિને કેંદ્રમાં રાખીને જીવન ગુજારતી સ્ત્રીને પોતાના માટે કેમ જીવવું તે ખબર ન હતી. એ વગર હવે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. બાળકોને હવે પોતાની અલગ દુનિયા હતી. વર્કોહોલિક પતિ જોબ પર હોય. અત્યાર સુધીના બીજા બધા પડકાર કરતાં આ પડકાર મોટો લાગ્યો.

    USA પાછાં આવતા પહેલાં એક દિવસ અચાનક જ મિત્ર નીલમ દોશીનો ફોન આવ્યો. ૩૫ વર્ષ બાદ ફરી અમારી મૈત્રીનો દોર સંધાયો. મિત્ર સરલા પાસેથી અમને એકબીજાના નંબર મળ્યા હતા. લત્તા હિરાણીનો ફોન પણ એ દિવસે જ આવ્યો. અમે ત્રણેએ અમદાવાદ નીલમને ઘરે મળવાનું નક્કી કર્યું. રાત્રે હું ત્યાં જ રોકાઈ ગઈ. “ચાલ આપણે લખવા બેસીએ” કહીને નીલમે કાગળ પેન આપ્યા અને કોલેજના દિવસોની યાદ ચેતનવંતી બનીને ઉમંગ જગાડી ગઈ. પછી તો નીલમ અને હું અમેરીકા અને ઈંડીયામાં અવાર નવાર મળતાં રહ્યાં. મને કોમપ્યૂટર પર લખતી પણ નીલમે જ કરી. વર્ડપ્રેસ પર અક્ષયપાત્ર નામનો બ્લોગ પણ શરૂ કરાવ્યો. ઉદાસીના વાદળો વિખરાવાની શરૂઆત થઈ. દૂધ અને દૂધની બનાવટો ભોજનમાંથી દૂર કર્યા પછી મનમાં વધારે તાજગીનો અનુભવ થવા લાગ્યો. એકવાર એક અમેરીકન ડોકટરના સેમીનારમાં ગઈ હતી. ત્યાં વીગન ડાયેટની વાત સાંભળી અખતરો કરવા વિચાર્યું. ત્રણ દિવસમાં જ ફાયદો જણાયો તેથી ત્રણ વર્ષ સુધી બકરીના દૂધ સિવાય કોઈ ડેરી પ્રોડક્ટ નહોતી લીધી. ડીપ્રેશન દૂર કરવામાં ડાયેટનો ખુબ મોટો ફાળો અનુભવથી સ્વીકારી ડાયેટ પર વધુ ધ્યાન આપવા માંડ્યું. મારી બા એ સૂચવેલ ડાયેટે દવાનું કામ કર્યું.

    આ અરસામાં વિશ્વ સાહિત્યમાં રસ ધરાવતી મેરીયન નામની એક ગોરી અમેરીકન રેડિયો હોસ્ટ સાથે મિત્રતા થઈ. સમાન રસ રૂચિને કારણે અમારી મૈત્રી ગાઢ થઈ. ગાંધીવિચાર ધારા એના આચરણમાં જોવા મળે. ગાંધી સાહિત્ય જેટલું એના ઘરની લાયબ્રેરીમાંથી મળે તેટલું પબ્લિક લાયબ્રેરીમાંથી શોધવાનું મુશ્કેલ! બધી જ ભાષાઓ માટેનો તેનો પ્રેમ ગુજરાતી સુધી વિસ્તરે. મને મળે ત્યારે પહેલું “કેમ છો?” પૂછે અને છૂટા પડીએ ત્યારે “આવજો” કહે. મારૂં લખેલ ગુજરાતી કાવ્ય વંચાવે અને પછી એમાં લખાયેલા શબ્દોના અર્થે પૂછે. મેરીયન એટલે પ્રસન્નતાનું ઝરણું! અમારી મુલાકાતો વધતી ગઈ. એની સાથેની સાહિત્યની વાતોથી મારી પ્રસન્નતા પણ વધતી ગઈ. અમેરીકામાં મારાં મૂળિયા ઊંડા ઊતરી ચૂક્યા હતા તેની પ્રતીતિ થઈ. અમે રહેતાં હતાં તે ઘર કાઢી નાખ્યું. એકતાના બે પુત્રોની નજીક રહેવા તે વિસ્તારમાં પ્લોટ લીધો. ભૂમિપૂજન કરી નવું ઘર બંધાવ્યું. એક બાજુ ઈગલ અને બીજી બાજુ સ્વતંત્રતાની દેવી સાથેનો ચાંદીનો સિક્કો પાયામાં મૂકયો. ‘સબ ભૂમિ ગોપાલકી’ ના મંત્ર સાથે વંદન કર્યા. એક સુંદર ઘર બાંધીને ફરી આનંદયાત્રા શરૂ કરી.

    અદિતિને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો પછી તેણે ટેનેસીમાં ઘર લીધું. તેના ઘરની નજીક અમે બીજું ઘર બાંધ્યું. એ જ સમયમાં કોરોનાએ દેશ વિદેશના સીમાડા ભૂંસી નાખ્યા. પિતાની આંબાવાડીમાં કળા કરતાં મોરને નજરે જોવાનું whats appથી શક્ય બન્યું. જન્મભૂમિ પાસેના અરબી સમુદ્રના મોજાંઓ ઝૂમ પર જોઈને બાળપણ ફરી માણવા મળે છે. વતનઝૂરાપો હવે નથી રહ્યો.

    હવે આ મારી ભૂમિ છે એવી ભાવના અમેરીકામાં વર્ષોના વસવાટ પછી સ્થિર થઈ. એક દિવસ ગ્રોસરીની કાર્ટ સાથે પાર્કિગ લોટમાં હું મારી કાર તરફ હું જતી હતી. તબિયત તે દિવસે નરમ હોવાથી રોડ ક્રોસ કરતાં મને વાર થઈ. ‘Make America great again’ સૂત્ર સાથેની લાલ ટોપી પહેરેલ એક શખ્સને આથી તેની કાર જરા વધારે વાર રોકવી પડી. ગુસ્સામાં તેણે મોટેથી બૂમ પાડી, ‘Go back to your country’ એક અજાણ્યા અમેરીકન નાગરીકને મન હું હજુ પરદેશી છું. બીજી બાજુ ભારતમાં રહેતા મિત્રોને મન પણ હું હવે પરદેશી છું. મારૂં મન કહે છે કે હું દ્વિદેશી છું. ગીરની સીમથી દૂર બે ઘરની દુનિયા વિસ્તરતી જાય છે અને મનપંખી અસીમમાં ઊડવા પાંખો પસારી પ્રયાણ આરંભે છે.


    સમાપ્ત


    હવે પછી ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ

  • નિવેદિત અસ્તિત્વ : ભગિની નિવેદિતા [૨]

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    ગતાંકમાં આપણે નાર્ગરેટ નોબલનું ભારતમાં અગમન થતું જોયું.

    હવે આગળ...


    જાન્યુઆરીમાં ભારત આવેલાં માર્ગરેટ માટે માર્ચ મહિનો શુકનિયાળ નીવડ્યો. અનુક્રમે અગિયારમી, સત્તરમી અને પચ્ચીસમી માર્ચે માર્ગરેટની હાલકડોલક થતી નૌકાને કિનારો મળ્યો. અગિયારમી માર્ચે સ્વામીજીએ કલકત્તાના સ્ટાર થિયેટર ખાતે રામકૃષ્ણ મિશનની વાર્ષિક સભામાં એકઠા થયેલા ભદ લોકોને માર્ગરેટનો પરિચય કરા વતાં તેમને ઇંગ્લેન્ડે આપેલી માનવભેટ તરીકે ઓળખાવ્યાં. આ દિવસે માર્ગરેટે ભારતની આધ્યાત્મિકતાનો ઇંગ્લેન્ડ પર પડેલો પ્રભાવ સૌની વચ્ચે જણાવી પોતાનો ભારત આવવાનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો.

    સત્તરમી માર્ચે સ્વામીજીના ગૂરૂશ્રી  રામકૃષ્ણ પરમહંસનાં આધ્યાત્મિક સાથીદાર મા શારમણિદેવી સાથે માર્ગરેટનું મિલન ગોઠવાયું. ચુસ્ત સનાતની હોવા છતાં શારદાદેવી ભારે લાગણી અને ગૌરવથી માર્ગરેટનું સન્‍માન કરીને તેમની સાથે ભોજન પણ સીધું. આ ઘટનાથી માર્ગરેટે ધન્યતા અનુભવી. માતાજીએ માર્ગરેટના કરેલા સવીકાર પછી જ વિવેકાનંદ માર્ગરેટનું શિષ્યત્વ સ્વીકાર્યું. આમ માર્ગરેટની પ્રથમ દીક્ષા મા શારદાદેવી પાસે લેવરાવીને વિવેકાનંદે ઔચિત્ય જાળવ્યું.

    શારદાદેવીના આશીર્વાદ મળતાં માર્ગરેટનું રામકૃષ્ણ મઠમાં નિશ્ચિત સ્થાન થયું. તે પછી વિવેકાનંદે તેમને બ્રહ્મચર્યની દીક્ષા આપવાનું ઠરાવ્યું જે માટે ૨૫મી માર્ચનો દિવસ નક્કી થયો. એક હિન્દુ સંન્યાસી પાસે ઈસાઈ ધર્મની આ શિષ્યાએ તે ક્ષણે પોતાનો ધર્મ પણ ગુરુચરણે ધરીને કૃતાર્થતા અનુભવી. શિષ્યાને આશીર્વાદ આપતાં સ્વામીજીએ શિવ ને ગૌતમ બુદ્ધના આશીર્વાદ લેવડાવતાં જણાવ્યું ઃ ‘જાઓ અને બુદ્ધ તરીકેનું દર્શન પામતાં પહેલાં જે વ્યક્તિએ પાંચસો વખત જન્મ લઈને બીજા લોકો માટે જીવન અર્પણ કર્યું તેને અનુસરો.’ ગુરુ પાસેથી દીક્ષા પામીને માર્ગરેટ “નિવેદિતા” એવું સાર્થક નામ પામ્યાં. તેમના જન્મ સમયે તેમનાં માતાએ સેવેલી અભિલાષા, દૂર દેશમાં, અન્ય ધર્મના મહાન જ્ઞાતા પાસેથી આ રીતે પૂરી થઈ તે માટે નિવેદિતાએ પોતાનો જન્મ સફળ માન્યો. માર્ગરેટમાંથી ‘નિવેદિતા’ બનવાની ક્ષણ એક રીતે જોતાં ઘણી નાજુક હતી.

    ભારતીય અધ્યાત્મ જગતથી ખેંચાયેલી અન્ય વિદેશી મહિલાઓમાંથી*[1] કોઈને ભાગે પોતાનો ધર્મ તજવાનો આવ્યો નહોતો. હિંદુ ધર્મને એ મહિલાઓએ માન આપ્યું એ વાત જુદી હતી. ગીતાકારે જેને સ્વધર્મ-અર્થાત્‌ પાલન કરવા યોગ્ય, અથવા તો જેનું પાલન અનિવાર્ય બની જાય એવો ધર્મ- કહ્યો, એ અર્થમાં નિવેદિતાને માટે હિંદુ ધર્મ સ્વધર્મ બની રહ્યો. પોતાનો ધર્મ એમણે કંઈ એમને એમ, આવેશને વશ થઈન છોડ્યો નહોતો. હિંદુ ધર્મે તેમણે જે ઇચ્છવું હતું તે તેમને સંપડાવ્યું. આથી નિવેદિતાનું નિવેદન શક્ય બન્યું, છતાં પણ આ વાત નાનીસૂની તો નહોતી જ. તેમના મહાન ગુરુએ તેમની પાસે જે ગુરુદક્ષિણા માગી તે ધણી આકરી હતી. વિવેકાનંદે દીક્ષા ગ્રહણ કરતાં નિવેદિતાને કહેલું : ‘તમારે તમારા વિચારો, જરૂરિયાતો, ભાવનાઓ અને સંસ્કારોને હિન્દુ સ્વરૂપ આપી દેવાના પુરુષાર્થમાં લાગી રહેવાનું છે. તમારૂ આંતર તેમ જ બાહ્ય જીવન એક ચુરત બ્રાહ્મણ બ્રહ્મચારિણીના જીવન જેવું બની રહેવું જોઈએ. એ માટે પૂરતી ઇચ્છા હશે તો એવું કાર્ય કરવાની પદ્ધતિ તમને આપોઆપ સૂઝશે. એ માટે તમારે તમારો ભૂતકાળ ભૂલી જવાનો છે અને બીજા લોકો પણ એને ભૂલી જાય એવું કરવાનું છે. તમને એની સ્મૃતિ પણ રહેવી ન જોઈએ. આ વાક્યો કોઈને પણ વિચાર કરતા કરી મૂકે તેવાં છે. ખરેખર કોઈ મનુષ્ય આ રીતે કરી શકે ? કરી શકે તો તેમ કરાવવું યોગ્ય પણ ખરું ? એમાંય જ્યારે વિવેકાનંદ જેવી વ્યક્તિ આવી માગણી કરે, બલકે આદેશ આપે એમાં ઔચિત્ય જળવાય છે ? – આવા પ્રશ્નો જાગે. પરંતુ વિવેકાનંદ ને નિવેદિતાના સંબંધને જોતાં એવું જણાય છે કે ગુરુએ આવી માગણી કર્યા વિના ને શિષ્યાએ એને સ્વીકાર્યા વિના ચાલે તેમ નહોતું. જે દેશમાં તેઓ આવ્યાં હતાં તે દેશની નાડ તેમણે પારખવાની હતી; એ દેશના લોકોમાં ઓગળવાનું હતું; તેના જેવા, તેનામાંના બનવાનું હતું. તેમને જે ઈશ્વરને ઓળખવો હતો તેનું બીજું નામ લોકસેવા, દરિદ્રનારાયણની આરાધના હતી. જો તેઓ આ કામ ન કરી શકે તો પણ તેના ગુરુએ કોઈ બંધન તેમના પર મૂક્યું ન હતું. આથી હવે જે કંઈ કરવાનું હતું તેમાં નિવેદિતાની જ પસંદગી હતી. કોઈ સિદ્ધાંત, કોઈ કાર્ય તેમના પર લદાયું નહોતું. નિવેદિતાએ પણ સર્વ કંઈ છોડયું તે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને કારણે છોડયું એમ કહેવા કરતાં એમને પોતાને, આ પ્રકારના સંન્યાસથી જ સત્યનું દર્શન થશે એવી પ્રતીતિને લઈને છોડયું.

    માર્ગરેટ પોતે એક વિદુષી સ્ત્રી હતાં, અંગ્રેજ હોવાને લીધે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં; વ્યવસાયે અધ્યાપક હતાં, પાદરીની પુત્રી હતાં; અનેક બૌદ્ધિકોની વચ્ચે વસેલાં હતાં. ઢળી ન પડવાની પ્રકૃતિ ધરાવતાં હતાં. આથી વિવેકાનંદે તેમના પર કોઈ જાદુ કે કામણ કર્યુ હતું એવું નહોતું. વિવેકાનંદનું પૂરું પરીક્ષણ – નિરીક્ષણ કરીને તેમનુ માર્ગદર્શન યોગ્ય લાગતાં નિવેદિતાએ ભારત આવવાનો, સેવાનું વ્રત ધારણ કરવાનો, હિંદુ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો. તેમનામાં તેમના ગુરુ જેવી જ વિચારનિષ્ઠા હતી એવું તેમના વ્યક્તિત્વને જોતાં સ્પષ્ટ થાય છે.

    નિવેદિતાને પોતાની પસંદગી પર ને પોતે ભરેલાં પગલાં પર કેટલો વિશ્વાસ આ વિવેકાનંદ સાથે તેમણે કરેલા ઉત્તર ભારતના પ્રવાસ દરમિયાનની તેની નોંધોમાંથી મળે છે. તેઓ લખે છે : “જે મનોદશામાં નવા ધર્મનું નિર્માણ થાય છે તેની અને જે વિભૂતિઓ એવા ધર્મની પ્રેરણાનું સિંચન કરે છે તેઓની અમને (બીજી બે ગુરુ બહેનો જોસેફાઈન, બુલ સમેત) કંઈક ઝાંખી થઈ છે; કારણ કે અમે એક એવી વિભૂતિનાં અંતેવાસી બની રહ્યાં છીએ જેણે તમામ મનુષ્યોને પોતા તરફ ખેંચી લીધા; એમણે સૌની વાત સાંભળી; એમણે કોઈનો અનાદર ન કર્યો …જેની હાજરીમાં કોઈ સંકુચિતતા ટકી ન શક્તી; એવી ત્યાગવૃતિ જોઈ છે કે જે જુલમ પ્રત્યેની કોઇ ઘૃણાથી   અને એનો ભોગ બનેલા પ્રત્યેની અનુકપાથી જીવન સ મર્પણ કરતાં અચકાય નહીં; અને એવો પ્રેમ અનુભવ્યો છે કે જે પોતાની સમક્ષ આવી રહેલ વેદના અને મૃત્યુનું સ્વાગત કરતાં પણ ડરે નહીં.’ નિવેદિતાના સન્યાસની પાછળ આ રહસ્ય છુપાયેલું હતું.

    નિવેદિતાએ જે દર્શન મેળવ્યું હતું તે ઘણું મજબૂત હોવા છતાં દીક્ષાના પ્રારંભે તેઓ ક્યારેક ડગી જતાં. એક વાર વિવેકાનંદે તેમને તેમનું વતન કયું એ અંગે પૂછતાં તેમણે “ઇંગ્લૅન્ડ” એવો ઉત્તર આપેલો ને એ દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે પોતાની વફાદારી સૂચવેલી. આ ઉત્તરથી સ્વામીજી શિષ્યાની નિષ્ઠામાં રહેલી કચાશ પારખી ગયા. તે સમયે તો મૌન રહેવું જ તેમણે ઉચિત ધારેલું. અલમોડામાં ગુરુ સાથે નિવેદિતાએ ગાળેલો કેટલોક સમય સંઘર્ષનો બની રહ્યો. નિવેદિતાનું અંગ્રેજ લોહી બીજી પ્રજાની પ્રશંસાથી ઊકળી ઊઠતું. ત્યારે એક વાર નારાજ થઈને વિવેકાનંદે તેમને કહેલું : “ખરેખર તમારા જેવી દેશભક્તિ તો પાપ છે. હું ફક્ત એટલું જ ઇચ્છું કે તમારે એ જોવું જોઈએ કે મોટા ભાગના લોકોનાં કાર્ય સ્વાર્થની અભિવ્યક્તિ કરતાં હોય છે અને તમારે એ વિચારનો સખત વિરોધ કરવો જોઈએ કે એક જાતિ જ ફક્ત દેવદૂતોથી ભરેલી છે. આ પ્રકારનું નિશ્ચિત થયેલું અજ્ઞાન દુષ્ટતા જ છે.’

    વિવેકાનંદના આ કઠોર જણાતા તર્કે નિવેદિતાના અસ્તિત્વને મૂળમાંથી હચમચાવી નાખ્યું. એક બાજુ તેમને ગુરુની કઠોરતા દેખાતી તો બીજી બાજુથી એમાં પોતાની ચીડ ને અવજ્ઞા દાખલ થતાં જણાયાં. તેમના આ દુ:ખી દિવસોમાં ગુરુએ તેમને સહેજ પણ ટેકો ન આપ્યો. વિવેકાનંદે તેમને અગાઉ પગ પર ઊભા રહેવાનું જણાવ્યું તેનો અર્થ આ હતો તે પછીથી નિવેદિતાને સમજાયું. ધીમે ધીમે પોતાની રીતે ને મિત્રોની મદદથી શાંત થયેલાં નિવેદિતાને સમજાયું કે ગુરુનું કામ પોતાની જગાએ પરમાત્માને સ્થાપવાનું છે. એ માટે તેઓ બધા સંબંધોનો નાશ કરવા ઇચ્છે છે – ગુરુશિષ્ય સંબંધનો પણ. તેથી આ પ્રકારની યુક્તિઓ ગુરુને કરવી પડતી હોય છે. આ યુક્તિઓ બહારથી કઠોર લાગવા છતાં આખરે તો સત્ય તરફ દોરી જતી હોય છે એવું સમજાતાં પોતે ચુકવવાની ગુરુદક્ષિણા નિવેદિતા ચૂકવી શક્યાં. પોતે સ્વીકારેલા સંન્‍્યાસની કસોટીમાં આમ, નિવેદિતા પાર ઊતર્યા.

    વિવેકાનંદે જુદી જુદી રીતે, પ્રથમ તો નિવેદિતાનાં આંતરજગતની સફાઈ કરી.  આ કામ પૂરું થયા પછી તેમને સેવાયજ્ઞમાં જોડ્યાં. શિષ્યાનું ધડતર કરવા પાછળ ગુરુએ પૂરો સમય આપ્યો. ગુરુ સાથેનું વૈચારિક અનુસંધાન જોડાયા પછી કલકત્તામાં કન્યાશાળા ખોલવાનો વિચાર ગુરૂને જણાવ્યો. વિવેકાનંદે શિષ્યાને એ માટે શુભેચ્છા પાઠવી. આ સમયગાળામાં કાશ્મીરના મહારાજ બહેનોના મઠની શ્થાપના કરવા માગતા હત અપણ  અંગ્રેજક રસિડેન્ટે તેમને મંજૂરી ન આપતાં એ યોજના અમલમાં મુકાઈ શકી નહિ. આ બનાબે નિવેદિતાના મનમાં અગ્રેજો પ્રત્યે કડવાશનાં બી વાવ્યાં. ગુરુની અંગ્રેજો પ્રત્યેની અરૂચિ હવે તેમને સમજાઇ.

    શાળાનું કાર્ય હાથમાં લેવા માટે નિવેદિતા કલકત્તા આવ્યાં. કલકત્તામાં તેમને નિવાસથી માંડીને અનેક પ્રકારની મુકકેલ્રીઆનો સામનો કરવાનો આવ્યો. તેમણે મા શારદાદેવી સાથે રહેવાનું ગોઠવ્યું જ્યાં એક જ આઠ-દશ સ્ત્રીઓ રહેવાનું, એક જ ચટાઈ પર સુવાનું આવ્યું. ભૌતિક સગવડનું કોઇ સાધન ન મળે. પ્રભાતે ઊઠવાનું. સ્નાન, સંધ્યા, પૃજા, ઘાર્મિક પુસ્તકોનું પારાયણ કરવાનું. આ બધું કરેવાની તેમણે સ્વેચ્છાએ તાલીમ લીધી. ઘોળી ચામડીને તેમણે થોડું વેઠવાનું આવ્યું. તેમની કામવાળી ચુસ્ત સનાતની. શરૂ આતમાં તેનો વ્યવહાર ખૂબ અતડો રહ્યો, પશ નિવેદિતાના પ્રેમથી તે જિતાઈ ગઈ.

    ઈ.સ. ૧૮૯૮ની ચૌદમી નવેમ્બરે નિવેદિતાએ શરૂ કરવા ઘારેલી શાળા શારદાદેવીને હસ્તે ખુલ્લી મુકાઈ. આ શાળામાં લેખન, વાચન ઉપરાંત સૌવણ, ચિત્રકામ, માટીકામ જેવા જીવનોપયોગી વિષયો પણ શીખવવામાં આવતા .

    પોતાની શાળાને સારી રીતે ચલાવવા માટે નિવેદિતાને ધનની આવશ્યક્તા જણાતાં ઈ.સ. ૧૮૯૯માં સ્વામીજીની સાથે તેમશે લંડન ભણી પ્રયાણ કર્યુ. ગુરુની સહોપસ્થિતિથી આ સમુદ્રયત્રા તેમને માટે તીર્થયાત્રા બની રટી. આ સમયે ગુરુએ તેમની સાથે કરેલા વાર્તાલાપો લિપિબદ્ધ કરીને નિવેદિતાએ ભારતની બહુ મોટી સેવા કરી. લંડનથી અમેરિકા ગયેલાં નિવેદિતાએ ન્યૂયૉર્ક, શિકાગો, ડેટ્રોઈટ, બોસ્ટન જેવી જગ્યાઓએ વ્યાખ્યાનો આપીને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. ન્યૂયોર્ડમાં “રામકૃષ્ણ સહાયતા સમિતિ’ની સ્થાપના કરી. આ પ્રયત્નોમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ વિવેકાનંદનું માર્ગદર્શન તેમને હંમેશાં સાથ ને હૂંફ આપતું રહયું. અમેરિકાથી ફ્રાન્સ, ફરી લંડન, માન્ચેસ્ટર જઈને તેમશે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો.

    નિવેદિતાને ભારત માટે વાયુવેગે કામ કરતાં જોઈને લંડનના એક સંવાદદાતાએ તેમના વિશે લખ્યું : “ભારતના પક્ષમાં એક ઉત્સાહી પ્રવકતાનો આવિર્ભાવ થયો છે – જેવો પ્રાચીન કાળમાં સમર્થકોનો થતો હતો. ભારતની આ સમર્થક વ્યક્તિ કોઈ દૂર દેશમાંથી નહીં, અપરિચિત લોકોમાંથી પણ નહીં કે પુડુષવર્ગમાંથી પણ પ્રગટી નથી.  આ સમર્થક એક મહિલા છે, જેનો સંબંધ ભારત પર શાસન કરનારી જાતિથી છે. અસાધારણ યોગ્યતાસંપત્ન આ સ્ત્રીએ ભારતની સ્ત્રીઓ માટે પોતાને સમર્પિત મતા સંકલ્પ કર્યો છે. આ મહિલાનું નામ માર્ગરેટ નોબલ છે. એ સ્ત્રી ભારતમાં માત્ર અઢાર જ મહિના રહી હોવા છતાં ભારતમાં રહેતા લોકો કરતાં પણ ભારતના યથાર્થ જીવન વિશે વધારે જ્ઞાન ધરાવે છે.’

    સ્વાભાવિક રીતે જ, અંગ્રેજ પ્રજા નિવેદિતાથી નારાજ હતી. જે દેશ પર પોતે શાસન કરે છે તે જ દેશની પ્રજા માટે પોતાની જ એક વ્યક્તિ સમર્પિત થઈને તેને પ્રશંસે એ વાત અંગ્રેજોને પસંદ નહોતી. પણ નિવેદિતાએ તો પોતાને જે લાગ્યું ને સમજાયું તેને અનુસરવાનું જ પસંદ કર્યું.

    ઈ.સ. ૧૯૦૨માં ભારત આવેલાં નિવેદિતાને બીજી વારનું ભારત તો માતૃભૂમિ જ ભાસ્યું. કલકત્તાની બોસપાડા લેનમાં સત્તર નંબરના મકાનમાં તેઓ ભાડે રહ્યાં. આ સમયે સ્વામીજીનાં બીજાં શિષ્યા કિસ્ટીન ગ્રીનસ્ટિડેલ પણ નિવેદિતાની મદદ અર્થે ત્યાં આવી પહોંચ્યાં. આ બંનેએ પોતાના ઘરને “બહેનોનું ઘર” એવું નામ આપ્યું. આ ઘરમાં જીવનના અંત સુધી નિવેદિતા રહ્યાં.

    કલકત્તામાં સ્થાયી થયા પછી નિવેદિતાને ફરીથી શાળા શરૂ કરવાનો વિચાર આવતાં તેમણે વારાણસી રહેતા વિવેકાનંદની પત્રથી સલાહ માગી. ત્યારે પણ સ્વામીજીએ તેમને કોઈ આદેશ ન કર્યો. આપી માત્ર શુભેચ્છા. નિવેદિતા જે ઇચ્છતાં હતાં તે કાર્ય કરવાની ઈશ્વર તેમને શક્તિ આપે ને સાથોસાથ અપરિચિત શાંતિ પણ તેને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના વિવેકાનંદે કરી. આ શાળામાં બાલિકાઓ ને પછી તો મોટી ઉંમરની સ્ત્રીઓ પણ શિક્ષણ અર્થે આવવા લાગી. ‘રામકૃષ્ણ બાલિકા વિઘાલય’ તરીકે ચાલતી આ શાળા ઓળખાઈ તો નિવેદિતાને નામે જ.

    ઈ.સ. ૧૮૯૮થી ૧૯૦૨ – આ ચાર જ વર્ષના ગાળા દરમિયાન નિવેદિતા એમના મહિમાવંત ગુરુનું સાન્નિધ્ય ભોગવી શક્યાં. આ ચાર વર્ષમાં તેમણે જીવનની ચડતી-પડતી પણ પુષ્કળ પ્રમાણમાં જોઈ. પોતાની જાતમાં પણ પરિવર્તનનો પવન ફુંકાયો તેમાં ક્યારેક જીવનનોકા તોફાને પણ ચઢી ને તેને સુકાન પણ સાંપડ્યું. આ સૌ ઘટનાઓને પોતાનાં સમર્પણથી નિવેદિતા તરી ગયાં. તેમણે પોતાના ગુરુને જે દક્ષિણા ચૂકવી તે અહમૂ, દેશપ્રેમના નિવેદનની હતી. આ નિવેદન એટલું તો સંપૂર્ણ હતું કે વિવેકાનંદ જેવા મહાન ગુરુએ તેમને પોતાના જીવનના અંત સમયે જે આપ્યુ તે જગતનાં કોઈ પણ મહાન શિષ્યત્વને ભાગ્યે જ સાંપડયું હોય તેવું મહાન અર્પણ હતું.

    ૧૯૦૨ના જૂનની ૨૮મીએ વિવેકાનંદ સાથે નિવેદિતાની અંતિમ મુલાકાત થઈ. તે દિવસે સ્વામીજીએ નિવેદિતાને ભોજન પીરસ્યું. જમ્યા પછી પોતે જ નિવેદિતાને હાથ ધોવડાવ્યા ને નેપકીનથી લૂછ્યા. આ બધું જોઈને સંકોચાયેલાં નિવેદિતાએ ગરૂને કહં કે આ તો મારે કરવાનું હોય,તમારે નહી, પણ વિવેકાનંદનો જે ઉત્તર હતો તે જગતનાં સર્વ શિષ્યત્વને અર્ધ્યરૂપ્બને  તેવો હતો.  તમણે કહ્યુંઃ “ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા હતા.’ ગુરુએ શિષ્ય બનીને જીવનના અંતે શિષ્યને કરેલુ ગુરુનું આ પ્રદાન આધ્યાત્મિક જગતની સાથી મોટી ઘટના તરીકે ગણી શકાય તેવું છે. નિવેદિતાએ જો ગુરુ સમક્ષ પાતાના અહમનુ નિવેદન કર્યુ તો બદલામાં ગુરુએ ગુરેત્વનું જ વિસર્જન કરીને નિવેદિતાનાં સમર્પણની પૂરી કિંમત ચૂકવી આપી. આ ક્ષણ બંનેનાં અદ્વૈતની હતી. સાથોસાથ ગુરુએ કરેલાં મૃત્યુના સંકેતની પણ હતી કેમ કે ઈસુએ પણ છેલ્લા દિવસે શિષ્યોના પગ ધોયા હતા.

    નિવેદિતાને આ સન્‍માન આપવા પાછળ એક બાજુથી ગુરુની સમજ રહેલી હતી તો બીજી બાજુ નિવેદિતાનો ગુરુ પ્રત્યેનો ભાવ કારણભૂત હતો. પોતાના મર્દ ગુરુને નિવેદિતા સાચી રીતે પારખી શક્યાં હતાં. એક વાર સ્વામીજીએ તેમને કઢેલું, “મારું જીવનકાર્ય રામકૃષ્ણનું, કે વેદાન્તનું કે કોઈનું પણ નથી. ફક્ત મારા લોકોમાં મર્દાનગી લાવવાનું છે.’ નિવેદિતાએ ઉત્તરમાં ગુરુને મદદ કરવા ઇચ્છ્યું હતું. આથી જ ગુરુનાં નિર્વાણે નિવેદિતાને વેદનાથી ભરી દીધાં છતાં આંસુ સારીને બેસી રહેવામાં મર્દ ગુરુની મર્દ શિષ્યાએ નામર્દાઈ માની. આથી જ એક પત્રમાં તેમણે લખ્યું : “સ્વામીજીના કાર્ય માટે મને બળ, વિશ્વાસ અને જ્ઞાન મળે તે માટે તું પ્રાર્થના કરજે. અત્યારના સંજોગોમાં મને એ જ મોટામાં મોટા આશીર્વાદ છે… તેઓ હંમેશાં આપણી સાથે જ છે. હું તો બેસીને રડી પણ શકતી નથી. બસ, ફક્ત કાર્ય કરવા જ ઇચ્છું છું.’

    ગુરુનું કાર્ય ચાલુ રાખવાની ધૂન નિવેદિતા પર એવી તો સવાર થઈ ગઈ કે તેમણે રાષ્ટ્રીય ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું. આ માટે રામકૃષ્ણ મઠનું સભ્યપદ છોડવું પડે તેમ હતું કારણ કે મઠ એક ધાર્મિક સંગઠન હતું. આથી જે મઠમાં શિષ્યા થઈને આવ્યાં તેને છોડતાં પણ તેઓ ખચકાયાં નહિ. સ્વામી બ્રહ્માનંદને પત્ર લખીને પોતાની મઠ તરફની નિષ્ઠા ને વફાદારી જીવનભર ચાલુ રાખવાનો કોલ આપીને બદલાયેલ પરિસ્થિતિના સંદર્ભમાં પોતે સ્થૂળ દષ્ટિએ મઠથી છૂટાં પડવાનું જણાવ્યું. નિવેદિતાનું આ સૌથી મોટું ક્રાન્તિકારી પગલું હતું જે કોઈના માર્ગદર્શન વિના ભરાયેલું હોઈને તેની કિંમત વધી જતી હતી. તેમનું આયરીશ ખમીર ને ગુરુભક્તિ આ ક્ષણે સમન્વિત થયાં. તેમનો વ્યાપ આ ક્ષણે ફેલાયો. હવે તેઓ માત્ર મઠનાં ન રહ્યાં, સમગ્ર ભારતમાં બની રહ્યાં – જેને સ્વામીજી ‘આપણા લોકો’ કહેતા હતા એ ભારતનાં, લોકોનાં ભગિની. અગાઉ તેઓ ‘રામકૃષ્ણ સંઘનાં નિવેદિતા’ તરીકે સહી કરતાં. હવે તેમની સહી આ મુજબ લખાતી : ‘રામકૃષ્ણ વિવેકાનંદની નિવેદિતા.’ .

    રાષ્ટીય ચળવળમાં જોડાયા પછી નિવેદિતાએ ભારતભરમાં જનજાગૃતિ વિશે વ્યાખ્યાનો આપ્યાં. અંગ્રેજ સરકારની નીતિ રીતિ સામે તેઓ રીતસર રણે ચડ્યાં તે સમયના યુવાનોની સાથે જાણીતા દેશનેતાઓ તેમને ઘેર જતા. ગુરુના નિવાસસ્થાન ભારતને નિવેદિતાએ એક વિરાટ ચેતન અતરીકે ભાળ્યું. ભારતીયોને ભારતનો પરિચય કરાવતાં તેમણે જણાવ્યુ : ભારતીય કહેવડાવવું એ ધાર્મિક વિચાર મનાય છે. પરંતુ એ કોઈ સંપ્રદાય નથી કે કોઈ સામાજિક વિચાર પણ નથી કે જે જાતિ કે જૂથની સંપત્તિ હોય. એ તો છે એતિહાસિક ઉત્ક્રાન્તિ જેમાં બધા એક છે. આ એવી વસ્તુ છે કે જે બધામાં છે. અને તે માત્ર ભારત કહેવાય છે.  ૧૮૯૮થી ભારતીય ચેતનામાં ઓગળતી આ મહાન ગુરુની મહાન શિષ્યાને જ આમ કહેવાનો અધિકાર હતો.

    ૧૯૦૭માં તેમણે ફરી પશ્ચિમની યાત્રા કરી. ૧૯૦૯માં પાછાં ફર્યા રવીન્દ્રનાથ, જગદીશચંદ્ર બોઝ, મહર્ષિ અરવિંદ જેવાં સમર્થ વ્યક્તિત્વોની સાથે નિવેદિતા સંકળાયેલાં એટલું જ નહિં પણ તેમનો આદર પણ પામ્યાં. રવીન્દ્રનાથ જ્યારે નિવેદિતા સમક્ષ પોતાની પાશ્ચાત્ય ઢંગથી કેળવણી આપવા નિવેદન કર્યું ત્યારે ટાગોર જેવાં સમર્થ વ્યક્તિત્વને નન્નો સુણાવતાં નિવેદિતાએ સ્પષ્ટ જણાવ્યું તેમ ભારતમાં રહેતા દરેક ભારતીયોની ભારતના સિદ્ધાંતો પ્રમાણે જ કેળવણી લેવી જોઈએ. આ હતો તેમના નિવેદનનો નિષ્કર્ષ.

    ભારતની દરેક વિષમ પરિસ્થિતિમાં તેમણે લોકોની પડખે ઊભાં રહીને સેવાકાર્ય કર્યું. નવેમ્બર ૧૯૧૦માં તેઓ ફરી અમેરિકા ગયાં. ૧૯૧૧ના એપ્રિલમાં ફરી ભારત આવ્યાં. ૧૯૧૧ના ઓક્ટોબરમાં તેમણે દાર્જિલિંગ જવાનો કાર્યક્રમ કર્યો. કલકત્તા છોડવાના દિવસો જેમ જુમ નજીક આવતા ગયા તેમ તેમ નિવેદિતાને પોતાનો અંત નજીક આવતો જણાયો. કલકત્તાની વિદાય લેવાની સાથોસાથ તેમણે મા શારદાદેવીની, સંઘના વરિષ્ઠ સંન્‍્યાસીઓની, રામકૃષ્ણદેવનાં ભક્ત જોગીન માની – સૌની વિદાય લેતાં જોગીન માને કહ્યું : “મને લાગે છે કે હું હવે પાછી નહીં આવું. સાતમી ઓક્ટોબરે નિવેદિતાએ પોતાનો અંતિમ ઇચ્છાપત્ર લખીને પોતાની બધી જ વસ્તુઓ બેલૂર-મઠના સંસ્થાપકોને આપી. જેનો ઉપયોગ તેમની પાઠશાળાની સ્ત્રીઓ અને રાષ્ટ્રના શિક્ષણ માટે કરવા તેમણે જણાવ્યં હતું.

    દાર્જિલીંગના હિમાચ્છાદિત વાતાવરણમાં સૂર્યનાં દર્શન પણ દુર્લભ રહેતાં. પણ કુદરતી રીતે તેર ઓક્ટોબરની સવારે અચાનક સૂર્યનારાયણને પ્રગટ થયેલા જોઈને જોઈને પ્રફુલ્લ ચિત્તે નિવેદિતાએ જણાવ્યું : ‘આ પુરાણી નાવ ડૂબી રહી છે તો પણ હું સૂર્યનાં દર્શન કરીશ.’ આટલું કહેતાં નિવેદિતા મૃતયુદેવને સમર્પિત થયા>

    ચુમ્માળીસ વર્ષની જીવનયાત્રામાં ૩૧ વર્ષ પોતાના દેશમાં ને માત્ર તેર વર્ષ ભારતમાં રહીને નિવેદિતાએ પોતાની આયુષ્યયાત્રાને સાર્થક કરી. પોતે શોધવા ઇચ્છેલી દિશા શોધીને, જે શોધ્યું તેને વફાદાર રહીને દિશાની શોધ તેઓ કરી શક્યાં તેના મૂળમાં માત્ર તેમની અભીપ્સા જ નહોતી, તેમનું સ્વાગતશીલ ચેતનાતંત્ર પણ હતું. ભારતના મહાન રાષ્ટ્રીય નેતા શ્રી બિપિનચંદ્ર પાલે નિવેદિતાના આ ગૃણને પારખીને તેમનું યથાર્થ મૂલ્યાંકન કરતાં નોંધ્યું છે : નિવેદિતા આપણી સમક્ષ એ રીતે આવ્યાં, જે રીતે અત્યાર સુધી કોઈ યુરોપવાસી આવેલ નથી. તેઓ સર્વજ્ઞ તરીકે ન આવ્યાં, પણ એવી વ્યક્તિના રૂપમાં આવ્યાં જેમણે શીખવાનો આરંભ કર્યા હતો. એક શિક્ષક તરીકે નહિ પણ વિદ્યાર્થી તરીકે તેમણે પ્રવેશ કર્યો. તેમણે પોતાને કોઈ ધર્મગુરુ કે ઉપાસ્ય તરીકે વ્યક્ત ન કર્યા, પણ હંમેશાં એક ઉપાસક તરીકે તેઓ નિષ્કપટ સ્નેહઅને શ્રદ્ધાથી આપણી વચ્ચે રહ્યાં.’

    દિશાની ખોજની અભીપ્સા નિવેદિતાને જાગવી, વિવેકાનંદ સાથે તેમનું જોડા થવું ને દિશાની પ્રાપ્તિ થવી એ નિવેદિતાનું, વિવેકાનંદનું ને સમગ્ર ભારતનું મહાન નસીબ બની રહ્યું. વિવેકાનંદે આ મહાન શિષ્યાને તેના આગમન સમયે એક રત્ન તરીકે ઓળખાવેલાં જેનું જીવનભર નિર્વહણ કરીને નિવેદિતાએ ગુરુને આપેલો અર્ધ્ય માનવજાતનાં સમગ્ર શિષ્યત્વનો પરિચાયક બની રહ્યો.


    [1] * આ મહિલાઓ તે શ્રી માતાજી અને મેડેલીન સ્લેડ, જેમના વિશે પછીનાં પ્રકરણોમાં ચર્ચા કરી છે.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સંસ્પર્શ- ૨૨

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    તમારે નદી,પહાડો,સાગનાં વૃક્ષો,જંગલો ,અરે! સમગ્ર પ્રકૃતિ સાથે વાતો કરતાં શીખવું છે? તેમની મૌન ભાષાને સમજી તેના પ્રેમરસને આંખોથી પીવો છે? સર્જનહારે સર્જેલ જડ ચેતન,પશુ-પંખી સમગ્ર કાયનાત સાથે મોજ માણતાં જીવતાં શીખવું હોય, સૃષ્ટિનાં સર્જેલ દરેક ગરીબ,ભણેલા ,અભણ,જંગલમાં રહેતા આદિવાસી,સાધુ, ફકીર,ભૂત ભૂવા દરેકની સંવેદનાને તેના હૃદય પર કાન ધરી સાંભળવી હોય, આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને શ્વસીને તેની હૂંફને માણવી હોય તો ધ્રુવદાદાની ‘તત્વમસિ’ નવલકથા જરૂર વાંચવી રહી. જો જીવનરસને મનભરી પી તેમાં મસ્ત થવું હોય, જીવનની સચ્ચાઈને જાણવી અને માણવી હોય તો આ નવલકથા વાંચો.

    આપણે અનેક નવલકથા વાંચતાં હોઈએ છીએ. લેખક તેની કલ્પનાનાં દ્વાર ખોલીને આપણને કલ્પનાઓમાં જ ક્યાંય આકાશમાં ઉડાડે છે અને પછી નવલકથા પતે એટલે નીચે લાવી મૂકે છે. તેમાં બધું જ કાલ્પનિક. અહીં આ નવલકથામાં દાદાએ આપણને જીવનની નકરી વાસ્તવિકતા,સકળ બ્રહ્માંડ સાથેની આપણી એકરુપતા ,તેમજ દુન્યવી સત્ય,કરુણા અને પ્રેમનાં દર્શન સહજતાથી કરાવ્યાં છે.

    ભૌતિક સુખ,પ્લાસ્ટિકની દુનિયા અને આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં શું ફરક છે? તે ઊંડાણપૂર્વક સરળતાથી આ નવલકથા દ્વારા સમજાવ્યું છે.

    પરદેશમાં લાંબાં સમયથી રહેલ અને અનેક સગવડો વચ્ચે રહેલ વ્યક્તિ પણ જ્યારે ભારતીય પરંપરા, સંસ્કૃતિને જાણે છે અને સામાન્ય માનવીઓનાં હૃયમાં રહેલી સંવેદનાને સંવેદે છે ત્યારે તેનાથી અભિભૂત થયા વગર રહી શકતો નથી. તેની ડાયરીનાં એક એક પાનાં પર તેણે અનુભવેલી એક એક લાગણીની ટશરોની ભીનાશ પથરાયેલી અનુભવાય છે. નવલકથા વાંચીને તે ભીનાશમાં પલળવાની વાચકને પણ મજા પડે છે. આપણી સંસ્કૃતિ આપણી પરંપંરાને જાણી તેની અહલેકની પહેચાન થતાં તેની સાથે જીવનને માણી તેનો અનોખો આનંદ અનુભવે છે.આ આખી વાત તે પોતાનાં શબ્દોમાં ડાયરીમાં ઉતારે છે.

    વિદેશથી પોતે કમને આવેલ પણ ધીરેધીરે વતનની માટીની સુગંધ,પ્રકૃતિની ગોદ,જંગલની હરિયાળી, નર્મદા કિનારો,નર્મદાનાં પરિક્રમા કરવાવાળા,તેમની માન્યતાઓ,નર્મદા તટવાસીઓ, અભણ ,અત્યંત ગરીબાઈમાં પણ ખુશ રહીને જીવતાં આદિવાસીઓ વગેરે કેવી રીતે એક પરદેશીને ,આકર્ષી પોતાનો બનાવી દે છે તે વાતની ખૂબ સુંદર શબ્દ ગૂંથણી કરી ધ્રુવદાદાએ નવલકથાનું સર્જન કર્યું છે. એટલે જ આ નવલકથા સાહિત્ય પરિષદ અને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા હકદાર બની છે. તેના ઉપરથી બનેલ ફિલ્મ ‘રેવા’ ને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે કારણ વાર્તાની પટકથા જ એટલી મજબૂત અને ભારતીય મૂળ સાથે જોડાએલી છે કે પ્રેક્ષક અને વાચકનાં હૃદયને તેની સંવેદના સ્પર્શી જાય છે. વાચકનાં હૃદયને ,પરંપરાને સંસ્કૃતિનાં મૂળિયા હચમચાવી મૂકે છે અને ભારતીયતાની સમગ્ર ઓળખ બહારથી અને ભીતર સુધી કરાવે છે.

    તત્વમસિ – તત્+ત્વમ્+ અસિ = તે તું જ છે. છાંદોગ્ય ઉપનિષદનાં ચાર મૂળ સિદ્ધાંતોમાંનો એક ‘ તે તું જ છે’ને સુપેરે રજૂ કરતી નવલકથા એટલે તત્વમસિ. નર્મદાને અને આપણી પવિત્ર નદીઓ પાસેથી આપણે શું પામીએ છીએ અને તેને આપણી સંસ્કૃતિ માતા તરીકે કેમ ઓળખાવે છે તેની વાત કરીશું આવતા અંકે.

    આજે ચાલો જોઈએ એવું જ. કુદરત પાસે લઈ જતું અને આપણને જગાડતું જ નહીં, આત્માને ઢંઢોળતું ધ્રુવગીત,

    ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ ક્યાંક વાગે છે ઢોલ ,ચાલ જાગીએ.
    આઘેના ડુંગરમાં બોલે છે મોર એનો ઝીણો કલશોર,ચાલ જાગીએ.

    ઝરમરતી વાદળીના ઝીણા વરસાદ ભીનો ચંદરવો ગોળ ,ચાલ જાગીએ.
    ઝીલી લે ઝીલી લે વરસ્યાં આકાશ એમાં સપનાંઓ બોળ,ચાલ જાગીએ.

    ઝીણેરી જાત એના ઝીણેરા ઓરતામાં રાચે છે કોક ,ચાલ જાગીએ.
    ઝીણેરી ઝાંઝરીના ઝીણા રણકાર એમાં પગનો હિલ્લોળ ,ચાલ જાગીએ.

    ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની આંખો હિંડોળ ,ચાલ જાગીએ.
    ઝીણી ઘોડી ને એનો ઝીની અસવાર કહે દરવાજા ખોલ,ચાલ જાગીએ.

    ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યો આખોયે ચોક,ચાલ જાગીએ.
    ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ બધી ધારણાઓ ફોક,ચાલ જાગીએ.

    આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર હવે પડછાયા છોડ,ચાલ જાગીએ.
    ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર એમાં દર્પણને તોડ ,ચાલ જાગીએ.

    કેટલું અદ્ભુત ગીત લખ્યું છે !દાદાએ.કુદરત સાથે રહેતા અને સમગ્રતાથી તેને માણતા દાદા આપણને પણ ઊગતા પહોરે ક્યાંક વાગતા અનહદનાં ઝીણા નાદને કાન માંડીને સાંભળવા ,જાગી જવાનું કહે છે.દૂર દૂર ડુંગરમાં બોલતાં મોરના ટહુકા અને ઝીણા કલશોરનો આનંદ લેવા દાદા આપણને જગાડે છે. ઝીણાં વરસાદનાં વરસતાં ચંદરવાને ઝીલીને એ વરસતાં આકાશમાં આપણા સપનાંઓને ઝબોળવાનું સૂચવે છે.અહો! કેટલી સુંદર કલ્પના! આવી વરસાદી રાતે એક ઝીણો અસવાર ઝીણી ઘોડી લઈને આપણા દ્વાર ખખડાવે છે ત્યારે આ ઝરમરતી રાતમાં ઉજાગરો કરજે ,નશીલી રાતમાં ઊંઘી ન જતો. આમ કહી દાદા બારણે આવીને દ્વાર ખખડાવતા એ પરમનાં અનાહત નાદને સાંભળવા આપણને જાગતાં રહેવાની સલાહ આપેછે. ફૂલ છે તો ફોરમ છે અને રંગ,રૂપનાં લોજીકમાં કે માથાકૂટમાં પડ્યા વગર તે ધારણાઓને તોડીને, અતૂટ શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ સાથે ઝીણેરાં ઝાડમાંથી વેરાએલ પુષ્પોથી આચ્છાદિત ચોકની સુગંધ માણવા ,જાગવાનું દાદા કહે છે. અંધકારનાં પડછાયા છોડી, વીજળીનાં ઝબકારે ,પાનબાઈની જેમ મોતીડાં પરોવવાનું સૂચન દાદા કરી આપણને ભવાટવીની નીંદરમાંથી જાગી સત્યને પામવા જાગતા રહેવાનું સૂચવે છે.

    આ ધ્રુવગીત જેવી વાતો દાદાએ એમની નવલકથામાં તેમનાં પાત્રો અને પ્રકૃતિ દ્વારા આપણને સૂચવી છે. એના માટે સૌએ તેમની નવલકથા જ વાંચવી રહી.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ડો.આંબેડકરની અધૂરી આત્મકથા અને આત્મકથનાત્મક લખાણો

    નિસબત

    ચંદુ મહેરિયા

    સાંભળ્યું છે કે ગાંધીજીની દિનવારીની જેમ મરાઠીમાં કોઈ સંશોધક ડો.બાબાસાહેબ આંબેડકરના દીર્ઘ જાહેરજીવન પૈકીના સીમિત સમયગાળાની દિનવારી તૈયાર કરી રહ્યા છે. અગાઉ બાબાસાહેબની દિનચર્યાની પુસ્તિકા પ્રગટ થઈ હતી.

    ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ડો.આંબેડકરના ઘણાં સમકાલીનોએ તેમની આત્મકથાઓ લખી છે. ડો.આંબેડકરને પણ લખવી હતી. પરંતુ તેમની સામે ઉકેલ માંગતો દલિતોની બરાબરીના હકનો સવાલ, બંધારણના ઘડતરનું ગંજાવર કામ, ગાંધીજી અને કોંગ્રેસ સામેનો અવિરત સંઘર્ષ અને આજાર શરીરે એમ થવા દીધું નહીં હોય. જોકે તેમણે ‘ વેઈટિંગ ફોર વિસા’ નામક અધૂરી આત્મકથા જરૂર લખી છે. ડો. આંબેડકરના અક્ષરદેહમાં તે સામેલ છે અને ભારતની ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગુજરાતીમાં તો તેના એકાધિક અનુવાદો ( ઉર્વીશ કોઠારી, ડો.ગણપત વણકર, ડો.મિતાલી સમોવા અને મિતેષ પરમાર) જોવા મળે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    બાબાસાહેબની પૂરા કદની આત્મકથાની ખોટ પૂરી કરવા તેમના અભ્યાસુઓ પ્રયત્નશીલ હતા. મહારાષ્ટ્રના આંબેડકરી કર્મશીલ જ.ગો.સંતે આંબેડકરના વિપુલ સાહિત્યભંડારમાંથી આત્મકથનાત્મક લખાણો-ભાષણો તારવીને આત્મકથા તૈયાર કરી છે. હવે તે ગુજરાતી સહિત ઘણી ભાષાઓમાં અનૂદિત થઈ પ્રકાશિત થઈ છે.

    વિદેશીઓને ભારતમાં જડ ઘાલી ગયેલી આભડછેટનો પરિચય થાય તેવા આશયથી  કથિત અસ્પૃશ્યો સાથેના વ્યવહારના અંગત-બિનઅંગત છ પ્રસંગો બાબાસાહેબે તેમના લખવા ધારેલા આત્મકથનના આરંભના પ્રકરણ ‘ વેઈટિગ ફોર વિસા’ માં વર્ણવ્યા છે. સયાજીરાવ ગાયકવાડની આર્થિક મદદથી વિદેશ અભ્યાસ કરી વડોદરા રાજ્યમાં નોકરી કરવા આવેલા ડો.આંબેડકરને વડોદરામાં રહેવા ઘર  ન મળ્યું અને જાકારો મળ્યો તેનું હ્ર્દયદાવક વર્ણન અહીં વાંચવા મળે છે. દલિત અધિકારો માટેની તેમની નિસબત વ્યક્ત કરતાં તેમણે લખ્યું છે કે મુંબઈની પોઈબાવાડી ચોકી પાસે ૪૮ અને ૫૦ નંબરની ખોલીમાં મેં કણકી અને રોટલા પર દહાડા ટૂંકા કર્યા છે. પિતાની છાંયડામાં થાય તેવું કામ કરવાની શિખામણ અવગણીને સમાજ સેવાનો કઠિન માર્ગ અપનાવ્યો છે.

    બાબાસાહેબના આત્મકથનાત્મક લખાણો પરથી તૈયાર થયેલી આ  આત્મકથામાં જીવનના અનેક પ્રસંગો અને વિચારો નિરૂપાયા છે. ગુજરાતીમાં મૂળજીભાઈ ખુમાણ અનૂદિત અને નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત ” મારી  આત્મકથા” ૫૬ પ્રકરણોમાં વહેંચાયેલી છે. મરાઠી દૈનિક ‘લોકમત’ ના સંપાદક મ.ય.દળવીએ આવકારમાં તેને સહ્રદયી વાચકોની આંખો ભીની કરે તેવું લાક્ષણિક, આગવું અને અનોખું ચરિત્ર ગણાવ્યું છે.

    આત્મકથામાં ડો.આંબેડકરના બાળપણ, શિક્ષણ, આભડછેટના અનુભવો, વિદેશમાં અભ્યાસ, દલિતોની સ્થિતિ, દલિત મુક્તિ આંદોલનો- સત્યાગ્રહો, ગોળમેજી પરિષદ, પૂનાકરાર, કામદાર પ્રધાન, કાયદા મંત્રી, બંધારણના ઘડતરમાં યોગદાન, ધર્મપરિવર્તન અને બૌધ્ધ ધર્મ જેવા જીવન પ્રસંગો આલેખાયા છે. બાબાસાહેબના જીવનના ખૂબ ઓછા જાણીતા પાસાં આ આત્મકથામાં જાણવા મળે છે.  બાળક પાસે માતા-પિતા તેના જન્મથી જ કેટલીક અપેક્ષાઓ રાખતા થઈ જાય છે. બાળ ભીમરાવ માટે પણ એવું જ હતું. તેમના  માટે ‘ આ છોકરો જીવનમાં કશું ઉકાળી શકશે નહીં’  અને ‘ અપશુકનિયાળ’ ની છાપ હતી.તો મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોઈ તે કુળ તારણહાર નિપજશે તેવી પણ આશા હતી. આ બંને છેડાની આશા-અપેક્ષા અહીં વ્યક્ત થઈ છે.

    ડો.આંબેડકર  ૧૯૨૩ થી ૧૯૩૬ સુધી કોલેજમાં પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ હતા. અધ્યાપક આંબેડકર કેવા પરીક્ષક હતા તેનું રસપ્રદ બયાન તેમણે કર્યું છે. જે ઉત્તરવહીઓ તે તપાસતા તેમાં અડધા માર્ક્સ જવાબના નિષ્કર્ષના અને અડધા તેની રીતના આપતા હતા. તે કોઈ વિધ્યાર્થીને નાપાસ નહોતા કરતા તેમ વધારે પડતા માર્ક્સ પણ નહોતા આપતા. મુંબઈ યુનિવર્સિટીમાં તેઓ એકઝામિનર છે તે જાણીને કોઈ દલિત વિધ્યાર્થીના વાલી તેમની પાસે ભલામણ માટે આવ્યા ત્યારે તેમણે તેમને ઝાટકી નાંખ્યા હતા.

    રાજકીય નેતાઓ સામે તેઓ પોતાની જ્ઞાતિનું હિત પહેલા જુએ છે તેવા આરોપ આજે પણ લાગે છે. બાબાસાહેબ પણ તેમાંથી મુક્ત રહી શક્યા નથી. વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિસિલના લેબર મિનિસ્ટર આંબેડકર સામે તેઓ મહારોનું બહુ ખેંચે છે તેઓ આરોપ લાગ્યો હતો બાબાસાહેબે તેમના કાર્યકાળમાં થયેલી ભરતીમાં કેટલા મહારો છે અને કેટલા દલિતોની અન્ય પેટાજ્ઞાતિના છે તેના આંકડા જાહેર કરવા પડ્યા હતા.

    પ્રથમ પત્ની રમાબાઈના દેહાંત પછી તેઓ બીજું લગ્ન કરવાનો કોઈ ઈરાદો ધરાવતા નહોતા.નબળી તબિયતે તેમના એ નિર્ધારને ડગાવ્યો હતો. એ સમયની મન:સ્થિતિ તેમણે આત્મકથનાત્મક લખાણોમાં વર્ણવી છે. “મારું જીવન એટલું બધું એકાકી બની ગયું છે કે તેના કારણે (કથિત) અસ્પૃશ્ય પુરુષો અને (કથિત) સ્પૃશ્ય હિંદુ સ્ત્રીઓ સાથે મારો જરાય સંબંધ નથી” એમ જાહેર કરનાર બાબાસાહેબે તેમની દેખભાળ કરનાર ડોકટરના સહાયક સવિતા આંબેડકર સાથે બીજા લગ્ન કર્યા હતા. માઈસાહેબ તરીકે જાણીતા થયેલા સવિતા આંબેડકરે પણ બાબાસાહેબના જીવનમાં તેમની ભૂમિકાને યશોધરાની ગણાવી સુપેરે નિભાવી હતી.

    બંધારણના ઘડવૈયા બાબાસાહેબ માટે રાજકીય લોકશાહી જેટલું કે તેના કરતાં વધુ મહત્વ સામાજિક લોકશાહીનું હતું. રાજકીય લોકતંત્રને સામાજિક લોકતંત્રમાં પરિવર્તિત કરવા  ઝઝૂમવું પડશે તેમ તેઓ વારંવાર કહેતા હતા. તેમના મતે સામાજિક લોકશાહી એટલે સ્વતંત્રતા , સમાનતા અને  બંધુતાને પ્રત્યેક ભારતીય નાગરિકના જીવનનો ભાગ બનાવવો.

    આત્મકથાના નાયક આંબેડકર સ્વીકારે છે કે તેઓ સ્વભાવે જિદ્દી છે અને ક્રોધી છે. જોકે તેઓ તેમના ક્રોધને માના ક્રોધ જેવો પ્રેમમૂલક ગણાવે છે. તેઓ અઠંગ વાચક હતા તે વાત જગજાહેર છે. જીવનનો મોટો ભાગ તેમણે પુસ્તકો સાથે ગાળ્યો છે. તેને કારણે પત્ની અને બાળકોનું ધ્યાન રાખવામાં બેપરવા હોવાની ફરિયાદ કુટુંબની જ નહીં નજીકના મિત્રોની પણ હતી. જોકે બાબાસાહેબ ‘ વાચનમાં સમય પસાર કરીને એકાકી જીવન જીવવું એ મારો સ્વભાવ છે’  તેવો બચાવ કરે છે.

    જ.ગો.સંતે તૈયાર કરેલી બાબાસાહેબની આત્મકથા જેમ તેમની આત્મચરિત્રની  ખોટ પૂરે છે તેનું આશ્વાસન છે તેમ તેની અનેક ઉણપોનું દુ:ખ પણ છે. બાબાસાહેબે તેમની અધૂરી આત્મકથાને ‘ વેઈટિંગ ફોર વિસા’ (પરવાનાની પ્રતીક્ષા) જેવું ચોટડુક અને અર્થસભર નામ આપ્યું હતું પણ તેમના નામે પ્રગટ આત્મકથાને મરાઠીમાં ‘ માઝી આત્મકથા’ , અંગ્રેજીમાં ‘ માય ઓટોબાયોગ્રાફી’ ,  હિન્દીમાં ‘ મેરી કહાની,  મેરી જુબાની’  જેવા સરળ નામ આપ્યા છે તે ખૂંચે છે. જોકે કેટલાક પ્રકરણોના નામો  જરૂર સાહિત્યિક સ્પર્શ પામ્યા છે. ‘ તે તો હું નથી ને?’ ,  ‘ ત્યારે મને સમજાયું’ ,  ‘ એ તો સૌ કોઈ જાણે છે’ , ‘ તેમણે મને ઘડ્યો’ –  તેના ઉદાહરણો છે.

    ડો. આંબેડકરનું જીવન ચરિત્ર દેશ અને દુનિયામાં સૌથી પહેલા ગુજરાતીમાં પ્રગટ થયું હતું. આજે તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખકોથી માંડીને નવોદિતોએ પણ આંબેડકર ચરિત્રો લખ્યા છે.પરંતુ બાબાસાહેબની આત્મકથા તેમાં નોંધપાત્ર ઉમેરણ છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • `મુંબઈ સમાચાર’નો ન્યૂટન તથા કિલ્લા સાથે નાતો

    કામિની શ્રોફ

    ઈંગ્લેન્ડ વિવિધ કાઉન્ટીઓનો દેશ છે (લેન્કેશાયર, યોર્કશયાર ઈત્યાદિ), જે ‘શાયર’ તરીકે ઓળખાય છે. કાઉન્ટીઓની પોતાની ખાસિયતો છે. બર્કશાયર કાઉન્ટી એની ભવ્યતાને કારણે રોયલ કાઉન્ટી તરીકે ઓળખાય છે તો બ્રિસ્ટોલ કાઉન્ટી સિટી ઓફ બ્રિજિસ કહેવાય છે અને કેમ્બ્રિજશાયર શિક્ષણનું ધામ કહેવાય છે.

    લિંકનશાયર કાઉન્ટીમાં પ્રાકૃતિક સૌંદર્ય ઠાંસી ઠાંસીને ભરેલું છે. યુકેના પ્રવાસમાં ચાર – પાંચ દિવસ લિંકનશાયરના સ્કેગ્નસ નામના ટાઉનમાં સ્નેહીને ત્યાં મુકામ કરવા મળ્યો ત્યારે ન્યૂટનના જન્મસ્થાન અને જીર્ણોદ્ધાર કરેલા એક કિલ્લાની મુલાકાતનો અવસર મળ્યો. આ બંને સ્થળનો `મુંબઈ સમાચાર’ સાથે નાતો હોવાનું ધ્યાનમાં આવતા આનંદ આનંદ થઈ ગયો.

    ન્યૂટનનું જન્મસ્થાન ને સફરજનનું ઝાડ

    `મુંબઈ સમાચાર’ આયોજિત `માતૃભાષા ભાગવત સપ્તાહ’માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે `સનાતન ધર્મમાં સવાલ પૂછવાની છૂટ છે.’ વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટનને સનાતન ધર્મની જાણકારી નહીં જ હોય, પણ એમની સવાલ પૂછવાની વૃત્તિએ જ જગતને The Law of Gravitation- ગુત્વાકર્ષણના સિદ્ધાંતની ભેટ આપી એ આપણે બધા જાણીએ છીએ. સ્કેગ્નસથી ન્યૂટનનું જન્મસ્થાન નજીક હોવાથી તેમના બાળપણના નિવાસસ્થાન અને દંતકથા બની ગયેલા સફરજનના વૃક્ષને નિહાળવાનો મોકો નહોતો છોડવો.

    સ્કેગ્નસથી દોઢેક કલાકની કાર મુસાફરી કરી પહોંચ્યા વુલસ્થોર્પ મનોર નામના ફાર્મહાઉસ પર. ન્યૂટનનો જન્મ અહીં થયો હતો અને એમનું જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું બાળપણ સુધ્ધાં અહીં જ વીત્યું હતું. પ્લેગના રોગચાળાને કારણે તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજનો અભ્યાસ પડતો મૂકી ૧૬૬૫માં વુલસ્થોર્પ મનોર પાછા આવવું પડ્યું હતું. અહીં અભ્યાસ ચાલુ રાખી તેમણે ઘણા પ્રયોગો કર્યા જે આજના વિજ્ઞાનમાં પણ પાયાના સિદ્ધાંતો તરીકે જોવા મળે છે.

    આ જ જગ્યાએ ત્રિપાર્શ્વકાચની મદદથી સૂર્યકિરણને મેઘધનુષના સાત રંગમાં વિભાજિત કરી દર્શાવ્યું, જેને આપણે ગુજરાતીમાં `જાનીવાલીપીનારા’ તરીકે અને અંગ્રેજીમાં VIBGYOR તરીકે ઓળખીએ છીએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જ જગ્યાએ વૃક્ષ પરથી સીધા પડેલા સફરજનને જોઈ તેમણે ગત્વાકર્ષણનો અદ્ભુત સિદ્ધાંત આપ્યો.

    ટિકિટનું ઓનલાઈન બુકિગ કર્યું હોવાથી સીધા અંદર ગયા જ્યાં બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા અને પુખ્ત વયના થયા એ સમયગાળાનો ન્યૂટન કોણ છે એનો પરિચય આપતી એક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી. ફિલ્મમાં વૈજ્ઞાનિક તરીકે તેમના અસાધારણ કૌશલ પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ત્યારબાદ વિવિધ ઓરડાઓમાં લટાર મારી અને ન્યૂટન જ્યાં બેસી અધ્યયન કરતા હતા એ જગ્યા જોઈ એને મનોમન વંદન કર્યા.

    દરેક ઓરડો ન્યૂટન વિશે `કુછ કેહતા હૈ’ જેવો હતો. દરેક જગ્યાએ ગાઈડ હાજર હતા અને દરેક પ્રશ્નના ઉત્તર આપતા હતા. સાયન્સ સેન્ટરમાં પ્રકાશ સંબંધિત ખેલ જોવાનો લ્હાવો મળ્યો અને કેટલાક જિજ્ઞાસુઓ (ભાગવત કથામાં શંકરાચાર્યએ જિજ્ઞાસા વૃત્તિને બિરદાવી હતી) ગુત્વાકર્ષણ અને વિજ્ઞાનની અમુક મૂંઝવતી બાબતો અંગે વોલ્યુન્ટિયર્સને સવાલો પૂછી જિજ્ઞાસા વૃત્તિ સંતોષી રહ્યા હતા.

    ત્યારબાદ અમે વિશ્વવિખ્યાત સફરજનના વૃક્ષ પાસે પહોંચ્યા. સફરજનના જે વૃક્ષ નીચે બેઠેલા ન્યૂટનના દિમાગમાં નીચે પડતા (માથા પર પડ્યું હતું એ ઉપજાવી કાઢેલી વાત છે એમ કહેવામાં આવ્યું) સફરજન પડતા `સફરજન કેમ સીધા જમીન પર પડે છે? ડાબી કે જમણી બાજુ કેમ નથી પડતા?’ સવાલો ઊભા થયા અને એ કુતૂહલ – એ જિજ્ઞાસા તેમને ગુત્વાકર્ષણના સિદ્ધાંતની ખોજ તરફ ખેંચી ગયા.

    આ વૃક્ષ ફરતે રક્ષણ માટે એક નાનકડી વાડ બાંધવામાં આવી છે. સ્થળ પર આપેલી જાણકારી અનુસાર ૧૮૨૦ના વાવાઝોડામાં આ વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે, એના મૂળિયાં એટલા મજબૂત હતા કે એ ઉખડી ન ગયા અને ધીમે ધીમે નવેસરથી વૃક્ષ ઉગી નીકળ્યું, જે આજે સહેલાણીઓ જુએ છે અને માણે છે. મૂળિયાં મજબૂત હોય તો કોઈ તાકાત વિકાસ ન અટકાવી શકે એ ફિલસૂફી આવી ઘટનાથી જ આવતી હશે.

    ફાર્મહાઉસમાં સૌથી વધુ હાજરી આ વૃક્ષ પાસે જોવા મળી. આ વૃક્ષ આજની તારીખમાં અનેક ફળ આપે છે અને એની ડાળીઓ કાપી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં એપલ ટ્રી ઉગાડવાની કોશિશ થઈ રહી છે. વૃક્ષ ઊગેછે પણ એની નીચે બેસી સફરજન ખાનારમાંથી બીજો ન્યૂટન તૈયાર થયો કે નહીં એની જાણકારી નથી.

    કિલ્લો અને મુંબઈ સમાચાર

    ખંડિત અને પુનર્જીવિત ઈમારતો જોવાની અને એની સાથે સંકળાયેલા રસપ્રદ ઈતિહાસ વિશે જાણવાનું કુતૂહલ હંમેશાં હોય. પણ થાય છે એવું કે ઘણીવાર Ruins and Restoration (ભગ્નાવશેષ અને જીર્ણોદ્ધાર)ની કહાણીમાં કેટલીક બાબતો સરખી હોવાથી વિશેષ ઉમળકો નથી રહેતો, સિવાય કે એ ઈમારતનું કોઈ અનન્ય પાસું આકર્ષિત કરી જાય.

    સ્થાનિક રહેવાસીએ ટેટરશોલ કાસલની લાક્ષણિકતાઓનું વર્ણન કરતી વખતે આ કિલ્લો લાલ ઈંટમાંથી તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું ત્યારે એની મુલાકાત પ્રાથમિકતા બની ગઈ. `મુંબઈ સમાચાર’ની ઈમારત પણ લાલ ઈંટ -Red Bricks વડે બનેલી છે અને Red House તરીકે પ્રખ્યાત હોવાથી કિલ્લો જોવાની તાલાવેલી વધી ગઈ. વિદેશમાં પણ દેશની ભવ્યતાનું સ્મરણ આનંદિત કરી દે છે.

    સ્કેગ્નેસથી માત્ર પોણો કલાકના કાર પ્રવાસમાં ટેટરશોલ કાસલ પહોંચી ગયા. સંપત્તિ અને સત્તાના પ્રતીકની આજે જે ઈમારત ઊભી છે એ પુન:નિર્માણ કરેલી છે. લાલ ઈંટને કારણે લીલાછમ મેદાન પર લાલચોળ લાગતી ૧૨૯ ફૂટ ઊંચી ઈમારત મધ્યકાલીન યુગના માનવી કૌશલનું સુંદર પ્રતીક છે.

    લિંકનશાયરનો ટેટરશોલ કાસલ મધ્યકાલીન યુગમાં વેપાર-વણજનું મહત્ત્વ ધરાવતું કેન્દ્ર હતું. યુરોપના ઘણા વેપારીઓ જળમાર્ગે ઈંગ્લેન્ડ પહોંચી અહીં ટર્કીશ કાર્પેટ્સ જેવી લક્ઝુરિયસ આઈટમ તેમજ મસાલાના વેપાર માટે આવતા હતા. ૧૨૩૧માં રાજા હેન્રી ત્રીજાએ આ કિલ્લો રોબર્ટ ટેટરશોલને શિરપાવ રૂપે ભેટ આપ્યો અને પછી એ ટેટરશોલનું નિવાસ્થાન બની ગયો. ત્યારબાદ માલિકી બદલાતી ગઈ અને એમાં સમય અને રુચિ અનુસાર ફેરફાર પણ થતા રહ્યા, પણ બાંધકામમાં કિલ્લાના સ્થાપત્ય (આર્કિટેક્ચર)ને પ્રાધાન્ય મળતું રહ્યું.

    સત્તરમી સદીના અંતિમ દાયકામાં નવા માલિક ત્યાં રહેતા ન હોવાથી જાળવણીના અભાવે એની અવદશા શરૂ થઈ અને એક તબક્કે ભવ્ય કિલ્લાના આંગણાનો પરિસર ઢોર ઢાખરને ચરવાનું સ્થળ બની ગયો. જોકે, કિલ્લાની ખંડિત અવસ્થા જોવા સહેલાણીઓ ઉમટતા હતા. ૧૯૦૫માં `બંગાળના ભાગલા’ માટે ભારતીયો જેને ધિક્કારે છે એ વાઈસરોય જ્યોર્જ કર્ઝનએ આ કિલ્લાના જીર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું.

    ત્રણ વર્ષમાં નવી ઈમારત ખડી થઈ ગઈ અને પહેલા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. ૧૯૨૫માં કર્ઝનના અવસાન પછી ટેટરશોલ કાસલ યુકેના `નેશનલ ટ્રસ્ટ’ને સોંપી દેવામાં આવ્યું. છેલ્લાં સો વર્ષથી ટ્રસ્ટ એની જાળવણી કરે છે.


    ‘મુંબઈ સમાચાર’ની પૂર્તિ ‘વીક એન્ડ‘માં સુશ્રી કામિની શ્રોફની કોલમ ‘એક નજર ઈધર ભી…’માંથી સાભાર

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભરતખંડના રાજ્યકર્તા /

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


     

    ભરતખંડના રાજ્યકર્તા: લૉર્ડ વિલિયમ બેન્‍ટિંક

    બીરેન કોઠારી

    પુસ્તક ક્રમાંક: ખ ૬૭/ ૦૦૪૮૯   

    પુસ્તકનું નામ: ભરતખંડના રાજ્યકર્તા / લૉર્ડ વિલિયમ બેન્‍ટિંક

    મૂળ લેખક: ડીમીટ્રિયસ સી. બુલજર

    ગુજરાતીમાં ભાષાન્‍તરકર્તા: હીરાલાલ ડાહ્યાભાઈ નાણાવટી

    પ્રકટકર્તા: ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ‘ગુજરાતી’ના તંત્રી

    પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૫

    કિંમત:

    પૃષ્ઠસંખ્યા: ૨૧૫

    વિગત: ગુજરાતી ભાષામાં ચરિત્રાત્મક સાહિત્ય ઓછું છે અને પ્રાચીન તેમજ અર્વાચીન કાળના અનેક પ્રતાપી તેમજ ખ્યાતનામ શાસકો વિશેની માહિતી જૂજ હોવાનું આ ગ્રંથના પ્રકટકર્તા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અંગ્રેજીમાં લખેલી પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. ક્લેરેન્‍ડન પ્રેસ ઑફ ઑક્સફર્ડ દ્વારા પ્રકાશિત તેવીસ પુસ્તકોની આવી શ્રેણી પૈકી દસ પુસ્તકોને ગુજરાતીમાં ઉતારવા માટે પસંદ કરાયાં છે. એ પૈકીનું એક પુસ્તક એટલે આ.

    કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં પ્રથમ પ્રકરણ ‘પૂર્વાવસ્થા’ અને અંતિમ પ્રકરણ ‘હિંદની કારકિર્દી અને જીવનની અવધિ’ છે. તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીનો સમગ્ર જીવનકાળ આ પ્રકરણોમાં આવરી લેવાયો છે.


    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/lord-william-bentinck-ebooks


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • વિસ્મૃતિ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    એક સવારે અશોકને આભાસ થયો કે, એની યાદશક્તિમાં કંઈક તો ગોટાળો છે. નામ ભૂલી જવાય છે કે શું?

    આમ તો અશોક તનમનથી એકદમ સ્વસ્થ હતો. રોજિંદા કામો સ્ફૂર્તિથી કરી લેતો. વકીલ તરીકે કોર્ટમાં અને વ્યક્તિ તરીકે સમાજમાં એના વિચારોનું, વક્તવ્યનું મૂલ્ય હતું. બધું જ બરાબર હતું, પણ જ્યાં વ્યક્તિઓનાં નામની વાત આવે કે સમસ્યા સર્જાતી. રોજેરોજ મળનારી, આસપાસ રહેતી વ્યક્તિનાં નામ સુદ્ધાં યાદ નહોતાં રહેતાં.

    સવારે શાક વેચવાવાળા કાકા આવ્યા.

    આ કોણ હશે, ગોપી, જગ્ગુ કે મોતી? ચહેરો જ નહીં વ્યક્તિ પણ જાણીતી લાગે છે. જ્યાં રહે છે એ ગલી, એનું ઘર, જમાઈએ મારીને પાછી મોકલેલી એની જુવાન દીકરી યાદ આવી. દીકરીનાં ભરણપોષણ માટે કંઈક કાર્યવાહી કરવાની કાકાએ વિનંતી કરી હતી. કાકાની કરમકથની સાંભળીને એમના ઘેર ગયો હતો. દીકરીને જોઈને દુઃખ થયું હતું. દીકરીનાં ભરણપોષણની વ્યવસ્થા કરી આપવા એણે પૂરો પ્રયત્ન કર્યો હતો. પણ, જેનું નસીબ જ નબળું હોય એને કોણ બચાવે? શીતળાની ઝપટમાં આવીને એ મરી ગઈ એ બધું જ યાદ આવ્યું, પણ એનું નામ યાદ નહોતું આવતું.

    શું કરું? કયા નામથી બોલાવું? નામ પૂછીશ તો કાકાને ખરાબ લાગશે. એમના મનમાં પોતાના માટે જે આદર, સ્નેહ હશે એ ગુમાવી બેસશે. કેવી રીતે વાત શરૂ કરું?

    એણે અણધાર્યો સવાલ કર્યો, “કરમદાં લાવ્યા છો?”

    બુઢ્ઢા કાકાને નવાઈ લાગી. કરમદાં? એ તો ક્યારેય આવ્યો નથી અને હજુ તો એ બજારમાં આવ્યાંય નથી.

    અશોક ઊભો થઈને અંદર ચાલ્યો ગયો. ગઈકાલની જ વાત હતી. એક પાર્ટીમાં ગયો ત્યાંય કોઈને સાચાં નામથી બોલાવી શક્યો નહોતો. અને હવે આ કાકા, એટલું જ નહીં રસ્તામાં મળતા લોકોનાં નામમાં પણ ગોટાળા થઈ જતાં.

    ગઈકાલે પાનના ગલ્લે ઊભેલા માધવબાબુને શંકરના નામથી બૂમ મારી હતી. એળે ગઈ. ક્યાંથી જવાબ મળે?

    એ પાસે પહોંચી જ ગયો.

    “અરે સાહેબ, ભારે વ્યસ્ત? બોલાવ્યા છતાં સામે ન જોયું? કદાચ સાંભળાયું નહીં હોય!”

    “કેવી વાત કરો છો, તમે મને બોલાવ્યો? સાહેબ, મારા કાનમાં સરસોનું તેલ નાખું છું, કાન એકદમ સાબૂત છે. હમણાં તમે શંકરના નામની બૂમ મારી એ પણ સાંભળી. મને એમ કે પાછળ શંકર પાનવાળાની દુકાન છે એમને બોલાવતા હશો.

    અશોકના કપાળે પરસેવો વળ્યો. સમજાઈ ગયું કે આ શંકરબાબુ નથી.

    વાત વાળી લેતા બોલ્યો, “જવા દો એ વાત. લ્યો આ સિગરેટ અને એ તો કહો કે બંને પુસ્તક વાંચી લીધાં?”

    “કેવાં પુસ્તક, કયાં પુસ્તક?”

    અશોકના માથે ફરી આફત આવી. પુસ્તકનાં નામ યાદ ન આવ્યાં. શું બોલે?

    “આ તો ગજબ વાત અશોકબાબુ. મારો વિશ્વાસ કરો, હું કોઈ પુસ્તક તમારી પાસેથી લાવ્યો નથી. છતાં, આજે અગિયાર વાગ્યા પછી ઘેર જ છું. જાતે આવીને જોઈ લેજો ભઈસાબ.” કહીને માધવબાબુ ચાલવા માંડ્યા.

    “ખરા છે લોકો, કેટલી સરળતાથી વસ્તુ લઈને ભૂલી જાય છે!” એમની વાતથી અશોકને ચીઢ ચઢી. ત્યાં કોઈએ એને બોલાવ્યો.

    સામે ઊભેલી વ્યક્તિએ આત્મીયતાથી પૂછ્યું, “કેમ છો? લાંબા સમય પછી મુલાકાત થઈ. બધું ઠીક છે ને?”

    ‘હે ભગવાન, હવે આ કોણ હશે? આટલી આત્મીયતાથી વાત કરે છે, ચહેરો પરિચિત લાગે છે.”

    “શું સમાચાર?” કોઈ રીતે ઓળખ મળે એ હેતુથી અશોકે એમની ખબર પૂછી.

    “ખાસ સમાચાર તો એ છે કે, મારા સસરા ગુજરી ગયા.”

    “ઓહ ! વૃદ્ધ હશે નહીં?” અશોકે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું.

    “આજકાલ તો સૌ વૃદ્ધ જ ને? બનાવટી ઘી-તેલ, પાણી મેળવેલું દૂધ પીને જુવાન કે બુઢ્ઢા, સૌના સ્વાસ્થ્ય પર અસર થવા માંડી છે, પણ જવા દો એ વાત. આપણી વાત કરીએ.” સામે ઊભેલા ભાઈ બોલ્યા.

    “હા, એ વાત સાચી. કહો, તમારું કામ કેવું ચાલે છે?” કંઈક કરતાં પરિચિતતાનો તાળો મળે એવો અશોકે સવાલ કર્યો.

    “અમારું કામ તો તમે અખબારમાં જોતા જ હશો ને?” સસ્મિત જવાબ મળ્યો.

    “અં…હા…હા..વાચું છું ને. તમારું કલેક્ટરીનું કામ કેમ ચાલે છે?”

    “કોણ કલેક્ટર, કયું કામ?”

    ‘ઓહ, આ કલેક્ટર નથી! હાથમાં ચામડાની બેગ છે તો ઇન્સ્યોરન્સવાળા હશે?’

    હવે અશોકના ધૈર્યનો અંત આવવા માંડ્યો. એણે સીધું જ પૂછી લીધું,

    “માફ કરજો, પણ મને તમારું નામ યાદ નથી આવતું.”

    “તાજુબ્બીની વાત. તમારા નાના ભાઈને એક વર્ષ ટ્યુશન આપ્યું હતું. આપણે એક વર્ષ લૉ સાથે ભણ્યા. તમારા પિતા સાથે પણ મારી કેટલી ઘનિષ્ઠતા હતી? ભૂલી ગયા? ખરા છો તમે તો!”

    “ભાઈને કેટલાય લોકોએ ભણાવ્યો હતો. લૉ કૉલેજમાં તો અઢીસો વિદ્યાર્થી હતાં અને પિતાજીના મિત્રોની સંખ્યા સાંભળશો તો તમે છક થઈ જશો.”

    પછી એ ભાઈએ કચેરીની મુલાકાત યાદ કરાવી.

    “વાત લાંબી કરવાના બદલે તમારું નામ કહી દો ને ભઈસાબ.” અશોક ખરેખર અકળાયો.

    “ઓહ, એમ વાત છે. મારું નામ નીલ માધવદાસ છે. આઇ. એસ. કર્યા પછી કાશ્મિર કમિશનમાં છું. સસરા ગુજરી ગયા એટલે અહીં આવ્યો છું. લાગે છે કે સાચે જ તમને ઠીક નથી લાગતું.” નીલનું આત્મસન્માન ઘવાયું.

    શરમથી અશોક નીચું જોઈ ગયો.

    “હા, કેટલો સમય સાથે પસાર કર્યો હતો નહીં ! તમને સમોસા બહુ ભાવતાં….હવે યાદ આવ્યું. એ કેવી રીતે ભુલાય? પણ, નર્વસ બ્રેક ડાઉનના લીધે નામ યાદ નથી રહેતાં. શું કરું?”

    નીલને વિશ્વાસ ન આવતો હોય એમ ડોકું ધુણાવ્યું. નમસ્કાર કરીને ચાલવા માંડ્યા.

    એ પછી તો રસ્તામાં કેટલાય લોકો મળતા રહ્યા. દરેક વખતે એમની સાથે સુખ-દુઃખની, હસી-મજાકની વાતો થતી રહી. પણ, નામ ન જ યાદ આવ્યાં. હવે અશોકને ચિંતા થતી કે, રખેને એ કોઈને ભળતા નામે ના બોલાવી બેસે એટલે ફક્ત ‘કેમ છો, સાહેબ?” કહીને કામ ચલાવવા મથતો.

    કોઈના ઘેર જવાનું થાય તો એમની નેમપ્લેટ પરથી ઓળખ પામવા મથતો. ક્યાંક આખા નામના બદલે ‘એમ.સી.મહાંતિ’ જેવી નેમપ્લેટ હોય તો ભારે અટવાતો.

    માધવચંદ્ર મહાંતિ કે માર્કંડ મહાંતિ, શું નામથી બોલાવવાના?

    પછી જાતને સાંત્વન આપવા મથતો. એ નામ ભૂલે છે, કોઈના ગુણ નથી ભુલતો ને ! વિધાતાએ બનાવેલી સૃષ્ટિમાં સંબંધોનું મૂલ્ય છે, એની ના નહીં, પણ સંબંધોમાં લાગણીઓની ભરતી-ઓટ આવે એનાથી જીવન અટકી નથી જતું. ચહેરો જોઈને નામ નથી યાદ આવતું છતાં આંખો જોઈને અંતઃકરણ તો પરખાય છે ને?

    એ આંખોથી વ્યક્તિને પારખવા મથતો. ક્યારેક કોઈ વ્યક્તિની ધૂંધળી ઓળખ મનમાં આવતી-જતી.  નામ-વિસ્મૃતિના લીધે હવે માર્કંડ કે માધવ વચ્ચે કોઈ ફરક રહ્યો નહોતો.

    હા, ફરક એટલો જરૂર પડ્યો કે યૌવન આથમે એ પહેલાં વિસ્મૃતિના રોગને લીધે એ ઘર ન વસાવી શક્યો.


    ગોપીનાથ મોહંતી લિખિત ઉડિયા વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કોલ્ડ કૉફી અને ચટણી સૅન્ડવિચ

    દરિયા-પારની વાર્તા

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ન્યૂયૉર્કના એ સબર્બનાં ઘણાં ઇન્ડિયન ઘરોમાં વાત પહોંચી ગઈ હતી – માયા પરણવાની છે.

    શોમાને જાણ બધાંથી મોડી થઈ હશે, એટલે સમાચાર મળતાં જ એ તો ખુશ થઈને કહેવા લાગી, લાવ, હમણાં જ નીલાને ફોન કરીએ. એ તો બહુ જ આનંદમાં હશે. દીકરીનાં લગ્ન છે એટલે હવે તો એને બીજા કશા માટે ટાઇમ નહીં મળવાનો. ચાલ, નીલાને ફોન કરીએ. હરખ કરીએ.

    મંજુએ એને રોકી. ‘અરે, ઊભી રહે. અહીં તો હરખ નહીં, ખરખરો કરવો પડે તેવી વાત છે.’

    ‘શું કહે છે? માયા પરણવાની છે, એમ કહ્યું, તો ખરખરાની વાત ક્યાં આવી?’

    બંને જણ કોલ્ડ કૉફી લઈને બેઠાં. ઠંડી શરૂ થઈ જાય પછી પીવી નહીં ગમે, એમ કહીને બંનેને આજે ગરમ ચ્હાને બદલે કોલ્ડ કૉફી પીવી હતી. બરાબર ઇન્ડિયામાં પીતાં હતાં તેવી બનાવજે, હોં, મંજુએ શરત મૂકેલી.

    શોમાએ કોલ્ડ કૉફીની સાથે લીલવાની કચોરી બનાવેલી. બનાવેલી એટલેકે ફ્રીઝરમાંથી કાઢીને અવનમાં ગરમ કરીને તૈયાર રાખેલી. હવે અહીં ફ્રોઝન આઇટમોનું બહુ સુખ થઈ ગયું છે, નહીં?, અમેરિકામાં આવ્યા પછીથી ગૃહિણી બનેલી ઇન્ડિયન બહેનપણીઓ એકબીજાંને કહેતી.

    ‘કૉફી સરસ થઈ છે, હોં. તને આવડી ખરી બનાવતાં.’ મંજુએ શોમાને જરા ચિડાવી.

    ‘તે કોલ્ડ કૉફી તો ઇન્ડિયામાં કેટલી યે વાર પીધી હોય. સ્વાદ કાંઇ ભુલાયો નથી. પણ હવે તો કહે કે આ માયાના લગનની શું વાત છે?’

    મંજુએ ધીમેથી કહ્યું – આસપાસ કોઈ હતું નહીં તોયે – ‘અરે, ગયા વર્ષે કુટુંબ સાથે માયા ઇન્ડિયા ગઈ પછી  ત્યાં રહી ગઈ હતીને, કર્ણાટકમાં – કે કેરાલામાં – કોઈ એનજીઓમાં કામ કરવા? તે ત્યાં કોઈ મળ્યો એને, ને એવો ગમી ગયો કે બસ, એને હવે એ છોકરાને જ પરણવું છે. નીલાએ અને ડૉ. રગડેએ બહુ સમજાવી, કે તું અમેરિકામાં જન્મી, ઊછરી, ભણી, મોટી થઈ, તને સાવ એક ઇન્ડિયન સાથે નહીં ફાવે.’

    પણ નીલાએ તો હંમેશાં એમ જ કહ્યા કર્યું છે કે એ માયાને ઇન્ડિયનની સાથે જ પરણાવશે. તો ઇન્ડિયન જ તો છે એ કર્ણાટકવાળો – કે કેરાલાવાળો, પછી શેનો વાંધો હશે? નાત-જાતનો? જા, જા, ડૉ. રગડે જેવા ભણેલા-ગણેલા પણ નાત-જાતમાં માનતા હશે?’

    ‘શોમા, શોમા, તું ધડાધડ જે મનમાં આવ્યું તે સામટું બોલી ગઈ. હવે હું કાંઈ કહું?’

    પછી મંજુએ એને સમજાવ્યું, ‘હા, એ સાવ સાચું છે કે નીલાને માયા માટે ઇન્ડિયન વર જ જોઈએ છે. પણ ઇન્ડિયન એટલે અહીંનો ઇન્ડિયન, ઇન્ડિયાનો ઇન્ડિયન નહીં.’

    આવું શોમાએ ક્યારેય સાંભળ્યું નહતું, અને કલ્પ્યું પણ નહતું. એ જરા ડઘાઇ ગઈ. ઇન્ડિયાનો ઇન્ડિયન નહીં. એની સાથે નહીં ફાવે માયાને.

    વિચાર કરતાં કરતાં શોમા બબડતી ગઈ. પછી કહે, ‘પણ કેમ નહીં ફાવે? નીલા અને એના હસબંડ તો જિંદગી આખી બડાઇ મારતાં રહ્યાં કે એમની માયામાં એમણે ઇન્ડિયન સંસ્કાર ખૂબ સરસ સીંચ્યા છે. એ બિલકુલ શાકાહારી છે, આપણી ભાષા પણ બોલે છે, અને અમારી સાથે મંદિરે પણ રૅગ્યુલરલિ આવે.’

    શોમા આગળ બોલી, ‘તો છોકરીને અમેરિકામાં ઇન્ડિયનની જેમ ઉછેરી, ને એ બાબતે અભિમાન કર્યું, તો હવે છોકરીને ઇન્ડિયામાંના એક સ્થાનિક કન્નડ – કે મલયાલી – સાથે પરણવું હોય તો એમને તો ગૌરવ થવું જોઇએ.’

    ‘હા, નિરાંત તો થવી જ જોઇએ. તને યાદ છે કે નહીં, મને ખબર નથી, પણ માયાને પહેલાં એક વાર એક ગોરા અમેરિકન સાથે બહુ ગાઢ મૈત્રી હતી. બંને કૉલૅજમાં સાથે હતાં. તે વખતે માયાને એ ડેવિડ સાથે જ પરણવું હતું. ખાસ્સી ધમાલ કરેલી એણે. પછી વળી પેલો આર્મિમાં ગયો, ને લાંબી રાહ જોવાનો રિવાજ તો આ જમાનામાં છે નહીં.’

    ‘હા, મેં એવું કાંઈ સાંભળ્યું હતું ખરું, શોમા બોલી. મા-બાપને કેવી શાંતિ વળી હશે એ વખતે – એ ઘેલછા પૂરી થઈ ગઈ હશે ત્યારે. ત્યાં આ ફરીથી ધમાલ જેવું શરૂ થયું લાગે છે. કદાચ આ પ્રૉબ્લૅમ પણ એની મેળે ઉકેલાઈ જાય. શું લાગે છે તને?’

    ‘ભઇ, મારે એ લોકોની બાબતે માથું નથી દુઃખાડવું. મંજુએ કૉફી પૂરી કરતાં વાત બદલી, તું હવે લંચ પાર્ટીને બદલે આવી કોલ્ડ કૉફીની પાર્ટી રાખજે.’

    ‘હા, કોલ્ડ કૉફી, અને સાથે ચટણી સૅન્ડવિચ. બરાબર હૅવમૉરનું મૅન્યુ, નહીં?’

    પણ મંજુએ તો હૅવમૉરનું નામ પણ નહતું સાંભળ્યું. એ કહે, ‘ભઇ, અમારે નાગપુરમાં છોકરીઓ માટે બહુ બહાર જવાનું બનતું નહતું. જે ખાવું હોય તે ઘેર જ બને, નહીં તો ક્યારેક નાનો ભાઈ જઈને ખરીદી લાવે – કાલોજામ, કચૌડી – પણ તે પપ્પા ના હોય ત્યારે જ.’

    ફરીથી એ ધીમા અવાજે કહે, ‘પરણવાથી તો મારું ભાગ્ય ખુલી ગયું. શરદ નાગપુરથી સીધી મને અહીં ન્યૂયૉર્કના આવા સરસ સબર્બમાં લઈ આવ્યો, ને ઘરમાં આખું બજાર ખડું કરી દીધું. શરૂઆતમાં તો અમે રોજ બહાર ખાવા જતાં. મૅક્સિકન શું, ને ઇટાલિયન શું, ત્યારે એવી કશી ખબર જ ક્યાં હતી. ને હવે જુઓ.’

    શોમાએ પણ ધીરેથી જ કહ્યું, મનમાં કશા બીજા જ વિચાર ચાલતા હોય તેમ, ‘તો આપણે પણ ઇન્ડિયન તો રહ્યાં, છતાં એવાં બદલાયાં કે ઇન્ડિયાનાં ઇન્ડિયન જેવો ભેદ કરતાં થઈ ગયાં.’

    ફરીથી લગભગ એનું એ જ બોલતી ગઈ – ‘આપણે ઇન્ડિયન રહેવું તો છે, ને આપણી સંસ્કૃતિના નામનું ગાયા કરવું છે, પણ જેમ આપણે અમેરિકનો અને બીજી જાતિઓના લોકોથી જુદાં છીએ તેમ શું હવે આપણે આપણા બાપદાદાથી પણ જુદાં થઈ ગયાં છીએ?’ એના અવાજમાં ધ્રૂજારી હતી.

    પણ હવે મંજુને ઘેર જવાની ઉતાવળ હતી. શોમાના અન્યમનસ્ક ગણગણવાથી એ કંટાળી. કહેતી ગઈ, ‘સાંભળ, તું નીલાને ફોન કરીને બાફતી નહીં. જો એ તને ફોન કરે તો તું તારો હરખ વ્યક્ત કરજે. ને વધારે જાણવું હોય તો ક્યારેક કાન્તા સાથે વાત કરજે. એને બધી ગૉસિપની ખબર હોય છે.’

    એકલાં પડ્યા પછી પણ શોમા વિચારોમાં ફસાયેલી જ રહી. પોતે તો છવ્વીસ જેટલાં વર્ષોથી અમેરિકામાં હતી, ને વારંવાર દેશ જતી હતી. એના સાસરામાં અને પિયરમાં હજી બધાંની સાથે આત્મીયતા હતી. એક-બે મિત્રો જોકે એને કહ્યા કરતી હોય છે કે, તું બહુ લકી છું કે હજી તમારાં કુટુંબોમાં આટલા સારા સંબંધ છે.  જીવનની વાસ્તવિકતા એવી ખરી કે જેમાં દરેક વ્યક્તિ એકમેકથી જુદી હોય જ. જગ્યા, ઉછેર, બોલી, ખોરાક વગેરેને કારણે દરેક જણ જુદું તો પડવાનું જ. પણ સામાંને ઊતરતાં કઈ રીતે માની લેવાય?, તે શોમાને મૂંઝવતો પ્રશ્ન હતો.

    એમ તો પોતે પણ અંદરખાનેથી ઘણી બદલાઈ હતી, પણ ફરવા દેશ જાય અને સગાંની સાથે હોય ત્યારે કોઈને એવો ખ્યાલ પણ ના આવે. અચાનક એને ભોલી યાદ આવી ગઈ. ભોલી તો પરણીને હજી બે વર્ષ પહેલાં જ અમેરિકા આવી હતી. એનો વર જસબીરસિંઘ ખાસ અમૃતસર જઈને પરણી આવેલો. બંને ટ્રૅડિશનલ શીખ કુટુંબ, પેઢીઓનો પરિચય, ને જસબીરસિંઘ માટે વધારે કશી તપાસ કરવાની જ નહતી.

    પણ જેવાં બે જણ ન્યૂયૉર્ક આવ્યાં કે જસબીરે દાઢી કાઢી નાખી, માથાના વાળ મૉડર્ન કપાવી નાખ્યા. હબક ખાઈ ગયેલી ભોલીને કહે, બે-ચાર વર્ષે જ્યારે દેશ ફરવા જાઉં ત્યારે વધારીને જતો હોઉં છું.

    એણે ભોલીને કહી દીધું, સરવાલ-કમીઝ અહીં રોજ ના પહેરાય. બધાંની જેમ તૈયાર થતાં શીખી જા.

    પછી તો ભોલીને જીન્સ જ નહીં, ટૂંકાં ફ્રૉક પહેરવાની ટેવ પણ પાડવી પડી.

    એક દિવસ જસબીરસિંઘે કહ્યું, જો ડાર્લિન્ગ, અમેરિકામાં કોઈને તારું નામ બોલતાં આવડતું નથી.  તને બધાં ‘ભોલી’ નહીં પણ ‘બોલી’ કહે છે, એ ખ્યાલ કર્યો તેં? અહીં કોઈ “ભ” ચોખ્ખો બોલી ના શકે. તેથી હવેથી તારું નામ પૉલી છે. પૉલા, પૉલી, ને પુરુષો માટે પૉલ જેવાં નામ એમને ફાવે.

    બે એકલાં સાથે હતાં ત્યારે એક વાર ભોલીએ શોમાને કહ્યું હતું, ‘દિદિ, બહારથી જેટલી જુદી લાગું છું તેટલી અંદરથી હું હજી સુધી નથી બદલાઈ. પણ જઈ તો રહી છું એ જ દિશામાં.’

    પતિ સાથે ક્લબમાં જતાં જતાં ભોલી વાઇન પીતી થઈ ગઈ હતી. ક્યારેક જસબીરસિંઘ પોતાના હાથમાંની સિગારેટ એને આપતો. જસબીરને પોતાને પણ અમૃતસરની ટ્રૅડિશનલ શીખ છોકરી જ જોઈતી હતી – ફક્ત એનાં મા-બાપને જ નહીં. પણ વાઇફ થયા પછી એ મૉડર્ન સ્ટાઇલની વાઇફ હોય, એવું જ એને પસંદ હતું.

    શોમા પાસે ભોલીએ દિલ ખોલ્યું હતું એક વાર. દિદિ, કેટલી હદ સુધી મારે એને ગમે, અને ગમતી રહે એવી મૉડર્ન સ્ટાઇલની વાઇફ બનવાનું? મને તો એ વિષે વિચાર કરતાં જ ડર લાગવા માંડે છે ભવિષ્ય માટે.

    બે-ત્રણ દિવસ થઈ ગયા, પણ શોમાએ કોઈને ફોન કર્યા નહીં. નીલા કદાચ ઉદાસ હોય, અને કોઈ મિત્ર સાથે વાત કરવા માંગતી પણ હોય. છતાં શોમા એ ફોન કરે એની રાહ જોતી રહી. એણે કાન્તાને પણ ફોન ના કર્યો. ગૉસિપ કરવાનું એને મન નહતું થતું.

    એના પર જે ફોન આવ્યો તે કૅથૅરીનનો આવ્યો. એને પણ માયાના પરણવાની, અને પૅરન્ટ્સના વિરોધની વાતની ખબર પડી હતી. કૅથૅરીન કાન્તાના ભાઈની વાઇફ હતી. જાણે એ એક જ નૉન-ઇન્ડિયન ફ્રૅન્ડ આ ગ્રૂપમાં હતી. સારી ભળી ગઈ હતી, ને તોયે બધી ઇન્ડિયન-અમેરીકન ગૃહિણીઓ એને ફૉરેનર જ ગણતી. અમુક તો એમ પણ માનતી કે ઓહ, કૅથૅરીન વળી  શું સમજે?

    ‘આ ઇન્ડિયાના ઇન્ડિયન અને અહીંના ઇન્ડિયનનો રૅફરન્સ હું સમજી નથી શકતી’, કૅથૅરીને શોમાને કહ્યું. શોમા પણ ક્યાં એ સમજી શકતી હતી.

    કૅથૅરીન ન્યૂયૉર્કમાં વકિલાત કરતી હતી. એની વાતો હંમેશાં બુદ્ધિપૂર્વકની રહેતી. ‘પણ આવા ભેદ પાડો તો એ ગેરકાનૂની ના ગણાય?’, એણે પૂછેલું. પછી તરત એ ગંભીર ભાવે જરા હસેલી, કે પર્સનલ ભેદભાવ રાખવામાં જો કાનૂનનો ભંગ થતો ગણાતો હોત તો દુનિયા આખીની બધી જેલો ઊભરાતી હોત.

    ખરું કે નહીં?, એણે ઉમેરેલું. ફોન પર એના ભાવ દેખાય તો નહીં, પણ એના અવાજ દ્વારા એ શોમાને જાણે સંભળાયા હતા ખરા.

    આઠેક દિવસ થઈ ગયા હશે. નીલાએ કોઈને ફોન કર્યા હોય તેવું લાગતું નહતું. શોમા પર તો નહતો જ આવ્યો એનો ફોન. પણ શોમાએ ખરાબ ના લગાડ્યું. ઊલટું, નીલા પોતે કેવી દુઃખી થતી હશે એમ વિચારીને શોમા જીવ બાળતી હતી.

    એક દિવસ અમિતાનો ફોન આવ્યો. મંજુ પાસેથી સાંભળ્યા પછી એને કોલ્ડ કૉફી અને ચટણી સૅન્ડવિચની આફ્ટરનૂન પાર્ટી પોતાને ત્યાં કરવી હતી, અને શોમાની મદદ જોઇતી હતી. શોમાને હસવું આવેલું કે બીજું કાંઇ નહીં તો કોલ્ડ કૉફી માટે પોતે ફેમસ થવાની હવે.

    અમિતાની દીકરી એક અમેરિકનને પરણેલી, ને બંને ડૉક્ટર હતાં. એક વાર કૅથૅરીને શોમાને સમજાવેલું કે અમિતાનો જમાઇ અમેરિકામાં જેને  “બૉસ્ટન બ્રાહમિન” કહે છે તેમાંનો, એટલેકે  પેઢીગત કૌટુમ્બિક વારસાની તેમજ આભિજાત્યની દૃષ્ટિએ અમેરિકાના ઇતિહાસમાં જે ઉત્તમ ગણાય તેવા સામાજિક વર્ગમાંનો હતો. આ લોકો ખૂબ પૈસાદાર હોય, ખૂબ ભણેલા હોય, અને સાથે જ, “શો-ઓફ” કરવામાં, કે મોટાઇ બતાવવામાં ના માનતા હોય.

    આટલું સમજ્યા પછી શોમાને લાગતું કે અમિતા એના જમાઇ અને વેવાઇ-કુટુંબ પાસેથી ઘણું શીખી છે. બડાઇ મારવાને બદલે જાણે એ હવે એકદમ સાધારણ ભાવે દીકરીના ખબર આપતી. વળી, બહેનપણીઓનાં છોકરાંઓને વિષે રસ લેતી,  સાચી લાગણી બતાવતી. કૅથૅરીનનું ધ્યાન પણ આ ચેન્જ પર ગયું હશે, કારણકે એણે શોમાને કહ્યું હતું, મોટે ભાગે લોકો પાસેથી આપણે મોટી મોટી વાતો સાંભળવી પડતી હોય છે, પણ અમિતા બહુ સ્વીટ છે, એ એના ફેમસ જમાઇની વાતો પણ ભાગ્યે જ કરે છે.

    કૅથૅરીન પણ બહુ સ્વીટ હતી. એ ક્યારેય “તમે ઇન્ડિયન, તમે ઇન્ડિયન” કરીને બોલતી નહીં. એ હંમેશાં ક્યાંતો ‘બધા લોકો’, અથવા ‘આપણે બધાં’ કરીને જ વાત કરતી. પોતે કોઈ રીતે જુદી, કે વધારે હોંશિયાર છે તેવું ક્યારેય ના લાગે તેનો ખ્યાલ એ રાખતી. શોમાને થતું, કેટલાં બધાંએ કૅથૅરીન પાસેથી પણ સ્વભાવની ઉદારતા શીખવા જેવી છે.

    અમિતાને ત્યાં શોમા આગળથી પહોંચી ગઈ હતી. કૅથૅરીન પણ મદદ કરવા આવી ગઈ હતી. કોલ્ડ કૉફી અને સૅન્ડવિચની સાથે અમિતાએ ઢોકળાં અને પાપડ-પૌંઆ બનાવ્યાં હતાં, અને ફરસી પૂરી એ પટેલ બ્રધર્સની દુકાનમાંથી લઈ આવી હતી. સરસ રીતે બધું ગોઠવતાં ગોઠવતાં ફરી માયાની જ વાત નીકળી હતી.

    એ ત્રણેને નીલા પ્રત્યે સહાનુભૂતિ હતી. અમિતા કહે, દીકરી તો અહીં જન્મી એટલે એ પોતે તો અમેરિકન જ થઈ. તેથી એ અમેરિકનને પરણે તો પણ પૅરન્ટ્સને વાંધો ના હોવો જોઈએ.

    કૅથૅરીન કહે, અને ધારો કે ઇન્ડિયાનો ઇન્ડિયન હોય, તો પણ શું? જેવી દીકરીની ઇચ્છા. ખરું કે નહીં?

    અમિતા બોલી, હા, એ છોકરો કોણ છે, કેવો છે, શું ભણેલો છે -જેવી બાબતોની તપાસ તો કરવી જ જોઇએ, પણ ખરેખર તો, મૅચ્યૉર થયેલી દીકરી માટે મા-બાપે બહુ ચિંતા કરવાની ના હોય.

    શોમા કહે, ભઇ, આ તો મૉડર્ન જમાનો છે. મા-બાપે બધું જોઈ-કરીને પરણાવ્યાં હોય તો યે ભૂલ થયેલી લાગે છે ઘણી વાર. એના મનમાં ભોલીની જિંદગીનો સંદર્ભ તરી આવેલો, પણ એણે એ વિષે કશું કહ્યું નહીં.

    ત્યાં જ કૅથૅરીનને કશું સૂઝ્યું હશે, તેથી એ ફરીથી કહેવા લાગી, ‘મેં જોયું છે કે લગભગ બધાં કુટુંબોમાં છોકરાની વાઇફ ઇન્ડિયન હોય તેવી જ ઇચ્છા વધારે હોય છે. અહીં જો સારી, ડાહી, દેખાવડી ઇન્ડિયન છોકરી નજરમાં ના આવે તો દેશમાંથી શોધી લાવવામાં આવતી હોય છે.’

    જરાક શ્વાસ લઈને પછી એણે પૂછ્યું, ‘ઇન્ડિયાની ઇન્ડિયન છોકરી જો ડૉટર-ઇન-લૉ તરીકે બહુ ડિઝાયરેબલ ગણાતી હોય, તો ઇન્ડિયાનો ઇન્ડિયન છોકરો સન-ઇન-લૉ તરીકે કેમ ડિઝાયરેબલ નથી ગણાતો?’

    શોમા અને અમિતાએ એકબીજાની સામે જોયું, પણ બંને કશું કહી ના શક્યાં. કૅથૅરીન ઇન્ડિયન મૅન્ટાલિટીને  કેટલા ઊંડાણથી સમજતી હતી. ને એનો પ્રશ્ન એકદમ લૉજિકલ હતો, પણ કોઈ પણ રીતે એનો જવાબ આપવો સહેલો નહતો.

    એટલામાં જ બારણાની બૅલ વાગી. કૅથૅરીને જઈને બારણું ખોલ્યું. મંજુ હતી. એનો સ્વભાવ કહેલા સમયથી વહેલાં આવવાનો. આજે એનું ધ્યાન કૅથૅરીન, કે શોમા, કે હૉસ્ટૅસ અમિતા પર પણ નહતું. એના એક હાથમાં ઘરના બાગમાંથી ચૂંટેલાં ફૂલોનો ગુચ્છ હતો, અને બીજા હાથમાંના સૅલ ફોન પર એની વાતો ચાલુ હતી.

    ‘જા, જા, શું કહે છે, ખરેખર?’ એટલું કહેતાંમાં તો એનું  હસવું માતું નહતું. ના હોય. ખરેખર? હસતાં હસતાં એનો બીજો હાથ પેટ પર કે મોઢા પર જતો હતો. એ હાથમાંનાં ફૂલો ક્યારે નીચે પડ્યાં, ને વિખેરાઇ ગયાં તેની પણ એને ખબર નહતી.

    ફોન બંધ કરીને તરત એ કહેવા માંડી, ‘માયાની આખી વાત શું છે, ખબર છે? આ હમણાં કાંતાએ મને બધું કહ્યું.’

    પેલાં ત્રણે કશો રસ બતાવ્યો નહીં, પણ મંજુએ આગળ ચલાવ્યે રાખ્યું. ‘માયાને પેલા સ્થાનિક કન્નડ – કે મલયાલી – સાથે કેમ પરણવું છે – એટલેકે કેમ પરણવું હતું તે ખબર છે? એટલા માટે કે માયા એ બિચારાને મદદ કરવા માગતી હતી. પોતે અમેરિકન એટલે એને પરણીને પેલાને પણ અમેરિકાની સિટિઝનશીપ મળી જાય, ને એમ એની જિંદગી સુધરી જાય. પછી બંને છૂટાં પડી જાય, એવું માયાને કરવું હતું.’

    કૅથૅરીને તરત મુદ્દો ઉઠાવ્યો, કાનૂન પ્રમાણે આમ પરણવું ને છૂટાં થઈ જવું કાંઇ હવે સહેલું …

    મંજુએ એને ત્યાં જ અટકાવી. ‘અરે, તારા કાનૂનને હમણાં બાજુ પર રાખ. આખી વાત સાંભળ.’

    શોમાએ જોયું કે કૅથૅરીન ગંભીર થઈ ગઈ હતી. કદાચ ઉદાસ પણ. ગૉસિપમાં એ ક્યારે પણ રસ લઈ નહતી શકતી. અને બીજાંની વાત પર આમ હસવું ને એની મજાક કરવી તે એને બહુ ક્રુડ લાગતું હતું.

    એ તરફ મંજુનું ધ્યાન નહતું. એ બોલ્યે ગઈ, મૂળ વાત એમ છે કે માયાએ છાનાંમાનાં લગ્ન તો કરી પણ લીધાં છે. ને પાછાં ક્યારનાં યે.

    હવે તો અમિતા પણ સ્તબ્ધ થઈ ગયેલી.

    ‘અરે, માયા તો એના બીજા અમેરિકન બૉયફ્રૅન્ડ માઇકલને પરણી ગઈ છે. એ તો છેલ્લે એના જ પ્રેમમાં હતી, પણ એનજીઓમાં કામ કરતાં એને કોઈ સ્થાનિક છોકરાનું ભવિષ્ય સુધારવાનો વિચાર આવેલો.’

    ફરીથી મંજુ ખડખડાટ હસવા લાગી. કહે, પેલી નીલાડી એ જ લાગની છે. એણે છોકરીને રાજકુમારીની જેમ રાખેલી. હવે શું મોઢું બતાવે બધાંને?

    કૅથૅરીને ચૂપચાપ નીચે પડેલાં ફૂલોને ભેગાં કરવા માંડેલાં. એણે ગુચ્છ શોમાના હાથમાં આપ્યો, ને એ બારણા તરફ જવા માંડી. શોમાએ રોકવા પ્રયત્ન કર્યો, પણ એ ફીક્કું હસીને બહાર નીકળી ગઈ. એટલાંમાં બીજી બહેનપણીઓ અંદર આવવા લાગી. એ બધાંને ફરીથી મંજુ વિગતે માયાની અને નીલાની વાત કરવા લાગી. જોકે એના જેટલું બીજું કોઈ હસતું નહતું.

    શોમાને બહુ શરમ જેવું લાગતું હતું. એને થયું કે એ પણ જતી રહે. એ એક વાર કૅથૅરીનની પાછળ જોતી રહી, અને પછી ભેગી થયેલી સ્ત્રીઓ તરફ.

    અમિતા સમજી ગઈ હોય તેમ જરા દૂરથી એની સામે જોતી હતી. એણે આંખોથી જ શોમાને વિનંતી કરી, તું ના જતી રહેતી. પ્લીઝ. મારે ખાતર.

    શોમાએ બાજુના નાના ટેબલ પર રહેલા વાઝમાં ફૂલો મૂક્યાં, અને એમાં થોડું પાણી નાખવા રસોડા તરફ ગઈ. એણે જોયું કે ડાઇનિંગ રૂમના ટેબલ પર ગોઠવેલા છ-સાત ગ્લાસમાં કોલ્ડ કૉફી ગરમ થતી હતી, અને પ્લેટમાં મૂકેલી ચટણી સૅન્ડવિચ સૂકાતી જતી હતી.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.