વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વામા-વિશ્વ – કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગી

    આલેખનઃ અનુરાધા દેરાસરી

    એક આંગળીએ બે વર્ષનો દીકરો અને ગર્ભમાં બાળક તેટલી જ એને ખબર હતી, બાકી કારગીલ યુદ્ધ દરમ્યાનની ફરજ.

    ઘણી મહિલાઓએ ભારતના લશ્કરના ઇતિહાસમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. તેમાંથી કારગીલ યુદ્ધ વિજયની ગાથામાં સૌથી અગત્યનું નામ છે, યુદ્ધ વીરાંગના, યશસ્વી, કેપ્ટન, ‘યાશિકા હટવાલ ત્યાગી’

    ‘મને ફક્ત એટલું જ યાદ રહેતું કે હું ગર્ભવતી છું, બાકી બધી ગર્ભમાં રહેલા બાળકની જવાબદારી મેં ઇશ્વરને સોંપી દીધી હતી. કારણ કે, મારી પાસે વિચારવાનો કોઈ સમય જ ન હતો. કારગીલ યુદ્ધ છેડાઈ ચૂક્યું હતું, બધા કરતાં પહેલાં હું ફોજી ને તેની વર્ધી હતી અને ‘ભારત દેશનો વિજય’ અને ‘ત્રીરંગાની શાન’ મારી પ્રાયોરીટી હતી.’ આ શબ્દો છે, વીર અને બહાદુર કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગીના જે, કારગીલ યુદ્ધ મે, જૂન અને જુલાઈ દરમ્યાન થયું તે દરમ્યાન ૫ મહિનાથી ગર્ભવતી હતી. છતાં ફોજી વર્દીની ઇજ્જતને આગળ રાખી, તેમણે કારગીલ યુદ્ધમાં પોતાનું યોગદાન આપ્યું.

    સો સો સલામ, સેલ્યુટ વીર કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગીને. ફોકસ કરીએ યાશિકા હટવાલ ત્યાગીની પ્રેરણાત્મક, જીવન સફર પર…સાત વર્ષની યાશિકા, ઘરના દરવાજે ઊભી છે. ભારતીય લશ્કરની ટ્રકમાં રાષ્ટ્રધ્વજમાં લપેટેલો, ગેંદાના ફૂલોથી શણગારેલો, તેના પિતાજીનો પાર્થીવ દેહ આવે છે. જેઓ ભારતીય ૧૯૬૨, ૬૫ અને ૭૧ના યુદ્ધો લડી ચૂક્યા છે અને શહીદ થયા છે. પિતાજીના વર્દીના ફોટો જોઈ, સાત વર્ષની યાશિકા મનોમન દ્રઢ સંકલ્પ કરે છે કે હું પિતાજીની જેમ આ લશ્કરની વર્દી પહેરીશ. આ યાશિકા હટવાલ ત્યાગીના લશ્કરમાં જોડાઈ વર્દી પહેરવાના સપનાના બીજાંકુરણ.

    આ વર્દી પહેરવાના સ્વપ્નબીજને પ્રેરણાનું ખાતર સીંચતા રહ્યા યશસ્વીના માતાજી.

    તેત્રીસ વર્ષની નાની વયે વિધવા થયા અને ત્રણ છોકરીઓની ઉછેરની જવાબદારી મધ્યમ આર્થિક પરિસ્થિતિમાં, શિક્ષિકાની નોકરી સ્વીકારી, પતિની શહાદતને સન્માની દીકરીઓને પ્રેરણા અને શીખ આપતા રહ્યા કે, ‘પિતા હટવાલજીના મહિમા અને સન્માન વધારે તેવાં જ કાર્યો કરવા. કારણ કે તમે શહીદ કર્નલ હટવાલજીની દીકરીઓ છો. જીવનમાં આર્થિક સુખસગવડ કરતાં, ઉચ્ચશિક્ષણનું મહત્ત્વ વધારે છે અને જીવનમાં સૌથી આગળ ત્રિરંગા ને દેશની શાન છે.’

    માતાના આ પ્રેરણા ખાતરે, યાશિકાના વર્ધી પહેરવાના સ્વપ્નઓ પાક્યા કાંટલે ચડયા અને કોઈપણ રીતે ભારતીય લશ્કર સાથે જોડાવવું તે યાશિકા હટવાલે નક્કી કર્યું.

    શાળામાં આ સ્વપ્નના પ્રથમ પગથિયારૂપે યાશિકા કેડેટ તરીકે એનસીસીમાં જોડાઈ અને સારી નામના મેળવી યાશિકા જણાવે છે કે, એનસીસીની ટ્રેનીંગે તેની શારિરીક શક્તિ, દોડ વગેરે મજબૂત કરી અને સ્નાતક થઇ. યાશિકાએ આઈપીએસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું કારણ કે એ સમય સુધી મહિલાઓને ભારતીય લશ્કરમાં પ્રવેશ ન હતો.

    ૧૯૯૩માં યાશિકા સ્નાતક થઇ. એજ વર્ષે મહિલાઓને ભારતીય લશ્કરમાં પ્રવેશ આપવાનું નક્કી થયું અને યાશિકા હટવાલ હર્ષથી કૂદી પડી. તેના સ્વપ્નને પૂરતી સીડી મળી ગઈ. યાશિકાએ આર્મી ઓફિર્સસ માટેની પરીક્ષા આપી, તેણે પસંદગી પામી અને યાશિકા હટવાલની ટ્રેનીંગ શરૂ થઇ.

    યાશિકા હટવાલના શબ્દોમાં જ જોઇએ તો, ‘આ ક્ષેત્ર પુરુષોના વર્ચસ્વવાળું હતું. બહુ પુરુષો વચ્ચે અમે જૂજ મહિલાઓ ટ્રેનીંગમાં હતા. દરેક ટ્રેનીંગમાં હું પ્રથમ આવતી. જે મારા પુરુષ કલીંગ્સને જચતું ન હતું. મારી દોડ પાક્કી હતી. હું કાયમ પ્રથમ આવતી. એક વખત દોડતા સમયે હું પીરીયડમાં હતી. મારા ટોપ પર દોડને કારણે વધારે બ્લીડીંગ થવાથી લાલ ડાઘા શરૂ થયા. મારા પાછળના કલીંગે (જે બીજો આવતો) તેણે ધ્યાન દોર્યું પણ મેં એટલું જ કહ્યું, ઇટ્સ ઓકે, ઇટ ઇઝ રુટીન. અને એ દિવસે પણ હું પ્રથમ જ આવી. (કેટલી બધી સહજ રીતે સ્ત્રીના માસિકનો સ્વીકાર !) ટ્રેનીંગમાં સીલ્વર મેડલ સાથે ‘યાશિકા હટવાલ ત્યાગી’ પ્રથમ આવી અને તેને ફોજીની વર્દી મેડલ સાથે પહેરાવવામાં આવી, અને યાશિકા આરમી અફસર બની. અને તેનું ફોજી વર્દી પિતાજી જેવું સ્વપ્ન પૂરું થયું.’

    યાશિકાનું પ્રથમ પોસ્ટીંગ નોર્થઇસ્ટ આસામમાં થયું યાશિકા હટવાલને લશ્કરી લોજીસ્ટીક અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી. અહીં, તેણે સાથી કેપ્ટન ત્યાગી સાથે લગ્ન કર્યા અને રીહીનો ઓપરેશન વખતે ગર્ભવતી બની. પણ જરાય ગભરાયા વગર

    ફરજ બજાવીને દીકરાને જન્મ આપ્યો.

    આ દરમ્યાન યાશિકા હટવાલ ત્યાગીનું પોસ્ટીંગ ૧૮,૦૦૦ હજારની ઊંચાઈ આવેલા કારગીલમાં લોજીસ્ટીક લશ્કરી અધિકારી તરીકે થયું.અહીંથી જ ખરી શરૂ થાય છે, કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગીની ગ્લોરીયસ લશ્કરી સફરની વાત.

    ૧૯૯૫માં પોસ્ટીંગ થયા પછી બે વર્ષના દીકરા સાથે તે બીજી વખત ગર્ભવતી બની અને બીજું ટ્રાયમીસ્ટર શરૂ થતા કારગીલનું યુદ્ધ જાહેર થયું, તે વખતે યાશિકાને ગર્ભવતી તરીકેનો ચોથો મહિનો ચાલતો હતો.

    આટલી કારગીલની ઉંચાઈએ લોજીસ્ટીક અધિકારી તરીકે ફરજ બજાવનાર પ્રથમ મહિલા હતી, આથી હોસ્પિટલમાં કોઈ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હતા નહિ કે, તેને સલાહ આપે યુદ્ધ દરમ્યાન ફરજ બજાવવી કે નહિ કે ટ્રાન્સફર લેવી. પરંતુ આખરે તો યાશિકા કર્નલ હટવાલની દીકરી અને કેપ્ટન ત્યાગીની પત્ની હતી, તેણે ક્ષણનો પણ વિચાર કર્યા વગર, કારગીલથી સીયાચીન સુધના વિસ્તાર માટે લોજીસ્ટીક અધિકારી તરીકે ફરજ બજાવવાનું નક્કી કર્યું, જે ડયુટીના કલાકો, ચોવીસે કલાક હતા.

    ફરી સો સો સેલ્યુટ ટુ યાશિકા હટવાલ ત્યાગી આગળના શબ્દો પ્રમાણે એક આંગળીએ બે વર્ષનો દીકરો અને ગર્ભમાં બાળક તેટલી જ એને ખબર હતી, બાકી કારગીલ યુદ્ધ દરમ્યાનની ફરજ.

    યાશિકા હટવાલ ત્યાગીની એકબાજુ ફરજ હતી અને બીજી બાજુ ગર્ભવતી તરીકેની મુશ્કેલીઓ. બે ગાજ્યા તેણીએ સમતુલ રાખવાના હતા.

    યાશિકા હટવાલ ત્યાગીની પ્રથમ મુશ્કેલી હતી. ઊંચાઈ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ હવા ખૂબ પાતળી એટલે ઓક્સિજનનું પ્રમાણ ઓછું. આથી તેને મુશ્કેલી પડતી તો ગર્ભસ્થશિશુની શું વાત ! ૩ શક્યતા હતી. એક બાળક ઓછા ઓક્સિજન અભાવે વિકસીત ના આવે, ગર્ભ ના રહે અથવા સામાન્ય પ્રસુતિ થાય. યાશિકા કહે છે મને કઇ પરિસ્થિતિમાં રાખવી તે મેં ઇશ્વર પર છોડયું હતું, પરંતુ હું મારી વર્દી અને ફરજને વળગી રહીશ, જે થવાનું હોય તે થાય.

    સીયાચીન અને દ્રાસમાં ઉનાળાના દિવસો હતા, છતાં તાપમાન માઇનસમાં રેહતું, ઠંડી એટલી કે ફોજી વર્દી. ઉપરાંત તેને શરીર પર ગરમ કપડા પહેરવા પડતા છતાં ઠંડી લાગતી જે ગર્ભશિશુ પણ ઠરી જતું.

    આ ઉપરાંત પ્રથમ અઠવાડીયું, ડીપાર્ટમેન્ટમાં ચોવીસ કલાકની ડયુટી રહી એ સમયે ખાવાના ઠેકાણા ન હતા. જે મળે તેનાથી ફોજીઓને ચલાવી લેવું પડતું. યાશિકા હટવાલ જણાવે છે કે સામાન્ય રીતે પ્રસુતિકાળ દરમ્યાન ગર્ભવતી મહિલાઓ પૌષ્ટીક ખોરાક, આર્યન, કેલશીયમયુક્ત ખોરાક ખાય. પરંતુ અમારે તો બે વખતના ભોજનની જ સગવડ ન હતી. હેલ્કીપોટ્ર દ્વારા જે ફુટ પેકેટ મળતા તે ખાઈ લેતા કારણ કે મુખ્ય માર્ગ દુશ્મનોએ રોકેલો હોવાથી ફુડ ટ્રક્સ આવી શક્તી ન હતી.

    લોજીસ્ટીક અધિકારી તરીકે બૂટથી માંડી કોફીન સુધીની વસ્તુઓ માટે સૈનિકને પૂરી પાડવી પડતી. હું જ્યારે કોફીન માટે સાઇન કરું ત્યારે હંમેશા મને વિચાર આવે કે આ કોફીન દ્રાસમાં કારગીલ યુદ્ધ લડતા મારા પતિ માટે તો નહીં હોય ને ! પરંતુ તરત જ વિચાર ને હટાવી દેતી એ વખતે મારો દીકરો મને હિંમત આપતો, હમ જરૂર જીતેંગે મા.

    આવી અનેક મુશ્કેલીઓની સરહદ પર લડીને કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગીએ કારગીલ યુદ્ધના વિજયમાં વિજયી ફાળો આપ્યો.

    એક બહાદુર વીરાંગના માટે આનાથી વધુ શું લખી શકાય.

    આજે તેઓ નિવૃત્ત થઇ, મોટીવેશનલ સ્પીકર બન્યા છે, સામાજિક સેવા આપે છે અને યુવતીઓને લશ્કરમાં જવાની પ્રેરણા આપે છે. તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થયું છે.

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : સરયૂ દિલીપ પરીખ – મારી સફર… [૨]

    સરયૂબેન પરીખની જીવન સફર આપણી યાત્રાના પહેલા પડાવમાં આપણે તેમનાં બાળપણ, તેમનાં માતુશ્રીનાં વ્યક્તિત્વનો તેમના પર પ્રભાવ અને દિલીપભાઇ સાથેનાં તેમનાં લગ્નના તબક્કાઓ થી અવગત થયાં.
    હવે આગળ …

    ૪. અમેરિકામાં આગમન…

    લગ્ન પછી, અમદાવાદના પાંચ ઓરડાનાં ઘરમાં નવા પરિવારના અગ્યાર સભ્યોની સાથે, મે-જૂનની ગરમીમાં રહેવાનો ‘લ્હાવો’ મળ્યો. એ અનુભવને લ્હાવો માનીને મેં આવકાર્યો હતો. હનીમૂન પર જવાની વાત નીકળતા મેં ના ભણી હતી. પરંતુ સાથે મુસાફરી કરવાની તક અનાયાસ મળી હતી. દિલીપે આવતા પહેલાં ન્યૂયોર્કથી મોટું shipment રવાના કર્યું હતું તેને લેવા અમદાવાદથી મુંબઈ ગયાં હતાં. ઘરમાં આવેલી અનેક સુંદર વસ્તુઓથી ખુશ થઈ દિલીપને વિંટળાતા કુટુંબને જોવાનો મને અનેરો આનંદ હતો. આપણા ભારતીય સમાજમાં સાસરે જતી કન્યાને, ‘પતિના પરિવારને પોતાનો માનવો’ એ સલાહ-સમજ અનન્ય હોય છે. એ સમયે મને એક વાર્તાલાપ યાદ આવતો. સોળ વર્ષની સરયૂને તેનાં મામીએ પૂછ્યું, “મોટી થઈને તું શું કરીશ?” ભોળી કિશોરીનો જવાબ હતો, “હું સુખી થઈશ…અને સુખી કરીશ.” એ વાક્યને યથાર્થ કરવાનો સમય આવી ગયો હતો. સ્વભાવ અને લાગણીનાં ઉતાર ચઢાવનાં અવરોધો આવે, પણ ઊંડે અંતરમાં સ્નેહનું ઝરણું સતત વહેતું હોય ત્યાં સંબંધ તૂટતા નથી…અને બાકીના…શુષ્ક થઈ ઓસરી જાય છે.

    ક્યાંનો પરિચય, શું છે સગા, પ્રશ્નો પૂછ્યાનો કોઈ અર્થ નહીં.
    સ્નેહ તાર સંગતમાં ઝણઝણે, કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.

    ત્રણ મહિનામાં મને અમેરિકા આવવા માટે Green Card પરવાનગી મળી ગઈ. પહેલી વખત એરોપ્લેનમાં મુસાફરી!!! મેં ભારતમાં એકલા મુસાફરી ઘણી કરેલી તેથી આ નવા રોમાંચક અનુભવ માટે ઉત્સાહિત હતી. એ સમયે માતા-પિતા અને ભાઈ-ભાભી ભાવનગરના ઘર ‘ગંગોત્રી’માં સાથે હતાં…તેથી છોડીને આવવાના દુઃખ કરતા દિલીપ પાસે જવાનું આકર્ષણ જોરદાર હતું. ઉડાન દરમ્યાન હસવાની વાત એ હતી કે  Air Franceમાં જાહેર સૂચનાઓ એકેય ભાષામાં સમજાતી નહોતી, તેથી દેશી લોકો એકબીજાને જોઈ લેતા અને અનુસરતા. ન્યૂયોર્કના વિશાળ એરપોર્ટ પર, સિલ્કની લીલા રંગની સાડીમાં, ત્રેવીસ વર્ષની સુંદર સરયૂને જોઈને દિલીપને એની છબી દોરવાની ઉત્તેજના થઈ. સાથે દિયર સંજયભાઈ હતા, જે બે મહીના પહેલાં વિદ્યાર્થી તરીકે ભારતથી આવી ગયા હતા. દિલીપની વોક્સવેગન-બગમાં કલાકની સફર કરી, Princeton, NJના મજાના એક-બેડરુમવાળા એપાર્ટમેન્ટમાં પહોચ્યાં.

    ઓક્ટોબરની ગુલાબી ઠંડીમાં સર્વ અજબ-ગજબ અને આનંદમય લાગતું હતું. એક મોટા બોક્સ જેવું ટેલિવિઝન હતું. અહા! black/white કેટલું સરસ દેખાય છે! અમારા એક સમજદાર મિત્ર તેની ભલી પત્નીને કહેતા, ‘color ટેલિવિઝન તો ધાબા ધાબા જેવું દેખાય. આ જ સરસ.’ નિત્યક્રમ શરૂ થયો. વહેલા ઊઠી દિયરનું લંચ તૈયાર કરું, અને દિલીપ તેમને ન્યૂયોર્ક જતી બસ પર મૂકીને પોતે નોકરી પર જાય. હું ઘરે એકલી. થોડા દિવસોમાં એક નવી ઓળખાણ થતાં, તેમણે અંગ્રેજી સુધારવા  soap opera જોવાનું માર્ગદર્શન આપ્યું. રજાના દિવસે થેલીઓ લીધા વગર સ્ટોરમાં ખરીદી કરવા દિલીપ કારમાં લઈ ગયા. વાહ! જે જોઈએ તે જાતે ઉપાડી લેવાનું! ‘આટલું જોખી આપો’ એવી રાહ નહીં જોવાની. દિલીપ કહે, ‘pancake સરસ લાગે. બોક્સ પર લખેલી રીત પ્રમાણે બનાવજે.’ રવિવાર સવારે વહેલા ઊઠી ઉમંગથી તૈયારી કરી. અમે ઈંડા સિવાય શાકાહારી. સૂચના પ્રમાણે કર્યું, પણ છેલ્લા પગથિયે ગરમ પાનમાં બધું ખીરું રેડી દીધું. આમ પેનકેક ને બદલે  ઢીલી પોચી કેક બની ગઈ.

    મારાં જેઠ કિરીટભાઈ, Boston, Massachusettsમાં M.S. કરતા હતા. તેઓ પ્રિન્સટન આવ્યા…તેમની સાથે પહેલી મુલાકાત, પહેલી ક્રિસમસ, બરફના ઢગલા…તેમાં ખુલ્લામાં પાર્ક કરેલી કાર પર બરફ ખસેડવાની ક્રિયા કરતાં પડવા-આખડવાનું, અને ક્યારેક ચાલુ થતા…ડચકા ખાતી કારની સેવા અમે બધાં મળીને કરતાં રહેતાં. બે વર્ષ પછી થયેલો અનુભવ યાદ કરું… નોકરી પર કાર-ડ્રાઇવ કરવાનો મારો વારો હતો. આખા દિવસની બરફવર્ષાથી વોક્સવેગન-બગ સફેદ ગુફા જેવી હતી તેમાં બે બહેનપણીઓ ગોઠવાઈ ગઈ. મેં તો થોડો કાચ સાફ કરી ડ્રાઈવ કરવાનું શરૂ કર્યું. રસ્તો પણ સરખો દેખાતો નો’તો. પછી તો…બિનઅનુભવી ડ્રાઈવરને બરાબરની બીક લાગી. બરફમાં સીધી ચાલતી કાર ક્યારે બીજી દિશામાં ફરી જશે તે ખબર ન પડે. એવામાં સલામત રહ્યાં તે દૈવી કૃપા!! એ અરસામાં, હિંદી ગીતોની જગ્યાએ “I never promised you a rose garden…” “I never going to be in love with anyone but you…” જેવાં ગીતોએ સ્થાન લીધું. ન્યૂજર્સીમાં હિંદી મુવી જ્યાં બતાવે ત્યાં…વરસાદ હોય કે બરફ, મારા આગ્રહને લીધે જોવા જવાનું જોખમ ખેડ્યું હતું.

    મારી એક એ અણસમજ હતી કે, ‘બહુ વર્ષો ભણી. હવે કોલેજમાં વધારે નથી ભણવું.’ તેથી ‘કમ્પ્યુટર’નો ચાર મહિનાનો કોર્સ કરવાનું નક્કી કર્યું. એ સમયે એન્જિનિયરનો પગાર લગભગ હજાર ડોલરનો હતો. તો પણ, મારાં કમ્પ્યુટરના અભ્યાસ માટે $૧૬૦૦ ડોલર ખર્ચવા યોગ્ય લાગ્યા. હાથમાં પ્રમાણપત્ર આવ્યું, પણ, ‘No experience, No job’ વમળમાં અટવાતી રહી. સમય પછી લાગ્યું કે, આ દેશમાં આવીને સરખો અભ્યાસ કરીને યોગ્ય degree લેવી જરૂરી છે…shortcut નહીં. એ સમયે ભારતના સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓની જેમ, અમેરિકામાં કમાઈને દેશમાં પૈસા મોકલવાની જવાબદારીઓ અને નૈતિક ફરજની લાગણી સતત રહેતી. પોતે કમાઈ ને પોતાના માટે જ વાપરવું, તેવું અંતર-અવાજ કરવા જ ન દે.

    ૧૯૭૦ પછીના થોડા વર્ષો…જ્યારે એન્જિનિઅરોને મોટી સંખ્યામાં નોકરીમાંથી (lay-off) છૂટા કરતા, તેમાં દિલીપનો પણ વારો આવી ગયો. ચિંતાજનક પરિસ્થિતિ હતી, એ કાળમાં સરયૂ-દિલીપને એક બીજામાં ધીરજ અને સ્થિરતાનો પરિચય થયો. જે કામ મળે તે કરવાનું મેં નક્કી કરી, ઈલેક્ટ્રિક સોકેટ બનાવવાનું કામ કલાકના $૧.૬૦ના દરથી, દિલીપની અનિચ્છા છતાં સ્વીકાર્યું. પહેલે દિવસે મશીન પર બેસી અભણ લાગતી બહેનો પાસે કામ શીખી. ઘરે જવાનાં સમયે મને હાથમાં સાવરણો પકડાવી મશીન આસપાસની જગ્યા સાફ કરવાનું કહ્યું…ત્યારે, દેશમાં પ્રવૃત્તિઓમાં પહેલી હરોળમાં રહેનાર અને PhD. કરતી સરયૂની ધીરજનો અંત આવી ગયો. બહાર આવી, કારમાં રાહ જોતા દિલીપ પાસે અનાયાસ રડી પડી!!! દિલીપ કરુણ ભાવથી તેને સાંત્વના આપતા કહે, “બસ, કાલથી આ નોકરી બંધ.” પણ, નવો દિવસ અને નવો વિશ્વાસ…આઠેક મહિના ત્યાં, પછી ઓફીસમાં કલાકના ૨ ડોલરમાં કામ કર્યું. દિલીપ પણ નોકરી કરતા હતા અને એન્જિનિયરની નોકરી શોધતા હતા. આવા સમયમાં અન્યોન્યનો સાચો પરિચય થાય છે. પણ હજી વધુ કસોટી તો આવી રહી હતી.

    ૧૯૭૧માં દિયર ભારત જઈ લગ્ન કરી આવ્યા અને અમે પ્રિન્સટનના બે-બેડરૂમનાં એપાર્ટમેન્ટમાં ચાર  ગોઠવાયાં. એ દિવસ યાદ છે જ્યારે મને ખાંસી આવતી હોવાથી તપાસ કરાવવા ગયા. નસીબ સારા કે ડો.ટેઈટ મળ્યા, જે ચેપી રોગોના નિષ્ણાત હતા. ‘ટેસ્ટના પરિણામ જણાવશું’ એ સાંભળી અમે બહાર નીકળ્યાં. સાંજનો સમય, દિલીપ મુનિભાઈને, જેમને રોટરી ક્લબ તરફથી ચાર મહિના માટે Exchange Programમાં અમેરિકા આવવાની તક મળી હતી, એરપોર્ટથી લઈને આવ્યા હતા. ત્યાં ફોનની ઘંટડી વાગી અને “સરયૂ, તમને tuberculosis છે.” તેમ કહ્યું. મેં આંસુનાં પડદા પાછળથી જોયું તો મારી સામે દિલીપ, મુનિભાઈ ચિંતા ભરી નજરે જોઈ રહ્યા હતા. તરત હોસ્પિટલમાં, quarantine, એકાંત રૂમમાં દાખલ કરવામાં આવી, જ્યાં અંદર આવનારની આંખો જ દેખાય. એકલતા કેવી હોય તેનો અનુભવ થયો. ચિંતા કરતાં સ્વજનોને માટે શાતા આપતી એક સારી વાત બની. બીજે દિવસે જ એક ભાવનગરના મિત્ર, ડો.ભટ્ટી મળવા આવ્યા અને તેમણે ટીબીના બિહામણા સ્વરૂપને મઠારીને સમજાવ્યું. તેથી મુનિભાઈ થોડી ઓછી ચિંતા સાથે ભારત પરત ગયા, અને દિલીપમાં હિંમત આવી. હંમેશા સંતુલિત રહેનાર સરયૂને એ સમયે, ‘દિલીપનું લંચબોક્સ બરાબર તૈયાર નહીં થતું હોય’ એવા નાના વિચારથી પણ આંસુ ઉભરાતાં. પચ્ચીસ વર્ષની આયુમાં પહેલી વખત પરદેશની હોસ્પિટલમાં પંદર દિવસ રહ્યા પછી, ભવિષ્ય કેવું રહેશે તેની શંકા સાથે હું ઘરે પાછી આવી. આ અનુભવ દરમિયાન, દિલીપમાં મને વિશ્વાસની અનુભૂતિ થઈ. એકબીજામાં શ્રધ્ધાનો ભાવ સ્થિત રહેવા માટે દ્વિપક્ષી પરિપક્વતા જરૂરી છે.

    નવી કાર, વાદળી રંગની ‘ડસ્ટર’, એકાદ વર્ષ પહેલા દિલીપે ખરીદેલી તે લઈને સંજયભાઈ અને તેમના પત્ની નોકરી પર જતાં હતાં…અને સખત અકસ્માત થયો. બંને ઘાયલ થયાં પણ સદભાગ્યે બચી ગયાં. કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેઓની સંભાળ લીધા પછી દિવાળી વખતે અમે ભારત ગયા.

    ત્રણ વર્ષ પછી ભારત ગયા તો ખરા, પણ મળવા માટે. ભારતમાં Microelectronicsમાં નોકરી મળવાની શક્યતા ઓછી અને બાળકો થયા પછી, ત્યાંની શાળાઓની શિક્ષણ પદ્ધતિની અવ્યવસ્થાએ અમને હંમેશને માટે દેશમાં પાછા ફરતાં રોક્યા હતાં. જે મિત્રો ભારત જઈને રહ્યાં…તેમના કિશોર સંતાનોને અમેરિકા ભણવા આવવાની મુશ્કેલી લાગતાં, માબાપ પર નારાજ થતાં જોયા હતા.

    ૫. કેલિફોર્નિયા તરફ પ્રયાણ…     

    ૧૯૭૩માં અમે ચારે જણા ન્યૂજર્સીમાં કામચલાઉ નોકરી કરતાં હતાં. દિલીપે પોતાના અભ્યાસ અને અનુભવને યોગ્ય નોકરી શોધવાનો નિશ્ચય કરી, કામચલાઉ નોકરી છોડી દીધી. એ પછી, એક પછી એક કદમ અજાણ અને અનિશ્ચિત પથ પર મૂકવાનું સાહસ કર્યું…એકાદ આશાસ્પદ નોકરીની શક્યતાના આધારે પ્રિન્સટનથી, ત્રણ હજાર માઈલ દૂર કેલિફોર્નિયા દિલીપે એકલા ડ્રાઈવ કરીને જવાની વિચારણા કરી. જુલાઈ મહિનામાં, એરકન્ડિશન વગરની કારમાં સામાન ભરી દિલીપે સફર શરૂ કરી. અણધારી મુશ્કેલીઓ આવી તેનું દિલીપની સમય સૂચકતાથી નિરાકરણ થઈ ગયું. તેને Texas Instrumentમાં નોકરી મળી, પણ તેની યોગ્યતા અનુસાર નહોતી, તેથી હિંમત કરી ના પાડી અને આગળ અજાણ ભવિષ્ય તરફ મુસાફરી ચાલુ રાખી. પ્રયત્ન કરનારને નસીબ યારી આપે તેમ… દિલીપે પસાર થતાં, Anaheim, Californiaમાં  Rockwell International કંપનીનું નામ વાંચ્યું. વાગ્યું તો તીર, નહીં તો થોથું…એ વિચાર સાથે બીજે દિવસે ગયા. ‘સરકારી કામ, તેથી અમેરિકન નાગરિકને જ નોકરી મળે,’ કહેતી પહેલી ‘ના’ મળી, પણ સાથે સૂચના મળી…બાજુના Divisionમાં પ્રયત્ન કરો. ત્યાં બીજી ના…“લંચ સમય છે તેથી કોઈ નહીં મળે, પણ આ ફોર્મ ભરીને ટપાલમાં મોકલજો.”

    દિલીપે કહ્યું કે, “હું ન્યૂજર્સીથી આવ્યો છું. અહીં બેસીને જ ફોર્મ ભરી દઉં.” કોણ જાણે ગાર્ડને શું વિચાર આવ્યો અને તે અંદર ગયો. વળતા એક મેનેજર સાથે બહાર આવ્યો. દિલીપના પ્રમાણપત્રોથી મેનેજર ઘણા પ્રભાવિત થયા અને કહ્યું કે, “અહીંથી તમને નોકરી આપ્યા વગર નહીં જવા દઉં.”

    જેને માટે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે શુભ સમાચાર દિલીપે અમને પ્રિન્સટનમાં આપ્યા, “Microelectronics Physicist/Engineer” તરીકે નોકરી મળી ગઈ છે… અને સામે મેં પણ શુભ સમાચાર આપ્યા કે અમે માતા-પિતા બનવાના છીએ. જેમ નસીબ આગળથી પાંદડું ખસે અને વાર્તા બદલાય તેમ અમારા જીવનમાં યોગ્યતા પ્રમાણે ઉત્કર્ષની હારમાળા શરૂ થઈ.

    ન્યૂજર્સીમાં ચાર વર્ષોમાં જ્યાં રહ્યાં ત્યાં હંમેશા સારી, સુઘડ જગ્યાઓમાં રહ્યાં હતાં. પણ, ૧૯૭૪ના એ સપ્તાહમાં… દીકરી સંગીતાનો જન્મ, અને Disneyland નજીક નવા ઘરની ખરીદી…એક જ સમયે થઈ. દિલીપના પ્રયત્નથી સંજયભાઈને પણ રોકવેલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી તેથી તેઓ નજીકમાં રહેતા હતા. બંને ભાઈઓને એકબીજાનો ટેકો હંમેશા રહ્યો. સંગીતા બે મહિનાની હતી ત્યારે ભારતથી પપ્પા-અમ્મીને અહીંની મુલાકાત માટે બોલાવ્યાં. મજાનું ઘર જોઈ વળ્યાં, જેનો આનંદ પપ્પા-અમ્મીનાં ચહેરા પર ઝળકતો હતો… ‘પરીખ માલિકીનું પહેલું ઘર!’ પછીનાં ચાર મહિના–દરેક શની-રવિ…એક કારમાં છ મોટા અને ખોળામાં સંગીતા સાથે ફરવાનું થયું. પપ્પાને Sequoia National Park અને Yosemite National Park લઈ ગયા ત્યારે તેમનું કવિ હૃદય ડોલી ઉઠ્યું,

    શુભ્ર આ સ્વર્ગ સૃષ્ટિ

      (અમેરિકાનું અંશદર્શન)

    જોયું  જોયું  પૃથવી  પરનું સ્વર્ગ મેં આજ જોયું
    ખોયું  મારું  સ્વપ  મધુરું  સાંચવ્યું’તું  અધુરું
    લાંબા લાંબા સમય થકી તે; આજ પ્રત્યક્ષ જોયું….

    પાંચ છંદોમાં, ૧૨૦ પંક્તિઓમાં લખાયેલ આ ખંડ-કાવ્ય અદ્‍ભૂત છે.

    “અગરબત્તી અને બીજા કાવ્યો”  લેખકઃ કૃષ્ણકાંત પરીખ.

    એક જ કમાનાર પર નોકરી છૂટી જવાની લટકતી તલવાર ચમકતી રહેતી. પરંતુ ટૂંક સમયમાં જ દિલીપની કુશળતાની કદર થઈ અને તેને મેનેજરનો ઊંચો હોદ્દો મળ્યો. બે વર્ષમાં સમીરના જન્મ સાથે પરિવારમાં પૂર્ણ સંતોષ અને આનંદની લાગણી છવાઈ ગઈ.

    અમેરિકામાં પસાર થયેલા પાંચ વર્ષમાં…નવજીવન, નવસાથી સાથે સાત પગલાં, નોકરી છૂટી જતાં કોઈ પણ ટેકો આપનાર નહીં અને મોટી માંદગી સામેની લડાઈમાં ઉત્તીર્ણ થઈને…જાણે કેલિફોર્નિયાના સ્વર્ગમાં પ્રવેશ મળ્યો.

    ડોલરની દુનિયામાં ઘણા પાઠ મળ્યા. Real Estateમાં મૂડીરોકાણમાં સમજ આવતા, મોટી કંપની પર વિશ્વાસ કરી, (escrow) સ્વતંત્ર એજન્સીમાં ડોલર મૂક્યા…જે લુચ્ચી સ્ત્રીએ હડપ કર્યાં અને અંતરધ્યાન થઈ ગઈ. અમારી લાલચી વૃત્તિ ન હોવાથી મોટી મુશ્કેલી ન આવી.


    ક્રમશઃ

  • સેંગોલ : સત્તા હસ્તાંતરણનું ઐતિહાસિક પ્રતીક

    માહિતી જંક્શન

    ‘માહિતી જંક્શન’  લેખમાળાનાં લેખિકા લેખન ઉપરાંત બ્લૉગિંગના ક્ષેત્રે પણ સક્રિય છે.

    તેમની વેબસાઈટ, Vishakha Info પર માહિતીસભર બ્લોગ લખે છે. તેમજ શોપિઝન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ‘નોલેજ ગાર્ડન’ અને ‘માહિતી મંચ’ નામક બુકનાં લેખિકા છે. આ પુસ્તકો Amazon અને  Flipkart પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૬૦ કરતાં પણ વધારે બુકમાં સહલેખક તરીકે હિન્દી અને અંગ્રેજી ભાષામાં લેખો લખેલ છે. નવનીત સમર્પણ તેમજ બુદ્ધિપ્રકાશ સામયિકમાં લેખો પ્રકાશિત થયેલ છે. ગાંધીનગર ખાતેનાં હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર (HCRC) તરફથી લેખન માટેનો “અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ” – ૨૦૨૨ મળેલ છે.

    ‘માહિતી જંક્શન’  લેખમાળાના માહિતીસભર લેખો લગભગ દરેક વિષયોને આવરી લેતા લેખો હશે જે અમુક જાણી – અજાણી રસપ્રદ માહિતી હળવી શૈલીમાં રજૂ કરશે. લેખમાળામાં રજૂ થનારા લેખોના વિષયોમાં – ઇતિહાસ, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન – ટેક્નોલોજી, માયથોલોજી, પર્યાવરણ, વ્યક્તિ વિશેષ, કલા – સાહિત્ય વગેરે તેમજ અન્ય એવા વિષયોના લેખો હશે જે લોકોને કંઈક નવીન માહિતી આપતું હોય. લેખની સાથોસાથ લેખના વિષયને લગતો ફોટો પણ હશે જેથી વાચકોને ખ્યાલ આવે.

    ‘માહિતી જંક્શન’  લેખમાળા દર મહિનાના બીજા મંગળવારે પ્રકાશિત કરીશું.

    વેબ ગુર્જરી પર આ લેખમાળા શરૂ કરવાની સહમતિ સંપાદક મંડળ સુશ્રી વિશાખાબહેન મોઠિયાનો આભાર માને છે. તે સાથે આ લેખમાળા વેબ ગુર્જરી પર શરૂ કરવાની પહેલ માટે ગદ્ય વિભાગનાં સંપાદક રાજુલબહેન કૌશિકની પહેલનાં યોગદાન આપણે સાભાર નોંધ લઈએ છીએ.

    વેબ ગુર્જરી, સંપાદક મંડળ


    સેંગોલ : સત્તા હસ્તાંતરણનું ઐતિહાસિક પ્રતીક

    વિશાખા મોઠિયા

     તા. ૨૮મી મે, ૨૦૨૩ ના રોજ વડાપ્રધાનના હસ્તે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, અને એની સાથે સદીઓ જૂની એક ઐતિહાસિક પરંપરા પણ ફરી પાછી પુનર્જીવિત કરવામાં આવી હતી. આ પરંપરાએ આપણા દેશની આઝાદી વખતે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયામાં પણ બહુ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો, જે ચોલ વંશના રાજાઓ દ્વારા નિભાવવામાં આવતી હતી. તોતો ચાલો જાણીએ – તમિલ પરંપરાના પવિત્ર  સેન્ગોલ વિશે, સાથે જાણીશું તેનો પરિચય, ઈતિહાસ અને દેશની આઝાદીના પ્રક્રિયામાં કઈ રીતે મહત્વપૂર્ણ ભાગ ભજવેલ તેમજ અન્ય વિશેષ બાબતો.

    સેંગોલનો પરિચય

    સેંગોલ શબ્દ તમિલ શબ્દ “સેમ્મઈ” માંથી આવેલ છે, જેનો અર્થ ધર્મ, સચ્ચાઈ અને નિષ્ઠા થાય છે. સેન્ગોલ એ એક પ્રકારનો રાજદંડ છે, જે નીતિપરાયણતાનું પ્રતીક છે. તે રાજાની શાસન શક્તિ અને સર્વોપરિતા દર્શાવે છે. સેંગોલનાં અન્ય અર્થ વૈભવ, સંપદા, સંપન્નતા, નિષ્પક્ષતા તેમજ ન્યાયપ્રિય શાસન પણ થાય છે.

    ચોલ વંશના સામ્રાજ્યમાં, જ્યારે એક રાજા બીજા રાજાને સત્તા સોંપતા, ત્યારે સત્તા સોંપણીના પ્રતીક રૂપે તે રાજાને આ સેંગોલ આપવામાં આવતું. આ સેંગોલ રાજગુરુઓ – મહંતો દ્વારા આપવામાં આવતું. ચોલ સામ્રાજ્ય સિવાય આ પરંપરા અન્ય વંશોમાં પણ પ્રચલિત હતી. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સત્તા હસ્તાંતરણનાં ભાગ રૂપે, ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ની રાતે આ પવિત્ર સેંગોલ જવાહરલાલ નહેરુજીને આપવામાં આવ્યું હતું. આથી સેંગોલ એ અંગ્રેજો દ્વારા ભારતને સત્તા સોંપવાનું પ્રતીક બની ગયું.

    ઈતિહાસ :-

    સેગોલને રાજદંડ કહેવામાં આવે છે, જે નીતિપરાયણતાનું પ્રતીક છે. આ સેંગોલ ભગવાન શિવનું આહ્વાન કરીને રાજપુરોહિતો દ્વારા રાજાને સત્તા સોંપતી વખતે આપવામાં આવતું. જેમ રાજ્યાભિષેક સમયે રાજાને રાજતિલક કરવામાં આવે તેમ, આ સેંગોલ સોંપવામાં આવતું. વૈદિક પરંપરામાં સત્તાનાં બે પ્રતીક હોય છે : રાજસત્તા અને ધર્મસત્તા. રાજસત્તા માટે  રાજદંડ રાજાને આપવામાં આવતો, જ્યારે ધર્મસત્તા માટેનો ધર્મદંડ રાજપુરોહિતો કે ગુરુને આપવામાં આવતો. સેંગોલનો અન્ય અર્થ : સંપદાથી સંપન્ન એવો થાય છે. પ્રાચીનકાળમાં તેને રાજાની શક્તિ અને સત્તાનું પ્રતીક માનવામાં આવતું.

    સેંગોલનો સૌપ્રથમવાર ઉપયોગ મૌર્ય સામ્રાજ્યમાં (ઇ.સ. પૂર્વે ૩૨૨ – ૧૮૫) સમ્રાટની શક્તિ નાં રૂપમાં તરીકે થતો હતો. ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યમાં (ઇ.સ. પૂર્વે ૩૨૦ – ૫૫૦) અને બાદમાં ચોલા વંશના સામ્રાજ્યમાં (ઇ.સ. પૂર્વે ૯૦૭ – ૧૩૧૦) અને વિજયનગર સામ્રાજ્યમાં ઉપયોગ થયો હતો. પરંતુ સત્તા સોંપણી તરીકે તેનો ઉપયોગ ચોલ વંશનાં સામ્રાજ્યમાં થયો હતો, અને આ પરંપરા આગળ ચાલતી રહી. આની સિવાય સેંગોલનો ઉપયોગ મુઘલો અને બ્રિટિશરો દ્વારા પણ સત્તા હસ્તાંતરણના રૂપે કરવામાં આવ્યો હતો.

    સેંગોલ એક ગોળાકાર લંબદંડ છે, જેની ટોચ પર નંદી બિરાજેલ છે. આ આખો રાજદંડ સોનાનો બનાવવામાં આવતો. નંદી એ નિષ્પક્ષ ન્યાય અને સુશાસનનું પ્રતીક છે. ચોલ વંશના રાજાઓ ભગવાન શિવનાં પરમ ભક્ત હતાં, માટે સેંગોલ પર નંદીનું પ્રતીક છે. આ ઉપરાંત આ સેંગોલને ભગવાન શિવનો આશીર્વાદ માનવામાં આવે છે જે રાજાને નિષ્પક્ષ ન્યાય અને સશક્ત બની શાસન કરવા પ્રેરે છે. એટલા માટે જ રાજાઓને જ્યારે સેંગોલ આપવામાં આવતું ત્યારે, ભગવાન શિવનું આહ્વાન કરીને આપવામાં આવતું.

    ભારતની આઝાદી માટે સેંગોલની મહત્ત્વપૂર્ણ ભૂમિકા :-

    એ સમયની વાત છે, જ્યારે ભારતને ફરી પાછું તેનું પૂર્ણ સ્વરાજ મળવા જઈ રહ્યું હતું. આખરે ભારત દેશને તેની સત્તા ફરીથી મળવા જઈ રહી હતી, અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળવાની હતી. લોર્ડ માઉન્ટબેટન જ્યારે ભારત દેશની સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા કરી રહ્યા હતા, ત્યારે તેના મનમાં એક સવાલ થયો કે, ” ભારતની સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા કઈ પરંપરાથી થાય ? માત્ર હાથ મિલાવીને કે સહી કરવાથી પૂરતું નહીં થાય. અંગ્રેજો પાસેથી ભારતને સત્તા સોંપણી તરીકેનું કયું પ્રતીક હોવું જોઈએ ?” આ સવાલ લઈને તેઓ નહેરૂજી પાસે ગયા અને ચર્ચા કરી. દેશની આઝાદીની પળને યાદગાર બનાવવા માટે તેમણે સત્તા હસ્તાંતરણ માટે કયું વિશિષ્ટ આયોજન કરવું જોઈએ અથવા કઈ પરંપરા નિભાવવી જોઈએ તે કહ્યું. નહેરુજી આ સવાલ લઈને સ્વાતંત્ર્ય સેનાની ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી) પાસે ગયા અને તેમની સમક્ષ આ સવાલ મૂક્યો. રાજગોપાલાચારી તમિલનાડુના હતા, અને તેઓને સંસ્કૃતિ અને ઈતિહાસ, પરંપરાનું ખૂબ જ જ્ઞાન હતું. નહેરૂજીને રાજાજીના ઐતિહાસિક જ્ઞાન ઉપર પૂરો ભરોસો હતો. રાજગોપાલાચારીજીએ ખૂબ વિચાર્યું, ઐતિહાસિક પુસ્તકો વાંચ્યા અને આખરે આ સવાલનો જવાબ તેમને તમિલનાડુનાં ઈતિહાસમાંથી મળી ગયો. ચોલ વંશમાં જ્યારે એક રાજા બીજા રાજાને સત્તા સોંપતા ત્યારે, સત્તા સોંપણી તરીકે તેને નીતિપરાયણતાનાં પ્રતીક એવો પવિત્ર સેંગોલ આપવામાં આવતો. રાજગોપાલાચારીજીએ નહેરુજીને, સત્તા સોંપણી તરીકે સેંગોલ આપવાની પરંપરા નિભાવવાનું સૂચન આપ્યું. નહેરુજીએ આ સૂચનને સ્વીકાર્યુ, અને તુરંત જ તેમણે તમિલનાડુ ખાતે આવેલ થીરુવદુથુરાઈના પ્રમુખ મઠ – આધીનમ- ના એ સમયના ૨૦મા ગુરુ મહાસન્નિધાનમ શ્રીલાશ્રી અંબલવાણ દેસીગર સ્વામીને સેંગોલની વિધિવત્ પરંપરા નિભાવવા માટેનું નિમંત્રણ મોકલ્યું. સ્વામીજીની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ તેમણે આ નિમંત્રણ સ્વીકાર્યુ. સ્વામીજીએ તુરંત જ મદ્રાસના પ્રખ્યાત સોની વુમ્મિડી બંગાર ચેટ્ટીને સેંગોલ બનાવવા માટેનું ઉત્તરદાયિત્વ સોંપ્યું. તેમણે એક કાગળમાં સેંગોલની આકૃતિ બનાવીને સોનીને મોકલી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સેંગોલ ચોલ રાજાઓના સમયમાં બનતો એવો જ બનાવવાનો છે. એક ગોળાકાર લંબદંડ, જે આખો ચાંદીથી બનેલ હતો અને બહારથી સોને મઢેલ હતો, જેની ટોચ પર નંદીની આકૃતિ હતી. સોની વુમ્મિડી બંગાર માટે આધીનમ તરફથી સેંગોલ બનાવવાની જવાબદારી એ બહુ જ ગૌરવ લેવા જેવી બાબત હતી.  અને આ સેંગોલ બહુ મહત્વપૂર્ણ જગ્યાએ જઈ રહ્યું હતું એટલે એની ગુણવત્તા પણ ઉચ્ચ કક્ષાની રાખવાની હતી. એક મહીના કરતાં પણ ઓછા સમયમાં આખરે આ સેંગોલ તૈયાર થઈ ગયો. સેંગોલ તૈયાર થયાની જાણ મઠ પ્રમુખને કરવામાં આવી, દેસીગર સ્વામીએ આ વિધિને સંપન્ન કરવાની જવાબદારી ત્રણ આધીનમને સોંપી :-

    ૧. આધિનમ ઉપપ્રમુખ : શ્રીલાશ્રી કુમારસ્વામી તમિલાણ

    ૨. આધિનમના ઓધુઆર વિશેષ ગાયક : માણેકમ્

    ૩. નાગસ્વર વિદ્વાન : ડી.એન. રાજરત્નમ પિલ્લાઈ

    ત્રણેય આધિનમોને સેંગોલ સાથે એક વિશેષ પ્લેન દ્વારા દિલ્લી મોકલવામાં આવ્યાં. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ ની રાતે કુમારસ્વામી સેંગોલ લઈને લોર્ડ માઉન્ટબેટન પાસે ગયા  અને તેમને આપ્યું, લોર્ડ માઉન્ટબેટને એ સેંગોલ સ્વીકારીને કુમારસ્વામીને પરત સોંપ્યું. ત્યારબાદ સેંગોલ પર પવિત્ર જળાભિષેક કરી, શોભાયાત્રાની જેમ નહેરૂજી પાસે લઈ ગયા. કુમારસ્વામીએ નહેરૂજીને પીતાંબર ઓઢાડીને, તમિલ શ્લોકાગાન સાથે સેંગોલ સોંપવામાં આવ્યો.

    વિશેષ બાબતો :-

    – સેંગોલનું સ્થાન નવા સંસદ ભવનમાં લોકસભામાં અધ્યક્ષનાં સ્થાનની બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યું.

    – સેંગોલ ધારણ કરનાર વ્યક્તિને ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ રીતે શાસન કરવાનો આદેશ હોય છે.

    – સેંગોલને અમુક ખાસ – રાષ્ટ્રીય તહેવારો પર પ્રદર્શન માટે બહાર લાવવામાં આવશે.

    – તે અસીમ આશા, અનંત સંભાવનાઓ તેમજ એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણનો એક સંકલ્પ છે.

    તો આ વાત હતી – સત્તા હસ્તાંતરણનાં ઐતિહાસિક પ્રતીક એવા પવિત્ર સેંગોલની. ચોલ વંશીય રાજાઓની એક એવી પરંપરા જે રાજાને શક્તિની સાથે નિષ્પક્ષ ન્યાય અને નીતિમય શાસન કરવા પ્રેરે છે. સૌથી ગૌરવ લેવા જેવી બાબત એ છે કે – આ ઐતિહાસિક પવિત્ર પરંપરાએ આપણા દેશની આઝાદી વખતે પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. અને આ વખતે ફરી એકવાર આ ઐતિહાસિક પ્રતીક લોકો સમક્ષ એક નિષ્પક્ષ અને સશક્ત રાષ્ટ્રનાં નિર્માણ માટે સ્થાપિત થયું છે.


    સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • આંધળો ન્યાય, સંવેદનહીન ન્યાય!

    નિસબત

    ચંદુ મહેરિયા

    ન્યાય આંધળો કહેવાય છે. ન્યાયાલયોમાં ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી હોય છે. મતલબ કે ન્યાય કોઈ તરફ ઝૂકશે નહીં. તે સૌને સમાન દ્રષ્ટિએ જોઈને ન્યાય આપશે. પરંતુ ન્યાય તોળનારા પણ આ જ સમાજમાંથી આવે છે એટલે સમાજમાં રહેલા વિભાજનો અને વિચારોથી તેઓ સાવ પર હોઈ શકે નહીં. તેથી ઘણીવાર ન્યાયાધીશોની ન્યાયમંદિરોની ટિપ્પણીઓ કે ચુકાદા અસંવેદનશીલ હોય તેવું બને છે. જોકે ભારતમાં ત્રિસ્તરીય ન્યાય વ્યવસ્થા છે એટલે ટ્રાયલ કોર્ટની કોઈ ક્ષતિ હાઈકોર્ટ અને હાઈકોર્ટની ક્ષતિ સુપ્રીમ કોર્ટ સુધારી લે છે. તેને કારણે ન્યાયનું પલ્લું બરાબર રહે છે અને અસંવેદનશીલ ચુકાદા ફેરવાય પણ છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    તાજેતરમાં  સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટનો એક ચુકાદો રદ કર્યો છે. એટલું જ નહીં હાઈકોર્ટની અસંવેદનશીલ ટિપ્પણીઓ સંદર્ભે વધુ પુનરાવર્તન અટકાવવા અદાલતોને દિશાનિર્દેશ જારી કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ- ૨૦૨૫માં અલ્હાબાદ હાઈકોર્ટે એક સગીરા પરના કથિત બળાત્કારના પ્રયાસમાં આરોપીઓને નિર્દોષ ઠેરવતા ચુકાદામાં પોક્સો અધિનિયમ અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું અસંવેદનશીલ અર્થઘટન કર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે સગીરાની છાતી પકડવી કે તેના પાયજામાનું નાડું ખેંચવું તે બળાત્કારનો પ્રયાસ ન ગણાય. આ ચુકાદા અને ટિપ્પણી વિરુધ્ધ  દેશભરમાં ભારે વિરોધ થયો હતો.. ન્યાયવાંચ્છું લોકોની અંતિમ આશા એવી અદાલતો પરની તેમની શ્રધ્ધા ખતમ થઈ ગઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો છે અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું વધુ ગંભીરતા અને સંવેદનશીલતાથી અર્થઘટન થવું જોઈતું હતું તેમ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આવા વલણથી મહિલા ગરિમા અને હકના રક્ષણ માટેનો ન્યાયિક વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ થયો છે.

    ન્યાયાલયોએ મહિલાઓ પરના જાતીય અત્યાચારના ગુનાઓમાં વધુ ગંભીરતાથી અને સંવેદનાથી વિચારવાની જરૂર છે. બળાત્કાર જેવા ગુનામાં અદાલતોએ બેહદ સંવેદનશીલ વર્તાવ કરવાની જરૂર છે. આ પ્રકારના જઘન્ય અપરાધોમાં પીડિતાના મન-મસ્તિષ્ક પર થતી અસરોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અદાલતો તેથી વિપરીત વર્તન કરતી ક્યારેક જોવા મળે છે. એક મહિલા અને તેમની ૧૪ વરસની સગીર દીકરીને આરોપીઓએ જબરદસ્તીથી રોકવાનો, તેમની સાથે અશ્લીલ હરકતો કરવાનો અને પુલિયા નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મહિલા પરના બળાત્કારના પ્રયાસના આ કેસમાં એવી અમાનવીય અને વિચિત્ર ટિપ્પણી કરી હતી કે રાતનો સમય આરોપીઓ માટે આમંત્રણ સમાન હતો. કોઈ રાજકીય નેતા બચ્ચે હૈ ભૂલ હો જાતી હૈ એમ કહે કે હાઈકોર્ટના ન્યાયાધીશ રાત્રિના સમયને બળાત્કાર માટે અનુકૂળ ગણાવે તે કેટલું અમાનવીય છે.

    બોમ્બે હાઈકોર્ટના મહિલા જજે પોક્સો કાયદા હેઠળના એક ગુનામાં આરોપીઓને બેકસૂર ઠેરવતા ચામડીથી ચામડીનો સ્પર્શ થાય તો જ ગુનો બને તેમ કહ્યું હતું. પીડિતા તેના પરિચિતના ઘરે ગઈ તે બળાત્કારનું આમંત્રણ હતું તેમ કહેતાં એક અદાલતના અસન્માનીય ન્યાયાધીશ અટક્યા નહોતા. સમાજમાં સ્ત્રી-પુરુષ સંબંધો સહજ છે. સાથે ખાવું-પીવું, હરવું-ફરવું કે ઘરે જવું એટલે મહિલા સાથે પુરુષને બળાત્કાર કરવાનો પરવાનો કઈ રીતે હોઈ શકે?  પુરુષમિત્રના બોલાવવા પર તેણે ઘરે જવું તે વિનયભંગનું આમંત્રણ હોઈ ના શકે. સંબંધોમાં નિભાવાતી આ એક ઔપચારિકતા છે. આ સંજોગોમાં પુરુષની બળજબરીને ફરિયાદીએ પોતે જ ઉપાધિ વહોરી છે કે મુસીબતને નિમંત્રણ આપ્યું છે કહીને પુરુષોને નિર્દોષ ઠેરવવાનું અદાલતી વલણ ભારોભાર ટીકાઓને પાત્ર છે. કોઈ મહિલાની છાતી પકડવી કે તેના સલવારનું નાડું ખેંચવું તે બળાત્કારની નિયત સાબિત કરવાનો પર્યાપ્ત પુરાવો નથી કે ચામડીથી ચામડીનો સ્પર્શ થયો નથી એવું અર્થઘટન સંવેદનહીન છે. કોલકાતા હાઈકોર્ટે તો વળી છોકરીઓને તેમની જાતીય ઈચ્છાઓને કાબૂમાં રાખવાની સલાહ આપી હતી.  આ પ્રકારના ઘણા ચુકાદા સર્વોચ્ચ અદાલતે પલટ્યા છે અને નીચેની અદાલતોને ફટકાર લગાવી છે.

    અદાલતોએ ન્યાય કરતી વખતે તેની સમાજ પર પડનારી અસરો અને ભવિષ્યમાં તેમના ચુકાદાને દાખલારૂપ ગણવાની પ્રણાલીને પણ ધ્યાનમાં રાખવાની છે. ન્યાયાધીશોએ અદાલતોમાં અને અદાલતોની બહાર પ્રત્યેક શબ્દ જોખી-તોળીને બોલવાનો છે. યૌન ઉત્પીડન સંબંધી મામલાઓમાં તો ખાસ સંવેદનશીલતા અને પીડિતા પર પડનારી ભાવનાત્મક અસરોનો ખ્યાલ રાખવાનો છે. સર્વોચ્ચ અદાલતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અદાલતો માટે મહિલા સંબંધી કેસોમાં વધુ સંવેદનશીલતાની જરૂર માટેની ગાઈડ લાઈન તૈયાર કરવા ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીને આદેશ કર્યો છે. તેને કારણે થોડી રોક લાગશે જરૂર પણ અદાલતોમાં ન્યાયાધીશોએ અને સમાજમાં આપણે સૌએ પણ વધુ માનવીય અને સંવેદનશીલ વલણ અખત્યાર કરવાની જરૂર છે.

    ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ- ૨૦૨૫માં કેટલાક ખાસ માપદંડોને આધારે રાજ્યોની ન્યાય વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી રેન્કિંગ કર્યું છે. ન્યાયમ વ્યવસ્થાના ચાર સ્તંભ પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાયદાકીય સહાયને આધારે જોતાં દક્ષિણ ભારતના મરાજ્યો રેન્કિંગમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે જ્યારે ઉત્તરપ્ર5અદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તળિયે છે. દેશના કોઈ રાજ્યમાં પૂર્ણ વ્યવસ્થિત અને સુચારુ ન્યાય વ્યવસ્થા નથી તેવા નિષ્કર્ષ સાથે ઈ ન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ન્યાયલયો મોટાભાગના કેસોમાં નાગરિકોને સાચો ન્યાય આપી શકતી નથી એમ જણાવ્યું છે.આ મુદ્દો કદાચ ચર્ચાસ્પદ છે પરંતુ અદાલતોનું સંવેદનહીન વલણ તો છાપરે ચઢીને ગાજ્યું છે તે હકીકત છે.

    ભંવરી દેવી બળાત્કાર કેસમાં રાજસ્થાનની ટ્રાયલ કોર્ટે કથિત ઉપલી જ્ઞાતિના લોકો નીચલી જ્ઞાતિની મહિલા પર બળાત્કાર ના જ કરે અને બાપ અને બેટો કે કાકો અને ભત્રીજો એક જ મહિલા પર એક જ સમયે સામુહિક બળાત્કાર કરે તે સંસ્કાર વિરુધ્ધનું અને એટલે ન માની શ્જકાય તેવું છે એમ જણાવ્યુ જ હતું ને? ચાળીસેક વરસ પૂર્વે ગુજરાતની એક મોટર વાહન ટ્રિબ્યૂનલે દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈના વાહન અકસ્માતના કેસમાં વળતર આપવા મુદ્દે એવી ટીકા  કરી હતી કે આ કિશોરના માબાપ ગરીબ ખેતમજૂર છે તેમને બીજા બાળકો પણ છે તેમના માટે મૃતક કિશોર બોજારૂપ હતો. એટલે તેના અકસ્માત મૃત્યુનું તે વળી વળતર હોઈ શકે? આ ટિપ્પણી ન માત્ર સંવેદનહીન છે, અમાનવીય પણ છે.

    કરુણા અને સંવેદના તો માનવ હ્રદયની આંતરિક બાબત છે તેને બાહ્ય પ્રયાસોથી ભરી ન શકાય. તેમ છતાં કાયદાનું સાચું અને માનવીય અર્થઘટન ગુણવતાયુક્ત તાલીમથી રોપી શકાય. સર્વોચ્ચ અદાલતની સંવેદનશીલ ન્યાયતંત્ર માટેની ગાઈડ લાઈનની પ્રતીક્ષા કરીએ અને તાલીમથી અદાલતોમાં સંવેદના અને કરુણા રોપવાના પ્રયાસો જારી રાખીએ.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગોધરાકાંડના ૨૫મે વર્ષે પ્રજાકીય પુખ્તતાની ખોજ

    તવારીખની તેજછાયા

           કે પી એસ ગીલ                   અને                    જુલીયો રીબેરો

    પ્રકાશ ન. શાહ

    મતાધિકારમાં તો આપણે એકવીસમેથી અઢારમે આવી ગયા, પણ પ્રજાકીય પુખ્તતા પચીસમે વરસે પહોંચતાયે લાંભીશું કે કેમઃ ગોધરા-અનુગોધરા વિષાદે ભર્યા અધ્યાયને ફેબ્રુઆરી ઊતરતે ચોવીસ વરસ થયાં, અને હવે તો પચીસમું બેઠું. પુખ્તતતાની આ જે ખોજમથામણ, એમાં હું જે છેડેથી પ્રવેશવા ઈચ્છું છું તે કંવરપાલ સિંઘ ગિલ કહેતા કેપીએસ ગિલનો છે. વડાપ્રધાન વાજપેયી ગુજરાતનો આંટો મારી ગયા અને રાજધર્મના પાલનનું પ્રબોધન તો કરી ગયા પણ એમને વાસ્તવમાં કરાર વળ્યો નહોતો. તે અરસામાં, લઘુમતી પંચ સાથે સંકળાયેલા તરલોચન સિંઘે એમને સૂચવ્યું કે પંજાબમાં સફળતા મેળવનાર કેપીએસને ગુજરાત મોકલો.

    ૨૦૦૨ના મે માસના પહેલા અઠવાડિયામાં એ આવ્યા અને, તરલોચન સિંઘના શબ્દોમાં, એમની ખ્યાતિથી પરિચિત પોલીસને થયું કે હવે પોલીસપણામાં આવવું પડશે તેમજ લઘુમતીને પણ ભરોસો બેઠો. ગિલે ગુજરાતમાં વિશેષ અખત્યાર સંભાળ્યો ને શરૂ શરૂના દિવસોમાં જ એ બોલ્યા વિના રહી શક્યા નહીં કે હું અહીં ક્યાંયે કલિંગબોધ જોતો નથી. કલિંગની ફતેહ પછી આ આખી પ્રક્રિયામાં વહેલાં લોહી અને વેરાયેલ વિનાશે સમ્રાટ અશોકને પુનર્વિચારની પ્રેરણા આપી હતી. એમનો પંથ આખો પલટાઈ ગયો હતો. ગુજરાત પહેલાં મેં પંજાબ સહિત જ્યાં જ્યાં હિંસાનિવારક ફાયરફાઈટરનું કામ કર્યું છે ત્યાં ત્યાં પ્રજાકીય ને શાસકીય સ્તરે દસવીસ દિવસમાં તો થતાં શું થઈ ગયું કે કરતાં શું કરી નાખ્યું એ વિશે પુનર્વિચારનો ધક્કો અનુભવ્યો છે.

    પણ અહીં એક મહિના પર બીજો મહિનો એમ સમયગાળો વહી રહ્યો છે… અને હજુ પેલો કલિંગ સ્પર્શ, એ તો વેગળો ને વેગળો છે. ગિલ સાથે એમની ગુજરાતની કામગીરી દરમ્યાન મળવાનુંયે થયું હતું, પણ એની વાત ઘડીક રહીને. અહીં માત્ર ગુજરાતે તે પહેલાં જે મોટું કોમી રમખાણ જોયું, ૧૯૬૯ના ગાંધી શતાબ્દી વર્ષમાં, એને સંભારું તો એમાંયે સરકાર ઊણી ઊતરી હશે પણ હિંસા સાથે શાસક વર્ગમાં મેળાપીપણું નહોતું. હા, હિતેન્દ્ર દેસાઈનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હતો એને જફા જરૂર પહોંચી. બાકી, જેપી આંદોલન દરમ્યાન રામનાથ ગોયન્કા સાથે અનૌપચારિક વાતોનો નાતો બંધાયો ત્યારે એમની પાસે સાંભળ્યું છે કે હિતેન્દ્રભાઈ રાષ્ટ્રીય રાજનીતિમાં કદાચ મોરારજીભાઈ કરતાંયે આગળ નીકળી જશે એવું મને લાગ્યું ને મેં એક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિનો વિચાર પાકો કર્યો હતો.

    જેમ ગિલનું તેમ રિબેરોનુંયે સ્મરણ કરી લઉં. ૧૯૮૫માં માધવસિંહ સોલંકીની સરકાર હતી અને અનામત વિરોધી ઉત્પાતે કોમી વળાંક લીધો હતો. તોફાનો શમવાનું નામ લેતાં નહોતાં અને પંજાબમાં શાંતિ સ્થાપનની યશસ્વી ભૂમિકા ભજવી જાણનાર, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રિબેરોની સેવાઓ લેવામાં આવી હતી. માધવસિંહ સોલંકી પછી મુખ્યમંત્રી પદ સંભાળનાર અમરસિંહ ચૌધરીના શબ્દોમાં ‘રિબેરો સફળ થયા, કેમ કે તે કોઈને બદ્યા બદે નહીં એવી આઝાદ સમજના માલિક હતા. કોઈની શેહમાં આવે તે રિબેરો નહીં.’ જોકે, રિબેરો સાથે નાગરિક સંગઠનના સાથીઓ જોડે વાત કરવાનું થયું ત્યારે એમનો ઉત્તર સરળ હતોઃ ‘મને વાસુદેવ મહેતાએ ઈન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમે એવું શું કર્યું કે તોફાનો જાણે ચાંપ દાબી ને બંધ થઈ ગયાં.

    મેં કહ્યું કે પોલીસ ખાતામાં આને સારુ સીધીસાદી એસઓપી (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) છે.’ દરેક થાણા પાસે વાંધાજનક તત્ત્વોની યાદી હોય જ. એમને તત્કાળ રાઉન્ડ અપ કરી લો કે મામલો ખતમ. જ્યારે ગોધરા ટ્રેનની નિર્ઘૃણ ઘટના બની ત્યારે જિલ્લા કલેક્ટર જયંતી રવિ હતાં. સાંભળ્યું છે કે એમણે તરત મુંબઈબેઠા રિબેરોનો સંપર્ક સાધી માર્ગદર્શન માગ્યું હતું. આ વાત જો ખરી હોય તો રિબેરોએ એમને બીજું શું કહ્યું હશે, સિવાય કે એસઓપી. બને કે ગોધરા શહેર વિશેષ વકર્યું વણસ્યું નહીં એમાં આ જ બીજમંત્ર કામ કરી ગયો હશે. ગમે તેમ પણ, સ્થાનિક શાંતિ જાળવી રાખવા સબબ કલેક્ટરે જે ‘રાઉન્ડ અપ’થી ભાજપ સાંસદના દબાણ હેઠળ એમની બદલી કરવામાં આવી હતી એ ચોપડે ચઢેલી બીના છે.

    ૧૯૬૯-૧૯૮૧-૧૯૮૫-૨૦૦૨ના ફલક પર જોઉં છું ત્યારે ૧૯૮૫માં તત્કાલીન રાજ્યપાલ બી.કે. નેહરુને ઉમાશંકર જોશીના નેતૃત્વમાં બિનપક્ષીય નાગરિક મંડળ તરીકે મળવાનું થયું હતું તે સાંભરે છે. તોફાનો શમતાં નહોતાં અને શહેર લશ્કરને સોંપવાની અમારી વાત, સામાન્યપણે લોકશાહી ધોરણે અણગમતી પણ અનિવાર્ય વાત હતી. કવિએ તત્કાલીન રાજકીય-શાળાકીય નેતૃત્વ વિશે વાત કરતાં રમણભાઈ નીલકઠને ટાંક્યા હતાઃ ‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની/એ ખેલ માંડે ભયથી ભરેલો/ભર્યાં તળાવો તણી પાળ તોડી/રોકી શક્યાં છે જળધોધ કોણ?’ વળી ગિલને સંભારું. ગુજરાતની કામગીરી પાર પાડી એ પાછા ફરી રહ્યા હતા ત્યારે પણ એમણે અમારી વિદાયમુલાકાતમાં કહ્યું હતું, હું હજી કલિંગબોધ જોતો નથી.

    અગિયાર વરસ પછી ૨૦૧૩માં દિલ્હીમાં એમનું જીવનચરિત્ર બહાર પડ્યું- ‘કેપીએસ ગિલ ધ પેરેમાઉન્ટ કોપ’, ત્યારે જોકે ૨૦૦૨ને એમણે બહુધા ‘પોલીસ ફેઈલ્યોર’માં ખતવી કાઢ્યું હતું. પોલીસ ફેઈલ્યોર એ અલબત્ત હતી જ. પણ ૧૯૬૯ અને ૨૦૦૨માં રાજકીય-શાસકીય નેતૃત્વનો જે ભૂમિકાફેર હતો, એનું શું. આ લખું છું ત્યારે ઉમાશંકરને સાંભળું છુઃ ‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની…’ આટલું પચીસમા ઉંબરપ્રવેશે, પુખ્તતાની ઓજમથામણાં.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૪-૩-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – પોર્ટ્રેટ

    બીરેન કોઠારી

    પોર્ટ્રેટ એટલે ચહેરો દર્શાવતું ચિત્ર, છબિ, રેખાંકન કે પ્રિન્ટ. તેમાં માત્ર માથાનો એટલે કે ચહેરાનો ભાગ હોય કે બહુ બહુ તો ખભાનો ભાગ હોય. સ્વાભાવિક છે કે એમાં જે તે વ્યક્તિની ઓળખ સ્પષ્ટપણે છતી થતી હોય. કેમેરા વડે એવી તસવીર લેવામાં સરળતા છે, પણ ચિત્ર દોરનારના ભાગે મહેનત થોડી વધુ આવે. પણ શું માત્ર ચહેરો ઓળખાય એવીજ છબિ કે ચિત્રને પોર્ટ્રેટ કહેવાય? એમ હોય તો પાસપોર્ટ સાઈઝના ફોટાને પોર્ટ્રેટની શ્રેણીમાં મૂકવો પડે. તેને બદલે એવો વિચાર સુદ્ધાં આપણને નથી આવતો કે પાસપોર્ટ સાઈઝના ફોટાને પોર્ટ્રેટ ગણીએ.

    એનો અર્થ એ કે પોર્ટ્રેટમાં માત્ર ચહેરાનું સામ્ય પૂરતું નથી. એ વ્યક્તિના વ્યક્તિત્ત્વની ઓળખ એમાં છતી થવી જોઈએ. કેમેરામાં યોગ્ય પ્રકાશ અને યોગ્ય એન્ગલ તેમજ પાત્રના મૂડ થકી આ થઈ શકે છે. ચિત્રમાં આ કામ એક જ વારમાં પૂરું થતું નથી. એ તબક્કાવાર ચાલતું રહે છે. એમાં ઘણી વાર પાત્ર સિટીંગ આપે અને કલાકાર તેનું ચિત્ર બનાવે તો ક્યારેક જે તે પાત્રની છબિનો પણ આધાર લેવામાં આવે છે. ઘણા બધાના ઘરમાં પોતાના દાદા કે પરદાદાનું આવું પોર્ટ્રેટ હશે યા હવે કદાચ કાઢી નાંખ્યું હશે. આ પ્રકારનું પોર્ટ્રેટ કરનારા ઘણા વ્યાવસાયિક ચિત્રકારો હતા.

    ભૂપેન ખખ્ખરનાં ચિત્રોમાં શરૂઆતના તબક્કે માનવાકૃતિઓનું કદ તેના પરિવેશની સરખામણીએ ઘણું નાનું હતું એ આપણે જોયું. ધીમે ધીમે એ કદ વધતું જાય છે, અને પોતાના જીવનના છેલ્લા બે દાયકા દરમિયાન તેમણે પૂર્ણ કદની માનવાકૃતિઓ પોતાના ચિત્રમાં પ્રયોજી. તેમનાં ચિત્રો જોતાં એ ખ્યાલ આવે છે કે તેમનાં પાત્રોના ચહેરા વિચિત્ર જણાય છે. એમ એટલે લાગે છે કેમ કે, આપણે સામાન્ય રીતે ચહેરાને રૂપાળા, પ્રકાશમાં જોવા ટેવાયેલા છીએ. ભૂપેનનાં પાત્રો ભાગ્યે જ હસતા જોવા મળે, કેમ કે, એક તો એ પાત્રોની મુખરેખાઓ જ આબેહૂબ ન હોય, એનેટોમીની રીતે એ સુડોળ ન હોય, અને ખાસ કરીને દર્શકની સામે જોતાં એ પાત્રોમાં એવું કશુંક હોય જે જોનારને વિહ્વળ કરી મૂકે. તેમનાં પાત્રો આસપાસના પરિવેશનો જ એક ભાગ લાગે. એમ પણ કહેવાતું કે ભૂપેનને માનવાકૃતિઓ બનાવવામાં એટલી ફાવટ નહોતી. પોર્ટ્રેટ પર એમણે ખાસ હાથ અજમાવ્યો નહોતો. અલબત્ત, ભૂપેન સતત શીખતા રહેતા ચિત્રકાર હતા. પોતાને શું આવડે છે, અને ખાસ તો શું નથી આવડતું એ બાબતે એ બહુ સ્પષ્ટ હતા.

    સુરેશ જોશીનું ભૂપેને કરેલું રેખાંકન

    મૂળ તો તેમને માણસમાં રસ હતો. રસ પડે એ માણસને પછી તે ચીતરતા. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના પ્રવાહથી એક નવો વળાંક લાવવામાં કારણભૂત એવા સુરેશ જોશી સાથે ભૂપેનને બહુ ફાવતું. બન્ને જાસૂસી કથાઓના અને ખાસ કરીને સિમેનોનની જાસૂસી કથાઓના ચાહક. સુરેશભાઈ અને ભૂપેન બન્ને વડોદરામાં હતા એટલે તેમનો સંપર્ક પણ ખરો. ભૂપેન વાર્તાઓ પણ લખતા.

    સાઠ-સીત્તેરના દાયકામાં અમદાવાદમાં પણ સાહિત્યિક ઉથલપાથલ થઈ રહી હતી. ‘રે મઠ’ દ્વારા પરંપરાગત સાહિત્યની વિભાવનાઓ સામે બંડ પોકારવાનું શરૂ થઈ ગયું હતું. ઉમાશંકર જોશી અત્યંત આદરણીય કવિ, પણ છેવટે તેમનું સ્થાન ‘પરંપરાગતવાળી છાવણી’માં હતું. ભૂપેનની ઉઠકબેઠક અમદાવાદના બળવાખોર સાહિત્યકારો સાથે ખરી, અને એમાં સ્વાભાવિકપણે જ ઉમાશંકર જોશી ન હોય. તેમની સાથે ભૂપેનનો પરિચય થયો 1986માં, અને એ પણ અમેરિકામાં. ભૂપેન અમેરિકાના પ્રવાસે હતા એ દરમિયાન ઉમાશંકર જોશીને ત્યાં જવાનું થયું. એ વખતે મધુ રાય, સુનિલ કોઠારી પણ હતા. સહુ ત્યાં ભેગા રહ્યા, ફર્યા અને મઝા કરી. એ પછી ભૂપેન અને ઉમાશંકરનો પરિચય કેળવાતો ગયો અને અમદાવાદ આવે ત્યારે ભૂપેન ખાસ ઉમાશંકર જોશીને મળવા જતા. આ મૈત્રીના ફળસ્વરૂપ ભૂપેને ઉમાશંકર જોશીનું એક પોર્ટ્રેટ ચીતર્યું. અલબત્ત, એ ક્યાં અને કયા સંજોગોમાં ચીતર્યું એ વિશે માહિતી મળી શકી નથી. મૂળ વાત એ છે કે ગુજરાતી સાહિત્યના બે ધ્રુવ કહી શકાય એવા સુરેશ જોશી અને ઉમાશંકર જોશી વચ્ચે ભૂપેન ખખ્ખર લઘુત્તમ સામાન્ય અવયવ બની રહ્યા.

    ભૂપેન ખખ્ખરે દોરેલું ઉમાશંકર જોશીનું પોર્ટ્રેટ

    સુરેશ જોશીનું ભૂપેને બનાવેલું રેખાંકન સુરેશભાઈના પુસ્તક ‘અહો બત્ કિમ આશ્ચર્યમ્’ ના મુખપૃષ્ઠ પર જોવા મળે છે, જ્યારે ઉમાશંકર જોશીના ભૂપેને બનાવેલા પોર્ટ્રેટને ચંદુભાઈ મહેરિયા, મનિષી જાની તેમજ સ્વાતિ જોશી દ્વારા સંપાદિત પુસ્તક ‘ઉમાશંકર જોશીની વિચારયાત્રા’ (પ્રકાશન, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, 2011) ના મુખપૃષ્ઠ પર સ્થાન આપવામાં આવ્યું છે.

    આ બન્ને પોર્ટ્રેટમાં ચહેરાના સામ્યની સાથોસાથ બન્નેની લાક્ષણિકતાઓ ભૂપેને કેવી સરસ રીતે ઝીલી છે એ ખાસ જોવા જેવું છે.

    બે યુગપ્રવર્તક સાહિત્યકારોને જોડતી કડી એક ચિત્રકાર હોય એ કેવો સંયોગ!


    ચિત્રો નેટ પરથી)


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]

  • સુધી | અણધારી આ હલચલ થઈ ગઈ

    સુધી

    – પન્ના નાયક

    હું મારા મનની મોસમને
    પૂરેપૂરી માણું છું
    અને
    કોઇને પણ ન પિછાણવાની
    મારી લાપરવાહી મારા ખભે નાખીને ચાલતી હોઉં છું.

    એકાંત જ મને મારા તરફ લઇ જતું હોય છે
    અને મને મારાથી દૂર કરતું હોય છે.

    વિશ્વ આટલું સુંદર હશે
    એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
    એટલે જ
    મને મારું પાગલપન ગમે છે.


    અણધારી આ હલચલ થઈ ગઈ

    – દેવિકા ધ્રુવ

     અણધારી  હલચલ થઈ ગઈ.
    અંદર ઉથલપાથલ થઈ ગઈ.

    નાની શી ચિનગારી સળગી,
    ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

    ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
    કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

    વયનો પડદો હાલ્યો ત્યાં તો,
    સમજણ આખી સળવળ થઈ ગઈ.

    શીતલ વાયુ સ્હેજ  સ્પર્શ્યો,
    પાંખડી મનની શતદલ થઈ ગઈ.

    કોણે જાણ્યું ક્યાંથી આવી,
    બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ સાતમું. – છુપાં શસ્ત્રો

    પ્રકરણ ૬ ઠું. : દાનવને ચરણે રક્તની ભેટ થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    તલવારનું રાજ્ય કેવું ? ચાલો, થોડીક વીગતો તપાસીએ.

    ૧૯૧૬–૧૯૧૭ ની અંદર, સરકારી આંકડા પ્રમાણે ૮૨,૧૨૧ કોરીયાવાસીઓને લશ્કરી અધિકારીએ, કામ ચલાવ્યા વગર જ પરબારી સજા ઠોકી દીધી. ફક્ત છોકરાઓ, અને તંદુરસ્ત શરીરવાળા મરદોનેજ નહિ, પણ સ્ત્રીઓને અને વૃધ્ધોને પણ ફટકા લગાવેલા. રમખાણોમાં ઘાયલ થયેલા કોરીયાવાસીઓ શીઉલ–નગરની ઇસ્પીતાલોમાં સૂતા હતા. જાલીમો ફટકા મારવા આવ્યા. દાક્તર ને આયાઓ ના પાડતા રહ્યાં, અને ફટકાનો માર એ જખ્મી શરીરો ઉપર પડ્યો. તહોમતદારો પાસેથી બાતમી મેળવવા માટે કેવી કેવી કળાઓ વપરાતી ? પુરૂષોનાં અને બચ્ચાંનાં બાવડાં બાંધી ઉંચે ટીંગાડવામાં આવતાં, અને છેક બેશુદ્ધ બની જાય ત્યાંસુધી, એ બાંધેલી દોરી ખેંચાતી ને ઢીલી થતી ધગાવેલા સળીયા ઉપર એની આંગળીઓ ચાંપવામાં આવતી. એના શરીરના માંસમાં ધગધગતા ખીલા ઘોંચાતા. આંગળીના નખને ચીમટાથી ખેંચી કાઢવામાં આવતા.

    વરસે વરસે ૭૫ હજાર કોરીયાવાસીઓ ઘરબાર છોડીને મંચુરીયા તરફ ચાલી નીકળવા લાગ્યાં. રસ્તે ભૂખમરો, કડકડતી ઠંડી, અને મૃત્યુ રાહ જોઇ રહ્યાં હતાં. પણ જાપાની જુલ્મની અંદર રહેલું અપમાન આ માર્ગના મૃત્યુમાં નહોતું.

    દેશ છોડીને ચાલી જનારી નારીઓનાં અંગ ઉપર નગ્નતા ઢાંકવા જેટલાં પણ વસ્ત્રો નહોતાં. પીઠ ઉપર એનાં નાનાં બચ્ચાં બાંધેલાં હતાં, તેથી એક બીજાના શરીરની હુંફ મેળવીને તેઓ ચાલતાં. બાળકોનાં નાજૂક આંગળાં ઠંડીમાં એક બીજા સાથે ચોંટી જતાં. વૃદ્ધ સ્ત્રી પુરૂષો, વાંકી કેડ કરીને ગાઉના ગાઉ સુધી ચાલ્યા જતાં. આખરે એ જર્જરિત શરીર થાકી જાય, આગળ ચાલી ન શકે, અને માર્ગમાંજ પ્રાણ છોડે.

    દેશના ઉકળેલ લોહીના કેટલાએ યુવાનોએ ‘ધર્મ સેના’ નામનું એક લશ્કર ખડું કર્યું. આ લશ્કર જાપાનીઓ ઉપર અચાનક હલ્લો કરે, જાનમાલની ખુવારી કરે, ને પાછું પહાડોમાં છુપાઈ જાય. જાપાનીઓએ વેરની વસુલાત નિર્દોષ લોકો ઉપર વાળી. ગામડાં બાળ્યાં, લોકોપર ગોળીબાર ચલાવ્યો, ને સ્ત્રીઓની લાજ લૂંટી. આ કતલની અંદર ખ્રીસ્તીઓનો પણ ભોગ લેવાયો. કતલનાં ચિત્રો કાંઈ બહુ વિવિધ નથી હોતાં. કારાગ્રહ, કોયડાના માર, સ્ત્રીઓપર અત્યાચાર, ગોળીબાર અને આગ–આ બધાં સુધરેલી પ્રજાના હાથમાં, રાજદ્રોહને ચાંપી દેવાનાં હથીઆરો. એનાં એ હથીઆરો ઘણી ઘણી રીતે વાપરી શકાય. જેવો વાપરનારો ! જાપાને એ તાલીમ પ્રથમ તો યુરોપની પાસેથી લીધી. પછી એણે પોતાની બુધ્ધિ અજમાવીને એ વિદ્યાને ખુબ કેળવી. કોરીયાનો ધ્વંસ એજ એનું પ્રમાણપત્ર !

    ફરી એક વાર કોરીયાની નાડીમાં પ્રાણ આવ્યા. જગત આખાને સ્વતંત્રતા આપવા નીકળી પડેલા પેલા અમેરિકાના હાકેમ વિલ્સન કોને યાદ નથી ? એના પ્રજાસંઘમાં ન્હાની પ્રજાઓને પણ ખુરશી મળવાની ખૂબ વાતો વિલ્સન સાહેબે કરી નાખેલી. કોરીયાએ તો આશાતુર હૃદયે પોતાની હકીકત પારીસ કોન્ફરન્સમાં રજુ કરવા નક્કી કર્યું. કોરીયાની અંદરથી તો જાપાન કોઈને જવા જ શાનું આપે ? અમેરિકાની અંદરથી ત્રણ કોરીયાવાસીઓનાં નામ નક્કી થયાં. અમેરિકા કહે કે પાસપોર્ટ જ નહિ મળે !

    ત્રણમાંનો એક ગમે તેમ કરીને પારીસ પહોંચ્યો. મિત્ર રાજ્યોના હાકેમો કહે કે “નહિ મળી શકીએ !”

    હવે તો કોરીયાએ પારકી આશા છોડી. આખા દેશ ઉપર કેસરીયાં કરવાની વાતો ચાલી. ચતુર આગેવાનો ચેત્યા. માતા કોરીયાને નામે, એણે આણ ફેલાવી કે—

    જે કાંઈ કરો તેમાં જાપાનીને અપમાન દેશો નહિ.
    પત્થર ફેંકશો નહિ.
    મુક્કાઓ મારશે નહિ.
    કારણ, એ તો જંગલી પ્રજાનાં કામ છે.

    જાપાન તો તાજ્જુબ બનીને જોતું રહ્યું કે આ બહાદૂર પ્રજાનો પ્રાણ તલવારથી નથી જવાનો. તલવાર ચલાવીને દુશ્મન ચાહે તેટલું લોહી ચૂસી શકે, વસ્તીની ગણતરીના આંકડા ઓછા કરી શકે; પણ એ લોહીના ઉંડાણમાં, ને એ આંકડાઓથી છેક અગમ્ય, પ્રજાને એક એવો પ્રાણ હોય છે કે જેને જાલીમનાં શસ્ત્રો સ્પર્શી જ ન શકે. એ પ્રાણ, તે પ્રજાની સંસ્કૃતિ, પ્રજાનું ચારિત્ર્ય. જાપાને કોરીયાની એ સંસ્કૃતિને ભ્રષ્ટ કરવાનું ને એ નીતિનો ધ્વંસ કરવાનું કામ આરંભ્યું.

    પહેલું પગલું — કોરીયાના ઇતિહાસનાં તમામ પુસ્તકો ને જીવન–કથાઓ નિશાળોમાંથી, પુસ્તકાલયોમાંથી અને ખાનગી માણસોને ઘેરથી એકઠાં કરાવી બાળી નખાવ્યાં. મહામૂલું પુરાતન સાહિત્ય પલવારમાં તો બળીને ભસ્મ બન્યું. વર્તમાન પત્રો, પછી તે રાજ્યદ્રોહી હો કે વિજ્ઞાનને લગતાં, તદ્દન બંધ થયાં. છાપાને લગતા એવા કાયદા ઘડ્યા કે વર્તમાનપત્ર કાઢવું જ અશક્ય હતું. નીચે લખેલા પ્રસંગો ઉપર, અટ્ટહાસ કરવું કે આંસુ પાડવાં એ સમજાતું નથી.

    કોરીયાનાં બાલકો માટે અંગ્રેજી ભાષામાંથી એક હાથીની વાર્તા કોરીયાની ભાષામાં ઉતારવામાં આવી. છાપાના અધિકારીએ એ વાર્તાને જપ્ત કરી. શા માટે ? વાર્તાની અંદરનો હાથી પોતાના નવા માલીકને કબ્જે થવા નાખુશ હતો, એ વાતને રાજ્યદ્વારી અર્થમાં ઘટાવી બાલકો એવું શીખી બેસે કે પોતાના નવા માલીક જાપાનને તાબે ન રહેવું. !

    એક ધાર્મિક વર્તમાનપત્રે ‘વસંત’ ઉપર કાવ્ય છાપ્યું. એ કાવ્ય સત્તાએ દાબી દીધું. કારણ, એમાં ‘નૂતન વર્ષનો પુનર્જન્મ’ એ મિસાલનો ઉલ્લેખ, કોરીયાવાસીના મનમાં કદાચ “પ્રજાનો પુનર્‌–ઉદય” એવો અર્થ સૂચવી, સરકાર સામે પ્રજાને ઉશ્કેરી મૂકે !

    કોલેજની એક કુમારિકાએ ‘સ્વતંત્રતા’ ઉપર એક ગીત જોડ્યું, તે બદલ તેને બે વરસની સજા પડી ! વર્તમાનપત્રનો ધ્વંસ થઈ ચુક્યો.

    બીજું પગલું — સભા સમિતિઓ ગેરકાયદેસર જાહેર થયાં લોકોને મ્હોંયે પણ ડુચા દેવાયા, રાજ્યદ્વારી વિષયમાં પડવું એ કોરીયાવાસીઓને માટે મહાભયંકર ગુનો ગણાયો.

    ત્રીજું પગલું — કોરીયા સ્વતંત્ર હતું ત્યારે એને ગામડે ગામડે લોકો શાળાઓ ચલાવતા. વિદ્વત્તા મેળવી મશહુર થવાનો પ્રત્યેક બાલકનો મહામનોરથ હતો. જાપાને આવીને એવા કાયદા કર્યા કે ખાનગી નિશાળો મરણને શરણ થઈ. મહાન્‌ વિદ્યાલયો જાપાને વીંખી નાખ્યાં. કેળવણી આપવા માટે કોરીયાની ભાષા કાઢીને જાપાની ભાષા દાખલ કરી. નિશાળોમાં શિક્ષકો જાપાની નીમાયા. જાપાની શિક્ષક ન સ્વીકારનાર શાળાનાં બારણાં બીજા દિવસથી બંધ થઇ જાય. પાઠ્ય–પુસ્તકો જાપાની સરકારની પસંદગીનાંજ ચલાવાય. યુરોપ કે અમેરિકાનો રે, ખુદ પોતાની માતા કોરીયાનો ઇતિહાસ બાલકોને કાને નજ પડી શકે. જાપાનનોજ ઇતિહાસ શીખવાય. એ ઇતિહાસમાં એવી વાતો ઘુસાડવામાં આવી છે કે જાણે જાપાનેજ કોરીયાને જંગલી હાલતમાંથી છોડાવ્યું, જાણે કોરીયાનો ઈતિહાસ ફક્ત બે હજાર વરસનોજ જુનો છે, અને જાપાનના છત્ર નીચેજ કોરીયા ફુલ્યું ફાલ્યું છે, અને છેલ્લી વાત–કોરીયા પોતાની ઇચ્છાએજ, પોતાની સલામતી ખાતરજ જાપાનને આધીન બન્યું છે ! જાપાનનાં પૂજારીઓ પેદા કરવાનાં આ કારખાનાંની અંદર એકેય સાધનની ઉણપ નથી. રે ! જાપાની શિક્ષકો કમ્મર પર તલવાર બાંધીને શાળામાં શીખવી રહ્યા છે. આઠ નવ વરસની ઉંમરનાં બાલકો આગળ એ ગુરૂદેવોની તલવારોના ખણખણાટ કેવી શોભા, કેવો પ્રતાપ, કેવો ભય ઉપજાવી રહ્યાં હશે !

    પણ વીરાંગનાનાં સંતાનો એટલેથી યે વશ ન થાય. પોતાની માતાનું હૃદય વાંચવાની ભાષાનેજ શત્રુઓ ભૂંસી નાખે એ વાત બાલકોથી શે સંખાય ? કોરીયાનાં સંતાનો છાનાં છાનાં પોતાની માતાને મળે છે. નિશાળમાંથી છુટ્યા બાદ ચાર ચાર બાલકોની મંડળી એકઠી મળીને કોરીયાની ભાષા શીખે છે, અને માતૃભૂમિનાં છિન્ન ભિન્ન સ્મરણોમાંથી ચાર હજાર વરસોનો જુનો ઇતિહાસ ઉકેલે છે. અમર રહેવા સરજાયેલું એમ સ્હેલાઈથી શી રીતે મરે ?

    ચોથું પગલું — શિક્ષણને પલટી નાખવાથી તો માત્ર મગજ ડોળાય. પણ જાપાનનો અભિલાષ તો કોરીયાના આત્માનેજ જલદી કલુષિત કરી નાખવાના હતો. જાપાન ચારિત્ર કે પવિત્રતા સરખી ચીજને જરીયે ઓળખતું નથી. જૂના કાળમાં, પોતાનાં માવતરની ગરીબી ટાળવા જુવાન દીકરી પોતાનું શિયળ વેચે, એ તો જાપાનમાં મહાપવિત્ર કાર્ય ગણાતું. અત્યારે પણ જાપાની અમલદારો, પ્રધાનો, ને શિક્ષકો છચોક વેશ્યાઓને ઘેર જાય, વ્યભિચાર સેવે, રખાતો રાખે. એક શાળાના અધ્યાપકે તે ખુલ્લેખુલ્લું કહેલું કે મ્હારા શિક્ષકોને હું વેશ્યાગારોમાં જવા દઉં છું, વેશ્યાનાં બીલો મ્હારી પાસે પરબારાં આવે છે, તે હું શિક્ષકોના પગારમાંથી પરબારાંજ ચુકવું છું.

    આમ જાપાને કોરીયામાં વેશ્યાઓનાં પૂર છોડી મૂક્યાં. દેશના પ્રત્યેક શહેરમાં પરવાનાવાળાં વેશ્યાગારો ખોલાયાં, શહેરના ઉત્તમ લત્તાઓમાં વેશ્યાઓને મકાનો અપાયાં, એટલે કુલીન પાડોશીઓ પોતાનાં ઘરબાર જાપાનીઓને નામની જ કિંમતે વેચી મારીને ચાલી નીકળ્યા. કોરીયાની કુમારિકાઓને જાપાની ગીધડાં ચૂંથવા લાગ્યાં. વેશ્યાઓની અક્કેક મંડળી લઇને જાપાની સોદાગરો ગામડે ગામડે ભટકવા લાગ્યા.

    એક બંડખોર કોરીયન કુમારીએ અદાલતના ઓરડામાં ન્યાયાધિકારીને ખુલ્લેખુલ્લું કહેલું કે “તમે અમારી ખાનગી નિશાળો ઝુંટવી લીધી, અને તેને બદલે જાહેર વેશ્યાવાડા આપ્યા. શિક્ષકને પરવાનો મળતાં મહા મુશીબત પડે, પણ વેશ્યાને તો સહેલાઇથી પરવાનો મળે છે, મહારાજ !” આજ કોરીયાની પુણ્યભૂમિ પર વેશ્યાઓએ એ ભયંકર ગુપ્ત રોગો ફેલાવી દીધા છે.

    પાંચમું પગલું — કોરીયા જ્યારે સ્વતંત્ર હતું ત્યારે કોરીચાની અંદર અફીણનો પગ નહોતો. અફીણ લઈ આવનારો પકડાય તો તેનું માથું ધડથી જુદું થતું. પણ જાપાનને હાથ ગયા પછી કોરીયાની અંદર અફીણના વેપારીઓ આવી પહોંચ્યા. ખુદ જાપાનમાં તો અફીણનો ઉપયેાગ એક ભારે અપરાધ ગણાય છે, અફીણને કાઢવા ચાંપતા ઇલાજો લેવાય છે. એજ જાપાને ઇરાદાપૂર્વક કોરીયાની અંદર અફીણ પેસાડ્યું, રે ! અફીણના ડોડવાનાં વિશાળ વાવેતર કરાવ્યાં. સુધરેલી પ્રજાની દૃષ્ટિએ હલકા ન પડવા ખાતર, કાયદો તો અફીણ નિષેધનોજ રાખવો પડ્યો છે, પણ બીજી બાજુ ખુદ જાપાની સરકારેજ ખેડુઓને બીયાં પૂરાં પાડેલાં છે.

    અફીણનો ધંધો આબાદ કરવામાં જાપાનને બે ફાયદા. (૧) રાજ્યને કમાણી. (૨) રીતસરના વિષ–પ્રયોગ વડે એ વીર–પ્રજાનો ધીરો ધીરો પણ ખાત્રીબંધ વિનાશ.

    છઠું પગલું — સ્ત્રી પુરૂષોને સાથે ન્હાવાનાં જળાશયો બંધાયાં. જાપાનીઓ એ જળાશયમાં નિર્લજ્જ બની ક્રીડા કરે. પણ શિયળને પવિત્રતાનું પૂજક કોરીયા એ પિશાચી ક્રીડાથી અળગું જ રહ્યું.

    આવા પદ્ધતિસરના અધઃપતનમાંથી એક પરવશ અને પરાજીત પ્રજા ક્યાંસુધી ઉગરે ?

    આવતા અંકેઃ પ્રકરણ ૮ મું.- કેસરીયાં


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • મહેન્દ્ર શાહનાં ફેબ્રુઆરી ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Art creations for February 2026

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ – લોકહૃદયે બિરાજમાન ગીતો

    આલેખનઃ રાજુલ કૌશિક

    અવિનાશ વ્યાસની રચનાઓમાં એમનો પોતાનો સૂર, પોતાની આગવી કલ્પના, આગવી શૈલી ઝીલાયેલી હોવા છતાં એ ક્યારેક લોકગીતની કક્ષાએ મૂકી શકાય એવા મઝાનાં બન્યાં છે કારણ કે એમાં લોકગીતની ઝલક ભારોભાર અનુભવાય છે.

    સુરેશ દલાલ કહેતા કે, “ગીતનું ગંગોત્રીસ્થાન લોકગીત છે. લોકગીતમાં કાવ્યસૌષ્ઠવ ઓછું હોય પણ એના ભાવ સાવ સ્વાભાવિક અને માર્મિક હોય છે.”

    અવિનાશ વ્યાસના ગીતોમાં સુરેશ દલાલે કહ્યું એમ ગંગોત્રીસ્થાને બિરાજેલા લોકગીતો જેવી અનુભૂતિ છલકાય છે.

    લોકગીત એટલે છલોછલ છલકતાં ગ્રામ્યજીવનનું દર્શન. ગામની કલ્પના કરીએ અને આપણા મનમાં જે દૃશ્ય દેખાય એમાં ઊગતા સૂરજની સાખે થતાં મંદિરના ઘંટારવ સંભળાય, રાશે જોડેલા બળદોને હંકારી જાતા ખેડૂતો દેખાય, માથે ઈંઢોણી અને એની પર ગોઠવાયેલાં બેડાં લઈને હલકભેર હાલી જતી ગામની દીકરી કે નાક સુધી લાજ ખેંચીને નીચી નજરે જતી વહુવારુઓ દેખાય. સાંજ પડે ગામની પાદરે ઘેઘૂર વડલાની છાંયા હેઠળ ભેગા થયેલા વડીલો દેખાય, સમી સાંજે ગોધૂલી સમયે ચરીને આવતી ગાયોના લીધે આછી આછી ઊડતી રજ નાક સુધી પહોંચતી અનુભવાય. આ વાત કરવાનો હેતુ એ જ કે, હવે આપણે અવિનાશ વ્યાસ રચિત જે ગીતની વાત કરવાના છીએ એ ગીત પણ ક્યાંક અજાણતા લોકગીતની શ્રેણીમાં મુકાયેલું જોયું છે.

    “છલકાતું આવે બેડલુ” યાદ આવે છે?

    છલકાતું આવે બેડલું, મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું

    વાત એમાં સાવ સાદી છે. ગામની એક નારીને, કદાચ ગામની દીકરી પણ હોઈ શકે, એને ગરબો કોરાવો છે, એ ગરબાને મુકવા માંડવડી તો જોઈશે ને? એ માંડવડી ઘડવા સુતારી, એને મઢવા લુહારી, રંગવા રંગારી જોઈશે. માંડવડી તૈયાર થઈ ગઈ. હવે જેના માટે આ બધી તૈયારી કરી છે એવો ગરબો તો સૌથી મહત્વનો. વળી કોરેલા ગરબા માંહી મુકવા કોડિયું જોઈશે તો એના માટે કુંભાર, પ્રગટાવવાની દિવેટો માટે પિંજારી, એમાં દિવેલ પૂરવા ઘાંચી અને અંતે એને શણગારવા મોતીઆરો આવશે અને પછી જ એ હિલોળે ચઢશે અને એમ કંઈ એકલા એકલા રંગત ના જામે એટલે એ ગામની બેની, દીકરિયું, વહુવારુ અને ભાભીનો પણ સાથ જોડશે.

    અહીં અવિનાશ વ્યાસની આ રચનામાં ગામમાં એક નાનકડા ઉત્સવને લઈને જે ઉત્સાહ ઉમટે છે એનો પડઘો સંભળાય છે. અહીં સાહેલીનું બેડલું જ નથી છલકાતું, એમાં છલકાય છે એ નારીનો ઉમંગ, એની ઊર્મિઓ. કેવા હેતે, કેવા ભાવે એ દીકરી સૌને પોતાના રાજીપામાં જોડાવાનું ઈજન આપે છે? ગામ આખું જાણે એક થઈને હિલોળે ચઢશે.

    એક તરફ છે આવા ઉમંગની છોળો તો બીજીય એક બાજુ છે જે આપણું ભીતર ભીંજવી દે એવી વ્યથાઓ કારણકે કદાચ ગામની દીકરી જેટલી દરેક વહુઓ નસીબની ઉજળી નથી હોતી. ગામની દીકરીઓ સાથે તો એના ઉમંગો, તરંગો સાથે તાલ મિલાવે એવા સૌ છે, પણ આવા ગામમાં ક્યાંક કોઈ એવી માવતરને છોડીને આવેલી વહુવારુ પણ છે જેનો સાસરામાં સ્નેહથી સમાવેશ નથી, ઉમળકાભેર આવકાર નથી, જ્યાં એના હૃદયની વાત સાંભળનાર, એની વ્યથા સમજનાર કોઈ નથી ત્યારે એના માટે વાતનો વિસામો જ કૂવો છે.

    ક્યારેક પેલા વડીલ જેવા ઘેઘૂર વડલાના સ્થાને જેનું તળ ઊંડું છે એવો કૂવોય આ વહુઓની વ્યથાને અને ક્યારેક એ વહુને પોતનામાં સમાવીને ય નિતાંત સ્થિર બની જાય છે.

    “કૂવાના કાંઠડે હું એકલી, કૂવો જાણે વહુવારુની વાત રે…
    વહુનો ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ”

    હજુય આગળ નોંધારી સ્ત્રીની વેદના ઠાલવતા ગીતકાર લખે છે કે …

    “ઉરમાં અરમાન પૂર્યા આંસુની સાંકળે,
    ઉર બોલ્યું ને મારું દુઃખ કૂવો સાંભળે..
    ભર્યા રે સાસરીએ મારી નોંધારી જાત,
    સાસુ સતાવે ને ધણી ના બોલે તો
    વહુ જઈને કૂવાની કાયા ઢંઢોળે.”

    થોડામાં ઘણું કહી જતા આ ગીતના શબ્દે શબ્દે વ્યથા ટપકે છે.

    ૧૯૭૭માં ‘મનનો માણીગર’ ફિલ્મ માટે અવિનાશ વ્યાસે સર્જેલ સંસ્કરણ

    ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડની શ્રેણીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ યાદ છે ને?

    અહીં પણ પિતૃ-પતિ-પુરુષપ્રધાન સંસ્કારો વચ્ચે પીસાતી સ્ત્રીઓની વાત છે. દરરોજ સવારે દૂરના સ્થળે પાણી લેવા જાય ત્યારે એમને આ બંધિયાર હવામાંથી થોડો સમય છૂટકારો મળે, ત્યાં તેમને જાણે ખુલ્લી હવામાં શ્વસવાનો, મુક્તપણે કંઈક કહેવાનો, એમની લાગણીઓને વહેવાનો, થોડીક ક્ષણો જીવી લેવાનો સમય મળે જે એને અવસર જેવો લાગે જ્યારે અહીં આ ગીતમાં વહુઓને કૂવો એમની વ્યથા ઠાલવવા મા કે બાપના ખોળા જેવો લાગે છે.

    અવિનાશ વ્યાસની આ રચના અંગે એક જરા અજાણી રહી ગયેલી વાત રજૂ કરવી છે. આ ગરબો ‘અર્ચન અકાદમી’ દ્વારા સ્ટેજ પર ગવાયો હતો ત્યારે આ પરફોર્મન્સમાં એક નવિનતાની દૃષ્ટિ ઊમેરાઈ હતી. એમાં ન તો તાળીનો અવાજ હતો કે ન તો ચપટીનો અવાજ… જાણે તાળી -ચપટીને મ્યુટ પર મૂકી દીધા હતા. કલાકારોએ આ વ્યથાના પ્રતીકરૂપે કાળા કપડાં પસંદ કર્યા હતાં. સૌ કોઈએ એ સમયની વહુવારુઓની સામાજિક સ્થિતિ દર્શાવતો માથેથી ગળા સુધી ઘૂમટો તાણ્યો હતો. સ્ટેજ પર આછા પ્રકાશ પર આછા લાલ અને ભૂરા રંગના ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો. ગીતના અંતે કલાકારોએ જ વર્તુળમાં ગોઠવાઈને જાણે કૂવો, એના થાળાનો અને એમાં એક કલાકાર પડતું મૂકશે એવો આભાસ સર્જી ગરબાનો અંત આણ્યો હતો.

    અવિનાશ વ્યાસે શબ્દોમાં રજૂ કરેલી નારીના મનની વેદના, વ્યથાને આવી હૃદયસ્પર્શી રીતે, હૃદયને ઝંઝોડી મૂકે એવી રીતે કૉરિયૉગ્રાફ થયેલી જોઈને આખું સભાગૃહ સ્તબ્ધ અને સ્થિર બની ગયું હતું…

    આજે પણ આ ગરબો સાંભળવામાં આવે એટલી વાર એ પરફોર્મન્સ નજર સમક્ષ દેખાય છે.
    આવી તો અવિનાશ વ્યાસની કેટલીય સાવ અનોખી રચનાઓ અને અનોખી વાતો છે જેના વિશે આપણે વાત કરવા મળતા રહીશું.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.