વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • દિયા જલા કર આપ બુઝાયા (૧)

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    સંગીતકારે એવી તર્જ બનાવી, જે તેના જહેનમાં ઘણા દિવસોથી ઘુમી રહી હતી. આ એવું રત્ન હતું જે તેને પરખનાર અને ‘પહેરનાર’ના કંઠે શોભી રહે. ફક્ત જેના માટે સંગીત યોજ્યું હતું તેને ગમવું જોઇએ.
    કેટલાય દિવસથી આ ગીતમાં ઢાળવામાં આવનાર રાગ અને લય તેના મનમાં વાગી રહ્યા હતા. ધૈવત અને પંચમમાં કેવો આવિષ્કાર કરવો જે ગીતનો આત્મા બની રહે, તેનો વિચાર કરી રહ્યો હતો. અચાનક એ તર્જ વિજળીની જેમ ઝબકી ગઇ અને તેણે એવી કૃતિનું સર્જન કર્યું હતું જેને ઘડીને તે કૃતાર્થ થઇ ગયો. હવે પરીક્ષાની ઘડી આવી હતી. ગીતની ગાયિકાને તે ગમ્યું કે નહિ તેની પરીક્ષા તેને તે ગાવામાં કેટલા ‘ટેક’ લેવા પડે છે. શું તે ગીતના સંગીતની રૂહને પહેચાની શકશે? જો તે ઓળખે તો બસ….

    સંગીતકાર સ્ટુડીઓમાં સૌથી પહેલાં પહોંચી ગયા. ગાયિકાના પ્રિય અત્તરની ખુશ્બૂ લાવીને સ્ટુડીઓમાં તેનો છંટકાવ કર્યો. સુગંધ પમરાવી. આખરે ગાયીકા પણ સંગીતની મહારાણી હતી ને!

    ગીત સાંભળી ગાયીકા પ્રસન્ન થઇ ગઇ. “વાહ! ક્યા બાત હૈ દાદા! ઇસ કા અતિકોમલ ગાનેકી રૂહ બન જાયેગા!”

    એક પ્રૅક્ટીસ અને એક ‘ટેક’માં ગીત રેકૉર્ડ થઇ ગયું અને ચાહકોના મનમાં અંકાઇ ગયું. ગાયીકા હતા નૂર જહાઁ. સંગીતકાર કે. દત્તા ઉર્ફે દત્તા કોરગાંવકર.

    રેકર્ડ બહાર પડી અને આ ગીતના તીવ્ર, કોમલ, અતિ કોમલ ગાંધાર અને ધૈવતમાં ઢાળવામાં આવેલ અને નૂરજહાઁના સ્વરમાં માં ગવાયેલ ગીત સાંભળીને શ્યામ સુંદર દત્તા સાહેબને ઘેર મારતી ગાડીએ પહોંચી ગયા અને આ ‘અદ્‍ભૂત’ કૉમ્પોઝીશન માટે અભિનંદન આપ્યા!

    ગીત હતું, ‘દિયા જલા કર આપ બુઝાયા, છોડ કે જાને વાલે, દિલ તોડ કે જાને વાલે!” અહીં સાંભળજો. તેમાંના શબ્દો ‘આપ બુઝાયા’ માં તેની subtlety ઓળખી જશો.

    તે સમયે નૂરજહાઁ ‘મલીકા-એ-તરન્નૂમ’ નહોતાં થયા. એ સમય જ એવો હતો કે ગાયકો અને ગાયીકાઓ એકબીજાનો કલાકાર તરીકે આદર કરતા હતા. નહોતી તેમની વચ્ચે કોઇ સ્પર્ધા કે ઇર્ષ્યા. તેઓ કેવળ તેમની કળાના આધારે જનતાના માનીતા હતા. તે સમયે નૂરજહાઁ અને કે. દત્તાની જુગલબંધી એવી હતી કે દત્તાની સંગીત રચનાના હાર્દને કેવળ નૂરજહાઁએ પહેચાની તેમનાં સૂરોને એવી વાચા આપી કે તેમણે ગાયેલા કે. દત્તાનાં દરેક ગીત સુપર હીટ થઇ ગયા. આપે ‘કિસી તરહસે મુહબ્બતતમેં ચૈન પા ન સકે’ સાંભળ્યું છે? તેમાંનાં શબ્દો ‘પા ન સકે’ સાંભળશો તો આપ કેવળ ‘વાહ!’ કહેશો! કેવી નજાકતથી તેમણે તે ગાયા તે વિચારીને હેરત પામશો. આવા જ બીજા ગીતો:

    ‘આ ઇંતઝાર હૈ તેરા, દિલ બેકરાર હૈ મેરા…’

    એક એક ગીત અવિસ્મરણીય બની ગયું. કે. દત્તાના સંગીતમાં નૂરજહાઁએ ફક્ત દસેક ગીતો ગાયા અને જાણકારો તેને સાંભળીને કે યાદ કરીને ‘વાહ! ક્યા બાત હૈ ઔર કયા ઝમાના થા!’ કહે છે.

    ત્યાર પછી તો નૂરજહાઁના ગીતોની હારમાળા શરૂ થઇ ગઇ. એક પછી એક ગીત ‘હિટ’ થતું ગયું! ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ જેવા સંગીતકારોના દિગ્દર્શન નીચે તેમણે જે ગીતો ગાયા તે યાદગાર બની ગયા. આજે બસ આટલું જ. આવતા અંકમાં તેમનાં ગીતોની વાત, તેમની પોતાની વાત લઇને ફરી હાજર થઇશ.


    (વધુ આવતા અંકમાં)


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૭

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.

    કવિવરે તેમની રચનાઓમાં માનવ મનની દરેક સ્તિથિ અને સંવેદનાઓને આવરી લીધેલા છે અને આ મન:સ્તિથિનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરેલું છે. કવિવરનું બાળપણ વેદ-ઉપનિષદના સાનિધ્યમાં વીત્યું હતું. તેમના પિતાશ્રી દેવેન્દ્રનાથ  ઉપનિષદના પ્રખર અભ્યાસી હતા. તેઓ દ્રઢપણે માનતા કે आनन्दरूपामृतं जाद्विभाति એટલેકે આનંદરૂપી અમૃત સતત વહે છે જે પ્રત્યેક આત્માની સર્જનાત્મક ચેતનાનો સ્ત્રોત છે. ગુરુદેવ પર પણ આ વિચારધારાનો ગહન પ્રભાવ હતો. आनन्दरूपामृतं जाद्विभाति એટલેકે આનંદરૂપી અમૃત સમગ્ર બ્રહ્માંડમાં સતત વહે છે જે પ્રત્યેક આત્માની સર્જનાત્મક ચેતનાનો સ્ત્રોત છે. ગુરુદેવ પર પણ આ વિચારધારાનો ગહન પ્રભાવ હતો. તેમની અનેક રચનાઓમાં નિરંતર વહેતી આનંદધારા  એટલેકે stream of bliss or joy ના મહિમાને ઉજાગર કરેલ છે.

    આ આનંદધારાનો અજવાસ ફેલાવતી એક અતિ પ્રખ્યાત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1894માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আনন্দধারা বহিছে ভুবনে (aanadodhara bohiche bhubone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આનંદધારે…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ મિશ્ર માલકૌંસમાં  કર્યું છે અને તેને ત્રિતાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. આ રચનાની બંગાળી પંક્તિઓની ગોઠવણ  કવિવરે શાસ્ત્રીય સંગીતની દ્રુપદ શૈલી પ્રમાણે કરી છે જેમાં ચાર ટુંક (parts)નો સમાવેશ થાય છે. સ્થાયી, અંતરા, સંચરી અને આભોગ. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે પૂજા  વિભાગમાં વર્ગીકૃત કરી  છે.

      

    આનંદધારે…

    પ્રગટી રહ્યું છે સઘળે આનંદનું અજવાળું
    અત્ર, તત્ર, સર્વત્ર બસ હરિ કૃપા નિહાળું

    ચાલતું રહે છે ચક્ર રાતદિવસનું અવિરત
    વરસી રહ્યું અમૃત જીવન તણું અહીં સતત

    અસીમ આકાશ સૂર્યચંદ્રને ખોળે સમાવે
    એના દિવ્ય પ્રકાશે જગ ઝળહળે એકધારે

    શાને છે ચિંતિત તું,શાને તારું હૈયું વલોવાય?
    તારા વિચારોના જંગલમાં શાને તું અટવાય?

    ખોલ આતમના નેત્ર,ત્યજી દે બધા બંધનિબંધ
    રેલાવી સર્વે પ્રેમામૃત, જાણી લે સતચિત્તઆનંદ

    ભીંજાઈ આનંદધારે, માણી લે પળે પળે પરમાનંદ

    ©અલ્પા શાહ

    આનંદધારા એટલે કે eternal flow of bliss or joy. કવિવર આ અતિ પ્રિય રચનામાં આપણને સૌને અવિરતપણે વહેતી આ અનંત આનંદધારામાં ભીંજાવાનું આહવાન કરે છે. પરમ દિવ્ય શક્તિ એ આપણી આસપાસ તેમની અગણિત કૃપા રૂપે સમગ્ર પ્રકૃતિની અને સમગ્ર જીવશ્રુષ્ટિની લ્હાણી કરી છે જે એક આનંદધારા નથી તો બીજું શું છે? અને એવાજ ભાવ કવિવરે આ રચનામાં વહેતા મૂક્યા છે. મોટેભાગે આપણે આપણી વિચારોની જંજાળમાં એવા અટવાયેલા હોઈએ છીએ કે આખું જીવન પસાર થઇ જાય પણ આપણે આ આનંદધારામાં ભીંજાયા વગરના કોરાધાકોર રહી જઈએ છીએ…

    વૈદિક વિચારધારા પ્રમાણે આત્માની મૂળભૂત સ્તિથિ સત-ચિત્ત-આનંદની છે. અહીં, સત એટલે પરમ સત્ય (eternal truth), ચિત્ત એટલે ચૈતન્ય (consciousness or awareness) અને આનંદ એટલેકે bliss or joy. સત-ચિત્ત-આનંદની વિચારધારા ઉપનિષદના કેન્દ્રસ્થાને છે. એ દિવ્યશક્તિ કે પરમ ચૈતન્ય જે સત-ચિત્ત-આનંદનો સ્તોત્ર છે અને આપણા સૌનો આત્મા એ પરમ આત્માનો જ અંશ છે. Our soul is part and parcel of that supersoul. અને એ સદ્દચિદાનંદ સ્વરૂપ પરમ ચૈતન્યની કૃપા આપણી આસપાસ વહેતી જ રહે છે. આપણી અજ્ઞાનતા(ignorance)ના પડળ હેઠળ દબાયેલ આપણું મન અને બુદ્ધિ મોટેભાગે આ કૃપાનો અહેસાસ કરવામાં અસમર્થ ઠરે છે. અને એટલે જ કદાચ કવિવર આ રચનામાં આતમના નેત્રો ખોલવાની વાત કરે છે જેના દ્વારા આ આનંદધારાનો અનુભવ આપણે કરી શકીએ.

    તો ચાલો, આ સતત વહેતી આનંદધારામાં ભીંજાવાનો સભાન પ્રયત્ન કરવાના વિચાર સાથે હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,


    સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
  • કોઠાસૂઝની કમાલ

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    કોઇવાર ઇશ્વરદત્ત કોઠાસૂઝ કે ત્વરિત બુદ્ધિ જે કામ કરી આપે છે, તે આશ્ચર્યજનક હોય છે. કોઇ વૈચારિક આંટી પડી હોય ત્યારે તેનો ઉકેલ લાવવામાં એ જ વખતે કોઠાસૂઝ વાળાનો કરેલો ઉપાય કેવો કારગત નિવડે છે એની થોડી વાતો કરવી છે આજે.

    મેં ક્યાંયે વાંચેલી વાત છે………એકવાર સુભાષચંદ્ર બોઝના મોટાભાઇ શરદચંદ્ર બોઝ રાત્રિ દરમ્યાન ટ્રેન-પ્રવાસ કરી રહ્યા હતા. બન્યું એવું કે ચાલુ ટ્રેને ટોયલેટમાં હતા એ દરમ્યાન ખબરબારી પોતાના કાંડેથી ઘડિયાળ છૂટી ગઈ અને ટોઇલેટના નાળચામાંથી નીચે પડી ગઈ ! હવે ? ઘડિયાળ હતી બહુ કીમતી. શરદચંદ્ર ઝડપથી ટોયલેટની બહાર નીકળ્યા અને તરત જ સાંકળ ખેંચી ટ્રેન ઊભી રખાવી. અધિકારીએ ટ્રેન થોભાવવાનું કારણ પૂછતાં બોઝે જણાવ્યું કે “સાહેબ, મારી બહુ કીમતી ઘડિયાળ સંડાસના નાળચામાંથી નીચે પડી ગઈ છે, એ મેળવવા મારે ટ્રેન રોકાવવાની ફરજ પડી છે.”

    અધિકારીઓ તો વિમાસણમાં મૂકાયા કે “આટલા ઘનઘોર અંધારામાં હવે પાછળ જઈને ઘડિયાળ કેમ શોધશું ?” બોઝે કહ્યું, “સાહેબ, ચિંતા કરોમાં, ઘડિયાળ પડી ત્યારે હું સીગારેટ પીતો હતો. જેવી ઘડિયાળ પડી કે તરત જ પાછળો પાછળ મેં ઝગતી સીગારેટ પણ સંડાસના નાળચામાં નાખી છે. આપણે બે પાટા વચ્ચેની જગ્યામાં નજર કરતાં કરતાં પાછળ જઈશું તો સળગતી સીગારેટ તો દેખાશે જ ! અને એ સળગતી સીગારેટની આસપાસ જ મારી ઘડિયાળ હશે, સાહેબ !”

    અને ખરેખર એવું જ બન્યું. બોઝની સાથે બીજા પણ બે ત્રણ જણ પાટા વચ્ચે નજર કરતાં કરતાં પાછળ ગયા તો થોડેક દૂર જતાં સળગતી સીગારેટ અને એનાથી થોડે દૂરથી જ ઘડિયાળ પણ મળી આવી. આમ ખરા ટાણે સૂઝી આવેલ નુસ્ખો એ “કોઠાસૂઝ”ની જ કમાલ ગણાય ને?

    બીજું એક ઉદાહરણ: …………. 

    મલ્ટીનેશનલ કંપનીના મહત્વના સ્થાન માટે યોગ્યતા પ્રાપ્ત કરી :

           એક મલ્ટીનેશનલ કંપનીમાં મહત્વના સ્થાન પર યોગ્ય વ્યક્તિની નિમણૂક થવાની હોઇ, ઉમેદવારોની લાઈન લાગી હતી. અભ્યાસમાં તો બધા એકબીજાને આંટે તેવા ક્વોલીફાઈડ હતા. દરેક ઉમેદવારના હાથમાં એક નોટબૂક અને પેન આપી કહેવામાં આવ્યું હતું, “તમને સૌને એક પ્રશ્નપત્ર આપીએ છીએ, જેમાં જુદા જુદા દાખલાઓ આપવામાં આવ્યા છે, જે વ્યક્તિ આ દાખલાઓના સાચા જવાબો ઓફિસના દરવાજા સામે આવી બોલી જશે, એ જવાબો જો સાચા હશે તો દરવાજો આપમેળે ખુલી જશે. ખોટા જવાબોથી દરવાજો ખુલશે નહીં. દરવાજો ખોલવામાં સૌથી પહેલાં સફળ થનાર વ્યક્તિની આ સ્થાન પર નિયુક્તિ થશે”

           બધા ઉમેદવારોને ઘડીભર વિચાર તો આવી ગયો કે આ દાખલાના સાચા જવાબોને સંભળાવવા- અને ઓફિસના દરવાજાનું ખુલવું – એકબીજાને કેવું અનુસંધાન ? શું ઓડિયો પાસવર્ડથી એકબીજાને સેટ કર્યા હશે ? પણ પછી આગળ વધુ વિચારવાનું પડતું કરી, પ્રશ્નપત્ર મળતાં સૌ ફટાફટ દાખલા ગણવા લાગી ગયા. અને જેને જેને જવાબ મળતા ગયા તેઓ રાજી થતા થતા દરવાજા સામે ઊભા રહી જવાબો બોલતા ગયા, પણ દરવાજાનું તાળું તો લટકતું જ રહ્યું ! કોઇથી ઓફિસના દ્વાર ખુલ્યાં નહી. તેથી એ બધા “મારો જવાબ ખોટો હશે” એમ માની પોતપોતાના જવાબો સુધારવાના કામે લાગી ગયા.

         જ્યારે એક ઉમેદવારે એવું વિચાર્યું “ દરવાજો ખૂલવાને અને દાખલાના જવાબોને વળી શી લેવાદેવા ? ચાલ જોઉં તો ખરો કે દરવાજાનો લોક કેવોક છે ? એ તો દાખલા ગણવાનું બાજુ પર રાખી સીધો જ દરવાજા પાસે પહોંચ્યો અને ઘડીભર પૂરી ચોક્કસાઇથી દરવાજાનું નિરીક્ષણ કર્યું તો દરવાજા પરનું તાળું તો એમનામ સાવ ખુલ્લું જ લટકતું જોઇ પોતે સાચી વાત પામી ગયો કે ઓહો ! આ તો ભ્રમણામાં નાખી સૌને ગોટે ચડાવવાની જ વાત લાગે છે “ એવું મનમાં બોલી બારણાને પોતાના હાથથી માર્યો ધક્કો તે દરવાજો ફટ કરતો ખુલી ગયો ! અને એ માણસ કંપનીના મહત્વના સ્થાન પર નિયુક્તિ પામ્યો !

    જોયું ને, બીજા માણસો કરતાં થોડીક વધારે વિચાર-સૂઝ, અને થોડાક ઝીણવટભર્યા નિરીક્ષણની ટેવે જ એને સફળતા અપાવીને ?

    હવે શુરતાભરી તુર્તબુદ્ધિનો એક ચમકારો જુઓ :

    એક રાજવીએ રાજ્યમાં ઢંઢેરો પીટાવેલો કે પોતાને એક બહાદુર અંગરક્ષકની જરૂર છે. તો જેમણે આમાં ગોઠવાવું હોય તેણે અમૂક દિવસે મહેલના બગીચામાં ગોઠવાએલ ઇંટર્વ્યુમાં હાજર રહેવું.

            નક્કી કરાએલા દિવસે ચકચકતા હથિયાર ધારી ક્ષત્રિઓની લાઇન લાગી ગઈ. અને એક પછી એકે પોતાના પરાક્રમના બણગાં ફુંકવા શરૂ કર્યાં. પણ ઓચિંતાનો કાર્યક્રમમાં ભયાનક સોપો પડી ગયો ! સૌએ જોયું કે…..

              ઉપરના ઝાડ પરથી એક લાંબો સાપ રાજવીની બેઠકની સામે જ લપસી પડ્યો છે. આખી મેદની ભયભીત બની ગઈ ! હથિયાર ધારી ઉમેદવારો બબ્બે ડગલાં પાછા હઠી ગયા. પણ વિજળીવેગે આ શું બની ગયું ? પ્રેક્ષકોની પહેલી લાઇનમાં બેઠેલ એક ગામડિયા પગીનો જુવાન દિકરો કુદ્યો અને પોતાના ખરબચડા જાડા ડંડાથી રાજવી તરફ ધસી રહેલા સાપની ફેણ દબાવી દીધી અને પછી ધીરેથી એની પૂંછડી પકડી દૂર કાંટાળી વાડમાં ફગાવી દઈને પોતાની જગ્યાએ આવીને શાંતિથી બેસી ગયો !

           રાજવીએ એને પોતાની પાસે બોલાવ્યો. જુવાન પગમાં પડ્યો તો રાજવીએ ઉઠાવી લઈ હદયે ચાંપ્યો ! સૌને વિખરાઇ જવાનું ફરમાન થયું. રાજવીને જોઇતો અંગરક્ષક મળી ગયો હતો.   

    હવે વાત કરું….અમારા જ અનુભવના કેટલાક ઉદાહરણોની : 

    [૧]….. ……. રડતામાંથી હસતો કરી દીધો:

             મારું જૂનું ગામ ચોસલા હતું સાવ નાનકડું. શાળામાં ધોરણ માત્ર ચાર જ. પાંચમાં ધોરણમાં દાખલ થયો માલપરાની છાત્રાલય વાળી શાળામાં. મન લાગે નહીં. ઘર બહુ સાંભરે ! અરે, રીતસરનું રોવાઇ જ જવાય ! દાખલ થયાના ચોથે દિવસે શ્રમકાર્યમાં જવાનું થયું નદીકાંઠે કૂવો બાંધવાનું કામ ચાલે ત્યાં કડિયાને પથરા અંબાવવાનું. અને માળું જમીન પરથી પથ્થર ઉપાડતાં હાથની આંગળીએ વીંછી ટચકાર્યો ! એક તો મન ઉદ્વેગમાં હતું જ, એમાં વીંછીએ માર્યો આંકડો ! રાડારાડ ને બોકાહા ! “મારે ઘરે જવું છે…..ઘરે જવું છે !” ઉપલા ધોરણમાં ભણતાં પ્રેમજીભાઇ ભીંગરાડિયા અને જેઠીરામભાઇ લશ્કરી બન્નેએ ટીંગાટોળી જેવું કરી છાત્રાલયે પહોંચાડ્યો. અને માટલિયાભાઇ [માટલિયાભાઇ એટલે વાત્સલ્યધામ લોકશાળાના સ્થાપક અને શિક્ષણ દ્વારા ગ્રામોત્થાનનો સફળ પ્રયોગ કરનાર સમર્થ વ્યક્તિત્વ] ને ખબર કર્યા. તેઓ દોડતા આવ્યા. “ક્યાં આંકડો માર્યો બતાવ જોઉં !” કહી, મને ઝટ ઝટ વીંછીની વેદના ભૂલાવી રડતો બંધ કેમ કરવો એવું વિચારી, મારો પીડાતો પંજો જમીન પર મૂકાવી, હળવે હાથે પંપાળી, આંખો મીંચી, કંઇક હોઠ ફફડાવવા મંડી પડ્યા ! ચાર પાંચ વાર આવું કરતાં જઇ, પંજાને જરા ખંખેરી, જમીન પર પછાડાવી વીંછીનું ઝેર ઉતારવાનો નુસ્ખો અજમાવી મને માનસિક શાતા અપાવી. એક જણને વાટકામાં ઘી-ખાંડ લેવા મોકલી, ગુદગુદી કરે એવા ટુચકાઓ કહી સૌને એવા હસાવ્યા કે એ બધાની સાથમાં વીંછીની વેદના ભૂલી-રડવાનું પડતું કરી હું યે ક્યારે હસવામાં ભળી ગયો એની મને યે ખબર ના રહી ! એમની કોઠાસૂઝે ઘડીકવારમાં મને રડતામાંથી હસતો કરી દીધો હતો બોલો !              

    [૨]………જમણવારની પંગતને કૂતરાથી રક્ષણ આપ્યું.:

    થોડા વરસો પહેલાંની વાત છે. અમારા ગામમાં માધવજીભાઇ ભીંગરાડિયા અમારા કુટુંબી ભાઇ છે. તે દિવસોમાં એમની ભર જુવાની. પાણીનો ભર્યો હાંડો દાંતમાં પકડી દોડ્યા જાય અને પાછળવાળાને આંબવા ન દે એવું તો એનું ડીલ હાથ્ય ! એકવાર એમને ઘેર એક શુભ પ્રસંગે સૌને જમવા બોલાવેલા. પોતાના એ વખતના નીચા એવા દેશી નળિયાંવાળા સામસામા બે ઘર વચાળેના સાંકડા ફળિયામાં વચ્ચે પીરસણિયા હરીફરી શકે એટલી જગ્યા રાખી સામસામે બે હારમાં જમણવારની પંગત પાડેલી. બધા જમવા બેસી ગયેલા અને થાળીઓ પણ પીરસાઈ ગયેલી. સૌ જમવાનું શરૂ કરે કરે ત્યાં ઓચિંતાનું એક કૂતરું દોડતું દોડતું પંગત વચાળે ઘૂસી ગયું ! હવે ? હડ..હડ..કર્યે કોઇની થાળીમાં પડ્યું હોય તો ?  સૌ મુંઝાયા. ક્યાંય બહાર નીકળવાનો રસ્તો ન જડતાં કૂતરું યે મુંઝાયું, ને ભૂરાયું થઈ આમતેમ ઘુમરિયું મારવા મંડી ગયું ! ત્યાં માધવજીભાઇનું એ તરફ ધ્યાન ગયું. અને એમણે રોટલીનું એક બટકું નીરી,“ગલુ…ગલુ..તૂ…તૂ…તૂ..એમ બુચકારી ધીરું પાડ્યું અને હળવે હળવે કરતા પાસે જઈ થોડીકવાર માથાપર હાથ ફેરવ્યો, કૂતરાનો પણ શ્વાસ હેઠો બેઠો. એમ કરતા કરતા માથેથી ડીલે, ને પગે હાથ ફેરવતા ફેરવતા એક હાથમાં આગલા બન્ને પગ અને બીજા હાથમાં પાછલા બન્ને પગ ભેગા પકડી કૂતરાને ઉંચું કરી એવું જોરદાર રીતે ફંગોળ્યું કે કૂતરું એક બાજુના મકાનના છાપરા ઉપર ભફ દઈને પડ્યું અને બાંઉ..બાંઉ…કરતું દૂર ખેંતાળી ગયું. જોયુંને ? માધવજીભાઇની કોઠાસૂઝે ત્વરીત એવો ઉકેલ શોધી કાઢ્યો કે  જેથી કૂતરાને એ સાંકડી જગ્યામાં ભાગંભાગ કરી કોઇની જમણવારની થાળી બગાડવાનો ગાળો જ ના રહેવા દીધો !

    [૩]…..પડકા [સાપની એક જાતિ] ના દંશમાંથી ઉગારો કરાવ્યો :

    પ્રાર્થનામાં ગાંધીબાપુની ઓઢેલી ચાદર પર રાવજીભાઇએ સાપ જોયો. તેમણે ગભરાઇને બુમાબૂમ ન કરી, ઝડપથી ઊભા થઈ, ચારે છેડેથી ચાદરમાં વીંટી દૂર નાખી આવેલા. મારે પણ એવું જ થયેલું, તે વાત કરું તો…. નામ તો હતુ એનું “વિઠ્ઠલ” પણ અમે એને “કાળુ” કહીને બોલાવતા. કાળુ અમારી વાડી પંચવટીબાગનું કામ સંભાળતો. એક વાર પડામાંથી સુકાએલી જુવારની કડબને બળદગાડામાં ભરી ઘેર લઈ જવાનું કામ હાલે. કાળુ પૂળિયાં અંબાવે અને હું ભરોટા ઉપર એને ખડકું. એમાં કાળુ મને કહે, “ભાઈ, ખમજો હમણાં, આ મેં નાખ્યો ઇ પૂળાને ઘડીક હાથ અડાડશોમા ! અને ત્યાં ને ત્યાં ઊભા રહો, બહુ આઘા પાછા થાશો નહીં.” કાળુ આવું શુંકામ કહેતો હશે ? એવું હું પૂરું વિચારી રહુ રહુ ત્યાં થોડે દૂર “ભફાંગ” જેવો જમીન પર કશુક પડ્યાનો ભફાકો મેં સાંભળ્યો ! “અરે કાળુ, આ શું થયું ?” તો કહે “કંઇ નહીં ભાઇ ! તમને અંબાવેલ પૂળામાં જીવડાની લટકતી પૂંછડી હું ભાળી ગયો, અને પકડી, પૂળામાંથી આખેઆખા ને ખેંચી કાઢીને ફગોળી દીધું છે તે જૂઓ પણે પડ્યું પડ્યું વળ ખાય !” મેં એ બાજુ નજર કરી તો સાચ્ચે જ બે ત્રણ ફૂટ લાંબું કરકાબરું-લોંદિયું પડકું ગોટો વળીને પડેલું ભાળ્યું ! હું કાળુને વઢ્યો,”અરે ગાંડિયા ! આવું એની પૂંછડી પકડવાનું જોખમ વહોરાય ? ક્યાંક તને બચકું ભરી લીધું હોત તો ?” “અરે, બચકું તો મેં ટાણાહર એને પૂળિયામાંથી ખેંચી ન લીધું હોત તો તમને જ ભરી જાત !“

    કોઠાસૂઝ એ માત્ર ભણેલાઓનો ઇજારો નથી, કાળુ તો કંઇ ભણેલો નહોતો ! છતાં પોતાની કોઠાસૂઝના બળે જ કાળુએ પળ પારખી લઈ, ત્વરીત લીધેલ સાહસભર્યા નિર્ણયે જ મને પડકાના દંશમાંથી બચાવી લીધો હતો.

     [૪]…..બળદિયાને માર ખાવામાંથી બચાવ્યો :

    કોઠાસૂઝ એ કંઇ શીખવ્યે શીખાતી નથી, કેમ એનું શિક્ષણ પણ કોઇ શાળા-મહાશાળામાં નથી અપાતું. ! એમ પાછી નાણું ખરચેય વેચાતી નથી મળતી, એ તો ભાઇ કુદરતે આપેલી બક્ષીસ જ ગણાય.જેમને જેમને આ ભેટ મળી હોય તે ભાગ્યશાળી ગણાય. આપણ ખેડૂતોને બળદો-ગાયો-ભેંશો અને ગાડાં-ટ્રેકટર સાથે હોય વધુ વ્યવહાર. એટલે મોટાભાગના પ્રશ્નો તો એ બધા વિશેના જ હોવાના.

    અમારો એક બળદ જીવડું અડી જવાથી મરી જતાં,બીજો કાબરો બળદ ખરીદ્યો. જોયો હોય તો લોહીએ લથબથ ! કામે જોતરીએ એટલે હળવા કામે વાંધો નહીં, પણ બેડિયા બળદે રજકાવાયુ ખેડવા લોઢાના હળે જોડ્યો ને માળો એક, બે અને ત્રીજી ઉથલે અધવચ્ચે જ રહ્યો ઊભો ! પરોણી ઉગામી ડારો કર્યો તો બેહી પડ્યો ! હવે ? બાપો..બાપો..ઊઠ… ભાઇ… ઊઠ કહી ઘડીક ફોહલાવ્યો, પણ વ્યર્થ ! અમારા સાથી ગોવિંદભાઇએ તો લીધો પરોણો ! ફડૂહ..ફડૂહ વાંહામાં ને બરડે માંડ્યા દેવા ! પરોણાના સળ ઊઠી આવ્યા પણ એતો લાંબી ડોક ભોંયે અડાડી,આંખો મીંચી, ઠોઠડો થઈ ગયો ! મારવો કેટલોક ? થાક્યા અમે તો ! ત્યાં વાડીએ બેઠેલા અમારા કાકા આ ધમાલ જોઇ ગયા અને હાંકલો કર્યો અમને, “એલા મારોમા, …મારોમા …હું આવું છું, કંઇક રસ્તો કાઢીએ” ઉતાવળે આવી પહોંચ્યાં. આવીને જોયું તો બધાના હાંકલા-પડકારા અને મારથી બીય ગયેલો જોઇ કહે કહે, “ બુદ્ધિના બારદાન જ બધા ભેળા થયા લાગો છો ! મારી મારીને બળદિયાને મુંઝવીને હેબતાવી દીધો છે. એલા ગોવિંદા, એની રાશ ઢીલી મૂક અને એ કાળિયા ! તું એની ડોકે જોડેલ તરેલાની સંબેલ ખેંચી લઈ ધરમાંથી છૂટો કરી મેલ્ય એને, પછી જોઉં છું કેવોક નથી ઊભો થતો તે !’ અને કાકાએ કીધું એમ કર્યા ભેળું માળો હફડાક દઈ ઊભો થઈ બાજુમાં ખસી ગયો બોલો ! જે કામ બળથી ન થયું તે કાકાની કોઠાસૂઝના પ્રયોગે ફટ કરતું થઈ ગયું !

    અંતે :  કહેવાનું એટલું જ કે ખેતી એ તો સજીવો અને કુદરતી પરિબળો સાથે ગુંથાયેલ વ્યવસાય છે મિત્રો ! એમાં ડગલે ને પગલે કોઇને કોઇ બાબતે સ્વપ્નેય ન વિચાર્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી જાય ત્યારે ભલભલાના મન મુંઝારે ચડી જતાં હોય છે. હા, એવું ખરું કે કેટલાક મુંજારાના ઉકેલ શોધવામાં નિરાંત રાખીએ તો ચાલે એવાય હોય, પણ કેટલીક ઓચિંતાની આવી પડેલ ઉપાધીઓ એવીયે હોય છે કે જેનો તાત્કાલિક નિર્ણય લઈ, એમાંથી ઝટ ઝટ ઉગારો કરવામાં ન આવે તો કેટલીક વાર બહુ મોટું નુકશાન વહોરવાનું પણ આવી પડતું હોય છે. એટલે પ્રશ્ન ખડો થયો ? ફટાફટ પરિસ્થિતિનો તાગ મેળવી એના ઉકેલ અર્થે હાજરમાં જડ્યો એવો યોગ્ય નુસ્ખો-તરકીબ કે ઉપાય જે સૂઝી આવે એનો વિના વિલંબે અમલ એ જ ધ્યેય રહેવું ઘટે. અને આવા તાત્કાલિક સફળ ઉપાયો જેની ‘કોઠાસૂઝ” સોળે કલાએ ખીલેલી હોય એ જ અમલમાં મૂકી શકે ! આપણે સૌ વિચારવલોણું ચલાવીએ કે આ બાબતે આપણા ટકા કેટલા ?


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અને નેચરલ સ્ટુપીડીટીની દુનિયા

    આનંદ મઝગાંવકર

    આજે દુનિયામાં નગ્ન-દેખીતી હિંસા છે તે તો કંઈક અંશે આપણને સમજાય છે, જોકે તે અંગે પણ જાણે સમાજ ઉત્તરોત્તર અસંવેદનશીલ બનતો જતો દેખાય છે. પરંતુ અસમાનતા, જે મહેનત કરે તે ભૂખ્યા મરે, નબળી વ્યક્તિ દબાતી-કચડાતી જાય – આ બધાંને આપણે વ્યવસ્થાની હિંસા કહીએ અને આ પ્રકારની હિંસા આપણે કલ્પના ન કરી શકીએ તેટલાં ક્ષેત્રોમાં વ્યાપ્ત થઈ ચૂકી છે. આજની દુનિયામાં જાણે ન્યાય માટે ન કોઈને નિસબત છે, ન સમય. એક તરફ પ્રકૃતિના દોહન અને શ્રમિકોના શોષણથી કોઈ દિવસ નહોતી એટલી ભૌતિક સંપત્તિ, આગળ પ્રાપ્ત ન હતી એવી ટેકનોલોજી આજે ઉપલબ્ધ છે. અને તેમ છતાં ક્યારેય ન હતી એટલી વિષમતા આજે આપણી દુનિયામાં વ્યાપ્ત છે. આવા સંજોગોમાં જો કોઈ ભૂખ્યું રહે તો એ અન્નની અછતને કારણે નહીં પરંતુ તે ન્યાયની અછત (અભાવ)ને કારણે છે !

    આજે દુનિયામાં એટલાં ભયંકર યુદ્ધો ચાલી રહ્યાં છે – અને આ યુદ્ધોની બે બાજુઓ સંસાધનો અને શસ્ત્રની રીતે એટલી તો અસમાન છે દા.ત. એક તરફ મહાશક્તિ રશિયા અને નાનકડા દેશ યુક્રેન વચ્ચે ચાર વર્ષથી ચાલી રહેલું યુદ્ધ. તો બીજી તરફ ઇઝરાયેલનું ગાઝા પર આક્રમણ કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઇઝરાયેલ મળીને ઈરાન પર આક્રમણ કરે છે. કે સ્વતંત્ર સાર્વભૌમત્વ ધરાવતા રાષ્ટ્ર વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું રાતના અંધારામાં જઈને અમેરિકન સેના અપહરણ કરે છે. આવા સંજોગોમાં કોઈ પણ સંવેદનશીલ નાગરિક હતાશા, નિ:સહાયતાથી જુદું શું અનુભવી શકે ? વિકાસ, પ્રગતિ, ઉત્ક્રાંતિ, અહિંસાની ખોજ, ભૂલોમાંથી શીખવું એ જાણે કે કોઈ બીજા જ ગ્રહની વાત લાગે તેવું વાતાવરણ ચોમેર સર્જાયેલું છે.

    આ વ્યાપ્ત પરિસ્થિતિની વ્યક્તિ અને સમાજ પર જે અસરો દેખાય છે તે કંઈક આવી છે :

    ૧. ભ્રમ : આજે માણસ એવા ભ્રમમાં જીવે છે કે આપણે આગળ વધી રહ્યા છાએ. કંઈક શીખી રહ્યા છાએ, હૃદય અને બુદ્ધિવાળા માનવ તરીકે ઉત્ક્રાંતિનો લાભ આપણને મળી રહ્યો છે. અને કૃત્રિમ બુદ્ધિ (એ.આઈ) બધા પ્રશ્નો ઉકેલી દેશો એવા ભ્રમમાં આપણે જીવીએ છીએ.

    તો બીજી તરફ આપણે સાંભળીએ છીએ કે આપણે વિશ્વગુરૂ છીએ, પરિપૂર્ણ છીએ, આપણી સમજણ સર્વશ્રેષ્ઠ છે તેથી આપણે કોઈ પાસે કંઈ શીખવાની જરૂર જ નથી.

    ૨. અનુકરણ : એક તરફ તો આપણે વિશ્વગુરુ હોવાની ગૂરુતાગ્રંથિમાં રાચીએ છીએ અને બીજી તરફ આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ દરેક બાબતમાં કરી રહ્યા છીએ – પછી તે જીવનશૈલી હોય, પહેરવેશ, ભાષા કે વિદેશનું શિક્ષણ. એટલું ઓછું હોય તેમ વિદેશ વસવાટની આકાંક્ષા તેમજ બેંકનાં ખાતાં ડોલરમાં હોય તેવા ખ્વાબો માટે જાન આપી દેનારા આપણા લોકો ! માનસશા્ત્રની ભાષામાં આને સ્ક્રીત્ઝોફેનીયા કે બાયપોલર ડીસઓર્ડર કહેવાય ને ?

    ૩. દ્વિધા : ગાંધીના ભારતમાં કે વિશ્વમાં જે લોકો સત્ય, અહિંસા અને ન્યાય પ્રત્યે નિસબત ધરાવે છે તેમને માટે આજની રાજકીય – આર્થિક – સામાજિક પરિસ્થિતિ એક મોટી દ્રિધા ઊભી કરે છે. જ્યારે વિશ્વમાં આટલી અસમાનતા હોય – આર્થિક, શસ્રબળ અને સૈન્યની રીતે – યુદ્ધો મોટે ભાગે એકતરફી બની ચૂક્યાં હોય ત્યારે યુદ્ધ તો જ અટકે જો યુ.એસ. અને ઈઝરાયેલને કોઈ મોટું નકસાન થાય – એમના થોડા સૈનિકો મરે તો પોતાના દેશની જનતાની બીકથી યુ.એસ. અને ઇઝરાયેલની સરકારને યૂદ્ધ સમેટવાની ફરજ પડે. પરંતુ આવું વિચારવું એ એક મોટી દ્રિધા એટલા માટે છે કે ગાંધીની હિંસા તો સામેનાનુંયે બૂરું ઇચ્છવા પર પ્રતિબંધ મૂકે છે.

    ૪. જાણી જોઈને અજાણ રહેવું : આટલી વિષમતા, ભૂખમરો અને હિંસા જ્યારે દુનિયામાં વ્યાપ્ત હોય ત્યારે કોઈ પણ સામાન્‍ય વ્યક્તિ-નાગિરક પોતાની માનસિક સ્વસ્થતા (sanity) જાળવવા આંખ બંધ કરી દે છે અને આ બધી વસ્તુઓથી અજાણ રહે છે. અંગ્રેજીમાં કહેવાય છે Ignorance Is Bliss (શાંતિ માટે અજાણ રહેવુ).

     પ. નિર્લેપ રહેવું / સંવેદનાને બૂઠી કરી દેવી : જોવા છતાં ન જોવું, પોતાની જિંદગી રાબેતા મુજબ જીવવા – business as usual – ચલાવતા રહેવા પોતાની જાતને મનાવી લેવી – કંઈક અંશે છેતરવી પડે તો તેમ કરવું કે કોઈ પ્રશ્ન નથી. ભલે આપણી આજુબાજુ આગ લાગી હોય છતાં ‘સબ ચંગા સી’ એવું માન્યા કરવું. અને પછી એ વસ્તુ આપણે માટે નોર્મલ બની જાય. એવી રીતે વિચારવાની લઢણ પડી જાય. પરિણામે વ્યક્તિના સંવેદનાના તાર હલવાના બંધ થઈ જાય. આપણે પોતાના કોચલામાં રહેતાં શીખી જઈએ. આ યાત્રા આજના સમયમાં જોવા મળતી સામાન્‍ય (નોર્મલ) કહેવાતી વ્યક્તિની છે. તેને કોઈ ડ’ળાંળ્યાં (જીવતા રહેવા) માટેની પદ્ધતિ પણ કહી શકે !

    ૬. ખોટો પ્રચાર – (વૃત્તાંત) ઊભો કરવો : આવી વિકટ પરિસ્થિતિ વધુ વિકૃતિયુક્ત ત્યારે બને છે જ્યારે જેઓ સ્થાપિત હિત ધરાવતા હોય છે તેવા બળૂકા લોકો પોતાના નિહીંત સ્વાર્થ માટે હિંસા, અત્યાચાર આચરતા અચકાતા નથી. વાતાવરણ વધુ વકરે તો તેમાંથી સરવાળે તેમને લાભ થતો હોય છે. અને પોતાની વિકૃત વાતને સાચી ઠરાવવા, ન્યાયી ઠરાવવા વ્યવસ્થા તેમજ પ્રચારતંત્રનો એવો ઘોંઘાટ ઊભો કરે, એક વૃત્તાંત બનાવે (narrative); દા.ત. યુ.એસ. કહે છે કે અમે આ યુદ્ધ આતંકવાદ દૂર કરવા, લોકશાહી બચાવવા અને ઈરાનની બહેનોની સ્વતંત્રતા માટે કરી રહ્યા છીએ. આંખ બંધ કરીને જીવતા, પોતાનું માનસિક સંતુલન જાળવવા મથતા નાગરિકો આ ઘોંઘાટના શિકાર સહેલાઈથી બની જતા હોય છે ને વળી તેના પક્ષકાર પણ બની જાય છે.

    ૭. એકલતાનો અનુભવ : જ્યારે આવું સ્પષ્ટ ધ્રુવીકરણ વ્યાપ્ત હોય, માન્યતાઓ, મત સતત વહેંચાયેલાં હોય, દરેકની લાગણી તંગ હોય. પોતાની મુશ્કેલીઓ માટે દોષનો ટોપલો અન્યને માથે નાંખવાની – બલિનો બકરો બનાવવાની – વૃત્તિ જન્મ લે એટલું જ નહીં તે સમાજમાં સ્વીકાર્ય અને સામાન્‍ય બની જાય – ત્યારે હકીકતમાં વ્યક્તિ એકલી પડેલી હોય છે. આ પરિસ્થિતિમાં પોતાનો પ્રામાણિક મત પોતાના પડોશી કે મિત્રને જણાવવામાં અથડામણની બીક લાગે ત્યારે એક ભયંકર એકલાપણું ઊભું થાય છે. આવી પરિસ્થિતિમાં ભીંડમાં પણ વ્યક્તિ એકલતા અનુભવે છે.

    ૮. સમાજમાં એક્યનો અભાવ (વિચ્છિન્તતા) : ભૌતિક રીતે પડોશમાં રહેતા હોવા છતાં વિચાર, સમજણ, લાગણીઓની મોટી દીવાલ આજે ઊભી થઈ ગઈ છે. પાડોશી સાથે કોઈ સેતુ નથી – જાણતા પણ નથી, અંતર વધતું જાય છે, દરેક પોતાનામાં મસ્ત છે, નિસબતના વિષયો પણ એક નથી, ભાષા (સમજણની) પણ એક નથી. આમ પણ શહેરોમાં આજે લોકો મોટા મોટા એનકલેવ્સ્માં વસવાટ કરે છે. સોસાયટીની દીવાલો ઊંચી થતી જાય છે, વાડા વધતા- જુદા થતા જાય છે.

    ૯. વ્યક્તિ તરીકે વ્યક્તિને અનુભવાતી વ્યર્થતા : આજે વ્યક્તિને પરિસ્થિતિ ઉપર, પ્રવાહો ઉપર મીડીયા, લોકશાહી, ન્યાયતંત્ર – કશા ઉપર પોતાનો કોઈ જ પ્રભાવ પડતો દેખાતો નથી. પ્રશ્નો એટલા જટીલ તેમજ વ્યાપક અને આંતરસંબંધો ધરાવનારા છે કે જાગૃત, સંવેદનશીલ, કંઈક કરી છૂટવાની ભાવના કે ઇચ્છા ધરાવનાર વ્યક્તિ પણ નિસહાયતા અનુભવે છે, જે માણસને વધુ નિરાશા અને એકલતા ભણી ધકેલે છે.

    ૧૦. ટાપુ પર ભાગી જવું ? : આગળ લખ્યું છે કે આંખ બંધ કરીને જીવવું. પરંતુ, હિંસા, તિરસ્કાર, ભેદભાવ, અન્યાયના પ્રશ્નો એટલા બળૂકા અને કાન ફાડે તેવા તીવ્ર છે કે માત્ર આંખ કાન બંધ
    કરીને ચાલે તેમ નથી. કયાંક કોઈ ટાપુ પર ભાગી જવું પડે – જેથી દુનિયાના પ્રશ્નોથી પોતાને બચાવી શકાય (?) – એવી પરિસ્થિતિમાં આજે આપણે મુકાયા છીએ. પછી એ પાણીની કે ગેસની અછત, ક્લાઈમેટ ચેન્જને કારણે ડૂબતો સમૃદ્રકિનારો હોય, પહાડોમાં થતું ભૂસ્ખલન હોય કે ધર્મ-જાતિ-વર્ગને આધારે થતી હિંસા. આજનો રસ્તો એ છે કે પોતે સુરક્ષિત જગ્યાએ ભાગી જવું. પોતે પોતાનો ઉપાય કરી લેવો. બાકીની દુનિયા જખ મારે. દા.ત. જાહેર વાહનવ્યવહારની હાડમારીથી બચવા કાર ખરીદી લેવી, વગેરે.

    આટલી પ્રતિકૂળ પરિસ્થિતિ છે છતાં પ્રવાહ વિરૃદ્ધ તરનારા વીરલાઓ તો મળી જ આવે છે – દુનિયાનો ઇતિહાસ પણ એ બતાવે છે અને વર્તમાન પણ – રેચલ કોરી જે બુલડોઝર સામે ગાઝામાં ઊભી રહી અને પોતાની જાન ગુમાવી. ઈરાનનો સંગીતકાર અલી ધમસારી જે શાંતિ માટે વીજળીમથક સામે જઈને પોતાનું સંગીત વગાડતો બેઠો, ઉમર ખાલીદ, શરજીલ ઇમામ, ગુલ્ષીશાં ફાતિમા, પરોંજય ગુહા ઠાફુરતા, રવિ નાયર, મહમદ દીપક અને આવા અસંખ્ય બીજા લોકો જે પોતાને માટે નહીં પરંતુ ન્યાય માટે, શાંતિ માટે, લોકશાહી માટે પોતાની જાન ફના કરવા તૈયાર થઈ જાય છે.

    અત્યાર સુધી આપણે જે વાત કરી તે એક વ્યક્તિ તરીકેના અનુભવની હતી. હવે આપણે જોઈએ કે સમાજમાં આ બધાં પરિબળોનું શું પ્રતિબિંબ પડે છે અથવા આનું સામાજિક સ્વરૂપ કેવું હોય :

    ૧. પે એન્ડ યુઝની સંસ્કૃતિ : જેની પાસે પૈસા છે તેને જ જાણે કે ઉપભોગનો અધિકાર હોય એવી માનસિકતા ચારે તરફ વ્યાપ્ત છે અને તે સ્વીકાર્ય બનતી જાય છે. તેને વિશે કોઈ પ્રશ્ન ઊઠતો નથી. સહુને યાદ હશે કે આજથી થોડાં વર્ષો પહેલાં જ રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર મા-દીકરી માટલું લઈને પાણી વેચવા આવતાં ને આપણે તે નિરાંતે પીતાં. પણ આજે હવે આપણને આપણા આરોગ્ય તેમજ સ્ટેટસની સલામતી ‘બીસલેરી’ કે ‘એકવાફીના’ની બોટલમાં જ સાંપડે છે. રસ્તો વાપરવો હોય તો પણ હવે ટોલ ભરવો પડે છે. ફક્ત એટલું જ નહીં, વિશ્વમાં હવા એટલી પ્રદૂષિત થઈ ચૂકી છે કે તેના ઉકેલ તરીકે હવે ઓક્સિજન પાર્લર ઊભાં કરવાની નોબત આવી છે. પાણી અને હવા પણ ખરીદવાં પડે એવી દુનિયામાં આપણે જીવીએ છીએ અને જેની પાસે તેને માટે પૈસા નથી તેને કોઈ ગટરના કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં પોતાનો જીવનગુજારો કરવાની ફરજ પડે છે.

    ૨. સમાજનું મધ્યમ વર્ગીકરણ : આપણાં સપનાં, આકાંક્ષાઓ, જીવનશૈલી, જીવનના સ્તરનું મધ્યમ વર્ગીકરણ જોવા બહુ દૂર નજર નહીં નાંખવી પડે. એકબીજાના ઘરમાં રહેવું, એકબીજા માટે ઘસાવું સાવ સ્વાભાવિક હતું. પરંતુ આજે એ બધું તૂટતું જાય છે. હોટેલોમાં રહેવાનો શિરસ્તો વધતો જાય છે. સામૂહિક જગ્યાઓ (public places) આપણે સાથે મળીને વાપરતાં તેનું સ્થાન વ્યક્તિગત જુદી, પોતાની અંગત જગ્યાઓએ લેવા માંડ્યું છે. ઘરમાં વપરાતી એક લેન્ડલાઈનનું સ્થાન દરેકના હાથમાં રમતા સ્માર્ટફોને લીધું છે. ફળિયામાં, ગામમાં, શહેરની પોળોના ઓટલે બેસીને ગપ્પાં મારવાં એ જાણે કે ભૂતકાળની ઘટના બની ગઈ છે. મિત્રો-સગાંને મળવાનાં સ્થાનો હવે રેસ્ટોરાં – હોટેલ અને સુરક્ષા કવચવાળી ઊંચી દીવાલવાળી સોસાયટીઓનાં ડ્રોઈંગરૂમ કે કલબ હાઉસ બની ગયાં છે. કારણ કે હવે આપણા સ્ટેટસને એ વધુ માફક આવે છે અને તેમાં જ આપણે સુરક્ષિતતા પણ અનુભવવા માંડયા છીએ.

    ૩. બદલાતી ભાષા, ન બદલાનારી હકીકતો : સરકારી દસ્તાવેજો હોય કે વિશ્વસ્તરે થતી વાટાઘાટો, આજકાલ તેમાં ફેશનેબલ પરિકલ્પનાઓનો ઉપયોગ અતિપ્રચલિત છે જેમ કે, ‘ચિરંજીવી વિકાસ’, “લોક ભાગીદારી’, “પારદર્શિતા’, ‘લોકશાહી’, ‘સહિયારી માલિકી’ વગેરે શબ્દો ઉછાળવામાં આવે છે. પરંતુ હકીકતમાં કરારો, નીતિ નિર્ધારણ, યોજનાઓ કે કાયદાઓ બનાવવામાં સામાન્‍ય માણસનો વિચાર, તેમની જરૂરિયાતોનો અંદાજ કે ભાર્ગાદારી માત્ર નામ ખાતર કે રાજકીય ફાયદો ઉઠાવવા-સસ્તી લોકપ્રિયતા મેળવવા જ કરવામાં આવે છે.

    ૪. સંવેદદનહીનતા : જો જીતા વહી સિકંદર ! હરીફાઈમાં વધુ મેરીટ વાળો જ જીતે. મેરીટ જ બધું ભવિષ્ય નક્કી કરે એવા ભ્રમમાં આપણે જીવીએ છીએ. આગળ વધવા માટે બીજાના ખભા પર પગ મૂકવો પડે તેમાં ખોટું નથી. સફળ થવા માટે આ જરૂરી છે. અને સફળ થવું તે જ પ્રગતિ-વિકાસ છે તેવી માન્યતા હવે સમાજમાં સારા પ્રમાણમાં સ્વીકાર્ય બની ગઈ છે. તેથી સૌ એ જ દોટમાં લાગેલા છે.

    સફળતાના દાખલા (success stories) જ દુનિયાને આગળ લઈ જશે એવું ઠસાવી દેવાય છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ૭ અબજ એટલે કે ૭૦૦૦ કરોડ (પૃથ્વીની વસ્તી) લોકોમાંથી ૭૦૦૦ કે ૭૦,૦૦૦ લોકો જ “સફળ’ થઈ શકે. એટલે ૬,૯૯,૯૯,૩૦,૦૦૦ લોકોને શું જીવવાનો અધિકાર નથી? એમણે શું નિષ્ફળતાનું પાટિયું ગળામાં લટકાવીને બાકીની જિંદગી ‘સફળ’ લોકોની ગુલામી કરવાની ? અથવા તેમણે શું હંમેશાં દુય્યમ દર્જાના નાગરિક બનીને જીવન ગુજારવું ? સમાજનો વિકાસ માત્ર મેરીટ અને હરીફાઈથી થાય એ બાબત આજની આપણી શિક્ષણવ્યવસ્થા અને સમાજનાં પ્રચલિત મૂલ્યો પ્રસ્‍થાપિત કરી રહ્યાં છે. અને અહીં જ હિંસાનાં બીજ રોપાય છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય.

    આવા વાતાવરણમાં “સૌના ભલામાં આપણું ભલું છે’ એ સિદ્ધાંત હવે વેવલાપણામાં કે જુનવાણી વિચારમાં ખપાવી દેવાય છે.

    પ. લોક વિરૃદ્ધ લોક : ‘વેપાર-ધંધાના વિકાસ માટે શ્રમિકોનું શોષણ તો કરવું જ પડે. દેશ અને સંપત્તિના વિકાસ માટે આદિવાસીઓની જમીન ડૂબે કે ખનિજના ખોદકામ માટે તેમને વિસ્થાપિત કરવા પડે તો તેમાં કાંઈ ખોટું નથી’ એ પ્રચલિત મૂલ્ય છે. આખરે ‘વિકાસ માટે કોઈકે તો ભોગ આપવો જ પડે ને ? અને ભોગ તો હંમેશ ગરીબ-પછાત લોકોએ જ આપવાનો હોય ને ?’

    ઉદ્યોગના વિકાસ માટે શ્રમિકોનું શોષણ, શહેરના વિકાસ માટે ગામડાનું શોષણ, ગામના વિકાસ માટે ખેડૂત-મજૂરનું શોષણ, વ્યાવસાયિક ખેતી માટે આદિવાસી જીવનપદ્ધતિનું શોષણ, કુટુંબના વિકાસ માટે સ્રીનું શોષણ – આવી એક જટીલ-ગૂંચવણભરી સાંકળ બનેલી છે, જેને કારણે ટ્રીકલ ડાઉનને બદલે હકીકતમાં ‘ફલશીંગઅપ’ની પ્રક્રિયા થઈ રહી છે. સંપત્તિ નીચે સુધી પહોંચાવાને બદલે ઉપર કેન્દ્રિત થઈ રહી છે. અને આ મોડેલમાં હકીકતમાં જુદા જુદા વર્ગ, વ્યવસાયના લોકો એકબીજાની સામસામે આવીને ઊભા રહે છે.

    ૬. ઉપગ્રહ અર્થતંત્ર : “પહેલા વિશ્વ (યુરોપ, અમેરિકા વ.)ના ઉપગ્રહો એ આફ્રિકા અને એશિયાના દેશો છે. ‘ત્રીજા વિશ્વ’ના દેશોનાં અર્થતંત્ર જાણે કે “પ્રથમ વિશ્વ’ના અર્થતંત્રના ઓઈલીંગ માટે વપરાતાં હોય તેવી પરિસ્થિતિ છે.

    જ્ઞાનસંપદા (intellectual property) ટેકનોલોજી અને પાકો માલ “પ્રથમ વિશ્વ’માંથી ‘ત્રીજા વિશ્વ’માં આવે છે. અને આજે પણ કાચો માલ અને શ્રમિકો ‘ત્રીજા વિશ્વ’ માંથી ‘પ્રથમ વિશ્વ’માં જાય છે. એનો અર્થ એ થયો કે મહેનત કરનારા અને ગરીબોએ શ્રીમંતોના ફેકેલા ટુકડા ઉપર નભવાનું એવી વ્યવસ્થા છે. આ જૂના સમીકરણમાં આજે ૨૧મી સદીમાં પણ ખાસ ફેર પડતો નથી એ હકીકત છે.

    ૭. રોગ કરતાં દવા વધુ જોખમી : ગરીબી, ભૂખમરો, સંસાધનોની અછત, વેડફાટ – પછી તે ખનીજની હોય કે પાણીની – જેવા પ્રશ્નોના  ઉકેલ તરીકે નિર્ણયકર્તાઓને જે યોગ્ય લાગે છે તે છે ખાનગીકરણ.

    વિશ્વભરના ખાનગીકરણના અનુભવો વિશે વાત કરી શકાય પણ આપણા દેશની પરિસ્થિતિની વાત કરીએ. સેવાઓનું ખાનગીકરણ થયું તો પરિણામ શું આવ્યું ? સરકારી શાળાઓ બંધ થઈ, સરકારી શાળાઓની ગુણવત્તા ઉત્તરોત્તર બગડતી ગઈ (અથવા આપણે એવું માની લીધું) – પરિણામ ? આજે દરેક બાળકને દોઢથી બે લાખની ફી ભરીને પ્રાઈવેટ શાળામાં ભણાવવાની ફરજ પડે છે. મધ્યમવર્ગ આટલો ખર્ચ કરે તો તેનું શું થાય ? આરોગ્યની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. રેફરલ હૉસ્પિટલોનું મોટા પાયે ખાનગીકરણ થઈ રહ્યું છે એનો ચોખ્ખો અર્થ એવો કે ગરીબોને માટે સાદી સારવાર પણ તેમની પહોંચની બહાર થતી જાય છે. એટલે કે જેની પાસે પૈસા છે તેને જ ખરીદીનો, ઉપભોગનો, પોતાની જરૂરિયાત પૂરી કરવાનો – પછી તે ખોરાકની હોય, શિક્ષણની હોય કે આરોગ્યની – અધિકાર છે.

    ૮. સરકારની બદલાતી ભૂમિકા : એક સમયે ગરીબી હટાવવી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની જવાબદારી, કલ્યાણકારી યોજનાઓ સુચારૂ રીતે ચાલે તેની જવાબદારી સરકારની ગણાતી. પરંતુ, આજે હવે સરકારની જવાબદારી ઉદ્યોગોને અનુકૂળ માળખું તેમજ વ્યવસ્થાઓ ઊભી કરવાની બની ગઈ છે. એટલું જ નહીં, સહેલાઈથી ઉદ્યોગો ચાલી શકે તેને માટે કાયદા પણ બદલાય છે જેમાં પર્યાવરણનાં ધારા-ધોરણો નવે મૂકી દેવાય છે – જેનું નુકસાન દેરાને અને હાંસિયા પર જીવતા લોકોને સૌથી વધુ ભોગવવવું પડે છે. જે મૂળભૂત જરૂરિયાતોની જવાબદારી સરકારે ઉપાડવાની હતી, જે સામાન્‍ય નાગરિકો માટે હતી તેની પૂર્તિ બજાર દ્વારા થઈ જશે એવું ગૃહિત ધારી લેવાય છે. પરંતુ શું એવું થાય છે ખરું ?

    ૯. ટેકનોલોજી એ જ ઉકેલ : મોટા ઉદ્યોગો, પ્રદૂષણ, જલવાયુ પરિવર્તન, અતિ ઉપભોગ – આ બધાને લીધે જે વિકરાળ પ્રશ્નો પૃથ્વી, સૃષ્ટિ અને માનવના અસ્તિત્વ સામે ઊભા થયા છે એ દરેક પ્રશ્નનો ઉકેલ ટેકનોલોજી આપી દેશે તેવી માન્યતા છે. આને અંધશ્રદ્ધા નહીં તો શું કહીએ ? (અંધશ્રદ્રાનો સંબંધ તો અજ્ઞાન, ભણતરનો અભાવ, પછાતપણા સાથે નહોતો ?)

    આજે અગાઉ ન હતા એવા ટેકનોલોજીકલ જાયન્ટસ્‌ ઊભા થઈ ગયા છે, જેમાં નાણાંનું ભયંકર કેન્દ્રીકરણ છે. અને એમાંથી નવા ડીજીટલ ઉપનિવેશોનું નિર્માણ થઈ રહ્યું છે.

    ૧૦. શું સમગ્રતાવાળું ચિંતન શક્ય નથી ? : સમાજ અને વિશ્વ આટલા ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. તેવે સમયે પણ આપણે ખંડિત ચિંતન (piecemeal) અને ટૂંકા ગાળાના સીમિત ઉકેલોથી ઉપર કેમ ઊઠી શકતા નથી ? શું એકવીસમી સદીમાં સમગ્રતાપૂર્ણ ચિંતન કરવું શક્ય નથી ? આજે જ્યારે માનવી કૃત્રિમ બુદ્ધિથી લઈને દુનિયાભરના જ્ઞાનનાં બણગાં ફૂંકે છે, જ્ઞાન હવે તેને એક ક્લીક કરતાં હાથવગું છે ત્યારે પણ તેની આ પરિસ્થિતિ છે ?

    ૧૧. સત્ય અને અહિંસા : પર્યાવરણીય, રાજકીય, આરોગ્ય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રે પણ જ્યારે માણસ જાણે તૂટી જવાની કગાર ઉપર ઊભો છે ત્યારે કોઈ સત્ય અને અહિંસાનું ‘ઠૂંઠું’ પકડીને બેસે તો તે મૂરખ જ કહેવાય ને ?! આવી વિચારધારા આજે આમસમાજમાં પ્રવર્તે છે. વ્યવસ્થાની તેમજ આ દરેક ક્ષેત્રમાં વ્યાપ્ત હિંસાને નજર-અંદાજ કરીને માનવજાત આગળ વધી શકશે ખરી ?

    ઉકેલની દિશામાં :

    આજે જેટલાં માહિતી અને જ્ઞાનનાં ભંડોળ માનવજાત પાસે છે તેટલાં કોઈ દિવસ તેની પાસે ન હતાં અને તેમ છતાં આપણી સાથેના પ્રશ્નો વધુ ને વધુ વિકટ અને વિકરાળ થતા જાય છે. આવા મહાકાય પડકારોનો ઉકેલ કોઈ પ્રાચીન ગ્રંથોમાં શોધે, કોઈ માફર્સમાં શોધે, કોઈ ગાંધીમાં શોધે, કોઈ બજારવાદમાં શોધે, કોઈ એ.આઈ.- કૃત્રિમ બુદ્ધિમાં શોધે તો કોઈ ધર્મગ્રંથમાં શોધે. પરંતુ, કોઈ એક વાદ, કોઈ પણ આત્યંતિક કે એકાંગી વિચારમાંથી આજના બહુઆયામી અને ગંભીર પ્રશ્નોનો ઉત્તર નહીં મળી શકે.

    જેમ માત્ર પ્રાચીન ગ્રંથમાં ઉકેલ નથી તેમ માત્ર અઘતન ટેકનોલોજીમાં પણ ઉકેલ નથી. આ પ્રશ્નોના રેડીમેડ ઉકેલ ન હોઈ શકે. પ્રાચીન ગ્રંથમાંની કથામાંથી ગુરુબાબાઓ પંથ-સંપ્રદાય ઊભા કરે જે સમાજને નવી દિશા નથી આપતા. પ્રગતિશીલ નથી બનાવતા – તેમનો રસ પોતાના પંથ-સંપ્રદાયનો વિસ્તાર કરવામાં હોય છે. તેવી જ રીતે ટેકનોલોજીનો માલિક કોણ છે, તેના બનાવનારા કોણ છે, તે કોના હિતમાં છે, નફો કોને મળે છે એ મહત્ત્વની બાબતો છે. કારણ કે તે એક પ્રોડક્ટનું લોન્ચિંગ કરે છે તેનાથી લોકહિત પણ સધાય છે કે નહીં એ સવાલનો જવાબ જ નક્કી કરશે કે ટેકનોલોજી કોને માટે છે. અહીં એ પણ યાદ રાખીએ કે, ટેકનોલોજી તમામ પ્રકારની વિવિધતાઓનો અંત લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
    તો શું કરીશું ?

    • વાસ્તવિકતા વિશે માહિતગાર રહેવું, સભાન થવું એ આજના સમયની માંગ છે. આ સમાનતા અસંતોષમાં પરિણમે અને આ અસંતોષ તેની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે કંઈક હિલચાલ થાય છે. એક ડાળ પર ૯૯ વાંદરાઓ બેઠા હોય ત્યાં સુધી એ ડાળ સુરક્ષિત હોય પણ જે ઘડીએ ૧૦૦મું વાંદરું એના પર બેસે છે ત્યારે એ ડાળ પડી ભાંગે છે (100th monkey effect 1 ).
    • ભડકો થવા માટે એક નિમિત્ત (trigger)ની જરૂર હોય છે. જેવું ટુનિસિયા દેશમાં બન્યું. એક ફળવાળો રોજની હેરાનગતિથી ત્રાસીને રસ્તા પર આત્મહત્યા કરે છે – તેમાંથી ‘આરબ સ્પ્રીંગ’
      આંદોલનનો દ્‍ભદ્ભવ થયો જેમાં કેટલાય દેશોની સરકાર કાં તો બદલાઈ અથવા હલી ગઈ.
    • જનતા તરફથી આવા પડકાર ઊભા થાય ત્યારે સ્વાભાવિકપણે જ જે-તે સત્તા તેને ડામવાનો પ્રયત્ન કરે – જેવું છેલ્લાં કેટલાંક વર્ષોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં જોવા મળ્યું. પરંતુ આવું દમન વિરોધને મજબૂત કરવાનું ને વધારવાનું જ કામ કરે છે.
    • આમ થાય તો તેમાંથી પ્રાપ્ત થશે પરિવર્તન માટે પ્રતિબદ્ધ એવા લોકોનું પૂરતી ઊર્જા સાથેનું ચાલકબળ.
    • આવા ચાલકબળમાં એ શક્તિ પણ હશે કે તે વિભીષણ ઈફેક્ટ ઊભી કરે. એટલે કે સ્થાપિત વ્યવસ્થાને ટકાવી રાખનારાં તત્ત્વો પાટલી બદલીને પરિવર્તનના પક્ષમાં આવી જાય. પરિણામત: સ્થાપિત વ્યવસ્થામાં તિરાડો પડવાની શરૂઆત થાય.
    • પરિવર્તન ઇંચ્છનારાં તત્ત્વોનું સંખ્યાબળ જેમ વધતું જાય તેમ ધ્યેય, હેતુ અને તાત્કાલિક હાંસલ કરવા જેવાં લક્ષ્યો વિશે સર્વસંમતિ ઊભી કરવી પડે. અને જ્યાં સર્વસંમતિ સધાય ત્યાં અચૂક પરિવર્તનની શરૂઆત થતી જોવા મળે છે.

    પરિવર્તન જો ટકાઉ બને એવું ઇચ્છતા હોઈએ તો પરિવર્તનકારીઓમાં લાંબા ગાળાનું દર્શન અને દૂરદષ્ટિ હોવાં જરૂરી છે. સાથેસાથે પરિવર્તન માટેનું વૈકલ્પિક દર્શન પણ હોવું જોઈએ.

    આવી પૂર્વશરતોની પૂર્તિ જ્યાં, જે દેશમાં, વિસ્તારમાં, જે સમયે થાય ત્યાં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે.

    પરિવર્તન માટે દુનિયામાં અસંખ્ય પ્રયોગો થયા છે, લોહી વહ્યું છે, લોકોએ બલિદાન આપ્યાં છે. પરંતુ, ઉપર જણાવેલાં પરિબળોમાંથી પૂરતાં પરિબળો કોઈ સંજોગોમાં ભેગાં ન થાય ત્યારે પરિવર્તનના પ્રયાસો નિષ્ફળ પણ ગયા છે. આમ છતાં પરિવર્તન માટે પ્રયાસો તો સતત ચાલુ જ રાખવા પડે – કોઈ વાર બે કદમ આગળ અને એક કદમ પાછળ તો કોઈ વાર એક કદમ આગળ અને બે કદમ પાછળ એવી યાત્રા ચાલ્યા કરશે.


    (મો.: +૯૧ ૯૯૮૭૪૨૬૪૦૦) – આનંદ મઝગાંવકર


    (૨૮.૩.૨૦૨૬ના રોજ ‘ગાંધી વિચાર સંવાદ’ના ઉપક્રમે સુરતમાં આપેલ પ્રવચન મઠારીને)


    ભૂમિપુત્ર:  ૧-૬-૨૦૨૬


    1 The 100th monkey effect explained

  • શ્રી મોહમયી મધ્યે ભદ્રંભદ્ર અવતરી ચૂક્યા છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    મુંબઈની એક વિશેષતા એ છે કે અહીં માણસની ઓળખ મોટે ભાગે તેની ભાષા કરતાં તેના કામથી થાય છે. લોકલ ટ્રેનમાં બાજુમાં બેઠેલો માણસ મરાઠી બોલતો હોય, સામેનો હિન્દી, પાછળનો ગુજરાતી અને ફોન પર કોઈ જુદી ભાષામાં વાત કરતું હોય! અહીં એની નવાઈ નથી.

    પણ હવે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો કે ઑટો-રિક્ષા અને ટૅક્સીચાલકો માટે મરાઠીનું જ્ઞાન ફરજિયાત હોવું જોઈએ. મુંબઈના અત્યાર સુધીના ચરિત્રથી આ બાબત સાવ વિપરીત છે. સ્થાનિક ભાષા શીખવા માટે પ્રોત્સાહન આપવું અને એ ભાષા ન આવડતી હોય તો રોજગાર મુશ્કેલ બનાવવો—આ બંને એક જ વાત છે? મહારાષ્ટ્રમાં ઑટો અને કૅબ ચાલકો માટે મરાઠીનું કાર્યકારી જ્ઞાન ચકાસવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આરટીઓના અધિકારીઓ રસ્તા પર જ ચાલકોને મરાઠીમાં રોજિંદા વ્યવહારને લગતા સવાલો પૂછે છે. જે ચાલકો જરૂરી ભાષાજ્ઞાન બતાવી શકતા નથી તેમને નોટિસ આપવામાં આવે છે અને મરાઠી શીખી લેવા માટે સમય આપવામાં આવે છે. ત્યાર પછી પણ ભાષાનું જરૂરી સ્તર ન આવે તો તેમના બૅજ અથવા પરમિટ સામે કાર્યવાહી થઈ શકે છે.

    મહારાષ્ટ્રમાં વર્ષોથી કામ કરતા માણસને મરાઠી શીખવા પ્રોત્સાહિત કરવામાં આવે એમાં ખોટું કશું નથી. ખાસ કરીને રિક્ષા કે ટૅક્સી ચલાવતો માણસ આખો દિવસ સ્થાનિક લોકોના સંપર્કમાં રહે છે. મુસાફર શું કહે છે એ સમજાય, સરનામું સમજાય, રસ્તો સમજાય, ભાડા અંગે વાત થઈ શકે—આટલી મરાઠી આવડે તો વ્યવહાર બંને માટે સરળ બને. સરકારનો આ તર્ક સાવ ખોટો નથી. ચાલકોને મરાઠી શીખવવા માટે તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ઘણા ચાલકોએ તેનો લાભ લીધો છે. પણ ભાષા આવડવી એક વાત છે અને ભાષાને રોજગારની શરત બનાવવી જુદી વાત છે.

    મુંબઈ જેવા શહેરમાં બહારથી આવેલો માણસ કોઈ પણ કામ શોધી લે છે. આ શહેરની ખાસિયત જ કદાચ એ છે કે માણસ પહેલાં કામ શોધે છે અને પછી ધીમે ધીમે શહેરની ભાષા, રીતભાત અને જીવનશૈલીમાં ભળતો જાય છે. મુંબઈનું ખુલ્લાપણું અને સર્વસમાવેશકપણું તેની સૌથી મોટી વિશેષતા છે.

    મુંબઈની ઓળખમાં મરાઠીનું સ્થાન મહત્ત્વનું છે એનો ઈન્‍કાર ન હોઈ શકે, પણ મરાઠીનું સન્માન જાળવવાનો રસ્તો એવો હોવો જોઈએ કે મરાઠી શીખનારને સરળતા થાય, નહીં કે મરાઠી ન આવડનારની રોજીરોટી મુશ્કેલીમાં મુકાય.

    જે રીતે આ પરીક્ષા અને કાર્યવાહી શરૂ થઈ છે તેમાં આ ભેદ ધૂંધળો થતો દેખાય છે. 16 પ્રશ્નોની કસોટી લેવામાં આવી રહી છે. પ્રથમ દિવસે જ હજારો ચાલકોની તપાસ થઈ અને ઘણા ચાલકોને નોટિસ આપવામાં આવી. મુંબઈ વિસ્તારમાં ૩,૯૯૫માંથી ૬૦૪ ચાલકોને નોટિસ આપવામાં આવી હોવાના અહેવાલ છે. કોઈ ચાલકને મરાઠી શીખવા સારું મહિનાની મુદત આપવી પહેલી દૃષ્ટિએ સહાનુભૂતિપૂર્વકની વાત લાગે. પણ જે વર્ષોથી રિક્ષાની આવકમાંથી  ઘર ચલાવે છે, એના માટે પોતાની આજીવિકાના મુખ્ય સ્રોત જેવો બૅજ ગુમાવવાનો ભય નાનીસૂની વાત નથી. ખાસ કરીને એવા ચાલકો માટે, જેમનું શિક્ષણ ઓછું છે અથવા જેઓ બીજા રાજ્યમાંથી આવીને અહીં વસ્યા છે.

    મુંબઈ કોઈ એક ભાષા બોલનારા લોકોનું શહેર કદી હતું નહીં. મરાઠી સિવાય હિન્દી અને ઉર્દૂ બોલનારા લોકોની સંખ્યા પણ મોટી છે.

    વધુ એક બાબત પણ ધ્યાનમાં લેવી પડે. ૨૦૧૭માં બૉમ્બે હાઇકોર્ટે ઑટો-રિક્ષા માટે મરાઠી ભાષાની આવડતની આવી જ એક શરત રદ કરી હતી. હાલની સરકારની કાર્યવાહી સુધારેલા નિયમો અને બૅજ-પરમિટની જોગવાઈઓ મુજબ જ થઈ રહી હોવાનો દાવો છે. પણ આ કાર્યવાહી કાનૂની દૃષ્ટિએ કેટલી યોગ્ય છે, તેનીય હવે કસોટી થવાની છે. અલબત્ત, કાયદાનો સવાલ એક બાજુ રાખીએ તો પણ મૂળ પ્રશ્ન એમનો એમ રહે છે. ભાષા કોઈને જોડવાનું સાધન છે કે દૂર કરવાનું? આવું મિથ્યા ભાષાભિમાન ઘડિયાળના કાંટા પાછા ફેરવવાની કવાયતથી વિશેષ બીજું કંઈ નથી.

    પોતાને જરૂર પડશે તો માણસ ભાષા શીખી જ લેશે, પણ આવી અંધેરી નગરીના રાજા જેવી શરત?

    આ નિર્ણયની વિસંગતિ હેમંત મોરપરીયાના એક કાર્ટૂનમાં રમૂજી રીતે વ્યક્ત થાય છે. મુંબઈ એરપોર્ટ પર ઊભેલા વિમાનને ‘પરમિશન ટુ લેન્‍ડ?’ (ઊતરવાની પરવાનગી છે?) પૂછતા બતાવીને કાર્ટૂનમાં સવાલ કરવામાં આવ્યો છે—‘મરાઠી બોલા!’ એટલે કે ટૅક્સીચાલકો પાસેથી મરાઠી બોલવાની અપેક્ષા રાખવામાં આવે તો શું આંતરરાષ્ટ્રીય પાઇલટોને પણ મરાઠીમાં પૂછ્યા પછી જ મુંબઈના એરપોર્ટ પર વિમાન ઉતારવાની પરવાનગી મળશે?

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આવી શરત અન્ય વ્યાવસાયિકો કે સરકારી કર્મચારીઓ માટે છે ખરી? હવે જોવા મળી રહ્યું છે કે રાજ્ય સરકાર હોય કે કેન્‍દ્ર સરકાર, વિવિધ સમસ્યાઓના નક્કર ઊકેલ વિચારીને આગળ વધવાને બદલે ગતકડાં જેવાં નિર્ણયો લઈને ખોટેખોટો વિવાદ ઊભું કરવાનું કામ જ તેમને આવડે છે. આનાથી બીજું તો જે થતું હોય એ ખરું, પણ કાર્ટૂનિસ્ટોને કાચી સામગ્રી નિયમિતપણે મળતી રહે છે.

    આવું થાય ત્યારે લાગે કે ‘ભદ્રંભદ્ર’ યુગે યુગે અવતરતા રહે છે. ભાષાપ્રેમને ભાષા શીખવાના ફરમાનમાં ફેરવવામાં આવે, તો ભદ્રંભદ્ર કદાચ ખુશ થાય અને તેમને આર્યધર્મનો જય થતો લાગે. પણ ‘શ્રી મોહમયી નગરીના વિદ્યુતરથમાં બિરાજમાન જનસામાન્યને પોતાનું વિદ્યુતરથ વિરામસ્થાન’ શોધવું મુશ્કેલ થઈ જાય. ભાષા માણસને જોડવાનું માધ્યમ છે, તેની લાયકાત માપવાનું સાધન નહીં. મુંબઈની તાકાત એ જ છે કે અહીં ભાષાઓ એકબીજાને ધકેલતી નથી, આજુબાજુમાં બેસીને મુસાફરી કરે છે. ભાષા લાદવાથી જીવતી નહીં રહે. સહજપણે બોલવાથી રહેશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૦- ૯– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • હડસન નદીમાં નાનકડો એક ટાપુ

    પ્રીતિ  શાહ-સેનગુપ્તા  

    અનંત અવકાશમાં ઘુમતી આ પૃથ્વી. એની ઉપરના મહાસાગરો  ઍટલાન્ટિક અને પૅસિફિકના કિનારાઓની વચ્ચે આવેલો મહાખંડ ઉત્તર અમેરિકા. એમાંનાં અનેક શહેરોમાં અનન્ય  મહાનગર તે ન્યૂયોર્ક સિટી.

    આ એક શહેરનું નામ, અને એને માટે આ એક વિશેષણ. બસ, વાત અહીં પૂરી થઈ જઈ શકે છે. અરે, વાત જ નહીં,  પ્રાર્થના, પ્રશંસા, ને નામસ્મરણ. બધું યે. ન્યૂયોર્ક-પ્રેમીની હેસિયતથી હું તો એમ પણ કહી શકું કે ન્યૂયોર્ક શહેરનું નામ એક વાર લો, ને તે સહસ્ર નામ લીધા બરાબર છે. ન્યૂયોર્ક શહેર એક એવું સ્થાન છે જે ક્શણે ક્શણે નવ્ય બનતું રહે છે, જે દરેક પ્રહરે વિકસતું, વિલસતું જાય છે.

    દૂર જઈને કરાતો પ્રવાસ જ વિશિષ્ટ નથી બનતો. ન્યૂયોર્ક જેવા સ્થાનમાં તો સહેજ આમથી આમ જાઓ ત્યં, એ ગમન, એ સમય વિશિષ્ટ બની જતો હોય છે. સાવ સાધારણ રીતે કહીએ તો પણ, આ શહેરમાં જોવા ને જાણવા જેવી નવી નવી બાબતો ઉમેરાતી જ રહેતી હોય છે. નગરપાલિકા તથા નગર-પોષકો નવાં નવાં વિરચન ઘડતાં જ રહે છે.  ન્યૂયોર્કમાં વસનારને માટે પણ એને પહોંચી વળવું શક્ય નથી હોતું. ક્યાંક રસ્તા પર ધ્યાનાકર્ષક જાહેર શિલ્પ, તો ક્યાંક કોઈ નવા પ્રદર્શન માટે ભેગું થયેલું ટોળું. કોઈ નગર-ચૉકમાં બપોરે-સાંજે જાહેર સંગીત, તો કોઈ ઉદ્યાનની વિશાળ લૉનમાં શેક્સપિયરના નાટકની મૌલિક રજુઆત.

    શહેરની એક બાજુએ જમાના-જૂની રેલવેના ઊંચા, લાંબા પાટા પડતર રહેલા હતા, તો ત્યાં બધું ચોખ્ખું ને વ્વવસ્થિત કરીને નગરજનોને માટે એકદમ કુદરતી, સહજ વિહાર માટેનું, જાહેર સ્થાન બનાવી દીધું. નામ પાડ્યું “હાઈ લાઈન”.  બે માઈલ લાંબો, ઊંચો બાગ હોય તેમ એના પર ચાલો, નીચેથી અવિરત જતો મહાનગરનો ટ્રાફિક જુઓ, ને બે બાજુ પરની ઇમારતોને જાણે હાથ લંબાવીને સ્પર્શો.

    એ પછી, મૅનહૅતનની પશ્ચિમ તરફ વહેતી, ન્યૂયોર્ક શહેરની સુંદર મહાનદી  હડસન – અહીં અમારી તો ગંગા -ના કિનારે એક જગ્યાએ, સાવ નવા જ એક ટાપુનું કલ્પન સંપન્ન થયું. નગર-કેન્દ્ર મૅનહૅતન, કે જે પોતે જ એક ટાપુ છે (એની ફરતે હડસન, હાર્લેમ અને ઈસ્ટ નામની નદીઓ છે), એને વળી સાવ પોતાનો એવો ટાપુ જાણે ભેટ મળ્યો. એનું નામ જ પાડ્યું છે “લિટલ આઈલૅન્ડ”.  એવો તો નાનકડો, કે એને ટાપુ શું, એક  ‘ટપકું’ જ કહી શકાય!

    હડસન નદી ખાસ્સી ઐતિહાસિક છે. સદીઓથી વહાણવટા અને વેપાર માટે એ ઉપયોગમાં આવતી રહી છે, અને એના આ કિનારા પર સદીઓ પહેલાં,  દેશમાં હજી મોજુદ છે એવી અસંખ્ય તળ-જાતિઓમાંની એક, લેનાપિ તળ-ઇન્ડિયન જાતિનો વસવાટ રહ્યો હતો. આધુનિક સમયમાં તો હડસનની આ ઓળખાણ રહી નથી. હવે તો એનું દર્શન જાણે ન્યૂયોર્ક શહેરના રહેવાસીઓના નેત્રાનંદ માટે જ છે. ને તેથી જ એમાં ઉમેરાયું એક વધારે આનંદનું કારણ – આ “લિટલ આઇલૅન્ડ”.

    નદીના કિનારાને અડીને જ હોય તેવો લાગતો આ નાનકડો ટાપુ અઢી એકરનો જ બનેલો  છે, એટલેકે બનાવાયેલો છે. કૃત્રિમ છે, ને ન્યૂયોર્ક-પ્રેમી દાનવીરોની ઈચ્છા તેમજ સહાયને કારણે જ જન્મ પામ્યો છે. પણ એ માટે  વિરોધ થયો, મતભેદ થયા, કામ અમુક વર્ષ માટે બંધ રહ્યું, ને છેવટે, બાર વર્ષે એ નગરવાસીઓ માટે ખુલ્લો મૂકાયો. ત્યાં સુધીમાં અંદાજે જેટલો ધાર્યો હતો તેનાથી બમણો ખર્ચ થઈ ગયો હતો.  કુલ બસો સાઠ મિલિયન ડૉલર. ને આથી, ન્યૂયોર્ક રાજ્ય સરકારની સહાય પણ લેવી પડી. આ એની વાસ્તવિકતા.

    છતાં, આ દ્વીપ-વિરચન કરવા પાછળ મુખ્ય કારણ હતું ન્યૂયોર્કનાં નાગરિકોને  એક સુંદર, હર્ષદાયક અને ઉત્સાહપ્રેરક નવું સ્થાન પ્રદાન કરવાનું. એ માટે આ ‘ટાપુ-ટપકા’ ને ખૂબ કલ્પના અને કાળજીપૂર્વક બાંધવામાં આવ્યું છે. હડસન વાટે, ન્યૂયોર્ક રાજ્યમાંથી દૂર દૂરથી ઘણો ઘણો સામાન લાવવામા આવ્યો. પછી, સૌથી પહેલાં તો, હડસન નદીમાં બસો ફીટ ઊંડે ૨૮૦ જેટલા કોન્ક્રિટ થાંભલા ખોડવામાં આવ્યા. એમના ઉપર, મોટામસ વાટકા કે પ્યાલા જેવાં, કે ટ્યુલિપ ફૂલ જેવા આકારનાં  ૧૩૨ સિમેન્ટ-સ્ટ્રક્ચર એવી રીતે ગોઠવવામાં આવ્યાં કે  બિલકુલ હાલે નહીં, તેમજ પાણીથી ૧૫થી ૬૨ ફીટ ઊંચા રહે, કે જેથી નદીમાં પૂર આવે તોયે આ ‘ટાપુ-ટપકા’ને નડે નહીં. છેલ્લે, એ બધાં સ્ટ્રક્ચરમાં માટી, પથરા, ખાતર વગેરે ભરીને જમીન બનાવવામાં આવી.

    એ પછી આ આખી જગ્યાને નૈસર્ગિક શોભાથી  એવી રીતે શણગારવામાં આવી, કે એમાં ફૂલોના બાગ દેખાય,  શહેરની વચમાં ઝાડપાનથી ભરેલા સરસ વનનો આભાસ મળે, ને નદી પરથી ઊઠતા ઝડપી પવનથી એ સુરક્શિત પણ રહે. માહિતી પ્રમાણે, અહીં ૩૫ જાતનાં ઝાડ, અને ૬૫ જાતના છોડ વાવ્યાં છે. જુદી જુદી ૨૭૦ જાતનાં તો ઘાસ ઉગાડવામાં આવ્યાં છે, ( થાય કે આહા, ઘાસની યે એટલી બધી જાતો હશે?), ને ફૂલો? અરે, ફૂલોના તો ૬૬,૦૦૦ રોપા લાવી મૂકાયા છે – ને તે વળી રંગ અને ડિઝાઇનના બહુ વિચારપૂર્વકના ખ્યાલ સાથે. ને તેથી જ એ સૂક્શ્મ-સુંદર ફૂલોની જજમોને પણ ધ્યાનપૂર્વક જોવી પડે. સાથે જ,  ક્યાંક લીલીછમ લૉન છે, તો ક્યાંક બાળકોને રમવાની મોકળાશ છે ;  નાની નાની ટેકરીઓ પર, ક્યાંક કેડીઓ થઈ છે, તો ક્યાંક પગથિયાં. આ નવીન જગ્યા બની તો છે માનવીય સર્જન-કૌશલ્ય દ્વારા, પણ દેખાય છે એટલી સહજ-કુદરતી  કે એ નથી કૃત્રિમ લાગતી, કે નથી સાવ નાનકડી લાગતી.

    સામે નદીનો ખુલ્લો પટ હોય, ને પાછળ નગરની ઈમારતો નજર માંડી રહી હોય, તેવી રીતે એક તરફ, ગ્રીક શૈલીનું એક અર્ધગોળ થિયેટર પણ બનાવાયું છે. એમાં સાતસો જેટલાં જણ બેસી શકે, ને ત્યાં ઉનાળાના મહિનાઓ દરમ્યાન નૃત્ય અને સંગીતની તદ્દન મૌલિક, અને નવી જ તૈયાર કરાયેલી કૃતિઓ રજૂ થતી હોય છે. આ મહાનગર એવી રીતે વર્તે છે કે જાણે  દરેક દિવસ ઉજવણીનો જ ના હોય.

    આ ન્યૂયોર્ક નગરમાં ‘ દૂર શું, ને નજીક શું’ ની સારી એવી છલના પણ છે. જેમકે, આ લિટલ આઇલૅન્ડ શહેરનો જ ભાગ છે, ને લાગે છે સાવ નજીક, બરાબર? પણ ત્યાં પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડે. છેક ઘેરથી નીકળીને ત્યાં સુધી પહોંચવાની પ્રક્રિયા તો બહુ કષ્ટપ્રદ લાગશે, તેથી શહેરના કેન્દ્રમાં આવી ગયા પછી ત્યાં કઈ રીતે પહોંચાય તે જ કહું. ભૂગર્ભ રેલમાંની ‘એ’ અથવા ‘ બિ’ નામની ટ્રેન જ લેવી પડે. ચૌદમી સ્ટ્રીટ અને આઠમા ઍવન્યૂ પર ઊતર્યા પછી છેક હડસન નદી સુધી જવા માટે ક્યાંતો બસની રાહ જુઓ, નહીં તો ચાલવા માંડો -પગમાં જોમ હોય તો. છેવટે, દોઢ-બે માઈલ ચાલીને “ટાપુ-ટપકા”  પર પહોંચો ત્યારે ઘડીક બેસવાની જરૂર પડી ગઈ હોય.

    પણ ન્યૂયોર્કના નાગરિકોને એમ કાંઈ ગભરાવી કે અટકાવી શકાય તેમ નથી હોતા. આ ટાપુ પર સામટી હજારેકની સંખ્યા થાય ત્યાં સુધી લોકો જઈ શકે. રજાઓના દિવસોમાં જો વધારે ભીડ થવા માંડે તો રાહ જોવી પડે, ને એ માટે બધા, વારો આવે ત્યાં સુધી, હારબદ્ધ ઊભા રહી જાય. વર્ષમાં પંદર-વીસ લાખ લોકો આ ‘ટાપુ-ટપકા’ પર જવાનો અનુભવ લેવા માગતા હોય છે. પ્રવેશનું કોઈ મૂલ્ય રાખવામાં નથી આવ્યું, પણ ત્યાં ગાળેલો સમય ઘણો મૂલ્યવાન બનેલો લાગે છે.

    જેની ચેતના સજાગ હોય તેવી વ્યક્તિ માટે, આ ‘ટાપુ-ટપકા’ પરનો સમય બે જુદા જ અનુભવ શક્ય બનાવે છે. એક તો, એના પરિસરમાં ફરતાં નૈસર્ગિક અને વન્ય સ્થાનનો સહજ, સુંદર, ચમત્કૃત સ્પર્શ મળતો રહે છે;  જીવથી સ્થિર થઈને મનની અંદર ઊતરી જઈ શકાય છે. ઊંડા શ્વાસ લીધા પછી આંખો ખોલીએ, ને આસપાસ જોઈએ તો, જેને પાછળ મૂકીને આ નાનકડા ટાપુ પર પહોંચ્યાં હતાં તે, સ્તબ્ધ-ચિત્રિત જેવું મહાનગર સાદૃશ્ય થાય છે. ત્યારે મનમાં બીજો અનુભવ થાય છે – શહેરનાં ચમકતાં, પ્રકાશતાં ગગનચુંબી સ્થાપત્યોનું દર્શન કરતાં જ, જાણે નવેસરથી,  વિસ્મય-મુગ્ધ થવાનો;  મનના એકાંતમાંથી નીકળીને ચેતના ઉપર ન્યૂયોર્ક શહેરના  સર્જન-મહિમ્નને પ્રતિબિંબિત થવા દેવાનો. જાણે અખિલ બ્રહ્માંડમાં એક આ મહાનગર, ને બસ, એ જ, હંમેશાં અનન્ય ભાસે છે.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • શિલ્પ….

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    એક પછી એક  નવો, ભવ્ય અસબાબ ઘરમાં ઠલવાઇ રહ્યો હતો.  વિશાળ ડ્રોઇંગરૂમમાં એક પછી એક ફર્નીચર ઠલવાવા માંડયું હતું. ખાલી દીવાલો મોંઘા પેઇટીંગ્સથી શોભી ઉઠી હતી. નિરાલીના મનમાં વિચાર ચમકી ગયો…ખાલી મનને પણ આવી કોઇ રીતે ભરી શકાતું હોત તો ? ઘરમાં…ના, બંગલામાં…. માણસો દોડાદોડી કરીને બધું ગોઠવતા હતા. કયારેક નિરાલીને કંઇક પૂછતા હતા. નિરાલી બહુ નિસ્બત ન હોય તેમ જવાબ આપી દેતી હતી. મૉટે ભાગે તો ઇન્ટીરીયર ડેકોરેટરવાળા જાતે જ બધું સજાવતા જતા હતા. નિરાલીને થયું પોતે પણ આમ જ સજાવાઇને કોઇ એક ખૂણામાં ઉભી રહી જાય તો ?  તો દીવાલ શોભી શકે ખરી ? જો કે પોતાને યે આમ જ સજાવવાના પ્રયત્નો થયા હતા ને ? પણ એ સજાવટની પાછળનું વરવું  સ્વરૂપ યાદ આવતા એ કંપી ઉઠી. તેણ જોશથી માથુ ધૂણાવ્યું.

    થોડીવારે નિરાલીની નજર બાલ્કનીમાંથી  દેખાતી એક  ઝૂંપડી પર પડી.  કાલ સુધી તો ત્યાં  ખાસ કંઇ નહોતું. આજે ત્યાં પણ કોઇનો અસબાબ ઠલવાઇ રહ્યો હતો.  કાલે તો ફકત ત્રણ ઇંટનો બનેલો ચૂલો, બે ચાર વાસણો અને એક તાવડી જ દેખાતા હતા. આજે રાતોરાત ત્યાં પણ સમૃધ્ધિ છલકાઇ ગઇ હતી.  આજે એકાદ ડોલ, ભાંગેલ, તૂટેલ ખાટલો,  એક ફાનસ, પાણીનું માટલું, દોરી પર લટકતાં મેલાઘેલા કપડાં,અને  બે ચાર વાસણોનો પણ વધારો થયેલ  દેખાતો હતો. અને એક નાનકડું કુટુંબ કિલ્લોલ કરતું નજરે ચડી રહ્યું હતું.

    બાપ સામે બનતાં નવા બંગલા માટે  ઇંટો સારતો હતો. તેની પત્ની ગલગોટા જેવા બાળકને  ખોળામાં લઇ દૂધ પીવડાવતી હતી.

    નિરાલીનો હાથ અનાયાસે પોતાની સુક્કી છાતી પર….!

    ના..ના… બધું બરાબર હતું. નિર્ભયની ઇચ્છા મુજબ ફીગર ખરાબ નહોતું  થયું.

    નિરાલીની નજર ફરીથી  બાઇ પર પડી. તે કાળી હતી..પણ એની નમણાશ અદભૂત લાગતી હતી. તેના મોં પર એક ગરવાઇ, મોટી આંખોમાં એક શાંતિ,સંતોષ છલકતા દેખાતા  હતા. ચહેરા પર  ખુશી છલકતી દેખાતી હતી.

    બંગલાની અંદરની સુંદરતા જોવાને બદલે નિરાલી અદભૂત  રસથી સામેની સૃષ્ટિનું  નિરીક્ષણ કરી રહી.

    થોડીવારે  પેલી બાઇનો વર નાનકડા ગ્લાસમાં કયાંકથી બે ચા લઇ આવ્યો.  એક વાટકીમાં અડધો કાઢીને પત્નીને આપ્યો અને અડધી પોતે મોઢે માંડી. બાઇએ મીઠું હસીને ચા મોઢે માંડી. તેનો એક હાથ દૂધ પીતા બાળકના માથા ઉપર સ્નેહથી ફરી રહ્યો. અને અચાનક  ન જાણે કઇ વાત પર બંને ખિલખિલાટ હસી ઉઠયા.

    ‘ મેડમ..આ સ્ટેચ્યુ કયાં મૂકવાનું છે ? માતા પુત્રનું  એક  મોટું સુન્દર શિલ્પ કયાં રાખવું તે અંગે નોકરો નિરાલીને પૂછી રહ્યા હતા.

    નિરાલીની નજર પથ્થરના શિલ્પ અને સામેના જીવંત શિલ્પ તરફ વારાફરથી ફરી રહી.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • સ્મૃતિસંપદા – અરવિંદ સી. થેકડી – અમદાવાદથી અમેરિકા [૩]

    આ પહેલાં આપણે અરવિંદભાઈ થેકડીના યુનિવર્સિટી સમયકાળ સાથે પરિચિત થયા.
    હવે આગળ………….

    ખરું કામ અને દુનિયાનો અનુભવ

     ટોલેડો,ઓહાયોની સરફેસ કમ્બશન કંપનીએ નોકરીએ રાખેલો હું ભારતીચ મૂળનો પહેલો માણસ હતો. એ વખતે ટોલેડો કાચની નગરી કહેવાતું કારણકે દુનિયાની સૌથી મોટી કાચ કંપનોઓનાં હેડક્વાર્ટરો ત્યાં હતાં. તદુપરાંત ચાર ગાડી બનાવતી કંપનીઓ ( જનરલ મોટર્સ, ફોર્ડ, ક્રાઈઝલર અને અમેરિકન મોટર્સ) અને કેટલીય મોટી ગાડીના પુર્જા બનાવતી કંપનીઓંનાં કારખાનાં ત્યાં હતાં. પણ એ યુનિયનનગર હતું કેમ કે ઉદ્યોગોમા શહેરના મજદૂર સંઘોની મજબૂત પકડ હતી. ત્યાંનું સામાજીક માળખું અને વસ્તી અમે જ્યાં રહેતા હતા તે કૉલેજનગરથી ભિન્ન હતાં. હું જે કંપનીમાં કામ કરતો હતો તેની પાસે ભણેલા અને અનુભવી ઈજનેરો તથા બીજો સ્ટાફ હતો અને કારખાનામાં યુનિયનપરસ્ત કામદાર વર્ગ પણ. દફતરમાં બધા ગોરા લોકો હતા. કારખાનાના કામદારોમાં પણ થોડા કાળાઓને છોડીને બધા ગોરા લોકો હતા. હું હતો પરદેશી અને પાછો ગોરો પણ નહિ. એટલે દફતર અને કારખાનામાં કામ કરતા લોકોનો વિશ્વાસ જીતવામાં સમય લાગ્યો. પણ હું ખુશ હતો કે એક વખત વિશ્વાસ જીતી લીધા પછી મને તેઓ તેમનામાંનો એક ગણતા થયા, સિવાય કે એક બાબતમાં. હું હતો પાકો શાકહારી અને કાફેટેરિયામાં કે આજુબાજુના વિસ્તારમાં આવેલાં ભોજનાલયોમાં જાત જાતનો ખોરાક મેળવવાનું મુશકેલ હતું. મારા સહકર્મચારી કે ગ્રાહકો કે જેને હું મળ્યો તેમને નવાઈ લાગતી હતી કે માંસ, ઈંડાં કે માછલી ખાધા વગર હું જીવતો હતો અને તંદુરસ્ત દેખાતો હતો. ભારતીય શાકાહારી ખોરાકમાં જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ક્યાંથી અને કેવી રીતે મળતાં હતાં તે સમજાવતાં વાર લાગતી. મેં મારા સૌથી નજીકના કામ કરતા સાથીઓને અમારે ઘેર ડિનર માટે બોલાવ્યા અને મંજુલાએ જાતજાતની ભારતીય વાનગીઓ બનાવી. મેં દરેક વાનગીનું વર્ણન કર્યું અને સમજાવ્યું કે અમને જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સાકર વિ. ક્યાંથી મળતાં હતાં. આ ડિનરના અનુભવ પછી એમને સમજાયું કે જીવવા માટે કોઈએ માંસ, ઈંડાં કે માછલી ખાવાં એટલાં જરૂરી નથી.

    થોડા સમયમાં હું શીખ્યો કે લોકો જોડે તેમની “ભાષા”માં વાત કરવી અને તેમના કામમાં, ખાસ તો તેઓ કેઈ ગંભીર સમસ્યામાં ફસાઈ ગયા હોય ત્યારે મદદ કરવી એમાં જ અમેરિકા સહિત દુનિયાભરના લોકોની જેમ આ “પરદેશી” પણ સમજદાર( જ્ઞાની ), ચાલાક અને મદદગાર હોઈ શકે છે એવી છાપ ઉભી કરવાની ચાવી હતી. એક વખત મેં એમનો વિશ્વાસ જીત્યો પછી દફતર અને કારખાનામાં તેમનામાંનો એક બનવાનું મુશ્કેલ ન હતું. મેં એ પણ શોધી કાઢ્યું કે કામ કરતા કે અમારા પાડોશમાં રહેતા લોકોને ભારત વિષે બહુ જાણકારી ન હતી. ભારત વિષે થોડું ઘણું જાણનાર લોકોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

    1. કેટલાક સૈન્યના નિવૃત્ત સૈનિકો કે અધિકારીઓ જેઓ પૂર્વ ભારતમાં ( એટલે કે કલકત્તા અથવા કોલકાતા ) કે ચીનમાં બીજા વિશ્વયુધ્ધ વખતે મિત્રદળોના ભાગરૂપે ગયા હોય.
    2. સરફેસ કમ્બશન અને બીજી કંપનીઓમાંથી સેલ્સમેન કે ઈજનેરી કામ કરવાવાળા જે ભારત કે એશિયાના બીજા દેશોમાં ગયા હોય કે ત્યાંના લોકોના સંપર્કમાં હોય. તેમાં ભારત જઈ આવ્યા હોય કે ત્યા ઘણાં વર્ષો રહી આવ્યા હોય તેવા થોડા ખ્રિસ્તી મિશનરીઓ પણ આવી જાય.
    3. અહીંની મોટા ભાગની વસ્તી જે ભારતને રખડતા હાથી અને ઢોર, મદારી તથા જેની પાસે ખાવા માટે કંઈ ન હોય અને અમેરિકા તેમને જીવવા માટે અનાજ મોકલતું હોય એવા ગરીબોના ટોળાંના દેશ તરીકે જાણતી હોય.

    આ છેલ્લા વિભાગના લોકોને જ્યારે જાણવા મળે કે ભારત પાસે ગાડીઓ, ટ્રેઈનો, વિમાનો, પાકા રસ્તા, સુખસગવડવાળી હોટલો, સિનેમાગૃહ કે નાટ્યગૃહ અને જ્યાં મારા જેવા અમેરિકા આવતા પહેલાં ભણ્યા હોય એવી કોલેજો તથા વિદ્યાપીઠો છે ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહે.  કેટલીક વાર એવું પૂછે કે અમે કઈ આદીવાસી કોમના સભ્ય છીએ. જ્યાં સુધી અમે અમેરિકન ઈંડિયન વિષે અને અમેરિકાની અંદર જ વસેલાં તેમનાં રાષ્ટ્રો કે રીઝર્વેશનો વિષે જાણ્યું ત્યાં સુધી તેમનો છેલ્લો પ્રશ્ન અમને પજવતો રહ્યો. અમારે માથે પીંછાં બાંધેલાં ન હતાં કે “ઈંડિયનો”ને અગ્નિજળ યાને કે દારૂ ધરવો એ મજાક બની ગઈ. અમને પણ એ આનંદદાયક લાગી.

    ફરીથી કહું છું કે મોટા ભાગના સહકર્મચારી અને કારખાનાના કામદારોનું વર્તન મિત્રતાભર્યું હતું અને તેઓ મદદ કરવા તત્પર રહેતા. દા.ત. એ વખતે ( ૧૯૭૦ની શરૂઆતમાં ) લગભગ બધા જ ભારતીય પરિવારો એપાર્ટમેન્ટમાં રહેતા.પોતાનું ઘર હોવું એનો તો વિચાર સરખો પણ ન કરી શકાય. અમને કહેતા કે ઘર હોય તો ઘણું કામ રહે – લૉન કાપવી પડે, બરફ ખસેડવો પડે, ઘરમાં સમારકામ કરવું પડે વિ. મારા સહકર્મચારીઓમાંથી એકે એટલે કે મારા ખાસ મિત્ર ટૉમ કૈઝરે મને ઘર ખરીદવા પ્રોત્સાહિત કર્યો. દેખીતી રીતે ઘર માટે આપવાના પૈસા મારી પાસે ન હતા અને એ માટે લોન મેળવવાની ચિંતા હતી. એ વખતે અમદાવાદ જેવાં શહેરો કે ભારતમાં હોમ લોનની પ્રથા પ્રચલિત ન હતી. મને થયું કે હું અહીંનો નાગરિક ન હતો, મારો કોઈ ક્રેડિટનો ઈતિહાસ ન હતો કે ન એ લોકો મને ઓળખતા હતા. તો મને એ લોન શા માટે આપે. ટોમે મને ખાત્રી આપી કે જો બેંક મારા જેવા ભણેલા અને આવક ધરાવતા લોકોને લોન ન આપે તો તેમના દરવાજા બંધ કરવા પડે. એટલે તેણે લોન માટે અરજી કરવામાં મને સહાય કરી. મને લાગ્યું કે તેમનો જવાબ આવતાં વખત લાગશે. પણ ટોમ સાચો હતો. બે દિવસમાં બેંકે મને બોલાવ્યો અને કહ્યું કે લોન પાસ થઈ ગઈ છે. ભારતીય સમાજ માટે તે વાતોનો વિષય બની ગયો. ટોમે મને ઘર ખરીદવામાં મદદ કરી. એટલું જ નહિ પણ ઘરમાં બધું વ્યવસ્થિત કરવાની મને તાલીમ આપવાની સાથે પોતે પણ મહેનત કરી. પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે મને જે તાલીમ મળેલી તે કામમાં આવી.

    તદુપરાંત મારો એક સાથી અને મિત્ર ફ્રૅન્ક વેરિક, જે ઈજનેર તરીકે કામ કરતો હતો અને કિસાન પણ હતો તેની પાસે દસ એકર જમીન હતી. એક વખત એના ઘરે ગયો તો સામે કચરાની થેલીઓ ખડકેલી હતી. અમે જ્યારે એ થેલીઓ વિષે પૂછ્યું તો તેણે કહ્યું કે એમાં નકામા નાના બટાટા ભરેલા હતા. મંજુલાએ કહ્યું કે નાના બટાટા તો ભારતીય રસોઈમાં જોઈતી ચીજ હતી અને પૂછ્યું કે શું તે થોડા બટાટા લઈ જઈ શકે. એણે તો બધીજ થેલીઓ ગાડીની ડીકીમાં ભરી દીધી. બીજે દિવસે મંજુલા તો ભારતીય મહિલાઓમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ બની ગઈ કારણ કે તેણે આ બધા બટાટા ભારતીય પરિવારોમાં વહેંચી દીધા. બીજી વાર ફ્રૅન્ક અને તેની પત્ની ગેઈલ અમારે ત્યાં આવ્યાં અને ડિનર લીધું. મંજુલાએ બટાટાવડાં તેમજ ભરેલા બટાટા અને ભરેલાં રીંગણ બનાવ્યાં હતાં. તેઓને નવાઈ લાગી કે કહેવાતી ફેંકી દીધેલી ખાવાની ચીજમાંથી સ્વાદિષ્ટ ભોજન બની શકે છે. તે પછી ફ્રૅન્ક અને ગેઈલને ભારતીય ભોજન ગમવા લાગ્યું. એટલું જ નહિ પણ જ્યારે યુરોપનાં ઘણાં શહેરોમાં ( ખાસ કરીને યુ.કે.માં લંડન અને બર્મિંગહામમાં ) સાથે ગયા ત્યારે મને ભારતીય ભોજનાલય શોધવા કહ્યું. ફ્રૅન્ક એક “સદગૃહસ્થ” કિસાન છે એવું જાણતા હોવાથી મંજુલાએ તેને પૂછ્યું કે અમને ગમતાં શાકભાજીનાં બીજ તેના ખેતરના ખૂણામાં નાખીએ તો તેને વાંધો છે. તે તૈયાર થયો અને પછી તો અમને જોઈએ એટલાં કોથમીર, મેથી, ફૂદીનો તેમજ રીંગણ, ટામેટા જેવાં શાક ઉનાળામાં મળવા લાગ્યાં. ઝાડોને કાપવાની અને તેમના ચીરા કરવાની મહેનત બધી ફ્રૅન્કે કરી. બાળવાનાં લાકડાં જે અમે ફાયરપ્લેસમાં વાપરતા હતા તે તેના ત્યાંથી આવતાં હતાં. અમારા ટોલેડો ક્ષેત્રના નિવાસ દરમિયાન અનેક વાર અમને મદદ કરનાર મારા સાથીઓ અને મિત્રોની ઉદારતાના ઘણા દાખલાઓમાંનો આ એક જ છે.

    ટોલેડોમાં હતા ત્યારે શરૂઆતમાં જીજ્ઞાસુ અને ચેતતા રહેતા પણ અંતે તેણીના મિત્ર બનનાર અમારા પાડોશીઓ પાસેથી મંજુલા ઘણી વસ્તુઓ બનાવતાં શીખી. ત્યાં સુધીમાં તેણે પશ્ચિમી પહેરવેશ અપનાવ્યો

    અને આડોશપાડોશની પાર્ટીઓમાં ખુશીથી જવા લાગી તેમજ ભારતીય વાનગીઓ બનાવવાની રીત પાડોશીઓને બતાવવા લાગી.  એમને ધન્ય  છે કે જે બધાએ પોતાના રસોડામાં કેટલીક ભારતીય વાનગીઓ શીખીને બનાવવા પ્રયત્ન કર્યો અને સમય કાઢ્યો. ૧૯૭૨માં જ્યારે અમારી પુત્રી હિના પાંચ વર્ષની થઈ ત્યારે નજીકની પ્રાથમિક શાળામાં જવા લાગી. એ પહેલી “વિદેશી” હતી જેને ત્યાંનાં ભૂલકાં અને શિક્ષકો મળ્યા હોય. પણ બધાએ ખૂબ સહકાર આપ્યો અને એમનામાંના એક તરીકે સ્વીકારી લીધી. હિનાએ શાળાનાં વર્ષો દરમિયાન જીવનભરનાં ઘણાં મિત્રો બનાવ્યાં.

    ટોલેડોમાં ભારતીય લોકો થોડા જ હતા. કદાચ ૫૦-૬૦0 પરિવાર અને ટોલેડો યુનિવર્સિટીના ઘણા બધા વિદ્યાર્થીઓ. તેઓ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવતા હતા. પણ ભારતીયતા તેમને એકબીજા જોડે બાંધી રાખતી હતી. મોટા ભાગના ભારતીયો કાંતો ઈજનેર હતા કે પછી દાક્તર. બધા ઘણું કરીને તેમના વ્યવસાયમાં નવા હતા, નજીક નજીક રહેતા હતા અને આર્થિક રીતે સમાંતર ધોરણે હતા-કોઈ ગરીબ કે તવંગર ભારતીય ન હતા, હતા સહુ માત્ર ભારતીય. તમને સાડી પહેરેલી મહિલા કે ભારતીય ઢબે બોલતી ઘઉંવર્ણા ચહેરાવાળી વ્યક્તિ દેખાશે તો તમે થોભશો અને તેમની જોડે વાત કરવાની શરૂ કરશો. તે તરત જ તમારા મિત્રો બની જશે. મને યાદ આવે છે બે ભારતીય પરિવાર જેમાં પતિ ભારતીય અને પત્ની અમેરિકન હતી જે બધી જ ભારતીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતી.અને એકે ( લિન્ડા જોષી ) ભારતીય લાડુ અને સમોસા જેવી શાકાહારી વાનગીઓ બનાવવાનું પણ શીખી લીધું હતું.

    ઈંટરનેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ ટોલેડો નામની એક સંસ્થા હતી જે વાર્ષિકોત્સવ રાખતી અને એમાં બધી જ “પરદેશી” કોમો ભાગ લઈ શકતી. તેમાં દુનિયાભરના ( લગભગ 30 દેશોના ) લોકો આવી જાય. બે દિવસનો ઉત્સવ ભારતીય લોકોને મળવાનો તથા અંગત સંબંધો કેળવવાનો અવસર પૂરો પાડતો. આ સંબંધો પછીના ઉત્સવોથી ગાઢ બનતા. ભારતીય લોકો રાસ-ગરબા, ભાંગડા, શાસ્ત્રીય નૃત્ય, બોલીવુડનાં નૃત્ય વિ. જેવા મનોરંજનના કાર્યક્રમોમાં ભાગ લેતા. અમારું એક બૂથ હતું જ્યાં ભારતીય ફાસ્ટફૂડની યીજો જેવી કે સમોસા, ભજીયાં, લાડુ, ખમણ-ઢોકળાં, સૂકી પુરી વિ. વેચતા. બધી ચીજો સ્વયંસેવક ભારતીય મહિલાઓ અને પુરૂષો પોતાના ઘરમાં કે બીજા કોઈના ગરાજમાં સાથે મળીને બનાવતા. ઉત્સવ બે દિવસ ચાલે અને અન્ય દેશોના લોકો સાથે મિત્રતા કેળવવાની મોટી તક પૂરી પાડે. દુઃખની વાત એ છે કે જેમજેમ હિજરતીઓની સંખ્યા વધી તેમતેમ તેમાં જૂથ પડી ગયાં એટલે દરેક જૂથ પોતાની રીતે અલગ ઉત્સવ ઉજવે. પરિણામે મુખ્ય ઈંસ્ટિટ્યુટને મળતો આર્થિક ટેકો ઘટવા લાગ્યો, તેની પ્રવૃત્તિઓ ઘટવા લાગી અને મારી જાણકારી પ્રમાણે ઈંસ્ટિટ્યુટ બંધ થઈ ગઈ.

    નવરાત્રી વખતે ભારતીય લોકો રાસ-ગરબાનો કાર્યક્રમ ગિરજાઘરમાં રાખે અને આજુબાજુના શહેરોમાં રહેતા ભારતીય લોકો તથા થોડાક અમેરિકનો એમાં જોડાય. દિવાળી શાળાના કાફેટેરિયામાં કે પછી ગિરજાઘરના મોટા સભાગૃહમાં ઉજવાય અને તેમા ઘણા અમેરિકન મિત્રોને બોલાવીએ.

    જેમ જેમ ભારતીય લોકોની સંખ્યા વધતી ગઈ અને જ્યારે હિજરતીઓ વિખ્યાત દાક્તર, ઈજનેર કે ઉદ્યોગપતિ-વ્યાપારી બની ગયા ત્યારે એમને લાગ્યું કે પોતાનાં બાળકોને ધર્મ, સંસ્કૃતિ, ઈતિહાસ વિ. શીખવવાં જોઈએ. એટલે અમે ઈંડિયા એસોસિએશનની સ્થાપના કરી, બાળકો માટે સપ્તાહના અંતે લેવાતા વર્ગો શરૂ કર્યા, માસિક સમાચારપત્ર શરૂ કર્યું અને યાત્રી ભારતીય નિષ્ણાતો, ધાર્મિક વડા વિ.નાં પ્રવચનો ગોઠવ્યાં. પરિણામે ટોલેડોમાં હિંદુ મંદિર સ્થપાયું. તેનો વિકાસ થયો અને અત્યારે સંપૂર્ણ હિંદુ ઘાર્મિક સંસ્થા તરીકે ચાલે છે. મંદિર દર વર્ષે ફેસ્ટિવલ ઓફ ઈંડિયાનું આયોજન કરે છે. અત્યારે તે ટોલેડડો ક્ષેત્રનો મુખ્ય વાર્ષિકોત્સવ બની ગયો છે.

    અમે અમેરિકા આવ્યા તેનાં પાંચ વર્ષમાં અમે થોડા ભારતીય કરિયાણા સ્ટોર, ૨૨૦-૧૧૦ વોલ્ટનાં ઉપકરણોનો સ્ટોર, ભોજનાલયો અને સાડી સ્ટોર શિકાગો, ક્લિવલેન્ડ વિ. જેવાં નજીકનાં મોટાં શહેરોમાં ખુલતા જોયા. અમેરિકામાં રહેતા ભારતીયો માટે તો આ મોટો ફેરફાર હતો. હવે કહેવા પૂરતી ભારતીય વાનગીઓ બનાવવાની જરૂર નહિ પડે.

    અંગત રીતે, મેં રિસર્ચ એન્જીનીયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું ૧૯૭૦માં અને ૧૯૮૬ સુધીમાં ટોલેડોના  મિડલેન્ડ રૉસ ટેક્નિકલ સેંટરમાં ટેક્નિકલ ડાયરૅક્ટરની પદવી પર પહોંચ્યો. જ્યારે સરફેસ કંબશનમાં કામ કરતો હતો ત્યારે બાઉલિંગ ગ્રીન યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું. કંપનીના વહીકવટકર્તાઓની ભલામણથી મેં ડેલ કાર્નેગીમાં કોર્સ કર્યો. લોકો સાથે કામ પડે ત્યારે અને જાહેરમાં બોલવાનું હોય ત્યારે આત્મવિશ્વાસ કેળવવા માટે તે મહત્વનું પગલું હતું અને ભવિષ્યની કારકિર્દી માટે કામ  આવવાનું હતું. કંપનીમાં ઝડપી પ્રગતિથી મને ખાત્રી થઈ કે અમેરિકાના શેઠિયા મોટો ભેદભાવ રાખ્યા વગર તક્નિકી જ્ઞાન  તથા સખત મહેનતની કદર કરે છે. “મોટો” એટલા માટે કે મારા અનેક અનુભવો બતાવે છે કે જ્યારે મને લાગ્યું કે મારી સાથેનું વર્તન બરાબર નથી ત્યારે પણ મને કોઈ ભેદભાવ દેખાયેલો નહિ. મને લાગ્યું કે સામાન્ય માણસનો એ સ્વભાવ હતો- તમને કોઈ લોકો ગમે અને કોઈ ન ગમે. એનું કારણ એ હોઈ શકે કે ભારતમાં એવા કિસ્સા જોયા કે અનુભવ્યા હોય જેમાં એક વ્યક્તિ કોઈ એક જણની “લાડકી” બની જાય પણ બીજા ઘણાની “ઓરમાન”. પાછલા અનુભવને જોતાં એવા ઘણા પ્રસંગો યાદઆવે છે જેમાં મને ઊંચી પોસ્ટ માટે કે એવૉર્ડ માટે કે “હોદ્દેદારોની કતાર”માં અમુક હોદ્દેદારની જગા લેવા માટે પસંદ ન કરવામાં આવ્યો હોય. પણ મને એમાં કદી ભેદભાવ દેખાયો નહિ. કદાચ એ વખતે મારા શબ્દકોશમાં “ભેદભાવ” જેવો શબ્દ નહિ હોય.

    ૧૯૮૬માં મેં એ કંપની છોડી દીધી અને ટોલેડોમાં ઈંદુગેસ નામની નવી કંપની શરૂ કરવા મારા બૉસ સાથે જોડાયો. આ કંપનીએ થર્મલ એન્જીનીયરિંગનાં ઘણાં ક્ષેત્રોમાં સંશોધન કર્યું અને નવી ટેક્નોલોજીઓ વિકસાવી. મોટા ભાગના સંશોધનનો ખર્ચ ખાનગી કંપનીઓ, ઈલેક્ટ્રિક પાવર ઉદ્યોગ અને અમેરિકાના ડીપાર્ટમૅન્ટ ઓફ એનર્જીએ ઉપાડી લીધો. આ ટેક્નોલોજીઓને આધારે જે કંઈ માલ બન્યો તેમાંનો કેટલોક વેચવા માટે અને બજારમાં મૂકવા માટે અમે થરમોટેક ઇંડસ્ટ્રીઝ નામે કંપની શરૂ કરી તેમજ લી વિલ્સન નામની બીજી કંપની ખરીદી લીધી.

    ૧૯૯૭માં મેં ટોલેડો છોડ્યું અને રૉકફૉર્ડ( ઈલીનોઈસ )માં આવેલી ઈપ્સન અબાર કોર્પોરેશન નામની મોટી ફરનેસ કંપની માટે સંશોધનની સગવડ વિકસીત કરવાની વિશિષ્ટ જવાબદારી સ્વીકારી. આ જવાબદારી પત્યા પછી હું વૉશિંગ્ટન ડીસી બાજુ ગયો. ત્યાં પ્રોસેસ હીટિગમાં ખાસ પ્રોગ્રામ વિકસિત કરવા ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાથે કામ કરવા માટે એક કંપની ઊભી કરવા મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો. મેં ઈ3એમ.ઇન્કોર્પોરેટેડ ( એનર્જી એન્ડ એન્વિરૉનમેન્ટ એફિસીયન્સી મેનેજમેન્ટનું ટૂંકું નામ ) નામની કંપની શરૂ કરી. આ જવાબદારી પડકારરૂપ હતી. એમાં બધી પ્રકારની ઔદ્યોગિક હીટિંગ સીસ્ટમમાં એનર્જીની બચત કરવાના પ્રયત્નો વચ્ચે એકસૂત્રતા લાવવી પડે. અગાઉ ક્યારે પણ આવું કામ કરવામાં આવ્યું ન હતું અને ખનીજ તેલ, રસાયણ, લોહ અને પોલાદ, એલ્યુમિનિયમ, કાચ, સીમેન્ટ, જંગલની પેદાશ વિ. અનેક ક્ષેત્રોની ઘણી મોટી ઔદ્યોગિક કંપનીઓ સાથે સહયોગ કરવો એ મોટો પડકાર હતો. એની સાથે અનેક મોટા હીટિંગ ઈક્વિપમેંટના ઉત્પાદકો અને ઘણા બધા ઔદ્યોગિક ક્ષેત્રોને સેવા આપતાં અનેક વ્યાપારી-તક્નિકી સંગઠનો સાથે સહયોગ કેળવવો જરૂરી હતો. હું નસીબદાર હતો કે મને ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાંથી અનેક લોકો, ઓક રીઝ નેશનલ લેબોલેટરી જેવી સંશોધન પ્રયોગશાળા અને ઉદ્યોગોની દોરવણી તથા સહકાર મળ્યાં. હજુ પણ ઈ3એમ કંપની યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ( યુએનઆઈડીઓ ) અને ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી ( ડીઓઈ ), ઈપીએ, સ્ટેટ ડીપાર્ટમેન્ટ, ડીફેન્સ ડીપાર્ટમેન્ટ વિ.ને સેવા આપે છે. અમારાં એનર્જી અને એન્વિરોનમેન્ટ ક્ષેત્રનાં કાર્યોએ મને અમેરિકાનાં બધાં જ 50 રાજ્યોમાં જવાની તક પૂરી પાડી. એને લીધે હું દુનિયાના પાંચે ખંડોના દેશો, ખાસ કરીને એશિયા ( ચીન, ભારત, જાપાન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, મલયેશિયા, ઈન્ડોનેશિયા વિ. ), આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ વિ.માં જઈ શક્યો. આ દુનિયાને જાતે જોવાની અને જાણવાની મહાન તક હતી.

    મેં જે મહત્વનું દર્શન કર્યું તે એ કે દર વર્ષે કેટલાય લાખ ડોલરના બજેટના વહીવટ માટે જવાબદાર પ્રોજેક્ટ કે પ્રોગ્રામ મેનેજરો જેવા ઘણી નજરે ન દેખાતી પદવીપર સેવા આપતા મોટા ભાગના સરકારી કર્મચારી પ્રમાણિક અને મહેનતુ છે. પોતાના કામથી કંઈક “ફરક પડશે” તેનો તે ગર્વ અનુભવે છે અને પોતાની અંગત તેમજ વ્ચવસાયિક જવાબદારીને ગંભીરતાથી લે છે. પણ ઘણીવાર તેમના કામ બાબતમાં રાજકીય નિમણૂક પામેલા તેમજ કોંગ્રેસ કે સેનેટના સભ્યો રોકી શકે છે, કંટ્રોલ કરી શકે છે કે તેમના પર દબાણ લાવી શકે છે. બજેટ પણ રાજકીય અને નીતિવિષયક બાબતોને ધ્યાનમાં રાખીને કામમાં વાપરવા દબાણ કરવામાં આવે.

    મને એ પણ જાણવા મળ્યું કે સરકારી અમલદારશાહીને ભેદવી બહુ જ મુશ્કેલ છે. એવી ઘણી સ્થાપિત અને પહોંચેલી કંપનીઓ છે જે લગભગ બધાં સરકારી ખાતાઓમાં પગદંડો જમાવીને બેઠેલી છે. એમની પાસે નિર્ણય લેવા માટે જરૂરી એટલી બધી ઐતિહાસિક માહિતી હોય કે સરકારી પૂછપરછનો ફટાફટ જવાબ આપવામાં કામ લાગે. એમના કૉન્ટ્રેક્ટ કે સર્વિસ બંધ કરાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. મને ખાત્રી થઈ કે કન્સલ્ટિંગ કંપનીઓ અને માલના વ્યાપારી લોબીઈસ્ટ સાથે મળીને એટલી બધી લાગવગ ધરાવે છે ( સારી કે ખરાબ ) કે સરકારી મશિનરી એમના ટેકા વગર ચાલી જ ન શકે. મારે આ હકીકત જોડે સમાધાન કરવું જ રહ્યું. પણ, થોડાક પ્રમાણિક સરકારી કર્મચારીઓનો પાડ માનવો રહ્યો જેમને હું જે કંઈ આપવા માગતો હતો તે અને મારું પાછલું કામ તથા તેની સફળતાનું મહત્વ સમજાયું. પરિણામે હું પણ થોડા સમયમાં ખૂબ નાના પાયે કન્સલ્ટન્ટ તરીકે સ્થાપિત થયો.

    ૨૦૦૦ થી ૨૦૧૬ દરમિયાન હું અનેકવાર ઘણા દેશોના પ્રવાસે ગયો અને ત્યાંની સરકારી સંસ્થાઓ તથા ખાનગી ઉદ્યોગો સાથે કામ કર્યું. આ પ્રવાસોએ મને લોકોની જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજવાની તક આપી. દરેકને શીખવાની અને આગળ વધવાની ઈચ્છા હતી – મોટે ભાગે જીવનધોરણને અમેરિકાની તોલે લાવવાના ધ્યેયથી..આ પ્રવાસોએ મને શીખવ્યું કે માનવજાત બધે સરખી જ હોય છે. જ્યાં સુધી તમે તેમની સાથે માનપૂર્વક વર્તશો અને મદદ કરવા પ્રયત્ન કરશો તેઓ તેમની રીતે એવો જ પ્રતિભાવ આપશે. મારી પાસે એના ઘણા દાખલા છે. જેવા કે ઉત્તર ચીનમાં મારા માટે શાકાહારી ભોજન લાવવા માટે એક કંપનીએ કોઈકને ૫૦ કિલોમીટર દૂર મોકલ્યો અને મારા ડિનર માટે ફ્રેંચ ફ્રાઈઝ પણ મંગાવી. અથવા હું જ્યારે અઠવાડિયા માટે પેકિંગમાં હતો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે એક જર્મન રસોઈયો મારા માટે સરસ ભારતીય ખાણું બનાવવાનો હતો.

    પેન્સિલવેનિયાની સ્ટેટ કોલેજમાં આવ્યાને ત્રીસ વર્ષ થયાં પછી એટલે કે ૧૯૯૭માં અમે વૉશિંગ્ટન ડીસી ગયા. અને ભાન થયું કે ઘણું બધું બદલાઈ ગયું હતું. અમેરિકામાં ૧૯૬૭ના દસવીસ હજારની સરખામણીમાં ભારતીય મૂળના લોકો વીસ લાખ કરતાં વધારે થઈ ગયા હતા.

    સામાજિક વાતાવરણમાં ઘણો મોટો ફરફાર થયો હતો. એ દિવસો ગયા કે જ્યારે કહેવા પૂરતો ભારતીય ખોરાક બનાવવો પડતો અને ખાવો પડતો, ટપાલથી ઓર્ડર આપીને હોંગકોંગથી સાડીઓ મંગાવવી પડતી, ભારતથી મંગાવેલા મસાલા અને મીઠાઈઓ માટે પાર્સલની રાહ જોતા, ભારતમાં પ્રિયજનો સાથે વાત કરવા ટેલિફોનની લાઈન મેળવવા કલાકો રાહ જોતા વિ. હવે તો ત્યાં ઘણા ભારતીય સ્ટોર, ભોજનાલયો, મંદિરો, ભારતના વિવિધ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનો, ભારતીય વર્તમાનપત્રો અને સામયિકો, ભારતના વિખ્યાત કલાકારો ( અભિનેતા, ગાયકો, નૃત્યકારો વિ. ) ઉપરાંત ઘણા ધાર્મિક સંતો અને મહારાજના મનોરંજન કાર્યક્રમો, ભારતના ટીવી કાર્યક્રમો હતા. સાથે મફતમાં સામસામે અમર્યાદિત વાતચીત કરવા અને મળવા માટે વૉટ્સએપ તો ખરું જ. મોટાં, જોવાં ગમે એવાં બીએપીએસ મંદિર સહિત મોટાં શહેરોમાં અનેક મંદિરો છે. ઘણા ભારતીય મૂળના લોકો રાજ્ય વિધાનસભામાં યુ.એસ.કોંગ્રેસના સભ્યો તરીકે રાજકારણના ભાગ બન્યા છે અને યુવાન ભારતીયો મોટા ગજાના રાજકારણીના સ્ટાફમાં મહત્વનાં પદ સંભાળે છે. અમેરિકાભરની બધી મોટી યૂનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો છે. નોબેલ પુરસ્કાર જીતનારા પણ છે. પ્રાથમિક રીતે સૉફ્ટવેર વિકસિત કરતો સંપૂર્ણ આઈટી ઉદ્યોગ મોટે ભાગે ભારતીય મૂળના લોકો પર આઘાર રાખે છે.

    આમ કેવી રીતે બન્યું? અમને આ ક્રાંતિ લાવવામાં ભાગ ભજવનાર ઘણાં પરિબળો દેખાયાં.

    1. આઈઆઆટી, આઈઆઈએસસી અને બીજી ઘણી યુનિવર્સિટીઓ જેવી વિખ્યાત ભારતીય શિક્ષણ સંસ્થાઓમાંથી યુએસએમાં આવતો વિદ્યાર્થીઓનો અવિરત પ્રવાહ. આ મહેનતુ વિદ્યાર્થીઓએ બધાં ક્ષેત્રોની આગળ પડતી કંપનીઓમાં કામ કરવાનું શરૂ કર્યું અને સખત મહેનત તથા નીતિમત્તા સાથે સરસ કામ કરીને પોતાની આવડત પૂરવાર કરી. એમને બઢતી મળી અને આગળ જતાં ઊંચો હોદ્દો પણ તેમને આપવામં આવ્યો.
    2. ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં આવેલા હિજરતીઓની પહેલી પેઢીનાં સંતાનો મોખાની યુનિવર્સિટોઓમાં દાખલ થયાં અને ગ્રેજ્યુએટ થઈને મેડિકલ, એન્જીનીયરિંગ, ફાઈનેન્સ કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં અથવા સ્વતંત્ર ધંધાની દુનિયામાં દાખલ થયાં.
    3. ભારતના ઘણા હિજરતીઓએ હોટેલ અને મોટેલ ઉદ્યોગમાં પોતાનો ધંધો શરૂ કર્યો કે ફાસ્ટ ફૂડ ( સેવન ઈલેવન, ડંકિન ડોનટ્સ, મેક્ડોનાલ્ડ વિ. ), ફાર્મસી વિ.ની ઘણી જાણીતી ફ્રાન્કાઈઝીઓમાં પૈસા રોક્યા.
    4. ઘણા યુવાન ઈજનેરો અનેક ઉદ્યોગોને આઈટી ક્ષેત્રમાં પ્રાથમિક રીતે સેવા આપવા માટે વર્ક વિસા લઈને ભારતથી અમેરિકા આવ્યા અને આઈટી ખાતાના મુખિયા બન્યા, તથા કેટલાક કેસોમાં સીઈઓ, સીટીઓ, સીએફઓ જેવી પોસ્ટ પર પહોંચ્યા.

    આજે તો બ્રોડકાસ્ટિંગ, જર્નાલિઝમ, ફાઈનેન્સિયલ સર્વિસ, જાતે ઊભા કરેલા ઉદ્યોગો અને મોટા ભાગની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ભારતીય મૂળના પુરુષો તથા મહિલાઓ દેખાય એ સામાન્ય બાબત છે.


    ક્રમશઃ

  • આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત

    નિસબત

    ચંદુ મહેરિયા

    ન માત્ર વીસમી સદીના, આગામી ઘણી સદીઓના મહાન વૈજ્ઞાનિકોની પંગતમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન(૧૮૭૯- ૧૯૫૫)નો પાટલો પહેલી પંગતમાં માંડવો પડે એવું એમનું પ્રદાન છે. ગાંધીજીના જન્મ(૧૮૬૯)ના એક દાયકા પછી અને હિટલરના જન્મ(૧૮૮૯)ના એક દાયકા પહેલાં(૧૮૭૯માં) જન્મેલા આઈન્સટાઈન મહાનતમ વૈજ્ઞાનિક તરીકે તો જાણીતા છે જ પરંતુ તેમની સામાજિક-રાજકીય નિસબતને લીધે પણ તેઓ એટલા જ જાણીતા હોવા જોઈતા હતા. જોકે તેમના જીવનનું આ પાસું તેમની વૈજ્ઞાનિક સિધ્ધિઓ પછવાડે ઢંકાયેલું જ રહ્યું છે. આઈન્સ્ટાઈને ત્રણસો ઉપરાંત વિજ્ઞાનને લગતા લેખો લખ્યા છે. તો દોઢસો લેખો વિજ્ઞાનેતર વિષયો પર લખ્યા છે. તેમાં ” સમાજવાદ જ શા માટે?”  જેવા લેખો પણ છે. અને આ જ બાબત તેમની જાહેર નિસબતનો પુરાવો છે.

    જર્મનીના ધર્મનિરપેક્ષ અને ઉદારમતવાદી યહુદી પરિવારમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો. તેઓ બાળપણથી જ ભારે જિજ્ઞાસુ અને વિજ્ઞાન તરફ ઢળેલા હતા. પ્રકૃતિના રહસ્યો જાણવાની તેમને અદમ્ય ઈચ્છા હતી. જર્મન સરકારના નિયમ મુજબની ફરજિયાત મિલિટરી સર્વિસ કરવી તેમના સ્વભાવને અનુકૂળ નહોતી એટલે સોળ વરસની વયે પરિવારની પરવાનગી લઈને કાયમી ધોરણે જર્મનીની નાગરિકતા ત્યજી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ સ્વિત્ઝરલેન્ડ જતા રહ્યા. મુક્ત વાતાવરણ ધરાવતા જુરિચમાં તેઓ ભણવા લાગ્યા. આ દરમિયાન તેમના વૈજ્ઞાનિક સંશોધનો પણ ચાલતા હતા.

    આઈન્સ્ટાઈન ૧૭ વરસે ગ્રેજ્યુએટ થયા હતા, ૨૧ વરસે પીએચ. ડીની ડીગ્રી મેળવી અને ૪૨ વરસે ભૌતિકશાસ્ત્રના નોબેલથી સન્માનિત થયા હતા. અવસાનના સાત દસકો પછી પણ તેમની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ વિષે વિચારતાં સમજાય છે કે તેમણે ફિઝિક્સના અધ્યયનમાં યુગાંતકારી પરિવર્તન આણ્યું હતું.  દુનિયાને જોવા-સમજવાની લોકોની દ્રષ્ટિ બદલી હતી. સાપેક્ષવાદ( Theory of relativity) , સામુહિક ઉર્જાની સમાનતા, પદાર્થ અને ઉર્જા વચ્ચેનો સંબંધ,  લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ ઉપરાંત સમયના ચોથા પરિમાણની શોધ તેમની મહત્વની શોધો છે. એમના શોધેલ E = mc2 સમીકરણના આધારે અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો હતો.

    ડોકટરેટની ડિગ્રી છતાં આઈન્સ્ટાઈનને પ્રોફેસરની નોકરી મળી નહોતી અને તેઓ બર્નમાં આવેલ સ્વિસ પેટેન્ટ ઓફિસમાં સામાન્ય નોકરી કરવા લાગ્યા. આખરે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વચ્ચેની હરીફાઈમાં તેમને વતન જર્મનીની બર્લિન યુનિવર્સિટીએ  પ્રાધ્યાપકની નોકરીની ઓફર કરી. જે તેમણે સ્વીકારી. ૧૯૧૪માં તે પ્રોફેસરી કરવા જર્મની ગયા ત્યારે જ  પ્રથમ  વિશ્વયુધ્ધ શરૂ થયું હતું. જર્મની તેમાં મોખરે હતું. આઈન્સ્ટાઈન શાંતિવાદી અને યુધ્ધવિરોધી હતા.પરંતુ તેઓ એટલા તો પ્રસિધ્ધ હતા કે તેમની પ્રતિભા અને પ્રસિધ્ધિના ડરે સરકારે તેમનો વિરોધ ચલાવી લીધો. તેઓ મુખર પરિવર્તનકામી તો હતા જ સ્પષ્ટ રાજકીય વિચારો પણ ધરાવતા હતા.

    જર્મનીમાં હિટલર અને નાઝીવાદના  ઉદયના ગાળામાં આઈન્સ્ટાઈન ત્યાં હતા. તેમણે યહુદીઓને બચાવવા માટે કાર્યરત સંગઠનોનું સમર્થન કર્યું હતું. કોલેજ શિક્ષણની વધતી  ફી સામે તેમણે ગરીબ બાળકોને કોલેજ પછી મફત ભણાવવાનું કામ કર્યું હતું. રાજકીય સવાલો તેઓ વિજ્ઞાનના સંમેલનોમાં પણ ઉઠાવતા હતા. ૧૯૩૩માં નાઝીઓએ સત્તા કબજે કર્યા પછી આઈન્સ્ટાઈન માટે ત્યાં રહેવું જોખમી બન્યું હતું. તેઓ વિદેશોમાં વ્યાખ્યાન આપવા ગયા હતા એ દરમિયાન તેમના પુસ્તકો સળગાવવામાં આવ્યા.તેમના જીવને જોખમ હોઈ તેમણે અંગરક્ષકો સાથે રાખીને  વિદેશોની યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યા હતા. સ્થિતિ સ્ફોટક હોઈ તેમણે બર્લિન પરત જવાને બદલે અમેરિકામાં રોકાઈ જવાનું ઈષ્ટ માન્યું. અમેરિકાના ન્યૂજર્સીના પ્રિંસટન નગરમાં તે રહ્યા.૧૯૪૦માં તેમને અમેરિકાની નાગરિકતા મળી હતી. એટલે જીવનના અંત સુધી તે ત્યાં જ રહ્યા હતા.

    અમેરિકાવાસ દરમિયાન પણ તેમની જાહેર નિસબત ઓછી ન થઈ. અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો હતો. તેનો વિશ્વયુધ્ધમાં ઉપયોગ અને યુધ્ધ માત્રનો તેમનો વિરોધ હતો. પરમાણુ વૈજ્ઞાનિકોની આપાતકાલીન સમિતિના અધ્યક્ષ તરીકે પરમાણુશસ્ત્રોનો માનવીના વિનાશ માટે વપરાશના તે પ્રખર વિરોધી હતા. તેમનો વિરોધ સરકારને ખૂંચતો હતો. અમેરિકાએ વિશ્વ યુધ્ધમાં તો એક અમેરિકા અને સમાનતાના ગાણા ગાયા હતા પરંતુ દેશમાં રંગભેદ અને ભેદભાવ વ્યાપક હતાં. રોજગારના ક્ષેત્રમાં ભેદભાવ વધુ હતો. એટલે શ્યામવર્ણી અમેરિકનો બેરોજગાર હતા. ઘર, રોજગાર અને શિક્ષણમાં કાળાઓને અન્યાય અને ભેદભાવ સહેવો પડતો હતો. ૧૯૩૭માં પ્રિંસટનમાં અશ્વેત ગાયિકા અને સંગીતકાર મેરિયન એન્ડરસને તેમના અવાજ અને સંગીતથી કાળા-ગોરાઓની ખૂબ તાળીઓ બટોરી પણ રહેવા માટે હોટલ ન મળી. એટલે આઈન્સ્ટાઈને તેમને પોતાના ઘરે ઉતારો આપ્યો હતો. વિચાર અને આચાર બેઉમાં આઈન્સટાઈન સમાન હતા.

    કાળાઓના સમર્થનમાં અને અમેરિકી ગોરાઓની માનસિકતા સંદર્ભે આઈન્સ્ટાઈને એક  જાહેર સભામાં કહ્યું હતું કે, ”  અમેરિકનોની સામાજિક દ્રષ્ટિ , માનવીય ગરિમા અને સમાનતા અંગેની તેમની સમજ માત્ર ગોરી ચામડી ધરાવતા લોકો માટે જ મર્યાદિત છે. મને મારા અમેરિકી હોવા પર પારાવાર પીડા થાય છે. કાળાઓ પ્રત્યેનું ગોરા અમેરિકનોનું વલણ મને પણ સહઅપરાધી બનાવે છે. આ મનોગ્રંથિથી હું ત્યારે જ મુક્ત થઈ શકીશ જ્યારે હું તેના વિરોધમાં મારો અવાજ બુલંદ કરીશ.”.

    અમેરિકામાં ઘટતી ઘટનાઓના સમાજવાદી અને માર્કસવાદી પરિપેક્ષ્યથી વિશ્લેષણ માટે ૧૯૪૯માં શરૂ થયેલા ‘ મંથલી રિવ્યૂ’  સામયિકને આઈન્સ્ટાઈનનો ટેકો હતો. એટલું જ નહીં તેમણે તેના પ્રથમ અંકમાં જ ‘ સમાજવાદ જ શા માટે?’  મથાળે લેખ લખ્યો હતો. આ લેખમાં આઈન્સ્ટાઈને જે વ્યક્તિ આર્થિક-સામાજિક વિષયો પર નિષ્ણાત નથી તેણે સમાજવાદ વિષે લખવું ઉચિત છે? તેઓ પ્રશ્ન કરી સમાજવાદની આવશ્યકતા સમજાવી હતી. આ લેખમાં તેમણે મૂડીવાદનો વિરોધ કર્યો હતો.અને સમાજવાદની સ્થાપના કેટલીક અત્યંત કઠિન સામાજિક-રાજકીય સમસ્યાઓના સમાધાનની માંગ કરે છે તેમ પ્રતિપાદિત કર્યું હતું. મૂડીવાદી અર્થવ્યવસ્થા તેમના મતે માનવીય સંકટો અને આર્થિક અરાજકતાનું મૂળ હતું. માત્ર સમાજવાદ જ એવી અર્થવ્યવસ્થા છે જે વ્યક્તિની સામાજિક જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમ તેમનું દ્રઢપણે માનવું હતું.

    આઈન્સ્ટાઈનના શિક્ષણ વિશેના વિચારો પણ તેમના અનુભવો અને નિસબતમાંથી જન્મ્યા હતા. જર્મનીમાં તેમના આરંભિક શિક્ષણ અંગે આઈન્સ્ટાઈનને લાગતું હતું કે જર્મન શિસ્તવાળી શાળામાં જ્યાં તે ભણતા હતા ત્યાં તેમને શિક્ષકો  લશ્કરના લેફટેનન્ટ્ જેવા લાગતા હતા. શાળાકીય શિક્ષણ અંગે તેમના વિચારો હતા કે શાળાઓમાં ગોખણપટ્ટીને કારણે વિધ્યાર્થીઓમાં રહેલા રચનાત્મક વિચારો અને શિખવાની પ્રક્રિયા બંને ખોવાઈ ગયા છે.

    જીવનના આખરી વરસોમાં આઈન્સ્ટાઈનનું કીર્તિદા કાર્ય તે બર્ટાન્ડ રસેલ સાથેનું તેમનું સંયુક્ત ઘોષણાપત્ર હતું. જેમાં તેમણે વૈજ્ઞાનિક ચેતના સાથે સામાજિક ન્યાય અને માનવીય કરુણા પણ એટલી જ જરૂરી હોવાની જિકર કરી હતી. આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત તેમના ઉંડા ચિંતનનો પરિપાક હોવાનું નિ:શંક લાગે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પતંજલિ યોગસૂત્ર – એક આચમન : અવરોધ

    દિ નેશ લ. માંકડ

    મહર્ષિ પતંજલિએ યોગસૂત્રના અધ્યાય સમાધિપાદમાં જણાવ્યું છે કે ચિત્તની વૃત્તોનો નિરોધ કરવો એટલે યોગ .योगश्चित्तवृत्तिनिरोधः॥२॥   નિરોધ એટલે અટકાવવું.-રોકવું -અવરોધવું .માનવમન ખુબ ચંચળ છે. પ્રતિક્ષણ અવનવા વિચાર કરે- પોતાની વૃત્તિઓ ઘડે અને એ મુજબ જીવન વ્યવહાર કરે.એમાંય આજની ભૌતિક .જીવનશૈલી તો માણસને ક્યાંય લઇ જાય છે તેની માણસને પોતાને પણ ખબર નથી.ખુબ ઓછા લોકો પોતાના આધ્યાત્મિક કલ્યાણ માટે-,એક  ઉત્તમ માનવજીવન માટે વિચારે છે. અને જે વિચારે છે  તેમાંથી વિકસવાની દિશામાં ઓછા સંકલ્પબદ્ધ થાય છે.

    સમગ્ર સૃષ્ટિમાં તમામ પ્રાણીમાત્ર ખાય પીએ અને જીવે છે. એક માણસ જ એવું પ્રાણી છે જે વિચારી શકે કે હું મારાં  શું પરિવર્તન કરી શકું ? ‘ નર માંથી નારાયણ ‘ બનવાની સંકલ્પના આપણે માણસો જ કરી શકીએ  .ભગવાને માણસને બુદ્ધિ આપી જ એટલા માટે છે એટલે જ માણસ ઈશ્વરનું  શ્રેષ્ઠ સર્જન કહેવાય છે.પણ લાગે છે કે આપણી જીવનશૈલી  કે કારણે આપણું માનવત્વ આપણાથી જોજન દૂર જતું જાય છે.

    તેને માટે યોગમાર્ગનો પ્રારંભ કરવો જ પડે .અને પતંજલિ સૂત્રના ક્રમમાં જવાની દિશામાં જવું પડે.એટલે કે મનની -ચિત્તની વૃત્તિઓને નિરોધ એટલે કે અવરોધવી -રોકવી પડે.

    પતંજલિ  ચિત્તની વૃત્તિઓને પાંચ પ્રકારમાં  વિભાગે છે.

    प्रमाण विपर्यय विकल्प निद्रा स्मृतयः ॥ 6 ॥   ‘ પ્રમાણ ,વિપર્યાય  ,વિકલ્પ,નિંદ્રા અને સ્મૃતિ પ્રકારની ચિત્તવૃત્તિઓને પતંજલિએ રોકવાનોs છે.- તેનો નિરોધ કરવાનો છે..

    એને વિસ્તૃત રીતે સમજાવતાં કહે છે .प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥ 7 ॥   પ્રમાણવૃત્તિના ત્રણ ભેદ છે પ્રત્યક્ષ પ્રમાણ,અનુમાન પ્રમાણ અને આગમ

    પ્રમાણ -.સામાન્ય અર્થમાં કહીએ તો જાતે જોયેલું તે પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ સાંભળેલું કે બાંધેલું તે અનુમાન પ્રમાણ,, અને કોઈ શાસ્ત્ર કે સંત મહાનુભાવ ના વચન પ્રેરિત તેવું આગમ  પ્રમાણ જે વૃત્તિ ઘડવામાં નિમિત્ત થયું હોય.

    વૃત્તિનો બીજો પ્રકાર તે વિપર્યય विपर्ययो मिथ्याज्ञानमतद्रूप प्रतिष्ठम् ॥ 8 ॥ મૂળ વસ્તુને બીજા સ્વરૂપે ધરી લેવી, તેવા મિથ્યા જ્ઞાન ને વિપર્યાય કહે છે.  ત્રીજા પ્રકારની ચિત્તવૃત્તિ તે વિકલ્પવૃત્તિ  शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥ 9 ॥  વાસ્તવમાં જેનું અસ્તિત્ત્વ ન હોય તેવા પદાર્થની ફક્ત શબ્દ આધારિત કલ્પના કરવાવાળી ચિત્તવૃત્તિ તે વિકલ્પ વૃત્તિ .

    ચોથી ચિત્તવૃત્તિ તે નિંદ્રા अभाव प्रत्ययालम्बना वृत्तिर्निद्रा ॥ 10 ॥  માણસને જે સમયે કોઈપણ વિષય નું જ્ઞાન નથી રહેતું તે સ્થિતિ તે નિંદ્રા ચિત્તવૃત્તિ.એટલે કે જ્યાં જ્ઞાનનો અભાવ જ હોય.. દરેક વ્યક્તિને પોતાની પૂર્વ  યાદગીરીઓ હોય જ .જયારે તે ચિત્તવૃત્તિનું સ્થાન  લે ત્યારે પતંજલિ કહે છે अनुभूत विषयासम्प्रमोषः स्मृतिः ॥ 11 ॥  ભિન્ન ભિન્ન  વિષયોના અનુભવો જે સંસ્કારોમાં પડેલા હોય તે કોઈ નિમિત્તથી વૃત્તિ સ્વરૂપ ધારણ કરે તે એટલે સ્મૃતિ ચિત્તવૃત્તિ..

    અલબત્ત મહર્ષિ  પતંજલિ એક બાબત સ્પષ્ટ  કરે છે કે તમામ ચિત્તવૃત્તિ ક્લિષ્ટ અને અક્લિષ્ટ એટલે કે દુઃખ આપનારી અને દુઃખ ન આપનારી  એમ બે ય પ્રકારની હોય છે

    બધી જ  ચિત્તવૃત્તિઓને  રોકવા– નિરોધ કરવાના .મહર્ષિ બે ઉપાય સૂચવે છે.अभ्यास वैराग्याभ्यां तन्निरोधः ॥ 12 ॥  અભ્યાસ અને વૈરાગ્ય..

    સામાન્ય રીતે આપણે અભ્યાસ શબ્દને શિક્ષણ કે પાઠ્યપુસ્તક સુધી જ મર્યાદિત બનાવી દીધો છે .પરંતુ પાતંજલિજીએ તો પોતાના આ સૂત્રમાં અભ્યાસની વ્યાખ્યા સ્પષ્ટ કરી દીધી છે.तत्र स्थितौ यत्नोऽभ्यासः ॥ 13 ॥ સ્વભાવથી ચંચળ એવાં મનને સ્થિર કરવા માટે વારંવાર પ્રયાસ કરવો તેને અભ્યાસ કહેવાય.

    આગળના સૂત્રમાં તેઓ અભ્યાસના ઉત્તમ પરિણામની વિશ્વનીયતા પણ દર્શાવે છે. स तु दीर्घकाल नैरन्तर्य सत्कारासेवितो दृढभूमिः ॥ 14 ॥   તે અભ્યાસ લાંબા સમય સુધી ,નિરંતર ઉત્સાહપૂર્વક અને  સંપૂર્ણપણે  કરતા રહેવા આવે તો છેવટે પરિપક્વ – દૃઢ થાય છે.

    ચિત્તવૃત્તિને નિરોધવાના બીજા ઉપાય વૈરાગ્યનો અર્થ તેઓ આ રીતે કરે છે. दृष्टानुश्रविक विषय वितृष्णस्य वशीकारसञ्ज्ञा वैराग्यम् ॥ 15  જોયેલા કે સાંભળેલા વિષયોથી મન જયારે પર કે તૃષ્ણા રહિત થઇ જાય તેને વૈરાગ્ય કહે છે. એમાં પણ  तत्परं पुरुषख्याते-र्गुणवैतृष्ण्यम् ॥ 16 ॥  પોતાના જ્ઞાન થી, પ્રકૃત્તિના ગુણોમાં તૃષ્ણાનો છેક અભાવ થઇ જાય તેને ઉત્તમ વૈરાગ્ય કહે છે.

    ચિત્તવૃત્તિને નિરોધ એટલે યોગ એ તો  મહર્ષિ પતંજલિની યોગની પ્રાથમિક વ્યાખ્યા છે.પણ કેવો યોગ ?  આગળના સૂત્રોમાં તે દર્શાવે છે.

    वितर्क विचारानन्दास्मितारूपानुगमात् सम्प्रज्ञातः ॥ 17 ॥  વિતર્ક ,વિચાર ,આનંદ અને અસ્મિતા આ ચારેયના ચિત્તના સમાધાનને સંપ્રજ્ઞતા યોગ કહે છે.વળી भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् ॥ 19 ॥   સ્થૂળ શરીરના બંધન છૂટીને શરીરથી પર થવાના અભ્યાસમાં પ્રવીણ થઇ શકાય હોય તેવા યોગને ભવપ્રત્યય યોગ કહેવાય. તથા श्रद्धा वीर्य स्मृति समाधिप्रज्ञा पूर्वक इतरेषाम् ॥ 20 ॥ શ્રદ્ધા,વીર્ય,સ્મૃતિ,સમાધિ અને પ્રજ્ઞાની પણ યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

    કોઈપણ ઉત્તમની પ્રાપ્તિ માટે પૂર્ણ સાધના આવશ્યક છે જ .પતંજલિ પણ નિર્દેશ કરીને સાધના સિદ્ધિની ખાતરી આપે છે. तीव्रसंवेगानामासन्नः ॥ 21 ॥  જેમની સાધના ત્તીવ્ર હોય તેમને યોગની સિદ્ધિ જલદી મળી જાય છે. ફરીથી મહાશ્રી યાદ અપાવે છે કે मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः ॥ 22 ॥  સાધના સાધારણ,મધ્યમ કે અધિક હોય તો ત્તીવ્ર સંવેગવાળા યોગ સાધકોને સિદ્ધિ તરત મળી શકે.અહીં પતંજલિ સતત સાધનાનો વિશેષ આગ્રહ ખાસ સૂચવે છે.

    યોગની અંતિમ પ્રાપ્તિ  ઈશ્વર સમીપની છે એટલે કેન્દ્રમાં ઈશ્વર રાખીને આ સૂત્ર સંકેત આપે છે. એટલે ઈશ્વર પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા પૂર્વશરત છે..ईश्वरप्रणिधानाद्वा ॥ 23 ॥  ઈશ્વરની શરણાગતિને ઈશ્વર પ્રણિધાન કહેવાય આપણે સહુ  મંદિરમાં કે મૂર્તિમાં જોઈએ છીએ તેને ઈશ્વર તરીકે જોઈએ છીએ પરંતુ યોગસૂત્રના રચયિતા પતંજલિ તો કહે છે क्लेश कर्म विपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥ 24 ॥  અર્થાત જે  કર્મ,ક્લેશ ,વિપાક  [કર્મનું ફળ } અને આશયના સંબંધોથી રહિત તથા પુરુષોમાં ઉત્તમ છે તે ઈશ્વર છે. स एषः पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् ॥ 26 ॥  અને એ ઈશ્વર તો પૂર્વે થઇ ગયેલા સહુના ગુરુ છે  કાળ તેને સ્પર્શી શકતો નથી કે નાશ પણ કરી શકતો નથી.

    દરેક શુભકાર્ય કે પવિત્ર કાર્યના પ્રારંભે ૐ કારણે આપણે સહુ પ્રાધાન્ય  આપીએ છીએ. .અહીં પતંજલિ પણ ઈશ્વરની ઓળખ એ રીતે જ આપે છે.तस्य वाचकः प्रणवः ॥ 27 ॥  ૐ કર એ ઈશ્વરનું નામ છે. એટલે જ तज्जपस्तदर्थभावनम् ॥ 28 ॥   જે ૐ કારણ જાપ અને ચિંતન મનન કરે તેમને યોગસિદ્ધિ પ્રાપ્ત થાય છે.

    અને પતંજલિજી  કહે છે .ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥ 29 ॥   અને એ પ્રકારના અભ્યાસથી બધા પ્રકારના વિઘ્નો દૂર થાય છે.અને સહજમાં કૈવલ્ય દશા પ્રાપ્ત થાય છે. પણ પ્રતિક્ષણ ચંચળ માનવમનની ચિત્તવૃત્તિઓ કઈ આપોઆપ રોકાઈ કે અવરોધાય જાય ખરી ?


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com