-
ફાધર વાલેસ : ભારતીય સંસ્કૃતિનો ખ્રિસ્તી દૂત
ડંકેશ ઓઝા
કોઈ વ્યક્તિ સ્પેનની હોય, ખ્રિસ્તી ધર્મમાં કિશોર વયે જેણે દીક્ષા લીધી હોય, અધ્યાપક ગણિતશાસ્ત્રના હોય, ગુજરાતી ભાષા તો ઠીક અંગ્રેજી પણ ભારતમાં આવીને શીખ્યા હોય; એવી વ્યક્તિ ભાષા શીખે, એવું સારું લખે કે ગુજરાતી સાહિત્યકારો જે ઝંખતા હોય એવો રણજિતરાય સુવર્ણચંદ્રક એમને પ્રદાન થાય તો એવી વ્યક્તિનું નામ હશે ફાધર વાલેસ !
ગુજરાતી ભાષામાં બહુ શરૂઆતમાં જૈનોનું પ્રદાન છે, તે પછી પારસીઓનું પ્રદાન છે. મરાઠીઓએ કર્યું જ છે, આ તો વિદેશી ખ્રિસ્તી. કાકા કાલેલકરને આપણે ‘સવાયા ગુજરાતી’ કહ્યા. ગુજરાતીઓ એટલે શ્રીસવાનું પૂજન કરનારી પ્રજા. એને થોડુંક વધારે જોઈએ, થોડુંક નમતું જોઈએ. એને ‘શુભ-લાભ’ બંને સાથે જોઈએ ! ફાધર વાલેસે એવું કામ કર્યું કે કાકાએ તેમને ‘સવાયા ગુજરાતી’ કહ્યા.
જન્મભૂમિ સ્પેન, પિતાનું નામ જોસેફ, માતાનું નામ મારિયા. દસ વર્ષની વયે પિતા ગુમાવ્યા. આંતરવિગ્રહને કારણે ઘર છોડીને ચર્ચમાં શરણાર્થી તરીકે રહેવું પડ્યું. પંદર વર્ષની વયે દીક્ષા લીધી.
૧૯૪૯માં ૨૪ વર્ષની યુવાન વયે ભારત આવવાનું થયું. ૧૯૫૩માં મદ્રાસમાં ગણિતશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા. મહારાષ્ટ્રમાંથી ગુજરાત જુદું પડ્યું ત્યારે ૧૯૬૦માં અમદાવાદ આવ્યા. ત્રણ દાયકા સુધી ગુજરાતમાં રહ્યા. અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક હતા.
એક વાર તેમણે લખેલું કે ઘરની બહેન દાદર ઊતરીને નીચે પાણી ભરવા ગઈ છે. ઘોડિયામાંનું બાળક રડે છે. હું લેખ લખી રહ્યો છું. સાથે-સાથે બાળકને ઝુલાવીને શાંત રાખવાનો પ્રયત્ન કરું છું. ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં યુવાનોને સંબોધતી કોલમ ‘નવી પેઢીને’ શરૂ થઈ તે પહેલાં તેમણે તંત્રી બચુભાઈ રાવતના પ્રતિષ્ઠિત સામયિક ‘કુમાર’માં લખવા માંડેલું. એ લેખોમાંથી એમનું પ્રથમ પુસ્તક બહાર પડ્યું, નામે ‘સદાચાર’. એટલું લોકપ્રિય થયું કે આજે એની સોળ આવૃત્તિઓ થઈ છે !
એમની લખવાની શૈલી અત્યંત સરળ અને પ્રવાહી. ટૂંકાં ટૂંકાં વાક્યોની સહજ અભિવ્યક્તિ. ગુજરાતી ભાષાને એવો અને એટલો પ્રેમ કર્યો છે જેટલો સરેરાશ ગુજરાતી નથી કરતો. એમણે લખ્યું છે, હું લખતાં લખતાં વારંવાર ગુજરાતી શબ્દકોશ ઉથલાવું છું. ઉપયોગને કારણે તે ફાટી જાય છે તેથી વારંવાર નવો ખરીદું છું. મારા હાથ છે, મારું લખાણ છે, મારા હાથે ખોટી જોડણી ન લખાય, એની ચીવટ રાખું છું. છે આપણા ગુજરાતીઓની આટલી મહેનત કે ચીવટ ?

ખ્રિસ્તી ધર્મમાં ફાધર હતા. એટલે સંપ્રદાયના સંતની માફક કુટુંબ સંબંધ પૂરેપૂરો સમાપ્ત કર્યો હોય. લોહીના સંબંધનો વિચ્છેદ એ લગભગ મોટાભાગના ધર્મ-સંપ્રદાયોની પૂર્વ શરત હોય છે. પણ ફાધર જુદી માટીના હતા. આપણા આદિ શંકરાચાર્યે પણ સંન્યાસી હોવા છતાં માતાને અગ્નિદાહ આપેલો ! ફાધર વયોવૃદ્ધ માતાની સેવા-ચાકરી કરવા ગુજરાત છોડીને અને સંપ્રદાય છોડી ૧૯૯૦માં માદરે વતન સ્પેન પહોંચી ગયા. દસ વર્ષ સેવા કરી. માતાએ ૧૦૧ વર્ષે પુત્રના ખોળામાં દેહ છોડ્યો.
તેઓ ગમ્મતમાં કહેતા કે ગુજરાતીમાં કહેવત છે – એક ભવમાં બે ભવ કરવા. મારા માટે તો ત્રણ નિર્માયા છે : સ્પેન, ગુજરાત/ભારત અને લેટિન અમેરિકા. ગુજરાત છોડ્યા પછી વર્ષમાં એક વખત નિયમિત ગુજરાતમાં આવતા અને પોતાના ચાહકોને મળવામાં એમને આનંદ આવતો. વક્તા તરીકે સાંભળવા ગમે તેવા. એમના મોઢે બોલાતી ગુજરાતી અત્યંત મીઠી લાગતી.
આજે આપણે દુનિયાના ‘વિશ્ર્વગુરુ’ બનવાની ખેવના સેવીએ છીએ. કોઈ પણ ભારતીયને ગૌરવ પમાડે તેવી આ વાત છે. આપણે એને માટે યોગ્ય છીએ કે કેમ એ જરા જુદી વાત છે. ફાધર વાલેસે પોતાની એ યોગ્યતા પુરવાર કરી હતી. એમણે લખ્યું છે કે એક વાર દક્ષિણ આફ્રિકામાં એક ટી.વી. કાર્યક્રમમાં એક ગોરો ખબરપત્રી તેમની મુલાકાત લેતો હતો. એની માનસિકતા ભારત પ્રત્યે સદ્ભાવની ન હતી. તેથી જરા તોછડાઈથી તે પ્રશ્ર્ન પૂછતો હતો. ભારત ગરીબ છે, ભારત ગંદું છે, ત્યાં અનેક પ્રકારની અવ્યવસ્થાઓ છે, એવું તારણ એ કાઢતો હતો. મુલાકાતનો અંત પણ એ નકારાત્મક અસરથી લાવવા માંગતો હતો. તેથી છેલ્લી સેક્ધડોમાં તેણે પ્રશ્ર્ન કર્યો : ભારત શેની નિકાસ કરી શકે એટલે કે દુનિયાને શું આપી શકે ? ફાધર ક્ષણભર મૂંઝાઈ ગયા, પણ તરત સ્મિત સાથે સ્પષ્ટ જવાબ આપ્યો કે, ‘ભારત શાંતિની નિકાસ કરે છે’ ! અને આ કાર્યક્રમ એ રણકતા શબ્દ સાથે પૂરો થયો. ફાધર લેખનું સમાપન કરતા લખે છે : “એ કામ છે. એ જવાબદારી છે. એ સેવા છે. એ વિનંતી છે. શાંતિની નિકાસ કરીએ. એ સૌથી મોંઘી મૂડી છે.”
ફાધરના શતાબ્દી પર્વે આપણે ફરી એક વાર આ શાંતિના દૂતનાં પુસ્તકો ખરીદીએ, એને ઉથલાવીએ, એને વાંચીએ, એનું મનન કરીએ, એને વ્યવહારમાં ઉતારીએ, એ પુષ્કળ જરૂરી છે. આજનો જમાનો જાહેરાતનો છે. સાધનોની તો ઠીક માણસો પોતાની જાહેરાતો કરતા થઈ ગયા છે! ફાધર લખે છે કે “જાહેરાતની વૃત્તિ એ આધુનિક માનવીનું લક્ષણ છે… સફળતા હોય તો જરૂર ઢોલ વગાડો…. સાચી સફળતાને તો નમ્રતા ને વિવેક શોભે… જાહેરાત એ ધર્મની ઊધઈ છે.” ફાધરની વાતો આજે વિશેષ કાને ધરવા જેવી છે.
ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૫
-
જળ પૂછે ઉખાણાં | ક્યારે હતી
જળ પૂછે ઉખાણાં(૨૨-૫-૨૦૨૬, જળ દિવસ)-રક્ષા શુક્લજ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.ઉત્તરમાં અળવંડા ખાતી જીભ તો જાણે પાણા.જળની આંખે જળ ‘ને જળ તો પૂછે એના કારણ,કારણમાં ખારાશ નીકળતા ઉલટાં પડતાં તારણ.જળ જીત્યું પણ જળ પછવાડે ભીંતે ભરચક કાણાં.જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.ઉબડ-ખાબડ હું વહેતું, કાં લાવા માફક ગુસ્સો ?અમને લાગ્યું ‘જળને ઉછળી જતાવવો છે જુસ્સો.જળને લાગ્યું માઠું, છોલાયું ‘ને લાગે ટાણાં ?જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.કાં જળને નહીં પ્રીત્યું-નેડો, કશું ન કાંઠા સાથે ?દોષ વળી પથ્થરના તૂટવાનો લઈ બેઠું માથે.કોણ વિચારે, ક્યાંથી મીડિયા પાછળ ઘેલું મા’ણાજ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.ક્યારે હતી– ચિનુ મોદીપરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી?
સ્વયં નાવ તોફાની ક્યારે હતી?મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી.નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી.તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી.હતા સાત પરદા થવા રૂબરૂ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી? -
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૯ મું. – ભીષ્મ પ્રતિજ્ઞા.
પ્રકરણ ૮ મું.- કેસરીયાં થી આગળ
ઝવેરચંદ મેઘાણી
સ્વાધીનતાની મદીરા તો શુરવીરોજ જીરવી જાણે. કોરીયાની પ્રજાએ એ પ્યાલો પીધો. પણ છકી ન ગઈ. બીજેજ દિવસે રવિવાર હતો. દેવળો ને મંદિરો માણસોથી ઉભરાઈ ગયાં. આખો દિવસ લોકોએ પોતાના માલીકની બંદગી કરવામાંજ ગુજાર્યો
બીજી તરફથી જાપાની સરકારે બરાબર તક સાંધી. સોલ્જરોને બહાર કાઢ્યા. આજ્ઞા દીધી કે “ટોળું દેખો ત્યાં છૂટથી લાકડી યા તલવાર ચલાવો; સ્વાધીનતાની ઝુંબેશમાં કોઈપણ આદમી ભળેલો જણાય તો એને પીટી નાખો.”
સોલ્જરોનાં એ કૃત્યોની છબીઓ જગત ઉપર મોજુદ છે. અમેરિકાના ત્રણ માણસો સાક્ષી પૂરે છે કે સોલ્જરોએ ચુંથી નાખેલા એક કોરીયાવાસીની છબી જોયા પછી તે રાત્રે અમને નીંદ ન આવી.
જેમ કતલ ચાલતી ગઈ તેમ લોકોનો નિશ્ચય પણ વધતો ગયો દુકાનો બંધ, નિશાળો બંધ, જ્યાં જુઓ ત્યાં મરદોનાં ઓરતોનાં, ને બાળકોનાં ટોળેટોળાં શાંતિથી ને હસતે મુખે મારપીટ ઝીલતાં હતાં.
બાલકોએ હડતાલ શી રીતે ઉઘાડી, ને જાપાની અધિકારીઓની ધમકીનો શો ઉત્તર વાળ્યો એ વાત તો લખાઈ ગઈ છે. એ ઈતિહાસનાં બધાં પ્રકરણો ભલે ભુંસાઈ જાઓ, પણ કોરીયન રમણીઓની વીર–કથાનો એક અક્ષર વાંકો નહિ થાય. શરીર ઉપર કસકસીને શીવેલાં વસ્ત્રો સોલ્જરોને હાથે ચીરાઈ રહ્યા હતાં, જાપાનીઓનાં ટોળાં એ વસ્ત્ર–હરણનો તમાશો ઠંડે કલેજે જોઈ રહ્યાં હતાં, નગ્ન રમણીઓ કેદખાને ઘસડાતી હતી, – એ બધાનો ચિતાર આપવા દ્રોપદીને સેંકડો વાર જન્મવું પડે, અને જગતમાં મહાભારત રચાયાજ કરે. એ સેંકડો વસ્ત્ર–હરણને સમયે કોઈ કૃષ્ણ ત્યાં હાજર નહોતો !
થોડી વિગતો તપાસીએ.
સ્વાધીનતાની ઝુમ્બેશમાં ભાગ લેનારી કોરીયન રમણીઓની શી શી વલે થતી ? જાપાનીઓ બરાબર જાણતા હતા કે પોતાના શરીરનું એક અંગ પણ દેખાઈ જાય તો કોરીયન અબળાને મરવા જેવું થાય. ગિરફતાર થયેલી રમણીને પ્રથમ તો બંદીખાનાની અંદરજ, દારાગાઓની દૃષ્ટિ સમક્ષ, તદન નગ્ન કરવામાં આવે, ત્યારપછી એ નગ્ન શરીરે આખી અદાલત વીંધીને એને આરોપીના પાંજરામાં આવવું પડે. કુલિન ઘરની કુમારિકાઓની આ દશા થાય ! જાપાની સિપાહીઓ એની હાંસી કરે.
કોઇ રમણીએ અતિ શરમને લીધે પોતાના બે હાથ વડે અંગની એબ ઢાંકી દીધી. સિપાહીએ આવીને એના હાથ પીઠ ઉપર બાંધી લીધા !
એક કુમારિકાએ કરેલી પોતાની વાત :
માર્ચ મહિનાની પાંચમી તારીખે અમે થોડીએક બહેનપણીઓએ અમારી માતૃભૂમિની સ્વતંત્રતાને ખાતર દક્ષિણ દરવાજે સરઘસ કાઢ્યું. મહેલની પાસે અમે પહોંચ્યાં ત્યાં તો એક જાપાની સિપાહીએ મારો ચોટલો પકડી, મને જમીન પર પટકી. મને એવો માર માર્યો કે હું બેહોશ બની ગઈ, મારા ચોટલો ઝાલીને મને એ ચાવડી ઉપર ખેંચી ગયો. ચાવડીને દરવાજે વીશ જાપાની સિપાહીઓ ઉભેલા તે બધાયે મને લાતો મારી, ને તલવારના ઘોદા માર્યા. મને એક ઓરડામાં ઘસડવામાં આવી. મ્હારા મ્હોં પર માર પડ્યો. હું બેહોશ બની ગઈ પછી શું બન્યું તેની મને ખબર નથી.
મને શુધ્ધિ આવી ત્યારે મેં જોયું તો મ્હારી ચોપાસ ખીચોખીચ માણસો પૂરાયેલાં. કેટલાએકની હાલત જોઈને મ્હારૂં હૈયું ફાટી ગયું. પછી અમારી તપાસણી ચાલી. અમલદારો હારા મ્હોં પર થુંકતા જાય. મને મારતા જાય, અને સવાલો પૂછતા જાય
મને હુકમ મળ્યો કે “છાતી ખુલી કર.” મેં ના પાડી, એટલે સોલ્જરોએ મ્હારૂં વસ્ત્ર ચીરી નાખ્યું. આંખો મીંચીને હું ભોંય પર ઢળી પડી. અમલદારોએ ગર્જના કરી, મને ઘુંટણ પર બેસવા કહ્યું, મ્હારાં સ્તન પકડીને મને ધણધણાવી.
મને કહેવામાં આવ્યું કે “સ્વતંત્રતા જોઈએ છે ? તલવારને એક ઝટકે ત્હારો જાન લેશું.”
પાછી મને ચોટલો ખેંચીને હલમલાવી, મ્હારા માથા પર લાકડી મારી—પછી મને નીચે જવા કહ્યું. પણ ઉઠીને ચાલવાની મ્હારી તાકાત નહોતી. હું પેટ ઘસડતી ચાલી. મ્હારાથી ચલાયું નહિ. સીડીના પગથીયાં પરથી હું ગબડી પડી. ફરી હું બેહોશ બની.
હું જાગી ત્યારે મને બીજી ચોકી પર લઈ જવામાં આવી. ત્યાં મારા લુગડાં કઢાવી મને નગ્ન કરી. પછી લુગડાં પહેરીને હું ઓરડામાં ગઈ.
બીજે દિવસે દાક્તરે આવી મને નગ્ન બનાવી, મ્હારૂં વજન કર્યું. દારોગાએ મને કહ્યું કે તારા ઉપર કામ ચાલશે. હું રાજી થઇ. મેં માન્યું કે મ્હારી વાત કહી નાખવાની મને તક મળશે. પણ એક દિવસ મને છોડી મૂકી. મ્હારૂં કામ ચાલ્યું નહિ. મ્હારો શું ગુનો હતો તે પણ મને કહેવામાં આવ્યું નહિ.”
આવી કથનીએ તો અનેક લખાઈ ચૂકી છે. એક નમુનોજ બસ છે.
આ બધા જુલ્મોની કોરીયાવાસીઓ ઉપર શું અસર થઈ છે ? જેલમાં ગએલાં માણસો, મૃત્યુ સુધી લડત ચલાવવાનો ભીષણ નિશ્ચય કરીને બહાર આવ્યાં. માત્ર ગમ્મતને ખાતર સરઘસોમાં ગએલાં, ને જેલમાં પડેલાં બાલકો, જાપાનના કટ્ટા શત્રુઓ બનીને બહાર નીકળ્યાં.
આ બધા જુલ્મો કોઈ પુરાણા જંગલી જમાનામાં નથી થયા પણ ૧૯૧૯ના નવયુગમાં ! કોઈ છુપા, વિક્રાળ જંગલમાં નહિ, પણ જગતના ચોકમાં, સ્વતંત્રતાની સહાયે દોડતા પેલા અમેરિકાની આંખો સામે. કોઈ મનુષ્યાહારી, અજ્ઞાન, પશુવત ટોળાંને હાથે નહિ પણ વિદ્યાવિશારદ, કળાકુશલ, અને સુધરેલી દુનિયાની અંદર ઉંચી ખુરશીએ બેસનાર બૌદ્ધધર્મી જાપાનને હાથે ! અમેરિકાનું સ્નેહી એ જાપાન ! ઈંગ્લાંડનું દિલોજાન દોસ્ત એ જાપાન !
સરકારે પોતાની દમન–નીતિમાં ગરીબ શ્રીમંત વચ્ચેનો ભેદ રાખ્યોજ નહિ, વીશ વિદ્વાન પ્રજાજનો ગવર્નર–જનરલ પાસે અરજી લઇને ગયા. જવાબ મળ્યો કે, “જાઓ પોલીસના વડા પાસે.” પોલીસના વડાએ એ મહેમાનોનાં મંડળનું યોગ્ય સન્માન કર્યું ! બધા ગિરફતાર બન્યા. વાઈકાઉન્ટ કીમ નામનો ૮૫ વરસનો એક વૃદ્ધ અમીર–દુર્બળ અને બિછાનાવશ–જાપાનીઓનો મિત્રજન–દોઢ વરસની સખ્ત મજુરીની સજા પામ્યો. આ અમીર એક વિદ્યાલયનો આચાર્ય હતો.
આંકડાના શોખીનો માટે કતલના ને ગીરફતારીના આંકડા નીચે મુજબના છે.
૧૯૧૯ ના માર્ચથી જુન સુધીમાં કુલ ૧,૬૬,૧૮૩ જણાં જેલમાં ગયા, બે માસમાં ૨૦૦૦ સ્ત્રીઓ, પુરૂષો ને બાળકોની હત્યા કરવામાં આવી, તોયે કોરીઆની ખામોશ અડગ હતી.
બુદ્ધિમાં પણ કોરીયાવાસીઓ ઓછા ઉતરે તેમ નહોતા. એક વર્તમાનપત્ર છુપું છુપું પ્રગટ થતું ને પ્રત્યેક ઘરમાં પહોંચતું. જાપાની પોલીસ એનો પત્તોજ ન મેળવી શકી.
રોજ સવાર પડે છે, ને ગવર્નર જનરલ પોતાના ટેબલ ઉપર નજર નાખતાંજ ચમકી ઉઠે છે ! ટેબલ ઉપર શું હતું ? બોમ્બ નહોતો, બંદુક ન હોતી, કોઈ ખૂનીની ચેતવણી ન હોતી. પણ બે છાપેલી નકલો, જેના ઉપર લખેલું, “સ્વાધીનતાના સમાચાર” !
પહેરેગીરોના બાંકડા ઉપર પ્રભાતે પ્રભાતે આ “સમાચાર” પડ્યું હોય, ને કેદખાનાની કોટડીએ કોટડીએ ‘સમાચાર’ પહોંચી ગયું હોય !
આ વર્તમાનપત્ર ક્યાં છપાયું, કોણે મોકલ્યું, કોણ મેલી ગયું, એ કોઈ ન જાણે. સેંકડો માણસોને પકડી પકડીને બેસાડવામાં આવ્યા, પણ બીજો દિવસ થાય ત્યાં એનું એ ‘સમાચાર’ આવી પહોંચે !
ક્યાં છપાતું આ છાપું ? છુપી કોઈ ગુફાઓમાં, મચ્છીમારોની નૌકાઓમાં, અને કબરસ્તાનની અંદર ખડી કરેલી કૃત્રિમ કબરોની અંદર ! ગામડે ગામડે એ ‘સમાચાર’ ગુપ્તપણે પહોંચી જતું. જાપાનનું મશહુર પોલીસખાતું, કે જાસુસ ખાતું કદીયે એનો પત્તો મેળવી ન શક્યું.
બધો કોલાહલ જાપાનમાં સંભળાણો. જાપાનની સરકાર પૂછે છે કે “મામલો શું છે ?” ગવર્નર સાહેબ કહે છે. “વધુ સૈન્ય ને વધુ કડક કાયદા આપો.” વધુ સૈન્ય આવ્યું, વધુ કડક કાયદા આવ્યા.
કોરીઆ એ બધાનો શું ઉત્તર વાળે છે ? ૧૯૧૯ ના એપ્રીલની ર૩ મી તારીખે, જાપાની તલવારોના વરસતા વરસાદની અંદર કોરીયાવાસીઓ નીકળી પડ્યા. કોરીઆના તેરે તેર પ્રાંતમાંથી પ્રજા–શાસનને માટે એક બંધારણ ઘડવા પ્રતિનિધિઓ ચુંટાયા. પેલો સીંગમાન–સરકારની ન્હાની સરખી ભૂલથી બચેલો કેદી–પ્રમુખ ચુંટાયો.
લોક–શાસનના નવા બંધારણમાં નીચેની કલમો મંજુર થઈ.
૧. સ્ત્રી પુરૂષના સમાન હક્ક.
૨. ધાર્મિક સ્વતંત્રતા, વાણીસ્વાતંત્ર્ય, લેખન પ્રકાશન સ્વાતત્ર્ય, સત્તા સમીતિનું સ્વાતંત્ર્ય.
૩. દેહાંત દંડની શિક્ષા રદ.
૪. રાષ્ટ્રસંઘે (League of Nations.) કોરીયાને અપમાન દીધેલું છતાં પણ એના સભાસદ થવાની કોરીયાની ઈચ્છા.
૫. ફરજીયાત લશ્કરી નોકરી.એ જાહેરનામાની અંદર જરા ડોકીયું કરીએ.
“અમે–કોરીયાની પ્રજા–અમારો ચાર હજાર વરસનો ઇતિહાસ બોલી રહ્યો છે કે અમારે સ્વરાજ્ય હતું, સ્વતંત્ર એક રાજ્ય હતું, ને સહુથી નિરાળી, પ્રગતિશીલ એક સંસ્કૃતિ હતી. અમે શાંતિપ્રિય પ્રજા છીએ. દુનિયાની નૂતન જાગૃતિમાં અમારો હિસ્સો છે, માનવ જાતના વિકાસમાં અમારે ફાળો દેવાનો છે. જગદ્વિખ્યાત યશસ્વી એવો તો અમારો ભૂતકાળ છે, અને એવી નિર્મળ અમારી રાષ્ટ્રીય ભાવના છે કે કોઈ પિશાચી જુલ્મ પણ અમને જેર નહિ કરી શકે, કોઈ પરદેશી પ્રજા અમને પી નહિ જઈ શકે, અને જડવાદી જાપાન કે જેની સંસ્કૃતિ અમારાથી બે હજાર વરસો પછાત છે, તેને આધીન તો અમે શી રીતે થશું ?
જગત જાણે છે કે જાપાને ભૂતકાળમાં દીધેલા કોલ તોડ્યા છે, ને જગત પર જીવવાનો અમારો હક્ક પણ ઝુંટાવી રહેલ છે. પરંતુ અમે જાપાનના એ વીતી ગયેલા અન્યાયોની કે ભેળા થયેલા એના પાપના પુંજોની વાત નથી ઉચ્ચારવા માગતા. અમે તો માત્ર કોરીયાની સ્વાધીનતાનો દાવો કરીએ છીએ,—જગત પર જીવવા માટે, સ્વતંત્રતા ને સમાનતા વિસ્તારવા માટે, અમારી નીતિરીતિને આબાદ રાખવા માટે, પૂર્વમાં શાંતિ સાચવવા માટે, અને આખી દુનિયાનું કલ્યાણ સાધવા માટે. અમારી સંસ્કૃતિને અમે રક્ષી રહ્યા હતા એ અમારો અપરાધ. એ અપરાધને કારણે જાપાન પોતાની લશ્કરી સત્તાનું પશુબળ અજમાવીને અમારા ઉપર દારૂણ અત્યાચાર વરસાવે—માનવ જાતનો જાગૃત પ્રાણ શું આ બધું થંડે કલેજે જોયા જ કરશે કે ? ન્યાયહીન આ અત્યાચારની નીચે ચગદાતાં ચગદાતાં પણ બે કરોડ મનુષ્યોની પ્રભુભક્તિ નહિ અટકવાની, જો જાપાન તોબાહ નહિ પોકારે, પોતાની નીતિ નહિ સુધારે, તો. પછી માતૃભૂમિની સ્વાધીનતા માટે અમે શસ્ત્રો ધરશું;— દેશમાં એક જીવ પણ રહેશે ત્યાં સુધી, ને સમયની પાસે એક છેલ્લી ઘડી હશે ત્યાં સુધી ન્યાયને પંથે અમે કૂચ કરશું, ત્યારે કયા દુશ્મનની મગદૂર છે કે અમોને રોકી શકશે ? સકળ જગતની સાક્ષીએ અમે રાષ્ટ્રીય સ્વાધીનતા પાછી માગીએ છીએ, જગતની સેવાને ખાતર અને પ્રભુભક્તિને ખાતર.
એ રાજ્ય બંધારણમાં નીમાયેલા પ્રધાનો બધા કોરીયાની જાહેરસેવા કરનારા જ શૂરવીરો હતા, પણ અફસોસ ! એ બધાને કોરીયાની ભૂમિપરથી જાકારો મળેલ હતો. જાપાનીઓ અટ્ટહાસ કરીને કહેવા લાગ્યા કે, “વાહરે, કાગળના ટુકડાનું રાજબંધારણ !”
હાંસી કરનારા જાપાનીઓ શું વિસરી ગયા હતા કે, મહાયુદ્ધને વખતે બેલ્જીઅમની સરકાર બેલ્જીઅમમાં નહોતી, પણ નિરાધાર બનીને દેશના બહાર ઉભી હતી ? શું વિસરી ગયા હતા જાપાનીએ કે, ઝેકો સ્લોવાકીયાની રાષ્ટ્રીય મંડળીને ૧૯૧૮ માં તો પોતાના દેશમાં પગ મૂકવા જેટલી યે જમીન નહોતી, ને એમાં ચુંટાયેલા સભાસદો પરદેશમાં રઝળતા હતા ? છતાં લોકોએ તો એ રઝળતા શૂરાઓને રાજપદે સ્થાપેલા. આખરે એજ રઝળનારાઓએ આવીને રાજ્ય કબ્જે કર્યું, ને એ જ રાજબંધારણ કાગળ ઉપરથી ઉતરીને દેશની ભૂમિ ઉપર ગોઠવાયું.


આવતા અંકેઃ પ્રકરણ ૧૦મું. : વેદનાની મીઠાશ.
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
એક કલાકાર : ગાયકો એકથી વધુ [૬] : વૈજયંતિમાલા
નિરંજન મહેતા
૯૩ વર્ષની જૈફ ઉંમરે પણ નૃત્ય કરતા નથી અચકાતા તે વૈજયંતિમાલા માટે ઘણું બધું કહી શકાય. ન કેવળ હિંદી ફિલ્મો પણ અન્ય ભાષાની ફિલ્મોમાં પણ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અદાકારી બખૂબી નિખારી છે.
વૈજયંતિમાલા માટે મોટા ભાગના ગીતો તો લતાજીએ ગાયા છે પણ કેટલીક ફિલ્મોમાં અન્ય ગાયિકાઓએ પણ તેમને માટે ગીતો ગાયા છે જે અહી રજુ કર્યા છે.
સૌ પ્રથમ એમની અત્યંત જાણીતી ૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’નાં ગીતો જોઈએ. વૈજયંતિમાલાને મનાવવા પ્રદીપકુમાર બંગડીવાળાનાં રૂપે આવે છે અને ગાય છે
हसीनो मुजसे मत पूछो
के क्या क्या बेचता हूँ मै
छुपाकर चूडियो में
दिल की दुनिया बेचता हूँ मैગાયકો આશા ભોસલે અને હેમંતકુમાર.
સખીઓથી ઘેરાયેલી વૈજયંતિમાલાને પ્રદીપકુમારના બીનનો અવાજ સંભળાય છે અને તે કહે છે
सुन री सखी मोहे सजना बुलाये,
मोहे जाना है पी की नगरिया
ओ मोहे जाना है पी की नगरियाગાયિકા લતાજી
બંને ગીતોના ગીતકાર રાજીન્દ્ર ક્રિષ્ણ અને સંગીત આપ્યું છે હેમંતકુમારે
૧૯૫૬ની ફિલ્મ ‘કિસ્મત કા ખેલ’નું આ ગીત એક ક્લબમાં નૃત્ય કરતી વૈજયંતિમાલા પર રચાયું છે.
चलो ले चलू तारो में
रंग रंगीले गुल्ज़ारो मेंગાયિકા આશા ભોસલે
બીજું ગીત એક રસ્તા પરનું નૃત્યગીત છે
तू माने या ना माने बालम,
तुझे दिल की कसमગાયિકા લતાજી
બંને ગીતોના રચયિતા શૈલેન્દ્ર અને શંકર જયકિસનનું સંગીત
૧૯૫૭ની ફિલ્મ ‘આશા’નું આ બહુ જાણીતું ગીત છે. સ્ટેજ પર ગવાયેલા આ નૃત્યગીતમાં શરૂઆતમાં વૈજયંતિમાલા પુરુષવેશમા નૃત્ય કરે છે. આ ગીત ફરી એકવાર કિશોરકુમારના સ્વરમાં પણ આવે છે.
ईना मीना डीका डाइ डामोनिका
माका नाका नाका चीका पीका रीका
ईना मीना डीका डीका डे डाइ डामोनिका
माकानाका माकानाका चीका पीका रोला रीका
रम्पम्पोश रम्पम्पोशગાયિકા આશા ભોસલે
બીજું ગીત પણ સ્ટેજ પર કરાતું નૃત્યગીત છે.
जरा रुक रुक के
ज़रा थम थम के
मै तो द्वार चली सखी बालम केગાયિકા લતાજી
બંને ગીતોના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત છે સી. રામચંદ્રનું
સમાજને એક સંદેશ આપતી ૧૯૫૮ની ફિલ્મ ‘સાધના’નું આ ગીત એક વિરહી ગીત છે
संभल ए दिल
तड़पने और तडपाने से क्या होगा
जहा बसना नहीं मुमकिन
वह जाने से क्या होगाગાયિકા આશા ભોસલે અને રફીસાહેબ. વૈજયંતિમાલા સાથે છે સુનીલ દત્ત.
બીજું ગીત સમાજ ઉપરનું એક કટાક્ષગીત છે
औरत ने जनम दिया मर्दों को, मर्दों ने उसे बाज़ार दिया
जब जी चाहा मसला कुचला, जब जी चाहा धुत्कार दियाગાયિકા લતાજી
બંને ગીતોના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીત છે એન. દત્તાનું.
૧૯૫૮ની ફિલ્મ ‘અમરદીપ’ નું આ ગીત એક પ્રેમીની ભાવનાને ઉજાગર કરે છે.
मेरे मन का बावरा पंछी
क्यों बार बार डोले
अखियों में आज किस का
रेह रेह्के प्यार डोलेગાયિકા લતાજી
બીજું ગીત વ્યથા દર્શાવતું ગીત છે
आराम से दिल दूर है
और दर्द से मजबूर
क्यों फिर भी नहीं मेरी
मोहब्बत तुझे मंजूर
किसी दिन ज़रा देख मेरा भी होक
किसी दिन ज़रा देख मेरा भी होक
कहा तक जिए जायेगा दिल को धोગાયિકા આશા ભોસલે
બંને ગીતોના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત છે સી. રામચંદ્રનું
૧૯૫૮ની ફિલ્મ ‘સિતારો સે આગે’નું ગીત એક પ્રેમિકાની ભાવનાઓને દર્શાવે છે. અશોકકુમાર આગળ ગવાતા ગીતના શબ્દો છે
चन्दा की चाँदनी का जादू
ये रात ये समा
उल्फत की मौज ले चली है
मुजको न जाने कहांગાયિકા આશા ભોસલે
બીજું ગીત એક કાર્યક્રમમાં રજુ થયેલું નૃત્યગીત છે
सैया कैसे धरू धीर
पग ठुमक चलत बलखाए
हाए पग ठुमक चलत बलखाए
हाए सैया कैसे धरू धीरગાયિકા લતાજી
બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.
૧૯૬૧ની ફિલ્મ ‘નઝરાના’નું ગીત સાઈકલ સવાર વૈજયંતિમાલા અને રાજકપૂર પર રચાયું છે.
मेरे पीछे एक दीवाना
कुछ अलबेला मस्ताना
कोई रोको रे मुझ को सताये हैગાયકો આશા ભોસલે અને મુકેશ
બીજું ગીત વૈજયંતિમાલાની લાગણીઓને વાચા આપે છે. રાજકપૂરને ઉદ્દેશીને ગવાતા ગીતના શબ્દો છે
देखा है तुम ने जिधर जिधर
महके हैं फूल उधर उधरગાયિકા લતાજી
બંને ગીતોના રચયિતા છે રાજીન્દર ક્રિષ્ણ અને સંગીતકાર છે રવિ.
૧૯૬૨ની ફિલ ‘ડો. વિદ્યા’નું ગીત એક પ્રેમિકાના વાયદારૂપ ગીત છે. સાથમાં છે મનોજકુમાર.
मैं कल फिर मिलूंगी इसी गुलसिता में
यही शाम को फिर मुलाकात होगी
निगाह झुका कर जो कहनी है तुमसे
जरा ये तो सोचो वो क्या बात होगी
निगाहें झुका करગાયકો લતાજી અને રફીસાહેબ
બીજું ગીત એક નૃત્ય સ્પર્ધારૂપ ગીત છે.
आये हाय दिलरुबा
अरे तुझको क्या पता
ज़िन्दगी में हर दिल को जीत कर
जीना है ज़िन्दगी
हो पप्पा जमार लोગાયકો આશા ભોસલે અને ગીતા દત્ત, સ્પર્ધા છે વૈજયંતિમાલા અને હેલન વચ્ચે.
બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.
૧૯૬૪ ફિલ્મ ‘ઝીંદગી’નું આ ગીત વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર પર રચાયું છે.
आज भगवान के चरणों में
ज़ुका कर सर को
उम्र भर साथ निभाने की
कसम खाते हैગાયકો આશા ભોસલે અને રફીસાહેબ. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન
બીજું ગીત એક મુજરાગીત છે જે રાજેન્દ્ર્કુમાર આગળ પ્રસ્તુત છે.
हम प्यार का सौदा करते हैं एक बार
चाहे मिट जाएँ चाहे मर जाएँ
चाहे मिट जाएँ चाहे मर जाएँગાયિકા લતાજી. ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન
રાજકીય કાવાદાવાવાળી ૧૯૬૪ની ફિલ્મ ‘લીડર’ના લગભગ બધા જ ગીતો આજે રસિકો માણે છે. પ્રથમ ગીત એક નૃત્યગીત છે.
दईया रे दईया लाज मोहे लागे
पायल मोरी बाजे सास मोरी जागेગાયિકા આશા ભોસલે
બીજું ગીત બે પ્રેમીઓની નોકઝોક છે જે વૈજયંતિમાલા અને દિલીપકુમાર વચ્ચે રચાઈ છે.
तेरे हुस्न की क्या तारीफ़ करूँ
कुछ कहते हुए भी डरता हूँ
कहीं भूल से तू ना समझ बैठे
की मैं तुझसे मोहब्बत करता हूँગાયકો લતાજી અને રફીસાહેબ
બંને ગીતોના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે નૌશાદે
૧૯૬૬ ફિલ્મ ‘સુરજ’માં ત્રણ ગાયિકાઓએ સ્વર આપ્યો છે. પ્રથમ ગીત એક નૃત્યગીત છે.
तितली उड़ी उड़ जो चली
फूल ने कहा आजा मेरे पास
तितली कहे मैं चली आकाश
तितली उड़ी उड़ जो चलीગીતમાં વૈજયંતિમાલાની સાથે છે મુમતાઝ. ગાયિકા શારદા. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.
બીજા ગીતમાં વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચેનો પ્રેમાલાપ છે.
इतना है तुमसे प्यार मुझे मेरे राज़दार
जितने के आस्मान पर तारे हैं बेशुमार
इत्नना है तुमसे प्यार मुझे मेरे राज़दार
जितने के इस ज़मीन पर ज़र्रे हैं बेशुमारગાયકો રફીસાહેબ અને સુમન કલ્યાણપુર. ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
તો ત્રીજું ગીત એક નોકઝોક સમાન છે જે વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચે રચાયું છે.
कैसे समझाऊं बड़ी नासमझ हो
कैसे समझाऊं बड़ी नासमझ हो
हमसे ना जीते जी रहने दो जिये बाज़ी
कैसे समझाऊंગાયકો રફીસાહેબ અને આશા ભોસલે. ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
૧૯૬૭ની ફિલ્મ ‘છોટી સી મુલાકાત’નું ગીત છે
जीवन के दोराहे पे खड़े
सोचते हैं हम
जाये तो किधर जायेઆ ગીત મનની વિટંબણાને દર્શાવે છે.
ગાયિકા લતાજી
તો બીજું ગીત જુવાનીમાં પ્રવેશતા દરેકના મનમાં પ્રગટ થતું ગીત છે.
मत जा मत जा मत जा मेरे बचपन नादां
बचपन ने कहा मुझसे कुछ रोज़ के हम मेहमांગાયિકા આશા ભોસલે.
બંને ગીતોના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
૧૯૬૮ની ફિલ્મ ‘સાથી’ એક પ્રણય ત્રિકોણના વિષય આધારિત ફિલ્મ છે જે રાજેન્દ્રકુમાર, સિમી અને વૈજયંતિમાલા વચ્ચેના સંબંધોને સ્પર્શે છે.
પહેલું ગીત વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચેનું પ્રેમગીત છે.
मेरा प्यार भी तू है
ये बहार भी तू है
तू ही नज़रो में जाने तमन्ना
तू ही नज़ारो मेंગાયકો મુકેશ અને સુમન કલ્યાણપુર
બીજું ગીત લગ્ન બાદની પ્રથમ રાતનું ગીત છે.
मै तो प्यार से तेरे पिया मांग सजाऊंगी
तेरे अंगना यह सारी उमरिया बिताऊँगी
मैं तो प्यार से तेरे पिया मांग सजाऊंगी
तेरे अंगना यह सारी उमरिया बिताऊँगीગાયિકા લતાજી
બંને ગીતોના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર નૌશાદ
૧૯૬૮ની ફિલ્મ ‘સંઘર્ષ’નું પ્રથમ ગીત એક મુજરાગીત છે
तस्वीर ए मोहब्बत थी जिसमें
हमने वह शीशा तोड़ दियाગાયિકા આશા ભોસલે
બીજું ગીત ચાલી જતાં દિલીપકુમારને આહવાન અપાતું ગીત છે.
मेरे पास आओ नज़र तो मिलाओ
इन आँखो मे तुमको जवानी मिलेगी
मेरे पास आओ नज़र तो मिलाओ
सुनो तो ज़रा धड़कने मेरे दिल की
इन्ही मे तुम्हारी कहानी मिलेगीગાયિકા લતાજી
બંને ગીતોના ગીતકાર શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે નૌશાદે
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
પહલા આદમી (૧૯૫૦)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
નેતાજીના જીવન પર શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફરગોટન હીરો’ જોવા મળેલી. એ અગાઉ ફિલ્મીસ્તાનની ‘સમાધિ’ (૧૯૫૦) ફિલ્મમાં ‘આઝાદ હિંદ ફૌજ’ને સાંકળતી કથા હતી. આ જ વરસે ન્યૂ થિયેટર્સની ફિલ્મ ‘પહલા આદમી’ રજૂઆત પામી હતી. તેમાં પણ પૃષ્ઠભૂમિ તરીકે નેતાજીની વાત હતી.

(બિમલ રોય) બિમલ રોય દિગ્દર્શીત આ ફિલ્મમાં સ્મૃતિ બિશ્વાસ, બલરાજ વીજ, પહાડી સન્યાલ, આશિતા બોઝ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ અગિયાર ગીતો હતાં. આ ફિલ્મના કેટલાક ગીતોના ગીતકાર અને ગાયક વિશે હરમંદીરસીંઘ ‘હમરાઝ’ના ગીતકોશમાં માહિતી ઉપલબ્ધ નથી. ગીતકોશ મુજબ આ ગીતો પ્રકાશ બી.એ., શ્યામલ ગુપ્તા, અનંત કૃષ્ણન અને દેશરાજ – એમ ચાર ગીતકારો વચ્ચે વહેંચાયેલાં હતાં, જ્યારે ફિલ્મના ટાઈટલમાં ગીતકાર તરીકે ફ્લાઈટ લેફ્ટનન્ટ પ્રકાશ (એક્સ.આઈ.એન.એ.)નું જ નામ છે, તેમ જ ગીતકારોનો કોઈ ઉલ્લેખ નથી.
ફિલ્મમાં સંગીત હતું રાયચંદ બોરાલનું.

(સંગીતકાર રાયચંદ બોરાલ) ‘તારોં કી રોશની મેં દુનિયા નઈ બસાયેં‘ (સંધ્યા મુખરજી, અપરેશ લાહિરી), ‘પ્રેમ હૈ દુ:ખ કી જ્વાલા‘ (સંધ્યા મુખરજી, અપરેશ લાહિરી), ફિર બઢી વો રાજદુલારી (ગૌરી મિત્ર, અલી હુસેન), મૈં નેનન નીર બહાઉં (ગૌરી મિત્ર, અલી હુસેન), ‘અશ્કોં મેં છીપી ઉલ્ફત કી કહાની હૈ‘ (સંધ્યા મુખરજી), ‘કૌન કહતા હૈ તસવીર તુમ્હારી’ (સંધ્યા મુખરજી), ‘સુભાષજી સુભાષજી, વો હિન્દ શેર આ ગયે’, ‘ભારત કે જાંનિસારો, સુનો દેશ કી પુકાર‘, ‘ક્યોં ન ગીત ખુશી કે ગાયેં‘ (અલગ અલગ ચાર હિસ્સામાં), ‘હે ખુશનુમા હિમાલય‘ અને ‘બંગ દેશ કા શેર ચલા’. આમાંના છેલ્લા પાંચ ગીતોના ગાયક વિશેની માહિતી ઉપલબ્ધ નથી.
આ ગીતો પૈકી ‘બંગ દેશ કા શેર ચલા…’ ગીતને ટાઈટલ સોન્ગ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
આ ગીતમાં સુભાષચંદ્ર બોઝની જીવનકથા કહેવાયેલી છે. તેના અમુક શબ્દો બરાબર સમજાતા નથી. ત્યાં **** નિશાની કરી છે. કોઈ મિત્ર તે ઊકેલી આપશે તો અહીં તે ઉમેરી દઈશ.
ગીતના શબ્દો આ મુજબ છે.
भारत के संतान सुनो, नेता की वीर कहानी
बंग देश का शेर चला जब साफा बांध पठानी
भारत के संतान सुनो, नेता की वीर कहानीजानकीनाथ नाम पिता का, प्रभावती थी माई
बंग देश ने*********नाम था सुभाष*******
विद्या पाई कलकत्ते में, पढने गया विलायत
आई.सी.एस.में पास हुआ फिर लौटा वापस भारत
पर आझादी के दिवाने को न गुलामी भायी
तब स्वतन्त्रता आंदोलन में उसने हाथ बटाई
बापु का प्यारा बेटा….प्यारा बेटा, कई बार जेल हो आया
छूटकर उसने राष्ट्रपति का सच्चा गौरव पाया…सच्चा गौरव पाया
************उसने भारत को आझाद कराने की दी ठानी
भारत के संतान सुनो, नेता की वीर कहानीसन उन्नीससो ईकतालीस माह जनवरी भारी
एक बजके पचीस मिनट पर निकला वो सौदाई
बर्लिन में एक फौज खडा कर बर्मा कदम बढाया
दो जुलाई सन तैंतालीस सींगापुर मेंं आया
आकर आझादी की उसने ऐसी बिगुल बजा दी
दिया देश को नया संदेशा आझादी की
भारत के संतान सुनो, नेता की वीर कहानीઅહીં આપેલી લીન્કમાં આ ગીત સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – ડૉ. રખમાબાઈનું પોર્ટ્રેટ
બીરેન કોઠારી
વાત પોર્ટ્રેટની, ખાસ કરીને ભૂપેન ખખ્ખરે ચીતરેલાં પોર્ટ્રેટની કરીએ તો એવી પ્રચલિત છાપ છે કે તેમણે પોર્ટ્રેટ ઓછાં ચીતર્યાં છે. એમાંય સ્ત્રીઓ…એમનાં સાવ ઓછાં ચિત્રોમાં સ્ત્રીઓ જોવા મળે છે. ગુલામ મોહમ્મદ શેખનાં પત્ની નિલીમા શેખને તેમણે ‘Mrs. Nilima Sheikh looking at orange flower/નારંગી રંગના ફૂલ તરફ જોઈ રહેલાં શ્રીમતી નીલિમા શેખ’ શિર્ષકવાળા ચિત્રમાં ચીતર્યાં છે. નિલીમા શેખે મને એક મુલાકાતમાં કહેલું, ‘ભૂપેને ખુશમિજાજ ચીતરી હોય એવી એક માત્ર સ્ત્રીનું ચિત્ર મારું છે.’ તેમની વાત સાચી છે.
જો કે, ભૂપેને એક અનન્ય મહિલાનું પોર્ટ્રેટ તેની તસવીર પરથી ચીતરેલું. એ મહિલાનું નામ રખમાબાઈ. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલી રખમાબાઈની અગિયાર વર્ષની વયે, એ જમાનાના રિવાજ મુજબ લગ્ન થઈ ગયું. પતિની ઉંમર બાવીસ વર્ષની. લગ્ન પછી અગિયાર વર્ષ સુધી રખમાબાઈ પિયરમાં જ રહ્યાં અને કેળવણી પ્રાપ્ત કરતાં રહ્યાં. તેમનો પતિ કશું કરતો નહોતો. રખમાબાઈનો વિકાસ થતો રહ્યો, આથી કાળક્રમે સ્થિતિ એવી ઊભી થઈ કે આવા નકામા પતિને ત્યાં જવાના વિચારમાત્રથી તેમને દહેશત લાગવા માંડી. પતિએ પત્નીને પામવા માટે મુંબઈની વડી અદાલતમાં મુકદ્દમો દાખલ કર્યો. અદાલતે રખમાબાઈને પતિને ત્યાં જવાનો હુકમ કર્યો. હજી ‘સત્યાગ્રહ’ શબ્દનો જન્મ થયો નહોતો એવે સમયે રખમાબાઈએ ભરી અદાલતમાં ઘોષણા કરી દીધી કે પોતે એવા પતિને ત્યાં જવા કરતાં જેલની સજા ભોગવશે. એ એવો સમય હતો કે જેલની સજા ભોગવવાનું કોઈ સ્ત્રી તો ઠીક, પુરુષ સુદ્ધાં વિચારી ન શકે. અલબત્ત, આખરે રખમાબાઈની જીત થઈ. બે હજાર રૂપિયા લઈને તેમના પતિએ મામલો નિપટાવ્યો. રખમાબાઈ એ પછી ઈન્ગ્લેન્ડ ગયાં અને ડૉક્ટર બનીને સ્વદેશ પરત ફર્યાં. તેમના જીવન પરથી મરાઠીમાં ‘ડૉક્ટર રખમાબાઈ’ નામે ફિલ્મ પણ બની છે, જેની રજૂઆત ૨૦૧૬માં થઈ હતી.
દિલ્હીસ્થિત ઈતિહાસકાર સુધીર ચન્દ્રે આ અસાધારણ મહિલાના અસાધારણ મુકદ્દમાને ધ્યાનમાં રાખીને એક પુસ્તક લખ્યું. ‘Enslaved Daughters’ નામનું આ પુસ્તક ૧૯૯૮માં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત થયેલું. આ પુસ્તકનું આવરણ ભૂપેને ચીતરેલું. સુધીર ચન્દ્ર અને ભૂપેન ખાસ મિત્રો હતા. સુધીર ચન્દ્ર એ સમયે સુરતના ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ સાથે સંકળાયેલા હતા. ભૂપેને રખમાબાઈની એક તસવીર માંગી અને તેની પરથી પોર્ટ્રેટ ચીતર્યું.
આ પુસ્તકની પછી તો અનેક આવૃત્તિ થઈ.
ભૂપેને ચીતરેલું આ પોર્ટ્રેટ જુઓ. એનેટોમીની રીતે એ પૂર્ણ નથી. પણ રખમાબાઈની આંખો દર્શકને વિચલીત કરી મૂકે છે. ચહેરો કદાચ વર્તમાનને કારણે ઉદાસ છે, પણ તેની આંખોમાં ચિંતાના ભાવ સાથે ભવિષ્ય માટેનો દૃઢ સંકલ્પ હોય એમ જણાય છે. સુધીર ચન્દ્રે પોતે લખ્યું છે એમ, ‘અનાયાસે જ ભૂપેને દોરેલા એ અસાધારણ મહિલાના ચિત્રમાં ‘એન્ડ્રોજની’/ઉભયલિંગીપણું પણ ઝળકે છે.
પોર્ટ્રેટમાં સામાન્ય રીતે કાળો રંગ વાપરવાની હિંમત ઓછા કલાકારો કરે છે. ભૂપેને એવી કોઈ પરવા વિના એનો ઉપયોગ કર્યો છે એ જોવા જેવું છે.
ભૂપેનનાં અનેક ચિત્રોની એ ખાસિયત હતી કે એમાં એન્ડ્રોજનીની ઝલક જોવા મળતી. એ વિશે વધુ વાત આગળ ઉપર કરીશું.

(ભૂપેને ચીતરેલું રખમાબાઈનું પોર્ટ્રેટ) 
( આ પુસ્તકની સુધીર ચન્દ્રે ભૂપેનને આપેલી નકલ પર સુધીર ચન્દ્રના હસ્તાક્ષર અને લખાણ) 
( ડાબે રખમાબાઈની મૂળ તસવીર અને જમણે તેમના જીવન પર બનેલી ફિલ્મની જાહેરખબર, જેમાં તન્નિષ્ઠા ચેટરજીએ આ ભૂમિકા ભજવી હતી.)
(ચિત્રો નેટ પરથી)
[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
પેન્ટિંગ બનતાં બનતાં
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kala Sampoot – Making of Piantings
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : પૃથ્વી ઉપરનાં માત્ર ત્રણ જ રત્નો
દેવિકા ધ્રુવ
શ્લોકઃ
पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् |
मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते ||સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:पृथिव्यां=પૃથ્વી ઉપર, त्रीणि=ત્રણ, रत्नानि=રત્નો जलमन्नं=जलम्+अन्नम् = जलम्=પાણી,+अन्नम्= અનાજ, सुभाषितम् =સુભાષિતો
मूढैः=મૂર્ખ લોકો, पाषाण= પથ્થરો, खण्डेषु =ટુકડાઓને रत्न+संज्ञा = રત્નોનું નામ, विधीयते = ગણાવે છે.શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
પૃથ્વી ઉપર માત્ર ત્રણ જ રત્નો છે. પાણી, અન્ન અને સારું વચન. પરંતુ મૂર્ખ લોકો,અજ્ઞાની લોકો પથ્થરના ટુકડાઓને રત્નનું નામ આપે છે.વિચારવિસ્તારઃ
સુભાષિતોનું કેટલું મહત્ત્વ છે એ દર્શાવતા આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે,જીવનમાં પાણી વગર ચાલે જ નહિ,ખોરાક વગર પણ ન ચાલે. એ રીતે સારાં વચન,વાણી એટલે કે, સુભાષિતો વગર પણ ન ચાલે. જે લોકો આ બાબત જાણતા નથી તે મૂર્ખ છે અને તેથી જ પથ્થરના ટુકડાઓને હીરા વગેરે રત્નનું નામ આપી ઓળખાવે છે.Sanskrit shlok in English script:
Pruthivyaam treeni ratnaani, jalamannam subhaashitam
Mudhaihi paashaankhandeshu, ratnsangya vidheeyate.Word to word meaning in English:
Pruthivyaam=on the earth, treeni=three, Ratnaani=jewels, Jalamannam =jalam+annam= water+ food, Subhaashitam= good words, Mudhaihi= fools, paashaankhand, aashaan+khandeshueshu = paashaan+khandeshu. paashaan=stones, khandeshu= pieces, Ratnsangya=Ratna+sangya. Ratna= jewels, sangya=name, Vidheeyate=lables, giving name.
Translation in English:
On earth, there are three jewels: water, food, and good speech. Fools mistake pieces of stone for jewels.”
Devika Dhruva.
ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com -
વિરોધ વિકાસનો નહીં, એના નામે થતા દૃષ્ટિહીન આયોજનનો
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
વાત જરા નવાઈ પમાડે એવી ખરી, કેમ કે, ગામલોકો એક થયા અને એ પણ વિરોધ માટે, છતાં કેવળ વિરોધ કરવાને બદલે એમણે એવું પરિણામ મેળવવા કમર કસી કે જેને લઈને તેઓ ઉદાહરણરૂપ બની રહ્યા. વાત છે કેરળના પલક્કડ જિલ્લાના ચિત્તૂર-થાથમંગલમ નામના નગરની અને તેના લોકોની.
પાંચેક વર્ષ પહેલાં, ૧૮ ઓક્ટોબર, આ નગરના રહીશો સમક્ષ એક અભૂતપૂર્વ દરખાસ્ત આવી. છેલ્લા સવાસો વર્ષના ઈતિહાસમાં આવું કોઈએ જોયું-સાંભળ્યું નહોતું.
એ હતો ડ્રાફ્ટ માસ્ટર પ્લાન, ૨૦૩૧. રાજ્યના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મુસદ્દામાં આગામી દાયકામાં આ નગરના વિકાસનું આયોજન શી રીતે કરવામાં આવશે તેની વિગતો હતી. વિકાસની મોટા ભાગની યોજનામાં હોય છે એમ તેમાં માળખાકીય આયોજન હતાં. એટલે કે રસ્તા પહોળા કરવા, ચાર બાયપાસ અને રીંગ રોડ બનાવવા, નવું બસ સ્ટેન્ડ, ખટારાઓ માટેનાં બે ટર્મિનલ, એક ટર્મિનલ બજાર બનાવવું વગેરે જેવા 85 પ્રકારનાં વિવિધ પ્રકલ્પો હતા. સ્વાભાવિકપણે જ એવો દાવો કરાયો હતો કે આ બધું આયોજન આર્થિક વિકાસને વેગ આપવા માટે તૈયાર કરાયું છે.
રાજ્ય સરકાર તરફથી આવેલી આ દરખાસ્તને નવાસવા ચૂંટાયેલા પક્ષ ‘લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ’ (એલ.ડી.એફ.) અને નગરના આશરે બત્રીસ હજાર જેટલા રહીશોએ ઝીણવટથી ચકાસી અને સૌના મનમાં ચેતવણીની ઘંટડી વાગવા લાગી. તેમને ખ્યાલ આવી ગયો કે આ પ્રકલ્પોનો અમલ કરવામાં આવશે તો પોતાના નગરની લાક્ષણિકતાઓમાં ધરમૂળથી પરિવર્તન આવી જશે, અને એ બહેતર નહીં, બદતર હશે. નગરની એંસી ટકા અર્થવ્યવસ્થા પડી ભાંગશે, સેંકડો મકાનો અને જાહેર સ્થાનો તોડી પાડવામાં આવશે, તેમજ ખેતીની અનેક એકર જમીન પણ નષ્ટ થશે. નગરના લોકો એટલું સમજ્યા કે આવા આયોજન અનુસાર વિકાસ થશે તો સરવાળે એનાથી પૂર, અછત, બેકારી અને સ્થળાંતર સિવાય બીજું કંઈ મળવાનું નથી.

જૂના પ્લાનમાં શહેરના વણકર સમુદાય દ્વારા સૂતરને ખેંચીને પહોળા કરવા ઉપયોગમાં લેવાતાં મેદાનને ખાલી જમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. તસવીરઃ Jayaraj Sundaresan
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીઅહીં મુખ્યત્વે ડાંગર, કેળાં અને નાળિયેરની ખેતી કરવામાં આવે છે, જેની સિંચાઈ વ્યવસ્થા પણ સ્થાનિક સ્તરે વિકસાવાયેલી છે. તેની સીધી અસર ભૂપૃષ્ઠ, પાણીના પ્રવાહ અને અન્ય સામૂહિક જરૂરિયાતના સ્રોત પર થાય છે. અને આ બધા પર વિપરીત અસર થાય તો નગરજનોના ભાવિને તે જોખમમાં મૂકી શકે છે. આમ વિચારીને સૌ નગરજનોએ રાજ્ય દ્વારા તૈયાર કરાયેલા વિકાસ આયોજનના નકશાને સ્વીકારી લેવાને બદલે તેનો વિરોધ કર્યો અને તેને પડકાર્યો. આ વિરોધમાં વ્યાપારીઓ, ખેડૂતો, અન્ય વ્યાવસાયિકો પણ જોડાયા. અલબત્ત, આટલેથી તેઓ અટક્યા નહીં.
તેમણે એક એવું કામ શરૂ કર્યું, જે મિસાલરૂપ બની રહેવાનું હતું.
અહીંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ તેનું પોતાનું વૈકલ્પિક આયોજન શરૂ કર્યું, જેમાં અનેક આયોજકો, સ્થાનિકો, સ્વયંસેવકો તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને સાંકળ્યા. ખરા અર્થમાં લોકભાગીદારી થકી તેમણે સૌએ મળીને આગામી તેત્રીસ મહિના સુધી મથીને જે આયોજન કર્યું એ હતું ‘ચિત્તૂર-થાથમંગલમ માસ્ટર પ્લાન ૨૦૪૨.’ આ આયોજનમાં નગરના સામુદાયિક સ્રોતને જાળવવામાં આવ્યા, એમ જળવાયુ પરિવર્તન અને તેની અસરોને પણ ધ્યાનમાં લેવામાં આવી. કોઈ મ્યુનિસિપાલિટી દ્વારા, સૌને સામેલ કરીને બનાવાયેલો દેશનો આ પહેલવહેલો પ્લાન બની રહ્યો. ‘કેરળ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ’ (કે.ટી.સી.પી.) કાનૂન, ૨૦૧૬ની જોગવાઈઓને અનુરૂપ આખું આયોજન કરવામાં આવ્યું, જેમાં માસ્ટર પ્લાન તૈયાર કરાવવા દરમિયાન લોકભાગીદારીને ફરજિયાત રાખવામાં આવી છે.
આ સમગ્ર પ્રક્રિયાના માર્ગદર્શન માટે મ્યુનિસિપાલિટી દ્વારા બે અર્બન પ્લાનર- જયરાજ સુંદરેશન અને માલિની કૃષ્ણકુટ્ટીની ‘માસ્ટર પ્લાન એક્સપર્ટ કમિટી’ બનાવવામાં આવી. કેવળ વિરોધ કરીને બેસી રહેવાને બદલે કે આખા મામલાને અદાલતી કાર્યવાહીના ચક્કરમાં ફસાવવાને બદલે સૌએ એવું વૈકલ્પિક આયોજન તૈયાર કરવાનું પસંદ કર્યું કે જે સ્થાનવિશેષ બાબતોને ધ્યાનમાં રાખીને કરાયું હોય. અહીં જળ વ્યવસ્થાપન માટે સદીઓ પુરાણી જળવ્યવસ્થા છે, જે નહેરો અને ઝરણાઓથી જોડાયેલી છે. આ ઊપરાંત અહીંની જળસંચય પ્રણાલિ, પીવાના પાણીની વ્યવસ્થા, પૂરનિયંત્રણ પ્રણાલિ વગેરે પણ સુઆયોજિત તેમજ અસરકારક છે. આ નગરના વણકર સમાજ દ્વારા એક ખુલ્લા સ્થળે સૂતરના તાંતણા ખેંચવા-પાથરવામાં આવે છે, તેમજ મંદિરમાં કરાતી ઊજવણીનું એક મેદાન છે. રાજ્યના આયોજનમાં આ બધું સાવ નજરઅંદાજ કરવામાં આવ્યું હતું, કેમ કે, એ આયોજન આ સ્થાનની લાક્ષણિકતાઓને આધારે નહીં, પણ એક તૈયાર, સાર્વત્રિક લાગુ પાડી દેવાતું આયોજન હતું.
આયોજનમાં આવી મહત્ત્વની બાબતોને અવગણવામાં આવે તો તે વિકાસ નહીં, વિનાશપ્રેરક બની રહે. આયોજનમાં ‘એક્ઝિસ્ટીંગ લેન્ડ યુઝ’ (ઈ.એલ.યુ.) ના નકશાઓ તેના ઊપયોગ અનુસાર આવાસ, વ્યાપારી કે ઔદ્યોગિક ઊપયોગ વગેરે જેવી શ્રેણી પર આધારિત હોય છે. મોટાં શહેરોમાં આવું સ્પષ્ટ વિભાજન કદાચ ઊપયોગી બની રહે, પણ નાનકડાં નગરોમાં આવું વિભાજન ખાસ કામ લાગતું નથી. આવાં નગરોમાં એક જ સ્થળ અનેકવિધ ગતિવિધિઓ માટે ઊપયોગમાં લઈ શકાય છે. આથી તેનું દસ્તાવેજીકરણ કરવું જરૂરી છે. જેમ કે, ડાંગરનું ખેતર અમુક મોસમમાં બતકઉછેર કરનારા પણ ઊપયોગમાં લે છે. તેઓ પોતાનાં બતકોને અહીં લાવે છે, બતકો અહીં ફરે છે, જીવજંતુઓ તેમજ વધ્યુંઘટ્યું અનાજ ખોરાક તરીકે લે છે, અને હગાર કરે છે, જે પૌષ્ટિક ખાતરનું કામ કરે છે.
લોકો અને જમીન વચ્ચેના આવા બહુસ્તરીય સંબંધોને સમજીને આયોજન કરવામાં આવે તો જ તે અસરકારક બની રહે.
પણ ઓરડામાં બેસીને તૈયાર કરાયેલા એક સાર્વત્રિક નકશાને સીધેસીધો ઠોકી બેસાડવામાં આવે ત્યારે શું થાય એ કહેવાની જરૂર ખરી? એનાં પરિણામ આપણી આસપાસ આપણે જોઈ-ભોગવી રહ્યાં છીએ.
આ સંજોગોમાં ચિત્તૂર- થાથમંગલમના લોકોએ જે અદ્ભુત પહેલ કરી તેની વિગતે વાત આગામી સપ્તાહે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
વામા-વિશ્વ – સીમાકુમારી- ગામડેથી હાવર્ડ અને કૂવાકાંઠેથી ફૂટબોલ ગ્રાઉન્ડમાં
ગરીબ ઘરની દીકરી જ્યારે સામાજિક ટોળામાં જાય છે ત્યારે તેને એલિયન તરીકે જોવાય છે.
આલેખનઃ અનુરાધા દેરાસરી
ઝારખંડ રાજ્યની ૧૯ વર્ષની સીમાકુમારીની કૂવાથી પાણી ભરવાથી માંડી, હાર્વડ યુનિવર્સિટીના ઇકોનોમિક્સ સુધીની સફર, એ તેના શક્તિ સંકરણની વાત જે ભારતની દરેક યુવતી/મહિલાને પ્રેરણા આપી જાય છે. જિંદગીમાં દરેક વ્યક્તિ બે અત્યંતબિંદુઓ વચ્ચે કાર્ય કરે છે. સપનાની શરૂઆત અને સફળતાની ટોચ આ રસ્તામાં વચ્ચે આવતી મુશ્કેલીઓ, પડકારોને જે મહાત્ત કરી જાય છે તે સફળતાની ટોચ પર પહોંચે છે. રસ્તો અઘરો છે પણ અશક્ય નથી.
સીમાકુમારીની વાતની શરૂઆત થાય છે, બંગલાદેશની સરહદે જારખંડ રાજ્યના એક નાના ગામમાં સીમાકુમારીના જન્મથી. માતા-પિતા અશિક્ષિત, એક દોરા બનાવવાની કંપનીમાં વર્કર તરીકે કામ કરે. ઓગણીસ જણનું વિશાળ કુટુંબ કમાનાર નિયમિત તેના પિતા, આથી બે ટંક રોટલો માંડ નીકળતો. ઘણીવાર સાબુદાણાની કાંજી પી સીમાકુમારી અને કુટુંબીજનોને સુવાનો વારો આવતો. આમ ગરીબી અને અભાવમાં સીમાકુમારીનો ઊછેર.જૂનવાણી વિચારમાં સીમાકુમારી મોટી થવા માંડીને નવવર્ષની થઈ. રોજ ખેતર જવું, કૂવેથી પાણી લાવવું ને માને રસોઈમાં મદદ કરી ગૃહકાર્ય કરવું તે જ તેનું રોજીંદુ જીવન હતું.
એક દિવસ તે કૂવેથી પાણી ભરી રહી હતી ત્યારે તેણે સામેના ચોગાનમાં કેટલીક છોકરીઓને બોલથી રમતી જોઈ. આ હતી ફૂટબોલની રમત. યુવા ફાઉનડેશન તરફથી તેના ગામ દાહુમાં છોકરીઓને આ રમત શીખવાડી રહ્યા હતા. સીમાકુમારીને રસ પડયો, તેણે પૂછપરછ કરી અને ફૂટબોલની રમતની ટ્રેનીંગમાં જોડાવવાનું નક્કી કર્યું.
સીમાકુમારીની માતા ભણી નહોતી પણ ગણી હતી. તેણે સીમાકુમારીની આંખોમાં કંઈક કરી છૂટવાની ચમક જોઈ હતી. આથી તેણે સીમાકુમારીને સાથ આપ્યો, બધા સાથે દલીલો કરી અને છેવટે સીમાકુમારીને ફૂટબોલ ટીમમાં જોડાવવાની કૌટુંબિક ને સામાજિક પરવાનગી અપાવી.
સીમાકુમારીના જીવનનું ટર્નિંગ પોઇન્ટ.
સીમાકુમારીએ ફૂટબોલની દાહુની ટીમમાં પ્રવેશ લીધો. તે ઘરની બધી જ જવાબદારીઓ, ખેતરનું કામ, કૂવે પાણી ભરવાનું કામ, વગેરે બધુ જ ગૃહકાર્ય કરીને રમવા જતી ને ફૂટબોલ ટ્રેનિંગ લેવા માંડી. જોતજોતાંમાં સીમાકુમારી ફૂટબોલની કીક નિષ્ણાત ગોલકીપર બની ગઈ. આ ફૂટબોલની કીકે, સીમાકુમારીનું જીવન બદલી નાખ્યું. સીમાકુમારી ઝારખંડ રાજ્યની ફૂટબોલ ટીમ માટે પસંદગી પામી અને પ્રથમ રાજ્યકક્ષાએ પછી રાષ્ટ્રીયકક્ષાએ અને પછી યુએસએના સીએટલમાં ફૂટબોલની રમત રમવા જવાનું થયું.
સીમાકુમારીએ દુનિયાની બીજી યુવતીઓ, મહિલાઓનાં સપનાં જોયા, શિક્ષણનું મહત્ત્વ જોયું અને આધુનિક વિચારસરણી જોઈ. તેને સમજાયું કે યુવતીઓ લગ્ન, દાંપત્યજીવન, બાળકોને ઘરેલું હિંસા, છોકરીઓ સાથેના નકારાત્મક વિચારોથી ઉપર એક દુનિયા છે,
જેનું પ્રથમ ચરણ છે શિક્ષણ. તેણે નક્કી કર્યું કે હું ગમે તેમ કરી ભણીશ. ને કુદરતે તેનાં સ્વપ્નોના દ્વાર ખોલી આપ્યાં. આ જ યુવા ફાઉન્ડેશને જોયું કે, સીમાકુમારી જેવી અનેક છોકરીઓ ભણવા માગે છે અને તેમનામાં હોંશ અને આવડત છે, એ જોઈ દાહુમાં શાળા ખોલી અને સીમાકુમારીએ ભણવા જવાનું નક્કી કર્યું. સીમાકુમારી ભણવામાં પણ નિપુણ નીવડી. સારા માર્ક્સ સાથે ધોરણો પાસ કરવા માંડી, અને ફરી વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે દેશોના એક્સચેન્જ પ્રોગ્રામમાં પસંદગી પામી. અહીં વોશિંગ્ટનને કેંબ્રીજ યુનિવર્સિટીમાં તેણે કોલેજો જોઈ અને તેને ખ્યાલ આવ્યો કે વૈશ્વિક પ્રગતિ માટે અંગ્રેજી
આથી દાહૂ ગામ પાછા આવી તેણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. જોતજોતામાં તે ઘણું સારું અંગ્રેજી શીખી ગઈ. તેના વુમન પાવર એમ્પરમેન્ટે તેને સફળતાના રસ્તે આગળ વધારી દીધી.
સીમાકુમારીની શાળામાં બીજા દેશોમાંથી શિક્ષક/શિક્ષિકાઓ ભણાવવા આવતા. યુએસએથી મેરી નામના શિક્ષિકા આવ્યા, તેમણે સીમાકુમારીની હોશિયારી ને આવડત જોઈ અને હાર્વડ યુનિવર્સિટીમાં ભણવા જવાની પ્રેરણા આપી.
જે સીમાકુમારી માટે અક્ષરો કાળાભેંશ જેવા હતા, તેને શિક્ષણની સર્વોચ્ચ ટોચમાંની એક હાર્વડ યુનિવર્સીટીમાં જવાની પ્રેરણા મળી. એ જ સામાજિક અને આર્થિક મુશ્કેલીઓ ઘરનો વિરોધ અને કેબ્રજ યુનિવર્સીટી માટે પ્રવેશની પરીક્ષા સેટ ની ફી ક્યાંથી લાવવી ? દાહુ શાળાના શિક્ષણની ફી તો તે ફૂટબોલના કોચ તરીકે સેવાઓ આપી, તેમાંથી આપતી હતી, પણ આટલી બધી ફી ક્યાંથી લાવવી ? જેનું મન દૃઢ મનોબળવાળું છે તેને માટે માળવું, કુદરત ખોલી આપે છે.
કોવિડ પેનડેમિકનો સમય આવ્યો ને એ વર્ષો માટે હાર્વડ યુનિવર્સિટીએ એન્ટ્રન્સ ફી માફ કરી. સીમાકુમારીએ મેરી શિક્ષિકા ને સીનીયર ફૂટબોલ કોચની મદદથી યુનિવર્સીટી માટે જરૂરી નિબંધ લખ્યો અને હાર્વડ યુનિવર્સિટીમાં કોર્સ માટે અરજી કરી તેની અરજી પાસ થઈ પણ તેની ગણિત અને અંગ્રેજીની બીજી પરીક્ષા લેવાઈ અને તે હાર્વડ યુનિવર્સિટીમાં પ્રવેશના પરિણામની રાહ જોવા લાગી.
એના જ શબ્દોમાં જોઈએ : ‘પરિણામ આવવાનું હતું તે રાત્રે હું કલાકે કલાકે ઉઠી, ઇમેલ જોતી, અને જ્યારે પ્રવેશ મળ્યાનો ઇમેલ આવ્યો ત્યારે મારા આનંદની ચરમસીમા આવી, દોડીને મારી માતા, જે મારી પ્રેરણામૂર્તિ હતી તેમજ મારી શિક્ષિકા મેરી અને ફૂટબોલ કોચને આ સમાચાર દોડીને આપ્યા.
આજે સીમાકુમારી હાર્વડ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સના વિષય સાથે સ્નાતકનું ભણી રહી છે.
દાહુ ગામના કૂવાન કાંઠેથી હાર્વડનાં ક્લાસની બેંચ સુધીની શક્તિ સંકરણની સફળ સફર
સીમાકુમારી ભારતના મહિલાઓને તે સમાજને એટલું કહેવા માગે છે કે એક કે ભારતીય સમાજમાં ગરીબ ઘરની દીકરી જ્યારે સામાજિક ટોળામાં જાય છે ત્યારે તેને એલિયન તરીકે જોવાય છે. તે તફાવત ના હોવો જોઇએ અને બીજું જે દરેક ક્ષેત્રમાં છોકરા છોકરીઓનો જાતિય ભેદભાવ છે તે ના હોવો જોઈએ.
સીમાકુમારી હાર્વડ સ્નાતક થઈ દાહુ ગામમાં એનજીઓ છોકરીઓ માટે ખોલવા માગે છે. જેથી છોકરીઓ શિક્ષિત થાય, આર્થિક ઉપાર્જન કરી પગભર થાય અને જૂનવાણી વિચારના કોચલામાંથી બહાર નીકળે.
સીમાકુમારીના વુમન એમ્પાવરમેન્ટને સલામ.
