વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એમને માફ ન થાય! તેઓ શું કરે છે એની એમને જાણ છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વર્તમાન સમયમાં કોઈ પણ નશીલા દ્રવ્ય કરતાં વધુ ગંભીર વ્યસન હોય તો એ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનું છે. આ વ્યસનને લઈને વ્યક્તિ એકચિત્તે બેસી શકતી નથી કે કોઈ પણ બાબત પર એકધ્યાન થઈ શકતી નથી. હવે આ બધી સવલતો ફોનમાં સુલભ હોવાથી થોડી થોડી મિનીટે ફોન જોવાનું વલણ દરેક વયની વ્યક્તિઓમાં વળગણની જેમ વ્યાપેલું જોવા મળે છે. આટલા ટૂંકા સમયમાં આ માધ્યમોનું આવું વ્યસન લાગુ પડી જવા પાછળનું કારણ શું?

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આ સવાલના જવાબ માટે થોડા સમય પહેલાં અમેરિકાની બે અદાલત દ્વારા અપાયેલા ચુકાદા જાણવા જેવા છે. એક ચુકાદો લોસ એન્‍જેલિસની અદાલતે આપ્યો છે, અને બીજો ન્યુ મેક્સિકોની અદાલતે. લોસ એન્‍જેલિસની જ્યુરીએ ‘મેટા’ અને ‘યુ ટ્યૂબ’ને સાઠ લાખ ડોલર ફરિયાદીને થયેલા નુકસાન પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે, તો ન્યુ મેક્સિકોની જ્યુરીએ ‘મેટા’ને ૩૭.૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. ‘મેટા’ કંપની ફેસબુક, ઈન્‍સ્ટાગ્રામ, વોટ્સેપ અને મેસેન્‍જર જેવાં માધ્યમો ધરાવે છે. આવી જંગી રકમ ચૂકવવાનો આદેશ જ્યુરીએ કરવો પડે એ મામલો શો છે?

    લોસ એન્‍જેલિસવાળા કિસ્સામાં ફરિયાદી એક મહિલા છે, જેની ઓળખ તેના પ્રથમાક્ષરો ‘કે.જી.એમ.’થી કરાઈ છે. આ મહિલાએ જણાવ્યું કે પોતે છ વર્ષની વયથી સામાજિક માધ્યમોનો ઊપયોગ શરૂ કરી દીધેલો. પોતાના દેખાવ બાબતે ભ્રમિત થઈને તેણે ‘ઈન્‍સ્ટાગ્રામ’ પર વિવિધ પ્રકારનાં ‘બ્યુટી ફિલ્ટર્સ’નો ઊપયોગ શરૂ કર્યો. જ્યુરીને તપાસમાં જણાયું કે કમ્પનીના અધિકારીઓ તેમાં સંડોવાયેલા જોખમ વિશે જાણતા હતા. લઘુત્તમ વયમર્યાદાનો કાનૂન હોવા છતાં આ પ્લેટફોર્મ પરની સામગ્રી એવી રીતે તૈયાર કરાયેલી કે બાળકો તેનાથી આકર્ષાય. મહિલાના આક્ષેપો સાચા માલૂમ પડ્યા અને જણાયું કે બન્ને કમ્પનીઓએ જાહેર સ્વાસ્થ્ય અને જનકલ્યાણના ભોગે પોતાની પહોંચ વધારવા માટે કાનૂની તેમજ નૈતિક નિયમનનો ભંગ કર્યો છે.

    ન્યુ મેક્સિકોવાળો મામલો વધુ ગંભીર છે. આ રાજ્યમાં અમલી એવા ‘અનફેર પ્રેકટિસીસ એક્ટ’નું ઉલ્લંઘન કરીને ‘મેટા’એ યુવા વપરાશકર્તાઓની સલામતિ બાબતે તેમને ગેરમાર્ગે દોર્યા હોવાનું પુરવાર થયું છે. સાત સપ્તાહ સુધી ચાલેલા આ ખટલામાં ‘મેટા’ના આંતરિક દસ્તાવેજો તેમજ તેના ભૂતપૂર્વ કર્મચારીઓની રજૂઆત થકી શું જાણવા મળ્યું? એ જ કે બાળકોનો દુરુપયોગ કરનારાં તત્ત્વો પોતાના માધ્યમનો ઊપયોગ કરી રહ્યાં હોવાની કમ્પનીને જાણ હતી. ૨૦૨૧માં આ કમ્પની છોડનાર એક ઈજનેરે જુબાની આપતાં જણાવ્યું કે પોતે કરેલા કેટલાક પ્રયોગોમાં બાળકોને ઈન્સ્ટાગ્રામ પર જાતીયતાને ઉત્તેજિત કરતી સામગ્રી પીરસાતી હતી એમ જણાયું. તેની ખુદની નાનકડી દીકરીને કોઈક અજાણ્યાએ ઈન્‍સ્ટાગ્રામ દ્વારા જાતીય સંબંધ માટે પ્રસ્તાવ મૂકેલો.

    રાજ્યના વકીલો ‘મેટા’નું આંતરિક સંશોધન રજૂ કરતાં જણાવ્યું કે એક તબક્કે ઈન્સ્ટાગ્રામના 16 ટકા વપરાશકર્તાઓએ એક જ અઠવાડિયામાં ફરિયાદ કરી હતી કે તેમને વણજોઈતી, અશ્લિલ કે જાતીય સામગ્રી દેખાડાયેલી. ‘મેટા’ની દલીલ હતી કે તેઓ વરસોથી આ સમસ્યાના ઊકેલ માટે બાથ ભીડી રહ્યા છે અને સગીરો માટે સલામતિ પૂરી પાડવાના પ્રયત્નો ચાલુ છે.

    આ બન્ને કમ્પનીઓનું કદ રાક્ષસી છે, અને તેમનું જોર પણ રાક્ષસી છે. એટલે હજી તેઓ આ મામલાને ઉપલી અદાલતમાં લઈ જશે. એ થાય ત્યારે ખરું, પણ અમેરિકન ન્યાયતંત્રે તેમનો આ રીતે કાન આમળ્યો એ બહુ સૂચક ઘટના છે. એમાંય ‘કે.જી.એમ.’ને ચૂકવવાના સાઠ લાખ ડોલરના ભાગ પાડતાં જણાવાયું છે કે એ પૈકીના ત્રીસ લાખ ડોલર ફરિયાદીને થયેલા નુકસાન પેટે છે, જ્યારે બીજા ત્રીસ લાખ દંડ પેટે છે, કેમ કે, આ બન્ને કમ્પનીઓએ પોતાનાં પ્લેટફોર્મનું સંચાલન બદઈરાદા, દમન અને છેતરપિંડીથી કર્યું છે.

    સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો એવો મંચ છે કે જેનો સદુપયોગ અને દુરુપયોગ બન્ને થઈ શકે. સદુપયોગના કિસ્સા ખાસ બહાર ન આવે અથવા ઓછા ચર્ચાય, પણ દુરુપયોગના કિસ્સા વધુ ચર્ચાય એ સ્વાભાવિક છે. સદુપયોગ કે દુરુપયોગનો આધાર આ માધ્યમના વપરાશકર્તા પર છે, પણ જે તે પ્લેટફોર્મ ખુદ તેના વપરાશકર્તાઓને પરોક્ષ રીતે, ખરેખર તો પ્રત્યક્ષ રીતે દુરુપયોગ માટે પ્રેરે એ ગંભીર બાબત છે. આવાં માધ્યમોનું આગમન નહીં, આક્રમણ થતું હોય છે અને તેની સારી કે ખરાબ અસરોનો ખ્યાલ આવે એ પહેલાં તે આધુનિક બનતું જતું હોય છે. તેની ગતિ સાથે તાલ મિલાવવાની લ્હાયમાં વપરાશકર્તા ક્યારે દુરુપયોગ તરફ સરકી જાય એનો તેને ખ્યાલ રહેતો નથી.

    અમેરિકામાં એક તરફ આ સ્થિતિ છે, તો બીજી તરફ ઘરઆંગણે આપણા દેશમાં આ માધ્યમો પર થતી રજૂઆતને અંકુશમાં લાવવાના પ્રયત્નો કાયદા દ્વારા કરાઈ રહ્યા છે. બન્નેમાં ફરક એટલો છે કે અમેરિકામાં માધ્યમોને અંકુશમાં રહેવાની વાત થઈ રહી છે, જ્યારે આપણે ત્યાં વપરાશકર્તાઓને નિયંત્રીત કરવાનો ઈરાદો છે. ભાગ્યે જ કોઈ સરકારને મુક્ત અભિવ્યક્તિ પસંદ આવતી હોય છે. એમાંય જે સરકારનું જોર અને છબિ જ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી હોય એ આ જ માધ્યમનો ‘દુરુપયોગ’ બીજાઓ કરી જાય એ શી રીતે સાંખી શકે? ટેક્નોલોજી અને અત્યાધુનિક ઊપકરણોના વર્તમાન યુગમાં આવો પ્રતિબંધ લાદવાની ચેષ્ટા બાલીશ લાગે, પણ અસલામતિ અને ખુદની અસલિયતની જાણકારી ભલભલાં અનિષ્ટ કામ કરાવતી હોય છે. દમન સ્પ્રિંગ જેવું હોય છે. જેટલા જોરથી તે કરવામાં આવે એનાથી બમણા જોરથી તે ઉછળે. અભિવ્યક્તિનું કાયદા દ્વારા દમન આજે નહીં તો કાલે, એક સ્થાને નહીં તો બીજે ક્યાંક બમણાં જોરથી પ્રત્યાઘાત આપતું હોવાનો ઈતિહાસ સાક્ષી છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૩૦-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૧

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    દક્ષિણ અમેરિકામાં આવેલા ગયાના દેશમાંથી હું પનામા દેશમાં ગઈ. વિમાન-મથકેથી હોટેલ પર લઈ જતી ટૅક્સીના કાળા કાચમાંથી મુખ્ય શહેર પનામા સિટીની ઊંચી ઇમારતોનો ઝાંખો ખ્યાલ આવતો હતો. એમનો અવાચક કરી દેતો આધુનિક દેખાવ પછીના દિવસથી આંખે ચઢતો રહેવાનો હતો.

    ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતો ભૂમિ-ભાગ સેન્ટ્રલ અમેરિકા કહેવાય છે. એ ભાગમાં કુલ સાત દેશો આવેલા છે. એ દેશોના ભૂમિ-પ્રવાસ વિષે મેં “એક પંખીનાં પીંછાં સાત” નામનું પુસ્તક લખ્યું છે. ફરીથી પનામા દેશ આવવાની તક મને મળી હતી, ગયાનાની મુસાફરીને કારણે. થોડા દિવસ ફરીથી હું પનામામાં ગાળવાની હતી.

    આગલા વખતે, લાંબા સમયથી અહીં વસતા એક કુટુંબ સાથે ઓળખાણ અને મૈત્રી થયેલાં. આટલાં વર્ષો પછી એમને ફરી મળાશે. વળી, મારી ન્યૂયૉર્કમાંની એક ખાસ યહુદી મિત્રની કઝીન અને પતિ પનામામાં વસવાટ કરે છે, ને એમને ત્યાં જવાનું પણ મને આમંત્રણ મળ્યું હતું. આ તો અણધાર્યો જ સંજોગ હતો, ને એનો મને આનંદ હતો. અજાણી જગ્યાએ સ્થાનિક લોકોને મળવાનું બને, તે મને નસીબદાર બનાવે છે.

    આ પનામા દેશની વસ્તી છે માત્ર ત્રીસ લાખ જેટલી, પણ એના અપાર વૈવિધ્યમાં સ્પેઇન  અને ફ્રાન્સ જેવા યુરોપી દેશોનાં વંશજ, અમેરીન્ડિયન તળ-લોકો, આફ્રિકાના કાળા લોકો, વૅસ્ટ ઇન્ડિઝના દેશોમાંથી મજૂરી માટે લવાયેલા લોકો, શ્વેત અમેરિકનો, ચીની, કોરિઅન, ઈસ્ટ ઇન્ડિયન જેવાં લોક-જૂથો છે. ઉપરાંત, સમાજનો ૭૨ ટકા જેટલો ભાગ ‘મૅસ્તિઝો’ કહેવાતી મિશ્રિત જાતિના લોકોનો બનેલો છે, તે ભારે નવાઈ લાગે તેવી વિગત છે.

    સેન્ટ્રલ અમેરિકાના સાત દેશોમાંનો આ છેલ્લો દેશ છે. ત્યાંથી જ શરૂ થાય દક્શિણ અમેરિકા. અલબત્ત, વચમાં, પસાર ના કરી શકાય તેવો, પર્વતો અને ગાઢ જંગલોનો પ્રદેશ આવેલો છે. પનામાની પચાસથી એકસોવીસ માઇલ જેટલી પહોળાઇવાળી ભૂમિ પર પર્વતો, જંગલો, મેદાનો, ખીણો, જ્વાળામુખી, સાગર-કિનારા બનેલાં છે. વળી, એક તરફ કરીબિયન અને બીજી તરફ પૅસિફિક સમુદ્ર છે, જેમાં બે હજાર જેટલા નાના-મોટા ટાપુ પણ છે.

    પનામા દેશ સૌથી વધારે જાણીતો બન્યો છે એમાં આવેલી પનામા કૅનાલને માટે. દેશના સાંકડામાં સાંકડા ભાગમાં બાંધેલી, પચાસ માઇલ લાંબી આ કૅનાલ ઍટલાન્ટીક અને પૅસિફિકને જોડે છે, અને આ જળ-માર્ગમાં થઈને વર્ષનાં ચૌદ હજાર જેટલાં કૉમર્શિયલ અને કાર્ગો વહાણો પસાર થાય છે.

    એ બની તે પહેલાં આ વહાણોને આખા દક્ષિણ અમેરિકા મહાખંડને ફરતે હજારો માઇલો કાપીને જવું પડતું. એમાં મહિનાઓ લાગતા, અને ખર્ચો પણ ખૂબ થતો. આ કૅનાલને કારણે વહાણો એક તરફથી બીજી તરફ ફક્ત ચૌદથી સોળ કલાકમાં જઈ શકે છે. દરેક વહાણને એક લાખ અમેરિકન ડૉલરનો વેરો ભરવો પડે છે, પણ આ જળ-માર્ગ નહતો ત્યારે દસ લાખ ડૉલરનો ખર્ચો થતો.

    આજે આ કૅનાલને એકસો વર્ષ થયાં છે, અને એની ઉપયોગિતા એટલી વધી છે, કે એને પહોળી કરવામાં આવી રહી છે. એ પૂરી થતાં એમાંથી વર્ષનાં અઢાર હજાર વહાણ પસાર થઈ શકશે. કોલસો, લોખંડ, તેમજ સોયાબીન, મકાઈ, સોરગમ જેવું ધાન ઘણા વધારે પ્રમાણમાં દુનિયાનાં માર્કેટોમાં પહોંચી શકશે. કૅનાલને વધારવાનો ખર્ચો સાડા પાંચ બિલિયન ડૉલર થવાનો છે, પણ અગિયારેક વર્ષમાં એ ખર્ચો નીકળી જશે, તેમ ધારણા છે.

    આવા જળ-માર્ગનો સૌ પ્રથમ વિચાર, છેક ૧૫૨૪ની સાલમાં, સ્પેઇનના રાજા કાર્લોસ પાંચમાને આવેલો. પણ ત્યારે આ ભગીરથ કાર્યને માટે જરૂરી સાધનો નહતાં. પછી ૧૮૮૦માં ફ્રેન્ચ સરકારે આ કામ હાથમાં લીધું. એમણે સુએઝ કૅનાલ બનાવેલી, એટલે એમને એમ, કે આ કૅનાલ પણ બનાવી જ શકશે. વીસ વર્ષની મથામણ પછી એમને લાગ્યું, કે આ પ્રોજેક્ટ અશક્ય છે.

    ૧૯૦૩માં પનામા દેશ કોલોમ્બિયા નામના દેશ પાસેથી સ્વતંત્ર થયો, અને પછી અમેરિકાએ આ કૅનાલ બનાવવાનું બીડું ઝડપ્યું. એમણે ૧૯૦૪માં ફ્રેન્ચ કૅનાલ કંપની પાસેથી બધા હક્ક ખરીદી લીધા, અને ખોદકામ શરૂ કર્યું. બરાબર દસ વર્ષે, પનામા કૅનાલમાંથી સૌથી પહેલું અમેરિકન કાર્ગો શિપ પસાર થયું. એ દિવસ હતો ૧૯૧૪ સાલની પંદરમી ઑગસ્ટનો.

    ઇજનેરી કૌશલ્યની આ પરાકાષ્ઠા ગણાય છે. અસંભવ જેવું આ કાર્ય અમેરિકાએ કરી બતાવ્યું. બંને દેશો વચ્ચેના કરાર પ્રમાણે, ૧૯૯૯માં કૅનાલનો બધો વહીવટ પનામા સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો. છતાં, આજે પણ, અમેરિકાના ડૉલર જ પનામાનું રોજના જીવનનું મુખ્ય અને સર્વમાન્ય નાણું છે. ને આજે પણ, પનામા શહેર બરાબર કોઈ સમૃદ્ધ અમેરિકન શહેર જેવું જ દેખાય છે, અને વર્તે છે.

    પણ આ શહેરમાં, તેમજ આ દેશમાં, વિરોધો ઘણા જ છે – ગરીબ અને તવંગર, સાધારણ અને અસાધારણ, જૂના અને નવા, આધુનિક અને તળ-શૈલી, શહેરી અને ગ્રામીણ, અતિનવીન અને નૈસર્ગિક, વગેરેની વચ્ચે. લગભગ પહેલી નજરે જ આ વિરોધો ધ્યાન ખેંચે છે. અલબત્ત, સૌથી વધારે પનામા શહેરમાં.

    કહે છે, કે પનામા શબ્દ અમેરીન્ડિયન ભાષા પરથી આવ્યો છે, અને એનો અર્થ “માછલીની પ્રચુરતા” જેવો થાય છે. પૅસિફિક સમુદ્રને કાંઠે વસેલું સેન્ટ્રલ અમેરિકાનું આ એક જ પાટનગર છે. ઊંચી ઇમારતોને કારણે એ ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો, વૅનકુવર ને હૉન્ગકૉન્ગની યાદ અપાવે છે.

    પનામા શહેરની સાતેક લાખની વસ્તીનો મોટો ભાગ શહેરના નવા અથવા જૂના, મોંઘા અથવા સસ્તા, ફૅન્સી અથવા જર્જરિત વિભાગોમાં વસે છે. દિવસે દુકાનો અને રસ્તાઓ પર લોકોની ભીડ રહે છે, તો રાતે ક્લબો અને કૅસિનો ભરચક હોય છે. લોકવાયકા પ્રમાણે, છેલ્લાં ત્રણસો વર્ષથી આ શહેર આવું જ ઉત્સવપ્રિય રહ્યું છે.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સ્મૃતિસંપદા : ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ

    ૧૯૪૦માં પાકિસ્તાન અલગ રાષ્ટ્ર ન હતું તે સમયે કરાંચીમાં જન્મેલા ઈંદુ શાહને દેશના ભાગલા વખતે સાત વર્ષેની ઊંમરે જન્મભૂમિ છોડવી પડી. પાકિસ્તાનથી હિજરત કરીને એમનું કુંટુંબ ભારતમાં આવીને સ્થાયી થયું.

    એ વખતના હ્રદયદ્રાવક સ્મરણો તેઓને આજે પણ યાદ છે. સંઘર્ષમય વાતાવરણ છતાં પ્રગતિની દિશા ભણી તેઓ આગળ વધતા ગયા.

    ડોકટર થઈ મુંબઈ અને સુરેંદ્રનગરમાં પંદર વર્ષો સેવા આપી. લગ્નબાદ ડોકટર પતિ રમેશ સાથે ૧૯૮૪માં અમેરીકા આવ્યા. અહીં પણ આત્મબળ વડે સંઘર્ષોનો સામનો કરીને શાંતિ અને સ્થિરતા ભણી આગેકૂચ કરતા રહ્યા.

    બાલ્યકાળથી ગુજરાતી સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં તેમને રસ હતો જે ફરી જાગૃત થયો. હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ નામની સંસ્થાના સભ્ય થયા બાદ ગદ્ય અને પદ્ય લખવાની શરૂઆત કરી.

    વિવિધ સામાજિક પ્રવૃતિઓમાં તેઓ સક્રિય રસ લે છે અને ગુજરાતની સંસ્કૃતિનો વારસો જાળવી રહ્યા છે. સાલસ અને નમ્ર સ્વાભાવના ઈન્દુબેનની કુંટુંબભાવના વિદેશની ધરતી પર એમની આસપાસના વર્તૂળમાં વિસ્તરતી રહી છે.

    તેમના બ્લોગનું એડ્રેસઃ www.Indushah.Wordpress.com છે. Email: irsdoc@gmail.com

     


    આજે TV પર ભારતના સમાચાર જોતી હતી, દિલ્હીની શાળાઓમાં જિયાદ અને કુમકુમ વિષે ચર્ચા, મુસલમાન-હિન્દુ Anchors જોરદાર પોતાના મુદ્દા રજુ કરી રહ્યા હતા. આ સાંભળતા મારી નજર સમક્ષ ૧૯૪૭ની સાલમાં થયેલ હિન્દુસ્તાન-પાકિસ્તાન ભાગલાના ૭૫ વર્ષ પહેલાનું દ્રશ્ય.…, યાદશક્તિથી સચેત મન પહોંચ્યું કરાચી; ત્રણ બહેનો, ત્રણ ભાઈઓ અને સરખી ઉમરના પિત્રાઈ ભાઈ-બહેનો સૌ સાથે શાળાએ જઇએ, લેશન કરીએ, વાળુ કરીને આતુરતાથી પલાંઠીવાળી, કાન સરવા કરી બેસીને, એક બીજા સાથે વાતો કરીએ; ‘આજે દાદીમા રાજા-રાણીની વાર્તા કરશે’, ના ‘આજે તો હિતોપદેશની વાર્તા કરશે’; મોટીબહેન નાક પર આંગળી મુકી ઇશારાથી સૌને શાંત કરે અને કહે, દાદીની વાર્તા સાંભળો; મારા દાદીમા એ જમાનાના સિન્ધી પ્રાથમિક શાળાના મહિલા નિરક્ષક હતા, તેમને લેવા ઘરે બે ઘોડાની ગાડી આવતી. અમે સૌ ભાઈ બહેન જોઈને ખુશ થતા.

    મારા દાદાએ અમારી ગાયોનું રક્ષણ કરવા “મોતી” નામનો બુલડોઝ કૂતરો પાળેલ, જેથી રાત્રે મુસલમાનો ચોરી કરીને કતલખાને ન લઈ જઈ શકે.
    એક સાંજે મોટી બહેન મોતીને રોટલો ખવડાવવા ગઈ; આમ તો રોજ મોટાભાઈ દુધ-રોટલા મુકી દે અને મોતી ખાઈ લેતો. મોટીબહેન મોઢામાં મુકવા ગઇ અને મોતીએ બચકું ભર્યું !

    અમે નાના ભાઇ-બેનો ગભરાઈ ગયા, રડવા લાગ્યા. મારા દાદીએ તુરત મોટીબહેનના હાથ પર હળદરની લુગ્દી લગાડીને ત્રાંબાનો પૈસો બાંધી દીધો. મોટીબહેનનો હાથ થોડા દિવસમાં રૂઝાઈ ગયો. બધા ખુશ!

    આ સુખી સંયુક્ત કુટુંબની જાણે વિધાતાને ઈર્ષા આવી.

    ૧૯૪૭ની ગોઝારી સાલ! હિન્દુસ્તાન–પાકિસ્તાન ના ભાગલા થયા, પૂજ્ય ગાંધીબાપુના ઉપવાસ વ્યર્થ ગયા, સંયુક્ત કુટુંબ વેર વિખેર થઈ ગયું, મુસલમાનો હિન્દુ સ્ત્રીઓના કાન-નાક-કાંડા કાપીને ઘરેણા લુંટતા. નસીબ જોગે, મારી મા, કાકી, માસી, મામી એ મોટાકાકાની સલાહ અનુસાર મોહ છોડી દાગીના વગર જીવ બચાવવા બાળકો સાથે જે છેલ્લી ટ્રેન કરાચીથી મહેસાણા જતી હતી તેમાં ધક્કા-મુક્કી સાથે, થોડું ખાવાનું ભાખરી, થેપલા અથાણું વગેરેના ડબ્બા ભર્યા હતા તે લઈને માંડ માંડ મુસલમાનોની નજર ચુકાવી ચડ્યા, ત્રણ દિવસ ટ્રેનમાં કાઢવાના હતા. નાના બાળકોને ખવડાવીને મોટા ભાઈ-બહેન પણ મા-બાપ સાથે ભૂખ્યા રહીને મહેસાણા પહોંચ્યા. સૌએ હાશનો શ્વાસ લીધો. સ્ટેશન ની પરબ પર સૌએ ધરાઇને પાણી પીધું. મા, કાકી, માસીએ સાડલાના છેડે બાંધેલ પૈસાથી મોટા ભાઈ-બહેનને પરોઠા-શાક ખવડાવ્યા. મહેસાણાથી અમારા ગામની મીટર ગેઈજ ટ્રેન પકડી લીંબડી (સૌરાષ્ટ્ર) પહોંચ્યા. દાદા-દાદી અને નાના-નાની એક મહિના પહેલા આવીને બંગલો નોકર પાસે સાફ કરાવી રાખેલ. મોટા સંયુક્ત કુટુંબનો ખ્યાલ રાખી મારા પિતાશ્રીએ બીજા વિશ્વયુધ્ધ પછી આ બંગલો ફર્નિચર ખરીદી લીધેલ જેમાં બે રસોડા, બે બેઠક રૂમ,ચાર સુવાના રૂમ તથા આગળ પાછળ બે લાંબી પરસાળ હોવાથી બે-ત્રણ કુટુંબ આરામથી રહી શકે. મારા પિતાશ્રીની અગમ બુદ્ધિ હંમેશા આખા કુટુંબને ઉપયોગી થતી. મારા મામાએ પણ મારા પિતાશ્રીની સલાહ માની “દવેનિવાસ” નામનું મકાન લીંબડીમાં ખરીદી લીધેલ જેથી સૌ સાથે રહી શકે.

    ખેર, થોડો સમય સાથે રહી શકાયું. મોટાકાકાની સરકારી નોકરી હતી તેથી તેમને બે દેશના કરાર મુજબ રાજકોટ શહેરમાં સરકારી નોકરી સાથે રહેવાનું ઘર મળી ગયુ, તેઓને નિયમ મુજબ કુટુંબ સાથે જવું જ પડે, વિલંબ કરે તો ઘર જતું રહે, મારા ૭ પિત્રાઇ ભાઈ-બહેન છૂટા પડ્યા. અમે ૯ ભાઈ-બહેન લીંબડીની શાળામાં દાખલ થયા. હું અને નાના કાકાની દીકરી કમલ બીજા ધોરણમાં, મારા મોટાભાઈ–મોટીબહેન હાઈસ્કુલમાં, મારી નાનીબહેન બાળપોથીમાં અને નાનોભાઈ એકડામાં એ સમયે Kinder Garden શબ્દ વ્યવાહરમાં નહીં આવેલ. ૪ વર્ષની નીચેના ઘેર રહે. મારા નાના-નાનીનું ઘર અમારા બંગલાથી થોડું દુર હતું. મારા નાનીમા કરાચીમાં મહિલા શિક્ષક હતા તેથી તેમને લીંબડીની પ્રાથમિક શાળામાં નોકરી મળી ગઈ. મારા દાદા-દાદીએ ૧૯૪૭ એપ્રિલ મહિનામાં નિવૃત્તિ લઈ લીધેલ.
    મારા પિતાશ્રી કરાચીમાં આવક અને વેચાણ-કરની પ્રેકટીસ કરતા હતા, તેમના ભાગીદાર મુસલમાન હતા, સંયુક્ત કુટુંબના જમાનાનો રિવાજ પ્રમાણે…અમારા પિતાશ્રીને અમે કાકા કહેતા.             (હવે પછીના લખાણમાં ‘કાકા’ સંબોધન મારા પિતાશ્રી માટે સમજવું.) મારા કાકાએ આખા કુટુંબને સહી સલામત દેશમાં પહોંચાડયા, પોતે પાછળ રહ્યા. એક માલ-સામાનનું વહાણ કરાચીથી કંડલા બંદર જઈ રહ્યું હતું તેમાં મોટા અને નાના કાકાનો બધો સામાન મોકલાવ્યો પરંતુ, પોતાનો ફક્ત એક લોખંડનો કબાટ જ.

    વહાણ કંડલા આવ્યું, સામાન છોડાવવા ડ્યુટી ભરવાની હતી, નાના કાકા, મોટાકાકા કોઈ પાસે રોકડ રકમ ન હતી, મારી માએ તેની પાસે થોડી ચાંદી જે દાદી સાથે મોકલાવેલ તે નાના કાકાને આપી, લીંબડીની બજારમાં વહેંચીને, રોકડા પૈસા લઈને નાના કાકાએ કંડલાથી સામાન ટ્રકમાં ભરી લીંબડી આવ્યા.

    સામાન જોઈને, અમને બધાને આશ્ચર્ય થયું, બહેન બોલી, નાના કાકા અમારા ભણવાના ટેબલ -ખુરશી નથી આવ્યા? તમારો અને મોટા કાકાનો તો બધો સામાન છે! બધા પિત્રાઇ ભાઈ-બહેનોના બધા રમકડા-આવ્યા અમારું એક પણ રમકડું નહી! અમે નાના ભાઈ-બહેન રડવા લાગ્યા.                     નાનાકાકા શું બોલે? મા બોલી, બેટા વહાણ ભરાઇ ગયું હશે તેથી આપણો સામાન રહી ગયો હોય, તમારા ટેબલ-ખુરશી-રમકડાં બધુ તમારા કાકા આવશે ત્યારે લેતા આવશે. અમે બધા ભાંડુડા શાંત થયા.

    ત્યારબાદ અમે રોજ માને પૂછીએ કે મારા કાકા ક્યારે આવશે? મા સાંત્વન આપે, બેટા થોડા દિવસમાં આવી જશે. દાદા-દાદીને હવે ચિંતા થવા લાગી, રોજ પૂજા કરે, ગાયત્રી પાઠ કરે. અમે નાના ભાઈ-બહેન તેમની પાસે બેસીએ ભગવાનને  પ્રાર્થના  કરીએ મારા કાકાને જલ્દી અહીં મોકલ.

    મારા કાકાના મુસલમાન ભાગીદારે અસીલની જમા થયેલ ફી અને ઓફિસ ખર્ચ નો હિસાબ એપ્રિલ મહિનામાં કરી ત્રણે ભાગીદાર ના ભાગ પાડવા જોઇએ તે કર્યો જ નહી, બહાના કાઢ્યા કરે, ક્યા જલ્દી હૈ? હો જાયગા…આમ કરતા જુલાઇ મહિનો આવ્યો. છાપામાં સમાચાર આવે-હિન્દુસ્તાન-પાકિસ્તાન ભાગલા થશે, વાઈસરોય સાથે મિટીંગ થઈ, ગાંધીજી, ઝિણા(Jinnah) અને જવાહરલાલની મિટીંગ થઈ. ઝિણાએ જીદ કરી કે પાકિસ્તાન જ જોઇએ. સત્તાની લાલચ-મોહમાં માણસ બધું ભૂલી જાય!

    આપણે સહુએ “ગાંધી” ફિલ્મમાં જોયું છે કે સરહદ નક્કી થઈ, હિન્દુ મુસલમાનની ખુન ખરાબી શરુ થઈ, ઓગષ્ટ ૧૫-૧૯૪૭ ભાગલા થયા. મારા કાકા અને ભાગીદાર (વાડીકાકા) મુંઝાયા. મુસલમાન હિન્દુ મંદિર અને શીખ ગુરુદ્વારામાં તોડ-ફોડ લુંટ-ફાટ કરી રહ્યા હતા. મારા કાકા અને વાડીકાકા થોડો સમય મુસલમાનવેશ પહેરી રહ્યા, ને પોતપોતાના મકાન વેહેંચવા મુક્યા. પરંતુ મકાન તો ક્યાંથી વહેંચાય? મુસલમાનોને ખબર હતી, મકાન જમીન તેમને જ મળવાના છે કારણકે હિન્દુ શાકાહારી અહીં નથી રહેવાના.

    છેવટે મકાન ઓફિસ બધુ છોડી સ્વામીનારાયણ મંદિરમાં આશરો લીધો, એ એક જ મંદિર હતું જ્યાં બધા હિન્દુઓ સહીસલામત રહી શકતા. ત્યાંથી મંદિરની બસમાં હવાઈમથકે પહોંચ્યા, વિમાન માર્ગે અમદાવાદ આવ્યા. ત્યાંથી ટેક્ષી કરી લીંબડી આવ્યા. ચાર મહિને કાકાને મુસલમાનવેશમાં દાઢી- મુછ સાથે જોઈને અમે નાના ભાઈ બહેન હેબતાઇ ગયા. દાદા- દાદીએ સમજાવ્યા; દેશ તેવો વેશ કરવો પડે. થોડા દિવસ કાકા સાથે આનંદ કર્યો. કાકા ઓફિસ શરૂ કરવા મુંબઈ ગયા. અમારે બે વરસ લીંબડી રહેવાનું નક્કી થયું.

    કાકા, વાડીકાકા અને ત્રીજા ભાગીદાર જગદીશકાકાએ મુંબઈમાં ગિરગાંવ વિસ્તારમાં ઓફિસની શરુઆત કરી, કહેવાય છે ને કે; ‘મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે’. પરંતુ, કાકાએ વિલેપારલે પુર્વમાં ઘર ભાડે લીધુ. કહેવાની જરૂર નથી, બે વરસ કાકાએ કેવી રીતે કાઢ્યા હશે?…ઓફિસમાં સુવાનું, સામેની હોટેલમાં એક વખત જમવાનું, સાંજે દુધ/ફ્રુટથી ચલાવી લેવાનુ.

    સૌરાષ્ટ્ર મેલમાં અમે બધા મુંબઈ આવ્યા. બોમ્બે સેન્ટ્રલથી લોકલ ટ્રેનમાં વિલેપારલે સ્ટેશન ઉતરીને ૨૦મિનીટ ચાલીને ઘેર પહોંચ્યા. લીંબડીના મોટા બંગલાથી આવી ગયા એક રૂમ રસોડું  અને સળંગ ચાલી વાળા ઘરમાં! છતાં આનંદ હતો કાકા સાથે રહેવાનો. એક વરસ ત્યાં રહ્યા પછી ચાર રૂમના ફ્લેટમાં અને ત્યાંથી વિલેપારલે પશ્ચિમમાં મોટા ઘરમાં આવ્યા. અમે ભાઈ-બહેન વિલેપારલેની પ્રખ્યાત શાળા ગોકળીબાઇ પૂનમચંદ પિતાંબર માં દાખલ થયા. ધોરણ ૪થી ધોરણ ૧૧ (મેટ્રીક) સુધીનો અભ્યાસ કર્યો. હંમેશા પેલા પાંચમાં ઊતિર્ણ થતી, સાથે શાળાની ઈતર પ્રવૃતિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતી. શિક્ષક રમણીકભાઈ સર અને શુકલ સર મને હંમેશા પ્રોત્સાહન આપતા.

    શાળામાં મારી ખાસ સહેલી નલિની સાથે વાંચીએ, સવાલ જવાબ કરીને વાંચેલું યાદ કરીએ, આનો લાભ અમે બન્ને મેટ્રીકમાં પ્રથમ વર્ગમાં ઊતિર્ણ થયા. નલિની સાથે વિલેપારલેમાં બંગાળી શીખવા પણ જતી, ત્યાં અચિનદા સાથે ઓળખાણ થઈ, અચિનદા બંગાળી શીખવતા, અમે બન્ને તેમની સાથે બંગાળી સિનેમા જોવા પણ જતા. અચિનદાની ઓળખાણથી હું બંગાળી નવલકથાના ગુજરાતી અનુવાદ વાંચતી થઈ. બંગાળી ક્લાસનો સમય અચિનદાની અનુકુળતાએ રાતના સાતથી શરુ થયા, તેથી મારે માટે પારલા વેસ્ટથી ઇસ્ટમાં જવાનું શક્ય ન હોવાથી મારા બંગાળીના લેશન બંધ થયા. નલિની અને અચિનદાની મિત્રતા પ્રેમમાં પરિણમી.

    ૧૯૫૮ થી ૧૯૬૦ સુધી અમને બન્નેને Science માટે વખણાતી જયહિન્દ કોલેજમાં અને ત્યારબાદ નલિનીને જી. એસ. મેડીકલ કોલેજ (કે. ઇ. એમ. હોસ્પિટલ)માં અને મને ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજ (નાયર હોસ્પિટલ)માં પ્રવેશ મળ્યો.

    નલિની ડો. (M.D.-Pediatrician) થયા પછી સાદાઈથી લગ્ન થયા. આજે નલિની ઘાટકોપરમાં રહે છે અને મુલુંડમાં પ્રેકટિસ કરે છે. અચિનદા બંગાળી મીઠાઇ અને મિસ્ટી દહીના શોખીન જીવ હતા. નલિનીના બે ડો. બાળકો અને ડો.પત્નિ અચિનદાની મિઠાઈ છોડાવી ન શક્યા! ડાયાબિટિસની બિમારીમાં પ્રભુને પ્યારા થઈ ગયા!

    મેં મુમ્બાઈ યુનિવર્સિટીની (M.B.B.S.; D.G.O.; D.A.) ઉપાધી મેળવી.

    મેડીકલ કોલેજમાં સાથે ભણતા રમેશ શાહ સાથે મૈત્રી થઈ. મિત્રતા પ્રણયમાં પલટાઈ…બ્રાહ્મણ અને જૈન વાણિયા આંતરજ્ઞાતીય લગ્ન એ જમાનામાં શક્ય નહોતા. માતા-પિતાને વાત કરવાની પણ હિંમત ન હતી. પત્ર લખી કાકાના કોટના ખિસ્સામાં મુક્યો. ત્રણ દિવસ ગયા. સવારના ૭ વાગે હું નાયર હોસ્પિટલ જવા તૈયાર થઈ ત્યારે કાકાએ બોલાવીને કહ્યું; આજે તારે મારી સાથે ગાડીમાં આવવાનું છે, હું તને નાયર ઉતારી દઈશ. ગાડીમાં કાકા અને મોટાભાઈ સાથે વાત થઈ;

    કાકાઃ “રમેશના પિતાને શું કામકાજ છે?”

    “તેઓ લીંબડી હાઇસ્કુલમાં શિક્ષક છે”

    “કેટલા ભાઈ-બહેન છે?”

    “એક મોટા બહેન ડોકટર છે અને ડોકટર-પતિ સાથે અમદાવાદમાં રહે છે.”

    “તારા લગ્નથી તારા નાના ભાઇ-બહેન માટે યોગ્ય ઘર શોધવાની તકલીફ પડશે એનો વિચાર કર્યો છે?”

    “અમને કોઇ ઉતાવળ નથી. તમે મને ભણાવી છે, હું એકલી રહેવા માટે સક્ષમ છું”

    વાત કરતા કરતા નાયર હોસ્પિટલ આવી ગઈ. મારા માતા-પિતા અને મોટાભાઈને આટલી વાતથી સંતોષ ન થયો. તેઓ લીંબડી રમેશના પિતાનું ઘર જોવા ગયા. લીંબડીથી આવ્યા બાદ મારા મોટાભાઈએ મને પુછ્યું; “તને ત્યાં ગમશે? તેમના ઘેર એક બેસવાની ખુરશી પણ નથી” !

    મારો જવાબ; “મોટાભાઈ, હું ખુરશીને નથી પરણવાની, તેમના ડોકટર દીકરાને પરણવાની છું!”

    મારી નાની બહેનના લગ્ન-આમંત્રણને માન આપી રમેશના માતા-પિતા મુંબઈ આવ્યા, ૬ દિવસના રોકાણ દરમ્યાન રમેશના બા રસોડામાં મારા ભાભીને મદદ કરતા, તેના બાપૂજી પણ સૌ મહેમાન સાથે આનંદથી વાતો કરતા. મારી નાની બહેનના સસરા અને જેઠ-જેઠાણી અમરેલીમાં શિક્ષક હતા. સરખા વ્યવસાયના હોવાથી એકબીજાના અનુભવની વાતોનો આનંદ માણતા.

    રમેશના માતાને પોતાના એકના એક દીકરા માટે જૈન-વહુ લાવવાની તીવ્ર ઈચ્છા, રમેશના માતાના શબ્દો  “મુંબઈ ભણવા મોકલ્યો ત્યારથી મે ધારેલુ એવું જ થયું કે દીકરો ખોયો, ૧૨ વર્ષ મુંબઈમાં રહેલાને દેશમાં રહેવું ન ગમે.”  શિક્ષક સસરા સમજે… બન્નેના માતા-પિતાની ઉદારતા અને આશીર્વાદ સાથે ૧૯૬૭ મે મહિનામાં અમારા લગ્ન થયા. મને મુંબઈમાં ગાંધી હોસ્પિટલમાં Anesthesiologist ની નોકરી સાથે બે બેડરૂમના ક્વાટર્સ માં રહેવા ગયા. એપ્રિલ ૧૯૬૮ માં રમેશ પ્રથમ પ્રયાસે  M.S. General Surgery પાસ થયા. આ સમાચાર ઝાલાવાડ પત્રિકામાં છપાયેલ તે લઈ કાકા મારે ઘેર આવ્યા, મારા સસરાએ વાંચ્યું, ખૂબ ખુશ થયા. મારા કાકાની ઈચ્છા હતી કે અમે મુંબઈમાં તબીબી વ્યવસાય શરુ કરીએ. રમેશના બોસ (Boss) મુંબઈના પ્રખ્યાત જનરલ સર્જન ડો.વસંત શેઠની ઈચ્છા પણ રમેશ ઇંગલેન્ડ જઈને એફ. આર. સી એસ.ઉપાધિ મેળવે અને તેઓની સાથે વ્યવસાયમાં જોડાય.

    નવેમ્બર ૬૮માં દીકરી (પારુલ) નો જન્મ થયો. રમેશના માતા-પિતાની ઇચ્છાને માન આપી ૧૯૭૦માં સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)ની છોટાલાલ જમનાદાસ હોસ્પિટલમાં અમે બન્નએ નોકરી સ્વીકારી. ડો. શેઠ સાહેબે વિદાય પહેલા અમને બન્નેને તેમના મલબાર હીલના રહેઠાણ પર ડીનરનું આમંત્રણ આપ્યું. વાતો કરતા સાહેબે મને પૂછ્યું;  “ઇન્દુ તું શા માટે રમેશને રોકતી નથી ? તું મુંબઈમાં મોટી થઈ છે, કહી દે તને સુરેન્દ્રનગરમાં નહી ફાવે.” પરંતુ મને મારા સાસુના શબ્દો  “દીકરો ખોયો”, યાદ આવ્યા, મારે તેમના નિસાસા નહોતા લેવા. મારો જવાબ “સાહેબ, રમેશ એકના એક દીકરા છે, મારા સાસુ- સસરાની ઇચ્છા રમેશ વતનમાં સેવા આપે તેનો મારે વિરોધ નથી કરવો, ભવિષ્યમાં તેઓ માનશે તો અમે ઇંગલેન્ડ જઈશું.”

    નસીબની બલિહારી; કરાચીથી લીંબડી, લીંબડીથી મુંબઈ અને મુંબઈથી સુરેન્દ્રનગર! ૧૯૭૦થી જુલાઈ૧૯૭૩ સુધી સુરેન્દ્રનગરની છોટાલાલ જમનાદાસ હોસ્પિટલ (સી.જે.હોસ્પિટલ)માં મેં સ્ત્રી બાળકોના વિભાગમાં અને રમેશે જનરલ સર્જન તરીકે નોકરી કરી. ૧૯૭૩ના નવેમ્બરમાં અમારું પોતાનું ૨૫ બેડનું આધુનિક સુવિધા સાથેનું “સર્જિકલ મેટર્નિટી નર્સિંગ હોમ” મારા સસરાના સહકારથી શરુ કર્યુ. ૧૪વર્ષ સુરેન્દ્રનગરમાં વ્યવસાય તેમજ સામાજિક ક્ષેત્રે ખૂબ ખ્યાતિ મેળવી. સુરેન્દ્રનગર હું ફિયાટ ગાડી ચલાવતી તે જમાનામાં કોઈ સ્ત્રી ગાડી નહોતી ચલાવતી, મારી ગાડી પાછળ નાના છોકરાઓ દોડે;, ‘એ બાયડી ગાડી હાકે’,  આ મારા માટે અજાણ્યું હતું’. સુરેન્દ્રનગરમાં વ્યવસાય દરમ્યાન એ જમાનાના સાસુ-વહુના સંબંધ  અને રીત-રિવાજ વિષે ઘણું જાણવા મળ્યું; સગર્ભા વહુથી પાણી ભરેલ માટલા ઊપાડી ના શકાતા હોય તો પણ સવારના માટલામાં પાણી વહુએ જ ગાળવાનું. વહુ આ વાત સાસુને કે પોતાના પતિને ના કહી શકે, મને કહે બહેન તમે મારા સાસુને કહોને મારે વજન નહીં ઉપાડવાનું,  મારાથી માટલા નથી ઊપાડાતા. હું તેના સાસુને કહું ખરી, પણ મને મનમાં થતું સાસુ વહુને દીકરી ક્યારે માનશે?

    ૧૯૮૦માં મારી નાનીબહેન અમેરિકાથી ભારત આવી ત્યારે પુછ્યું; તમારે અમેરિકા આવવું હોય તો હું અરજી ફાઈલ  કરું? પાછી અનિશ્ચિતા?! મારી ૧૨વર્ષની અને ૯ વર્ષની દીકરીઓ, અમેરિકામાં ૧૦થી ૨૦ વર્ષના બાળકો જે કિશોર –અવસ્થા (Teenagers)થી ઓળખાય, તેઓ જો ખરાબ સોબતમાં આવી જાય તો? સમાચાર પત્રોમાં આના વિષે અવાર નવાર વાંચેલ યાદ આવ્યું; એક સમાચાર જે વાંચી મારા રુંવાટી ફરકવા લાગેલ; થેંક્સ ગિવીંગના આગલા દિવસે પતિ-પત્ની બે મહિનાની  દીકરી ને બેબી સીટર પાસે ઘેર રાખી, ખરીદી કરવા ગયેલ. બેબી સીટરે તેના બોય ફ્રેન્ડને બોલાવ્યો, તેમણે કેફી પદાર્થના નસામાં નાનકડી દીકરીને ટરકી(Turkey) સમજીને ઓવનમાં મુકી દીધી…બન્ને સોફા પર કઢંગી હાલતમાં પકડાયા, બન્નેને સજા થઇ. પરંતુ મા-બાપે બાળકી ગુમાવી.

    મેં રમેશને  American Immigration વિષે બન્ને દીકરીની તથા અમારા વ્યવસાયની વિટંબણા વ્યક્ત કરી; “આપણે  ત્યાં આપણો તબીબી વ્યવસાય આ રીતે ચાલુ રાખી શકીશું?”  મારા પતિને હંમેશા નવું કરવું ગમે. રમેશે બહુ ઉત્સાહ દાખવ્યો; “આપણી દીકરીઓને  કોઈ સોબત નહી નડે. હા પાડી દે,  આપણે ફરી વખત Residency કરવી પડે તો કરીશુ.” જરૂરી કાર્યવાહી શરુ કરી દીધી, અમારી અરજી ફાઈલ થઇ ગઈ. ૪વર્ષે (૧૯૮૪માં) અમને ચારેયને Immigration Visas (Green Cards) મળી ગયા.

    મારા સાસુ સસરાને જણાવ્યું અમે બે ચાર વર્ષ વધુ અભ્યાસ અર્થે અમેરિકા જઈએ છીએ.૧૯૮૪ના ફેબ્રુઆરીમાં વિસા કોલ આવ્યો. બન્ને દીકરીએ એપ્રિલમાં પરીક્ષા આપી, ત્યાર બાદ અમે એપ્રિલ ૩૦ ના બોસ્ટન-અમેરિકા ઊતર્યા.


    ક્રમશઃ

  • દિલીપ પરીખની એક અનોખી ચિત્ર શ્રેણી – અંતિમ લેખ અને આગળ સફર…

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

    ચિત્રકારના વિશેષ ગમતા સર્જન.

    Dilip. – HDKP@yahoo.com

    ૧૯૯૬માં હ્યુસટન આવ્યા અને ત્રીજા વર્ષે જ દિલીપ કામ કરતા હતા તે Microelectronics Department, Boise, Idahoમાં ખસેડાયું. સંગીતાએ MD અભ્યાસ પૂરો કરી હ્યુસ્ટનમાં residency શરૂ કરી હતી. આ સમયે ફરી ફેરબદલી કરવાને બદલે દિલીપે, પાંત્રીસેક વર્ષની જવાબદારી પૂર્વક નિભાવેલા કર્મક્ષેત્રથી, નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું. વ્યવસ્થિત દિનચર્યા સાથે રોજ બપોરના હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ચિત્રકામ શરૂ કર્યું. ગમતું કામ યાદ આવે પણ નોકરી છોડ્યાનો ખટકો નથી અનુભવ્યો.

    ચિત્રકામ માટે ઓઇલ પેઈન્ટ, trial & errorથી શરૂ કર્યું. દિલીપનો વિષય ફિઝિક્સ, સાથે આઈનસ્ટાઈનની થીયરી અને આધ્યાત્મિક અભ્યાસના સમન્વયથી E=MC2 paintings શ્રેણી તૈયાર થઈ. સર્જન અને પુરુષ-પ્રકૃતિ.

    બ્રહ્માંડમાં ઈશ્વરે શક્તિ અને પદાર્થનું સર્જન કર્યું છે. જેનું એકબૂજામાં રૂપાંતર થતું રહે છે.

    હ્યુસ્ટનમાં ૧૩ વર્ષ, સારા મિત્રો સાથે બ્રીજ રમવામાં, સાહિત્ય સંગીત માણવામાં અને સરયૂના સમાજ સેવામાં સાથ આપવામાં, ખૂબ આનંદ અને સંતોષકારક વ્યતીત થયા.

    કવિ કાલીદાસના ‘મેઘદૂત’ મહાકાવ્યની યાદમાં બનાવેલ ચિત્રોમાં આછા સુંદર રંગો દિલને સ્પર્શી જાય છે.

    The messenger. DKP. 3’x2’  2006. મેઘદૂત


    સાંવરિયા ના આવીયા, પરવશ હશે વિદેશ
    વિહ્વળ વ્યાકુળ સાહેલી, સુણ મેઘદૂત સંદેશ…

    સરયૂ.   

    ‘સંવદિતા’. આ ચિત્રના રંગો વિશેષ ગમે છે.

    ૩’-૪’ ગામડું’ દરેક કલાપ્રેમીને ગમ્યું છે.

    ‘એકાંત’, ગમતી અવસ્થાને પ્રિય પંખી દ્વારા દર્શાવી છે.                                બીજી ચિત્ર શ્રેણી ‘સત્યમ’ ‘શિવમ’ ‘સુંદરમ’ સર્જાઈ.

    એક કલા ચાહક કહે, “દિલીપભાઈ, તમારા દરેક ચિત્રમાં ઘરેણાંની નવનીત ડિઝાઈન છે”

    “આશ્ચર્ય! આ ચિત્રકારને ઘરેણાંની કારીગરી બાબત કોઈ અનુભવ નથી.”

    હાઈસ્કૂલ સમયના વોટર-કલર ચિત્રોના રંગો જળવાઈ રહ્યા છે.

    ત્યાર બાદ ૨૦૦૯માં સંગીતા-મૃદુલના ઘરથી નજીક ઘર બંધાવી ઓસ્ટિન, ટેક્સાસમાં રહેવા આવ્યા. પૌત્ર અને પૌત્રીના બચપણનો હિસ્સો બનવાનું સદભાગ્ય મળ્યું. સમીરની બન્ને દીકરીઓ આવે ત્યારે, ચારેય બાળકોના કિલ્લોલથી કલાકાર વધુ આનંદ અનુભવે છે.

    ૨૦૧૧માં નીતરતી સાંજ પુસ્તકના મુખપૃષ્ઠ માટે ચિત્ર તૈયાર કર્યું. છેલ્લા દસકામાં, અનેક રંગ અને આકાર સાથે અલગ શૈલીમાં બનાવેલ ચિત્રોમાં હાથની સ્થિરતા અને રંગોની મેળવણી દિલીપની કુશળતા દર્શાવે છે.

     

    The Musicians. DKP.                                                          Mysterious Life. DKP.                                                                                     ‘રહસ્યમય જીવન’ ઘટનાઓની અટપટી ગુંથણી.

    જીવનમાં કલા-સાહિત્ય અને સ્નેહ સાથે દિલીપ તેમના મોટાભાઈ સાથે કરેલા પાતાંજલીના અભ્યાસથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, બને તેટલા સમજવા પ્રયત્ન કરી રહ્યા છે.


    note: pictures do not justify original paintings.


    પ્રતિભાવઃ રસદર્શનઃ શ્રી દિલીપ પરીખની ભાવઘન ચિત્રસૃષ્ટિ.

    ડો.નિસર્ગ આહિર, ‘ગુર્જરી ડાયજેસ્ટ’ જુલાઈ ૨૦૨૪.

    દિલીપ પરીખ નિજી રીતિ-નીતિએ ચિત્રકલાની આરાધના કરે છે. એમાં કોઈ ઠોસ વૈચારિક ચળવળ કેન્દ્રમાં નથી. સહજ રીતે સર્જાયેલ ચિત્રોમાંની જીવંતતા, તેજસ્વિતા, કમનીયતા, નજાકત ભાવકને આકર્ષે છે. તમામ ચિત્રોમાં તાજગી છે, નાવીન્ય છે. ભાવકને સદ્ય આહ્લાદનો અનુભવ કરાવવો એ ચિત્રકાર દિલીપ પરીખની વિશેષતા છે. અમેરિકામાં ભરતીય ચેતના અને ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારની ચિત્રસૃષ્ટિ આદરપાત્ર છે…

    ડૉ. નિસર્ગ આહીર એક જાણીતા ગુજરાતી સંશોધક, વક્તા અને સાહિત્યકાર છેAssistant Professor Ahmedabad, Gujarat, India · K. K.S. College. Researcher in Indian culture, Art and Literature. Member of advisory board, Sahitya Academy, Delhi.


    Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com

     

     

  • વિરોધ અને અન્યાય પ્રતિકારની અહિંસક નવતર રીતો

    નિસબત

    ચંદુ મહેરિયા

    જેનો સૂર્ય દુનિયામાંથી કદી આથમતો નહોતો તેવી અંગ્રેજ સલ્તનતને ગાંધીજીના અહિંસક આંદોલને પરાસ્ત કરી દીધી હતી અને ભારત ગુલામીની જંજીરોમાંથી મુક્ત થઈ ગયું હતું. ઈ.સ. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા તે પહેલા દક્ષિણ આફ્રિકાના હિંદીઓને થઈ રહેલા અન્યાય સામે તેઓ પેસિવ રેઝિસ્ટન્સનું શસ્ત્ર સફળતાપૂર્વક અજમાવી ચૂક્યા હતા. ગાંધીજીએ ભારતની આઝાદીના તેમના અહિંસક આંદોલનમાં સત્યાગ્રહ, અસહકાર, સવિનય કાનૂન ભંગ, ઉપવાસ, વિદેશી ચીજોની હોળી, બહિષ્કાર જેવી રીતોનો પ્રયોગ કર્યો હતો. આજે તો કોઈપણ આંદોલનકારી ગાંધીચિંધ્યા માર્ગે  જ આંદોલન કરવાનો દાવો કરે છે પણ તેમાં ગાંધીનો માર્ગ કેટલો તેવો સવાલ થાય છે. યુધ્ધજ્વરથી પીડિત અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક રાતમાં પૂરી ઈરાની સભ્યતાનો ખાતમો બોલાવી દેવાની ઘોષણા કરી ત્યારે ઈરાને ગાંધીનો રસ્તો અપનાવ્યો. સરકારે ઈરાનના ઓઈલ ભંડારો અને બીજા સ્થળોએ લોકોને શાંત માનવ શૃંખલા બનાવવા અપીલ કરી હતી.

    વિરોધ અને અન્યાય પ્રતિકાર માટેના ગાંધીજીના અહિંસક આંદોલનમાં નવી નવી રીતો અજમાવાતી રહી છે.  યહુદી દેશ ઈઝરાયેલ પર હમાસના આંતકી હુમલા પછી ઈઝરાયેલે પેલેસ્ટાઈન અને ગાઝા પર કાળો કેર વર્તાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ગાઝાના આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે ગાઝામાં માર્ચ-૨૦૨૬ના  અંત સુધીમાં ૭૨,૦૦૦ પેલેસ્ટીનીઓના મોત થયા છે, ૧૦,૦૦૦ કરતાં વધુનો કોઈ પતો નથી અને ૧.૭૨ લાખથી વધુ લોકો ઘાયલ છે. મૃતકોમાં બાળકો, મહિલાઓ અને વૃધ્ધોની સંખ્યા મોટી છે. ૯૨ ટકા ઘર અને ૯૧ ટકા  બીજી ઈમારતો કાંતો નષ્ટ થઈ છે કે ક્ષતિગ્રસ્ત થઈ છે. ઈઝરાયેલના હુમલાઓમાં ગાઝા ખંડેર બની ગયું છે. જે લોકો બચ્ચા છે તે બેહદ મુશ્કેલીઓ વચ્ચે જીવે છે.

    ગાઝામાં વર્તાતા કાળા કેર વિશે મોટા ભાગની દુનિયા મૌન છે.પરંતુ સ્વીડનના પર્યાવરણ કર્મશીલ ગ્રેટા થનબર્ગ અને અન્યના પ્રયાસોથી ગ્લોબલ સુમુદ ફ્લોટિલા (GLOBAL SUMUD FLOTILLA) અભિયાન ચાલી રહ્યું છે. અરબી ભાષાના શબ્દ સુમુદનો અર્થ અતિ કઠિન પરિસ્થિતિઓમાં પણ અટલ રહેવું, હાર ન માનવી અને ફ્લોટિલા એટલે નાવોનો કાફલો. ૧૨મી એપ્રિલ ૨૦૨૬ના રોજ દુનિયાના ૭૦ થી વધુ દેશોના ૧૦૦૦ લોકો સ્પેનના બાર્સિલોનાથી ૭૦ નાવોમાં ગાઝા તરફ રવાના થયા છે. આ કાફલામાં દુનિયાભરના કર્મશીલો,  બૌધ્ધિકો, રાજનેતાઓ, અધ્યાપકો, મહિલા અગ્રણીઓ અને યુવાનો સામેલ છે. તેઓ તેમની સાથે ગાઝા માટે માનવીય મદદ તો લઈ જઈ રહ્યા છે પરંતુ ગાઝા નરસંહાર સામેનો તેમનો અહિંસહ અને દ્રઢ વિરોધ વ્યક્ત કરવા જઈ રહ્યા છે. અગાઉ આવા ચાર પ્રયાસો થયા છે. ઈઝરાયેલે કાં તો તેમને ગાઝા પહોંચતા અટકાવીને પરત કર્યા છે કે પછી જેલોમાં નાંખ્યા છે. પરંતુ તેનાથી જરાય ડર્યા વિના  આ પાંચમો પ્રયાસ વધુ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે. ગાંધી અને તેની અહિંસા જીવિત છે તેનો આ પુરાવો છે.

    વૈશ્વિકથી સ્થાનિક સ્તરે પણ ગાઝાના પીડિતોની વહાર અને ઈઝરાયેલની હિંસાને વખોડતા પ્રયાસો થયા છે. અમદાવાદના સાંણદ તાલુકાના નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્રમાં બૌધ્ધિકો અને નાગરિકોની એક સભા ગાઝાની હિંસાને વખોડવા થઈ હતી. પેલેસ્ટાઈનના ભારત ખાતેના રાજદૂતની ઉપસ્થિતિમાં યોજાયેલા  આ કાર્યક્રમમાં એક કોફીન બોક્સના આકારની મીણબત્તી રાખવામાં આવી હતી. જેમાં મીણ તો ભર્યું હતું પણ તેને વાટ નહોતી. ગાઝાના મુદ્દે આપણી ચૂપકિદીનું તે પ્રતીક હતું. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જ નહીં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના આદેશ છતાં ગાઝા સુધી માનવીય મદદ પહોંચતી નથી  આ કઠિન કાળમાં દુનિયામાંથી ન્યાય માંગતો અવાજ શાંત થઈ ગયો નથી તેની પ્રતિતી ફ્લોટિલા કરાવે છે.

    મતદારો મતદાનનો બહિષ્કાર કરી પોતાના વિસ્તાર,ગામ, શહેરની સમસ્યા અંગે ધ્યાન દોરે એવું તો ઘણીવાર બને છે. પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાલમાં નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠકના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચીને વિરોધની નવતર રીત અપનાવી છે. ૪૫૦૦ની વસ્તીનું ચિખલોડ કપડવંજ તાલુકાનું ગામ હતું પણ તેને સરકારે ફાગવેલ તાલુકામાં ભેળવી દીધું. તેનો વિરોધ મતદારો અને લોકો તો કરતા જ હતા પરંતુ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પાડી મતદાન બહિષ્કારની અનોખી રીત અજમાવી છે.

    છતીસગઢના પાટનગર રાયપુરમાં ૯૦ દિવસથી શિક્ષકોની ભરતીની માંગણી સબબ ગાંધી માર્ગે શાંત અહિંસક આંદોલન ચાલતું હતું.  સરકારનો કશો પ્રતિભાવ ન મળતાં આંદોલનકારીઓએ દંડવત પ્રણામ કરતાં  કરતાં વિધાનસભા કૂચ કરી. સાડીનો કાચ્છડો મારી દંડવત કરતી યુવતીઓ  સહિતના આ યુવાનોને જોઈ જેનું દિલ ન પીગળે તે દયાહીન નૃપ જ હોઈ શકે! નાગરિકો કર તો નિયમિત ભરે પણ નાગરિક સુવિધાઓ મળે નહીં.ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદનું સાહિબાબાદ અને એનો બ્રિજ વિહાર લત્તો. અહીં એક ગંદા પાણીનું નાળુ છે. એ બંધાયું ત્યારથી  કદી સાફ થયું નથી. તેમાં ઝેરી ગેસ અને  દુર્ગંધથી લોકો પરેશાન  છે. પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું. બ્રિજવિહારના રહેવાસી નિવૃત ઈજનેર હેમંત ભારદ્વાજે ગંદા નાળાના કેડસમા પાણીમાં ઉતરી હાથમાં બેનરો સાથે લોકોનું અને તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો. તેમણે જો નાળાની સફાઈ ન જ થવાની હોય તો ઈચ્છામૃત્યુની માંગ કરી હતી.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક દહેગામના હાઉસીંગ બોર્ડના મકાનોમાં  ગટરનું ગંદુ પાણી નિયમિત વહે. તેનું ખાબોચિયું પણ ભરાય. લોકોની રજૂઆતો પણ નીંભર તંત્ર ના સાંભળે. અમેરિકાના શિકોગાની યુનિવર્સિટીમાં પીએચ ડી કરતા તેજસ્વી છાત્ર અને રંગકર્મી મૌલિકરાજ વતન આવ્યા તો તેમને આ મુશ્કેલી ખટકી. નાટ્યરંગે રંગાયેલા મૌલિકરાજે ગંદાપાણીના ખાબોચિયામાં વેશભૂષા ધારણ કરી  પરફોર્મન્સ કર્યું. . ગંદા પાણીમા ઉભા, બેઠા, આળોટ્યા અને નહાયા. એટલે મીડિયાનું પણ ધ્યાન ગયું. આ નવતર વિરોધ પછી નગરપાલિકાના શાસકો શરમાયા અને ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી.

    ગાંધી માર્ગે અનશન અને પદયાત્રા દ્વારા પર્યાવરણ અને શિક્ષણવિદ સોનમ વાંગચૂકે લદાખને અલગ રાજ્યનો દરજ્જો આપવા અને બીજી માંગણીઓને લઈને આંદોલનો કર્યા. છેક દિલ્હી સુધી રજૂઆતો કરી પણ  સરકાર એમ કંઈ સાંભળે? લોકોનો વિરોધ ઉગ્ર બન્યો અને હિંસા થઈ તો સરકારે વાંગચૂકને જ જવાબદાર ઠેરવી રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પકડીને રાજસ્થાનના જોધપુરની જેલમાં મોકલી દીધા. સોનમની ધરપકડના અન્યાયી પગલાંથી હતાશ તેમના  સહયોગીએ આત્મવિલોપન કર્યું હતુ. સરકારે અદાલતના ડરે ૬૦ દિવસ જેલમાં ગોંધી રાખ્યા પછી વાંગચૂકને છોડી મૂક્યા છે અને વાંગચૂક ફરી આંદોલનમાં સક્રિય થઈ ગયા છે.

    ગાંધીનો અહિંસાનો માર્ગ આજના જડ શાસકોને હલાવી શકે ખરો? ગાંધી માર્ગે થયેલા અંદોલનો સફળ થાય  ખરા? અવલ્લી પર્વતમાળાનું ખનન સંપૂર્ણ અટકાવવી દેવાનો સરકારનો નિર્ણય  અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના મક્કમ વિરોધ પછી  પાર તાપી નર્મદા લિંક યોજના અને વાપી શામળાજી નેશનલ હાઈવેને ફોરલેન કરવાની યોજના સ્થગિત કરવી પડી છે તે તેના તાજેતરના ઉદાહરણો છે. ગાંધીનો માર્ગ નવતર રીતો સાથે ગઈકાલે,  આજે અને આવતી કાલે પણ પ્રસ્તુત રહેશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગઝલ અને આસ્વાદઃ …… શકો નહીં

    બિલીમોરાના કેસલી ગામમાં શિક્ષિકા તરીકે કામ  કરતા કવયિત્રી હર્ષવી પટેલ એટલે આજની તેજસ્વી કલમ અને એક આગવો અવાજ. તેમનો ગઝલસંગ્રહ ’તારી ન હો એ વાતો’ નોંધપાત્ર લેખાયો છે. તાજેતરમાં તેમને શયદા એવોર્ડ મળ્યો છે. અને સિદ્ધહસ્ત ગઝલકારો સાથે અનેક મંચ પર છવાઈ ગયાં છે.

    અત્રે તેમની એક ગઝલ અને તેનો આસ્વાદ પ્રસ્તુત છેઃ

    ગઝલઃ

    અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
    મને મળ્યા પછી તમે, તમે રહી શકો નહીં.

    શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
    તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

    પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
    કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

    જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
    મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

    તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
    ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

    પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
    સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

    – હર્ષવી પટેલ
    :આસ્વાદઃ
     દેવિકા ધ્રુવ

    છ શેરોમાં પથરાયેલી આ ગઝલમાં  મસ્તીભરી ખુમારી છે અને  પ્રેમભીનો આત્મવિશ્વાસ છલકાય છે.

    મત્લાના શેરમાં  જ એક પડકાર ફેંકાયો છે. સામાન્ય રીતે કોઈપણ બે વ્યક્તિ એકસરખી હોઈ શકે નહિ. પણ જે કંઈ  ફરક હોય તે પરખાઈ તો આવે જ અથવા તો અંતરમાં શું છે તે વાણી, વર્તન,હાવભાવથી કળી પણ શકાય. પણ અહીં તો નાયિકા સીધો દાવો કરે છે કે, ભલે ને, તમે ગમે તેટલા કાબેલ હોવ પણ આ ફરક નહિ જાણી શકો. અરે એ તો એટલે સુધી કહી દે છે કે, એકવાર જો તમે મને મળો તો… તમે પોતે ‘તમે ‘ રહી શકો જ નહિ!! What a confidence? “મને મળ્યા પછી તમે, તમે રહી શકો નહીં.” વાહ..વાહ.

    બીજા શેરમાં એ જ વાત થોડા ગમતીલા મિજાજથી આગળ વધે છે. ઉલા મિસરામાં જરા બેફિકરાઈથી કહે છે કે તમારે જે માનવું હોય તે માનો. શરત ગણો, મમત માનો કે ગમે તે અર્થ કરો પણ એક વાત તો ચોક્કસ છે કે..એ શું ચોક્કસ છે તેની સ્પષ્ટતા કર્યા વગર જ સાની મિસરામાં ભીતરી ભાવ અલગ મિજાજથી છૂપી રીતે પ્રગટ કરે છે. એ કહે છે કે તમે જે છો તે છો; માટે મને મળી શકો છો. કેટલી ‘હટકે’ભરી છટા છલકે છે. તમે ‘તમે ન હોવ તો મને મળી શકો નહીં.’ એટલે કે, તમે જે છો તે, મને ગમો છો અને એટલે જ મને મળી શકો છો! કેવી કલામય અભિવ્યક્તિ! બે મિસરાની વચ્ચેની ખાલી જગામાં કેવો ઊંડો ભાવ ભરી દીધો એ જ કવિકર્મ અને એનું નક્શીકામ.

    ત્રીજા શેરમાં વળી આ ગુફ્તેગુની મઝા ઑર નીખરે છે. કવયિત્રી કહે છે કે, એકબીજાંને મળવા બાબતે કે, આવનજાવન માટે અહીં કોઈ નિયમ કે નિયમન નથી. પણ એક વાત નક્કી છે કે, એકવાર તમે આવો પછી પાછા ફરી શકાશે નહિ. કેવી મિઠ્ઠી  સ્નેહભરી નોંકઝોક? એમ કહેવું જ નહિ પડે કે, “અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહી”.. તમે ખુદ પાછા વળી નહિ શકો! કેવી સરસ દાદીગીરી!!

    હવે આ જ ભાવ કંઈક નોખી રીતે ચોથા અને પાંચમા શેરમાં વ્યક્ત થાય છે.. એક વાત તો સાચી જ છે કે, કોઈપણ નામ, સ્થાન કે ઘટના એકવાર ગમતીલી થઈ જાય તો માનવીને એના વગર જરાયે ચાલે નહિ. માણસમાત્રનો  એ એક સ્વભાવ રહ્યો છે. અરે, ઘણીવાર તો રોજીંદા નિત્યક્રમથી પણ માનવી એટલો ટેવાઈ જાય કે, જો કોઈવાર કશુંક જુદું બને કે કંઈ કરવાનું રહી જાય તો એને એનો ઓસાંગરો લાગે, મઝા ન આવે. તો અહીં તો બે પ્રેમીહૈયાંની લાગણીઓની વાત છે.

    કાવ્યનાયિકા  પૂરા વિશ્વાસથી કહે છે કે, એકવાર “જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
    મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.  “ કેવો અને કેટલો આત્મવિશ્વાસ?

    આ વાતની સાબિતીમાં એક નવો દાખલો ટાંકીને એ કહે છે કે, તરવૈયાઓ ગમે તેટલા કુશળ હોય, સાગરો તરી જઈ શકે એટલી પ્રવીણતા ધરાવતા હોય પણ એ મહારથી, એકવાર જો કોઈની આંખોના દરિયામાં ડૂબી ગયા તો… સમજો..  ગયા કામસે..

    અહીં અમૃત ‘ઘાયલ’ નો શેર યાદ આવી જાય છેઃ

    કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી !
    કલેજું કોતરી નાજૂક મીનાકારી કરી લીધી.

    ઉપરોકત પાંચમા શેરમાં કવયિત્રી સહજપણે જાણે એક ફરમાન બહાર પાડી દે છે એમ કહીને કે,

    તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
    ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

    આફ્રીન પોકારી જવાય એવી સુંદર અદાકારી.

    અને છેલ્લે મક્તાના શેરમાં એક સહજ ચમકારારૂપે અતિશય સરળતાથી અને સલૂકાઈથી નાયિકા ભીતરનો ભાવ વ્યક્ત કરી દે છે. અગાઉના પાંચે શેરમાં ‘તમે’ ‘તમે’ સંબોધન કરીને વાતચીત છેડનાર વ્યક્તિ હવે ક્રિયાપદ બદલે છે. પોતાને જે ખબર પડી છે તે બેધડક રીતે છતાં સિફતપૂર્વક પ્રગટ કરે છે.

    ‘પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી’- અહીં ખબર પડશે નહિ,પણ પોતાને ખબર પડી છે દ્વારા પ્રેમની વાત જાહેર કરી દે છે. પ્રેમમાં મરી શકાય પણ પ્રેમ વિના જીવી ન શકાય. અહીં નઝાકતભરી રીત છે, પરિપક્વતા છે, મક્કમતા છે અને ખુમારી પણ ખરી જ.

    ‘પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી.
    ‘સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.’

    ક્યા બાત!

    આમ, ‘લગાલગા’નાં ચાર આવર્તનોમાં રચાયેલી આ આખીયે ગઝલમાં શેરિયતથી મિજાજ સુધીની તમામ કાવ્યાત્મકતા છટાદાર રીતે અનુભવાય છે. ‘ શકો નહિ’ જેવા સામાન્ય  બોલચાલના શબ્દોને રદીફ  તરીકે લઈને, ગઝલને સાદ્યંત સુંદર અને રસમય રીતે એકસૂત્રથી બાંધી છે. પ્રત્યેક શેર દાદ માંગી લે છે.

    હર્ષવી પટેલને ખૂબ અભિનંદન.

    અસ્તુ.

  • ઉત્તમ કરવું પણ ….

    મંજૂષા

     વીનેશ અંતાણી

    અત્યારના સમયમાં એક માન્યતા વિકસી છે કે જો કશુંક સારું હોય તો એનાથી પણ વધારે સારું, એનાથી પણ ઉત્તમ. કશુંક હોવું જોઈએ અને તે મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ કારણે લોકો પોતાની જાત પાસેથી સો ટકાથી પણ વધારે કાર્યદક્ષતાની માગણી કરવા લાગ્યા છે.

    સફળતાના સંદર્ભમાં વધારે, હજી વધારે. એથી પણ વધારે, એવી માગણીનાં સારાં પરિણામ આવે છે તો ખરાબ પરિણામો પણ આવે છે. સફળતાનું એક શિખર સર કર્યા પછી એનાથી પણ ઉપરના અને ઉપરના શિખરે પહોંચવાની મહત્ત્વાકાંક્ષા વકરવા લાગી છે. લોકોને શ્રેષ્ઠતમથી ઓછું કશુંય સંતોષ આપતું નથી. ઉચ્ચ માપદંડ રાખવા એ સારી વાત છે, પરંતુ એના અતિરેકથી એક એવી જગ્યા આવે છે, જ્યાં માત્ર શૂન્યવકાશનો અનુભવ થાય છે. કોઈ પણ સારી બાબત વાસ્તવિકતાના ધરાતલનો સંપર્ક છોડી દે ત્યારે ઉત્તમ અને હજી ઉત્તમ મેળવાની ઇચ્છા એક પ્રકારનું વળગણ બની જાય છે. અશક્યનાં પારખાં કરવાની પણ હદ હોય છે.

    ગ્રીકના મહાન વિચારક એરિસ્ટોટલે વર્ષો પહેલાં મધ્યમ માર્ગ અપનાવવાની શીખ આપી હતી. એમણે જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન અને સંયમ જાળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કશું ઓછું નહીં, કશું હદથી બહાર વધારે નહીં. વડીલો કહેતા આવ્યા છે કે કોઈ બાબતને એની કુદરતી મર્યાદાથી વધારે ખેંચવામાં આવે ત્યારે એની સારી બાજુઓ હાનિકારક બનવા લાગે છે. સ્થિતિસ્થાપકતાની પણ સીમા હોય છે. ભલમનસાઈનો અતિરેક ક્યારેક દખલગીરી લાગવા માંડે છે, શિસ્તનો હઠાગ્રહ જડતામાં પરિણમે છે અને સંપૂર્ણતાનો અતિ આગ્રહ બોજ બની જાય છે. આપણામાં કહેવાય છેને કે અતિની ગતિ હોતી નથી. આજે એ વાત ભુલાવા લાગી છે. આપણે માનવા લાગ્યા છીએ કે બધાં કામ ચોકસાઈપૂર્વક ખૂબ સારી રીતે કરવાથી જિંદગી સરળ બની જશે.

    પરંતુ પ્રશ્ન એ પણ છે કે ઉત્તમ કરવું, પણ કેટલું? આપણી શક્તિઓને અંગત જીવનના ભોગે કેટલી હદ સુધી ખેંચવી હિતાવહ છે? આખરે તો આપણે આપણાં દરેક કાર્ય પોતાની, પરિવારની અને સમાજ-દેશની સુખાકારી માટે કરીએ છીએ. અતિશયતાનો આગ્રહ અંગત સંબંધો પર અવળી અસર કરવા લાગે તો એનો શો ફાયદો એવા સવાલ પણ થવા જોઈએ. શ્રેષ્ઠતમના આગ્રહનો ઓવરડોઝ થવા લાગે ત્યારે એનાં નકારાત્મક પરિણામો આવે છે. આજે માતાપિતા એમનાં સંતાનોનો સ્વાભાવિક વિકાસ રૂંધી નાખે છે. એક માળી એના બગીચાના છોડોને ખૂબ ચાહતો હતો. દરેક છોડનો ઝડપી વિકાસ થાય તે માટે એ કુમળા છોડોને પુષ્કળ પાણી આપવા લાગ્યો. પરિણામે છોડોનો કુદરતી વિકાસ રૂંધાઈ ગયો અને મૂળ સડવા લાગ્યાં. એ જ રીતે વધારે પડતી સંભાળ રાખવાથી સંબંધોમાં પણ રૂંધામણ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ક્યારેક વધારે પડતી ભીનાશને સૂકવવા દેવી પડે છે.

    કામકાજની જગ્યામાં કોઈ વ્યક્તિ એના સહકાર્યકર્તાનાં દરેક કામમાં મદદ કરવા લાગે તો સાથી કર્મચારી પોતાની રીતે કામ કરવાની આવડત વિકસાવી શકતો નથી. દરેક કામમાં પૂર્ણતાનો આગ્રહ રાખવાથી પણ નુકશાન થાય છે, એક લેખક સરસ લેખ પર કામ કરતો હતો. એણે લેખનો પહેલો ડ્રાફ્ટ બહુ સરસ રીતે લખ્યો હતો. એમાં એ એના વિષયના બધા મુદ્દા સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શક્યો હતો. છતાં લેખને વધારે સારો કરવા એ વારંવાર એનું પુનર્લેખન કરતો રહ્યો. એથી લેખમાંથી તાજગી ઊડી ગઈ. લેખક પોતે પણ સર્જનનો આનંદ ગુમાવી બેઠો. બીજું દૃષ્ટાંત: એક કંપનીનો માલિક પોતાની ટીમના લોકો પાસેથી વધારેમાં વધારે કામ લેવાનો આગ્રહી હતો. એમ કરીને એ એની કંપનીમાં ઉચ્ચ ધોરણો સ્થાપવા માગતો હતો, પરંતુ એવું બન્યું નહીં. કર્મચારીઓની કાર્યક્ષમતા પર ઊંધી અસર પડી અને કંપની ખોટમાં જવા લાગી. મનોવૈજ્ઞાનિકો કહે છે તેમ આપણે ઉત્તમથી પણ વધારે હાંસલ કરવાની અને દરેક બાબતમાં સંપૂર્ણતાનો આગ્રહ રાખવા લાગીએ ત્યારે અજાણતાં જ પોતાના પર પ્રેસર વધારીએ છીએ. આપણા મગજને ભાગ્યે જ આરામ મળે છે, સંતોષનું પ્રમાણ ઘટી જાય છે. એ બધું માનસિક શાંતિનો ભોગ લે છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આપણે નાનીનાની સફળતાઓનો આનંદ માણી શકતા નથી. સતત લાગે છે કે હજી ઘણું કરવાનું બાકી રહી ગયું છે. વધારે સારું કરવાનો અભિગમ આપણી ગતિને ધીમી કરી નાખે છે.

    એક ઝેન કથા છે. શિષ્ય એના ગુરુ પાસે ગયો અને પૂછ્યું: ‘મારે ધ્યાન પર પ્રભુત્વ મેળવતાં કેટલો સમય લાગશે?’ ગુરુએ કહ્યું, ‘દસ વર્ષ.’ શિષ્યએ પૂછ્યું: ‘હું રોજ બમણો સમય ધ્યાન ધરું તો?’ ગુરુએ સ્મિત કરીને જવાબ આપ્યો: ‘તો વીસ વર્ષ લાગશે.’ એક કુંભાર દરરોજ માટીના સુંદર ઘડા બનાવતો હતો. કેટલાક ઘડામાં થોડી ક્ષતિ રહી જતી, છતાં એ ઘડા પણ વેચવા મૂકતો હતો. કોઈ એનું કારણ પૂછ્યું ત્યારે કુંભારે કહ્યું: ‘ઘણા લોકોને ક્ષતિવાળા ઘડા જ પસંદ આવે છે, એમને એ ઘડા પોતાના જેવા લાગે છે.’

    આપણું જીવન પણ એવું જ છે. આપણી અધૂરપોથી આપણે બીજા લોકોની અધૂરપ સાથે સહજતાથી જોડાઈ શકીએ છીએ. આધુનિક જીવનનો લય હદબહાર વધી ગયો છે. એક સમયે ‘હવે પૂરતું’ થયું એવો અભિગમ હતો. તે હવે અપૂરતો લાગે છે. એક સમયે જે ‘વધારે’ લાગતું તે હવે આરંભબિંદુ થઈ ગયું છે. પૂર્ણતાનો હઠાગ્રહ પણ અધૂરપની નિશાની છે. કશું પૂર્ણ હોતું નથી કારણ કે પૂર્ણતાના ખ્યાલની ક્ષિતિજો વિસ્તરતી રહેવાની છે.

    કહેવાય છે કે ઉત્તમ ગાલીચા બનાવતા ઇરાનના કારીગરો એમના ગાલીચામાં હેતુપૂર્વક નાનકડી ભૂલ રાખતા. તેઓ માનતા હતા કે ઇશ્વર સિવાય કશું સંપૂર્ણ હોતું નથી.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • આધુનિક ત્રિશંકુઓ !

    હરેશ ધોળકિયા

    આ પૃથ્વી પર મનુષ્ય જાતિને આવ્યે લગભગ વીસ લાખ વર્ષ થયા છે. આ વીસ લાખ વર્ષ દરમ્યાન મનુષ્ય ગુફાવાસીથી લઈને હવે મંગળવાસી થવા જઈ રહ્યો છે. શરૂઆતમાં તે વૃક્ષ પર રહી પોતાનો જીવ કેમ બચે તેની ફિકર કરતો હતો, તો આજે મંગળ કે ચંદ્ર પર જવાના વિચાર કરી પૃથ્વી પરના ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જથી બચવાના પ્રયાસ કરે છે. એક સમયે પાસે પડેલ પથ્થરને ઉપાડી જાનવરોને કે તેના કોઈ દુશ્મનને મારવાનો પ્રયાસ કરતો હતો, તો આજે તે પરમાણુ હથિયાર ફેંકી તેના માની લીધેલા દુશ્મનને હણવા પ્રયાસ કરે છે. વીસ લાખ વર્ષ દરમ્યાન તેનું મહત્વનું કાર્ય તો “બીજા”થી બચવાનું જ રહ્યું છે. અઢળક જ્ઞાન મેળવ્યા પછી પણ બીજી વ્યક્તિ સાથે શાંતિ અને પ્રેમથી રહેવાની કળા હજી તે શીખ્યો નથી. આ છે તેનો એક “વિકાસ” !

    પણ એનો બીજો વિકાસ પર અવલોકવો રસપ્રદ છે. તે છે તેનો માનસિક વિકાસ. એનો અભ્યાસ કરાય તો તેણે એ દિશામાં પ્રગતિ કરી છે કે નહિં તેનો પણ ખ્યાલ આવે. તેના પર એક નજર કરવા જેવી છે.

    પહેલા તબક્કામાં મનુષ્ય બાહ્ય જોખમોથી બચવા કોઈ “અદ્શ્ય” બળ પાસે અપેક્ષા રાખતો હતો. એમાંથી જ ધર્મનો જન્‍મ થયો. શરૂઆતનો ધર્મ તદન પ્રાથમિક અવસ્થાનો હતો. જાત ભાતના આકારોવાળા દેવો શોધ્યા. પછી આ દેવો આકાશમાં છે તેમ માન્યું. પછી કોઈ ચોક્કસ સ્થળમાં છે એમ માન્યું. એમાંથી ધર્મ સ્થાનો જન્મ્યા. પણ એક સમય એવો આવ્યો, ખાસ કરીને ભારતમાં,જયારે એવા સાધકો આવ્યા જેમણે ગાઢ સાધના કરી ઈશ્વર પોતામાં જ છે, અથવા પોતે જ છે, એવું શોધ્યું અને અનુભવ્યું. અહી ધર્મ અધ્યાત્મમાં ફેરવાઈ ગયો. અલબત, તે છતાં મોટા ભાગના મનુષ્ય સમૂહ માટે તો ઈશ્વર ધર્મ સ્થાનમાં જ રહ્યો-આજ સુધી. આ તબક્કાને” અધ્યાત્મનો યુગ” કહી શકાય. આ તબક્કાનો લાભ અલબત બહુ ઓછા લોકોને મળ્યો.

    હજારો વર્ષ પછી વિજ્ઞાનનો વિકાસ થવો શરુ થયો. બુદ્ઠિ કલ્પનાતીત વિકસવા માંડી. હવે બધું વિચારની મધ્દથી થવા લાગ્યું. એટલે હવે “વિચાર યુગ” શરુ થયો. તેનું સૂત્ર બન્યું ” હું વિચારું છું, એટલા માટે હું છું.” અસ્તિત્વનો પુરાવો વિચાર બન્યો.

    પછી તો વિજ્ઞાન અતિ ઝડપથી વિકસવા માંડ્યું અને યંત્રોની શોધ થવા માંડી. ઔધોગીકરણ શરુ થયું. તેના પ્રભાવે જે વિચારસરણી વિકસી તેને પરિણામે “ મૂડીવાદ” સર્જાયો. હવે ઈશ્વર નહિં, પૈસાનું મહત્વ વધવા લાગ્યું. પૈસો જ ઈશ્વર બનવા લાગ્યો. હવે નવું સૂત્ર આવ્યું કે “ મારા પાસે છે, માટે હું છું. આગળ “ હું છું” મહત્વનું હતું, હવે “ મારા પાસે છે” મહત્વનું બન્યું. મૂડીવાદ સામે બાકીના બધા વિચારો ગૌણ બન્યા.

    વાત ત્યાં જ ન અટકી. વિજ્ઞાને ટેકનોલોજીને જન્મ આપ્યો. ટેકનોલોજીનો હેતુ માનવને શ્રમમાંથીબચાવી આરામ આપવાનો હતો. તે હેતુ તો સફળ થયો, પણ તેણે નવી સમસ્યા ઊભી કરી. આજ સુધી જે ઉત્પાદન થતું હતું તે હાથની મધથી થતું હતું. એટલે તે ધીમું અને જરૂરિઆત પ્રમાણેનું હતું. પણ હવે ટેકનોલોજીએ તો ભયંકર ઝડપથી અને જથ્થાબંધ ઉત્પાધ્ન કરવાનું શરુ કર્યું આ મબલખ ઉત્પાદન જો તરત વેચાય નહિં, તો અર્થકારણ ભાંગી પડે. એટલે આ ઉત્પાદન ઝડપથી ખપે માટે “જાહેરાત” વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તે લોકોનાં મનમાં એમ ઠસાવતી હતી કે જો તેઓ આ વસ્તુઓ નહિં ખરીદે તો તેમનું વ્યક્તિત્વ નહિં વિકસે અને તેઓ બીજાઓથી પાછળ રહી જશે. વિકાસનો આધાર બુદ્ઠિ નથી, પણ વસ્ત્રો કે ફેશનની વસ્તુઓ છે. આ રીતે છૂપી રીતે તેણે મનુષ્યોના મગજ પર કાબૂ મેળવવા માંડ્યો. એટલે હવે જે મહતમ વસ્તુઓ ખરીદે અને તેનો ઉપયોગ કરે, તે સામાજિક રીતે “ઉચ્ચ વર્ણ”નો મનાય. એટલે ફરી હવે નવું સૂત્ર આવ્યું કે “ હું ઉપભોગ કરુ છુ, માટે છું.”

    આમ ‘ હું છું’ થી શરુ થઇ “ હું વિચારું છું’, થી ‘ મારા પાસે છે! અને ‘ હું ઉપભોગ કરુ છું’ સુધી વિકાસ (?) થતો ગયો.

    પણ આ અમર્યાદિત વિકાસ અને ઉપભોગે પૃથ્વીને અસંતુલિત કરી નાખી છે. પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. વિજ્ઞાને મનુષ્યનું આયુષ્ય તો લાંબુ કર્યું, પણ પ્રદૂષણ જેવી સમસ્યાઓએ આ આયુષ્યને બીમાર બનાવી દીધું છે. સગવડોએ માણસને સ્વસ્થ અને શાંત બનાવવા બદલે અશાંત અને તાણયુક્ત કરી નાખ્યો છે. ટેકનોલોજીએ માણસને આરામથી રહેવા બદલે અણુ-પરમાણુ બોમ્બના ભય હેઠળ જીવવા મજબૂર કર્યો છે. ટેકનોલોજીના આક્રમણે માણસને વધારે વિચારક બનાવવા બદલે મૂઢ અને બેભાન બનાવી દીધો છે. પરિણામે હવે ફરી માનવ જાત વિચારવા લાગી છે કે શું ઉત્તમ છે- “હું છુ” તે કે “ હું ઉપભોક્તા
    છુ” તે! હું છુ માં અસ્તિત્વનો આનંદ મળે છે અને હું ઉપભોક્તામાં સતત તાણનો અનુભવ થાય છે. “હું છુ” માં પરમ સ્વાતંત્ર્યની અનુભૂતિ છે, તો “હું ઉપભોક્તા છું “માં વસ્તુઓની સતત ગુલામી છે. શેને
    પસં કરવું ?

    સ્વાભાવિક છે કે “ હું છું” ને જ પસંદ કરાય. એટલે વર્તમાનમાં “તે” અનુભવવા ધ્યાન, વિપશ્યના,માઈન્ડફૂલનેસ, યોગ જેવી પદતિઓનું મહત્વ વષતું જાય છે. માત્ર કામ કામને બદલે કામ સાથે આરામ અને સર્જનાત્મકતાની ભલામણ થાય છે. પણ, એમાં તકલીફ એ થઇ છે કે, મન મૂડીવાદ અને ઉપભોક્તાવાધમાં ફસાઈ ગયું હોવાથી આ બધામાં પણ મૂડીવાદ અને ઉપભોક્તાવાધનો પ્રભાવ રહે છે. આ બધું સાદાઈથી નહિ, પણ પંચતારક રીતે રજુ કરાય છે. અને તે તો મોંઘુ જ હોય. આ પદ્ધતિઓ કરાવનારા પણ જાણે છે કે તો તેઓ સરળ અને સાદગીથી કરાવશે તો કોઈ નહિ આવે. “ સાદું કે સસ્તું બરાબર ગુણવત્તા વિનાનું” એવું વિચારાય છે. જેટલું મોંધુ તેટલું મહત્વનું એવી વિચારસરણી કામ કરે છે. પરિણામે દુનિયાની મહતમ વસ્તી આ ઉપાયોથી વંચિત રહે છે.

    આ બધાને કારણે વર્તમાન જગત ગૂંચવણમાં જીવે છે. બધી સગવડો પણ જોઈએ છીએ. અને સાદગી પણ જોઈએ છીએ. વાત અપરિગ્રહની કરાય છે, પણ રહેવાય છે વૈભવમાં. બ્રહ્મચર્ય આકર્ષે છે,
    પણ વિલાસ છૂટતો નથી. હૂંફ જોઈએ છીએ, પણ સાથે રહેવાની તૈયારી નથી. પ્રેમ જોઈએ છીએ, પણ લગ્નમાં બંધાવું નથી. સ્વદેશીનું મહત્વ સમજાય છે, પણ વિંદેશી વસ્તુઓનો મોહ છૂટતો નથી. મૂલ્યોનું
    મહત્વ સમજાય છે, પણ “ગમે તેમ કરીને” પૈસાદાર થવું છે. સારા નેતાઓ જોઈએ છીએ, પણ તેઓ એવા હોવા જોઈએ જે તેમના સ્વાર્થને પોષે. જૂની ભાષામાં કહીએ તો “દહીં-દૂધ બંને”માં પગ રાખવો
    છે. પરિણામે સમગ્ર સમાજ એક વ્યાપક દંભમાં ફસાઈ ગયો છે. જો તેમાંથી બહાર નીકળવા જાય છે, તો, સમાજ ની દૃષ્ટિએ, “વ્યક્તિત્વ” રહેતું નથી અને પોતાની કીમત ઘટી જતી લાગે છે. અને તેમાં રહે છે
    તો જોઈએ છીએ તે શાંતિ અને આનંદ નથી મલતા . સમગ્ર માનવજાત પેલા પૌરાણિક “ત્રિશંકુ” રાજા જેવી હાલતમાં જીવે છે. નથી પૃથ્વી પર કે નથી સ્વર્ગમાં.

    દૂર ઊભા રહી જોવાની મજા આવે છે !


    ( કચ્છમિત્ર : તા: ૩-૫-૨૦૨૬ : રવિવાર )

    ૦૦૦૦૦

    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • ઉંબરો

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    હજુ તો ઈપ્સિતા મા અને પિતાજી સાથે ઘરનો ઉંબરો ઓળંગે ત્યાં કાળી બિલાડીએ રસ્તો ચાતર્યો.

    “બિલાડી આડી ઊતરી છે. પાછાં અંદર ચાલો, થોડીવાર પછી વાર પછી જઈશું.” પિતાજીએ નીકળવાની મનાઈ ફરમાવી.

    ઈપ્સિતા આવી અંધશ્રદ્ધામાં માનતી નહીં. વળી, આ તો આખો દિવસ ઘરમાં પડી રહેતી પાળેલી બિલાડી જેવી. એનાથી અપશુકન હોય?

    ઈપ્સિતા પરીક્ષા માટે નીકળતી હતી એટલે એ સિવાય બીજો કોઈ વિચાર કરવો નહોતો છતાં, ક્ષણવાર માટે મનમાં શંકા થઈ કે આજે મનોજ સાથે મુલાકાત નહીં થાય કે શું?

    ઘરમાં ઈપ્સિતા અને મનોજના પ્રેમસંબંધની સાથે કોર્ટમાં લગ્ન માટે મનોજે કરાવેલા રજીસ્ટ્રેશનની જાણ થઈ કે એની આસપાસ મા, પિતાજી, ભાઈ-બહેનની નજરોની અદૃશ્ય દીવાલ રચાઈ ગઈ. ઈપ્સિતાએ એ નજરકેદ નીચે બે મહિના પરાણે પસાર કર્યા. બહારની દુનિયાથી એનો સંપર્ક જ તૂટી ગયો. મનોજે લખેલા પત્રો પણ પિતાજી જ લઈ લેતા. પિતાજીની નજરે ન ચઢે એવો માંડ એકાદો પત્ર એના સુધી પહોંચતો.

    હવે આ કેદમાં જ એનું જીવન જશે એવા વિચારે ઈપ્સિતાને હતાશા ઘેરી વળતી.

    કૉલેજની અંતિમ પરીક્ષા આપવા મળશે કે નહીં એ માટે શંકા હતી,પણ મોટાભાઈની સલાહથી ઈપ્સિતાને પરીક્ષા આપવાની મંજૂરી મળી ખરી.

    પરીક્ષા હૉલ માસીના ઘરની નજીક હોવાથી ઈપ્સિતા મા સાથે માસીના ઘેર રહેશે એવું નક્કી થયું.

    ‘હાશ, કમ સે કમ પરીક્ષા હૉલ સુધી તો એ જઈ શકશે. ત્યાં ગમે તેમ કરીનેય એ મનોજને મળી લેશે.’

    ઈપ્સિતાના ઘરમાં  આ સંબંધ સામે વાંધો હતો, બાકી મનોજના ઘરનાં સૌ આ સંબંધથી ખુશ હતાં.

    મનોજની યોજના મુજબ પરીક્ષા દરમ્યાન જ એની સાથે ચાલી નીકળવાનું હતું. ઈપ્સિતાને મનોજ પર વિશ્વાસ હતો, પણ આજે આડી ઊતરેલી બિલાડીએ એનું મન આશંકિત કરી દીધું.

    છતાં, ઘરથી નીકળતાં પહેલાં એણે થોડી તૈયારી કરી લીધી. કોઈનેય જાણ ન થાય એમ બેગમાં એને ગમતી સાચા રેશમની સાડીઓ મૂકી. ઘરમાંથી માલ લઈને ગઈ છે, એવું કોઈને કહેવાનો મોકો આપવો નહોતો એટલે કાનમાં પહેરેલાં સોનાનાં ભારે ઝૂમકાં કાઢીને નાના ટોપ્સ અને ગળામાં પહેરેલી સોનાની ભારે માળા કાઢીને પાતળી ચેન પહેરી લીધી. હાથની બંગડીઓ બદલીને કાચની બંગડી ચઢાવી દીધી.

    આજ સુધી આ ઘર એનું  હતું. ઘરની કેટલીય ચીજો એની હતી. પુસ્તકો, ભગવાનનો ફોટો, શોખથી ભેગાં કરેલાં પેન્ટિંગ અને ગ્રીટિંગ કાર્ડ્સ. કાશ, એ લઈ જઈ શકતી હોત !

    નીકળવાની આગલી સાંજે એણે અગાશી પર જઈને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી એનું શહેર મન ભરીને જોઈ લીધું. અતીતની કેટલીય યાદો અહીં મૂકીને જવાનું હતું. આ શહેર, અહીંની ગલીઓ, રસ્તાઓ, દુકાનો ફરી જોવા મળે કે ન મળે એ વિચારે એનું મન ભારે થઈ ગયું હતું. લગ્ન પછી વિદાય લેતી કન્યા રડે, એમ એ રડી પડી.

    ઘરમાંથી નીકળતી વખતે પિતાજીની સામે જોતાં એનું મન અપરાધ બોજથી ભારે થઈ ગયું, પણ, મા અને ઈપ્સિતાને બસમાં બેસાડીને પિતાજી પાછા વળ્યા ત્યારે એણે અત્યંત હળવાશ અનુભવી. કેટલાય દિવસો પછી એ ઘરની બહાર નીકળી હતી. પ્રાકૃતિક હવામાં શ્વાસ લેતા સારું લાગ્યું. રસ્તા પરનાં વૃક્ષો, પર્વતની હારમાળા, ખુલ્લું આસમાન જોઈને એ ખુશ થઈ ગઈ.

    કટકના બસ-સ્ટેશને પહોંચતાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. જેવી બસ ઊભી રહી કે સામે એક દુકાન પાસે ઊભેલો મનોજ નજરે ચઢ્યો. એને મનોજ પર ગુસ્સો આવ્યો. ‘અહીં કેમ આવ્યો હશે?’

    જો મા મનોજને જોઈ જશે તો જે બખેડો થશે અને એને પરીક્ષા સુદ્ધાં આપવા નહીં જવા દે એ  કલ્પનાથી એ કાંપી ઊઠી.. મનોજ પર ઉતાવળી નજર નાખીને એણે બસ-સ્ટેશનથી માસીના ઘેર જવા રિક્ષા ઊભી રાખી. ભાડું નક્કી કર્યા વગર જ હાથ ખેંચીને માને રિક્ષામાં બેસાડી દીધી.

    માસીના ઘેર પહોંચીને શ્વાસ હેઠો બેઠો. માસીનું ઘર મોટું હતું. માસી અને માસા સિવાય હાલ આ ઘરમાં કોઈ નહોતું. શહેરની વચ્ચોવચ્ચ આવેલા આ ઘરમાં ખામોશી હતી ! ઉનાળામાં કે પ્રસંગોપાત દીકરો-પુત્રવધૂ અને પોતરાંઓ આવે એ સિવાય અન્ય રૂમનો વપરાશ ઓછો હોવાના લીધે એ બંધ જેવા હતા. આવું ખાલી મોટું ઘર એને ખાવા ધાતું હોય એવું લાગ્યું. આખી રાત પડખાં ઘસતી રહી, પણ ઊંઘ એનાથી આઘી જ રહી. મનોજ સાથે જવા એ માનસિક રીતે તૈયાર હોવા છતાં આ ક્ષણે શું થશે એ વિચારે એને બધું જ આકરું અને અકારું લાગવા માંડ્યું.

    સવારે ઊઠીને બારી બહાર ફરી મનોજને ઊભેલો જોયો.

    “આ શું માંડ્યું છે એણે? શા માટે આમ સામે આવીને ઊભો રહેતો હશે? એને મારી દશાનો વિચાર સુદ્ધાં નહીં આવતો હોય?”

    કોઈ બહાને બહાર જઈને મનોજને મળવા માંગતી હોય તો એ શક્ય નહોતું. જાણતી હતી કે મા એની સાથે આવશે જ. મા મનોજને જાણતી હતી. એને ઈપ્સિતાની પસંદ સામે વાંધો નહોતો, પણ પિતાજીની મરજી નહીં હોય તો મા સાથ નહીં જ આપે એ ઈપ્સિતા જાણતી હતી.

    પરીક્ષા આપવા જતી ઈપ્સિતાને મા બારણાં સુધી મૂકવા આવી. સાંજે ક્યારે પાછી આવશે એ પણ પૂછી લીધું. પરીક્ષાના ચારેચાર દિવસ સમયસર એની આવનજાવન રહી.

    આ ચાર દિવસમાં એણે મનોજને ક્યાંય ન જોયો. એને ચિંતા થઈ. પહેલાં દિવસે એને મળવા બહાર ન ગઈ એનાથી એ ગુસ્સે થયો હશે?

    ઈપ્સિતાને કટક આવેલું વ્યર્થ લાગ્યું. પરીક્ષા માટે મળેલી આઝાદી એળે ગયેલી લાગી.

    આજે પરીક્ષાનો અંતિમ દિવસ હતો. આજે પણ મનોજ નહીં આવે તો શું? મન મક્કમ કરીને પેપર લખવામાં મન પરોવ્યું.

    પેપર આપીને બહાર નીકળી તો સામે મનોજ.

    મનોજ એને લેવા આવ્યો હતો. એને ખાતરી હતી કે, કોઈ કાળે ઈપ્સિતાના ઘેરથી આ લગ્ન માટે મંજૂરી નહીં મળે. જો આજે ઈપ્સિતા પાછી ઘેર જશે તો પ્રેમ પ્રકરણનો અંત નિશ્ચિત.

    ઈપ્સિતાને પણ આ વાસ્તવિકતાની જાણ હતી.

    એ મનોજ સાથે ચાલી નીકળી. ગોઠવણ મુજબ કોર્ટમાં લગ્ન સંપન્ન થયા. ન શરણાઈ, ન આતશબાજી, ન મંત્રોચ્ચાર, ન યજ્ઞવેદિ .

    એનાં નામ સાથે એક બીજું નામ જોડાયું. મનોજ.

    અને અચાનક એનાથી કેવોય મોટો અપરાધ થઈ ગયો હોય એમ એ ધ્રુસકે-ધ્રુસકે  રડી પડી.

    ઈપ્સિતાને એની કુશળતા માટે ભગવાનને પ્રાર્થનાઓ કરતી મા યાદ આવી. ભોળી એવી એની મા જમવા માટે રાહ જોતી ઘરની અંદર-બહાર આંટા મારતી હશે. ઈપ્સિતાને ન જોઈને ઘરમાં પાછી જશે ત્યારે માસીના, ઘેર જશે ત્યારે પિતાજીના સવાલોના કેવી રીતે જવાબ આપશે? ઈપ્સિતાનાં આ પગલાં માટે પિતાજી માને જવાબદાર ઠેરવશે?

    ‘ઓ ભગવાન, આ એણે શું કર્યું?’

    ઈપ્સિતાને થયું, કાશ એ પાછી વળી જાય. ભલે પછી એ ન રહે ઘરની કે ન રહે બહારની. ભલે ને માત્ર ઘર અને બહારની વચ્ચેનો ઊંબરો બનીને રહી જાય, પણ એ પાછી વળી જાય.


    સરોજિની સાહુ લિખિત દિનેશ કુમાર માલી અનુવાદિત ઉડિયા વાર્તા ઓતરંગને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઠ્ક…ઠક…ઠકાક…

    સ્નેહા પટેલ

    ત્રણ રુમ ધરાવતા ફ્લેટની રસોડાની બહાર આવેલી ચોકડીમાંથી અવાજ આવી રહ્યો હતો. રુપા – શહેરમાં સ્થાયી થવાના અરમાનો સાથે એના એક ના એક પુત્ર અને પતિ સાથે ગામડાંની તાજગીભર્યુ વાતાવરણ છોડીને આવેલી અને અહીં આવીને પતિ કાળુને પૈસા કમાવામાં મદદરુપ થવાના હેતુથી થોડા ઘરના વાસણ – ક્પડાં ધોવાનું કામ કરતી હતી. આ ત્રણ રુમની માલકિન પૂર્વી ફોન પર કોઇની સાથે વાત કરતાં કરતાં ઘરના બીજા કામ આટોપી રહી હતી. રુપા એના અસ્સલ લહેંકામાં કોઇ ગામઠી ગીત ગણગણતી હતી અને કપડાં ધોવાનું કામ કરી રહી હતી. કપડાં ધોકાવતી હતી અને ત્યાં જ એના કાને પૂર્વીનો અવાજ અથડાયો,

    ‘રુપા, જરા ધીમેથી ધોકા માર. આમ ને આમ તો કપડાં ફાટી જશે .’

    અને રુપાની મસ્તીમાં ખલેલ પડી.

    ‘આ બેનને તો કાયમ દરેક વાતમાં કચકચ જ હોય. વળી હું ક્યાં એમના કપડાં રોજ ધોઉં છું ? એમણે ક્યાં આ કામ બંધાવ્યું છે? આ તો એમનું વોશિંગ મશીન બગડયું છે ને મને આજીજી કરી એટલે સમય ન હોવા છતાં મેં એમનું આ કામ કરી આપવાનું સ્વીકાર્યું હતું, પણ મૂઉ આ શહેર – અહીં કોઇને સમય સાચવ્યાંની કદર જ ક્યાં છે ? બધી વાતો પૈસાથી જ થાય છે.’ અને અચાનક રુપાના જમણાં હાથનો છેલ્લી આંગળીનો નખ ધોવાઈ રહેલ બ્લ્યુ જીન્સના કાપડમાં ફસાઇ ગયો. પાણીમાં પલળવાથી થોડો પોચો થઈ ગયેલ નખ તરત જ તૂટી ગયો અને રુપાના મોઢામાંથી એક ‘હાય’ નીકળી ગઈ. સાબુવાળું પાણી હોવાથી તરત બળવા લાગ્યું. એણે ફટાફટ હાથ ધોઇને નખને સાચવીને દાંત વડે કાપી નાંખ્યો અને ગેલેરીમાં થૂંકી દીધો. પૂર્વી પ્રત્યેની બધી કડવાશ પણ એમાં થૂંકાઈ ગઈ અને ફરી પાછી રુપા પોતાની મસ્તીમાં આવી ગઈ, પેન્ટ પર સાબુ લગાવવા લાગી. અચાનક એનો હાથ અટકી ગયો અને આ પેન્ટ પહેરનારા ઘરના માલિકનો ચહેરો એની નજર સમક્ષ તરવરવા લાગ્યો.

    નાજુક નાક નકશાવાળો સ્વસ્તિક ! કાલે કામ કરવા આવતી જ હતી અને લિફ્ટમાં માલિક એની સાથે થઈ ગયા હતાં. આખી લિફટમાં સ્વસ્તિકના બોડીસ્પ્રેની સુગંધ તરતી હતી. રુપાએ નજરની કિનારીએથી જ સ્વસ્તિકની સામે જોયું તો એ એની મસ્તીમાં મસ્ત થઈને ઉભો હતો.વારે ઘડીએ એની નજર ઘડિયાળમાં જતી હતી. રુપાથી સભાનપણે એક અંતર જાળવેલું જેથી કરીને એના કપડાંને પણ ના અડકી જવાય. રુપા એના ગોરા ચિટ્ટા અને એમાં કાળી કાળી દાઢીથી ભરેલ પૌરુષથી ભરેલા ચહેરાંને જોતી જ રહી ગઈ. સ્વસ્તિકનું ઇસ્ત્રી ટાઈટ ફુલ સ્લીવનું વ્હાઈટ શર્ટ જોઈને એની ક્રીસ પર હાથ ફેરવવાનું મન થઈ ગયું. પોતાની આખી જીંદગીમાં રુપાએ આવા ઇસ્ત્રીટાઈટ્ કપડાં નહતાં જોયાં. સલૂકાઈથી શર્ટના કોલરના બટન પણ બંધ કરેલા હતાં અને છેક ઉપરનું બટન પણ બંધ કર્યું હતું , કદાચ એ ટાઈ પહેરવાનું વિચારતા હશે. ટાઈવાળા શર્ટના બટન છેક સુધી બંધ હોય એવું એને હમણાં હમણાંથી થોડું ખબર પડી રહી હતી. વ્હાઈટ શર્ટ અને નીચે લાઈટ સ્કાય બ્લ્યુનુ જીન્સ એ છ ફૂટના વ્યક્તિત્વને અદભુત ઓપ આપતો હતો. ત્યાં જ લિફ્ટ ખચાક દઈને ઉભી રહી ગઈ. બે ય જણ લિફ્ટમાંથી નીકળીને પોતપોતાની મંઝિલ તરફ વળી ગયાં. રુપાના મગજમાં હજી પેલી બોડીસ્પ્રેની સુગંધ તરી રહી હતી. આજ એ જ બ્લ્યુ ડેનિમનું જીન્સ એના હાથમાં હતુ. અચાનક રુપાના મગજના અમુક કીડાં સક્રિય થઈ ગયાં.

    ‘સ્વસ્તિક.’

    કેટલું સરસ નામ અને સ્વભાવ પણ કેવો સરસ ! માલકિણ અને એમની દીકરીને કેવાં હાથમાં ને હાથમાં રાખે છે ! ક્યારેય એમના મોઢામાંથી ઉંચો કે કડવો અવાજ નથી સાંભળ્યો. ગયા મહિને માલકિણ એની બે રજાનો પગાર કાપવા જતી હતી ત્યારે એમણે માલકિણને ટોકી હતી અને કહેલું કે,

    ‘જવા દે ને પૂર્વી, આ બિચારીએ બે રજા જ તો પાડી છે , બાકીન અઠ્ઠાવીસ દિવસ તારા એ કેવા પ્રેમથી સાચવી લે છે. વળી એ પણ માણસ છે ને, આખો મહિનો એકધારા કામના ઢસરડાં ..’

    ‘આ તમે પુરુષો શું સમજો ઘરની વાતો ? આમ ને આમ આ લોકોને માથે ચડાવીએ ને તો એક દિવસ આંગળી આપતાં પહોંચો પકડી લે. તમે કંઈ બોલશો નહીં’ અને પૂર્વીએ ધરાર એની બે દિવસના પૈસા કાપી લીધાં હતાં. રુપાનું મોં પડી ગયેલું. એ જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે પૂર્વી બેડરુમમાં આડી પડીને કોઇ પુસ્તક વાંચી રહેલી. સ્વસ્તિક ધીરેથી ઉભો થઈને રુપાની પાસે ગયો અને ચૂપચાપ એને સો રુપિયાની નોટ પકડાવી દીધી હતી. મોઢા પર આંગળી મૂકીને ચૂપચાપ એને નીકળી જવા આંખથી જ આદેશ આપી દીધેલો. બે પળ શું કરું – શું ના કરું ની દ્વિધામાં અટવાયેલી રુપા તરત જ સભાન થઈ ગઈ અને આંખોથી જ સાહેબનો આભાર માનીને ત્યાંથી નીકળી ગઈ.

    ‘સાહેબ.’

    અને રુપાનો હાથ જીન્સ પર ફરવા લાગ્યો. જીન્સના પાંયચા, ઢીંચણ આગળથી થોડું સફેદ થઈ ગયેલ કાપડ, કમરની બે બાજુના એક ખીસાની અંદર બીજું નાનું ખીસું, જાડી અને મોટી પિત્તળની મજબૂત ચેન..આ બધા પર સાબુવાળો હાથ હતો કે બીજુ કંઈક..રુપાનું મન લપસવા લાગ્યું. જાણે જીન્સ નહીં જીન્સનો માલિક સાક્ષાત ત્યાં હતો. આંખો ઘેરાવા લાગી હતી. મગજમાં બધું સૂન્ન થઈ જતું હતું. પોતાનો રુખ્ખો હાથ જીન્સને વાગી ના જાય એમ ધીમે ધીમે ફેરવતી હતી.અને

    ‘રુપા.’

    અચાનક પૂર્વીના અવાજથી એની તંદ્રા તૂટી ગઈ.

    ‘જી..જી ભાભી..’

    ‘આ મારું વોશિંગ મશીન રીપેર થઈ ગયું છે. હવે કાલથી તું કપડાં ના ધોઈશ. ફકત કચરાં પોતાં અને વાસણ. તારા આટલા દિવસના કપડાં ધોવાના જે પૈસા થતા હોય એ લઈ જજે.’

    અને રુપાના દિલમાં એક ધ્રાસકો પડ્યો.

    ‘બેન, આટલો મહિનો ધોવડાવી દો ને કપડાં.’

    ‘અરે, મારે શું કામ ખાલી ખાલી તને પૈસા આપવાના ? વળી બ્રશ અને ધોકા મારી મારીને તેં મારા કપડાંની જો હાલત કરી છે એ. ના બાબા ના..તું તારે આજનો છેલ્લો દિવસ કપડાં ધોઈ લે. તમારા લોકોની આ જ તકલીફ છે. કામ બંધાવો એટલે છોડાવીએ ત્યારે દાદાગીરી જ કરી ખાઓ…’ આગળ પણ કેટલું ય બોલી ગઈ પણ રુપાના કાને રોજની જેમ એની કચકચને કાનમાં ઘૂસવા જ ના દીધી અને કામે વળગી.

    ડ્રોઇંગરુમમાં પૂર્વી ફોનમાંથી એનું ગમતું ગીત શોધીન કાનમાં ઇયરપ્લગ ભરાવીને આંખો બંધ કરીને સોફામાં આડી પડી ગઈ.

    રુપાનો જીવ કળીએ ને કળીએ કપાતો જતો હતો. ચોકડીમાં સામે હજી પેલું જીન્સ પડ્યું હતું, એની સામે જાણે અટ્ટહાસ્ય કરીને એની મજાક ઉડાવી રહ્યું હતું.

    ‘મૂઆ આ વોશિંગ મશીનની શોધ કોણે કરી હશે ? આવા રુપાળા જીન્સને સ્પર્શવાનો આજે છેલ્લો દિવસ !’

    અને રુપાની આંખમાં બોર બોર જેવડાં આંસુ ઉભરાઈ ગયાં. પાણી નાંખીને જીન્સમાંથી સાબુ કાઢ્યો અને વધારાનો સાબુ નીકળી જાય એ હેતુથી બીજું પાણી નાંખીને વધારાનો સાબુ કાઢવા હેતુ હળવા હાથે ધોકો મારવા લાગી.

    ‘ધબ..ધબ…ધબા..ધબ..’

    ‘અલી, કપડાં જરા ધીરેથી ધોકાવતી હો તો. આમ ને આમ મારા કપડાં ફાડી કાઢીશ.’

    અને અચાનક રુપાના મગજમાં શું ભૂત ભરાયું ખબર નહીં એ ધોકો લઈને ઉભી થઈ . જોયું તો ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો, મોઢા પર હિંમત વધી ગઈના ભાવ સ્પષ્ટ થયાં અને હતી એટલી બધી તાકાત ભેગી કરીને એણે સોફા પર આંખો બંધ કરીને ગીતો સાંભળતી પૂર્વીના માથામાં ઉપરા ઉપરી ચાર પાંચ ઘા કરી દીધા.