વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • રોશન પછીનાં, રોશન પહેલાંના એક સંગીતકાર રોશન

    બીરેન કોઠારી

    ગાયિકા- સંગીતકાર તરીકેની તેમની ઓળખ, પણ એ ક્ષેત્રે તેમનું પ્રદાન સાવ મર્યાદિત જણાય છે. ૧૯૪૮માં રજૂઆત પામેલી ‘અમ્બિકા ફિલ્મ્સ’ નિર્મિત, એમ.આઈ.ધરમશી દિગ્દર્શીત ફિલ્મ ‘અનોખા પ્યાર’માં તેમનું એક યુગલ ગીત હતું એમ જાણવા મળ્યું. આ ફિલ્મ સંગીતપ્રેમીઓને યાદ છે એમાંના લતા મંગેશકરે ગાયેલાં ગીતો માટે. સંગીતકાર અનિલ બિશ્વાસે ફિલ્મનાં દસ ગીતો પૈકી નવ ગીતમાં લતાના સ્વરનો ઉપયોગ કર્યો હતો. દસમું ગીત મુકેશનું એકલગાન હતું. લતાએ ગાયેલાં નવ ગીતમાંથી બે યુગલગીત હતાં, અને સાત એકલગીત. આ બે યુગલગીતમાંથી એક ગીતના સહગાયક છે મુકેશ, જ્યારે બીજા ગીતમાં લતાનાં સહગાયિકા છે ઈરા નાગરથ.

    ઈરા નાગરથ

    હિન્દી ફિલ્મોમાં આપણે એક જ ‘નાગરથ’ને જાણીએ છીએ- રોશનલાલ નાગરથ. ઈરા નાગરથ તેમનાં પત્ની. મૂળ તો ઈરા મોઈત્રા, પણ રોશનલાલ સાથે લગ્ન કર્યા પછી ‘નાગરથ’ બન્યાં.

    હરમંદીરસિંઘ ‘હમરાઝ’ સંપાદિત હિન્દી ફિલ્મ ગીતકોશ અનુસાર આ ગીત મૂળ તો અનિલ બિશ્વાસે મીના કપૂર પાસે ગવડાવીને તેનો ઉપયોગ ફિલ્માંકનમાં કર્યો હતો, પણ આ ગીતની રેકોર્ડ બહાર પાડતી વખતે મીના કપૂર બીમાર હોવાથી તેમણે એક યુગલ ગીતમાં મીના કપૂરને બદલે ઈરા નાગરથના સ્વરનો ઉપયોગ કર્યો.

    યુ ટ્યૂબ પર આ યુગલ ગીત ‘એ દિલ મેરી વફા મેં કોઈ કસર નહીં‘ ઉપલબ્ધ છે, અને તેમાં લતાનાં સહગાયિકા તરીકે ઈરા નાગરથનું નામ છે, પણ ગીતકોશની માહિતી અનુસાર ફિલ્માંકન મીના કપૂરના સ્વરમાં કરવામાં આવ્યું હોવાથી આ સ્વર હકીકતમાં મીના કપૂરનો હોવો જોઈએ. આ ગીતની 78 આર.પી.એમ.ની રેકોર્ડ નં. N 35594 પર ઉપલબ્ધ ગીતમાં ઈરા નાગરથનો સ્વર હશે.

    ઈરા નાગરથના સ્વરવાળી રેકોર્ડ સિને પ્લોટ પર મુકાયેલ છે. .

    ‘અનોખા પ્યાર’આં અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલું, લતા સાથેનું યુગલગીત અહીં સાંભળી શકાશે, આ ફિલ્મની ક્લિપ હોવાથી તેમાં સ્વર મીના કપૂરનો છે.

    ૧૯૪૮ની જ એક અન્ય ફિલ્મ ‘ગજરે’માં પણ ઇરા નાગરાથનું લતા મંગેશકર અને કોરસ સાથેનું એક ગીત પણ મળી આવે છે.

    રોશનના ૧૯૬૭માં થયેલા અવસાન વખતે અધૂરી રહેલી ફિલ્મ ‘અનોખી રાત’ (૧૯૬૮)માં પાર્શ્વસંગીત સલીલ ચૌધરીએ આપ્યું હતું. અન્ય ગીતો રોશને તૈયાર કરી દીધાં હશે, પણ ‘મહલોં કા રાજા મિલા’ ગીત ઈરા રોશને પૂર્ણ કર્યું હતું. એ ફિલ્મના ટાઈટલમાં ‘એસોસિયેટ મ્યુઝીક ડિરેક્ટર’ તરીકે ઈરા રોશનનું નામ જોઈ શકાય છે.

    ‘અનોખી રાત’નાં ટાઈટલ

    રોશનના પુત્ર રાજેશ રોશને સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી હજી અપનાવી નહોતી. એ છેક ૧૯૭૪માં ‘કુંવારા બાપ’થી બન્યું.

    ૧૯૮૧માં રજૂઆત પામેલી ફિલ્મ ‘શાકા’માં પણ સહાયક સંગીતકાર તરીકે ઈરા રોશનનું નામ છે. આ ફિલ્મમાં રાજેશ રોશનનું સંગીત હતું.

    ‘શાકા’નાં ટાઈટલ

    રાજેશ રોશનના સંગીતવાળી, ૨૦૦૨માં રજૂઆત પામેલી ‘આપ મુઝે અચ્છે લગને લગે’ના આખરી ટાઈટલમાં પણ સહાયક સંગીત નિર્દેશક તરીકે તેમનું નામ છે.

    ‘આપ મૂઝે અચ્છે લગને લગે’નાં ટાઈટલ

    એમ લાગે છે કે ઈરા રોશનની પોતાની સાંગિતીક પ્રતિભા સિમીત હશે અથવા તેમણે પોતે એ સાવ સિમીત કરી દીધી હશે.

    હકીકત જે હોય એ, આ વીસરાયેલાં રોશનને આ પોસ્ટ થકી યાદ કરીએ.


    (તસવીર નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આશા ભોસલેનું અન્ય સ્ત્રી ગાયિકા સાથેનું સૌ પ્રથમ યુગલ ગીત: ૧૯૫૪-૧૯૫૭

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    આશા ભોસલેનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથેનાં સૌ પ્રથમ યુગલ ગીતની ખોજમાં ગતાંકમાં આપણે ૧૯૪૯ થી ૧૯૫૩ના વર્ષો દરમ્યાન ૧૦ પાર્શ્વગાયિકાઓ સાથે આશા ભોસલેએ ગાયેલાં સૌ પ્રથમ યુગલ ગીતની યાદ તાજી કરી.

    હવે આગળ……

    ઔરત મરી તો મર્દ કો નયી બીવી મિલી – ખુશ્બુ  (૧૯૫૪) – માલા સાથે – ગીતકારઃ જી એસ નેપાલી – સંગીતઃ શંકર લાલ

    પોતાની લગ્નને લાયક ઉમર છે ત્યારે પોતાનો બાપ ફરી વાર લગ્ન કરવા નીકળ્યો છે.  બે બહેનો આવી વિચિત્ર પૈતૃક સમાજ સામે ફરિયાદ કરે છે.

    ગીતનો વિષય પરંપરાગત સમાજ વ્યવસ્થા સામે છે પણ ગીતની વાદ્યસજ્જા નવા જમાનાની છે.

    કૈસે કહું અપને મનકી વિપતિયાં રે – મહાત્મા કબીર (૧૯૫૪) – અમીરબાઈ કર્ણાટકી સાથે –  ગીતકારઃ ચંદ્રશેખર પાંડેય – સંગીતઃ અનિલ બિશ્વાસ

    અમીરબાઈ કર્ણાટકી જેવાં બહુ અનુભવી ગાયિકા સાથે આશા ભોસલેનું સ્થાન થોડું ગૌણ હોય તે સ્વાભાવિક છે. પરંતુ, તેથી આશા ભોસલેની ગાયકીને એ સ્થિતિ આડે નથી આવતી.

    ગોરી આજ હો ગયી હૈ પરાઈ હમે દે કે ચલી હૈ જુદાઈ – રમ્મન  (૧૯૫૪) – સુધા મલ્હોત્રા સાથે –  ગીતકારઃ અઝીઝ કશ્મીરી – સંગીતઃ વિનોદ

    લગ્ન સમયે કન્યાની સખીઓ ગીત ગાતી હોય એ પ્રથા ભારતમાં બહુ પ્રચલિત છે. તેથી ફિલ્મોમાં પણ ગીત મુકવા માટે આ પ્રસંગ બહુ હાથવગો બની રહેતો જોવામળે છે. આગળ જતાં આશા ભોસલેના ફાળે પણ આ સીચ્યુએશનનાં ઘણાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો ગાવાનાં આવશે.

    મૌજ ખામોશ હૈ બહતા હુઆ ધારા ઠહરા ….. હો જાકે લાગે નૈના વો પાયે નહીં ચૈના – શમા પરવાના (૧૯૫૪)  – સુરૈયા સાથે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ હુસ્નલા ભગતરામ

    સુરૈયાનો શ્રેષ્ઠ કાર્યકાળ લતા મંગેશકરના શરૂઆતનાં વર્ષો સાથે વધારે રહ્યો. તેના પ્રમાણમાં આશા ભોસલે સાથે તેમનો કર્યકાળ ઓછો રહ્યો ગણાય. તેની એક અસર એ  જોવા મળે છે કે સુરૈયાનાં લતા મંગેશકર સાથે ચાર સ્ત્રી – સ્ત્રી યુગલ ગીતો છે તેની સામે આશા ભોસલે સાથે આ એક માત્ર સ્ત્રી – સ્ત્રી યુગલ ગીત છે. આશા ભોસલેના ભાગે ગૌણ કલાકાર માટે પાર્શ્વગાયન કરવાનું આવ્યુ છે, પણ તેનો પ્રભાવ તેમની ગાયન શૈલી પર પડેલો નથી જણાતો.

    ક્યોં દિલ પર રખા હૈ હાથ હો ન હો કુછ બાત હૈ  – દરબાર (૧૯૫૫) – મધુબાલા ઝવેરી સાથે – ગીતકારઃ અસદ ભોપાલી – સંગીતઃ હંસરાજ બહલ

    અહીં પણ બન્ને ગાયિકાઓ આખું ગીત એક સાથે ગાવાનું આવ્યું છે.

    ઓ અલબેલે પછી તેરા દૂર ઠિકાના હૈ – દેવદાસ (૧૯૫૫) – ઉષા મંગેશકર સાથે – ગીતકારઃ સાહિર લુધિયાનવી – સંગીતઃ એસ ડી બર્મન

    એસ ડી બર્મન સાથે બહુ જ શરૂઆતનું આ ગીત ગણાય. તે પછી તો જોત જોતામાં આશા ભોસલેએ એસ ડી બર્મનનાં મહત્વનાં ગાયકોમાં સ્થાન નિશ્ચિત કરી લીધું. આગળ જતાં આશા ભોસલેના ફાળે બાળ કલાકારો માટે ગીતો ગાવાના પ્રસંગો પણ વધતા જતા જોવા મળશે.

    મેરા અમ્મી સે પ્યાર રહે – લુટેરા (૧૯૫૫) – સબીતા બેનર્જી સાથે – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતઃ સી રામચંદ્ર

    અહીં આશા ભોસલે ‘અમ્મી’ તરીકે ગાય છે તો સબીતા બેનર્જી દીકરી તરીકે સ્વર પુરાવે છે.

    દિલ કો લગા કે હુઝુર હમ હુએ મઝબુર – રૂખ્સાના (૧૯૫૫) – ગીતકારઃ કુમાર બારાબંક્વી – સંગીતઃ સજ્જાદ હુસ્સૈન

    કોઠાનાં ગીતો ગાવા માટે જેમને ટાઈપકાસ્ટ કરી દેવામાં આવ્યાં એવાં મુબારક બેગમ સાથે આશા ભોસલે કોઠાનું સ્ત્રી – સ્ત્રી યુગલ ગીત ગાય છે.

    આંખ લડતે હી દિલ ક્યા બદલા, દુનિયા બદલી – પન્ના (૧૯૫૬) – રેખા સબનીસ સાથે – ગીતકારઃ બી ડી મિશ્રા – સંગીત એસ એન ત્રિપાઠી

    રાજા મહારાજાઓના સમયકાળના વિષયોની ફિલ્મોમાં રાજ દરબારમાં કમ સે કમ એક તો સ્ત્રી સ્ત્રી નૃત્ય ગીત હોવું જોઈએ એ વણલખ્યો નિયમ બની ગયો જણાય છે.

    મી હો મરાઠા, હું છું ગુજરાતી – હમ પંછી એક ડાલ કે (૧૯૫૭) – સુમન કલ્યાણપુર સાથે – ગીતકારઃ પી એલ સંતોષી – સંગીતઃ એ દત્તા

    દેશની સંસ્કૃતિનાં વૈવિધ્યમાં એકતા કેટલી સહજ છે તે દર્શાવવા માટે એક નૃત્ય નાટિકા ભજવાય છે.

    આડવાત :

    ખરેખર તો આશા ભોસલે – સુમન કલ્યાણપુરનું ૧૯૫૫નું યુગલ ગીત,  પનઘટ પે ચલી સવાર ગોરી (શ્રી ગણેશ વિવાહ – ગીતકારઃ જી એસ નેપાલી – સંગીતઃ ચિત્રગુપ્ત) આ સ્થાને હોવું જોઈએ. પરંતુ આ ગીત નેટ પર મળ્યું નથી.

    આશા ભોસલેનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથેનાં સૌ પ્રથમ યુગલ ગીતની ખોજમાં સ્વાભાવિક છે કે આશા ભોસલેની કારકિર્દીના આ તબક્કાનાં ગીતો પણ આપણે ખાસ સાંભળ્યાં ન હોય; એટલે આપણે અહીં હજુ એક વિરામ લઈએ કે જેથી આ ગીતોને સારી રીતે મમળાવી શકાય.

  • ઘાટ ઘડીયા પછી નામ-રૂપ ઝૂજવાં

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    ઘાટ ઘડીયા પછી નામ-રૂપ ઝૂજવાં
    અંતે તો હેમનું હેમ હોએ

    નરસૈંયો ભક્ત હરિનો.

    તમામ માનવીઓ તો એક જ તત્વથી બન્યા છે. અપાયેલાં નામો તેને નોખા પાડે છે. સમજાય તો ઝાઝા ઝઘડાઓ આવાં નામોનાં છે. આ વાત સમજાવતી એક મજેદાર કહાની છે.

           ધર્મધ્યાનમાં વિશેષ રુચિ રાખતી કુંવરી તરફ રાજાની બહુ અનુકંપા નહોતી. દરેક ધર્મમાં રાજાને કોઇ ને કોઇ ખામી જ જણાતી હતી. આત્મોદ્ધારની આકાંક્ષા હોવા છતાં ફરી વળેલાં બધાં તીર્થસ્થાનોમાં યે બધે તેને ગંદકી જ ભળાતી હતી. પિતાનું ધ્યાન સ્વધર્મમાં સ્થિર થાય તેવા પ્રયત્નોમાં રાજકુંવરી હતી.

           એમાં તેને એક અનુકૂળ પ્રસંગ હાથ લાગી ગયો. નગરમાં એક નામી સંત પધાર્યા હતા.રાજકુંવરીએ તેની પધરામણી રાજમહેલમાં કરી. તેનો સંગ તેણે પિતાજી સાથે કરાવ્યો. સંતશ્રીએ રાજવીને પૂછ્યું, “આપને શ્રેષ્ઠધર્મ વઇશે જાણવું છે ને ?  તો આપને ગામની બહાર જે નદી વહે છે તેના સામે કિનારે મારી સાથે આવવું પડશે. ત્યાં હું આપને શ્રેષ્ઠધર્મનું જ્ઞાન આપીશ.” રાજવી તો તરત તૈયાર થયા છે અને રાજવીનો હુકમ થયા ભેળી નદી પાર કરવા કેટલીય નૌકાઓ હાજર થઈ ગઈ ! પણ સંતે રાજાને રોક્યા, અને કહ્યું, “ “આ નૌકા તો જૂની છે, આ નૌકા તો કાળી છે, આ હોડી તો સાવ નાની છે, અરે ! આ નૌકામાં તો છીદ્ર હોય તેવી શંકા છે,- આવી નૌકાઓ તો ડુબાડી જ મારે ને ?“ સંતને બસ આવું જ કહ્યા કરતા સાંભળી રાજવીએ તેમને સમજાવ્યું.  “અરે બાપજી ! આટલી નાની એવી નદી છે, ગમે તે એક નૌકામાં બેસીશું તો પણ ઘડીકમાં સામેપાર પહોંચી જઈશું. એમાં આટલી બધી ખોટ-ખામીઓ દર્શાવો છો તે બરાબર નથી.”

              ત્યારે સંત હસી પડ્યા અને કહ્યું કે “ રાજવી ! આ જ મારો તમને જવાબ છે ! તમે એ ધર્મરૂપી દૂધમાંથી પૂરા શોધવાનું – પડતું કરો અને કોઇ પણ એક ધર્મ પકડી લ્યો ! બધા જ ધર્મોનો આશય સંસાર સાગર તરી જવાનો છે. બધા જ ધર્મો સાધનાના સાધન છે.”

            મારા કૃષક ભાઈઓ-બહેનો ! આ ઉદાહરણ આપી મારે એ વાત કહેવી છે કે આપણે ખેડૂતો પણ પેલા રાજવીની જેમ “આ ખેતી પદ્ધત્તિમાં આટલી ખામી છે”, “આ પદ્ધત્તિમાં તો બહુબધી નબળાઇઓ છે”, “આ પદ્ધત્તિમાં તો સિદ્ધાંત જેવી કોઇ વાત જ નથી. આમાં તો બધું આડેધડ ચાલે છે,” “આના કરતા અમારી પદ્ધત્તિ ઉત્તમ ગણાય” એવું કહી, એકબીજાને નસેડવાનું બંધ કરીએ. કારણ કે “સજીવખેતી” કહીએ કે “જૈવિકખેતી” કહીએ, અરે ! ‘ઓર્ગેનિક ફાર્મિંગ” જેવું નામ આપી સંબોધન કરીએ કે “ઋષિખેતી”, “પ્રાકૃતિકખેતી” કે ભલેને “ગાય આધારિત ખેતી” કહીએ. આ બધી જ પદ્ધત્તિઓનો હેતુ બસ એક સમાન જ છે, શુભ જ છે.

    બધી પદ્ધત્તિઓનો મૂળ હેતુ :  આ બધી જ પદ્ધત્તિઓ બસ રસાયણ મુક્ત ખેતી કરવાની જ વાત કહી રહી છે. હાલની પારંપારિક ખેતીમાં ખેતીપાકની પોષણપૂર્તિ માટે “રાસાયણિક ફર્ટિલાઇઝર્સ”, ખેતીપાકના રોગ-જિવાત સામેના રક્ષણ વાસ્તે વપરાતી “ઝેરીલી પેસ્ટીસાઈડ્ઝ” અને નિંદણનાશ તથા શાકભાજી-ફળફળાદિ-મરીમસાલાના પાકોમાં તેના જીવનચક્રને કૃત્રિમરીતે તોડફોડ કરનારા હોર્મોંસનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે બધાના હિસાબે જમીનનું બંધારણ બગડી રહ્યું છે, તેની જીવંતતા નષ્ટ થઈ રહી છે, તેની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઓટ ઊભી તઈ રહી છે. તથા પાણીના તળ તૂટી રહ્યા છે, ઝેરી બની રહ્યા છે. અરે, પર્યાવરણને ન પૂરી શકાય તેટલું નુકશાન થઈ રહ્યું છે, ઉપરાંત ખેતર-વાડીઓમાં જે ઉત્પન્ન થઈ રહ્યું છે, તેને આરોગવાથી જીવજગતની તંદુરસ્તી જોખમમાં મૂકાવા લાગી છે. આવાં બધાં તારણો હાથ લાગ્યાં પછી-આ બધી બદીઓમાંથી છૂટકારો મેળવવા ઉપરાંત ખેતીમાંથી ઓછા ખર્ચથી નરવ્યું અને વધારે ઉત્પાદન મેળવવું હોય તો કેવા પ્રકારની ખેતી પદ્ધત્તિ અપનાવી હોય તો આ બધા હેતુઓ સુપેરે પાર પડે ? એ માટે થઈને કેટલાક દ્રષ્ટિસંપન ખેડૂતો, વિજ્ઞાનીઓ, પ્રયોગવીરો અને શુભચિંતકોના પ્રયોગગૃપ દ્વારા આ બાબતે જે અનેકવિધ અખતરા-પ્રયોગો થઈ રહ્યા છે તે પ્રયોગપદ્ધત્તિને આવાં જુદાં જુદાં નામો અપાયાં છે. આ બધી જ પદ્ધત્તિઓનો બસ “રાસાયણિક ખેતીની ચુંગાલમાંથી છૂટવું” એ એક જ આશય રહ્યો છે.

    એક નાનકડું ઉદાહરણ : માની લો કે આપણે ૫૦ ખેડૂત જુવાનિયા ગિરનારના ઊંચા શીખરે બિરાજમાન અંબાજીની ટુંકના દર્શને જવા નીકળ્યા. તળેટીમાં જઈ પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે શીખર ઉપરે તો “રોપ વે” દ્વારા, “ડોળી દ્વારા”, “પગથિયા દ્વારા” અને “કેડી” દ્વારા-એમ ચાર રીતે ચડી શકાય છે. બધાને મનગમતી રીતે શીખર ચડવાની છૂટ હતી. એક ટુકડી કહે અમારે તો રોપવે દ્વારા પહોંચવું છે. બીજી ટુકડી ડોળીઓમાં બેસી ઉપર જવા તૈયાર થઈ. ત્રીજી ટીમના યુવાનોએ ચણતર કરી બાંધેલ પગથિયા ચડીને ઉપર પહોંચવાનું નક્કી કર્યું. જ્યારે કેટલાક સાહસિક અને મક્કમ મનોબળ વાળા યુવાનો નીકળ્યા કે જેમણે વાંકીચુંકી પગદંડીએ પગપાળા ચાલીને જ ઉપર પહોંચવાની હોંશ દેખાડી.

          આપણે જોયું કે આ યુવાનોમાં દરેકના શીખર ચડવાના રસ્તા જુદા જુદા હોવાછતાં દરેકનો હેતુ બસ એક જ રહ્યો કે અંબાજીની ટુકના દર્શને પહોંચવું. આમાં આપણે કોઇ એવું થોડા કહી શકવાના કે “કેડીએ કેડીએ ચાલીને” કે “પગથિયા ચડીને” દર્શને જવું એ બરાબર નથી. દર્શને તો બસ, “રોપવે દ્વારા” જઈએ તો જ સાચા દર્શન થયા ગણાય ? બસ, આવું જ ત્રણ-ચાર નામધારી ખેતી પદ્ધત્તિઓ આવી વિશિષ્ટ રીતથી ખેતી કરવાના પંથે આગળ વધી રહી છે તે સૌનું ધ્યેય બસ એક જ રહ્યું છે કે આ રાસાયણિક ખેતીની નાગચૂડમાંથી કેમ છૂટવું ? બધી જ પદ્ધત્તિના શુભ આશય  વિશે થોડી વિગત જાણીએ.

    [અ]….સજીવખેતી પદ્ધત્તિ : છેલા ૩૦-૩૫ વરસોથી માત્ર ગુજરાત રાજ્ય જ નહીં, પણ અન્ય રાજ્યોમાં અને દેશ લેવલે આ પદ્ધત્તિનો વ્યાપ કેમ વધે તે વાસ્તે ખેડૂત અને ઉપભોક્તાને જાગૃત કરવા અનેક જાતના પ્રચાર-પ્રસારના કાર્યક્રમો-નિદર્શનો-પ્રદર્શનો-સભા-સંમેલનો-સાહિત્ય પ્રચાર અને જણસીના વેચાણકેંદ્રો જેવા અનેકવિધ કાર્યક્રમો વડોદરામાં આવેલ “જતન ટ્રસ્ટ” [શ્રી કપીલભાઇ શાહ] દ્વારા ચલાવાઇ રહેલ છે. જેમાં ખેતીપકના જી.એમ.બીજ, રાસાયણિક ફર્ટિલાઇઝર્સ, ઝેરીલી પેસ્ટીસાઇઝ અને નિંદણનાશક રસાયણો તથા વિવિધ પ્રકારના હોર્મોંસ થકી થઇ રહેલાં નુકશાન સમજાવી, સામે દેશી તથા સંકર બીજના ઉપયોગની સાથે પાકની ફેરબદલી, મિશ્રપાક, લીલો પડવાસ, કઠોળ વાવેતર, ગોપાલન અને કંપોસ્ટ ખાતરની ભેર, અળસિયાં પાલન, સૂર્યપ્રકાશ અને કુદરતી સ્ત્રોતોની મદદ, વૃક્ષ ઉછેર, તથા જળસંચય અને પાણીનો વિવેકસભર વપરાશ, ગોબર-ગોમુત્ર અને વાનસ્પતિક પાક રક્ષકો, મિત્ર કીટકોનો ઉછેર, ફેરોમેન ટ્રેપ, પ્રકાશપિંઝર, પંખીવસાહત, અને વાડી ફરતી જીવંતવાડ જેવાં અનેકવિધ કાર્યક્રમોના અમલ થકી  એક આખો જીવંતમાહોલ ઊભો કરી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા ઉપરાંત બિનઝેરી ઉત્પાદન તૈયાર કરી સારાએ સમાજને ચરણે ધરનારી અને ખેડૂતને પણ પ્રમાણમાં ઓછા ખર્ચથી તેમની મહેનતનું વ્યાજબી વળતર મળી રહે અને ઉપભોક્તાને અહિંસક પોષક આહાર મળી રહે તે અંગેની ચિંતા સેવનારી જે પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે તે પદ્ધત્તિને આપણે “સજીવખેતી” જેવા નામથી ઓળખીએ છીએ. આવી ખેતીને કેટલાક “પ્રાકૃતિક ખેતી”,”જૈવિકખેતી” કે ‘ઓર્ગેનિક ફાર્મિંગ”ના નામથી પણ સમ્બોધતા હોય છે.

    જમીન વિજ્ઞાનીઓનો અભિપ્રાય : જમીન વિજ્ઞાનીઓનું એવું તારણ છે કે ખેતર-વાડીની જમીનની અંદર કઠ્ઠણ સ્વરૂપે પડી રહેલા ખનીજ ઘટકોમાંથી તત્વો ખેંચવાનું કામ વનસ્પતિના મૂળિયાં માટે ઘણું અઘરું છે. પણ આ કઠ્ઠણ કામ જમીનની અંદર રહેલા બેક્ટેરિયાને બહુ ફાવે છે. પણ એ બેક્ટેરિયાની સંખ્યા ઘણી ઓછી પડે છે. એ બેક્ટેરિયાની સંખ્યા જો વધારી દેવામાં આવે તો એ બધા બેક્ટેરિયા ખુબ બધા ખનીજોને ખાઇ ખાઇ એવા સુપાચ્ય રસ સ્વરૂપે બનાવી દે છે કે હવે મૂળિયાં એ બધું આસાનીથી ચૂસી શકે છે. એ બધા જ બેક્ટેરિયા ખુબ ખનીજો ખાઇ, પોતે તગડા બની જ્યારે મરી [આયુષ્ય સાવ ટુંકું હોઇ] જાય છે, ત્યારે તે મૃત પદાર્થો ખેતી પાકનાં મૂળિયાં માટે મિજબાની સમાન હોય છે. આવા ઉપયોગી બેક્ટેરિયાની સંખ્યા દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સુધીની હોય છે.

    એક ખાસ વાત : મહારાષ્ટ્રના વિજ્ઞાની ડૉ. આનદ કર્વે એ એક પ્રયોગ કરેલો. ૧ કિલો વાડીની માટી લઈ તેમાં પાણી સાથે માત્ર અરધો ગ્રામ શુદ્ધ સાકર નાખી જોઇ. તો એ માટી માહ્યલા બેક્ટેરિયાની સંખ્યા ૨૪ કલાકમાં ૫૦૦ ગણી વધી ગયેલી જોઇ. જ્યારે ગાયના ગોબરમાં તો માટી કરતાં પણ અનેકગણા જીવાણું હોય છે. પણ એ ગોબર-ગોમુત્રમાં ખોરાકરૂપી શર્કરા-એટલે કે ગોળ-શેરડીનો રસ કે પાકાં ફળો જેવાનું ગળપણ અને સાથે પ્રોટીનયુક્ત શક્તિ અર્થે કોઇપણ કઠોળનો લોટ ઉમેરાય તો જીવાણુની સંખ્યા અધ..ધ અનેકગણા ગુણાંકમાં વધી જાય. અને હવે આવું દ્રાવણ પાકને આપવાનું ગોઠવ્યું હોય તો બીજા કોઇ પદાર્થોના ઉપરથી ઉમેરણની જરૂર રહેતી નથી.

    [બ] ગાય આધારિત સુભાષપાલેકર – આધ્યાત્મિક ખેતી:    મહારાષ્ટ્રના ખેડૂત પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ ખેડૂતોને રાસાયણિક ખેતીની ચુંગાલમાંથી મુક્ત કરવાની જે શોધ ચાલુ કરી તેના પાયામાં [૧] બીજામૃત,[૨]જીવામૃત [૩]આચ્છાદન [૪]બાષ્પ.આ ચાર ફેક્ટરના ઊંડા અભ્યાસમાંથી એવો સુજાવ મળી ગયો.કે જેમાં રાસાયણિક ફર્ટિલાઇઝર નાખવાની તો જરૂર ન જ પડે, પણ ગાડામોઢે ગોબરયુક્ત ખાતરો પણ નાખવાની જરૂર ન પડે ! સતત ૬ વરસના સંશોધન કાર્ય બાદ તેમને માલુમ પડ્યું કે જો ખેડૂત પાસે એક દેશી ગાય હોય તો તે પોતાની ૩૦ એકર જમીનમાં અન્ય કોઇ ખાતરરૂપી પદાર્થના ઉમેરણ વિના માત્ર ગાયના ગોબર-ગોમુત્ર સાથે કેટલાક પદાર્થોના સહયોગથી પાકના પોષણ અને સંરક્ષણની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય છે. આ વાતને વ્યવહારમાં મૂકવા તેમણે એક ૨૦૦ લીટર પાણી ભરેલા બેરલમાં ૧૦ કિલો દેશી ગાયનું ગોબર, ૧૦ લીટર ગોમુત્ર, ઉપરાંત ૨ કિલો ગોળ અને ૨ કિલો કોઇપણ કઠોળનો લોટ તથા ખોબો ભરી શેઢાપાળાની માટીનું ઉમેરણ કરી, બેરલને છાંયડે રાખી, ત્રણથી સાત દિવસ લાકડીના દંડાથી સવાર-સાંજ હલાવતા રહી જે દ્રાવણ તૈયાર થયું તેને  “જીવામૃત” એવું નામ આપ્યું. આવું દ્રાવણ મહિનામાં એક વાર એક એકરમાં પાણી સાથે પાઈ દેવાથી પાકની ખોરાકી જરૂરિયાત સંતોષાઇ જાય છે. અને આ જ રીતે ગાયના ગોબર-ગોમુત્ર થકી બનતું સુકું-ઘન જીવામૃત તથા અન્ય પદાર્થોના ઉમેરણ થકી બીજ માવજત માટે “બીજામૃત”, ચૂસિયાં અને નાની ઇયળો માટે “નીમાસ્ત્ર”, મોટી ઇયળો માટે “બ્રહ્માસ્ત્ર” તથા ફળઝાડો-અને ફળોમાં નુકશાન કરતી  માટે “અગ્ન્યાસ્ત્ર” તથા બધા જ પ્રકારની નુકશાન કારક જીવાતો માટે દસપર્ણીઅર્ક” જે કેટલાક લીમડો, સીતાફળી, કરંજ, કરેણ, ધતુરો, બીલી, આંકડા જેવી વનસ્પતિના સહયોગ થકી ઓછા-વધુ પ્રમાણ રાખી પાક પર છંટકાવ અને ફુગ માટે છાશની આશનો છંટકાવ અક્સીર ઉપાય લાગ્યો છે. આ બધી બાબતોમાં કેંદ્રમાં “ગાય” હોઇ, ”ગાય આધારિત સુભાષ પાલેકર આધ્યાત્મિક ખેતી” નામ અપાયું છે.

    [ક] માત્ર બેક્ટેરિયલ કલ્ચર થકી થતી ખેતી પદ્ધત્તિ  નેશનલ સેંટર ઓફ ઓર્ગનિક ફાર્મિંગ કો-ઓપરેશન-ગાજિયાબાદ થકી બહાર પાડેલ “વેસ્ટ ડી કમ્પોઝર” કે જેમાં અનેકવિધ વનસ્પતિઓમાંથી ઉપયોગી બેક્ટેરિયા એકઠા કરી, તેને ફ્રોજન કરી એક નાની બોટલમાં સંગ્રહિત કરેલા હોય છે. ૨૦૦ લીટર પાણીમાં આ એક બોટલ માહ્યલા સુષુપ્ત બેક્ટેરિયાના જથ્થા સાથે માત્ર ૨ કિલો ગોળ ઉમેરી, છાંયડે રાખી, રોજ સવાર-સાંજ દ્રાવણને લાકડીના ડંડાથી હલાવતા રહી- પાંચ સાત દિવસે જ્યારે દ્રાવણ કેસરી રંગ પકડે ત્યારે 1 એકરમાં પાણી સાથે મહિનામાં બે વાર પાઇ દેવાનું. પછીથી નવું દ્રાવણ બનાવવા તૈયાર દ્રાવણમાંથી ૨૦ લીટર દ્રાવણ લઈ, ૨૦૦ લીટર પાણીમાં ૨ કિલો ગોળ સાથે ઉમેરી દેવાથી કામ ચાલી રહે છે. નવું બેક્ટેરિયલ કલ્ચર ઉમેરવાની જરૂર પડતી નથી.. આ રીતે જોઇએ એટલા બેરલ તૈયાર કરી શકાય છે. વળી આ જ દ્રાવણ પાક સંરક્ષણ અર્થે ખેતીપાકો પર છંટકાવ કરવામાં અને કાચા –કુચાવાળા સેન્દ્રિય ખાતરને સેડવીને કમ્પોસ્ટીંગ કરવાના કામમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.

         અને ઉત્તમ અને કમ ખર્ચાળ ખેતી કરવા માટે કોઇ રાસાયણિક ફર્ટિલાઇઝર અને ઝેરીલી પેસ્ટીસાઇડ્ઝની જરૂર ન પડે તેવો હેતુ પારપાડનારા “ગો-કૃપા અમૃતમ-બેક્ટેરિયા” બંસી ગીર ગોશાળાવાળા શ્રી ગોપાલભાઇ સુતરિયા દ્વારા બહાર પડાયા છે. તેનાં પરિણામો પણ ઉત્તમ મળી રહ્યાં છે, અરે ! ખેડૂત અને ખેતીને ખુબ જ લાભદાયી પુરવાર થઇ રહ્યા છે.

    અંતે..: જળ જમીન અને પર્યાવરણની સુરક્ષાની સાથોસાથ જીવજગતને ગુણવત્તા યુક્ત આહાર આપી શકાય અને પ્રમાણમાં કમ ખર્ચથી વધુ ઉત્પાદન પણ મેળવી શકાય એવી પદ્ધતિનો વ્યાપ વધે તો જ ખેડૂત, ખેતી અને જન સમાજ શાંતિથી ટકી શકે. આવા હેતુ સર  અમલમાં આવી રહેલી આ ખેતીની જુદી જુદી પદ્ધતિઓ બધી સમાન ધ્યેયવાળી અને ભગિની પદ્ધતિઓ છે. આમાં કોઇ ઉંચ કે નીચ નથી. બધી શુભ જ છે. આ બધી જ પદ્ધતિઓની ખોજ અને એના પ્રચાર-પ્રસારમાં લાગેલા સૌ મહાનુભાવો-ખેડૂતો-વિજ્ઞાનીઓ અને પદ્ધતિને અમલમાં મૂકી ખેતી કરનારા સૌ ખેડૂત ભાઇ-બહેનો બધા જ વંદનના અધિકારી છે. સૌએ છાતી માથે હાથ રાખી નક્કી બસ એટલું જ કરવાનું છે કે ભૂલમાંયે આપણા કોઇમાંથી ક્યારેય “આ પદ્ધત્તિ ઉત્તમ છે” અને “પેલી પદ્ધત્તિ ઉતરતી કક્ષાની છે” એવું વિધાન કે ચર્ચા-વેણ આપણા મુખમાંથી નીકળવા ન જોઇએ. એવું થયા કરશે તો આમાંની કોઇ ને કોઇ પ્રયોગપદ્ધતિને જબરો અન્યાય થઈ બેસશે હો મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • તુઈ: જૂના વૃક્ષોનો રંગીન રહેવાસી

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    ભારતના જંગલો અને શહેરોને રંગીન બનાવતા અનેક પક્ષીઓમાં Plum-headed Parakeet એટલે કે ગુજરાતીમાં “તુઈ” તરીકે ઓળખાતું સુંદર અને નયનરમ્ય પક્ષી છે. ઘણી વાર તે વૃક્ષોની ટોચ ઉપરથી ઝડપથી ઊડતા જ દેખાય છે અને તેની તીક્ષ્ણ સીટી જેવી કિલકારીઓથી પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. તેનો અવાજ સંભાળીએ તો જાણે તે “તુઈ-તુઈ” બોલતું હોય તેવું લાગે જેથી તેનું ગુજરાતી નામ તુઈ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે મળતા સુડો પોપટની સરખામણીએ તે ઓછો નજરે પડે છે, પરંતુ તેની સૌમ્ય સુંદરતા અને રંગોની અનોખી ભવ્યતા તેને ખાસ બનાવે છે.

    [લાલાશ પડતો જાંબલી રંગ ધરાવતા નર અને રાખોડી જાંબલી ધરાવતા માદા તુઈ માણસો દ્વારા આપેલું અનાજ ચણતા]
    તુઈ મધ્યમ કદનો પોપટ છે, જેના શરીરનો મુખ્ય રંગ લીલો હોય છે અને તેની લાંબી પૂંછડીમાં આસમાની-વાદળી છાંટ જોવા મળે છે. આ પક્ષીની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં સ્પષ્ટ લૈંગિક ભિન્નતા (sexual dimorphism) જોવા મળે છે. પુખ્ત નરના માથા પર ઘાટો ગુલાબી-જાંબલી રંગ હોય છે, ગળા પાસે કાળી પટ્ટી અને ચહેરા આસપાસ વાદળી આભા જોવા મળે છે. માદાનું માથું રાખોડી-જાંબલી રંગનું હોય છે અને તેમાં નર જેવી ગાઢ ગળાની પટ્ટી જોવા મળતી નથી. બન્નેમાં પીળાશ પડતી ચાંચ અને લાંબી આકર્ષક પૂંછડી હોય છે. નાનાં પક્ષીઓ શરૂઆતમાં માદા જેવા દેખાય છે અને નર વધતા વધતા તેનું વિશિષ્ટ જાંબલી માથું વિકસાવે છે.

    [નર તુઇ પોતાના બચ્ચાને ચાંચ દ્વારા ફળ ખવડાવતું]
    આ પક્ષી સુકાં પાનખર જંગલો, ખુલ્લાં વૃક્ષવાળા વિસ્તારો, ખેતરો, બાગો, નદીકાંઠાના જંગલો અને શહેરોના હરિયાળા વિસ્તારોમાં વસવાટ કરે છે. તુઈ માનવ વસાહતોની નજીક પણ સારી રીતે અનુકૂલન કરી લે છે, જો ત્યાં જૂના અને મોટા વૃક્ષો ઉપલબ્ધ હોય. ખાસ કરીને કુદરતી પોલાણ ધરાવતા વૃક્ષો તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ આવા પોલાણમાં માળો બનાવે છે.

    ગુજરાતમાં તુઈનું વિતરણ સૌરાષ્ટ્ર, ગીર વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને હરિયાળા શહેરી વિસ્તારો સુધી ફેલાયેલું છે. તે ઘણીવાર જંગલની ધાર, ગામડાંઓ, વાડીઓ, ખેતીવાડી પ્રદેશો અને શહેરોના બગીચાઓમાં જોવા મળે છે, ખાસ કરીને જ્યાં ફળ આપતાં વૃક્ષો વધુ હોય. ભલે તે રોઝ-રિંગ્ડ પેરાકિટ એટલે કે સૂડો પોપટ જેટલો સામાન્ય ન હોય, પરંતુ ઘણા વિસ્તારોમાં નાનાં ટોળાં નિયમિત રીતે સવાર અને સાંજના સમયે ખોરાક અને વસવાટ માટે અવરજવર કરતા જોવા મળે છે.

    વર્તનમાં તુઈ અત્યંત સામાજિક પક્ષી છે. તે સામાન્ય રીતે જોડીમાં અથવા નાનાં ટોળાંમાં જોવા મળે છે, જોકે ખોરાકની ઉપલબ્ધતા વધારે હોય ત્યારે મોટા જૂથોમાં પણ ભેગાં થાય છે. તેની ઉડાન ઝડપી અને સીધી હોય છે, અને તેની ધાતુ જેવી તીક્ષ્ણ કિલકારીઓ તેને દેખાયા પહેલાં જ ઓળખાવી દે છે. ખોરાક લેતી વખતે તે તેની વાંકી ચાંચ અને પગની મદદથી ડાળીઓ પર અદભુત ચપળતા દર્શાવે છે. તેનો મુખ્ય ખોરાક ફળો, બીજ, ફૂલો, જંગલી બેરીઓ અને ક્યારેક પાકના દાણા હોય છે. ફૂલધારી વૃક્ષો પર ખોરાક લેતાં તે ક્યારેક પરાગસંચારમાં પણ મદદરૂપ બને છે.

    [નર તુઇ વડના ટેટા ખાય છે]
    પર્યાવરણની દૃષ્ટિએ તુઈ અત્યંત મહત્વપૂર્ણ પક્ષી છે. ફળો ખાઈને તેના બીજને અલગ-અલગ સ્થળે ફેલાવીને તે જંગલોના કુદરતી પુનર્જીવનમાં મદદ કરે છે. ઘણા શિકારી પક્ષીઓ માટે તે ખોરાકનો ભાગ પણ બને છે, એટલે ખોરાક જાળમાં પણ તેની અગત્યની ભૂમિકા છે. જૂના વૃક્ષો પર તેની નિર્ભરતા દર્શાવે છે કે તે સ્વસ્થ જંગલ અને શહેરી પર્યાવરણનો એક સારો સંકેતક પક્ષી છે.

    તુઈની એક રસપ્રદ વાત એ છે કે હવે તે ધીમે ધીમે એક “શહેરી પક્ષી” થતું જાય છે. ભારતના અનેક શહેરોમાં તે રસ્તા કિનારાના વૃક્ષો, બગીચાઓ, કોલેજ કેમ્પસ અને રહેણાંક વિસ્તારોની હરિયાળીનો ઉપયોગ કરીને માનવો સાથે સહઅસ્તિત્વ શીખી રહ્યું છે. તેની હાજરી આપણને યાદ અપાવે છે કે શહેરોમાં રહેલી જૂના ઝાડ; વડ, ઉંબરો, શેમડો, બિલી કે કેસુડા જેવા સ્વદેશી વૃક્ષોની હાજરી અનેક પક્ષીઓ, જીવજંતુઓ, ખિસકોલીઓ અને અન્ય જીવસૃષ્ટિને જીવન આપે છે.

    આજના ઝડપથી શહેરીકરણ પામતા સમયમાં, જ્યારે સિમેન્ટ અને કોંક્રીટ હરિયાળીને બદલી રહ્યા છે, ત્યારે સાંજના આકાશમાં ઊડતી તુઈની ઝલક આપણને યાદ અપાવે છે કે કુદરત હજી પણ આપણા આસપાસ જીવંત છે. “તુઈ” માત્ર એક સુંદર રંગબિરંગી પોપટ નથી તે સહઅસ્તિત્વ, અનુકૂલન અને કુદરતની મધુર સુંદરતાનું જીવંત પ્રતિક છે.

    તુઇનો એક વિડિઓ જેમાં તેનો મધુર અવાજ અને વર્તન જોવા મળે છે!

     


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • પ્રસૂતાઓનાં મૃત્યુ સૂચવે છે કે હજી આપણે લાંબો પંથ કાપવાનો છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સ્વાસ્થ્ય અને શિક્ષણ કોઈ પણ રાજ્યવ્યવસ્થાની પાયાની જરૂરિયાત છે. આ બન્ને ક્ષેત્રો એવાં છે કે જેમાં પરિણામ લાંબે ગાળે મળે. આથી તેના અંગેની નીતિઓ કે માળખાકીય બાબતોને તૈયાર કરતાં ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. વખતોવખત તેની પુન:ચકાસણી કે પુનર્મૂલ્યાંકન કરતાં રહેવું જરૂરી બની રહે છે.

    યુ.કે.ના અતિ પ્રતિષ્ઠિત ગણાતા સ્વાસ્થ્ય સામયિક ‘ધ લાન્‍સેટ જર્નલ’માં સ્વાસ્થ્યસંબંધી વિવિધ વિષયોના અભ્યાસ પ્રકાશિત થતા રહે છે. આ અભ્યાસ નક્કર ક્ષેત્રીય વિગતોના આધારે કરવામાં આવે છે. હમણાં તેમાં પ્રસૂતાઓના મૃત્યુદર વિશેનો એક અભ્યાસ પ્રકાશિત કરાયો છે. એ આંકડા ૨૦૨૩ના છે. અભ્યાસ દર્શાવે છે કે વિશ્વભરમાં થતા પ્રસૂતાઓના મરણ પૈકી ૩૬ ટકા મરણ કુલ પાંચ દેશોમાં થાય છે. આ પાંચ દેશો છે: નાઈજીરિયા, ભારત, ઈથિઓપિયા, પાકિસ્તાન અને કેમેરૂન. બીજી રીતે કહીએ તો, પ્રસૂતાઓનાં થતાં મરણ પૈકી ત્રીજા ભાગનાં મરણ આ પાંચ દેશોમાં જ થાય છે અને આ જ ક્રમમાં. એટલે કે આપણા ભારત દેશનો તેમાં દ્વિતીય ક્રમ છે.

    વર્ષ ૨૦૨૩માં ભારતમાં કુલ ૨૪,૭૦૦ પ્રસૂતાઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જે નાઈજીરિયા પછીના ક્રમે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં કુલ બે લાખ ચાલીસ હજાર પ્રસૂતાઓ મૃત્યુ પામી હતી. એટલે કે કુલ એક લાખ બાળકોના જન્મ દરમિયાન ૧૯૦.૫ માતાઓનાં મરણ નીપજ્યાં. આશ્વાસન એટલું છે કે અગાઉ ૧૯૯૦માં આ પ્રમાણ ૩૨૧ મૃત્યુનું હતું.

    સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન.) દ્વારા ૨૦૧૫માં કુલ ૧૭ ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્‍ટ ગોલ્સ’ (એસ.ડી.જી.) નક્કી કરીને ફરજિયાત બનાવાયાં હતાં, જે પૈકીનું એક પ્રસૂતાઓના મૃત્યુદરમાં ઘટાડાનું પણ છે. એ મુજબ ૨૦૩૦ સુધી પ્રત્યેક એક લાખ બાળકના જન્મ દીઠ પ્રસૂતાના મૃત્યુનું પ્રમાણ ૭૦થી ઓછું કરવાનું લક્ષ્યાંક છે. મતલબ કે હજી લક્ષ્યાંકની સરખામણીએ આ મૃત્યુ દર ત્રણ ગણાથી સહેજ જ ઓછો છે.

    આ અભ્યાસમાં કુલ ૨૦૪ દેશોને આવરી લેવાયા હતા, જેમાં જણાયું હતું કે હજી એકસો ચાર દેશો આ લક્ષ્યાંક સિધ્ધ કરવાથી ઘણા ઘણા છેટે છે. આ દેશોમાં ઊપસહરા (સહરાના રણની દક્ષિણે આવેલો વિસ્તાર) અને દક્ષિણ એશિયાના દેશોનો સમાવેશ થાય છે. મૃત્યુનાં બે મુખ્ય કારણ જોવા મળ્યાં છે: રક્તસ્રાવ (હેમરેજ) અને ઊચ્ચ રક્તચાપ (હાઈ બ્લડપ્રેશર). આ આંકડા અને અભ્યાસનો અર્થ એ થયો કે ૨૦૩૦ સુધીમાં યુ.એન.નું લક્ષ્યાંક સિધ્ધ કરવું હોય તો તત્કાળ અને એકદમ કેન્‍દ્રિત પગલાં લેવાં પડે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ભારતમાં ૪૫ ટકા પ્રસૂતાઓનાં મૃત્યુ આ બે કારણોથી થાય છે. અલબત્ત, રક્તસ્રાવથી થતાં મૃત્યુનું પ્રમાણ ૧૯૯૦માં ૪૫ ટકા હતું, જે હવે ઘટીને ૩૩.૭ પર પહોંચ્યું છે, પણ ઊચ્ચ રક્તચાપથી થતાં મૃત્યુનું પ્રમાણ ૧૦ ટકાથી વધીને ૧૨.૧ ટકાનું થયું છે.

    બીજી એક ચિંતા પ્રસૂતિ દરમિયાન કે એ પછી તરત નહીં, પણ મોડાં થતાં  મૃત્યની છે, જે શિશુના  જન્મ પછીના ૪૩ દિવસથી એક વર્ષના સમયગાળાની અંદર થાય છે. આ પ્રમાણ વૈશ્વિક સ્તરે બમણું થઈને ૧.૩ ટકાથી ૩.૨ જેટલું થયું છે. આનો સીધો અર્થ એ થાય કે પ્રસૂતિ પછી રખાતી સંભાળમાં બેદરકારી દાખવવામાં આવે છે યા તેને સદંતર અવગણવામાં આવે છે.  પ્રસૂતિ કેવળ યોગ્ય રીતે સંપન્ન થાય એટલું પૂરતું નથી, એ પછીની સારસંભાળ પણ એટલી જ જરૂરી છે.

    ઊપસહરા પ્રદેશના દેશો પ્રસૂતાઓના મૃત્યુદરનું મુખ્ય કેન્‍દ્ર કહી શકાય. અહીંના વીસ પૈકીના પંદર દેશોમાં આ પ્રમાણ અતિશય વધુ છે.

    આપણા દેશની વાત કરીએ તો આ દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે એમ લાગે. ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ અંતર્ગત ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોની સગર્ભા મહિલાઓની દર માસની નવમી તારીખે શારિરીક તપાસ કરવામાં આવે છે. સરકાર દ્વારા આરંભાયેલી કોઈ પણ યોજનાની કાર્યક્ષમતા અને સફળતાનો આધાર સ્થાનિક પ્રશાસનની જોગવાઈઓ અને તેના ઈરાદા પર અવલંબિત હોય છે. વિવિધ યોજનાઓની ઘોષણા એક વાર કરી દેવાય છે, પણ તેના અમલીકરણ માટેની માળખાકીય સવલતો બાબતે પૂરતી તૈયારી કરાતી નથી.

    આમ છતાં, આ દિશામાં જેટલું પણ કામ થઈ શક્યું છે એ મહત્ત્વનું ગણાવી શકાય. આવા ગંભીર મામલે એવું આશ્વાસન લેવું તદ્દન ખોટું છે કે અમુકતમુક દેશની સરખામણીએ આપણે ત્યાં પરિસ્થિતિ ઘણી સારી છે. કેમ કે, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી મહત્ત્વની બાબતોમાં સરખામણી હંમેશાં આપણાથી પાછળ હોય એની સાથે નહીં, પણ આપણાથી આગળ હોય એની સાથે કરવાની હોય છે.

    અત્યારે પ્રચારનું જોર એવું છે કે એ ભલભલા સત્યને ઢાંકી શકે, એટલું જ નહીં, સાવ બદલી શકે. સરકારનું આખેઆખું તંત્ર સરકારની વિવિધ ક્ષેત્રે સફાળતા દર્શાવવા માટે કામે લાગેલું હોય છે. આથી સાચાખોટાનો ભેદ પારખવો મુશ્કેલ બની રહે છે. યુ.એન.ના નિર્ધારીત લક્ષ્યાંકને પાર પાડવા આડે હવે માંડ ચાર વરસ રહ્યાં છે. આપણા દેશમાં સ્વાસ્થ્યની સુવિધા અને પહોંચ છેવાડાના લોકો સુધી વિસ્તરે એ મહત્ત્વનું છે. કેમ કે, હજી ઘણા પ્રદેશો તેનાથી વંચિત છે. પ્રસૂતિ અંગેની સુવિધાઓ એકદમ પાયાની અને મૂળભૂત ગણાય. તેના અમલીકરણ અંગેની પ્રણાલિ સુદૃઢ અને હજી વધુ સુવિકસીત બને તો માતાઓના મૃત્યુદરને નિયંત્રણમાં લાવી શકાય. આ સંજોગોમાં આવા અભ્યાસ વિવિધ શાસકોને અંતર્દર્શનની તક પૂરી પાડે છે, જો એ કરવાની ઈચ્છા હોય તો.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૯-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : ભાષાઓમાં મુખ્ય, મધુર અને દિવ્ય ભાષા

    દેવિકા ધ્રુવ

    શ્લોકઃ                       

    भाषासु मुख्यामधुरा दिव्या गीर्वाणभारति । 
    तस्मात् हि काव्यं मधुरं, तस्मात् अपि सुभाषितम् ।।
     
    સમાસ વિભાજન અને  શબ્દશઃ ગુજરાતી અર્થ: 
    भाषासु= ભાષાઓમાં, मुख्या+मधुरा= મુખ્ય અને મધુર, दिव्या=દિવ્યगीर्वाण+भारति =વાણી,સંસ્કૃત
     
    तस्मात्=તેમાંहि=પણकाव्यं मधुरं= કાવ્ય મધુર છે. तस्मात् अपि=તેનાથી પણ વધુ सुभाषितम् =સુભાષિતો છે.
     
    શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
     
    ભાષાઓમાં મુખ્ય, મધુર અને દિવ્ય વાણી સંસ્કૃત છે અને તેમાં પણ કાવ્ય મધુર છે. અને તેનાથી પણ વધુ મધુર સુભાષિત છે.
     
    વિચારવિસ્તારઃ 
     
    આ શ્લોકમાં સુભાષિતોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિશ્વમાં ઘણી બધી ભાષાઓ છે અને તે દરેકને પોતપોતાનું સૌંદર્ય છે. તેમ છતાં એ પણ એક હકીકત છે કે, સંસ્કૃત ભાષા બધી ભાષાઓનું મૂળ છે તેથી મુખ્ય છે. દિવ્ય વાણી સંસ્કૃતમાં અવતરી હતી અને  તે ખૂબ જ મધુર છે. તેનાથી પણ વધુ કાવ્ય અને કાવ્યથી પણ વધુ મધુર સુભાષિતો છે.
     
    Sanskrit shlok in English script :
     
    Bhashaasu mukhyaamadhuraa divyaa girvaanbharati
    tasmaat hi kaavyam madhuram,tasmaat api subhaashitam.

    Word to word meaning in English:

    Bhashasu=In languagesmukhyaa=main, madhuraa=sweetdivyaa= divinegirvaan= language, bharati=Indian-sanskrit,

    tasmaat=In that, hi=also, kaavyam =poetrymadhuram=sweet tasmat=In that api= alsosubhaashitam= good quotes

    Translation in English:.
     

    Amongst languages, Sanskrit is the foremost, sweetest, and the most illuminating language.

    Within Sanskrit, the most melodious is its poetry. And within poetry, supreme are its Subhashitas,  the pearls of wisdom.


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com

  • સ્મૃતિસંપદા : ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ [૨]

    ગતાંકમાં આપણે ડૉ. ઇન્દુબેન શાહ કેવા સંજોગોમાં પરિવાર સાથે અમેરિકા “ઉતર્યા” તે જાણ્યું.
    હવે આગળ….

    છ અઠવાડિયા સુધી ડો. રંજનબેનના ઘેર રહ્યા પછી અમે two bedroom apt. in Norwood (subarb of Boston, MA) રહેવા ગયા.

    Residency મળતા મળતા બીજા સાડા ત્રણ વર્ષ પસાર થઈ ગયા. તે દરમ્યાન, રમેશ બે જોબ કરતા, સોમવારથી શુક્રવાર પાર્ટ ટાઇમ Respiratory therapist તરીકે અને શનિ–રવિ ઘરડાઘરમાં. થોડા વખત પછી ઘરડાઘરની નોકરી છોડીને private companyમાં Holter Moniter (ElectroCardioGram_ECG-reader) તરીકેની નોકરી શરુ કરી. સાથે સાથે રમેશને બ્રુકલિન(Brooklyn, MA)ની બેથ ઈઝરાયલ(Beth Israel) હોસ્પિટલમાં રિસર્ચ જોબ મળ્યો. ઓપોસમ (opossum-possum, a marsupial) અને મનુષ્ય જાતિના મોટા આતરડાના ગુદા ભાગના જ્ઞાનતંતુ સરખા છે તે સાબિત કરવાનું કામ તેઓએ કર્યું. This research work was accepted in American Physiology journal.

    અમેરિકામાં શાળા જુલાઈમાં શરુ થાય. ઉનાળાના વેકેશન દરમ્યાન હાઈસ્કુલના વિદ્યાર્થી થોડા ક્લાક જ્યાં મળે ત્યાં નોકરી કરે, તેના ફાયદા; બાળકોને વ્યવસાયનો અનુભવ મળે, પૈસાનું  મહત્વ સમજાય અને કોલેજની ફી માટે બચત કરીને બને એટલુ આત્મનિર્ભર  થઈ શકાય.

    અમારી મોટી દીકરી પારૂલને Franconiaની ફ્લુમ રેસ્ટૉરન્ટમાં ૪ કલાકની નોકરી મળી ગયેલ; નાની દીકરી શીતલ ઘર-કામમાં માસીને મદદ કરતી અને માસીની અમેરિકન બહેનપણીને ત્યાં થોડા કલાક બેબી સિટીંગ કરતી. એક દિવસ કપડા સુકવતા તેણીની આંખમાં આંસુ આવ્યા, મારી બહેનના સાસુ એ જોઈ ગયા;  ‘શીતલ અમેરિકામાં બધાએ ઘરકામ કરવું પડે, અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટર ચુંટણી હારી ગયા, અત્યારે વોશિંગટનનું  white house છોડી પોતાના ગામમાં ખેતી કરે છે. થોડા વર્ષ જ મહેનત કરવાની છે, તમારા મમ્મી-પપ્પા અંહીના ડાકટર થઈ જશે અને તમે બન્ને અહીંની કોલેજમાં ભણશો પછી કોઈ તકલીફ નહીં રહે.’ લેબર ડે પછી વેકેશન પુરું થયું, શાળાઓ ખુલી, બન્ને દીકરી ભારતમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલ છતાં અંગ્રેજી અને ગણીતની પ્લેસમેન્ટ પરીક્ષા લેવાઈ; બન્ને ને ૧૧માં અને ૯માં ધોરણમાં Admission મળી ગયું. ઘરકામમાં માસીને મદદ, બન્ને રાત્રે મોડે સુધી લેશન કરે, સવારે વહેલા ઊઠી શાળાએ જાય. પારૂલનો  GPA હંમેશા ૩.૫ અને ૪ વચ્ચે રહેતો. અમારી ગેરહજરીની સૌથી વધારે અસર શીતલના અભ્યાસમાં પડી રહી હતી. એક દિવસ ફોન કર્યો; સાધારણ વાત જ કરતા હતા; શીતલ રડી પડી, અમે કોઈ ઠપકો આપેલ નહી, છતા રડવાનું કારણ?  મારી આંખ ભીની થઈ એ જોઇ રમેશે નિર્ણય લીધો, આપણે Franconia જઈને દીકરીઓને અહીં (Norwood) લઈ આવીને Norwood highમાં દાખલ કરીએ.

    મારી બન્ને દીકરી ૧૨માં ધોરણમાં સારા GPA સાથે ઉતિર્ણ થઈ. પારૂલને ત્રણ વિષય, Physics, Chemistry & Biologyમાં ઈનામ મળ્યા. પારૂલના હાઇસ્કુલ ગ્રેજ્યુએશનમાં રમેશ હાજર નહી રહી શક્યા, કારણકે, મારો સૌથી નાનોભાઈ જયેશ ભારતથી immigration visa સાથે બોસ્ટન-હવાઈમથક એ જ સમયે આવવાનો હતો, તેને લેવા જવાની જવાબદારી મારા બનેવીએ રમેશને સોંપેલ, જેથી તેઓને ન્યુ હેમ્પશાયરથી ડ્રાઈવ ન કરવું પડે. અમને હાઈસ્કુલ-ગ્રેજ્યુએશનનું મહત્વ આ દેશમાં આટલુ બધુ છે, તેની ખબર નહી. મે જોયું, ત્યારે મને ખબર પડી; મારી દીકરી આટલા બધા સારા માર્કસ અને ત્રણ ઇનામ સાથે ઊતિર્ણ થઈ, મારી આંખ ભરાઇ આવી આનંદથી અને મારા પતિની ગેરહાજરીના દુઃખથી!!

    મને Walpoleની બેન્કના ટ્રાન્સિટ ડિપાર્ટમેન્ટમાં  Reconcilliator of incoming checks from regional banks તરીકે રાતના૧૦થી સવારના ૭ સુધી નોકરી મળેલ. મારા Supervisor સાથે એ બધા સરવાળા ફરીથી તપાસવાના, આ કામ કોઇ વખત વહેલું પતી જાય, કોઈ વખત થોડી પણ ભૂલ થઈ હોય તો અમારે સરવાળા (reconciliation) કરવા પડે. મારી  Supervisor ઈટાલિયન હતી, મારી મોઢે સરવાળા કરવાની રીતથી ખૂબ પ્રભાવિત થતી.  એક દિવસ મને કહે, “તું એક વર્ષ કોલેજમાં જા, બેન્ક તારી ફી ભરશે, તને Supervisorની નોકરી મળી જશે.”

    મારો જવાબ; હું ઈન્ડિયાની ડોકટર છું, મારે બે દીકરીઓને ભણાવવાની જવાબદારી છે. મે અહીંની હોસ્પિટલમાં Residency માટે અરજી કરેલ છે.” તેણીએ શુભેચ્છા પાઠવી. મારા Supervisor સાથેના  સારા સંબંધની મારી સાથે કામ કરતી અમેરિકન બહેનોને ઈર્ષા આવતી! લંચ બ્રેક વખતે કોઇ મારી સાથે બોલે નહીં. હું મારું લંચ ઢોકળા થેપલા ઓફર કરું તો પણ ના લે. ખેર, હું ભારતીય હોવાથી મારા વખાણ તેઓથી સહન ન થાય તે સ્વભાવિક છે!

    એક દિવસ સવારે નોકરી કરી ઘેર આવતી હતી, મને ઝોકુ આવી ગયું, મારી ગાડી રોડ નીચે ઘાસમાં જતી રહી. મારી પાછળ પોલિસની સાયરન વાગી, મેં જાગીને ફ્લેશર્સ ચાલુ કર્યા, ઊભી રહી, પોલિસ આવ્યો, મારું લાયસન્સ અને રજિસ્ટ્રૅશન આપ્યા. મને પુછ્યું; “Ms, do you know why did I stop you? …Yes I know, after night job, was drowsy, lost control and car went on grass!” પોલિસે મને ટિકીટને બદલે ચેતવણી આપી. “રાતનો જોબ કર પરંતુ દિવસે પુરતો આરામ કર જેથી ફરી વાર આવું ન થાય.”  મે બાહેંધરી આપી, ફરી આવી ભૂલ નહી થાય. આત્મવિશ્વાસથી સાચો જવાબ આપી દઇએ તો અમેરિકામાં પોલીસ પણ તમને માફ કરે. લેશન મળ્યું – ગભરાયા વગર સાચું બોલવું.

    રમેશને રીસર્ચ પેપરના આધાર પર બ્રુકલિનની મેમોનિડીસ હોસ્પિટલ (Maimonides Hospital in Brooklyn, (NY) માં જનરલસર્જરીમાં Residency મળી.પરંતુ, ત્રીજા વર્ષમાં as per pyramidal system (!) એડમિશન ન મળ્યું, કારણ, ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ(FMG) with skin color and age difference! જો કે, Anesthesia ડિપાર્ટમેન્ટના Head (Program Director) ભારતના ડો.શેવડે હતા
    જેમણે રમેશને Anesthesia-Resident તરીકે લીધા.

    ૬ મહીના પછી, મેં પણ, Methodist Hospital (Brooklyn, NY) માં એનેસ્થેસિયામા residency શરુ કરી.  એ દરમ્યાન મને ડિફિકલ્ટ કેસ પ્રેઝન્ટ કરવાની તક મળી. દર મહિનાના છેલ્લા શુક્રવારે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટની કોન્ફરન્સ થાય ત્યારે મેં Dificult intubation નો કેસ પ્રેઝન્ટ કર્યો;   બાળકના હ્રદયના ધબકારા મંદ થતા હતા, ઇમરજન્સી C-Section કરવાનું હતું. Spinal Anesthesia વધારે સમય લે તે શક્ય નહી હોવાથી General Anesthesia was the best choice under the circumstances. ટુંકી ગરદન, અને મોટાપણાને લીધે, મેં જે સ્કોપ હતો તેનાથી તુરત જ ૭ નંબરની ટ્યુબ શ્વાસનળીમાં નાખી ૧૦૦% પ્રાણવાયુ આપ્યો; રજીસ્ટ્રારે તરત સર્જરી શરુ કરીને હેમખેમ બેબીને અને માને બચાવી લીધા. આ પ્રેઝ્ન્ટેશનનો ઉલ્લેખ ડો ટેંપેસ્ટાએ (Head of Deptt.) મારા ભલામણ-પત્રમાં કરેલ.

    અમે બન્ને રેસિડન્સી કરતા હતા, ત્યારે, ચિ. પારૂલને BU (Boston University)માં અને ચિ. શીતલને NorthEastern Uni.માં પ્રવેશ મળ્યો. અમે બન્ને NYમાં, અને બન્ને દીકરીઓ Norwoodમાં ! ત્યાર બાદ, રમેશને CardioVascular & Thoracic Anesthesia-Felloship Baylor College of Medicine, Houston, TXમાં અને મને, Felloship in OB-GYN anesthesia મળવાથી અમે હ્યુસ્ટન move થયા.

    પારૂલને સમર વેકેશનમાં વ્યસ્ત રહેવા માટે બે જગ્યાએ પાર્ટ ટાઇમ કામ મળી ગયું, આ કામની કમાણી તેના ખાતામાં જમા થતી જે તેને BUની ફી ભરવા ઉપયોગી થઈ, તે વખતે એક વર્ષની ફી ૨૨૦૦૦ ડૉલર હતી. પારૂલને ૧૦૦૦૦ ડોલર દર વર્ષે સ્કોલરશીપ મળવાની હતી, બાકીના પૈસા તેણીના વર્કના અને અમારા તરફથી. અમેરિકામાં ૧૨ ધોરણ સુધીનું ભણતર મફત. કોલેજનું ભણતર ખૂબ મોંઘુ હોવાથી કોલેજના ભણતરનો લાભ બહુ ઓછા વિદ્યાર્થીઓને મળે છે.

    પારૂલના આગ્રહને માન આપી બા બાપુજી કોલેજ Graduation માં હાજરી આપવા અમેરિકા આવ્યા તેમના આશીર્વાદ અને પારૂલની મહેનતથી ન્યુયોર્કની મેડીકલ કોલેજમાં એડમિશન મળ્યું. ચારવર્ષની Medical કોલેજ કર્યા બાદ ડલાસની સાઉથવેસ્ટ યુનિવર્સિટી-હોસ્પિટલમાં Internal Medicineમાં Residency મળી, શનિ-રવિ રજા હોય ત્યારે ડલાસ હિન્દુ મંદીરમાં દર્શન કરવા જતી ત્યાં પુર્ણિમાબહેન શાહ સાથે ઓળખાણ થઈ. તેમને ત્યાં સત્સંગમાં પુર્ણિમાબહેનના ભાણેજ ચિરાગ દેશાઈ સાથે પરિચય થયો. આ પરિચય પ્રણયમમાં પલટાયો. ચિરાગના માતા-પિતા ચુસ્ત વૈષ્નવ જય જય શ્રી ગોકુલેશમાં માને, અમે જૈન બન્નેના માતા-પિતાની સમજુતીથી ૧૯૯૭માં હ્યુસ્ટનમાં લગ્ન થયા.૧૯૯૮ના જુનમાં તેણીની રેસિડન્સિ પુરી થવાની હતી એપ્રિલની ૩૦ તારીખે અંજલી મારી પ્રથમ ગ્રાન્ડ ડોટરનો જન્મ થયો, હજુ રેસિડન્સિ પુરી થવાના બે મહિના બાકી હતા ૧૦ દિવસ શીતલ ફિલાડેલફિયાથી આવી અંજલીને રાખવા પારૂલ ડ્યુટિ પર હોય ત્યારે બ્રેસ્ટ પંપથી પોતાનું દુધ સ્પેસ્યિલ બેગમાં ભેગું કરે રેફરિજેટરમાં રાખે, તે બેગ બહાર કાઢી ગરમ પાણીના ગ્લાસમાં મુકવાનું નવસેકુ દુધ બોટલમાં ભરી અંજલીને પીવડાવવાનું.

    દસ દિવસ બાદ કોણ જાય? મે પારૂલના સાસુને પૂછ્યું તમે જશો? તેમનો જવાબ “ના બા ત્યાં તેની પાર્ટનર માછલી રાંધે મારાથી ન રહેવાય” ના હો મને એ ગેસ પર રાંધવાનું ના ગમે” જાણે ગેસ પર માછલી ચોટી જવાની હોય!

    ખેર સૌ સૌની માન્યતા! મારો નવો કોન્ટ્રેક છતા મારે અંજલીને રાખવા જવું પડ્યું.

    બે મહિના પછી એપાર્ટમેન્ટનો સામાન પેક કરી મારે ઘેર લાવવાનો, પારૂલની ઇન્ટરનલ મેડિસિન બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં, બે મહિના તેણી મારે ત્યાં રહે જેથી ઉપર તેના રૂમમાં શાંતિથી
    વાંચી શકે. અંજલી માટે અમારા મિત્રના બહેન સ્મિતા ભારતથી આવેલ તેમને ડોલર કમાવવાની જરૂર હતી જેથી જલ્દી પોતાનું ઘર લઈ શકે. અમે તુરત તેમને બેબી સીટર તરીકે રાખી લીધા, સવારના સાત વાગ્યામાં હું સ્મિતાબહેનને લઈ આવું. તુરત હોસ્પિટલ જવા નીકળું. ઉતાવળમાં એક દિવસ ગાડીમાં ગેસ ઓછો હતો હોસ્પિટલ ૨૫ માઈલ દુર જોયું મનમાં કશો વાંધો નહીં હોસ્પિટલ પહોંચી જવાશે ઘેર આવતા ગેસ લઈશ. હોસ્પિટલનું કામ પતાવી બે વાગે નીકળી ગેસની લાઇટ આવી ગયેલ હોસ્પિટલની નજીકના ગેસ સ્ટૅસન પર ગેસ લેવા ઊભી ખભે પર્સ લટકતું રાખી ગેસનું નોઝલ ટેંકના કાણામાં મુક્યું તુરત એક આફ્રો અમેરિકન છોકરી આવી “(can you shaw me where is north Houston hospital) મેડમ મને નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલનો રસ્તો બતાવશો? હું તેણીને જવાબ આપતી હતી ત્યાં અચાનક તેનો બોય ફ્રેન્ડ આવ્યો મારૂં પર્સ ખેંચી ભાગ્યો તેની પાછળ છોકરી પણ ભાગી બન્ને ગાડીમાં બેઠા પલાયન થઇ ગયાં મે બુમ મારી (thief thief snached my purse ran away) ચોર ચોર મારું પર્સ ખેંચી ભાગ્યો કોઈ દોડો પકડો, કોઈએ સાંભળ્યું નહી, કોઇ ગાડી ઊભી ના રહી!! મારી ગાડીમાં ગેસ નહીં મારી પાસે પૈસા નહી હુ બારીએ ગઈ એક દેશીભાઈ બેઠેલા હતા ખુશ થઈ બોલી ભાઈ મારું પર્સ ચોરાઇ ગયું બારીમાંથી તમે જોયું છે ,મને ૫ ડોલરનો ઊધાર ગેસ આપો હું નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલમાં ડોકટર છું,આવતી કાલે પૈસા આપી દઈશ, ભાઈનો જવાબ હું માલીક નથી, નોકરી કરુ છું મારાથી કોઇને ઉધાર ગેસ ન આપી શકાય.

    અત્યારે પારૂલ હ્યુસ્ટનમાં ૨૩ વર્ષથી   ઇન્ટર્નલ મેડિસિનની પ્રેકટિસ કરે છે. તેણીના બે બાળકો, મોટી દીકરી અંજલી સિવિલ એન્જિનિયર થઈ અત્યારે અમેરિકન નેવી-કોલેજમાં ઑફિસરની ટ્રેનિંગ લઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૨ ગ્રેજ્યુએટ-નેવલ ઓફીસર તરીકે અમેરિકન નેવી સાથે ૭ વર્ષનો કોન્ટ્રેક્ટ સાઇન કરેલ છે. નાનો દીકરો એરિસ (ARIS) યુનિવર્સિટી ઓફ ટેક્ષાસ-ડલાસમાં ન્યુરોસાયંસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

    નાની દીકરી શીતલ ન્યુયોર્કની લો કોલેજમાંથી ઊતિર્ણ થઇ તેના લગ્ન વિપુલ જાની સાથે ૧૯૯૭માં થયા; બન્નેના લગ્નમાં બાપૂજીએ હાજરી આપી, બા ૧૯૯૩માં અચાનક હ્રદય બંધ થવાથી પ્રભુને પ્યારા થઈ ગયેલ. શીતલ અત્યારે ફિલાડેલફિયા શહેરમાં કોરપોરેટ લોની પ્રેકટિસ કરે છે. તેણીની દીકરી સરિસા પિટ્સબર્ગ યુનિવર્સિટિમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે.અને ડીન લિસ્ટમાં તેનું નામ છે. જે અમારા માટે ગૌરવ છે. તેનો દીકરો સુમીત ૧૦માં ધોરણમાં છે. બન્ને દીકરીઓ તેમના કુટુંબ સાથે સુખી છે.

    અમારો અમેરિકા આવવાનો હેતુ સફળ થયો તેનો અમને બન્નેને આનંદ છે.


    ક્રમશઃ

  • વામા-વિશ્વ : કાશ્મીરની માટીકલા જીવંત રાખી સાઈમાએ

    જે સાચો કલાકાર છે, તે પોતાની કલાને સંપૂર્ણ સમર્પિત હોય છે. પોતાના જીવનના સંપૂર્ણ લાભો છોડી ને કલાની પાછળ આખું આયખું પસાર કરી દે છે

    આલેખનઃ અનુરાધા દેરાસરી

    કોઈ પણ કલાકાર તેની કલાને લુપ્ત થતી જોઈ શકતો/શકતી નથી. સાચો કલાકાર જીવનના બધા જ લાભછોડી, પોતાની જાતને પોતાની કલાને સમર્પિત કરી દે છે.

    કાશ્મીરની સાઈમા સફીએ આ જ રીતે પોતનું જીવન તેની પેશન અને કાશ્મીરની લુપ્ત થતી કલા, ‘પોટરી’ માટીકામને સમર્પિત કરી દીધું છે.

    ‘પોટરી’ એ કાશ્મીર રાજ્યની સદીઓ જૂની કલા છે. પરંતુ આધુનિક સમયની રફતારમાં તે લુપ્ત થતી જાય છે. સાઈમાએ આ કલા પાછળ, પોતાની સીવીલ એન્જિનિયરિંગની કારકિર્દીને પણ છોડી દીધી છે અને કાશ્મીરની આ લુપ્ત થતી કલા ‘પોટરી’ માટીકામને પુર્નજીવીત કરી, યુવાન અને આધુનિક પેઢી સુધી પહોંચાડવા માગે છે.

    આ લેખનો હાર્દ જ એ છે કે કલાકાર પોતાની કલાને કેટલો સમર્પિત હોય છે.

    જાણીએ ‘પોટરી’ કલાકાર જે હવે આખા કાશ્મીરમાં,Karl Koor  (આ કાશ્મીરી ભાષાનો શબ્દ છે એટલે પોટરી કલાકાર) તરીકે જાણીતી થઈ છે, તેની ‘પોટરી’ કલાની યાત્રા વિષે કેવી રીતે શરૂઆત થઈ, શું તેણે આ કલા માટે છોડ્યું, અને કેવી રીતે મૃતપ્રાય થતી કલાને નવી પેઢી સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહી છે અને તેના પ્રયત્નોની સફળતા.

    સાઈમા સફીના શબ્દોમાં ‘મને બાળપણથી કંઇક જીવનમાં આગવું કરવાની ઇચ્છા. મને નાનપણથી માટીની ઢીંગલીઓ જ રમવી ગમે. ફળીયાની દીકરીઓ બાર્બી વગેરેથી રમે, જ્યારે હું માટીની ઢીંગલીઓથી રમું, મને માટીકામ માટે આકર્ષણ.’

    સમયની રફતારમાં તે આકર્ષણ ભૂલાઈ ગયું. મેં સીવીલ એન્જિનિયરિંગની કારકિર્દી પસંદ કરી. આ અભ્યાસ દરમ્યાન અમારે શૈક્ષણિક ટુરમાં, ચંડીગઢ જવાનું થયું. અહીં મેં ‘પોટરી કલા’ની વિવિધ પ્રોડક્ટસ જોઈ અને મારા બાળપણનું આકર્ષણ અને પસંદગી તાજા થયા અને મેં આ પોટરીના કાર્યક્ષેત્રમાં વધુ કારકિર્દીની જાણકારી મેળવવાનું નક્કી કર્યું.

    સાઈમાએ આ પછીના વર્ષોમાં સીવીલ એન્જિનિયરિંગ કર્યું અને અનુસ્નાતક કરવા બનારસ ગઇ. અહીં તેણીએ પોરટરીની પ્રોડક્ટસ બનાવતી પ્રક્રીયા જોઈ અને તેનુ પોટરી – માટીકામ માટેનું આકર્ષણ વધ્યું. હવે સીવીલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક થયા પછી માતા-પિતાની ઇચ્છા પ્રમાણે કાશ્મીરની પી.ડબલ્યુમાં સરકારી નોકરી લીધી. આ તેના માતા-પિતાની ઇચ્છા પરંતુ સાઈમાની પોતાની ઇચ્છા પોટરીની કલાને જીવંત કરી કારકિર્દી બનાવવાની હતી.

    થોડો સમય, પી.ડબલ્યુ ડીમાં નોકરી કરી સાઈમાએ બેંગ્લોરમાં પોટરીની ટ્રેનીંગ લેવા માટે નક્કી કર્યું અને તેની આ પેશનને અમલમાં મૂકી.

    બેંગ્લોરની ટ્રેનિંગ દરમ્યાનની વાત સાઈમાના જ શબ્દોમાં જોઇએ, ‘અહીં બેંગ્લોરની ટ્રેનિંગમાં, સાઈમાં પોટરી માટેની જૂની પદ્ધતિઓ અને આધુનિક પદ્ધતિઓ વિષે શીખી. પોરટરીની શરૂઆતમાં તે પથ્થરના સ્વરૂપ એટલે કે ઢેફાના સ્વરૂપમાં આવે, તેને તોડવાની પ્રક્રીયા પછી તેને માટીના લોંદો બનાવવા માટે વીલ પર ફેરવવાની પ્રક્રિયા, પછી તેને સીધી કરવી, ત્યારબાદ તાપવાળી ભઠ્ઠીઓમાં અને આધુનિક ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં તપાવવા અને ત્યારબાદ પોરટરી માટે તૈયાર થાય પછી તેની જુદી જુદી પ્રોડક્ટસ બનાવવા વિષે શીખી. જુદા જુદા તાપમાને માટીને કેવી રીતે તપાવાય, તાપમાનની અસરો વિષે વગેરે શીખી. ઉપરાંત પ્રોડક્ટસ તૈયાર થાય પછી કેવી રીતે ‘ ફાયનલ ટચ આપવવો, ગ્લેસીંગ વગેરે શીખી.

    ‘અહીં મને પોટરી વિષે લગભગ સંપૂર્ણ જ્ઞાન મળ્યું અને મને આગળ વધવાનો રસ્તો મળ્યો અને મેં નિર્ણય કર્યો કે પોરટરી કાશ્મીરી કલાને પુર્નજીવીત કરી લુપ્ત થતી બચાવીશ અને સ્ટુડીયો બનાવી, આગલી પેઢી સુધી આ કલાને પ્રચલીત કરી.’

    કાશ્મીર પાછા આવ્યા પછી સાઈમા સફીએ જૂના પોટરી કલાકારોને મળવાનું શરૂ કર્યું. તેમની પાસેથી આ કલા વિષે માહિતી મેળવી. માટીકામની પ્રોડક્ટસને વધુ કેવી રીતે સુંદર બનાવવી તે વિષે ચર્ચા કરી, પોતાની આ કલાની યાત્રામાં જોડાવવાનું સૂચન કર્યું. આ પોટરી કલાકારોને પોતાનો અવાજ ઉઠાવનાર કોઈ મળ્યું આથી તેઓ સાઈમા સફી સાથે જોડાયા.

    પરંતુ કહેવાય છે ને સારા કામમાં અનેક વિઘ્નો આવે અને સાઈમાની પોટરી સ્ટુડીયો બનાવી આ કલાની યાત્રાને આગળ વધારવાની યાત્રામાં આર્થિક અને સરકારી તેમજ બીજા વિઘ્નો આવ્યા.

    પોરટરીની આધુનિક સાધનો માટે આર્થિક જરૂરીયાત વધારે હતી જે તેની પાસે નહોતી. ઉપરાંત એ દરમ્યાન કાશ્મીરમાં, ૩૭૦ કલમ રદ થતો કાયદો આવ્યો આથી તેનો આ પોટરી સ્ટુડીયોનો પ્રોજેક્ટ પાછો ઠેલાયો. પરંતુ સાઈમાએ આ વિઘ્નોનું સમાધાન મેળવ્યું અને પોટરી સ્ટુડીયો ચાલુ કર્યો.

    ક્યારેક સંતાને પોતાની નીજી પેશન કારકિર્દી અને માતા-પિતાની ઇચ્છાવાળી કારકિર્દીની તુમુલ યુદ્ધની કેનાલમાંથી પસાર થવું પડે છે. સાઈમા પણ આ કેનાલમાંથી પસાર થઈ, પરંતુ માતાની પ્રેરણાથી સીવીલ એન્જિનિયરિંગની કારકિર્દી છોડી સંપૂર્ણપણે પોટરીની કારકિર્દી માટે સમર્પીત થઈ.

    આ પ્રકારના તુમુલ યુદ્ધમાં માતા-પિતાએ ઝૂકવું પડે છે અને સાઈમાના માતા-પિતાએ સાઈમાને પોતાના રસ્તે જવાની સ્વતંત્રતા આપી.

    સાઈમાએ પોતાનો નાનો પોટરીનો સ્ટુડીયો શરૂ કર્યો. જેમાં અદ્યતન પોટરી માટેના સાધનો, ઇલેક્ટ્રીક ફરનેસ, સ્લેબ રોલરસ, ગેસની સગડીનો, ચાકડો, ને ઇલેક્ટ્રીકથી ફરે તે ગ્લેઝીંગ માટેની સામગ્રી પ્રોડક્ટસ પર ચિત્રકામ માટેની સામગ્રી વગેરે પારંપારિક અને અદ્યતન બન્ને સામગ્રીઓથી પોટરી સ્ટુડિયો વસાવ્યો. સાઈમા માટીકામ માટે કાશ્મીરી ટોરાકોટાની માટીનો ઉપયોગ કરવા લાગી. પરંતુ આ માટી ચળકાટવાળી હોય છે પરંતુ સખત હોય છે. આથી ખાસ ઉત્તરપ્રદેશથી માટી મંગાવવા માંડી. આ ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ માટીના ઓર્ડરો આપવા માંડી.

    પરંતુ સાઈમા જણાવે છે કે, આ માટીનો મોટો સ્ટોક લાવવામાં ટ્રાન્સપોર્ટેશન, ઠંડીની મોસમ અને કાશ્મીરમાં પડતા બરફને લીધે ઘણી મુશ્કેલીઓ પડે છે. પરંતુ શરૂઆતમાં તે કામ મુશ્કેલ લાગતું હતું હવે તેમાં પણ ફાવટ આવી ગઈ છે.

    સાઈમા સફી પોતાની પોટરીની પ્રોડક્ટસનો સાદો દાખલો આપતા કહે છે કે કાશ્મીરનો કાવો ખૂબ પ્રખ્યાત છે. તે માટેનો પોટરી કપ પારંપારિક સાદો આવતો. હવે તેમાં સુધારો કરી માઈક્રોવેવમાં મુકાય, તેમજ તેના પર ગ્લેઝીંગ કરી, આકર્ષક બનાવ્યો. આમ રસોડાના ઘણા વાસણો તેણે પોટરી પારંપારિક ને નવો ઓપ આપ્યો.

    સાઈમાએ પોતાના એન્જિનિયરિંગનું ડીઝાઈનીંગ, ને પ્લાનીંગનો પણ આમા ઉપયોગ કર્યો. તેમજ ડીજીટલ માર્કેટીંગનો પણ આધાર લીધો છે.

    સાઈમા સાફી જણાવે છે કે, ‘આ પ્રકારના વાસણો રોજીંદા ઉપયોગમાં વપરાશથી વૈજ્ઞાનિક રીતે પણ વ્યક્તિગત સ્વાસ્થ્યમાં પણ ફાયદાકારક છે.’

    સાઈમા સફીની પોટરી હવે કાશ્મીર કે ભારત પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ વિશ્વના દેશો જેવા કે ચીન, જાપાન, તુર્કી, (જ્યાં આ પ્રકારના પોરટરીના વાસણોનો ઉપયોગ થા છે) ત્યાંથી ઓર્ડરો આવે છે.

    પોટરીનો નાનો સ્ટુડીયો હવે, સતત કામથી ધમધમે છે અને સાઇમા સફીનું પોટરીની કલાને મૃતપ્રાય થતી અટકાવવાનું સફળ થયું છે.

    સાઈમાસફીની પોટરી કલાના સમર્પણને સેલ્યુટ.

  • ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતી અસમાનતા ક્યારે દૂર થશે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    બિનનહેરુ-ગાંધી પરિવારના પ્રથમ કોંગ્રેસી વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ (કાર્યકાળ- ૧૯૯૧-૧૯૯૬)ના નાણામંત્રી ડો.મનમોહન સિંઘે જુલાઈ ૧૯૯૧માં રજૂ કરેલા કેન્દ્રિય અંદાજપત્રમાં મિશ્ર અથતંત્રને બદલે બજાર કેન્દ્રી અર્થતંત્રનો માર્ગ અપનાવ્યો હતો. આર્થિક ઉદારીકરણની આ નીતિમાં ખાનગીકરણને વેગ મળ્યો હતો. દેશના સર્વ ક્ષેત્રોની જેમ શિક્ષણ ક્ષેત્ર પર પણ તેની મોટી અસર પડી હતી. ઉદારીકરણ પછી ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર થયો હતો. ઉદારીકરણ પૂર્વે દેશમાં ૧૬૪૪ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો હતાં જે આજે વધીને ૬૯,૫૩૪ છે. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશનમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં દેશમાં ૩૯,૯૩૧ કોલેજો હતી. ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો, સાક્ષરતા દર વધ્યો પણ તેથી કશો ફેર પડ્યો ખરો? દેશમાં પ્રવર્તતા ભેદભાવ અને અસમાનતામાં ઘટાડો થયો છે ખરા?

    ડો. આંબેડકરના ત્રિમંત્રમાં શિક્ષણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણને સિંહણનું દૂધ ગણાવીને જે તે પીશે તે ત્રાડ નાંખશે તેમ પણ કહેવાય છે. ઉચ્ચ શિક્ષણને તો આર્થિક સશક્તિકરણ અને સામાજિક પ્રગતિનો માર્ગ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા શી છે? તાજેતરનો અજીમ પ્રેમજી યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા ૨૦૨૬માં તેનો કેટલોક ખુલાસો જોવા મળે છે. રિપોર્ટ જણાવે છે તે પ્રમાણે ૧૫ થી ૨૯ વર્ષની ૩૬.૭ કરોડની વસ્તીમાંથી ૨૬.૩ કરોડની આબાદી ઉચ્ચ  શિક્ષણથી વંચિત છે.

    ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશનો દર વધ્યો છે પરંતુ તે તમામ સુધી પહોંચ્યો નથી. હજુ યુવાનો કરતાં યુવતીઓનો પ્રવેશ દર ૫ ટકા ઓછો છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં  કોલેજો શરૂ થઈ હોવાનું આશ્વાસન જરૂર લઈ શકાય છે પરંતુ મહિલાઓ માટે  અલાયદી કોલેજો હજુ માત્ર ૧૧.૦૪ ટકા જ છે. ગ્રામીણ ભારતના સામંતી અને જડ જ્ઞાતિવાદી સમાજમાં યુવાન છોકરીઓ માટે ગામની બહાર અને તે પણ મિશ્ર કોલેજમાં અભ્યાસ કરવો કપરો છે.  ગ્રામીણ વિસ્તારોની કન્યાઓ સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓ, આર્થિક તંગી અને ઘરની જવાબદારીઓને લીધે દસમા-બારમા ધોરણ પછી જ ભણવાનું છોડી દેવા મજબૂર હોય છે એટલે બહુ ઓછી કન્યાઓ કોલેજનું પગથિયું ચઢે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સ્ત્રી-પુરુષ વચ્ચેનો ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ આખી દુનિયામાં છે. વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણમાં ૧૦૦ મહિલાના નામાંકન સામે પુરુષનું નામાંકન ૮૮ જ છે પરંતુ મેનેજમેન્ટ,આઈટી, સાયન્સ, એન્જિનીયરીંગ, મેડિકલ જેવા ક્ષેત્રોમાં ડીગ્રી મેળવવામાં ૩૦ ટકા જ મહિલાઓ છે. આર્ટસ-કોમર્સમાં તેમનો પ્રવેશ ૫૪ ટકા છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક વિજ્ઞાનના વિષયોમાં મહિલાઓ વધુ અભ્યાસ કરે છે અને પુરુષો ઓછા છે. યુ.કેમાં ગ્રેજ્યુએશન બાદના પહેલા વરસમાં  પુરુષ કરતાં મહિલા સ્નાતક ૯ ટકા ઓછી કમાણી કરે છે. જે દસ વરસ પછી ૩૧ ટકા થાય છે.

    જેમ લૈગિંક ભેદ છે તેમ જ્ઞાતિગત ઉચ્ચ-નીચના ભેદ અને અસમાનતા પણ છે. ઉચ્ચ શિક્ષણમાં નામાંકનની રાષ્ટ્રીય સરેરાશ ૨૮.૪ છે પરંતુ દલિતો અને આદિવાસીઓ હજુ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. ૨૦૧૧માં અનુસૂચિત જાતિનો ઉચ્ચ શિક્ષણમાં નામાંકન દર ૧૧ ટકા હતો જે ૨૦૨૩માં વધીને ૨૬ ટકા થયો હતો. અનુસૂચિત જનજાતિનો નામાંકન દર ૨૦૧૧માં ૮ ટકાથી વધીને ૨૦૨૩માં ૨૧ ટકે પહોંચ્યો છે. પરંતુ હજુ તે રાષ્ટ્રીય સરેરાશથી ઓછો છે. એમ કહી શકાય કે કોલેજ-યુનિવર્સિટી શિક્ષણમાં દલિતો-આદિવાસીઓની ભાગીદારી વધી છે ખરી પણ હજુ સમાન કક્ષાએ પહોંચી નથી.

    સામાજિક અસમાનતા જેવી જ આર્થિક અસમાનતા ઉચ્ચ શિક્ષણમાં છે. સરકારી કોલેજોમાં ઈજનેરી શિક્ષણનો વાર્ષિક ખર્ચ રૂ. ૧,૨૩,૦૦૦ અને તબીબી શિક્ષણનો વાર્ષિક ખર્ચ રૂ. ૯૭,૪૦૦ છે. ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના આખા કુટુંબની  વાર્ષિક આવક પણ આટલી હોતી નથી  એટલે તેમના સંતાનો મેડિક્લ, એન્જિનીયરીંગ, મેનેજમેન્ટ અને એવું શિક્ષણ  ભાગ્યે જ મેળવી શકે છે.તેમણે તો આર્ટ્સ –કોમર્સમાં ભણીને હાયર એજ્યુકેશન મેળવ્યાનો સંતોષ માનવાનો હોય છે.

    શિક્ષણનું માધ્યમ પણ ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવનું કારણ છે. દલિત, આદિવાસી અને પછાતવર્ગના  વિધ્યાર્થીઓ મોટેભાગે સ્થાનિક ભાષામાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરે છે તે પછી જ્યારે તેમને તબીબી અને ઈજનેરી કોલેજોમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું થાય છે ત્યારે તે આકરું તો પડે જ છે સાથે સાથે તે લઘુતાગ્રંથિ અનુભવે છે. કોલેજના વર્ગખંડો, સેમિનાર, કોલેજ કેમ્પસ , મિત્રો અને સમાજમાં ફાંકડુ અંગ્રેજી બોલનારાની બોલબાલા હોય છે એટલે સ્થાનિક ભાષાના વિધ્યાર્થીઓ ઉપેક્ષાનો ભોગ બને છે. આ કારણે તેઓ સતત માનસિક તણાવ અનુભવે છે. દલિત-આદિવાસી વિધ્યાર્થીઓ જ્ઞાતિને કારણે તો ઉવેખાય છે તેમાં ભાષાનો ભેદ ભળે છે તેથી ઘણી વખત તેઓ આત્મહત્યા સુધી પહોંચે છે. ૨૦૨૨નો એક અભ્યાસ આ બાબતે જણાવે છે કે ૩૫ ટકા વિધ્યાર્થીઓ બોલવાની રીત પર ચિંતામાં હોય છે, ૩૩ ટકાને એવો ડર છે કે તેમની બોલવાની ઢબછબ કેરિયરમાં અંતરાય બનશે અને ૩૦ ટકા અંગ્રેજીમાં નબળા હોઈ કોલેજમાં મજાકનો વિષય બન્યા હતા.પ્રત્યાયનનું સાધન ભાષા કેવી અસમાનતા અને ભેદભાવ જન્માવે છે તે જણાય છે.

    અસમાનતા અને ભેદભાવની આ વિશ્વવ્યાપી સ્મસ્યા શું દૂર થઈ શકે તેમ નથી? અમેરિકાએ એફરમેટિવ એકશનનો માર્ગ પસંદ કર્યો છે .તેના કારણે બ્લેક્ને શિક્ષણ અને રોજગારમાં પ્રવેશ મળ્યો છે. બ્રાઝિલનો કોટા કાયદો પણ કાળાઓને લાભદાયી થયો છે. બ્રાઝિલની કેન્દ્રીય વિશ્વવિધ્યાલયોમાં અડધી બેઠકો સરકારી હાઈસ્કૂલોના વિધ્યાર્થીઓ માટે અનામત રાખી છે તેથી આફ્રિકી મૂળના વિધ્યાર્થીઓની સંખ્યામાં એક જ દાયકામાં ચાર ગણો વધારો થયો હતો.

    ભારતમાં ૧૯૪૭માં સાક્ષ્રરતા દર ૧૮.૩ ટકા હતો. જે આજે ૭૭ ટકા છે. ગુજરાત અને બીજા કેટલાક રાજ્યોમાં રાજ્યના સામાન્ય સાક્ષરતા દર કરતાં દલિતોનો સાક્ષરતા દર વધારે જોવા મળ્યો છે.પરંતુ તેનાથી સમાનતા આવી શકી નથી અને ભેદભાવો પૂર્ણ ભૂતકાળ બન્યા નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સમાનતાને પ્રોત્સાહન વિનિયમ ૨૦૨૬ને ભારતની સર્વોચ્ચ અદાલતે અસ્પષ્ટ અને દુરપયોગની સંભાવના ધરાવતો ગણાવી તેના અમલ પર રોક લગાવી છે. એટલે ભારતના ઉચ્ચ શિક્ષણમાં સમાનતાની મંઝિલ ઘણી દૂર લાગે છે.બંધારણના અનુચ્છેદ ૪૬, શિક્ષણનો અધિકાર કાયદો ૨૦૦૯ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ભારતની શિક્ષણ પ્રત્યેની બંધારણીય અને નીતિગત પ્રતિબધ્ધતા દર્શાવે છે. શિક્ષણનો અધિકાર માત્ર પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી સીમિત ન રહેતાં તે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવો જોઈએ. તે પણ સમાવેશી, ભેદભાવવિહોણું, સારી ગુણવતા ધરાવતું ઉચ્ચ શિક્ષણ હોય તો લિટરસી રેટનો વધારો સાર્થક ગણાય.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મોજે રીબા : અરૂણાચલ પ્રદેશના ક્રાંતિકારી

    માહિતી જંક્શન

    વિશાખા મોઠિયા

    આજે આપણે વાત કરવાની છે એક એવા ક્રાંતિકારીની, જેનું નામ લગભગ તો કોઈએ નહીં જ સાંભળ્યુ હોય અથવા તો માંડ બે પાંચ ટકા લોકોએ જ સાંભળ્યુ હશે. આ ક્રાંતિકારીએ આઝાદીની ચળવળની લડતમાં જોડાવા માટે પોતાનો વેપાર-ધંધો પણ બંધ કરી આ ચળવળમાં જોડાયા હતા, કારણ કે તેમનાં માટે પોતાના વેપાર કરતાં દેશ અને તેની આઝાદી સૌથી પહેલા હતી. તો ચાલો જાણીએ, અરૂણાચલ પ્રદેશનાં મોજે રીબા વિશે.

    મોજે રીબાનો જન્મ ૧૮૯૦ માં અરૂણાચલ પ્રદેશનાં સિયાન જિલ્લાનાં દરીંગ ગામમાં થયો હતો જે અત્યારે ‘દરી’ તરીકે ઓળખાય છે. મોજે રીબા વ્યવસાયે શેરડીનો વેપાર કરતાં હતાં. મોજે રીબા સ્વભાવે વિનમ્ર, દયાળુ અને હંમેશાં લોકોની મદદ કરવા તત્પર એવા સેવાભાવી વ્યક્તિ હતા. તેમનાં આ સ્વભાવને લીધે તેઓ પ્રેમથી “અબોહ ન્યાજી” તરીકે ઓળખાતા હતા, જેનો અર્થ થાય છે – બધાનાં વૃદ્ધ પિતા. ગામનાં લોકોએ તેમને “ગાંવ બુરાહ” એટલે કે ત્યાંના લીડર બનાવી દીધા હતા.

    મોજે રીબા શેરડીનો વેપાર કરતાં હતાં. એકવાર તેઓ તેનો શેરડીનો માલ વેપાર અર્થે બ્રહ્મપુત્ર નદી પાસે આવેલ દિબ્રુગઢમાં રહેતાં તેનાં હિંદી ભાષી મિત્રોને આપવા જાય છે, ત્યારે તેમને તેના હિંદી ભાષી મિત્રો પાસેથી દેશમાં અંગ્રેજો વિરુદ્ધ ચાલી રહેલી આઝાદીની લડત વિશેની માહિતી મળે છે. બસ આ જ ક્ષણથી તેમનામાં દેશસેવાની ભાવના જાગી અને મનોમન આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. તેમની માટે વેપાર કરતાં દેશની આઝાદી વધુ મહત્વની હતી, કારણ કે વેપાર તો થાતો જ રહેશે પરંતુ દેશની આઝાદીની ચળવળમાં જોડાવાની તક પાછી ક્યારેય નહીં મળે અને આપણો દેશ આઝાદ થાય એ જરૂરી હતું એ સમયે.

    ૧૯૨૦ ની આસપાસ તેઓ પોતાનો વેપાર છોડીને આઝાદીની લડતની ચળવળમાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓને ટેકો આપવાનાં સંદર્ભમાં તેઓ તેમનાં ગ્રામ્યવાસીઓ સાથે દિરાંગ જાય છે અને ત્યાંથી તેઓ સાદિયા જવાનું નક્કી કરે છે. ત્યાં તેઓ ગોપીનાથ બોરડોલાઈ અને લલીત હઝારીકાને મળે છે. મોજે રીબાના નેતૃત્વ હેઠળ અનેક આંદોલનો અને રેલીઓ થઈ જેની માટે તેઓને ક્યારેક જેલ પણ થઈ હતી. તેમના ઉમદા કાર્ય જોઈને તેમને વધુ ઉમદા કામ કરવા માટે એ સમયની સરકાર આઈ. એન. સી. (ઈંડિયન નેશનલ કોંગ્રેસ)માં જોડાવાનું કહેવામાં આવે છે. ૧૯૩૦ માં આઈ.એન.સી. માં જોડાયા અને ઘણાં ઉમદા કાર્યો કર્યા. તેઓ અરૂણાચલ પ્રદેશનાં એક માત્ર વ્યક્તિ હતા જેઓ આઈ.એન.સી. માં જોડાયા હતા.

    ભારતની આઝાદીની ચળવળમાં આપેલા તેનાં અમૂલ્ય યોગદાન તેમજ બલિદાન માટે ૧૫ ઓગસ્ટ, ૧૯૭૨ના રોજ તેઓને તે સમયનાં વડાપ્રધાન શ્રીમતી. ઈન્દિરા ગાંધીનાં હસ્તે “તામ્રપત્ર”નું સન્માન આપવામાં આવ્યું હતું.  ૨૨ જાન્યુઆરી, 1૧૯૮૦ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

    આમ, દેશની આઝાદીની ચળવળમાં જોડાયેલ ક્રાંતિકારી (અનસંગ હીરો) મોજે રીબાની દેશ પ્રત્યની સેવા-ભાવનાની પ્રેરણા હંમેશાં આવનારી પેઢીને પ્રેરણા આપશે.


    સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.