વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ચિઠ્ઠી

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

      (સમાજ સુધારક અને સાહિત્યકાર શ્રી રમણભાઈ નીલકંઠ તેમની અમર ગણાયેલી હાસ્યનવલકથા ‘ભદ્રંભદ્ર’ થી વિશેષ જાણીતા છે. ભદ્રંભદ્ર ઉપરાંત તેમણે તેમનાં પત્ની વિદ્યાગૌરી નીલકંઠ સાથે સંયુક્ત રીતે લખાયેલા ‘હાસ્યમંદિર’ નામના પુસ્તકનો ‘ચિઠ્ઠી’ નામનો એક રમૂજી નિબંધ વાંચવા જેવો છે.

    સરકાર, કોઇ સંસ્થા કે વ્યક્તિ પાસે કશુંક કામ પાર પાડવા માટે ‘લાગવગ’ શોધવાની પ્રથા જમાના જૂની છે પરંતુ તેની કાર્યપધ્ધતિ બદલાતી રહી છે, ઉપરાંત ‘લાગવગ’ માટેના પર્યાયો પણ બદલાતા રહે છે, જેવા કે ‘જેક  લગાડવો’ , છેડા શોધવા વગેરે. આજના સમયમાં કામ કરાવવા માટે સત્તાધિકારી કે યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય જગ્યાએ ‘ફોન’ કરાવવામાં આવે છે. પરંતુ વર્ષો પહેલા આ કામ માટે ચિઠ્ઠી લખાવવાની પ્રથા હતી. કેવાં કેવાં વાહિયાત કામો માટે લોકો સત્તધિકારી પાસે આ પ્રકારની ચિઠ્ઠી લખાવવા દોડી જતા હોય છે તેમજ ચિઠ્ઠી લખનાર સાથે પોતાનો સબંધ કઈ રીતે સ્થાપિત કરે છે, તેનું ખૂબ જ રમૂજી ચિત્રણ રમણભાઈએ કર્યું છે. આપણે   ‘ચિઠ્ઠી’ વાંચીએ.)


    ચિઠ્ઠી

                                                                 લેખક: શ્રી રમણભાઈ નીલકંઠ

     ‘રજાનો દિવસ હતો અને હું ચોકમાં હીંચકે બેસી નવલકથાનું પુસ્તક વાંચતો હતો. નોકરે આવીને કહ્યું.”કોઇ મળવા આવ્યું છે.” મળવા આવનારને મેં સંમતિ આપી. તેને મારી સામે પાટ પર બેસાડીને આવવાનું કારણ પૂછ્યું. તેણે મારા હાથમાં પત્ર મૂક્યો. પત્રના અક્ષર અજાણ્યા હતા અને તેમાં સહી કરનારનું નામ પણ અજાણ્યું લાગ્યું. પત્રમાં લખ્યું હતું, “હું ગઈ સાલ આપને આણંદ સ્ટેશને મળ્યો હતો તે યાદ હશે. બે ચા વેચનારા પોતાની ચાની તારીફ આપની આગળ કરતા હતા ત્યારે મેં કહેલું કે ટેબલ પર ચાની દુકાન છે ત્યાંની ચા આ બન્નેથી સારી છે. કાગળ લાવનારની હકીકત સાંભળી તેની ઈચ્છા પ્રમાણે તેને મદદ કરવા મહેરબાની કરશો.

    તા. ક. આ માણસ મારા સગામાં છે.”

    ચાહનો પ્રસંગ મારી સ્મૃતિમાં નહોતો, અને આટલી જૂજ ઓળખાણ પર ભારે બોજો મૂકાય છે એમ મને લાગ્યું.પરંતુ ‘સંબંન્ધામાભાષણ પૂર્વાહુ:! ‘એ રઘુવંશનૂં વચન લક્ષમાં લઈ પત્ર લાવનારને તેની હકીકત કહેવા મેં કહ્યું.

    તે બોલ્યો: “મારા ભાણેજ છગનલાલ માટે વહીવટદાર સાહેબ વધારે પગારની જગાની ભલામણ નથી કરતા. છગનલાલને આ જગ્યાએ અઢી વરસ થયાં. અને વસ્તીપત્રકમાં પીંજારાના મહોલ્લામાં એને ગાળો ખાવી પડેલી. પણ છગનલાલ રુશ્વત ખાય છે એમ કહી નોંધણી -કામદારે વહીવટદાર સાહેબના મનમાં ખોટો વહેમ ઘાલ્યો છે, પણ નોંધણી કામદારની મરજી એ જગા પોતાના ભાઈબંધ અમથાલાલના દીકરા છોટાલાલને આપવાની છે. બહારથી એમ બતાવે છે કે અમથાલાલ સાથે મારે ભાઈબંધી નથી. પણ નોંધણી કામદાર અહીં આવ્યા પહેલાં સાવલીમાં હતા ત્યારે અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે રહેતા હતા. એ કહે છે કે હું દસ ઘર છેટે રહેતો હતો એ ખોટું છે. ત્રણ ઘર છેટે રહેતા હતા એવો પુરાવો હું આપ સાહેબને બતાવું”

    મેં કહ્યું, “ મારે પુરાવો શું કામ જોવો પડે?”

    “વહીવટદાર સાહેબને ખાતરી કરાવાય કે નોંધણી કામદારને અમથાલાલ સાથે ભાઈબંધી છે.”

    “તમારે તેમને ખાતરી કરાવવી હોય તો તમે કરો.”

    “નાયબ ફોજદાર સાહેબને પૂછશો તો તે પણ હા કહેશે.”

    “શાની હા કહેશે?”

    “સાવલીમાં અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે નોંધણી કામદાર રહેતા હતા. એક ઊંટની ચોરીની તપાસ કરવા નાયબ ફોજદાર સાહેબ ત્યાં ગયા હતા. રાવળીઆનું ઊંટ હતું અને બજાણીયા ચોરી ગયા એવું ચારણ લોક કહેતા હતા.”

    “આ બધી હકીકત મને કહેવાની શી મતલબ છે?”

    “વહીવટદાર સાહેબ ઉપર આપ સાહેબ ચિઠ્ઠી લખી આપો કે છગનલાલ રૂશ્વત નથી ખાતો અને બચરવાળ છે, તો એની ભલામણ કરે.”

    “ક્યા ગામના વહીવટદાર અને તેમનું નામ શું?”

    ચિઠ્ઠીના પ્રાર્થીએ ગામ અને નામ કહ્યું. મેં કહ્યું “પણ હું એ સાહેબને ઓળખતો નથી. કોઇ દિવસ એમને મળ્યો નથી.”

    “પણ આપને તો એ નામે ઓળખતા હશે. આપનું નામ તો જાણીતું છે. એટલું લખી આપો કે છગનલાલ રૂશ્વત નથી ખાતો અને બચરવાળ છે માટે ભલામણ કરશો તો તો ગરીબ માણસનું કામ થાય.”

    “હું છગનલાલને ઓળખતો નથી. એ ગામે હું કોઇ દિવસ આવ્યો નથી તો હું શી રીતે કહી શકું એ રૂશ્વત નથી ખાતો? એ બચરવાળ છે તે બતાવવા તો તમે વહીવટદાર સાહેબ આગળ એનાં છોકરાંને લઇ જઇ ઊભાં કરજો. મેં કાંઇ એનાં છોકરાં જોયા છે?”

    “નોંધણી કામદારે ખોટો વહેમ ઘાલ્યો છે તેથી એ માર્યો જાય છે”

    “જુઓ ભાઈ, હું તમને નથી ઓળખતો, વહીવટદાર સાહેબને નથી ઓળખતો, નોંધણી કામદારને નથી ઓળખતો, છગનલાલને નથી ઓળખતો. હું આ કામમાં શી રીતે વચ્ચે પડું?”

    “અમથાલાલની બધી ખટપટ છે. છોટાલાલને જગા અપાવવા માટે એ અમલદારોના કાન ભંભેરે છે. ઊંટની ચોરીના કામમાં પણ એણે બહુ ખટપટ કરેલી… એનો કોઇ કાકો પણ ખટપટીઓ છે.”

    “તેમાં મારે શું?”

    “ગોવિંદલાલભાઈએ આપને કાગળ લખી આપ્યો છે. આપ સિવાય મારે બીજો આધાર નથી.”

    “ગોવિંદલાલભાઈ સાથે મેળાપ થયાનું મને યાદ રહ્યું નથી, પણ મને એમણે સંભાર્યો તે મહેરબાની કરી છે. તમે એમના શા સગા થાઓ?”

    “એમની દીકરીના દીકરાની સગાઇ મારા મામાની છોડી વેરે થવાની છે.”

    “તમારી હકીકત મેં સાંભળી લીધી. હું ચિઠ્ઠી લખી આપી શકું તેમ નથી.”

    “પણ સાહેબ મારો ભાણેજ રૂશ્વત ખાતો નથી અને બચરવાળ છે.”

    “હું ક્યાં કહું છું કે એ રૂશ્વત ખાય છે અને બચરવાળ નથી?”

    “તો સાહેબ ચિઠ્ઠી-”

    “ચિઠ્ઠીની વાત કરશો જ નહિ. હવે બંધ કરો.” છગનલાલના પ્રમાણિકપણા વિષે અને બહોળા કુટુંબ વિષે ઘણાં આગ્રહનાં વચનો સાંભળી મારે એ માણસને આખરે વિદાય કરવો પડ્યો.

    નવલકથા આગળ વાંચવી મેં શરૂ કરી. પણ, અડધું પાન વાંચ્યું એટલામાં તો બીજો મળનાર આવી પહોંચ્યો. તેણે આપેલો કાગળ હું વાંચતો હતો. એટલામાં તેણે પાટ પર બેઠા બેઠા ડોકું કરી તથા લાંબો હાથ કરી બુમો પાડી કે જગાભાઈ! આવોને! ભગાભાઈ! આવોને! ગગાભાઈ! આવોને! એમ કહી બારણે ઊભેલા પાંચ છ માણસોને તેણે ચોકમાં બોલાવ્યા અને તેઓ આવી તેની જોડે પાટ ઉપર બેઠા. મને આપેલો કાગળ મારા ઓળખીતાનો હતો. તેથી આ મહાશયને મેં સકારણ ગણી આગમન કારણ પૂછ્યું. પ્રથમ આવનારે કહ્યું. “અમારા ગામમાં સરકાર સુધરાઈ ખાતું કાઢે છે.”

    મેં કહ્યું, “બહુ સારું”

    બધા બોલી ઉઠ્યા, “શું બહુ સારું? કર નાખે તેથી અમે બધા વેપારી માર્યા જઇએ.”

    “ગામમાં રસ્તા થશે, દીવાબત્તી થશે, નિશાળ નહિ હોય તો નિશાળ થશે, દવાખાનું થશે. એ બધું કાંઇ કર નાખ્યા વગર થાય?”

    “અમારે તો એમાંનું કાંઇ ના જોઇએ. નિશાળ તો હોય છે તે સરકારને બંધ કરવી હોય તો બંધ કરે. છોકરા નજીકને ગામ જઇ ભણશે. પણ સુધરાઈ ના જોઇએ. અમારું ગામ તો ખાડા ટેકરાવાળું છે. તેમાં સુધરાઈને શું કરવી છે? આજ લગી સુધરાઈ વિના ચાલ્યું અને હવે સુધરાઈ શા માટે કાઢે છે?”

    “એ બધું મને શા માટે કહેવા આવ્યા છો?”

    “દીવાન ઉપર ચિઠ્ઠી લખી આપો કે અમારા ગામમાં સુધરાઈ ના કાઢે.”

    “એમ શી રીતે બને? રાજ દીવાન સાહેબને ચલાવવું અને હું અહીં બેઠો બેઠો ચિઠ્ઠીઓ લખું કે આમ કરજો અને આમ ન કરજો! રાજ વહીવટના કામમાં મને માથું મારવાનો શો હક?”

    ” આપ દીવાન સાહેબને લખો કે આ ગામ સુધરાઈ કાઢવા સરખું નથી. સુધરાઈથી ગામમાં ખટપટ જાગશે માટે સુધરાઈ કાઢવી ન જોઇએ.”

    “દીવાન સાહેબે તજવીજ કરીને અને કાગળો વાંચીને જે અભિપ્રાય બાંધ્યો હોય તે મારી ચિઠ્ઠીથી ફેરવી નાંખે એ આપની માગણી વ્યાજબી છે? જેને માથે રાજની જવાબદારી હોય તે નક્કી કરે કે ફલાણા પગલાં લેવાં કે ન લેવાં. હું એમાં મારો અભિપ્રાય આપી શકું નહિ.”

    “ભાઈએ તો કહ્યું કે તમે જશો એટલે ચિઠ્ઠી લખી આપશે.”

    “મારે કેવી રીતે વર્તવું એ નિર્ણય કરવાની થોડી ઘણી છૂટ તો મને ખરી કે નહિ?”

    એ ગામમાં સુધરાઈ સ્થપાયાથી પડવાનાં દુ:ખ વિશે અનેક કલ્પનાઓ સંભાળવી ડેપ્યુટેશન ઘણી આનાકાનીથી વિદાય થયું.

    નવલકથાનું પાનું હું પૂરું કરી રહ્યો એટલે એક વહોરાને લઇ એક માણસ આવ્યો. તેણે કહ્યું, ‘…..ભાઈએ કહ્યું છે કે આ વહોરાજીની હકીકત માટે એને ચિઠ્ઠી લખી આપવા જેવું છે.’ સંદેશો કહી તે ચાલતો થયો અને વહોરાજીને બક્ષીસ રૂપે મૂકતો ગયો. વહોરાજીને પૂછતાં માલુમ પડ્યું કે કોર્ટમાં તેની અપીલ ચાલવાની હતી તે કોર્ટના ન્યાયાધીશ પર તેને ચિઠ્ઠી જોઇતી હતી. મેં કહ્યું, “ઇન્સાફના કામમાં ચિઠ્ઠી અપાય નહિ.”

    “હું બી એવી જ ચિઠ્ઠી માંગુ છું કે ઇન્સાફ કરજો.”

    “એ સાહેબ હંમેશ ઇન્સાફ જ કરે છે. ત્યારે ચિઠ્ઠીની જરૂર શી?”

    “ફક્ત જમણી અને દાબી આંખ જેટલો ફરક રાખે એટલી મારી અરજ છે.”

    ” મતલબ કે મારે લખવું કે આ વહોરાજી તરફ પક્ષપાત કરી ગેરઇન્સાફ કરજો?”

    “નહિ સાબ, આદમ જાતને દાબી જમણીમાં ફરક કરવો પડે છે.”

    “ઇન્સાફ કરનારને તો જેનું ખરું હોય તે જમણો અને જેનું ખોટું હોય તે ડાબો. તમારું ખોટું જણાય તો પણ ન્યાયાધીશ તમને જમણા ગણે એવી ભલામણ શી રીતે કરી શકાય?”

    “….ભાઈએ તો કહ્યું કે તમને જરૂર ચિઠ્ઠી લખી આપશે.”

    “એ સાહેબ તો મોટા માણસ છે. એમણે આવી ભલામણ કરી તે બહુ નવાઈ લાગે છે. પણ ઇન્સાફના કામમાં ન્યાયાધીશને હું કદી ચિઠ્ઠી લખતો નથી કે ભલામણ કરતો નથી.”

    દાબી જમણી આંખની ફિલસુફી મને અનેક પ્રકારે ફરી ફરીથી સમજાવી વહોરાજી ઘણી નામરજીથી વિદાય થયા. પરંતુ નવલકથા આગળ વાંચવાનું મારા નસીબમાં નહોતું. મારો જૂના વખતનો જાણીતો અને સરકારી નોકરીમાંથી બરતરફ થયેલો એક કારકુન તરત દાખલ થયો. તેની બરતફીના હુકમમાં રહેલી ભૂલો વિષે વિસ્તારી વિવેચન તેણે મને અનેકવાર સમજાવ્યું હતું. અને તેની પુનરુક્તિ માટે હું સજ્જ થયો. પરંતુ તેણે જુદી દિશામાં વહાણ વાળ્યું હતું. તે બોલ્યો, “મારી પ્રથમની નોકરી પાછી મેળવવાની માથાકૂટ મેં મૂકી દીધી છે. મને બીજી નોકરી મળે તો બસ છે. તમે મારા છોકરાને નિશાળમાં નોકરી અપાવી પણ ઇજનેર ખાતામાં નોકરી માટે મેં અરજી કરી છે. માટે ઇજનેર સાહેબ પર મને ચિઠ્ઠી આપો કે એમના ખાતામાં જો નોકરી મારા લાયક હોય તો મને રાખે. અને ઇજનેર સાહેબના ઉપરી સાથે તમારે ઓળખાણ હોય તો તેમના પર ચિઠ્ઠી લખી આપો અને વસુલાત ખાતાના મોટામાં મોટા અધિકારી સાથે તમારે પિછાણ હોય તો તેના પર ચિઠ્ઠી લખી આપો કે તમારા તાબાના સૌ અધિકારીઓને ભલામણ કરજો કે રૂા. ૭૫ની જગા ખાલી પડે ત્યારે પહેલી આ માણસને આપે. અને જંગલખાતાના ઉપરીને તમે ઓળખતા હો તો તેના ઉપર ચિઠ્ઠી લખી આપો કે ખાલી પડતી જગા આ માણસને આપજો. અને હાલ જગા ખાલી ન હોય તો નવી જગા કહાડી આપજો. તમે લખશો તો જરૂર નવી જગા કહાડશે. મીઠા ખાતાના ઉપરીને તો તમે ઓળખો છો માટે તેના પર ચિઠ્ઠી લખી આપો કે મારો માણસ છે. માટે આને જગા આપ્યા વગર ચાલે તેવું નથી; કોઇ એમની વિરુદ્ધ કહે તો સાંભળશો નહિ.”

    “તેના કરતાં હું તમને ગવર્નર જનરલ પર ચિઠ્ઠી લખી આપું તો કેમ?”

    “શી ચિઠ્ઠી લખી આપશો ?”

    “ચિઠ્ઠીમાં એમ લખું કે આ માણસને સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયા આપજો. કેમકે નાણા વિના એ બહુ દુ:ખી થાય છે.”

    “તમારે મન તો મશ્કરી છે પણ અમે કામધંધા વગર હેરાન થઈએ છીએ.”

    “ત્યારે તમે જુદા જુદા અમલદારો પર મારી પાસે અણઘટતી ચિઠ્ઠીઓ લખાવી મારી હાંસી કરવાના પ્રયત્નો કરો છો એ તમારા ધ્યાનમાં નથી આવતું? એવી માંગણી હું કરું તે તેઓ સ્વીકારી શકે?”

    “માગણી કરવામાં તમારું શું જાય છે? મારું નસીબ હશે તો કોઇ જગાએ જોગવાઇ થઈ જશે.”

    “તમારે મન તો એમ કે વાગે તો તીર નહિતર ટપ્પો! હું મૂરખ ગણાઉં તેની તમને ચિંતા નથી.”

    “સાહેબ, આટલી ઉમ્મરે મારી નોકરી ગઇ. હવે હું શું ધંધો કરું? બરતરફ થયેલા માણસને નોકરીમાં રાખવા કોઇ ખુશ ના હોય એ શું વાજબી છે? પરમેશ્વરને કોઇ કહેનાર નથી કે એ લોકોને આવી કુબુદ્ધિ કેમ આપે છે?”

    “મને એવો વિચાર આવે છે કે બધું મૂકી તમને પરમેશ્વર પર લખી આપું કે ‘આ માણસને સ્વર્ગમાં દાખલ કરજો. એણે કાંઇ પુણ્ય કર્યાનું તો મારા જાણવામાં નથી. પણ એ મારો ઓળખીતો છે.’ પછી તમારે આ દુનિયાની વાતોની કાંઇ પરવા જ કરવાની નહિ, અને તમે સ્વર્ગમાં જઇ તમને થયેલા અન્યાય વિષે પરમેશ્વર સાથે સવાલજવાબ કરજો.”

    “હજી તો મારે ઘણું જીવવું છે. રસ્તો ખોદનારા મજુરોની હાજરી લખવાની હંગામી નોકરી મને મળે તેવી ચિઠ્ઠી લખી આપો એટલે બસ છે. હું રૂશ્વત લીધા માટે બરતરફ થયો નથી પણ વગર રજાએ ગેરહાજર રહ્યા માટે બરતરફ થયો છું એટલું ચિઠ્ઠીમાં સમજાવજો.”

    ચિઠ્ઠી લઇ તે વિદાય થયો. પણ, સૂર્ય આથમે ને ચંદ્ર ઊગે તેમ તેની પીઠ અદ્રશ્ય થઈ તે તરત એક કંટ્રાટ્રી દાખલ થયો. એણે મ્યુનિસિપાલિટીની નિશાળનું મકાન બાંધવાનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. પણ બાંધકામમાં ચુનાને ઠેકાણે ચારું વાપર્યું હતું. ઇંટો પાકી લાલને બદલે આમરસી વાપરી હતી. લાકડાં મલબારી સાગને બદલે વલસાડી સાગ વાપર્યા હતાં, પાટીયાં આખાંને બદલે કાટવાળા વાપર્યા હતાં. વળીઓ ઓછી જાડાઇની વાપરી હતી. અને સ્ક્રૂને બદલે ખીલા વાપર્યા હતા. પાયા શરત પ્રમાણે ઊંડા કર્યા નહોતા; એવા કારણથી મ્યુનિસિપાલિટી તરફથી કોન્ટ્રાક્ટના પૈસા મળતા નહોતા. મેં પૂછ્યું, “મ્યુનિસિપાલિટી આ વાંધા કાઢે છે તે ખોટા છે?”

    “બીજા અદાવતીઆ કંટ્રાટીઓની નનામી અરજીઓ પરથી મ્યુનિસિપાલિટીએ આ વાંધા કહાડ્યા છે!”

    “પણ કોઇએ આ વાંધાના ખરાખોટાપણા વિષે તજવીજ કરી છે?”

    “સરકારી ઇજનેર ખાતાના ઓવરસિયરે મ્યુનિસિપાલિટીના લખાણ ઉપરથી તજવીજ કરી છે.”

    “તેમણે શો રીપોર્ટ કર્યો છે?”

    “તેમણે તો લખ્યું છે કે મકાન તદન રદી છે અને પાડી નાખવું જોઇએ.”

    “એટલે આ વાંધા એમને ખરા લાગ્યા છે?”

    “હા, પણ મારા અદાવતીઆની ખટપટથી આ કામ ઊભું થયું છે.”

    “કામ ઊભું થવાનું કારણ ગમે તે હોય પણ તમે કોન્ટ્રાક્ટ પ્રમાણે બાંધકામ કર્યું નહિ અને નબળું મકાન કર્યું તો તમને મ્યુનિસિપાલિટી નાણાં શી રીતે આપે?”

    “સાહેબ, હું માર્યો જાઉં છું. મારે માલ માટે વેપારીઓનાં બીલ ચુકવવાનાં છે અને કડીઆ સુતારના રોજ ચુકવવાના છે. મ્યુનિસિપાલિટી પૈસા ન આપે તો હું શી રીતે નાણું પતાવું? ”

    “કપટ કર્યું તો તેનું ફળ ભોગવો.”

    “કપટ શાનું! બધા કંટ્રાટીઓ એમ જ કરે છે. આ તો છીંડે ચડ્યો તે ચોર. કંટ્રાટ પ્રમાણે બધું કામ કરે તો કંટ્રાટીઓ કમાય શું? વચમાંના નાના નોકરોના મન મનાવવાં પડે અને હરીફાઇમાં કંટ્રાક્ટની રકમ તો ઓછી રાખવી પડે. ચસમપોશી વિના ધંધો જ ચાલે નહિ.”

    “એ નીતિશાસ્ત્ર તમને મુબારક હો. પણ, હું કામમાં શું કરી શકું ?”

    “મ્યુનિસિપાલિટીના સેક્રેટરી સાહેબ ઉપર આપ ચિઠ્ઠી લખી આપો તો મારું કામ થાય.”

    “એવી ચિઠ્ઠી લખી આપું કે મ્યુનિસિપાલિટીનું હિત બગાડી આ માણસને નાણાં આપજો?”

    “સેક્રેટરી સાહેબ તો ધારે તે કરી શકે.”

    “શું ધારે? તમારા બાંધકામ માટે ઇજનેર ખાતાએ રીપોર્ટ કર્યો હશે, એમણે પોતે રીપોર્ટ કર્યો હશે, સરકારી ઓવરસિયરે રિપોર્ટ કર્યો છે, તે છતાં તમને નાણાં આપવાનું શી રીતે ધારે?”

    “બધા કાગળ એક જ તુમારમાં છે.”

    “તેથી શું?”

    “એ તુમાર ગુમ થઈ જાય તો હું બીજા સારા રીપોર્ટ મેળવી શકું.”

    “સેક્રેટરી સાહેબને દગો કરવા ચિઠ્ઠી લખું એવી સૂચના કરતાં શરમ નથી આવતી?”

    “સાહેબ હું માર્યો જાઉં છું. બચરવાળ છું ગરીબ માણસ છું. આપ ભલામણ ન કરશો પણ ચિઠ્ઠી લખી આપો તો બસ છે. તે ચિઠ્ઠી લઇને સેક્રેટરી સાહેબને આપીશ. ચિઠ્ઠીમાં ગમે તે લખજો.”

    “ગમે તે લખીશ તો ચાલશે.”

    “હા સાહેબ.”

    નોટ પેપર લઇ તે પર ચિઠ્ઠી લખી આ પ્રમાણે વાંચી સંભળાવી :”આ ચિઠ્ઠી લાવનાર જે માગણી કરે છે તે એવી અઘટીત છે કે હું તેની ભલામણ કરું જ નહિ પણ ગરજવાનને અક્ક્લ નથી હોતી અને સ્વાર્થથી અંધાપો આવે છે તેના નમુના તરીકે આ માણસને આપની પાસે મોકલું છું. એ કહેશે તેથી આપને ક્રોધ ચઢશે પણ કામના બોજામાં રમુજ પણ થશે.

    “તે બોલી ઉઠ્યો, “સાહેબ! આવી ચિઠ્ઠી?”

    “તમે તો કહો છો ને કે ગમે તેવી ચિઠ્ઠી લખશો તો ચાલશે.”

    “ગમે તેવી એટલે મને ગમે તે રીતે ફાયદો કરે તેવી.”

    “હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહિ તો તમે કરવા ધારેલા દગા વિશે હું પોલીસને ખબર આપીશ.”

    કંટ્રાટી ચાલ્યો ગયો. “ગમે તેવી” ચિઠ્ઠી પડી રહી.

    ચિઠ્ઠીના પ્રાર્થયિતાઓની ‘લેવી’ સાંજ સુધી ચાલુ રહી. નોકરી માટે, બદલી માટે, ઘર ભાડે આપવા માટે, વરકન્યાના સગપણ માટે, મફત મોતીઓ કાઢવા માટે, વેપારની ભાગીદારીમાં સામેલ કરવા માટે, કરામાં બારણું મુકવા દેવા માટે, વગેરે કામ કરવા માટે ભલામણની ચિઠ્ઠીઓ માગનારા એક પછી એક આવતા જ ગયા. મને શક પડ્યો કે મારે બારણે કોઇએ પાટીયું માર્યું હશે કે “આ ઠેકાણે ચિઠ્ઠીઓ અપાય છે.” તે માટે હું ઓટલે જઇને જોઇ આવ્યો પણ એવું પાટીયું જોવામાં આવ્યું નહિ. પ્રાત:કાલે આશા રાખી હતી કે આજે રજા છે. તેથી આરામ લેવાશે, નવલકથા વંચાશે, અને દહાડાની થોડી ઉંઘ લેવાશે તે બધી આશા વ્યર્થ ગઇ. સૂર્યાસ્ત થતો હતો ત્યારે સ્વ. મણિશંકરના ‘વસંતવિજય’માંના એક શ્લોકમાં થોડા શબ્દ બદલી હું ઉચ્ચારવા લાગ્યો,

    “ઘેલી બની બધી સૃષ્ટિ ચિઠ્ઠીમાં હાલ નહાય છે ! હાય ! એક જ આ મારા હૈયામાં કૈક થાય છે.”

    ચિઠ્ઠી લખી આપવાનો હક કોઇને વેચાતો લેવો હોય તો એક પૈસા માટે ‘કુલ અભરામ ન દાવે અઘાટ’ વેચાણ કરી આપવા હું ખુશ છું.’


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

     

  • હસીએ પ્લાસ્ટિક, શ્વસીએ પ્લાસ્ટિક, ગ્રસીએ પ્લાસ્ટિક

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન જેવી બાબતો એવી છે કે એમના વિશે થાય એટલી વાત ઓછી પડે, કેમ કે, તેના થકી આપણા રોજિંદા જીવન પર થતી વિપરીત અસરો બાબતે સભાનતા કેળવવી જરૂરી છે. આપણી આસપાસના વાતાવરણ અને પર્યાવરણને સૌએ મળીને એ હદે પ્રદૂષિત કરી દીધું છે કે ભાગ્યે જ કોઈ એવું પાસું બાકી રહ્યું હશે કે જે આપણને, આપણા જીવનને ન સ્પર્શે. પ્રદૂષણની વાત નીકળે ત્યારે હજી ઘણા બધાને એમ હોય છે કે એ તો નદી-દરિયા, ખીણ કે લેન્‍ડફીલ જેવાં સ્થળોએ જ હોય. પોતાના જીવનમાં, અરે, છેક પોતાના ઘર સુધી એ પહોંચી ચૂક્યું છે એનો અહેસાસ તેમને ભાગ્યે જ થાય છે.

    મોટા કદના પ્લાસ્ટિકના વિઘટનને લઈને પરિણમતું માઈક્રોપ્લાસ્ટિક, એટલે કે પાંચ મિ.મી.કરતાં ઓછો વ્યાસ ધરાવતા, લગભગ તલના દાણા જેવડા, પ્લાસ્ટિકનાં સૂક્ષ્મ કણો સર્વવ્યાપી બની રહ્યા છે. ક્યાં ક્યાં એ છે? પ્લાસ્ટિકની પાણીની બોટલોથી લઈને સસ્તન પ્રાણીઓની લાદમાં, માનવરક્તમાં અને અંગમાં, આપણે શ્વસીએ છીએ એ હવામાં, અને છેક એવરેસ્ટ શિખર પાસે સુધ્ધાં એ જોવા મળ્યા છે. જો કે, આમાં કંઈ નવાઈ નથી, કેમ કે, આ હકીકત ઘણા સમય પહેલાંથી વિવિધ અહેવાલો થકી જાણીતી બની ચૂકી છે.

    હવે જે નવો અહેવાલ રજૂ કરાયો છે એમાં પ્લાસ્ટિકના એવા સ્રોત દર્શાવાયા છે કે જેને અત્યાર સુધી નજરઅંદાજ કરાતા રહ્યા છે યા નવા ધ્યાનમાં આવ્યા છે. નેધરલેન્‍ડ્સની એક સંસ્થા ‘પ્લાસ્ટિક સૂપ ફાઉન્‍ડેશન’ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં ૩૫૦ કરતાં વધુ અભ્યાસને વિવિધ નિષ્ણાતોએ ચકાસીને તેને જાહેર કર્યા છે. માઈક્રોપ્લાસ્ટિક માટે જવાબદાર પદાર્થોને આમાં પાંચ શ્રેણીમાં વિભાજીત કરાયા છે: ઘરની બહારના સ્રોત, ઘરની અંદરના સ્રોત, બાળકો માટેનાં ઉત્પાદન, સ્વાસ્થ્ય તેમજ વ્યક્તિગત સારસંભાળ માટેની ચીજો અને ખાવાપીવાની ચીજો. આ અહેવાલમાં માઈક્રોપ્લાસ્ટિકને ‘સર્વવ્યાપી, પ્રચૂર, અદૃશ્ય, રાસાયણિક મિશ્રણ ધરાવતાં પ્રદૂષકો’ ગણાવાયાં છે, જે આપણા જીવનના એકે એક ખૂણે, જન્મથી પણ પહેલાં છુપાયેલા છે.

    આમાંના કેટલાક સ્રોત દેખીતા અને પ્રગટ છે, જેમ કે, પ્લાસ્ટિકનું પેકેજિંગ ધરાવતા ખોરાક અને પીણાં. પણ બીજા ઘણા નજરઅંદાજ થતા રહ્યા છે.જેમ કે, દવાખાનામાં જીવનરક્ષણ માટે વપરાતાં ઉપકરણો થકી શરીરમાં જાણબહાર પ્લાસ્ટિક દાખલ થાય છે. અભ્યાસ અનુસાર ઓપરેટિંગ રૂમમાં એક પાળી દરમિયાન પ્રતિ ચોરસ મીટરે ૯,૨૫૮ કણો મળી આવે છે. આવશ્યક તબીબી ઊપકરણો, કાર્ડિઆક કેથેટર, ઓર્થોપેડિક ઈમ્પ્લાન્‍ટ, સીલીકોન ઈમ્પ્લાન્‍ટ, ઈન્‍ટ્રાવીનસ ફ્લુઈડ બેગ વગેરે સહિત અનેક સાધનો પોલિમર પ્લાસ્ટિકમાં વીંટળાયેલા આવે છે, અને ઓપરેટિંગ રૂમમાં વ્યાપક રીતે વપરાશમાં લેવાતા રહે છે.

    નવજાત શિશુઓ માટેના ઈન્‍ટેન્‍સિવ કેર યુનિટમાં આ મુદ્દો વધુ ગંભીર બને છે, કેમ કે, અહીં એવાં બાળકો તેના સંપર્કમાં આવે છે, જેમણે હજી તો આ પૃથ્વી પર શ્વાસ લેવાની શરૂઆત કરી છે. સોય દ્વારા જરૂરી પોષક દ્રવ્યો દાખલ કરવામાં આવે છે એવાં, સમય કરતાં વહેલાં જન્મેલાં બાળકો ૭૨ કલાકમાં માઈક્રોપ્લાસ્ટિકનાં ૧૧૫ કણો ‘ગળી જતા’ હોવાનો અંદાજ છે. એમાંય ખાસ કરીને ‘બેબી ફોર્મ્યુલા’ એટલે કે બાળકો માટેનો આહાર, તેના પેકેજિંગ અને બનાવટની પદ્ધતિ અનુસાર માઈક્રોપ્લાસ્ટિકનું ઓછુંવત્તું, પણ નિશ્ચિત પ્રમાણ ધરાવે છે. એ જ રીતે બાળકો માટેનાં વિવિધ ઉત્પાદનોમાંથી પણ પી.વી.સી.(પોલિ વિનાઈલ ક્લોરાઈડ), પોલિપ્રોપીલીન, પી.ઈ.ટી. (પોલિઈથીલીન ટર્ફ્થેલેટ)નાં કણો સતત હવામાં છૂટા પડતા રહે છે. પોતાના શરીરના વજનને કારણે બાળકો પ્રમાણમાં વધુ હવા શ્વસે છે અને ઠરેલી રેતી સાથે વધુ સમય સંપર્કમાં આવે છે. આથી વયસ્કોની સરખામણીએ તેમનો સંપર્ક વધુ હોય છે.

    આવા, બંધબારણે રહેલા પ્લાસ્ટિકની હાજરીમાં વૃદ્ધિ થાય છે ઘરેલુ રંગોથી, જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક બાઈન્‍ડર હોય છે. હવામાનના સંપર્કમાં આવતાં કે નવો રંગ કરતી વખતે જૂનો રંગ ઊખાડતાં તેમાંથી પુષ્કળ પ્રમાણમાં પોલિમર પ્લાસ્ટિક છૂટું પડે છે. સો ચો.મી.માં લગાડેલા રંગના એક હાથમાં ૧૭ થી ૬૮ લાખ કરોડ પોલિમર પ્લાસ્ટિકના કણો હોવાનો અંદાજ છે. અને ઘરઘરમાં રહેલા, પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવતા માઈક્રોપ્લાસ્ટિકના આવડા મોટા સ્રોત પર ખાસ ધ્યાન જતું નથી.

    આના વિશે વાત કરતાં એ યાદ રાખવું રહ્યું કે આવી તો કેટલીય બાબતો આપણી જાણબહાર હશે. એકાદની વાત કરીએ. જેમ કે, સ્ટ્રેટસ્ફેરિક એરોસોલ ઈન્જેક્શન. સૌર જીઓ એન્‍જિનિયરીંગની આ એક સૂચિત પદ્ધતિ છે, જે આપણા ગ્રહના તાપમાનને ઝડપથી ઠંડું કરવા માટે તૈયાર કરાઈ રહી છે. તેમાં પૃથ્વીની સપાટીથી દસથી વીસ કિ.મી. ઊપર આવેલા સમતાપમંડળ(સ્ટ્રેટસ્ફિયર)માં કણો છોડવામાં આવશે. આ કણોમાં માઈક્રોપ્લાસ્ટિકના પુષ્કળ પ્રમાણને પણ નજરઅંદાજ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    વરસાદમાં સુધ્ધાં ટાયર, સિન્‍થેટીક વસ્ત્રો વગેરેમાંથી છૂટું પડતું માઈક્રોપ્લાસ્ટિક હોય છે. એક અંદાજ અનુસાર માણસો વરસેદહાડે ચાલીસ કરોડ ટન પ્લાસ્ટિકકચરો પેદા કરીએ છીએ, જે પૈકીનો સાઠ ટકા કચરો આપણા પર્યાવરણમાં જ ભળે છે. તે બીજે ક્યાં જાય? આપણને ન દેખાય એનો અર્થ એવો તો નહીં ને કે તેનું વિઘટન થઈ ગયું?

    ઘણી વાર એવી ચિંતા વ્યક્ત થતી રહે છે કે આપણે આપણી ભાવિ પેઢીને કેવી પૃથ્વીનો વારસો આપીને જઈશું? આ અહેવાલ વાંચીને એમ થાય કે ભાવિ પેઢી તો છોડો, વર્તમાન પેઢી કેટકેટલા પ્રદૂષણ વચ્ચે જીવી રહી છે અને પોતાની જાણબહાર કેટલું પ્લાસ્ટિક ગ્રસી અને શ્વસી રહી છે એનો એને અંદાજ છે ખરો? અને વર્તમાન પેઢી એટલે બીજું કોઈ નહીં, આપણે સૌ.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૮-૬– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • વિજ્ઞાન અને અધ્યાત્મનુ અદ્‍ભૂત રસાયણ : મેરી ક્યૂરી

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    આ પહેલાં આપણે મેરી ક્યુરીનાં જીવનનાં પ્રારંભ કાળનાં વર્ષોનો પરિચય કર્યો


    પોલોનિયમની શોધ કરીને આગળ વધતાં ક્યૂરી દંપતીએ રેડિયમની શોધ આગળ વધારી. સંશોધનમાં લીન થયેલી મેરીની અંતર્મુખી પ્રકૃતિ તેનાં લખાણોમાં દેખાવા લાગી. ઉત્તરોત્તર એનાં લખાણોમાં મૌલિકતા ઘટતી ચાલી, ખાસ કરીને અંગત લખાણોમાં. એનું કારણ એ હતું કે પોતે જેની શોધ માટે મથી રહી હતી તેની વાત પતિ સિવાય એ કોઈ પાસે કરવા માગતી નહોતી.

    રેડિયમ શોધ્યા પછી પણ લોકો સમક્ષ એને પ્રગટ કરવામાં બીજાં ચાર વર્ષ પસાર થયાં. પાર વિનાનો પરિશ્રમ કરીને ક્યૂરી દંપતીએ ૧૮૯૮થી ૧૯૦૨નાં વર્ષો પસાર કર્યા. આ પરિશ્રમનું પરિણામ તે ઈ. સ. ૧૯૦૩માં નોબેલ પ્રાઇઝ જેની કિંમત સિત્તેર હજાર ફાન્ક હતી. એટલા માટે જ મેરીને મન તેનું મહત્વ હતું. મળેલા પૈસાથી વિજ્ઞાનની સેવા કેમ કરી શકાય તેનાં સ્વપ્ન જ દંપતીએ સીંચ્યાં.

    પત્નીની તટસ્થતાનું પરીક્ષા કરતા હોય એમ પિયરેએ તેમણે પૂછેલું :  “આપણે ધારીએ તો પિચબ્લેન્ડને શૂદ્ધ કરવાની કિયા જાહેર કરતા પહેલાં કાર્યપદ્ધતિનો પેટન્ટ મેળવી લઈએ તો આખા જગતમાં રેડિયમની બનાવટ ઉપર આપણે માટે નફો ઠરાવી શકાય.” મેરીએ વિચારે કરીને જે જવાબ આપ્યો એ વૈજ્ઞાનિકને શોભે તેવો હતો. તેણે કહ્યું : “એ અશક્ય છે. વૈજ્ઞાનિક ભાવનાથી મવી વિપરીત છે. જે તત્ત્વ દર્દનિરાકરણના કામમાં આવવાનું હતું એને વેચવાનો મેરી વિચાર સુધ્ધાં કરવા તૈયાર નહોતી. આ ક્ષણે ક્યૂરી દંપતીએ ગરીબી ને શ્રીમંતાઈમાં  હંમેશને માટે ગરીબી પર પોતાની પસંદગી ઢોળી દીધી.

    મેરીની પાછલી ઉમરમાં અમેરિકા તરફથી તેને રેડિયમની ભેટ મળી તેનું પણ વિજ્ઞાનના ભલા માટે તેણે તાત્કાલિક વસિયતનામું બનાવ્યું, જેથી કરીને તેની પુત્રીઓના હાથમાં પણ આને લગતો કોઈ લાભ ન જાય. આ બાબતમાં મેરી કોઈને વિશે કશું વિચારે તેમ નહોતાં. આઇન્સ્ટાઇને તેમને કીર્તિથી અકલુષિત રહેનારાં કહ્યા તે આ અર્થમાં.

    ઘણી વાર મેરીએ પોતાની જાત સાથે પણ પોતાના આ પ્રકારના વિચારો અંગેનું પૃથક્કરણ કર્યું છે. પોતાને પૈસાનો મોહ હતો ? પૈસાથી તેમને કેવા કેવા ફાયદાઓ થાત એ પણ તેમણે વિચાર્યું છે. વાર્ધક્યમાં પણ મેરીનું અડીખમ વ્યક્તિત્વ કોઈ વસ્તુ માટે ઝૂક્યું નથી. પૈસાનું મૂલ્ય જાણતાં હોવા છતાં માદામ ક્યુરીનું લક્ષ્મી પ્રત્યેનું ઉદાસીન વલણ નોંધપાત્ર છે. જો કે એ જોઈને આશ્ચર્ય થતું નથી કેમ કે મેરીએ વિજ્ઞાનની દીક્ષા જ લીધી છે.

    દેશસેવા, વિષયની અભ્યાસ દ્વારા સેવાને જ જીવનધર્મ માનતાં મેરી પાસેથી જ આવું મંતવ્ય સાંપડી શકે જે તેમણે જીવનના અંત ભાગમાં પોતાને જ પૂછેલા પ્રશ્નોના ઉત્તરરૂપે નોંધ્યું છે : ‘મારા ઘણા મિત્રો એવો દૃઢ મત ધરાવે છે કે જો પિયરે ક્યૂરી અને મેં અમારા હક્કની રક્ષા કરી હોત તો એક સરસ રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ બંધાવવાનાં સાધનો અમને ઉપલબ્ધ થાત; એ મેળવવા માટે અમારે જે વિઘ્નોનો સામનો કરવો પડયો તે સ્થિતિ ન આવત: આજે પણ મારે જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમાંથી હું બચી જાત. આ મિત્રોના અભિપ્રાયમાં ઘણું વજૂદ છે; તેમ છતાં મારી ખાતરી છે કે અમારો નિર્ણય યથાર્થ હતો.’

    આટલું નોંધ્યા પછી પોતાના દષ્ટિકોણ અંગે સ્પષ્ટ થતાં તેઓ બીજા પ્રકારના લોકોના દષ્ટિકોણમાં રહેલી વાસ્તવિક દૃષ્ટિને પણ ન્યાય આપતાં જણાવે છે :  “માનવજાતને એવા માણસોની ખરેખર જરૂર છે કે જેઓ વ્યવહારકુશળ હોય, પોતાના કાર્યનો જેઓ પૂરો લાભ ઉઠાવે, અને લોકકલ્યાણનું વિસ્મરણ કર્યા વિના  પોતાના હિતનું રક્ષણ કરે. પરંતુ માનવજાતને એવા સ્વપ્નદ્રષ્ટાઓની પણ જરૂર છે કે  જેઓને કોઈ નિસ્વાર્થ સેવાકાર્યના વિકાસનું એટલે બધું આકર્ષણ હોય કે પોતાના  આર્થિક સ્વાર્થોને માટે ચિંતા કરવાનું એમને માટે અશક્ય બની જાય. આ સ્વપ્નદ્ર્ષ્ટાઓ દ્રવ્યપ્રાપ્તિને ખચિત લાયક નથી હોતા, કારણકે તેમને એવી વૃત્તિ જ નથી હોતી. એમ છતાં, સૂવ્યવસ્થિત સમાજમાં આવા કાર્યકરોને એમનું કાર્ય સાધવા માટે આવશ્યક સાધનો મળી રહેવાં જોઈએ, એમને આર્થિક ચિંતાઓમાંથી મુક્ત રાખવા જોઈએ, અને શોધકામ માટે જીવન અર્પવાને એ લોકો સ્વતંત્ર હોવા જોઈએ.

    આ વિચારોમાં મેરીનુ દર્શન એકદમ સ્પષ્ટ અને સુરેખ રીતે વ્યક્ત રીતે થયું છે. તેમના વિચારોમાં ને આચારોમાં સૂસંગતિ જળવાઈ હોવાથી આ મટવ્ય માત્ર એક સારો વિચારે ન બની રહેતાં માનવજાતને માટે એક અનુભવીની આચારનિષ્ઠાનો ઉત્તમ નમૂનો બની રહે છે. જાતે સ્વપ્નદ્રષ્ટા રહી ચૂકેલાં કયૂરી દંપતીને જ આવુંકહેવાનો અધિકાર મળે છે.

    પોતે કરેલા કામ માટે, લેવા જોઈતા નિર્ણયો અંગે, લોકો સાથેના સંબંધ અંગે એકદમ સ્પષ્ટ વલણ ધરાવતાં મેરીમાં એક બાજુ લોખંડી ખમીર દેખાય છે, તો બીજી બાજુ પિયરેમાં પોતાની જાતને ઓગાળીને વિરલ દામ્પત્યનો નમૂનો પૂરો પાડતાં મેરીનું કોમળ રૂપ તેમના વ્યક્તિત્વના બીજા આયામને પ્રગટ કરે છે. દામ્પત્ય વિશેનો સંતોષ મેરીએ અનેક વાર વ્યક્ત કર્યો છે. મેરીમાં રહેલું ગૌરવ જો પિયરેએ પિછાન્યું હતું તો પિયરેની મહાનતા મેરી પણ જોઈ શક્યાં હતાં. સાધ્વીજીવન જીવતાં મેરીએ પતિની પસંદગી કરી હતી તેનો વિશિષ્ટ ગુણલક્ષણોએ કરીને. આ અંગે મેરીએ પછીથી નોંધેલું : ‘અમારા લગ્નપ્રસંગે મેં એને વિશે કલ્પના કરેલી એ બધું તો એનામાં હતું જ, પણ એથીયે વિશેષ હતું. એના વિલક્ષણ ગુણો માટેનો મારો ચાહ વધતો ગયો. એ એવા વિરલ અને ઉચ્ચ કોટિના હતા. મિથ્યાભિમાન અને તુચછતાથી એ કેવળ મુક્ત હતા, તેથી ક્યારેક અલૌકિક પુરુષ લાગતા.’

    મેરીને દુ:ખ એ વાતનું હતું કે પતિની કદર ફાન્સે જ મોડી કરી. ઈ.સ.૧૯૦૪ના નવેમ્બરમાં યુનિવર્સિટી ઓફ પેરિસમાં બંનેને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ સંભાળવાનું આવ્યું. પતિની રાહબરીમાં મેરી પણ ફિઝિક્સના પ્રયોગકાર્યનાં વડા નિમાયાં. ત્યારે આ બંનેનું કાયમી ઝૂંપડું રજા લઈ શક્યું !

    અનેક પ્રકારના સંઘર્ષો, રેડિયમની શોધથી મળેલી લોકપ્રિયતા, જાહેરજીવનમાં પડવાને લઈને ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે ઝઝૂમતાં જ ક્યૂરી ધપતીનું વિરલ દામ્પત્ય ૧૯૦૭માં થયેલા એક માર્ગ અકસ્માતને લઈને અચાનક નંદવાઈ ગયું. પિયરે ક્યૂરી એક ઘોડાગાડી નીચે આવી જવાથી બેતાલીસ વર્ષની વયે, અગિયાર જ વર્ષના લગ્નજીવન પછી મેરીને એકલી પાડીને જતા રહ્યા.

    પતિની વિદાય પછી મેરીના જીવનનો ત્રીજો કારમો અધ્યાય શરૂ થયો જે તેણે એકલા પસાર કરવા હતો. દામ્પત્યની મધુર ક્ષણોમાં એક સમયે કોઈને એકલું જીવવાનું આપે તો શું કરવું એ અગે પતિએ પનીને કહેલું કે ‘ગમે ત થાય, આત્મા વિનાના દેહની માફક ચલાવવું પડે, તો પણ માણસે કામ તો ચાલુ રાખવું જ જોઈએ’. પતિની આ આજ્ઞાને વશ થઈને મેરીએ પતિની પાછળ, યુનિવર્સિટીએ આપેલાં પતિનાં સ્થાનને શોભાવ્યું તો ખરું પણ એનો આત્મા જાણે મરીને જીવી રહ્યો હતો.

    પતિના મૃત્યુ પછીની મેરીની નોંધપોથીમાં નોંધાયેલી વ્યથા તેમના જીવનની વિચ્છિન્નતાનો પરિચય કરાવે છે. આમ છતાં બાળકીઓના ઉછેર તરફ કે વૃદ્ધ શ્વસુર પ્રત્યેની ફરજમાંથી મેરી જરા પણ ચ્યુત થયાં નહીં એમાં અનેકવાર દેખાતું એમનું મનોબળ જરૂર દેખાય. પણ એ મનોબળમાં પૉલિશ યુવતીની તાકાત નહોતી; બચ્યો હતો માત્ર આવી મળેલી ફરજને બજાવવાનો નેતિક ખ્યાલ. એક પરદેશી માણસે કરેલા પાગલ પ્રેમને વશ થયેલી આ જાજવલ્યમાન નારી, પતિ અને પ્રેમીના મૃત્યુથી જીવનના સાડત્રીસમે વર્ષે ભાંગી પડયા પછી મૃત્યુપર્યત બેઠી થઈએમાં લોખંડી વ્યક્તિત્વ પર એના કોમળ પ્રેમે મેળવેલો વિજય દેખાય છે.

    પાછળનાં વર્ષોમાં મેરીએ અનેક વ્યાખ્યાનો આપ્યાં, પુષ્ઠળ પ્રવાસો કર્યા, યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સેવા કરી. ૧૯૧૧માં રસાયણરાસ્ત્રનું બીજુંનૉબલ પારિતોષિક પણ તેમને જ મળ્યુ. બબ્બે વાર નૉબલ પ્રાઇઝ જીતનારાં તેઓ પ્રથમ મહિલા વૈજ્ઞાનિક બન્યાં, તેમની આ સિદ્ધિઓને જોઈવે કોઈ તેમને બિરદાવતું ત્યારે એમની સ્વાભાવિક હળવાશમાં તેઓ જે ઉત્તર આપતાં એમાંકૃત્રિમ નમ્રતાનો અભાવ જ હતો પણ જીવનને પારખનારની પારખુ દેષ્ટિનું ગૌરવ તેમાં જર૨ દેખાય છે. તેઓ આવા પ્રસંગે નોંધે છે : “મારા જેવું અસ્વાભાવિક જીવન ગાળવુંએ જરૂરી નથી. હુ ઇચ્છતી હતી માટે, મને શોધખોળનો શોખ હતો તેથી મેં વિજ્ઞાનને સમય સમર્પણ કર્યો છે…’ એમના વિચારોમાં રહેલા સ્વચ્છ જીવનદર્શન પાછળ એમનુ એવું જ સ્વચ્છ જીવન પડેલું છે.

    પ્રેમ જેવી ઊર્મિ જો મનુષ્યને વિવશ મનાવી દે તો એને પણ ત્યાજ્ય ગણવી સોઈએ એવું માનતાં મેરી પુત્રી ઈવને લખે છે : ‘આપણે એવા આદર્શમાંથી બળ મેળવવું જાઈએ કે જે આપણને મિથ્યાભિમાની બનાવ્યા વિના આપણી અભિલાષાઓ અને આપણાં સ્વપ્નોને ઉચ્ચ કોટિમાં મૂકી શકે. હું માનું હું કે આપણા જીવનની પ્રેમ જેવી તોફાની ઊર્મિને વશવર્તી બનાવવી એમાં નિરાશાનું મૂળ રહેલું છે.’

    પોતાને હંમેશાં છુપાવીને ફરતાં માદામ ક્યૂરીને કોઈ જ્યારે પૂછતું કે ‘આપ જ માદામ ક્યૂરી છો ?’ ત્યારે ઉત્તરમાં સંકોચાઈને તેઓ જણાવતાં : “ના જી, આપની કંઈક ભૂલ થાય છે.” બખ્બે નોબલ પ્રાઈઝનાં વિજેતા, વિખ્યાત વૈજ્ઞાનિકનાં પત્ની, મહાન સન્નારી, અનેક ક્ષેત્રે માન મેળવનાર પ્રથમ મહિલા તરીકેના પરિચયનું ઓઢણું ઓઢીને તેઓ કદી ન ફર્યા. તેનું કારણ હતું તેમણે સ્વીકારેલો આ જીવનમંત્ર : ‘જ્ઞાનમાં આપણે વસ્તુમાં રસ લેવો જોઈએ, મનુષ્યમાં નહીં.’ તેમને મન અગત્યનું હતું કાર્ય. કાર્ય કરનાર નહીં. તેમના સદ્‍નસીબે તેમને આ મંત્રમાં જ માનતો સાથીદાર પતિ પણ મળ્યો ને કમનસીબે ઝડપથી ઝૂંટવાઈ પણ ગયો. પણ આથી કરીને તેમની માન્યતાઓ જીવનભર અવિચળ રહી. અનેક સંઘર્ષોનો સામનો કરતાં માદામ ક્યૂરીએ સિદ્ધાંતો સમક્ષ બાંધછોડ કરવાનું ક્યારેય પસંદ ન કર્યું. વ્યક્તિ તરીકેનું તેમનું આ મહત્તમ પાસું વૈજ્ઞાનિક કરતાંયે ઊંચું સાબિત થયું.

    અનેક શારીરિક મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડ્યો તેનું કારણ રેડિયમનો તેમણે કરેલો સતત સંપર્ક હતો. ૬૭ વર્ષની વયે ૧૯૩૪ની ચોથી જુલાઈએ “કામ ઘણાં છે ને સમય થોડો છે’ કહેતી આ સ્ત્રીએ સમયની પાબંદી સ્વીકારીને એતિમ શ્રાસ લીધા. તેના અવસાનને દિવસે પણ તેમનાં પુત્રી ઈવને મતે મેરી એ તરૂણ કન્યા, મારયા સુલૉદોસ્કીને જ મળતી આવતી હતી. ભારે જહેમતભરી અને આંજી નાખે એવી જાજવલ્યમાન કારકિર્દી પણ તેમને મોટાં કે નાનાં, પવિત્ર કે અપવિત્ર બનાવવામાં ફાવી શકી નહોતી. તેના જીવનના છેલ્લા દિવસે પણ તેઓ તેમના અજ્ઞાત બાલ્યાવસ્થાના દિવસોમાં હતાં એટલાં જ નમ્ર, અડગ, શરમાળ ને સઘળી વસ્તુઓ વિશે જિજ્ઞાસુ હતાં.

    “મશહૂર કેવી રીતે થવું એ તેમને આવડતું નહોતું.” આ પ્રકારની અણઆગડતને લઈને જ મેરી મશહૂર વૈજ્ઞાનિક, મશહૂર જીવનસંગિની, મશહૂર મહિલા બની શક્યાં. તેમની આ અણઆવડત જગત્વંદ્ય બની રહે એવી મહાન સાબિત થઈ.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૪]

    આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની અમેરિકામાં સ્થાયી થવાની યાત્રાની કેડીની સફર કરી
    હવે આગળ…….

    પ્રથમ લક્ષ્મીજી નું આગમનઃ 

    ૧૯૭૯માં અમારા ઘરે દીકરીનો જન્મ થયો, અમે એનું નામ વનિતા રાખ્યું. હું અને લિલાવતી બંને નોકરી કરતાં હતાં એટલે વનિતાનું ધ્યાન રાખવા મેં મારી બાને ભારતથી બોલાવી લીધા હતાં. ત્યાર બાદ મને હ્યુસ્ટનમાં નોકરી મળી ગઈ અને અમે હ્યુસ્ટન શહેરમાં ઘર ખરીદ્યું અને ત્યાં સ્થાયી થયાં. જે દિવસે અમે હ્યુસ્ટનના અમારા ઘરે રહેવા આવ્યા તે રાત્રે મને એક ગજબનું સ્વપ્ન આવ્યું. જાણે મારા બાપુજીનો આત્મા અતિ પ્રસન્ન છે અને મને ખૂબ આશીર્વાદ અને બધાઈ આપતા હોય તેવી અનુભૂતિ થઈ.

    લક્ષ્મીની ઉપાસના

    ‘હ્યુસ્ટન નેચરલ ગેસ’ કંપનીમાં મેં એક વર્ષ કામ કર્યું. તેમાં ધંધા(બીઝનેસ) વિષે ઘણું શીખવા મળ્યું. પરંતુ રાજકારણ, હુંસા-તુસ્સી અને ચડસાચડસી વાળા વાતાવરણમાં મને મજા ન આવી એટલે મેં નોકરી બદલાવી. ‘હ્યુસ્ટન લાઈટિંગ એંડ પાવર’ નામની કંપનીમાં એક અશોક ગર્ગ નામના ઈંડિયન મેનેજર હતાં. તેમણે મારો ઈન્ટરવ્યુ લીધો અને  મને નોકરી પર રાખી લીધો. મારા આજ બોસ આગળ જતાં મારા પરમ મિત્ર બની ગયાં અને આજે પણ  વર્ષો સુધી મૈત્રી ટકાવી રાખી છે.

    આ કંપનીના કોમ્પ્યુટર વિભાગમાં મને પ્રોગ્રામર એનેલિસ્ટ તરીકે નોકરી મળી હતી. બધા પ્રોગ્રામર પાસે એટલું બધું કામ હતું કે બીજા ડિપાર્ટમેંટમાંથી કોઈ રિપોર્ટ તૈયાર કરવાનું કહે તો વિનંતીની થપ્પી બનાવીને રોકી રાખવામા આવતી અને બે- ત્રણ વર્ષે જ્યારે ટાઈમ મળે ત્યારે એની ઉપર કામ કરવામાં આવતું. આ પ્રશ્નનો હલ કરવા માટે આઈ.બી.એમ. જેવી તે જમાનાની પ્રતિષ્ઠિત  કંપની સાથે મસલત કર્યા પછી તેમણે એક નવો ‘ઈન્ફોર્મેશન સેંટર’ નો કોન્સેપ્ટ આપ્યો અને કહ્યું કે આ ઈન્ફોર્મેશન સેંટરમાં જે વિગતવાર માહિતી હશે તેમાથી દરેક ડિપાર્ટમેંટ પોતાની જરૂરિયાત મુજબ રિપોર્ટ પોતેજ તૈયાર કરી શકશે. આ પ્રોજેકટનું નેતૃત્વ મને સોંપવામાં આવ્યું. ૧૯૮૧ થી ૧૯૮૫ સુધીમાં ઈન્ફોર્મેશન સેંટર અસ્તિત્વમાં આવ્યું. લગભગ ૬૦૦ કર્મચારીઓને રિપોર્ટ લખવાનું સૉફ્ટવેર બનાવીને કેવી રીતે વાપરવાનું તે શિખવાડ્યુ. અને દરેકને રિપોર્ટ લખવા સ્વાવલંબી બનાવ્યા.

    ૧૯૮૫માં મારા બોસ અને મિત્ર અશોક ગર્ગે આ નોકરીમાંથી રાજીનામું આપ્યું. એમની જગ્યાએ નવા બોસ આવ્યા જે થોડા ઉદ્ધત હતાં. પોલિસી બદલાઈ ગઈ, મોટા કોમ્પ્યુટરને બદલે દરેકનાં ડેસ્ક ઉપર પર્સનલ  ડેસ્કટોપ નાના સ્વાવલંબી કોમ્પ્યુટર દરેક કર્મચારીને આપવાનું નક્કી થયું અને પોતાનાં રિપોર્ટ આ કોમ્પ્યુટર કરે એવી ટ્રેનિંગ આપવાની અને એની શરૂઆત કંપનીનાં પ્રેસિડંટથી કરવાની. મને બોસે એની કેબિનમાં બોલાવીને કહ્યું કે કાલે પ્રેસિડંટ અહિયાં બધા ડેસ્કટોપ કોમ્પ્યુટર વિષે માહિતી મેળવવા આવશે, તું તેમને બધા કોમ્પ્યુટર બતાડજે અને એમને જે ગમે તે કોમ્પ્યુટર સેટ કરી આપજે.

    બીજે દિવસે પ્રેસિડંટ આવ્યા એટલે મેં તેમને જુદા જુદા ચારથી પાંચ કોમ્પ્યુટર બતાવ્યા, તેમાથી કોમ્પેક કંપનીનું કોમ્પ્યુટર જે શિવવાનાં મશીન જેવુ ઢાંકણા વાળું બનાવ્યું હતું તે તેમને પસંદ પડ્યું એટલે મેં તેમને એ સેટ કરી આપ્યું. બીજે દિવસે મારો બોસ બહારગામથી પાછો આવ્યો તો તેને આ વાતની ખબર પડી અને એ ખૂબ ગુસ્સે થયો. એની ઇચ્છા એવી હતી કે હું પ્રેસિડંટને કોઈ ફેન્સી કોમ્પ્યુટર પધરાવીશ, એણે મને ગુસ્સામાં કહ્યું કે તને માર્કેટિંગ નથી આવડતું! તારામાં સામે વાળી વ્યક્તિને આપણી ઇચ્છા મુજબ નિર્ણય લેવા મજબૂર કરવાની ક્ષમતા નથી.

    તે દિવસે મને ખૂબ ખરાબ લાગ્યું. આજ સુધી મને નોકરી પર કોઈએ આવું કહ્યું નહોતું. તે દિવસે હું મારા જૂના બોસ અને મિત્ર અશોક ગર્ગનાં ઘરે ગયો. અમે બંને એ સ્ટ્રોંગ ડ્રિંક લીધું અને એણે મને સમજાવ્યો અને શાંત પાડ્યો.

    બીજે દિવસે હું બોસની ઓફિસમાં ગયો અને એમને કહ્યું કે તમારી વાત સાચી છે, મારામાં જે ઉણપ છે તે પૂરી કરવા મને ટ્રેનિંગની જરુર છે. એટલે તમે જ કહો કે મારે કઈ જાતની ટ્રેનિંગ લેવી જોઇએ જેથી હું મારુ કામ નિષ્ઠા પૂર્વક કરી શકું. બોસ ખુશ થઈ ગયો અને એણે મારા માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી એણે મને કોઈ દિવસ ઠપકો નથી આપ્યો.

    આ અરસામાં ‘માર્કેટિંગ એન્ડ કોર્પોરેટ પ્લાનિંગ ડિપાર્ટમેંટ’માંથી કલર પ્રિંટર ખરીદવા માટે અરજી આવી. દરેક પ્રિંટર ૬૫૦૦૦ ડોલરનું હતું, મારા બોસે કહ્યું કે એક પ્રિંટર આપણાં વિભાગમા પણ જોઈએ જેથી એમનાં પ્રિંટરને કંઈ થાય તો આપણને બેકઅપ તરીકે કામ આવે. આમ ત્રણ પ્રિંટર અને તેમની વોરંટી સાથે બધુ મળીને ૨૨૫,૦૦૦ ડોલરની પાવતી પાસ કરવાની હતી. ડાઈરેકટર કહે મારી સહી ફક્ત ૨૦,૦૦૦ ડોલર સુધી જ ચાલે એનાથી ઉપરની રકમ માટે વાઇસ પ્રેસિડંટની સહી જોઈયે અને આ સહી લઈ આવવા માટે મને બકરો બનાવવામાં આવ્યો.

    હું તે પાવતી લઈને સાંજે ચાર વાગે વાઇસ પ્રેસિડંટની ઓફિસમાં ગયો. તેમણે મને વિવેકથી આવકાર્યો, અને પુછ્યું કે કેમ આવવાનું થયું? મેં તેમને વાત સમજાવી કે આ પ્રમાણે, આ જરૂરિયાત માટે આટલા કલર પ્રિંટર ખરીદવાનાં છે, અને એના ઉપયોગથી આ પ્રમાણેનો ફાયદો થશે. જ્યારે તેમણે ૨૨૫,૦૦૦ ડોલર ની પાવતી જોઈ ત્યારે તે ખૂબ ચોંકી ગયાં અને મને કહે કે મનસુખ આતો ખૂબ મોંઘા છે. એટલે મેં તેમને હસતાં-હસતાં કહ્યું કે શું સાહેબ તમે પણ, મિલિયન ડોલરનું બજેટ સંભાળતા તમને આ ૨૨૫,૦૦૦ ડોલર પણ વધારે લાગે છે? આ સાંભળી તે પણ હસી પડ્યા અને એ પાવતી પર એમણે મને સહી કરી આપી અને અમે ત્રણ પ્રિંટર વસાવી લીધા.

    ફરીથી લક્ષ્મીજી નું આગમન પ્રીતિનો જન્મઃ

    ૧૯૮૮માં બીજી પુત્રી પ્રીતિનો જન્મ થયો.  પ્રીતિ ખૂબ જ સમજુ, હોંશિયાર અને માયાળુ   છે. તેણીએ ફ્લોરીડા સ્ટેટ યુનિવર્સિટિમાંથી પી. એચ. ડી.ની ડિગ્રી મેળવી છે.  ૨૦૧૬થી તે વોશિંગ્ટન ડી. સી.માં સેંસસ (વસ્તી ગણતરી વિભાગ)માં કામ કરે છે.  અવારનવાર વિડિયો કોલ કે વોટસઅપ પર સુખ દુઃખની વાતો કરી અમને મનોરંજન પૂરું પાડીને અમારા શેષ દાંપત્ય જીવનમાં અનેરો આનંદ પૂરો પાડે છે.  એ જ અરસામાં સમાચાર મળ્યા કે મારો ખાસ મિત્ર મહેંદ્ર સંઘવી અમને છોડી સ્વર્ગે સિધાવી ગયો. અંગત મિત્ર ખોવાનું ખૂબ દુઃખ થયું.

    નોકરીમાં ઉતારચડાવ

    ૧૯૮૮માં લીગલ ડિપાર્ટમેંટમાથી વિનંતી આવી કે ઘણા ડૉક્યુમેન્ટસ સ્કેન કરીને કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા ના છે અને તેને ઇંડેક્સ કરીને સહેલાઈથી શોધી શકાય એમ હોય તો અતિ ઉત્તમ. આ પ્રોજેક્ટનું સુકાન મને સોંપવામાં આવ્યુ અને  પ્રોજેક્ટને હલ કરવા માટે અમે ‘ઇમેજ પ્રોસેસિંગ’ અને ‘ઓપ્ટિકલ કેરેક્ટર રીડર’ જેવા સૉફ્ટવેર વસાવ્યા અને લીગલ ડિપાર્ટમેંટનાં બધા ડૉક્યુમેન્ટસ સ્કેન કરીને સ્ટોર કરી આપ્યા. પછી એમણે અમને જણાવ્યુ કે તેઓ ન્યુ યોર્કની એક કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી ડૉક્યુમેન્ટ સ્ટોર કરતાં હતાં જેની ફી દર મહિને ૨૫,૦૦૦ ડોલર આપવી પડતી હતી. તો તે ડૉક્યુમેન્ટસ જો આપણી કંપનીમાં આપણાં કોમ્પ્યુટર પર સ્ટોર થઈ શકે તો તે ફી બચી જાય અને વર્ષે ૩૦૦,૦૦૦ ડોલર ની બચત થાય. આ પ્રોજેકટ મારી પાસે આવ્યો. લગભગ ૬ મહિના મહેનત કરીને મેં આ પ્રોજેકટ પૂરો કરી આપ્યો. બધા ખુશ થઈ ગયાં અને મને પ્રોમોશન તથા બોનસ બંને મળ્યા.

    ૧૯૯૨ માં કંપનીએ સ્ટાફિંગ ૧૨૦૦૦ માથી ૧૦૦૦૦ કરવાનું નક્કી કર્યું. એટલે ૨૦૦૦ કર્મચારીઓ ને છૂટા કરવામાં આવ્યા. તેમાં ભેદભાવ ના થાય એટલા માટે દરેક વિભાગમાંથી જેટલા ને છૂટા કરવાનાં હતાં તેમનું આક્ડાંકીય વિષ્લેષણ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું. મેં અને એક સાથીએ મળી ને આ કામ નિષ્ઠા પૂર્વક પૂરું કર્યું જેના માટે અમને બંનેને પુરસ્કાર પણ મળ્યો.

    બાની માંદગી

    ૧૯૯૩ માં મારી બાને ભારતમાંથી માઠા સમાચાર આવ્યા કે તેમનો ભાઈ દેવલોક પામ્યો છે, જેના કારણે મારી બાને હ્રદય રોગનો હુમલો થયો અને તેમને ડાબા અંગે લકવો થઈ ગયો. જેમ-જેમ સમય જતો ગયો તેમ-તેમ તેમનાં જમણા અંગને પણ લકવાએ જકડી લીધું અને મારી બાને ૨૪ કલાક કોઈક ધ્યાન રાખે એવી પરિસ્થિતિ આવી પડી. બે વ્યક્તિ મળી આવી, એક દિવસ દરમ્યાન અને એક રાત્રિ માટે. એમ બે વર્ષ ચાલ્યું, કેટલીયે દવાઓ કરી, હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ દિવસે-દિવસે પરિસ્થિતિ વણસતી જતી હતી. હવે તેમને પાર્કિનસન્સ ની બીમારી પણ થઈ ચૂકી હતી.  અંતે અમે તેમને ભારત લઈ જવાનું નક્કી કર્યું. ભારતમાં મારી મામી અને તેમના દીકરા જયસુખ અને તેની પત્ની ઉર્મિલાએ મારી બાની સારવાર કરી અને ૧૧ મહિના પછી ૧૯૯૮માં મારી બાએ દેહ ત્યાગ કર્યો. સત્તર વર્ષ અમેરિકામાં અમારી સાથે રહ્યાં પછી ફક્ત દીકરા વહુનો પ્રેમ જ નહિ પણ બબ્બે પૌત્રીઓનાં પ્રેમનું વળતર પામી ગંગાબહેન સ્વર્ગે સિધાવ્યા. મારી સગી માને હું અમેરિકામાં મારી સાથે ૧૭ વર્ષ આનંદ્પૂર્વક રાખી શક્યો અને બાળપણના વિસરાયેલા સ્નેહને પામી શક્યો એ માટે હું મારી પત્ની અને પુત્રીઓનો આભારી છું.

    મોટી દીકરીનું માનસ

    જિંદગીમાં એક પછી એક એમ વજ્રઘાતો ની હારમાળા સર્જાતી રહી પરંતુ મિત્રોનાં સથવારે અને પ. પુ. પાંડુરંગ આઠવલે પ્રેરિત સ્વાધ્યાયનાં સુવિચારે જિંદગી એક કદમ આગળ ચલાવી શક્યો. આટલા વજ્રઘાતો ઓછા હોય તેમ એક વધુ વજ્રઘાતનો ઉમેરો થયો.

    ૧૯૯૪માં મારી દીકરી વનિતાને શાળામાં એક છોકરીએ માથામાં ચોપડી મારી તેથી તેણે ભાવનાત્મક સંતુલન ગુમાવ્યું. તેની મનોવૈજ્ઞાનિક ચિકિત્સા શરૂ થઈ, પણ દિવસે-દિવસે તેની પરિસ્થિતિ પણ બગડતી ગઈ. ૧૯૯૭માં એની એવી પરિસ્થિતિ થઈ ગઈ કે એકેય દવા કામ ના કરતાં તેને ‘ઇલેક્ટ્રિક શોક થેરાપી’ આપવી પડી. આંઠ વખત ટ્રિટમેંટ આપ્યા પછી તેની હાલત કાબૂમાં આવી પરંતુ જીવન ભર દવાથી પરિસ્થિતિ પર કાબૂ થઈ શકશે એવું નિદાન થયું.  આજે ૪૨ની ઉંમરે તે પોતાની દવાના સહારે પોતાની જાતનું ધ્યાન રાખી શકે છે.

    મારી બા અને મારી દીકરી વનિતાનાં હોસ્પિટલના ખર્ચાઓને લીધે મારુ દેવું ખૂબ વધી ગયું હતું. અંતે ૧૯૯૯ માં મારે દેવાળું કાઢવું પડ્યું. આ અનુભવ પછી મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે આવી પરિસ્થિતી ફરી ના સર્જાય તેવી કાળજી અમે રાખશું.

    વસંતની ૨૫મી લગ્નતિથિ

    મારી શાળાના ઘનિષ્ઠ મિત્ર વસંત શાહની ૨૫મી લગ્નતિથિ ૧૯૯૬માં ફુલરટન, કેલિફોર્નિઆ મનાવી.  વસંત અને તેની પત્ની કોકિલાના લગ્ન ઘોડિયામાં થઈ ગયાં હતાં. લંગોટિયા મિત્ર તરીકે મને કાંઈક કહેવા માટે પ્રેરિત કર્યો હતો.  તે રાત્રે તેમના સ્નેહી જીવનનું વર્ણન કરતી મેં એક કવિતા લખી હતી તેની બે પંક્તિઓઃ

    આંબા ડાળે ટહુકે કોકિલા
    વસંત આયો રે, વસંત આયો રે

    નોકરીમાંથી રજા

    ૨૦૦૩ની સાલમાં એક વિચિત્ર ઘટના ઘટી. મારા વિભાગનાં ડિરેકટરે એક મિટિંગ બોલાવી અને મિટિંગમાં રૂમમાં જતાં પહેલા મને કહેવામા આવ્યું કે તમારી નોકરી આજથી રદ્દ કરવામાં આવે છે અને તમારા પગાર નો હિસાબ કિતાબ તમને મિટિંગમાં સમજાવવામાં આવશે. આ મિટિંગ પતાવી હું ઘરે જવા જ્યારે દાદરા ઊતરતો હતો ત્યારે મારા મિત્ર અશોક ગર્ગનો  ફોન આવ્યો. અશોક ગર્ગ ઇમ્પોર્ટ-એક્સપોર્ટનાં વ્યવસાયમાં સેટ થઈ ગયાં હતાં. પરંતુ તેમને અચાનક ભારત જવાની જરૂરત ઊભી થઈ. તેમણે મને નોકરી પરથી રજા લેવાનું કહ્યું, એટલે મેં તેમને કહ્યું કે હવે રજા લેવાની જરૂર નથી કારણ કે મારી નોકરી આજ  છૂટી ગઈ છે. મારા મિત્ર અશોક ગર્ગે મને તરત નોકરી પર રાખી લીધો. મેં મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી અને તેનો ઉપકાર માન્યો. જ્યારે એક દરવાજો બંધ થઈ જાય છે ત્યારે ઈશ્વર બીજો દરવાજો ખોલી આપે છે, તેનો મને આજે પુરાવો મળી ગયો.

    અશોક ગર્ગને ત્યાં લગભગ બે- ત્રણ વર્ષ કામ કર્યા પછી મારી જૂની કંપનીએ મને પાછો નોકરી એ બોલાવ્યો. ત્યાર પછી લગભગ ૧૦ વર્ષ સુધી મેં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે  કામ કર્યું. મકાન, કાર, ક્રેડિટ કાર્ડ વગેરે ની બધી જ લોન ભરપાઈ કરી દીધી. મારા મિત્ર અશોક ગર્ગની સલાહ અને દોરવણીથી મેં નિવૃત્તિ લેતા પહેલા મારુ જીવન સંપૂર્ણ પણે કર મુક્ત કરી દીધું. એટલે નિવૃત્તિનાં જીવન માં હવે કોઈ ચિંતા નથી.

    નિવૃત્તિનું જીવન                                

    ૨૦૧૪થી નિવ્રુતિ લીધા પછી અત્યાર સુધી શાંતિ, સંતોષ સાથે જીવન પસાર થયું છે. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના સંપર્કમાં આવ્યા પછી ગદ્ય, પદ્ય, હાઈકુ, ગઝલનો રસાસ્વાદ માણવા મળ્યો છે. ઘણા સિધ્ધહસ્ત લેખક લેખિકાઓનાં અવનવા પ્રયોગોથી પરિચિત થયો. વિજય શાહ, દેવિકા  ધ્રુવ, પ્રવિણા કડકિયા, વિષ્વદીપ બારડ, ઈંદુબેન શાહ, શૈલા મુંશા અને સતીશ પરીખના પ્રોત્સાહનથી લખવાનું શરૂ કર્યું. એ વખતની લખેલ એક કવિતા.

    બસ માગ્યા રાખે છે

    રામ બની તમે
    રામરાજ્ય સ્થાપ્યું

    ક્રુષ્ણ બની તમે
    ગીતા સંભળાવી

    બુધ્ધ બની તમે
    નિર્વાણ આપ્યું

    મહાવીર બની તમે
    અહિંસા સમજાવી

    ઈશુ બની તમે
    જીવનદાન આપ્યું

    મોઝીસ બની તમે
    ગુલામી નાબૂદ કરી

    પયંગબર બની તમે
    ઇમાન આપ્યો

    મીરાંબાઈની વાણીમાં
    નરસૈયાના ભજનોમાં
    ભક્તિની જલક આપી

    ગાંધીજીના સત્યાગ્રહે
    ભારતને આઝાદી આપી

    પ્રભુ, આટ્લું બધું આપ્યું
    છતાં માનવી બધું ભૂલી
    કેવળ તુચ્છ વસ્તુઓ,
    પદાર્થો અને પથરાઓ,
    ધાતુઓ, હીરાઓ અને
    કાગળના થોકડાઓ
    બસ માગ્યા રાખે છે.

    વર્ષોથી મુલતવી રાખેલ પ્રવાસની ઈચ્છાઓ હવે પરિપૂર્ણ થતી રહી છે.  સિનિયર મિત્રો અને તેમાંય ખાસ કરીને પ્રફુલ ગાંધી, દિલિપ કપાસી, સતિષ પરીખ, પ્રકાશ શાહ, અરવિંદ શાહ અને અન્ય મિત્રો સાથે યુરોપ, અલાસ્કા, હવાઈ, મેક્સિકો, જમૈકા, પનામા, બહામા, ચીન, સિંગાપોર, કેન્યા અને ભારતમાં ખૂબ પ્રવાસ કરવાની તક મળી તે ઈશ્વરની બહુ મોટી દેણ છે.  મુંબઈમાં અને ગુજરાતમાં જો રહેવું હોય તો અનેક મિત્રો અને સગાસંબંધીઓના ઘર અને હ્રદય મારા માટે ખુલ્લાં છે.

    આવા સુંદર અને સફળ જીવનની શરુઆત કેવી રીતે થઈ?  ભારતમાં વિતાવેલ એ સોનેરી પળોને પણ યાદ કર્યા વગર કેમ ચાલે? જે ધરતીએ સંસ્કાર આપ્યા, શિક્ષણ આપ્યુ અને અનેક મિત્રોનો સહકાર આપ્યો

    તેની ઝલક હવે જોઈએ.


    ક્રમશઃ

  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગયા મહિને જ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ, અસમ અને પુડુચેરીમાં નવી વિધાનસભાઓની રચના થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સહિતના પ્રધાનમંડળોએ કાર્યભાર સંભાળી લીધો છે. પરંતુ આ પાંચમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોઈ દલિતની પસંદગી થઈ નથી. આ રાજ્યોમાં દલિતોના વોટ નિર્ણાયક હતા અને પશ્ચિમ બંગાળમાં તો દલિતોની વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું છે. તેમ છતાં કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી. આઝાદીના પંચોતેર વરસો પછી દેશમાં માંડ આઠ જ દલિત રાજનેતાઓએ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી છે. તે પૈકી એકને છોડીને કોઈએ પાંચ વરસના કાર્યકાળ માટે તો મુખ્યમંત્રીનું પદ શોભાવ્યું નથી.

    છેલ્લે પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની(જન્મ ૧૯૬૩)ને સપ્ટેમ્બર ૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ના સમયગાળા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.એટલે છેલ્લા પાંચ વરસોથી દેશના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. ૨૦૧૧ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં દલિતોની વસ્તી ૨૦.૧૪ કરોડ હતી. જે કુલ વસ્તીના ૧૬.૬ ટકા હતી. તે પછી વસ્તી ગણતરી થઈ નથી. પરંતુ ૨૦૧૧ પ્રમાણેના ૨૧ કરોડ દલિતોના આટલા મોટા સમૂહને પોણી સદીની સ્વતંત્રતા બાદ માત્ર આઠ જ દલિતો મુખ્યમંત્રી તરીકે મળ્યા હોય તે ચિંતાજનક અને શોચનીય છે.

    રાજ્યના મુખ્યમંત્રીનું સર્વોચ્ચ પદ હાંસલ કરનાર પહેલા દલિત રાજનેતા દામોદરમ સંજીવૈયા(૧૯૨૧-૧૯૭૨) હતા. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૨ના ગાળામાં અવિભાજિત આંધ્રપ્રદેશના  મુખ્યમંત્રી  હતા. તેઓ સ્વતંત્રતા સેનાની અને વરિષ્ઠ કોંગ્રેસી હતા. આંધ્ર કોંગ્રેસના  પ્રદેશ પ્રમુખ તો તેઓ હતા જ બે વાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  પણ બન્યા હતા. ૧૯૫૭માં તેઓ આંધ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૩૦૧માંથી ૧૮૭ બેઠકો પર વિજ્ય મેળવ્યો હતો. પરંતુ મુખ્યમત્રી નીલમ સંજીવ રેડ્ડીને બનાવવામાં આવ્યા હતા. જૂથવાદ અને કોંગ્રેસના ભાગલા પછી એ જ ટર્મમાં  તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ જાન્યુઆરી ૧૯૬૦ થી માર્ચ ૧૯૬૨ સુધી મુખ્યમંત્રી હતા. તેમણે વૃધ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરી હતી. ૩૯ વરસની નાની વયે પહેલા દલિત મુખ્યમંત્રી બનેલા સંજીવૈયા ૫૧ વરસની ઉમરે અવસાન પામ્યા હતા.

    દેશના પહેલા દલિત મહિલા મુખ્યમંત્રી બનવાનું માન માયાવતી (જન્મ ૧૯૫૬) ને જાય છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના નેત્રી માયાવતી ચાર વખત મુખ્યપ્રધાન બન્યા હતા. ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૨માં તેઓ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ ૨૦૦૭માં તેમણે એકલા હાથે વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી અને પૂરા પાંચ વરસ(૨૦૦૭ થી ૨૦૧૨)  યુ.પી. ના સી.એમ પદે વિરાજ્યા હતા. લગભગ ૨૧ ટકા દલિત વસ્તીના આ રાજ્યમાં પોતાની રાજવટ દરમિયાન માયાવતીએ કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યા હતા. દલિત ઉત્થાન અને દલિત સ્મારકો માટે તેમના કાર્યકાળને યાદ કરાય છે. જોકે તે પછીના વરસોમાં તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્યા નથી.

    દલિત મુખ્યમંત્રીની બાબતમાં  બિહારનો ઈતિહાસ સમૃધ્ધ પણ છે અને કલંકિત પણ છે. દેશના આઠ દલિત મુખ્યમંત્રીઓમાંથી ત્રણ તો બિહારના છે. ભોલા પાસવાન શાસ્ત્રી( ૧૯૧૪-૧૯૮૪) રામસુંદર દાસ (૧૯૨૧- ૨૦૧૫) અને જીતનરામ માંઝી( જન્મ ૧૯૪૪) એ ત્રણ દલિત રાજનેતાઓ બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. પણ એકેયને પૂરી પાંચ વરસની મુદત આપી નહોતી. સંજોગોએ તેમને મુખ્યમંત્રીની ગાદીએ બેસાડ્યા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી ૧૯૬૮ થી ૭૨ દરમિયાન ત્રણ વખત મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા. પહેલીવાર ૯૧ દિવસ , બીજીવાર ૧૩ દિવસ અને ત્રીજીવાર ૨૨૨ દિવસ તેઓ મુખ્યપ્રધાન રહ્યા હતા. બહુમતીનો અભાવ અને ગઠબંધન સરકારોએ તેમને લાંબો સમય ગાદીએ ટકવા દીધા નહોતા.

    ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટમાં ભાગ લેવા કોલેજ છોડી જાહેરજીવનમાં આવેલા રામસુંદર દાસને કર્પુરી ઠાકુરે ઓબીસી અનામત લાગુ પાડતા પક્ષમાં સર્જાયેલ જૂથવાદ પછી ૧૯૭૯-૮૦માં  સી.એમ.ની ગાદી મળી હતી. બિહારના છેલ્લા દલિત મુખ્યપ્રધાન જીતનરામ માંઝી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જનતા દળ (યુ)ના ધબડકાની જવાબદારી સ્વીકારીને નીતિશ કુમારે મહાદલિત મુસહર જ્ઞાતિના માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.દસ મહિના પછી તેમને નીતિશ કુમાર માટે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવા કહેવામાં આવ્યું. તો માંઝી કહ્યાગરા મુખ્યમંત્રી બનવાને બદલે હોદ્દો છોડવા નામકર ગયા એટલે પક્ષે તેમને તગેડી મૂક્યા હતા. મીરા કુમાર અને રામવિલાસ પાસવાન ક્ષમતા છતાં સી.એમ. બની ન શક્યા. ભલે આજે ચિરાગ પાસવાન બિહારનું ભવિષ્ય કહેવાતા હોય પણ માંઝી પછી બિહારમાં દલિત મુખ્યમંત્રી વગરનો.એક દાયકો વીત્યો છે.

    રાજસ્થાનના જગન્નાથ પહાડિયા(૧૯૩૨-૨૦૨૧) છેક નહેરુના વારાથી કોંગ્રેસમાં હતા. અને નહેરુ-ગાંધી પરિવારના નજદીકિ હતા. સંજય ગાંધીના ચહેતા તરીકે તેઓ જૂન-૧૯૮૦ થી જુલાઈ ૧૯૮૧ના ૧૩ મહિના માટે મુખ્યમંત્રી બન્યા હતા. પંતપ્રધાનકાળમાં દારુબંધી લાદવાની સિધ્ધિ તેમના નામે છે. મહારાષ્ટ્રમાં સુશીલ કુમાર શિંદે(જન્મ-૧૯૪૧) પણ કોંગ્રેસના જૂથવાદના ઉગાર તરીકે જાન્યુઆરી ૨૦૦૩ થી નવેમ્બર ૨૦૦૪ના બે એક વરસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન  જ વિધાનસભા ચૂંટણીઓ થઈ હતી. કોંગ્રેસનો વિજય થયો પણ તેમને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નહોતા. પંજાબમાં ચન્નીને પણ રાજકીય વ્યૂહનીતિના ભાગરૂપે થોડા મહિના મુખ્યમંત્રી બનાવવાનું નાટક કોંગ્રેસે કર્યું હતું.

    જે છ રાજ્યોમાં દલિતોને મુખ્યમંત્રી બનાવ્યા હતા તેમાં માયાવતીના અપવાદ સિવાય બધા ટૂંકા ગાળા માટે અને રાજનીતિના ભાગ તરીકે બનાવ્યા હતા.  આ મુખ્યમંત્રીઓમાં ૧૯૧૪માં જન્મેલા ભોલા પાસવાન શાસ્ત્રી અને ૧૯૬૩માં જન્મેલા ચરણજીત ચન્ની છે. ૧૯૪૭ પૂર્વે જન્મેલા દલિત મુખ્યમંત્રીઓએ આઝાદી આંદોલનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તમામ આઠેય દલિત મુખ્યમંત્રીઓએ ડો.આંબેડકરનો શિક્ષિત બનોનો મંત્ર આત્મસાત કર્યો હતો. તમામ કોલેજ-યુનિવર્સિટી શિક્ષણ પામેલા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી તેમની વિદ્વતાને લીધે શાસ્ત્રી કહેવાતા હતા.તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃતમાં શાસ્ત્રીની ડિગ્રી મેળવી હતી. એમ બી એ થયેલા ચન્ની મુખ્યમંત્રી બન્યા ત્યારે પીએચડી કરતા હતા. કેટલાક સીધા જ રાજકારણમાં પ્રવેશ્યા નહોતા. પરંતુ સરકારી નોકરી કરતા હતા. એક પણ મુખ્યમંત્રી પાસે રાજકીય વારસો નહોતો. હવે  કેટલાકે પોતાના સંતાનોને રાજકારણમાં ઉતાર્યા છે ખરા. દલિત મુખ્યમંત્રી થવાથી  દલિતોને સામાજિક ન્યાય મળે છે અને રાજકીય સશક્તિકરણ  થાય છે તેનો દાખલો માયાવતીનો કાર્યકાળ છે. જોકે તે રીપિટ થઈ શક્યો નથી.

    દલિત રાજનીતિની ગૂંજ અને દલિત વોટબેન્કની કાગારોળ વચ્ચે ૭૫ વરસોમાં અલ્પ દલિત મુખ્યમંત્રીઓ થવા તે દલિતો અને રાજકીય પક્ષો માટે પડકાર છે. દલિતોને મુખ્યમંત્રીના પદથી અળગા રાખવા તે લોકશાહીની સૌથી અનુત્તરિત ચેલેન્જ છે. ડી..સંજીવૈયા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને મુખ્યમંત્રી થયા હતા.આજે મલ્લિકાર્જુન ખરગે માટે તે શક્ય નથી. કોંગ્રેસ પ્રમુખ ખરગે કર્ણાટકના મુખ્યમંત્રી બની શકતા નથી તે આજના ભારતીય રાજકારણની વાસ્તવિકતા છે.

    રાજકીય પક્ષો પ્રતીક રૂપે થોડા સમય માટે દલિત મુખ્યમંત્રીનો ખેલ પાડે તો કેવું પરિણામ આવી શકે તે કોંગ્રેસે પંજાબમાં જોયું છે. ૨૦૦૭ થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા ચન્ની સી.એમ. બનીને બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા અને બંને પરથી હાર્યા હતા.તે દર્શાવે છે કે પંજાબનો કથિત ઉજળિયાત જ નહીં દલિત મતદાર પણ આ નિર્ણયથી ખુશ નહોતો. દલિતોને સી.એમ. બનાવવામાં કાં તો ઉપેક્ષા થાય છે કાં તો ટોકન તરીકે બનાવાય છે તે સત્ય લોકો સમજી ગયા છે.

    ભારતમાં પંચાયત-પાલિકામાં ટોચના પદે અનામત વર્ગના પ્રતિનિધિત્વના અભાવનો ઉકેલ તેમાં અનામત દાખલ કરીને કાઢવામાં આવ્યો છે પરંતુ મુખ્યમંત્રી કે વડાપ્રધાન માટે આવી અનામત નથી.એટલે દલિતો મોભાદાર પણ સત્તા વગરના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પદ પામે છે પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી થઈ શકતા નથી.

    જો કોઈ મહાનગરનો મેયર દલિત બને અને દલિતના નળમાં પાણી ના આવે કે તેમના ઝૂંપડા પર બુલડોઝર ફરે તો તેના મેયર બનવાનો શો અર્થ? એમ શું દલિતના સી.એમ બનવાથી કશો ફેર પડે? રાજકીય સત્તા બધી સત્તાઓની જનની કહેવાતી હોય તો માયાવતીની જેમ પોતાના દમ પર પાંચ વરસના પૂર્ણ કાર્યકાળ માટે કામ કરી શકે તેવી બહુમતી મળે તો કદાચ દલિત મુખ્યમંત્રી દલિતોના દળદર ફેડી શકે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ચિત્રકથા (૨)

    આસપાસ – ચોપાસ

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    ગયા અંકમાં આપણે જોયું કે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે પારસમણિ સમાં અન્નપૂર્ણાદેવીની સંગીત યાત્રા શરૂ થતાં જ અધુરી રહી જતી જણવા લાગી.
    હવે આગળ….

    અન્નપૂર્ણા દેવીએ જાહેરમાં કાર્યક્રમ ન આપવાની શપથ લીધી તેમણે કાયમ માટે પાળી. લગ્નવિચ્છેદ બાદ પુત્ર શુભેન્દુ (જેનું ટૂંકું નામ શુભ અને બંગાળી ઉચ્ચાર મુજબ ‘શુભો’ થયું) સાથે તેઓ દક્ષિણ મુંબઈમાં આવેલા ‘આકાશગંગા’ બિલ્ડીંગના એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. શુભોને જન્મથી આંતરડામાં અવરોધની કાયમી સ્વરૂપની બિમારી હતી. તેને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો અને રાત ભર સુઈ શકતો નહોતો. મા આખી રાત તેને ગોદમાં લઈ વહાલ કરતાં, સાંત્વન આપતાં અને દિવસે શરૂ થતી સંગીતની સાધના. પતિ તો કાર્યક્રમ આપવા દેશભરમાં ફરતા હતા.

    સંગીતની તાલિમ દરમિયાન એક દિવસે બાબા (ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબ)એ અન્નપૂર્ણા દેવીને તેમનો સુરબહાર બતાવીને કહ્યું, “મારા ગુરૂની વિદ્યા તને શીખવવા માગું છું. તારામાં લોભ લેશમાત્ર નથી. વળી આ વાદ્ય શીખવા માટે અપરિમીત ધૈર્ય અને શાંતિ જોઈએ, જે તારી પાસે છે. તું મારા ગુરૂની વિદ્યા સાચવી શકીશ એવી મને શ્રદ્ધા છે. શરત એક માત્ર છે : તારે સિતાર કાયમ માટે છોડવી પડશે. આ કામ મુશ્કેલ છે, કેમ કે સિતાર જાણકાર અને સામાન્ય શ્રોતા, બન્નેનું લોકપ્રિય છે વાદ્ય છે. જ્યારે સુરબહાર એવા શ્રોતાઓ માટે છે જેઓ સંગીતના ઊંડાણને માપી શક્યા છે અને તેના હાર્દને સમજી શક્યા છે. તેઓ સુરબહારના વાદનના કૌશલ્યને સમજી શકશે અને તેના ધ્વનિની શુદ્ધતાનો આનંદ માણી શકશે. સામાન્ય વ્યક્તિ આ વાદ્યની ખુબી સમજી નહિ શકે અને તેથી કદાચ તારી કલાનો અનાદર થયા જેવું તને લાગશે. પણ સમજદાર અને જાણકાર શ્રોતા તારી કદર કરશે તેને તારો પુરસ્કાર સમજવો જોઈશે. તું તૈયાર છે?”
    અન્નપૂર્ણા દેવીનો જવાબ સરળ હતો. ‘જેવી આપની આજ્ઞા, બાબા.’ અને તેમણે સિતાર ત્યજી સુરબહાર અપનાવ્યો.

    અન્નપૂર્ણા દેવીની પ્રતિભાની વાત વિશે શું કહીએ! તેમણે સુરબહાર જેવા મુશ્કેલ વાદ્ય પર પ્રભુત્વ મેળવ્યું. તેમના બાબા તો મેધાવિ – genius – હતા. તેમની કૃપાનો પ્રસાદ મેળવનારા તેમનાં શિષ્યો વિશે એવા જ મહાન સંગીતકારે કહ્યું, “ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબના geniusના ૮૦ ટકા અન્નપૂર્ણા દેવીમાં, સિત્તેર ટકા તેમના પુત્ર અલી અકબર ખાનમાં અને કેવળ ચાલીસ ટકા રવિશંકરમાં જોવા મળે છે!” આ ઉદગાર છે એક એવા મહાન ગાયકનાં જેમને આપે પંડિત દિગંબર વિષ્ણુ પલુસકર સાથે ફિલ્મ બૈજુ બાવરામાં ‘આજ ગાવત મેરો મન ઝૂમ કે’ તથા ઝનક ઝનક પાયલ બાજેના ટાઈટલ સૉંગમાં સાંભળ્યા છે) તે, ખાંસાહેબ અમીર ખાન સાહેબ. અન્નપૂર્ણા દેવીના મોટા ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબે તો એટલે સુધી કહ્યું, “ત્રાજવાના એક પલડામાં મને, પન્નાલાલ (ઘોષ)ને તથા રવિશંકરને એક સાથે મૂકો અને બીજામાં એકલી અન્નપૂર્ણાને, તો અન્નપૂર્ણાનું પલડું ભારે જ નીકળશે!”

    અન્નપૂર્ણા દેવીના સંગીતની વાત કરતાં પહેલાં તેમનું વાદન સાંભળીશું. (ફોટોગ્રાફમાં મૈહરના તેમના મકાનની ઓસરી પરના પાટ પર બાબા – અલાઉદ્દીન ખાન સાહેબ બેઠા છે અને તેમનાં ચરણો પાસે અન્નપૂર્ણા દેવી. તેમની રહેણી કરણીમાં જે સાદાઈ છે તે અહીં સ્પષ્ટ દેખાશે!)

    માંઝ ખમાજમાં કેટલીક ઝલક

    આલાપ અને જોડ : રાગ કૌન્શી કાનડા

    આપ સાંભળી શકશો તેમણે સર્જેલા સૂરોની ધારદાર શુદ્ધતા, આલાપમાં નીકળતી નાજુક મીંડ, જોડ અને ઝાલા વગાડતી વખતે સુરબહારમાં વિદ્યુત્ ગતિથી ફરતી તેમની આંગળીઓએ અદ્ભૂત સંગીત સર્જ્યું. તેનો અણસાર ઉપરની લિંક્સમાં સાંભળવા મળશે. અહીં તેનું રીતસરનું રેકૉર્ડીંગ સાઉન્ડપ્રૂફ સ્ટુડીઓમાં નથી કરવામાં આવ્યું.

    પં. રવિશંકર સાથેની જુગલબંદીના કાર્યક્રમનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમના હૉલની બહાર બેઠેલ એક વ્યક્તિએ તેના ટેપ રેકોર્ડરમાં કર્યું હતું અને સદભાગ્યે થોડા સમય પહેલાં યૂટ્યૂબ પર ચઢાવવામાં આવ્યું. રાગ યમન કલ્યાણમાં રજુ થયેલી સિતાર- સુરબહારની જુગલબંદીમાં હૃદયની ગુફામાંથી ઉમટતા હોય તેવા ઘેરા અને ધીર ગંભીર સૂર અન્નપૂર્ણા દેવીના સૂરબહારનાં છે. રેકોર્ડીંગમાં પંડિત રવિશંકરની સિતારનો અવાજ સહેજ આછો ઉતર્યો છે, પણ સંભળાય તેવો છે. શ્રોતાઓ તરફથી બન્ને વાદકોને મળેલી વાહ વાહ પણ સ્પષ્ટ સંભળાય છે.

    રાગ યમન કલ્યાણ (આલાપ)

    સંગીતજ્ઞ મદનલાલ વ્યાસ, જેઓ પંડિત રવિશંકરના શિષ્ય હતા અને ૩૪ વર્ષ સુધી મુંબઈના ‘નવભારત ટાઈમ્સ’ના સંગીત વિવેચક હતા, તેમણે લખ્યું, “(તેમનાં સંયુક્ત) કાર્યક્રમના અંતે શ્રોતાઓનું ટોળું અન્નપૂર્ણા દેવીને ઘેરી વળતું. પંડિતજીને તે સહન થતું નહોતું. તેઓ (રવિશંકર) અન્નપૂર્ણા દેવીની સરખામણીમાં ઊણાં પડતા હતા, જે તેઓ સાંખી શકતા નહોતા. અન્નપૂર્ણા દેવી તો મેધાવિની હતાં. તેમના પિતા, જેમણે વાદકની આવડત અને તેની કલાની ગુણવત્તાની બાબતમાં કદી પણ બાંધછોડ નહોતી કરી, તેમણે પણ કહ્યું કે તે (અન્નપૂર્ણા દેવી) સાક્ષાત સરસ્વતીનો અવતાર છે. આનાથી વધુ કોઈ પ્રશંસા હોઈ શકે? લગ્નવિચ્છેદ બાદ અન્નપૂર્ણા દેવીએ પૂરી શક્તિ પોતાની સંગીત સાધના, પુત્ર શુભોની માવજત અને તેના સંગીત શિક્ષણ પર કેન્દ્રીત કરી. શુભોની બાબતમાં તેમને અનહદ પરિશ્રમ કરવો પડ્યો. એક તરફ તેની પ્રકૃતિને સંભાળવામાં સ્નેહની પરાકાષ્ઠા કરતાં હતા. જ્યાં સંગીત શિક્ષણની વાત આવતી ત્યાં શિસ્તનું અનુશીલન કરવામાં કડક થવું પડતું. જેઓ સંગીતને જીવન માને છે, તેમના માટે તેના શિક્ષણ અને રિયાઝને સાધના – અને ઉર્દુમાં ચિલ્લા જેટલું પવિત્ર અને એકાગ્ર ભક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતીય સંગીતના મહાન કલાકારોએ તેમના શિક્ષણકાળમાં દિવસના છ થી આઠ કલાક – ઘણી વાર તો તેથી પણ વધુ સમયનો રિયાઝ કરેલો હોય છે. આ સાધનામાં ગુરૂ જરા પણ બાંધછોડ ન કરે. અન્નપૂર્ણા દેવી, તેમના ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબ, રવિશંકર – આ સૌને ખાંસાહેબ અલ્લાઉદ્દીન ખાન સાહેબે આ કડક શિસ્તમાં પલોટ્યાં હતા. સંગીતની બાબતમાં અન્નપૂર્ણા દેવી માટે શુભો પણ શિષ્ય જ હતો. તેમણે તેને સિતાર શીખવવાનું શરૂ કર્યું.

    શુભોને શૈશવાવસ્થામાં આંતરડાનો રોગ થયો હતો, તેમાં તેને અસહ્ય દર્દ થતું. આખી રાત તે રડતો રહેતો. માતાને તેને ગોદમાં લઈ બેસતાં, તેને વહાલ કરતાં અને સંભાળતાં. શુભોને તેની માંદગી બાદ પણ રાતે ઉંઘ ન આવતી. યુવાવસ્થામાં તેને ઊંઘની ગોળી લેવી પડતી.

    વર્ષો વિત્યાં. શુભોએ સંગીતમાં ઘણી પ્રગતિ કરી. મૈહર ઘરાણાની પરંપરા તેના વાદનમાં સ્પષ્ટ રીતે ઉભરી. રિયાઝની બાબતમાં માતાએ સીંચેલી કડક શિસ્તના કારણે તેણે તેના વાદનમાં દીર્ઘ આલાપ અને મીંડમાં એવું માધુર્ય પ્રાપ્ત કર્યું, સાંભળનારા ચકિત થઈ જતા. કહેવાય છે કે તેમના ઓળખીતા સાઉન્ડ રેકૉર્ડીસ્ટે શુભોના વાદનનું નાનકડું રેકૉર્ડીંગ કર્યું હતું. એક દિવસ તેણે સ્વાનંદ માટે વગાડ્યું. સંજોગવશાત્ પંડિતજી સ્ટુડીયોમાં હતા અને તેમણે તે સાંભળ્યું. તેઓ તરત બોલ્યા, “અરે! આ તો અમારા મૈહર ઘરાણાની સંગીત ધારાનું વહેણ છે. આ વાદન મારૂં તો નથી જ, અને નિખીલ (બૅનરજી)નું પણ નથી લાગતું. કોણ છે આ કલાકાર?”

    “શું વાત કરો છો પંડિતજી! ખુદ પોતાના દીકરાનું સંગીત ઓળખી ન શક્યા?”

    સાંભળી રવિશંકર આશ્ચર્યચકિત થઈ ગયા અને બીજા દિવસે તેને મળવા તેમના મલબાર હિલ પરના ફ્લૅટ પર ગયા. તેમણે શુભોને સિતાર વગાડવા કહ્યું. સાંભળીને તેઓ દંગ થયા અને શુભોને તેમની સાથે અમેરિકા જઈ તેમની સાથે જાહેર કાર્યક્રમ આપવા સૂચવ્યું. શુભો તો તરત તૈયાર થઈ ગયો, પણ અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે જાહેરમાં કાર્યક્રમ આપવા જેટલી તેની તૈયારી નથી. હજી તેને દોઢ વર્ષ જેટલું શીખવું પડશે. તેમની વાત સાંભળતાં મોટો વિવાદ થઈ ગયો. પં. રવિશંકરના મતે તેમનો પુત્ર ‘તૈયાર’ હતો. બાકી રહેલી તાલિમ તેઓ ખુદ તેને અમેરિકા ગયા બાદ આપશે.

    “શુભોને ફક્ત છ મહિના મારી પાસે રહેવા દો. જે મેં શરૂ કર્યું છે, તે મને પૂરૂં કરવા દો. છ મહિનાના ઘનીષ્ઠ શિક્ષણમાં તેને તૈયાર કરી આપીશ. ત્યાર પછી શુભોને જ્યાં જવું હોય તે જઈ શકે છે.”

    શુભોએ પિતા સાથે જવાની હઠ કરી. એક તમાશો ખડો કર્યો અને અમેરિકા ગયો. ત્યાં ગયા બાદ તેના જીવનમાં નવો જ વળાંક આવ્યો. તેનું આગળ શું થયું તે માટે ખાસ લેખ લખવો પડશે! મુખ્ય તો કહેવાનું કે અમેરિકા જતાં વેંત પંડિતજીએ તેને કૅલિફૉર્નિયામાં એક ફ્લૅટ અને નવી નક્કોર ફોર્ડ મસ્ટૅંગ કાર લઈ આપી. તેની તાલિમનું શું થયું કોઈ નથી જાણતું. પંડિતજી તો દેશદેશાવરમાં કાર્યક્રમ આપવા ફરતા હતા. બે વર્ષ બાદ તેમણે શુભો સાથે ન્યુ યૉર્કમાં કાર્યક્રમ આપ્યો. નીચેના વિડિયોમાં કાર્યક્રમ જોઈ-સાંભળી શકશો. શુભોની પાછળ તાનપુરા પર સંગત આપી રહ્યા છે શ્રીમતી સુકન્યા – જેમની સાથે પંડિતજીએ આગળ જતાં લગ્ન કર્યાં.

    ***
    એક દિવસ અન્નપૂર્ણા દેવી પાસે અમેરિકાથી એક સજ્જન તેમના ફ્લૅટ પર પહોંચ્યા અને કૉલ બેલ દબાવી.

     વખતે ખુદ અન્નપૂર્ણા દેવીએ બારણું ખોલ્યું, અને પૂછ્યું, “કોનું કામ છે?”

    “મારૂં નામ ઋષિ કુમાર પંડ્યા છે. હું અમેરિકાથી આપની પાસે સંગીત શીખવા આવ્યો છું.”

    “હું કોઈને સંગીત શીખવતી નથી.”

    “મને તો આપના મોટા ભાઈ – મારા ગુરૂ ખાંસાહેબ અલી અકબર ખાનસાહેબે ખાસ ભલામણ કરીને આપની પાસે મોકલ્યો છે. આપની પાસે ઘણી ઉમેદ રાખીને આવ્યો છું.”

    અન્નપૂર્ણા દેવીએ તેમને અંદર બોલાવ્યા અને કહ્યું, “દાદા પાસે જે શીખ્યા છો તે મને સંભળાવો.”

    ઋષિ કુમારે સિતાર પર કેટલીક ગત વગાડી. તે સાંભળ્યા બાદ અન્નપૂર્ણા દેવીએ તેમને એક કલાક સુધી રાગ દેસ શીખવ્યો. પાઠને અંતે કહ્યું, “શીખી લીધું? હવે પધારો,” કહી તેઓ બારણા પાસે ગયા.

    મૂળ અમદાવાદના પંડ્યાજી પાસે વાતચીતની એવી કલા હતી, અન્નપૂર્ણા દેવી તેમને અાગળ શિક્ષણ આપવા તૈયાર થયાં. ૧૯૮૧માં અચાનક તેમણે અન્નપૂર્ણા દેવીને કહ્યું, “આપ મારી સાથે લગ્ન કરશો?”
    સાંભળીને અન્નપૂર્ણા દેવી આશ્ચર્ય ચકિત થયા અને વિચારમાં પડ્યા. વિચારાંતે તેમણે ઋષિ કુમારનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેમનાં લગ્ન થયા.

    ઋષિ કુમારે અમેરિકા તથા કૅનેડામાં માનસશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી અને વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને કેળવણી આપતા હતા અને ભારતમાં આ કામ સંબંધે આવ્યા હતા. લગ્ન બાદ તેમણે અન્નપૂર્ણા દેવીને ખુબ સંભાળ્યા ; તેમની નાજુક સંવેદનાઓનો ખ્યાલ રાખ્યો અને તેમની સંગીત સાધનામાં જરા પણ વ્યત્યય ન આવે તેની ચોકસાઈ રાખી. અન્નપૂર્ણા દેવીના જીવનમાં લાંબા સમય સુધી તરફથી થયેલી ઉપેક્ષાનું દુ:ખ હતું તે ઋષિ કુમારે દૂર કર્યું. એટલું જ નહિ, તેમણે પં. રવિશંકર સાથે પણ સુચારૂ સંબંધ જાળવ્યો.

    ***

    પંડિતજીએ તેમની આત્મકથા ‘રાગ માલા’માં તેમનાં ‘પ્રથમ પત્ની’ વિશે અણછાજતી વાતો લખી તે વાંચીને અન્નપૂર્ણા દેવીને અત્યંત દુ:ખ થયું. તેમના પુત્ર શુભોને લઈ પુસ્તકમાં પંડિતજીએ જે પ્રકારના આક્ષેપ અન્નપૂર્ણા દેવી પર કર્યા તે વાંચી તેમનાથી રહેવાયું નહિ અને જીવનમાં પહેલી વાર તેમણે Man’s World નામના સામયિકના પ્રતિનિધીને મુલાકાત આપી.1 આ મુલાકાત પણ કેવી! પત્રકાર આવ્યા અને અન્નપૂર્ણા દેવીએ તેમને ઘર બતાવ્યું. લેખિતમાં પ્રશ્નો માગ્યા અને લેખિતમાં જ જવાબ આપ્યા. બન્ને વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ. પણ આ ‘ઈન્ટર્વ્યૂ’ પ્રસિદ્ધ થતાં જ સંગીત વિશ્વમાં ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી જગતભરના સંગીત ચાહકો ફક્ત એટલું જ જાણતા હતા કે ભારત રત્ન પંડિત રવિશંકરનાં પ્રથમ લગ્ન તેમના ગુરૂપુત્રી અન્નપૂર્ણા દેવી સાથે થયા હતા. આ એક પંક્તિમાં જાણે અન્નપૂર્ણા દેવીનું આખું જીવન સમાઈ ગયું હતું. જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં વૈજ્ઞાનીક પત્નીનું નામ કોઈ જાણતું નથી, તેવી હાલત અન્નપૂર્ણા દેવીની થાત. ‘મૅન્સ વર્લ્ડ’માં તેમની મુલાકાત આવી ત્યારે જ લોકોને આ મહાન કલાકારની સિદ્ધી અને સાધના વિશે જાણ થઈ ; જે પંડિતજીને લોકો સંગીતના ભગવાન માનતા હતા, તેમનાં ચરણ કમળનાં નહિ, કાદવનાં હતા તે જાણી સૌ ચોંકી ગયા. જેમની તેમણે આખા જીવન દરમિયાન ઉપેક્ષા કરી હતી, તે ખુદ પંડિતજી કરતાં ઉચ્ચ દરજ્જાના કલાકાર હતા તેની જાણ થઈ ત્યારે સૌ ચકિત થઈ ગયા. ત્યારે જ લોકોએ જાણ્યું કે પંડિત હરીપ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, આશિષ ખાન, બસંત કાબરા જેવા આંતરાષ્ટ્રીય કક્ષાના કલાકારો અન્નપૂર્ણા દેવીનાં શિષ્યો હતા!

    ***

    પં. રવિશંકરે તેમની આત્મકથામાં લખ્યું કે અન્નપૂર્ણા દેવી સાથેનાં તેમનાં લગ્ન ‘અૅરેન્જડ્ મૅરેજ’ હતા. પ્રેમ-બ્રેમ જેવી કોઈ વાત નહોતી!” આગળ જતાં તેમણે લખ્યું કે તેમનાં પત્નિ હઠ કરીને તેમની સાથે બેસીને કાર્યક્રમ આપવા જતાં. એ તો તેમની શરમાળ પ્રકૃતિ કે ‘નર્વસનેસ’ને કારણે solo કાર્યક્રમ નહિ આપવાનો તેમણે નિર્ણય લીધો હતો!

    લગ્ન વિચ્છેદ તથા શુભોની બાબતમાં તેમણે આખો દોષ અન્નપૂર્ણા દેવીને આપ્યો છે. શુભો માંદો રહેતો હતો અને તેની પાછળ રાત રાત જાગવું પડતું હતું તેથી તેમનો સ્વભાવ વઢકણો થઈ ગયો હતો. તેઓ લાંબા સમય સુધી બહારગામ કાર્યક્રમ આપવા જતા અને ઘેર આવતાં જ પત્ની તેમની સાથે લડાઈ કરતા કે તેમનાં અનેક રૂપવતી સ્ત્રીઓ સાથે લગ્નેતર સંબંધો છે. શુભોને સંગીત શીખવવામાં તેની સાથે અત્યંત કડક વર્તતાં તેથી તે કંટાળી ગયો હતો. તેમની સાથે અમેરિકા જવા બાબતમાં શુભો સાથે એટલો ઝઘડો કર્યો હતો કે તેણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લેવાનો પ્રયત્ન કર્યો હતો!

    ‘મૅન્સ વર્લ્ડ’માં આપેલી મુલાકાત અને પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીના સમકાલિન કલાકાર તથા સમીક્ષકોએ સ્પષ્ટ લખ્યું છે કે રવિશંકર સાચે જ પ્રતિભાશાળી કલાકાર હતા, પણ અન્નપૂર્ણા દેવીની મેધા, પ્રતિભા, સંગીત રજુ કરવામાં તેમની કલ્પકતા તથા વૈવિધ્ય અને મુખ્ય તો લોકપ્રિયતા પંડિતજી કરતાં ક્યાંય આગળ હતા. કાર્યક્રમોમાં રવિશંકર પત્નીની આભા નીચે એવા ઢંકાઈ જતા, જે તેમને કદી રૂચ્યું નહિ.

    આ બધું વાંચીને કોઈના પણ મનમાં સહજ પ્રશ્ન ઉઠશે : લગ્ન સમયે રવિશંકર ૨૧ વર્ષના બંગાળી બ્રાહ્મણ (તેમના પરિવારની મૂળ અટક ‘ચૌધુરી’ હતી)ના નબિરા હતા અને રોશન આરા કેવળ ૧૪ વર્ષનાં મુસ્લિમ પરિવારની કન્યા હતા. જો તેમની વચ્ચે પ્રેમ ન હોત તો ખાંસાહેબ અલાઊદ્દીન ખાન સાહેબ તથા તેમનો પરિવાર આ લગ્ન માટે તૈયાર કેવી રીતે થાત? શું લગ્નની સવારે પંડિતજીની માગણી પ્રમાણે રોશન આરા ધર્મ પરિવર્તન માટે તૈયાર થયાં અને તેમનાં બાબા-અમ્મીએ રજા આપી, તે શું ‘એરેન્જ્ડ મૅરેજ’ હતાં તેથી? જ્યારે બન્નેની કેળવણી પૂરી થઈ અને તેઓ જાહેરમાં આત્મવિશ્વાસપૂર્વક કાર્યક્રમ કરી શકશે એવી તેમની તૈયારી જોયા બાદ જ ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબે પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીને જાહેર કાર્યક્રમ આપવાની રજા આપી હતી. આમ કોઈનું પણ કહેવું નિરર્થક છે કે અન્નપૂર્ણા દેવી ‘નર્વસ’ કે ‘શરમાળ’ હતાં અને જાહેરમાં કાર્યક્રમ ન આપવાનો નિર્ણય કેવળ આ કારણસર લીધો હતો.

    કહેવાય છે કે હૃષિકેશ મુખર્જીએ તેમની ફિલ્મ ‘અભિમાન’માં પતિના મનમાં ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, પુરુષ અહંકાર (male ego) અને તેમની સ્ત્રી શક્તિને ગૌણ લેખવાની વૃત્તિને બતાવી છે, તે પંડિત રવિશંકર અને અન્નપૂર્ણા દેવીના જીવન પરથી લીધી. આ વાત ઘણાં લેખકો અને વિવેચકો માને છે.

    અન્નપૂર્ણા દેવીનું સંગીત કેટલું દિવ્ય છે હતું તે વિશે તેમના શિષ્યોની વાત સાંભળીશું. “મા તેમની સાધના એક ખાસ રૂમમાં બંધ બારણે કરતા. કહેવાય છે કે ખુદ મા સરસ્વતી તેમનું સંગીત સાંભળવા આવતાં. કોઈ કોઈ વાર જ્યારે તેઓ સુરબહારના crescendo – ઝાલા (દ્રૂત લય)પર પહોંચતાં, તેમના સાધના ખંડમાંથી ચંદનની ખુશબૂ પ્રસરતી. સૌ જાણે છે કે તેમણે કદી સાધના ખંડમાં ધુપ-બત્તી નહોતી કરી.”

    આ અનુભવ ખુદ ઋષિ કુમારને પણ થયો હતો.

    જ્યારથી અન્નપર્ણા દેવીએ જાહેરમાં વાદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી પચાસ વર્ષ સુધી કોઈ વ્યક્તિની સામે તેમણે સુરબહાર વગાડ્યો નહિ. ખુદ તેમનાં શિષ્યો સામે પણ તેમણે સુરબહાર કે સિતાર ન વગાડ્યાં. તેમને શિક્ષણ આપતા તે સુરાવલી, ગત, આલાપ – બધું ગાઈને સમજાવતાં અને તેનો રિયાઝ કરવાનું કહેતા.

    ફક્ત એક વ્યક્તિની સામે તેમણે સુરબહારનાં સૂર પ્રસ્તુત કર્યાં. બીટલ્સના જ્યૉર્જ હૅરીસન. જ્યારે જ્યારે તેઓ ભારત આવ્યા, અન્નપૂર્ણા દેવીનું સંગીત સાંભળવા મથ્યા,પણ તેમને સફળતા ન મળી. આખરે તેઓ તે સમયનાં ભારતના પ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીને મળ્યા અને તેમની પાસેથી ભલામણ કરાવી. અન્નપૂર્ણા દેવી શ્રીમતિ ગાંધીની વિનંતીને ઉપેક્ષી ન શક્યા. તેમણે એકલા જ્યૉર્જ હૅરીસન માટે તેમના ફ્લૅટમાં અન્ય કોઈની હાજરી સિવાય સુરબહાર વગાડ્યો.

    અન્નપૂર્ણા દેવીના જીવનમાં સૌથી વધુ આઘાતકારક પ્રસંગો હોય તો તે તેમના પુત્ર શુભોને લગતાં હતા. પ્રથમ તો જ્યારે તે માતા પાસેથી મળતું શિક્ષણ અધુરૂં મૂકી પિતા સાથે અમેરિકા જતો રહ્યો તેમને અત્યંત દુ:ખ થયું હતું. એટલા માટે નહિ કે તે તેના પિતા સાથે જઈ રહ્યો હતો. તેમણે પુત્રની સાધના પૂરી થાય તેનો આગ્રહ કર્યો હતો. લગભગ બે દાયકાની મહેનતની પરિણતી માટે સાવ થોડો સમય બાકી રહ્યો હતો તે પૂરો કરે. શુભોમાં પ્રતિભાનો અભાવ નહોતો. જેમ હિરાની કિંમત કસબીના હાથે પાસા પાડવામાં આવે ત્યારે જ થતી હોય છે, તેમ સંગીતકારની પ્રતિભા તેના ગુરૂ પાસેથી મળતું શિક્ષણ અને રિયાઝના અંતે જ પ્રકાશતી હોય છે. રવિશંકરે કહ્યું કે તેઓ તેનો અભ્યાસ પૂરો કરશે, અને શુભોને અમેરિકા લઈ ગયા. બે વર્ષ બાદ તેણે પિતાની સાથે થોડા કાર્યક્રમ (ન્યુ યૉર્ક, પૂણેના સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવમાં) આપ્યા, પણ તે ક્યાંય ઝળકી શક્યો નહિ અને અંતે તે લુપ્ત થઈ ગયો. જે પ્રતિભાશાળી માતા-પિતા અને ખાંસાહેબ અલાઉદ્દીન ખાનસાહેબ જેવા માતામહની પરંપરા ચાલુ રાખી શક્યો હોત, તેણે આજીવીકા કમાવવા ગ્રોસરી સ્ટોરમાં સુદ્ધાં કામ કર્યું. અંતે થાકીને આઠ વર્ષે તે મા પાસે આવ્યો અને આંખમાં આંસુ સાથે એક જ વાક્ય બોલ્યો : “મા, આમિ શીખૂ.” (મા, હું તારી પાસે શીખીશ.) જાણે તે કદી ઘર છોડીને ગયો જ નહોતો તે પ્રમાણે અન્નપૂર્ણા દેવીએ તેને સિતાર આપી અને “લે, બેસ,” કહી તેનું શિક્ષણ શરૂ કર્યું. પણ આઠ વર્ષના ગાળામાં જે છૂટી ગયું હતું તે શુભો આંબી શક્યો નહિ. થોડા જ સમયમાં તે પાછો કૅલિફૉર્નિયાના ગાર્ડન ગ્રવ શહેરમાં જતો રહ્યો. ત્યાં તે સ્થાનિક કલાકાર તરીકે જીવ્યો અને ત્યાં જ અવસાન પામ્યો. લૉસ અૅન્જલીસ ટાઈમ્સના મનોરંજન વિભાગમાં કેવળ ૭૫ શબ્દોમાં તેની અવસાન નોંધ લેવાઈ : “ગાર્ડન ગ્રવના સંગીતકાર અને કૉમ્પોઝર શુભો શંકર, જે પ્રખ્યાત સિતારવાદક રવિશંકરના પુત્ર હતા, પચાસ વર્ષની વયે લૉસ અાલામિટોસ હૉસ્પિટલમાં ન્યુમોનિયાની બિમારીથી મૃત્યુ પામ્યા…” વિ.

    અંતમાં ફરી એક વાર સંગીત વિવેચક મદનલાલ વ્યાસના લેખનો અંશ ઉતારીશ :

    “… She is a genius. Even Baba, the unforgiving and uncompromising Guru called her the embodiment of Saraswati. What higher praise than this?”

     


    આજનો અંક વિવિધ સ્રોત પર આધારીત છે. તેમાંની મુખ્ય લિંક છે:

    1Annapurna Devi: The Tragedy And Triumph Of Ravi Shankar’s First Wife


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • સંભારણું – ૧૭: સેકન્ડ ઈનિંગ્સ

    શૈલા મુન્શા

    સેકન્ડ  ઈનિંગ્સ, બીજી પાળી, ડાયરીમાં એક નવું પાનું, એક નવો અધ્યાય શરુ થયો!! પણ ખરેખર આ બીજી પાળી કે ત્રીજી??

    આમ તો બધા લોકો નિવૃત જીવનને બીજી પાળી તરીકે ઓળખતા હોય, બાળકો મોટાં થઈ પોતપોતાના જીવનમાં ગોઠવાઈ ગયાં હોય, એમના જીવનનું એક સુંદર ઉપવન રચાઈ ગયું હોય. ક્યારેક બાળકો પાસે હોય તો પૌત્ર, પૌત્રીને રમાડવાનું, એમની જરુરિયાત વખતે સાથ આપવાનો મોકો મળે, અને થોડા વખતમાં એ બાળકો પણ પોતાની દુનિયામાં રમમાણ!!

    મારા જીવનનો અધ્યાય કાંઈક જુદી રીતે જ લખાયો! થાય છે આજે તો મન મૂકીને ડાયરીમાં ઠાલવી જ દઉં.

    પચાસ વર્ષની વયે સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઈ, અને પહોંચ્યાં અમે ભારતથી છેક અમેરિકા. નવો દેશ, નવી દુનિયા; અધૂરામાં પૂરું બહેન કે જેણે અમને સ્પોન્સર કર્યાં એમને સાઉદી અરેબિયા જવાનું થયું. સગવડ તો એ બધી જ કરીને ગઈ હતી. પછી પગભર થવાનું, નવા સંબંધ શોધવાના, નોકરી માટે ઈન્ટરવ્યૂ!! ખરી મજા તો ઈન્ટરવ્યૂ આપવામાં થઈ.

    અંગ્રેજોની મહેરબાનીથી આપણા અંગ્રેજી ઉચ્ચાર પર બ્રિટિશ લહેકાની અસર અને અમેરિકન અંગ્રેજી સ્વર, સ્વરના ઉચ્ચાર-ધ્વનિ પર વધુ ભાર આપે. ભલે મારું અંગ્રેજી વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર હોય પણ સામાવાળાને સમજવામાં તકલીફ પડે. અચાનક મને કેપ્ટન નરેન્દ્ર ફણસેના પુસ્તક “જિપ્સીની ડાયરી” નું એક વાક્ય યાદ આવી ગયું. “એક સૈનિકને અનેક મોરચે લડાઈ લડવી પડતી હોય છે, પણ જીવનની લડાઈ તો પ્રત્યેક માણસે પોતે એકલાએ જ લડવી પડે છે” આ પરમસત્યનું જ્ઞાન અમેરિકા આવીને મારા હૈયામાં બરાબર કોતરાઈ ગયું.

    અમેરિકાની ધરતી પર ગોઠવાતા વાર લાગી નહિ. બહેનના મિત્રોનો ભરપૂર સાથ મળ્યો. ભારતની શૈક્ષણિક કારકિર્દીએ અમેરિકન સ્કૂલમાં શિક્ષિકાની નોકરી મેળવવામાં સહાય કરી. નાના દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં કરતાં જીવનમાં એક નવું પાનુ ઉમેરાયું.

    આ નિર્દોષ બાળકોની વ્યથા, તકલીફ, નિર્વ્યાજ પ્રેમ આ રોજનીશીનું અવિભાજ્ય અંગ બની ગયાં. લગભગ રોજ ડાયરીમાં એ પ્રસંગો નોંધાતા ગયા.

    એ રોજનીશીએ સાહિત્ય જગતમાં પ્રવેશવાનો માર્ગ ચીંધ્યો અને હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના ઘણા સાહિત્ય સર્જકો અને સરિતાના દરેક સભ્યો સાથે જાણે પારિવારિક સંબંધોનો સેતુ બંધાયો.

    ત્રેવીસ વર્ષ અમેરિકન સ્કૂલમાં કામ કરતાં કરતાં ત્યાં પણ ઘણા મિત્રો થયા. મારિયા એક ચુલબુલી મેક્સિકન શિક્ષિકાનો ચહેરો અને ડાયરીનું એ પાનું આજે પણ આંખ સામે તરવરે છે.

    કેન્સરને માત આપી જિંદાદિલીથી જીવતી મારિયા અચાનક એક દિવસ મારી સાથે જમતાં જમતાં કહેવા માંડી, “મીસ મુન્શા 55 and up, decide to start my second innings” પહેલીવાર મને સેકન્ડ ઇનિંગ્સનો અર્થ સમજાયો, સ્વેચ્છાએ મારિયા નિવૃત થઈ પોતાના સમવયસ્ક લોકો સાથે રહેવા જવાની હતી; જ્યાં એ પોતાના શોખ પોતાના મિત્રો સાથે માણી શકે. અમેરિકામાં આ વાત બહુ સહજ છે જે પચાવતા થોડી વાર લાગી.

    जिंदगीका सफर है ये कैसा सफर,
    कोई समझा नहीं, कोई जाना नहीं;
    है ये कैसी डगर, चलतें हैं सब मगर;
    कोई समझा नहीं, कोई जाना नहीं!!

    રાજેશ ખન્ના, શર્મિલા ટાગોરनुं પિક્ચર સફર મારા મનગમતાં પિક્ચરની યાદીમાં શામેલ છે. કિશોરકુમારના કંઠે ગવાયેલું અને ઈન્દીવરજીએ લખેલું આ ગીત જીવનનો મર્મ કેવી સુંદરતાથી સમજાવે છે. મારા જીવનની સફર પણ કાંઈક આવી જ છે, चलतें हैं सब मगर, कोई समझा नहीं कोई जाना नहीं।

    અત્યારે ડાયરીનો ત્રીજો અધ્યાય લખાઈ રહ્યો છે. અમેરિકામાં સ્થાયી થવાની ઈચ્છાએ ત્રેવીસ વર્ષ પહેલાં ભારત છોડ્યું. છેલ્લાં બે ત્રણ વર્ષથી કોરોનાના સકંજામાં આખું વિશ્વ ઝડપાયું અને ઘણા આપ્તજનોનો વિયોગ થયો ત્યારથી મનમાં એક ઉત્પાત થઈ રહ્યો હતો, એકલતાનો સામનો કરવો તો કઈ રીતે? એક સ્ત્રી તરીકે કદાચ એ સહી લેવાય પણ એક પુરુષ અને તે પણ હંમેશાં બીજા પર અવલંબિત હોય એનું શું?

    ભારતથી મિત્રોનો વારંવાર વહાલભર્યો સંદેશો આવતો હતો કે પાછી આવી જા, ઉંમરના આ પડાવે મિત્રો જેવો બીજો કોઈ સાથ નથી, એમાં તબિયત એક મુખ્ય નિમિત્ત બની ગયું..

    ડાયરીમાં ત્રીજી પાળી, ત્રીજો અધ્યાય લખાવો શરુ થયો. પોતાને વતન પાછાં ફરતાં જાણે માની ગોદમાં પાછી ફરી હોઉં એવું લાગે છે. વતનની માટી, લોકો અને એની ખુશ્બૂ નિરાળી જ છે!! આ સવાર, બારી બહાર દેખાતો ગુલમહોર અને……

    ઊઘડતી આંખ કોયલના ટહુકારે,
    ઊગતું પ્રભાત સૂર્યકિરણના સથવારે.
    આજનું આ પાનું માતૃવંદના સાથે સમાપ્ત કરું છું.

    “પાલવનો ટુકડો મીઠું વ્હાલ સજાવે,
    આમ તો ના કોઈ કમી જીવનમાં જરાયે
    તો સપનામાં રોજ મા હાલરડાં કાં વાવે
    મોતી ચમકતું આંખ ખૂણે, એ છુપાવે…..

    ઠેસ જ્યાં લાગે જરા, ને મા યાદ આવે.

    ગયા સહુ છોડી એ શું બની જાય તારા?
    કૌતુકભરી નજરો શોધે હશે કોઈ મારા?

    વરસાવે સહુ અઢળક પ્રેમની અમૃત ધારા!

    યાદોના ખૂલે પટારા, અશ્રુનાં તોરણ બંધાવે.

    ઠેસ જ્યાં લાગે જરા, ને મા યાદ આવે.

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • સબંધ: મારી નજરે

    સોરઠની  સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    સૌ જાણે છ એમ તાજેતરમાં ૨૦૧૯થી લઈને આશરે ત્રણેક વરસ કોવીડે દુનિયાની દસેય દિશાને અજગરી ભયડે લીધીતી. આના વિષે ઘણું લખાણું છ ને લખાશે એટલે હું જાજું ન લખતાં એટલું જ કહીસ કે આ રોગના ભોગે અગણિત પરિવાર વેરવિખેર બન્યા, મિત્રોએ મિત્રો ગુમાવ્યા, પાડોસીઓએ પાડોસીઓ ગુમાવ્યા ને જેને કોઈ કે કાંઈ ન ગુમાવ્યું ઈ બધા પણ મોઢે માસ્ક બાંધીને દી’રાત ફરતા થઇ ગ્યાતા. હા, માણસ હાંફતો નથી એટલે આ કાળમુખા રોગને હંફાવા એને જાતજાતની રસીઓ ને પેક્ષલોવીડ જેવી દવાઓ શોધી ને પરિણામે આજે કોવીડ ગરભાઈ ગ્યો છ પણ એનો ફડકો માણસમાત્રમાં પડી ગ્યો છ એની કોઈ દવા હજી નથી શોધાણી. બીજું, આ ખતરનાક રોગ માંથી હેમખેમ ને અડીખમ ઉગ્રી ગ્યા પછી મને એમ હતું કે “ઘીના ઠામમાં ઘી પડી જાસે” ને સૌ સારાંવાનાં થઇ જાસે પણ એવું સાવ તો હજી નથી થ્યું કારણ કે હું જોવું છું ને જીવું છું કે કોવીડ પૂર્વે જે ઘનિષ્ટ સબંધો હતા ઈ મને હવે લાંપડાં લાગે છ. મારી આ લાગણી સાચી છે કે નહીં એનો તાળો મેળવવા હું મારી નજરે ને મારી લેખણીએ પે’લાં “સબંધ” વિષે થોડું લખું ને ભવિષ્યમાં એના ઉપર કોવીડની અસર વિષે.

    જમાનાથી જાણીયે છ કે માણસ એક સામાજિક પ્રાણી છે એટલે ઈ કોઈને કોઈ હારે જોડાયેલો હોય છે જેમ કે ગામની કે નામની ઓળખાણે, પરિવાર હારે, પાડોસ હારે, મિત્ર હારે, વ. બીજું, દરેક જોડાણમાં સબંધ હોય એવું અનિવાર્ય નથી કારણ કે મારી નજરે એકાબીજાની પરસ્પર સમજ અને એમાંથી સમયે ઉદ્દભવતી સ્નેહની ગાંઠે જે સહબંધન થાય એનો અપભ્રંશ ઈ જ “સબંધ.” ઈ ટકાવા માટે પરસ્પર સમજાવાની નહીં પણ મોકળા અને પ્રમાણિક મને સામાને સમજવાની જરૂર છે. ત્રીજું, સંબંધમાં જે એકાબીજાને જરૂરિયાતે ક્યાંક પણ કે’છ ઈ ભલા માટે જ કે’છ ઈ વિશ્વાસ હોવો જરૂરી છે. શ્રી.શાહબુદ્દીન રાઠોડ કયાંક આમ કે’છ કે “આઈ (હું) ઇઝ ઓલ્વેઝ કેપિટલ ને ઈ બે વચ્ચે દીવાલની જેમ ઉભો હોય પણ જો એને આડો પાડી દયો, અર્થાત “હું પણા”ને સુવાડી દયો, તો ઈ જ આઈ સામાના દિલ સુધી પોંચવાનો સીધો અને સરળ રસ્તો બની જાય છ.” ટુંકમાં, સંબંધના બીજને પાંગરવાનું ખાતર પરસ્પર સમજ, લાગણી અને અહમની હવનમાં આહૂતિ છે.

    અગાઉ કીધા પ્રમાણે માણસને વિવિધ પ્રકારનાં જોડાણો હોય સકે ને એમાંથી પારિવારિક જોડાણ સિવાય દરેક વ્યક્તિ પોતાની પસંદે સામા હારે જોડાય છે. બીજું, આવા જોડાણની ચણોઠીએ જોખ પછી જ સમયે હું જેને સબંધ ગણું છું એનાથી વ્યક્તિ બંધાય છે બાકી ઈ જોડાણે જ અટકી જાય છે. એક જમાને ગામની કે નામની ઓળખાણ આમાંથી મહત્વની હતી; દા.ત., મારા મોટા મામા ૧૯૫૦ના અરસેથી અમદાવાદમાં સફળ ને સુખી દાક્તર હતા. ઈ જમાને અમારા વતન જૂનાગઢથી મેડિકલના અભ્યાસ માટે કેટલાક વિદ્યાર્થી અમદાવાદ જાતા ને ઈ દર રવિવારે ને વારતે’વારે “મેસ” બંધ હોય એટલે જૂનાગઢની ઓળખાણે મારા મામાને ઘેર જમવા જાતા. મામામામીને એનું ગૌરવ હતું કે “આ સૌ પ્રેમ છે તો જમવા આવે છ.” મારા મોસાળમાં હજી પણ આ શિરસ્તો નાનામોટા અંશે જીવિત છે.

    અમે પણ ગામડાંઓમાં હતા યાં અમારે ઘેર જૂનાગઢની ઓળખાણે લોકો ગામડાનો આનંદ માણવા કે સિંહ દર્શને અમારે ઘેર ઉતારતા ને મોજથી રે’તા. ઈ જ રીતે જૂનાગઢથી નોકરી અર્થે આવેલા લોકો પોતાનો રૂમ રાખીને રે’તા પણ જમવા અમારે ઘેર આવતા. આ ઉપરાંત અધિકારીઓ ઇન્સ્પેકશન માટે આવે ઈ પણ લાંબા અરસા સુધી અમારા મે’માન થાતા. આ બધાનો મારાં માંપપ્પાને પણ આનંદ હતો કે “માણસને ઘેર માણસ આવે બાકી લોભિયાને ઘેર ઘૂતારોયે ન જાય.”

    નામની ઓળખાણનો તો મારો જ દાખલો છે: નવસારીના મિસ્ત્રી પરિવારનો એક દીકરો – કે જેને હું ફક્ત નામથી જ ઓળખતો – ઈ ૧૯૫૦ના દસકે મારા મોટાભાઇનો વિદ્યાનગર હોસ્ટેલમાં રૂમ પાર્ટનર હતો. ત્યાર બાદ ફક્ત ઈ નામના જ આધારે હું જયારે ૧૯૬૭માં નવસારી ભણવા ગ્યો ત્યારે “દિગી સ્ટ્રીટ”માં ઈ મિસ્ત્રી પરિવાર હારે બેએક અઠવાડિયાં રયોતો ને પછી હોસ્ટેલમાં રે’વા ગ્યોતો. મારી નવસારીની રોકત દરમ્યાન પણ આ પરિવાર હારે મારે સારો નાતો હતો. અલબત્ત, આવાં ગામ ને નામના જોડાણોમાંથી ભાગ્યે જ સબંધ ઉગે છે પણ અમુક જોડાણો લાંબા વખત લગી જીવિત જરૂર રે’છે. મને ખાત્રી છે કે આવાં ઉદાહરણો સૌના ઘરમાં હશે કારણ કે ઈ જમાને નાયલોની નહીં પણ પાણકોરી જોડાણો હતાં.

    પારિવારિક જોડાણમાં માણસને પસંદગી નથી કારણ કે ઈ તો એના જનમ હારે જન્મે છે ને મરણ પછી પણ વ્યક્તિના નામથી તો ઈ જીવે જ છે; જેમ કે મેંદરડામાં મેં નંદાભાઈને કે’તા સાંભળ્યાતા કે “બ્રાહ્મણ શેરી” વાળા હકાબાપા દસેક વરસ પે’લાં જે બીમારીમાં ઉકલી ગ્યા ઈ જ બીમારી એના સાળાનાં સાળાવેલી હિંગળાજબેનને પણ છે એમ હસમુખભાઈ વૈદ કે”તાતા.” મારો જાત અનુભવ છે કે મરણોત્તર યાદ કરાતું કૌટુંબિક જોડાણ માણસની હૈયાતીમાં નિભાવું જાજું કપરું છે કારણ કે આ જોડાણમાં પરસ્પર અપેક્ષા જાજી, ને ઘણી વાર ખોટી, હોય છે ને એટલે બાંધછોડ પણ ઓછી હોય છે. કૌટુંબિક સાંધા નબળા પડવાનાં પણ ઘણા કારણો છે જેમાંના થોડાંક નીચે મુજબ છે;

    સંયુક્ત કુટુંબમાં વધુ દેખાતું એક કારણ ઈ કે ઘણા વડીલો પોતાને હમેશાં અનુભવી ને સાચા જ સમજે છે તો ઉંમરે નાના એમ માનતા હોય છે કે વડીલ આજની દુનિયા ને વખતથી પાછળ છે, એને વાત નહીં સમજાય ને સમજાસે તો પણ સ્વીકારશે નહીં. પે’લાના જમાને વડીલો અને એની બીજીત્રીજી પેઢીએ આવો વિચારભેદ હતો ને એનું કારણ કદાચ ઈ હોય શકે કે ત્યારે વડીલોને સાચીખોટી પણ ઈ બીક હતી કે ઉંમરે નાનાં એવી ભયંકર ભૂલ કરશે કે જેની સંપતિએ કે સમાજમાં કિંમત ચૂકવવી મોંઘી પડશે. હવે “અમે બે ને અમારાં બે”નો પરિવાર થઇ ગ્યો છ ને આજના વડીલો એનાં બાળકો કરતાં આ ભેદ દૂર કરવા વધુ પયત્નશીલ છે એટલે મહદંશે આ ઘૂંચ ઉકલી ગઈ છે.

    આપણા સૌનો અનુભવ ઈ પણ છે કે પરિવારમાં ગંભીર વીચારભેદ ન હોય ને જોડાણ પણ સારું હોય તો પણ કુટુંબનો એકાદ બાધોડકો સભ્ય “મને કેમ ન પૂછ્યું,” “મને કેમ ન જણાવ્યું” કે “મારા વગર ઈ કેમ કર્યું” એવો એકાદ સામાની પરિસ્થિતિ સમજ્યા વિના બેવજૂદ પૂર્વગ્રહ બાંધીને બેઠો હોય. પછી ઈ માણસ વખતોવખત પરિવારના સારાનરસા કામમાં આડો આવે એટલું જ નહીં પણ મેં જોયું છે એમ એના અહમના અંધાપે પરિવાર હારે જોડાણ પણ તોડી નાખે. તો બીજી કોર કુટુંબમાં કોક વળી એવા પણ અકોણા હોય કે જે કૌટુંબકી જોડાણ તોડે નહીં પણ એને તાગે. એક લગ્નપ્રસંગે હું સાક્ષી હતો કે સિત્તેરેક વરસની વરની ફઈ જાનની બસમાં ન બેઠી કારણ કે એને એનો વર – કે જે એની પાડોસણ હારે ભાગ્યોતો ઈ – પેલીવાર બાર વરસે જાન ઉપાડવા ટાણે યાદ આવ્યોતો. પછી ઘરના ડાહ્યા વડીલે ઈ ફઈની સામે પાઘડી પાથરીને કાગલૂદી કરીને સમજાવી એટલે ઈ દોડીને સૌથી મોર બસમાં બેસી ગઈ ને એની સીટે મુકેલ નાસ્તાનું પડીકું અરધોઅરધ ખાય ને ડોબું ધરાય એટલું માથે પાણી પી ગઈ. મારાં માંના મોસાળપક્ષે જયારે ક્યાંક સારો અવસર હોય ત્યારે એક વિઘ્નસંતોષી વડીલ બેન વાય ખાઈને જમીને પડતાં ને પછી એને સુકા મેવા યુક્ત કઢેલ દૂધનો કળશો પાવ એટલે સાજાંનરવાં થઇ જાતાં.

    કૌટુંબિક જોડાણમાં હું ઈ પણ જોવું છું ને ખુદ જીવ્યો પણ છું કે પરિવારમાં કેટલાક લોકો જ્યાં લગી એનો સ્વાર્થ ન સરે યાં લગી વ્યક્તિને પૂજે ને કામ પતી જાય પછી આ સ્વાર્થનાં સગાં ઈ જ વ્યક્તિની અવગણના કરે. હું ઓળખું છ ઈ બે ભણેલગણેલ ભાઈઓ – કે જે જનમથી એક છાપરા હેઠે રે’તા ને એક રસોડે જમતા – બાકસની સળી ગણીને એક જ ઘરના આંગણામાં નોખા થ્યાતા. એના બાપ ગુજરી ગ્યા પછી આ બે ભાઈઓએ એકબીજાને વાંસા અઢેલીને લૌકિક ક્રિયા પણ કરેલ. સાંભળવા મુજબ આ અણબનાવના કારણમાં નાના ભાઈએ મોટા ભાઈની ભલમનસાઈનો લાંબા સમય સુધી લાભ લીધો ને મોટાભાઈની જરૂરિયાતે નાનો ભાઈ “તું કોણ ને હું કોણ” એમ કહીને ખસી ગ્યોતો.

    પૈસાની લાલચ પણ પરિવારની એકતા વીંખી નાખે છે. આનું એક જ ઉદાહરણ ઈ કે હું એક પરિવારને ઓળખું છ કે જેમાં સંસ્કારી પણ સામાન્ય આર્થિક સ્થિતિનાં માબાપે છ દીકરી ને સાત દીકરાનો બોહળો સંસાર ઉજ઼ેર્યો. ભાઈઓએ વારાફરતી નાનીમોટી લોનો લઈને ને પી.એફ.ની રકમ ઉપાડીને બધી બેનોને પરણાવી ને પરણ્યા પછીનો વરસો સુધી માંબાપ વતી બેનોનો વ્યવહાર સાચવ્યો. માંબાપના દેહાંત બાદ નાના ઘરમાં પાંચ ફુટ જમીનના કટકા સારુ પૈસેટકે સૌથી સુખી ને તવંગર બેને કોર્ટકચેરી કરી ને બધા ભાઈઓ ને બાકીની બેનો હારે સંધાણ તોડી નાખ્યું. હાલમાં તો એમાંથી કેટલાક ભાઈઓ હૈયાત પણ નથી ને ઈ બેન પણ વિધવા થઇ ગઈ છ પણ ઈ કેસનો નિવેડો હજી લગી નથી આવ્યો.

    ટૂંકમાં, કૌટુંબિક જોડાણો કાચી માટીના ચૂલા છે. ઈ વિવિધ કારણોસર તૂટી જાય છે કે ડચકાં ભરતાં જીવતાં હોય છ ને છત્તાં એને મનેકમને નિભાવાં પણ પડતાં હોય છે. મારો જાત અનુભવ છે કે આવાં મરવાના વાંકે ઢસડાતાં જોડાણોમાં જો સમજુ માણસ મોટું મન ને દિલ રાખી ભૂતકાળ ભુલીને ઊંચી પગથારે હાલે, અર્થાત “હાઈ રોડ લે,” તો ઈ જોડાણને થોડોક પ્રાણવાયુ મળે છ, એને થીગડું મારી સકાય પણ એમાંથી સમયે સબંધ બંધાવાની શક્યતા ઓછી છે કારણ કે “મન, મોતી ને કાચ ઈ ત્રણ ભાંગ્યા સંધાય નહીં. અલબત્ત, સાચાંખોટાં કારણોસર વિકલાંગ પારિવારિક જોડાણો સામે પેઢીદરપેઢી સ્વાસ્થ્યમય, સ્વ્સ્થ, સરળ, સધ્ધર ને સમૃદ્ધ કૌટુંબિક જોડાણ પણ હું જોવું છું, જીવું છું ને એમાંથી હું જેને સબંધ ગણું છ એમાં પણ હું અતૂટ તાણેવાણે થોડા હારે બંધાયેલ છું. આવા જોડાણમાંથી જનમતા સબંધના પણ વિવિધ કારણો છે પણ અમારા સંબંધનું એક કારણ ઈ કે અમારા પરદાદા ને માંબાપે અમને સૌને બાળપણથી જ મોકેમોકે હારે મોટા કર્યાં ને સારીનરસી પળોમાં પરસ્પર સમજવાની તક આપી કે જે હજી પણ અમારામાં જીવિત છે, ધબકે છે.

    હું પસંદગીથી થાતા પતિપત્ની વચ્ચેના જોડાણ ને એમાંથી ઉદ્દભવતા સબંધ વિષે આજ કાંઈ નથી લખતો કારણ કે ઈ એક ગહન વિષય છે ને એને અલગ ન્યાય આપવો ઉચિત્ત છે. હાલમાં હું એટલું જ કહીશ કે આ સબંધ એક દસકાનો હોય કે અમારી જેમ પાંચ દસકાનો પણ એને અતૂટ તાંતણે બાંઘીને મઘમઘતી ફોરમે નિભાવો ઈ કેસરના ગોટલા માંથી આંબો ઉગાડી ને એની શાખની કે લોટણ કેસર ખાવા જેટલું ધીરજ, સમજ, સંયમ, કાળજી ને ખંતનું કામ છે. જે દંપતી આમાં અફળ જાય છે, છૂટું પડે છે કે છોકરાંઓ, માબાપ કે સમાજ ખાતર જોડાણે જીવે જાય છે ઈ દામ્પત્ય જીવનને હું એળે ગ્યું ગણું છું.

    છેલ્લે, હું જેને સબંધ ગણું છું એના તારવણા રૂપે — સંબંધ ક્યારેય સીધી લીટીમાં નથી હાલતો ને ચડાવઉતાર એની ફિતરત છે. સંબંધને બાંધવાનાં કારણો નથી હોતાં પણ એને તૂટવાનાં ઘણાં હોય છે. સંબંધ ટકાવવા માટે દરેક માણસે યથાશક્તિ પ્રમાણિક પ્રયાસ કરવો જોયેં પણ એમાં સંજોગે કોકની શારીરિક, માનસિક કે આર્થિક જવાબદારી વધુ હોય તો એની ગણત્રી ન કરવી. સંબંધ જાળવવા ક્યારેક એકે જાતું કરવું પડે તો અહંમ છાંડીને જાતું કરી દેવું. સંબંધને ધબકતો ને સદાબા’ર ખીલતો રાખવા સામાને સમજાવા કરતાં એને સમજવા પ્રયત્ન કરવો કારણ કે પાંગરતા સબંધમાં જ “સ્નેહ વધે ને સ્નેહ વધે તો સુખ, શાંતિ, સંતોષ વધે ને બધું વધતવધત થઇ જાય.”


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • અદીઠ સંવેદન

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આ જગથી બેપરવા એવું એ ઝાડ એકદમ અકડુની જેમ ઊભું હતું. એને તો કશાથી કોઈ ફરક પડતો નહીં જ હોય, પણ એને લીધે મા-બાપુ વચ્ચે અવારનવાર વિખવાદ થયે રાખતો.

    “એ કપાશે પછી જ હું ખાઈશ નહીંતર આજથી જ મારે ઉપવાસ.” મા ગુસ્સે થઈને જીદ પર આવી જતી. કેટલીય વાર સમજાવ્યા પછી એ ખાતી, પણ ઘરમાં પાછું એ પુનરાવર્તન થયે રાખતું.

    આંગણાની પરવા કર્યા વગર એ પગ પસારીને ફેલાવા માંડ્યું હતું. દાદાબાપુએ આ ઝાડ દાદા-દાદીની લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે એ વાવ્યું હતું એટલે એને વધતું જોઈને બંને જણા ખુશ થતાં.

    ત્યારે ક્યાં ખબર હતી કે, આ જ ઝાડ એક દિવસ એમનાં દુઃખનું કારણ બનશે ?

    આખા આંગણાંમાં ફેલાયા પછી એ ઘરની છત પર છત્રીની જેમ ફેલાવા માંડ્યું. ગરમીમાં એની છાયા ગમતી, પણ ઠંડીમાં તડકો રોકાવા માંડ્યો ત્યારે પરેશાની શરૂ થઈ. પણ, એને શું ફરક પડ્યો? એનો તો વ્યાપ વધવાની સાથે જાણે રોફ વધતો ચાલ્યો. હા, એ જાગૃત પ્રહરીની જેમ ઘરનું રક્ષણ કરતું.

    પાનખરમાં ઘરના આંગણમાં ખરેલાં પાનનો ઢગલો સાફ કરવાનું કામ વધી જતું. દાદીનો આગ્રહ હતો કે ઘરનું આંગણું એકદમ સાફ હોવું જોઈએ એટલે જેને આ જવાબદારી સંભાળવાની આવતી એને એ ઝાડ પર રોષ ચઢતો.

    દાદાએ દક્ષિણ દિશા છોડીને ઝાડની ફરતે ચબૂતરો બનાવ્યો હતો. સૌની જેમ દીદી પણ સાસરેથી આવે તો પહેલાં આ ચબૂતરા પર બેસી્ને જરા શ્વાસ લઈને જ ઘરમાં આવતી. દીદીને જોઈને દાદી દોડી આવતી. દીદીને વહાલથી ગળે લગાવતી ને ઘરની બધી ફરિયાદોનું પોટલું દીદી આગળ ખોલી દેતી.

    ચબૂતરો કેટલાય અવતારો ધારણ કરતો. ઘડીકમાં એ દાદીની અકળામણ ઠલવવાનું સ્થાન બનતો તો ક્યારેક લક્ષ્મણરેખા.

    લક્ષ્મણરેખા એટલા માટે કે, ચબૂતરો વટાવીને નાનીના પત્રો અંદર લઈ જવાની માની હિંમત નહોતી. દાદીની નજર ચૂકવીને એણે પત્રો અહીં જ વાંચી લેવા પડતાં.

    ક્યારેક ચબૂતરો અમારી રમતોનો, ભણવાના નામે રામાયણ-મહાભારત વાંચતા જોવાનો, દાદીની વાતો સાંભળવાનો તો ક્યારેક મજૂરો સાથે દાદાજીની લમણાઝીક જેવી કેટલીય ઘટનાઓનો સાક્ષી બન્યો.

    કૉલેજમાં કેટલીય રાતો આ ઝાડ નીચે બેસીને વાંચ્યું હશે. રાતના પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રનું અજવાળું આ ઝાડના પાંદડાઓની વચ્ચે ચળાઈને આંગણામાં રેલાઈ આવતું.

    આ ઝાડ સાથે હું અનોખું ઐક્ય અનુભવતો. જાત સાથે વાતો થતી તો જાણે એ મારું અંતરમન વાંચી લેતું. મારી લાગણીઓ એ પારખી લેતું. અમારાં સુખ-દુઃખ એકબીજાનાં હોય એવી મનોસ્થિતિમાં અમારાં બંને વચ્ચે મૌન સંવાદ રચાતો.

    એક દિવસ અચાનક દાદાજીએ હંમેશ માટે વિદાય લીધી. દક્ષિણાભિમુખ મૂકેલી દાદાજીની અર્થીને કાંધ આપીને સૌ લઈ ચાલ્યા. દાદી બેભાન થઈને પડી. ઝાડ એનું’યે સાક્ષી. એ પછી રાતના અંધારામાં દાદીનું મૂક આક્રંદ પણ એ સાંભળતું રહ્યું. સતત બોલ્યા કરતી કરતી દાદી રાતોરાત મૌનયોગી જેવી બની ગઈ. દાદીની સાથે એ ઝાડ પણ સાવ ગુમસૂમ.

    ક્યારેક ચબૂતરા પર બેઠી દાદી જાણે કોઈને લાડ કરતી હોય એમ ઝાડને સહેલાવતી. પોતાના મનની વ્યથા મનમાં જ સમાવીને બહારથી હિંમત દેખાડતી દાદી મનથી કેટલી હિજરાય છે એનુંય સાક્ષી એ ઝાડ. રાત્રે ઘર આખું જંપી ગયું હોય ત્યારે વિલાપ કરતી દાદીને ભલે એ સાંત્વન ન આપી શકતું, પણ એનો શોક સમજી શકતું. એકાદ પાંદડું ખેરવીને સમજાવતું કે, સહન કરવાનું સૌના નસીબમાં લખેલું જ હોય છે.

    દાદાજી કહેતા કે, “સહનશીલ વ્યક્તિઓથી વિપત્તિ પણ હાર માની લે.” દાદાજીની આ વાત ઝાડ બરાબર સમજતું. એની સહનશક્તિ અસીમ, અપ્રમેય હતી. મેં પણ આ વાતને જીવનપથનું ભાથું બનાવી લીધું.

    “ગમે એટલા આંધી-તોફાન આવે, પથરીલા રસ્તે ચાલવાનું થાય કે શાંત પગલે મોત આવીને ઊભું રહે આપણે મેરુની જેમ અટલ રહીશું.” એવા ભાવને મારી જેમ જ એ ઝાડે આત્મસાત કરીને સમય સાથે કદમતાલ મેળવી લીધો હતો. સમય એની પાંખો પસારીને આગળ વધતો રહ્યો. મારી જેમ ઝાડ બાળપણમાંથી યુવાન બનતું ચાલ્યું. પહેલાંથી અધિક ગર્વીલું બનીને સૂર્ય-ચંદ્રની સમીપ જવા પ્રયાસ કરતું રહ્યું. બદલાતી મોસમ સાથે પોતાની રૂખ બદલીને વધુ સશક્ત બન્યું.

    ચબૂતરા પર બેસીને જેવી નોકરી મળ્યાની ઘોષણા કરી કે તરત દાદીએ પડોશમાં રહેતી છોકરી સાથે મારા વિવાહ નક્કી કર્યા. વિવાહ, લગ્ન, દીકરીનો જન્મ, આ બધી ઘટનાનું સાક્ષી આ ઝાડ.

    અચાનક દક્ષિણ દિશાએ ઝાડનો એક ભાગ સુકાવા માંડ્યો. એક વાત ધ્યાનમાં આવી હતી કે, દાદીમા એ બાજુથી મૂળ ખોદીને દરેક આગંતુકને આપતી. હું દાદીમાને ટોકતો તો માબાપુની વઢ પડતી. દાદી તરફ આ સહાનુભૂતિનું કારણ દાદીમાની ઉંમર હતી કે ઝાડ પર એમનો અધિકાર હતો, એ મને નહોતું સમજાતું.

    ઝાડ સુકાવાના લીધે ઘરમાં સૌ વ્યથિત હતાં. જૂની માન્યતાને અનુસરીને પિતાજીએ શાલિગ્રામ પર ચઢાવેલું પાણી લાવીને ઝાડ પર છંટકોર્યું. વહેલી સવારે પાણીમાં સોનું કે ચાંદી નાખીને એ પાણીનો છંટકાવ કર્યો. ઝાડ બચાવવા શક્ય એટલા પ્રયાસો કર્યા.

    કદાચ દાદાજી વગર એ હિજરાતું હશે એમ માનીને દાદીએ દાદાજીનો ફોટો લાવીને ઝાડની નીચે મૂકવાનું કહ્યું. એ ઝાડ અમારા માટે માત્ર ઝાડ નહોતું, ઘરનું એક સદસ્ય હતું. દરેકની જેમ એનામાં  લાગણીઓ હતી. ફરક માત્ર એ હતો કે એની સંવેદના એ વ્યક્ત નહોતું કરતું, પણ એ સમજવા જેટલી સંવેદનશીલતા અમારામાં વિકસી હતી.

    એક દિવસ દાદીએ મને બોલાવીને કહ્યું, “ભલે એ ફળ નથી આપતું, પણ એની દક્ષિણ તરફનું મૂળ કમર પર બાંધવાથી અંડકોષ-વૃદ્ધિને લગતો રોગ મટે છે. તારા દાદાજીના આ નુસખાથી છોકરાંઓને ફાયદો થતો. આ ઝાડનો પાડ માનવો જોઈએ, એની પ્રદક્ષિણા કરી, પાણી સીંચીને માથું ટેકવવું જોઈએ. તું એના માટે જેમતેમ બોલે છે એ બંધ કર. એની મરજીથી એ સુકાયું છે, એની મરજીથી ખીલશે અને અંતે જેટલું સૌના માટે ઉપયોગી થવાનું હશે એટલું થઈને સમય થતાં જાતે મુક્તિ મેળવી લેશે. અને હા, હું ના હોઉં તો જ્યાં સુધી એ છે ત્યાં સુધી તું એની સંભાળ લેજે. તારા પરદાદા બહુ ખુશ થશે, તને ઢગલો આશીર્વાદ આપશે.”

    ઓહ! તો આ હતું ઝાડનું રહસ્ય !? સત્ય જાણ્યા વગર મત આપવા માટે મને જાત પર ચીઢ ચઢી.

    આસપાસના ગામમાં સૌને ફાયદો થાય છે એ જાણ્યા પછી ભલે એ ઝાડ ફળ નથી આપતું, આંગણમાં એના પાંદડા ખરે છે કે તડકો નથી આવતો એ ચિંતા કરવાનું મેં છોડી દીધું.

    સમય જતા સાચે જ ઝાડ નવપલ્લવિત થવા માંડ્યું સાથે દાદીએ પથારી પકડી. દાદીએ પોતાની ઉંમર ઝાડના નામે કરી હોય એમ ઝાડ લીલુંછમ થયું ને દાદી ચાલી નીકળી.

    દાદીના પાર્થિવ શરીરને ઝાડની સાત વાર પરિક્રમા કરાવીને વિદાય આપી. થોડા દિવસ સુધી અસ્થિકુંભ ઝાડ પર લટકાવી રાખ્યો. એક દિવસ એમનાં અસ્થિ ઝાડની બખોલમાં પધરાવી, ખાલી કપડાંની પોટલી અને કુંભનું ગંગામાં વિસર્જન કરી આવ્યો. મને વિશ્વાસ છે ઝાડ અને દાદી બંને એકાકાર થઈ, સમાજ પર અનંતકાળ સુધી ઉપકાર કરતાં રહેશે.

    ‘અસ્થિકુંભ’ના વિસર્જન પછી આવીને ઝાડ પાસે માથું ટેકવ્યું તો દાદીની જેમ ઝાડ મને લાડ કરતું હોય એમ તનમનને શીતળતાનો સ્પર્શ થયો.


    બંદિતા દાશ લિખિત, વિજય અગ્રવાલ અનુવાદિત વાર્તા ‘અનદેખા ભાવ’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક પિતાના દિલના આશીર્વાદ..

    જૂન મહિનામાં આવતો ખાસ દિવસ એટલે પિતૃદિનઃ

    સ્વ. હિમાંશુભાઈ ભટ્ટ એક ગઝલકાર હતા. કેન્સરગ્રસ્ત અવસ્થામાં તેમણે  અમેરિકાના ડલાસ શહેરમાંથી ૨૦૧૩માં વિદાય લીધી હતી.  તે પહેલાં પોતાનાં સંતાનો માટે એક ગઝલ લખી હતી તે અત્રે પ્રસ્તુત છે.


     એક પિતાના દિલના આશીર્વાદ..

    :ગઝલઃ

    પર્વત તને મળે કદી, કે રણ તને મળે
    બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે.
    છો પાનખર મળે કદી, ખિલતું રહે ચમન
    પલળી શકે વસંતમાં, તે મન તને મળે.
    કાબુમાં હો બધું સદા, એમાંય ક્યાં મજા?
    ઊર્મીના અવનવા, રૂડા પવન તને મળે.
    પથમાં ચડાવ છે, અહિં ઊતાર છે ઘણા.
    સ્થિતપ્રજ્ઞ તું રહી શકે, ચિંતન તને મળે.
    કેડી હો પારકી, કદી તો દોડતો નહિં
    તારું છે શું સ્વરૂપ, તે સમજણ તને મળે.
    તારામાં તત્વ છે, અહિં તું એકલો નથી,
    મળવાને કૃષ્ણને, સદા કારણ તને મળે.
    તારાથી મોટો તો, અહિં તું થાય ના કદી
    સાચી ઝલક ધરે જે, તે દર્પણ તને મળે.
    ચાહું છું સાચો કોઈનો તું પ્રેમ પામજે
    મુક્તિ મળે છે જ્યાં, તે બંધન તને મળે.
    એવું બુલંદ કોઈ તો તું ધ્યેય ગોતજે
    જેથી ઘડે જીવન,અહિં તર્પણ તને મળે.
    આંખોમાં ગર્વ હો સદા, હૈયામાં કંપ હો
    પ્રજળે અનંતમાં સદા, જીવન તને મળે.
    મારા ગયા પછી, તને તારા વિચારમાં
    મારા વિચારની, સદા રજકણ તને મળે.

    – હિમાંશુ ભટ્ટ

    ડલાસ,અમેરિકા