વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સામાન

    શ્રદ્ધા ભટ્ટ

    “આ લો આ સામાનનું લિસ્ટ. એક પણ વસ્તુ ભુલાય નહીં.”   મંજુએ હાથમાં થેલી પકડાવી.

    “વટાણા લખ્યા નથી આમાં. લાવવાના છે ને?” આદતવશ મારાથી પૂછાઈ ગયું. મંજુની સૂકી ભઠ આંખોમાં લીલા વટાણાની નાની શી કૂંપળ ઊગતી દેખાઈ મને. એની તાજગી મને વીંટળાઈ વળે એ પહેલાં જ હું ત્યાંથી નીકળી ગયો. જેવો ચપ્પલમાં પગ નાંખ્યો, નાનો એવો પથ્થર અંગુઠા પાછળ ખૂંપી ગયો. નીચે વળી એ પથ્થર કાળજીથી કાઢ્યો તોય પેલા વટાણા જેમ અંદર સુધી ઘસરકો પાડતો ગયો. ઘડીભર તો થયું, મૂક સામાન પડતો. ક્યાંય જવું નથી. પણ ઘેર રહીને મંજુના અકથ્ય સવાલો જીરવવા એના કરતાં બહાર જવું બહેતર એમ વિચારી  ચપ્પલ ઘસડતો હું બહાર નીકળ્યો.

    બહાર આવીને મેં રીક્ષા રોકી.

    “પીરછલ્લા લઈ લે.” રિક્ષામાં બેસતાં વેંત મને કોર્નરમાં પડેલું પર્સ દેખાયું. મેં તરત રિક્ષાવાળાનું ધ્યાન દોર્યું.

    “ભાઈ, ઘડીક ઊભો રહે. આ જો અહીં કોઈનું પર્સ પડ્યું છે. પહેલાં એ લઈ લે.”

    “તમે જ લઈને આપી દો ને કાકા. આ તમારી પહેલાં એક ભાઈને ઉતાર્યા, એ જ ભૂલી ગયા લાગે છે.” એણે રીક્ષા ચાલુ કરતાં કહ્યું.

    “તું ઉતરીને આનો હવાલો લઈ લે ભાઈ. હું તો એને અડીશ નહીં.”

    “તમેય શું કાકા? કાઈ બૉમ્બ નહીં હોય એમાં!”

    “આજકાલ આવી નધણિયાતી વસ્તુનો ભરોસો જ થાય એમ નથી. હજી ગઈ કાલે  ક્રાઈમ પેટ્રોલમાં એક એપિસોડ આવ્યો હતો. એમાં આવી જ રીતે….”

    “કાકા, આખો દિવસ એ જ જોતાં લાગો છો તમે! જરા જોઉં તો.” કહેતો એ ઉતરીને પાછળ આવ્યો ને પર્સ ફંફોસવા લાગ્યો. “અરે આ તો એ જ. મેં હમણાં જ એમને ઉતાર્યા. આ એનું ડ્રાયવિંગ લાયસન્સ રહ્યું. પૈસા ય ખાસ્સા છે આમાં તો. તમને ઉતારીને હું આ પર્સ પહોંચાડી આવીશ.”

    “તે તને ખબર છે એ ક્યાં રહે છે?”

    “તમારા ઘરથી થોડે દૂર જ ઉતર્યા એ. એમણે ઘર પાસે જ રીક્ષા ઊભી રખાવી હતી. એટલે મને ખબર છે.”

    “ઠીક છે. ચાલ હવે. ઉતાવળ કર.” કમને સામાન લેવા જતો હતો એમાં આ અડચણ આવી. પગમાં ખૂંચેલો પથ્થર પણ પીડા આપતો હતો. ચપ્પલ કાઢીને જોવા ગયો ત્યાં નીચે પડેલી એક ચબરખી પર ધ્યાન ગયુ. થયું, પેલા પર્સમાંથી જ પડી હોવી જોઈએ.

    “અરે આ કોઈક ચિઠ્ઠી જેવું પડ્યું આ પર્સમાંથી. જો તો જરા.”

    “કાકા, ફરી રીક્ષા રોકું? તમને મોડું નથી થતું?” પેલા એ ચિડાઈને જવાબ આપ્યો.

    “એ બહુ સારું. હું જ જોઈ લઉં છું.” મેં વાંકા વળી એ ચોળાઈ ગયેલી ચિઠ્ઠી ઉપાડી.

    “આ લે. મૂકી દે આને ય.”

    “કાકા, જરા જુઓ ને. કયાંક એડ્રેસ કે એવું લખેલું હોય તો. સીધો પર્સના માલિકના હાથમાં જ પર્સ પહોંચાડી આવું. ”

    મનોમન અકળાતા મેં પેલી ચબરખી ખોલી. જેમ જેમ વાંચતો ગયો એમ એમ મંજુની આંખોની એ લીલાશ મારા પર હાવી થતી ગઈ. કંઈ કેટલીય યાદો, નાના મોટા ઘણાય પ્રસંગો વીણાના તાર માફક ઝંકૃત થઈ ઊઠ્યા. સજ્જડ બંધ કરેલું મનનું એ બારણું એક જ થપાટે ઊઘડી ગયું.

    “ભાઈ, તું પહેલાં આ ભાઈને જ્યાં ઉતાર્યા હતા ત્યાં જ લઈ લે. એમને પર્સ આપી આવીએ.” અધીરાઈએ ડેરો જમાવ્યો મન પર.

    “અચાનક શું થયું કાકા?”

    “તું ભાડાની ચિંતા ન કર. જેટલું થશે એટલું હું આપી દઈશ. જલ્દી કર.”

    “તમે ય ગજબ છો હો કાકા. પહેલાં પર્સને અડવાની ય ના પાડતા હતા ને હવે?  કેમ બોલ્યા નહીં? કાકા, તબિયત તો ઠીક છે?”

    “અરે હા ભાઈ. મારી તબિયતને પથરા ય નથી પડવાના. તું તારે રીક્ષા હાંક ને!”

    “લો કાકા. આવી ગયું. આ શેરીમાં પહેલું જ ઘર. તમે બેસો હું હમણાં આવ્યો.”

    “મને આપ પર્સ. હું જ જાઉં છું. લાયસન્સમાં શું નામ લખ્યું છે?”

    “જયેશ પટેલ. કાકા, હું આવું સાથે?”

    “પહેલું જ ઘર ને? હું આવ્યો હમણાં.”

    ત્રણ ચાર વાર જોરથી બારણું ખાખડાવ્યું મેં. કોઈ સ્ત્રી એ દરવાજો ખોલ્યો.

    “કોનું કામ છે?”

    “જયેશભાઇ પટેલ અહીં રહે છે?”

    “હા. તમે?”

    “જરા બોલાવશો એમને?”

    “હમણાં જ બોલાવી આવું. તમે અંદર આવો ને.”

    “તમે જયેશભાઈને બોલાવો ને. હું અહીં જ ઊભો છું.” દસેક સેકન્ડ માંડ વીતી હશે ત્યાં ત્રીસેક વર્ષના એક ભાઈ બારણે દેખાયા

    “હા બોલો. હું જ જયેશ.”

    “આ તમારું પર્સ છે? તમે રિક્ષામાં જ ભૂલી ગયા હતા.” મેં પર્સ એમને દેખાડ્યું. ખુશ થઈને એણે પર્સ હાથમાં લીધું.

    “અરે હા. મને યાદ જ નહોતું આવતું કે ક્યાં પડી ગયું! થેન્ક યુ સો મચ. મને તો થયું બે હજારનો ચૂનો લાગ્યો આજે. .અરે, તમે કેમ બહાર ઊભા છો? પ્લીઝ અંદર આવો ને. રમા… પાણી લાવજે.” એણે સહેજ ખસીને મને અંદર આવવા કહ્યું.

    “બહાર રીક્ષા ઊભી રાખી છે. તમે રીક્ષા છોડી એ પછી હું બેઠો ને મારી નજર પર્સ પર પડી. એટલે થયું તમને આપી જ આવું. પૈસા જરા જોઈ લેજો હો.”

    “અરે હોય કંઈ. તમે સમય બગાડી આટલી જહેમત ઉઠાવી એ જ ઘણું કહેવાય. આજકાલ લોકોને ક્યાં આવો સમય હોય છે? એક કામ કરો. હું રિક્ષાનું ભાડું ચૂકવી દઉં. તમે ચા પાણી પીને જ જજો.”

    “ના ભાઈ. મારું ઘર અહીંથી નજીક જ છે. હું જતો રહીશ. અઅઅ… આ ચિઠ્ઠી પણ હતી તમારા પર્સમાં.”

    “ચિઠ્ઠી? જોઉં જરા. ઓહ… આ તો ગુડ્ડી એ લખેલી છે. ગુડ્ડી, મારી નાની દીકરી. ખરી છે એ પણ. મને કહે, પપ્પા સાચવીને રાખજો હો. મને જરૂર પડશે ત્યારે માંગીશ.  થેન્ક ગોડ આ મળી ગઈ. એને ખબર પડત તો મારું તો આવી જ બનત.”

    “સાચવીને રાખજો તમારી દીકરીની અમાનત. ચાલો હું રજા લઉં.”

    “કાકા, ફરી એક વાર તમારો આભાર. તમે કાઈ લીધું પણ નહીં.”

    “ફરી ક્યારેક આવીશ.” હું ઝડપથી રીક્ષા પાસે પહોંચ્યો.

    “ચાલ ભાઈ. પર્સ તો એના માલિકને આપી આવ્યો.”

    “સરસ. હવે પીરછલ્લા લઉં ને?”

    “ના ભાઈ. તું મને ઘેર જ ઉતારી દે. સામાન તો પછી લેવાશે.”

    “ઠીક છે કાકા.”

    જેવી રીક્ષા ઘર પાસે ઊભી રહી, ફટાફટ ભાડું ચૂકવી, ચપ્પલ પણ કાઢ્યા વિના હું ઘરમાં ઘૂસ્યો. થેલી એક બાજુ ફગાવી અંદરના રૂમમાં દોટ મૂકી. મંજુ ગભરાઈને મારી પાછળ દોરવાઈ.

    “અરે તમે આટલી જલ્દી આવી ગયા? શું થયું? બધું ઠીક છે? સામાન ક્યાં છે? કૈક બોલો તો ખરા. હવે મારા કબાટમાં શું શોધો છો?”

    “અરે અરે…. આ બધો સામાન કેમ બહાર કાઢ્યો? શું થયું છે તમને આજે? આ તો રીંકુની વસ્તુઓ…”

    “મંજુ, રીંકુ પોતાની બધી વસ્તુઓ તને સાચવવા આપતી ને? આ જો એની ઢીંગલી, આ બંગડી એણે જીદ કરીને મેળામાંથી લેવડાવી હતી, નહીં? ને આ એના ઘૂંઘરૂં, આ એની સોનાની બુટ્ટી. કેટલું રડી હતી એ જ્યારે એના કાન વીંધ્યા હતા! આ એનો રૂમાલ, એનું ફેવરિટ ફ્રોક… બધું જ સાચવ્યું છે તેં!”

    “હા. એ જ તો જાતે પોતાની બધી વસ્તુ અહીં મૂકતી હતી. મારા કબાટમાં એની વસ્તુ સુરક્ષિત રહેશે એવી એને ખાતરી હતી.  સોરી, તમે ના પાડી હતી છતાં…”

    “મેં ઘરની બહાર કાઢેલી રીંકુની એક એક વસ્તુને પાછી લાવીને તેં સાચવી છે મંજુ. કાશ….”  આગળ બોલાયું જ નહીં મારાથી.

    “રીંકુ પણ પાછી આવી જ શકશે. એ અને વિનયકુમાર તો તમે કહો ત્યારે આવવા તૈયાર છે. હજી ય મોડું નથી થયું. તમે કહો તો હું અબઘડી ફોન…” મંજુની એ આશભરી આંખોને મારી હા ની જ રાહ હતી. ધૂંધળી આંખે મેં મંજુ સામે જોયું. પેલી લીલી કૂંપળ મારી ય આંખોમાં ઊગી નીકળી.  ને સાથે જડ્યો આડે હાથે મૂકાઈ ગયેલો મારો અણમોલ સામાન.

  • સરવૈયું

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ‘હે..પ્રભુ.. સાંજ ઢળવા આવી, આંખે મોતિયો પાક્યો છે. રખેને ક્યાંક ઠોકર ખાઈને…” ચિંતાતુર માલતી વિશેષ વિચારી શકી નહીં.

    માલતીની ચિંતા સકારણ હતી. વિનાયકરાવનો નિવૃત્ત થયા પછી સાંજે પાર્કમાં ચાલવા જવાનો અને સમયસર પાછા આવવાનો નિયમ. આજે સાંજ રાત તરફ ગતિ કરી રહી હતી, છતાં એ પાછા ફર્યા નહોતા. માલતીની ચિંતા અને ઘરની અંદરબહારના ચક્કરોની ગતિ વધી ગઈ.

    વિચારવંટોળમાં અટવાતી માલતીને વિનાયકની ભાળ લેવા ફોન કરવાનો વિચાર આવ્યો, પણ રાત પડે ફોન કરીને કોઈને ચિંતા કરાવવી કે નહીં એની અવઢવમાં ફોન પાસે જઈને અટકી.

    થોડી વાર પહેલાં પ્રકાશ દવાઓનું લિસ્ટ લેવા આવ્યો, વિનાયક રાવને ન જોતાં એમના વિષે પૃચ્છા કરી ત્યારે માલતીએ ચિંતા હડસેલીને કહ્યું હતું, ‘આ પેંશનરોની વાતો પૂરી થશે ત્યારે આવશે ને?”

    પ્રકાશ એટલે એમની સંકટ સમયની સાંકળ. એમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતો.

    અને અવિનાશ? એ તો વળી માલતીની રસોઈનો ભારે ચાહક. વર્કશૉપમાંથી રોજે ફોન કરે, “માસી, મારા માટે કટોરો ભરીને શાક રાખવાનું હોં… મને તૃપ્ત કરશો તો સ્વર્ગમાં તમારું સ્થાન નિશ્ચિત સમજો.”

    માલતીની સખી સુનિતાના દીકરાઓ પ્રકાશ, અવિનાશ અને સતિશ માલતી અને વિનાયકનું ખૂબ ધ્યાન રાખતા.

    દર રાત્રે અવિનાશ અચૂક ફોન કરીને માલતીને દવાઓ લેવાનું, વિનાયકના પલંગ પાસે પાણી મૂકવાનું, ઘરનું બારણું લૉક કરવાનું, લાઇટો બંધ કરવાનું યાદ કરાવતો ને જરૂર પડે તો ફોન કરવાનું કહેતો.

    માલતીને અવિનાશ યાદ આવ્યો. એને ફોન કરવાનું વિચારીને ઉતાવળે માલતી ઊભી થઈ જ ને પગના અંગૂઠામાં મોચ આવી. હવે ચિંતા, વેદના અને વિનાયક તરફના રોષે માઝા મૂકી.

    ‘અહીં હું એકલી છું અને છે એમને કોઈ ચિંતા? કોણ જાણે શું સમજે છે જાતને?’

    વળી ગુસ્સો ઓસર્યો ને ચિંતાથી મન ઘેરાયું. ‘કેટલાક સમયથી મગજનું ઠેકાણું નહોતું. ઘર છોડીને ચાલ્યા જવાનું બોલ્યા કરે છે. ક્યાંક જતા રહ્યા હશે તો ક્યાં શોધીશ એમને?’

    એટલામાં ખીચડી બળ્યાની વાસથી માલતી ચોંકી.

    ‘હાય…હાય..’

    બે બુઢ્ઢા લોકો માટે બે મુઠ્ઠી દાળ-ચોખા ઓર્યા હતાં તે બળીને કોયલા થઈ ગયાં, હવે ?

    માલતીમાં ફરી ખીચડી બનાવવાની હામ નહોતી.

    ત્યાં બારણું ખખડ્યું.

    “કેટલું મોડું કર્યું, ક્યાં રહી ગયા હતા?” વિનાયકને જોઈને માલતીની ચિંતા ને ચીઢ સાથે પ્રગટ્યાં.

    “સોનાલી માંદી છે. એની પાસે ગયો હતો.”

    “સોનાલી? કોણ સોનાલી?”

    “દેશપાંડેની દીકરી.’ વિનાયકને બોલ્યા પછી યાદ આવ્યું કે, એમણે ક્યારેય માલતીને સોનાલી અંગે વાત કરી જ નહોતી.

    “આમ જોઉં તો એની સાથે કોઈ સંબંધ નથી અને આમ જોઉં તો બહું ઊંડો સંબંધ. મને એનામાં આપણી સ્વીટી દેખાય છે.”

    વિનાયકે ખુલાસાથી વાત માંડી.

    એક દિવસ એ પાર્કમાં બેઠા હતા ને છ-સાત વર્ષની છોકરી એમની પાછળ આવીને સંતાઈ.

    “દાદાજી, હું અહીં સંતાઈ છું એ કોઈને કહેતા નહીં હોં. તમારો કોટ મારી પર નાખી દો.”

    એ દિવસથી સોનાલીનાં રમવાના સમય અનુસાર વિનાયકનો પાર્કમાં જવાનો સમય નિશ્ચિત થઈ ગયો. એની સાથે રમવામાં ક્યાં સમય પસાર થતો એની ખબર નહોતી પડતી.

    “મને તો ક્યારેય કહ્યું નહીં અને રાત સુધી સોનાલી પાર્કમાં થોડી બેસી રહે?”

    “સોનાલીને તાવ આવ્યો છે. એણે જીદ કરી કે દાદાજીને બોલાવો.”

    “આજ સુધી મને જણાવવાનું જરૂરી ન લાગ્યું?” માલતીના અવાજમાં પીડા હતી. એ ઊભી થઈ ગઈ.

    રાત્રે અવિનાશનો ફોન આવ્યો. એ પૂછે એની પહેલાં જ માલતી બોલી,

    “દવા, પાણી, ટૉર્ચ બધું જ પાસે છે, પણ નજીકની વ્યક્તિ જ દૂર થઈ જાય એનું શું કરવું? જીવતરનો સાર કાઢીએ ને ખબર પડે કે આખું ગણિત જ ખોટું હતું તો કોની ભૂલ કાઢવી?”

    “શું થયું માસી, લાગે છે આજે તબિયત ઠીક નથી.. હું આવી જઉં?”

    “ના..ના..દીકરા, આ તો તારા કાકા મોડા આવ્યા એટલે મૂડ ખરાબ છે.

    “એક કામ કરો. મનને શાંત કરવા પ્રભુનું ધ્યાન ધરો, માળા કરો.” માસીનું મન પારખીને અવિનાશે એમને સાંત્વન આપ્યું.

    અવિનાશના કહ્યા પછીય માલતીનું મન શાંત ન થયું. માળા લઈને બેઠી. મનમાં શ્રીરામનું નામ ને  ચિત્ત બીજે ભટકતું રહ્યું. હાથમાંથી માળા સરકી ગઈ. એને પોતાનાં મિલિંદ અને મનીષા યાદ આવી ગયાં.

    *******

    માલતી અને સુનિતા બહેનપણીઓ. બંનેના સ્વભાવમાં ફરક. માલતીનાં સપનાં ઘણાં ઊંચા હતાં. એમ.એસ.સી. કરીને એ લેક્ચરર બની. સુનિતા માતા-પિતાએ બતાવેલા યુવક સાથે લગ્ન કરીને ઘર-ગૃહસ્થીમાં વ્યસ્ત થઈ ગઈ. એમ.એસ.સી.નું ફોર્મ ભર્યા પછી સાસુની બીમારી, દીયરનાં લગ્ન, એક પછી એક સંતાનોના જન્મને લીધે આગળ ભણવાનો વિચાર જતો કર્યો.

    એન્જિનિયર થયેલા વિનાયક સાથે લગ્ન પછી તો માલતીનું અભિમાન વધ્યું. સુનિતાની સરળ, વાસ્તવિક વાતો એને તુચ્છ લાગતી. એ માનતી કે વ્યક્તિએ પિતા કે પતિ પર નિર્ભર રહેવાના બદલે આત્મવિશ્વાસ સાથે સ્વબળે ગરુડની જેમ આસમાનને આંબવા ઊંચી ઉડાન ભરવી જોઈએ.

    માલતીએ મિલિંદ અને મનીષાની આંખોમાં આભને આંબવાનું સ્વપ્ન આંજ્યું. વિનાયકની અનિચ્છા છતાં મિલિંદને પંચગીનીની કૉન્વેન્ટ સ્કૂલમાં મૂક્યો. મુંબઈમાં મેડિકલનું ભણી, ડૉક્ટર બનીને એ અમેરિકા સેટલ થયો. મનીષાએ જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એની સાથે ભણતા સ્વિટ્ઝર્લેન્ડના યુવક સાથે લગ્ન કરીને વિદેશ સ્થાયી થવાનો નિર્ણય કર્યો.

    વિનાયકે મનીષાને અલગ સંસ્કૃતિવાળા વિદેશી યુવક સાથેના લગ્ન સામે લાલબત્તી ધરી હતી.

    “અલગ દેશ, અલગ સંસ્કૃતિ. સ્વિટ્ઝર્લેન્ડ જઈને ક્યાંક ફસાઈ તો?”

    “પ્રેમ કરે છે એને પરણે છે. બીજા દેશનો, બીજી સંસ્કૃતિનો હોય તેથી શું, માણસ તો છે ને? મનીષા તો સ્વબળે આભમાં અનેરા રંગ ભરી દે એવી ચિત્રકાર છે.” માલતી કહેતી.

    “આભ આભાસ છે. સત્ય નહીં.” વિનાયક કહેતો રહ્યો અને મનીષા ચાલી ગઈ.

    માલતીએ શીખવ્યું હતું એમ બંને સંતાનોની આકાંક્ષાએ આભને આંબવા ‘ગરુડ-ઉડાન’ ભરી. માલતી ખુશ હતી. વિનાયક રડી પડ્યો.

    વિનાયક જમીનથી જોડાઈને રહેવામાં માનતો. સુનિતાના ઘરનો સ્નેહ, સુમેળભર્યો માહોલ, ગણેશપૂજા, નવરાત્રીની ધામધૂમ બહુ ગમતાં, પણ માલતી આગળ વ્યક્ત ક્યાં વ્યક્ત કરવો? એ ચૂપ રહેતો.

    સુનિતાનો સતીશ એન્જિનિયર થયો ત્યારે માતા-પિતાની ઇચ્છા અને આશીર્વાદથી ત્રણે ભાઈઓએ પોતાની ફેક્ટરી ખોલવાનો નિર્ણય કર્યો.

    વિનાયક ખુશ.

    એ રાત્રે મિલિંદનો ફોન આવ્યો.

    “મા. હું સેટલ થઈ ગયો છું. તારી ઇચ્છા મુજબ દર મહિને પૈસા મોકલતો રહીશ. તબિયતનું ધ્યાન રાખજો અને હા, દર મહિનાની ત્રીજી તારીખે ચોક્કસ ફોન કરીશ.” મિલિંદે વાત પૂરી કરી.

    “મિલિંદ સેટલ થઈ ગયો. દર મહિને પૈસા મોકલશે.” માલતીએ સુનિતાને ખુશખબર સંભળાવ્યા. સંતાનોની પ્રગતિનું અભિમાન સુનિતા પાસે પ્રગટ કરવાનું ક્યારેય એ ચૂકતી નહીં.

    સુનિતાની પસંદગીની સાદી, સરળ યુવતીઓ સાથે અવિનાશ અને પ્રકાશના લગ્ન લેવાયાં.

    માલતીના મનમાં મિલિંદના લગ્નની શરણાઈના સૂર છેડાયા. મિલિંદ સર્જન છે. એના માટે તો ડૉક્ટર કે એન્જિનિયર યુવતી જ શોધીશ, મનનો વિચાર જણાવવા મિલિંદને ફોન કર્યો.

    “ મા, મારા પત્રની રાહ જોજે.” કહીને મિલિંદે ફોન કટ કર્યો.

    એ રાત્રે મનિષાનો ફોન આવ્યો કે, એ ચિત્રકાર પતિથી મુક્ત થઈ ગઈ છે. મનીષાનો ફોન આવ્યો ત્યારે વિનાયકે મનીષાને પાછા આવી જવા સમજાવી.

    “અહીં મારાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે. અઢળક નામના, પ્રસંશા પામી છું. એકલી છું, ખુશ છું. ‘ગરુડ-ઉડાન’ની ટેવ પડી છે ને હવે કોઈ બંધનમાં પડવું નથી.” મનીષાની વાત સાંભળીને પહેલી વાર માલતી ચૂપ હતી.

    એક દિવસ અવિનાશ ને પ્રકાશ આવ્યા.

    “એક વિનંતી છે, કાકા. અમારી ફેક્ટરીમાં તમારા માર્ગદર્શનની જરૂર છે. આપશો ?”

    વિનાયક ખુશ. નિવૃત્તિ પછી એને ખાલી ઘર ખાવા ધાતું, ઘરની બહાર નીકળવાનો મનગમતો માર્ગ મળ્યો.

    વિનાયકનો સમય ફેક્ટરીમાં અને માલતીનો સમય મિલિંદના પત્રની રાહ જોવામાં પસાર થતો રહ્યો.

    એક દિવસ મિલિંદે લગ્ન કરી લીધાંની જાણ કરતો પત્ર આવ્યો. પત્રની સાથે  મિલિંદ અને રોઝીનો ફોટો હતો.

    માલતી સાવ તૂટી ગઈ.

    “અરે, પ્રેમ કરીને પરણ્યો છે. બીજા દેશની, બીજી સંસ્કૃતિની હોય તેથી શું, માણસ તો છે ને ?” વિનાયકે માલતીને કહ્યું.

    શું બોલે માલતી? મનીષાને લગ્ન માટે રોકી ત્યારે માલતીએ વિનાયકને આમ જ કહ્યું હતું. માલતી એના શબ્દોને યાદ આવ્યા.

    વિનાયકે મિલિંદને રોઝી સાથે ભારત આવવા કહ્યું.

    “શક્ય જ નથી બાબા, રોઝીએ હમણાં જ દીકરીને જન્મ આપ્યો છે. સ્વીટીનો ફોટો મોકલી આપીશ.”

    “રોઝી પ્રેગનન્ટ હતી, જણાવ્યું નહીં?”

    “આવી નાનીનાની વાતોમાં શું કહેવાનું?”

    માલતીને પોતાની પાંખો કપાઈ ગયાં જેવી આજે વેદના થઈ.

    “માલતી, તેં છોકરાંઓને આભને આંબવાના સ્વપ્ન દેખાડ્યાં, ‘ગરુડ-ઉડાન’ ભરવાનું શીખવ્યું. પ્રેમ ન શીખવી શકી. જીવનમાં સ્નેહ, સંબંધ કેટલા મહત્વના છે એ જ ન શીખવ્યું !? પહેલેથી તેં એમને નિર્બંધ, સ્વતંત્ર રહેતાં શીખવ્યું. હવે સૌ પોતપોતાનાં વ્યસ્ત છે. હું સ્વીટીમાં સોનાલીને શોધીને સંતોષ માનું છું. ફક્ત તારાં હાથ ખાલી છે.”

    વિનાયકને કહેવાની ઇચ્છા થઈ, પણ બીમાર, મનથી ભાંગી ગયેલી માલતીને વધુ પીડા થશે માનીને મન માર્યું.

    થોડા સમય પહેલાં માલતીને હાર્ટ એટેકને લીધે હોસ્પિટલ દાખલ કરવી પડી હતી. માઇલ્ડ એટેક હતો, ઝાઝી ચિંતાનું કારણ નહોતું છતાં સુનિતાનો પરિવાર ઊભાઊભ આવી ગયો. ઘરનું કોઈ એક જણ માલતી પાસે રોકાતું.

    મિલિંદને જાણ કરી. એનો ફોન આવ્યો.

    “મા, પૈસાથી કોઈ ચિંતા ના કરતી. ઉત્તમ ટ્રીટમેન્ટ કરાવજે. હું આવી જાત. રોઝી ફરી પ્રેગનન્ટ છે. સ્વીટીનું ધ્યાન આયા રાખે છે, પણ રોઝીનું મારા સિવાય કોઈ નથી. અને હા, મનીષાનો ફોન હતો, એણે બીજા લગ્ન કરી લીધાં છે.”

    માલતીએ ફોન પટક્યો.

    વિચારોનાં વાવાઝોડામાં અટવાઈ. છોકરાંઓનાં મનમાં આભને આંબવાની ઇચ્છા એણે જ રોપી હતી.

    છોકરાંઓને ક્યાં દોષ દે?

    શું જોઈતું હતું ને શું મેળવ્યું?

    જીવનનાં સરવૈયામાં મળી હતી, આત્મગ્લાનિ, હાર, એકલતા….

    આજે એ એકલી હતી, સાવ એકલી.


    શુભાંગી ભડભડે લિખિત, ડૉ.ઉષા બંદે અનુવાદિત મરાઠી વાર્તા ‘સારાંશ’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં જૂન ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Art Ceations for June 2026

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – [૧] – शुद्र्म हृदयं दौर्बलम

    પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ,
    જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫
    ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

    હરેશ ધોળકિયા

    ગીતાના પ્રથમ અધ્યાયમાં જયારે અર્જુન યુદ્ધમાં સામે ઊભેલા પોતાના વડીલોને સામે જુએ છે, ત્યારે તે મોહમાં ફસાઈ જાય છે અને કૃષ્ણને કહે છે કે તે લડવા ઈચ્છતો નથી અને પોતાના ધનુષ-બાણને નીચે મૂકી દે છે. આ જોઈ કૃષ્ણ વિચારમાં પડી જાય છે અને અર્જુનને લડવા કેમ પ્રેરિત કરવો તે વિચારે છે અને જવાબમાં જે પહેલો શ્લોક બોલે છે તેમાં આ સૂત્ર છે. તે કહે છે, “ હે અર્જુન, તું કાયર ન થા. તે તને શોભતું   નથી. તારું હૃદય નબળું થઇ ગયું છે. આ નબળાઈનો  ત્યાગ કરી લડવા ઊભો થા.”

    ગીતા કહે છે કે બધી જ તકલીફો,  દુખ, પીડા, નિરાશા… આ બધું જ નબળાઈના કારણે થાય છે. આ નબળાઈ શારીરિક પણ હોય અને માનસિક પણ હોઈ શકે છે. કૃષ્ણ અર્જુનની આ માનસિક નબળાઈ સમજી ગયા. એટલે તેમણે તેને પડકાર્યો અને આ નબળાઈનો ત્યાગ કરવાની હાકલ કરી. તેમણે કહ્યું કે આ નબળાઈનો એક માત્ર ઉપાય છે “ પુરુષત્વ.”

    જયારે જયારે અર્જુન જેવા વીરો આ નબળાઈના શિકાર બન્યા છે, ત્યારે ત્યારે તેમના ગુરુઓએ તેમને આ પુરુષત્વનો ઉપદેશ આપ્યો છે. મરાઠા રાજા શિવાજી જયારે હજી સંઘર્ષ કરતા હતા, ત્યારે તેમના ગુરુ સમર્થ રામદાસે તેમને ઉત્તમ રીતે રાજ્ય કરવાની અને પ્રજાને સુખી કરવાની સલાહ આપી હતી. વિવેકાનંદ હજી તરુણ હતા અને ગરીબીનો સામનો કરતા હતા અને નિરાશા અનુભવતા હતા, ત્યારે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેમને ઉત્સાહ આપ્યો હતો અને આગળ વધવા પ્રેરણા આપી હતી.

    ખુદ વિવેકાનંદે પણ જયારે જોયું  કે ભારતની પ્રજા ભૂતકાળમાં અને ગૂંચવણમાં રહેતી હતી અને બ્રિટીશરોની ગુલામી ભોગવતી હતી, ત્યારે તેમણે  પણ પ્રજાને હાકલ કરી કે “ અરે મિત્રો, શા માટે રડો છો ? તમારામાં જ બધી શક્તિ રહેલી છે. તમારા સ્વભાવને પ્રગટાવો તો સમગ્ર વિશ્વ તમારા ચરણોમાં પડશે. હું જેમ જેમ મોટો થતો જાઉં છું, તેમ તેમ મને ખાતરી થતી જાય છે કે બધું જ પુરુષત્વમાં રહેલું છે. એટલે નબળા ન બનો. નબળાઈનો ઉપાય નબળાઈનો સતત વિચાર કરવો તે નથી, પણ સતત બળનો વિચાર કરવો તે છે. જગતમાં એક જ પાપ  છે અને તે છે નબળાઈ.”

    એટલે જ કૃષ્ણ અર્જુનને નબળાઈ છોડીને પુરુષત્વને અપનાવવાની સલાહ આપે છે.

    રાજા રણજીતસિંહનો  પણ દાખલો જાણીતો છે.  શત્રુ સામે લડવા જતા હતા ત્યારે રાત્રે એક નદીના કિનારે રોકાયા. કિનારે નૌકા ન હતી, એટલે સામે કિનારે કેમ જવું તે બાબતે  સેનાપતીઓ મૂંઝાતા હતા. રણજીતસિંહ સામે બહાના બતાવવા લાગ્યા. રણજીત સિંહે સૈનિકોને કહ્યું,

    જા કે મનમેં ખટક  હય, સોઈ અટક રહા,
    જા કે મનમેં ખટક નાં, વાકો અટક કહા ?

    આ સાંભળી સૈનિકો શરમાયા અને પોતામાં રહેલ કાયરતાને ભૂલી ગયા અને નદીમાં કુદી પડ્યા અને તરીને સામે કિનારે પહોંચી ગયા. શત્રુઓ આભા બની ગયા અને નાશી ગયા.

    ગીતા પણ સતત સૂચવે છે કે મોહ અને આસક્તિ જ નબળાઈ જન્માવે છે. મનને એટલું તો દૃઢ કરવાનું છે કે કોઈ જ નબળાઈ તેને સ્પર્શી ન શકે અને વ્યક્તિ ધારે તે કરી શકે. દરેક વ્યક્તિએ, ખાસ કરીને વિદ્યાર્થી અને યુવાનોએ, તો સતત સામર્થ્યનું જ ચિંતન કરવાનું છે. તો તે ગમે તેટલી મુશ્કેલીઓ આવશે, પણ તે એ બધાને અતિક્રમીને સફળતા જ પ્રાપ્ત કરશે.

    દરરોજ સવારે ઉઠીને પ્રથમ ચિંતન પૌરુષત્વનું કરવાનું છે. અને તેનું સૂત્ર છે “ હું સમર્થ છું. હું ધારું તે કરી શકું છું. અને હું કરીશ જ.”

    ૦૦૦

    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

     

  • ચૂસીએ નહીં, સીંચીએ

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    [આર્કિટેક્ટની નોંધ]

    ૨૯ મે, ૨૦૨૬ ના રોજ, હું એવા ક્રિયાપદનું ઓડિટ કરી રહ્યો છું જે હું જાણું છું કે તે દરેક સંસ્થા ચલાવે છે. એ ક્રિયાપદ છે : ‘ખેંચી કાઢવું’.

    ખરીદી વિભાગ પુરવઠાકારો પાસે બહાર કાઢતો રહે છે. માનવ સંશાધન વિભાગ કર્મચારીઓમાં ચુસતો રહે છે. સામગ્રી ખરીદી વિભાગ જેમ સામગ્રીઓ ખરીદે તેમ માનવ સંસાધન વિભાગ લોકોને ખરીદે, અને પછી લોકોને તેના પર ગર્વ કરવા માટે તાલીમ આપી. મેં પોતે પણ એમ કહ્યું છે. હું કંપની માટે એક મહાન સંપત્તિ છું. સંપત્તિના ઘસારાનું સમયપત્રક હોય છે. આપણે આપણા પોતાના ઘસારાની ઉજવણી કરવાનું શીખ્યા અને તેને મહત્વાકાંક્ષાના શીર્ષકથી નવાજ્યું.

    બધું એક સંસાધન બન્યું

    આધુનિક વ્યવસ્થાપન હેઠળ એક ડિફોલ્ટ કાર્યકારી તંત્રવ્યવસ્થા ચાલી રહી છે.

    તેમાં, બધું એક સંસાધન છે.

    જમીન એક સંસાધન છે. મૂડી એક સંસાધન છે. કુદરત એક સંસાધન છે. લોકો એક સંસાધન છે.

    તંત્રવ્યવસ્થા એટલી સંપૂર્ણ છે કે તે હવે આપણી નજરે પણ નથી ચડતી.  આપણે તેની અંદર એવી રીતે ગોઠવાઈ જઈએ છીએ જેમ માછલી પાણીની અંદર ગોઠવાય છે. આપણને પ્રશ્ન પણ નથી થતો નથી કે આપણી સામેનો માનવી સ્ત્રોત છે કે પુરવઠો.

    આ દૂષણ ઉપરથી નીચે નથી પ્રસરતું.

    સ્થાપક સ્ટાફને એક સંસાધન તરીકે માને છે. સ્ટાફ કંપનીને એક સંસાધન તરીકે માને છે. અને આપણે બધા, ઠંડે કલેજે, આપણને પોતાને પણ એક સંસાધન જ માનીએ છીએ.

    આખી ઇમારતમાંથી કોઈ પણ આમાં બાકાત નથી. આ વાયરાનાં કોઈ માબાપ નથી.

    સંસાધન સહાયક છે.  સ્રોત સર્જક છે.

    આ એવી વિશિષ્ટતા જે આખી તંત્રવ્યવસ્થાને ચલાવે  છે.

    સંસાધન મદદ કરે છે.  સ્રોત સર્જન કરે છે.

    જ્યારે તમે કોઈને સંસાધન તરીકે માનો છો, ત્યારે તેઓ ફક્ત તેમના KPI માં લખેલી જવાબદારીઓ સ્વીકારે છે. એટલા માટે નહીં કે તેઓ નાના  કર્મચારીઓ છે. પરંતુ એટલા માટે  કે આ સ્થાપત્યમાં કરારથી આગળ વધવામાં નુકસાન બતાવાયું છે, પણ કોઈ ફાયદો નથી બતાવાયો.

    જ્યારે તમે કોઈને સ્ત્રોત તરીકે માનો છો, ત્યારે માલિકીભાવ આપોઆપ સ્વભાવ બની જાય છે.

    તમારે તેને સ્થાપવું નથી પડતું. તમે તેને પ્રતિબંધિત નથી કર્યું.

    ભાડુઆત દરેક જગ્યાએ સંસાધનો જુએ છે અને એક પ્રશ્ન પૂછે છે: આ મુજબ થાય તે પહેલાં હું કેટલું વધારેમાં વધારે ખેંચી લઈ શકું?

    સાર્વભૌમ આર્કિટેક્ટ સ્ત્રોતો જુએ છે અને એક અલગ પ્રશ્ન પૂછે છે: આપણામાંથી કોઈ એકલા વડે જે બનાવી શકાયું નહીં એવું આપણે સાથે મળીને શું બનાવી શકીએ ?

    સમાન પરિસ્થિતિ. સાવ જૂદા જ પ્રશ્ન. સંપૂર્ણપણે અલગ અવનતિ.

    માટી બાકીનું શીખવે છે

    આનું સૌથી સ્પષ્ટ સંસ્કરણ જમીનમાંથી આવે છે.

    નિષ્કર્ષણ ખેતી રસાયણો દ્વારા ઉપજને ત્યાં સુધી ચૂસે છે જ્યાં સુધી માટી ખતમ ન થઈ જાય, પછી વળતર વધારવા માટે વધુ રસાયણો ઉમેરે છે. જમીન નો રસકસ ખતમ ન થઈ જાય ત્યાં સુધી નિપજનો આલેખ બરાબર દેખાય છે. ઘટાડો દેખાતો નથી કેમ કે તે ધીમો છે.

    મોટાભાગની સંચાલન પ્રણાલીમાં આ મુજબ જોવા મળે છે.

    લક્ષ્યના આંકડાઓ આંબો. માનવ ઉર્જાનેને બાળી નાખો. માનવને બદલી નાખો. આ ચક્રનું પુનરાવર્તન કરતાં રહો.

    પુનર્જીવિત ખેતી ધ્યેયને સંપૂર્ણપણે ઉલટાવી દે છે.

    ઉપજ પર દાવ નથી લગાવાતો. જમીનની પોતાની શક્તિને પુનઃસ્થાપિત કરવાની છે અને  પછી તેને વિકસાવવાની છે. લણણી, મરી પામેલ ધરતીમાંથી ખેંચ ખેંચ નહીં, પણ જીવંત પ્રણાલીની આડપેદાશ બની જાય છે.

    પુનર્જીવિત સંચાલન શું છે?

    દબાવી દાબાવીને લોકો પાસેથી નિપજ કાઢવી નહીં.

    એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક અંગ પોતાના ઉચ્ચ સ્વરૂપ સાથે જોડાય, અન્યમાં ઉચ્ચ સ્વરૂપ જુએ, અને સમગ્ર તંત્રવ્યવસ્થા એ મુજબની બનાવવા માટે પૂરતા લાંબા સમય સુધી ત્યાં મદદ કરે.

    ભાગીદારો અંતરાય નથી

    ઇચ્છનીય નવું સંસ્કરણ લોકોને ભાગીદાર ગણે છે.

    તે જરૂરી છે. પણ પૂરતું નથી.

    બે ભાગીદારો હજુ પણ બે નાના એકમ તરીકે મળી શકે એ અને કંઈક નાનું બનાવી શકે છે.

    વાસ્તવિક સ્થાપત્યમાં ત્રણ સ્તરો હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઉચ્ચ સ્વરૂપ સાથે જોડાયેલ હોય છે. દરેક વ્યક્તિ બીજામાં ઉચ્ચ સ્વરૂપ જુએ છે. અને એ વાતાવરણ દરેકને ત્યાં જાળવી રાખવા અને ત્યાંથી કાર્ય કરવા માટે રચાયેલ છે.

    પ્રવેશ માટેની ટિકિટ એ કોઈ નીતિ ન હોવી જોઈએ.

    તે તમે જ છો, તમારી જાતને પહેલા તમારા પોતાનાં જ ઉચ્ચ સ્વરૂપ તરીકે ગણો.

    જેમાં તમે પ્રવેશ કર્યો નથી એવી જગ્યા પકડીને બેસી ન રહી શકાય.

    પતન માટે બનાવો, શિખર માટે નહીં

    કોઈ પણ પોતાનાં જ ઉચ્ચ સ્તરથી સતત કામ કરી શકતું નથી.

    તમારા દાંત સાફ ન હોઈ શકે. પરંતુ તમે તમારા દાંત સાફ તો કરી જ શકો છો.

    કાર્ય કાયમી આગમન નથી. તેમાં ઝડપી પુનર્જીવન થતું રહે. એક ક્ષણ ચૂકી જાઓ, તો બીજી ક્ષણે પાછા ફરો. તે એક ક્ષણની એવી સફર છે જે તમે દરેક ક્ષણે કરતાં રહો છો.

    અહીં એક અંગ એકલું સંઘર્ષ કરે છે, કારણ કે જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમને જગાડવા માટે કોઈ બીજું નથી હોતું.

    આની આસપાસ કેન્દ્રિત થતાં પાંચ અંગ એક તંત્રવ્યવસ્થા બની જાય છે. જ્યારે એક અંગ સૂઈ જાય છે, ત્યારે બીજું તેને જગાડે છે.

    સ્થિતિસ્થાપકતા માળખાકીય છે, એ કંઈ શુરવીરતા નથી. તમે ફક્ત ઇરાદા નહીં પણ સંઘ બનાવો છો, .

    ભય નીચેની સપાટીએ રહેલ સ્થિતિ છે

    આ તે સ્તર છે જેમાં હું સૌથી વધુ રહેવા માગતો હોઉં છું.

    પોતાના ઉચ્ચ સ્તરથી નીચેની કક્ષાએ કાર્ય કરવાને ભય સાથે ઊંડો સંબંધ છે.

    ભય ઉપર રચાયેલ કોઇપણ વ્યવસાય કે કોઈપણ સંસ્થા, લગભગ આપોઆપ લોકોને તેમના શ્રેષ્ઠ સ્તરની નીચે રમવા માટે આમંત્રણ આપે છે. પોતાની જાતને નાની ગણવી એ નોકરીના પદ સાથે જોડાયેલા ડરનો પ્રતિભાવ છે.

    એટલે પછી કામ પ્રેરણાદાયક નથી રહેતું. તે નિદાનાત્મક બની જાય છે. તમારામાં અને તંત્રવવસ્થામા ભય કેવી રીતે કામ કરે છે તે સમજો, અને તેના વિશે શું કરવું તે નક્કી કરો.

    અને નિષ્કર્ષણની સામી બાજુ  ઉદારતા નથી.

    સ્ત્રોત ફક્ત આપતો નથી. તે સહ-સર્જન કરે છે. માટી, પાણી, સૂર્ય અને માનવ, તેમાંથી કોઈ પણ એકલું પાક ઉગાડતું નથી. જાદુ ક્યારેય આપવામાં નથી. તે એકસાથે થવામાં છે.

    નિર્દેશ

    પહેલા ચેતવણી આપે તેવી દૃશ્ય શ્રાવ્ય વ્યવસ્થા સ્થાપિત કરો જેથી નુકસાન થાય તે પહેલાં તે પહેલાં મૂળ સ્થિતિ શું હતી તે શોધી શકાય.

    ત્રણ આંતરનાદો : અભિપ્રાય, નિંદા, ભય. ઉત્તેજિત અથવા અસ્વસ્થ થવું. અછત માનસિકતા, જે પોતાની જાતને નાની માનવાની નાના સ્વ સાથે પડછાયાની જેમ ફરે છે. કંટાળો, અને જે ક્ષણે તમને ખ્યાલ આવે કે તમે સાંભળવાનું બંધ કરી દીધું છે. એવી સ્થિતિઓ જેમાં સરકીને તમે તમારી સામેની વ્યક્તિને પુરવઠા તરીકે જોવાનું શરૂ કરો છો.

    એ દરેક ડેશબોર્ડ પર દેખાતી ચેતવણી છે, ચુકાદો નથી.

    પછી જાળવણી લેવાનું શરૂ કરો.

    સવારે પાંચ મિનિટ, અગાઉથી નક્કી કરવા માટે કે તમે દિવસની વાસ્તવિક ક્રિયાપ્રતિક્રિયાઓને તમારા ઉચ્ચ સ્વ તરીકે કેવી રીતે પૂર્ણ કરશો, ત્રણ અવાજોને અલગ રાખીને. રાત્રે પાંચ મિનિટ, ઓડિટ કરવા માટે, ફક્ત તમે ક્યાં ચૂક્યાં તે જ નહીં પણ ક્યાં શું યોગ્ય કર્યું તેનું શ્રેય આપવા માટે. આપણે આપણી ભૂલો જોવા બહુ ટેવાઇ ગયા છીએ.

    જ્યારે તમે કોઈના વિશે નીચો અભિપ્રાય રાખતા થાઓ છો, ત્યારે તેને એક સંકેત માનો,  હકીકત તરીકે નહીં, સમાનુભૂતિનો માર્ગ અપનાવો.

    અને જે સૌથી વધુ ભારરૂપ છે: જ્યારે તમે તમારી ઉચ્ચ કક્ષાની નીજી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી, ત્યારે વ્યાપક પરિવર્તન ઉદ્દેશ્ય (Massive Transformative Purpose – MTP) ની ફરી મુલાકાત લો. આશય પુનર્જીવન ફરીથી ધબકતું કરવાનો છે.

    ઘડતર કરનારાઓ માટે વધુ એક (નિર્દેશ). પહેલા તમારા ઉચ્ચ સ્વ સાથે જોડાઓ, પછી તમારા પસંદગીના AI સાધન સાથે પંદર મિનિટ વિતાવો. સંકેતો બદલાય છે. પરિણામો બદલાય છે. સાધન ક્યારેય અવરોધ નહોતું.

    તમે જ હતા.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • માનસિક સલામતીનાં ઘડતર માટે માત્ર સંકલ્પ જ નહી પણ સાતત્યપૂર્ણ વર્તન પણ આવશ્યક છે

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    માનસિક સલામતી ફક્ત ઇરાદાથી નહીં, પણ સુસંગત વર્તનથી બને છે.

    અપલિફ્ટિંગ આઇડિયાઝ પોડકાસ્ટ પર “ધ સાયકોલોજિકલ સેફ્ટી પ્લેબુક ફોર ચેન્જમેકર્સ” ના લેખકો, મિનેટ નોર્મન અને કેરોલિન હેલ્બિગ સાથે મારે બહુ અર્થપૂર્ણ વાતચીત થઈ.

    મારા માટે જે એક ખાસ સમજ નીપજી તે એ કે:

    “તમે કહી શકો છો કે ‘અહીં બોલવું સલામત છે’, પરંતુ જે ક્ષણે કોઈ પણ અગ્રણી મુશ્કેલ પ્રશ્નનો રક્ષણાત્મક રીતે જવાબ આપે છે, તે ક્ષણે વિશ્વાસ જતો રહે છે. માત્ર સુસંગત વર્તન જ માનસિક સલામતી બનાવે છે.”

    મેં  જે વાતચીત આગળ ધપાવી hatI તેમાંથી વિચારણીય ત્રણ મુદ્દાઓ :

    ૧. આપણામાંની  દરેક વ્યક્તિ પરિવર્તન લાવી શકનાર છે. એ માટે કોઈ પદવીની જરૂર નથી. સંસ્કૃતિ એવી વસ્તુ નથી જે “ત્યાં” અસ્તિત્વમાં છે પરંતુ એવી વસ્તુ છે જે સંસ્થામાં દરેક વ્યક્તિ શું કરે છે તેનો સરવાળો છે. પ્રભાવ તે ક્ષણથી શરૂ થાય છે જ્યારે તમે અલગ રીતે કાર્ય કરવાનું પસંદ કરો છો.

    ૨. પ્રતિકાર ખેલનો એક ભાગ છે, અવરોધ નહીં. વાસ્તવિક પરિવર્તન એ છે કે તમારા વિષે શંકાશીલ રહેતા લોકો વિશે ખરેખર ઉત્સુક બનવું, તેમને નકારી કાઢવાને બદલે ખુલ્લાં મનથી પ્રશ્નો પૂછવા. જ્યારે વિરોધીઓને એમ લાગે છે કે તેમણે જોવામાં અને સાંભળવામાં આવે છે, ત્યારે ગતિશીલતા સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

    ૩. છટણી, મર્જર, AI વિક્ષેપો જેવા સમયમાં, ધરમૂળથી પારદર્શક બનો… આ વિક્ષેપો આપમેળે માનસિક સલામતીનો નાશ કરતા નથી. અગ્રણીઓ તે પછી શું કરે છે તે મહત્વનું છે. વિક્ષેપોને નજરાદાંજ કર્યા વિના કે તેને બિનમહત્વના ગણ્યા વિના મુશ્કેલીઓને સ્વીકારો. પ્રામાણિકતા બીજા કંઈથી પણ ન ઘડાય  તેવો ભરોસો પ્રમાણિકતા રચી શકે છે.

    એક પ્રાચીન ભારતીય દૃષ્ટિકોણ આ રીતે પડઘાય  છે: જ્યારે મન (વિચારો) + વચન (શબ્દો) + કર્મ (કાર્યો/ક્રિયાઓ) એક સાથે સંકળાય એ નેતૃત્વની પ્રામાણિકતા છે. તે એવું રેખીય જોડાણ છે જે વાણી અને વર્તનને એક સ્તરે લાવી મૂકે છે.

    મિનેટ અને કેરોલિન દ્વારા રચાયેલ તેમનું પુસ્તક કાર્યસ્થળ પર માનસિક સલામતી (અને પરિવર્તન કાર્યક્રમોમાં) વૈભવ નથી, પરંતુ એ વિષયની મૂળભૂત બાબતો પર પર પ્રકાશ પાડતું રહે છે.

    સંપૂર્ણ વાતચીત અહીં છે: https://open.spotify.com/episode/2sfhBcsIOxFmSnS5Bl4TTW


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૫

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    પનામા શહેરથી હવે હું દેશના પર્વતીય વિસ્તારમાં જવા નીકળી હતી. એ પ્રદેશ કેવો હતો, તેની મને ખાસ ખબર નહતી. આમ તો, પહેલી વારની ટ્રીપ દરમ્યાન હું છેક દેશના ઉત્તર ભાગથી બસ દ્વારા રાજધાની સુધી આવેલી, એટલે વચમાં પર્વતો આવ્યા તો હતા જ, ને એટલું યાદ પણ હતું જ; છતાં, આ પર્વતીય પરિસરની અંદર ગયા પછી ઘણી નવાઇ જ લાગી. ઓહો, આટલા બધા પર્વતો છે અહીં?

    ન્યૂયૉર્કની મારી એક યહુદી મિત્રની કઝીનને ત્યાં હું જઈ રહી હતી. હૅલન અને રિચાર્ડ નામના અમેરીકન દંપતીએ પનામા દેશમાં વસવાનું પસંદ કર્યું હતું. મને એમણે આમંત્રણ આપ્યું, ને ખાસ કહ્યું હતું કે મારે બે રાત ત્યાં રહેવું. બસમાં ત્યાં પહોંચતાં કલાકો થાય, તેથી ફક્ત સવારથી સાંજ માટે આવીને જતાં રહેવાનો શું અર્થ? તેથી મેં એક રાત ત્યાં રહેવાની તૈયારી રાખી હતી.

    કૉરૉનાડો કહેવાતા વિસ્તારમાં જતી એ મિનિ-બસની છવ્વીસ સીટો ભરાઈ ગયેલી. એ પછી લોકો ચઢતા ગયા, ને એમને ઊભાં રહેવું પડતું ગયું. સારું થયું કે મને બેસવા મળી ગયું હતું. બે કલાક ઊભાં ઊભાં જવું ફાવત નહીં.

    બસ દસને દસે, બરાબર નિર્ધારિત સમયના ટકોરે ઊપડી, ને શહેરના પાછલા રસ્તાઓ પરથી ગઈ. વૃક્ષોથી છવાયેલા, સરસ રહેવાસી રસ્તાઓ જોવા મળ્યા. પછી વનસ્પતિની ગીચતા વધતી ગઈ, અને થોડી જ વારમાં તો  બાલ્બોઆ વિસ્તારમાં થઈને બસ શહેરની બહાર નીકળી ગઈ.

    પનામાની વિશ્વ-વિખ્યાત કૅનાલની ઉપર બનેલા મોટા બ્રિજ પરથી એ જવાની હતી, તે મેં નકશામાં જોયેલું.  જે રીતે બસ ગઈ તેમાં બ્રિજની કમાન ના દેખાઈ, પણ એની સપાટી જૂની થઈ ગયેલી લાગી. મેં ઊંચાં થઈને જોયું તો, નીચેની કૅનાલમાં એક મોટું વહાણ ઊભેલું દેખાયું. ને એટલાંમાં તો મિનિ-બસ દેશની બીજી બાજુ પર પહોંચી ગઈ હતી.

    હવે જે હાઇ-વે પરથી એ જઈ રહી હતી તે આ સૅન્ટ્રલ અમેરીકાના સાતે સાત દેશોમાં થઈને જાય છે. ક્યાંક એ પહોળો અને ખાલી હોય એમ બને, પણ વધુ ભાગે એ ગામો ને વસાહતોમાં થઈને જતો હોય છે, તેથી ઘણી વાર એ સાંકડો અને ધૂળિયો બનતો હોય છે. અહીં એ જ રીતે આ હાઇ-વે જવા માંડ્યો હતો. સ્થાનિક પૅસૅન્જરોને લેવા માટે બસ વારંવાર ઊભી રહેતી હતી.

    સહેજ વારમાં જ પર્વતો હાજર થઈ ગયા. આહ, બધે લીલીછમ જાજમ હતી હવે. પર્વતીય પરિસરમાં બનાવાઈ રહેલાં નવાં અને આધુનિક રહેઠાણોની જાહેરાત કરતાં મોટાં મોટાં પાટિયાં ઠેર ઠેર ઊચાં ઊભાં કરેલાં દેખાતાં હતાં. કદાચ આવું જ એક કેન્દ્ર મને જોવા મળવાનું હતું.

    સવા કલાક આ રીતે આગળ વધ્યા પછી વધારે લોકો, અને ઘણાં સ્કૂલનાં છોકરાં આવવા માંડ્યાં. એમને ઊભાં રહેવું પડતું હતું, પણ એ કોઈને લાંબે જવાનું નહતું. થોડી થોડી વારે આમ ચઢવાનું ને ઊતરવાનું ચાલતું રહ્યું. મારે જ્યાં ઊતરવાનું હતું તે કૉરૉનાડો સ્ટૉપ પર અનેક જણ બસની રાહ જોતાં ઊભેલાં. હું જાણે માંડ માંડ ઊતરી. મારી નાનકડી હૅન્ડબૅગની પણ જગ્યા નહતી એ બસમાં. હું એને ખોળામાં રાખીને દોઢ કલાક બેઠેલી.

    રસ્તાની પેલી બાજુ જવા માટે એક જૂના, ખખડધજ બ્રિજ પર જવાનું હતું. બધેથી એનો લાલ રંગ ઊપટી ગયેલો, અને પોપડા થઈને નીકળતો હતો. એ બાજુ પર એક નાનું શૉપિન્ગ સૅન્ટર હતું. ત્યાં મૅકડૉનાલ્ડની દુકાનમાં રિચાર્ડ મારી રાહ જોતા બેસશે, એમ મને કહેલું. હું પહોંચી ત્યારે એ આવી ગયેલા. અમે એકબીજાંને ઓળખતાં નહતાં, પણ એ અમેરીકન તરીકે ઓળખાઈ જાય, ને હું ઇન્ડિયન તરીકે.

    એમની ગાડીમાં અમે હાઇ-વે પર પાછાં ગયાં. થોડેક ગયા પછી એક નાના રસ્તા પર એમણે ગાડી વાળી. એ લાગતો હતો સાવ ધૂળિયો, પણ હતો પાકો ચણેલો. સહેજ વારમાં તો રસ્તો પર્વતોના ઢોળાવો પર ચઢવા લાગ્યો, અને તરતમાં સાવ ભૂલાઈ ગયું પનામા શહેર અને એનું ધમાલિયું જીવન.

    હવે સામે હતું, ઢોળાવો, ખીણો અને ધારદાર પહાડી કિનારીઓનું બનેલું અતૂટ, સતત દૃશ્ય. અત્યંત ગાઢ લીલો રંગ સર્વત્ર હતો. ખીચોખીચ વનસ્પતિ હતી. અદ્‍ભૂત આશ્ચર્યકર સ્થાન હતું આ. મેં કલ્પ્યું પણ નહતું આવું તો. હું માથું હલાવતી રહી, દિલ પર હાથ મૂકીને કહેતી ગઈ – મનાતું નથી. પનામા દેશના પહાડો મેં જોયેલા જરૂર, ને તોયે થાય, ઓહો, આટલા બધા પહાડો?

    કૉરૉનાડો નામના બસ-સ્ટૉપથી અમે પર્વતીય પરિસરમાં જવા માંડ્યાં તે પછી વરસાદ પડવાનો શરૂ થયેલો. પહેલાં તો ઝરમર, ને પછી એક જોરદાર ઝાપટું પડવા માંડેલું. જે લીલું લીલું હતું, તે હવે ભીનું ભીનું પણ બનવા લાગ્યું હતું. સાથે જ, મન પણ હર્ષથી આર્દ્ર થતું ગયું હતું.

    આલ્તૉસ દે મારિયા નામની પ્રૉપર્ટી, સોરા નામના ગામની નજીકના પહાડો પર વિકસાવાઈ છે. સાત હજારથી વધારે એકરોમાં એ પથરાયેલી છે, તે જાણીને મારી નવાઈનો પાર નહતો રહ્યો. ઓહોહો, આટલો વિશાળ વિસ્તાર? એમાં અનેક ઘર બની ગયાં છે, અને વધારે પ્લૉટ વેચાઈ રહ્યા છે. અમેરિકા, કૅનૅડા અને યુરોપના દેશોના લોકો આ ઘરો હંમેશના વસવાટ માટે ખરીદે છે, જ્યારે ધનિક પનામૅનિયન લોકો ઉનાળા દરમ્યાન પહાડોની ઠંડકમાં રહેવા આવવા માટે ખરીદે છે.

    મને તો આ પર્વતીય પથરાટ કોઈક ખાનગી બાબત જેવો લાગ્યો. નિસર્ગનું આ અનન્ય છૂપું દર્શન હતું જાણે.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • આગ લાગ્યા પછીય કૂવો ખોદાતો નથી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પહેલી વાર થાય તો એ ચૂક યા ભૂલ ગણાય. બીજી વાર થાય તો આદત, અને ત્રીજી વાર થાય તો એને લક્ષણ કહી શકાય. કોઈ પણ દુર્ઘટના, ખાસ કરીને માનવસર્જિત દુર્ઘટના માટે આ લાગુ પાડી શકાય. ૧૯૯૭માં દિલ્હીના ઊપહાર સિનેમાથિયેટરમાં લાગેલી આગે અનેકોનો ભોગ લીધેલો. એ પછી જૂન, ૨૦૨૬ના પ્રથમ સપ્તાહમાં દિલ્હીના માલવીય નગરમાં લાગેલી આગમાં અનેક હોમાયા. આ બન્ને દુર્ઘટનાઓની વચ્ચે દિલ્હીમાં આ ત્રીસેક વર્ષના ગાળામાં આગ લાગવાની અનેક દુર્ઘટનાઓ બનતી આવી છે. માત્ર દિલ્હી જ શું કામ, બીજાં અનેક શહેરોમાં આગ અને તેના થકી થયેલી જાનહાનિના સમાચાર આવતા રહે છે. આ લખાય છે ત્યારે લખનૌના કોચિંગ સેન્‍ટરની આગમાં પંદરેક વિદ્યાર્થીઓનો ભોગ લેવાયાના સમાચાર છે.ઔદ્યોગિક એકમોમાં લાગતી આગની વાત અલગ છે, આ તો રહેણાક વિસ્તારો યા એવાં સ્થળે લાગતી આગની વાત છે કે જ્યાં સામાન્યપણે અવરજવર પુષ્કળ રહેતી હોય.

    આગ, તેનાથી થયેલી જાનહાનિ, એ દરમિયાન મહેંકી ઉઠેલી માનવતાની ઘટનાઓ, આગનાં સંભવિત કારણ, સુરક્ષાનિયમોના પાલનમાં લેવાયેલી બેકાળજી વગેરે બાબતો અખબારોમાં સમાચાર તરીકે બે-ચાર દિવસ આવે છે અને પછી વીસરાઈ જાય છે. સવાલ એ છે કે આવી દુર્ઘટનાઓમાંથી કોઈ કશું શીખ્યું ખરું? એમ લાગે છે કે કાનૂનભંગ આપણા માટે ગૌરવ લેવાની બાબત છે. અકસ્માતની ગંભીરતા હજી આપણે સમજતા નથી, બલ્કે સમજવા માગતા નથી. અકસ્માતનાં કારણોમાં મોટા ભાગે માનવીય ચૂક અને સુરક્ષા પ્રત્યેની બેકાળજી જેવાં કારણો મુખ્ય હોય છે. અકસ્માતમાં જાનહાનિ થાય ત્યારે એ કેવળ આંકડાનો ખેલ બની રહે છે. જે પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય એના માટે એ કાયમી ખોટ છે, પણ આવા કિસ્સે તેમને કાં વળતર આપીને, કે પછી ધાકધમકીથી મામલો આગળ વધવા દેવાતો નથી.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    તંત્રે આગની સામે સુરક્ષા માટેના નિયમો-કાનૂનોની જોગવાઈઓ ઊભી કરી છે, અને તેના પાલનમાં આકરી કડકાઈ દાખવવામાં આવતી હોવાનું દેખાવા છતાં ધરાર આ નિયમોની અવગણના થતી જણાય છે. એનો અર્થ એ થયો કે કાં આ નિયમોનો કોઈને ડર નથી, કે પોતાની સલામતિની પડી નથી, કે પછી નિયમપાલન બાબતે તંત્ર એટલું સજાગ નથી. નિયમભંગ બદલ આકરો દંડ હોવા છતાં તેનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોય, અને તેનું પરિણામ આવી ગંભીર દુર્ઘટના હોય, એ પણ વારંવાર, તો મામલો કંઈક જુદો હોય એમ લાગે. એ ઉઘાડી હકીકત છે કે કોઈ પણ બાબત અંગેનો કાનૂન જેટલો કડક, એનો અમલ કરવામાં ભ્રષ્ટાચારનો અવકાશ વધુ. કેવળ કાગળ પર કાનૂન બનાવી દેવાથી શું થાય? અને એના અમલ બાબતે અદાલત તંત્રને કે સરકારને ઠપકો આપે એનાથી પણ શું થાય? ઘણી વાર તો એમ લાગે કે અમુક કાયદા તેના મૂળભૂત હેતુને બદલે જાણે કે તેના ભંગના દંડની આવક વધારવા ન થયા હોય?

    આના માટે નાગરિકોય ઓછા જવાબદાર નથી. દ્વિચક્રી વાહનચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાના કાયદાની વાત કરીએ તો ગુજરાતમાં જેટલી વાર એ કાયદાનો અમલ કરવાની તૈયારી થાય કે નાગરિકોમાં વિરોધનો સૂર ચાલુ થઈ જાય અને એવું સમૂહગાન ચાલુ થઈ જાય કે અમારું રક્ષણ અમે કરીશું. એ અમારી મરજીની વાત છે. સરકારે એમાં દખલઅંદાજી કરવી નહીં. ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યોમાં આ નિયમ બરાબર અમલમાં છે. અમુક રાજ્યોમાં તો વાહન હંકારનાર ઊપરાંત પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. ભલે ને એ મહિલા કેમ ન હોય! છતાં ગુજરાતમાં આના અમલની વાત આવે એટલે નાગરિકો મેદાનમાં આવી જાય છે. રાજકારણીઓ પણ પછી પોતાની લોકપ્રિયતા ગુમાવી બેસવાના ડરને લઈને એ મુદ્દાને છોડી દે છે.

    આગની સામે સુરક્ષાના નિયમ બાબતે અનેક વાર વડી અદાલતો ટકોર કરે છે. હવે નવી બનતી ઈમારતોમાં જોગવાઈ કદાચ સહેલાઈથી થઈ શકે એમ છે, અલબત્ત, તે ખર્ચાળ પણ છે. જૂની ઈમારતોમાં તેનો અમલ મુશ્કેલ હોઈ શકે. સવાલ એનો નથી. સવાલ છે દાનતનો. આવી દુર્ઘટનાઓ બનવાનું પ્રમાણ વધી રહ્યું હોય ત્યારે તેના અમલ બાબતે બેપરવા રહેવું ન પાલવે. છતાં એમ જ થાય છે. કદાચ સૌને એમ હશે કે આપણે ત્યાં આગ ક્યાં લાગવાની છે! અનેક લોકોનાં કમોત થવા છતાં હજી આપણી આંખ ઉઘડતી નથી. અને આપણી આંખ ન ઊઘડે તો પછી સંબંધિત અધિકારી કે સરકારી વિભાગ પાસે આપણે જવાબદારીની અપેક્ષા શી રીતે રાખી શકીએ!

    અકસ્માતો થાય ત્યારે બે-ચાર નાનાં માથાં પર શિક્ષાત્મક કાર્યવાહી થાય એ પછી બધું ઠેરનું ઠેર. આ શિક્ષાત્મક કાર્યવાહીમાં મોટે ભાગે ‘શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ’ પ્રકારની હોય છે. એ પછી અકસ્માત નિવારવાની દિશામાં ભાગ્યે જ કશું કામ થાય છે. ક્યારેક તપાસસમીતિઓ નીમાય, પણ તેના દ્વારા થતી તપાસ અને તેના અહેવાલો આવે ત્યાં સુધીમાં બધું ભૂલાઈ ગયું હોય કે નવો કોઈ અકસ્માત થઈ ગયો હોય. તપાસસમીતિના અહેવાલો પણ આવે એના ભેગા છાજલીએ ચડાવી દેવામાં આવે છે. તેની કોઈ ગંભીરતા ભાગ્યે જ જોવા મળે છે. આ આખા મામલે આપણી, એક નાગરિક તરીકેની કશી જવાબદારી હોઈ શકે ખરી? હોય તો શી? આ મુદ્દો વિચારવા જેવો છે. હવે તો દરેક મુદ્દાને રાજકીય રંગ આપવાનું વલણ સામાન્ય બની ગયું છે અને ‘નાગરિક’ની વ્યાખ્યા જ નવેસરથી કરવી પડે એવી સ્થિતિ છે, ત્યાં બીજી શી અપેક્ષા રખાય?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૫-૬– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • એક અનોખી ચિત્ર શ્રેણી – આનંદ અનુભવ. ચિત્રકારઃ ડૉ.ગીતા આચાર્ય [૧]

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

    ચિત્રની સર્જનાત્મક કડીએ
    મારા કાર્ય અને જીવનને
    સંપૂર્ણ સુમેળમાં રાખ્યું.

    ડો. ગીતા જોષી-આચાર્ય

    ન્યુ જર્સી સ્થિત ખુશદિલ કલાકાર, ગીતા આચાર્ય પોતાની કલા દ્વારા બને તેટલી સમાજ સેવા કરવા તત્પર હોય છે. મુંબઈમાં ડોક્ટર માતા પિતાના પ્રોત્સાહનથી નાનપણથી ચિત્રોનો શોખ તેમના નિયમિત જીવનનો હિસ્સો બની રહેલ છે. મુંબઈમાં ડેન્ટીસ્ટની અને હેલ્થકેરમાં એમબીએની ડિગ્રી સાથે વર્ષોથી એક વિશિષ્ટ કાર્ય ક્ષેત્ર- a school and hospital for children and adults with medically complex developmental disabilities માં કાર્ય કરી રહ્યા છે..

    ગીતા કહે છે કે “ચિત્ર દોરવાનો આનંદ હંમેશા અનુભવ્યો છે. પહેલાં ઓઈલ કલરથી શરુ કર્યા પછી વોટર કલર વાપરવાનું વધારે અનુકૂળ લાગ્યું. ઈંગલેન્ડમાં રહેતાં હતાં ત્યારે ઘણા ચિત્રકારો પાસે વોટર કલરનો વધુ અભ્યાસ કરવાનો લાભ મળ્યો.”

    ગીતા આચાર્ય છેલ્લા ઘણા વર્ષોથી તેમનાં પતિ મલય સાથે ન્યુજર્સીમાં સ્થાયી થયા છે અને સંગીત, સાહિત્ય અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે. ગીતાએ હિમાલયની ગોદમાં અને Tuscanyમાં આર્ટ વર્કશોપમાં અનુભવ લીધો છે. ભારતમાં થોડી સેવાઓ સાથે જોડાયેલા હોવાથી અવારનવાર ત્યાં જાય છે.

    ગીતા આચાર્યનાં શબ્દોમાં, “I enjoy painting landscape and nature. I have had good fortune
    of showing my paintings at various locations and also have sold a number of paintings. The proceeds from the sale of my paintings support a number of different charities.”

    ગીતાબહેને પોતાના ચિત્રો અનેક વાર The Semper Fi Fund અને Share and Care સંસ્થાઓને દાનમાં આપ્યા છે. તાજેતરમાં એમણે મહારાષ્ટ્રમાં શાળામાં જતા આદિવાસી બાળકોને સાઈકલો ભેટમાં આપી છે.

    ગીતાબહેન ઘણાં વરસ સુધી ઈંગ્લેંડ્માં Surrey માં  Chiddigfol ગામમાં રહ્યા હતા. આ ગામમાં કુદરતી સૌંદર્ય ભારોભાર ભર્યું હતું. ગામમાં એક જૂનું ચર્ચ હતું, એક ૧૩૮૦સાલથી ચાલતી મોટેલ ક્રાઉન ઇન, શાળા, ચર્ચ તેમજ આકાશ, વૃક્ષ, પાણી…નૈસર્ગિક રંગોમાં આખું ગામ આવરી લીધું છે.


    વોટર કલર

    કેટલાક રંગીન તત્વોને પાણીમાં ઓગાળી, જરૂરત પ્રમાણે ઘટ્ટ બનાવી, કાગળ, કેનવાસ, લાકડું કે ચામડા ઉપર પીંછીની મદદથી ચિત્રકામ કરવામાં વાપરવામા આવે છે. આ જૂની ચિત્રકલા માટે રંગો અને કાગળની પસંદગી ખાસ ધ્યાન માંગી લે છે. વજનદાર કાગળ જે ૧૦૦ ટકા કોટનમાંથી બનાવેલું હોય એને વધારે પસંદ કરવામાં આવે છે.

    દરેક ચિત્ર માટે આવા રંગો બનાવવા ન પડે એટલે રંગીન તત્વોને એક ખાસ પ્રકારના મીણ સાથે મેળવી એની પેસ્ટ કે ચોસલા બનાવવામાં આવે છે, જેમાં જરૂર પૂરતું પાણી મેળવી, જોઈએ એટલું ગાઢું કે પાતળું કરી વાપરવામાં આવે છે.

    આ ચિત્રો બનાવતી વખતે ભીના રંગો કાગળ ઉપર સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યાં સુધી એની કાળજી લેવી પડે છે. આવા રંગો સુકાઈ જાય પછી તેને ધોઈને સુકાવી ફરીને રંગ ગહેરા કરવાની કુશળતા કેટલાક કલાકારોએ હસ્તસિદ્ધ કરી હોય છે.

    આ રંગોના પણ બે પ્રકાર છે. એક પ્રકારને પારદર્શક (Transparent) તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર અર્ધપારદર્શક કે અપારદર્શક હોય છે. કેટલાક રંગોના મૂળ તત્વો દાણેદાર હોય છે જે કાગળના Textureમાં ગોઠવાઈ જાય છે અને ચિત્રને સારો ઉઠાવ આપે છે.

    Geeta sent me the following note.

    Date August 2020.

    Hi Saryu Ben,

     I did about 90+ days of daily painting/meditation of stay well cards.

    The original cards are for sale for various charities.

    Geeta. geetaa4@gmail.com  NewJersey.

    ગીતા આચાર્યે ઘણા stay well cards બનાવ્યા હતા.

    વધુ  ચિત્રો આવતા લેખમાં જોઈશું.


    Saryu Parikhસરયૂ પરીખ  www.saryu.wordpress.com

  • સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૫]

    આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની અમેરિકામાં સ્થાયી થવાથી થઈને નિવૃતિ કાળ સુધીની યાત્રાની કેડીની સફર કરી
    હવે આગળ…….

    બાલ્યકાળ

    મારો જન્મ જામવંથલી ગામમાં ભાદરવા વદ બારસ (૨૩ સપ્ટેંબર ૧૯૪૬)ને સોમવારે રાત્રે ૧૦ વાગે ઘરમાં જ થયો હતો. પિતા હરિલાલ અને માતા ગંગાબેન. જામવંથલી, જામનગરથી અંદાજે ૩૫ થી ૪૦ કિલોમીટર દૂર આવેલું એક નાનકડું ગામડું છે. મારા જન્મસમયે તો જામવંથલી પાયાની સગવડ વગરનું ગામડું હતું, કુવેથી પાણી સિંચીને બેડાં ભરીને લાવવાનું, શૌચક્રિયા માટે વહેલા સવારે ઊઠીને દૂર ગામના પાદરે જવાનું, એવું હતું જામવંથલી. ગામમાં દસ બાય બારની એક નાનકડી ઓરડીમાં અમે દાદા-દાદી, બા-બાપુજી, બે કાકા અને હું રહેતાં. દાદાનો દરજી કામનો ધંધો, પણ નાના ગામમાં એટલું કામ મળે નહિ એટલે આજુબાજુના બીજા ગામોમાં કે જામનગર શહેરમાં શેઠિયાઓને ત્યાં રોજે કપડાં સીવવા જતાં. ત્રણ – ચાર દિવસના રોજિયામાં અઠવાડિયાનું કામ નીકળી જતું, બે ટંક જમવાનો મેળ પડી જતો અને ઉપરથી રોજની આવક. મહિનો માંડ પચ્ચીસ રૂપિયામાં પૂરો થતો.

    અધૂરામાં ભગવાનને હજી અમારી ગરીબીની કસોટી વધુ કરવી હશે. તેમ ઘરની સુત્રધાર અને ખમતિધર વ્યક્તિ એટલે કે  મારા દાદા બીમાર પડ્યા. એમને લકવો થઈ ગયો  અને આખું ડાબું શરીર ખોટું પડી ગયું. દાદાની તબિયતને લીધે મારા બાપુજી કાયમ મૂંઝવણમાં રહેતા કે આવક કેવી રીતે વધારવી. હું બે વર્ષનો થયો ત્યારે મારા નાના ભાઈનો જ્ન્મ થયો. અમારા ઘરમાં જ કુળદેવીની સ્થાપના હતી માટે ત્યાં મારી બાએ દીવો કરી મારા બાળ-મોવાળાં  ઉતાર્યા. તે દિવસે મારી બાએ સરસ રસોઈ બનાવી  અને અમારા ગામના બ્રાહ્મણ લક્ષ્મીશંકર દયાશંકર અદાને જમવાનું નિમંત્રણ આપ્યું. ભોજન પત્યા બાદ લક્ષ્મીશંકર અદાના ખોળામાં મને મૂકી મારી બાએ એમને મારું ભવિષ્ય જોવાનું કહ્યું. લક્ષ્મીશંકર અદાએ મારી હથેળી જોઈ, જન્મ સમય, તિથિ, તારીખ અને જન્મ દિવસ જેવી માહિતીઓ પૂછી જન્માક્ષરના ચોકઠામાં અમુક ગણતરીઓ કરીને પછી કહ્યું કે આ બાળક તો કુળદીપક છે અને તે તમારું આખું કુટુંબ તારશે, તમને ગરીબી માંથી બહાર કાઢશે અને લાખો રૂપિયા કમાશે. મહિને માંડ પચ્ચીસ રૂપિયામાં ગુજરાન ચલાવતા મારા બા અને બાપુજી આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયાં. પણ લક્ષ્મીશંકર અદાએ કહ્યું કે એ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે તમે આ બાળકને જેટલું ભણવું હોય એટલું ભણાવશો. તે દિવસે મારા બા-બાપુજીએ નક્કી કર્યું કે મને ખૂબ ભણાવશે અને હોંશિયાર બનાવશે. તેમની બધી જ આશાઓ હવે મારા ભવિષ્ય સાથે જોડાઈ ગઈ.. અમે જ્યારે મુંબઈ જવાના હતાં ત્યારે મારી બા મને લક્ષ્મીશંકર અદાને ત્યાં પગે લગાડવા માટે અને આશીર્વાદ લેવા લઈ ગઈ હતી. લક્ષ્મીશંકર અદાએ મારા માથે હાથ ફેરવી મને કહ્યું કે તારા ઘરમાં સાક્ષાત કુળદેવી નો વાસ છે, તેને પગે લાગ, તારી બધી મનોકામના પૂર્ણ થશે. અને કહ્યું કે જીવનભર યાદ રાખજે બેટા કે  સરસ્વતી માંની ઉપાસના કરીશ તો લક્ષ્મીદેવી તારા પર આપોઆપ પ્રસન્ન થશે. ત્યારે તેમનું ક્થન હું બહુ સમજ્યો નહોતો, પરંતુ આગળ જતાં તે શબ્દોમાં રહેલ ગૂઢાર્થ સમજાયો અને જીવન ની બધી જ મહત્વકાંક્ષાઓના સ્વપ્નને સિદ્ધ કરવામાટે સરસ્વતીની આરાધનામાં લગાડી દીધું. માતાજીએ હમેંશ મારી મનોકામનાઓ પૂર્ણ કરી છે અને એના દર્શનનો લાભ મને પાવાગઢ, ચોટીલા, અને વૈષ્ણોદેવીની યાત્રામાં પણ  થયો છે. પાછલી જિંદગીમાં અમેરિકામાં માતાજીની ચોકી કે જાગરણમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે અને ભજન દ્વારા ભક્તિનો અનેરો આનંદ અનુભવી શક્યો છું.

    મુંબઈની સફર

    જ્યારે હું ચાર વર્ષનો થયો ત્યારે મારા બાપુજી અમને મુંબઈ લઈ આવ્યા. મુંબઈની એક ચાલીમાં ૧૦ રૂપિયામાં એક નાનકડી ઓરડી ભાડે રાખી હતી. સમય જતા બાપુજીએ બંને કાકાઓ અને દાદા-દાદી ને પણ અમારી સાથે રહેવા બોલાવી લીધા હતાં. મુંબઈમાં પણ બાપુજી રોજે કપડાં સીવવા જતાં અને રાત્રે વખત રહેતા ઘરે કપડાં સીવવાનું કામ કરતાં. ખૂબ મહેનત કરતાં. રોજ રવિવારે સવારે ઘરે જલેબી, ફાફડા, ગાંઠિયા, પપૈયાનો સંભારો, અને તળેલા મરચાં લઈ આવતા, અને અમે બધા બેસીને ચાની સાથે સાથે ફાફડા જલેબીની રંગત માણતા. હું એક થી દસ લખતાં વાંચતાં શીખ્યો અને હું પાંચ છ વર્ષ નો થયો ત્યાં સુધીમાં તો મને એકડે એકથી લઈને વીસ સુધીના બધા પાડા મોઢે કરાવી નાખ્યા હતાં. રાતે ગોદડું પાથરીને રસ્તા પર સૂઈ જતાં અને સવારે ટ્રામ આવે ત્યારે ઊઠી જતાં. પરેલ, દાદર સુધી બસમાં અને આગળ ટ્રેનમાં મુસાફરી થતી.

    ત્યાં અચાનક અમારા જીવનમાં એક અકલ્પનીય ઘટના બની ગઈ જેને લીધે અમે ખૂબ દુખી થઈ ગયાં. મારો નાનો ભાઈ શીતળામાં ગુજરી ગયો અને મારા બા-બાપુજી ને શોકમાં ગરકાવ કરી ગયો. એ સમયમાં મુંબઇમાં ખૂબ હુલ્લડો થયાં હતાં અને એ હુલ્લડોમાં મારા બીજા કાકા મૃત્યુ પામ્યા. મારા સંવેદનશીલ બાપુજી માટે આ બધું  સહન કરવાનુ બહુ વસમું થઈ પડ્યું.

    પિતાનો વિરહ અને માના આશીર્વાદ

    સાત વરસનો હું  ત્રણ વાગ્યે શાળાએથી પાછો આવ્યો ને બાપાને ઘરની બહાર નીકળતા જોયાં. મારા પિતા હરિભાઈનો ધંધો દરજીનો. સ્વભાવના સાલસ અને સહુ કોઈના કપડાં પ્રેમથી સીવી આપે. વારે તહેવારે કોઈની સગવડ ના હોય તો ઉધારીમાં પણ કપડાં સીવી આપે. વાત ૧૯૫૩- ૫૪ના જમાનાની. મુંબઈ જેવા શહેરમાં પણ લોકો એકબીજાનો વિશ્વાસ કરે. હેત પ્રેમ અને સંબંધને લોકો માન આપે. સગવડે એકબીજાની ઉધારી ચૂકવાય. હરિભાઈ પણ મહિનાના અંતે એક દિવસ ઉઘરાણીનો રાખે. દુકાન એ દિવસે બંધ હોય.  ઘરેથી જમી આરામ કરી, નાનકડો મનુ  (મારું લાડકવાયુ નામ અને ઘરમાં બધા મને તે નામે જ  બોલાવે)  શાળાએથી ઘરે આવ્યો અને હરિભાઈ ઉઘરાણીએ નીકળ્યા. નાનકડા મનુના માથે પ્રેમભર્યો હાથ ફેરવતા કહેતા ગયાં “મનિયા આજ તો તારા માટે ખાટી મીઠી ગોળીને નાનકડી રમવાની ગાડી લઈ આવીશ, બહુ દિવસથી જીદ કરતો હતોને!” સાથે સાથે ગંગાબહેન એટલે કે  “મનિયાની માને ” કહેતા ગયાં કે રાતે આવતાં મોડું થાશે, ઉઘરાણી માટે ઘણા ઘરાકોને ત્યાં જાવાનું છે માટે તમે જમીને સુઈ જાજો.

    સાત વરસના મનુને માથે પિતાનો એ છેલ્લો પ્રેમભર્યો  સ્પર્શ હશે એ ક્યાં ખબર હતી. વિધાતાએ  શું ધાર્યું હશે તે ક્યાં કોઈને ખબર હોય છે.  હરિભાઈ એ દિવસે બપોરે ઘરેથી નિકળ્યા, એ દિવસ અને આજની ઘડી. ક્યાં ગયાં, કોઈને ખબર નથી. બે દિવસ ઘરના લોકોએ બધે શોધખોળ કરી, જાણતા હતાં એટલા ઘરાકોના ઘર ફરી વળ્યા, હોસ્પિટલોમાં કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે કે નહિ એની તપાસ કરી, છેવટે થાકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી. વરસ સુધી પોલીસ ચોકીએ ધક્કા ખાધા, પણ હરિભાઈનો કોઈ પત્તો ના લાગ્યો. ઘરમાં ગંગાબહેનનું જીવવું મુશ્કેલ થતું ગયું. સાસુ સસરાં દિયર સહુ ગંગાબહેનને જવાબદાર ઠેરવવા માંડ્યા. “તું જ છપ્પરપગી છે, અમારા દીકરાને ભરખી ગઈ એવું લાંછન રોજનું થઈ ગયું” વરસ દહાડો મેણાટોણા સાંભળ્યા બાદ ગંગાબહેને પોતાને પિયર જતા રહેવાનું નક્કી કર્યું. પિયરમાં એક ભાઈ ભાભી હતાં, એમની સ્થિતિ પણ સામાન્ય જ હતી એનો ગંગાબહેનને ખ્યાલ હતો.  માતાના દિલે એક કપરો નિર્ણય લીધો.

    એક રાતે આઠ વરસના મનુને પાસે બેસાડી પૂછ્યું ” દીકરા, તું ઘરનું વાતાવરણ જુએ છે, રોજના આ કંકાસથી હું થાકી ગઈ છું, ગામડે મામાને ત્યાં જવાનો વિચાર કરૂં છું, ત્યાં તારે મારી સાથે આવવું છે કે અહીં રહી ભણવું છે. દાદા, દાદી કાકાને મારા પર ગુસ્સો છે, તું તો એમનો લાડકો છે. તારા ભવિષ્યનો વિચાર કરી નિર્ણય લેજે.” આઠ વરસના મનુ પર એ નાનકડી ઉંમરે કપરો નિર્ણય લેવાનો વારો આવ્યો. એક તરફ મા અને બીજી તરફ પોતાનું ભવિષ્ય. કાકાએ ખાતરી આપી કે મનુને મારા દીકરાની જેમ રાખીશ અને ગંગાબહેન હું કાંઇ વિચારુ તે પહેલા કાકાના એ વચન ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકીને કકળતે હૈયે ભાઈને ત્યાં જતા રહ્યાં.

    ત્રણ ચાર વર્ષ તો મા દીકરાનો સંપર્ક પત્ર વ્યવહારથી જળવાયો, પણ વખત જતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. કાકીએ મનુને તો દીકરાની જેમ અપનાવી લીધો, પણ મનુ માથી દુર થઈ ગયો. ગંગાબહેનના પત્રો મનુના હાથમાં ન આવતા. ગંગાબહેન ગામમાં લોકોના ઘરે કપડાં વાસણ કરી ભાઈને જે મદદ થાય એ કરતાં, દીકરાના કાગળની રાહ જોતાં. મનુ ભણવામાં હોશિયાર અને કિશોરાવસ્થા, મુંબઈનું જીવન, અને કાકા કાકીના પ્રેમમાં ધીરે ધીરે માની છબી મનથી ક્યારે ઝાંખી થવા માંડી એનો ખ્યાલ પણ ન રહ્યો.

    શાળાના મિત્રો

    મારા પાંચમાં ધોરણમાં મેં નવી શાળામાં પ્રવેશ કર્યો. શેઠ ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ (જી ટી હાઈસ્કૂલ), એને અમે ઘોડાનો તબેલો કહેતા. મારો મેટ્રિક સુધીનો અભ્યાસ આ શાળામાં જ થયો હતો. દરેક વર્ગના છ થી સાત વિભાગો હતાં. એ,બી,સી,ડી,ઈ,એફ,અને જી એમ વિભાગો હતાં અને દરેક વિભાગમાં લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ ભણતા, એટલેકે દરેક વર્ગમાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો વિદ્યાર્થી ભણતા. દર વર્ષે એક છોકરો પ્રથમ નંબરે આવતો જેને અમે જે.પી. કહીને બોલાવતા. જે.પી. ભણવામાં ખૂબ જ હોંશિયાર અને સ્વભાવે ખૂબ જ માયાળું હતો. શાળામાં દર વર્ષે એક દિવસ રમત-ગમત નો મેળાવડો થતો અને એ  ક્રિકેટના કોઈ મોટા સ્ટેડિયમમાં થતો. રમત-ગમતમાં જીતનારાઓમાં દરેક વર્ગમાંથી સાત લોકોને ઈનામ મળતા. જે.પી. એમાં પણ કાયમ પ્રથમ આવતો. મારો નંબર એકથી સાતમા આવી જતો, ક્યારેક બીજો, તો ક્યારેક ચોથો. પણ એ સાત વિદ્યાર્થીઓ જે દર વર્ષે ઈનામ જીતતા એ બધા અમે આખી જિંદગીના ખાસ મિત્રો બની ગયાં. એકબીજાના ઘરે આવતા-જતાં. જો કોઈના ઘરે હું જમવાના સમયે ગયો હોઉ, તો એમની સાથે મારી પણ એક થાળી પડે. એ બધા મિત્રોમાં એક હતો રવિન્દ્ર પોપટ, જેણે આજે પણ મૈત્રી નિભાવી રાખી છે. મારા એ મિત્રોમાં એક વસંત ભૂરાલાલ શાહ પણ મારો ઘનિષ્ઠ મિત્ર. વસંતના મમ્મી અને તેના ભાભી પણ ઘણા સ્નેહથી મને રાખતા. હું વસંતના ઘરે ચેસ રમવા કે કેરમ રમવા અથવા ગણિતના દાખલા કરવા જતો ત્યારે મને ચા-નાસ્તો કર્યા વગર જવા દેતા નહીં. બીજા મિત્રોમાં એક હતો સુરેશ દાણી. એને અંકગણિતમા સો માંથી સો મળતા. આગળ જતાં એ સુરેશ દાણી સિવિલ એંજિનિયરિંગમા સ્નાતક થયો, પણ પહલેથી એનું સપનું હતું કે મુંબઈ માં એક ઉત્તમ કક્ષાના કોચિંગ વર્ગો ખોલવા, જે એણે પૂરું કર્યું અને આજે પણ મુંબઈમાં તે કોચિંગ વર્ગોના વ્યવસાયમાં એક નિષ્ણાંત છે. એમજ બીજા મિત્રોમાં મહેન્દ્ર સંઘવી, દિલિપ કપાસી, દિલિપ પંડયા અને દિનેશ આશર હતાં. આ બધા મિત્રોએ મારા એકાકી જીવનમાં કાયમ મારો સાથ નિભાવીને મારા જીવનને સાર્થક બનાવ્યું. જિંદગી આખી જે.પી.એ મારી સાથે મૈત્રી નિભાવી. જે. પી. અને મહેંદ્ર સંઘવી બન્ને સિવિલ એંજીનિયર થયા. ભાગીદારીમાં બિલ્ડર તરીકે ધંધો કર્યો અને સફળ થયા.

    નવમાં ધોરણમાં ઇન્ડિયન મરચંટ્સ ચેંબર ઓફ કોમર્સ અધિકૄત બુકકિપિંગની પરિક્ષા મેં આપી. ૩૦૦ વિદ્યાર્થીઓમાં મારો બીજો નંબર આવ્યો. પ્રશ્નપત્રમાં દાખલામાં ૨૦૦૦ રૂપિયાની લોન હિસાબમાં ગણવાની હતી. તેમાં જો -૨૦૦૦ ન લખો તો તાળો ન મળે અને તમે ખોટા પડો. મારા બાકીના જીવનમાં પણ મારે ઘણી વખત ઉધારીથી જ શરુઆત કરવી પડી.

    દશમાં ધોરણમાં એક જીવદયા મંડળ દ્વારા આયોજીત નિબંધ સ્પર્ધામાં મેં ભાગ લીધો.  શાકાહારના ફાયદા અને માંસાહારના ગેરફાયદા વિષે ૧૧ પાનાનો નિબંધ લખ્યો. તેમાં પણ મારો બીજો નંબર આવ્યો. અને મને પુરસ્કાર મળ્યો.

    મેટ્રિકમાં એટલે કે એસ એસ સી માં ૬૫ ટકાએ પાસ થયાં પછી કોલેજમાં પ્રવેશ મળવો ખૂબ અઘરો થઈ ગયો હતો. એ વખતની મુંબઈની પ્રખ્યાત કોલેજો જેમકે જયહિંદ અને જેવિયર્સમાં તો ૭૦ ટકાથી ઓછામાં એડમિશન મળવું અશક્ય હતું. મેં આઈ.આઈ.ટી માં પણ ત્યારે કોશિષ કરી હતી પણ નંબર ના લાગ્યો. ત્યારે મારી ગલીમાં રહેતા મારા એક મિત્ર જગદીશ ચોક્સીએ મને સુજાવ આપ્યો કે સાયનમાં એસ.આઈ.ઈ.એસ. (સાઉથ ઈંડિયન એજ્યુકેશન સોસાઈટી) નામની એક નવી જ કોલેજ ખૂલી છે, ત્યાં પ્રવેશ સહેલાઈથી મળી જશે. એટ્લે એસ.આઈ.ઈ.એસ. કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ માં પ્રવેશ લીધો. આજે મારી એ જ કોલેજ મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજોમાં ની એક છે. ત્યારે છ માસિકની ફી રૂપિયા ત્રણસો હતી, જે મારી પાસે હતાં નહીં. મને અલગ અલગ જગ્યાએથી સ્કોલરશીપ મળતી હતી  તેમાંથી મારી પાસે સો રૂપિયા ભેગા થયા હતાં. બાકીના સો રૂપિયા મારા કાકાએ એમની બચતમાંથી મને આપ્યા અને અમારા સંબંધી રામજી અદાએ મને સો રૂપિયા આપ્યા અને આમ કોલેજમાં મારી બેઠક હું ૩૦૦ રૂપિયા ભરીને  સુરક્ષિત કરી શક્યો.


    ક્રમશઃ