વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ‘ભારત એક ખોજ’નું સંગીત – વેદ કાળનાં લોકો અને ઋગ્વેદ

    દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

    બીરેન કોઠારી

    ત્રીજા હપ્તામાં આર્યોના આગમન અને તેને લગતા મત વિશે વર્ણન છે.

    આ કડીમાં સંસ્કૃતિના થતા પ્રસારની સાથે કુદરતની ખુબીઓને કારણે બદલાતી જીવનશૈલીના વિવિધ પ્રસંગોને અનુરૂપ ગીતો દ્વારા રજૂ કરી છે.

    આરંભે ‘હે જલ! હે ઉદક! નીર હૈ, સુખસ્રોત હૈ’ ગીત એ કાળના લોકોના જીવનમાં પાણીની મહત્તા દર્શાવે છે. ( @ ૪.૩૦ થી ૬.૩૫)

    એ પછી અગ્નિનું મહત્ત્વ દર્શાવતું ગાન ‘હે મન, જૈસે ધન કામના સે જન, જુડે હુએ રથ કા યશ ગાતે હૈ’ છે, જેમાં પ્રમુખ પુરુષ સ્વરની પાછળ સમૂહગાન છે. ( @ ૯.૪૬ થી ૧૦.૫૦)

    આગળ જતાં યુદ્ધગાન ‘ગાયક ગાતા હૈ, ઈન્‍દ્ર કે લિયે ગાના’ સમૂહસ્વરમાં છે, જે જોશ ભર્યો છે. આ સમૂહગાનની ગતિ એટલી તેજ નથી, પણ સંગીત તેમજ સમાંતરે ચાલતાં દૃશ્યોને કારણે તેની જુસ્સાભરી અસર ઊભી થાય છે. ( @ ૧૯.૩૩ થી ૨૧.૨૬)

    ઈન્દ્રની સ્તુતિ કરતું સમૂહગાન ‘કિસને અરિવધ કર, સપ્તસરિતા બહાઈ’ પણ એવી જ જોશીલી અસર પેદા કરે છે. ( @ ૨૨.૩૦ થી ૨૪.૧૩)

    ‘ગ્રામ’ એટલે કે ગામ અને તેની સંસ્કૃતિ વર્ણવતું ગીત ‘ગાયેં આયેં, હમારે ઘર રહેં’ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં છે, જેમાં તાલ નહીંવત્ છે. સમૂહગાન મુખ્ય સ્વરને અનુસરે છે. ( @ ૨૫.૧૦ થી ૨૭.૦૮)

    કથા આગળ વધે છે એમ વૈદિક કાળના લોકોનું, એમની જીવનશૈલીનું વર્ણન આવે છે. એમાં એવો ઉલ્લેખ છે કે જુગાર એમના આનંદપ્રમોદની મુખ્ય પ્રવૃત્તિ હતી. આ દર્શાવતું ગીત ‘આ યે પાસે, ઝંઝાવાત મેં પેડ સે ટપકે’ પાસા વિશેનું રમૂજી વર્ણનાત્મક ગીત છે. એકલ સ્વરથી શરૂ થઈને તરત જ તે સમૂહગાનમાં પરિવર્તીત થાય છે, અને આગળ જતાં તેનો લય તેજ બને છે. ‘પત્નીયાં જુઆરી કી, વિરહ મેં જલ મરી હૈ’ જેવા શબ્દો – @ ૩૧.૨૦ થી ૩૧.૨૯-  તેની વિપરીત અસરોનું વર્ણન છે. તાલપલટા આ ગીતને કર્ણપ્રિય બનાવે છે. ( @ ૨૯.૦૫ થી ૩૨.૧૪)

    જુગારમાં ભાન ભૂલેલો સુતેજા નામનો જુગારી પોતાના સરદાર અને પિતાજી પર હાથ ઉઠાવે છે. એ પછી તેને વાસ્તવિકતાનું ભાન થતાં પશ્ચાતાપરૂપે વાગતું ગીત ‘વરુણ હે! પૂછતા મૈં સ્વયં સે, મૈંને કિયા હૈ પાપ કૌન સા’ બહુ વિશિષ્ટ છે. તેમાં તાલ નથી, અને ખપ પૂરતાં સહાયક વાદ્યો. આથી સ્વરનું પ્રભુત્વ જણાઈ આવે છે. ( @ ૩૩.૨૫ થી ૩૫.૧૫)

    તેની પાછળ જ ઉષામાહાત્મ્ય દર્શાવતું ‘આતી હૈ, આતી હૈ, દેખો! ઉષા આતી હૈ’ શબ્દો ધરાવતું યુગલગાન છે, જે ખુશમિજાજી ગીત છે. ( @ ૩૫.૨૦ થી ૩૭.૪૦)

    આ સંસ્કૃતિના વધુ એક મહત્ત્વના અંગ એવા યજ્ઞનું માહાત્મ્ય ‘હે અગ્નિ! આહુતિ કા અન્ન લો!’ શબ્દો ધરાવતા ગાનમાં છે. ( @ ૩૮.૧૬ થી ૩૯.૩૦)

    મૃત્યુ વખતે ગવાતું સમૂહગાન ‘ઓ પિતા! પરમ વ્યોમ મેં અપને પિતરોં સે મિલો!’ અસરકારક છે, જે સંભવત: ઋચાઓનો અનુવાદ હોય એમ જણાય છે. ( @ ૪૦.૧૮ થી ૪૧.૫૦)

    અશ્વમેધ યજ્ઞ દ્વારા રાજાનો રાજ્યાભિષેક કરતાં અશ્વનું માહાત્મ્ય ‘અશ્વ હે! અંતરીક્ષ કે આદિ જલ મેં ઉદિત હુએ તુમ’ દ્વારા થયા પછી અશ્વને છૂટો મૂકવામાં આવે છે ત્યારે જોશભર્યા લયમાં ગવાતું સમૂહગાન ‘અશ્વ હે! દૌડતા રથ કે રે પીછે’ અશ્વમેધના માહોલને પેદા કરી દે છે. ( @ ૪૬.૨૫ થી ૪૮.૧૫)

    એ પછી ‘જાઓ, અશ્વ તુમ જાઓ’ વળી પાછું ધીમા લયમાં, અને તરત જ ઝડપી લયનું સંગીત અદ્‍ભુત અસર ઊભી કરે છે ( @ ૪૮.૧૬ થી ૪૯.૨૬) અને ત્યાં જ આ હપ્તો સમાપ્ત થાય છે.

    અહીં કેટલીક બાબતો તરત ધ્યાનમાં આવે એવી છે. આ સમૂહગાન કે ગીતોમાં ફિલ્મી ગીતોમાં હોય છે એમ પૂર્વાલાપ કે મધ્યાલાપ નથી. એ સીધાં જ શરૂ થઈ જાય છે. સંગીત સ્વતંત્ર નથી, પણ શબ્દોને ઉઠાવ આપવા માટે પ્રયોજાયું છે. મોટા ભાગે અસલ વાદ્યોને બદલે કીબોર્ડ એટલે કે કૃત્રિમ સૂરોનો ઉપયોગ છે, છતાં તે ધારી અસર ઉપજાવવામાં સફળ રહે છે. ગીત કે ગાનને પરિસ્થિતિ યા સંવાદોની સાથે એ રીતે ગોઠવવામાં આવ્યું છે કે તે બાકીના કથાપ્રવાહને આગળ લઈ જાય. વૈદિક યુગમાં ગીતસંગીતનું મહત્વ કેટલું હતું એ આ શૈલીથી આપોઆપ પ્રસ્થાપિત થાય છે.

    નીચેની લિન્ક પર આ હપતો જોઈ શકાશે.


    ક્રમશઃ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


    Disclaimer:

    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

  • જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો : જૂની રંગભૂમિ

    જીના શેઠ

    અનોખું સાંસ્કારિક આંદોલન

    (ઉદ્‍ભવ, વિકાસ અને અસ્ત)

    ઉદ્‍ભવ અને પ્રારંભકાળ

    વર્તમાન ગુજરાતી રંગભૂમિને આપણે જે સ્વરૂપમાં જોઈએ છીએ તેના ઉદ્દભવને લગભગ પોણા બે સદી જેટલો સમય થઈ ગયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં સાહિત્યિક અને સામાજિક નવજાગૃત્તિનો પ્રાદુર્ભાવ થયો, તેની સાથે રંગભૂમિનો પણ એ પ્રબોધ કાળ હતો.

    વિચારોની જુદી-જુદી શાળાઓ (Schools of Thoughts) વિશ્વભરમાં છે. આપણા નાટકને સંસ્કૃત નાટ્યશાસ્ત્રની જેમ જ પાશ્ચાત્ય નાટયમીમાંસા પણ સ્પર્શી છે. ગુજરાતી રંગભૂમિ પર તો પશ્ચિમના નાટયલેખન અને અભિનયશૈલીની અસર સ્પષ્ટ રહી છે.

    ગુજરાતી રંગભૂમિનો ઉદ્દભવ પ્રથમ મુંબઈને આંગણે થયો અને એના જન્મદાતા હતા મુંબઈના પારસીઓ. તે વખતે અંગ્રેજો ‘બૉમ્બે થિયેટર’માં શેક્સપિયર, મોલિયેર અને શેરિડનનાં નાટકો ભજવતા હતા. તે જોઈને મુંબઈના પારસી કલાકારોને આવાં નાટકો ગુજરાતી અને ઉર્દૂમાં ભજવવાની ઇચ્છા થવાથી પારસીઓએ એમની જ શૈલીથી નાટકો ભજવવાની શરૂઆત કરી. ૧૮૪૨ની આસપાસ શંકર શેઠે મુંબઈમાં થિયેટર બંધાવ્યું.

    વર્ષ ૧૮૫૦માં પ્રથમ નાટક દલપતરામ દ્રારા ‘લક્ષ્મી’ પ્રસ્‍તુત કરવામાં આવ્યું હતું, જેની પ્રેરણા એરિસ્ટોફનસ દ્રારા પ્રાચીન ગ્રીક કૉમેડી નાટક “પ્લુટસ’ પરથી લેવામાં આવી હતી. ૧૮૫૨માં, એક પારસી નાટય જૂથ દ્રારા  ગુજરાતી ભાષામાં ‘શેક્સપિયર’ નાટકનો ખેલ સુરત શહેરમાં ભજવવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૫૩ની ૨૯મી ઓક્ટોબરે ગ્રાન્ટ રોડ થિયેટર મુંબઈ ખાતે ફરામજી ગુર્તાદજી દલાલની ‘પારસી નાટકમંડળી’ દ્વારા સૌપ્રથમ પારસી – ગુજરાતી નાટક ‘રુસ્તમ અને સોહરાબ’ રજૂ કરવામાં આવ્યું હતું. જે ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું માઈલસ્ટૉન ગણાય છે. તે સાથે ફારસી પ્રહસન ‘ધનજી ધરાક’ પણ ભજવવામાં આવ્યું. આમ ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ થયો.

    ૧૮૪૦-૫૦ની વચ્ચે ગુજરાતી નાટકો મુંબઈ, અમદાવાદ ને સુરતમાં ભજવાયાં હતાં. તે પછીથી ૧૮૬૧ સુધીના અરસામાં વિક્ટોરિયા, બાલીવાલા જેવી જુદી-જુદી પારસી નાટકમંડળીઓ દ્રારા જુદાં-જુદાં નાટકો ભજવાયાં અને નાનાં-નાનાં થિયેટરો પણ બંધાવાયાં. આ પ્રવૃત્તિના અગ્રેસરો તરીકે શ્રી કુંવરજી નાઝર, દાદાભાઈ સો. પટેલ, કાબરાજી ખુરશેદજી બાલીવાલા, દાદાભાઈ રતનજી થૂથી, ફરામજી ગુસ્તાદજી દલાલ, નાનાભાઈ રાણીના કાવસજી ખટાઉ વગેરે મુખ્ય ગણી શકાય.

    ત્યારબાદ મુંબઈમાં ‘ગુજરાતી નાટકમંડળી’ પણ સ્થપાઈ અને તેણે ૧૮૬૫ થી ‘૭૫ના સમય દરમિયાન ખેડા જિલ્લાના રણછોડરાય ઉદયરામ દવે કૃત ‘લલિતા દુઃખદર્શક’, ‘બાણાસુર મર્દન’, ‘મદાલસા’, ‘જયકુમારી વિજય’ જેવાં નાટકો ભજવ્યાં. આમ, ગુજરાતી રંગભૂમિની સ્થાપના અને પ્રેરણાને રણછોડરાય દવેનાં નાટકોથી વેગ મળ્યો અને તે ગુજરાતી રંગભૂમિના પ્રવર્તક તરીકે પોંખાયા. ત્યારબાદ સૌરાષ્ટ્રના શ્રીમાળી અને ગૂગળી બ્રાહ્મણો, ઉત્તર ગુજરાતના નાયક, ભોજક અને મેરો, એ બધાએ પણ જુદી-જુદી નાટચસંસ્થાઓ સ્થાપી. ઈ.સ. ૧૮૭૫ સુધીના સમયમાં ‘મુંબઈ-ગુજરાતી નાટકમંડળી’, ‘મોરબી આર્ય સુબોધ નાટકમંડળી’, ‘દેશી નાટક સમાજ’, ‘નાની મોટી વાંકાનેર નાટકમંડળીઓ’  આમ, ઘણી બધી નાટ્ય સંસ્થાઓની સ્થાપના થઈ.

    પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની’ દ્રારા ભજવાવેલ ‘રામાયણ’ નાટકનું એક દ્રશ્ય

    આ નાટ્યપ્રવૃત્તિમાં પોતાનો તન, મન અને ધનથી ભોગ આપનારાઓમાં કોઈ વકીલો, ડૉક્ટરો, વેપારીઓ અરે એ સમયના રજવાડાંનાં મોટા-મોટા દીવાનો અને અમલદારો પણ રંગભૂમિને સુદ્રઢ અને લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થયા હતા. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિને ‘જૂની રંગભૂમિ’ અથવા ‘પરદા નાટક’ કહેવામાં આવે છે. નાટકમાં સ્થળ બતાવવા ચીતરેલા પડદા લટકાવવામાં આવતા. આ નાટકોની લોકમાનસ ઉપર જબરી પકડ હતી.

    કેટલીક સંસ્થાઓ પોતાના નામ પાછળ ‘સમાજ’ એવો શબ્દ વાપરતી, જેમ કે, ‘શ્રી દેશી નાટક સમાજ’, ‘શ્રી આર્ય નૈતિક નાટક સમાજ’, ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ.’ એ સંસ્થાઓ ખરેખર એક સમાજરૂપે જ
    જીવતી, કારણ કે સંસ્થામાં સેટિંગ, સંગીત, પોશાક, હથિયાર, વિંગ, બૂટ અને જોડા, વીજળી-સાધનો, ભોજન વગેરે આ બધા વિભાગોના મળીને ૧૫૦થી ૨૦૦ જેટલા કલાકાર કસબીઓનો નિભાવ થતો. તેમના માટે રહેવા-જમવાની પણ વ્યવસ્થા રહેતી.

    અમુક નાટ્યસંસ્થાઓએ કેટલીક સંસ્કારપરંપરા પણ જાળવી રાખી હતી. ‘મોરબી આર્ય સુબોધ’ અને ‘પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટકમંડળી’ના રસોડે દરરોજ પાંચ-છ સાધુઓને જમાડાતા. જ્યારે વાંકાનેર સત્ય બોધક નાટક કંપનીમાં દર પૂનમે સત્યનારાયણની કથા કરવામાં આવતી. રાતના 3-4 વાગે નાટક પૂરું થવા છતાં સવારના સાત-આઠ વાગ્યે બધા ઊઠીને નિત્ય નિયમ પ્રમાણે નાહી-ધોઈ પૂજા-પાઠ પણ કરતા. કેટલીક વાર નાટયસંસ્થાને ચાલુ રાખવા કે ટકાવી રાખવા માટે માલિકોને જમીન, મકાન, દાગીના તથા કીમતી વસ્તુઓ ગિરવે મૂકવી પડતી કે વેચવી પડતી તો ઘણી વખત ઊંચું વ્યાજ પણ ચૂકવવું પડતું . તોપણ નવી સંસ્થાઓ શરૂ કરનારા તો નીકળી જ પડતા. તો નાણાકીય કટોકટીમાં ભાગી ગયેલા શેઠને ‘વાંકાનેર આર્ય હિતવર્ધક’ના કલાકારોએ બાજી સંભાળી લઈ, શેઠને માનભેર પરત બોલાવ્યા હોય એવું પણ બન્યું હતું.

    પ્રતિષ્ઠિત કલાકાર કંપનીમાં ટકી રહે તે માટે માલિક તેને ભાગીદાર  બનાવતો તો નાટક કંપનીઓ નાટકો માટે અન્ય પુષ્કળ ખર્ચ પણ કરતી. કહેવાય છે કે ૧૯૩૯માં લક્ષ્મીકાન્ત નાટક સમાજે પ્રભુલાલ દ્વિવેદીનું એતિહાસિક નાટક “અક્ષયરાજ’ ભજવ્યું તેમાં સિંહાસન બનાવવાનું ખર્ચ જ રૂ. ૭,૦૦૦/- થયું હતું. (કુલ ખર્ચ ૬૦થી ૭૦ હજાર). એની રજૂઆતને દિવસે પ્લે-હાઉસ ઉપર કલાકો સુધી ટ્રામ વ્યવહાર બંધ કરી દેવામાં  આવ્યો હતો. તો ‘હરિશ્વંદ્ર’ નાટક જોવાં લોકોનાં ટોળેટોળાં આવતાં. ચાર દિવસ અગાઉથી ટિકિટ રિઝવર્ડ કરાવે તો જ નાટક જોવાની તક મળે એવો પ્રસંગ પણ આ નાટકને પ્રાપ્ત થયો હતો. જ્યારે “સંગીત લીલાવતી’ નાટકમાં  ‘વીર વિલાસ’ની ભૂમિકામાં બાળનટ હરગોવિંદ મોતી, સાચાં કીમતી આભૂષણો પહેરતા હતા. ગુજરાતી રંગભૂમિની આ એક વિલક્ષણ ઘટના હતી.

    વિકાસ અને સવર્ણયૂગ

    ગુજરાતી રંગભૂમિની ચડતી-પડતીના ઇતિહાસમાં ૧૮૮૦થી ૧૯૧૦ સુધીનો ગાળો તેનો સુવર્ણકાળ કહી શકાય તેવો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતી નાટક અને રંગભૂમિની અસ્મિતા પ્રગટ થઈ. ગુજરાતી રંગભૂમિનો તખ્તો પૌરાણિક, એતિહાસિક અને સામાજિક નાટકોથી ધમધમતો રહ્યો. તેમાં વીર, કરુણ, શૃંગાર અને હાસ્યરસની છોળો ઊડતી હતી.

    ગુજરાતી રંગભૂમિએ બુદ્ધ, સિકંદર, ચંદ્રગુપ્ત, હર્ષ જેવા ઇતિહાસખ્યાત વીરોથી લઈને શિવાજી, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ અને નરસિંહ મહેતા જેવાં પાત્રોને પણ રંગભૂમિ પર અવતાર્યા હતાં. ગુજરાતના ખૂણે-ખૂણે ધરખમ નાટકમંડળીઓ પ્રવાસ કરતી હતી, સુરત, મુંબઈ, વડોદરા, કરાંચી, નડિયાદ તથા આણંદમાં રંગભૂમિનો રંગ અનેરો જામતો ગયો હતો. રંગભૂમિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. એક બાજુ નાટકમંડળી પ્રેક્ષકો માટે પ્રવાસ કરતી તો પ્રેક્ષકો પણ નાટકો જોવા પ્રવાસ કરવાનું ન ચૂકતા. ગુજરાતમાં વસતા અને ગુજરાત બહાર રહેતા, (મુંબઈ, કલકત્તા, કરાંચી વગેરે.) ગુજરાતની તમામ કોમના માનવીઓ નાટક જોવા ઊમટતા. પૌરાણિક અને એતિહાસિક નાટકોના ૩૦૦-૩૦૦ પ્રયોગો ત્યારે થતા. નાટકની પહેલી રાત્રિએ વાતાવરણમાં ગજબની ઉત્તેજના રહેતી.

    નાટકનો આ રંગચટકો છેક કાઠિયાવાડનાં રજવાડાઓને પણ લાગ્યો હતો. જૂનાગઢ, વાડાસિનોર તથા ધ્રાંગધ્ા રાજ્યની પોતપોતાની માલિકીની નાટય-સંસ્થાઓ હતી. સૌરાષ્ટ બાજુનાં નાટકોમાં તેઓએ પોતાની ભાતીગળ  સંસ્કૃતિ અને કીર્તિ ગાથાઓને રંગભૂમિ પર લાવી, શૌર્યની સાથે દુહા-છંદ ભજન, અને રાસની આગવી પરંપરા સર્જી હતી. તો ઉર્દૂ તખ્તા લોકપ્રિય પેરે પણ આપણા ગુજરાતી કલાકારોએ એવી તો અદ્‍ભૂત કારકિર્દી જમાવી હતી કે નાટકોનો શોખીન પ્રેક્ષકસમુદાય તેને અનેક વાર જોવા ગીતો (ઉર્દૂ નાટકોની ભાષા સમજાય કે ન સમજાય) ઉમંગભેર જતો. આજની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે રંગભૂમિ મારફત પ્રેક્ષકોને ‘રિચ  કલ્ચરલ એક્સિપિરિયન્સ’ થતો હતો. અને ગીતોની લિરીકલ માધુરી પણ તેમને સ્પર્શી જતી હતી.

    ‘સરદારબા’ નાટકનું અવિસ્મરણિય દૃશ્ય ઇ. સ. ૧૮૯૭

    આજે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે ગુજરાતી રંગભૂમિની નાટ્યસંસ્થાઓમાં એવા નાટ્યલેખકો હતા જેમનાં શૈલી, ભાષાનું જોમ, ઉપમાઓ અને ભાવવાહી ગીતોની રચના પર ગુજરાતનો નાટચશોખીન વર્ગ ઝૂમી ઊઠતો, એવા કેટલાય નાટચલેખકો હતા જેઓ નાટક, પ્રહસન (કૉમેડી) અને ગીતો એ ત્રણેય પાસાંની એકસરખી કુશળતાથી રચના કરી શકતા. તેમાં ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી, મૂળશંકર મૂલાણી, ફૂલચંદ શાહ, કવિ ‘જામન’, ત્રાપજકર, પ્રભુલાલ ઠિવેદી, રઘુનાથ બ્રહ્મભટ્ટ વગેરેનો નામોલ્લેખ કરી શકાય.

    તે સમયે ગુજરાતી નાટકોનો દબદબો હતો. દેશી નાટક સમાજનું ‘વડીલોના વાંકે’ નાટક જોવા મુંબઈની શેઠાણીઓ સેલાં-પટોળાં પહેરીને  આવતી. ઇન્ટરવલમાં આજના પોપકોર્નની જેમ કાજુ-બદામ ખવાતાં. તે માટે ફેરિયા થિયેટરની અંદર આવી ખારાં કાજુ ને પિસ્તાનાં પડીકાં ચાર-ચાર આનામાં વેચતા. વગર ટિંકિટે કોઈ નાટક જોવા ઘૂસી ન જાય તેનો બંદોબસ્ત કરવા લાલા – પઠાણોને રોકવામાં આવતા. પાનની દાબડીઓ લઈ ધોતી-કુરતામાં સજ્જ શેઠો પાન ચાવતાં-ચાવતાં ઘોડાગાડીમાં બેસી   ‘ભાંગવાડી’  થિયેટરમાં નાટકો જોવા આવતા.  એકધારાં ત્રણ વર્ષ સુધી ચાલેલા “સૌભાગ્યસુંદરી” નાટકની “સુંદરી” પર તો આખું મુંબઈ આફરીન હતું. તેમને જોઈને મુંબઈની ગુજરાતણોએ પહેરવા-ઓઢવાની સ્ટાઇલ બદલી નાખી હતી. આ ‘સુંદરી’ એટલે જયશંકર ભોજક. જે આખી જિંદગી જયશંકર ‘સુંદરી’ નામથી જ ઓળખાયા. તો તે યુગમાં ‘મોહનલાલા”’ જેવા કલાકાર સ્ટેજ પર આવી, માથા પરથી વિગ ઉતારી માથું ખંજવાળતા અને ફરી પાછી વિગ પહેરી લેતા તોયે પ્રેક્ષકોને રસક્ષતિ થતી નહીં. તે સમયે મોહનલાલા, અશરફ ખાન, જયશંકર ‘સુંદરી’, બાપુલાલ નાયક, છગન ‘રોમિયો’ જેવા રંગભૂમિના કલાકારોએ આજના શાહરૂખ ખાન કે સલમાન ખાન જેટલી જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. આજની પેઢી તો કદાચ આ વાત માનશે નહીં, પરંતુ આ હકીકત છે.

    એક સમય એવો હતો જ્યારે છ-છ કંપનીઓ એકસાથે મુંબઈમાં આવી પડતી અને તીવ્ર હરીફાઈ જામતી. શહેર મહિનાઓ સુધી વાજતું-ગાજતું થઈ જતું. મુંબઈનું પ્લે-હાઉસ છેલ્લા દસકામાં રંગભૂમિના હૉલિવૂડ જેવું ગણાતું હતું.

    પ્રભુલાલ દિવેદી કહેતા કે,  ‘મુંબઈ શહેર એ તો દરેક રંગભૂમિનું આશ્રયસ્થાન છે.’ દરેકેદરેક નાટ્યકારોનું એ સપનું રહેતું કે, ‘રંગભૂમિઓના હૉલિવૂડ સમા મુંબઈમાં અમારાં નાટકો ભજવાય’. તો જાદરના નાયક-ભોજક ભાઈઓની ‘શ્રી મુદ્રણા નાટક સમાજે’ ૧૯૦૩માં એડન, ઝાંઝીબાર, મોરીસ, મસ્કત અને નૈરોબી જેવાં સ્થળોએ ગુજરાતી-હિંદી નાટકો રજૂ કર્યા હતાં. જે ખૂબ લોકપ્રિય થયાં હતાં. સાથે બાલીવાલા નાટકમંડળી તો ઠેઠ બ્રહ્મદેશ (આજનું બર્મા)ને લંડન સુધી તે જમાનામાં સફળતાથી નાટકો ભજવી આવી હતી. આ મંડળીઓએ વિદેશમાં પણ ગુજરાતી રંગભૂમિને યશ અપાવ્યો હતો.

    રંગભૂમિનું એક કામ સમાજ સાથે જોડાયેલા રહીને સમાજને જગાડવાનું પણ છે. (Vehicle of social change) આ કામ પણ જૂની રંગભૂમિએ બખૂબી કર્યું હતું. “અરુણોદય’ અને “વડીલોના વાંકે’ જેવાં નાટકોએ કેટલાંય ઘરભંગને  આરે ઊભેલાં દંપતીઓના મનમેળ કરાવ્યા હશે. તો માત્ર ૨૨/- રૂ.ની મૂડીથી શરૂ થયેલા લક્ષ્મીકાન્ત નાટક સમાજે  ‘અરુણોદય’ નાટકની કમાણીમાંથી લોકપ્રિય સુરતમાં પોતાની માલિકીનું થિયેટર બંધાવ્યું હતું. ૨૫ જુલાઈ, ૧૯૪૦ના રોજ  ‘જનાના’  ખેલની શરૂઆત થઈ હતી તો મૂળશંકર મૂલાણીના ‘રાજબીજ’  નાટકનો દરેક અંગ્રેજી માસના છેલ્લા શનિવારે સ્ત્રીઓ માટે ખાસ અલાયદો ખેલ રજૂ થતો, જેમાં માત્ર બહેનો અથવા બહેનો સાથે આવેલા ભાઈઓને જ પ્રવેશ મળતો અને કેખુશરો કાબરાજી તો નાટકોને સફળ બનાવવા જાતજાતના નુસખા અજમાવતા. નાટક જોવા આવતી સ્ત્રીઓનાં બાળકો માટે નાટકશાળાના કમ્પાઉડમાં ઘોડિયાંની ખાસ વ્યવસ્થા મંડળી તરફથી કરવામાં આવતી.

    તો ગુજરાતી નાટ્યકારોની રચનાઓના અનુવાદ ગુજરાતી સિવાયની રંગભૂમિ પર પણ ભજવાતા અને ખૂબ વખણાતા. જેમ કે ‘ હરિશ્ચંદ્ર’ નાટકનું ઉર્દૂ ભાષાંતર આગા હશરે કર્યું. જેના સંખ્યાબંધ પ્રયોગો થયા, જેણે એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તો ‘નાટક ઉત્તેજક મંડળી’ માટે કાબરાજીએ કવિ નર્મદ પાસે પણ નાટકો લખાવ્યાં હતાં.

    રત્રી-કલાકારો અને અવનવા પ્રયોગો

    જયશંકર ‘સુંદરી’ સાથે મા. ત્રિકમ, રતિલાલ પટેલ, મા. ભીખુ, મા. હિંમત, મા. પ્રાણશંકર આચાર્ય, મા. ગોરધન, મૂળચંદ મામા, અમૃત જાની, શંકરલાલ નાયક, મા. વસંત આ બધાં નામચીન પુરુષ કલાકારોએ
    સ્ત્રીપાત્રોને બખૂબી ન્યાય આપી  સુંદર રીતે ભજવ્યાં હતાં. કારણ ૧૯૪૦ની આસપાસ સુધી ભાગ્યે જ કોઈ સ્ત્રી રંગભૂમિના ક્ષેત્રે કામ કરતી અને જેમણે ગુજરાતી રંગભૂમિમાં પ્રવેશ કરેલો, તેમાંની કેટલીક સ્ત્રીઓનાં તો નાટકમાં કામ કરવા બદલ સગપણ પણ તૂટી ગયાં હતાં.

    શરૂઆતના કાળમાં ગોહરબાઈ, મુન્નીબાઈ અને મિસ મેરી ફેન્ટન ઉર્ફે મેહરબાઈએ સ્ત્રી-કલાકારો તરીકે સારું આકર્ષણ જન્માવ્યું હતું. પછી તો મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, રામપ્યારીબાઈએ પણ પોતાના અભિનયનાં ઓજસ પાથર્યા ને રાણી પ્રેમલતા, કુસુમ ઠાકર, રૂપકમલ, મનોરમા, શાલિની, સરસ્વતી દેવી વગેરે પણ ખૂબ જાણીતાં બન્યાં હતાં. તો ગુજરાતી તખ્તાની વિજયા દેશમુખે પછીથી ‘સંધ્યા’ તરીકે વી. શાંતારામની ફિલ્મોમાં પણ ખૂબ પ્રખ્યાતિ મેળવી હતી અને શાન્તા આપ્ટે જેવી સુંદર ગાયકી ધરાવતી અભિનેત્રી પણ ગુજરાતી તખ્તે ચમકી ગઈ હતી.

    જ્યારે ટેક્નોલૉજી એટલી વિકસી ન હતી ત્યારે પણ અવનવા પ્રયોગો કરી પ્રેક્ષકોને મનોરંજક અને આનંદપૂર્ણ અનુભવ થાય તેનો ખ્યાલ રખાતો. |હરિહર  ‘દીવાના’  રચિત  ‘સતી તોરલ’ નાટક (૧૯૧૫)માં ઘોડી તોરલને રંગમંચ પર લાવવામાં આવી હતી તો ‘ગરીબ ગાય’ નાટકમાં જીવતી સફેદ સુંદર ગાયને ટ્રેઈન કરી સ્ટેજ પર લાવવામાં આવતી. પાગલકૃત ‘સરાષ્ટ્ર વીર’માં પ્રાણસુખ ‘એડીપોલો’એ બહારવટિયા ભાથીના પાત્રમાં સ્ટેજ ઉપર ઝાડ લાવી ટારઝન જેવા સ્ટંટ કર્યા હતા ને ૧૯૪૨માં “પ્રભાત કલા મંડળ’ના ‘લવકુશ’ નાટકમાં વાલ્મીકિત્રકષિના આશ્રમવાળા દશ્યમાં રંગમંચ પર સસલાં, હરણ, સફેદ કબૂતરો, શાહમૃગ, વાંદરાં વગેરે રજૂ કરવામાં આવ્યાં હતાં. ટેક્નોલૉજીના સહારે અનેક દિલચશ્પ પ્રયોગો પણ તખ્તા પર રજૂ કરવામાં આવતા. તે વખતે દરેક કંપનીમાં આવી એક વ્યક્તિ રહેતી. ‘આર્યનૈતિક’માં પેઇન્ટર મહંમદ આલમ તો  ‘મોરબી કંપની’માં મા. રંગીલદાસ ને  ‘દેશી’માં જહાંગીર મિસ્ત્રી અને ‘મુંબઈ ગુજરાતી’ના મૂલાણી બચુભાઈ રૂઘનાથની કલાસૂઝને પરિણામે જે-તે સંસ્થાઓનાં પૌરાણિક નાટકોને સારી ખ્યાતિ મળી હતી. તો પેઇન્ટર ખાનના  ‘ઓમ કલામંડળ’ના  ‘જેસલ-તોરલ’  નાટકમાં દરિયાનું દશ્ય, મંદિરમાં મૂર્તિમાંથી અગ્નિ પ્રગટ થયાનું દશ્ય, સુધીર શેઠ સામે તોરલનું હાડપિંજર બની જવાનું દશ્ય ને ‘સળગતો-સંસાર’માં પુલને બોંબથી તોડી નાખવાનું દશ્ય ખૂબ વખણાયાં હતાં સાથે નાટચજગતમાં બેકસ્ટેજ માટે ગુજરાત અગ્રિમ સ્થાન ધરાવે છે એના એક યશદાર નારણભાઈ મિસ્ત્રી પણ ખરા!

    મૂશ્કેલીઓ અને અસ્ત

    દયાશંકર ‘ઉસ્તાદ’ હંમેશાં કહેતા કે, ‘ નાટ્યસંસ્થાના માલિક થવું અને તે વ્યવસ્થિત ચલાવવી એ પારો પચાવવા જેવું દુષ્કર કાર્ય છે.’ નાટક કંપનીનો રસાલો એટલે નાના-સૂના રજવાડાંના વહીવટ જેવડો  વહીવટ. આવડું મોટું તંત્ર ચલાવવામાં પડતી આર્થિક મુશ્કેલી, સિસ્ટમનો અભાવ, નિષ્ફળ નાટકોથી કંપનીને પડતી માર, નાટક કંપનીના આવક-જાવકના આંકડાના ‘બજેટ’ની ખામી અને અનામત ફંડનો અભાવ જેવી બાબતો મુશ્કેલી સર્જી દેતી. વળી, વરસમાં 8 મહિના જ ધંધો કરી શકાય. ચોમાસાના ચાર મહિના ધંધો બંધ રાખવો પડે. સાથે અનેક પ્રકારનાં લાઇસન્સ મેળવવાં પડે. અજાણ્યાં ગામોમાં ગુંડાતત્ત્વોનો સામનો પણ કરવો પડે. આવી તો અનેક પ્રકારની હાડમારી અને સમસ્યાઓ સામે લડવાની માલિક તેમ જ વ્યવસ્થાપકોને ફરજ પડતી. માટે જ નાટયસંસ્થાના અનુભવી માલિક બળદેવપ્રસાદ હીરાલાલ નાયક કહેતા કે, ‘નાટયસંસ્થાના માલિક થવું એટલે સો વીંછીઓના ડંખની વેદના સહેવા બરાબર છે.’ વળી, સ્થાન ટકાવી રાખવા ખેલાતા પેંતરા અને અંતરંગ ચાલતી કેટલીક ક્ષતિઓ તો ખરી જ.

    પરંપરાગત રંગભૂમિની અંતિમ સમાધિ  – ભાંગી રહેલું ભાંગવાડી  થિયેટર

    ૧૯૩૦ પછીના કાળમાં થતા વારંવારનાં કોમી રમખાણો, સ્વાતંત્ર્ય માટેની લડતો અને ખાસ કરીને બોલતી ફિલ્મોના આગમને એવી સિથિતિ સર્જી કે ગુજરાતી રંગભૂમિ જોતજોતામાં પાનખરની અવસ્થામાં આવી ગઈ.

    આ રંગભૂમિની પડતીનાં અનેક કારણોમાંથી કેટલાંક એટલે કૃત્રિમ બેતબાજી, અતિ રંજિત અભિનય, ગીત-સંગીતનો અતિરેક, પડદા સેટિંગ્સ, યાંત્રિક કરામત પાછળ લખલૂટ ખર્ચ, કલાને ભોગે કસબ, કરામત વગેરેનું પ્રાધાન્ય, સસ્તા મનોરંજનની સામગ્રીનો અવિવેકી અતિરેક જેવી વિકૃતિઓને ગણાવી શકાય. દેશી રજવાડાંના કારોબાર અને કાવાદાવાને ટપી જાય એવી આંતરિક ખટપટો આ રંગભૂમિના નેપથ્યે ખેલાતી રહેતી. વળી, ધંધાદારી રંગભૂમિ સમય, દેશ, કાળ સાથે તાલ મિલાવી શકી નહીં. બીજા વિશ્વયુદ્ધ બાદ સમસ્ત જીવનનાં મૂલ્યોમાં જે પરિવર્તન આવ્યું તેને અનુરૂપ આ નાટય-સંસ્થાઓ થઈ શકી નહીં.

    કંપનીના માલિકોમાં પણ કલા અને સાહિત્ય પ્રત્યેનો આદર ઘટ્યો ને કેવળ બૉક્સ ઓફિસ પર જ નજર રાખવાથી આ દુર્ભાગી રંગભૂમિની પ્રગતિ અટકી ગઈ ને આવેલી અઢળક સંપત્તિ રેસમાં, જુગારમાં કે આડા-અવળા માર્ગે વેડફાઈ જવા લાગી. નાટક માટેનાં થિયેટરો સિનેમાગૃહ બની ગયાં ને ફિલ્મો પ્રત્યે પ્રેક્ષકોનું મન ખેંચાતાં નાટકો તરફની રસવૃત્તિ ઓછી થવા માંડી. નવા શક્તિશાળી લેખકો, કલાકારોને પણ ઘસાતી જતી રંગભૂમિનું આકર્ષણ રહ્યું નહીં. ગીતો આવાં બધાં કારણોને લીધે નાટયસંસ્થાઓ ધીમે-ધીમે બંધ થવા લાગી.

    તેમ છતાં આ જૂની રંગભૂમિના માલિકો અને સંચાલકોના હૈયાની હિંમત, પોતાના કલાકારો તેમ જ અન્ય કામદારો પ્રત્યેની હમદર્દી અને ફરજનું ભાન એ ભૂલવા જેવી બાબતો નથી. એ સાથે એકસો પાંચ ડિગ્રી તાવમાં પડેલા કે કુટુંબમાં કોઈ અકસ્માત કે મૃત્યુ થવા છતાં બધું જ ભૂલી જઈને નાટકમાં પોતાની ભૂમિકાને ન્યાય આપી રહેલા એ અદાકારોને પણ કેમ ભુલાય ?

    સમાપન

    ચાર-પાંચ દાયકા દરમિયાન એ રંગભૂમિએ એક ઇતિહાસ સર્જ્યો હતો. અભિનય અને સૂરના સાધક અને કલાના મરમી એવા એ સમયના સર્વ કલાકારો, દિગ્દર્શકો, માલિકો, નાનામાં નાના કલાકાર કસબી… સલામ એ સાંસ્કૃતિક દેવદૂતોને !

    આ મંડળીઓએ પાડેલી પ્રણાલીને અનુસરીને ૧૯૨૦ સુધીમાં બીજી ૨૦૦-૩૦૦ મંડળીઓ અસ્તિત્વમાં આવી હતી. તેમાંની ઘણીખરી બે-ચાર વર્ષ કે તેનાથી પણ ઓછો સમય ચાલીને બંધ પડી ગઈ. તો પ્રાદેશિક લોકનાટ્યોની પરંપરાગત રંગભૂમિ એક સમૂહમાધ્યમ તરીકે આજે પણ કેટલાંય ગામડાંઓમાં જબ્બર લોકપ્રિયતા ધરાવે છે.

    અનેક મર્યાદાઓ છતાં ગુજરાતની આ વ્યવસાયી રંગભૂમિ એક અનોખું સાંસ્કારિક આંદોલન હતું. જેની પાછળ પાંચસો જેટલી નાટયસંસ્થાઓ, એકસોથી વધુ દિગ્દર્શકો અને એટલા જ રંગકર્મીઓ તથા એક હજારથી વધુ અભિનેતાઓ, ચારસો જેટલી અભિનેત્રીઓ અને ત્રણસો જેટલા સંગીતકારોનો, દોઢસો જેટલા લેખકોએ લખેલાં લગભગ બારસો જેટલાં નાટકો ભજવવાનો દોઢસો વર્ષનો સહિયારો પુરૂષાર્થ પડેલો છે. રંગભૂમિના ઇતિહાસમાં તેનું ઉજ્જ્વળ પ્રકરણ હંમેશાં આનંદ અને અભ્યાસનો વિષય રહેશે.

    છેલ્લાં ૭૦-૭૫ વર્ષથી નવી રંગભૂમિની પ્રવૃત્તિ જોવા મળે છે. વ્યવસાયી ધોરણે મુંબઈ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવાં શહેરોમાં  છૂટીછવાઈ સંસ્થાઓ દ્વારા નાટકો ભજવાય છે. તેમાં ઘણા સુંદર પ્રયત્નો થતા રહે છે તેમ છતાં નવી રંગભૂમિનો પિંડ બાંધી આપે તેવા ટી.વી., લોકપિય ફિલ્મ અને સોશિયલ મીડિયાના. આક્રમણને ખાળી શકે તેવા જૂના અને વીતેલાના સમન્વયરૂપ એવાં જ બીજાં આંદોલનની રાહ જોવાય છે…


    ક્રમશઃ


    હવે પછી –
    રંગભૂમિમાં ગીત – સંગીત

    સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com


  • સૂનકાર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આ એવો સમુદ્ર તટ છે જ્યાં ઊભા રહીને સૂનકાર કોને કહેવાય એનું વર્ણન કરવું અશક્ય છે. સમુદ્રમાંથી ઊઠતાં પાણીનાં મોજાંનો અવાજ, મોજાં પાછાં વળી જાય ત્યારે કેટલાય છોકરાંઓની કલબલ. પાછળ વિવિધ ખાદ્ય ચીજો વેચવાવાળાનો અવાજ…અવાજ..સતત અવાજ.

    જોકે, મને કશું જ નથી સંભળાતું. જાણે કોઈ મૂક ફિલ્મ જોતો હોઉં કે અવાજ બંધ રાખીને ટી.વી.જોતો હોઉં એમ મારા માટે સઘળે ઘેરો સૂનકાર છે.

    થોડા દિવસથી શ્રવણશક્તિ ઘટી હતી. દીકરાને કહ્યું તો એણે મને ટકોર્યો,

    “ઓછું સંભળાય છે તો મશીન પહેરી કેમ નથી રાખતા?”

    મશીનથી ફાયદો નથી જાણીને એણે ઈશારામાં ડૉક્ટર પાસે લઈ જશે એમ કહ્યું. પુત્રવધૂ માટે તો આ કોઈ સમસ્યા જ નહોતી. નિવૃત્ત માણસને વળી શું ફરક પડે? હવે એને કેવી રીતે સમજાઉં કે, બહેરાપણું નિવૃત્ત વ્યક્તિ માટે કેવો શ્રાપ છે?

    દીકરી અને જમાઈ બંને કામ કરે છે. જમાઈના મા ગુજરી ગયાં પછી મારી પત્ની દીકરીને મદદ કરવા એના ઘેર રહે છે. એને મારી તકલીફ જણાવીને કોઈ ફાયદો નહોતો છતાં કાગળ લખીને જણાવવાનું વિચાર્યું.

    ધીરેધીરે ઉજાસ ઓછો થયો એમ સમુદ્રતટ પર લોકોની અવરજવર ઓછી થતી ગઈ. પાછળથી આવતાં વાહનોનો અવાજ સંભળાતો નહોતો એટલે એની અડફેટમાં ન આવી જવાય એવી સતર્કતાથી મેં ઘર તરફ ચાલવા માંડ્યું. ઘેર પહોંચ્યો ત્યારે પૌત્ર અને પૌત્રી વચ્ચે કોઈ વાતે ઝગડો ચાલતો હશે અને પુત્રવધૂ એમને સમજાવવા મથતી હશે એવું લાગ્યું. પહેલાંનો સમય હોત તો ઝગડાનું કારણ જાણીને એમને સમજાવવા પ્રયાસ કરી શક્યો હોત.

    સાંજે જમીને સૌ ટી.વી.ની આસપાસ ગોઠવાયાં. પુત્રવધૂને ધારાવાહિકમાં રસ, છોકરાંઓને કાર્ટૂન નેટવર્કમાં રસ. દીકરો એની ઑફિસની ફાઇલો ખોલીને બેઠો હતો. મારા માટે આ કશું જ કામનું નહોતું. હું બહાર વરંડામાં જઈને માર્ક ટ્વેનની ‘હકલબેરી ફિન’ વાંચવા માંડ્યો. આમ તો આ છોકરાંઓ માટેનું પુસ્તક છતાં મને હજુ આ પુસ્તક ગમે છે. આમ જોવા જઈએ તો બાળપણ અને ઘડપણ એક જેવાં જ ને?

    ટી.વી પર ચાલતા પ્રોગ્રામ કે છોકરાંઓ વચ્ચેના વિખવાદ, મને ક્યાં સંભળાવાના એટલે આરામથી વાંચતો રહ્યો. ક્યારેક લાગે છે કે, ન સંભળાવાના લાભ તો છે.

    જોકે, મારી પસંદગીનાં ગીતો ન સાંભળી શકવાનો અફસોસ પણ ઓછો નથી. રાત પડે અનેક વિચારો અને ચિંતાથી મન ઘેરાઈ જાય છે. સમજાતું નથી કે, આ ચિંતાઓ ન સંભળાવાના લીધે છે કે ઉંમરના લીધે?

    ના ઘડિયાળની ટીકટીક, ના પંખાની ખટખટ. ફક્ત શાંતિનો કોલાહલ. પહેલાં વીજળી જાય અને પંખો બંધ પડે તો એનો સન્નાટો વર્તાતો. અત્યારે પંખો ચાલે છે તોયે સન્નાટો. હવે સન્નાટાની ટેવ પડવા માંડી છે કે શું?

    એક વાર્તા વાંચી હતી એ યાદ આવી. લખ્યું હતું,

    ‘દિવસભરમાં જરૂર ના હોય એવા કેટલાય શબ્દો, જેનાથી તકલીફ પહોંચે એવી કેટલીય વાતો લોકોને સાંભળવી પડે છે. જેમ આંખો પર પાંપણ છે એવી રીતે કાનનેય પાંપણ હોય તો અવાંછિત ગરબડથી બચી શકાય?’

    ‘ભગવાને મને ખૂલે જ નહીં એવી પાંપણો આપી હશે? હું હસી પડ્યો. ન સંભળાવાના ફાયદા શોધવા માંડ્યો.

    ‘વાહ, ચારેકોર ગમે એટલો અવાજ કેમ ન હોય, હું શાંતિથી વાંચી શકુ છું. કોઈની સાથે વિવાદ નથી થતો. કોઈ ગમે તે બોલે કે ઘાંટા પડે એ નહીં સંભળાય. દૂર ક્યાંક માઇક પર ઘોંઘાટ થતો, એની મને અકળામણ થતી. હવે એની ચિંતા નહીં. દિવાળીમાં બોંબ ફૂટે તો હવે કાનમાં ધાક નહીં પડે, પરમ શાંતિ.

    બીજા સપ્તાહે દીકરો મને ઈ.એન.ટી. પાસે લઈ ગયો. બંને વચ્ચેની વાત સંભળાતી નહોતી. વાતના હાવભાવ પરથી લાગ્યું કે, સર્જરી કરવી પડશે.

    નિષ્ણાત ડૉક્ટર પાસે સર્જરી કરાવવાની હતી. એનો ખર્ચો ત્રીસ હજાર થશે એ જાણીને આંચકો લાગ્યો. દીકરીના લગ્નનો ખર્ચો, પોતાનું ઘર બનાવવાનો ખર્ચો કાઢ્યા પછી નિવૃત્તિમાં ખાસ બચત રહી નહોતી. પેન્શનની રકમ બેંકની લૉન ભરવામાં વપરાતી. દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. એની કમાણીમાંથી ઘર ચાલે છે એટલે એની પાસે ઝાઝી બચત નહીં હોય એ હું સમજતો હતો.

    એક બાજુ દીકરા પર ખર્ચાનો ભાર, બીજી બાજુ જીવનભરનો સૂનકાર. બંને વસમી સ્થિતિ.

    બીજું એક સપ્તાહ પસાર થયું. ઘરમાં કોઈએ સર્જરી અંગે વાત ન કરી. ક્યારેક દીકરો અને પુત્રવધૂ મારી સર્જરીને લઈને વાત કરતાં હશે, કદાચ વિખવાદ પણ થતો હશે. પુત્રવધૂને મારી સર્જરી માટે આ ઉંમરે આટલો ખર્ચો કરવાનું બેકાર લાગતું હશે, એવું હું સમજી શકતો.

    ન તો આ ચર્ચાનો કોઈ ઉકેલ હતો કે ન અંત.

    ચાર દિવસ પછી દીકરાએ સર્જરીનું નક્કી થઈ ગયું છે એવો જાણ કરતો પત્ર બતાવ્યો.

    કેવી રીતે વ્યવસ્થા કરી હશે? ઑફિસમાંથી લૉન લીધી હશે? અનેક વિચારો અને ચિંતાથી હું અકળાયો.

    “ઑફિસમાંથી કેટલાક સહકર્મચારીઓએ મદદ કરી છે.” અનેક સવાલો કર્યા પછી દીકરાએ કાગળ પર લખીને જણાવ્યું.

    થોડી શાંતિ થઈ. હાશ, એ પૈસા હપતે હપતે વાળી શકાશે.

    જોકે બે દિવસ પછી રસ્તામાં મળેલા રંગાસ્વામી પાસેથી ખરી જાણકારી મળી.

    મારા કાનની સર્જરી અંગે રંગાસ્વામી જાણવા માંગતા હતા. નવાઈ લાગી કે, એમને મારી સર્જરીની કેવી રીતે જાણ થઈ હશે?

    હમણાંથી ક્યાંય જવાનું થાય તો ખીસ્સામાં કાગળ-પેન રાખવાની ટેવ પાડી છે. ઝટ દઈને કાગળ-પેન રંગાસ્વામીના હાથમાં પકડાવ્યાં.

    એમણે જે લખ્યું એ વાંચીને ખૂબ આઘાત લાગ્યો. પુત્રવધૂને પિયરથી ચઢાવામાં આવેલા દાગીના અને પૌત્રી માટે બનાવેલી સોનાની હાંસડી રંગાસ્વામીના ત્યાં ગિરવી મૂકીને પૈસા ઉધાર લીધા હતા.

    આ વિશે મને જાણ નહીં હોય એવું રંગાસ્વામીને ક્યાંથી ખબર?

    આ રસ્તો પુત્રવધૂએ કાઢ્યો હતો એવું પણ એમણે જ લખ્યું.

    ‘ઓહ, આજ સુધી હું એને સમજી શક્યો જ નહોતો !?’

    સર્જરી પહેલાં કરાવવા પડતા જરૂરી ચેકઅપના રિપોર્ટ લેવા ગયા ત્યારે દીકરા અને ડૉક્ટર વચ્ચે કંઈક તો ગંભીર ચર્ચા ચાલી.

    દીકરાએ લખ્યું,

    ‘ઈ.એન.ટી. નિષ્ણાત સર્જનનું માનવું છે કે, ઉંમર અને અન્ય રિપોર્ટ જોતાં સર્જરીની સફળતા અંગે સંપૂર્ણ ખાતરી નથી. શ્રવણશક્તિ પાછી મળવાની શક્યતા ઘણી ઓછી છે એટલે સર્જરીનો નિર્ણય વિચારીને લેવો.’

    દીકરાનું માનવું હતું કે, ‘ગમે તે થાય સર્જરી તો કરાવી લેવી છે. પપ્પા થોડું પણ સાંભળી શકે તો ગનીમત.’

    કાગળ વાંચીને મેં લખ્યું, ‘બેટા, ડૉક્ટરની વાત સાથે સંમત છું. ખરેખર કહું તો ડૉકટરે મારા મનની જ વાત કહી છે. જો સર્જરીથી કોઈ ખાતરીબંધ પરિણામ ન મળવાનું હોય તો એ વાત પડતી મૂકી દે. બહેરાપણું મને સદી ગયું છે. હવે એના લીધે ઝાઝી પરેશાની નથી લાગતી.’

    *****

    હાશ, આગલા દિવસે ડૉક્ટર સાથે કરેલી વાતથી સર્જરીના નિર્ણયમાં આટલો ફરક પડ્યો એની નિરાંત અનુભવી રહ્યો.

    આગલા દિવસે ડૉક્ટરને મળીને જણાવી આવ્યો હતો કે, ‘હું આ સર્જરીની સાવ વિરુદ્ધ છું. હવે મને સાંભળવાની શક્તિ પાછી મેળવવાની કોઈ ઈચ્છા નથી. દીકરાએ ઉધાર લઈને સર્જરી માટે વ્યવસ્થા કરી છે એ મને જરાય મંજૂર નથી. હું સંજોગોને ધ્યાનમાં લઈને સર્જરીની ના પાડું છું એ જાણીને દીકરો દુઃખી થશે, મારી વાતનો વિરોધ કરશે.’

    અને ભારપૂર્વક વિનંતી કરી હતી,

    ‘કૃપા કરીને મારી આટલી મદદ કરશો? તમે જ એને કહેજો કે આ સર્જરીથી ઝાઝો ફાયદો થવાનો નથી.‘

    મારી વિનંતી ડૉક્ટરે માની.

    બસ, હવે શબ્દોની દુનિયામાંથી વિદાય લઈને સદાના માટે ‘સૂનકાર’ સ્વીકારી લીધો છે.


    માન્યમ રમેશકુમાર લિખિત કોલ્લૂરિ સોમ શંકર અનુવાદિત વાર્તા –‘શબ્દ’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • શહીદી

    અર્જુનસિંહ. કે. રાઉલજી

    અચાનક પવનનો જોરદાર ઝપાટો આવ્યો .કાચની બારી ફટાક દઈને બારીની જ ધાર સાથે અથડાઈ , હીંચકે બેઠી બેઠી પેપર વાંચતી સુમીના હાથમાંથી પેપર છૂટી ગયું , દૂર ખૂણામાં જઈને પડ્યું .બારીના કાચ તૂટી ગયા અને ખ..ણ..ણ.. અવાજ સાથે નીચે પડ્યા . દીઠાનું ઝેર છે ને ભાઈ , દીઠાનું .. એવું જ થયું . સુમી ઉભી થઈને હજુ તો કાચના નાના નાના ટુકડાઓ જોતી હતી , ત્યાં તો હરવિંદરના ફોટા ઉપરથી ફટાક થઈને બેઠેલી ચકલી ઉડી ,ફોટાને હચમચાવતી ગઈ , ફોટો દિવાલ ઉપરથી નીચે પડ્યો –હરવિંદરના ચહેરાના જાણે કે અસંખ્ય ટુકડાઓ થયા , તેની નીચેની ફરસ કાચ કાચ થઈ ગઈ .સુમી બારીના કાચ ભેગા કરવાના બદલે ફરસ ઉપર પડેલા ફોટાના કાચ અને તેની કરચો પાસે આવી .

    તેણે ધારી ધારીને જોયું , ફોટા ઉપર ચઢાવેલી સુખડની માળા પણ તૂટી ગઈ હતી , તેનો એકે એક મણકો જુદો પડી ગયો હતો . તેણે ટુકડા ટુકડા થઈ ગયેલા કાચમાં જોયું – તો તેમાં તેને હરવિંદરનો ચહેરો તો ના દેખાયો , પણ પોતાનો ટુકડા ટુકડા થઈ ગયેલો ચહેરો દેખાયો ..! તે નિરાશ થઈ ગઈ , ધારી ધારીને હરવિંદરનો ચહેરો શોધવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેને સફળતા ના મળી .મનોમન બબડી – મારું અક્ષત યૌવન તોડવાની તો તને નવરાશ ના મળી પણ ,તારો ચહેરો જોઈને હું મારું આ ભારરૂપ જીવન વિતાવતી હતી , તને તેની પણ અદેખાઈ આવી ગઈ મારા હરૂ ? કણ કણ થઈ ગયેલો ફોટામાંનો હરવિંદર જાણે કે તેના તરફ જોઈ કણ કણ હસતો હતો .

    તે ફરીથી મનોમન બોલી- જા તારી સાથે નહીં બોલું , તારી કિટ્ટા ..! પણ હરવિંદર ક્યાં સાંભળતો હતો ? હરવિંદર જ્યારથી તેને છોડીને ગયો ત્યારથી જાણે કે તેનો આજ ક્રમ થઈ ગયો હતો. કાયમ હીંચકે બેઠી બેઠી દક્ષિણ દીવાલે ટીંગાડેલા હરવિંદરના ફોટા સાથે વાતો કરતી રહેતી સ્વગત ..! તેનાથી એને પોતાના હરૂને મળ્યા જેટલો સંતોષ મળતો ..! જે કાંઈ ફરિયાદો હોય તે તેના હરૂને કરતી. ફોટામાંનો હરવિંદર તેની ફરિયાદો સાંભળતો પણ ખરો ,પણ કોઈ જવાબ આપતો નહીં –માત્ર મંદ મંદ હસતો રહેતો ,.

    તેના માટે તો તેનો હરૂ જાણે કે તેના ફોટામાં જ જીવતો હતો , તેમ છતાંય સુમીને હરવિંદર સાથે વાતો કરી હોય એટલો સંતોષ થતો .ફોટો જ તેનો એક માત્ર આધાર હતો , તે પણ તૂટી ગયો. તેણે ફોટા સામે જોઈ ફરીથી ફરિયાદ કરી –માત્ર આટલું જ સુખ બાકી રહ્યું’તું મારા જીવનમાં , તને મારા એ સુખની પણ અદેખાઈ આવી અને તેં એ સુખ પણ છીનવી લીધું ? પણ હરવિંદર તેના પ્રશ્નનો જવાબ આપવા ક્યાં હાજર હતો ?તે તો ફોટામાં ને ફોટામાં જ હસતો રહ્યો ..!

    હરવિંદર ગયો ત્યારથી જાણે કે તેના જીવનમાં અંધાર છવાઈ ગયો હતો , એ અંધાર ધીરે ધીરે વિસ્તરીને આખા ઘરમાં ફરી વળ્યો હતો , તે પાગલની જેમ –ભૂતની જેમ આખા ઘરમાં બહાવરી બહાવરી થઈને ફરી વળતી હતી , તેના જીવને ઘરના કોઈ પણ ખૂણે ચેન પડતું નહીં. છેવટે તે આ રૂમમાં આવતી , હીંચકે બેસતી, પગના ઠેલાથી હીંચકો હલાવતી અને હીંચકે ઝુલતાં ઝુલતાં હરવિંદરના ફોટા સામે, તેના ચહેરા સામે ટગર ટગર નાના બાળકની જેમ તાકી રહેતી તેના જીવને શાતા વળતી અને જીવન જીવવા જેવું લાગતું …!

    જ્યારથી હરવિંદર ગયો ત્યારથી જાણે કે તેના જીવનનો આજ ક્રમ થઈ ગયો હતો .મનમાં કાંઈક અસંતોષ જેવું લાગે ,મનને ચેન ના પડે કે મન અસ્વસ્થ થઈ જાય તેવી કોઈ ઘટના ઘટી હોય ત્યારે તે આ રૂમમાં આવી જતી , હીંચકે ઝુલતાં ઝુલતાં હરવિંદરના ફોટાને તાકી રહેતી , તેની સાથે વાતો કરતી , મનનો ઉભરો હરવિંદર સમક્ષ ઠાલવતી ,તેને પોતાને એમ લાગતું કે તેણે જાણે કે પોતાના હરૂ સાથે જ મનની વાત કરી છે ,મનને કાંઈક શાતા વળતી .. આ રૂમ ,આ હીંચકો અને હરવિંદરનો ફોટો જાણે કે તેની એકલતાનાં , તેની વિરહ વ્યથાનાં સાથી બની ગયાં હતાં,

    સુમીએ નિસાસો નાખ્યો ..! ગરમ ગરમ ઉચ્છવાસ બહાર પડ્યો .. તેણે હરવિંદરને જ ફરિયાદ કરી , તને મારી આ વાતની પણ અદેખાઈ આવી ..!? તેં મારૂં આ સુખ પણ છીનવી લીધું ?

    સુમીએ જાણે કે ડૂસ્કું મૂક્યું. તારી સાથે લગ્ન તો કર્યું પણ મારા કિસ્મતમાં સુખ જ નહોતું ..!

    ​અરે ..! તારા મ્રુત્યુના સમાચાર આવ્યા,  તારું ડેડબોડી અહીં લાવવામાં આવ્યું ત્યારે પણ, મને તારા ડેડબોડી સાથે એકાંતમાં વાત કરવાનો મોકો ના મળ્યો ..! તેં અને તારી શહીદીએ મારો એ મોકો, મારૂં એ સુખ પણ મારી પાસેથી છીનવી લીધું ..! કેટલી બધી પબ્લિક ભેગી થઈ હતી , માનવ મેદનીનો જાણે કે મહાસાગર ઉભરાતો હતો … પગ મૂકવાની પણ જગ્યા નહોતી …મને તારા ચહેરાનાં દર્શન કરવામાં પણ મુશ્કેલી પડી હતી ..! પછી તારી સાથે એકાંતમાં વાત કરવાનો તો પ્રશ્ન જ ક્યાં હતો? અને મારી સ્વગત બોલાતી વાત તું ક્યાંથી સાંભળી શકે ?

    અહીં તો” હરવિંદર અમર રહો ,વીર શહીદ અમર રહો , હરવિંદર ઝીંદાબાદ “ ના ગગનભેદી નારા લાગતા હતા, કોઈની વાતો કાને પડતી નહોતી ..! અને પછી તો સાત ધડાકાની સલામી … સેલ્યુટ ..માર્ચ પાસ્ટ … અને હું તારી સાથે વાત કરૂં , તારું મોંઢું ધરાઈ ધરાઈને જોઉં તે પહેલાં તો તિરંગામાં વીંટળાયેલા તારા દેહને એ લોકોએ ઉપાડી લીધો …મારી છાતી ગજ ગજ ફૂલતી હતી , પણ હૃદય તો જાણે કે ધબકારા ચૂકી જતું હતું , હું જીવતી જ કેમ રહી ?

    એ વાતનું જ મને આશ્ચર્ય થતું હતું .તારૂં ડેડબોડી જોઈને જ ચક્કર ખાઈને પડવી જોઈતી હતી , પણ એવું ના થયું –મારૂં નિષ્ઠુર દિલ બંધ ના થયું અને “ હરવિંદર અમર રહો … હરવિંદર ઝીંદાબાદ” સાંભળતી સાંભળતી હું બેભાન થઈ ગઈ ,જ્યારે ભાનમાં આવી ત્યારે તારો દેહ ભસ્મીભૂત થઈ ગયો હતો … લોકો તો રાજી થતા હતા , તું સરહદની રક્ષા કરતો કરતો શહીદ થઈ ગયો …તારું નામ અમર રહેશે ..! તારી ઝીંદાબાદ થતી હતી પણ મારૂં શું ? કોઈને મારી શહીદી દેખાતી નહોતી ..! તું તો મરીને અમર થઈ ગયો, પણ મારે તો જીવતે જીવ દોઝખની યાતના ભોગવવાની હતી. લોકો માટે તો તું અને તારી શહીદી તેમના દિલમાં જીંદા જ હતી, પણ મારૂં શું ? મેં તો પતિ ગુમાવ્યો હતો ,મારૂં જીવન ગુમાવ્યું હતું , મારો આધાર ગુમાવ્યો હતો ..હું શું કરૂં ? માત્ર તારા આ ફોટાના સહારે જ હું જીવતી હતી ..! કેટલી ઝીણી ઝીણી નકશી કરી કલાકારે તને ફોટામાં જીવિત કર્યો હતો, તારી શહીદીના માનમાં માત્ર અને માત્ર કાચ ઉપર નકશીકામ કરી તેને આ ફોટો તૈયાર કર્યો હતો અને તારી યાદ રૂપે મને ભેટ આપ્યો હતો ..! જ્યારે હું આ ફોટો જોતી ત્યારે તું મને હાજરાહજૂર જણાતો- મારી સાથે વાતો કરતો..! આ એક જ આધાર હતો મારા જીવનનો ..! તેં તે પણ છીનવી લીધો ,હવે કોઈ પણ સમસ્યા હશે તો હું ક્યાં જઈશ ? કોને પૂછીશ ? કોણ મારી સાથે વાતો કરશે ?

    સુમી જાણે કે ધ્રૂસ્કેધ્રૂસ્કે રડી પડી.

    ​હજુ તો બે મહિના પહેલાં જ .. તેનાં સાસુ-સસરા અને મમ્મી-પપ્પા તેના માટે એક સબંધની વાત લઈને આવ્યાં હતાં . છોકરો ભણેલો ગણેલો હતો,કોઈક કંપનીમાં મેનેજર હતો ,દેખાવડો અને હેન્ડસમ પણ હતો . સુમીના કુંવારા ઘડા પણ ઉતર્યા નથી અને તે અક્ષત યૌવના છે એવું જાણ્યા પછી તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો ત્યારે … સુમી હરવિંદરના ફોટા પાસે આવી કેટલું બધું રડી હતી, તે હજુ પણ હરવિંદરને ભૂલી શકી નહોતી , તો પછી પુનર્લગ્ન કરવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી ..! તેણે આ ફોટા સાથે જ વાતચીત કરી હતી અને નક્કી કર્યું હતું કે તે આજે તો નહીં પણ ક્યારેય ફરીથી લગ્ન નહીં કરે ! માત્ર હરવિંદરના ફોટાના સહારે , તેની યાદોના સહારે બાકીનું જીવન ખેંચી નાખશે , એજ ફોટો તૂટી ગયો ,જાણે કે તેનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં,હવે શું ?

    ​તેનો અને હરવિંદરનો સંસાર ક્યાં લાંબો ચાલ્યો હતો ?લગ્ન પહેલાં તેમની મુલાકાત પણ નહોતી થઈ. માત્ર તેણે હરવિંદરને ફોટામાં જોયો હતો અને તેના પપ્પાએ તેને વિડીયો કોલ કરી આપ્યો હતો તેના ઉપર તેને જોયો હતો અને થોડીઘણી વાતો પણ કરી હતી . તે મિલટરીમાં હતો એટલે તેને રજા મળતી નહોતી , પણ વિડીયો કોલમાં તેણે વચન આપ્યું હતું કે તે લગ્ન વખતે લાંબી રજા લઈને જ આવશે , અને એ લોકો લગ્ન પછી ગોવા ફરવા અને હનીમુન ઉજવવા જશે , આથી તેને એ દિવસોનો ઇંતજાર હતો પણ ..!

    કુદરતને કદાચ એ મંજૂર નહોતું. તેનાં લગ્ન થઈ ગયાં .જાન પાછી આવી, હજુ તો તેમના છેડાછેડી છોડવાના બાકી હતા, તેમનાં હાથનાં મીંઢણ પણ છુટ્યાં નહોતાં , હરવિંદરના ઘેર તેને પોંખવાની વિધિ ચાલતી હતી અને તેના હેડક્વાર્ટર ઉપરથી ઇમરજન્સી લાઇટિંગ કોલ આવ્યો…પુલવામામાં આતંકવાદી હુમલો થયો છે અને તેણે તાત્કાલિક ફરજ ઉપર હાજર થઈ જવું ..!

    હજુ તો સુહાગરાત પણ મનાવી નહોતી અને તેને જવાનું આવ્યું . સુમીનાં સાસુ-સસરાએ તો કહી દીધું કે –આપણે ફરજ ઉપર નથી જવું , તું રીઝાઇન કરી દે , પણ સુમી જ વચ્ચે પડી ..દેશ પહેલો, રાષ્ટ્રપ્રેમ પહેલો, એ પહેલી ફરજ … એ પાછો આવશે , નહીં આવે તો આ તો ભવોભવનાં બંધન છે –એમ કાંઈ થોડાં તૂટવાનાં છે ? તેણે હરવિંદરને સરહદ ઉપર જવાની અને દેશના રક્ષણ માટે પોતાની ફરજ અદા કરવાની છૂટ આપી . મીંઢળબાંધ્યા હાથે અને રડતી આંખોએ તેણે પોતાના હરવિંદરને વિદાય આપી ..!

    એ પ્રસંગ યાદ આવતાં સુમી છૂટા મોઢે ફરીથી રડી પડી .એ ગયો તે ગયો … પાછો મીંઢળ છોડાવવા પણ ના આવ્યો…આવ્યો માત્ર તેનો નિર્જીવ દેહ –ત્રિરંગામાં લપેટાયેલો ..! આજની ઘડી અને કાલનો દિવસ .તે દિવસથી સુમી જીવતી હતી –એક લાશની જેમ ..! માત્ર અને માત્ર તેના આ ફોટાના સહારે ..તેને આ ફોટો ખૂબ જ ગમતો હતો ..તેમાંનો હરવિંદર જાણે કે જીવતો જાગતો હતો –તેની સાથે વાતો કરતો હતો , તેની સમસ્યાઓનું સમાધાન કરતો હતો .સુમીને સમજાતું નહોતું કે તેણે હવે શું કરવું ?

    –તું આટલો નિર્દયી હોઈશ એની મને ખબર નહોતી મારા હરૂ ! તેં મારો આ છેવટનો આધાર પણ છીનવી લીધો “

    સુમી બૂમ પાડીને હરવિંદરના કણ કણ થઈ ગયેલા ફોટાને પૂછતી હતી.

    –મને કહે તો ખરો કે હવે મારે કોના સહારે જીવવું ?તું તો પાછો આવવાનો નથી ..!

    સુમી જાણે કે ગાંડાની માફક જ બૂમો પાડતી હતી..

    પણ … તો એ શું કહે ખબર છે ?

    કહે ‘ ઉઉલાલા ‘ “ તું શું કામ ચિંતા કરે છે ?ફોટો તૂટી ગયો’તો શું થઈ ગયું ? હું તો તારા દિલમાં હજુ પણ હયાત છું , તારા દિલમાં રહું છું અને જીવું છું ,તારે આ નિર્જીવ ફોટાની શી જરૂર છે ! ‘

    કોણ બોલ્યું … સુમીએ ચારે બાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહીં .અવાજ તો હરવિંદરનો જ હતો.. તેણે કણ કણ થઈ ગયેલા ફોટાની કરચો તરફ નજર કરી ,તો તેનો હરૂ જાણે કે હજુ પણ હસતો હતો ..!

  • સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ – ભીતરનો ભેરુ

    આલેખનઃ રાજુલ કૌશિક

    અવિનાશ વ્યાસ માટે એવું કહેવાય છે કે એમના ભજનો એટલે શબ્દની આંખે અને સ્વરની પાંખે આતમને જગાડતા ભજનો.

    એક સુગમ સંગીતના કાર્યક્રમમાં અવિનાશ વ્યાસ માટે કહેવાયેલી વાત આજે યાદ આવે છે, “ માણસ જ્યારે ભીતરથી શાંત અને સભર હોય ને ત્યારે બહાર કોલાહલ, દેકારો કે ખળભળાટ ઓછો કરશે..”

    અવિનાશ વ્યાસ પણ કદાચ એટલે જ આટલા શાંત હતા કારણકે એ અંદરથી સભર હતા. અવિનાશ વ્યાસના ભજનોમાં આ બળ છે જે આપણને અંદરથી સભર અને શાંત કરે છે.

    અંદર સભર હોવું એટલે અપેક્ષારહિત હોવું. જે અંદરથી સભર અને અપેક્ષારહિત છે એ સ્વકેંન્દ્રી ન રહેતાં સર્વકેન્દ્રી બની રહે. જેના મનમાં સર્વ માટેનો ભાવ છે એમના માટે પરજન પણ સ્વજન સમા.. એવો આપણે સીધો સાદો અર્થ કરીએ તો એ વાત પણ અવિનાશ વ્યાસ માટે કરી શકાય.

    અવિનાશ વ્યાસ માત્ર ગીતકાર કે સંગીતકાર તરીકે નહીં, માનવી તરીકે કેવા હતા એની વાત કરતાં ગુજરાતી ફિલ્મોના સિનિયર ગીતકાર કેશવ રાઠોડે પોતાનો અનુભવ વર્ણવ્યો છે એ કહે છે કે, ‘એક ફિલ્મનાં ગીતો હું લખતો હતો. મારા પરિવારમાં એક નિધન થતાં મારે ત્યાં દોડવું પડયું. ફિલ્મનું એક ગીત અવિનાશભાઈએ રચીને રેકોર્ડ કરાવી લીધું. મહેનતાણાની વાત આવી ત્યારે એમણે પ્રોડયુસરને કહી દીધું કે કેશવ રાઠોડ આ ફિલ્મના ગીતકાર છે. મહેનતાણું એમને આપી દો…”

    ક્યારે કોઈ આવું કહી કે કરી શકે ? મનમાં કશે પહોંચી જવાની કે કંઈક પામવાની લાલસા ન હોય કે કોઈ સ્પર્ધા કે અપેક્ષાના ભાવ ન હોય ત્યારે જ ને?

    સ્વભાવની આવી સરળતા હોય ત્યારે જ ભગવાનનું નામ આસાનાથી હૈયે આવે. આજે અવિનાશ વ્યાસના એવા ગીતો જેને આપણે ભજનની કક્ષાએ મુકી શકીએ એવા ગીતોની વાત કરવી છે.

    અવિનાશ વ્યાસના ભજનોમાં એવું બળ છે જે આપણને અંદરથી, અંતરથી શાંત અને સભર કરી દે. આગળ કહ્યું તેમ અન્યની જેમ અવિનાશ વ્યાસને ભજનિકોની કક્ષાએ મુકી શકાય કે કેમ એ એક સવાલ છે પરંતુ એમના ભજનો સાંભળીએ તો એ આપણો આત્મા જાગ્રત તો જરૂર થાય છે જ.

    સામાન્ય રીતે ભજનો માટે એવું કહેવાય છે કે ભજનો કે ભગવાનનું નામ આત્માનો ઉદ્ધાર કરે એ પહેલાં આત્માને ઉદ્ધાર માટે સજ્જ કરે છે. અવિનાશ વ્યાસના ભજનો આપણા ભીતરના આત્માની ચેતના જાગ્રત કરતાં ભજનો છે. પણ જ્યારે આપણા ભીતરના ભેરુ જેવો આત્મા જ ખોવાયો હોય ત્યારે શું?

    આડી-અવળી ચાલી જતી ડગર પર કોઈ એક તો ભોમિયો છે જે આપણને આ ભવાટવીમાં ભૂલા નહીં પડવા દે એવી નિશ્ચિંતતાથી ચાલ્યા જતા હોઈએ અને અચાનક એવું લાગે કે જેના ભરોસે આગળ વધી રહ્યા હતા એ જ મારગને ચીંધનારો ક્યાંક અટવાયો છે ત્યારે? આપણા જીવનપથનો સાચો માર્ગદર્શક આપણો આત્મા પણ ક્યારેક મૂંઝાય કે અટવાય ત્યારે ?

    ત્યારે અવિનાશ વ્યાસના આ શબ્દો યાદ આવે….…

    “ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
    મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
    વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો …

    આમ તો ઈશ્વરને કોણે જોયા છે? એ નિરાકાર અને તેમ છતાં આપણે ઈશ્વરમય થઈ શકીએ છીએ. એને જોતાં નથી તેમ છતાં એની હાજરી, એનું અસ્તિત્વ છે એમ સ્વીકારી શકીએ છીએ. એનું કારણ આપણી એના પરની શ્રદ્ધા પણ ક્યારેક એવું બને કે જાણે આપણી અંદરથી એક જાતનો ખાલીપો સર્જાય. આપણી ચેતામાં જાણે કોઈ શૂન્યાવકાશ સર્જયો હોય એવું લાગે. કોઈ સૂઝબૂઝ કામે ન લાગે એવી સ્થિતિમાં અવિનાશ વ્યાસના આ શબ્દો, આ રચના આપણા માટે જ લખાઈ હોય એવી અનુભૂતિ થાય.

    એ કહે છે,

    એના રે વિના મારી કાયા છે પાંગળી,
    આંખ છતાંય મારી આંખો છે આંધળી,
    મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
    સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો…

    પા પા પગલી માંડતું બાળકને જેની આંગળી ઝાલીને ચાલતા શીખે ત્યારે એ અણસમજુ બાળકને પણ અંદરથી એક વિશ્વાસ હોય કે જે મારો હાથ ઝાલીને દોરે છે એ મને પડતાં પહેલાં સાચવી લેશે. એવા જ અનન્ય વિશ્વાસ સાથે આપણે ઈશ્વર સાથે જોડાયેલા છીએ. એ છે તો આપણી અંદરનું, આપણી આસપાસનું વિશ્વ સલામત છે પણ કોઈ એવી કાચી ક્ષણે ઈશ્વર પરની અપાર શ્રદ્ધા હોવા છતાં ક્યારેક આપણે ભીતરથી ડગમગીએ છે એવી લાગણી થાય. અચાનક આપણે અનુભવીએ કે જાણે આપણા ભીતરી વિશ્વને, આપણા આત્માને ઈશ્વરની સાથે આપણને, જોડી રાખતો સેતુ તુટ્યો છે. દિશાસૂચક દીવાદાંડી ભલે દૂર છે પણ એ છે ત્યાં સુધી આપણે સાચી દિશાએ જઈ રહ્યા છીએ એવા વિશ્વાસ સાથે સફર આદરી હોય અને ઘેરા ધુમ્મસ આડે એ દીવાદાંડી જ ન દેખાય અતિ કપરી દશામાં આપણે ફંગોળાઈ ગયા હોય એવો ભય જાગે. એવી રીતે આ ભવસાગરની સફરમાં આત્માને ઉજાસ આપતી દીવાની શગ જેવી ઈશ્વર પરની શ્રદ્ધા આડે મનમાં અવઢવની જે આંધી ઉમટે અને ક્યારેક નિસહાયતા અનુભવાય. બ્રહ્માંડમાં સૌથી વધુ તાકાતવર ઈશ્વરીય શક્તિ પછીની શક્તિ છે આપણું મન, આપણો આત્મા. ઈશ્વર સાથે સૂર સાધતો આત્મારૂપી તાર-લય તૂટે અને આખી સૂરાવલી જાણે છૂટી જાય અને પ્રલય જેવી આંધી ઉમટી હોય એમાં સઘળું ડામાડોળ થઈ જાય.

    તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
    તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
    કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
    આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો…..

    શક્ય છે આ ભાવ, આ અનુભૂતિ આપણા જીવનમાં પણ ક્યારેક સંભવી હોય ફક્ત એ વ્યક્ત કરવા માટે આપણી પાસે શબ્દો નથી જે અહીં અવિનાશ વ્યાસ પાસે છે.

     


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં મે ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Art Creations for May 2026

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • દરેક સંજોગોમાં, અસરકારક અગ્રણી સકારાત્મક અભિગમ જાળવી રાખે છે

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    નેતા કેવી રીતે વાતચીત કરે છે,  તે પોતાના વ્યક્તિત્વને કેવી રીતે રજૂ કરે છે એવાં સંવાદનાં વિવિધ પાસાંઓ અસરકારક નેતૃત્વનાં મૂળમાં છે.

    થોડા વર્ષો પહેલા, હું પ્રોજેક્ટના અગ્રણીઓ સાથે ચર્ચાનું આયોજન કરી રહ્યો હતો. ચર્ચાનું ધ્યેય પ્રક્રિયાઓમાં સુધારા માટેની તકો ઓળખવાનું હતું. શરૂઆતની થોડી મિનિટોમાં મને સમજાવા લાગ્યું કે વાતચીત યોગ્ય દિશામાં ચાલી રહી નથી. પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા મોટાભાગના સહભાગીઓએ ફક્ત તેમની લડાઈઓની અને સંઘર્ષની અને અત્યાર સુધીની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા. તેઓ સમસ્યાના લક્ષણો અને અસરો પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમસ્યાના (સંભવિત) મૂળ કારણ પર તેઓનું ધ્યાન કેન્દ્રિત નહોતું થઈ રહ્યું.

    સમસ્યાઓને બદલે ઉકેલો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારે થોડો પ્રયાસ કરવો પડ્યો. પરંતુ એ પ્રયાસોને કારણે હું બેએક બાબતો શીખી શક્યો:

    • અસરકારક નેતાઓ સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખે છે. સામનો કરવાની જરૂર છે એવી સમસ્યાઓ છે તેમાં બેમત ન હોઈ શકે. સમસ્યા વિશે નકારાત્મક ચર્ચા ફક્ત સમસ્યા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મર્યાદિત હોવી જોઈએ. એકવાર સમસ્યા (એટલે ​​કે મૂળ કારણ) જાણી લેવામાં આવે, પછી સમસ્યા વિશે વારંવાર ગાવાનો કોઈ અર્થ નથી. ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અગ્રણીઓને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવવામાં મદદ મળે છે.
    • અસરકારક અગ્રણીઓ અંતિમ પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અગ્રણીના મનમાં ઉદ્દેશ્ય હંમેશાં કેન્દ્રમાં રહેવો જોઈએ. પ્રોજેક્ટ દરમિયાન કરવામાં આવેલી બધી ‘પ્રવૃત્તિઓ’ અને ‘સમસ્યાઓનું નિરાકરણ’ એ નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવાના સાધન છે. પરંતુ ક્યારેક, અગ્રણીઓ સાધનોમાં એટલા ડૂબી જાય છે કે સાધ્ય (પરિણામ) દૃષ્ટિ સામેથી ખોવાઈ જાય છે. જે લોકો ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા કૃતનિશ્ચય તે ઉદ્દેશ્યોને સતત પોતાની સામે રાખે છે.
    • અસરકારક અગ્રણીઓ તેમની વાતચીત – સંવાદ પ્રત્યે સભાન હોય છે. તેઓ દરેક શબ્દની અસર જાણે છે. તેઓ તેમની વાતચીત જે (ગર્ભિત તેમજ સ્પષ્ટ) સંદેશાઓ પહોંચાડે છે તેના વિશે તેઓ સભાન હોય છે.

    મેં તાજેતરમાં ટ્વિટર પર આ મુજબ વાંચ્યું – સંવાદ એ નેતૃત્વનું ચલણ છે.

    દરેક અગ્રણીએ સંવાદની બાબતે પોતાને પૂછવા જોઈએ તેવા કેટલાક પ્રશ્નો અહીં આપ્યા છે:

    • આ સંવાદ મને મારી ટીમના લોકો પાસેથી ઇચ્છિત પ્રદર્શન/પરિણામો મેળવવામાં કેવી રીતે મદદ કરી રહેલ છે?
    • આ સંવાદ કાર્યસિદ્ધિ કરવા માટે જરૂરી જ્ઞાનને કેટલી અસરકારક રીતે હસ્તાંતરિત કરે છે?
    • આ સંવાદ લોકોના ટીમના, અને તેમનાં પોતાનં, ધ્યેય પ્રત્યેના માનસિક અને ભાવનાત્મક જોડાણને કેવી રીતે મજબૂત બનાવી રહેલ છે?
    • આ સંવાદ મને સંબંધો બનાવવામાં, અને જાળવી રાખવામાં, કેવી રીતે મદદરૂપ બની રહેલ છે?

    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સાર્વભૌમ વ્યૂહરચનાનો ગંજ – મંચ સજ્જાનું સ્થાપત્ય

    ધંધેકા ફંડા

    ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself!સાર્વભૌમ કાર્યસૂચિ – દબાણ હેઠળનાં અમલીકરણથી સ્વેચ્છાપૂર્વકનો અમલ પર આવીને અટક્યાં હતાં. હવે એ માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના ત્રીજા પડાવ વિશે વિચાર કરીએ ….

    ઉત્પલ વૈશ્નવ

    મોટાભાગના લોકોનું ધ્યાન સાધનો પર કેન્દ્રિત રહેતું હોય છે. તેઓ નવાં નવાં સોફ્ટવેર, ઉત્પાદકતા માટેનાં નવીનતમ હેક કે પછી ખોટાં નીવડેલાં કામોના કચરાને સાફ માટેની ઝડપી રીત જેવાં સાધનોની શોધમાં રહેતાં હોય છે. આ બધાં સપાટીના સ્તરનાં કાર્ય છે, જે ખરેખર શક્તિ ઉત્પન્ન કરતા માળખાકીય સ્તરોને નજરઅંદાજ કરતાં રહે છે,

    સાર્વભૌમ વ્યૂહરચનાનો ગંજ (The Sovereign Strategy Stack) એ ખેલને ધારી દિશામાં દોરવણી કરવાની વ્યુહરચનાના બોર્ડનું વિવિધ સ્તરનું સ્થાપત્ય છે. તેનો આધાર એક જ , લાગણીહીન, કાયદા પર આધારિત છે: અંદર ® બહાર. તમારા સાધનો (બહાર)ને અપગ્રેડ કરતા પહેલા તમારે તમારી વિચારસરણી (અંદર)ને અપગ્રેડ કરવી આવશ્યક છે.

    સ્ટેકનું સ્થાપત્ય:

    સ્ટેક એક કેન્દ્રિય પ્રણાલી છે જ્યાં દરેક સ્તર તેની નીચેના સ્તરની અસરકારકતાનો ગુણાકાર કરે છે. જો તમે કોઈ સ્તર છોડી દો, તો તમે હેતુ સિદ્ધ કરવાની લાભદાયક સ્થિતિ પરની પકડ ગુમાવો છો.

    સ્તર I: વ્યૂહાત્મક વિચારસરણી (પાયો)

    આ સૌથી આંતરિક – હાર્દ સમાન – સ્તર છે. તે ફક્ત ઘટનાઓ જ નહીં, પણ ઘટનાઓ થવાનાં વલણને શોધવાની ક્ષમતા બક્ષે છે.

    • નાભિ કેન્દ્ર: બીજા ક્રમની અસરોને સમજવી અને એ અસરો થવા લાગે તે પહેલાં ન ધારેલી બાબતોનું આયોજન કરી રાખવું.
    • સ્થપતિની ચાલ: બજારમાં થઈ રહેલાં પરિવર્તનોના ઝુકાવ પર પ્રતિક્રિયા આપવાની જગ્યાએ અંતર્ગત રહેલી તંત્રવ્યવસ્થાનું ફેરઘડતર કરવાની પૂર્વતૈયારી તરફ તૈયાર રહેવું.

    સ્તર II: અમલીકરણ પ્રયુક્તિઓ (કૃત્ય)

    પ્રયુક્તિઓ વ્યૂહાત્મક આંતરસૂઝને નક્કર ચળવળમાં રૂપાંતરિત કરે છે.

    • નાભિ કેન્દ્ર : સરળ, નજર સામે રહે એવાં કાર્યસિદ્ધિ કોષ્ટકો વડે પ્રગતિ પર નજર રાખતા રહેવું અને મહત્તમ અસર માટે સંસાધનોને ઈષ્ટતમ કરતાં રહેવું.
    • સ્થપતિની ચાલ : “વ્યસ્તતા” ને અમલીકરણ સાથે ગુંચવાવા ન દેવું. જો પ્રયુક્તિ વ્યૂહાત્મક પ્રવાહને અનુરૂપ ન હોય, તો તે વ્યય છે.

    સ્તર III: નિર્ણય માળખાં (ગળણું)

    નિર્ણય પ્રક્રિયાનું માળખું જ્ઞાનનો ભાર બન્યા વિના માહિતી સામગ્રી એકઠી કરવા, નિર્ણય લેવા અને યોગ્ય રીતે સુસંગત ગોઠવણી કરવાનું શક્ય બનાવે છે.

    • નાભિ કેન્દ્ર : માહિતી સામગ્રી, લોકો અને સમય વચ્ચેનાં ટપકાંઓને એવી રીતે જોડવાં જેથી આંતરસૂઝ અનેકગણી વધે.
    • સ્થપતિની ચાલ: બાહ્ય વિચારની શક્તિ કેળવવી. આંતરસૂઝને સુગઠીત રાખવી જેથી વર્તમાનનો દરેક નિર્ણય ભવિષ્યના નિર્ણયને સરળ બનાવે.

    સ્તર IV: ધ્યેયો, અમલ અને અનુકૂલન (પુનરાવર્તન)

    આ સ્તર ખરેખર થયેલ પ્રગતિનું નિરીક્ષણ કરે છે અને જે અસરકારક નીવડેલ છે તેને નિશ્ચિત ધોરણ તરીકે પ્રમાણિત કરે છે.

    • નાભિ કેન્દ્ર : બહુ જ સ્પષ્ટ ઉદ્દેશ્યો પ્રસ્થાપિત કરવા અને પરીક્ષણ, માપન અને અનુકૂલનનાં સમીક્ષા ચક્ર ત્વરિત સમયગાળામાં રહે એ મુજબ ગોઠવવાં.
    • સ્થપતિની ચાલ : સફળ નીવડેલ ચાલને નિશ્ચિત ધોરણ તરીકે પ્રમાણિત કરવી; નિષ્ફળતાઓને લાગણીશીલ થયા વિના ઠીક કરવી, કે પછી દૂર કરવી.

    સ્તર V: નેતૃત્વ માટેની માનસિકતા (સત્તા)

    આ સૌથી બાહ્ય સ્તર છે જ્યાં વ્યૂહરચના જાહેર બને છે. આ તબક્કે વિચારસરણીઓનો મનમેળ અને આપસી ભરોસો મહત્વનાં છે.

    • નાભિ કેન્દ્ર : પૂર્વધારણાઓને ચકાસતા પ્રશ્નો કરવા અને સ્પષ્ટ, વિગતવાર વૃતાન્તનાં સ્વરૂપે જણાવાયેલ દૃષ્ટિકોણની સાથે ટીમોને સાંકળવી.
    • સ્થપતિની ચાલ: ઠંડા દિમાગ વડે ઘડેલ વિશ્વનીય વ્યૂહરચના ટીમને જણાવવી. જટિલ આંટીઘુંટીઓને બદલે સરળ અભિગમ અપનાવવો જેથી ટીમો એક સંગઠિત એકમ તરીકે આગળ વધે.

    ગુણક નિયમ

    તમારા નેતૃત્વની અસરકારકતા સીધી લીટીની સંખ્યા નથી; તે આ બધાં સ્તરોનો ગુણાકાર છે.

    અંદર® બહાર: જો તમારી વ્યૂહાત્મક વિચારસરણી ખોખલી છે, તો તમારાં નેતૃત્વની માનસિકતા નર્યો ઘોંઘાટ છે. જો તમારા નિર્ણય માળખા તૂટી પડ્યાં છે, તો તમારું અમલીકરણ ફક્ત તીવ્ર વેગ ધરાવતું, પરંતુ, લક્ષ્યહીન તીર છે.

    વ્યૂહરચનાનું ઓડિટ :: સ્ટેકની ખામીઓ દૂર કરવી

    જ્યારે કોઈ પ્રોજેક્ટ અટકી જાય અથવા કોઈ સાહસ નિષ્ફળ જાય છે, ત્યારે આર્કિટેક્ટ નવા સાધનો શોધતો નથી; તે સૌ પહેલાં તો સ્ટેકની ખામીઓ દૂર કરે છે.

    લક્ષણ સંભવિત માળખાકીય નિષ્ફળતા
    ઊંઘતાં ઝડપાવું સ્તર Iની નિષ્ફળતા દ્વારા પકડાયેલ: ઘટનાઓનાં વલણને બદલે એક એક ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરો.
    ઉચ્ચ કક્ષાના પ્રયાસ, ખાલીખમ કાર્યસિદ્ધિ કોષ્ટક સ્તર IIની નિષ્ફળતા: કાર્યસિદ્ધિ કોષ્ટક સાથે અસંગત થયેલ પ્રયુક્તિઓ.
    પુનરાવર્તિત ભૂલો સ્તર IIIની નિષ્ફળતા: ગુણક કક્ષાના નિર્ણય માળખાનો અભાવ.
    જડ/બરડ વ્યૂહરચના સ્તર IVની નિષ્ફળતા: વાસ્તવિક-જાહેર માહિતી સામગ્રી સાથે અનુકૂલન કરવામાં અસમર્થતા.
    ટીમનું વિખરાયેલાં રહેવું સ્તર Vની નિષ્ફળતા: સ્પષ્ટ, વિગતવાર વૃતાન્ત અને દીર્ઘદૃષ્ટિ વચ્ચે એકરાગનો અભાવ.

     

    આ સ્ટેકનો ઉપયોગ કેવી રીતે કરવો

    ૧. સૌથી નબળા સ્તરને ઓળખો: જ્યાંથી તમને બહુ સહેલું લાગે ત્યાંથી શરૂઆત કરશો નહીં. સ્ટેકનું ઑડિટ કરો અને એ સ્તર શોધો જે હાલમાં સૌથી વધુ લાભદાયક પરિસ્થિતિને નુકસાન પહોંચાડી રહેલ છે.
    ૨. એક ઊચ્ચ સ્તરની ડિઝાઇન કરો: તે સ્તર માટે એક ચોક્કસ ઉચ્ચ કક્ષા પસંદ કરો (દા.ત., નવું નિર્ણય ફ્રેમવર્ક અથવા વધુ આક્રમક ધ્યેય નક્કી કરવાનાં પુનરાવર્તન ચક્ર).
    ૩. ચાલ ચાલ્યા પછીની સ્થિતિની સમીક્ષા કરો: દરેક મુખ્ય નિર્ણય અથવા વ્યુહરચનાની  ચાલ પછી, સ્ટેકની સમીક્ષા કરો કે કયું સ્તર નિષ્ફળ ગયું કે સફળ થયું.

    ધ્યેય વધુ સાધનો રાખવાનું નથી. ધ્યેય બોર્ડને અંદરથી બહારથી દોરી જવાનું છે.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • આર્થિક નાદારી સાંભળી છે, પણ જળ-નાદારી હવે સર્વવ્યાપી છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ‘નાદારી’ (બેન્કરપ્સી) શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મુખ્યત્વે આર્થિક બાબત માટે વપરાતા આ શબ્દનો સાદો અર્થ થાય, ‘દેવું ચૂકવવા માટે અસમર્થ હોય એવી સ્થિતિ અને તેની વિધિસર જાહેરાત.’ તેની કાનૂની વ્યાખ્યા અને અર્થઘટનમાં જવાની જરૂર નથી, કેમ કે, અહીં આ શબ્દનો સંદર્ભ અન્ય બાબતે છે.

    ‘યુનાઈટેડ નેશન્‍સ યુનિવર્સિટી ફોર વોટર, એન્‍વાયર્ન્મેન્ટ એન્ડ હેલ્થ’ના ડાયરેક્ટર કાવેહ મદાનીએ એક અહેવાલ તૈયાર કર્યો છે, જે ચર્ચામાં છે. આ અહેવાલનું શિર્ષક છે ‘ગ્લોબલ વૉટર બેન્‍કરપ્સી સિપોર્ટ’. આ અહેવાલ જળસંકટને જરા જુદી રીતે સમજાવે છે. મદાનીએ ‘વૉટર બેન્‍કરપ્સી’ જેવો શબ્દ પ્રયોજ્યો છે, જેને ગુજરાતીમાં ‘જળ-નાદારી’ કહી શકાય. આ શબ્દ કાને પડતાં એમ લાગે કે પાણીના ઊપલબ્ધ જથ્થા અને તેની માંગ અથવા ઊપયોગ વચ્ચે જે અસંતુલન છે તેની વાત હશે.

    આથી પહેલાં તો એ સમજી લેવાની જરૂર છે કે જળસંકટ અને જળનાદારી બન્ને સાવ અલગ બાબતો છે. જળસંકટ એક એવી સ્થિતિ છે જે પ્રાકૃતિક અછત, અત્યધિક ઊપયોગ, કે માળખાકીય સુવિધાના અભાવને કારણે પેદા થઈ શકે. આવી સ્થિતિ અસામાન્ય ગણાય, પણ તેમાં એટલું આશ્વાસન હોય છે કે એ સ્થિતિમાં ઘટાડાની યા સુધારાની શક્યતા હોય છે. આ અહેવાલમાં નિષ્ફળતાની એવી સ્થિતિ જણાવવામાં આવી છે કે જે જળસંકટ પછી પેદા થાય છે. એ પેદા થવાનું કારણ એ કે ક્યાંય સુધી આપણે જેટલું ઉપલબ્ધ હતું તેની સરખામણીએ ક્યાંય વધુ પાણીનો વપરાશ કરતા રહ્યા અને આપણી પર્યાવરણપ્રણાલિને નુકસાન પહોંચાડ્યું.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    અહેવાલ અનુસાર આપણું ‘કરન્‍ટ અકાઉન્‍ટ’(ચાલુ ખાતું) એટલે કે નદીઓ, સરોવરો તેમજ અન્ય જળાશયો ખાલી થઈ ચૂક્યાં છે. જળવાયુ પરિવર્તન પાણીની આવકને ઘટાડી રહ્યું છે, કેમ કે, વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. આને લઈને આપણું ‘પ્રોપર્ટી અકાઉન્‍ટ’ (સંપત્તિ ખાતું) એટલે કે ભૂગર્ભ જળ સૂકાઈ ગયું છે. બીજી તરફ ખેતી માટે, જીવનજરૂરિયાત માટે, ડેટા સેન્‍ટરો તેમજ પાવર પ્લાન્‍ટ માટે પાણીની માંગ ઉભી જ છે. શરૂઆતમાં આપણે કરજ લઈને ચલાવીએ છીએ એટલે કે પ્રકૃતિનું દોહન કરીએ છીએ. પણ એ લાંબો સમય ચાલી શકતું નથી, અને આખી પ્રણાલિ ધીમે ધીમે ખતમ થવા લાગે છે. નદીઓ સંકોચાઈ જાય છે, પ્રદૂષિત થતી રહે છે, જળાશયો અને આર્દ્ર ભૂમિ સૂકાઈ જાય છે. ભૂસ્ખલન, રણીકરણ, ધૂળ અને રેતીની આંધી, દાવાનળ, જૈવવિવિધતાને નુકસાન તેમજ હીમનદીઓ પીગળવાને કારણે સર્જાતી પૂરની સ્થિતિ! આ નવી વાસ્તવિકતાઓ પેદા થતાં હવે જૂની શબ્દાવલિ પણ પુનર્વિચાર માગી લે છે. અહેવાલમાં ઊલ્લેખાયા અનુસાર, ‘જળનાદારી’ સમજીએ તો આપણે નુકસાન ઘટાડી શકીએ છીએ, ભાવિ નુકસાનને અટકાવી શકીએ છીએ અને નવી વાસ્તવિકતાઓ અને મર્યાદાનો સ્વીકાર કરી શકીએ છીએ, જેના આધારે આપણે આપણી કાર્યપદ્ધતિને પણ નવેસરથી ગોઠવવી પડશે.

    એવો સવાલ જરૂર થાય કે શું જળનાદારી માટે વૈશ્વિક તાપમાન અને જળ વ્યવસ્થાપન બન્ને જવાબદાર છે? આ જાણવા માટે કેટલીક મૂળભૂત બાબતો સમજી લેવા જેવી છે. જળપ્રણાલિ એકદમ સંકુલ હોય છે. તેમાં કારણ અને પરિણામનો સંબંધ સીધેસીધો અને સપ્રમાણ નથી હોતો. આથી એ નક્કી કરવું મુશ્કેલ છે કે કયા કારણની અસર કેટલી છે. જળવાયુ પરિવર્તનને કારણે ઘણા વિસ્તારોમાં પાણીની ઊપલબ્ધતા ઘટી છે. વરસાદની તરાહ, માત્રા અને આવર્તન પણ બદલાયાં છે. હીમનદીઓ પીગળી છે અને જળચક્ર પણ અસરગ્રસ્ત થયું છે. મોટા ભાગના બંધ જળાશયો અને આંતરરાષ્ટ્રીય જળસંધિના જૂના, ઐતિહાસિક આંકડાના આધારે બનાવાયા હોવાથી હવે જળવાયુ પરિવર્તન, જમીનના હેતુફેર તેમજ અન્ય કારણોસર પ્રસ્તુત નથી રહ્યા. અહેવાલમાં આમ જણાવાયું હોવાની સાથોસાથ એમ પણ કહેવાયું છે કે જળવાયુ પરિવર્તને એ બાબતો નક્કી નથી કરી કે ભારત, સાઉદી અરેબિયા કે અમેરિકામાં ખેતી કેટલી થશે કે આપણાં શહેરો ક્યાં બનશે. એ તો આપણે પોતે જ ઊભી કરેલી વ્યવસ્થા છે. નદીઓ અને આર્દ્રભૂમિનું સંકોચાવું એક પ્રકારે ‘પ્રતિસાદ અસર’ પેદા કરે છે. પ્રતિસાદ અસર એટલે કોઈ પણ કાર્યના પરિણામ કે પ્રતિભાવ દ્વારા મૂળ કાર્ય પર પડતી અસર. આમ, આવા એકમેક સાથે જોડાયેલા કારકોને આપણે ભૂલી જઈએ છીએ અને દોષનો ટોપલો જળવાયુ પરિવર્તન જેવા કોઈ એક જ પરિબળને માથે ઠાલવી દઈએ છીએ.

    એટલે જળનાદારીનાં બે મુખ્ય કારણ છે. પહેલું તો પાણીની સુલભતાની સરખામણીએ તેની માંગ વધુ હોવી. અને બીજું આ અસંતુલન લાંબા અરસા સુધી રહેવાને કારણે થયેલું કાયમી નુકસાન, જેને ભરપાઈ કરવું શક્ય નથી.

    સમસ્યા અતિ ગંભીર છે, અને તેના ઊકેલ માટે ભૂગોળ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનું વૈવિધ્ય સમજવું જરૂરી છે. પાણીની અછતને કારણે પેદા થતી તાણ અને તેની ગંભીરતાની પરિભાષા પ્રત્યેક સ્થળ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. ભૂસ્ખલન થયું હોય એવા વિસ્તારોમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ શકે એ શક્યતા દેખીતી રીતે મુશ્કેલ જણાય.

    આખા અહેવાલનો સાર એટલો કે આપણે જળનાદારીથી ઊભી થયેલી ગંભીર સમસ્યાઓ બાબતે હજી વિચાર સુધ્ધાં કર્યો નથી. આ પરિસ્થિતિને લક્ષમાં લઈએ તો જળ વ્યવસ્થાપનનું સમૂળગું આયોજન નવા દૃષ્ટિકોણથી કરવાનું આવે. હજી ઘણા માને છે કે પાણી પૈસાથી ખરીદી શકાય એમ છે અને પોતાની પાસે પૂરતાં નાણાં હશે તો વાંધો નહીં આવે. શું વિશ્વમાં કે શું આપણા દેશમાં, આ બાબતે કશું આયોજન થઈ રહ્યું છે કે કેમ એ ચિંતાનો વિષય છે. કેમ કે, એની પર વિચાર થાય, આયોજન ઘડાય અને એનો અમલ શરૂ થાય ત્યાં સુધીમાં જળ-નાદારી કઈ હદે પહોંચી ગઈ હશે એ વિચારે ધ્રુજારી છૂટે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૮-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ – ૩

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    બસ, સ્મરણમાં હતી તે જગ્યા ફરી એક વાર જોઈ લીધી. નાની ગલીઓમાં, આગલા વખતે હતી તે બેએક દુકાનો શોધવા આમતેમ ફરી, પણ તે હવે રહી ના લાગી. છતાં, સ્થાનિક જીવન જોઈને  મન સંતોષાયું.

    થોડે આગળ જતાં, સાન્તા આના નામના જાહેર પ્લાઝામાં એક નાનો પાર્ક હતો. આખો દિવસ લોકો એમાં ફરતા, અને બેસી રહેતા હોય છે. બાજુમાં હતું વડ જેવું લાગતું, ખૂબ મોટું એક ઝાડ. વડવાઈઓ જેવી ડાળીઓ લટકતી પણ હતી. એ ડાળીઓનો ફોટો લેવા ગઈ, તો નીચે બનાવેલા ચોતરા પર બેઠેલા ચારેય સ્થાનિક પુરુષોએ, હૅટ પહેરેલાં એમનાં માથાં નમાવીને મોઢાં છુપાવી દીધાં. એ ફોટો વધારે લાક્ષણિક બન્યો છે!

    અહીં બધાં મકાનો જુદા જુદા, આછા રંગે રંગેલાં છે. સરસ ગુલાબી, પીળો, વાદળી, ને લીલો જરા ઘેરો હોય. પણ બધાં લાગે બહુ સરસ. અહીંથી થાય છે “કાસ્કો ઍન્તિગ્વો”, એટલેકે ‘જૂના શહેર’ની શરૂઆત.

    અહીંથી શરૂ કરીને છેક છેડા સુધી, ઘણી ગલીઓમાંનાં ઘણાં મકાનો ખાસ્સાં ફૅન્સી લાગે છે. એ બધાં પર સમારકામ, રંગરોગાન, સાફસૂફી કરવામાં આવેલાં છે. ત્યાંની બાલ્કનીઓ કુંડાંમાં ઉગાડેલાં ફૂલછોડ, અને કારીગીરીવાળી, લોખંડની જાળીઓથી શોભે છે.

    પનામા શહેરની શરૂઆત જ્યાંથી થયેલી, તે જગ્યાનો સત્તરમી સદીમાં નાશ થયેલો. ત્યાં હજી થોડાં ખંડેર રહેલાં છે. પણ પછીથી, અઢારમી સદીમાં, આ સાવ છેડાના ભાગમાં શહેરની પુનર્સ્થાપના કરવામાં આવી. ૨૦૦૩થી, અહીંનાં બધાં બાંધકામો, તથા આ આખો વિભાગ નૅશનલ હૅરિટેજ સાઇટ ગણાય છે.

    કેટલાંયે પ્લાઝા, સ્મારક, ચર્ચ, થિયેટર, રૅસ્ટૉરૉં અને સ્માર્ટ દુકાનો અહીં ઠેર ઠેર દેખાયા કરે છે. સમગ્ર દેખાવ નવો અને ચોખ્ખો છે. વળી, બધે જ પોલિસની હાજરી રહેલી છે. આમેય, અહીં જ આવેલો છે, અને પનામા અખાતનાં પાણીને કિનારે રહેલો છે,  દેશના મુખ્ય પ્રમુખનો પ્રાસાદ.

    નાની ભૂશિર જેવા આ ભૂ-ભાગની દરેક ગલીમાંથી, બધી બાજુથી, અખાતનું, અથવા પૅસિફિક મહાસાગરનું પાણી દેખાયા કરે છે. ભૂરું પાણી, ભૂરું આકાશ, સૂરજનું સોનેરી તેજ, અને ભૂમિના વળાંકની સામી બાજુ પર રહેલી, પનામા નગરની નવી, આધુનિક, ખૂબ ઊંચી ગગનચુંબી ઇમારતો. આખું દૃશ્ય ઝગમગ થતું લાગે. દૃષ્ટિને તેમજ મનને બહુ આનંદ મળે છે આ ‘જૂના શહેર’ના પરિસરમાં ફરતાં.

    કેટલાં પાસાં છે આ દેશનાં. અહીં જર્જરિત જૂનું ને ઐતિહાસિક જૂનું છે, તથા સાધારણ નવું ને આધુનિક  નવું છે. સામાન્ય જીવન જીવતાં, કે ગરીબ પ્રજાજનો બહાર બધે દેખાય; ધનિક લોકો દિવસે નજરે પણ ના ચઢે. એ લોકો તો બહાર નીકળે સાંજને સમે, રૅસ્ટારાઁ, થિયેટર, પાર્ટી વગેરેને માટે જ. જોકે, આ પરિસરમાં આખો દિવસ પ્રવાસીઓ ફરતાં જરૂર દેખાય છે.

    હું પણ ફરતી રહી આ ઐતિહાસિક વિભાગમાં. ઘણાં જૂનાં અને વિશાળ મકાનોમાં આર્ટ ગૅલૅરી કે કલ્ચરલ સેન્ટર થયેલાં હોય છે. જૂના સ્થાપત્યમાં પ્રદર્શિત હોય છે સમકાલીન કળા. આવા એક મકાનના એક ખંડમાં, આખી ફર્શ પર પ્લૅક્સીગ્લાસ જડી દીધેલો, કે જેથી નીચે રહેલા જૂના પથ્થર દેખાય, તેમજ સચવાય પણ ખરા.

    સાન હોઝે ચર્ચમાંની વેદી સોનાની બનેલી છે. કહે છે, કે સત્તરમી સદીમાં જ્યારે પનામા બાળવામાં અને લૂંટવામાં આવી રહ્યું હતું, ત્યારે એક પાદરીએ આ ખૂબ મોટી વેદીને આખી કાળી રંગી નાખી હતી, ને તેથી જ એ બચી ગઈ. ઇન્ડિપૅન્ડન્સ પ્લાઝામાં મોટું દેવળ આવેલું છે, જેને બાંધતાં એકસો વર્ષ થયેલાં. એની નજીકમાં મ્યુનિસિપાલિટીનું મહેલ જેવું મોટું મકાન છે.

    નૅશનલ થિયેટરનું ગ્રેસફુલ મકાન ૧૯૦૮માં બનેલું. એનો પુનરોદ્ધાર ૧૯૭૪માં થયો, ને ત્યારે પનામાના જાણીતા આર્ટીસ્ટ રૉબૅર્તો લુઇસ દ્વારા એની છત પર સુંદર ચિત્રો કરાવવામાં આવ્યાં. તો સામે તરફ બોલિવાર પ્રાસાદ છે. સિમોન બોલિવારે પનામાને સ્પેઇનના અમલથી સ્વતંત્રતા અપાવેલી. આ પ્લાઝામાં એમનું શિલ્પ પણ મૂકેલું છે.

    એક સાવ નવી જગ્યા બની છે આ ભૂશિરના દક્ષિણ છેડે આવેલા, “પ્લાઝા દ ફ્રાન્સિયા”, અથવા ફ્રેન્ચ પ્લાઝા-ની આસપાસ. અહીં પ્રાચીન ઊંચી, પહોળી દીવાલ બનેલી છે. વીસમી સદીની શરૂઆત સુધી, શહેરની સુરક્ષા માટે, સૈન્યની એક ટુકડી ત્યાં વસતી. હવે આ દીવાલ પર બોગનવેલનાં રંગીન ફૂલો ઝૂકેલાં રહે છે, અને હવે સાંધ્યવિહાર માટેનું આ લોકપ્રિય સ્થાન છે.

    પણ એથીયે વધારે, અહીં ગોઠવાયું છે એક તળ-બજાર. ‘ગુના’ નામની એક તળ-ઇન્ડિયન જાતિની સ્ત્રીઓની હસ્તકળા અહીં વેચાય છે. ખાસ કરીને, રંગીન કાપડના ત્રણ-ચાર સ્તર મૂકીને, એમને કાપી અને હાથે સીવીને જુદી જુદી ડિઝાઇન બનાવીને કરવામાં આવતા પૅચવર્કની, “મોલા” કહેવાતી હસ્તકળા. પોતાના પહેરવેશ માટે વપરાતી આ કળા પછી વેચાવા માંડી હતી. પનામાના મારા પહેલા પ્રવાસ દરમ્યાન મેં ઘણા બધા નાના-મોટા નમૂના ખરીદ્યા હતા.

    આ વખતે મોલા-કામ અત્યાર સુધી દેખાયું નહતું. આ બજારમાં અસંખ્ય ચોરસ-લંબચોરસ, નાની ને ઘણી મોટી સાઇઝના ટુકડા દીવાલ પર લટકાવેલા દેખાયા. શું રંગ, ને શું કામ. અત્યંત આકર્ષક. જોકે હવે પહેલાં જેવી ટૅકનિક, અને ઝીણી ડિઝાઇનની કારીગીરી નથી રહી. એટલો બધો સમય હવે કોઈ આપતું નથી લાગતું. ને ભાવ ખૂબ જ વધી ગયા છે. આ કળા હવે જાણીતી અને લોકપ્રિય થઈ ગઈ છે ને.

    આ ‘ગુના’ જાતિની સ્ત્રીઓના મોઢાંના આકાર સરખેસરખા લાગે. બધી સરખી નીચી, અને કપડાં પણ, પ્રથા પ્રમાણેનાં અને સરખાં લાગે તેવાં જ પહેરે. પીંડી સુધી આવતું સ્કર્ટ જેવું વસ્ત્ર, રંગીન પ્રીન્ટ પર પૅચવર્ક કરેલું બ્લાઉઝ, અને માથે લાલ-પીળી ભાતનો રૂમાલ બાંધેલો હોય. ગળામાં, કાંડા પર અને પગ પર મોટે ભાગે કીડિયાંનાં બનાવેલાં ઘરેણાં પહેર્યાં હોય. ફોટો પાડવા ના દે. મેં કૅમૅરા જરાક સંતાડીને લેવા પ્રયત્ન કર્યા ખરા.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.