વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વિસ્મૃતિ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    એક સવારે અશોકને આભાસ થયો કે, એની યાદશક્તિમાં કંઈક તો ગોટાળો છે. નામ ભૂલી જવાય છે કે શું?

    આમ તો અશોક તનમનથી એકદમ સ્વસ્થ હતો. રોજિંદા કામો સ્ફૂર્તિથી કરી લેતો. વકીલ તરીકે કોર્ટમાં અને વ્યક્તિ તરીકે સમાજમાં એના વિચારોનું, વક્તવ્યનું મૂલ્ય હતું. બધું જ બરાબર હતું, પણ જ્યાં વ્યક્તિઓનાં નામની વાત આવે કે સમસ્યા સર્જાતી. રોજેરોજ મળનારી, આસપાસ રહેતી વ્યક્તિનાં નામ સુદ્ધાં યાદ નહોતાં રહેતાં.

    સવારે શાક વેચવાવાળા કાકા આવ્યા.

    આ કોણ હશે, ગોપી, જગ્ગુ કે મોતી? ચહેરો જ નહીં વ્યક્તિ પણ જાણીતી લાગે છે. જ્યાં રહે છે એ ગલી, એનું ઘર, જમાઈએ મારીને પાછી મોકલેલી એની જુવાન દીકરી યાદ આવી. દીકરીનાં ભરણપોષણ માટે કંઈક કાર્યવાહી કરવાની કાકાએ વિનંતી કરી હતી. કાકાની કરમકથની સાંભળીને એમના ઘેર ગયો હતો. દીકરીને જોઈને દુઃખ થયું હતું. દીકરીનાં ભરણપોષણની વ્યવસ્થા કરી આપવા એણે પૂરો પ્રયત્ન કર્યો હતો. પણ, જેનું નસીબ જ નબળું હોય એને કોણ બચાવે? શીતળાની ઝપટમાં આવીને એ મરી ગઈ એ બધું જ યાદ આવ્યું, પણ એનું નામ યાદ નહોતું આવતું.

    શું કરું? કયા નામથી બોલાવું? નામ પૂછીશ તો કાકાને ખરાબ લાગશે. એમના મનમાં પોતાના માટે જે આદર, સ્નેહ હશે એ ગુમાવી બેસશે. કેવી રીતે વાત શરૂ કરું?

    એણે અણધાર્યો સવાલ કર્યો, “કરમદાં લાવ્યા છો?”

    બુઢ્ઢા કાકાને નવાઈ લાગી. કરમદાં? એ તો ક્યારેય આવ્યો નથી અને હજુ તો એ બજારમાં આવ્યાંય નથી.

    અશોક ઊભો થઈને અંદર ચાલ્યો ગયો. ગઈકાલની જ વાત હતી. એક પાર્ટીમાં ગયો ત્યાંય કોઈને સાચાં નામથી બોલાવી શક્યો નહોતો. અને હવે આ કાકા, એટલું જ નહીં રસ્તામાં મળતા લોકોનાં નામમાં પણ ગોટાળા થઈ જતાં.

    ગઈકાલે પાનના ગલ્લે ઊભેલા માધવબાબુને શંકરના નામથી બૂમ મારી હતી. એળે ગઈ. ક્યાંથી જવાબ મળે?

    એ પાસે પહોંચી જ ગયો.

    “અરે સાહેબ, ભારે વ્યસ્ત? બોલાવ્યા છતાં સામે ન જોયું? કદાચ સાંભળાયું નહીં હોય!”

    “કેવી વાત કરો છો, તમે મને બોલાવ્યો? સાહેબ, મારા કાનમાં સરસોનું તેલ નાખું છું, કાન એકદમ સાબૂત છે. હમણાં તમે શંકરના નામની બૂમ મારી એ પણ સાંભળી. મને એમ કે પાછળ શંકર પાનવાળાની દુકાન છે એમને બોલાવતા હશો.

    અશોકના કપાળે પરસેવો વળ્યો. સમજાઈ ગયું કે આ શંકરબાબુ નથી.

    વાત વાળી લેતા બોલ્યો, “જવા દો એ વાત. લ્યો આ સિગરેટ અને એ તો કહો કે બંને પુસ્તક વાંચી લીધાં?”

    “કેવાં પુસ્તક, કયાં પુસ્તક?”

    અશોકના માથે ફરી આફત આવી. પુસ્તકનાં નામ યાદ ન આવ્યાં. શું બોલે?

    “આ તો ગજબ વાત અશોકબાબુ. મારો વિશ્વાસ કરો, હું કોઈ પુસ્તક તમારી પાસેથી લાવ્યો નથી. છતાં, આજે અગિયાર વાગ્યા પછી ઘેર જ છું. જાતે આવીને જોઈ લેજો ભઈસાબ.” કહીને માધવબાબુ ચાલવા માંડ્યા.

    “ખરા છે લોકો, કેટલી સરળતાથી વસ્તુ લઈને ભૂલી જાય છે!” એમની વાતથી અશોકને ચીઢ ચઢી. ત્યાં કોઈએ એને બોલાવ્યો.

    સામે ઊભેલી વ્યક્તિએ આત્મીયતાથી પૂછ્યું, “કેમ છો? લાંબા સમય પછી મુલાકાત થઈ. બધું ઠીક છે ને?”

    ‘હે ભગવાન, હવે આ કોણ હશે? આટલી આત્મીયતાથી વાત કરે છે, ચહેરો પરિચિત લાગે છે.”

    “શું સમાચાર?” કોઈ રીતે ઓળખ મળે એ હેતુથી અશોકે એમની ખબર પૂછી.

    “ખાસ સમાચાર તો એ છે કે, મારા સસરા ગુજરી ગયા.”

    “ઓહ ! વૃદ્ધ હશે નહીં?” અશોકે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું.

    “આજકાલ તો સૌ વૃદ્ધ જ ને? બનાવટી ઘી-તેલ, પાણી મેળવેલું દૂધ પીને જુવાન કે બુઢ્ઢા, સૌના સ્વાસ્થ્ય પર અસર થવા માંડી છે, પણ જવા દો એ વાત. આપણી વાત કરીએ.” સામે ઊભેલા ભાઈ બોલ્યા.

    “હા, એ વાત સાચી. કહો, તમારું કામ કેવું ચાલે છે?” કંઈક કરતાં પરિચિતતાનો તાળો મળે એવો અશોકે સવાલ કર્યો.

    “અમારું કામ તો તમે અખબારમાં જોતા જ હશો ને?” સસ્મિત જવાબ મળ્યો.

    “અં…હા…હા..વાચું છું ને. તમારું કલેક્ટરીનું કામ કેમ ચાલે છે?”

    “કોણ કલેક્ટર, કયું કામ?”

    ‘ઓહ, આ કલેક્ટર નથી! હાથમાં ચામડાની બેગ છે તો ઇન્સ્યોરન્સવાળા હશે?’

    હવે અશોકના ધૈર્યનો અંત આવવા માંડ્યો. એણે સીધું જ પૂછી લીધું,

    “માફ કરજો, પણ મને તમારું નામ યાદ નથી આવતું.”

    “તાજુબ્બીની વાત. તમારા નાના ભાઈને એક વર્ષ ટ્યુશન આપ્યું હતું. આપણે એક વર્ષ લૉ સાથે ભણ્યા. તમારા પિતા સાથે પણ મારી કેટલી ઘનિષ્ઠતા હતી? ભૂલી ગયા? ખરા છો તમે તો!”

    “ભાઈને કેટલાય લોકોએ ભણાવ્યો હતો. લૉ કૉલેજમાં તો અઢીસો વિદ્યાર્થી હતાં અને પિતાજીના મિત્રોની સંખ્યા સાંભળશો તો તમે છક થઈ જશો.”

    પછી એ ભાઈએ કચેરીની મુલાકાત યાદ કરાવી.

    “વાત લાંબી કરવાના બદલે તમારું નામ કહી દો ને ભઈસાબ.” અશોક ખરેખર અકળાયો.

    “ઓહ, એમ વાત છે. મારું નામ નીલ માધવદાસ છે. આઇ. એસ. કર્યા પછી કાશ્મિર કમિશનમાં છું. સસરા ગુજરી ગયા એટલે અહીં આવ્યો છું. લાગે છે કે સાચે જ તમને ઠીક નથી લાગતું.” નીલનું આત્મસન્માન ઘવાયું.

    શરમથી અશોક નીચું જોઈ ગયો.

    “હા, કેટલો સમય સાથે પસાર કર્યો હતો નહીં ! તમને સમોસા બહુ ભાવતાં….હવે યાદ આવ્યું. એ કેવી રીતે ભુલાય? પણ, નર્વસ બ્રેક ડાઉનના લીધે નામ યાદ નથી રહેતાં. શું કરું?”

    નીલને વિશ્વાસ ન આવતો હોય એમ ડોકું ધુણાવ્યું. નમસ્કાર કરીને ચાલવા માંડ્યા.

    એ પછી તો રસ્તામાં કેટલાય લોકો મળતા રહ્યા. દરેક વખતે એમની સાથે સુખ-દુઃખની, હસી-મજાકની વાતો થતી રહી. પણ, નામ ન જ યાદ આવ્યાં. હવે અશોકને ચિંતા થતી કે, રખેને એ કોઈને ભળતા નામે ના બોલાવી બેસે એટલે ફક્ત ‘કેમ છો, સાહેબ?” કહીને કામ ચલાવવા મથતો.

    કોઈના ઘેર જવાનું થાય તો એમની નેમપ્લેટ પરથી ઓળખ પામવા મથતો. ક્યાંક આખા નામના બદલે ‘એમ.સી.મહાંતિ’ જેવી નેમપ્લેટ હોય તો ભારે અટવાતો.

    માધવચંદ્ર મહાંતિ કે માર્કંડ મહાંતિ, શું નામથી બોલાવવાના?

    પછી જાતને સાંત્વન આપવા મથતો. એ નામ ભૂલે છે, કોઈના ગુણ નથી ભુલતો ને ! વિધાતાએ બનાવેલી સૃષ્ટિમાં સંબંધોનું મૂલ્ય છે, એની ના નહીં, પણ સંબંધોમાં લાગણીઓની ભરતી-ઓટ આવે એનાથી જીવન અટકી નથી જતું. ચહેરો જોઈને નામ નથી યાદ આવતું છતાં આંખો જોઈને અંતઃકરણ તો પરખાય છે ને?

    એ આંખોથી વ્યક્તિને પારખવા મથતો. ક્યારેક કોઈ વ્યક્તિની ધૂંધળી ઓળખ મનમાં આવતી-જતી.  નામ-વિસ્મૃતિના લીધે હવે માર્કંડ કે માધવ વચ્ચે કોઈ ફરક રહ્યો નહોતો.

    હા, ફરક એટલો જરૂર પડ્યો કે યૌવન આથમે એ પહેલાં વિસ્મૃતિના રોગને લીધે એ ઘર ન વસાવી શક્યો.


    ગોપીનાથ મોહંતી લિખિત ઉડિયા વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કોલ્ડ કૉફી અને ચટણી સૅન્ડવિચ

    દરિયા-પારની વાર્તા

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ન્યૂયૉર્કના એ સબર્બનાં ઘણાં ઇન્ડિયન ઘરોમાં વાત પહોંચી ગઈ હતી – માયા પરણવાની છે.

    શોમાને જાણ બધાંથી મોડી થઈ હશે, એટલે સમાચાર મળતાં જ એ તો ખુશ થઈને કહેવા લાગી, લાવ, હમણાં જ નીલાને ફોન કરીએ. એ તો બહુ જ આનંદમાં હશે. દીકરીનાં લગ્ન છે એટલે હવે તો એને બીજા કશા માટે ટાઇમ નહીં મળવાનો. ચાલ, નીલાને ફોન કરીએ. હરખ કરીએ.

    મંજુએ એને રોકી. ‘અરે, ઊભી રહે. અહીં તો હરખ નહીં, ખરખરો કરવો પડે તેવી વાત છે.’

    ‘શું કહે છે? માયા પરણવાની છે, એમ કહ્યું, તો ખરખરાની વાત ક્યાં આવી?’

    બંને જણ કોલ્ડ કૉફી લઈને બેઠાં. ઠંડી શરૂ થઈ જાય પછી પીવી નહીં ગમે, એમ કહીને બંનેને આજે ગરમ ચ્હાને બદલે કોલ્ડ કૉફી પીવી હતી. બરાબર ઇન્ડિયામાં પીતાં હતાં તેવી બનાવજે, હોં, મંજુએ શરત મૂકેલી.

    શોમાએ કોલ્ડ કૉફીની સાથે લીલવાની કચોરી બનાવેલી. બનાવેલી એટલેકે ફ્રીઝરમાંથી કાઢીને અવનમાં ગરમ કરીને તૈયાર રાખેલી. હવે અહીં ફ્રોઝન આઇટમોનું બહુ સુખ થઈ ગયું છે, નહીં?, અમેરિકામાં આવ્યા પછીથી ગૃહિણી બનેલી ઇન્ડિયન બહેનપણીઓ એકબીજાંને કહેતી.

    ‘કૉફી સરસ થઈ છે, હોં. તને આવડી ખરી બનાવતાં.’ મંજુએ શોમાને જરા ચિડાવી.

    ‘તે કોલ્ડ કૉફી તો ઇન્ડિયામાં કેટલી યે વાર પીધી હોય. સ્વાદ કાંઇ ભુલાયો નથી. પણ હવે તો કહે કે આ માયાના લગનની શું વાત છે?’

    મંજુએ ધીમેથી કહ્યું – આસપાસ કોઈ હતું નહીં તોયે – ‘અરે, ગયા વર્ષે કુટુંબ સાથે માયા ઇન્ડિયા ગઈ પછી  ત્યાં રહી ગઈ હતીને, કર્ણાટકમાં – કે કેરાલામાં – કોઈ એનજીઓમાં કામ કરવા? તે ત્યાં કોઈ મળ્યો એને, ને એવો ગમી ગયો કે બસ, એને હવે એ છોકરાને જ પરણવું છે. નીલાએ અને ડૉ. રગડેએ બહુ સમજાવી, કે તું અમેરિકામાં જન્મી, ઊછરી, ભણી, મોટી થઈ, તને સાવ એક ઇન્ડિયન સાથે નહીં ફાવે.’

    પણ નીલાએ તો હંમેશાં એમ જ કહ્યા કર્યું છે કે એ માયાને ઇન્ડિયનની સાથે જ પરણાવશે. તો ઇન્ડિયન જ તો છે એ કર્ણાટકવાળો – કે કેરાલાવાળો, પછી શેનો વાંધો હશે? નાત-જાતનો? જા, જા, ડૉ. રગડે જેવા ભણેલા-ગણેલા પણ નાત-જાતમાં માનતા હશે?’

    ‘શોમા, શોમા, તું ધડાધડ જે મનમાં આવ્યું તે સામટું બોલી ગઈ. હવે હું કાંઈ કહું?’

    પછી મંજુએ એને સમજાવ્યું, ‘હા, એ સાવ સાચું છે કે નીલાને માયા માટે ઇન્ડિયન વર જ જોઈએ છે. પણ ઇન્ડિયન એટલે અહીંનો ઇન્ડિયન, ઇન્ડિયાનો ઇન્ડિયન નહીં.’

    આવું શોમાએ ક્યારેય સાંભળ્યું નહતું, અને કલ્પ્યું પણ નહતું. એ જરા ડઘાઇ ગઈ. ઇન્ડિયાનો ઇન્ડિયન નહીં. એની સાથે નહીં ફાવે માયાને.

    વિચાર કરતાં કરતાં શોમા બબડતી ગઈ. પછી કહે, ‘પણ કેમ નહીં ફાવે? નીલા અને એના હસબંડ તો જિંદગી આખી બડાઇ મારતાં રહ્યાં કે એમની માયામાં એમણે ઇન્ડિયન સંસ્કાર ખૂબ સરસ સીંચ્યા છે. એ બિલકુલ શાકાહારી છે, આપણી ભાષા પણ બોલે છે, અને અમારી સાથે મંદિરે પણ રૅગ્યુલરલિ આવે.’

    શોમા આગળ બોલી, ‘તો છોકરીને અમેરિકામાં ઇન્ડિયનની જેમ ઉછેરી, ને એ બાબતે અભિમાન કર્યું, તો હવે છોકરીને ઇન્ડિયામાંના એક સ્થાનિક કન્નડ – કે મલયાલી – સાથે પરણવું હોય તો એમને તો ગૌરવ થવું જોઇએ.’

    ‘હા, નિરાંત તો થવી જ જોઇએ. તને યાદ છે કે નહીં, મને ખબર નથી, પણ માયાને પહેલાં એક વાર એક ગોરા અમેરિકન સાથે બહુ ગાઢ મૈત્રી હતી. બંને કૉલૅજમાં સાથે હતાં. તે વખતે માયાને એ ડેવિડ સાથે જ પરણવું હતું. ખાસ્સી ધમાલ કરેલી એણે. પછી વળી પેલો આર્મિમાં ગયો, ને લાંબી રાહ જોવાનો રિવાજ તો આ જમાનામાં છે નહીં.’

    ‘હા, મેં એવું કાંઈ સાંભળ્યું હતું ખરું, શોમા બોલી. મા-બાપને કેવી શાંતિ વળી હશે એ વખતે – એ ઘેલછા પૂરી થઈ ગઈ હશે ત્યારે. ત્યાં આ ફરીથી ધમાલ જેવું શરૂ થયું લાગે છે. કદાચ આ પ્રૉબ્લૅમ પણ એની મેળે ઉકેલાઈ જાય. શું લાગે છે તને?’

    ‘ભઇ, મારે એ લોકોની બાબતે માથું નથી દુઃખાડવું. મંજુએ કૉફી પૂરી કરતાં વાત બદલી, તું હવે લંચ પાર્ટીને બદલે આવી કોલ્ડ કૉફીની પાર્ટી રાખજે.’

    ‘હા, કોલ્ડ કૉફી, અને સાથે ચટણી સૅન્ડવિચ. બરાબર હૅવમૉરનું મૅન્યુ, નહીં?’

    પણ મંજુએ તો હૅવમૉરનું નામ પણ નહતું સાંભળ્યું. એ કહે, ‘ભઇ, અમારે નાગપુરમાં છોકરીઓ માટે બહુ બહાર જવાનું બનતું નહતું. જે ખાવું હોય તે ઘેર જ બને, નહીં તો ક્યારેક નાનો ભાઈ જઈને ખરીદી લાવે – કાલોજામ, કચૌડી – પણ તે પપ્પા ના હોય ત્યારે જ.’

    ફરીથી એ ધીમા અવાજે કહે, ‘પરણવાથી તો મારું ભાગ્ય ખુલી ગયું. શરદ નાગપુરથી સીધી મને અહીં ન્યૂયૉર્કના આવા સરસ સબર્બમાં લઈ આવ્યો, ને ઘરમાં આખું બજાર ખડું કરી દીધું. શરૂઆતમાં તો અમે રોજ બહાર ખાવા જતાં. મૅક્સિકન શું, ને ઇટાલિયન શું, ત્યારે એવી કશી ખબર જ ક્યાં હતી. ને હવે જુઓ.’

    શોમાએ પણ ધીરેથી જ કહ્યું, મનમાં કશા બીજા જ વિચાર ચાલતા હોય તેમ, ‘તો આપણે પણ ઇન્ડિયન તો રહ્યાં, છતાં એવાં બદલાયાં કે ઇન્ડિયાનાં ઇન્ડિયન જેવો ભેદ કરતાં થઈ ગયાં.’

    ફરીથી લગભગ એનું એ જ બોલતી ગઈ – ‘આપણે ઇન્ડિયન રહેવું તો છે, ને આપણી સંસ્કૃતિના નામનું ગાયા કરવું છે, પણ જેમ આપણે અમેરિકનો અને બીજી જાતિઓના લોકોથી જુદાં છીએ તેમ શું હવે આપણે આપણા બાપદાદાથી પણ જુદાં થઈ ગયાં છીએ?’ એના અવાજમાં ધ્રૂજારી હતી.

    પણ હવે મંજુને ઘેર જવાની ઉતાવળ હતી. શોમાના અન્યમનસ્ક ગણગણવાથી એ કંટાળી. કહેતી ગઈ, ‘સાંભળ, તું નીલાને ફોન કરીને બાફતી નહીં. જો એ તને ફોન કરે તો તું તારો હરખ વ્યક્ત કરજે. ને વધારે જાણવું હોય તો ક્યારેક કાન્તા સાથે વાત કરજે. એને બધી ગૉસિપની ખબર હોય છે.’

    એકલાં પડ્યા પછી પણ શોમા વિચારોમાં ફસાયેલી જ રહી. પોતે તો છવ્વીસ જેટલાં વર્ષોથી અમેરિકામાં હતી, ને વારંવાર દેશ જતી હતી. એના સાસરામાં અને પિયરમાં હજી બધાંની સાથે આત્મીયતા હતી. એક-બે મિત્રો જોકે એને કહ્યા કરતી હોય છે કે, તું બહુ લકી છું કે હજી તમારાં કુટુંબોમાં આટલા સારા સંબંધ છે.  જીવનની વાસ્તવિકતા એવી ખરી કે જેમાં દરેક વ્યક્તિ એકમેકથી જુદી હોય જ. જગ્યા, ઉછેર, બોલી, ખોરાક વગેરેને કારણે દરેક જણ જુદું તો પડવાનું જ. પણ સામાંને ઊતરતાં કઈ રીતે માની લેવાય?, તે શોમાને મૂંઝવતો પ્રશ્ન હતો.

    એમ તો પોતે પણ અંદરખાનેથી ઘણી બદલાઈ હતી, પણ ફરવા દેશ જાય અને સગાંની સાથે હોય ત્યારે કોઈને એવો ખ્યાલ પણ ના આવે. અચાનક એને ભોલી યાદ આવી ગઈ. ભોલી તો પરણીને હજી બે વર્ષ પહેલાં જ અમેરિકા આવી હતી. એનો વર જસબીરસિંઘ ખાસ અમૃતસર જઈને પરણી આવેલો. બંને ટ્રૅડિશનલ શીખ કુટુંબ, પેઢીઓનો પરિચય, ને જસબીરસિંઘ માટે વધારે કશી તપાસ કરવાની જ નહતી.

    પણ જેવાં બે જણ ન્યૂયૉર્ક આવ્યાં કે જસબીરે દાઢી કાઢી નાખી, માથાના વાળ મૉડર્ન કપાવી નાખ્યા. હબક ખાઈ ગયેલી ભોલીને કહે, બે-ચાર વર્ષે જ્યારે દેશ ફરવા જાઉં ત્યારે વધારીને જતો હોઉં છું.

    એણે ભોલીને કહી દીધું, સરવાલ-કમીઝ અહીં રોજ ના પહેરાય. બધાંની જેમ તૈયાર થતાં શીખી જા.

    પછી તો ભોલીને જીન્સ જ નહીં, ટૂંકાં ફ્રૉક પહેરવાની ટેવ પણ પાડવી પડી.

    એક દિવસ જસબીરસિંઘે કહ્યું, જો ડાર્લિન્ગ, અમેરિકામાં કોઈને તારું નામ બોલતાં આવડતું નથી.  તને બધાં ‘ભોલી’ નહીં પણ ‘બોલી’ કહે છે, એ ખ્યાલ કર્યો તેં? અહીં કોઈ “ભ” ચોખ્ખો બોલી ના શકે. તેથી હવેથી તારું નામ પૉલી છે. પૉલા, પૉલી, ને પુરુષો માટે પૉલ જેવાં નામ એમને ફાવે.

    બે એકલાં સાથે હતાં ત્યારે એક વાર ભોલીએ શોમાને કહ્યું હતું, ‘દિદિ, બહારથી જેટલી જુદી લાગું છું તેટલી અંદરથી હું હજી સુધી નથી બદલાઈ. પણ જઈ તો રહી છું એ જ દિશામાં.’

    પતિ સાથે ક્લબમાં જતાં જતાં ભોલી વાઇન પીતી થઈ ગઈ હતી. ક્યારેક જસબીરસિંઘ પોતાના હાથમાંની સિગારેટ એને આપતો. જસબીરને પોતાને પણ અમૃતસરની ટ્રૅડિશનલ શીખ છોકરી જ જોઈતી હતી – ફક્ત એનાં મા-બાપને જ નહીં. પણ વાઇફ થયા પછી એ મૉડર્ન સ્ટાઇલની વાઇફ હોય, એવું જ એને પસંદ હતું.

    શોમા પાસે ભોલીએ દિલ ખોલ્યું હતું એક વાર. દિદિ, કેટલી હદ સુધી મારે એને ગમે, અને ગમતી રહે એવી મૉડર્ન સ્ટાઇલની વાઇફ બનવાનું? મને તો એ વિષે વિચાર કરતાં જ ડર લાગવા માંડે છે ભવિષ્ય માટે.

    બે-ત્રણ દિવસ થઈ ગયા, પણ શોમાએ કોઈને ફોન કર્યા નહીં. નીલા કદાચ ઉદાસ હોય, અને કોઈ મિત્ર સાથે વાત કરવા માંગતી પણ હોય. છતાં શોમા એ ફોન કરે એની રાહ જોતી રહી. એણે કાન્તાને પણ ફોન ના કર્યો. ગૉસિપ કરવાનું એને મન નહતું થતું.

    એના પર જે ફોન આવ્યો તે કૅથૅરીનનો આવ્યો. એને પણ માયાના પરણવાની, અને પૅરન્ટ્સના વિરોધની વાતની ખબર પડી હતી. કૅથૅરીન કાન્તાના ભાઈની વાઇફ હતી. જાણે એ એક જ નૉન-ઇન્ડિયન ફ્રૅન્ડ આ ગ્રૂપમાં હતી. સારી ભળી ગઈ હતી, ને તોયે બધી ઇન્ડિયન-અમેરીકન ગૃહિણીઓ એને ફૉરેનર જ ગણતી. અમુક તો એમ પણ માનતી કે ઓહ, કૅથૅરીન વળી  શું સમજે?

    ‘આ ઇન્ડિયાના ઇન્ડિયન અને અહીંના ઇન્ડિયનનો રૅફરન્સ હું સમજી નથી શકતી’, કૅથૅરીને શોમાને કહ્યું. શોમા પણ ક્યાં એ સમજી શકતી હતી.

    કૅથૅરીન ન્યૂયૉર્કમાં વકિલાત કરતી હતી. એની વાતો હંમેશાં બુદ્ધિપૂર્વકની રહેતી. ‘પણ આવા ભેદ પાડો તો એ ગેરકાનૂની ના ગણાય?’, એણે પૂછેલું. પછી તરત એ ગંભીર ભાવે જરા હસેલી, કે પર્સનલ ભેદભાવ રાખવામાં જો કાનૂનનો ભંગ થતો ગણાતો હોત તો દુનિયા આખીની બધી જેલો ઊભરાતી હોત.

    ખરું કે નહીં?, એણે ઉમેરેલું. ફોન પર એના ભાવ દેખાય તો નહીં, પણ એના અવાજ દ્વારા એ શોમાને જાણે સંભળાયા હતા ખરા.

    આઠેક દિવસ થઈ ગયા હશે. નીલાએ કોઈને ફોન કર્યા હોય તેવું લાગતું નહતું. શોમા પર તો નહતો જ આવ્યો એનો ફોન. પણ શોમાએ ખરાબ ના લગાડ્યું. ઊલટું, નીલા પોતે કેવી દુઃખી થતી હશે એમ વિચારીને શોમા જીવ બાળતી હતી.

    એક દિવસ અમિતાનો ફોન આવ્યો. મંજુ પાસેથી સાંભળ્યા પછી એને કોલ્ડ કૉફી અને ચટણી સૅન્ડવિચની આફ્ટરનૂન પાર્ટી પોતાને ત્યાં કરવી હતી, અને શોમાની મદદ જોઇતી હતી. શોમાને હસવું આવેલું કે બીજું કાંઇ નહીં તો કોલ્ડ કૉફી માટે પોતે ફેમસ થવાની હવે.

    અમિતાની દીકરી એક અમેરિકનને પરણેલી, ને બંને ડૉક્ટર હતાં. એક વાર કૅથૅરીને શોમાને સમજાવેલું કે અમિતાનો જમાઇ અમેરિકામાં જેને  “બૉસ્ટન બ્રાહમિન” કહે છે તેમાંનો, એટલેકે  પેઢીગત કૌટુમ્બિક વારસાની તેમજ આભિજાત્યની દૃષ્ટિએ અમેરિકાના ઇતિહાસમાં જે ઉત્તમ ગણાય તેવા સામાજિક વર્ગમાંનો હતો. આ લોકો ખૂબ પૈસાદાર હોય, ખૂબ ભણેલા હોય, અને સાથે જ, “શો-ઓફ” કરવામાં, કે મોટાઇ બતાવવામાં ના માનતા હોય.

    આટલું સમજ્યા પછી શોમાને લાગતું કે અમિતા એના જમાઇ અને વેવાઇ-કુટુંબ પાસેથી ઘણું શીખી છે. બડાઇ મારવાને બદલે જાણે એ હવે એકદમ સાધારણ ભાવે દીકરીના ખબર આપતી. વળી, બહેનપણીઓનાં છોકરાંઓને વિષે રસ લેતી,  સાચી લાગણી બતાવતી. કૅથૅરીનનું ધ્યાન પણ આ ચેન્જ પર ગયું હશે, કારણકે એણે શોમાને કહ્યું હતું, મોટે ભાગે લોકો પાસેથી આપણે મોટી મોટી વાતો સાંભળવી પડતી હોય છે, પણ અમિતા બહુ સ્વીટ છે, એ એના ફેમસ જમાઇની વાતો પણ ભાગ્યે જ કરે છે.

    કૅથૅરીન પણ બહુ સ્વીટ હતી. એ ક્યારેય “તમે ઇન્ડિયન, તમે ઇન્ડિયન” કરીને બોલતી નહીં. એ હંમેશાં ક્યાંતો ‘બધા લોકો’, અથવા ‘આપણે બધાં’ કરીને જ વાત કરતી. પોતે કોઈ રીતે જુદી, કે વધારે હોંશિયાર છે તેવું ક્યારેય ના લાગે તેનો ખ્યાલ એ રાખતી. શોમાને થતું, કેટલાં બધાંએ કૅથૅરીન પાસેથી પણ સ્વભાવની ઉદારતા શીખવા જેવી છે.

    અમિતાને ત્યાં શોમા આગળથી પહોંચી ગઈ હતી. કૅથૅરીન પણ મદદ કરવા આવી ગઈ હતી. કોલ્ડ કૉફી અને સૅન્ડવિચની સાથે અમિતાએ ઢોકળાં અને પાપડ-પૌંઆ બનાવ્યાં હતાં, અને ફરસી પૂરી એ પટેલ બ્રધર્સની દુકાનમાંથી લઈ આવી હતી. સરસ રીતે બધું ગોઠવતાં ગોઠવતાં ફરી માયાની જ વાત નીકળી હતી.

    એ ત્રણેને નીલા પ્રત્યે સહાનુભૂતિ હતી. અમિતા કહે, દીકરી તો અહીં જન્મી એટલે એ પોતે તો અમેરિકન જ થઈ. તેથી એ અમેરિકનને પરણે તો પણ પૅરન્ટ્સને વાંધો ના હોવો જોઈએ.

    કૅથૅરીન કહે, અને ધારો કે ઇન્ડિયાનો ઇન્ડિયન હોય, તો પણ શું? જેવી દીકરીની ઇચ્છા. ખરું કે નહીં?

    અમિતા બોલી, હા, એ છોકરો કોણ છે, કેવો છે, શું ભણેલો છે -જેવી બાબતોની તપાસ તો કરવી જ જોઇએ, પણ ખરેખર તો, મૅચ્યૉર થયેલી દીકરી માટે મા-બાપે બહુ ચિંતા કરવાની ના હોય.

    શોમા કહે, ભઇ, આ તો મૉડર્ન જમાનો છે. મા-બાપે બધું જોઈ-કરીને પરણાવ્યાં હોય તો યે ભૂલ થયેલી લાગે છે ઘણી વાર. એના મનમાં ભોલીની જિંદગીનો સંદર્ભ તરી આવેલો, પણ એણે એ વિષે કશું કહ્યું નહીં.

    ત્યાં જ કૅથૅરીનને કશું સૂઝ્યું હશે, તેથી એ ફરીથી કહેવા લાગી, ‘મેં જોયું છે કે લગભગ બધાં કુટુંબોમાં છોકરાની વાઇફ ઇન્ડિયન હોય તેવી જ ઇચ્છા વધારે હોય છે. અહીં જો સારી, ડાહી, દેખાવડી ઇન્ડિયન છોકરી નજરમાં ના આવે તો દેશમાંથી શોધી લાવવામાં આવતી હોય છે.’

    જરાક શ્વાસ લઈને પછી એણે પૂછ્યું, ‘ઇન્ડિયાની ઇન્ડિયન છોકરી જો ડૉટર-ઇન-લૉ તરીકે બહુ ડિઝાયરેબલ ગણાતી હોય, તો ઇન્ડિયાનો ઇન્ડિયન છોકરો સન-ઇન-લૉ તરીકે કેમ ડિઝાયરેબલ નથી ગણાતો?’

    શોમા અને અમિતાએ એકબીજાની સામે જોયું, પણ બંને કશું કહી ના શક્યાં. કૅથૅરીન ઇન્ડિયન મૅન્ટાલિટીને  કેટલા ઊંડાણથી સમજતી હતી. ને એનો પ્રશ્ન એકદમ લૉજિકલ હતો, પણ કોઈ પણ રીતે એનો જવાબ આપવો સહેલો નહતો.

    એટલામાં જ બારણાની બૅલ વાગી. કૅથૅરીને જઈને બારણું ખોલ્યું. મંજુ હતી. એનો સ્વભાવ કહેલા સમયથી વહેલાં આવવાનો. આજે એનું ધ્યાન કૅથૅરીન, કે શોમા, કે હૉસ્ટૅસ અમિતા પર પણ નહતું. એના એક હાથમાં ઘરના બાગમાંથી ચૂંટેલાં ફૂલોનો ગુચ્છ હતો, અને બીજા હાથમાંના સૅલ ફોન પર એની વાતો ચાલુ હતી.

    ‘જા, જા, શું કહે છે, ખરેખર?’ એટલું કહેતાંમાં તો એનું  હસવું માતું નહતું. ના હોય. ખરેખર? હસતાં હસતાં એનો બીજો હાથ પેટ પર કે મોઢા પર જતો હતો. એ હાથમાંનાં ફૂલો ક્યારે નીચે પડ્યાં, ને વિખેરાઇ ગયાં તેની પણ એને ખબર નહતી.

    ફોન બંધ કરીને તરત એ કહેવા માંડી, ‘માયાની આખી વાત શું છે, ખબર છે? આ હમણાં કાંતાએ મને બધું કહ્યું.’

    પેલાં ત્રણે કશો રસ બતાવ્યો નહીં, પણ મંજુએ આગળ ચલાવ્યે રાખ્યું. ‘માયાને પેલા સ્થાનિક કન્નડ – કે મલયાલી – સાથે કેમ પરણવું છે – એટલેકે કેમ પરણવું હતું તે ખબર છે? એટલા માટે કે માયા એ બિચારાને મદદ કરવા માગતી હતી. પોતે અમેરિકન એટલે એને પરણીને પેલાને પણ અમેરિકાની સિટિઝનશીપ મળી જાય, ને એમ એની જિંદગી સુધરી જાય. પછી બંને છૂટાં પડી જાય, એવું માયાને કરવું હતું.’

    કૅથૅરીને તરત મુદ્દો ઉઠાવ્યો, કાનૂન પ્રમાણે આમ પરણવું ને છૂટાં થઈ જવું કાંઇ હવે સહેલું …

    મંજુએ એને ત્યાં જ અટકાવી. ‘અરે, તારા કાનૂનને હમણાં બાજુ પર રાખ. આખી વાત સાંભળ.’

    શોમાએ જોયું કે કૅથૅરીન ગંભીર થઈ ગઈ હતી. કદાચ ઉદાસ પણ. ગૉસિપમાં એ ક્યારે પણ રસ લઈ નહતી શકતી. અને બીજાંની વાત પર આમ હસવું ને એની મજાક કરવી તે એને બહુ ક્રુડ લાગતું હતું.

    એ તરફ મંજુનું ધ્યાન નહતું. એ બોલ્યે ગઈ, મૂળ વાત એમ છે કે માયાએ છાનાંમાનાં લગ્ન તો કરી પણ લીધાં છે. ને પાછાં ક્યારનાં યે.

    હવે તો અમિતા પણ સ્તબ્ધ થઈ ગયેલી.

    ‘અરે, માયા તો એના બીજા અમેરિકન બૉયફ્રૅન્ડ માઇકલને પરણી ગઈ છે. એ તો છેલ્લે એના જ પ્રેમમાં હતી, પણ એનજીઓમાં કામ કરતાં એને કોઈ સ્થાનિક છોકરાનું ભવિષ્ય સુધારવાનો વિચાર આવેલો.’

    ફરીથી મંજુ ખડખડાટ હસવા લાગી. કહે, પેલી નીલાડી એ જ લાગની છે. એણે છોકરીને રાજકુમારીની જેમ રાખેલી. હવે શું મોઢું બતાવે બધાંને?

    કૅથૅરીને ચૂપચાપ નીચે પડેલાં ફૂલોને ભેગાં કરવા માંડેલાં. એણે ગુચ્છ શોમાના હાથમાં આપ્યો, ને એ બારણા તરફ જવા માંડી. શોમાએ રોકવા પ્રયત્ન કર્યો, પણ એ ફીક્કું હસીને બહાર નીકળી ગઈ. એટલાંમાં બીજી બહેનપણીઓ અંદર આવવા લાગી. એ બધાંને ફરીથી મંજુ વિગતે માયાની અને નીલાની વાત કરવા લાગી. જોકે એના જેટલું બીજું કોઈ હસતું નહતું.

    શોમાને બહુ શરમ જેવું લાગતું હતું. એને થયું કે એ પણ જતી રહે. એ એક વાર કૅથૅરીનની પાછળ જોતી રહી, અને પછી ભેગી થયેલી સ્ત્રીઓ તરફ.

    અમિતા સમજી ગઈ હોય તેમ જરા દૂરથી એની સામે જોતી હતી. એણે આંખોથી જ શોમાને વિનંતી કરી, તું ના જતી રહેતી. પ્લીઝ. મારે ખાતર.

    શોમાએ બાજુના નાના ટેબલ પર રહેલા વાઝમાં ફૂલો મૂક્યાં, અને એમાં થોડું પાણી નાખવા રસોડા તરફ ગઈ. એણે જોયું કે ડાઇનિંગ રૂમના ટેબલ પર ગોઠવેલા છ-સાત ગ્લાસમાં કોલ્ડ કૉફી ગરમ થતી હતી, અને પ્લેટમાં મૂકેલી ચટણી સૅન્ડવિચ સૂકાતી જતી હતી.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૨

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

    આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” એટલેકે Love એક અલૌકિક અને અદભુત અહેસાસ છે.જીવનની આ સર્વશ્રેષ્ટ અનુભૂતિને આવરી લેતી અનેકાનેક રચનાઓ કવિવરની કલમ દ્વારા પ્રગટી છે. જે તેમણે પ્રેમ પારજોયની રચનાઓમાં આવરી લીધી છે.

    જેમ દિવસ પછી રાત આવે, સુખ પછી દુઃખ આવે તેમજ જ્યાં પ્રેમ હોય ત્યાં પીડા પણ હોય જ. When there is love, there is pain. આ પીડા અનેક કારણોસર ઉભી થઇ શકે. કોઈકવાર પ્રિયજનની ક્ષણિક ગેરહાજરીના હૃદયને વિરહની વેદનાને છલકાવી મૂકે તો કોઈક વાર પ્રિયજન પાસેથી કોઈક અપેક્ષાની પૂર્તિ થવામાં ચૂક થાય તો હૃદય ખિન્ન થઇ જાય અથવા તો જેને આપણે “પ્રિયજન” માની સાચો પ્રેમ કર્યો હોય તે એ પ્રેમને ઠુકરાવીને આપણી જિંદગીમાં થી સદાને માટે દૂર થઇ જાય… કારણ ગમે તે હોય અને પીડાની માત્રા વધતી ઓછી હોય પણ આ પીડાના મૂળમાં અઢી અક્ષરનો શબ્દ “પ્રેમ” જ હોય.

    ગુરુદેવના અંગત જીવનમાં પણ એવી અનેક ક્ષણો આવી જયારે તેમને પ્રેમની સાથે વણાયેલી પીડાની સ્વ-અનુભૂતિ થઇ. આ વિરહની વેદનાને કવિવરે કલમ સાથે વહાવી દીધી. આવીજ એક વિરહભરી સંવેદનશીલ રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. ૧૯૨૭માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે তোমার গীতি জাগালো স্মৃতি (તોમારો ગેતી જાગલો શ્રીતી) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અશ્રુના લીલેરા તોરણ…” જેનું સ્વરાંકન કવિવરે મલ્હાર રાગમાં કર્યું છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

    અશ્રુના લીલેરા તોરણ

     તારા ગીત સંગાથે આવ્યા તારી યાદોના ધણ
    અને મારે નયને બંધાયા અશ્રુના લીલેરા તોરણ

    તારા વિયોગ વિરહમાં મારી નીંદર થઇ વેરણ
    અને મારે નયને બંધાયા અશ્રુના લીલેરા તોરણ

    ઘનઘોર વાદળોની મંદ સુવાસ ગઈ પ્રસરાઈ
    વર્ષાના વિયોગે કળીઓનું સ્મિત ગયું મુરઝાઈ

    અણદીઠા સ્પર્શે વિલાઈ ગઈ સાવ અકારણ
    અને મારે નયને બંધાયા અશ્રુના લીલેરા તોરણ

    આજ સમીર તારી યાદની કવિતા લઈ ફુંકાયો
    હેલી કેરા ગડગડાટે મારો કર્ણપટલ છલકાયો

    કવિતાના શબ્દે શબ્દે હૈયું મારુ થયું રણઝણ
    અને મારે નયને બંધાયા અશ્રુના લીલેરા તોરણ

     ©અલ્પા શાહ

    ગુરુદેવની આ નાનકડી રચનામાં શબ્દે શબ્દે વિરહની વેદના ટપકે છે. જયારે પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી ન હોય ત્યારે અશ્રુના તોરણ તો નયનોમાં બંધાય જ પણ સાથે સાથે આસપાસની સૃષ્ટિમાં પણ સતત પ્રિયજનના જ ભણકારા સંભળાય…અને મન અને હૃદયને કાબુમાં રાખવું મુશ્કેલ બની જાય.

    આપણે સૌ જાણીએ છીએ તેમ ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ પ્રિયજન પ્રત્યેના અલૌકિક પ્રેમની પરાકાષ્ટા ગણાય છે શ્રીમદ ભાગવતજીમાં એક સુંદર પ્રસંગ છે. ગોપીઓને પોતાના પ્રેમનો સાત્વિક ઘમંડ હોય છે અને એ મદ અને મોહને તોડવા મદનમોહન મહારાસલીલા સમયે અચાનક અંતર્ધ્યાન થઇ જાય છે અને ગોપીઓ એટલી પ્રચંડ માત્રામાં વિરહની વેદના અને વિયોગની પીડા અનુભવે  છે કે તેઓ બાવરી બનીને વૃંદાવનના દરેક વૃક્ષને વીંટળાઈને તેમના કનૈયાની ભાળ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે…

    કદાચ પ્રેમનું જેટલું ઊંડાણ વધુ તેટલી વિરહની વેદના પણ પ્રચંડ… The deeper the love, the steeper the pangs of separation. પ્રેમમાં ઘણીવાર પ્રિયજનનું  પ્રત્યક્ષ “હોવું” જ જરૂરી બનતું હોય છે. એ હાજરી જ ચાલક બળ બની રહેતી હોય છે અને પ્રિયજનની ગેરહાજરીમાં વિરહ અને વિયોગ મને અને હૃદય પર આધિપત્ય જમાવી દે છે  આવાજ કોઈ સંજોગોમાં કવિવર દ્વારા આ રચનાનું સર્જન થયું હોવું જોઈએ.

    તો ચાલો, વિરહની વેદના વ્યક્ત કરતી આ રચના પર મનન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું.

    આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,


    સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હેમંત કુમાર – ‘તુમ્હારા ઇન્તઝાર હૈ!’

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    હેમંતકુમાર – જેમને આપણે સહુ હેમંતદા’ના નામે ઓળખીએ છીએ, એન્જીનીયરીંગ કૉલેજમાં દાખલ થયા હતા. સંગીતના શોખના કારણે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડ્યો. પરમાત્માએ તેમને પત્થરના પુલ બનાવવાને બદલે માનવ હૃદયોને જોડવાનાં ભાવનાત્મક પુલનું નિર્માણ કરવાનું કામ સોંપ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખાંસાહેબ ફૈયાઝખાનસાહેબ પાસે લીધું, પરંતુ ખાંસાહેબના નિધનને કારણે શાસ્ત્રીય સંગીત અધવચ્ચે મૂકીને રવીંદ્રસંગીત તથા બંગાળના આધુનિક સંગીત તરફ વળ્યા. રવીંદ્ર સંગીતમાં તેમણે ગાયેલા ગીતો બેજોડ ગણાયા. ખાસ કરીને ‘મોને રોબે કિના રોબે આમારે’, ‘પાગલા હવા, બાદલ દિને’, ‘મન મોર મેઘેર સંગી, ઉડે ચલે દિગ્ દિગંતેર પાને’ તેમના પછી અનેક ગાયકોએ ગાયા. એટલું જ નહિ, અમારી અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીઓમાં બંગાળી મહિલાઓ અને અફસરો આ ગીતો શોખથી ગાતાં, અને હજી પણ ગાય છે! પણ હેમંતદા’એ જે રીતે કવિગુરૂના શબ્દોને, સંગીતને મૂર્ત બનાવ્યું, વાહ! આ ગીત તો હેમંતદા’નું જ ગણાય!

    તેમણે સૌથી પહેલું હિંદી ગીત ગાયું હોય તો તે ફૈયાઝ હાશમીનું ‘કિતના દુ:ખ ભુલાયા તુમને, પ્યારી!’

    (ગયા અંકમાં જિપ્સીએ તેની માન્યતા પ્રમાણે લખ્યું હતું કે તેમનું પહેલું ગીત ‘આંચલસે ક્યું બાંધ લિયા‘ હતું. કદાચ તે ભુલ ભરેલી માન્યતા હોય!)

    હેમંતદા’ના સમકાલિન ગાયકો હતા જગન્મય મિત્ર – જેમને આપણે સુરસાગર જગમોહનના નામે ઓળખીએ છીએ, ધનંજય ભટ્ટાચાર્ય (જેમણે ‘યાત્રિક’માં ‘તુ ખોજતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’ ગાયું હતું) જેવા ગાયકો. અંગ્રેજી સાહિત્યમાં જેમ Romantic Period હતો, તેવો તે સમયે બંગાળમાં રોમૅન્ટીક, પ્રેમ ગીતોનો યુગ હતો. જગમોહન – ખેર, આજની વાત હેમંતદા’ની છે. જગમોહનની વાત ફરી કદી! તેઓ તો સુરસાગર જ હતા! બન્નેએ જુદા જુદા માર્ગ અપનાવ્યા અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય નીવડ્યા. ગમે તે હોય, હેમંતદા’ની વાત નિરાળી જ છે.

    હેમંતદા’એ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા અને લોકોના હોઠે રમવા લાગ્યા! તેમણે ફિલ્મ અનારકલીમાં ગાયેલી બાગેશ્રી ‘જાગ દર્દે ઇશ્ક જાગ/દિલકો બેકરાર કર’ પણ એવું ગીત છે, કોઇ તેને કદી ભુલી શક્યું નથી.

    https://youtu.be/Ki8ChPsYeJU?si=wCjva4nP3aBO9nhr

    તેમનો forté હતો ઉર્દુ શાયરોની આર્દ્રતાભરી ગઝલ પેશ કરવાનો. અગાઉ જણાવ્યા પ્રમાણે તેમણે ગાયેલું ‘પત્થરકી તરહ હો દિલ જીસકા‘ તો આપે સાંભળ્યું જ હશે.

    પણ ત્યાર બાદ તેમણે ગાયેલ ‘જાને વો કૈસે લોગ થે..‘ એવી હૃદયસ્પર્શી હતી, રસિકો ઘણી વાર વિમાસણમાં પડતા કે હેમંતદા’એ ગાયેલી આ ગઝલને કારણે, સચીન દેવ બર્મનના સંગીત, ગુરૂ દત્તના અભિનયને લીધે કે પછી કવિની કરૂણાંતિકા-કથાને કારણે ‘પ્યાસા’ ફિલ્મ પ્રખ્યાત થઇ હતી.

    હકીકત તો એ છે કે આ બધા કલાકારો-સર્જકોએ તેના સર્જનમાં પોતાની ભાવનઓનું તેમાં સિંચન કર્યું હતું, તેથી. ત્યાર પછી હેમંતદા’એ ગાયેલી ‘તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’, હજી પણ શ્રોતાને તેના સ્નેહ જગતમાં લઇ જાય છે. છેલ્લા અંતરામાં તેઓ એવી હળવાશથી કહે છે, ‘મુખ્તસરસી બાત હૈ, તુમસે પ્યાર હૈ..’ સાંભળીને કોઇ પણ યુવતિ યુવાનના પ્રેમનો સ્વીકાર કરી લે!

    આપને તેમનું ‘યહ નયન ડરે ડરે હુવે’ યાદ છે?’ કેવી હળવાશથી તેઓ જાણે પ્રેયસીના કાનમાં આ વાત ન કહેતા હોય!

    જિપ્સીને તેની કિશોરાવસ્થામાં સાંભળેલ તેમનું ગીત ‘મૈં સાઝ બજાઉં, તુમ ગાઓ!’ તેના પ્રિય ગીતોમાંનું એક બની ગયું છે.

    હેમંતદા”એ સંગીતકાર તરીકે baton સંભાળ્યો, ત્યારે તેમણે ‘નાગિન’ જેવી સામાન્ય કથાને એવી હિટ ફિલ્મ બનાવી, ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેનાં ગીતોની રૅકર્ડ્ઝના વેચાણમાંથી જ ફિલ્મનો ખર્ચ નીકળી ગયો! ત્યાર પછી હેમંતદા’ના સંગીત પર વૈજયન્તીમાલાએ કરેલા નૃત્યો અભૂતપૂર્વ ગણાયા. ખાસ કરીને ‘મૈં આયી રે તેરે લિયે સારા જગ છોડકે’ ગીત પર કરેલા તેમનાં નૃત્યે તો ધમાલ મચાવી હતી.

    (અહીં વૈજયન્તીમાલાના નૃત્યની વાત કરીએ તો હેમંતદા’એ રચેલા આ ગીત બાદ તેમણે કોઇ ફિલ્મમાં ઉત્તમ નૃત્ય કર્યું હોય તો તે ‘જયુએલ થીફ’માં ‘હોઠોંપે ઐસી બાત’ હતું જેને જિપ્સી ન ભૂતો ન ભવિષ્યતિ ગણે છે! આવાં નયનરમ્ય, કલાપૂર્ણ નૃત્યો ફરી કદી રૂપેરી પરદા પર રજુ થયા નથી.)

    તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘ખામોશી’નાં ગીતોએ તો માનવીની ભાવનાઓને સૂરમય બનાવી દિધી. તેમના નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલ ગીત ‘વો શામ, કુછ અજીબ થી’હજી પણ ‘તે’ સંધ્યાને તાજી બનાવી દે છે. આવો હતો હેમંતદા’નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. આપણા મિત્ર શ્રી. માર્કન્ડભાઇએ ગયા અંકમાં આની વાત લખી છે તે આની સાક્ષી પૂરે છે.

    હેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! અને તેમણે ગાયેલાં ગીતોની! તેમના સંગીતને આપણે માણી શક્યા તે આપણું સદ્ભાગ્ય જ ગણાય.


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • વાહ ! ઝાડવું એક અને થડિયાં અનેક !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

         માત્ર ચૂલો, કડાઇ, તાવેથો અને તાપની ગોઠવણ કર્યે  “ શીરો ” બની જતો હોત તો ઘી, ગોળ કે લોટ-પાણીનો  કોઇ ભાવ જ ન પૂછત ! એ રીતે આકાશથી ઉતરી આવતો સૂર્યપ્રકાશ અને હવા માંહ્યલો અંગારવાયુ વનસ્પતિના લીલા પાંદડે પહોંચી જવા માત્રથી વનસ્પતિનો ખોરાક તૈયાર થઇ જતો નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પહેલી જરૂર પડે છે પોષક તત્વોથી સભર એવા રંધાનારા કાચા ખોરાક રૂપી જમીનના રસની, અને એને જમીનમાંથી ચૂસી પાંદડા સુધી પહોંચાડ્યા કરવાનું પાયાનું કામ કરે છે – આપણી નજરને નહીં ભળાતા એવા જમીનમાં ધરબાએલા ઝાડ-છોડના મૂળિયાં .

    મૂળિયાનું એવું જ બીજું બહુ અગત્યનું કામ છે – ઝાડ-છોડને ધરતી પર મજબૂતીથી ઊભો રાખવાનું. તોફાની પવનની આંટીઓ કે વાવાઝોડું  સિમેંટ-રેતીથી ધરબેલા અને ચોતરફ તાણિયા કસેલ વીજળીના થાંભલાને પાયામાંથી ઉખાડી જમીનદોસ્ત કરી દેતા હોય છે. પણ નહીં ફાંઉડેશન કે નહીં એકેય તાણિયો ! ઝંઝેડી નાખતા ઝંઝાવાત ફળ-પાંદડા તો ખેરી નાખે, ડાળીઓય ભાંગી નાખે, થડિયુંયે ફંહાય જાય પણ વૃક્ષના મૂળિયાં માટીની પકડ મૂકતા નથી. ઝાડ કે છોડને પોષનારું અને ધરતી પર અડીખમ ઊભુ રાખનારું કોઇ પરિબળ હોય તો તે છે તેનાં મૂળિયાં !

    દુ;ખ જ આપણું આ છે = આપણે બધા પાકના ખોરાકી તત્વો એટલે કે વિવિધ જાતના સેંદ્રિય અને રાસાયણિક ખાતરોના ઉમેરણની જેટલી ચિંતા રાખીએ છીએ એનાથી પાંચમાં ભાગનીયે દરકાર એ ખોરાકી તત્વોને જમીનમાંથી ચૂસી ઉપર ધકેલનારા  ઝીણાં-મોટા મૂળિયાંની લેતા નથી. ખોરાક ભલેને ઢગલામોઢે પડ્યો હોય – એ ચૂસનારા મૂળિયાં જ જો  માયકાંગલા અને અલ્પ જથ્થામાં હોય તો ? છતે ખોરાકે છોડવાને ભૂખે મરવાનો વારો આવે કે નહીં ?

    ઈમારત કેટલી ઉંચી લઇ જઇ શકાશે તેનું ગણિત તેના પાયાની મજબૂતાઇ કેટલી કરવામાં આવી છે તેને ધ્યાને લઇને એંન્જીનીયરો કરતા હોય છે. આપણા છોડવા કે ઝાડવા કેવાક ફાલશે-ફૂલશે કે કેટલું ઉત્પાદન આપવા સક્ષમ બનશે તેનું ગણિત પણ તેનું મૂળતંત્ર કેવુંક મજબુત, ફેલાએલું અને કાર્યરત છે તેના પર જ મંડાવાનું .

    એક ઝાડવાને એક થડ હોય-એ તો હોય ! એમાં કંઇ નવું કે અચંબો પમાડે એવું નથી. પણ એક ઝાડવાને એકથી વધારે થડિયાં હોય એવું જોયું છે ક્યાંય ?  યાદ કરો બરાબર ! કોઇ કોઇ ગામના ગોંદરે કે તળાવની પાળે ઊભેલા વૃક્ષ-જગતના વડિલ એવા વડદાદાને નીરખીને જોજો જરા !  જૂઓને, કવિ સુંદરમે દરેક કુટુંબના વડીલ દાદાઓને વડ સાથે સરખાવ્યા છે.

    “ અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા, વિશાળી છાયાઓ, સકળ અમ સંતાપ હરતા.”

    પણ તે તો વડને કુદરતે દીધેલી વિશિષ્ટ શક્તિ દ્વારા મૂકાએલી વડવાઇઓએ પકડેલા થડના સ્વરૂપો છે.

    આ વડવાઇઓ શું છે ?  વડ કે પીપર જેવા ખાસ વિશિષ્ટ ખાસિયત ધરાવતા ઝાડવાઓ પૂખ્ત ઉંમરના થતાં તેની પાકટ ડાળીઓમાંથી પાતળાં મૂળિયાં ફૂટી ધરતી તરફ લંબાતા હોય છે. જમીન સુધી પહોંચ્યા પછી તે જમીનમાં પ્રવેશી મૂળનું માળખું બનાવી જમીનમાંથી પોષણ ખેંચી ખેંચી ઉપર મોકલવાનું કામ બજાવવા લાગે છે. સમય જતાં તે માળખું મોટું બનતું જાય છે અને જમીનથી મુખ્ય ડાળી સુધીની એ વડવાઇ હવે પાતળાપણું છોડી ,લોંઠકી બની થડનું રૂપ ધારણ કરી લે છે. વખત જતાં એની જાડાઇ એટલી બધી વધી જતી હોય છે કે મૂળ થડ ક્યુ  અને વડવાઇઓ દ્વારા બનેલાં થડ ક્યા ? એ પારખવું અઘરું થઇ પડતું હોય છે.

    તમે જોજો ! આવું જ લીમડે લટકતી ગળોની વેલી પણ પોતાના શરીરમાંથી વડવાઇઓ જેવા તાંતણાં લટકાવી નીચે જમીન પર પહોંચ્યાં ભેળા જ તેના અગ્ર ભાગેથી ઝીણાં મૂળો પ્રસરાવી રસ ખેંચાણ કરવાની પેરવીમાં જ કાયમ ભળાતી હોય છે.

    પણ દુ:ખ એ વાતનું …….કે : ખાટલે મોટી ખોટ્ય કે વડ-પીપર જેવા વડવાઇઓ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવનારા વૃક્ષો, વૃક્ષ તરીકેના અનેક લાભો દેતા હોવા છતાં સ્વાદિષ્ટ અને પોષક ખોરાક ઉપરાંત બજારૂ આવક આપનારા ફળો દેવા માટે ઊણા ઊતરે છે. એટલે કોઇ ખેડૂત વાડીની અંદર તેનું વ્યવસ્થિત વાવેતર તો ન જ કરે ને ?

    આપણી અભિલાષા : આપણને ઘડીભર એમ થાય કે વડ-પીપરના જેવી વધારાની થડ-મૂળ બનાવી શકવાની વિશિષ્ટ શક્તિ ભગવાને માનવીય ખોરાકમાં ઉપયોગી એવાં મીઠાં અને મધુંરાં ફળો આપતાં બધાં વૃક્ષોને આપી હોત તો ? જામો પડી જાત હો ! ખેતરે ખેતરે કબીરવડ જેવાં ફળઝાડો લહેરાતાં હોત ! પણ જવા દો એ વાત.

    ઝાડની આ આવડતનો લાભ આપણે લઇ શકીએ ? = હા, ખેતીના આધુનિક વિજ્ઞાને આ પડકાર જીલ્યો છે અને “ કલમ ” ના સિધ્ધાંતને સહારે નવું કૌતૂક ઊભું કર્યું છે. કેવી રીતે તે જરા જોઇએ.

     રીત સાવ સહેલી છે = રાયણના પઠ્ઠા પર ભેટ કે નૂતન કલમ કરી ચીકુનું વર્ધન કરવાનું ખેતી વિજ્ઞાને શીખવાડ્યું છે. બસ, એ જ રીત-પધ્ધતિએ લગભગ બધા ફળઝાડોને વધુ થડ-મૂળ ઉમેરી શકાય છે. જેમકે ચીકુનું ઝાડ ઉછરી મોટું ડાળીઓ વાળું બની જાય એટલે મુખ્ય થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી દેવાનો. પઠ્ઠો જમીનમાં ચોટી જઇ જોરદાર રીતે વધવા માંડે ત્યારે તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાનો. કલમનો સાંધો મળી જાય – બન્ને એક્જીવ થઇ જાય એટલે રાયણના પઠ્ઠાનું માથું કાપી નાખવાનું, પણ ચીકુની ડાળીને તેના ઝાડથી અલગ નહીં કરી દેતા –એમને એમ લાગેલી રહેવા દેવી. જેથી રાયણનો પઠ્ઠો હવે ચીકુનું નવું થડ બની ગયું, અને એના મૂળિયાં હવે ખોરાક ચૂસી ચૂસી ઉપર ચીકુના ઝાડને મોકલવાનું શરુ કરી દે છે. આવા બે ત્રણ કે ચાર વધારાના થડ બનાવી દીધા હોય તો ઝાડ આસાનીથી તેનો મૂળવિસ્તાર સવાયો-દોઢો વિસ્તારી, એટલી વધારાની જમીનમાંથી રસકસ ચૂસી ઝાડને મોકલી શકે. એટલે સહેજે આપણને એક થડ વાળા ઝાડની સરખામણીએ આવા ઝાડમાં વધારે ઉત્પાદન મળવા લાગે.

     આ રહ્યો બોલતો પુરાવો = આ રીતે ફળઝાડોને  વધુ થડ-મૂળિયાં ઉમેરાયા હોય એવું પ્રત્યક્ષ કામ જોવા ઈચ્છતા હોય તેમને માટે માહિતી આપું. શ્રી હિરાભાઇ રાજાભાઇ કરમટા-[જી.ઇ.બી.વાળા] મો. 94272 29603 ની 12 એકરની ચીકુવાડી ગામ-ખેરા તા-માળિયા,જિ. જુનાગઢમાં આવેલી છે. ખેતી પધ્ધતિ સજીવવાળી છે. આ વાડીના 700 ચીકુનાં તમામ ઝાડવાં જોઇ વળો- એક થડ વાળું શોધ્યું નહીં જડે ! લગભગ તમામને બે થી માંડી ત્રણ-ત્રણ ને ચચ્ચાર સુધીના થડ જોવા મળશે. તેઓ આ વિશિષ્ટ પ્રકારના ઝાડ ઉછેરની મહેનત પોતાના મોટાભાઇની ગણે છે અને વધુને વધુ મૂળને પરિણામે ફળોનું ઉત્પાદન પણ ધીંગું રહ્યાનું કબુલે છે. આ બાગ જોયા પછી પ્રગતિશીલ માનસ ધરાવતા ખેડૂતો જરૂર કંઇક નવું કરવા પ્રેરાશે.

    શું બીજા વૃક્ષોમાં આવું થઇ શકે ? હા, જરૂર થઇ શકે. જે જે ઝાડમાં ભેટકલમ શક્ય  બને છે તે બધા જ ઝાડ- આંબા, જામફળી, આમળા, ગુંદા,આમલી વગેરે ઝાડવાઓમાં વધારાના થડ-મૂળિયાં ઉભા કરી , વધુ ખોરાક ઝાડને પહોંચતો કરી, ફળરૂપે ઉત્પાદનમાં રૂપાંતરિત કરી શકાય છે.

    આપણે પણ આવું કરી શકીએ :

    [૧] તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી માટી ચડે તેવા પાળા ચડાવી દીધા હોય તો તે ગાંઠોમાંથી નીકળતી વડવાઇઓને જમીનમાં પ્રવેશ કરવાનો મોકો ઊભો થશે, અને તેના દ્વારા ધરતીમાંથી વધારાના રસ-ખેંચાણનો લાભ ઉત્પાદનમાં ચોક્કસ મળવાનો જ !

    [૨]  એવું જ દૂધી, તૂતિયાં, ગલકાં, ટીંડોરાં, કાકડી, કારેલાં જેવાં વેલાવાળા પાકોમાં પણ જોશો કે વેલાની ગાંઠોમાંથી વડવાઇઓ જેવાં પાતળાં મૂળો ફૂટતાં હોય છે.પણ વેલો પવન-પાણીથી આડો-અવળો થતો રહેતો હોઇ, તે મૂળિયાં જમીનમાં પ્રવેશી શકતાં નથી. પરંતુ જો આવા વેલાને એની કોઇ કોઇ ગાંઠો પર પાણતિયા દ્વારા પાવડોભરી માટીની ઢગલીઓ કરાવતા થઈ જઈએ, તો આ વડવાઇઓ પણ જમીનને વળગી, પોષણ ચૂસી વેલાને મોકલવા માંડે છે, અને વેલો વધુ ઉત્પાદન આપવા શક્તિમાન બને છે. આતો અમારો જૂનો થઈ ગયેલો જાત અનુભવ છે.

          તલસ્પર્શી નિરીક્ષણની ટેવ હોય તેવા ખેડૂતોને આ પ્રકારના અનુભવો થતા રહેતા હોય છે. આ લખાણને વાંચી રહેલા કોઇ પ્રયોગશીલ ખેડૂતભાઇને આવી કોઇ નવી વાત જાણવા મળી હોય તો સૌને જાણકારીનો લાભ મળે એ ખાતર મને જાણ કરવા વિનંતી. સુખ તો વહેંચવાથી જ વધે ને, મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • વરસાદી ઋતુનો અનોખો વણકર

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    જેમ જેમ ઉનાળાની ઋતુ અંત તરફ જાય છે તેમ પ્રકૃતિ ધીમે ધીમે બદલાતી લાગે છે, ઉનાળાની તીવ્ર ગરમી ઓછી થવા લાગે છે, પવનમાં ભેજનો અહેસાસ થાય છે અને આકાશમાં વાદળો ભેગા થવા લાગે છે. આ સમય દરમિયાન, જો તમે બાવળ કે ખજૂરના ઝાડને ધ્યાનથી જુઓ, તો તમને તેમાં લટકતી નાની રચનાઓ દેખાશે. આ છે Baya Weaver—જેને ગુજરાતીમાં “સુગરી” કહેવાય છે તેના ગૂંથેલા માળા.શરૂઆતમાં આ માળા તાજા લીલા અને અપૂર્ણ દેખાય છે, જાણે હજી પણ પવન સાથે આકાર લઈ રહ્યા હોય.

    આ પક્ષી શિયાળાના સમયમાં સાદું ચકલી જેવું ભૂખરા રંગનું દેખાય છે જે થી તે ખેતરો અને ઘાસવાળા વિસ્તારોમાં સરળતાથી ભળી જાય છે અને ખાસ ધ્યાન ખેંચતું નથી આ સમયમાં તેના રંગ-રૂપને નોન બ્રીડિંગ પ્લુમેજ કહેવામાં આવે છે. પરંતુ ચોમાસું નજીક આવે ત્યારે નર પંખીનો  રૂપ-રંગ બદલાઈ જાય છે. તેનું માથું તેજસ્વી પીળા રંગનું થઈ જાય છે અને તે ખૂબ સક્રિય બની જાય છે—તેનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે: માળો બનાવવો અને માદા સુગરીને આકર્ષવી.

    [માદા સુઘરી અને નર સુઘરી પ્રજનન કાળ સિવાયના સમયે બિન – સંવનન પીછાંપરિવેશમાં હોય છે અને સાદા ચકલી જેવા ભૂખરા રંગના દેખાય]
    [નર સુગરી પ્રજનન કાળ સમયે સંવનન પીછાંપરિવેશમાં, સુંદર કાળું મુખ અને શિર અને છાતીના ભાગનો ચમકદાર પીળો રંગ]
    નર સુગરીઓ પહેલા યોગ્ય ડાળી પસંદ કરે છે, સામાન્ય રીતે એવી કે જે પાણી ઉપર લટકતી હોય અથવા કાંટાવાળા ઝાડમાં હોય. આથી સાપ જેવા શિકારી પ્રાણીઓથી રક્ષા મળે છે અને અવરજવર પણ ઓછી રહે છે. ત્યારબાદ તે ઘાસના તંતુઓને ખૂબ કુશળતાથી વણીને માળા બનાવવાની શરૂઆત કરે છે. પ્રથમ અવસ્થા “હેલ્મેટ સ્ટેજ” તરીકે ઓળખાય છે—આ સંપૂર્ણ માળો નથી, પરંતુ માદાને આકર્ષવા માટેનું પ્રદર્શન છે.

    નર તેમાં લટકી રહે છે, અવાજ કરે છે અને સતત હલચલ કરીને માદાને આકર્ષે છે. માદા આવે છે અને માળાની સારી રીતે તપાસ કરે છે. જો માળો મજબૂત, સુરક્ષિત અને યોગ્ય લાગે, તો તે તેને સ્વીકારી લે છે અને પછી માળો સંપૂર્ણ બોટલ જેવા આકારમાં બને છે. જો માળો સ્વીકારવામાં ન આવે, તો નર તે માળાને ત્યજી ઉડી જાય છે. એક જ ઝાડ પર લટકતા ઘણા માળાઓમાંના ઘણા માળા નકારેલા પણ હોય છે—પ્રકૃતિમાં પસંદગી કેટલી કડક છે તેનું આ એક ઉદાહરણ છે.

    આ સમગ્ર પ્રક્રિયા ચોમાસા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. વરસાદ સાથે નવી ઘાસ ઊગે છે, જે માળા બનાવવા માટે જરૂરી છે. ખેતરોમાં બીજ વધે છે અને જીવાતોની સંખ્યા વધી જાય છે—જે નવજાત બચ્ચા માટે મહત્વપૂર્ણ ખોરાક છે. એટલે સુગરી માટે ચોમાસું માત્ર એક ઋતુ નથી, પણ જીવનચક્રનો આધાર છે.

    જ્યારે માદા કોઈ માળો સ્વીકારી લે છે, પછી જ નર તેને પૂર્ણ કરે છે. માદા તેમાં સામાન્ય રીતે ૨ થી ૪ ઈંડાં મૂકે છે અને તેમની ઉષ્ણતા જાળવે છે. થોડા સમયમાં બચ્ચા બહાર આવે છે અને જ્યાં સુધી તેઓ ઉડવા તૈયાર ન થાય ત્યાં સુધી માતા-પિતા તેમને ખવડાવે છે.

    સુગરીના માળાનો એક રસપ્રદ પાસો એ છે કે તે હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે માળાનું મુખ ચોમાસાના તેજ પવનની દિશાથી વિપરીત રાખવામાં આવે છે, જેથી વરસાદ અને પવનનો પ્રભાવ ઓછો પડે. માળાનો લાંબો અને સંકોચાયેલો પ્રવેશદ્વાર પણ વરસાદી પાણી અંદર જવાથી રોકે છે. આ પ્રકારની રચનાને કારણે માળાના અંદરનું વાતાવરણ તુલનાત્મક રીતે સ્થિર રહે છે, જે ભારે વરસાદ દરમિયાન ઈંડાં અને બચ્ચા માટે વધુ સુરક્ષિત બને છે.

    સુગરી સામાજિક પક્ષી છે અને સામાન્ય રીતે ટોળાંમાં રહે છે. આ ટોળાં ખોરાક માટે સાથે મળીને શોધખોળ કરે છે—ઘાસમાંથી બીજ ખાય છે. કાપણી થયેલા ખેતરોમાં તે મોટા ટોળાંમાં ભેગા થઈને બાકી રહેલા દાણા, ખાસ કરીને ધાન, ખાય છે. તેમના ટોળાંનું ઉડાન પણ ખાસ હોય છે. તે ટોળામાં એકબીજાની નજીક રહીને ઝડપથી વળાંક લેતા, સંકલિત રીતે દિશા બદલતા ઉડે છે!

    પ્રજનન સમય દરમિયાન તેઓ જીવાતો જેમ કે ઈયળ, પતંગિયા અને અન્ય કીટકો પણ પકડે છે, જે બચ્ચા માટે જરૂરી પ્રોટીનનો સ્ત્રોત બને છે. ક્યારેક તેઓ નાનાં દેડકા અને ગરોળી પણ પકડે છે. તેમની હાજરી ખોરાકની ઉપલબ્ધિ પર આધારિત હોય છે—જ્યાં ખોરાક મળે, ત્યાં તેઓ જાય છે. સાંજ પડે ત્યારે તેઓ પાણીના સ્ત્રોતની આસપાસના રીડ-બેડમાં(નદી અથવા તળાવમાં રહેલી મોટી અને લાંબી ઘાસમાં)ટોળાંમાં બેસી રહે છે.

    ક્યારેક તેઓ પાકને નુકસાન પહોંચાડે છે, પરંતુ સાથે સાથે તેઓ જીવાતો ખાઈને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ પણ કરે છે.

    બચ્ચા ઉડી જાય પછી માળાની વાર્તા પૂરી થતી નથી. ઘણા માળા ખાલી રહી જાય છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે. પરંતુ તે વ્યર્થ નથી જતા. નાના પંખીઓ જેમ કે મુનિયા અથવા સિલ્વરબિલ આ માળાઓનો ઉપયોગ કરે છે. નાના જીવાતો અને મકોડાં પણ તેમાં રહેવા લાગે છે. એટલે એક માળો, જે એક પરિવાર માટે બનાવાયો હતો, પછી બીજા ઘણા જીવો માટે આશ્રય બને છે.

    આ કારણે, આવા માળાઓને સજાવટ માટે ઘરે લઈ જવું યોગ્ય નથી. જે માળો આપણને ખાલી લાગે છે, તે હકીકતમાં પર્યાવરણનો એક ભાગ છે.

    સુગરી પોતાની રીતે પર્યાવરણનું પ્રતિબિંબ છે. તેની હાજરી બતાવે છે કે આસપાસનો વિસ્તાર સ્વસ્થ છે—જ્યાં ઘાસ, પાણી અને ખોરાક પૂરતો છે. તેનો પ્રજનન મોન્સૂનના આગમનને દર્શાવે છે, અને તેની પ્રવૃત્તિ ઋતુના ફેરફારો સાથે જોડાયેલી છે.

    આવતા વરસાદ સાથે, સુગરી ફરી પાછી આવે છે—અને આ ચક્ર આમ જ ચાલતું રહે છે.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • લોકો ધારે તો શું કરી શકે એનું જ્વલંત ઉદાહરણ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ગતાંકના લેખ વિરોધ વિકાસનો નહીં, એના નામે થતા દૃષ્ટિહીન આયોજનનો માં ચિત્તૂર- થાથમંગલમના લોકોએ જે અદ્‍ભુત પહેલ કરી તેની વ્ગતો હવે આજે……

    કેરળના પલક્કડ જિલ્લાના ચિત્તૂર-થાથમંગલમ નામના નગરના લોકોએ રાજ્ય સરકારના ‘ડ્રાફ્ટ માસ્ટર પ્લાન, ૨૦૩૧’ નામના વિકાસના આયોજનનો વિરોધ કર્યો, પણ એટલેથી અટકવાને બદલે તેમણે પોતે, પોતાના નગરની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને  ‘ચિત્તૂર-થાથમંગલમ માસ્ટર પ્લાન ૨૦૪૨’ તૈયાર કર્યો. નગર આયોજનના બે નિષ્ણાતો જયરાજ સુંદરેશન અને માલિની કૃષ્ણકુટ્ટીની ‘માસ્ટર પ્લાન એક્સપર્ટ કમિટી’ (એમ.પી.ઈ.સી.) બનાવવામાં આવી અને સૌએ મળીને નગરની વિવિધ વિશેષતાઓને લક્ષમાં રાખીને વૈકલ્પિક આયોજન ઊભું કર્યું. ગયા સપ્તાહે તેની મુખ્ય વિગતો જાણ્યા પછી આ આયોજનનાં વિવિધ પાસાં કેવાં રહ્યાં એ જાણવું જરૂરી બની રહે છે.

    માલિની કૃષ્ણકુટ્ટીના જણાવ્યા અનુસાર ભારતમાં વિશાળ સંખ્યામાં લોકો અનૌપચારિક આવાસમાં વસે છે અને તેમની આજીવિકાના સ્રોત પણ અનૌપચારિક હોય છે. જે સામુહિક સ્થાનો અને નૈસર્ગિક સ્રોત પર તેઓ અવલંબિત છે તેને મોટે ભાગે ‘બિનઆયોજિત’ની શ્રેણીમાં મૂકવામાં આવે છે. મિલકતના હકને પ્રાથમિકતા આપતા આયોજનના આધુનિક અભિગમને બદલે આપણે જળજમીનને સહિયારી મિલકત તરીકે જોવાનો અભિગમ અપનાવવાની જરૂર છે.

    આ અભિગમને કેન્‍દ્રસ્થાને રાખીને કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં સ્વયંસેવકો અને સ્થાનિકોનાં સૂચનો તેમજ વાંધાવિરોધ મંગાવવામાં આવ્યા. તેની પર વિચારવિમર્શ કરાયો. મ્યુનિસિપાલિટી પાસે આ માટેનાં નાણાંની જોગવાઈ અપૂરતી હોવાથી ‘એમ.પી.સી.’ના સભ્યોએ અવેતન કામ કર્યું. વિવિધ કૌશલ્યમાં નિષ્ણાત સ્થાનિકો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ એ જ રીતે સંકળાયા. ક્ષેત્રીય કાર્ય માટે જે બે જુનિયર પ્લાનરો સંકળાયા તેમની મર્યાદિત નાણાંકીય જોગવાઈ  ‘ધ કેરલ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન’ દ્વારા કરવામાં આવી. આસપાસની યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ‘જી.આઈ.એસ. (જિયોગ્રાફિક ઈન્‍ફર્મેશન સિસ્ટમ) મેપિંગ, ભૂપૃષ્ઠના મોડેલિંગ તેમજ સ્થળચકાસણી જેવાં કામોમાં સંકળાયા. રાજકીય કર્મશીલો, ઉદ્યોગ સાહસિકો તેમજ બૌદ્ધિકોએ અમલદારશાહી સાથે સુમેળ સાધ્યો અને નાણાંકીય વ્યવસ્થા સંભાળી, તો સ્થાનિક રહીશોએ મિલનનાં આયોજન કરીને આ ચળવળ માટે જનાધાર ઊભો કર્યો.

    ત્રણ તબક્કે આ આયોજનપ્રક્રિયાએ આકાર લીધો. પહેલા તબક્કામાં રાજ્ય સરકારનો ‘ડ્રાફ્ટ માસ્ટર પ્લાન, ૨૦૩૧’ લોકોને સમજાવવામાં આવ્યો, જેમાં નગરના કુલ ૨૯ વોર્ડને નવ સમૂહમાં વિભાજીત કરવામાં આવ્યા. મલયાલમ ભાષામાં જ બધી ચર્ચા થતી, જેથી સૌ કોઈ તેને સરળતાથી સમજી શકે. બીજા તબક્કામાં સ્થાનિકોની જરૂરિયાત, તેમની આકાંક્ષાઓ અને નિસ્બત સાથે સંકળાયેલી વિવિધ બાબતો પર એકદમ મુદ્દાસર, શ્રેણીબદ્ધ સમૂહચર્ચાનો દૌર ચાલ્યો. બાર શાળાઓના પચાસ બાળકોને નગરની ભાવિ જરૂરિયાત શી છે એ વર્ણવવાથી તેનો આરંભ થયો, જેમાં આગળ જતાં સાડા પાંચસો સહભાગીઓને સાંકળતી વીસેક સમૂહચર્ચાઓ થઈ. આ ચર્ચામાં શિક્ષણ, રોજગાર, જાહેર સ્વચ્છતા, પર્યાવરણ, સામાજિક સમાનતા, જ્ઞાતિગત સમીકરણો વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા.

    સ્થાનિક ટીમોએ જમીનના ઊપયોગને વિગતવાર અંકિત કર્યો અને તેનું મલયાલ ભાષામાં જ દસ્તાવેજીકરણ કર્યું. એ પછી આયોજિત કરાયેલી ત્રણ દિવસીય કાર્યશાળા ‘માસ્ટર પ્લાન શિલ્પશાલા’માં આયોજન સમિતિએ આયોજન તેમજ વિવિધ ક્ષેત્રના પંદર નિષ્ણાતોને દેશભરમાંથી આમંત્ર્યા અને ૧૮૬ સ્થાનિકો સાથે તેમને જોડ્યા. આમ, સમગ્ર આયોજન એકદમ વાસ્તવિક બની રહે એ ધ્યાન રાખવામાં આવ્યું. આ કાર્યશાળામાંથી જે વિચારો જન્મ્યા તેના આધારે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા ‘માસ્ટર પ્લાન, ૨૦૨૩’નો પાયો તૈયાર થયો. એક જ ઉદાહરણ જોઈએ. આ નગરમાં ચાલવું અને સાયકલ મુખ્ય બાબતો છે, પણ સરકારી આયોજનમાં તેને બદલે પહોળા રસ્તા હતા. ગામલોકોએ પોતાના આયોજનમાં ચાલવા માટેની ફૂટપાથ તેમજ સાયકલ ટ્રેકની જોગવાઈ કરી. પૂરનિયંત્રણ માટે પણ નદીનાળાં તેમજ અન્ય જળસ્રોતોને જોડવામાં આવ્યાં. આવું જ વૃક્ષાચ્છાદન માટે.

    માસ્ટર પ્લાન ૨૦૪૨ માં અલ્લમરમ તરીકે ઓળખાતાં વિશાળ વડ અને અલ્લથરા તરીકે ઓળખાતા તેની આસપાસના વર્તુળાકાર ઓટલાઓને ગ્રામ સમાજની બેઠકોનાં સ્થાન તરીકે દસ્તાવેજ કરાયેલ છે. – Jayaraj Sundaresan
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ત્રીજા તબક્કામાં આખરે જુલાઈ, ૨૦૨૪માં રાજ્ય સરકારના પ્લાનને સ્થાને લોકો દ્વારા તૈયાર કરાયેલો પ્લાન ચીફ ટાઉન પ્લાનરના કાર્યાલય દ્વારા સરકારને જમા કરાવવામાં આવ્યો. મ્યુનિસિપાલિટીએ આ પ્લાનને મલયાલમમાં સમજાવતી  ચાલીસ પાનાંની પુસ્તિકાનું ઘેરઘેર વિતરણ કર્યું. વિચારવિમર્શ માટેના સાઠ દિવસના સમયગાળા પછી વિશેષ સમિતિએ પોતાનો આખરી અહેવાલ સરકારમાં આપ્યો છે અને હવે આ પ્લાનને અધિકૃત સરકારી મંજૂરી મળે તેની પ્રતીક્ષા છે.

    કેરળના આ નગરે ખરેખર તો એક નવી કેડી કંડારી છે. પોતાના સમુદાયના હિત માટે સૌ સંપીને કામ કરે તો કેવું ઊત્તમ પરિણામ મળી શકે એનું આ જીવંત ઉદાહરણ છે. હિમાંશુ નિતનવરે દ્વારા ‘ડાઉન ટુ અર્થ’ પોર્ટલ માટે આલેખાયેલો આ અહેવાલ ખરા અર્થમાં એક પ્રેરક ગાથા કહી શકાય એમ છે.

    આયોજનની પુસ્તકિયા વ્યાખ્યા અને વાસ્તવિક આયોજન વચ્ચેનો ભેદ કેટલો મોટો હોય છે, એ પણ આમાં ઊજાગર થાય છે. વર્તમાન સમયમાં પાકા રોડ અને આડેધડ બંધાઈ રહેલા પુલોને વિકાસ તરીકે ઓળખાવાય છે, અને તેનાથી થતા વિશાળ આર્થિક લાભ ગણાવવામાં આવે છે. ઘણાખરા કિસ્સામાં તો કેવળ તેની પાછળ ફાળવવામાં આવેલી તોતિંગ રકમ જ પૂરતી થઈ પડે છે. લોકોની વાસ્તવિક જરૂરિયાત શી છે એ ભ્રામક રાજકીય પ્રચારના મારામાં કોરાણે મૂકાઈ જાય છે. વિકાસ એ જરૂરિયાતનો નહીં, પણ રાજકીય મુદ્દો બની ગયો છે. આવા માહોલમાં કેરળનું આ નગર એક નવી જ દિશા ચીંધે છે અને તે એ પણ દર્શાવે છે કે આપણા ભલા માટે આપણાથી વિશેષ કોઈ વિચારી ન શકે. આ સમગ્ર પ્રકલ્પમાં સ્થાનિક રાજકારણ નડ્યું હશે કે કેમ, એ ખબર નથી, પણ મૂળ વાત એ છે કે સૌએ ભેગા મળીને પરિણામલક્ષી કામ કર્યું. હવે આગામી એક બે દાયકામાં એ દિશામાં કામ થશે એટલે તેનાં સુપરિણામ પણ જોવા મળશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૯-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧૬

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ગયાના દેશમાં દિવસો ઘણા સારા ગયા હતા. સેવાનું કામ થયું, દેશની નદીઓને જોઈ અને એમાં વહેવાનો અનુભવ પણ લીધો. દેશનાં અંધાર-ઘેરાં જંગલોને ઉપરથી જોયાં, અને એમાં ચાલીને એક વિખ્યાત ધોધ પણ જોયો. જ્યૉર્જ ટાઉન શહેરની એક ઝાંખી મેળવી. આ વખતે હું એકલી નહીં, પણ જૂથમાં હતી, તેથી કંપની મળી, અને નિરાંત રહી.

    આ દરમ્યાન, એક વાર હું દેશનું આધુનિક, તેમજ સંપન્ન પાસું પણ જોવા પામી હતી, જ્યારે મને જિયોની અદ્યતન હોટેલમાં એક સાંજ ગાળવાની તક મળી હતી. હવે આવી એક બીજી તક પણ મને મળી રહી હતી. સંજોગવશાત્ મારે ન્યૂયૉર્કમાં એક ગયાનીઝ દંપતી સાથે ઓળખાણ છે. એ લોકો વર્ષમાં જિયો અને ન્યૂયૉર્કની વચ્ચે આવ-જાવ કરે છે. મને જાણ હતી, કે આ સમયે એ લોકો જિયોમાં હતાં. મેં પહોંચીને ફોન કરેલો, અને છેલ્લે દિવસે મળવાની વાત થયેલી. પછી તો, હું એક રાત એમને ત્યાં રહીશ, એવું નક્કી થયેલું.

    જિયો શહેરમાં હરી-ફરીને અમે બધાં પાછાં આવ્યાં પછી, સાંજ થતાં મને લેવા ડ્રાયવરવાળી મોટી ગાડી આવી. આ કુટુંબ ગયાનામાં અત્યંત ધનવાન ગણાય છે, અને ખૂબ જાણીતું છે, તેથી હોટેલની માલિકણ મને કહે, મૅડમ આવ્યાં હોય તો મારી ઓળખાણ જરૂર કરાવજો. મેં કહેલું, ચોક્કસ કરાવીશ. પણ મૅડમ એમ લેવા શાનાં આવે?

    જોકે મારી એ મિત્ર એને ઘેર મારી રાહ જોતી હતી. અને શું ઘર હતું એ. અરે, એક મોટા કમ્પાઉન્ડમાં બે ભાઈઓનાં બે ઘર હતાં. મોટાં નિવાસસ્થાન. વચમાં, ઝાડપાનથી છવાયેલો,  સ્વિમીંગપૂલ હતો. ઝાંપા પર ઊભેલા દરવાને જાણીતી ગાડીને તરત કમ્પાઉન્ડમાં અંદર જવા દીધી. બધે જ ઝાડ, છોડ, ફૂલો, ને પાછળ શાકભાજીનો ગાર્ડન.

    સરસ સફેદ રંગેલાં, કોલોનિયલ સ્ટાઇલનાં બંને મકાનો હતાં. મારાં મિત્રના મકાનના બે માળ પર ફરતો પહોળો વરંડો હતો. સળંગ જતા કઠેડાની જાળીમાં સુંદર ડિઝાઇન થયેલી હતી. ત્યાંથી દરિયા પર બાંધેલી દીવાલ, તેમજ દરિયો દેખાય. દરિયાનું લાલાશ પડતું, ડહોળું પાણી. નહીં ભૂરો રંગ, નહીં જરા પણ મોજાં.

    જોવા જેવું કાંઈ નહીં. અને મોકળાશ ખરી, છતાં હવા જરા પણ નહીં. અમુક સમયે અને અમુક ઋતુ દરમ્યાન ફરફર પવન કદાચ આવતો હશે. અહીં દરિયાના દેખાવની મઝા નહતી, કે નહતી હવામાં કશી ઠંડક, છતાં આ પ્રૉપર્ટી ગણાય અત્યંત ઈચ્છનીય, અને એવી જ મોંઘી. આવી જગ્યાએ રહેનારાં ઉચ્ચ શ્રીમંત વર્ગનાં જ હોય, તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

    આ વિશાળ ગૃહનાં રસોડા ને જમવાના ભાગમાં ઍરકંડિશન નહતું, અને હવામાં ઘામ. પંખો બહુ અસર કરતો ના લાગે. પણ અહીં તો બારે માસ બધાં બારી-બારણાં ખુલ્લાં રાખી શકાય, તેથી બધે પંખાનો જ રિવાજ હશે. બેસવાના અતિ-સુશોભિત ખંડમાં પણ પંખા જ હતા. જોકે સૂવાના કક્ષમાં સરસ ઠંડક હતી. ત્યાં ઍરકન્ડિશન મશિન લગાવેલાં હતાં.

    ઘરના કામ અને રસોઇને માટે બે ગયાનિઝ સ્ત્રીઓ રાખેલી છે. એમણે સરસ ખાવાનું બનાવેલું. વધારે પડતું તેલવાળું નહીં, અને લાગે ઇન્ડિયન-જેવું, છતાં જુદા સ્વાદવાળું. સવારે નાસ્તો કર્યા પછી હું નીચે કમ્પાઉન્ડમાં થોડી વાર ચાલી, પાછળનો શાક-ગાર્ડન જોયો, આ નિવાસના ફોટા લીધા. ગયાના જેવા અજાણ્યા દેશમાં આમ મિત્રો હોય, અને એમની કંપની મળે, એને ખુશનસીબ જ કહેવાય ને.

    બપોરે મારી પનામા જવાની ફ્લાઇટ હતી. મને એમ કે ટૅક્સી મંગાવી લઈશ, પણ મારાં મિત્રોએ મને ઘરની ગાડીમાં ઍરપૉર્ટ મોકલી. એમની સગવડ સાચવવા મારે થોડાં વહેલાં નીકળવાનું થયું, પણ આરામથી જવાયું. એ જ એક લેનના રસ્તા પર થઈને ઍરપૉર્ટ પહોંચતાં પાછો એક કલાક થયો. જો એકાદ ટ્રક આગળ હોય, તો ગતિ તદ્દન રુંધાઈ જ જાય.

    હાઈવે પરનું એક મંદિર

    મથકનું મકાન સાવ નાનું છે. એમાં ગણીને ચાર દુકાનો થયેલી છે – એક આધુનિક સ્ટાઇલનાં ઘરેણાંની, બે ડ્યુટી-ફ્રી ચીજોની, અને એક નાનકડી દુકાનમાં દેશની હાથ-બનાવટની થોડી વસ્તુઓ હતી. મારી પાસે જે થોડું નાણું બચેલું, તે અહીં વાપરી નાખવું હતું. હસ્તકળાની હાટડીમાં જોતાં જોતાં પછી એક હૅટ લીધી. સારા ભૂરા રંગની હતી, ને સામે દેશના ધ્વજના રંગોમાં ‘ગયાના’ ભરેલું હતું.

    સવારથી જ જ્યાં ગરમી થઈ જાય છે, તે દેશના વિમાન-મથકની અંદર વાતાનુકૂલ હતું. ચાલો, પરસેવો તો નહતો થતો. હું વાર્તાની ચોપડી વાંચતી બેઠી. સમય થતાં પનામાની ફ્લાઇટની જાહેરાત થવા માંડી. આગલી રાતે, ટૅલિવિઝન પરના સમાચારમાં જોયું હતું, કે પનામામાં વરસાદ છે.

    સાડા ત્રણ કલાકના ઉડ્ડયન પછી વિમાન પનામા સિટીના મથકે ઊતર્યું. બહાર નીકળતાં બહુ વાર ના લાગી, જોકે ઇમિગ્રેશન સ્ત્રી-ઑફીસરે મારી કીકીનો ફોટો લીધો, અને દસે દસ ટેરવાંની છાપ લીધી. આખરે તો હું ઇન્ડિયન ને. એટલે કે સંદેહપ્રદ વ્યક્તિ. બહુ વર્ષોના અનેક પ્રવાસો દરમ્યાન, દુનિયાભરમાં, આવા વર્તાવ, આવા ભાવ હું ભોગવતી આવી છું. ભ્રમણ-પ્રેમને કારણે એ પણ સહી લેતી રહી છું.

    પનામા સિટીના આકાશમાં ક્યાંયે વરસાદનું નામોનિશાન નહતું, પણ સાંજના સાડા છ થતાંમાં અંધારું થઈ ગયું હતું. મથકેથી ટૅક્સી જ લેવી પડી. ખૂબ તડકાને લીધે અહીં બધી ગાડીઓના કાચ પર કાળી ફિલ્મ લગાવી હોય તેમ લાગે છે. આથી, મારી ટૅક્સીની અંદર પણ અંધારું લાગતું હતું.

    આ વખતે વળી, મેં પહેલેથી એક હોટેલ બૂક કરી રાખેલી. ગયાનામાંના મોટા ઓરડાઓમાં રહ્યા પછી આ ઓરડો નાનો લાગ્યો, પણ નકશામાં જોઈને એવી જગ્યા પસંદ કરેલી કે જ્યાંથી શહેરમાં બધે સહેલાઈથી જઈ શકાય. ઓરડાના ભાડામાં સવારના નાસ્તાનો સમાવેશ થતો હતો. વળી, હું તો કોઈ ઇલેક્ટ્રૉનિક ઉપકરણ સાથે રાખતી નથી, તેથી લૉબિમાં રહેલાં કમ્પ્યુટરનો ફ્રી વપરાશ મને કામે લાગ્યો.


    ગયાનાનો પ્રવાસ પુરો થયો અને હવે પનામાનો પ્રવાસ શરૂ થઈ રહ્યો છે.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સ્મૃતિસંપદા : રેખા સિંધલઃ શૂન્ય થી અનંતની સફર [૩]

    સુશ્રી રેખાબહેન સિંધલની શૂન્ય થી અનંતની સફર ની શરૂઆત તેમના અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષથી થઈ અને પછી મારી વિદ્યાયાત્રા ના પડાવ સુધી આપણે સંગાથ કર્યો..
    હવે તેમની સાથે સફરમાં આગળ વધીએ …..

    મારી લેખન યાત્રા

    ઓપરા વિન્ફ્રીના કહેવા મુજબ ‘રોજ સવારે ઊઠીને તમને જો લખવાનો વિચાર આવતો હોય તો સમજો કે તમે લેખક છો’ લખવાની પ્રબળ ઈચ્છા રોજ સવારે મારાં મનમાં ઊઠે અને મને સર્જક થવા પ્રેરે. રોજ એમ થાય કે જોબ પર જવાનું ન હોત તો લખવાં બેસી જાત. જોબ પરથી આવીને રસોઈ, બાળકોના હોમવર્ક અને ઓવરટાઈમ કરીને આવેલા પતિની સંભાળમાંથી પરવારૂં ત્યાં આકાશમાં તારા દેખાવા માંડે અને સર્જક થવા મથતું મારૂં હ્રદય પ્રસવની પીડા સાથે ડાઈનીંગ ટેબલ પર કાગળ પેન લઈને બેસે. કોઈક એકાદ કૃતિ ક્યારેક અવતરે અને ક્યારેક દિવસ દરમ્યાન હ્રદયના ગર્ભમાં જ મરણને શરણ થઈ ચૂકી હોય. પીડાની શાહીથી ચિત્કારીને મદદ માટે પોકાર કરૂં. ડાયરીમાં દટાયેલો એવો એક પોકાર હજુ ઊંહકારા કરે છે. આ રહ્યો એ પોકારઃ

    ગર્ભમાં જ મૃત્યુને શરણ થયેલી મારી કવિતાના
    ખેંચી ખેંચીને બહાર કાઢેલા
    પ્રાણ વિનાના શબ્દો,
    કબ્રસ્તાન જેવી મારી નોટબુકના પાનામાં અહીં તહીં
    દટાયેલા પડ્યા છે.

    હે મિત્ર કવિજનો, મને કહેશો કે
    ગર્ભપાત પછીની પીડા તમે પણ અનુભવી છે?
    અથવા તો કહો કે ચાહકોને પ્રસન્ન કરી મૂકતી
    તમારી આ ધબકતી કવિતાઓને તમે
    ક્યા ક્યા ઓસડિયાં પાયાં છે?

    આવા ઓસડિયાં આપવા તૈયાર હોય તેવા કવિ મિત્રોમાં બે નામ તરત યાદ આવે નીલમ દોશી અને ચંદ્રકાંત શાહ. બીજા ઘણાં સહયાત્રીઓને મળી છું પણ આ બંનેએ સક્રિય રસ લઈ મારી કૃતિઓના અવતરણમાં ફાળો આપ્યો છે. કલમ હાથમાં લેવાની પ્રેરણા નીલમની મૈત્રી થકી થઈ. કોલેજકાળ દરમ્યાન અમે હોસ્ટેલમિત્રો. લગભગ રોજ રાત્રે એને લખતી જોઈને મને એનું લખાણ વાંચવાનું મન થાય. ક્યારેક તે વંચાવે પણ ખરી! કોલેજની વાર્તા સ્પર્ધામાં નીલમ મને આગ્રહ કરીને લઈ જાય. વાંચનની તીવ્ર ભૂખ નાનપણથી. ઘરમાં બાલસંદેશ કે ફૂલવાડી જેવું બાળ સાહિત્ય અઠવાડિયે એકવાર વાંચવા મળે. રોજના છાપાથી ભૂખ સંતોષાય નહીં. ગામની વચ્ચે આવેલી લાયબ્રેરીમાં બાળકોથી જવાય નહીં. બાપુજી માટે આવતા સામાયિકો વાંચુ અને મિત્રો પાસેથી પણ વાંચન સામગ્રી શોધ્યા કરૂં. ગુજરાતી મિડીયમની હાઈસ્કૂલમાંથી ઈંગ્લીશ મિડિયમની સાયંસ કોલેજમાં ગઈ તેથી ભાષા અઘરી થઈ. એચ. જી વેલ્સની વાર્તાઓ અભ્યાસક્રમનો ભાગ હતી. તે વાંચવી ગમે પણ બાયોલોજી અને કેમેસ્ટ્રી અંગ્રેજીમાં અઘરાં પડે તેથી તેના અભ્યાસમાં સમય વધારે આપવો પડે. આમ કોલેજ દરમ્યાન ગુજરાતી સાહિત્ય સાથે મર્યાદિત સંપર્ક રહ્યો.

    વેકેશનમાં મારી વાંચનપ્રવૃતિમાં મારી માતા રસ લેતી અને કવિતાઓ કે ઐતિહાસિક વાર્તાઓ તેને હું ક્યારેક વાંચી સંભળાવતી. તે ધ્યાન દઈ રસપાન કરતી અને મંતવ્ય પણ આપતી. આમ છતાં બૂકવોર્મની જેમ આખો દિવસ મને ચોપડીમાં ડૂબેલી જોઈને બાને મારાં સાસરવાસના ભવિષ્યની ચિંતા થાય. ગ્રેજ્યૂએટ થઈ તે પહેલાં મારાં લગ્ન થઈ ગયાં હતાં. ‘હશે’ ને બદલે ‘હહે’ બોલતા પરિવારમાં મારી ભાષા શુદ્ધિ ચાગલાઈ ગણાય. અંગ્રેજી શબ્દ ભૂલથી ય હોઠેથી સ્ફૂટે તો અભિમાન ગણાય. “છંદે શું ચડી છે?” એવું મને કહેવામાં ન આવ્યું હોય તો પણ એટલી બધીવાર કાને પડ્યું છે કે છંદ કદી શીખવાનું મન જ ન થાય. આવા વાતાવરણમાં સમયની પાબંદી છતાં મારા પતિ મારી આ યાત્રાને આગળ વધારવામાં સહાયરૂપ થયા. આ અરસામાં મારે ફાધર વાલેસ સાથે નિયમિત પત્રવ્યવહાર અમેરીકા આવી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન વર્ષમા એકાદ બે વાર લખીને ‘ફૂલછાબ’ ‘સ્ત્રી’ કે ક્યાંય મોકલ્યું હોય તો સ્વીકાર થાય તે કારણે ઉત્સાહ જળવાઈ રહ્યો.

    અમેરીકા આવ્યા બાદ ટુંક સમયમાં તારક મહેતાનો કાર્યક્ર્મ મારે આંગણે હું ગોઠવી શકી. શ્રી તારક મહેતા માટે ત્યારે મેં એક કાવ્ય લખ્યું હતું જેની પહેલી પંકતિ ‘રૂદનને રડાવે એક તારક રૂદનને રડાવે’ છે. પીડાના આંસુને હર્ષના આંસુમાં એક સાચો કલાકાર જ ફેરવી શકે. આ સાચા કલાકારે મને એક સલાહ આપી હતી કે મારે વધુ નહીં તો એક કલાક રોજ રાત્રે લખવાની ટેવ પાડવી. એ કેટલું અઘરૂં છે એનો અનુભવ એક પડકાર બની ગયો. લખવાનું શરૂ કરૂં પછી અટકવાનું અઘરૂં થઈ જાય. સમયનું ભાન ભૂલીને હું કોઈ બીજા જ વિશ્વમાં વિહરતી ઘણે દૂર નીકળી જાઉં. બીજે દિવસે સવારે ઊઠવાનું મોડું થઈ જાય. ડોમીનો ઈફેક્ટમાં બાળકોની સ્કૂલ, મારો જોબ પર જવા આવવાનો સમય અને છેલ્લે બાળકોના સૂવાના સમય સુધી આખો દિવસ તણાવું પડે. આગલી રાતનો ઉજાગરો અને દિવસ આખાના થાકને અંતે સરસ્વતિ દેવીને બે હાથ જોડીને વંદન કરવા જેટલી જ શક્તિ બચી હોય. પતિના રોમેંટિક મૂડ સામે તો પડખું ફરી શકાય પણ બીજા દિવસની સવારના એલાર્મને અવગણી શકાય નહીં. આમ જીવનમાં લખવાનો નિત્યક્રમ થઈ શક્યો નહીં પણ કવિ સંમેલનોમાં આદિલ મંસુરી અને પન્ના નાયક જેવા કલાકારોને મળીને લખતાં રહેવાનું પ્રોત્સાહન મળ્યા કરે.

    વડીલ કહી શકાય એવા શ્રી કિશોરભાઈ દેસાઈ સાથે ‘ગુર્જરી’ ડાયજેસ્ટથી હું જોડાયેલી રહી શકી તેને મારૂં સદભાગ્ય ગણું છું. નવોદિતોને પ્રોત્સાહન પુરૂં પાડવાના શુભ આશયથી એમણે હંમેશા મારી કૃતિઓને સ્વીકારી છે. એ થકી વાંચકોના પ્રતિભાવો પણ પ્રોત્સાહિત કરતાં રહ્યા. જોબ પરથી ઘરે જતાં ડ્રાઈવ કરતી વખતે ક્યારેક કારને રસ્તા પરથી એકબાજુ ઊભી રાખીને કવિતા લખી હોય.  આવી એક કવિતા ‘ગુર્જરી’ ડાયજેસ્ટમાં વાંચીને પન્ના નાયકને ત્યાંથી કવિ શ્રી સુરેશ દલાલનો ફોન આવ્યો ત્યારે એવોર્ડ મળ્યા જેટલો આનંદ થયો હતો. ગુર્જરીની ૨૫ વર્ષની આનંદયાત્રાની પ્રસ્તાવનામાં શ્રી મધુ રાય જેવા સર્જક મારાં નામનો ઉલ્લેખ નવોદિત તરીકે કરે ત્યારે થાય કે આગળ વધી શકાશે.

    કલાચાહનાને કારણે બોસ્ટનમાં શ્રી મનુભાઈ પંચોળી, રમેશ પારેખ, અનિલ જોશી અને રજનીકુમાર પંડ્યા જેવી ઉત્તમ કક્ષાના કલાકારો સાથે ઘરઆંગણે ગોષ્ઠી થઈ શકી. ગુણવંત શાહ જેવા ચિંતક સાથે પણ મુલાકાત થઈ. આવા સત્સંગને કારણે કલમ થોડી થોડી ચાલતી રહી પણ વધુ રડતી રહી. બોસ્ટન છોડ્યા પછી થોડા વર્ષો આ પ્રવૃતિ સાવ બંધ થઈ ગઈ હતી. દેવી સરસ્વતિને કરેલી પ્રાર્થના ફળી અને નીલમ સાથેની મૈત્રીનો દોર વર્ષો બાદ ફરી સંધાયો ત્યારે નીલમે ફરી કલમ હાથમાં આપી. નીલમ અમેરીકા આવે ત્યારે અમે અમેરીકાનું સૌંદર્ય જોવા સાથે નીકળી પડીએ. ઘરે આવીને નીલમ પ્રવાસ વર્ણન લખવા બેસે અને મને ય બેસાડે! એણે બ્લોગ પણ ચાલુ કરી આપ્યો. કોમપ્યૂટરમાં ગુજરાતી ફોંટ ઈંસ્ટોલ કરી આપ્યા પછી હું થોડું વધારે લખતી થઈ. એ પછી કોઈકવાર હરિફાઈમાં ભાગ લઉં અને કૃતિ ઈનામને પાત્ર હોય ત્યારે યાત્રા ચાલુ રાખવાનો ઉત્સાહ જળવાઈ રહે.

    ૨૦૧૧માં મુંબઈ ગઈ ત્યારે નૂતનબેન જાની સાથેની ગોષ્ઠીએ ડાયાસ્પોરા અને નારી વિષે લખવામાં રસ જાગ્યો. જે હજુ ય સુષુપ્ત અવસ્થામાં જળવાઈ રહ્યો છે. લંડનના વિપુલભાઈ કલ્યાણીનું ‘ઓપીનિયન’ કલ્યાણકારી નીવડ્યું. થોડો સમય ‘વેબગુર્જરી’ માટે શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ સાથે કામ કરવાથી ભાષા વિષે હું વધુ સજાગ થઈ. વિશ્વસાહિત્યમાં રસ ધરાવતી ભાષાપ્રેમી મિત્ર મેરીયન મળ્યા પછી રસ વધતો રહ્યો. ભલે કાચબાની ગતિએ પણ આ યાત્રા ચાલુ રહી શકી છે તે જ મારાં માટે આનંદની વાત છે. વાંચનની ભૂખ અને લેખન માટેનો તલસાટ મને જીવંત રાખે છે. શબ્દરૂપે બ્રહ્મ મારાં શ્વાસમાં ઓગળી શક્તિનો સ્ત્રોત બની જાય છે.

    કુટુંબધર્મ અને હ્રદયમંદિર

    તમે ક્યા ધર્મમાં માનો છો? અમેરીકામાં આ પ્રશ્ન મને ઘણીવાર પૂછવામાં આવ્યો છે. હું બધા ધર્મોમાં માનું છું અથવા તો હું માનવધર્મમાં માનું છું એવા ટૂંકા જવાબથી પૂછનારને સંતોષ ન થાય. અંધશ્રદ્ધાના પ્રબળ વિરોધ વચ્ચે હું ઊછરી છુ. માતાજીના પાંચ મઢોને ટ્રસ્ટમાં ફેરવવા માટે મારાં પિતાજીએ ભૂવાઓ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. પૂંજના નામે ભક્તિ અર્થે ધૂપેડો ઊઘરાવવાની પ્રથા બંધ કરવાની શરૂઆત મારાં પિતાએ કરી. એ માટે તેઓ નાતબહાર પણ મૂકાયા હતા. ઘણા વિરોધ વંટોળનો સામનો એમણે કર્યો હતો. અભણ ગણાતા અમારાં રબારી સમાજમાં જાગૃતિ અને શિક્ષણ માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા. મારી માતા રોજ સવારે ઉગતા સૂર્યને નમસ્કાર કરી શક્તિમંત્રો ઉચ્ચારતી. વિશાળ જગ્યામાં રહેતા પંદરથી વધારે સભ્યોવાળા અમારાં વિશાળ કુંટુંબ માટે મારી માતા પ્રેમનો સ્ત્રોત હતી. બા સહુને સાંભળે પણ ભાગ્યે જ કોઈને કંઈ કહે. કુંટુંબધર્મની એની ભક્તિમાં ત્યાગ અને સહાનુભૂતિ મુખ્ય હતાં. માતા બન્યા પછી હું એના પ્રેમની પરિભાષા સમજતી થઈ. પરાણે છોડવું પડે તે અત્યાચાર ગણાય પણ પ્રેમથી છોડવું તે ત્યાગ છે. શીતળ સ્વભાવની મારી સંયમી માતા પાસેથી મનને અડગ રાખતા હું શીખી હતી. સ્વચ્છતા માટેના એના નિયમોનું કડક પાલન સૌ માટે ફરજીયાત હતું.

    બાલ્યકાળમાં રોપાયેલી મારાં હ્રદયની એક ડાળની અણધારી વિકાસ યાત્રા એટલે મારૂં લગ્નજીવન.

    દસ વર્ષની ઊંમરે પ્રતાપ સાથે મારી સગાઈ થઈ. એ સમયે હું ખાનગી સ્કૂલના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે દિવસે સ્કૂલે મોડી પડવાનું કારણ શિક્ષકો પાસે પહોંચી ગયું હતું. મને સ્કૂલેથી ખબર પડી કે મારી સગાઈ થઈ છે. પ્રતાપની બહેનની સગાઈ મારાં ભાઈ સાથે થઈ હતી. એ રીતે સામસામે સગપણ થયું હતું. આ રીતે સાટાપાટામાં દીકરીની લેવડદેવડ અમારી જ્ઞાતિમાં સામાન્ય બાબત હતી. અમે એક જ મહોલ્લામાં રહેતાં હતાં પણ જ્ઞાતિ રિવાજ મુજબ લગ્ન પહેલાં મળવાનો વર કન્યા પર પ્રતિબંધ હતો. કૌટુંબિક મેળાવડાઓમાં એકબીજા સામે જોવાની ય શરમ રાખવી પડતી.

    ૧૯ વર્ષની ઊંમરે મારાં લગ્ન થયા. પ્રતાપને ભણવામાં જરા યે રસ નહીં. દાદાના વાડી ખેતર હતાં તેમાં તેને વધારે રસ. અમારાં રસ રુચિમાં કોઈ પણ પ્રકારનું સામ્ય નહીં. વિચારોનો મેળ પણ અઘરો હતો. લગ્ન પહેલાં એકબીજા વિષે ઘણી વાતો સાંભળી હતી. તે થકી એકબીજા પાસેથી સુખની કોઈ આશા કે અપેક્ષા ન હતા પણ પરસ્પરને દુઃખી ન કરવાની શુદ્ધ ભાવના હતી જેને પ્રેમનું નામ આપી અમે સંસાર શરૂ કર્યો. ‘પતિ એ જ પરમેશ્વર’ નો સંસ્કૃતિ વારસો મને મારી બા દ્વારા મળ્યો અને “સૌરાષ્ટ્રની રસધાર” વાંચીને દ્રઢ થયો. લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીના શોર્યગીતો રગેરગમાં દોડે. ‘ચૌદ વરસની ચારણ કન્યા’ માં મને મારૂં પ્રતિંબિંબ દેખાય. એક આડવાત એ કે મારાં આ પ્રિય કવિની દૌહિત્રી પલ્લવી સાથે પરદેશમાં મારી મિત્રતા ગાઢ થઈ તે વિસ્મયકારક બાબત છે. અમારાં બંનેના વિચારોમાં ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનો ફેર તેથી મતભેદો થતા રહે પણ મારી વજ્રતા અને એની મૃદુતા અકબંધ રહે. જંગલમાં ખીલેલા છોડ સાથે બગીચાના મુલાયમ છોડ જેવી અમારી મૈત્રી મેં બોસ્ટન છોડ્યા પછી પણ વિકસતી રહી.

    લગ્નજીવનની શરૂઆત ખુબ અઘરી હતી. મારાં સાસુ વર્ષો પહેલાં મૃત્યું પામ્યાં હતાં. ત્રણ કાકી સાસુઓ સાથેના પંદર સભ્યોના સંયુક્ત કુંટુબમાં પ્રતાપને કોઈ ગણે નહીં.  એની બહેન અને મારાં ભાઈના લગ્નજીવનમાં તિરાડને કારણે સાસરીમાં મારે ઘણું સહન કરવું પડશે તે કલ્પના ન હતી. બધી બાજુથી થતી અવગણનાનું દુઃખ અમેરીકા આવવાનું મુખ્ય કારણ બન્યું. ૧૯૭૬માં ગ્રેજ્યૂએટ થઈ ત્યારે મને અમેરીકા આવવાની તક હતી તે તક ગુમાવી તેનો ક્યારેક અફસોસ થાય. ચૌદ વરસનો સાસરવાસ વેઠયા પછી ફરી તક મળી. જે મેં વિના વિલંબે ઝડપી લીધી.

    મને હતું કે વાંચન લેખનનો શોખ મારે લગ્ન પછી ત્યજી દેવો પડશે. એને બદલે પછી પણ મારૂં ભણવાનું પણ ચાલુ રહ્યું. મારી પ્રગતિમાં પ્રતાપે હંમેશા સાથ આપ્યો જેની મને આશા ન હતી. ‘ત્રણ દીકરીઓ અને હું’ આટલી એની સિમિત દુનિયામાં એણે દિલ રેડીને અમને સૌને પાંગરવા દીધા. પ્રતાપના કંઠનું માધુર્ય અને સંગીતના શોખ થકી જીવન સૂરીલું બન્યું. અમારાં દાંપત્યજીવનનો એક પ્રસંગ ‘પિયર્સ’ ગુર્જરી ડાયજેસ્ટમાં શ્રી કિશોરભાઈ દેસાઈએ ડાયાસ્પોરીક કૃતિ તરીકે નોંધ લઈ પ્રકાશિત કર્યો છે. તે અહીં મૂક્યા વગર આ દાંપત્યયાત્રા અધૂરી ગણાશે.

    હોસ્ટેલમાં રહી હું ભણતી હતી ત્યારે પિયર્સ મારો પ્રિય સાબુ હતો. માબાપે આપેલા એલાવન્સમાંથી મોંઘો સાબુ વાપરનારા ગણ્યાગાંઠ્યાઓમાંની હું એક હતી. સ્વાભાવિક રીતે જ લગ્ન પછી આણાની બેગમાં નાની મોટી વસ્તુઓની સાથે ડઝનબંધ પિયર્સ પણ મૂકાયો. હજુ તો વિદાય વખતના વચનો..”દીકરી, બધાને અનુકૂળ થઈ રહેજે” ના પડઘા શમ્યા ન હતા ત્યાં pears(સાબુ)નો stock ખલાસ! સહજ રીતે જ હું બીજો લઈ આવી. આણાની બેગમાં તો પિયરનો ખરીદેલો હતો તેથી કોઈને નહતો ખટક્યો પરંતુ સાસરાના પંદર માણસના સંયુક્ત કુંટુંબમાં મોંઘો સાબુ ખટકવાનો તેની જાણ મને ન હતી પણ મારાં પતિને હતી. સાબુ જોતાં જ તેના ચહેરાના હાવભાવ બદલી ગયા તે મેં જોયું. મેં “કેમ?” પૂછ્યું તો માંડ એટલું બોલ્યા કે “આપણને આ નહીં પોસાય” મેં તરત જ સહજતાંથી કહ્યું કે હું પાછો આપી આવીશ. મને કહે, ‘રહેવા દે! હું બજારમાં જઈશ એટલે પાછો આપી આવીશ, ક્યાંથી લીધો?’ ‘મંગલમ’માંથી મેં જવાબ આપ્યો.

    નવજીવનના નાના મોટા બીજા ફેરફારોમાં આ એક નજીવો ફેરફાર તો વિસરાઈ પણ ગયો. આમ પણ પિયર છૂટતાં ઘણું બધું છૂટ્યું તેમાં પિયર્સ સાબુની તો શી વિસાત? પછી તો ઘણા સંઘર્ષો પછી જ્યારે આછરેલા નીર જેવી સ્થિર પ્રવાહિતા જિંદગીમાં આવી ત્યારે તો લગ્નની સિલ્વર જ્યુબિલીની મુબારકબાદી લઈને દિકરી-જમાઈ આંગણે મહેમાન બનીને ઊભાં હતાં અને અમને અમેરિકાની ધરતી પર આવીને રોપાયાને પણ દાયકો થઈ ગયો હતો. teenageના ગમા-અણગમા તો બહુ દૂરનો ભૂતકાળ થઈ ગયા હતાં. Pears નામનો કોઈ સાબુ હું teenager હતી ત્યારે વાપરતી તે ય વિસરી ગયેલી ત્યાં અચાનક એક દિવસ મારાં પતિએ એક ડઝન સાબુ લાવીને kitchen island પર મૂક્યો. સાબુ જ નહીં જાણે એક વાત મૂકી. હું રોટલી વણતી હતી. મારી એ તરફ પીઠ હતી. મને કહે, ‘ન્હાવાનો સાબુ લાવ્યો છું જો તો !’ મેં જરા એ તરફ જોઈને કહ્યું ‘ભલે હું પછી ઠેકાણે મૂકી દઈશ’ કહી ફરી રોટલી વણવા લાગી. વળી કહે, ‘તેં જોયું નહીં ક્યો સાબુ છે?’ મેં કહ્યું, ‘ હા, pears’, મને કાંઈ નોંધ લેવા જેવું લાગ્યું નહીં. બે દીકરીઓ teenageમાંથી પસાર થઈ ગઈ હતી. આનાથી મોંઘા સાબુઓ સ્થાન મેળવી સ્થાનભ્રષ્ટ પણ થયા હતાં અને હજુ ત્રીજી નાની teenager દીકરીની પોતાની આગવી પસંદના સાબુ-શેમ્પૂ અને સૌંદર્ય પ્રસાધનોની બ્રાન્ડ-નેઈમ આવ-જા વચ્ચે પિયર્સ સાબુ કંઈ ધ્યાન ખેંચે એવી મહત્તા નહોતો ધરાવતો. મહત્વની વાત મારાં પતિની આંખમાં હતી કોઈની આંચકી લીધેલી વસ્તુ પસ્તાવા સાથે પાછી આપતાં ગુનેગારનો એ ભાવ હતો. એ કહેવા લાગ્યા, ‘અમેરીકા આવ્યા પછી pears પહેલીવાર ઓચિંતો નજરે ચઢ્યો અને મનમાં રહેલો ખટકો બહાર આવ્યો. ‘મંગલમ’માં મારે સાબુ પાછો આપવા જવું પડ્યું હતું તેનો મને અફસોસ હતો. India હતાં ત્યાં સુધી તો મારો આ ખટકો હું દૂર કરી શકું તેમ ન હતો એક સાબુ જેવી મામૂલી વસ્તુમાં પણ તારી પસંદ હું કબૂલ નથી રાખી શક્યો. આજ સ્ટોરમાં આ pears સાબુ જોતાં જ મંગલમ યાદ આવ્યુ. ફક્ત સાબુ જ નહીં તારે જે ઘણું બધું છોડવું પડ્યું તે સમય અને તે સમયની મારી લાચારી બધું એક સામટું યાદ આવ્યું અને ઉદાસ થઈ જવાયું. હું કંઈ બોલી શકી નહીં. હું જાણું છું કે મેં કંઈ વિશેષ નથી કર્યું પરણીને સાસરે જતી કે મુગ્ધાવસ્થામાંથી યુવાનીની જવાબદારી ભૂમિકા નિભાવતી સ્ત્રી ફક્ત પિયરનું આંગણું જ નથી છોડતી બીજો ઘણો ત્યાગ કરીને પોતાના પરિવારને કિલ્લોલતો રાખવા મથતી હોય છે.

    મારી બાએ પાળેલો કુંટુંબધર્મ મેં પણ અપનાવ્યો હતો. પતિમાં પરમેશ્વર જોવાનો ભાવ વિસ્તરીને દરેકમાં પરમનો અંશ જોવાની દ્રષ્ટિને શુદ્ધ કરતો રહ્યો. ભક્તિ અને પ્રેમભાવ એકબીજાના પર્યાય બનીને મારાં હ્રદયની હિમશીલાઓ ઓગાળીને વહેતા ઝરણાં થયાં ૩ સપ્ટેંબર ૧૯૭૭માં. આ દિવસે એકસાથે બે દીકરીઓએ મારાંમાંથી જન્મ લઈને મને ભરપૂર સ્નેહથી નવડાવી.

    ‘શ્રાવણ માસને અનરાધાર મેહ, પીડા એવી ઉપડી

    બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી,

    છૂટી શું બંધાણી એવી આજ સુધી ન છૂટી
    બબ્બે નહીં ચાર ચાર હાથોએ વ્હાલની લ્હાણી લૂંટી’

     ૧૯૮૫માં ત્રીજી પુત્રીનો જન્મ થયો. આ ત્રણ દેવીઓ પ્રત્યેનો પ્રેમ મને એક માતાને પરમ તત્ત્વ ની નજીક રાખે છે. ભક્તિ માટે મંદિરે જવાની જરૂર હજી સુધી મને જણાઈ નથી.

    ધાર્મિક માન્યતાઓ જ્યારે બાળકના મનને કલુષિત કરે છે ત્યારે એના હૈયાનું પરમ તત્ત્વ રડી ઊઠે છે. આવો એક કિસ્સો અદિતિ હાઈસ્કૂલમાં હતી ત્યારે બન્યો.

    એલિઝાબેથ અને અદિતિની મૈત્રી દૂધમાં સાકર જેવી! એલિઝાબેથ અમારે ત્યાં અવારનવાર આવે, ક્યારેક રાત પણ રોકાઈ જાય. જોતાં જ વ્હાલ ઉપજે તેવી નિર્દોષ અને સોહામણી એલિઝાબેથે અમારાં પરિવારના બધાના દિલ જીતી લીધાં હતાં. એકવાર સ્કૂલેથી રડમસ ચહેરે આવીને અદિતિ કહે, “મોમ, એલિઝાબેથ આજે સ્કૂલે મને જોતાંવેંત રડી પડી. એ કહેતી હતી કે હું ક્રિશ્ચિયન નથી તેથી નર્કમાં જઈશ અને સ્વર્ગમાં એને મારાં વગર નહીં ગમે તેનું એને દુઃખ થાય છે.” આટલું બોલતા અદિતિ ગળગળી થઈ ગઈ.

    મર્યા પછી છૂટા પડ્યાના દુઃખ સાથે નર્કમાં જવાની કલ્પના તેર વર્ષની આ બાળાઓ માટે અસહ્ય થઈ પડી હતી. મૃત્યુપર્યંતની મૈત્રીભાવનામાં તિરાડ પડશે કે શું? એવું વિચારીને બંને દુઃખી હતી.

    એવું બની શકે કે આ વાક્ય એ સમયે વિરોધીઓ માટે બોલાયું હોય. એ સ્થળે ત્યારે વિધર્મીઓનું અસ્તિત્વ દૂરની વાત હોઈ શકે. જે હોય તે પણ…ધાર્મિક માન્યતાઓનો

    સંકુચિત અર્થ યુગો સુધી માનવજાતને પીડ્યા કરે છે.

    “મોમ, આપણે નર્કમાં જઈશું એ વાત સાચી છે?” અદિતિનો પ્રશ્ન મને હચમચાવી ગયો. દરેક ધર્મમાં દશાવેલો માનવધર્મ સૌથી શ્રેષ્ઠ છે એ વિચારબીજ ત્યારે હું એના જવાબરૂપે રોપી શકી.

    એક બીજો પ્રસંગ પણ મનમાં ઝબકે છે. સ્ટુડન્ટ કાઉન્સીલમાં વાઈસ પ્રેસીડેંટ થઈ તે વર્ષે અદિતિ પંદર વર્ષની હતી. તેની મિત્ર લોરેન પ્રેસીડેંટ હતી. બંને એકબીજાને ઘરે કલાકો સુધી ઈતર પ્રવૃતિની તૈયારીઓ કરે. વારંવાર મળીએ એટલે લોરેનની મા પ્રસેલા સાથે મારે પણ મૈત્રી થઈ. પ્રસેલા અને લોરેન સાથે અદિતિને ક્યાંય જવું હોય તો મારી કદી ના ન હોય. અદિતિએ એક દીવસ મને પૂછયું, “તું ઈંડીયન મિત્રોનો વિશ્વાસ કરે છે એટલો અમેરીકન મિત્રોનો કેમ નથી કરતી?” આ સાંભળી મને નવાઈ લાગી એટલે એવું એને કેમ લાગ્યું તે મેં પૂછયું. જવાબમાં કહે, “તું લોરેનને ત્યાં સ્વીપઓવરની ના પાડે પણ અંજલિને ત્યાં જવા દે છે એવું કેમ?” આ અઘરા પ્રશ્નનો જવાબ આપતા મેં કહ્યું હતું કે ભારતીય સમાજ મને પરિચિત લાગે જ્યારે અમેરીકન સમાજ મારાં માટે અપરિચિત છે તેથી તે લોરેનને ત્યાં રાત રહે તો હું રાતભર સૂઈ ન શકું એટલી ચિંતા મને રહે. અદિતિ આ સમજી શકી તે મારૂં સદભાગ્ય!

    પ્રોમની નાઈટ પાર્ટીમાં જવાની રજા આપતી વખતે મારી ખરી કસોટી થઈ. એકતા અવનિએ તો સમજીને મને પૂછ્યું જ નહોતું. અદિતિ જે છોકરા સાથે જવાની રજા માંગતી હતી તેના ભારતીય માબાપને હું ઓળખતી હતી. મને એમના માટે ઊંચો અભિપ્રાય હતો તેથી અદિતિને હતું કે હું ના નહીં પાડું. મેં ના પાડી એટલે અદિતિ કહે, “કેમ? તને મારો વિશ્વાસ નથી?” અદિતિ મને સમજાવવા માટે દલીલ કરવા માંડી. અવનિ વચ્ચે પડીને અદિતિને કહે, “મમ્મીને બીક છે કે તું પ્રેમમાં પડી જઈશ. પ્રેમ પહેલાં લગ્ન અને લગ્ન પહેલાં ભણવાનું એવું મમ્મી માને છે.” અદિતિ ખડખડાટ હસવા માંડી. “રીઅલી મોમ?” એકતાને ‘મા’ સંબોધન ગમે, અવનિને ‘મમ્મી’ કહેવાની ટેવ અને અદિતિ મને ‘મોમ’ કહે. વાત આટોપતા અદિતિ કહે, “તું ના પાડશે તો હું નહીં જાઉં પણ ફરીથી વિચારી જોજે. પ્રોમ-પાર્ટી વિષેની તારી માન્યતાઓમાં તથ્ય નથી” પ્રોમ નાઈટને ઘણા દિવસોની વાર હતી. અંતે અદિતિ મને પટાવીને જ રહી.

    મારી રૂઢિગત માન્યતાઓ સાથે ક્યારેક સંદેહ જોડાઈ જતો. દીકરીઓની સલામતીની ચિંતાં મને ઊંઘમાં ય પરેશાન કરતી. ગીરના સિંહ જેવા મારાં પિતાની ઓળખ અહીં નહોતી તેથી અસલામતીએ મન પર એવો કબજો લઈ લીધેલો કે એકતા અવનિ સ્કૂલેથી છૂટે એટલે મારી નજર ઘડીયાળ પર સ્થિર થઈ જાય. સ્કૂલ દોઢ માઈલની અંદર હોય તો બસની સેવા ન મળે. બંને દીકરીઓએ પગપાળા રોજ દોઢ માઈલ ચાલીને સ્કૂલે જવાં આવવાનું. બરફની વર્ષા અને ઠંડીની મુશ્કેલી સામાન્ય હતી. એક અસામાન્ય વાત એ અરસામાં એ બની હતી સ્કૂલે જતી એક અમેરીકન બાળાનું અપહરણ થયું હતું. ટી.વી. પર આ સમાચારે ચકચાર જગાવી હતી. લાંબી તપાસને અંતે એક ચર્ચના પાદરીના બેઝમેંટમાંથી એની લાશ મળી હતી. આ કારણે આ નવા સમાજ પર વિશ્વાસ કેળવાતા થોડો વધારે સમય લાગ્યો હતો. બાળકોમાં સ્વીકારની ભાવના ઘણી વધારે હોય એટલે સંસ્કૃતિનો સમન્વય ત્રણે ય દીકરીઓ મારાંથી વધારે ઝડપથી કરી શકી. એકતા પર પૂર્વની સંસ્કૃતિનો વધુ પ્રભાવ જોવા મળે. અવનિ પર પશ્ચિમી સંસ્કૃતિની વધુ અસર અને અદિતિમાં બંનેનું સુભગ મિશ્રણ જોવા મળે. બંને સંસ્કૃતિનું ગૌરવ કરે તેવા જમાઈઓ સાથે ત્રણ પેઢી સુધીના ગાઢ સંબંધને તો કુદરતની કૃપા જ ગણી શકાય! ચાર દૌહિત્રોની જન્મભૂમિ અમેરીકા પણ હવે મારો દેશ છે. ભારત મારી જન્મભૂમિ છે અને હું બંને દેશોને ચાહું છું. પ્રેમની સીમાઓ વિસ્તરતી રહે એ જ સાચો ધર્મ! એની શરૂઆત કુંટુંબથી થાય છે અને હ્રદયમંદિરના સ્થિર ભાવોની શુદ્ધિ એ જ ભક્તિ!


    ક્રમશઃ

  • પ્રતીક્ષા…

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    દીકરી સાપનો ભારો કે દીકરી તુલસી કયારો..એવું વિચારવાની કોઇ પળોજણ  બકુલભાઇને નહોતી. દીકરી તેમને ખૂબ વહાલી હતી. એક દીકરો અને એક દીકરી..નાનું કુટુંબ..સુખી કુટુંબ . પરંતુ બકુલભાઇનો દીકરો નાનો  હતો અને હજુ ભણતો હતો. જયારે  રાજાના કુંવરની માફક વધતી દીકરી યુવાન થઇ ચૂકી હતી. અને હવે લગ્નને ઉંબરે આવીને ઉભી હતી. સગાઇ તો બે વરસથી થઇ ગઇ હતી.  હવે સ્વાભાવિક રીતે જ છોકરાવાળા લગ્નની ઉતાવળ કરતા હતા.

    બકુલભાઇને પણ  દીકરીને પરણાવવાની હોંશ  હતી. પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં લગ્નના પૈસાની જોગવાઇ કેમ કરવી એ બહું મોટો પ્રશ્ન હતો. પરચૂરણ વસ્તુની દુકાનમાંથી પાંચ વ્યક્તિના ઉદરની ક્ષુધા માંડ સંતોષાતી હતી.  ઘરમાં બીમાર મા હતી. તેના દવા દારૂમાં સારા એવા પૈસા ખર્ચાઇ જતા હતા. મા એંસી  વરસ વીતાવી ચૂકી હતી. હવે સાવ ખાટલાવશ હતી. સાજા થવાની કોઇ શકયતા નહોતી. પણ જીવતી હોય..શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી દવા તો કરવી જ ને ? અને દવાનો ખર્ચો રોજ રોજ વધતો જતો હતો.

    પૈસાની પૂરતી સગવડ ન હોય ત્યારે ઘરમાં પણ સ્વાભાવિક રીતે જ કંકાસ, કલહ વધી જ જાય.  સામાન્ય જરૂરિયાતો  પણ પૂરી ન થઇ શકવાથી ઘરમાં  પત્ની સાથે બોલાચાલી થતી રહેતી. પુત્રી બધું સમજતી..પણ શું કરે ? બાર ધોરણ સુધી જ ભણેલ છોકરીને નાના ગામમાં નોકરી મળવી પણ કયાં સહેલી હતી ? છતાં ઘેર બેસીને  તે નાના છોકરાઓને ભણાવતી. પણ બે છેડા ભેગા કરતાં બકુલભાઇને નાકે દમ આવી જતો. કયાંય કોઇ આરોવારો નહોતો દેખાતો.

    માના હાથમાં સોનાની બે બંગડીઓ હતી.  ગળામાં એક ચેન પણ હતો. દીકરાની પરિસ્થિતિથી મા અજાણ નહોતી જ. તેણે પુત્રને બંગડીઓ અને ચેન કાઢીને આપ્યા. પણ બકુલભાઇનું મન ન માન્યું. બા ને પોતે કંઇ કરાવી તો નથી દઇ શકયો. હવે આ ઉમરે બાના હાથમાંથી કઢાવી કેમ શકે ? બાપુજીએ કેટલી હોંશથી બાને આ બંગડી લઇ દીધી હતી. એ પોતે જાણતો હતો. અને બાને બાપુજીની એ યાદગીરી કેટલી પ્રિય હતી..એનાથી પણ પોતે કયાં અજાણ હતો ? તેથી તેનું મન ન માન્યું.  આમ પણ એટલાથી કંઇ તેનો પ્રશ્ન ઉકલે તેમ પણ કયાં હતો ?

    હા..એક વાત બા માને તો આ પ્રશ્ન આસાનીથી ઉકલી શકે તેમ હતો. પણ બા માને તો ને ?

    ગામડામાં  બાપુજીનું એક જૂનું મકાન હતું. જો એ વેંચી શકાય તો  એ પૈસામાંથી લગ્નનો ખર્ચો નીકળી જાય તેમ હતું. પણ મકાન બાને નામે હતું. અને મા કોઇ રીતે પોતાના જીવતા એ મકાન વેચવા માટે તૈયાર નહોતા થતા…એ મકાન સાથે પોતાની અનેક યાદગીરી જોડાયેલ હતી. એ મકાન તેમને જીવથી પણ વધારે વહાલું હતું. સાજા થઇને એકવાર થોડો સમય ત્યાં રહેવા જવાની તેમને ખૂબ હોંશ હતી. એ શકય નથી એ બકુલભાઇ જાણતા હતા..પરંતુ બાને એમ સાવ ચોખ્ખું તો કેમ કહી શકે ? કે તમે હવે સાજા થવાના નથી જ.

    પત્ની અકળાઇ હતી. ગમે તેમ કરીને બે મહિનામાં લગ્ન કરવા જ પડે તેમ હતું. વેવાઇને કયાં સુધી બહાના બતાવી શકાય ?

    મૂંઝાતા બકુલભાઇ ફરી એકવાર માને સમજાવવા મથી રહ્યાં હતા. પણ મોહ..માયા છોડવા કંઇ સહેલા તો નથી જ. હવે તો માના મરવાની જ પ્રતીક્ષા કરવી રહી. મનમાં આ વિચાર ન જાણે કયાંથી ઘૂસી આવ્યો..પોતે માના..પોતાની જનેતાના મરવાની પ્રતીક્ષા કરે છે ? આવી હીન કક્ષાએ પોતે પહોંચી ગયા છે ? બકુલભાઇ મનોમન માની માફી માગી રહ્યા..જોકે તે છતાં મનમાંથી એ વિચાર કાઢી તો ન જ શકયા. પત્ની તો આમ પણ કયારની એ પ્રતીક્ષામાં જ હતી. તેને બાની જીદ ન ગમે એ પણ સ્વાભાવિક જ હતું.  સામે યુવાન દીકરી ઉભી હતી..તેની ચિંતા કરે કે મરવા તરફ જઇ રહેલી સાસુની ચિંતા કરે ?

    પણ  જીવન..મરણ કંઇ કોઇના હાથની વાત થોડી જ છે ?

    આજે  બકુલભાઇ માને દવા પીવડાવી રહ્યા હતાં. પત્ની વેધક આંખે પતિની સામે જોઇ રહી હતી.હવે કયાં સુધી આને દવા પીવડાવ્યા કરીને શ્વાસ ટકાવી રાખશો ? સામે તમારી પુત્રી નથી દેખાતી ?

    આજે બકુલભાઇ દુકાનમાં બેઠા હતા. કોઇ ઘરાક નહોતું. ઘેર જવાનો સમય થઇ ગયો હતો. બાની દવાનો સમય પણ થઇ ગયો હતો. બકુલભાઇ ઘેર જઇને રોજ  પહેલું કામ બાને દવા આપવાનું કરતા. એ કામ હમેશા તેઓ જાતે જ કરતા. આજે ન જાણે કેમ બકુલભાઇને ઘેર જવાનું મન ન થયું. દવાનો સમય તો યાદ હતો..પણ…. થોડીવાર તે એમ જ બેઠા રહ્યા. ત્યાં પુત્ર દોડતો આવ્યો..’ પપ્પા. જલદી ચાલો..’ બકુલભાઇ દોડયા. ઘેર પહોંચ્યા ત્યાં દીકરાની સેવાથી સંતોષ પામી માજીએ અંતિમ શ્વાસ લીધા. જતાં પહેલાં  બધાની હાજરીમાં માજીએ  દીકરાને કહ્યું, ‘બેટા, તેં મારી ઘણી સેવા કરી છે. મને શાંતિ અને સંતોષ છે.  મેં મારા હાથે મારે જે દાન પુણ્ય કરવાં હતાં તે મારી રીતે કરી જ લીધા છે. હવે મારી પાછળ તારે કંઇ જ કરવાનું નથી. અને હા..હવે તું તારે ઘર વેચીને લગન કરી લેજે મારા આશીર્વાદ છે.  ‘ ત્રૂટક શબ્દોમાં આટલું બોલી મા આંખો બંધ કરી ગઇ.

    પાંચ મિનિટમાં  માએ અંતિમ શ્વાસ લીધો.

    બધાની પ્રતીક્ષા પૂરી થઇ.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે