-
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો..
સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધહસ્ત કલમકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ તરીકે કાર્યરત શ્રી હર્ષદભાઈ ત્રિવેદી એક અચ્છા કવિ પણ છે. છેલ્લાં ૪૦ થી પણ વધુ વર્ષોથી તેમની કલમ અવિરત ચાલતી રહી છે. થોડા વખત પહેલાં, ફરી એકવાર તેમની એક સુંદર કવિતા ‘ફૂલ પાંદડી ચાખી ત્યાં તો’ વાંચવામાં આવી જેનો આસ્વાદ લખવા માટે મન તૈયાર થઈ ગયું.અહીં પ્રગટ કરવાની સંમતિ આપવા બદલ શ્રી હર્ષદભાઈ ત્રિવેદીનો વે.ગુ. પરિવાર વતી ખૂબ આભાર.ગીતઃ
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;જાત રહી ઑગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી.ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરાય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.~ હર્ષદ ત્રિવેદી
:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
ઉઘડતી સવાર જેવી ધ્રુવપંક્તિથી જ કુદરતના સૌંદર્યનું સોહામણું ચિત્ર ઉપસ્યું છે. ફૂલ-પાંદડી ચાખવાની કોમળ મુલાયમ સંવેદનાઓ, એવો જ હળવો લય લઈને નીસરે છે. પ્રકૃતિનો વિષય પણ એવો છે કે, એકવાર આંખને અડે અને દૄષ્ટિમાં વસે એટલે કવિ હૃદય અતલ ઊંડાણથી અનંત અવકાશ સુધી પહોંચી જાય.
કાવ્યની શરૂઆત એક ઉઘડતી જતી વહેલી સવારથી આરંભાય છે. ફૂલ-પાંદડી તરફ નજર જાય ને સૌથી પ્રથમ તો પંચેન્દ્રિયોમાંની પહેલી આંખ ધન્ય ધન્ય બની જાય. એને અડકો કે તરત સ્પર્શની રોમાંચક અનુભૂતિ થાય અને એ પછી ચાખો ત્યાં તો… ઓહોહો… આ સમગ્ર સૃષ્ટિ વિસ્મયભરી લાગે. અહીં જીભથી ચાખવાની વાત નથી, પરંતુ ફૂલની પાંદડીને ખીલવાની આખી જે પ્રક્રિયા છે તેને પામવાનો ઈશારો છે. કુદરતના કોઈપણ તત્ત્વને મૂળથી માંડીને વિચારવાની,જાણવાની એક અનોખી મઝા છે એવો સંકેત અહીં સમાયેલો છે.
સામે દેખાતી અને સવારની ઉઘડતી જતી દુનિયાની સાથેસાથે જાણે કે અંતરની બારી પણ ઉઘડતી અનુભવાય. ને પછી તો કવિ કહે છે કે, ‘અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી’. કેટલાં સુંદર શબ્દો પ્રયોજાયા છે? અતલ એટલે કે, સાત પાતાળમાંનું પહેલું પાતાળ. અને અવકાશ એટલે કે, ખાલી જગ્યા, આકાશ. આ બે શબ્દો દ્વારા કવિએ પૂરા બ્રહ્માંડની ઝાંખી થયાનો ભાવ વ્યક્ત કરી દીધો છે. ખરેખર, વહેલી સવારે ઓગળતો અંધકાર અને ધીરે ધીરે ખુલતો જતો ઉજાસ જેણે માણ્યો હોય તે જ આ ભાવનો આનંદ માણી શકે.
પહેલા અંતરામાં કવિએ સુંદર પ્રકૃતિ ચિત્ર ઊભુ કર્યું છે કે,
ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;ખૂબ ઓછા પણ એકદમ યથોચિત શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ મનભાવન બની છે. આછો આછો અંધકાર, ખુશનુમા પ્રભાતની સુગંધ, હવાનો શીળો કંપ..વગેરેનો લય પણ વાંચતાવેંત ગીતના ગુંજારવ સમો ઘેરી વળે છે. ગામડાની સવાર હોય કે અદ્યતન resortની ખુશનુમા પ્રભાત.. કુદરત તો કુદરત જ છે ને? એમાં જાત ન ઓગળે તો જ નવાઈ! તે સમયે કંઈ કેટલાય ફિલસૂફી ભર્યા વિચારોની આવનજાવન ચાલતી રહે છે ને માણસ પોતે જાણે આખો ને આખો એમાં ડૂબતો જાય છે. એટલું જ નહિ, કશુંક વિશેષ પામ્યાનો આનંદ પામતો જાય છે. ઈશ્વરની આ દેન કેટલી સમૃદ્ધ છે!
આમ, કાવ્યની શરૂઆતમાં અંધકારના ઉતરતા જતા ઓળા, ઉઘડતી જતી સવાર અને ફૂલપાંદડીનું સુંદર શાબ્દિક ચિત્ર આપ્યા પછી હવે બીજા અંતરામાં કવિ, એવા જ બીજા મનોહર દ્રશ્ય તરફ ભાવકને ખેંચી જાય છે.
ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;હજી સૂરજ તો ઊગ્યો નથી. ધીમે ધીમે જેમ અંધારું ઓછું થતું જાય છે, વાતાવરણ ધુમ્મસથી છવાયેલું જણાય છે અને રખડતાં વાદળ સહેજ ઉપર જતા દેખા દે છે, પાંદડાઓ ઉપર બાઝેલો ભેજ નીચે ઉતરતો જાય અને ઝીણાં ઝીણાં એનાં ટીપાં ઝાકળ બની કેટલાં સુંદર ખીલી ઊઠે છે ! પાંદડા ઉપર, ફૂલો ઉપર અને લીલાંછમ કૂણાંકૂણાં ધરતીને મઢીને બેઠેલાં ઘાસની ટોચ ઉપર પણ મોતીની જેમ શોભી ઉઠે છે. “મોતી વેરાણાં ચોકમાં” જેવું અનુપમ દૄશ્ય નીરખીને કવિને ધરતી પણ ઘડીભર ઝાંખીપાંખી લાગે છે. કારણ કે પળમાત્રમાં તો અતલ અને અવકાશની ઝાંખી થવા માંડે છે ! પાંદડી અને ઝાકળબિંદુ જેવાં નાનામાં નાનાં અંશમાં,તત્ત્વમાં પણ અખિલ બ્રહ્માંડ સમાયેલું છે! સ્થૂળ વસ્તુઓમાં પણ સૂક્ષ્મ નિરીક્ષણ અને કવિની કલ્પના અદ્ભૂત છે. સહૃદયી વાચક એ વાંચીને રોમાંચિત થયા વગર રહી જ ન શકે.
ધુમ્મસ અને વાદળ શબ્દ દ્વારા ભાવક-મનમાં એક બીજી પણ અર્થછાયા ઉપસે છે. અંતરમાંથી જાણે કે, કોઈ વિષાદનું ધુમ્મસ ઉતરતું અનુભવાતું હોય,વિચારોના વાદળ ઉપર જતાં લાગે અને મનનો કોઈ આછેરો અંધકાર ધીમે ધીમે ખસીને આશાભર્યા ઉજાસ તરફ ગતિ કરતો વર્તાય. આવે સમયે સવારની જેમ જ દેહમાં ચેતના,ઊર્જા, સ્ફૂર્તિ કેલાતી અનુભવાય તે આનંદ જ અવર્ણનીય હોય.
પ્રાકૃતિક વર્ણનનું આ કાવ્ય અભિધાથી આગળ વધી અતલ અને અવકાશના મર્મને ફરી એકવાર દોહરાવે છે જે મનોભાવમાં ઘેરો રંગ પૂરે છે, વધુ ઊંડાણમાં ખેંચી જાય છે. જે અતલ છે, જ્યાં અવકાશ છે, જેની સદીઓથી ખોજ થતી આવી છે તેની તો આ એક ઝાંખી માત્ર છે; એમ કહી કવિ અર્થને ખૂબ ઊંચાઈએ લઈ જાય છે. અહીં કવિત્ત્વ પૂરેપૂરું નીખરે છે.
આમ, બે જ અંતરામાં રચાયેલું આ નાનકડું કાવ્ય એનો પ્રવાહી લય, સરળ અને ઉચિત શબ્દો, ઝાકળ-વાદળ, બંધ-ગંધ,ઝાંખી-પાંખી-આખી જેવાં અંત્યાનુપ્રાસ, ચિત્રાત્મક્તા, અર્થગાંભીર્ય વગેરેને કારણે ખૂબ જ આસ્વાદ્ય બન્યું છે. સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલ આ ગીત એકથી વધુ ગાયકોએ ગાયું પણ છે.
અંધારામાંથી ઉજાસ તરફ લઈ જતું આ ગીત કાવ્યપ્રેમીઓને માટે ખૂબ જ પ્રસન્નતાપ્રેરક છે.
અસ્તુ.
દેવિકા ધ્રુવ
Devika Dhruva.
ddhruva1948@yahoo.com -
સ્વરોજગાર વધ્યા પણ કમાણી વધી નથી
નિસબત
ચંદુ મહેરિયા
સ્વરોજગાર કરનાર વ્યક્તિ સાહસિક ગણાય કે લાચાર તે વિશે મતમતાંતર પ્રવર્તે છે. જોકે સ્વરોજગાર કરનાર વ્યક્તિમાં કેટલાક ગુણ કે લાયકાત હોવા જરૂરી છે.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO) ના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં સ્વરોજગારીનો દર ૪૨.૫ ટકા છે. જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અમેરિકામાં ૧૬.૩ મિલિયનથી વધુ લોકો સ્વરોજગારથી રોજી મેળવતા હતા. ભારતમાં સ્વરોજગારથી રોજી મેળવતા અસંગઠિત અને નાના વ્યવસાયોની સંખ્યા ૨૦૨૩-૨૪માં ૭.૩૪ કરોડ હતી. ૨૦૨૫માં તે વધીને ૭.૯૨ કરોડ થઈ છે. એટલે એક જ વરસમા સ્વરોજગારના ક્ષેત્રમાં ૫૮ લાખ નાના અને સૂક્ષ્મ વ્યવસાયો વધ્યા છે.
જે લોકો બીજા પાસેથી પગાર કે વેતન મેળવવાને બદલે પોતાનો ધંધો કે વ્યવસાય કરીને કમાણી કે આવક મેળવે છે તે સ્વરોજગાર(Self Employment) છે. . નાનકડી દુકાન, ખુમચો, લારી, ફેરી, જાહેર સડકો અને સ્થળો પર ફરસાણ બનાવી વેચે, શાકભાજી, ફળો અને દૂધની ફેરી કરે, અગરબત્તી બનાવે, બીજાના ઘરના કામો કરે, કપડાં કે ઘરની મરામતનું કામ, સ્થાનિક સેવાઓ આપે, આઈસ્ક્રીમ, ગોળા, બરફ અને કુલ્ફી વેચે, રમકડાં અને ફુગ્ગા વેચે- આવા બીજા અનેક કામો સ્વરોજગાર ગણાય. સ્વરોજગાર કરનાર વ્યક્તિ કામ શોધનાર મટી બીજાને કામ આપનાર બને છે. તે માલિક કે નોકરીદાતાને બદલે ગ્રાહકો પાસેથી વેતન કે પગાર મેળવે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સ્વરોજગાર કરનાર વ્યક્તિ સાહસિક ગણાય કે લાચાર તે વિશે મતમતાંતર પ્રવર્તે છે.જોકે સ્વરોજગાર કરનાર વ્યક્તિમાં કેટલાક ગુણ કે લાયકાત હોવા જરૂરી છે. જેમકે તે વ્યક્તિ સ્વતંત્ર વિચારો ધરાવતી હોવી જોઈએ અને કોઈના તાબામાં કામ કરવા રાજી ન હોય તેવા સ્વભાવની હોવી જોઈએ. તેનામાં કૌશલ્ય, અથાક મહેનત , મજબૂત પ્રતિભા અને સેવાના ગુણ હોવા આવશ્યક છે. સ્વરોજગાર કરતી વ્યક્તિની આવક કે કમાણી બજારની માંગ પર નિર્ભર હોય છે અને તે અનિશ્ચિત હોય છે તેથી તેની આવક પણ નિશ્ચિત હોઈ શકતી નથી. સ્વરોજગારના આરંભે જોખમ અને અનિશ્ચિતતા હોય છે. બચત અને મૂડી જરૂરી છે. જે વ્યક્તિમાં કોઈના પ્રત્યે ઉત્તરદાયી હોવાનું વલણ ન હોય તે સ્વરોજગારમાં સફળ થઈ શકે નહીં.
લાભદાયક વ્યવસાયનો વિચાર ધરાવતી અને સફળ વ્યવસાયી બનવા માંગતી વ્યક્તિ બાંધ્યા પગારની સલામત નોકરી છોડીને સ્વરોજગાર અપનાવે તો તે સાહસ છે પરંતુ બધા સ્વરોજગારને સાહસ માનવા તે ભ્રામક છે. અન્ય રોજગારની તકના અભાવે સ્વરોજગાર કરવો તે વ્યક્તિની મજબૂરી છે. સલામત અને ચોક્કસ વેતનની નોકરીઓ ઓછી છે તેના કારણે લોકો સ્વરોજગાર કરે છે તે સચ્ચાઈ સ્વીકારવી રહી. એક અંદાજ પ્રમાણે પોણા ભાગના લોકો અન્ય રોજીનો સારો વિકલ્પ ન મળતાં સ્વરોજગાર કરે છે તે હકીકત કડવું સત્ય છે.
ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હસ્તકની નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ( NSO)નો તાજેતરનો અહેવાલ ” અસંગઠિત ક્ષેત્રના ઉધ્યમોનું વાર્ષિક સર્વેક્ષણ ૨૦૨૫” નાના વ્યવસાયો અને સ્વરોજગારની વાસ્તવિક આર્થિક સ્થિતિની વિસ્તૃત જાણકારી આપે છે અને કેટલીક ચોંકાવનારી સચ્ચાઈ ઉજાગર કરે છે. જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન હાથ ધરાયેલ આ સર્વેક્ષણ ઘણું વ્યાપક હતું. દેશભરના કુલ ૬,૭૦,૬૫૦ વ્યવસાયો તેમાં આવરી લીધા હતા. તેમાં શહેરોના ૩.૭૬ લાખ અને ગામડાનાં ૨.૯૪ લાખ વ્યવસાયોને સામેલ કર્યા હતા.
દેશમાં સૂક્ષ્મ અને નાના વ્યવસાયો તથા સ્વરોજગારમાં વધારો થયો છે અને લગાતાર વધારો થતો રહે છે પરંતુ સ્વરોજગાર કરનારની કમાણી લઘુતમ વેતન કરતાં પણ ઓછી છે તે સત્ય આ સરકારી સર્વેક્ષણમાં જાણવા મળે છે. રોજગાર અને વેપારમાં વૃધ્ધિ આર્થિક ગતિવિધિનો સંકેત માની શકાય પરંતુ NSO નો રિપોર્ટ દર્શાવે છે કે નાના વેપારની આવક, ઉત્પાદકતા અને સામાજિક સલામતી ખૂબ જ નબળી છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દરેક ધંધાદીઠ સરેરાશ કુલ મૂલ્યવર્ધન( GROSS VALUE ADDED-GVA) વાર્ષિક રૂ. ૨.૫ લાખ છે. તે માસિક રૂ. ૨૦,૮૮૦ અને દૈનિક રૂ. ૬૮૫ થાય છે. કામદારદીઠ GVA રૂ. ૧.૬ લાખ છે. એ હિસાબે દર મહિને રૂ. ૧૩.૩૦૦ અને રોજના રૂ.૪૪૦ થાય છે. પરંતુ રૂ. ૪૪૦ પણ સ્વરોજગાર કે નાનો ધંધો કરનાર વ્યક્તિની રોજની વાસ્તવિક કમાણી નથી. તેમાં કાચો માલ, ધંધાની જગ્યાનું ભાડુ, વીજળી, પરિવહન અને બીજા ખર્ચ સામેલ છે તે બાદ કરતાં તેની રોજની આવક રૂ. ૪૪૦ થતી નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં બિનખેતીક્ષેત્રના અસંગઠિત શ્રમિકોનું માસિક રૂ. ૧૫,૦૦૦ કે તેથી વધુ લઘુતમ વેતન નક્કી કરેલ છે. એટલે સ્વરોજગાર કરનાર કે નાના ધંધા કરનાર વ્યક્તિને લઘુતમ વેતનથી પણ ઓછી આવક થાય છે.
આ સ્થિતિનો ખ્યાલ આવતા એવો સવાલ થવો સ્વાભાવિક છે કે જો આટલી ટૂંકી કમાણી હોય તો લોકો નાનો ધંધો કે સ્વરોજગાર શા માટે કરે છે? તેનો સરળ જવાબ તો બેઠા કરતાં બજાર ભલી છે. ગરીબો માટે પર્યાપ્ત કમાણી કરવાની પૂરતી તકો નથી. પર્યાપ્ત રોજગારની તકોના અભાવે તે સ્વરોજગાર તરફ વળે છે અને ભવિષ્યમાં સ્થિતિ સુધરશેના આશાવાદમાં જીવે છે. અધિકતર ગરીબો તો બીજા કામના અભાવે લાચારીથી સ્વરોજગાર કરે છે સ્વરોજગાર છોડવાનો તેમનો વિચાર બેરોજગાર રહેવાનો કે કશું ન કમાવાનો, તેથી ભૂખે મરવાનો છે એટલે તે સ્વરોજગારને પકડી રાખે છે.
અસંગઠિત ક્ષેત્રના નાના વેપારીઓ, સ્વરોજગાર કરનાર માટે વેપારનો વિસ્તાર કરવો કઠિન છે. નવી મશીનરી ખરીદવા તે સક્ષમ નથી. આધુનિક મશીનો માટે તે રોકાણ કરી શકે તેમ નથી. ધંધાના વિકાસ માટે તેમને બેન્કોનું ધિરાણ સરળતાથી મળતું નથી. મર્યાદિત પૂંજી અને પૂરતી નાણાકીય સહાયતાનો અભાવ તેમના માર્ગની મુખ્ય અડચણો છે. સીમિત મૂડી, નબળી સામાજિક સલામતી, ઓછી આવક અને ઓછું ઉત્પાદન આ ક્ષેત્રના મુખ્ય પડકારો છે.
સ્વરોજગાર અને સૂક્ષ્મ તથા લઘુ વેપારના વિકાસ માટે સરકારે સરળ અને સસ્તી બેન્ક લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમના ઉત્પાદનને બજાર સુધી કે ગ્રાહકની માંગ સુધી લઈ જવાના માર્ગો ખોળવા જોઈએ. નવી ટેકનિક્ની સહાયતા, ધંધાનો પ્રચાર, કૌશલ્ય વિકાસ અંગેની તાલીમ – જેવી સુવિધાઓ ઉભી કરવાથી નાના વ્યવસાયીઓને રક્ષણ મળશે. રોજગારની તકો કાયમી બનશે. નવા રોજગાર પેદા થઈ શકશે. દેશની આર્થિક વૃધ્ધિ, નવી રોજગારીનું નિર્માણ અને આત્મ નિર્ભરતાનો આધાર સ્વરોજગાર અને નાના ધંધા બની શકે તેમ છે. આજે સ્વરોજગારનો વિકાસ થયો છે હવે તેમાં કમાણી કઈ રીતે વધી શકે તેમ છે તેના રસ્તા શોધવાના છે. જો દુનિયામાં સ્વરોજગારનું પ્રમાણ કુલ રોજગારમાં ૪૦ ટકા કરતાં પણ વધુ હોય અને કેટલાક સ્વરોજગાર સારી કમાણી આપતા હોય ત્યારે સ્વરોજગારને રોજગારની સશક્ત તક અને આર્થિક વૃધ્ધિનો મજબૂત આધાર માનીને તેને પ્રાથમિકતા આપવી જોઈએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નવી લેખમાળાની શરૂઆત – પ્રાસ્તાવિક | ખેંચાયેલો વરસાદ
સ્વભાવે સાહિત્ય સર્જક અને વ્યવસાયે શિક્ષક હોવા ઉપરાંત માવજીભાઈ ક્ચ્છમાં વગાડવામાં આવતા ઢોલના વિવિધ તાલ તેમજ કચ્છી લોક્સંગીતની આગવી સૂઝ ધરાવે છે.
શ્રી માવજીભાઈના વિજ્ઞાનની શોધોના ઇતિહાસ અને ભારતીય સમાજ પર તેની અસરોને પ્રતિબિંબીત કરતા, ‘સમયચક્ર’ શીર્ષક હેઠળના, નિબંધો ‘સમયચક્ર’ ૨૦૨૦માં વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ ચુકેલ છે.
હવે શ્રી માવજીભાઈ મહેશ્વરીના હળવા નિબંધો આપણે દર મહિનાના પહેલા સોમવારે વેબ ગુર્જરી પણ માણીશું.
વેબ ગુર્જરીના નિમંત્રણના ખુબ જ સાલસ અને તત્કાળ પ્રતિભાવ માટે વેબ ગુર્જરી શ્રી માવજીભાઈ મહેશ્વરીનો હાર્દિક આભાર માને છે.
સંપાદક મડળ, વેબ ગુર્જરી
હળવા નિબંધો
ખેંચાયેલો વરસાદ
માવજી મહેશ્વરી
આ લખું છું ત્યારે બે ભિન્ન દશ્યો મારી આંખો સામે છે. વર્તમાનપત્રનાં પહેલાં પાના ઉપર દેશના વડાપ્રધાને દેશમાં પડેલા ઓછા વરસાદની ચિંતા કરી હોવાના સમાચાર છે અને અત્યારે આકાશ વાદળોથી ગોરંભાઇ ગયું છે. બેય સરકાર છે. એક સરકાર જે દેશ ચલાવે છે, રાજ્ય ચલાવે છે. બીજી સરકાર જે જડ, ચેતન સહિતનું આખું વિશ્વ ચલાવે છે. એક સરકાર જે માણસોની બનેલી છે, માણસોએ બનાવેલી છે. જે બંને છે અને તૂટે છે. બીજી સરકાર છે તે અદશ્ય છે. એની હાજરી કરતાં ગેરહાજરીની વધારે નોંધ લેવાય છે. એ સરકાર એટલે ઇન્દ્રદેવની સરકાર. વરુણદેવની વ્યવસ્થા, રાજાઓના રાજા મેઘરાજાની સરકાર. મેઘરાજાએ આ વખતે લગભગ સરેરાશ દેશના પ્રદેશો સામે નારાજ થયા છે. અષાઢ ગયો. હવે શ્રlવણ પણ ખાસ્સો વિતી ગયો છે. હજુ વરસાદના કોઈ બળુકા એંધાણ નથી. જાણે મેધરાજા અને પવનદેવ વચ્ચે એકબીજાને હરાવવાની હરીફાઈ ચાલી રહી છે. મેઘરાજા મંડપ બાંધે છે, વાદળાં ભેગા કરે છે. જાણે હમણાં હૂકમ છૂટે અને વરસી પડીએ તેમ વાદળાં સુખના ભારથી રડી પડતી આંખોની જેમ વરસવા તત્પર થઈ જાય છે. તેજ વખતે પવનના વેગીલા અશ્વો એટલા પ્રબળ વેગથી ધસી આવે છે કે વાદળનું દળકટક આમતેમ ભાગે છે. એક બીજામાં અથડાઈને થોડાંક ટીપાં ધરતી પર વરસાવતાં જાય છે. પોતાની વ્યથાનાં વિતકની ગાથા જેવા.
આ ખેલ છેલ્લા દોઢેક મહિનાથી ચાલે છે. ઘરતી પરનો મનેખ નેજવું કરીને ઉપર જુએ છે. ઉપર બેઠેલી સરકાર નીચે જુએ છે કે નહીં તેની કોઈને ખબર નથી. છતાં મનેખ એમ માને છે, એમ માનીને જીવે છે કે ઉપરથી કોઈક જોઈ રહ્યું છે. આ છે શ્રદ્ધા! ક્યારેક વિચાર આવે કે એવો કોઈ માણસ નથી જેનાં જીવનમાં ક્યારેય દુઃખ ન આવ્યું હોય. એવો કોઈ દેશ કે પ્રદેશ નથી જ્યાં કુદરત વિફરતી ન હોય. તો પછી એજ કુદરત પર અપાર શ્રદ્ધાનાં મૂળિયાં ક્યાં પડેલા છે? બહુ જ રસપ્રદ મુદ્દો છે. માણસ અતિ સામર્થ્યવાન પ્રાણી છે. તેણે આકાશને આંબ્યું છે, પર્વતોને સર કર્યા છે, નદીઓને નાથી લીધી છે. કેટલાય રોગો જડમૂળથી નાબૂદ કરી દીધા છે. દરિયાનાં તળ તાગી લીધાં છે. પવન વેગી વાહનો બનાવી દીધાં છે. એક જ પળમાં વિનાશ સર્જી દે તેવી વિસ્ફોટક સામગ્રી બનાવી લીધી છે. જ્યાં જળ હતું ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હતાં ત્યાં જળ કરી દીધાં છે. આટઆટલી તાકાત ધરાવતો માનવી તેમ છતાં કુદરતને ઘુંટણિયે પડી જાય છે, શા માટે? કયું તત્વ એને ઝુકાવી દે છે?
વરસાદ જરા મોડો થાય અને લોકો મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થનાથી માંડીને યજ્ઞો કરાવવા મંડી પડે. ધરતી પર વાવાઝોડાં, ભૂકંપો, રોગચાળા ન આવે તે માટે એ કુદરતને સતત વિનવણીઓ કરતો રહે છે. માણસ આવું શા માટે કરતો હશે? ગમે તેવો સમર્થ માણસ પણ દિવસમાં એકાદવાર મનોમન કુદરત સામે નમી પડે છે. આવું શા માટે થતું હશે? આ સમજવા માટે આપણાં લોહીમાં ઊંડે ઉતરવું પડે. આપણી માટી તપાસવી પડે. આપણે ક્યાંથી આવ્યા અને આપણો સર્જનહાર કોણ છે એ તપાસવું પડે. એ તપાસ એટલે અચાનક પરમતત્વને શરણે થઈ જવાની, ઝુકી પડવાની પેદા થતી ઈચ્છા. જયારે પરમતત્ત્વ સામે આપણું સામર્થ્ય ઝુકી પડે ત્યારે સમજવાનું કે આપણને હજુ કશુંક જોઇએ છે. જે આ દુનિયામાંથી મળ્યું તે અધૂરું છે. આપણે બળ, કળ અને છળથી જે કંઈ મેળવ્યું તે અર્થ વગરનું છે. ખરેખર તો મેળવવા જેવું કઈંક જુદું છે. આ કઈંક જુદું મેળવવાની ઝંખના પ્રબળ બને છે ત્યારે કુદરત સામે હાથ જોડાઈ જાય છે જ્યાંથી ઈશ્વરની શોધ કહો, મનની શાંતિ કહો કે મનુષ્યના સામર્થ્યની મર્યાદા કહો. આવી ક્ષણે જ મનની અંદર એક ઝબકાર થતો હોય છે. એ ઝબકાર શેનો છે તેનો વિચાર કરવાનો હોય છે. એ ઝબકારનાં મૂળિયાં તપાસવાનાં હોય છે.
વરસાદ ખેંચાયો છે. જો વરસાદ નહીં આવે તો ધરતીપુત્રો જ નહીં, સમસ્ત પ્રાણીઓ થોડી કે વધારે મુશ્કેલીમાં પડવાના. આમ તો દરેક માણસને ખબર છે કે હવે પહેલા જેવો સમય નથી કે તે ભૂખે મરી જાય. વરસાદ માત્ર અન્ન ઉગાડવા કે પીવાનાં પાણીના જથ્થા માટે જ નથી વરસતો. વરસાદ કુદરતના પ્રત્યક્ષ પુરાવારૂપે આવે છે. એ સમય સમય પર પોતાની હાજરી પુરાવે છે.
સમયસર આવતા વરસાદને આપણે એક ભૌગોલિક ઘટના ગણી લઈએ છીએ. પણ જયારે વરસાદ નથી અવતો ત્યારે કુદરતને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મેધરાજા તું આવ! આ પોકાર જ આપણી તમામ સરકારોથી ઉપર પણ એક મોટી સરકાર બેઠી છે તેની નિશાની છે. કુદરત સામે હૈયામાંથી ઉઠતા પોકાર ‘આપણે કંઈ જ નથી, આપણી શક્તિઓ કંઈ જ નથી, આપનારો એક તું ઉપરવાળો છે’ એવું બતાવે છે. એ આપણી ઈશ્વર સામે પામરતાનો સ્વીકાર છે. જ્યાં સુધી માનવી પોતાને કુદરતથી પાછળ રાખીને ચાલશે અથવા તો કુદરતના નિર્ણયોને માથે ચડાવતો રહેશે ત્યાં સુધી વરસાદ સમયસર જ પડશે. સમયસર ઠંડી અને ગરમી પડવાની. સમયસર વૃક્ષો ફૂલવાનાં અને ફળવાનાં. તો જ ઋતુએ ઋતુએ ફૂલો ખીલશે, ધરતી ધાન પકવશે, માતાના શરીરમાં જીવ પિંડ બંધાશે, ખાધેલા અન્નમાંથી લોહી બનશે. આ બધું ત્યાં સુધી ચાલ્યા કરશે જ્યાં સુધી માણસ કુદરતનો આદર કરતો રહેશે. જો મનુષ્ય કુદરતના કાર્યમાં ખલેલ નહીં પહોંચાડે.
પરંતુ જો માણસને પોતાના સામર્થ્યનું અભિમાન જાગશે, હું જ આ જગતનો અધિપતિ છુ એવું વિચારવા લાગશે ત્યારે કુદરત એકાદ ચેતવણી આપીને પછી પોતાનું કામ શરૂ કરશે. તે પછી કદાચ માણસને પ્રાર્થના કરવાનો પણ સમય નહીં મળે.
લ્યો ત્યારે આવજો. રામ રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈ નજર રાખી રહ્યું છે
મંજૂષા
વીનેશ અંતાણી

ઘણાં વર્ષો પહેલાં સાહિત્યકાર અને મિત્ર સનત ભટ્ટના નિમંત્રણથી અમે થોડા મિત્રો આદિવાસીઓનો ‘દશેરો’ માણવા છોટા ઉદેપુર ગયા હતા. દશેરાની સવારથી જ સેંકડો આદિવાસી યુવક-યુવતીઓ, કિશોર-કિશોરીઓ એમના વિસ્તારમાંથી છોટા ઉદેપુરમાં ઊતરી આવ્યાં હતાં. સાંજ પડી ત્યાં સુધીમાં છોટા ઉદેપુરની બજારનો ચોક અને રસ્તા એમનાં નૃત્યો, ગીતો અને પાવાવાદનથી ગૂંજી ઊઠ્યા હતા. ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. ભરચક ભીડમાં એક આદિવાસી છોકરો એને ગમી ગયેલી આદિવાસી છોકરીને કોઈની પરવા કર્યા વિના અપલક જોઈ રહ્યો હતો. છોકરી પણ એની સામે નજર માંડી આંખ ઢાળી દેતી હતી.
એ ‘જોવું’ જુદું હતું. આજે કેટલીય અદૃશ્ય આંખો આપણા પર નજર રાખી રહી છે એ સ્થિતિ અલગ છે. કોઈ આપણને જુએ છે એવો અહેસાસ સતત મનમાં રહે છે. ઘરમાં, પારિવારિક મિલનમાં, રસ્તા પર, મોલમાં, ધર્મસ્થાનોમાં, અજાણ્યાઓની વચ્ચે, ઓનલાઇન કશુંક સર્ચ કરતા હોઈ કે કશુંક પોસ્ટ કરતા હોઈએ ત્યારે અચાનક લાગે છે કે કોઈ આપણામાંથી કશુંક શોધે છે, આપણને જજ કરે છે અને અભિપ્રાયો બાંધે છે. જરૂરી નથી કે એવો અહેસાસ હંમેશાં આપણો વહેમ હોય.
ટેક્નોલોજીએ દુનિયાને અદૃશ્ય આંખોની ભેટ ધરી તે પહેલાંના સમયથી અંગત પરિવાર, પાડોશીઓ, સમાજ અને સરકાર આપણા પર નજર રાખતા આવ્યાં છે. આજે એ અનુભવ વ્યાપક અને તીવ્ર બન્યો છે. સાવર્જનિક સ્થળોમાં મૂકેલા કેમેરા, ઓનલાઇન ટ્રેકિંગની સુવિધા, ચહેરાની ઓળખ કરતાં સોફ્ટવેર વગેરે અસંખ્ય આંખો આપણા પર મંડાઈ છે. આપણી જાણ બહાર આપણા ડેટા એકઠા કરવામાં આવે છે. એક વાર ઓનલાઇન ખરીદી કરવા સર્ચ કર્યું હોય તે સાથે જ આપણી સામે એવા જ પ્રકારની પ્રોડક્ટની જાહેરાતોનો ખડકલો થઈ જાય છે. લોકો જે કરે છે, જ્યાં જાય છે ત્યાં એમની ડિજિટલ નિશાનીઓ છોડતા જાય છે.
આજના સમયમાં આપણા પર નજર રાખવામાં આવી રહી છે એ સ્થિતિ વરવી વાસ્તવિકતા બની ગઈ છે. બ્રિટનના સુપ્રસિદ્ધ લેખક જ્યોર્જ ઓરવેલની પોલિટિકલ નવલકથા ‘નાઇન્ટીન એઇટી ફોર’ ૧૯૪૯માં પ્રકાશિત થઈ. એમાં એમણે નાગરિકોની દરેક હિલચાલ પર નજર રાખતા ‘બિગ બ્રધર’ની કલ્પના કરી છે. એ નવલકથાનું એક વાક્ય ‘બિગ બ્રધર ઇઝ વૉચિંગ યૂ’ આજની દુનિયાનું સત્ય બની ગયું છે. એમાં એમણે સર્વેલન્સ, પ્રોપેગન્ડા અને ભયના વાતાવરણમાં જીવતા સમાજનું ભયાવહ ચિત્ર આપ્યું છે. કોઈ જોતું હોય કે ન જોતું હોય, છતાં કોઈ આપણા પર નજર રાખી રહ્યું છે એ દહેશત લોકોના વાણી-વર્તન પર અસાધારણ અસર કરે છે એ વિચાર આજે સાચો સાબિત થઈ રહ્યો છે.
થોડાં વર્ષો પહેલાં લોકોની પ્રામાણિકતાનું સર્વેક્ષણ કરવા એક મોલમાં પેમેન્ટ કાઉન્ટરની પાછળ બે આંખોનો મોટો ફોટો મૂક્યો હતો. ત્યાર પછી વધારે પ્રામાણિકતાથી પેમન્ટ કરતા ગ્રાહકોની સંખ્યામાં સારો એવો વધારો થયો હતો.
ફેન્ચ ફિલોસોફર મિશેલ ફૂકોએ ઘણાં વર્ષો પહેલાં કેદીઓ પર નજર રાખવા માટે અલગ પ્રકારની જેલનો કન્સેપ્ટ વિચાર્યો હતો. જેલની કોટડીઓ વર્તુળાકારમાં અને સેન્ટરમાં એક જ ગાર્ડ બધા કેદીઓને જોઈ શકે એવું વૉચ ટાવર એ પ્રકારની ડિઝાઈન એમણે બનાવી હતી. કેદીઓને ખબર ન પડે કે ચોક્કસ ક્ષણે ગાર્ડની નજર એના પર છે કે કેમ. તેમ છતાં ગાર્ડ જોઈ રહ્યો છે એટલી સભાનતા પણ એમને શિસ્તમાં રાખવા પર્યાપ્ત થાય એવો એમનો ખ્યાલ હતો. ફૂફો માનતો હતો કે આધુનિક સમયમાં કોઈ જોતું ન હોય છતાં કોઈ જોઈ રહ્યું છે એવો વહેમ પણ લોકોના માનસ પર અસર કરે છે.
આધુનિક ટેક્નોલોજીના ઉદય પહેલાંના સમયથી ઘણા દેશોમાં રાજસત્તા દ્વારા લોકો પર ચાંપતી નજર રાખવાની પદ્ધતિ અમલમાં હતી. અત્યારે પણ છે. સત્તાધારી પક્ષો એમના વિરોધી પક્ષના નેતાઓ પર તો નજર રાખે જ, પોતાના પક્ષના મહત્ત્વાકાંક્ષી લોકોની હરકતો પર પણ નજર રાખે છે. ઘણા દેશોમાં શંકાસ્પદ વલણ ધરાવતા લોકોની બધી મહિતી એકઠી કરવામાં આવે છે, જેથી શંકાના દાયરામાં આવેલા લોકો કોઈ કાવતરું કરે તે પહેલાં જ એમના પર પ્રહાર કરી શકાય.
દેશની સુરક્ષા અને ગુનાની પ્રવૃત્તિ ડામવા માટે એ વ્યવસ્થા જરૂરી છે, છતાં એમાં લોકોના વ્યક્તિસ્વાતંત્ર્યના અધિકાર પર તરાપનો મુદ્દો પણ ઊભો થાય છે. આપણને નાનપણથી કહેવામાં આવે છે કે ભગવાન બધું જુએ છે. એનાથી કશું છાનું નથી. આપણા મનમાં ચાલતા વિચારોની પણ એને ખબર પડી જાય છે. આ સમજથી આસ્તિક લોકોના મનમાં આશ્વાસનનો ભાવ રહે છે કે કોઈ પણ મુશ્કેલીમાં દૈવી શક્તિ ઉગારી લેશે.
ધાર્મિક આસ્થા બળ આપે છે, પરંતુ પરમ શક્તિની નજર આપણા પર છે એવી સભાનતાથી ક્યારેક લોકોમાં બિનજરૂરી અપરાધભાવ પણ જાગે છે. કુટુંબમાં આપણે એકબીજાને ધ્યાનથી જોતા રહીએ છીએ. સંતાનોમાં આવતો નાનામાં નાનો ફેરફાર માતાપિતાની નજરમાંથી છટકતો નથી. સંતાનો પણ વડીલોને જોઈ ઘણું શીખે છે. નજીકનાં સગાંસંબંધીઓ એકમેકના પરિવારે લીધેલા નિર્ણયોને રસપૂર્વક અને ક્યારેક ટીકાની નજરે તપાસે છે. પાડોશીઓની નજર બીજાના પહેરવેશ અને પ્રવૃત્તિઓ પર રહે છે. કોણ કોને મળવા આવ્યું, કોણ કેટલા વાગે ઘરમાંથી બહાર ગયું અને ક્યારે પાછું આવ્યું એવી બાબતો નોંધાતી રહે છે. ઘણી વાર એ પ્રકારનાં નિરીક્ષણોથી લોકોની, ખાસ કરીને યુવાપેઢીની, ચાલચલગત વિશે ગેરસમજ ફેલાય છે.
કોઈની નજર આપણા પર છે એ પ્રવર્તમાન વાસ્તવિકતાનાં સારાં અને નરસાં બંને પાસાં છે. એ વિશે વધારે પડતી સભાનતાથી બચી શકાય તો જીવનમાં શાંતિ અને સ્વાભાવિકતા પાછી મળે. સૌથી મહત્ત્વની બાબત છે આપણી જ આપણા પર નજર. આપણી ભીતર ધબકતા જણને પેલા આદિવાસી છોકરાની જેમ અપલક તાકતા રહેવું સ્વસ્થ જીવનની પહેલી શરત છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
યલ્લો ટોપ એન્ડ બ્લૂ જીન્સ
શ્રદ્ધા ભટ્ટ
આદિએ મોબાઈલમાં જોયું. સવારના પાંચ વાગવામાં હજુ દસ મિનિટની વાર હતી. આખી રાત જાગવાની એને નવાઈ નહોતી. મિત્રો એને ‘નાઈટ આઉલ’ કહીને બોલાવતા. વેકેશનમાં તો આ લેટ-નાઈટ-સીરીઝ-વોચિંગ પ્રવૃત્તિ જોરશોરમાં ચાલેલી. છેલ્લા એક અઠવાડિયાથી કોલેજ શરૂ થઈ હતી એટલે એ ૧૨ વાગે સૂઈ જતો. પણ, ગઈકાલે કેટલું’ય કર્યું, ઊંઘ આવી જ નહીં! આંખ બંધ કરે અને આંખ સામે સાંજની ઘટના આવીને ઊભી રહે. નવી કોલેજ હતી. નવા મિત્રો અને નવી અજાણી દોસ્તી. સાંજે બધા મિત્રોએ બહાર મળવાનું નક્કી કરેલું.
શેના માટે – આદિના આવા પ્રશ્ન પર બધા હસી પડેલા.
‘તું આવ એટલે ખબર પડી જશે. યુ હેવ ટુ કમ ડૂડ!’
‘ઓકે ઓકે. આઈ વીલ બી ધેર.’ – આદિને હતું, કૈંક સરપ્રાઈઝ હશે. મે બી ફોર ન્યૂ મેમ્બર! એ ખુશ થઈ ગયો. કોલેજ લાઈફ ઈઝ સો ફૂલ, મેન! નો રાગ આલાપતો તૈયાર થઈને નીકળ્યો. જગ્યા થોડી વિચિત્ર હતી. નાના એવા શોપિંગ સેન્ટરની સામે. એને હતું, બધા ત્યાં ભેગા થશે અને પછી બીજે કશે જવાનું હશે.
“બહાર જાઉં છું. વિલ બી લેઈટ, મોમ.” ઘરેથી નીકળતાં એણે કહ્યું ત્યારે જ યાદ આવ્યું કે મોમ તો બહાર ગઈ છે. ફ્રીઝ પર સ્ટીકી નોટ ચીપકાવી એ બહાર નીકળ્યો. મિટિંગ પોઇન્ટ ઘરથી નજીક હતો પણ ટ્રાફિકને લીધે વાર લાગી. શોપિંગ સેન્ટર પહોંચીને એણે આજુબાજુ નજર ફેરવી. કોઈ દેખાતું નહોતું. એણે ફ્રેન્ડને ફોન કર્યો. એ કંઈ પૂછે એ પહેલાં સામેથી કહેવાયું, “આદિ, લુક સ્ટ્રેઈટ. સામે. ઝાડ પાછળ.” અંધારામાં ફોનની લાઈટ હલતી દેખાઈ અને એ ઝાડ પાછળ દોરવાયો.
“અરે, અંધારામાં શું કરો છો?”
“શશ…” આગળ ઊભેલા મિત્રના ફોનમાં જોવાનો ઈશારો થયો. આદિએ જોયું. એક ક્લિક થઈ અને…
“લૂક, શી ઈઝ ગોઇંગ. રેડી?”
“આદિ, સીટી મારતા આવડે છે?”
“હે !?”
“સીટી. વ્હિસલ, બ્રો. લૂક.” દોસ્તનો અંગૂઠો અને આંગળી મોઢામાં અને સીટીનો અવાજ હવામાં.
“આદિ, બ્લો.” “સીટી માર સ્ટુપિડ.” “ગો ફોર ઈટ મેન.”
અને આદિએ સીટી મારી. સામેના મોલમાંથી બહાર નીકળી રહેલી લેડીએ અવાજની દિશામાં જોયું. બાઈક અને ઝાડની પાછળ આખું ટોળું ગાયબ ! આદિ કંઈ સમજે એ પહેલાં એની બાજુમાં બેઠેલા ફ્રેન્ડે એને ઈશારો કરીને ફોનમાં મેસેજ ચેક કરવા કહ્યું. ‘નોટી બોય્ઝ’ નામનું એક નવું ગ્રુપ બનેલું. આદિ એડ થયેલો. એમાં હતી એક ઈમેજ. અને નીચે ઢગલો મેસેજ.
– વાઉ મેન. શી ઈઝ સો હોટ.
– લૂક એટ હર ફિગર યાર.
– ફ્રન્ટ પોઝ લીધો હોત તો? જસ્ટ ઈમેજિન..
આદિએ ઈમેજ ઓપન કરી. યલ્લો ટોપ અને બ્લૂ જીન્સ. ખભા સુધી આવતા ખુલ્લા વાળ. ડાબા હાથમાં ઘડિયાળ અને એ જ બાજુએ લટકાવેલું પર્સ. પર્સની કિનારીએ ઘૂઘરીવાળું લટકણ! ‘વોટ ધ..’ એણે ફોન બંધ કર્યો. એક્ટીવા પર બેઠો અને ત્યાંથી નીકળી ગયો. આખે રસ્તે એને પેલી ઈમેજ દેખાતી રહી. ઘરે પહોંચ્યો એવો ફ્રેન્ડનો મેસેજ આવ્યો – “વોટ હેપન્ડ? કેમ આવતો રહ્યો?” આદિએ જવાબ ના આપ્યો. છેલ્લી થોડી મિનિટોમાં જે બની ગયું એના પર વિચાર કરવો કે નહીં – આદિ એ જ અવઢવમાં હતો ત્યાં..
“આદિ, જમવામાં શું બનાવું?” આદિના રૂમનો દરવાજો ખૂલ્યો અને….
નોટી બોય્ઝ ગ્રૂપના બધા જ મેસેજ યલ્લો અને બ્લૂ રંગના કોમ્બિનેશનમાં આદિની સામે દેખાવા લાગ્યા. હર ફિગર.. હર હોટનેસ.. ઉફ્ફ. આદિ એ પાસે પડેલી બૂક ઉઠાવીને એમાં મોં છૂપાવી દીધું. “મારે જમવું નથી.” એણે બને એટલી કોશિશ કરી પણ હ્રદયનો થડકારો અવાજમાં વર્તાઈ જ ગયો.
“ઓલ ઓકે બેટા? તબિયત ઠીક નથી? માથું દુખે છે?” મોમનો હાથ આદિના માથે અને આદિ ઝટકો ખાઈને પલંગની બીજી સાઈડ પર.
“આઈ એમ ગુડ મોમ. નથી જમવું યાર.”
“ઓકે બાબા. એમાં આટલો ચિડાઈ શું જાય છે?”
દરવાજો ખૂલ્યો, બંધ થયો. નહોતું જોવું છતાં બૂકની આડશે જોવાઈ જ ગયું. ‘શી ઈઝ બટ હે….’ આદિએ આંખો બંધ કરી દીધી. પણ અંધારું ઘેરો બ્લૂ રંગ ઓઢીને આવ્યું. મોમની જીન્સનો રંગ. અને એમાં યલ્લો રંગથી લખાયેલા પેલા બધા મેસેજ! મોમનો ફ્રન્ટ ફોટો લીધો હોત તો? પેલા ગ્રૂપમાં એ ફોટો વિષે…. છટ્ટ્….પોતે કેવું કેવું વિચારે છે? શેઈમ ઓન યુ, આદિ! પણ મોમને શું જરૂર હતી એવા કપડાં પહેરીને બહાર જવાની? પહેલો વિચાર આ આવ્યો. આદિએ આ પહેલાં ક્યારેય મોમનાં કપડાં વિષે વિચાર્યું નહોતું. અરે, કોઈ પણ છોકરીના કપડાં વિષે નહીં. ઘરમાં મોમ છે, એની નાની બેન રીન્કુ છે. સ્કૂલમાં, ટ્યુશનમાં કેટલી બધી છોકરીઓ આવે છે. એ લોકો શું પહેરે છે એના પર ક્યારેય ધ્યાન નથી આપ્યું. આપવું પણ ના જોઈએ ને?
આદિ પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો. એને એટલી ખબર હતી કે એના દોસ્તોએ આજે એની મોમ માટે બહુ ખરાબ શબ્દો વાપરેલાં. પણ એમાં મોમનો વાંક નહોતો? શી ઈઝ મોમ. તો એણે બાકી બધી આંટીઓ પહેરે એવું ડ્રેસિંગ કરવું જોઈએ ને? એને એના મિત્રોની મમ્મીઓ યાદ આવી. યશની મમ્મી – કાયમ સાડી જ પહેરે. નિત્યની મમ્મી – કુર્તી. અને મોમ? એણે યાદ કર્યું. ઘરમાં ટી શર્ટ, ટ્રાઉજર અને બહાર જાય ત્યારે જીન્સ કે ની લેન્થ ફ્રોક. નો. ફ્રોક નહીં, એને શું કહેતી હતી રીન્કુ? વન પીસ. શું જરૂર છે એને આવા કપડાં પહેરવાની?
ફરી એક જવાબ વિનાનો પ્રશ્ન. આદિ અકળાઈ ગયો. આજે એ ગયો જ કેમ પેલા લોકો પાસે? બહુ સરપ્રાઈઝ જોઈતી હતી ને? મળી ગઈ? મોમને પણ આજે જ સામાન લેવા જવાનું હતું? એ ય ત્યાં જ જ્યાં પેલા લોકો….
ડેડ આવ્યા, બધા સાથે જમવા બેઠાં ત્યારે રીન્કુ બોલાવવા આવેલી. પણ એ એના રૂમમાંથી બહાર જ ના નીકળ્યો. મોમનું પેલું યલ્લો ટોપ અને બ્લૂ જીન્સ જો ફરી દેખાઈ ગયું તો? એ તો સારું થયું કે મોમ યશની મમ્મીની જેમ જીદ નથી કરતી. ‘ખાઈ લે, તને મારા સમ….’ યશે એકવાર કહેલું, “યાર. આઈ એમ ફેડ અપ ઓફ ધીસ સમ બિઝનેસ! જમવામાં ય સમ. બહાર જવામાં ય સમ. આ કર ને પેલું કર. બધામાં સમ!” ‘થેન્ક ગોડ, માય મોમ ઈઝ નોટ લાઈક ધીસ. શી ગિવ્સ ફ્રીડમ.’ – આદિને થયું, ફ્રીડમ આપતી મોમને પોતાનું ય ફ્રીડમ જોઈતું હશે?
“યુ ગો એન્ડ ટોક ટુ હિમ. કંઈક ટેન્શન છે એને.” મોમનો અવાજ સંભળાયો.
“ચિંતા ના કર. વી વિલ હેવ મેન ટુ મેન ટોક.”
મેન ટુ મેન ટોક! શીટ…. હમણાં ડેડ રૂમમાં આવીને પૂછશે તો? એણે લાઈટ બંધ કરી દીધી. હાશ! હવે કોઈ નહીં આવે. પણ બ્લેક આઉટ થતાં તો મુસીબત ઓર વધી ગઈ. ખુલ્લી આંખે સાંજની ઘટના જ યાદ આવ્યા કરી. એને રહી રહીને થતું હતું કે મોમ શુડ ઈમ્પ્રૂવ હર ક્લોથિંગ સ્ટાઈલ. છતાં એ કોઈ ચોક્કસ તારણ પર આવી શકતો નહોતો. સાંજે જે કઈ થયું એમાં કોનો કેટલો વાંક? મોમની ડ્રેસિંગ સ્ટાઈલનો કે પેલા છોકરાઓનો?
આખી રાત આદિ અલગ અલગ વિચારોમાં અટવાતો રહ્યો. ફોનને તો અડવાની જ હિંમત નહોતી. ક્યાંક પેલા ગ્રૂપના મેસેજ જોવાઈ જાય તો? કેટલીય વાર ફોન હાથમાં લઈને પાછો મૂકી દીધો. માંડ સવાર પડી. પાંચ વાગ્યા. એ રૂમની બહાર નીકળ્યો. કાલે સાંજે કશું ખાધું નહોતું એટલે ભૂખ લાગેલી. એને હતું, બધા હજુ સૂતા હશે ત્યાં કશુંક ખાઈને ફરી રૂમમાં જતો રહેશે. બહાર આવ્યો તો મોમ જોગિંગ સૂટમાં! ‘ઓહ મેન….’
“મોમ, તું સાડી કેમ નથી પહેરતી?” રાત ભરની મૂંઝવણ અને અકળામણ એના શબ્દોમાં ય દેખાઈ ગઈ.
“સાડી? જોગિંગ અને એક્સરસાઈઝ કરતી વખતે?”
“આઈ મીન…. નોર્મલી. ડે ટુ ડે વિયર તરીકે. જસ્ટ અ સેજશન.” આદિ ઓજપાઈ ગયો.
“તને યાદ છે ને? મારો આ જોગિંગ સૂટ તે જ સિલેક્ટ કરેલો? બ્રાઈટ કલર વિલ લુક કૂલ ઓન યુ. આવું કોણ બોલેલું?”
“સરસ જ લાગે છે. આ તો જસ્ટ એક વિચાર આવ્યો તો….”
“યુ વોન્ટ કે હું રોજ સાડી પહેરું?” મોમના આ પ્રશ્નનો શું જવાબ આપવો એ વિચાર કરતો હતો ત્યાં રૂમમાંથી ડેડનો અવાજ આવ્યો.
“ગુડ મોર્નિંગ આદિ.”
“ગુડ મોર્નિંગ ડેડ. હું કોફી બનાવું છું. તમે લેશો?” આદિ લાગ જોઈને કિચનમાં ઘૂસી ગયો. મોમ ડેડની કાનાફૂસી સાંભળાઈ પણ એણે ધ્યાન ના આપ્યું. મોમ એક્સરસાઈઝ માટે ગઈ. આદિને હાશ થયું. ડેડ કિચન ટેબલ પર આવીને બેઠા. આદિ એ વિચાર્યું, ડેડને કહું? પણ શું? કાલની વાત તો કહેવાય જ નહીં! તો? શું વાત કરું? મોમના ડ્રેસિંગ વિષે?
“ડેડ, એક વાત કહું?”
“તું ક્યારથી પરમિશન લેતો થઈ ગયો?”
“ડોન્ટ ટેઈક ઈટ અધરવાઈઝ, પણ તમને નથી લાગતું કે મોમ….”
“ઓહ યા. એ થોડી વધુ જ ચિંતા કરે છે હમણાંથી. આદિ આમ, ને આદિ તેમ. રાઈટ?”
આદિ શું કહે? એણે હા નો ઈશારો કર્યો.
“તું ચિંતા ના કર. હું વાત કરીશ એની સાથે કે હવે આદિ મોટો થઈ ગયો છે. હી ઈઝ અ કોલેજ ગોઇંગ યંગસ્ટર નાઉ, રાઈટ? બાય ધ વે આદિ.. .. “
“ડેડ, હું રૂમમાં જાઉં છું. થોડું પેન્ડિંગ વર્ક છે. આ તમારી કોફી.” આદિ કોફીનો મગ હાથમાં લઈને રૂમમાં. ડેડ પણ ગજબ છે! મેન ટુ મેન ટોક! અરે નથી કરવી યાર તમારી સાથે વાત! આઈ હેવ ઈનફ ફ્રેન્ડ્સ ફોર ધીસ ટોક! ફ્રેન્ડ્સ પરથી યાદ આવ્યું, યશને કહું? ના. મોમ વિષેની વાત એને કેમ કહેવી? આદિને થયું, એવું કંઈક થાય અને કાલ સાંજની એ આખી ઘટના જ ભૂલાઈ જાય તો કેવું? એને ફરી ચીડ ચડી. પોતે ત્યાં ગયો એના પર, મોમ પણ ત્યારે જ ત્યાં હતી એ કોઈન્સિડન્સ પર, પેલા છોકરાઓની દરેક કમેન્ટ પર અને ખાસ તો મોમના ડ્રેસિંગ પર…. એણે હિંમત કરીને ફોન હાથમાં લીધો. એપ ખોલી. ટિંગ ટિંગ ટિંગ ના અવાજથી રૂમમાં થોડી ક્ષણો પહેલાં છવાયેલી નીરવતા જરીક ડિસ્ટર્બ થઈ. આદિને એ ગમ્યું. એણે ‘નોટી બોય્ઝ’ ગ્રૂપના બધા મેસેજ ઈગ્નોર કરવાનું નક્કી કર્યું. બીજા ગ્રૂપમાં કોઈ ખાસ હલચલ નહોતી. સ્કૂલના ફ્રેન્ડ્સ સાંજે ડિનર માટે મળવાના હતા એની ચર્ચાના મેસેજ હતા. ઇન્સ્ટા ખોલ્યું. બે ત્રણ રીલ જોઈ. મજા ના આવી. મન રહી રહીને પેલા ગ્રુપ અને એના મેસેજ પર જતું રહેતું હતું. એણે ફરી એ એપ ખોલી. એ ગ્રૂપમાં પોતાને ટેગ કરીને એક મેસેજ આવેલો હતો. રાતના બે વાગે. એણે ફાઈનલી ગ્રુપ ઓપન કર્યું.
વિકીનો મેસેજ હતો – યુ રોક, વ્હિસલ બોય આદિ!
આદિની આંખ સામે આખી ઘટના ફરી ભજવાઈ. સાંજનો સમય, શોપિંગ સેન્ટરની સામેનું ઝાડ, સામેથી દેખાતી કોઈ લેડી. રેડી? એક પછી એક સીટીના અવાજો. પેલી લેડીનું અવાજની દિશામાં જોવું અને બધાનું છૂપાઈ જવું.
શીટ મેન.. આઈ એકચ્યુઅલી બ્લૂ અ વ્હિસલ! આદિ બે હાથે માથું પકડીને બેસી ગયો. એને એક બીજી ઘટના યાદ આવી.
બે વર્ષ પહેલાંની શિમલા ટ્રીપ. એ લોકો બજારમાં ફરતાં હતાં અને લોકલ છોકરાએ છોકરીઓનું એક ગ્રુપ જોઈને સીટી મારી. મોમ એકદમ ગુસ્સે. જઈને પેલા છોકરાને એક થપ્પડ મારી દીધેલી. બધી છોકરીઓ પાસે માફી મંગાવી નહીં ત્યાં સુધી એને ચેન નહોતું પડ્યું. આદિ એ કહેલું, ચીલ મોમ. ખાલી સીટી જ મારી છે ને?
બાપ રે.. મોમનો ફેઈસ એને હજુ સુધી યાદ છે! એણે કહેલું, આદિ, આ ખાલી સીટી નથી. પુરુષના મનમાં સ્ત્રી માટેની રિસ્પેક્ટ તૂટે છે ત્યારે એનો તીણો અવાજ આમ બહાર આવે છે. આદિને ત્યારે તો કશું સમજાયું નહોતું, પણ આ વાત યાદ રહી ગયેલી. તે દિવસે મોમે પ્રોમિસ લીધેલું કે આદિ ક્યારેય સીટી નહીં મારે. નેવર આફ્ટર સીઇંગ અ ગર્લ.
એની નજર સામે પેલી ઘટના ફરી ભજવાઈ. આદિ, સીટી માર.. મિત્રોનો અવાજ આવે છે અને એ સીટી મારે છે. મોમ એ અવાજની દિશામાં જુએ છે. પણ એ છૂપાતો નથી. મોમ એને જોઈ જાય છે. એના બધા મિત્રો એનો હાથ ખેંચીને એને નીચે બેસી જવા કહે છે પણ એ ઊભો જ રહે છે. મોમ ગુસ્સામાં એની પાસે આવે છે. અંધારામાં જે ચહેરો ઓળખાયો નહોતો એ પાસે આવતાં જ એકદમ ક્લિયર થઈ જાય છે અને….
એ થપ્પડ પડવો જોઈતો હતો. મોમને ખબર પડવી જોઈતી હતી કે આદિ પણ બાકી બધાની જેમ સીટી મારે છે! એ પણ એની પોતાની મોમને જોઈને! શેઈમ ઓન યુ – આ શબ્દો આદિને અત્યારે સાવ મીનિંગલેસ લાગ્યા. એને પોતાના પર શરમ નહોતી આવતી, ગુસ્સો આવતો હતો. એણે સીટી મારી? આદિએ યાદ કરવાની કોશિશ કરી. સીટી મારતી વખતે એ ખુશ હતો! એક થ્રીલ હતી, કોઈને જોઈને સીટી મારવાની થ્રીલ. એક સેકન્ડની એ મજા માટે એને અત્યારે સખત અફસોસ થઈ રહ્યો હતો. એ ત્યાં ગયો, મોમ પણ ત્યાં ગઈ – આ બધું જ હવે સાઈડમાં રહી ગયું. સેન્ટરમાં આવીને ઊભી રહી એક જ વાત – એણે સીટી મારી! મોમને તો ખબર પણ નથી કે એ ત્રણ ચાર સીટીના અવાજમાંથી એક અવાજ એના જ દીકરાનો….
હવે આદિ રૂમમાં ઊભો છે. એના કાનમાં સતત એક અવાજ આવ્યા કરે છે. એણે મારેલી સિટીનો અવાજ. મોમનું ડ્રેસિંગ, એનું તે દિવસે ત્યાં હોવું, એના ફ્રેન્ડનું પીકચર ક્લિક કરવું, ગ્રૂપમાં મૂકવું અને બધાના મેસેજ આવવા – આ આખી ય ઘટના આદિની અંગૂઠા અને પહેલી આંગળી મોંમાં રાખીને મારેલી સીટીના તીણા અવાજ હેઠળ દબાઈ જાય છે. ઝાડ પાછળ છૂપાયેલા આદિની આંખમાં આંખ નાખીને મોમ કહે છે – વ્હેન રિસ્પેક્ટ ઈઝ બ્રોકન, અ વ્હિસલ ઈઝ બ્લોન. આદિને કહેવું છે – મોમ, સ્લેપ મી. આ બધાની વચ્ચે મને માર. પણ એ કશું જ કહી શકતો નથી. નીચું મોં કરીને ઊભો રહે છે.
ક્યાં સુધી આમ ઊભો રહીશ? મોમને ખબર જ નથી કે તે….
આદિએ મોબાઈલ હાથમાં લીધો. મોમને મેસેજ કરું? કે કોલ? એ થોડી વાર એમ જ ઊભો રહ્યો. એને થયું, મોમને જે રીત ગમે છે એ રીતે પોતાની વાત મૂકવી જોઈએ. એણે પેન અને પેપર લીધા. ગઈ કાલની આખી ઘટના એમાં લખી. અને છેલ્લે લખ્યું, તું ગમે તે પહેરે, યુ ઓલવેઝ લૂક કૂલ, મોમ. વિયર વોટ યુ લવ.
-
કટાક્ષ
બાલાશંકર કંથારિયા
મધુર મધુરી આંખડીની કટાક્ષ તે ક્યમ વીસરે ?
તે પૂર દગલબાજી ભરી, ભર વ્યંજના ક્યમ વીસરે ?રમવા કરી’તી આશ તુજ, મૃદુ ગૌર બાહુબંધમાં,
દરિયાઈ મોજે રડવડ્યો હું, દુઃખ તે ક્યમ વીસરે ?અંતર પડેલા દાહ પર, દુશ્મન લગાડે લૂણને,
તવ પ્રેમનાં બાધક કરે, દુખ હાય ! તે ક્યમ વીસરે ?સર્વાંગ કોમળ કુસુમ લજવે, એહવાં તારાં લસે,
પણ અંતરે પથ્થર સમી, પ્રિય પીડ તે ક્યમ વીસરે?મુજ દુઃખને વિશ્રામ વહાલી, મેં ધર્યો મુખપંકજે,
મૂક થઈ ગયો ભોગી ભ્રમર હું, બંધ તે ક્યમ વીસરે?તુજ કાજ બંધન બેડીના, કરું બંધ એક્કેકે જુદા,
પણ એક તૂટતાં સાત સંધાયે, કહો કેમ વિસરે ?શાને ધરું ના માન જ્યારે, માની તું થઈ નીવડે,
પણ નજર ગુસ્સાબાજના, રસભાવ તે ક્યમ વીસરે?લઈ સ્કંધ પર વીણા મધુરી, ગાઉં તારુ બિરદ હું,
પણ જીવ ચહે અમૃત અધરના, ઘૂંટડા ક્યમ વીસરે ?સંદર મનહર પ્રેમના, નિર્મળ ઝરામાં નાહીને,
નાહ્યો જગતને તુજ માટે, ટેક તે ક્યમ વીસરે?છૂટી છૂટી પડી કર્પૂર ગૌર કપોલ પર અલકાવલી,
રૂપ નાગણી અંતર ડશી, દુખદંશ તે ક્યમ વીસરે ?બતલાવું પ્રાણ ! ઉપાય, ઘાયલ પ્રેમી કેરા વૈદનો,
કરી પાશ કંઠ દ્રશ્યા વિના, ચિત્ત ઝેર તે ક્યમ વીસરે?કામી વિચાર કરે કરોડો, ચિત તથાપિ શું કરે,
પણ પ્રેમીની પળ પળ કદાપિ દુઃખથી ક્યમ વીસરે?આવી લહર સુગંધી લહેરાતી સુગંધી અલકથી,
પેગામ આપે પણ નહિ તું, ચિત્ત તે ક્યમ વીસરે ?અંતર રુધિર રુશનાઈએ, લખું લેખ નભપાટી ઉપર,
પ્રેમી તણા બહુ રંગ તે, શૂન્યાત્મમાં ક્યમ વીસરે?શાણા સનેહીનો સનેહી, મસ્તમાં મસ્તાન બાલ,
વીસરે ક્યમ વીસરે, તવ મધુર મુખ કયમ વીસરે ?
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત -
અબ હૈ પત્થર કે સનમ…
ધિક્કારનાં ગીતો
દૂસરે કે દિલ પે ક્યા ગુઝરેગી, એનો તમને અહેસાસ ખરો?
દીપક સોલિયા
ઠંડીમાં ફરવા નીકળેલી મિત્રોની ટોળકીમાંથી કોઈ બોલ્યું: ‘ઠંડીમાં આપણે શરીર તો આખું ઢાંકીએ છીએ, પણ ચહેરા ખુલ્લા રહે છે. ચહેરા પર બહુ ઠંડી નથી લાગતી એવું કેમ?’ એક સાથીએ જવાબ આપ્યોઃ ‘ચહેરા પર આપણે અનેક મહોરાં ઓઢી રાખીએ છીએ એટલે.’
આ ચબરાકિયો જવાબ થયો. માણસ દંભ કરે અને ચહેરા પર મહોરા પહેરી રાખે એ વાતને ઠંડી લાગવા સાથે કશો સંબંધ નથી. ખુલ્લા ચહેરે ઠંડીનો સામનો કરવાથી આપણે ટેવાયેલા હોઈએ છીએ, ચહેરાની ત્વચા સહેજ જાડી હોય છે, ગાલમાં ચરબી ભરાયેલી હોય છે… આવી દલીલ કરવામાં આવે તો તે કંઈક વાજબી ગણાય. બાકી ચહેરા પર ઠંડી ન લાગવાના કારણમાં એવું કહેવાનો કોઈ મતલબ નથી કે ‘એક ચહરે પે કઈ ચહરે લગા લેતે હૈં લોગ’.
આ ગીત -જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈં લોગ- વિશે આપણી વાત ચાલી રહી હતી. વચ્ચે બે અઠવાડિયાનો ગૅપ પડી ગયો એટલે જરા રિકેપ કરી લઈએ.
ફિલ્મ દાગના સાહિર લિખિત આ ગીતના પહેલા અંતરામાં એવી ફરિયાદ છે કે પ્રેમ ઠંડો પડી જાય છે અને ઉત્સાહ મોળો પડી જાય છેઃ સર્દ પડ જાતી હૈ ચાહત, હાર જાતી હૈ લગન.
ઠીક છે. થાય એવું. જુવાનીનો જોશીલો પ્રેમ પછી વાસ્તવની ધરતી પર લેન્ડિંગ કરે, થોડો ટાઢો પડે, વાજબી બને એમાં કશું ખોટું નથી. બીજી ફરિયાદ એવી છે કે અબ મહોબ્બત ભી હૈ ક્યા ઇક તિજારત કે સિવા (સાહિરની આ પંક્તિની નકલ જેવું એક મૂખડું ફિલ્મ ‘અર્પન’ના એક ગીત માટે આનંદ બક્ષીએ આવું રચેલું: મહોબ્બત ઇક તિજારત બન ગઈ હૈ). આ ફરિયાદ પણ લૂલી છે. પ્રેમ તિજારત -વ્યવસાય- જેવો વ્યવહારુ બને તે સ્વાભાવિક છે. પ્રેમમાં આગળ વધતાં પહેલાં, લગ્ન કરતાં પહેલાં માણસ વ્યવહારુ દૃષ્ટિએ આગળ-પાછળનું વિચારે, ખાનદાન-ખોરડું કેવું છે તેની તપાસ કરે, આવક વિશે માહિતી મેળવે તે વાજબી જ છે. ગીતમાંની ત્રીજી ફરિયાદ ભૂલવા વિશે છેઃ જીને કે લિએ સબ કુછ ભૂલા લેતે હૈ લોગ. પણ જૂનું ભૂલીને આગળ વધવામાં ખોટું શું છે? જૂની વસ્તુ ચાહે પ્રેમ હોય કે દ્વેષ, એને પાછળ છોડીને આગળ વધવામાં જ સાર છે. ભૂતકાળના બોજ હેઠળ કચડાઈ મરવાનો કોઈ મતલબ નથી. જો બીત ગઈ સો બાત ગઈ.
તો, બેવફા પ્રેમીને ટોણા મારતું આ ગીત અહીં જ નથી અટકતું. ઉપરની ત્રણ ફરિયાદો પછી પણ નાયિકાનો પુરુષદ્વેષ હજુ પૂરેપૂરો વ્યક્ત નથી થયો. પછીના અંતરામાં નાયિકા ફરિયાદ આગળ ધપાવે છે.
જાને વો ક્યા લોગ થે જિન કો વફા કા પાસ થા
દૂસરે કે દિલ પે ક્યા ગુઝરેગી યે અહસાસ થા
અબ હૈ પત્થર કે સનમ, જિન કો અહસાસ ના ગમ
વો ઝમાના અબ કહાં જો અહલ-એ-દિલ કો રાસ થા
અબ તો મતલબ કે લિએ નામ-એ-વફા લેતે હૈં લોગ.આ વાત થોડી વિચારવા જેવી ખરી. આગળની ત્રણ ફરિયાદો થોડી નબળી છે, પરંતુ આ ફરિયાદમાં થોડું વજૂદ છે. યુગ થોડો બદલાયો છે ખરો. લોકો અગાઉ કરતાં વધુ સ્વકેન્દ્રી બન્યા છે એ હકીકત સાવ અવગણી શકાય તેમ નથી. આમ પણ આજના યુગમાં નાનપણથી જ બાળકો ફોનમાં, ઉત્તેજનાઓમાં, મનોરંજનમાં એટલાં ગળાડૂબ રહે છે કે તેમને અન્ય લોકો સાથે ઝાઝો અને ઝીણો પનારો પાડવાની તક ઓછી મળે છે. એટલે ‘હું જે કંઈ કરું તેની બીજાંઓ પર કેવી અસર પડશે’ એ વિશે વિચારવાની એમને ઝાઝી તાલિમ નથી મળી શકતી. પછી આવાં બાળકો મોટાં થઈને નોકરીએ લાગે ત્યારે બોસ જરાક કંઈક કહે તો તેમને તરત માઠું લાગે. તેમને પોતાની જ રિધમમાં ચાલવાની ટેવ છે. સમૂહમાં, લોકોની લાગણીનો ખ્યાલ રાખીને જીવવામાં તેમને જૂના જમાનાના લોકો કરતાં થોડી વધુ તકલીફ પડે છે એ એક સચ્ચાઈ છે.
સામેની વ્યક્તિને કેવું લાગશે એવું બધું વિચાર્યા વિના પોતાની જ મસ્તીમાં જીવવું એ આમ તો પ્રામાણિકતાનું લક્ષણ ગણી શકાય, પરંતુ પોતાના વર્તનથી બીજાં લોકો દુભાય તે વાતે લાપરવાહી દાખવવી તે કંઈ બહુ સારી વાત પણ નથી.
આપણે જે ગીતની વાત કરી રહ્યા છીએ તેમાં નાયિકા કંઈક આવી જ ફરિયાદ કરે છે કે જૂના જમાનામાં લોકોને દૂસરે કે દિલ પે ક્યા ગુઝરેગી યે અહસાસ થા.
અલબત્ત, નાયિકા મુખ્યત્વે પ્રેમની જ વાત કરે છે કે એ લોકો કેવા સારા હતા જે પ્રેમના મામલે સજાગ હતા, પ્રેમની જેમને કદર હતી, જિન કો વફા કા પાસ થા. ઉર્દુ શબ્દકોષમાં ‘પાસ’ શબ્દના અર્થો આ પ્રમાણે છેઃ નિરીક્ષણ, રક્ષા, નિગરાની, શીલ, સંકોચ, લિહાઝ. પ્રેમનો લિહાઝ કરવો, પ્રેમની ઇજ્જત કરવી, પ્રેમની કદર કરવી… આ બધું હવે ઘટ્યું છે એવી ફરિયાદ કરતી નાયિકા છેવટે આ અંતરામાં જૂના જમાનાની હતાશ વ્યક્તિની માફક કહે છેઃ વો ઝમાના અબ કહાં જો અહલ-એ-દિલ કો રાસ થા. અહલ-એ-દિલ એટલે પ્રેમાળ હૈયું, સંવેદનશીલ વ્યક્તિ. આવા નાજૂક માણસોને માફક એવો જમાનો હવે ક્યાં રહ્યો છે. જમાનો વધુ આકરો બન્યો છે.
ખેર, જમાના સાથે કદમ ન મિલાવનારે પીડા વેઠવી જ પડે. એ ન્યાયે નાયિકા પીડા વેઠે છે અને ફરિયાદ કરે છે. જોકે આખી વાતમાં પ્રેમિકાની તોપનું નાળચું જાલીમ જમાના કરતાં વધુ તો બેવફા પ્રેમી તરફ જ તકાયેલું છેઃ અબ હૈ પત્થર કે સનમ, જિન કો અહસાસ ના ગમ… પ્રેમીઓ, સરવાળે પુરુષો, આવા જ હોય, જાડી ચામડીના, જે ના લાગણી અનુભવે, ના દુઃખ.
આ ફરિયાદને તમે કેવી ગણશોઃ વાજબી કે વધારે પડતી?
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
વાદ્યવિશેષ (૪૨): તાલવાદ્યો (૭) – ડફ
ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ તાલવાદ્ય ખાસ કરીને રાજસ્થાન અને ભારતના ઉત્તરીય પ્રદેશોમાં લોકવાદ્ય તરીકે ખાસ્સું પ્રચલિત છે. એમ મનાય છે કે ડફનો ઉદ્ ભવ ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં થયો હશે.હોળી નજીક આવે ત્યારના દિવસોમાં ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં અને નગરોમાં રાજસ્થાનનાં નર-નારીઓ રંગીન તેમ જ ભાતીગળ વસ્ત્રો ધારણ કરીને રસ્તાઓ ઉપર નૃત્ય કરતાં નીકળી પડે છે. તે સમયે એ લોકોના હાથમાં આ તાલવાદ્ય અચૂક નજરે પડતું હોય છે. ડફની રચના ખુબ જ સાદી હોય છે. ૨૪ ઈંચથી લઈને ૩૬ ઈંચ જેટલા વ્યાસની લાકડા કે ધાતુની બનેલી ગોળાકાર રીંગને બકરાના અથવા અન્ય કોઈ પ્રાણીના ચામડા વડે મજબૂતીથી મઢી લેવામાં આવે છે. બસ, આ બની ગયું ડફ. કોઈ કોઈ ડફની બનાવટમાં તેની ફ્રેમની અંદર ધાતુની નાની નાની પાતળી પતરીઓ જડી લેવામાં આવે છે, જેથી ડફ વગાડતી વેળાએ તાલબદ્ધ રણકાર પણ નિષ્પન્ન થઈ શકે. ઘણા લોકો આવી રચનાને ડફલી કહે છે. ઉલ્લેખનીય છે કે આવી જ રચનાનું નાનું સ્વરૂપ ખંજરી તરીકે જાણીતું છે.

ડફ ડફલી/ખંજરી રચનામાં અતિશય સાદા આ તાલવાદ્યને વગાડવાની પદ્ધતિ પણ તેવી જ સાદી છે. આ વાદ્ય એક બાજુએથી બિલકુલ ખુલ્લું હોવાથી તેના વડે માત્ર ઘેરો ધ્વની નીપજે છે. તબલાં, ઢોલક અને અન્ય પ્રચલિત તાલવાદ્યો જેમ ડફ વડે અલગલગ પ્રકારના બોલ ઉત્પન્ન કરવાનું શક્ય નથી. આમ હોવાથી ડફ શાસ્ત્રીય પધ્ધતિએ વગાડી શકાતું નથી. કેટલીક વાર વાદક ડફ વગાડવા માટે ઉપયોગે લેવાતી પોતાની આંગળીઓ સાથે વાંસની પાતળી પટ્ટી બાંધે છે.
પ્રસ્તુત ક્લીપમાં બે કલાકારો એક લોકપ્રિય રચના કુન ફાયા કુન રજૂ કરી રહ્યા છે, તેમાંના એક ડફ વડે સાથ આપી રહ્યા છે. બસ, આવી સાદી પદ્ધતિ વડે ડફ વગાડવામાં આવે છે. અન્ય કોઈ જ વાદ્યનો ઉપયોગ ન થયો હોઈ, ડફના અવાજનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે.
આટલા પ્રાથમિક પરિચય પછી માણીએ ડફનો પ્રયોગ થયો હોય તેવાં કેટલાંક ફિલ્મી ગીતો.
સૌથી પહેલાં એક એવી ફિલ્મનું ગીત, જેના સંગીતે હિન્દી ફિલ્મી સંગીતમાં ક્રાંતિકારી બદલાવની શરૂઆત કરી હતી. તે ફિલ્મ હતી ૧૯૪૯ના વર્ષમાં પ્રદર્શિત થયેલી બરસાત. આ ફિલ્મથી શંકર-જયકિશન નામના સંગીતકારો આ ક્ષેત્રમાં એક વાવાઝોડા જેમ પ્રવેશ્યા અને બે દાયકાથી વધુ સમય માટે તેમનું સામ્રાજ્ય ટકી રહ્યું. ગીત છે ‘બરસાત મેં હમ સે મીલે તુમ સજન. પરદા ઉપર કેટલાક નર્તકોને ડફ વગાડતા જોઈ શકાય છે.
https://www.youtube.com/watch?v=MNMHmy5oI6o&list=RDMNMHmy5oI6o&start_radio=1
હવે પછીનું ગીત પણ શંકર-જયકિશનના નિર્દેશનમાં બન્યું છે. ફિલ્મ શ્રી ૪૨૦(૧૯૫૫)ના ગીત ‘દિલ કા હાલ સુને દિલવાલા’ના ફિલ્માંકનમાં ખુદ નાયક ડફ વગાડતા જોઈ શકાય છે.
https://www.youtube.com/watch?v=tj4xkWLL6wE&list=RDtj4xkWLL6wE&start_radio=1
૧૯૫૯ના વર્ષમાં પરદા ઉપર આવેલી ફિલ્મ નવરંગ માટે સી.રામચંદ્રએ સંગીત તૈયાર કર્યું હતું. આ ફિલ્મના ગીત ‘યે માટી સભી કી કહાની કહેગી’માં ડફના સંગાથનો સુપેરે ખ્યાલ આવે છે. પરદા પર પણ કલાકારને ડફ વગાડતા જોઈ શકાય છે.
ફિલ્મ જીસ દેશ મેં ગંગા બહતી હૈ (૧૯૬૦)માટે શંકર-જયકિશનના નિર્દેશનમાં બનેલાં ગીતો આજે ૬૫ વર્ષ પછી પણ ખાસ્સાં લોકપ્રિય છે. તે પૈકીનું ગીત ‘મેરા નામ રાજુ ઘરાના અનામ’ સાંભળીએ. આ ફિલ્મના નાયક રાજ કપૂર ખુદ અચ્છા ડફવાદક હતા. ગીતના ફિલ્માંકનમાં તેમને ડફ વગાડતા જોતાં તે વાતની પ્રતીતિ થાય છે.
૧૯૭૫ની ફિલ્મ ઝિંદાદિલમાં સંગીત લક્ષ્મીકાં-પ્યારેલાલનું હતું. તે ફિલ્મના ગીત ‘શામ સુહાની આયી’માં ડફ સાંભળી શકાય છે. પરદા પર ડફ વગાડી રહેલા નાયક અને સાથી નર્તકો દેખાય છે.
ફિલ્મ બાલીકા બધુ (૧૯૭૬) માટે રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં બનેલા ગીત ‘યે ચૂડીયાં નહીં હથકડીયાં હૈ’ ના વાદ્યવૃંદમાં ડફનું પ્રાધાન્ય કાને પડતું રહે છે.
હવે માણીએ ફિલ્મ સરગમ (૧૯૭૯)નું ડફપ્રધાન ગીત ‘ડફલીવાલે ડફલી બજા’. સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું. પરદા પર નાયકને સમયસમયે ડફ વગાડતા જોઈ શકાય છે. આ ફિલ્મમાં નાયકને ડફવાદક તરીકે રજૂ કરાયા છે. આથી આ ફિલ્મનાં અન્ય ગીતોમાં પણ ડફનો ઉપયોગ કરાયો છે.
૧૯૮૩ની ફિલ્મ હીરો માટે ગીતો લક્ષ્મીકાંટ-પ્યારેલાલે તૈયાર કર્યાં હતાં. તેના યાદગાર ગીત ‘લંબી જુદાઈ’ માં ડફના બોલ કાને પડતા રહે છે. પરદા પર ગાતી યુવતીને સાથે સાથે ડફ વગાડતી જોઈ શકાય છે. તે ગીતના તાલ સાથે તાલ મીલાવીને વગાડી નથી શકતી તે અલગ વાત છે!
૧૯૯૨ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ સંગીતનાં ગીતોના નિર્દેશક હતા આનંદ મીલિંદ. તે ફિલ્મનું એક ડફપ્રધાન ગીત ‘સુન ઓ હસીના કાજલવાલી’ માણીએ.
ફિલ્મ માચીસ (૧૯૯૬) માટે વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં તૈયાર થયેલા ગીત ‘ચપ્પા ચપ્પા ચરખા ચલે’ના વાદ્યવૃ6દમાં ડફ અગત્યના તાલવાદ્ય તરીકે ઉભરી આવે છે, નોંધીએ કે કલાકારના હાથમાં નજરે પડતું તાલવાદ્ય કદમાં ખંજરીને મળતું આવે છે, પણ ઉપયોગ થયો છે અસલ ડફનો.
પછીના જ વર્ષે એટલે કે ૧૯૯૭માં પરદા પર આવેલી ફિલ્મ બોર્ડર માટે અનુ મલિકના સંગીતનિર્દેશનમાં બનેલું અતિશય લોકપ્રિય ગીત ‘સંદેશે આતે હૈ’ ડફના તાલથી સજાવાયેલું છે.
આ કડીની આખરમાં સાંભળીએ ૨૦૧૪ની ફિલ્મ હેપી ન્યુ ‘યરનું એક ડફપ્રધાન ગીત ‘મનવા લાગે’ . સંગીત વિશાલ-શેખરનું છે.
આવતી કડીમાં એક નવા તાલવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ – ૪
મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ [૩] થી આગળ
રામચંદ્ર ગુહા
અનુ. ડંકેશ ઓઝા
મેં મારી વાતની શરૂઆત ભારતીય પર્યાવરણ ચળવળ પર ગાંધીની જે સ્પષ્ટપણે દેખાતી અસર છે તેને સ્વીકારીને તેની ચર્ચાથી શરૂ કરી હતી. તે પછી મેં એ તપાસ આદરી હતી કે ગાંધી આજની નિસર્ગની વિશિષ્ટ સમસ્યાઓને કઈ હદ સુધી કલ્પી શક્યા હતા. પુરાવાઓ દર્શાવે છે કે ગાંધીના વિચારો અને તેમના અનુયાયીઓ – જે.સી.કુમારપ્પા અને મીરાંબહેનના વિચારો આજની પર્યાવરણની ચળવળ માટે પૂરેપૂરા ઉપયોગી છે.
હવે આપણે વ્યાપક રીતે પ્રવર્તમાન એક બીજા વિચાર તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. એ વિચારનાં મૂળિયાં એ વાતમાં પડેલાં છે કે આજની ચળવળ ગાંધીને કેટલી હદે અનુસરી શકે તેમ છે. આ ચળવળના પરિઘ પરનાં જે ઉદ્દામ પરિબળો છે તે કમનસીબે કોઈને સારા અને કોઈને ખરાબ તરીકે ઓળખીને આગળ ચાલે છે. ઉદ્દામ પર્યાવરણવાદી જેટલા ગાંધીને સારા ગણે છે તેટલા જ પ્રમાણમાં નહેરુને ખરાબ ગણે છે. ગાંધીને એક આદર્શ તરીકે ગણાવીને તેનો આદર કરે છે અને તેમને અનુસરે છે. તો વળી એ જ સાથે એ નહેરુને બદનામ કરવા તરફ વળે છે અને એવું કહે છે કે ભારતીય સમાજની પર્યાવરણીય કટોકટી માટે જવાહરલાલ નહેરુ જવાબદાર છે.
ઘણા પર્યાવરણવાદીઓ ખરેખર એવું માને છે કે ગાંધીએ પર્યાવરણ સાથેના વિકાસનું એક સરસ મોડેલ રજૂ કરેલું અને નહેરુએ ગાંધીના આ વૈકલ્પિક માળખાને કચરાપેટીમાં નાંખી દીધેલું. તે પછી સ્વતંત્ર ભારત પર તેમણે મૂડી કેન્દ્રિત પર્યાવરણનો વિનાશ કરતા આર્થિક વિકાસનું મોડેલ લાદેલું. આ વાત તાજેતરમાં ભારતના એક પર્યાવરણવાદીએ પોતાના મુદ્દાને દૃઢતા બક્ષવા કહી હતી જે આજે બ્રિટનમાં રહે છે. એ તો જાણીતું છે કે ગાંધી અલ્હાબાદના નહેરુના પૈતૃક ઘરમાં રોકાયા હતા ત્યારે તેમણે એક સવારે એક ડોલ ભરીને પાણી નહાવા માટે માંગેલું. નહેરુએ એમને બે ડોલ પાણી મોકલ્યું. વળી કહ્યું પણ ખરું કે ગાંધીજી, અલ્હાબાદમાં ગંગા અને યમુના જેવી મોટી બે નદીઓનો સંગમ છે. અહીં પાણીની કદી અછત હોતી નથી.
આ પ્રસંગ દર્શાવે છે કે ગાંધી કેટલા કરકસરિયા હતા અને એમના યજમાન કેટલા ઉડાઉ હતા. ૧૯૪૭ પછી આ જ ઉડાઉપણું નવા રાષ્ટ્રના વિકાસના માર્ગ માટે કઈ રીતે પ્રયોજાયું તે આપણે જોયું છે. જોકે આ વાતનો કોઈ પુરાવો નથી. તે પર્યાવરણવાદીની કલ્પનાનો હોઈ શકે છે. પણ ગાંધીવિચારના પર્યાવરણવાદીઓ આજે પણ આ વાત માને છે. હું આવા બીજા ઘણા દાખલા આપી શકું પણ મારે એવો એક અહીં આપવો છે. કેટલાંક વર્ષો પૂર્વે એક લેખ પ્રગટ થયેલો. તેમાં એક જાણીતા ભારતીય પર્યાવરણવાદી લેખકે દાવા સાથે કહેલું કે ગાંધીએ વધુ પડતા વપરાશના વિકાસના માર્ગને ત્યજી દેવા જવાહરલાલ નહેરુને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો.
આ વિધાન બંને બાજુના કર્મશીલો એક વાતને કેવી રીતે જુએ છે તે બહુ સ્પષ્ટપણે દર્શાવે છે. એમાંથી પ્રગટ થતો પહેલો મુદ્દો એ કે પર્યાવરણની બાબતે નહેરુ ઉડાઉ હતા અને ગાંધી કરકસરિયા. બીજો મુદ્દો એ પ્રગટ થાય છે કે ગાંધી પાસે ભારતના વિકાસનું એક વૈકલ્પિક આયોજન હતું જે નહેરુએ પોતાના અહંકારને કારણે તે છોડી દીધેલું. બંનેના મૃત્યુ પછી પર્યાવરણના વિવાદમાં આજે ગાંધી અને નહેરુને જાહેર રીતે એકબીજાના તીવ્ર હરીફ તરીકે રજૂ કરાય છે. એમ કરતી વખતે એ ભૂલી જવાય છે કે એ બંને મહાનુભાવો વચ્ચે કેવો અતૂટ અને અભૂતપૂર્વ મૈત્રીસંબંધ હતો.
ગાંધી અને નહેરુ બંનેના એકબીજાથી વિરોધી અભિગમમાંથી પર્યાવરણવાદીઓએ એક નવો જ કોયડો ઊભો કર્યો છે. તે એ છે કે સ્વતંત્ર ભારતમાં જે વિકાસનો માર્ગ અખત્યાર થયો છે તેમાં પર્યાવરણની વિચારણા બાબતે ઘણી ઘણી અસંવેદના જોવા મળે છે. આ ત્યારે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એ જ લોકો બહુ આગળના પર્યાવરણવાદી તરીકે ઓળખાવે છે. કરકસરિયા અને શાણા ગાંધીને ઉડાઉ નહેરુ સામે મૂકીને કોયડાને ઉકેલવાનો પ્રયત્ન થાય છે. તેમાં કાવતરાની વાત પણ ઉમેરવામાં આવે છે. કાવતરું એ કે ગાંધી અને નહેરુમાંના ઓછી ઉંમરના જવાહરલાલે ગમે તે રીતે કૉંગ્રેસ પરનો પોતાનો કાબૂ પ્રસ્થાપિત કર્યો અને હળવેકથી ગાંધીના વારસામાંથી છુટકારો મેળવ્યો.
આ એક કોયડો તો છે જ, જેનો હું ઇન્કાર કરતો નથી. પરંતુ મારે કહેવું છે કે પર્યાવરણ ચળવળ સામે એક એવો પડકાર હતો તે મારે આ મિત્રોને સમજાવવું રહ્યું. ગાંધીને ધોળા અને નહેરુને કાળા ચીતરવાનો આ સહેલેા માર્ગ છે. આમ કરીને આપણે એ બંને વચ્ચે જે તાત્ત્વિક મતભેદ હતો તેને બાજુ પર હડસેલી દઈએ છીએ. સ્વતંત્ર ભારતના ગાંધીના સ્વપ્નમાં ગામડાનો પુન:ઉદ્ધાર કેન્દ્રસ્થાને છે. જ્યારે નહેરુના સ્વપ્નમાં કેન્દ્રસ્થાને ઝડપી ઔદ્યોગિક વિકાસ છે. વૃદ્ધ માણસ પરિવર્તનને સ્થાને સ્થિરતા પસંદ કરે છે. અજંપા એવા નહેરુ સ્થિરતાને સ્થાને પરિવર્તન ઝંખે છે. આ સ્પષ્ટ મતભેદો ઑક્ટોબર-૧૯૪૫ દરમ્યાન બંને વચ્ચે ચાલેલા પત્રવ્યવહારમાં જોવા મળે છે.
સામાજિક અને આર્થિક ઉદ્દેશો સ્વતંત્ર ભારતમાં કયા હોવા ઘટે એ અંગેની કારોબારી સમિતિની બેઠક પછી ગાંધી નહેરુને લખે છે કે ગામડાના સાદા-સરળ જીવન થકી જ આઝાદ ભારત સત્ય-અહિંસાના માર્ગે ચાલી શકશે એમ મારું માનવું છે. આગળ લખતાં ગાંધી ઔદ્યોગિક સમાજને એવા ફુદ્દા સાથે સરખાવે છે જે લાઈટની આજુબાજુ ભલે કૂદાકૂદ કરે પણ તેનો અંત તો પેાતાના મૉતમાં જ છે. પ્રત્યુત્તરમાં નહેરુ લખે છે કે મારા મનમાં ગામડું એટલે બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે પછાત તેથી તે કદી સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને સમજી નહિ શકે.
આર્થિક આયોજનનું નહેરુનું ધ્યેય વધુ વપરાશનું નથી. (જે પર્યાવરણવાદીઓ હોવાનું આપણને મનાવી રહ્યા છે.) પણ એ તો ખોરાક, પહેરવેશ, ગૃહનિર્માણ, શિક્ષણ, આરોગ્ય વગેરેમાં સ્વનિર્ભર બનવા માટે છે. પ્રત્યેક ભારતીયને આપણે સ્વ-નિર્ભર બનાવવો છે. હવે, આ સ્વનિર્ભરતાના ઉદ્દેશ બાબતે નહેરુ અને ગાંધી બંને સંમત છે. પણ બંનેના રસ્તા જુદા છે. તે સમયના બૌદ્ધિકોની માફક જવાહરલાલ બહુ સ્પષ્ટ છે કે જો સ્વનિર્ભર થવું હોય તો તે માટે ઝડપી ઔદ્યોગિકીકરણ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જ થશે.
આ મતભેદો ઉપરાંત જે સમજવાનું છે તે તો એ કે ગાંધી અને નહેરુ વચ્ચે ઊંડો અને અતૂટ સ્નેહ છે. જુલાઈ-૧૯૩૬માં તેથી જ ગાંધીએ લખ્યું કે : “હું મારી જાતને જવાહરલાલના હરીફ તરીકે જોતો નથી કે જવાહરલાલ મારા હરીફ નથી.” અમે હરીફ હોઈએ તો એ બાબતમાં છીએ કે અમે બંને ભલે અલગ અલગ માર્ગે પણ એક જ ધ્યેય સિદ્ધ કરવા માંગીએ છીએ. ઘણી બધી વખત સાથે કામ કરતા હોવા છતાં અને એક જ ધ્યેય સિદ્ધ કરવા મથતા હોવા છતાં અમે અલગ અલગ માર્ગ અખત્યાર કરીએ છીએ. આશા છે કે દુનિયા એ વાત સમજશે કે અમે ક્ષણ માટે પણ જુદા પડ્યા નથી. ફરી ફરી પરસ્પરના વધતા આદર અને સ્નેહ સાથે મળતા રહ્યા છીએ.
મને સમજ નથી પડતી કે પર્યાવરણવાદીઓ ગાંધી-નહેરુ વચ્ચેના પ્રગટ દ્વૈત અને અદૃશ્ય અદ્વૈતને સમજી શકશે કે નહિ. એ ભૂલી જાય છે કે મહાત્માએ છેક ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં જાહેર રીતે પોતાના વારસદાર તરીકે નહેરુને જાહેર કર્યા હતા. તે પછીનાં વર્ષોમાં એ વાતને વળગી રહ્યા હતા. આ લોકોએ ૧૯૪૦ના મહત્ત્વનાં વર્ષોમાં શું બન્યું તે વિગતે સમજવાની જરૂર છે. ગાંધીના આર્થિક વિચારોને રાષ્ટ્રિય ચળવળે સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા હતા. બૌદ્ધિકો અને રાજકારણીઓ બંને વર્ગમાં એ બાબતે સર્વસંમતિ પેદા થઈ ગઈ હતી કે આઝાદ ભારતમાં ઝડપી ઔદ્યોગિકીકરણ એ જ આર્થિક વ્યૂહરચનાનો સ્વીકૃત માર્ગ હોઈ શકે. આ માર્ગે જ ગરીબી અને બેકારીની સમસ્યાઓનો હલ નીકળશે. સ્વતંત્ર સમાજ મજબૂત અને સ્વનિર્ભર તો જ બની શકશે. નહેરુએ તો આ સર્વસંમતિ પોતાના આગવા વકતૃત્વથી જાહેર રીતે પ્રગટ કરી હતી. ત્યારે નહેરુ પાછળ આવું જ માનવાવાળો નિષ્ઠાવાન અને દેશભક્ત લોકોનો વર્ગ ઊભો હતો.
જ્યારે દેશનો બહુમતી વર્ગ આવું માનતો હોય ત્યારે ૧૯૪૭માં આર્થિક નીતિના ભાગ રૂપે જો ગાંધીમોડેલને સ્વીકારવામાં આવ્યું હોત તો એ બિનલોકશાહી રીતે ઉપરથી લાદવામાં આવેલું ગણવાનું થાય. ગાંધીનો વૈકલ્પિક માર્ગ ખરેખર હાંસિયામાં ધકેલાઈ ગયો, એ વાત જે. સી. કુમારપ્પાના ઉદાહરણથી બરાબર પ્રગટ થઈ રહે છે. ૧૯૩૭માં કુમારપ્પાને કૉંગ્રેસની રાષ્ટ્રિય આયોજન સમિતિમાં અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘના પ્રતિનિધિ તરીકે નીમવામાં આવેલા. પરંતુ જ્યારે આયોજન સમિતિ ગામને આયોજનના કેન્દ્રમાં મૂકવા સંમત ન થઈ ત્યારે તેમને રાજીનામું આપવું પડેલું. એ તો આઝાદી પહેલાંની વાત પણ આઝાદી પછી પણ કુમારપ્પાને આયોજન પંચના પરામર્શક મંડળમાં સર્વસેવા સંઘના પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવેલા. પરંતુ જ્યારે આ ગાંધીવાદી અર્થશાસ્ત્રીને એવું સમજાયું કે પોતે એકલા પડી ગયા છે ત્યારે તેમણે સમિતિમાંથી નીકળી જવું પસંદ કરેલું.
આપણા ફાયદાની વાત કરીએ તો, પર્યાવરણવાદ પૂર્વેના યુગના આ બે પર્યાવરણવાદીઓ નામે મહાત્મા અને તેમના શિષ્ય નહેરુને આ રીતે સમજવાનું શક્ય છે. વિરોધાભાસ એ છે કે ભારતના પહેલા વડાપ્રધાન રાષ્ટ્રિય ચળવળના બહુમત બૌદ્ધિક અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતા હતા. એ અભિપ્રાય એ હતો કે ભારતને ફરીથી શક્તિવાન બનાવવું હોય તો એ મહત્તમ ઔદ્યોગિકીકરણથી જ શક્ય બનશે. આપણે બહુ યોગ્ય રીતે ગાંધી અને કુમારપ્પાનું સન્માન કરી શકીએ કેમ કે એ બંને પોતાના સમયથી આગળ હતા. પણ તે સાથે નહેરુનો અનાદર કરવો તે ઇતિહાસથી વિપરીત કાર્ય ગણાશે. કારણ કે સમય નહેરુના પક્ષે છે.
એડવર્ડ કારપેન્ટર નામના મહાન અંગ્રેજ સમાજવાદીએ એક વાર કહેલું કે એક યુગનો ઉપેક્ષિત એ બીજા યુગનો વીરનાયક હોઈ શકે છે. વિપરીત રીતે એમ પણ કહી શકાય કે એક યુગનો વીરનાયક એ બીજા યુગનો ઉપેક્ષિત પણ હોઈ શકે છે, તેમ કહેવું ખોટું નથી. નહેરુને પોતાના સમયમાં જેટલાં માન-સન્માન અને પ્રેમ મળ્યાં છે તેટલાં ભાગ્યે જ કોઈ બીજાને મળ્યાં હશે. છતાં મૃત્યુ પછી એમને જેટલા બદનામ કરવામાં આવ્યા છે એટલું બીજું કોઈ બદનામ થયું નથી. આજે તો એવું જણાય છે કે સાંપ્રત ભારતમાં જે કંઈ ખોટું છે એ બધા માટે જાણે નહેરુ જવાબદાર હોય. જમણેરી પરિબળો નહેરુને સુડો સેક્યુલારિઝમની નીતિઓ બદલ જવાબદાર ઠેરવે છે. કોમી વિસંવાદિતા અને આર્થિક સ્થગિતતા માટે એમના સરકારી આયોજનને જવાબદાર ગણે છે. તો બીજી તરફ ડાબેરીઓ આજની આર્થિક અસમાનતા અને પર્યાવરણ વિનાશના મૂળિયાં એ જ નહેરુના સુડો સમાજવાદના અમલીકરણમાં અને પર્યાવરણીય ઉધ્ધતાઈમાં જુએ છે.
બધા જ દોષનો ટોપલો પર્યાવરણ ચળવળવાળા અને બીજા પણ નહેરુ પર ઢોળે છે ત્યારે એ ભૂલી જવાય છે કે જેમ સમય બદલાય છે તેમ માણસો અને તેમના વિચારો પણ બદલાતા હોય છે. સરદાર સરોવર યોજનાની આસપાસના વિવાદનો જ દાખલો લઈએ. પર્યાવરણવાદીઓ એને લઈને ગાંધી/નહેરુ વિરોધને વ્યક્ત કરે છે. યોજનાના ટીકાકારે તે અંગે એવું લખેલું કે ડેમનું પાણી વધવાની સાથે પ્રાચીન ઐતિહાસિક મંદિર પણ ડૂબમાં જવાનું છે. પછી ઉપમા આપી કે “જવાહરલાલ નહેરુના આધુનિક ભારતનું એક મંદિર” એમ પણ કહ્યું.
જે વ્યક્તિ દાયકાઓ પૂર્વે અવસાન પામી તેને આજે ડેમના બાંધકામ બદલ અપરાધી ઠેરવવામાં આવે છે. કારણ માત્ર એટલું જ કે નહેરુએ આઝાદી પછી આવા મોટા બંધ બાંધવા માંડ્યા ત્યારે એ બધાને આધુનિક ભારતનાં મંદિરો ગણાવેલાં. પણ આપણે નહેરુ જેવા ઉદાર અને ખુલ્લા મનવાળી વ્યક્તિ માટે આવું કહેતી વખતે એવો વિચાર કરતા નથી કે એમની સમક્ષ મોટા બંધનાં નવાં નકારાત્મક પાસાં રજૂ થયાં હોત તો કદાચ તેમણે પણ પોતાનો મત બદલવાનું યોગ્ય ગણ્યું હોત. માત્ર મારી જ વાત કરું તો મને તો એવું લાગે છે કે નહેરુ અને ગાંધી જો આજે હયાત હોત તો સરદાર સરોવર વિવાદ સંદર્ભે એ બંને જણ એક પક્ષે જ હોત, એ નિ:શંક વાત છે.
ક્રમશઃ
ભૂમિપુત્ર : ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫
-
એસ ધમ્મો સનંતનો – સૃષ્ટિ સર્જન પ્રક્રિયા : [૨] શિવશક્તિ તંત્રોક્ત
પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન પરંપરાનું અવલોકન આપણે આ દીર્ઘ લેખમાળા દ્વારા કરી રહ્યાં છીએ. આપણી આ સફરના અંતિમ પડાવ પર આપણે આવી પહોંચ્યાં છીએ.
ગતાંકમાં આપણે વેદમાં સમજાવેલી સૃષ્ટિ સર્જન પ્રક્રિયાનું એક ટુંકું નિર્દેર્શન આપણે કર્યું. હવે આ લેખમાળાના આ અંતિમ લેખમાં આપણે તંત્ર અને પુરાણને આધારે આ પ્રક્રિયાને સમજીએ.
કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હતું. સર્વત્ર પરમ શિવમય શૂન્ય હતું. નિર્વિકારી, નિર્વિચારી શિવ ધ્યાનસ્થ હતા. શિવ હોય ત્યાં આદ્યા શક્તિ ન હોય એવું તો બને જ નહીં. ભગવાન વિષ્ણુની વિનંતિને માન આપી મા શક્તિની પ્રેરણાથી બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જનનું કાર્ય સ્વીકાર્યું. આ સમયે આદ્યાશક્તિએ પ્રકૃતિનું રૂપ ધારણ કર્યું અને નર્તન કરીને જગત સૃષ્ટિનો આરંભ કર્યો. ત્યારે શિવે પોતાના દેહને નિશ્ચેતન પુરુષ બનાવીને પોતાનું મહાલિંગાકાર સ્વરૂપ પ્રગટ કરીને આદ્યા શક્તિને સૃષ્ટિ સર્જનનું માધ્યમ પુરું પાડ્યું. શક્તિ પોતાનાં ૧૦ મહાવિદ્યાઓનાં સ્વરૂપમાં વિભાજિત થયાં. એ પછી આ મહાવિદ્યાઓએ કારણ વિશ્વ (Causal World), સૂક્ષ્મ વિશ્વ (Subtle World) અને સ્થૂળ વિશ્વ (Physical World) એમ ત્રણ, લંબવર્તુળાકાર, વિશ્વોનું સર્જન કર્યું.
શિવનાં મહાલિંગાકાર સ્વરૂપ પ્રાગટ્ય સમયે અનેક અણુબોમ્બ જેટલી ગરમી પેદા થઈ. એ ગરમીથી શિવને રક્ષણ આપવા માટે આપણા શાસ્ત્રોએ આપણા જેવાં સામાન્ય લોકો માટે શિવલિંગ પર જળ, ઘી, દૂધનો અભિષેક કરવાનું, ચંદનનો લેપ કરવાનું અને બિલ્વપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ વડે ઠંડક આપવાની વિધિ કરવાનો અધિકાર આપ્યો.
બ્રહ્માંડમાં સર્જન પ્રક્રિયા દરમ્યાન જે ૧૧ ભૌતિક તત્વો પહેલાં બન્યાં તેના પર આદ્યાશક્તિનો અધિકાર છે. બાકીનાં ૧૦૧ તત્વો પર ભગવાન શિવે પોતાનું આધિપત્ય સ્થાપ્યું. તે ઉપરાંત શિવે આ ૧૧૨ પદ્ધતિઓને વિજ્ઞાન ભૈરવ તંત્રમાં સ્થાન આપીને માનવ કલ્યાણાર્થે વિશાળ રાજમાર્ગ તૈયાર કર્યો.

ચૈતન્યમય વિશ્વ – પ્રથમ વિશ્વ
આદ્યા શક્તિએ લીલા કરીને જે ત્રણ વિશ્વની રચના કરી તેમાંના પ્રથમ, કારણ વિશ્વમાં વિષ્ણુને સ્થાન આપ્યું. વિષ્ણુએ જેમ વેદમાં વર્ણવેલા બલિ અસુર પાસેથી ત્રણ પગલામાં વિશ્વ માપી લીધું હતું તેમ આદ્યાશક્તિની પ્રેરણાથી વિષ્ણુએ માયાવી સૃષ્ટિની રચના કરી. તેથી દેવી સુક્તમાં કહેવાયું છે કે विष्णु मायति संस्थिता. આ માયા સૃષ્ટિના અધિપતિ મહાવિદ્યા લલિતા ત્રિપુરા સુંદરી હતાં. પરમ મહા વિષ્ણુએ પોતાના શેષશાયી યોગનિદ્રાભ્રષ્ટ શ્રીપતિ વિષ્ણુ, ભર્ગોદક્ષાયી લક્ષ્મીપતિ વિષ્ણુ અને ક્ષીરોદક્ષાયી વિષ્ણુ એમ ત્રણ ભાગ કર્યા. તેના વડે વિષ્ણુએ દરેક દેહમાં શિવ જેવો આત્મા સ્થાપિત કર્યો. ભગવાન વિષ્ણુએ પોતાના નાભિકમળમાંથી બ્રહ્માજીની ઉત્પતિ કરી અને સજીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું.
પુરાણો પ્રમાણે સાતમા પદ્મજા બ્રહ્માની વર્તમાન સૃષ્ટિમાં આપણે જીવી રહ્યાં છીએ. પરંતુ આદિયોગી શિવની આ ચોર્યાસીમી સૃષ્ટિ છે. પરિણામે આપણે ચોર્યાસી લાખ યોનીઓમાં જન્મ જન્માંતર ભટકવું પડે છે. બ્રહ્માજીના આ ત્રણે વિશ્વમાં અત્યારે કાળનું પ્રચલન છે, પરંતુ, તેનાં માપ જુદાં જુદાં છે. ઉદાહરણ તરીકે, પ્રથમ વિશ્વમાં કાળનો માપ નીલ (દશ હજાર અરબની સંખ્યા)-ખર્વ (દસ અબજ), નિખર્વ (દશ સહસ્ત્ર કોટિ – દશ હજાર કરોડ-ની સંખ્યા), છે. જ્યારે બીજા વિશ્વમાં આ વર્ષો અબજ અને કરોડમાં છે. આપણા, ત્રીજા, સ્થૂળ વિશ્વ,માં ફક્ત ચાર યુગોનું પ્રચલન જ હજારો વર્ષમાં છે. ત્રણે ત્રણ વિશ્વમાં ૭ ચક્રો, પ કોષ અને ૭ વ્યાહૃતિનું અસ્તિત્વ છે.
પ્રથમ વિશ્વમાં આનંદ કોષ ક્રિયાશીલ છે. એટલે ત્યાં સદા કાળ અને સાર્વત્રિક આનંદ ફેલાયેલો હોય છે. સમસ્ત વિશ્વમાં ચૌદ લોકમાંથી પ્રથમ વિશ્વ સત્ લોક હોય છે.

વ્યક્તિમય વિશ્વ – સૂક્ષ્મ વિશ્વ
બીજાં વિશ્વમાંથી પ્રથમ વિશ્વમાં જવા માટે જે દ્વાર છે તે સહસ્ત્રાર ચક્ર છે અને તેના દેવતા કાર્તિકેય સુબ્રમણ્યમ છે, અહીંની મહા વિદ્યા મહાકાળી છે અને તેના પુરુષ શિવ તરીકે ત્રિપુરાંતક શિવ છે. આ વિશ્વમાં તે ઉપરાંત મહાવિદ્યાઓ માતંગી, બગલામુખી ષોડશી, છિન્નમસ્તા, ઘુમાવતી, ભુવનેશ્વરી અને તારા છે. અહીના સાત લોકમાંના તપ, જન, મહર અને સ્વર્ગલોક છે. આ લોકમાં જ સૂક્ષ્મ દેહે માનવને પ્રવેશ મળે તો ત્યાં સપ્તર્ષિઓ જેવા ઋષિઓ, વેદમાં વર્ણિત ઈંન્દ્ર, અગ્નિ જેવા દેવો અને મહાત્માઓમાં મહાવતાર બાબા, લાહિરી મહાશય, રામકૃષ્ણ પરમહંસ, સહજાનંદ સ્વામી, સાંઈબાબા, શિવાનન્દ ઈત્યાદિ સૂક્ષ્મ દેહે મળીને માનવીને પ્રથમ વિશ્વમાં જવાનો માર્ગ બતાવે છે. આ વિશ્વમાં મણિપુર, અમૃત, અક્ષ અને વિશુદ્ધ ચક્ર તથા મનોમય અને વિજ્ઞાનમય કોષનું અસ્તિત્વ હોય છે. સૂક્ષ્મ દેહે સુકર્મ કરીને માનવી આ વિશ્વમાં પ્રવેશ મેળવે અને તેના સંતાનો મરણોત્તર વિધિઓ યોગ્ય રીતે સંપન્ન કરે તો તે ઉપપિતૃલોકમાં પિતૃ તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે.
લોકકવિ અવિનાશ વ્યાસના શબ્દોમાં આપણે સામાન્ય માનવીઓ રાખનાં રમકડાં છીએ. તેમ છતાં આપણી જીજીવિષા બહુ જ ઉત્કટ હોય છે. તેથી, આપણે વર્તમાન જન્મમાં અનેક કર્મબંધનોથી અને ઋણાનુબંધોથી બંધાઈ જઈએ છીએ. એક જન્મમાં આ બંધનોના હિસાબ પુરા થતા નથી. તેથી આવાં માનવીઓએ સૂક્ષ્મ દેહે ઉપરોક્ત બીજા વિશ્વમાં નિયત સમય પૂર્ણ થયે ભૂલોક પર પુનર્જન્મ લેવો પડે છે. એ જન્મમાં માનવી જૂનાં બંધનોમાંથી મુક્ત થવાના પ્રયસોમાં નવાં બંધનો બાંધે છે અને આમ સંસારચક્રમાં અનેકવાર આંટાફેરા કરવા પડે છે.

સ્થૂળ વિશ્વ
સ્થૂળ વિશ્વ કારણ વિશ્વ અને સૂક્ષ્મ વિશ્વ પર આધારિત છે. આ વિશ્વમાં માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ, કીટક અને ભૂમિ નીચે રહેલ ખનીજો આવેલાં છે. સ્થળ સંકોચને કારણે આપણે આ પંચમહાભૂત પરની ચર્ચા માત્ર માનવોને અનુલક્ષીને જ કરીશું.
આપણા નિયંતા પરમ શિવ છે. તે ચંદ્રમૌલી હોવાથી આપણા પર દૃષ્ટિ રાખવા અને કર્મફળની માપણી કરતા રહેવા તેમણે ૨૭ નક્ષત્રો અને ૯ ગ્રહોની રચના કરી છે. આ વિશ્વમાં માનવ માટે કર્મ કરવું ફરજિયાત છે. વર્તમાન જન્મ દરમ્યાન માનવ જે કર્મ કરે છે તેનાં ફળ રૂપે તેનાં સંચિત અને પ્રારબ્ધ કર્મ બંધાય છે. જ્યાં સુધી માનવી પોતાનાં ઋણાનુબંધ ચૂકવતો નથી તેને સંસારચક્રમાં જન્મ જન્માંતર સુધી ઘુમતાં રહેવાનું છે. આ વિશ્વમાં મૃત્યુ પણ સાર્વત્રિક અનિવાર્યતા છે.
સ્થૂળ વિશ્વમાં ભૂઃ અને ર્ભુવઃ નામની બે વ્યાહૃતિઓનું આધિપત્ય હોય છે. અત્રે મહાવિદ્યાઓ, ત્રિપુરા ભૈરવી અને કામકલા, તેના પુરુષ બટુક ભૈરવ સાથે વિદ્યંમાન છે. માનવ દેહમાં સૂક્ષ્મરૂપે મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણીપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર એમ સાત ચક્રો રહેલાં છે. દરેક માનવમાં પહેલાં બે ચક્ર તો જન્મ સાથે જ હોય છે. પરિણામે દરેક માનવી માટે ભુખ, તરસ, શ્વાસોચ્છાશ્વાસ, નિદ્રા અને મૈથુન સ્વાભાવિક છે. આ માટે તેના દેહમાં જીભ, આંખ, કાન, નાક અને ત્વચા એમ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠી તન્માત્રા વડે જીવવાનું હોય છે. આ વિશ્વમાં અન્નમય કોષ અને પ્રાણમય કોષ સક્રિય હોય છે.
માનવદેહ આખરે મૃત્યુને આધિન થવાનો જ. મૃત્યુ પામ્યા પછી દરેક દેહને, વિવિધ સંસ્કૃતિઓ મુજબ, અગ્નિ અથવા ભૂમિને સમર્પિત કરવામાં આવે છે. જો તેણે સત્કૃત્ય કર્યાં હોય તો તેના આત્મા સાથે તેનો સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ લોકમાં જાય છે. આ બીજા વિશ્વમાં તેઓ એક સૂક્ષ્મદેહે પિતૃ દેહ બને છે અને, જો બીજા વિશ્વના મહાત્માઓનો જો અનુગ્રહ થાય તો, બીજો સૂક્ષ્મ દેહ પ્રથમ કારણ વિશ્વમાં પ્રગતિ કરી જઈ શકે છે. પરંતુ જો તેણે અધમ કૃત્યો કર્યાં હોય તો તેને સાત અધોલોકોમાં પ્રેત અથવા અશરીર દેહે ભટકવું પડે છે.

જોકે આપણી ધાર્મિક પરંપરાનો ઉદ્દેશ્ય મોક્ષ પ્રાપ્તિનો છે અને અંતમાં શિવમાં લીન થવાનું હોય છે.
આ માટે આપણે ધર્મનું પાલન કરીને ભક્તિ ભાવનાથી ભોળા શિવની આરાધના કરતાં રહેવું જોઈએ. શિવ તો પાપી મનુષ્યને પણ નિરાશ નથી કરતા અને પોતાનામાં સમાવીને મોક્ષ આપે છે.
+ + + +
સનાતન પરંપરાનું સમાપન ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાનાં પ્રસિદ્ધ કાવ્યની પ્રથમ ચાર પંક્તિઓ સાથે કરીએ –
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું
શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે. અખિલ બ્રહ્માંડમાં………..+ + + +
આ લેખમાળાનો વિષય એટલો વ્યાપક છે કે તેમાં જાણ્યેઅજાણ્યે, કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો લેખક હૃદયથી ક્ષમાપ્રાર્થી છે.
+ + + +
સંદર્ભઃ
૧) નિત્ય પુજા પ્રકાશ (હિંદી), ગીતા પ્રેસ, ગોરખપુર
૨) બ્રહ્માં ડ વિજ્ઞાન (હિંદી) – યુટ્યુબ પ્રવક્તાઃ અદ્વૈત
૩) પ્રોજેક્ટ કાલિ – (અંગ્રેજી) – યુટ્યુબ પ્રવક્તાઃ આદિત્ય
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
આ લેખમાળાના બધા લેખો “આ ધર્મ સનાતન છે – ભારતની સર્વ સનાતની પરંપરાઓ પર સંક્ષિપ્ત વિવેચન” પર ક્લિક કરવાથી એક સાથે વાંચી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે.
