વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વીરચંદ ગાંધી : વિશ્વ ધર્મ પરિષદનું બીજું અણમોલ રત્ન

    માહિતી જંક્શન

    વિશાખા મોઠિયા

    વિશ્વ ધર્મ પરિષદનું નામ સાંભળીએ કે તરત જ આપણા માનસપટ પર સ્વામી વિવેકાનંદની તસ્વીર આવી જાય છે તેમજ તેના વ્યાખ્યાનનાં શબ્દો. એમણે વિવિધ દેશોમાંથી આવેલ વિદ્વાનો, તત્વ ચિંતકો, અન્ય મહાનુભાવો તેમજ પ્રેક્ષકો સમક્ષ આપણાં ભારત દેશની ધર્મ પરંપરા તેમજ વૈદિક સંસ્કૃતિ રજૂ કરી હતી. પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે એ પરિષદમાં સ્વામીજીની સાથે અન્ય એક મહાન વિભૂતિ પણ ત્યાં ગયા હતા, જેમણે જૈન ધર્મ વિશે વૈશ્વિક સ્તરે વ્યાખ્યાન આપ્યું હતું, અને આખા અમેરિકામાં ડંકો વગાડ્યો હતો. તો ચાલો જાણીએ – જૈન સમાજનું ગૌરવ એવા વીરચંદ ગાંધી વિશે, જેઓ વિશ્વ ધર્મ પરિષદમાં ભારત તરફથી બીજુ અણમોલ રતન હતાં.

    જન્મ અને ભણતર :-

    શ્રી. વીરચંદભાઈ ગાંધીનો જન્મ ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪નાં રોજ ભાવનગર જિલ્લાનાં મહુવા ગામમાં થયો હતો. તેમનો જન્મ એક જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રાઘવજીભાઈ ગાંધી અને માતાનું નામ માનબાઈ હતું. એ સમયગાળા દરમિયાન ચોતરફ રૂઢિચસ્તતા બહુ જ હતી, પરંતુ રાઘવજીભાઈ ગાંધી ધર્મપ્રિય અને સમાજ સુધારક હતા. તેઓ જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરનારા – આજીવન એમણે સચિત વસ્તુઓનો ત્યાગ કરેલો, પાણી હંમેશા ઉકાળીને જ વાપરતા, મરણમાં રડવા – ફૂટવાના રિવાજ અયોગ્ય લાગતો. રાઘવજીભાઈ ગાંધી વેપાર ભલે મોતીનો કરતાં પણ એની ઈમાનદારી ૧૦૦ % ની હતી. જેટલા ધર્મપરાયણ હતા એટલા જ બદલાતા સમયની સાથે ચાલવાવાળા આધુનિક માણસ પણ હતાં. સમાજમાં ચાલતા રૂઢિચુસ્ત રિવાજોને અયોગ્ય માનતાં.

    વીરચંદભાઈ નાનપણથી જ તીવ્ર યાદશક્તિ અને અદ્ભુત જ્ઞાન પિપાસા ધરાવતા હોવાથી, તેમણે પ્રાથમિક શિક્ષણ તો સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું હતું. તેઓ વ્યવહારુ શિક્ષણ માટે જેમ શાળાએ જતાં, તેવી જ રીતે ધાર્મિક અભ્યાસ અર્થે નિયમિત પાઠશાળાએ જતાં. આ ઉપરાંત તેઓ વ્યાખ્યાન સંભળાવા માટે ઉપાશ્રય પણ જતાં. એ સમયમાં મહુવામાં માત્ર પ્રાથમિક શિક્ષણની જ શાળાઓ હતી, માધ્યમિક તેમજ સ્નાતક માટે બીજે ગામ જવું પડતું. એટલા માટે પિતાજીએ વીરચંદભાઈના આગળના અભ્યાસ માટે ગામ અને સમયની મર્યાદાની પરવાહ કર્યા વગર સહકુટુંબ ભાવનગર સ્થાયી થયાં. મહુવાનાં હેડમાસ્તર અને ઈન્સ્પેકટરની ભલામણથી ભાવનગરની હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. પોતાના અથાગ પરિશ્રમથી

    જોતજોતામાં જ વીરચંદભાઈએ માધ્યમિક શિક્ષણ પણ પૂરું કરી લીધું અને મેટ્રિક્યુલેશન એટલે કે ધો. ૧૦ની પરીક્ષામાં રાજ્યસ્તરે પ્રથમ ક્રમાંક મેળવ્યો. આ ઉપરાંત તેમને ભાવનગરમાંથી સર જશવંતસિંહજી સ્કોલરશીપ પણ મળી હતી. અભ્યાસની સાથે સાથે તેમણે સાહિત્ય – વાંચનમાં પણ રસ કેળવ્યો હતો. જીવન ઉપયોગી પુસ્તકો તેમની પ્રતિભા નિખારવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે તેમના ત્રણ જીગરી મિત્રો સાથે સાહિત્યિક વાર્તાલાપ, પત્ર વ્યવહાર પણ કરતાં તેમજ મિત્રોએ લખેલી કવિતા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપતાં. વીરચંદ ભાઈ અને તેના બે મિત્રોની સાહિત્યરસિક ત્રિપુટી હતી, જેમાં ભગવાનદાસ દુર્લભદાસ પારેખ, શ્રી મૂલચંદ નાથુભાઈ અને વીરચંદભાઈ પોતે હતા. આ ત્રિપુટીએ પરસ્પર કરેલો સાહિત્યિક પત્ર વ્યવહાર આપણને શીખવી જાય છે કે – પત્રો પણ સાહિત્યનું સ્વરૂપ પામી શકે છે.

    ભાવનગરમાં કોલેજ નહોતી એટલે આગળના અભ્યાસ માટે બીજા શહેરમાં જવું પડે એમ હતું. વીરચંદભાઈનો અભ્યાસ પ્રત્યેનો રસ, એકાગ્રતા અને બુદ્ધિ પ્રધાનતાના ગુણોને પારખીને પિતાએ એના ઉચ્ચ અભ્યાસ – સ્નાતકની કેળવણી આપવા બાબતે સહેજ પણ ખચકાયા વગર ભાવનગર છોડી મુંબઈ સ્થાયી થયા, અને પછી તેઓ હંમેશ માટે ત્યાંજ રહ્યા હતાં. પહેલેથી જ વીરચંદભાઈની અંગ્રેજી ભાષા પરની પકડ સારી હતી. એટલા માટે કોલેજ ભણતર માટે બહુ વાંધો નહોતો આવ્યો. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી માત્ર ૨૦ વર્ષની ઉંમરે વર્ષ – ૧૮૮૪માં સફળતાપૂર્વક વકીલાતમાં સ્નાતક થયા. તેઓ જૈન સમાજના પ્રથમ સ્નાતક વ્યક્તિ હતાં. આ સમય દરમિયાન તેમની મુલાકાત મહાત્મા ગાંધીજી સાથે થઈ હતી, તે અંગે ગાંધીજીએ પણ તેમની આત્મકથામાં ઉલ્લેખ કર્યો હતો.

    આ ઉપરાંત તેઓ વર્ષ – ૧૮૮૪ માં જ જૈન એસોસિએશન ઑફ ઈન્ડિયા નામની સંસ્થામાં સર્વાનુમતે તેમની પ્રમુખ પદે વરણી કરવામાં આવી. આ સંસ્થાની સ્થાપના વર્ષ – ૧૮૮૨ માં કરવામાં આવી હતી, જેના મુખ્ય હેતુ કંઇક આ મુજબ હતા :

    ૧. જૈન સમાજ અને ધર્મને સંગઠિત કરવો. તેની સામાજિક તથા નૈતિક ઉન્નતિ સાધવી.

    ૨. જૈન ધર્મનાં ટ્રસ્ટ ફંડ અને ધર્માદા ખાતાઓની દેખરેખ રાખવી.

    ૩. પશુ વધ અટકાવવા, તથા તીર્થ સ્થાનોમાં યાત્રિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી વગેરે.

    આ સાથે વીરચંદભાઈને સરકારી વકીલ સુશ્રી. લિટલ સ્મિથ ફ્રેઅર એન્ડ નિકોલસન નામની સરકારી પેઢીમાં નોકરી મળી અને તેમાં આર્ટીકલ ક્લાર્ક તરીકે જોડાયાં.

    વિશ્વ ધર્મ પરિષદમાં વ્યાખ્યાન :-

    ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં, વર્ષ : ૧૮૯૩માં શિકાગો (ચિકાગો)માં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં આપણા ભારત દેશનાં બે  અણમોલ રત્નો : સ્વામી વિવેકાનંદજી અને વીરચંદ ગાંધીએ પોત પોતાના વિષયોનાં વ્યાખ્યાન દ્વારા આગવી છાપ છોડી હતી. આ પરિષદની વિશેષતા એ હતી કે – આ પરિષદમાં જુદા જુદા દેશોમાંથી આવેલ અલગ અલગ ધર્મનાં પ્રતિનિધિઓએ પહેલી વખત હાજરી આપવાની હતી અને પોત પોતાના ધર્મ વિશે વ્યાખ્યાનો – (સ્પીચ ~ વક્તવ્ય) આપવાના હતાં.

    વિશ્વ ધર્મ પરિષદ નાં મુખ્ય ઉદ્દેશો આ મુજબ હતા :

    ૧) જુદા જુદા ધર્મોનું વિશ્વને જ્ઞાન આપવાનું,

    ૨) સર્વ ધર્મોનાં અનુયાયીઓમાં ભ્રાતૃત્વ તેમજ સ્નેહ ભાવ પ્રગટાવવાનો, તેમજ વિચાર વિમર્શ દ્વારા આ ભાવનાને પ્રબળ બનાવવાનો,

    ૩) ભિન્ન ભિન્ન ધર્મોનાં વિદ્વાનોનાં સાહિત્ય – કલા – વ્યાપાર આદિ વિવિધ વિષયોને આવરી લઈને વિચારોનો વિનિમય કરવાનો અને,

    ૪) વિભિન્ન રાષ્ટ્રોને એકત્ર કરી, વિશ્વમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરવા વગેરેનો સમાવેશ હતો.

    અને આ પરિષદનું જે સફળ સંચાલન થયું, તે વૈશ્વિક ઇતિહાસમાં સુવર્ણમય ઘટના બનીને રહી ગયું. આ પરિષદમાં ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

    શિકાગોમાં યોજાનારા વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનાં પ્રતિનિધિ તરીકે સર્વ પ્રથમ તો પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરિ ~ પૂ. આત્મારામજી મહારાજની પસંદગી થઈ હતી. તેમની સમાજ અને ધર્મ પ્રત્યેની સેવા ઉપરાંત વિશિષ્ટ વિદ્વતાની ખ્યાતિ અમેરિકા અને યુરોપમાં પ્રસરી હતી. એટલા માટે વર્ષ – ૧૮૯૨ માં તેમને પરિષદમાં જૈન ધર્મનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનું નિમંત્રણ મળે છે. પરંતુ જૈન ધર્મની પ્રણાલિકા અનુસાર – વિદેશ મુસાફરી કરવાનું તેમને માટે બાધક હોવાથી, તેઓ પરિષદમાં હાજરી આપી શકશે નહીં તેવી દિલગીરી સાથેની જાણ પરિષદનાં સંચાલકોને કરી હતી. આથી પરિષદનાં સંચાલકોએ તેમને જૈન ધર્મ વિશેનો મહત્વપૂર્ણ મહાનિબંધ તૈયાર કરીને, અહીં પુસ્તક રૂપે મોકલવાનું સૂચવ્યું, જેથી પરિષદમાં હાજર રહેલ પ્રતિનિધિઓને વાંચન દ્વારા જૈન ધર્મનાં સિદ્ધાંતોનો ખ્યાલ આવે. પરિણામે જૈન ધર્મનાં તત્વજ્ઞાનની ઝાંખી દર્શાવતું પુસ્તક “ચિકાગો પ્રશ્નોત્તર” નામે તૈયાર થયું, અને તેને પરિષદનાં સંચાલકોને મોકલવામાં આવ્યું. આ પુસ્તક વાંચીને એ સંચાલકો એટલા બધા પ્રભાવિત થયાં કે તેમણે પૂજ્ય. આત્મારામજી મહારાજને વિશેષ પ્રતિનિધિ મોકલવાનો આગ્રહ કર્યો. આ આગ્રહને પરિણામે શ્રી. વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. શિકાગો જતાં પહેલાં છ મહિના સુધી વીરચંદભાઈએ પૂ. આત્મારામજી મહારાજ પાસે જૈન ધર્મનાં તત્વજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. મહારાજે તેમને સ્વદેશી પહેરવેશ પહેરવાની તેમજ રોજિંદા જીવનમાં બીજી કશી જ શિથિલતા ન આવે તેની આજ્ઞા આપી. શિકાગોની યાત્રામાં રસોઈ માટે મહુવાનાં વતની એવા વિશ્વવિખ્યાત જાદુગર પ્રો. નથુ મંછાચંદને સાથે લીધાં.  શિકાગો જવાની સ્ટીમર અસમથી રવાના થવાની હતી. સ્ટીમરનાં કેપ્ટન પાસેથી અલગ રસોઈ બનાવવાની પરવાનગી મેળવી લીધી હતી.

    ભારતીય દર્શનનું તત્વજ્ઞાન, એનાં વિષયની છણાવટ અને સમજાવટ – આ બધું યોગ્ય ઢબે નવા લોકો સમક્ષ પ્રસ્તુત કરવું ખૂબ જ કઠણ કામ હોય છે. એમાં જ્યારે જૈન ધર્મનાં સિદ્ધાંતો અને તત્વજ્ઞાનની વાત આવે ત્યારે એના વિષયોનો ઊંડાણ પૂર્વક તેમજ સૂક્ષ્માતિસૂક્ષ્મ એવો તલસ્પર્શી અભ્યાસ કરી, એના તત્વજ્ઞાનને સરળતાથી સમજી અને તેને પરિષદનાં વિદ્વાનો સમક્ષ રજૂ કરવી – એ બાબત “ગાગરમાં સાગર સમાવવા” જેવી હતી, અને આવું અઘરું કાર્ય  માત્ર અને માત્ર વીરચંદભાઈ જ પાર પાડી શકે એમ હતાં.

    પરિષદમાં એમણે જૈન તત્વજ્ઞાન, જૈન નીતિ સંબંધી વ્યાખ્યાન આપતાં શ્રુત ધર્મને લગતી બાબતો જેમ કે – નવ તત્વ, છ પ્રકારનાં જીવો, વિશ્વનાં આદિ – અંતની અન્ય ધર્મોનાં મંતવ્યો સાથે તુલના, દ્રવ્ય આર્થિક તેમજ પર્યાયાર્થીક ન્યાય સંબંધી જૈન દર્શનની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારસરણી રસસભર રીતે રજૂ કરી. એ સમયમાં જૈન ધર્મની પરિભાષાને અંગ્રેજીમાં રજૂ કરવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ શ્રી. વીરચંદભાઈએ એમની વિદ્વતા તેમજ તુલનાત્મક અધ્યયન શક્તિનો ઉપયોગ કરીને જૈન ધર્મની રજૂઆત અંગ્રેજીમાં કરવાનો પાયો નાખ્યો હતો. પરિષદમાં એમનાં જૈન ધર્મ વિશેનાં પ્રવચનોથી લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે પરિષદ પૂર્ણ થયા પછી અમેરિકામાં ઠેર ઠેર જગ્યાએ એનાં પ્રવચનો યોજાયાં. આ ઉપરાંત કર્મ, તત્વજ્ઞાન અને યોગનું સ્વરૂપ સમજાવવા માટેનાં વર્ગો પણ અનેક સ્થળોએ શરૂ થયાં. એમનાં મોહક વ્યક્તિત્વથી વિદેશીઓ એટલા બધા પ્રભાવિત થયાં કે અમેરિકાનાં વર્તમાનપત્રોમાં પણ ફ્રન્ટ પેજ પર શ્રી. વીરચંદભાઈનાં પ્રવચનોને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું અને તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી. પરિષદમાં એવા ઘણાંય હિન્દુ વિદ્વાનો, તત્વજ્ઞાનીઓ અને ધર્મ ઉપદેશકોએ હાજરી આપી હતી અને પ્રવચનો આપ્યા હતાં. તે પૈકી કેટલાંક પ્રવચનો તો એવા હતા કે – જેમની વિદ્વતા, વકતૃત્વ શક્તિ અને ધર્મ ભક્તિ કોઈ પણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાન પદ પર મૂકી શકાય પરંતુ આ બધામાંથી શ્રી. વીરચંદભાઈનું પ્રવચન શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું હતું,  તેનાં કરતાં કદાચ કોઈનું પ્રવચન આટલું રસપૂર્વક નહીં સાંભળવામાં આવ્યું હોય. જેમ સ્વામી વિવેકાનંદના પ્રવચનથી આખી પરિષદ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી, એવી રીતે જ શ્રી. વીરચંદભાઈનાં પ્રવચનથી પણ આખી પરિષદ ગુંજી ઉઠી હતી. આખી પરિષદમાં ભારતનાં આ બે અણમોલ રત્નોની ભારોભાર પ્રશંસા થઈ રહી હતી. આ બંને મહાનુભાવો પરિષદની શાન હતાં.

    ચિકાગો ધર્મ પરિષદની પૂર્ણાહૂતિ સમયે પરિષદમાં હાજરી આપેલ તમામ વિદ્વાનોએ આભાર વિધિ કરી હતી. એમાં શ્રી. વીરચંદભાઈએ જલદી વિદાય લઈ રહ્યા હતાં. વિદાય વેળાએ વીરચંદ ભાઈએ જલદીથી છૂટા પડવા અંગે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે – “શું આપણે એ વાતનું દુઃખ નથી અનુભવી રહ્યા કે આપણે અતિશિઘ્ર વિદાય થઈ રહ્યા છીએ ? શું આપણી ઈચ્છા નથી કે આ પરિષદ સત્તર વખત સત્તર દિવસ સુધી ચાલુ રહે ? શું આપણે આ મંચ ઉપરથી વિદ્વાન પ્રતિનિધિઓ નાં વ્યાખ્યાન આનંદ અને રુચિ પૂર્વક નથી સાંભળ્યા ? શું આપણને એમ નથી લાગતું કે પરિષદનાં સંચાલન દ્વારા જે કોઈ સિદ્ધ થયું છે એના કરતાં પરિષદનાં સંચાલકોનું સ્વપ્ન કંઈક અત્યાધિક હતું ?”

    વિદેશમાં એમના પ્રવાસ દરમિયાન વીરચંદભાઈએ ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે એમણે બાહ્ય ટીકાઓથી ભારતની સંસ્કૃતિનું રક્ષણ કર્યું હતું, તેમજ તેનો પ્રચાર કરવામાં એક નિખાલસ અને વિશાળહૃદયી વિદ્વાનને શોભે એવું કૌશલ્ય દાખવ્યું હતું. એમનાં પ્રવચનોમાં : હિન્દુઓનું પ્રાગ – ઐતિહાસિક જીવન, ભારતમાં લગ્નનો દરજ્જો, ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ, ભારતીય પ્રજાનાં સામાજિક રીત રિવાજો, હિન્દુ – જૈન અને બૌદ્ધ ધર્મનું મુખ્ય તત્વજ્ઞાન, ધી લૉ ઑફ એથીકલ કોઝેશન : અ સોલ્યુશન ઓફ લાઈફ, રાજકીય ભારત : હિન્દુ, મુસ્લિમ અને અંગ્રેજ, ભારતીય સ્ત્રીઓ : ભૂત, વર્તમાન અને ભાવિ વગેરે વિષયો મુખ્ય સ્થાન પર હતાં. અન્ય વિષયોમાં ઓકલ્ટીઝમ, ગાયન વિદ્યા, અમેરિકાઓની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીના પીછાં ન રાખવા જોઈએ, સમાચાર પત્ર અને રંગભૂમિનો સંબંધ, અમેરિકન રાજનીતિ પર વર્તમાન સામાજિક કાયદાનો પ્રભાવ, ભારતનો અમેરિકાને સંદેશ, ભારતની અમેરિકાને ભેટ, બૌદ્ધ ધર્મ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ, ભારતની રાજનૈતિક અવસ્થા, હિન્દુ – મુસલમાન અને અંગ્રેજ રાજ્યમાં નારીનું સ્થાન વગેરે વિવિધ વિષયો પર પ્રવચન આપીને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.

    વિશ્વ ધર્મ પરિષદ બાદ તેઓ થોડોક વખત અમેરિકામાં રહ્યા હતાં. ત્યારબાદ તેમણે અનુક્રમે ઈ.સ. ૧૮૮૯ માં અને ઈ.સ. ૧૮૯૬ માં એમ બે વખત અમેરિકા ગયા હતાં. આ દરમિયાન તેમણે ૬૫૦ જેટલાં પ્રવચનો આપ્યા હતાં. એ પૈકી કેટલાંક – જૈન ફિલોસોફી, કર્મ ફિલોસોફી અને યોગ ફિલોસોફી નામક પુસ્તકમાં ગ્રંથસ્થ થયા.

    વીરચંદ ગાંધીએ કરેલા અન્ય કાર્યો :

    () પાલીતાણા શેત્રુંજ્ય પર્વત પર આવતા જાત્રાળુઓ માટે કર મુક્તિ :-

    આમ તો સમ્રાટ અકબર અને નગર શેઠ શાંતિદાસના સમયથી જ શેત્રુંજ્ય પર્વત શ્વેતાંબર જૈનોનાં કબજામાં હતું, પરંતુ તે પછીના આવેલા બાદશાહો એ જે તામ્ર પત્રો આપેલાં ફરમાનોનો વેળાસર ઉપયોગ ન થવાને લીધે શેત્રુંજ્ય પર્વત પર પાલીતાણાના નામદાર દરબારશ્રીની હકુમત આવી. હકુમત આવતાની સાથે જ નામદાર ઠાકોર સુરસિંહજીએ શેત્રુંજ્યની જાત્રાએ આવતાં યાત્રાળુઓ પર કર ઉઘરાવવાનો શરૂ કરી દીધો હતો.. આ કર પર્વતના સંરક્ષણ માટે છે –  એવું કહીને જાત્રાળુઓ પાસેથી વ્યક્તિ દીઠ બે રૂપિયાનો કર ઉઘરાવવાનો શરૂ કરી દીધો. આ કર અગવડભર્યો તો હતો જ, પણ સાથોસાથ ત્રાસદાયક પણ હતો. આ તરફ બીજી બાજુ એ શેત્રુંજ્ય પર્વત પાસે આવેલા સૂરજ કુંડ નજીક ભગવાન શ્રીઋષભદેવની પાદુકા સ્થાપિત હતી, જે કોઈ વિઘ્ન સંતોષી દ્વારા ખોદીને ચોરવામાં આવી હતી. આથી તે તીર્થના નોકરોને પકડીને તેની પાસે બધી કબૂલાત કરાવવામાં આવી. આ બાબત અંગેની ફરિયાદ એ સમયનાં ગવર્નર લોર્ડ રેને કરવામાં આવી તેમજ બીજે તાર દ્વારા સંદેશો મોકલ્યો. તા.૧૮/૦૭/૧૮૮૫ ના રોજ પૂનામાં ગવર્નર લોર્ડ રેને પાલીતાણાના આ જુલમ કેસ સંબંધિત એક જૈન પ્રતિનિધિ મંડળ બનાવ્યું. ત્યારબાદ આ કેસની યોગ્ય તપાસ સોનગઢ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કપ્તાન ફોરડાઈઝ દ્વારા કરવામાં આવી અને આ કેસને પોલિટિકલ એજન્ટની કોર્ટમાં લઈ જવામાં આવ્યો. પોતાનો બચાવ કરવા પાલીતાણાના નામદાર ઠાકોર પણ ગવર્નર પાસે અરજી લઈને ગયા અને આ બાજુ વીરચંદભાઈ પણ અન્ય જૈન આગેવાનો સાથે ગવર્નર પાસે પહોંચ્યા. થોડાક સમયમાં જ પાલીતાણાનાં એ ઠાકોર અવસાન થયું અને એની સાથે તેના પર ચાલતો કેસ પણ બંધ થઈ ગયો. હવે પાલિતાણાની ગાદીએ નવા ઠાકોરની ગાદીએ આવવાના હતા, એટલે તકનો લાભ ઉઠાવીને શ્રી વીરચંદભાઈએ પોતાના વકીલાતના કૌશલ્યથી નવા ઠાકોર શ્રી. માનસિંહજી સાથે જૈન યાત્રિકો પર લાદેલા કર અંગે સમાધાન કરવાના પ્રયત્નો કર્યા અને આખરે વીરચંદભાઈનાં પ્રયત્નો સફળ થયા. સમાધાનમાં ઠાકોરસાહેબ શ્રી.માનસિંહજી અને જૈન સંઘ વચ્ચે નીચે મુજબનો કરાર થયો –

    ૧). યાત્રિકો દીઠ રૂપિયા – બે નો કર કાઢી અને પ્રતિવર્ષ ઠાકોરને તે માટે રૂ. ૧૫૦૦૦ ઉચક આપવી.

    ૨) આ ગોઠવણ સન – ૧૮૮૬ નાં એપ્રિલથી ૪૦ વર્ષ સુધી કાયમ રાખવી.

    ૩) ૪૦ વર્ષની આખરે ઉપરોક્ત ઉચક રકમમાં ફેરફાર કરવા બાબતે બંને બાજુએ છૂટ રાખવામાં આવી.

     બંને બાજુની દલીલો ધ્યાનમાં લીધા પછી એ ફેરફાર મંજૂર અથવા નામંજૂર કરવાનું કામ બ્રિટીશ સરકારનાં હાથમાં રહેશે.

    આમ, વીરચંદ ભાઈએ પોતાની પ્રભાવશાળી કર્તૃત્વ શક્તિ તેમજ વકીલાતની આવડતનો પરિચય આપ્યો હતો.

    ) સંમેદ શિખર પર ચાલતાં કતલ ખાના બંધ કરાવ્યા (વર્ષ૧૮૯૧) :-. 

    સંમેદ (સંમેત) શિખર એ જૈન સમુદાયનું પવિત્ર તીર્થ સ્થળ છે. જૈન સમુદાયનાં લોકો સંમેદ શિખરના દરેક કણને પવિત્ર માને છે. આ શિખરને “પાર્શ્વનાથ પર્વત”  તરીકે પણ ઓળખવામાં આવે છે.  અહીં ચોવીસ તીર્થંકરોમાંના ૨૩મા તીર્થંકર (ભગવાન પાર્શ્વનાથ) તેમજ અન્ય જૈન સાધુઓએ નિર્વાણ (મોક્ષ)  પ્રાપ્ત કર્યો હતો. જેની ચરણ પાદુકા હજુ પણ અહીં હાજર છે.  આ ઉપરાંત આ શિખર પર બે હજાર વર્ષ જૂનાં પૌરાણિક મંદિરો પણ આવેલા છે.

    સંમેદ શિખર પર ભગવાન પાર્શ્વનાથનું દેરાસર આવેલ છે, માટે આ શિખરની તીર્થ તરીકેની મહત્તા ઘણી છે. આ સમયમાં આ તીર્થ બંગાળનાં હજારીબાગ જિલ્લાનાં પલગંજ રાજ્યની સરહદમાં આવતું હતું.  જેમ પાલીતાણાના દેરાસરોમાં ચઢાવવામાં આવતી વસ્તુઓ ભાટ લોકો લઈ જતા હતા, તેમ અહીં ભગવાનને ચઢાવવામાં આવતી વસ્તુઓ લઈ જવાનો હક રાજાને હતો. તીર્થનાં રક્ષણ બદલ સંઘ દ્વારા રાજાને રૂ. ૧૫૦૦ આપવામાં આવતા હતા. બાદશાહનાં વખતથી જ આ તીર્થ જૈનોની માલિકીની જ હતુ, પરંતુ તેની દેખરેખ, જાળવણી તેમજ હક્ક જાળવવાના પ્રયત્નોમાં ખામી રહી ગઈ હોવાથી, તે હક ડૂબી ગયો હતો. એટલા માટે ત્યાંના રાજાએ પહાડ પર ઉગતા ઘાસ તેમજ વૃક્ષોનાં લાકડાઓ પર ઊપજ લેવાનું ચાલુ કરી દીધું હતું.  થોડાક સમય બાદ વિક્રમ સંવત – ૧૯૪૨નાં અરસામાં રાજાએ પહાડને લગતી થોડીક જમીન બેડમ નામના એક અંગ્રેજને ચા રોપવા આપી દીધી હતી. ચાર પાંચ વર્ષ પછી આ વ્યક્તિએ અહીં ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું ઊભું કર્યું. આમ તો આ કારખાનું તીર્થ સ્થળ થી બે-ત્રણ માઈલ દુર હતું, પરંતુ સંમેદ શિખરની ફરતે બાર ગાઉની પ્રદક્ષિણા ફરતી વખતે તે રસ્તામાં આવતું હતું. કારખાનાની અંદર થતી ડુક્કરોની ચીસાચીસ અને રોકકળ છેક ઉપર મંદિર સુધી સંભળાતી હતી, જે જાત્રાળુઓ તેમજ મંદિરના અનુયાયીઓ માટે અસહનીય હતી. આવા નિર્દોષ જનાવરોની હત્યા હૃદય કંપાવી દે તેવું હતું. આથી મંદિરનાં  અનુયાયીઓ તેમજ શ્રીસંઘનાં આગેવાનોએ આ અંગે હજારીબાગ જિલ્લાનાં કમિશ્નરને ફરિયાદ કરી, પરંતુ ત્યાંના કમિશ્નરે “અમે કોઈ પણ પ્રકારનાં વ્યાપારમાં ન પડીએ” – એમ કહીને ફરિયાદને નકારી દીધી. ત્યારબાદ આ લોકોએ પરગણાની કોર્ટમાં આ કેસ દાખલ કર્યો, ત્યાં પણ સરખો ચુકાદો ન આવતા, આ કેસ છેક કલકત્તા હાઇકોર્ટમાં લઈ જવામાં આવ્યો. અહીં પણ બે બાબતોને લીધે કેસ મજબૂત નહોતો બનતો :

    (૧) પરગણાની કોર્ટમાં પ્રાથમિક પુરાવા દાખલ નહોતા કરવામાં આવ્યાં, અને

    (૨) સ્થાનિક ભાષામાં રહેલા મંદિરનાં પત્રો, શિલાલેખો, તામ્રપત્રો વગેરેની નકલો કોર્ટમાં બંગાળી ભાષામાં રજૂ કરવાના હતા. એટલા માટે સૌથી પહેલાં તો વીરચંદભાઈએ કલકત્તામાં રહીને છ મહિના સુધી બંગાળી શીખ્યા;  ત્યારબાદ એ પત્રો, શિલાલેખો તેમજ તામ્રપત્રો વગેરેની નકલો બંગાળી તેમજ અંગ્રેજી ભાષામાં (અનુવાદ કરીને) રજૂ કરીને સંમેદ શિખર માલિકીનો હક સાબિત કર્યો.

    કોર્ટમાં વીરચંદભાઈની કેસ સંબંધિત સ્પષ્ટ અને સુંદર રજૂઆતને લીધે કેસ જૈન સંઘની તરફેણમાં આવ્યો અને કેસ જીતી ગયા. આમ, ફરી એકવાર શ્રી વીરચંદભાઈએ પોતાની પ્રભાવશાળી પ્રતિભા તેમજ કર્તવ્યપરાયણતાથી અને આવડતથી એક મહત્ત્વનું કાર્ય પાર પડ્યું હતું.

    ) શિકાગોમાં વીરચંદભાઈનાં મંત્રી પદે ભારતની મદદ અર્થે દુષ્કાળ રાહત સમિતિની રચના :-  વર્ષ : ૧૮૯૬ – ‘૯૭ માં ભારતમાં પડેલા દુષ્કાળને લીધે સ્વામીજી જ્યારે દેશનાં ખૂણે ખૂણે જઈને પીડિતોની સેવા અને માંદાની માવજત કરી રહ્યાં હતાં; ત્યારે વીરચંદભાઈએ અમેરિકામાંથી ત્યાંના લોકોને અપીલ કરીને અહીંની સ્થિતિ માટે મદદ કરી હતી. વીરચંદભાઈનાં કાને જેવી ખબર પડી કે ભારતમાં દુષ્કાળ સર્જાયો છે, ત્યારે તેમણે તરત જ વિશ્વ ધર્મ પરિષદનાં પ્રમુખ સી. સી. બોનીનાં અધ્યક્ષ પદે એક તત્કાલીન દુષ્કાળ રાહત સમિતિની રચના કરી. આ સમિતિમાં વીરચંદભાઈએ મંત્રીપદે રહીને શિકાગોની જનતાને આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે અપીલ કરી. તાત્કાલિક રાહતનાં પગલાં તરીકે તુરંત જ  અન્ન ભરેલું વહાણ સાન ફ્રાન્સિસ્કો થી કલકત્તા મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશેષ રાહત કાર્ય માટે ટહેલની નાખવામાં આવતા જ શિકાગોની જનતાએ શ્રી.વીરચંદભાઈની ઝોળી છલકાવી દીધી. લગભગ ચાલીસ હજાર રૂપિયા રોકડા દેશનાં વિવિધ ભાગોમાં રાહત અર્થે પહોંચાડવામાં આવ્યાં.

    ) આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદ :- ઈ.સ. ૧૮૯૯માં મળેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં શ્રી. વીરચંદભાઈએ સમગ્ર એશિયાનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. ત્યાં એમણે આપણી પોસ્ટલ પદ્ધતિ સુધારવા, વિસ્તૃત કરવા અને તેનો વિકાસ કરવા સૂચવ્યુ હતું, જેથી વિશ્વનાં દરેક દેશને તેમાં સમાવી શકાય. આ ઉપરાંત તેમણે વાણિજ્યનું વિસ્તૃત અને સંપૂર્ણ શિક્ષણ આપવા વિશે પણ કહેલું.

    આ ઉપરાંત તેમણે વર્ષ – ૧૮૯૫માં પૂણેમાં યોજાયેલ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ (INC) નાં અધિવેશનમાં મહારાષ્ટ્ર રાજ્યનાં પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. તેમજ ૧૯ ડિસેમ્બર, ૧૮૯૮ નાં રોજ વિલિયમ સાઈન્સ બિલ્ડિંગનાં વિશાળ હોલમાં ભારતીય રાજકારણ અને ઉદ્યોગ પર લેક્ચર આપ્યો હતો.

    વિશેષ બાબતો :-

    – વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનાં બે પનોતા પુત્ર : સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીએ ભારત દેશનું નામ વિશ્વ સ્તરે ઝળહળતું કર્યું હતું. આ બંને મહાનુભાવોનાં વ્યાખ્યાનોની બાબતો વિશ્વ ધર્મ પરિષદનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ. વિદેશમાં જેમ જૈન ધર્મનો પરિચય કરાવવાનું માન વીરચંદભાઈ ગાંધીને જાય છે, તેવી જ રીતે વેદાંત તત્વજ્ઞાનનો પરિચય પાશ્ચાત્ય દેશોમાં કરાવવાનો યશ શ્રી. સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે. સને – ૧૮૯૩ માં થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારત તરફથી આ બંને પ્રતિનિધિ હતાં. આ બંને મહાન વિભૂતીઓમાં ઘણી સામ્યતા જોવા મળે છે, કારણ કે બંનેનાં કાર્યક્ષેત્ર પણ સમાન છે. કર્તવ્યનિષ્ઠા, પવિત્રતા અને સત્યતા : આ ત્રણેય ગુણોને આ બંનેય વિભૂતિઓએ પોતાના જીવનમાં વણી લીધા હતા. બંને તત્વજ્ઞાનનાં પ્રખર અભ્યાસુ હતા તેમજ બંનેમાં અદ્ભુત તુલનાત્મક અધ્યયન શક્તિ અને વિશાળ દૃષ્ટિ હતી. બંને યોગનાં અભ્યાસી હતાં અને બંનેએ યોગની ક્રિયા – પ્રક્રિયા વિદેશીઓને સમજાવી હતી. આ ઉપરાંત આર્ય સંસ્કૃતિઓનું હાર્દ સમજાવવામાં બંનેએ અથાગ પરિશ્રમ લીધો હતો. વિદેશમાં તેઓ એકબીજાનાં પૂરક રહ્યા હતાં. સ્વામી વિવેકાનંદને વીરચંદભાઈની કાબેલિયત અને શક્તિ પર ખૂબ જ વિશ્વાસ હતો. આમ, સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધી બંને કરુણાની મૂર્તિ હતાં.

    – વિશ્વ ધર્મ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદ જેવા વિદેશ પ્રવાસો દરમ્યાન વીરચંદભાઈનાં ઘણાં ગાઢ મિત્રો બન્યા હતા અને કેટલાક તો તેમનાં અનુયાયીઓ પણ બન્યા હતાં.

    જે આ મુજબ છે :

    (૧) અમેરિકાનાં મિસિસ હાર્વર્ડએ વીરચંદભાઈની જૈન ધર્મ  પરાયણતા જોઈને એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓ વીરચંદભાઈનાં હસ્તે દીક્ષિત થયા હતા અને શિષ્યા બની ગયા હતાં.

    (૨) હર્બટ વોરન નામનાં વ્યક્તિ પણ વીરચંદભાઈનાં હસ્તે જ દીક્ષિત થયા હતાં. આ આદર્શ વ્યક્તિ ને “આદર્શ જૈન” નાં ઉદાહરણ રૂપ ગણાવી શકાય. શ્રી. વીરચંદભાઈએ ઈંગ્લેન્ડમાં જ્યારે ” Philosophical Society (ફિલોસોફિકલ સોસાયટી)” ની સ્થાપના કરી, ત્યારે હર્બટ વોરન ત્યાં આવતા વિદ્યાર્થીઓમાંનો એક હતો. આ સંસ્થામાં જૈન ધર્મ, હિન્દુ યોગ તેમજ બૌદ્ધ તત્વજ્ઞાન વિશે તુલનાત્મક જ્ઞાન આપી શકાય એ માટેનાં વર્ગો ચલાવવામાં આવતા હતાં. હર્બટ વોરને શ્રી. વીરચંદભાઈનાં તમામ પ્રવચનોની નોંધ રાખી હતી. આ પ્રવચનોની નોંધ પરથી તેમણે “Jainism” નામનું એક પુસ્તક પણ પ્રગટ કરેલું.

    (૩) વિશ્વ ધર્મ પરિષદનાં પ્રમુખ : પ્રેસિડેન્ટ ચાર્લ્સ સી. બોની, મંત્રી : ડૉ. જ્હોન હેનરી બરોઝ અને ત્યાંના સહમંત્રી : વિલિયમ પાઈપ – આ ત્રણેય વીરચંદભાઈનાં ગાઢ મિત્રો બની ગયા હતાં. ભારતમાં જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે, અમેરિકામાં જે ‘રાહત સમિતિ’ ની રચના કરવામાં આવી હતી, તેમાં ચાર્લ્સ સી. બોની અધ્યક્ષપદે રહ્યા હતા અને વીરચંદભાઈની ખૂબ સહાય કરી હતી. પરિષદ પૂર્ણ થયા બાદ ધર્મનાં પ્રચાર અર્થે વીરચંદભાઈને થોડોક સમય ત્યાં રોકાવાનું થયુ  હતું, ત્યારે ડૉ. જ્હોન હેનરી બરોઝે તેમનું ઘર ખાલી કરી આપ્યું હતું અને ત્યાં વીરચંદભાઈ રોકાયા હતાં. અમેરિકામાં વીરચંદભાઈએ સ્થાપેલી “School of Oriented Philosophy” અને “Esoteric Studies” સંસ્થામાં  વર્ગો ચાલતાં, ત્યારે તેની દેખરેખનું કામ વિલિયમ પાઈપ કરતાં હતાં.

    – મહાત્મા ગાંધી જ્યારે ઈંગ્લેન્ડમાં હતાં, ત્યાં  તેમની મુલાકાત વીરચંદ ભાઈ સાથે થઈ હતી. તેઓ પોતાની આત્મકથા “સત્યનાં પ્રયોગો” માં તેઓ જ્યારે ઈંગ્લેન્ડમાં ખોરાકના અખતરા કરતા હતા, ત્યારે વીરચંદભાઈ પણ તેમાં શામિલ હતા – તેવું નોંધેલ છે.

    – વીરચંદભાઈનાં પત્રો બહુ ઓછા ઉપલબ્ધ છે. એ પૈકી થોડાક શ્રી. મહાવીર જૈન વિદ્યાલયનાં સંગ્રહાલયમાં છે. એમનાં કુટુંબીજનોએ ઈ.સ. ૧૯૪૬ માં એમની જન્મ શતાબ્દીનાં ઉજવણી વખતે શ્રી. મહાવીર જૈન વિદ્યાલયને એમનું અપ્રગટ સાહિત્ય કાસ્કેટ, મેડલ તેમજ પત્રો વગેરે આપી દીધા હતાં.

    – વર્ષ : ૧૯૯૦ માં શિકાગો અને મહુવામાં વીરચંદભાઈનું પૂતળું મૂકવામાં આવ્યું હતું.

    –  ૮ નવેમ્બર, ૨૦૦૯ નાં રોજ ભારતીય ડાક (પોસ્ટ ઑફિસ) વિભાગે વીરચંદ ગાંધીનાં માનમાં તેમના ઈમેજ વાળી એક પોસ્ટ ટિકીટ બહાર પાડી હતી.

    કેટલીક મહાન વ્યક્તિ ઓનાં કાર્યો એટલાં મહાન હોય છે કે, એનાં સત્કાર્યોનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે એવી સૌની લાગણી હોય છે. પણ કહેવાય છે ને કે – કાળ કોઈનો નથી. ત્રીજી વખતની વિદેશયાત્રાએથી નાદુરસ્ત તબિયત લઈને જ્યારે ઘરે આવ્યા પછી, તેમની તબિયતમાં સુધારો થયો જ નહીં. પોતાની ૩૭ વર્ષ સુધીનાં જીવનકાળ દરમ્યાન તેઓ સતત કાર્યરત રહ્યાં, કદાચ શારીરિક ક્ષમતા થી વધુ તેઓ કાર્યશીલ રહ્યાં. વર્ષ – ૧૯૦૧ નાં જુલાઈ મહિનામાં સ્વદેશ પરત ફર્યાં અને તબિયતમાં કંઈ જ ફેરફાર ન થતાં ૭ ઑગસ્ટ, ૧૯૦૧નાં રોજ મુંબઈમાં પોતાના નિવાસ સ્થાને તેમનું દેહાવસાન થાય છે. કાકા કાલેલકર એ ” સ્મરણ યાત્રા” માં નોંધ્યું છે કે – “ડાહ્યો – શાણો માણસ ઝાઝું જીવે નહીં. અને આ ઉક્તિ વીરચંદ ગાંધીના સમયનાં મહાનુભાવો – સ્વામી વિવકાનંદજી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે પર સાચી પડી. આ બધા જ મહાન વ્યક્તિઓએ હજુ પોતાની ચાલીસી વટાવી નહોતી ત્યાં જ ભગવાનનાં ઘરેથી આટલું વહેલું તેડુ આવી ગયું. કદાચ એટલા માટે જ આ લોકો પોતાની ટૂંકી જિંદગીમાં એક પછી એક કામ આટોપવા લાગ્યા અને કાર્ય પૂર્ણ થતાંની સાથે જ જીવનકાળ પણ સમાપ્ત થઈ ગયો.

    તો આ વાત હતી, વિશ્વ ધર્મ પરિષદનાં બીજા અણમોલ રત્ન એવા વીરચંદ ગાંધીની. જેમણે જૈન ધર્મને વૈશ્વિક સ્તરે લઈ જઈને ભારતની ધાર્મિક રીત – પરંપરા તેમજ જૈન ધર્મનું ગૌરવ વધાર્યું. એક એવા મહાન વ્યક્તિ જેઓ સ્વામી વિવેકાનંદની જ રૂપરેખા હતાં. પરિષદ પૂર્ણ કર્યા બાદ તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે, લોકોએ તેમને “નાના સ્વામી વિવેકાનંદ” કહીને સંબોધ્યા હતાં.

    શ્રી. વીરચંદ ગાંધીને શત શત વંદન

     

  • પરિવાર નિયોજન નીતિમાં રાજ્યો દ્વારા મુકાતી ઢીલ યોગ્ય છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    એક મહિલાએ તેના જીવનકાળમાં કેટલા બાળકોને જન્મ આપ્યો કે આપી શકે? તેને કુલ પ્રજનન દર, અંગ્રેજીમાં Total Fertility Rate( TFR), કહેવામાં આવે છે. ૧૯૭૧માં ભારતનો કુલ પ્રજનન દર ૫.૨ હતો,  ૧૯૮૧માં ૪.૫, ૧૯૯૧માં ૩.૬ અને આજે ૨ છે. અનિયંત્રિત વસ્તી વધારામાં ઘટાડો થવાનું કારણ વસ્તી નિયંત્રણ નીતિ કે પરિવાર નિયોજન યોજનાઓ છે.  ગરીબી, ખાધ્યસુરક્ષા અને રોજગારના પડકારો સામે લડવા વસ્તી વધારાને રોકવો જરૂરી હતો. ‘ અમે બે અમારા બે’  અને ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’ના પરિવાર નિયોજન અભિયાનને કારણે ૨૦૦૦ના વરસ સુધીમાં દેશનો કુલ પ્રજનન દર ૩.૩થી ઘટાડીને ૨ સુધી કરવામાં મદદ મળી છે. ૨૦૨૧માં દેશની વસ્તી આશરે ૧૩૫.૫  કરોડ હતી તે ૨૦૫૧માં ૧૫૯.૦૧ કરોડ થશે. એટલે વસ્તી તો વધશે પરંતુ કુલ પ્રજનન દર ઘટશે. આ વરસોમાં ભારતનો સરેરાશ વાર્ષિક વૃધ્ધિ દર ૦.૫ થશે. અર્થાત ભારતની વસ્તીમાં સ્થરીકરણ આવશે.

    Changes in discourse on unmet need for family planning among married women in India: evidence from NFHS-5 (2019–2021)
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આજે  દેશના કુલ પ્રજનન દર ૨ કરતાં  ઘણા રાજ્યોનો પ્રજનન દર ઓછો છે.એટલે આ રાજ્યો તેમના ઘટતા પ્રજનન દરથી ચિંતિત છે. ભાજપાશાસિત રાજસ્થાન સરકારે તાજેતરમાં વિધાનસભામાં રાજસ્થાન પંચાયતી રાજ (સુધારા) વિધેયક ૨૦૨૬ અને રાજસ્થાન નગરપાલિકા (સુધારા) વિધેયક ૨૦૨૬ પસાર કર્યું છે. રાજસ્થાનની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં છેલ્લા ત્રીસ કરતાં વધુ વરસોથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ઉમેદવારી કરી શકતી નહોતી. આ બાધ્યતાનું કારણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરિવાર નિયોજન માટે આદર્શ બને અને લોકોમાં વસ્તી નિયંત્રણ માટેનો સંદેશ આપી શકાય તે હતો. પરંતુ હવે આ પ્રતિબંધ કાયદામાં સુધારો કરીને ઉઠાવે લીધો છે. રાજસ્થાન સરકારે વિધાનસભમાં કહ્યું છે કે આ પ્રતિબંધ વસ્તી નિયંત્રણ માટે અસરકારક નહોતો. તે નાગરિકોને માટે ભેદભાવપૂર્ણ હતો. કેમકે તે બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને સ્થાનિક સ્વરાજની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવતો હતો. રાજસ્થાનનો ૧૯૯૧-૯૪માં કુલ પ્રજનન દર ૩.૬ હતો.જે ૨૦૨૪-૨૫માં ૨.૦ છે રાજ્યની કુલ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે પણ  પ્રજનન દર ઘટી રહ્યો છે એટલે હવે તેણે બે થી વધુ બાળકો ધરાવનાર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકશે તેમ કાયદેસર ઠરાવ્યું છે.

    રાજસ્થાન પૂર્વે તેલંગાણા, ઉત્તરપ્રદેશ,  મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે બાળકો કરતાં વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને ઉમેદવારી કરતાં રોકતા કાયદામાં ફેરફાર કર્યો છે અને આ પ્રતિબંધ દૂર કર્યો છે. ૨૦૨૩-૨૪માં બિહારનો ટોટલ ફર્ટીલિટી રેટ ૩.૦૦ અને યુ.પી. નો ૨.૪ હતો . બીજા રાજ્યોનો ટીએફઆર ૨ કે ૨થી થોડો ઓછો હતો. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં માત્ર ઓછો પ્રજનન દર ધરાવતા રાજ્યો જ નહીં રાષ્ટ્રીય પ્રજનન દર કરતાં વધુ પ્રજનન દર ધરાવતા રાજ્યો પણ છે. જે રાજ્યોએ પંચાયત-પાલિકામાં ઉમેદવારો માટે બે કરતાં વધુ બાળકોના નિયમમાં છૂટછાટ મૂકી છે તેમાં ભાજપાશાસિત રાજ્યો છે તો કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોની રાજવટ ધરાવતા રાજ્યો પણ છે. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં રાજસ્થાનમાં વિપક્ષ કોંગ્રેસ વિરોધ કરે છે પરંતુ તેના જ પક્ષની તેલંગાણા સરકારે આવો જ કાયદાકીય સુધારો કર્યો છે તે વિશે મૌન સેવે છે. અર્થાત આ બાબતમાં તમામ રાજકીય પક્ષો વચ્ચે છૂપી  સંમતિ પ્રવર્તતી હોય તેમ લાગે છે.

    દેશના અડધો ડઝન કરતાં વધુ રાજ્યોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ટુ ચાઈલ્ડ નોર્મમાં સુધારો કર્યો છે. પરંતુ એનડીએના પ્રમુખ ઘટક દળ તેલુગુ દેશમની આંધ્રપ્રદેશ સરકારે તો વસ્તી પ્રબંધન નીતિની  ઘોષણા કરી છે. વધુ બાળકો પેદા કરનાર દંપતિને ખાસ પ્રોત્સાહન આપવાની નીતિ ઘડનાર આંધ્રપ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે. આંધ્ર સરકારની જાહેરાત પ્રમાણે હવે રાજ્યમાં જે દંપતિને બીજું અને ત્રીજું બાળક જન્મશે તેને સરકાર રૂ.૨૫,૦૦૦ની પ્રોત્સાહન રાશિ આપશે. IVF ( ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન)થી બાળકો પેદા કરનારને ખર્ચમાં ખાસ રાહત આપવામાં આવશે. ત્રીજા બાળકને પાંચ વરસ સુધી દર માસે પોષણ સહાય રૂપે રૂ. ૧,૦૦૦ આપવાનું પણ નક્કી કર્યું છે. બીજા અને ત્રીજા બાળકને અઢાર વરસની ઉમર સુધી સરકારી શિક્ષણ સંસ્થામા નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ તમામ લાભ રાજ્યની વસ્તીમાં વૃધ્ધિ માટે આપવામાં આવશે.

    આંધ્રપ્રદેશનો હાલનો પ્રજનન દર ૧.૫ છે. દક્ષિણ ભારતના તમામ પાંચ રાજ્યોનો પ્રજનન દર દેશના પ્રજનન દર ૨.૧ કરતાં ઘણો નીચો એટલે કે ૧.૫ જેટલો છે. પરંતુ આંધ્રપ્રદેશ જેવી વસ્તી વૃધ્ધિ માટે નાણાકીય પ્રોત્સાહનની નીતિ કોઈ રાજ્યે જાહેર કરી નથી. આ નીતિ માટેનો રાજ્યનો ઉદ્દેશ લોકસભામાં તેના પ્રતિનિધિત્વમાં થનારા સંભવિત ઘટાડાને અટકાવવાનો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આંધ્રપ્રદેશની લોકસભા બેઠકો ૨૫ હતી. મહિલા અનામતના અમલ પહેલાં લોકસભા બેઠકોનું નવેસરથી પરિસીમન કરવાનો કેન્દ્ર સરકારનો ઈરાદો છે.આંધ્ર પ્રદેશમાં જો ધીમા દરે વસ્તી વધારો થાય તો તેની લોકસભા બેઠકો તો ઘટે જ વસ્તીના આધારે નાણા પંચ નાણાકીય ફાળવણી માટેની જે ભલામણો કરે છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. આ ચિંતા વાજબી હોવા છતાં વસ્તી નિયંત્રણ નીતિને તડકે મુકવાની આંધ્ર સરકારની ઉતાવળ ન સમજાય તેવી તો છે જ અયોગ્ય પણ છે. દક્ષિણના રાજ્યો સહિત દેશના જે જે રાજ્યોનો ટીએફઆર નીચો છે તેમણે સાથે મળીને આ બાબતમાં કેન્દ્રમાં રજૂઆત કરવી જોઈએ તે ખરો માર્ગ છે.

    પ્રજનન દરનો હાલનો ઘટાડો મહિલાઓના દ્રષ્ટિકોણથી તપાસતાં ખૂબ જ પ્રગતિશીલ અને સુધારક જણાય છે. મહિલા શિક્ષણમાં વધારો, મહિલાઓની નોકરી સહિત કુટુંબના નિર્ણયોમાં ભાગીદારી અને સમાજમાં વધતી મહિલા જાગ્રતિ અને સક્રિયતાના કારણે પ્રજનન દરમાં ઘટાડો થયો છે. જો રાજ્યસરકારો વસ્તી વૃધ્ધિના નિયમો અને નીતિઓને મહિલા અધિકારોની અવગણના કરીને  અમલી બનાવશે તો તે સરવાળે રાજ્ય અને દેશને પાછળ ધકેલશે. સામાન્ય રીતે વધુ બાળકો ગરીબો અને અશિક્ષિતોને હોય છે. આમ પણ  આર્થિક અભાવોમાં તેમને માટે કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય છે. ત્યારે નવા બાળકની જવાબદારી તેમના માટે બોજ બની શકે છે અને માનવ સંપત્તિની ગુણવતા ઘટે તેમ પન બનશે. સરકાર જે માસિક પોષણ સહાય, પ્રોત્સાહન રકમ અને બીજા લાભો આપવાની છે તે એક બાળકના શિક્ષણ, આરોગ્ય અને લાલનપાલનના ખર્ચની તુલનામા પર્યાપ્ત જણાતા નથી.

    રાજ્ય સરકારોએ કેન્દ્રના પરામર્શમાં રહીને રાષ્ટ્રીય ધોરણે વસ્તી નિયંત્રણો હટાવવા  બાબતે નિર્ણયો લેવાની જરૂર છે. આંધ્રપ્રદેશ અને બીજા રાજ્યોના પગલાંની પ્રતિકૂળ અને નકારાત્મક અસરોની પણ વ્યાપક ચર્ચા થવી જરૂરી છે. દાયકાઓની કઠોર મહેનત પછી આપણે વસ્તી નિયંત્રણ હાંસલ કર્યું છે. તેને આમ વેડફી ન નાંખી શકાય. પરિવાર નિયોજનનો ગંભીર મુદ્દો રાજનીતિથી પર થઈને વિચારવો જોઈશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘ભારત એક ખોજ’નું સંગીત – પ્રવેશક

    દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

    બીરેન કોઠારી

    ફિલ્મદિગ્દર્શક શ્યામ બેનેગલ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૯૦ વર્ષની જૈફ વયે અવસાન પામ્યા. હયાતિમાં તેમજ વિદાય પછી પણ તેમની ફિલ્મો વિશે ઘણું લખાયું છે, અને હજી લખાતું રહેશે. ફિલ્મકથનની તેમણે અપનાવેલી શૈલી સાવ નોખી હતી. ફિલ્મ હોય, દસ્તાવેજી ચિત્ર હોય કે ટી.વી.ધારાવાહિક, પોતાની આગવી કથનશૈલીને કારણે તેની પર શ્યામ બેનેગલની આગવી મુદ્રા રહેતી.

    ફિલ્મ કે ટી.વી. ધારાવાહિકમાં સંગીતનો પક્ષ અતિ મહત્ત્વનો હોય છે. એમાંય ગીતો ભારતીય ફિલ્મોનું અનિવાર્ય અંગ કહી શકાય, પણ કોણ જાણે કેમ, સમાંતર ગણાતી ફિલ્મોમાં તેની પર ખાસ ધ્યાન ન અપાયું. આમ છતાં, શ્યામ બેનેગલ દિગ્દર્શીત અદ્‍ભૂત ટી.વી. ધારાવાહિક ‘ભારત એક ખોજ’ તેમની તમામ કૃતિઓમાં આગવી ભાત પાડનારી બની રહી. જવાહરલાલ નહેરુએ લખેલા પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઈન્‍ડિયા’ 1પર આધારિત આ ધારાવાહિક કુલ ૫૩ હપ્તાઓમાં દૂરદર્શન પરથી પ્રસારિત થયેલી. જવાહરલાલ નહેરુના જન્મશતાબ્દિ વર્ષ ૧૯૮૯માં દૂરદર્શન દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું. આ શ્રેણીમાં પાંચેક હજાર વર્ષનો ભારતવર્ષનો ઈતિહાસ આવરી લેવાયો હતો. સંપૂર્ણ ઈતિહાસ નહીં, પણ તેનાં મહત્ત્વનાં પાસાં.

    આ ટી.વી.ધારાવાહિકની કથા મૂળ તો શમા ઝૈદી, સુનિલ શાનબાગ અને સંદીપ પેંડસેએ લખેલી, જેનું હિન્‍દી રૂપાંતર વસંત દેવ અને અશોક મિશ્રાએ કરેલું. લેખનમાં શ્યામ બેનેગલની ભૂમિકા પણ મહત્ત્વની હતી. વિવિધ ઈતિહાસકારો દ્વારા આ કથાની અધિકૃતતાની ચકાસણી કરવામાં આવેલી. આ ધારાવાહિક પાછળ લેવાયેલી જહેમત અને મળેલા પરિણામ પરથી જરાય અતિશયોક્તિ વિના એમ કહી શકાય કે સરેરાશ ૪૫ મિનીટના તેના ૫૩ હપ્તા પૈકીના આરંભિક એક બે અને એકાદ છેલ્લો હપ્તો બાદ કરીએ તો બધું મળીને એ પચાસેક ફિલ્મો જેવા હતા. તેનું ફિલ્માંકન પણ ફિલ્મના કેમેરા વડે કરાયેલું, જેથી તેને વિશાળ પડદે દેખાડી શકાય. ફિલ્મનિર્માણના પાઠ્યપુસ્તક સમી આ સમગ્ર ધારાવાહિકમાં સૌથી મહત્ત્વનું પાસું હતું તેનું સંગીત, જે વનરાજ ભાટિયાએ તૈયાર કરેલું. શ્યામ બેનેગલ અને વનરાજ ભાટિયા બન્નેની પહેલવહેલી ફિલ્મ હતી ‘અંકુર’ (૧૯૭૪).

    આ બન્નેની જોડીએ ‘ભારત એક ખોજ’માં જે કમાલ કરી તેના વિશે બહુ ઓછી વાત થઈ છે. દિગ્દર્શન અને સંગીતનાં પાસાં આમ તો એકમેકથી ભિન્ન, છતાં પૂરક હોય છે. દિગ્દર્શક અને સંગીતકાર વચ્ચેની સમજણ જેટલી વધુ એટલું દૃશ્ય ઉઠાવદાર બને, અને સમગ્ર ફિલ્મ કે ધારાવાહિકને તેનો લાભ થાય. અહીં વાત ‘ભારત એક ખોજ’ના કેટલાક સંગીતમય અંશ વિશે કરવાનો ઊપક્રમ છે, જે પક્ષ વનરાજ ભાટિયાએ સંભાળેલો. પણ એ વાત કરતાં અનાયાસે તેમાં શ્યામ બેનેગલની હાજરી વરતાયા વિના રહે નહીં.

    વનરાજ ભાટિયા પથભંજક સંગીતકાર હતા. ફિલ્મોમાં આવતાં અગાઉ તેમણે સંગીતનો અભ્યાસ કરાવેલો, અને એ પછીના ગાળામાં જાહેરખબરનાં અઢળક જિંગલ્‍સની ધૂન તૈયાર કરેલી. એ હદે કે તેમના નજીકના વર્તુળના મિત્રો તેમને ‘વનરાજ’નું અંગ્રેજી નામ ‘જંગલ કિંગ’ અને તેની પરથી ‘જિંગલ કિંગ’ તરીકે ઓળખતા.

    કદાચ બન્ને એકમેકની જરૂરિયાતને બરાબર સમજતા હતા-સિવાય એક બાબત. કેવળ શ્યામ બેનેગલ જ નહીં, સમાંતર સિનેમાના મોટા ભાગના દિગ્દર્શકો સામે વનરાજ ભાટિયાની ફરિયાદ હતી કે તેમને ગીતોનું ફિલ્માંકન કરતાં ફાવતું નથી. આ લખનારને એક અંગત મુલાકાતમાં તેમણે કહેલું કે મહામહેનતે તૈયાર કરેલા ગીતના તેઓ એવી રીતે ટુકડા કરી દે છે કે એની અસર ઊભી ન થઈ શકે. અલબત્ત, ‘ભારત એક ખોજ’માં જે સંગીત સર્જાયું એમાં કદાચ આવી તમામ ફરિયાદોનું એક સાથે સાટું વળી ગયું હશે એમ લાગ્યા વિના રહે નહીં. આ ધારાવાહિકના હપ્તાઓમાં ગીતોનો સમાવેશ થતો, એટલું જ નહીં, અમુક તો આખેઆખા હપ્તા સંગીતમય હતા.

    ****

    પ્રત્યેક હપ્તાના આરંભે અને અંતે આવતી શ્રેય નામાવલિ દરમિયાન સમૂહ સ્વરમાં ઋગ્વેદના નાસદીય સૂક્તની ઋચાઓનું ગાન સંભળાતું. ઋગ્વેદનું નાસદીય સુક્ત સંસ્કૃતમાં नासदासीन्नो सदासात्तदानीं नासीद्रजो नोव्योमा परोयत्મંત્રોચ્ચાર શૈલીમાં પઠન થઈ રહ્યું હોય તે રીતે રજૂ કરાયું છે અને પછી તેને અનુસરતો વસંત દેવે કરેલો હિન્‍દી અનુવાદ – सृष्टि से पहले सत् नहीं था असत् भी नहीं. વનરાજ ભાટિયાએ આ સમગ્ર સમૂહગાન દરમિયાન શાસ્ત્રીય કે ભારતીય વાદ્યોને બદલે કેવળ કી બોર્ડનો ઊપયોગ કરેલો છે, જે ગેબી અને વિશાળતા તેમજ વ્યાપકતાની ગજબ અસર પેદા કરે છે. પ્રથમ હપ્તામાં આ સમૂહગાન પહેલાં પુરુષસ્વરમાં અને પછી સ્ત્રીસ્વરમાં છે.

    આખાં ગાનના બોલ અહીં વિડીયોની નીચે વિવરણમાં વાંચી શકાય છે.


    The Discovery Of India – Jawaharlal Nehru


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)

    1. The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

    ક્રમશઃ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


    સંપાદકીય નોંધ
    “‘ભારત એક ખોજ’નું સંગીત”  લેખમાળા દર મહિનાના બીજા સોમવારે પ્રકાશિત થશે.
    હવે પછીના અંકમાં ‘ભારત એક ખોજ’ના પહેલા બે હપ્તાનાં સંગીત વિશે વાત કરીશું.
  • ફાધર વાલેસ : ભારતીય સંસ્કૃતિનો ખ્રિસ્તી દૂત

    ડંકેશ ઓઝા

    કોઈ વ્યક્તિ સ્પેનની હોય, ખ્રિસ્તી ધર્મમાં કિશોર વયે જેણે દીક્ષા લીધી હોય, અધ્યાપક ગણિતશાસ્ત્રના હોય, ગુજરાતી ભાષા તો ઠીક અંગ્રેજી પણ ભારતમાં આવીને શીખ્યા હોય; એવી વ્યક્તિ ભાષા શીખે, એવું સારું લખે કે ગુજરાતી સાહિત્યકારો જે ઝંખતા હોય એવો રણજિતરાય સુવર્ણચંદ્રક એમને પ્રદાન થાય તો એવી વ્યક્તિનું નામ હશે ફાધર વાલેસ !

    ગુજરાતી ભાષામાં બહુ શરૂઆતમાં જૈનોનું પ્રદાન છે, તે પછી પારસીઓનું પ્રદાન છે. મરાઠીઓએ કર્યું જ છે, આ તો વિદેશી ખ્રિસ્તી. કાકા કાલેલકરને આપણે ‘સવાયા ગુજરાતી’ કહ્યા. ગુજરાતીઓ એટલે શ્રીસવાનું પૂજન કરનારી પ્રજા. એને થોડુંક વધારે જોઈએ, થોડુંક નમતું જોઈએ. એને ‘શુભ-લાભ’ બંને સાથે જોઈએ ! ફાધર વાલેસે એવું કામ કર્યું કે કાકાએ તેમને ‘સવાયા ગુજરાતી’ કહ્યા.

    જન્મભૂમિ સ્પેન, પિતાનું નામ જોસેફ, માતાનું નામ મારિયા. દસ વર્ષની વયે પિતા ગુમાવ્યા. આંતરવિગ્રહને કારણે ઘર છોડીને ચર્ચમાં શરણાર્થી તરીકે રહેવું પડ્યું. પંદર વર્ષની વયે દીક્ષા લીધી.

    ૧૯૪૯માં ૨૪ વર્ષની યુવાન વયે ભારત આવવાનું થયું. ૧૯૫૩માં મદ્રાસમાં ગણિતશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા. મહારાષ્ટ્રમાંથી ગુજરાત જુદું પડ્યું ત્યારે ૧૯૬૦માં અમદાવાદ આવ્યા. ત્રણ દાયકા સુધી ગુજરાતમાં રહ્યા. અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક હતા.

    અમદાવાદમાં ભણાવતાં ભણાવતાં વિદ્યાર્થીઓના સંપર્કને કારણે ગુજરાતી શીખ્યા. અત્યંત સાદગીભર્યું જીવન. સાઇકલ ઉપર ફરતા. ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર ઝીલવા હતા તેથી ૧૯૭૩માં એવો વિચાર કર્યો કે અમદાવાદની પોળોમાં વસતા ગુજરાતીઓના ઘરમાં જઈને રહેવું. પૂરાં દસ વર્ષ આ ઉપક્રમ ચલાવ્યો. મધ્યમ વર્ગના પરિવારોમાં મહેમાન તરીકે રહેતા પણ ઘરના સભ્ય તરીકે કામમાં પણ જોડાતા. થોડા થોડા દિવસે ઘર બદલતા.

    એક વાર તેમણે લખેલું કે ઘરની બહેન દાદર ઊતરીને નીચે પાણી ભરવા ગઈ છે. ઘોડિયામાંનું બાળક રડે છે. હું લેખ લખી રહ્યો છું. સાથે-સાથે બાળકને ઝુલાવીને શાંત રાખવાનો પ્રયત્ન કરું છું. ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં યુવાનોને સંબોધતી કોલમ ‘નવી પેઢીને’ શરૂ થઈ તે પહેલાં તેમણે તંત્રી બચુભાઈ રાવતના પ્રતિષ્ઠિત સામયિક ‘કુમાર’માં લખવા માંડેલું. એ લેખોમાંથી એમનું પ્રથમ પુસ્તક બહાર પડ્યું, નામે ‘સદાચાર’. એટલું લોકપ્રિય થયું કે આજે એની સોળ આવૃત્તિઓ થઈ છે !

    એમની લખવાની શૈલી અત્યંત સરળ અને પ્રવાહી. ટૂંકાં ટૂંકાં વાક્યોની સહજ અભિવ્યક્તિ. ગુજરાતી ભાષાને એવો અને એટલો પ્રેમ કર્યો છે જેટલો સરેરાશ ગુજરાતી નથી કરતો. એમણે લખ્યું છે, હું લખતાં લખતાં વારંવાર ગુજરાતી શબ્દકોશ ઉથલાવું છું. ઉપયોગને કારણે તે ફાટી જાય છે તેથી વારંવાર નવો ખરીદું છું. મારા હાથ છે, મારું લખાણ છે, મારા હાથે ખોટી જોડણી ન લખાય, એની ચીવટ રાખું છું. છે આપણા ગુજરાતીઓની આટલી મહેનત કે ચીવટ ?

    ફાધર વાલેસ અમદાવાદની સૅંટ ઝેવિયર્સ કૉલેજ ખાતે, ૨૦૦૯

    ખ્રિસ્તી ધર્મમાં ફાધર હતા. એટલે સંપ્રદાયના સંતની માફક કુટુંબ સંબંધ પૂરેપૂરો સમાપ્ત કર્યો હોય. લોહીના સંબંધનો વિચ્છેદ એ લગભગ મોટાભાગના ધર્મ-સંપ્રદાયોની પૂર્વ શરત હોય છે. પણ ફાધર જુદી માટીના હતા. આપણા આદિ શંકરાચાર્યે પણ સંન્યાસી હોવા છતાં માતાને અગ્નિદાહ આપેલો ! ફાધર વયોવૃદ્ધ માતાની સેવા-ચાકરી કરવા ગુજરાત છોડીને અને સંપ્રદાય છોડી ૧૯૯૦માં માદરે વતન સ્પેન પહોંચી ગયા. દસ વર્ષ સેવા કરી. માતાએ ૧૦૧ વર્ષે પુત્રના ખોળામાં દેહ છોડ્યો.

    પંચોતેરમા વર્ષે કોમ્પ્યુટર શીખવા લાગ્યા. એટલું જ નહિ, પોતાની વેબસાઈટ શરૂ કરી. એમની ધર્મ વિશેની સમજણ અતિશય આધુનિક અને પ્રગતિશીલ રહી. એમણે ગુજરાતીમાં પંચોતેર, અંગ્રેજીમાં ચોવીસ, સ્પેનિશમાં બેંતાલીસ પુસ્તકોનું સર્જન કર્યું. લેટિન અમેરિકાના વીસેક દેશોમાં સ્પેનિશ ભાષા બોલાય છે, અંગ્રેજી નહિ. ગુજરાતમાં અને દુનિયામાં પુષ્કળ પ્રવાસ કરીને વક્તવ્યો પણ આપ્યાં.

    તેઓ ગમ્મતમાં કહેતા કે ગુજરાતીમાં કહેવત છે – એક ભવમાં બે ભવ કરવા. મારા માટે તો ત્રણ નિર્માયા છે  : સ્પેન, ગુજરાત/ભારત અને લેટિન અમેરિકા. ગુજરાત છોડ્યા પછી વર્ષમાં એક વખત નિયમિત ગુજરાતમાં આવતા અને પોતાના ચાહકોને મળવામાં એમને આનંદ આવતો. વક્તા તરીકે સાંભળવા ગમે તેવા. એમના મોઢે બોલાતી ગુજરાતી અત્યંત મીઠી લાગતી.

    આજે આપણે દુનિયાના ‘વિશ્ર્વગુરુ’ બનવાની ખેવના સેવીએ છીએ. કોઈ પણ ભારતીયને ગૌરવ પમાડે તેવી આ વાત છે. આપણે એને માટે યોગ્ય છીએ કે કેમ એ જરા જુદી વાત છે. ફાધર વાલેસે પોતાની એ યોગ્યતા પુરવાર કરી હતી. એમણે લખ્યું છે કે એક વાર દક્ષિણ આફ્રિકામાં એક ટી.વી. કાર્યક્રમમાં એક ગોરો ખબરપત્રી તેમની મુલાકાત લેતો હતો. એની માનસિકતા ભારત પ્રત્યે સદ્ભાવની ન હતી. તેથી જરા તોછડાઈથી તે પ્રશ્ર્ન પૂછતો હતો. ભારત ગરીબ છે, ભારત ગંદું છે, ત્યાં અનેક પ્રકારની અવ્યવસ્થાઓ છે, એવું તારણ એ કાઢતો હતો. મુલાકાતનો અંત પણ એ નકારાત્મક અસરથી લાવવા માંગતો હતો. તેથી છેલ્લી સેક્ધડોમાં તેણે પ્રશ્ર્ન કર્યો  : ભારત શેની નિકાસ કરી શકે એટલે કે દુનિયાને શું આપી શકે ? ફાધર ક્ષણભર મૂંઝાઈ ગયા, પણ તરત સ્મિત સાથે સ્પષ્ટ જવાબ આપ્યો કે, ‘ભારત શાંતિની નિકાસ કરે છે’ ! અને આ કાર્યક્રમ એ રણકતા શબ્દ સાથે પૂરો થયો. ફાધર લેખનું સમાપન કરતા લખે છે : “એ કામ છે. એ જવાબદારી છે. એ સેવા છે. એ વિનંતી છે. શાંતિની નિકાસ કરીએ. એ સૌથી મોંઘી મૂડી છે.”

    ફાધરના શતાબ્દી પર્વે આપણે ફરી એક વાર આ શાંતિના દૂતનાં પુસ્તકો ખરીદીએ, એને ઉથલાવીએ, એને વાંચીએ, એનું મનન કરીએ, એને વ્યવહારમાં ઉતારીએ, એ પુષ્કળ જરૂરી છે. આજનો જમાનો જાહેરાતનો છે. સાધનોની તો ઠીક માણસો પોતાની જાહેરાતો કરતા થઈ ગયા છે! ફાધર લખે છે કે “જાહેરાતની વૃત્તિ એ આધુનિક માનવીનું લક્ષણ છે… સફળતા હોય તો જરૂર ઢોલ વગાડો…. સાચી સફળતાને તો નમ્રતા ને વિવેક શોભે… જાહેરાત એ ધર્મની ઊધઈ છે.” ફાધરની વાતો આજે વિશેષ કાને ધરવા જેવી છે.


    ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૫

  • જળ પૂછે ઉખાણાં | ક્યારે હતી

    જળ પૂછે ઉખાણાં
    (૨૨-૫-૨૦૨૬, જળ દિવસ)
                   -રક્ષા શુક્લ
    જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.
    ઉત્તરમાં અળવંડા ખાતી જીભ તો જાણે પાણા.
    જળની આંખે જળ ‘ને જળ તો પૂછે એના કારણ,
    કારણમાં ખારાશ નીકળતા ઉલટાં પડતાં તારણ.
    જળ જીત્યું પણ જળ પછવાડે ભીંતે ભરચક કાણાં.
    જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.
    ઉબડ-ખાબડ હું વહેતું, કાં લાવા માફક ગુસ્સો ?
    અમને લાગ્યું ‘જળને ઉછળી જતાવવો છે જુસ્સો.
    જળને લાગ્યું માઠું, છોલાયું ‘ને લાગે ટાણાં ?
    જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.
    કાં જળને નહીં પ્રીત્યું-નેડો, કશું ન કાંઠા સાથે ?
    દોષ વળી પથ્થરના તૂટવાનો લઈ બેઠું માથે.
    કોણ વિચારે, ક્યાંથી મીડિયા પાછળ ઘેલું મા’ણા
    જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.
    ક્યારે હતી
    – ચિનુ મોદી
    પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી?
    સ્વયં નાવ તોફાની ક્યારે હતી?

    મને છોડી દેતા તને કષ્ટ શું
    જણસ સાવ સોનાની ક્યારે હતી.

    નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
    જગા કોઇ મોભાની ક્યારે હતી.

    તમાશા બતાવે બધી બારીઓ
    સડક એની પોતાની ક્યારે હતી.

    હતા સાત પરદા થવા રૂબરૂ
    ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી?

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૯ મું. – ભીષ્મ પ્રતિજ્ઞા.

    પ્રકરણ ૮ મું.- કેસરીયાં થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    સ્વાધીનતાની મદીરા તો શુરવીરોજ જીરવી જાણે. કોરીયાની પ્રજાએ એ પ્યાલો પીધો. પણ છકી ન ગઈ. બીજેજ દિવસે રવિવાર હતો. દેવળો ને મંદિરો માણસોથી ઉભરાઈ ગયાં. આખો દિવસ લોકોએ પોતાના માલીકની બંદગી કરવામાંજ ગુજાર્યો

    બીજી તરફથી જાપાની સરકારે બરાબર તક સાંધી. સોલ્જરોને બહાર કાઢ્યા. આજ્ઞા દીધી કે “ટોળું દેખો ત્યાં છૂટથી લાકડી યા તલવાર ચલાવો; સ્વાધીનતાની ઝુંબેશમાં કોઈપણ આદમી ભળેલો જણાય તો એને પીટી નાખો.”

    સોલ્જરોનાં એ કૃત્યોની છબીઓ જગત ઉપર મોજુદ છે. અમેરિકાના ત્રણ માણસો સાક્ષી પૂરે છે કે સોલ્જરોએ ચુંથી નાખેલા એક કોરીયાવાસીની છબી જોયા પછી તે રાત્રે અમને નીંદ ન આવી.

    જેમ કતલ ચાલતી ગઈ તેમ લોકોનો નિશ્ચય પણ વધતો ગયો દુકાનો બંધ, નિશાળો બંધ, જ્યાં જુઓ ત્યાં મરદોનાં ઓરતોનાં, ને બાળકોનાં ટોળેટોળાં શાંતિથી ને હસતે મુખે મારપીટ ઝીલતાં હતાં.

    બાલકોએ હડતાલ શી રીતે ઉઘાડી, ને જાપાની અધિકારીઓની ધમકીનો શો ઉત્તર વાળ્યો એ વાત તો લખાઈ ગઈ છે. એ ઈતિહાસનાં બધાં પ્રકરણો ભલે ભુંસાઈ જાઓ, પણ કોરીયન રમણીઓની વીર–કથાનો એક અક્ષર વાંકો નહિ થાય. શરીર ઉપર કસકસીને શીવેલાં વસ્ત્રો સોલ્જરોને હાથે ચીરાઈ રહ્યા હતાં, જાપાનીઓનાં ટોળાં એ વસ્ત્ર–હરણનો તમાશો ઠંડે કલેજે જોઈ રહ્યાં હતાં, નગ્ન રમણીઓ કેદખાને ઘસડાતી હતી, – એ બધાનો ચિતાર આપવા દ્રોપદીને સેંકડો વાર જન્મવું પડે, અને જગતમાં મહાભારત રચાયાજ કરે. એ સેંકડો વસ્ત્ર–હરણને સમયે કોઈ કૃષ્ણ ત્યાં હાજર નહોતો !

    થોડી વિગતો તપાસીએ.

    સ્વાધીનતાની ઝુમ્બેશમાં ભાગ લેનારી કોરીયન રમણીઓની શી શી વલે થતી ? જાપાનીઓ બરાબર જાણતા હતા કે પોતાના શરીરનું એક અંગ પણ દેખાઈ જાય તો કોરીયન અબળાને મરવા જેવું થાય. ગિરફતાર થયેલી રમણીને પ્રથમ તો બંદીખાનાની અંદરજ, દારાગાઓની દૃષ્ટિ સમક્ષ, તદન નગ્ન કરવામાં આવે, ત્યારપછી એ નગ્ન શરીરે આખી અદાલત વીંધીને એને આરોપીના પાંજરામાં આવવું પડે. કુલિન ઘરની કુમારિકાઓની આ દશા થાય ! જાપાની સિપાહીઓ એની હાંસી કરે.

    કોઇ રમણીએ અતિ શરમને લીધે પોતાના બે હાથ વડે અંગની એબ ઢાંકી દીધી. સિપાહીએ આવીને એના હાથ પીઠ ઉપર બાંધી લીધા !

    એક કુમારિકાએ કરેલી પોતાની વાત :

    માર્ચ મહિનાની પાંચમી તારીખે અમે થોડીએક બહેનપણીઓએ અમારી માતૃભૂમિની સ્વતંત્રતાને ખાતર દક્ષિણ દરવાજે સરઘસ કાઢ્યું. મહેલની પાસે અમે પહોંચ્યાં ત્યાં તો એક જાપાની સિપાહીએ મારો ચોટલો પકડી, મને જમીન પર પટકી. મને એવો માર માર્યો કે હું બેહોશ બની ગઈ, મારા ચોટલો ઝાલીને મને એ ચાવડી ઉપર ખેંચી ગયો. ચાવડીને દરવાજે વીશ જાપાની સિપાહીઓ ઉભેલા તે બધાયે મને લાતો મારી, ને તલવારના ઘોદા માર્યા. મને એક ઓરડામાં ઘસડવામાં આવી. મ્હારા મ્હોં પર માર પડ્યો. હું બેહોશ બની ગઈ પછી શું બન્યું તેની મને ખબર નથી.

    મને શુધ્ધિ આવી ત્યારે મેં જોયું તો મ્હારી ચોપાસ ખીચોખીચ માણસો પૂરાયેલાં. કેટલાએકની હાલત જોઈને મ્હારૂં હૈયું ફાટી ગયું. પછી અમારી તપાસણી ચાલી. અમલદારો હારા મ્હોં પર થુંકતા જાય. મને મારતા જાય, અને સવાલો પૂછતા જાય

    મને હુકમ મળ્યો કે “છાતી ખુલી કર.” મેં ના પાડી, એટલે સોલ્જરોએ મ્હારૂં વસ્ત્ર ચીરી નાખ્યું. આંખો મીંચીને હું ભોંય પર ઢળી પડી. અમલદારોએ ગર્જના કરી, મને ઘુંટણ પર બેસવા કહ્યું, મ્હારાં સ્તન પકડીને મને ધણધણાવી.

    મને કહેવામાં આવ્યું કે “સ્વતંત્રતા જોઈએ છે ? તલવારને એક ઝટકે ત્હારો જાન લેશું.”

    પાછી મને ચોટલો ખેંચીને હલમલાવી, મ્હારા માથા પર લાકડી મારી—પછી મને નીચે જવા કહ્યું. પણ ઉઠીને ચાલવાની મ્હારી તાકાત નહોતી. હું પેટ ઘસડતી ચાલી. મ્હારાથી ચલાયું નહિ. સીડીના પગથીયાં પરથી હું ગબડી પડી. ફરી હું બેહોશ બની.

    હું જાગી ત્યારે મને બીજી ચોકી પર લઈ જવામાં આવી. ત્યાં મારા લુગડાં કઢાવી મને નગ્ન કરી. પછી લુગડાં પહેરીને હું ઓરડામાં ગઈ.

    બીજે દિવસે દાક્તરે આવી મને નગ્ન બનાવી, મ્હારૂં વજન કર્યું. દારોગાએ મને કહ્યું કે તારા ઉપર કામ ચાલશે. હું રાજી થઇ. મેં માન્યું કે મ્હારી વાત કહી નાખવાની મને તક મળશે. પણ એક દિવસ મને છોડી મૂકી. મ્હારૂં કામ ચાલ્યું નહિ. મ્હારો શું ગુનો હતો તે પણ મને કહેવામાં આવ્યું નહિ.”

    આવી કથનીએ તો અનેક લખાઈ ચૂકી છે. એક નમુનોજ બસ છે.

    આ બધા જુલ્મોની કોરીયાવાસીઓ ઉપર શું અસર થઈ છે ? જેલમાં ગએલાં માણસો, મૃત્યુ સુધી લડત ચલાવવાનો ભીષણ નિશ્ચય કરીને બહાર આવ્યાં. માત્ર ગમ્મતને ખાતર સરઘસોમાં ગએલાં, ને જેલમાં પડેલાં બાલકો, જાપાનના કટ્ટા શત્રુઓ બનીને બહાર નીકળ્યાં.

    આ બધા જુલ્મો કોઈ પુરાણા જંગલી જમાનામાં નથી થયા પણ ૧૯૧૯ના નવયુગમાં ! કોઈ છુપા, વિક્રાળ જંગલમાં નહિ, પણ જગતના ચોકમાં, સ્વતંત્રતાની સહાયે દોડતા પેલા અમેરિકાની આંખો સામે. કોઈ મનુષ્યાહારી, અજ્ઞાન, પશુવત ટોળાંને હાથે નહિ પણ વિદ્યાવિશારદ, કળાકુશલ, અને સુધરેલી દુનિયાની અંદર ઉંચી ખુરશીએ બેસનાર બૌદ્ધધર્મી જાપાનને હાથે ! અમેરિકાનું સ્નેહી એ જાપાન ! ઈંગ્લાંડનું દિલોજાન દોસ્ત એ જાપાન !

    સરકારે પોતાની દમન–નીતિમાં ગરીબ શ્રીમંત વચ્ચેનો ભેદ રાખ્યોજ નહિ, વીશ વિદ્વાન પ્રજાજનો ગવર્નર–જનરલ પાસે અરજી લઇને ગયા. જવાબ મળ્યો કે, “જાઓ પોલીસના વડા પાસે.” પોલીસના વડાએ એ મહેમાનોનાં મંડળનું યોગ્ય સન્માન કર્યું ! બધા ગિરફતાર બન્યા. વાઈકાઉન્ટ કીમ નામનો ૮૫ વરસનો એક વૃદ્ધ અમીર–દુર્બળ અને બિછાનાવશ–જાપાનીઓનો મિત્રજન–દોઢ વરસની સખ્ત મજુરીની સજા પામ્યો. આ અમીર એક વિદ્યાલયનો આચાર્ય હતો.

    આંકડાના શોખીનો માટે કતલના ને ગીરફતારીના આંકડા નીચે મુજબના છે.

    ૧૯૧૯ ના માર્ચથી જુન સુધીમાં કુલ ૧,૬૬,૧૮૩ જણાં જેલમાં ગયા, બે માસમાં ૨૦૦૦ સ્ત્રીઓ, પુરૂષો ને બાળકોની હત્યા કરવામાં આવી, તોયે કોરીઆની ખામોશ અડગ હતી.

    બુદ્ધિમાં પણ કોરીયાવાસીઓ ઓછા ઉતરે તેમ નહોતા. એક વર્તમાનપત્ર છુપું છુપું પ્રગટ થતું ને પ્રત્યેક ઘરમાં પહોંચતું. જાપાની પોલીસ એનો પત્તોજ ન મેળવી શકી.

    રોજ સવાર પડે છે, ને ગવર્નર જનરલ પોતાના ટેબલ ઉપર નજર નાખતાંજ ચમકી ઉઠે છે ! ટેબલ ઉપર શું હતું ? બોમ્બ નહોતો, બંદુક ન હોતી, કોઈ ખૂનીની ચેતવણી ન હોતી. પણ બે છાપેલી નકલો, જેના ઉપર લખેલું, “સ્વાધીનતાના સમાચાર” !

    પહેરેગીરોના બાંકડા ઉપર પ્રભાતે પ્રભાતે આ “સમાચાર” પડ્યું હોય, ને કેદખાનાની કોટડીએ કોટડીએ ‘સમાચાર’ પહોંચી ગયું હોય !

    આ વર્તમાનપત્ર ક્યાં છપાયું, કોણે મોકલ્યું, કોણ મેલી ગયું, એ કોઈ ન જાણે. સેંકડો માણસોને પકડી પકડીને બેસાડવામાં આવ્યા, પણ બીજો દિવસ થાય ત્યાં એનું એ ‘સમાચાર’ આવી પહોંચે !

    ક્યાં છપાતું આ છાપું ? છુપી કોઈ ગુફાઓમાં, મચ્છીમારોની નૌકાઓમાં, અને કબરસ્તાનની અંદર ખડી કરેલી કૃત્રિમ કબરોની અંદર ! ગામડે ગામડે એ ‘સમાચાર’ ગુપ્તપણે પહોંચી જતું. જાપાનનું મશહુર પોલીસખાતું, કે જાસુસ ખાતું કદીયે એનો પત્તો મેળવી ન શક્યું.

    બધો કોલાહલ જાપાનમાં સંભળાણો. જાપાનની સરકાર પૂછે છે કે “મામલો શું છે ?” ગવર્નર સાહેબ કહે છે. “વધુ સૈન્ય ને વધુ કડક કાયદા આપો.” વધુ સૈન્ય આવ્યું, વધુ કડક કાયદા આવ્યા.

    કોરીઆ એ બધાનો શું ઉત્તર વાળે છે ? ૧૯૧૯ ના એપ્રીલની ર૩ મી તારીખે, જાપાની તલવારોના વરસતા વરસાદની અંદર કોરીયાવાસીઓ નીકળી પડ્યા. કોરીઆના તેરે તેર પ્રાંતમાંથી પ્રજા–શાસનને માટે એક બંધારણ ઘડવા પ્રતિનિધિઓ ચુંટાયા. પેલો સીંગમાન–સરકારની ન્હાની સરખી ભૂલથી બચેલો કેદી–પ્રમુખ ચુંટાયો.

    લોક–શાસનના નવા બંધારણમાં નીચેની કલમો મંજુર થઈ.

    ૧. સ્ત્રી પુરૂષના સમાન હક્ક.
    ૨. ધાર્મિક સ્વતંત્રતા, વાણીસ્વાતંત્ર્ય, લેખન પ્રકાશન સ્વાતત્ર્ય, સત્તા સમીતિનું સ્વાતંત્ર્ય.
    ૩. દેહાંત દંડની શિક્ષા રદ.
    ૪. રાષ્ટ્રસંઘે (League of Nations.) કોરીયાને અપમાન દીધેલું છતાં પણ એના સભાસદ થવાની કોરીયાની ઈચ્છા.
    ૫. ફરજીયાત લશ્કરી નોકરી.

    એ જાહેરનામાની અંદર જરા ડોકીયું કરીએ.

    “અમે–કોરીયાની પ્રજા–અમારો ચાર હજાર વરસનો ઇતિહાસ બોલી રહ્યો છે કે અમારે સ્વરાજ્ય હતું, સ્વતંત્ર એક રાજ્ય હતું, ને સહુથી નિરાળી, પ્રગતિશીલ એક સંસ્કૃતિ હતી. અમે શાંતિપ્રિય પ્રજા છીએ. દુનિયાની નૂતન જાગૃતિમાં અમારો હિસ્સો છે, માનવ જાતના વિકાસમાં અમારે ફાળો દેવાનો છે. જગદ્‌વિખ્યાત યશસ્વી એવો તો અમારો ભૂતકાળ છે, અને એવી નિર્મળ અમારી રાષ્ટ્રીય ભાવના છે કે કોઈ પિશાચી જુલ્મ પણ અમને જેર નહિ કરી શકે, કોઈ પરદેશી પ્રજા અમને પી નહિ જઈ શકે, અને જડવાદી જાપાન કે જેની સંસ્કૃતિ અમારાથી બે હજાર વરસો પછાત છે, તેને આધીન તો અમે શી રીતે થશું ?

    જગત જાણે છે કે જાપાને ભૂતકાળમાં દીધેલા કોલ તોડ્યા છે, ને જગત પર જીવવાનો અમારો હક્ક પણ ઝુંટાવી રહેલ છે. પરંતુ અમે જાપાનના એ વીતી ગયેલા અન્યાયોની કે ભેળા થયેલા એના પાપના પુંજોની વાત નથી ઉચ્ચારવા માગતા. અમે તો માત્ર કોરીયાની સ્વાધીનતાનો દાવો કરીએ છીએ,—જગત પર જીવવા માટે, સ્વતંત્રતા ને સમાનતા વિસ્તારવા માટે, અમારી નીતિરીતિને આબાદ રાખવા માટે, પૂર્વમાં શાંતિ સાચવવા માટે, અને આખી દુનિયાનું કલ્યાણ સાધવા માટે. અમારી સંસ્કૃતિને અમે રક્ષી રહ્યા હતા એ અમારો અપરાધ. એ અપરાધને કારણે જાપાન પોતાની લશ્કરી સત્તાનું પશુબળ અજમાવીને અમારા ઉપર દારૂણ અત્યાચાર વરસાવે—માનવ જાતનો જાગૃત પ્રાણ શું આ બધું થંડે કલેજે જોયા જ કરશે કે ? ન્યાયહીન આ અત્યાચારની નીચે ચગદાતાં ચગદાતાં પણ બે કરોડ મનુષ્યોની પ્રભુભક્તિ નહિ અટકવાની, જો જાપાન તોબાહ નહિ પોકારે, પોતાની નીતિ નહિ સુધારે, તો. પછી માતૃભૂમિની સ્વાધીનતા માટે અમે શસ્ત્રો ધરશું;— દેશમાં એક જીવ પણ રહેશે ત્યાં સુધી, ને સમયની પાસે એક છેલ્લી ઘડી હશે ત્યાં સુધી ન્યાયને પંથે અમે કૂચ કરશું, ત્યારે કયા દુશ્મનની મગદૂર છે કે અમોને રોકી શકશે ? સકળ જગતની સાક્ષીએ અમે રાષ્ટ્રીય સ્વાધીનતા પાછી માગીએ છીએ, જગતની સેવાને ખાતર અને પ્રભુભક્તિને ખાતર.

    એ રાજ્ય બંધારણમાં નીમાયેલા પ્રધાનો બધા કોરીયાની જાહેરસેવા કરનારા જ શૂરવીરો હતા, પણ અફસોસ ! એ બધાને કોરીયાની ભૂમિપરથી જાકારો મળેલ હતો. જાપાનીઓ અટ્ટહાસ કરીને કહેવા લાગ્યા કે, “વાહરે, કાગળના ટુકડાનું રાજબંધારણ !”

    હાંસી કરનારા જાપાનીઓ શું વિસરી ગયા હતા કે, મહાયુદ્ધને વખતે બેલ્જીઅમની સરકાર બેલ્જીઅમમાં નહોતી, પણ નિરાધાર બનીને દેશના બહાર ઉભી હતી ? શું વિસરી ગયા હતા જાપાનીએ કે, ઝેકો સ્લોવાકીયાની રાષ્ટ્રીય મંડળીને ૧૯૧૮ માં તો પોતાના દેશમાં પગ મૂકવા જેટલી યે જમીન નહોતી, ને એમાં ચુંટાયેલા સભાસદો પરદેશમાં રઝળતા હતા ? છતાં લોકોએ તો એ રઝળતા શૂરાઓને રાજપદે સ્થાપેલા. આખરે એજ રઝળનારાઓએ આવીને રાજ્ય કબ્જે કર્યું, ને એ જ રાજબંધારણ કાગળ ઉપરથી ઉતરીને દેશની ભૂમિ ઉપર ગોઠવાયું.

    આવતા અંકેઃ પ્રકરણ ૧૦મું. : વેદનાની મીઠાશ.


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૬] : વૈજયંતિમાલા

    નિરંજન મહેતા

    ૯૩ વર્ષની જૈફ ઉંમરે પણ નૃત્ય કરતા નથી અચકાતા તે વૈજયંતિમાલા માટે ઘણું બધું કહી શકાય. ન કેવળ હિંદી ફિલ્મો પણ અન્ય ભાષાની ફિલ્મોમાં પણ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અદાકારી બખૂબી નિખારી છે.

    વૈજયંતિમાલા માટે મોટા ભાગના ગીતો તો લતાજીએ ગાયા છે પણ કેટલીક ફિલ્મોમાં અન્ય ગાયિકાઓએ પણ તેમને માટે ગીતો ગાયા છે જે અહી રજુ કર્યા છે.

    સૌ પ્રથમ એમની અત્યંત જાણીતી ૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’નાં ગીતો જોઈએ. વૈજયંતિમાલાને મનાવવા પ્રદીપકુમાર બંગડીવાળાનાં રૂપે આવે છે અને ગાય છે

    हसीनो मुजसे मत पूछो
    के क्या क्या बेचता हूँ मै
    छुपाकर चूडियो में
    दिल की दुनिया बेचता हूँ मै

    ગાયકો આશા ભોસલે અને હેમંતકુમાર.

     

    સખીઓથી ઘેરાયેલી વૈજયંતિમાલાને પ્રદીપકુમારના બીનનો અવાજ સંભળાય છે અને તે કહે છે

    सुन री सखी मोहे सजना बुलाये,
    मोहे जाना है पी की नगरिया
    ओ मोहे जाना है पी की नगरिया

    ગાયિકા લતાજી

     

    બંને ગીતોના ગીતકાર રાજીન્દ્ર ક્રિષ્ણ અને સંગીત આપ્યું છે હેમંતકુમારે

     

    ૧૯૫૬ની ફિલ્મ ‘કિસ્મત કા ખેલ’નું આ ગીત એક ક્લબમાં નૃત્ય કરતી વૈજયંતિમાલા પર રચાયું છે.

    चलो ले चलू तारो में
    रंग रंगीले गुल्ज़ारो में

    ગાયિકા આશા ભોસલે

     

    બીજું ગીત એક રસ્તા પરનું નૃત્યગીત છે

    तू माने या ना माने बालम,
    तुझे दिल की कसम

    ગાયિકા લતાજી

    બંને ગીતોના રચયિતા શૈલેન્દ્ર અને શંકર જયકિસનનું સંગીત

     

    ૧૯૫૭ની ફિલ્મ ‘આશા’નું આ બહુ જાણીતું ગીત છે. સ્ટેજ પર ગવાયેલા આ નૃત્યગીતમાં શરૂઆતમાં વૈજયંતિમાલા પુરુષવેશમા નૃત્ય કરે છે. આ ગીત ફરી એકવાર કિશોરકુમારના સ્વરમાં પણ આવે છે.

    ईना मीना डीका डाइ डामोनिका
    माका नाका नाका चीका पीका रीका
    ईना मीना डीका डीका डे डाइ डामोनिका
    माकानाका माकानाका चीका पीका रोला रीका
    रम्पम्पोश रम्पम्पोश

    ગાયિકા આશા ભોસલે

    બીજું ગીત પણ સ્ટેજ પર કરાતું નૃત્યગીત છે.

    जरा रुक रुक के
    ज़रा थम थम के
    मै तो द्वार चली सखी बालम के

    ગાયિકા લતાજી

    બંને ગીતોના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત છે સી. રામચંદ્રનું

     

    સમાજને એક સંદેશ આપતી ૧૯૫૮ની ફિલ્મ ‘સાધના’નું આ ગીત એક વિરહી ગીત છે

    संभल ए दिल
    तड़पने और तडपाने से क्या होगा
    जहा बसना नहीं मुमकिन
    वह जाने से क्या होगा

    ગાયિકા આશા ભોસલે અને રફીસાહેબ. વૈજયંતિમાલા સાથે છે સુનીલ દત્ત.

     

    બીજું ગીત સમાજ ઉપરનું એક કટાક્ષગીત છે

    औरत ने जनम दिया मर्दों को, मर्दों ने उसे बाज़ार दिया
    जब जी चाहा मसला कुचला, जब जी चाहा धुत्कार दिया

    ગાયિકા લતાજી

     

    બંને ગીતોના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીત છે એન. દત્તાનું.

     

    ૧૯૫૮ની ફિલ્મ ‘અમરદીપ’  નું આ ગીત એક પ્રેમીની ભાવનાને ઉજાગર કરે છે.

    मेरे मन का बावरा पंछी
    क्यों बार बार डोले
    अखियों में आज किस का
    रेह रेह्के प्यार डोले

    ગાયિકા લતાજી

     

    બીજું ગીત વ્યથા દર્શાવતું ગીત છે

    आराम से दिल दूर है
    और दर्द से मजबूर
    क्यों फिर भी नहीं मेरी
    मोहब्बत तुझे मंजूर
    किसी दिन ज़रा देख मेरा भी होक
    किसी दिन ज़रा देख मेरा भी होक
    कहा तक जिए जायेगा दिल को धो

    ગાયિકા આશા ભોસલે

     

    બંને ગીતોના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત છે સી. રામચંદ્રનું

     

    ૧૯૫૮ની ફિલ્મ ‘સિતારો સે આગે’નું ગીત એક પ્રેમિકાની ભાવનાઓને દર્શાવે છે. અશોકકુમાર આગળ ગવાતા ગીતના શબ્દો છે

    चन्दा की चाँदनी का जादू
    ये रात ये समा
    उल्फत की मौज ले चली है
    मुजको न जाने कहां

    ગાયિકા આશા ભોસલે

     

    બીજું ગીત એક કાર્યક્રમમાં રજુ થયેલું નૃત્યગીત છે

    सैया कैसे धरू धीर
    पग ठुमक चलत बलखाए
    हाए पग ठुमक चलत बलखाए
    हाए सैया कैसे धरू धीर

    ગાયિકા લતાજી

    બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

     

    ૧૯૬૧ની ફિલ્મ ‘નઝરાના’નું ગીત સાઈકલ સવાર વૈજયંતિમાલા અને રાજકપૂર પર રચાયું છે.

    मेरे पीछे एक दीवाना
    कुछ अलबेला मस्ताना
    कोई रोको रे मुझ को सताये है

    ગાયકો આશા ભોસલે અને મુકેશ

     

    બીજું ગીત વૈજયંતિમાલાની લાગણીઓને વાચા આપે છે. રાજકપૂરને ઉદ્દેશીને ગવાતા ગીતના શબ્દો છે

    देखा है तुम ने जिधर जिधर
    महके हैं फूल उधर उधर

    ગાયિકા લતાજી

    બંને ગીતોના રચયિતા છે રાજીન્દર ક્રિષ્ણ અને સંગીતકાર છે રવિ.

     

    ૧૯૬૨ની ફિલ ‘ડો. વિદ્યા’નું ગીત એક પ્રેમિકાના વાયદારૂપ ગીત છે. સાથમાં છે મનોજકુમાર.

    मैं कल फिर मिलूंगी इसी गुलसिता में
    यही शाम को फिर मुलाकात होगी
    निगाह झुका कर जो कहनी है तुमसे
    जरा ये तो सोचो वो क्या बात होगी
    निगाहें झुका कर

    ગાયકો લતાજી અને રફીસાહેબ

     

    બીજું ગીત એક નૃત્ય સ્પર્ધારૂપ ગીત છે.

    आये हाय दिलरुबा
    अरे तुझको क्या पता
    ज़िन्दगी में हर दिल को जीत कर
    जीना है ज़िन्दगी
    हो पप्पा जमार लो

    ગાયકો આશા ભોસલે અને ગીતા દત્ત, સ્પર્ધા છે વૈજયંતિમાલા અને હેલન વચ્ચે.

    બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

     

    ૧૯૬૪ ફિલ્મ ‘ઝીંદગી’નું આ ગીત વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર પર રચાયું છે.

    आज भगवान के चरणों में
    ज़ुका कर सर को
    उम्र भर साथ निभाने की
    कसम खाते है

    ગાયકો આશા ભોસલે અને રફીસાહેબ. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન

     

    બીજું ગીત એક મુજરાગીત છે જે રાજેન્દ્ર્કુમાર આગળ પ્રસ્તુત છે.

    हम प्यार का सौदा करते हैं एक बार
    चाहे मिट जाएँ चाहे मर जाएँ
    चाहे मिट जाएँ चाहे मर जाएँ

     

    ગાયિકા લતાજી. ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન

     

    રાજકીય કાવાદાવાવાળી ૧૯૬૪ની ફિલ્મ ‘લીડર’ના લગભગ બધા જ ગીતો આજે રસિકો માણે છે. પ્રથમ ગીત એક નૃત્યગીત છે.

    दईया रे दईया लाज मोहे लागे
    पायल मोरी बाजे सास मोरी जागे

     

    ગાયિકા આશા ભોસલે

    બીજું ગીત બે પ્રેમીઓની નોકઝોક છે જે વૈજયંતિમાલા અને દિલીપકુમાર વચ્ચે રચાઈ છે.

    तेरे हुस्न की क्या तारीफ़ करूँ
    कुछ कहते हुए भी डरता हूँ
    कहीं भूल से तू ना समझ बैठे
    की मैं तुझसे मोहब्बत करता हूँ

     

    ગાયકો લતાજી અને રફીસાહેબ

    બંને ગીતોના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે નૌશાદે

     

    ૧૯૬૬ ફિલ્મ ‘સુરજ’માં ત્રણ ગાયિકાઓએ સ્વર આપ્યો છે. પ્રથમ ગીત એક નૃત્યગીત છે.

    तितली उड़ी उड़ जो चली
    फूल ने कहा आजा मेरे पास
    तितली कहे मैं चली आकाश
    तितली उड़ी उड़ जो चली

    ગીતમાં વૈજયંતિમાલાની સાથે છે મુમતાઝ. ગાયિકા શારદા. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

    બીજા ગીતમાં વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચેનો પ્રેમાલાપ છે.

    इतना है तुमसे प्यार मुझे मेरे राज़दार
    जितने के आस्मान पर तारे हैं बेशुमार
    इत्नना है तुमसे प्यार मुझे मेरे राज़दार
    जितने के इस ज़मीन पर ज़र्रे हैं बेशुमार

     

    ગાયકો રફીસાહેબ અને સુમન કલ્યાણપુર. ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

     

    તો ત્રીજું ગીત એક નોકઝોક સમાન છે જે વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચે રચાયું છે.

    कैसे समझाऊं बड़ी नासमझ हो
    कैसे समझाऊं बड़ी नासमझ हो
    हमसे ना जीते जी रहने दो जिये बाज़ी
    कैसे समझाऊं

    ગાયકો રફીસાહેબ અને આશા ભોસલે. ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

    ૧૯૬૭ની ફિલ્મ ‘છોટી સી મુલાકાત’નું ગીત છે

    जीवन के दोराहे पे खड़े
    सोचते हैं हम
    जाये तो किधर जाये

    આ ગીત મનની વિટંબણાને દર્શાવે છે.

    ગાયિકા લતાજી

    તો બીજું ગીત જુવાનીમાં પ્રવેશતા દરેકના મનમાં પ્રગટ થતું ગીત છે.

    मत जा मत जा मत जा मेरे बचपन नादां
    बचपन ने कहा मुझसे कुछ रोज़ के हम मेहमां

    ગાયિકા આશા ભોસલે.

    બંને ગીતોના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

     

    ૧૯૬૮ની ફિલ્મ ‘સાથી’ એક પ્રણય ત્રિકોણના વિષય આધારિત ફિલ્મ છે જે રાજેન્દ્રકુમાર, સિમી અને વૈજયંતિમાલા વચ્ચેના સંબંધોને સ્પર્શે છે.

    પહેલું ગીત વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચેનું પ્રેમગીત છે.

    मेरा प्यार भी तू है
    ये बहार भी तू है
    तू ही नज़रो में जाने तमन्ना
    तू ही नज़ारो में

    ગાયકો મુકેશ અને સુમન કલ્યાણપુર

     

    બીજું ગીત લગ્ન બાદની પ્રથમ રાતનું ગીત છે.

    मै तो प्यार से तेरे पिया मांग सजाऊंगी
    तेरे अंगना यह सारी उमरिया बिताऊँगी
    मैं तो प्यार से तेरे पिया मांग सजाऊंगी
    तेरे अंगना यह सारी उमरिया बिताऊँगी

    ગાયિકા લતાજી

    બંને ગીતોના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર નૌશાદ

     

    ૧૯૬૮ની ફિલ્મ ‘સંઘર્ષ’નું પ્રથમ ગીત એક મુજરાગીત છે

    तस्वीर ए मोहब्बत थी जिसमें
    हमने वह शीशा तोड़ दिया

    ગાયિકા આશા ભોસલે

    બીજું ગીત ચાલી જતાં દિલીપકુમારને આહવાન અપાતું ગીત છે.

    मेरे पास आओ नज़र तो मिलाओ
    इन आँखो मे तुमको जवानी मिलेगी
    मेरे पास आओ नज़र तो मिलाओ
    सुनो तो ज़रा धड़कने मेरे दिल की
    इन्ही मे तुम्हारी कहानी मिलेगी

    ગાયિકા લતાજી

    બંને ગીતોના ગીતકાર શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે નૌશાદે


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • પહલા આદમી (૧૯૫૦)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    નેતાજીના જીવન પર શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફરગોટન હીરો’ જોવા મળેલી. એ અગાઉ ફિલ્મીસ્તાનની ‘સમાધિ’ (૧૯૫૦) ફિલ્મમાં ‘આઝાદ હિંદ ફૌજ’ને સાંકળતી કથા હતી. આ જ વરસે ન્યૂ થિયેટર્સની ફિલ્મ ‘પહલા આદમી’ રજૂઆત પામી હતી. તેમાં પણ પૃષ્ઠભૂમિ તરીકે નેતાજીની વાત હતી.

    (બિમલ રોય)

    બિમલ રોય દિગ્દર્શીત આ ફિલ્મમાં સ્મૃતિ બિશ્વાસ, બલરાજ વીજ, પહાડી સન્યાલ, આશિતા બોઝ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ અગિયાર ગીતો હતાં. આ ફિલ્મના કેટલાક ગીતોના ગીતકાર અને ગાયક વિશે હરમંદીરસીંઘ ‘હમરાઝ’ના ગીતકોશમાં માહિતી ઉપલબ્ધ નથી. ગીતકોશ મુજબ આ ગીતો પ્રકાશ બી.એ., શ્યામલ ગુપ્તા, અનંત કૃષ્ણન અને દેશરાજ – એમ ચાર ગીતકારો વચ્ચે વહેંચાયેલાં હતાં, જ્યારે ફિલ્મના ટાઈટલમાં ગીતકાર તરીકે ફ્લાઈટ લેફ્ટનન્ટ પ્રકાશ (એક્સ.આઈ.એન.એ.)નું જ નામ છે, તેમ જ ગીતકારોનો કોઈ ઉલ્લેખ નથી.

    ફિલ્મમાં સંગીત હતું રાયચંદ બોરાલનું.

    (સંગીતકાર રાયચંદ બોરાલ)

    તારોં કી રોશની મેં દુનિયા નઈ બસાયેં‘ (સંધ્યા મુખરજી, અપરેશ લાહિરી), ‘પ્રેમ હૈ દુ:ખ કી જ્વાલા‘ (સંધ્યા મુખરજી, અપરેશ લાહિરી), ફિર બઢી વો રાજદુલારી (ગૌરી મિત્ર, અલી હુસેન), મૈં નેનન નીર બહાઉં (ગૌરી મિત્ર, અલી હુસેન), ‘અશ્કોં મેં છીપી ઉલ્ફત કી કહાની હૈ‘ (સંધ્યા મુખરજી), ‘કૌન કહતા હૈ તસવીર તુમ્હારી’ (સંધ્યા મુખરજી), ‘સુભાષજી સુભાષજી, વો હિન્દ શેર આ ગયે’, ‘ભારત કે જાંનિસારો, સુનો દેશ કી પુકાર‘, ‘ક્યોં ન ગીત ખુશી કે ગાયેં‘ (અલગ અલગ ચાર હિસ્સામાં), ‘હે ખુશનુમા હિમાલય‘ અને ‘બંગ દેશ કા શેર ચલા’. આમાંના છેલ્લા પાંચ ગીતોના ગાયક વિશેની માહિતી ઉપલબ્ધ નથી.

    આ ગીતો પૈકી ‘બંગ દેશ કા શેર ચલા…’ ગીતને ટાઈટલ સોન્ગ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

    આ ગીતમાં સુભાષચંદ્ર બોઝની જીવનકથા કહેવાયેલી છે. તેના અમુક શબ્દો બરાબર સમજાતા નથી. ત્યાં **** નિશાની કરી છે. કોઈ મિત્ર તે ઊકેલી આપશે તો અહીં તે ઉમેરી દઈશ.

    ગીતના શબ્દો આ મુજબ છે.

    भारत के संतान सुनो, नेता की वीर कहानी
    बंग देश का शेर चला जब साफा बांध पठानी
    भारत के संतान सुनो, नेता की वीर कहानी

    जानकीनाथ नाम पिता का, प्रभावती थी माई
    बंग देश ने*********नाम था सुभाष*******
    विद्या पाई कलकत्ते में, पढने गया विलायत
    आई.सी.एस.में पास हुआ फिर लौटा वापस भारत
    पर आझादी के दिवाने को न गुलामी भायी
    तब स्वतन्त्रता आंदोलन में उसने हाथ बटाई
    बापु का प्यारा बेटा….प्यारा बेटा, कई बार जेल हो आया
    छूटकर उसने राष्ट्रपति का सच्चा गौरव पाया…सच्चा गौरव पाया
    ************उसने भारत को आझाद कराने की दी ठानी
    भारत के संतान सुनो, नेता की वीर कहानी

    सन उन्नीससो ईकतालीस माह जनवरी भारी
    एक बजके पचीस मिनट पर निकला वो सौदाई
    बर्लिन में एक फौज खडा कर बर्मा कदम बढाया
    दो जुलाई सन तैंतालीस सींगापुर मेंं आया
    आकर आझादी की उसने ऐसी बिगुल बजा दी
    दिया देश को नया संदेशा आझादी की
    भारत के संतान सुनो, नेता की वीर कहानी

    અહીં આપેલી લીન્કમાં આ ગીત સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – ડૉ. રખમાબાઈનું પોર્ટ્રેટ

    બીરેન કોઠારી

    વાત પોર્ટ્રેટની, ખાસ કરીને ભૂપેન ખખ્ખરે ચીતરેલાં પોર્ટ્રેટની કરીએ તો એવી પ્રચલિત છાપ છે કે તેમણે પોર્ટ્રેટ ઓછાં ચીતર્યાં છે. એમાંય સ્ત્રીઓ…એમનાં સાવ ઓછાં ચિત્રોમાં સ્ત્રીઓ જોવા મળે છે. ગુલામ મોહમ્મદ શેખનાં પત્ની નિલીમા શેખને તેમણે ‘Mrs. Nilima Sheikh looking at orange flower/નારંગી રંગના ફૂલ તરફ જોઈ રહેલાં શ્રીમતી નીલિમા શેખ’ શિર્ષકવાળા ચિત્રમાં ચીતર્યાં છે. નિલીમા શેખે મને એક મુલાકાતમાં કહેલું, ‘ભૂપેને ખુશમિજાજ ચીતરી હોય એવી એક માત્ર સ્ત્રીનું ચિત્ર મારું છે.’ તેમની વાત સાચી છે.

    જો કે, ભૂપેને એક અનન્ય મહિલાનું પોર્ટ્રેટ તેની તસવીર પરથી ચીતરેલું. એ મહિલાનું નામ રખમાબાઈ. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલી રખમાબાઈની અગિયાર વર્ષની વયે, એ જમાનાના રિવાજ મુજબ લગ્ન થઈ ગયું. પતિની ઉંમર બાવીસ વર્ષની. લગ્ન પછી અગિયાર વર્ષ સુધી રખમાબાઈ પિયરમાં જ રહ્યાં અને કેળવણી પ્રાપ્ત કરતાં રહ્યાં. તેમનો પતિ કશું કરતો નહોતો. રખમાબાઈનો વિકાસ થતો રહ્યો, આથી કાળક્રમે સ્થિતિ એવી ઊભી થઈ કે આવા નકામા પતિને ત્યાં જવાના વિચારમાત્રથી તેમને દહેશત લાગવા માંડી. પતિએ પત્નીને પામવા માટે મુંબઈની વડી અદાલતમાં મુકદ્દમો દાખલ કર્યો. અદાલતે રખમાબાઈને પતિને ત્યાં જવાનો હુકમ કર્યો. હજી ‘સત્યાગ્રહ’ શબ્દનો જન્મ થયો નહોતો એવે સમયે રખમાબાઈએ ભરી અદાલતમાં ઘોષણા કરી દીધી કે પોતે એવા પતિને ત્યાં જવા કરતાં જેલની સજા ભોગવશે. એ એવો સમય હતો કે જેલની સજા ભોગવવાનું કોઈ સ્ત્રી તો ઠીક, પુરુષ સુદ્ધાં વિચારી ન શકે. અલબત્ત, આખરે રખમાબાઈની જીત થઈ. બે હજાર રૂપિયા લઈને તેમના પતિએ મામલો નિપટાવ્યો. રખમાબાઈ એ પછી ઈન્ગ્લેન્ડ ગયાં અને ડૉક્ટર બનીને સ્વદેશ પરત ફર્યાં. તેમના જીવન પરથી મરાઠીમાં ‘ડૉક્ટર રખમાબાઈ’ નામે ફિલ્મ પણ બની છે, જેની રજૂઆત ૨૦૧૬માં થઈ હતી.

    દિલ્હીસ્થિત ઈતિહાસકાર સુધીર ચન્દ્રે આ અસાધારણ મહિલાના અસાધારણ મુકદ્દમાને ધ્યાનમાં રાખીને એક પુસ્તક લખ્યું. ‘Enslaved Daughters’ નામનું આ પુસ્તક ૧૯૯૮માં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત થયેલું. આ પુસ્તકનું આવરણ ભૂપેને ચીતરેલું. સુધીર ચન્દ્ર અને ભૂપેન ખાસ મિત્રો હતા. સુધીર ચન્‍દ્ર એ સમયે સુરતના ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ સાથે સંકળાયેલા હતા. ભૂપેને રખમાબાઈની એક તસવીર માંગી અને તેની પરથી પોર્ટ્રેટ ચીતર્યું.

    આ પુસ્તકની પછી તો અનેક આવૃત્તિ થઈ.

    ભૂપેને ચીતરેલું આ પોર્ટ્રેટ જુઓ. એનેટોમીની રીતે એ પૂર્ણ નથી. પણ રખમાબાઈની આંખો દર્શકને વિચલીત કરી મૂકે છે. ચહેરો કદાચ વર્તમાનને કારણે ઉદાસ છે, પણ તેની આંખોમાં ચિંતાના ભાવ સાથે ભવિષ્ય માટેનો દૃઢ સંકલ્પ હોય એમ જણાય છે. સુધીર ચન્દ્રે પોતે લખ્યું છે એમ, ‘અનાયાસે જ ભૂપેને દોરેલા એ અસાધારણ મહિલાના ચિત્રમાં ‘એન્ડ્રોજની’/ઉભયલિંગીપણું પણ ઝળકે છે.

    પોર્ટ્રેટમાં સામાન્ય રીતે કાળો રંગ વાપરવાની હિંમત ઓછા કલાકારો કરે છે. ભૂપેને એવી કોઈ પરવા વિના એનો ઉપયોગ કર્યો છે એ જોવા જેવું છે.

    ભૂપેનનાં અનેક ચિત્રોની એ ખાસિયત હતી કે એમાં એન્ડ્રોજનીની ઝલક જોવા મળતી. એ વિશે વધુ વાત આગળ ઉપર કરીશું.

    (ભૂપેને ચીતરેલું રખમાબાઈનું પોર્ટ્રેટ)
    ( આ પુસ્તકની સુધીર ચન્‍‍દ્રે ભૂપેનને આપેલી નકલ પર સુધીર ચન્દ્રના હસ્તાક્ષર અને લખાણ)

     

    ( ડાબે રખમાબાઈની મૂળ તસવીર અને જમણે તેમના જીવન પર બનેલી ફિલ્મની જાહેરખબર, જેમાં તન્નિષ્ઠા ચેટરજીએ આ ભૂમિકા ભજવી હતી.)


    (ચિત્રો નેટ પરથી)


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • પેન્ટિંગ બનતાં બનતાં

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kala Sampoot – Making of Piantings

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com