-
સ્વરાજથી સમતા સુધી: સંઘર્ષ એક, આયામ અનેક
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હમણે વાંચી તો રહ્યો છું એક હસ્તપ્રત, જગજીવન રામ વિશે અરવિંદ માર્ડનની કલમે : જોઉં છું કે પાંચમી એપ્રિલે એમની જન્મજયંતી ટકોરા દઈ રહી છે; અને વાંસોવાંસ ફુલે જયંતી (અગિયારમી એપ્રિલ) અને આંબેડકર જયંતી (ચૌદમી એપ્રિલ) પણ… બિલકુલ, એપ્રિલ જાણે કે દલિત ઇતિહાસ માસ સ્તો. જોકે આ લખી રહ્યો છું ત્યારે બે પિછવાઈધક્કા પણ ચિરશોભીતા અનુભવું છું. હવામાં કાંશીરામને ભારતરત્ન ઘોષિત કરવાની માંગ માયાવતીની જ નહીં, રાહુલ ગાંધીની પણ છે. વળી, ખાસ તો, આજકાલ શશી થરુરની નારાયણ ગુરુ પરની કિતાબ ચર્ચામાં છે.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ગાળામાં એક તબક્કે એ કેવી મોટી ઘટના હશે, એનો બને કે આજે આપણને પાધરો ખયાલ નયે હોય. પણ વરસેક પર વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી વિશે વાંચવા-લખવાનું થયું ત્યારે ગાંધીજીનો એક હૃદયવેધી ઉદગાર બલકે પુણ્યાવેશી ચિત્કાર નોંધવાનું બન્યું હતું તે બસ થઈ પડશે. મંદિર ફરતે જે રસ્તાઓ હતા તેમાં દલિતોને ચાલવાની પરંપરાગત બંધી હતી. ગાંધીજીએ કહ્યું હતું : જેની ફરતે રસ્તા પર નારાયણ ગુરુ પણ ન ચાલી શકે તેવું મંદિર હું કલ્પી શકતો નથી. ઈસવી ૨૦૦૦ સંકેલાતે મેન ઓફ ધ મિલેનિયમ કોણ એવી ચર્ચામાં વિશ્વસ્તરે ઊપસેલું નામ ગાંધીજીનું હતું. પણ ૧૯૯૯માં એક મલયાલી અખબારે કેરળ પૂરતું આવું સર્વેક્ષણ કર્યું ત્યારે ઉભરેલું નામ નારાયણ ગુરુનું હતું : વાયકોમ પર્વમાં ગાંધીનું નારાયણ સ્મરણ એક સહસ્ત્રાબ્દી પુરુષે બીજા સહસ્ત્રાબ્દી પુરુષને આપેલી અનન્ય અંજલિ હતી. જે કાળે બેછૂટ છુઆછુતને કારણે વિવેકાનંદને કેરળની ભૂમિ ગાંડાઓના આશ્રયધામ (લ્યુનેટિક એસાયલમ) જેવી લાગી હતી એની વચ્ચે નારાયણ ગુરુ આવ્યા અને એક નાત, એક ધર્મ, એક ઈશ્વર એવા ખ્યાલ સાથે કેમ જાણે છાઈ ગયા. શિવગિરિ જાતરાનો જે સમો એમણે બાંધી જાણ્યો એમાં ઊપસી રહેલાં વાનાં શિક્ષણ, સ્વચ્છતા, ખેતી, ઉદ્યોગ ને ટેકનિકલ ટ્રેઈનિંગ જેવાં હતાં. વાયકોમ દિવસોમાં, એમ તો, કોંગ્રેસમેન પેરિયાર પણ સત્યાગ્રહ સાથે હતા પણ એ મોળો લાગતાં ખસી ગયા હતા. જોકે એમની રીતે એમણે પૂરા કદનો જ વૈકલ્પિક વિમર્શ જગવ્યો એની વચાળે ગાંધી પરત્વે એમનો અભિગમ પ્રસંગે સલામત અંતર એટલો જ સટીક સમાદરનો રહ્યો.
મહારાષ્ટ્રની ફુલે-આંબેડકર પરંપરા જુઓ. શિવાજી તો અમારા શુદ્રોના રાજા કહેતાં ફુલે અંગ્રેજી રાજને કારણે જે સમતાલક્ષી સંભાવના ઊભી થઈ એના કાયલ છે. આંબેડકર બૌદ્ધ બનવું પસંદ કરે છે, અને ક્યારેક વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર રહ્યા પછી એ તમને પ્રજાસત્તાક સ્વરાજના બંધારણના અગ્ર ઘડવૈયાઓમાં જોવા મળે છે. પુના કરારે ગાંધી-આંબેડકર જેવા બે કથિત સ્પર્ધી ભેરુઓને એવા સાંકળ્યા છે કે ગાંધીસૂચને આંબેડકર નેહરુ-પટેલના બરકયા સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળ પર છે.
આ તો પ્રમાણમાં જાણીતી વિગત છે. પણ ઇંદ્રાણીએ પતિ જગજીવન રામનાં જે સંસ્મરણો આલેખ્યાં છે એમાં નોંધ્યું છે કે ત્યારે દલિત છેડેથી કોંગ્રેસ નેતૃત્વમાં ઉભરેલા જગજીવન રામ પણ આંબેડકર સાથી પ્રધાન હોય તેવું સૂચવવામાં હતા. જે અર્થમાં જગજીવન રામ સીધી સ્વરાજ લડતમાં હતા તે અર્થમાં આંબેડકર અલબત્ત નહોતા. પણ સમતા વગરની રાજકીય સ્વતંત્રતા અધૂરી છે એ સમજમાં તો બેઉ સાથે જ હતા ને. પુના કરાર સાથે આંબેડકર રાષ્ટ્રીય સ્તરે ઊંચકાયા ત્યારે જગજીવન રામની રાજકીય કામગીરી ને કારકિર્દીની પણ માંડ શરૂઆત હશે. બિહારના આ તેજસ્વી છાત્રને માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ સારુ નિમંત્ર્યો, પણ જેમ સયાજીરાવ આંબેડકરને નિવાસ ન અપાવી શક્યા તેમ માલવિયાજી જગજીવન રામને છાત્રાવાસ ન અપાવી શક્યા. કલકત્તે જઈ ભણી ઊતર્યા ને ડિપ્રેસ્ડ લીગ તેમ કોંગ્રેસ મારફતે સક્રિય બન્યા. એમણે ધર્માંતરમાં નહીં પણ ધર્મસુધારમાં ઉગાર જોયો. વ્યાપક સમાજ સાથે, સમતા મથામણ પૂર્વક પણ અનુબંધની ભૂમિકાએ એ સક્રિય હતા. કેન્દ્રીય પ્રધાનમંડળના એમનાં વર્ષો બાંગલા ઘટના વેળાએ સંરક્ષણ પ્રધાન તરીકે તેમ હરિયાળી ક્રાંતિના વારામાં કૃષિપ્રધાન તરીકે ઝળહળતાં છે. લઘુત્તમ વેતન ધારો તેમજ કામદાર વીમા યોજના આદિનું શ્રેય એમને નામે ઇતિહાસ જમે છે.
કાંશીરામે આંબેડકરને ગુરુ કીધા તો કીધા, પણ આંબેડકર જો અલ્પસંખ્યક માત્રને પૂરા અધિકારે સજ્જ બનાવવામાં અગ્રતા જોતા હતા તો કાંશીરામ નાનામોટા અલ્પસંખ્યકોને એકત્ર કરી બહુસંખ્ય રાજનૈતિક ફતેહની રણનીતિમાં રમેલા હતા. આંબેડકરને માટે હિંદુ મટી બૌદ્ધ થવું એ અંતરતમની આરત હશે તો કાંશીરામ માટે આપણે સત્તા પર આવીએ અને બૌદ્ધ બનીએ તો રોલો પડી જાય એવું હશે. માયાવતી સર્વસમાજ ફોર્મ્યુલા સાથે મુખ્યમંત્રીની પાયરીએ પહોંચ્યાં એ નિ:શંક એક વિક્રમ ઘટના હતી. જો સહયોગપૂર્વક સમતાલક્ષી સ્વરાજ નિર્માણ અભીષ્ટ હોય તો કેવળ આંબેડકર છેડેથી અગર કેવળ જગજીવન રામ છેડેથી ચાલવાનું નથી. થોડી બાંધછોડ, થોડી સોરાબ-રુસ્તમી… અને તમે જુઓ, કેવોક ગોફ ગુંથાતો આવે છે!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫-૩-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ – ૨
મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ [૧] થી આગળ
રામચંદ્ર ગુહા
અનુ. ડંકેશ ઓઝા
હું ચંડીપ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણાની વાત એથી કરી શકું છું કે ચીપકો ચળવળના અભ્યાસને કારણે હું તેમના કામ સાથે ગાઢ સંપર્કમાં મુકાયો. તમારા બધાંમાંથી જે લોકો નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલા છે, તેમણે પણ તેની નેતાગીરીના જીવન-કાર્યમાં ગાંધીની ભાવના જેવું કંઈક જોયું જ હશે. ચીપકો આંદોલન અને નર્મદા આંદોલન તો ઉત્કૃષ્ટ છે જ. તે કંઈ ગાંધીના જીવંત વારસાનાં એકલદોકલ ઉદાહરણ માત્ર નથી. કારણ કે સાંપ્રત પર્યાવરણ ચળવળમાં તે અન્યત્ર પણ જોવા મળે છે.
જોકે આજના પર્યાવરણવાદીઓ ગાંધીના દાખલાને અનુસરી રહ્યા હોવાનો માત્ર દાવો કરતા નથી, તેઓ તો આગળ વધીને એમ કહે છે કે મહાત્માને આધુનિક ઔદ્યોગિક સમાજની પર્યાવરણ સમસ્યાની બહુ વહેલી જાણ થયેલી. શું ગાંધી સમયથી વહેલા પર્યાવરણવાદી હતા ? તેમના પ્રશંસકો સવાલનો જવાબ પૂરતા પુરાવા સાથે કાયમ હકારમાં આપતા રહ્યા છે. એ તો હવે સર્વ સ્વીકૃત છે કે ગાંધીને પર્યાવરણની નિસબત વહેલી સમજાઈ ગયેલી. ક્યાં અને કયા પ્રકારે એ કટોકટી તેમને જોવા મળી તે અંગે તેમણે સ્પષ્ટ કહ્યું નથી. આ ઉદ્દેશથી જો એમનાં બધાં લખાણો તપાસવામાં આવે તો ૧૯૦૯માં પ્રકાશિત હિંદ સ્વરાજ તરફ પહેલી નજર જાય છે.
આપણા સમયના વિશિષ્ટ ગાંધીજન તેથી જ દાવો કરે છે કે વિકાસનો વૈકલ્પિક નકશો ગાંધીએ તેમાં આપ્યો છે. તેમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે “વિકાસની હાલની તરાહમાં કેવી રીતે માણસ માણસનું અને માણસ કુદરતનું કેવું શોષણ કરે છે.” જોકે તાજેતરમાં મેં ફરી હિંદ સ્વરાજ વાંચ્યું. હું પેલા ચુકાદા સાથે સંમત થઈ શકતો નથી. આધુનિક પશ્ર્ચિમી સંસ્કૃતિ પ્રત્યે પ્રગટ ધિક્કાર પછી એ પુસ્તકમાં માણસના કુદરત સાથેના સંબંધ વિશે કશું કહેવાયું નથી અને વિકાસના વૈકલ્પિક પરિપ્રેક્ષ્ય બાબતે તો તેમાં એથી પણ ઓછું છે.
ગ્રામીણ ભારતમાં તે ખૂંપી ગયા અને વસાહતવાદની સમજણ વિકસી એટલે એમને સ્પષ્ટ થયું કે પશ્ર્ચિમના ઔદ્યોગિક વિકાસની પદ્ધતિને અનુસરવાનું ભારત માટે અશક્ય છે. એ તો સ્વીકારવું રહ્યું કે તેમની પાસે ભારતના વિકાસનું વૈકલ્પિક માળખું હાથવગું નથી. એનાં બે કારણ છે : ૧. એ પદ્ધતિસરના વિચારક નથી ૨. રાજકીય અને સામાજિક બાબતે સંગઠન અને સુધારાની બાબતો એમના દિમાગમાં સર્વોપરી છે. આમ છતાં ૧૯૨૦, ૧૯૩૦ અને ૧૯૪૦નાં એમનાં છૂટાંછવાયાં લખાણો એક પ્રકારે વિકલ્પના માર્ગ તરફ સંકેત કરતાં રહે છે. હવે હું તેથી જ એ લખાણો ઉપર આવું છું.
ભારતના થોકબંધ ઔદ્યોગિકીકરણ અંગેના ગાંધીના વાંધાવિરોધ નૈતિક ભૂમિકાએ છે. તેઓ માને છે કે એવો આધુનિક સમાજ સ્વાર્થમાં અને સ્પર્ધામાં રમમાણ હશે. આ બધા વિચાર પાછળ પર્યાવરણીય અંદેશાઓ તો રહેલા જ છે. આ સંદર્ભમાં એમના સામયિક યંગ ઇન્ડિયા તા. ૨૦/૧૨/૧૯૨૮ના લેખનો એક ફકરો જોઈએ :
“ભગવાન કરે ભારત પશ્ર્ચિમના જેવા ઔદ્યોગિકીકરણના માર્ગે ન ચઢે તો સારું. એક ટચૂકડા ટાપુ પરના અંગ્રેજ રાજનો આર્થિક શાહીવાદ આખી દુનિયાનો ભરડો લઈ બેઠો છે. જો ત્રીસ કરોડનો દેશ આ જ પ્રકારના આર્થિક શોષણને માર્ગે વળે તો દુનિયાના તીડોની સંખ્યા પણ ઓછી પડશે.”
આના પણ બે વર્ષ પહેલાં ગાંધીએ લખેલું, ભારતને ઇંગ્લેંડ અને અમેરિકા જેવું બનાવવું હશે તો શોષણ માટે પૃથ્વી પર સ્થળો અને નવી જાતિઓ શોધવી પડશે. અત્યારે તો એવું લાગે છે કે પશ્ર્ચિમી દેશોએ યુરોપ બહારની બધી જ જાણીતી જાતિઓને શોષણ માટે વિભાજિત કરી નાખી છે. હવે કોઈ નવી દુનિયાને શોધવાની રહેતી નથી. આમ કહીને ગાંધી સવાલ કરે છે : “પશ્ર્ચિમનું અનુકરણ કરવા જતાં ભારત શી દશામાં મુકાશે ?” (યંગ ઇન્ડિયા તા. ૭-૧૦-૧૯૨૬).
ગાંધીને કદાચ એનું સ્હેજે આશ્ર્ચર્ય ન થયું હોત. કારણ એમને ખબર હતી કે ઔદ્યોગિક વિકાસ નગરો સર્જે છે અને બાકીના પ્રદેશનું એકપક્ષી શોષણ જોવા મળતું હોય છે. ૧૯૪૬માં તેમણે આ વાત લાક્ષણિક ઢબે વ્યક્ત કરેલી : “ગામોનાં લોહી ઊભાં થતાં શહેરોમાં સિમેન્ટનું કામ કરે છે.” (હરિજન ૨૩-૬-૧૯૪૬) આ પૂર્વે પણ ગાંધીએ પોતાની દૃઢતા તેમજ સૌમ્યતાથી ઇન્દોરની સભાને ચેતવેલું કે નગરજીવનમાં સંસાધનોનું કેન્દ્રિકરણ થઈને જ રહેવાનું. તેમના શબ્દો હતા : “આપણે ઝગારા મારતી લાઈટ સાથેના સરસ પંડાલમાં બેઠા છીએ. પણ આપણે જાણતા નથી કે આ બધો ભાર ગરીબોની કેડે જ છે.” (હરિજન, તા. ૧૧-૫-૧૯૩૫)
ઔદ્યોગિકીકરણનાં દૂષણોના આ નિદાનમાંથી જ ગાંધીનો ઉકેલ પ્રગટેલો. જ્યાં આર્થિક વિકાસના કેન્દ્રમાં ગામ હતું. એમની ઇચ્છા એ હતી કે નગરોની ધોરી નસોમાં જે લોહી રહ્યું છે એ ફરી પાછું ગામોની નસોમાં વહેતું થાય. આ એમનું સ્વપ્ન પણ હતું. આ વિચારમાં રાજકીય અને આર્થિક સત્તાનું વિકેન્દ્રિકરણ મહત્ત્વનું હતું જેથી ગામો ફરી કાબૂ ધરાવતાં થાય. જ્યારે એમના પર આરોપ મુકાયો કે તેઓ વિજ્ઞાનની શોધોને નજર-અંદાજ કરી રહ્યા છે જેમાં વિજળી અત્યંત મહત્ત્વની છે. ત્યારે ગાંધીએ કહેલું : “જો ગામના દરેક ઘરમાં વીજળી આવતી હોય તો તેનાં સાધનો માટે ગામના લોકો મદદરૂપ થાય તેનો મને બહુ વાંધો નથી. પરંતુ તે સંજોગોમાં ગ્રામીણ સમૂહો કે રાજ્ય ગામના ગૌચર પર જે સત્તા ધરાવે છે એવી એમની સત્તા વીજળી મથકો પર પણ હોવી જોઈએ.” (હરિજન તા. ૨૨-૬-૧૯૩૫)
પર્યાવરણવાદીના સ્વપ્નલોક માટે આ ચિત્રમાં ખૂબ સુંદર એવાં ઘણાં તત્ત્વો પડેલાં છે, જેવાં કે સ્થાનિક સ્વનિર્ભરતા, સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ, સામૂહિક વ્યવસ્થાપન અને માનવજીવન માટે કુદરતની ભેટનો ઉપયોગ, પાણી અને લીલોતરી. પણ ગાંધી માત્ર સ્વપ્નદૃષ્ટા ન હતા. એમનાં સ્વપ્નોમાં વ્યવહારુતા બુદ્ધિપૂર્વક ભળેલી હોય છે. આ સંદર્ભમાં એમણે જમીનની ફળદ્રુપતાની મોટી સમસ્યા માટે કેવું ધ્યાન આપ્યું છે તે નોંધવા જેવું છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, ખેતીના ઝડપી યાંત્રિકીકરણના પુરસ્કર્તાઓને ચેતવણી આપતાં તેમણે કહેલું કે જમીનની ફળદ્રુપતાનો ઝડપી પેદાશો માટે ઉપયોગ કરવા લાગશો તો તે વિનાશક અને ટૂંકી દૃષ્ટિવાળું પુરવાર થઈ રહેશે. તેમાં જમીન લગભગ બિનફળદ્રુપ બની રહેશે. (હરિજન તા. ૨૫-૮-૧૯૪૬)
તેઓ સેન્દ્રિય ખાતરના ઉત્સાહી પુરસ્કર્તા હતા. જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય અને કચરાના અસરકારક નિકાલ દ્વારા ગામનું આરોગ્ય સુધરે, વિદેશી હૂંડિયામણ બચે અને પાકનું ઉત્પાદન વધે – આ બધું, આજે આપણે જાણીએ છીએ તેમ, આજની આધુનિક રાસાયણિક પદ્ધતિઓ જે સંસાધનો બગાડે છે, પરિણામે પ્રદૂષણ પેદા થાય છે. રાસાયણિક પદ્ધતિઓ સિવાય ઇન્દોરના પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટીટ્યુટમાં આલ્બર્ટ હોવાર્ડે કુદરતી ખેતીની જે પદ્ધતિઓ વિકસાવી હતી તેની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એના વિશે વિગતે લખતાં તેમણે તે સાથે પૂર્ણ સંમતિ દર્શાવી હતી. જેમાં છાણ, ખેતરનો કચરો, લાકડાનું ભૂસું અને રાખ તથા પેશાબનો ઉપયોગ મૂલ્યવાન ખાતરમાં થતો હતો.
ક્રમશ:
ભૂમિપુત્ર : ૧ ડિસેમ્બર, ૨૦૨૪
-
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હરિશ્ચંદ્ર ભટ્ટ
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો.!કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
એક સપનું – “મેધા, તુ કહાં, યે બતા! (ભાગ ૨)
જયશ્રી વિનુ મરચંટ
ભાગ ૧ થી આગળ
મારી બચપણની ખૂબ જ વ્હાલી સખી, મેધા, મેધા પાટીદર, ક્યાં હતી આજકાલ? ૨૦૧૬માં મારા એક ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ- કદાચ વિચિત્ર – સપનામાં આવીને મને અને મારી જિંદગીને એની યાદો હલબલાવી ગઈ હતી. મેધા અને હું બીજા ધોરણથી સાથે હતા. ફીફ્ટીસ અને સીક્સ્ટીસમાં, માંડ દસ થી પંદર હજારની વસ્તી ધરાવતું મલાડ, મુંબઈનુ, એક પશ્વિમનું પરું – સબર્બ હતું. નો કમ્પ્યુટર, નો ઈન્ટરનેટ, નો સેલ ફોન, નો સોશ્યલ મિડિયા – ફેસબુક- એટલે કે નો ફસાદબુક – (સોરી!) કે નો ટ્વીટર! શું સોનેરી દિવસો હતા! સાચે જ, “ते हि नः दिवसो गताः”! એ સુખના દિવસો જતા રહ્યા! સોશ્યલ મીડિયા નહોતા, પણ માણસો ‘સોશ્યલ’ હતા. માણસોને એકમેકને મળવા માટે ફોન કરીને સમય લેવાની પણ જરૂર નહોતી. મીડિયા જેવું કોઈ ‘મીડલમેન’ તત્વ હતું જ ક્યાં, ત્યારે?
એ સમયનું મલાડ અને આજનું મલાડ..! બધું કેટલું બદલાઈ ગયું હતું? ક્યાં શોધું મારી એ વ્હાલી મેધાને? મારી, સીમા અને મેધાની દોસ્તીની બધાંને જ નવાઈ લાગતી હતી. હું શાળામાં ખૂબ સોશ્યલ હતી અને અનેક મિત્રો હતા. સીમા સરળ અને પ્રવાહી સ્વભાવની હતી, જેની પણ સાથે હોય, એની જોડે સીમા હળી મળી જતી પણ પોતાપણું કદીયે ન ગુમાવતી. મેધા ખૂબ જ શાંત અને અંતરમુખી હતી અને બહુ ઓછું બોલતી, પણ એના મોઢા પર કોઈ અજબ શાંતિ સદા માટે રહેતી. હું ને સીમા, અંદર અંદર વાતો કરતી વખતે, ક્યારેક ટીચર્સની મસ્તી કરતાં તો ક્યારેક સહપાઠીઓની વાતો કરતાં. પણ મેધા જેનું નામ, એ અમને કહેતી, “આવી વાતો કરીને તમને શું મળે છે?”
હું અને સીમા હાઈસ્કૂલના એ દિવસોમાં, મેધાને ગણિતની કોન્સટન્ટ સંજ્ઞા “પાઈ” કહીને બોલાવતાં અને એની મશ્કરી પણ કરતાં કે, “ગમે તે થઈ જાય, “પાઈ”ની વેલ્યુ સિસ્ટમ બદલાય જ નહીં!”
મેધા સાત વરસની હતી ત્યારે એના પિતાની બદલી નડિયાદથી મુંબઈ થઈ હતી. અમારી મૈત્રીની શરૂઆત મેધા શાળામાં પહેલા દિવસે આવી, ત્યારથી થઈ હતી. શાંત, બે ચોટલા વાળેલી, થોડીક શ્યામ પણ તાજી ખીલેલી પોયણી જેવી ખૂબ નમણી, ઊંચી અને એકવડા બાંધાવાળી આ નવી વિદ્યાર્થીની બીજા ધોરણથી મારી અને સીમાની વચ્ચે એક જ બેન્ચ પર બેસતી. તે પ્રથા અગિયારમા- તે સમયના એસ.એસ.સી.-પર્યંત ચાલુ રહી. હું, મેધા, અને સીમા, અમારી ત્રણેની મૈત્રીમાં, ઘનિષ્ઠતા સાથે અણબોલાયેલી સમજણ અને વિશ્વાસ હંમેશા રહ્યો હતો.
મેધા અને મને ખૂબ જ બનતું, પણ સીમા અને મારી વચ્ચે વ્યક્તિગત રીતે થોડીક મજાક અને મસ્તી વધારે થતી. તો, સીમા અને મેધાના સખ્યમાં બહેનો જેવો પ્રેમ વધુ હતો. અમે ત્રણેય જ્યારે સાથે હોઈએ ત્યારે જાણે એમ જ લાગતું કે આખી જિંદગી આમ જ અમે સખીઓ સાથે રહીશું! ત્યારે ક્યાં ખબર હતી કે સમયની ધારા કોને ક્યાં વહાવીને લઈ જશે!
સીમા અને હું, ફેસબુક પર ૨૦૧૨થી ફ્રેન્ડ્સ હતાં પણ કોણ જાણે કેમ, ન સીમાએ કે ન મેં, એ સમયે, મેધા સાથે ફેસબુક પર કનેક્ટ કરવા કોશિશ કરી! સાચા અર્થમાં, કદાચ, અમે મેધાને વિસરી ગયાં હતાં…! (આ લખતાં પણ શરમ આવે છે!) સીમાએ એની પડોશમાં રહેતાં પંજાબી, ડૉક્ટર, શેખર ખન્ના સાથે લગ્ન કર્યા હતા. હવે તો શેખર મુંબઈનો ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ બની ચૂક્યો હતો ને સીમા હાઉસ વાઈફ હતી. તે દિવસે મેધા મારા એ વિચિત્ર, ઢંગધડા વગરના સપનામાં આવી શું કે મને અને મારાં અંતરને હલબલાવી ગઈ હતી.
બીજે દિવસે, સવારનાં ઊઠતાંવેંત જ સીમાનો કોન્ટેક્ટ કરવાનું નક્કી કર્યું. મેં પહેલાં તો સીમાને મેસેન્જર પર ફોન કર્યો, તો એણે ન ઊંચક્યો. પછી ફેસબુકના ચેટ પર એને ‘પીન્ગ’ કરી, અને, મને સીમા સાથે સંપર્ક સાધવામાં સફળતા મળી. સીમા સાથે આમ-તેમની વાત પછી મેં ચેટ પર પૂછ્યું, “સીમા, આપણી “પાઈ”-મેધા- ક્યાં છે આજકાલ?”
એણે ઉત્તર આપ્યો, “અરે, હું પણ કેટલાક સમયથી એને યાદ કરી રહી હતી. મારે ૧૯૭૬-૭૭ પછી કોઈ જ કોન્ટેક્ટ નથી. મેં વચ્ચે ફેસબુક પર શોધવા કોશિશ પણ કરી જોઈ હતી પણ લગ્ન પછી એની અટક શું હતી એ સાવ જ ભૂલી ગઈ છું. હજારો મેધા મળી પણ અટક વિના કોને ક્યાં કોન્ટેક્ટ કરવો? તું જો એને ટ્રેક કરે તો પ્લીઝ, મને જણાવજે. મને પણ એની બહુ જ યાદ આવી રહી છે. આઈ એમ ટ્રુલી મિસિંગ હર. ”
અને પછી ચેટ મેસેજમાં અહીં ત્યાંની બીજી વાતો કરીને છૂટાં પડ્યાં.સીમા સાથે વાતો કર્યા પછી એક રીતે મને પણ ફિકર થવા માંડી કે ક્યાં હશે મેધા? શું થયું હશે? આટલા વર્ષોમાં એની સાથે કંઈ ન બનવાનું બન્યું છે? હું અને સીમા આમ કઈ રીતે એને ભૂલી જ ગયાં? કેમ અમે એની ફેસબુક પર શોધ કરવા કોશિશ પણ ન કરી? મેધા મારા મનમાં એવી તો વસી ગઈ હતી કે એની ભાળ મેળવ્યાં વિના હવે મને ક્યાંય ચેન પડવાનું નહોતું.
એસ.એસ.સી. પાસ કર્યા પછી મેધા અને સીમા જુદી-જુદી કોલેજમાં આર્ટસમાં ગયા હતા અને હું સાયન્સમાં ગઈ. આમ અમારા કોલેજકાળના મિત્રો પણ અલગ થઈ ગયાં હતાં. છતાંયે, અમે ત્રણેય જ્યારે પણ મળતાં ત્યારે એમ જ લાગતું કે કદી જુદાં પડ્યાં જ નહોતાં. ઈન્ડિયામાં માઈક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી કર્યા પછી હું તરત જ અમેરિકા આગળ ભણવા માટે આવી ગઈ હતી. તો બીજી બાજુ, બી.એ. પાસ કરીને, વરસની અંદર જ લગ્ન કરીને મેધા એના પતિ સાથે મસ્કત જતી રહી હતી. હું મેધાના લગ્નમાં જઈ નહોતી શકી કારણ, મીડલ ઓફ ધ સેમેસ્ટરમાં મારું ભણવાનું છોડીને ભારત જવું શક્ય નહોતું. હું પાછી ભારત ગઈ અને લગ્ન કર્યા ત્યારે મેધા મસ્કતથી આવી શકી નહોતી. પછી સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં અમે અમેરિકા આવી ગયા હતાં. મેધાના મસ્કત જવાના બે—ત્રણ વરસ સુધી તો મારો પત્ર વ્યવહાર એની સાથે નિયમિત રહ્યો હતો પણ પછી ધીમે ધીમે ઓછો થતો ગયો. મને અડસટ્ટે યાદ હતું ત્યાં સુધી, ૧૯૭૮-૭૯ સુધીમાં તો એ પત્રવ્યવહાર સાવ જ બંધ થઈ ગયો.
૧૯૮૦ માં હુ ઈન્ડિયા ગઈ હતી ત્યારે મેધાની મમ્મીને મળવા જવાની હતી, તો ભાભીએ કહ્યું કે એના મમ્મી છ-સાત મહિના પહેલાં ગુજરી ગયાં હતાં. મેધાના પિતાજી તથા ભાઈ-ભાભી તો બીજે કશેક, ઘર ખાલી કરીને જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ, મેં અમેરિકા જઈને મેધાને એની મમ્મીના અવસાન બદલ અફસોસ વ્યક્ત કરતો પત્ર એનાં મસ્ક્તના સરનામા પર લખ્યો હતો, જે થોડાક વખત પછી ફરતો-ફરતો પાછો આવ્યો હતો એક નોંધ સાથે કે, – “Addressee Not Found at the Designated Address.” (તમે જેને પત્ર લખ્યો છે, એ વ્યક્તિ હવે આ સરનામા પર રહેતી નથી.”) અને પછી તો, હું, અમારી અમેરિકામાં સેટલ થવાની સ્ટ્રગલમાં ફરી પડી ગઈ અને મેધા સાથેના સંપર્ક-વિચ્છેદ પર વિસ્મૃતિનો પડદો પડી ગયો.
મેધાના લગ્ન થયા ત્યારે હું અમેરિકા ભણવા માટે આવી હતી. ત્યારે મારા લગ્ન નહોતાં થયાં અને મારા લગ્ન થયાં ત્યારે મેધા મસ્કતથી આવી શકી નહોતી. આમ, મને કદી એના પતિને પ્રત્યક્ષ મળવાનો મોકો પણ નહોતો મળ્યો. આજે મને કેમેય કરીને એના પતિનું નામ અને એની અટક યાદ આવતી નહોતી અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો!
આ બાજુ, હું મેધા સાથે કનેક્ટ થવા અત્યંત બેચેન હતી અને વિચાર કરતી હતી કે શું કરું કે મને મેધાના ‘વ્હેર એબાઉટ’ની ખબર મળે! બરાબર, તે જ સમયે, મને ઓચિંતો જ, મારા પતિદેવે સાચવી રાખેલા પત્રોનો એ “અલ્લાદીનના જાદુઈ ચિરાગ” જેવો “પેન્ડોરા”નો બોક્ષ યાદ આવ્યો. હું જલદીથી ઊભી થઈ અને એ બોક્ષ કાઢ્યો. હાથ એકબીજા સાથે ઘસ્યાં અને પછી જોડ્યાં, ઈશ્વરને પ્રાર્થના કરવા કે મને આમાંથી મેધાનો એકાદ પત્ર, એના લગ્ન પછીનો લખેલો મળી આવે! મેં ફાઈલો ફંફોસવા માંડી, ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ અને ૧૯૭૮ – અને of course, there it was!
૧૯૭૮ની સાલ, ડિસેમ્બરની ૩૧, તારીખે મેધાએ પત્ર લખ્યો હતો. મેં એ પત્ર વાંચવો શરુ કર્યો એ પહેલાં એનું એડ્રેસ અને નામ સેન્ડર તરીકે વાંચ્યું, “મેધા અનિલ પટેલ”. એ પત્ર વાંચતાં વાંચતાં મારી આંખો છલકાઈ ગઈ. મેધાએ લખ્યું હતું. “જયુ, છેલ્લા કેટલાક મહીનાઓથી અનિલનો કારોબાર અહીં બરાબર નથી ચાલતો. કદાચ હજી થોડો સમય અહીં કોશિશ કરીશું અને બિઝનેસ નહીં જ ચાલે તો અમે વિચારીએ છીએ કે, મસ્કત છોડી, દુબઈ સેટલ થવા જતાં રહીએ. ક્યારે જઈશું એ હજુ નક્કી નથી થયું. અત્યારે તો એવું વિચાર્યું છે કે અનિલ પહેલાં ત્યાં જશે. હું અને અમારા સંતાનો વડોદરા જઈશું. અનિલ જેવા દુબઈમાં સેટલ થશે કે અમને ત્યાં બોલાવી લેશે. એકાદ-બે વરસની જ તો વાત છે, ત્યાં સુધી, મારી મોટી દીકરી નીના, અને નાની બેઉ જોડકી દીકરીઓ, સુસ્મિતા અને અમિતાને લઈને હું, વડોદરા રહીશ.
બે વરસ પહેલાં, અમે વડોદરામાં, મારા સાસુ અને સસરા માટે એક બંગલો ખરીદ્યો હતો. મારા સાસુ –સસરા હવે ગામનું કાચું મકાન છોડીને ત્યાં રહે છે. એટલે અમારે વતનમાં રહેવા માટે કોઈ પ્રોબ્લેમ નથી. તને તો ખબર જ છે કે અનિલ એમનો એકનો એક દીકરો છે. અનિલ ખૂબ જ મહેનતુ છે. એટલે મને ખાતરી છે કે એ સેટલ થઈને અમને જલદી જ દુબઈ બોલાવી લેશે. આ સાથે સીમાને પણ પત્ર લખીને આ બધી જ વિગત જણાવી છે. જો હાથ થોડો તંગ ન હોત ને, તો તમને બેઉને ફોન જ કરત. અમે સારો સમય પણ જોયો અને હવે થોડી તકલીફ પણ આવી છે, તો વાંધો નહીં, આ સમય પણ જતો રહેશે. બરાબર ને? મારી ફિકર કરતી નહીં. ક્યારે જઈશું એ ટાઈમલાઈન નક્કી નથી પણ જેવી હું વડોદરા પહોંચીશ અને ઠરીઠામ થઈશ કે એડ્રેસ અને ફોન નંબર આપવા પાછો કાગળ લખીશ. આશા છે કે તું, જીજાજી અને બાળકો આનંદમાં હશો. અમારા જીજાજી અને વ્હાલાં ભૂલકાંઓની પણ કાળજી લેજે પણ એ સાથે પોતાની ધ્યાન રાખવાનું ભૂલીશ નહીં.”
મારી ખૂબ વહાલી મિત્રનો એ છેલ્લો પત્ર હતો અને મેં કે સીમાએ પણ આ પત્ર પછી એની ભાળ લેવાની પરવા પણ ન કરી? ફિટકાર છે મારા આવા સ્વાર્થી સખ્ય પર કે જ્યારે એ તકલીફમાં હતી તે જાણ્યા પછી પણ મેં એટલું જાણવાની દરકાર ન કરી કે હવે બધું બરબર થયું હતું કે નહીં…! એનું વડોદરાનું સરનામું કદી આવ્યું નહીં ને આ બાજુ, સીમા અને હું પણ અમારા સંસારમાં એટલા ડૂબી ગયા કે પાછું વળીને જોયું પણ નહીં ને વિચાર્યું પણ નહીં!
હું આજે વિચારોમાં મેધામય થઈ ગઈ હતી. મેધાની દીકરીઓ હવે મોટી થઈ ગઈ હશે! મેં સીમાને મેધાના કાગળની કોપી સ્કેન કરીને, ઈ-મેલમાં મોકલી અને સાથે લખ્યું કે એના કોઈ કોન્ટેક્ટ જો વડોદરામાં હોય તો મેધાની તપાસ જરુર કરાવે. મને અંદરથી ખાતરી હતી કે મેધા પોતે ફેસબુક પર તો હોય જ નહીં! કારણ, મેં ભલે એની ભાળ ન લીધી પણ જો એ ફેસબુક પર હોત તો એણે નક્કી મને અને સીમાને શોધી હોત!
મને થયું કે, મારે એની દીકરીઓના નામે ફેસબુક પર સર્ચ કરવી જોઈએ. એની દીકરીઓ તો ‘નવું જનરેશન’ છે. તો, એ લોકો તો ફેસબુક પર હશે જ. મેં ફેસબુક પર પછી નીના, સુસ્મિતા તથા અમિતા – નામોની સર્ચ કરવાની ચાલુ કરી. મને પછી થયું કે દીકરીઓ જો પરણી ગઈ હશે તો એમનાં નામ પણ જુદા હશે, છતાંયે કોશિશ તો કરવી રહી. મેં પછી ખાલી ત્રણેય નામોની સાથે પટેલ લખીને સર્ચ કરી તો મારા આશ્ચર્ય વચ્ચે મને બસોથીયે વધારે નીના પટેલ અને ચારસો બીજી અટકવાળી નીના મળી. બસોથીયે વધુ અમિતા પટેલ અને ત્રણસોથી પણ વધુ અમિતા અન્ય અટક વાળી મળી. પરંતુ ફક્ત એકત્રીસ સુસ્મિતા મળી જેમની અટક પટેલ હોય અને સોથી વધુ સુસ્મિતા બીજી અટક વાળી હતી.
હવે આગળ શું કરું, એ વિચારમાં પડી. પછી મેં નક્કી કર્યું કે કેટલો પણ સમય લાગે પણ પહેલાં તો એકત્રીસે એકત્રીસ સુસ્મિતાનો સંપર્ક કરવો. અને, ત્યાં જો કંઈ ન થાય તો બાકીની સો સુસ્મિતાને પણ કોન્ટેક્ટ કરવો.
મેં ધીરજથી, એકત્રીસ સુસ્મિતાને મેસેન્જર પર સંદેશો મોકલ્યો કે હું મારી બહુ વ્હાલી મિત્ર મેધા પાટીદારને શોધું છું. અમે મુંબઈના સબર્બ, મલાડની સ્કૂલમાં સાથે ભણ્યા હતાં. મેધા લગ્ન કરીને એના પતિ અનિલ પટેલની સાથે મસ્ક્ત રહેતી હતી, અને પછી થોડાંક સમય માટે વડોદરા રહ્યાં હતાં, વગેરે, વગેરે, વિગતો પણ મોકલી. સાથે એ પણ લખ્યું કે “અનિલ અને મેધાની ત્રણ દીકરીઓ હતી, મોટી નીના અને પછીની બે ટ્વીન દીકરીઓ, અમિતા અને સુસ્મિતા. જો આપ એ સુસ્મિતા હો તો અવશ્ય મને જણાવજો અને ન હો તો તકલીફ બદલ માફ કરજો.”
રાતના સાડા અગિયાર થયા હતાં. મેં કમ્પ્યુટર બંધ કર્યું અને પથારીમાં પડી. મનોમન, પ્રાર્થના કરતી રહી કે આ બધી સુસ્મિતાઓમાં મને એ સુસ્મિતા મળે જેને હું શોધું છું.
બીજે દિવસે, ડિનર પછી મેં કમ્પ્યુટર ખોલ્યું, અને મારા આશ્ચર્ય વચ્ચે દરેક સુસ્મિતાના જવાબો આવ્યા હતા. ત્રીસ સુસ્મિતાએ દિલગીરી જાહેર કરીને, મને મારી મિત્ર જલદી મળે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. પણ એક જવાબ હતો સુસ્મિતા પટેલ-મહેરાનો, જેણે લખ્યું હતું, “આન્ટી, પ્લીઝ, મને તમે ફોન નંબર મોકલો અથવા મને ફોન કરો. નંબર મોકલાવું છું. બાય ધ વે, હું મુંબઈમાં રહું છું. હું એ સુસ્મિતા નથી જેને તમે શોધો છો પણ મને લાગે છે કે હું તમારી મદદ કરી શકું એમ છું.” આ બે-ત્રણ વાક્યોના જવાબે મને જાણે “કૌન બનેગા કરોડપતિ” ના છેલ્લા સાત કરોડના પ્રશ્નના જવાબ માટે સ્પેશ્યલ લાઈફ-લાઈન મળી હોય એટલો આનંદ થયો!
સાન ફ્રાન્સીસ્કોમાં ત્યારે સાડા આઠ રાતના થયા હતા. મેં એના મોકલાવેલા નંબર પર ફોન કર્યો.
“હું સાન ફ્રાન્સીસ્કોથી જયુઆન્ટી વાત કરું છું. સુસ્મિતા પટેલ-મહેરા છે?”
“હા, હું જ સુસ્મિતા. બોલો આન્ટી”.
“થેંક્યુ ફોર ટેઇકીંગ ટાઈમ ટુ આન્સર માય રેન્ડમ ક્વેરી. હું તમારા સમયની કદર કરું છું. હવે તમે કહો, શું મદદ કરી શકો છો તમે?”
“આન્ટી, મારી ગાયનેકોલોજીસ્ટ છે, જેનું નામ ડૉ. નીના એમ. પાટીદાર છે. અહીં, પેડર રોડ પર, મારા બિલ્ડીંગથી દસેક બિલ્ડીંગ દૂર, બિલકુલ જેસલોક હોસ્પિટલની સામે “ડૉક્ટર્સ હાઉસ” છે, ત્યાં એમની ઓફિસ છે. હજી એકાદ અઠવાડિયા પહેલાં હું મારી એપોઈન્ટમેન્ટ માટે ગઈ હતી ત્યારે એમની ટ્વીન બહેનો, અમિતા અને સુસ્મિતા લંડનથી ત્યાં આવી હતી. ડૉ. નીનાએ એમની ઓળખાણ મને કરાવી હતી. મારી બહેન પણ લંડન રહે છે અને મેં એમની સાથે પાંચેક મિનીટ વાતો પણ કરી હતી. આથી મને એમનાં નામો યાદ રહી ગયાં. હું ડૉ. નીનાનો નંબર આપું છું. એ સાથે હું ડૉ. નીનાને તમારો નંબર પણ મોકલીશ. આશા છે કદાચ તમે શોધો છો એ આ જ કુટુંબ હોય. તમે એકાદ બે કલાક રહીને ડૉ. નીનાને ફોન કરજો જેથી એટલા સમયમાં એમને મારો સંદેશો પહોંચી શકે. ગુડ લક આન્ટી.”
મારી ખુશીનો પાર નહોતો. હું હવે એકાદ-બે કલાક કેમ વિતાવવા એની રાહ જોતી હતી. મેં ઝી ટીવી ચાલુ કર્યું. “આંધી” મુવી ચાલી રહ્યું હતું. મુવીમાં ધ્યાન આપવાની કોશિશ પણ ઠાલી નીવડી! ત્યાં તો મેસેન્જર પર રીંગ વાગી. મેં ફોન ઉપાડ્યો અને સામે જે મેં સાંભળ્યું, મને લાગ્યું કે હું સપનું જોઈ રહી છું! એ ફોન ડૉ. નીના પાટીદારનો હતો!
ઔપચારિક વાતો માંડ કરી અને મેં તરત જ એને પૂછ્યું કે, “મારી મેધા છે ક્યાં? મને એનો ફોન નંબર આપ. સહુ પહેલાં, તો મારે એને ફોન કરીને ચોંકાવી દેવી છે!”
પણ નીનાને આટલા વરસોનો “ભારેલો અગ્નિ” ઠરી જાય એ પહેલાં જ, જાણે બધું જ કહી દેવું હતું. ડૉ. નીનાએ જે વાતો કરી એ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસતી ગઈ.
મેધાના પતિએ દુબઈ જઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરી લીધા. મેધા તથા બાળકોને કદીયે પાછા ન બોલાવ્યા, એટલું જ નહીં, પણ પોતાના વૃદ્ધ માતા-પિતાની તરફ પાછા વળીને જોયું પણ નહીં! મેધાએ એના સંતાનોના ભણતર અને સફળતા માટે અનહદ મહેનત કરીને, બાળકોને મોટા કર્યાં. મેધા ઘરેથી ટિફીન સર્વીસ ચલાવતી હતી અને શનિવાર ને રવિવારે કેટરીંગના ઓર્ડરો લેતી. મેધાના સાસુ-સસરા જીવિત રહ્યાં, ત્યાં સુધી મેધાએ એમને પણ પ્રેમથી રાખ્યાં. નીનાએ એમ.ડી. કર્યું અને ૨૦૦૭થી મુંબઈમાં પ્રેક્ટીસ કરી રહી હતી. નીનાએ કાયદેસર રીતે પિતાનું નામ અને અટક બેઉ કાઢી નાખીને મેધાનું નામ અને અટક રાખી હતી. અમિતા-સુસ્મિતા બેઉ સોફ્ટ્વેર એન્જિનીયર થઈને, લગ્ન કરીને લંડન શીફ્ટ થઈ ગયા. આ બધી વાત કરતી નીનાના અવાજનો કંપ હું દસ હજાર માઈલ દૂર, સાન ફ્રાન્સિસ્કોમાં, આટલે દૂર અનુભવી શકતી હતી.
નીના બોલી, “આન્ટી, મારો સેલ નંબર પણ નોટ કરી લેજો.”
મારાથી અનાયસે કહેવાઈ જવાયું, “બેટા, મને થાય છે કે હું ઊડીને ત્યાં આવું! મને મેધાનો નંબર આપ. મારાથી રાહ નથી જોવાતી હવે! આટલું બધું એ એકલી સહેતી રહી ને.. હુંયે કેવી સ્વાર્થી કે મારી વ્હાલી સખીની ભાળ ન કાઢી! મારે એને ધમકાવવી છે અને સાથે એને કહેવું છે કે એ મને વઢે, કે મેં કેમ આટલો સમય એની ખબર ન લીધી!”
સામેથી નીનાના અવાજમાં ડૂમો છલકાયો, “આન્ટી, મમ્મી એની બધી મુશ્કેલીઓમાં પણ તમને અને સીમા આન્ટીને ભૂલી નહોતી. હું કહેતી કે તું કહેતી હોય તો હું એમને શોધું. પણ એનો એક જ જવાબ રહેતો કે, “મારી બે સખીઓને મારી તકલીફનો અણસાર પણ જશે તો એમને દુઃખ થશે! અને મારે એવું નથી કરવું. અમે ત્રણેયે જે સુખનો સમય વીતાવ્યો છે એ જ યાદ રાખવો છે.” પણ, મમ્મીને ખાતરી હતી કે તમે કે સીમાઆન્ટી ક્યારેક તો એને શોધશો જ અને કોન્ટેક્ટ પણ કરશો! એણે તમારા બેઉ માટે એક પત્ર આજથી દસ વરસ પહેલાં લખીને મૂકી રાખ્યો છે, તે પત્ર સ્કેન કરીને આજે જ મોકલીશ.”
મારી ધીરજ ખૂટતી જતી હતી. શું થયું હતું મેધાને કે દસ વરસ પહેલાં પત્ર….! હું હ્રદયનો ધબકારો ચૂકી ગઈ અને પૂછ્યું, “મેધાને કઈં થઈ ગયું છે? મને જલદી કહે, બેટા!”
સામે છેડેથી જવાબ આવ્યો, “આન્ટી, મમ્મી મારી સાથે જ રહે છે. હું ઘેર જઈને ફેસ-ટાઈમ કરીને મમ્મીને નક્કી આજે જ તમારી સાથે મેળવીશ. પણ, મમ્મીને દસ વરસ પહેલાં અલ્ઝાઈમરની શરુઆત થઈ હતી. જે દિવસે અલ્ઝાઈમર શરુઆતના સ્ટેજમાં પરખાયું હતું, તે જ દિવસે એણે તમારા માટે અને સીમાઆન્ટી માટે જુદા પત્ર લખીને મૂક્યા હતાં. હું હમણાં કન્સલ્ટિંગરૂમ પર છું. રાતના ઘેર જઈને ફોન કરું છું. મમ્મી હવે તો કોઈનેય ઓળખતી નથી અને એની પોતાની દુનિયામાં જ રહે છે. મમ્મી હવે આ દુનિયાની રહી નથી, આન્ટી!” ડૂમા ભરેલા અવાજે નીના બોલી રહી હતી અને એણે ફોન મૂકી દીધો.
આ હું શું સાંભળતી હતી! આટલાં વરસો સુધી મારી વ્હાલી સખી આ બધું જ સાવ એકલી સહેતી રહી, એક વાર પણ ઊફ કર્યાં વિના? અરે, મને નહીં તો સીમાને તો કોન્ટેક્ટ કરવો હતો? પણ કોન્સટન્ટ સંજ્ઞા, “પાઈ”, એવી મેધાને મોઢેથી મેં કદી કોઈ નાની-સરખી ફરિયાદ પણ સાંભળી નહોતી. તો આ બધી વાતો તો કેમ કરવાની હતી? આટલી વેદના, આટલી વ્યથા, મારી સખીના ભાગ્યમાં લખાઈ ગઈ અને હું? મારી આંખમાંથી આંસુ વહ્યાં કરતાં હતાં.!
ડૉ. નીનાના શબ્દો મારા કાનમાં ગુંજતાં હતાં, “મમ્મી હવે આ દુનિયાની રહી નથી…!”
સાચે જ, એની મમ્મી આમ પણ, ક્યારેય આ દુનિયાની હતી જ નહીં!
સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પ્રોફેશનલ પ્રેમ… એ વળી કેવો હોય?
ધિક્કારનાં ગીતો
જૂના જમાનામાં લોકો દિલથી પ્રેમ કરતાં અને હવે દિમાગથી કરે છે એવું તમને લાગે છે ખરું?
દીપક સોલિયા
વાત એ ચાલતી હતી કે આગ તો દઝાડે જ, પરંતુ ઠંડક પણ ઓછી ‘કરપીણ’ નથી હોતી. ગરમ ધિક્કાર કરતા ઠંડી નિર્લેપતા વધુ ઇજા પહોંચાડી શકે છે. સ્ત્રી-પુરુષ સંબંધમાં વાંકું પડે ત્યારે ‘તું ખરાબ છે. તું બેવફા છે. તું ત્રાસજનક છે.’ એવા આકરા શબ્દો કરતાં પણ વધુ ખતરનાક શબ્દો આ છેઃ ‘તું કોણ છે? તું મારા માટે કશું નથી. યુ ડોન્ટ એક્ઝિસ્ટ.’
તો, સ્ત્રી-પુરુષ સંબંધમાં એકમેક સામેનો વિરોધ વ્યક્ત કરવાની બે રીત થઈ.
૧) સીધો દ્વેષ વ્યક્ત કરવો.
૨) સામેની વ્યક્તિના અસ્તિત્વને નકારવું.
આ ઉપરાંત એક ત્રીજી રીત છેઃ પ્રેમ નામની ચીજને નકારવી. સામેની વ્યક્તિને કશું ન કહેવું. માણસની વાત જ ન કરવી. સીધો પ્રેમ પર પર જ હુમલો કરવો કે પ્રેમ પોતે જ એક બકવાસ બાબત છે. આવી એક દલીલ ફિલ્મ ત્રિશુલના એક ગીતમાં, સાહિર લુધિયાનવીના શબ્દોમાં, સામસામી ચર્ચા રૂપે આ રીતે વ્યક્ત થઈ છેઃ
પ્રો (પ્રેમતરફી શશી કપૂર) ગાય છેઃ
મહોબ્બત બડે કામ કી ચીઝ હૈ.
સામે પક્ષે એન્ટી (પ્રેમવિરોધી અમિતાભ) ગાય છેઃ
કિતાબોં મેં છપતે હૈ ચાહત કે કિસ્સે
હકીકત કી દુનિયા મેં ચાહત નહીં હૈ
ઝમાને કે બાઝાર મેં યે વો શય હૈ
કિ જિસ કી કિસી કો ઝરૂરત નહીં હૈ
યે બેકાર, બેદામ કી ચીઝ હૈ.ટૂંકમાં, પ્રેમ વેવલાઈ છે, પ્રેમ કલ્પના છે, પ્રેમ એક નકામી અને મૂલ્ય વિનાની (બેકાર, બેદામ) ચીજ છે. હકીકતની દુનિયામાં પ્રેમ-બ્રેમ જેવું કશું નથી હોતું.
આવી બધી વાતો ફિલ્મમાં એ અમિતાભ કહે છે જેની ભારોભાર કડવાશના પાયામાં એની માતાને થયેલો એક કડવો અનુભવ હતો. માતાને તેના પ્રેમી (અને દીકરા અમિતાભના પિતા) સંજીવ કુમારે સગર્ભા કરીને છોડી મૂકેલી. એને લીધે માતાને પ્રેમ નામની બલા પ્રત્યે ભયંકર રોષ હતો. અમિતાભ પોતે પ્રેમમાં નહોતો દાઝ્યો. દાઝેલી એની માતા. પણ માતાએ પોતાની એ દાઝ દીકરા અમિતાભમાં ટ્રાન્સમિટ કરેલી. દીકરાને પ્રેમ પ્રત્યેનો દ્વેષ વારસામાં મળેલો. એની કડવી માતાએ, ગીતકાર સાહિર લુધિયાનવીએ લખેલા ગીત રૂપે, દીકરાને આપેલો ભયંકર આદેશ જુઓઃ
મેરા હર દર્દ તુઝે દિલ મેં બસાના હોગા
મૈં તેરી માં હૂં, મેરા કર્ઝ ચુકાના હોગા
મેરી બર્બાદી કે ઝમીન અગર આબાદ રહે
મૈં તુઝે દુધ ના બખ્શૂંગી તુઝે યાદ રહે.સ્ત્રી-પુરુષ વચ્ચેનાં દ્વેષગીતોની આ શ્રેણીમાં સૌથી ડંખીલા, ઝેરીલા દ્વેષગીત તરીકે આ ગીત નં. ૧ નું દાવેદાર ખરું, જેમાં પ્રેમમાં પછડાટ ખાનાર સ્ત્રી તેને પછડાટ આપનાર પુરુષને બરબાદ કરવાની જવાબદારી દીકરાને સોંપતાં કહે છે કે જો દીકરા, તું મારો કરજદાર છે. મારી પીડા તારે તારા દિલમાં રાખવાની છે. મને બરબાદ કરનારો જો આબાદ રહેશે તો હું તને દૂધ માફ નહીં કરું.
પછી આ કડવી માતાનો જબરો દીકરો મોટો થઈને એમ કહે કે મહોબ્બત ફાલતુ ચીજ છે, તો એ સમજી શકાય તેવું છે.
ખેર, દ્વેષ વ્યક્ત કરવાના આ ત્રણ રસ્તા -સીધી ટીકા, ઠંડી નિર્લેપતા, પ્રેમનો વિરોધ- ઉપરાંત એક ચોથો પણ રસ્તો છે, નારાજગી વ્યક્ત કરવાનો. એ રસ્તો એવો છે જેમાં પ્રેમની કે પ્રેમી (યા પ્રેમિકા)ની સીધી ટીકા નહીં કરવાની, પરંતુ દોષનો ટોપલો સમાજ અને સમય પર ઢોળી દેવાનો. લોકો કેવા ખરાબ છે અને જમાનો કેવો ખરાબ છે એવું બધું કહેતાં કહેતાં પ્રેમીને વખોડતું એક યાદગાર ગીત છે, ફિલ્મ દાગનું. ફરી એક વાર (યોગાનુયોગે લેખમાં ત્રીજી વાર) ગીતકાર એ જ છે, સાહિર લુધિયાનવી. શબ્દો આ પ્રમાણે છેઃ
જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈં લોગ
એક ચહરે પે કઈ ચહરે લગા લેતે હૈં લોગ.વાત સ્પષ્ટ છે. મન ફાવે ત્યારે લોકો (બેવફા પ્રેમીઓ) પ્રેમિકાને છોડીને બીજી સ્ત્રીને પરણીને બેસી જાય છે. લોકો જૂના ચહેરા પર નવા ચહેરા ઓઢી લે છે.
તીર તો સીધું પ્રેમીને જ મારવામાં આવી રહ્યું છે, પરંતુ કહેવાની રીત એવી છે કે એકલો તું જ નહીં, તારા જેવા લોકો આવું બધું – નવી દુનિયા બસાવી લેવી અને ચહેરા પર ચહેરા ઓઢી લેવાં જેવાં કૃત્યો – કરતાં હોય છે.
લોકો કેવા બગડી ગયા છે અને જમાનો કેવો બગડી ગયો છે એવી એક સંયુક્ત લોક-નિંદા-કમ-યુગ-નિંદા કરવાની વૃત્તિ આપણા સૌમાં વત્તેઓછે હોય છે. એ બેવડી નિંદાને અસરકારક રીતે વ્યક્ત કરતા આ ગીતમાં કહ્યું છેઃ
યાદ રહતા હૈ કિસે ગુઝરે ઝમાને કા ચલન
સર્દ પડ જાતી હૈ ચાહત, હાર જાતી હૈ લગન
અબ મહોબ્બત ભી હૈ ક્યા એક તિજારત કે સિવા
હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન
વર્ના જીને કે લિએ સબ કુછ ભૂલા લેતે હૈં લોગ
એક ચહરે પે કંઈ ચહરે લગા લેતે હૈં લોગ.લગાવ ઠંડો પડી જાય અને લગની હારી જાય. વાત એકદમ સાચી લાગે તેવી છે. મામલો પ્રેમનો હોય કે બીજો કોઈ, એમાં સતત ઉંમગ, જોશ, સ્ફૂર્તિ ટકાવવાં અઘરાં છે. પરંતુ અહીં કવિ એવું કહે છે જૂના જમાનામાં પ્રેમને આજીવન લીલોછમ્મ રાખવાનું ‘ચલણ’ હતું અને હવે નવા જમાનામાં પ્રેમ ફક્ત એક તિજારત બની રહ્યો છે. તિજારત મતલબ ધંધો, રોજગાર, વ્યવસાય. એક હાથ દે, એક હાથ લે.
આવું શું ફક્ત હવે જ જોવા મળી રહ્યું છે? જૂના જમાનાનો પ્રેમ વધુ સાચો, ઊંડો અને દીર્ઘ હતો? નવા જમાનામાં પ્રેમ ફક્ત વ્યાવસાયિક અભિગમ (પ્રોફેશનલ એટિટ્યૂડ)થી જ કરવામાં આવે છે: ‘અસ્સલના જમાના’માં અસ્સલ પ્રેમ થતો અને આજના જમાનાનો પ્રેમ નકલી હોય છે.
શું ખરેખર આવું છે? તમારું શું માનવું છે?
વધુ આવતા અંકે.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
વાદ્યવિશેષ (૪૦) – તાલવાદ્યો (૫) : ઢોલકી અને લાવણીનૃત્ય
ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
હિન્દી ફિલ્મી ગીતોની સાથે નૃત્ય-શાસ્ત્રીય અને લોક્નૃત્ય-નો સમન્વય મોટા પાયે થતો આવ્યો છે. આવાં ગીતોમાં મહદઅંશે પંજાબી ભાંગડા, ગુજરાતી ગરબા તેમ જ મરાઠી લાવણી પ્રકારનાં લોકનૃત્યો સાથેનાં ગીતો ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. સ્વાભાવિક છે કે નૃત્ય સાથે તાલવાદ્યોનો પ્રચૂર ઉપયોગ થયો હોય. જેમ કે ભાંગડા સાથે ઢોલક, ગરાબા સાથે ઢોલ અને લાવણી સાથે ઢોલકીના તાલ જોડાયેલા હોય છે.
આ કડીમાં આપણે લાવણીનૃત્ય સાથે ઢોલકીના તાલ વડે સજાવાયેલાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો માણીએ. ગઈ કડીમાં ઢોલકી અને તેના બોલનો પરિચય થઈ ચૂક્યો છે. અહીં શરૂઆતમાં લાક્ષણિક લાવણી નૃત્યની એક ઝલક માણી લઈએ. પ્રસ્તુત ગીત મરાઠી ફિલ્મ સુશીલા(૧૯૬૬)નું છે, જેને માટે રામ કદમ નામના સંગીતકારે સ્વરનિયોજન કર્યું હતું.
હવે આગળ વધીએ ઢોલકીના તાલ અને લાવણી નૃત્ય સાથેનાં હિન્દી ફિલ્મી ગીતો તરફ.
ફિલ્મ દાગ(૧૯૫૨)નું ગીત ‘દેખો આયા યે કૈસા જમાના’ સાંભળતાં જ ઢોલકીના બોલ સ્પષ્ટ પારખી શકાય છે. સંગીત શંકર-જયકિશનનું છે.
https://www.youtube.com/watch?v=Sf6dbWkCEHg&list=RDSf6dbWkCEHg&start_radio=1
૧૯૫૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ પહલી ઝલક માટે સંગીતકાર રામ કદમે ગીતો તૈયાર કર્યાં હતાં. આ ફિલ્મનું લાવણીગીત ‘અચ્છી સૂરત હૂઈ મુસીબત’ ઢોલકીના બોલથી ભરપૂર છે.
https://www.youtube.com/watch?v=F5pS82za9Wc&list=RDF5pS82za9Wc&start_radio=1
ફિલ્મ આવાઝ (૧૯૫૬)ના પ્રસ્તુત ગીતમાં એક વિશિષ્ટ પ્રયોગ કરાયો હતો. એક ખુબ લોકપ્રિય એવા બંગાળી લોકગીત ‘ધ્રીતાંગ ધ્રીતાંગ બોલે’ને લાવણીનૃત્ય સાથે ઢાળવામાં આવ્યું હતું. મૂળ લોકધૂનનું વાદ્યવૃંદ થકી સમૃદ્ધિકરણ સંગીતકાર સલિલ ચૌધરીએ કર્યું હતું. પ્રસ્તુત રજૂઆત સાથે વીડિઓ જોવા નથી મળતો, પણ શરૂઆતમાં જ કાને પડતા ઢોલકીના બોલ ગીતના ‘લાવણીકરણ’નો ખ્યાલ આપે છે.
ફિલ્મ ચંદન(૧૯૫૮) માટે સંગીત મદનમોહને તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું એક લાવણીગીત ‘ચાહે લાખ જમાના રોકે’ ઢોલકીના ધ્યાનાકર્ષક બોલ ધરાવે છે.
૧૯૬૨ના વર્ષમાં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ સંત જ્ઞાનેશ્વરનું ગીત ‘મૈં તો છેલ છબીલી નાર’ સાંભળીએ. આ ફિલ્મનાં ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં.
સલિલ ચૌધરીના નિર્દેશનમાં તૈયાર થયેલું ફિલ્મ ચંદા ઔર સૂરજનું લાવણીગીત ‘મેરી ઔર ઉન કી પ્રીત પૂરાની’ ઢોલકીના પ્રભાવક બોલથી સભર છે. પરદા ઉપર ઢોલકી વગાડતા કલાકાર નજરે ચડતા રહે છે.
હવે સાંભળીએ ૧૯૬૮ની ફિલ્મ આશિર્વાદનું ગીત ‘સાફ કરો ઈન્સાફ કરો’. વસંત દેસાઈના સંગીતનિર્દેશનમાં તૈયાર થયેલા આ ગીતમાં લાવણીનું લાક્ષણિક નૃત્ય અને ઢોલકીવાદન માણી શકાય છે.
https://youtu.be/5kgcqedpyy4?si=nsJNnDS1rjn_3LDO
૧૯૭૨ની ફિલ્મ નારદલીલા માટે નારાયણ દત્ત નામના પ્રમાણમાં અજાણ્યા સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. તે પૈકીનું એક લાવણીગીત ‘પહન કે નૌ ગજ કી સાડી’ સાંભળીએ. અહીં પણ પરદા ઉપર લાક્ષણિક લાવણીનૃત્ય જોઈ શકાય છે.
ફિલ્મ સબ સે બડા રુપૈયા(૧૯૭૬)નું એક ગીત ‘દરિયાકિનારે એક બંગલો’ પાંચ દાયકા પછી આજે પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ લાવણીગીતનું સ્વરનિયોજન બાસુ ચક્રવર્તી અને મનોહરી સિંહે કર્યું હતું.
૧૯૭૭માં પરદા પર આવેલી ફિલ્મ શીરડી કે સાંઈબાબા મૂળે તો એક ધાર્મિક ફિલ્મ હતી, પણ તેમાં એક લાવણીગીત ‘પ્યાર મેં તેરે મૈં દુનિયા ભૂલ ગયી’નો સમાવેશ થયો હતો. ઢોલકીના સથવારે નૃત્ય અને ગાયકી ખુબ જ રોચક બની રહે છે. સંગીત પાંડુરંગ દીક્ષિત નામના અલ્પપ્રસિદ્ધ સંગીતકારે તૈયાર કર્યું હતું.
૧૯૭૭ના જ વર્ષની ફિલ્મ ભૂમિકાનું વનરાજ ભાટીયાના નિર્દેશનમાં બનેલું લાવણીગીત ‘મેરા જીસ્કિલા બાલમ ના આયા’ માણીએ. શરૂઆતમાં જ ઢોલકીના લાક્ષણિક બોલ સંભળાવા લાગે છે.
ફિલ્મ આક્રોશ (૧૯૮૦) માટે અજિત વર્મન નામના સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. તે પૈકીનું એક લાવણીગીત ‘તૂ ઐસા કૈસા મર્દ’ સાંભળીએ.
https://www.youtube.com/watch?v=ZHHmGAwFwo0&list=RDZHHmGAwFwo0&start_radio=1
હવે સાંભળીએ ૧૯૮૨ની ફિલ્મ અશાંતિ માટે રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલું લાવણીગીત ‘લવીંગી મીરચી મૈં કોલ્હાપૂર કી’
આ કડીના અંતમાં ફિલ્મ અંજામ (૧૯૯૪)નું લાવણીગીત ‘મૈં કોલ્હાપૂર સે આયી’. સ્વરનિયોજન સંગીતકાર બેલડી આનંદ-મીલિંદનું છે.
આ કડીમાંનાં ગીતો માણતી વખતે એક નોંધપાત્ર બાબત વિશે ધ્યાન ખેંચવું છે. કુલ ચૌદ ગીતો છે, તેમાં બાર અલગ અલગ સંગીતકારોનું સ્વરનિયોજન છે. આટલું વૈવિધ્ય હોવા છતાં બધાં જ ગીતોના ઢોલકીવાદનમાં ચોક્કસ સામ્ય જણાઈ આવે છે. આ પરથી એવું તારણ કાઢી શકાય કે બધા જ સંગીતનિર્દેશકોએ પોતપોતાની મૌલિકતાને બાજુ પર રાખી, લાવણીનૃત્ય સાથે સમાવિષ્ટ ઢોલકીવાદનને પ્રાધાન્ય આપ્યું છે.
અહીં અટકીએ. આવતી કડીમાં નવાં તાલવાદ્યો સાથે મળીએ.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
રોતલ દેડકી
લતા હિરાણી
એક હતી દેડકી. એનું નામ હતું રુબી પણ જ્યારે જુઓ ત્યારે એ રોતી જ હોય….એટલે જંગલમાં બધાએ એનું નામ પાડી દીધું રોતલ દેડકી !! એ સાવ ધીમું ધીમું બોલે ‘ડ્રાંઉ ડ્રાંઉ’ … અને બધાને સંભળાય ‘વાંઉ વાઉં’. એ જેવી કુવા પાસે આવે અને બધા દેડકા નાસી જાય, “એ રોતલ દેડકી આવી. ….ભાગો રે ભાઇ ભાગો” આ દેડકી કોઇને ગમે નહીં.
એ કનુ કાચબા પાસે ગઇ. “જુઓને કનુકાકા, આ કોઇ દેડકા મારી દોસ્તી કરતા નથી.. હું જઉં ને બધા ભાગી જાય છે.” કહેતાં રુબી રડવા માંડી.. “મને એકલાં એકલાં કેમ ગમે ?” અને એણે મોટો ભેંકડો તાણ્યો.
કનુ કાચબો કહે, “બસ આજ તારી મુશ્કેલી છે ને ! જયારે જુઓ ત્યારે ફરિયાદ ને ફરિયાદ, રડતી ને રડતી ! પછી તારી સાથે કોણ દોસ્તી કરે ??
એવામાં ત્યાં અપ્પુ ઉંદર આવ્યો.
કનુ કાચબો કહે, “રડવાનું બંધ કર. ચાલ અપ્પુ સાથે દોસ્તી કર.”
અપ્પુ ઉંદર કહે, “ના બાબા ના એક વાર એ મારી સાથે રમવા આવી હતી. મને એ વખતે બહુ ભુખ લાગી હતી. મેં કહ્યું તું બેસ હું થોડાં દાણા ખાઇ લઉં. તો એ રડવા માંડી. એવું થોડું ચાલે ભઇ !”
“અરે પણ એમાં રડવાનું શું ?? કનુ કાચબાએ પુછ્યું.
”મને પણ ભુખ લાગી હોય ! મારે પણ કંઇક ખાવું હતું. તેં મને પુછ્યું કેમ નહીં ?? એવું કહીને એ રડી.
“ભુખ લાગી હોય તો એ પણ ખાઇ લે, મેં ક્યાં ના પાડી હતી ?” અપ્પુ ઉંદર બોલ્યો.
“વાત તો તારી સાચી,” હજી કનુ કાચબો અપ્પુ ઉંદરને સમજાવે એ પહેલાં એ નાસી ગયો.
રુબી દેડકી નિરાશ થઇ ગઇ. આગળ ગઇ તો ત્યાં મોટો કૂવો હતો.. કુવાકાંઠે પથ્થરો ઘસાઇને ઘસાઇને ગોળ થઇ ગયા હતા. રુબી દેડકી કુદવા ગઇ પણ એનો પગ લપસ્યો.. એ પડી પાણીમાં. વળી એનો ભેંકડો ચાલુ થયો. “મને ખબર છે. આ ગરબડિયા પથ્થરોનો જ વાંક છે. એણે મને પછાડી દીધી.”
ત્યાં ફરતા બધા અળસિયા હસવા માંડ્યા. “જુઓ જુઓ, આ રોતલ દેડકી !!”
“એક તો મને વાગ્યું અને ઉપરથી તમે મને રોતલ કહીને હસો છો ?”
”રોતલ, રોતલ ને રોતલ. એક વાર નહીં સાત વાર રોતલ. તું જ્યાં સુધી રડતી રહીશ ત્યાં સુધી અમે તને રોતલ કહીશું.”
રુબી દેડકી રડતી રડતી પોતાના ઘર તરફ જતી હતી ત્યાં રસ્તામાં એને ક્યુટ કાચિંડો મળ્યો, “ઓહો, હજી તારું રડવાનું ચાલે છે !”
“પ્લીઝ, તું મને હેરાન ના કર ને ! એક તો મારી દોસ્તી કોઇ નથી કરતું ને ઉપરથી બધા હેરાન કરે છે.”
“તારે ફ્રેંડની જરુર છે ખરી ?”
”હાસ્તો વળી”
“તો સાંભળ મારી વાત. તારે વાતે વાતે રડવાનું બંધ કરવું પડશે. એ વગર તારી દોસ્તી કોઇ નહીં કરે.”
“તે મને કંઇ શોખ નથી થતો રડવાનો !!”
”પણ તને રડવું બહુ આવે છે એ તો સાચી વાત કે નહીં ? રોતી સુરત કોઇને ન ગમે. તું એકવાર નક્કી કર કે હવેથી હું નહીં રડું. પછી જોઇ લે, કોની મજાલ છે કે તને રડાવે !!”
”એવું કેવી રીતે થાય ?”
“સાવ સહેલું છે. સવારના ઉઠીને મનમાં દસ વાર બોલી જા. નહીં રડું, નહીં રડું, નહીં રડું..રડવું આવે ત્યારે આ વાત યાદ કરીને મન મક્કમ કરી લેવાનું.”
”સાચે જ એ એટલું સહેલું છે ?”
”સવાલ જ નથી. બસ તું નક્કી કર એટલે કામ પુરું. હવે આજે તું તારા ઘરે જા આપણે ફરી મળીશું, બાય” ક્યુટ કાચિંડો ચાલતો થયો.
રુબી દેડકી વિચારમાં પડી ગઇ. રોજ એને કંઇ ને કંઇ વાતે રડવું આવતું એટલે એ દુબળી થઇ ગઇ હતી. એની આંખો ઝીણી થઇ ગઇ હતી. રાત્રે એને કેટલાંય સપનાં આવ્યાં. સપનામાં યે બધાં એને ચીડવતા હતા. એ સાવ એકલી પડી ગઇ હતી.
આમ ને આમ રાત પુરી થઇ. સવાર પડી. આખી રાત સુવા છતાં એ થાકેલી હતી. એણે પાક્કું નક્કી કર્યું, “ભલે ને આજે કોઇ મને ગમે એટલું ચીડવે તો પણ હું ચીડાઇશ નહીં કે જરાય રડીશ નહીં.” આંખ બંધ કરીને એ મનમાં ને મનમાં દસ વાર બોલી, “નહીં રડું. નહીં રડું, નહી રડુ….. કોઇ દિવસ નહીં રડું જા…..” એ “જા” એટલા જોરથી બોલી કે એની મમ્મીએ સાંભળ્યું,
“અરે ! કોની સાથે વાત કરે છે તું ?” રુબીને હસવું આવી ગયું. એ એકલી એકલી મનમાં ને મનમાં બોલતી હતી.
એની મમ્મી ખુશ થઇ. “હાશ આજે કેટલા વખતે તને હસતી જોઇ !!” એણે બ્રશ કર્યું. એની મમ્મીએ એના માટે નાસ્તો તૈયાર રાખ્યો હતો. “ચાલ સરખું ખાઇ લે !!” એની મમ્મીને એની બહુ ચિંતા રહેતી. “ આ મારી રડતી દીકરીને પરણશે કોણ ?? આમ ને આમ જોને કેવી છુંછા જેવી થઇ ગઇ છે !”
જોકે રુબી દેડકી હવે બદલાઇ ગઇ હતી. એ નાહી ધોઇને સરસ તૈયાર થઇને કુવા કાંઠે ગઇ, “કુવાઅંકલ, કુવાઅંકલ તમે મને એક બહેનપણી શોધી આપોને !!”
કુવો કહે, “જો તું ખુશ રહીશ તો એક નહીં કેટલીયે બહેનપણીઓ તને મળશે.”
”આજે તમને મારો મુડ કેવો લાગે છે ?” રુબીએ પુછ્યું.
“આજે તો તું ખુશ દેખાય છે.”
”બસ તો હવે રોજ આમ જ રહેશે.”
”અરે વાહ દેડકીબેન ! તો તો તું મને બહુ વહાલી લાગે !!”
એટલીવારમાં ત્યાંથી સ્વીટુ સસલી નીકળી. કુવાભાઇ કહે, “ સ્વીટુ, આ દેડકીબેનને તારી પીઠ પર બેસાડી ફરવા લઇ જા ને ! કેવી સરસ તૈયાર થઇને આવી છે ?”
સ્વીટુ કહે, “ચાલ આવી જા.”
રુબી દેડકી ખુશ થઇ ગઇ. કુદીને બેસી ગઇ સ્વીટુની પીઠ ઉપર. સ્વીટુને મજા પડી ગઇ. એ તો કૂદી, એક વાર, બે વાર.. રુબી દેડકી ચીપકીને બેસી રહી પણ સ્વીટુ ત્રીજી વાર કૂદી અને રુબીની પકડ છુટી ગઇ. એ નીચે પડી. એને થોડું વાગ્યું. એની આંખમાં જરા પાણી આવી ગયાં પણ એને યાદ આવી ગયો પોતાનો સંકલ્પ. એ મનમાં ને મનમાં બોલી, ના ના રડાય નહીં જ…
સ્વીટુ સસલી બિચારી ઝંખવાણી પડી ગઇ હતી. એનો ઇરાદો કંઇ રુબી દેડકીને પછાડવાનો નહોતો. “સોરી દોસ્ત, પણ મેં તને જાણીજોઇને નથી પાડી. ચલ હવે બરાબર બેસી જા”
રુબીને જરા હાશ થઇ.“કંઇ વાંધો નહીં, મને ખાસ વાગ્યું નથી હોં !!” રુબી દેડકી પાછી સ્વીટુ સસ્સીની પીઠ પર ચડી ગઇ.
સ્વીટુ સસ્સી છલાંગ મારતી ચાલી. આગળ એક તળાવ આવ્યું. “ચાલ દેડકીબેન, ઉતર. અહીં કેટલાય નવાં દેડકા છે. તું બધાને મળી આવ.” આ બધા દેડકા બીજા ગામના હતા. કોઇને ખબર નહોતી કે આ એ જ પેલી રોતલ દેડકી છે.
”હાય દેડી” એક સ્માર્ટ દેડકો બોલ્યો.
”હાય” રુબી દેડકી ખુશ થઇ ગઇ.
ત્યાં બીજી એક દેડકી આવી, “કમ ઓન, લેટ અસ ડાંસ.”
રુબી દેડકી તો આભી બની ગઇ. પોતાના ગામમાં તો આવું કદી બન્યું નહોતું. જો કે એ કંઇ વિચારે એ પહેલાં મ્યુઝિક શરુ થયું અને બધા દેડકાં ખુબ નાચ્યાં. રુબી દેડકીને બરાબર નાચતાં આવડી ગયું હતું ડાંસનો પ્રોગ્રામ પુરો થયો એટલે સ્વીટુ સસ્સી કહે, “ચાલ હવે જઇશું આપણે ગામ ?”
રુબીને જવાનું મન નહોતું થતું પણ ઘરે તો જવું જ પડે. મમ્મી કેટલી રાહ જોતી હોય ને વળી ચિંતા યે કરતી હોય !! બહુ મોડું થાય તો પપ્પા પણ વઢે.
એ ફટાફટ સ્વીટુની પીઠ પર ચડી ગઇ, “હવે તમે નાચતા નાચતા જાઓ તો યે વાંધો નહીં મને જરાય પડવાની બીક નથી લાગતી.”
બંને રુબીના ઘર પાસે પહોંચ્યા. રસ્તામાં કનુ કાચબાએ રુબીને જોઇ. “અરે વાહ રુબી દેડકી આટલી બધી આનંદમાં !!” કુવા અંકલે જોયું રુબી ખુશખુશાલ હતી. અપ્પુ ઉંદર રુબીને જોઇને માની જ નહોતો શકતો પણ સાચી વાત હતી. રુબી દેડકી સાવ બદલાઇ ગઇ હતી.
એ જોર જોરથી ગાવા લાગ્યો,
“આ રુબી છે ભઇ રુબી છે
એ રોતી નહીં પણ રમતી છે
એ રોતી નહીં પણ રમતી છે..”બીજા દેડકા દેડકી આવી પહોંચ્યા. રુબી દેડકીની આજુબાજુ ગોળ ફરતે ગોઠવાઇ ગયા અને ગાવા માંડ્યા,
“આ રુબી છે ભઇ રુબી છે
રમતી છે ભઇ રમતી છે
ગમતી સૌને ગમતી છે
આ રુબી છે ભઇ રુબી છે..”સ્વીટુ સસ્સી રુબીના કાનમાં કહે, “બાય રુબી, હું જાઉં છું હવે તું એમને તારો નાચ પણ બતાવ. તારી પાસે શીખવા માટે બધા લાઇન લગાવશે…”
રુબી કહે, “અને હા મારો વટ પડી જશે….”
(દિવ્ય ભાસ્કરની પૂર્તિ ‘બાલ ભાસ્કર’માં પ્રકાશિત ૧૦-૦૩-૦૭)
-
શિયાળનો પાટો
ગિરિમા ઘારેખાન
એક શિયાળ હતો. એનું નામ હતું ગલબો. એ એક જંગલમાં રહેતો હતો. એક વાર જંગલમાં એ ચાલતો ચાલતો જતો હતો. ત્યાં રસ્તામાં ક્યાંકથી ઊડીને આવેલું એક ચીથરું પડ્યું હતું. શિયાળના પગમાં એ ચીથરું વીંટાઈ ગયું. શિયાળે એને ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ એ ખેંચી શકાયું નહીં. એણે વિચાર્યું કે ચાલતાં ચાલતાં નીકળી જશે. પણ ચીથરાનો લટકતો છૂટો છેડો પગમાં આવવાથી એને ચાલવામાં તકલીફ પડતી હતી.
ત્યાં ઝાડ ઉપર બેઠેલા વનુ વાંદરાએ શિયાળને આવી રીતે ચાલતો જોયો. એણે કહ્યું, ‘ગલબાભાઈ, પગે વાગ્યું લાગે છે. એટલે જ આવી રીતે ચાલો છો. બહુ વાગ્યું છે? પગે પાટો બાંધવો પડ્યો છે ને? અરેરે ! હવે દોડીને શિકાર કેવી રીતે કરશો ?
વાંદરાનું બોલવું સાંભળતા વેંત લુચ્ચા શિયાળાના મનમાં એક વિચાર ઝબકી ગયો. એણે મોં ઢીલું કરીને કહ્યું, ‘હા, જુઓને ! બહુ વાગ્યું છે. કોઈ મદદ કરશે, ખાવાનું આપશે તો ખાઇશ. નહીં તો ભૂખ્યો રહીશ. બીજું શું?’
હવે શિયાળે તો થોડે આગળ જઈને પેલા ચીંથરાને પાટાની જેમ કચકચાવીને બાંધી દીધું. પછી એ તો વરુની ગુફાની બહાર જઈને ઊભો રહ્યો. અંદરથી ખાવાનાની સુગંધ આવતી હતી. શિયાળે રડમસ અવાજમાં બૂમ પાડી, ‘વરુભાઈ, જરા બહાર આવો તો !’ વરુને થયું કે આજે આ ગલબાને વળી મારું શું કામ પડ્યું ? એ બહાર આવ્યું એટલે દયામણું મોં કરીને શિયાળે કહ્યું,
‘માનો નહીં મને ઠગ
મારો તૂટી ગયો છે પગ
દોડી ના શકું ફટ ફટ
થોડું ખાવાનું આપો ઝટ ઝટ’વરુએ શિયાળના પગે બાંધેલા મોટા પાટા તરફ જોયું. એને એની દયા આવી. ‘અરે રે ! હવે આ ગલબો દોડીને શિકાર નહીં કરી શકે અને ભૂખ્યો રહેશે. અમારે મુશ્કેલીમાં એકબીજાને મદદ કરવી જોઈએ. એણે પોતે કરેલા શિકારમાંથી થોડો ભાગ શિયાળને આપ્યો.
શિયાળને તો મહેનત કર્યા વિના ખાવાની બહુ મઝા આવી. પછી તો એ રોજ રોજ જુદા જુદા પ્રાણીઓ પાસે જાય અને કહે,
‘માનો નહીં મને ઠગ
મારો તૂટી ગયો છે પગ
દોડી ના શકું ફટ ફટ
થોડું ખાવાનું આપો ઝટ ઝટ.’બધા પ્રાણીઓને એના પગ ઉપરનો પાટો અને એનું દયામણું મોં જોઇને દયા આવી જાય. પાછો શિયાળ કોઈ પ્રાણીની નજીક જાય એટલે લંગડાતો ચાલવા માંડે.
આમ ને આમ ઘણા દિવસ વીત્યા. પેલો વનુ વાંદરો રોજ શિયાળને જુએ અને વિચારે, ‘આટલા દિવસ થયા આ ગલબાને મટતું જ નથી ! એવું કેવું વાગ્યું છે? શિયાળનો ભરોસો ના થાય. એ લંગડાવાનું નાટક તો નથી કરતો ને ! એણે ઝાડ ઉપર રહેતા પોતાના મિત્ર કકુ કાગડાને મનની વાત જણાવી..
કાગડો કહે, ‘તમારી વાત તો સાચી છે. હું આજે જ તપાસ કરી લઈશ.’
પછી કકુ તો શિયાળ જ્યાં જ્યાં જાય ત્યાં પાછળ પાછળ ઉડવા માંડ્યો. શિયાળ ખાવા માટે ઊભો રહ્યો એટલે એ બાજુના ઝાડ ઉપર બેસી ગયો. પેટ ભરીને ખાધા પછી શિયાળ નદી તરફ પાણી પીવા ગયો. કાગડાએ જોયું કે જયારે કોઈ પ્રાણી નજીક હોય ત્યારે જ શિયાળ લંગડાય છે. બાકી બરાબર ચાલે છે, દોડે પણ છે. એણે ઝાડ ઉપર પાછા જઈને વાંદરાને બધી હકીકત જણાવી દીધી.
વનુ વાંદરાને થયું કે આવું તો ના જ ચાલે. આ તો છેતરપીંડી છે. બીજી વાર કોઈને ખરેખર જરૂર હોય તો પણ કોઈ કોઈને મદદ ના કરે. અને એમ પોતે મહેનત ના કરે અને બીજાની મહેનતનું ખાધાં કરે એવું થોડું ચાલે ? એ તો ગયો વનના રાજા સિંહ પાસે. એણે સિંહને શિયાળની લુચ્ચાઈની બધી વાત કરી. આ સાંભળીને સિંહ તો ખૂબ ગુસ્સે થયો. એ કહે, ‘એ ગલબો ! આવી રીતે બધાને છેતરે છે ! બધા મહેનત કરીને શિકાર કરે અને એ માગી માગીને મહેનત વિના પેટ ભરી લે છે! હું એને પાઠ ભણાવીશ. ’ એણે વાંદરા સાથે મળીને શિયાળની પોલ ખોલવાની એક યોજના બનાવી.
બીજે દિવસે શિયાળ લંગડાતો ચાલતો જતો હતો ત્યારે સિંહ એની પાછળ આવ્યો અને જોરથી ત્રાડ પાડી. એણે કહ્યું,‘તને તો પગે વાગ્યું છે ને? આજે તો તું દોડી પણ નહીં શકે. આજે હું આરામથી તારો શિકાર કરીશ.’ આમ કહીને સિંહ ધીરે ધીરે ગલબાની નજીક આવ્યો. શિયાળે તો લંગડાવાનું ભૂલીને પૂરી તાકાતથી દોડવા માંડ્યું. વનુ વાંદરાએ બધાને જણાવી દીધું હતું એટલે બધાં પ્રાણીઓ પણ એને ભાગતો જોવા આજુબાજુ સંતાઈને ઊભા હતા. એ બધાએ પણ શિયાળની પાછળ દોડવા માંડ્યું. ગભરાયેલા શિયાળને રસ્તામાં એક મોટો ખાડો હતો એ ન દેખાયો અને એ ખાડામાં જઈને પડ્યો. હવે એનો પગ ખરેખર તૂટી ગયો.
ઘણા દિવસ સુધી એણે સાચો પાટો બાંધીને લંગડાતા ચાલવું પડ્યું. જે એને જુએ એ કહે,
‘તૂટી ગયો તારો પગ
કેમ કે તું છે મોટો ઠગ
હવે મહેનત કરીને ખાજે
મફતનું ખાધું છે ઢગ’શિયાળ હવે સમજી ગયો છે કે કોઈનું જૂઠ લાંબો સમય ટકતું નથી. મહેનત કરીને ખાવામાં જ મજા છે.
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
-
ગિગ ઇકોનોમી: શોષણનો નવો પર્યાય
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
“પપ્પા-મમ્મી, અમે બહાર જઈએ છીએ, મોડા આવીશું અને જમીશું પણ બહાર, તમારે જમવું હોય ત્યારે મને ફોન કરજો. હું ઓનલાઇન મંગાવી દઇશ. દસ મિનિટમાં જ માણસ આવીને તમને જમવાનું ઘરે આપી દેશે”
ઉપરના જેવા સંવાદો મધ્યમ વર્ગમાં હવે સામાન્ય બનતા જાય છે. બીજી તરફ મેં પોતે રસ્તા પર નજરે જોયેલા એક દૃશ્યની વાત કરું. રસ્તા પર ટોળું ભેગું થયું હતું. જિજ્ઞાસાવશ હું ત્યાં પહોંચ્યો. એક છોકરો અને તેની બાજુમાં પડેલી એક સાયકલ દેખાઈ. ઉપરાંત તેની નજીકમાં જુવાન દેખાતા એક ભાઈના શર્ટનો કોલર પકડીને એક બહેન ગુસ્સામાં દેખાયાં. નજીકમાં એક બાઈક પડેલું છે અને તેની આજુબાજુ ખોરાકની ચીજો વેરાયેલી પડી છે. ટોળામાંથી એક પાંત્રીસેક વર્ષના દેખાતા ભાઇ, પેલા બહેન પાસે આવી ગયા અને બહેનને કહ્યું “વાંક તમારા છોકરાનો હતો તો પણ તમે આ ભાઇને લાફો મારી દીધો અને હજુ પણ તેને છોડતા નથી” બહેને પેલા યુવાનનો કોલર છોડી દીધો અને બબડતા બબડતા પોતાના છોકરાને લઈને બાજુની સોસાયટી તરફ ચાલતા થયા. થોડી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ઝોમેટો કે એવી કોઇ કંપનીનો ડિલિવરી બોય પોતાનો ઓર્ડર લઇને જતો હશે તેવામાં સાયકલ લઈને પેલો છોકરો આડો ઉતર્યો. તેને બચાવવા જતા બાઇક કદાચ સ્લીપ થયું હશે. કોઈને ઈજા તો ન થઈ પરંતુ ગ્રાહકને પહોંચાડવાની ખોરાકની વસ્તુઓ રસ્તા પર વેરાઈ ગઈ. આ ડિલિવરી બોયને એક થપ્પડ તો મળી ઉપરાંત કંપનીએ તેનો શું દંડ કર્યો હશે તેની કલ્પના કરવાનું વાચક મિત્રો પર છોડીને મૂળ વાત પર આવું.
આપણે ત્યાં ગિગ ઇકોનોમી (Gig Economy) નામે ઓળખાતી એક એવી શ્રમબજાર પ્રણાલી ઊભી થઈ ગઈ છે, જેમાં લાંબાગાળાના કરારને બદલે ટૂંકા ગાળાના, સ્વતંત્ર કોન્ટ્રાક્ટર દ્વારા કામચલાઉ કાર્યો કરવામાં આવે છે. આમાં ટેક્નોલોજી અને એપ-આધારિત પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને કામદારોને ગ્રાહકો સાથે જોડવામાં આવે છે, જેથી ગ્રાહકોને ઘેર બેઠાં જ સેવા મળી રહે છે. આપણો મધ્યમ વર્ગ આ સેવાથી ઘણો ખુશ છે. પરંતુ તેની પાછળ કોનું અને કેટલું શોષણ થાય છે તે વિશે તે બેપરવા છે. અહીં ઝોમેટો અને સ્વીગી જેવી કંપની દ્વારા કર્મચારી-જે ડિલિવરી બોય તરીકે ઓળખાય છે-તેનાં શોષણ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી આપણને મળતી દરેક સુવિધાજનક સેવા કોઇને કોઇનાં નાણાકીય, શારીરિક અને માનસિક શોષણ ઉપર ઊભી છે. એક ડિલિવરી બોયનાં જણાવ્યા મુજબ તેણે ત્રણ દિવસમાં ૧૦૫ કિલોમીટર TVS125 સ્કુટર ચલાવ્યું અને વીસ જેટલી ડિલિવરીઓ પૂર્ણ કરી. આ માટે ૧૫ કલાક કામ કર્યું તેમાં કુલ કમાણી ૭૮૨ રૂપિયા થઈ જેમાં સ્કુટરના પેટ્રોલનો ખર્ચ રૂપિયા ૨૫૦ થયો એટલે કે ચોખ્ખી કમાણી ૫૩૨ રૂપિયા થઈ. આ મળતર મોટાભાગના ઔપચારિક ક્ષેત્રનાં લઘુત્તમ વેતનથી પણ ઓછું કહેવાય. આમાં વાહનની જાળવણી, ફોન બિલ અને સૌથી વધારે મહાનગરના ટ્રાફિકની વચ્ચે વાહન હંકારવામાં પડતા ત્રાસ અને તેની પાછળ ગુમવવા પડતા કલાકો ઉપરાંત નવા ઓર્ડર મેળવવા માટે રાહ જોવાના કલાકોનો સમાવેશ તો થતો જ નથી.
તેમના પગારનું ધોરણ ડિલિવરી કરવા માટેનાં સ્થળનાં અંતર પર આધારિત હોય છે, એટલે કે લગભગ ૩૫ થી ૫૫ રૂપિયા જેટલું હોય છે. અહીં વ્યવસ્થા અને શરતો પણ એવી છે કે ઓર્ડર સ્વીકારવા માટે મનોવૈજ્ઞાનિક દબાણનો સામનો કરવો પડે છે. વળી આ નોકરીમાં સામાજિક સુરક્ષાના લાભો તો હોતા જ નથી. એક દાવો કરવામાં આવે છે કે ૨૦૩૦ સુધીમાં દેશમાં ઝડપી ડિલિવરી આપવા માટેનું અર્થતંત્ર એટલું બધું વિકસશે કે તેમાં બે કરોડ ત્રીસ લાખ જેટલા લોકોને રોજી મળશે. જો કે આ વિકાસ કામદારોની વધતી જતી કમાણીની અનિશ્ચિતતા અને શોષણ પર આધારિત જ હશે.
કર્મચારીઓનાં સંગઠને ગયા ડિસેમ્બરની ૩૧ તારીખે હડતાલનું એલાન આપેલું. તેમની માગણીના મુખ્ય મૂદ્દાઓ મજૂર કાયદાઓ મુજબ લઘુત્તમ વેતન અને ડિલિવરીમાં વિલંબ પર થતા દંડ સામે રક્ષણ જેવા મામૂલી જ હતા. પરંતુ મોટાભાગના ડિલિવરી કામદારોને આ હડતાલમાં જોડાવું પોસાયું નહિ. એક દિવસનો પગાર ગુમાવવા ઉપરાંત કંપની હડતાલ પાડવા બદલ કેવા પગલા લેશે તેના ડરને કારણે તેઓ હડતાલ પર જઈ શક્યા નહિ.
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ ઝોમેટો અને બ્લિંકિટની ક્વિક-કોમર્સ “10-મિનિટ ડિલિવરી” મોડેલ્સની ભારે ટીકા કરી છે. કંપનીઓને તેઁમણે શોષણખોર ગણાવી છે અને ગિગ કામદારોને સુરક્ષિત રાખવા માટે તેમના આ મોડેલની સમાપ્તિની માંગ કરી છે. તેમણે દલીલ કરી છે કે આ પ્રકારની દસ મિનિટમાં ડિલિવરી આપવાની જોગવાઇ બાઇકસવારને જોખમમાં મૂકે છે. એક પ્રકારે આ “ક્રૂરતા” જ કહેવાય. આથી તેમણે કામદારો માટે વધુ સારા અધિકારો, સલામતી અને પગારની માગણી કરી છે. જાણવા મળ્યા મુજબ હવે આ દસ મિનિટને બદલે પંદર મિનિટ કરવામાં આવી છે. પરંતુ તેનાથી કોઇ ફરક પડે તેમ નથી કારણ કે નવો ઓર્ડર મેળવવા કામદારો પોતે જ ઝડપ કરતા હોય છે.
આપણા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોનું ડિલિવરી કર્મચારીઓનાં શોષણ તરફ ધ્યાન દોરવામાં આવે છે ત્યારે તેમનો એક જ ઉત્તર હોય છે કે આ લોકોને દરેક ડિલિવરી દીઠ પૈસા મળે છે. પરંતુ તેઓ કર્મચારીઓને પડતી હાલાકીઓને નજરઅંદાજ કરે છે. વરસાદ હોય કે ગરમી, તેમણે નિશ્ચિત સમયમાં ઓર્ડર પહોંચાડવો જ પડતો હોય છે. ઝડપી ડિલિવરી કરવાની લ્હાયમાં ક્યારેક ટ્રાફિકના નિયમનો ભંગ થાય તો દંડ ભોગવવો પડે છે, તો ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. અને કમાણી પણ કેટલી થાય છે? ઈટર્નલ લોમિટેડના ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક અહેવાલ મુજબ જેમણે દિવસમાં આઠ કલાક કામ કર્યું હતું અને મહિનામાં ૨૬ દિવસ લોગ ઇન કર્યું હતું તેવા ઝોમેટો અને બ્લિંક્વિટના ડિલિવરી કામદારોની કમાણી પેટ્રોલડિઝલના ખર્ચને બાદ કરતા રૂપિયા ૨૭,૭૨૬ હતી. પરંતુ કમાણીની આ રકમ સુધી પણ પહોંચવા માટે તેમણે આખો દિવસ ઓંનલાઇન રહેવું પડે છે. વિરામ માટે સમય મળતો નથી, વળી ભૂલથી કે ઇરાદાપૂર્વક ઓર્ડરના રિજેક્ટનું બટન દબાવવામાં આવે તો આવકમાંથી દંડ રૂપે રકમ કપાઈ જાય છે.
કામદારોએ ફોન ઉપરાંત યુનિફોર્મ તરીકે જર્સી અને ઉપાડવા માટેની બેગનો ખર્ચ પણ કરવો પડે છે. વળી આ માટેની એપ મેળવવા માટે પણ રકમ ચૂકવવી પડે છે. એક કામદારનાં જણાવ્યા મુજબ તેણે સ્વીગી એપ પર જવા માટે ૧,૨૦૧ રૂપિયા ચૂકવ્યા અને ઝોમેટો માટે ૧,૭૯૯ રૂપિયા ચૂકવ્યા. જો કે કંપનીઓએ મહેરબાની કરી કે આ રકમ હપ્તેથી ચૂકવવનો વિકલ્પ આપેલો!
પરંપરાગત રોજગારમાં સુપરવાઇઝર કે બીજા અધિકારી તરીકે જેને મેનેજમેન્ટ કહેવાય એ કામદારોની સામે એટલે કે પ્રત્યક્ષ જ હોય છે. આથી કુશળતાથી અને વફાદારીથી કામ કરનાર કોઇ કામદારને પુરસ્કાર, વેતન વધારો કે પ્રમોશન મળી જાય છે. વળી કોઇ ચોક્કસ સ્થળ પર કામ કરવાનું હોઇ ત્યાં માથા પર છાપરાની કે ઠંડુ પાણી પીવા માટે વોટરકુલરની વ્યવ્સ્થા પણ ક્યારેક હોય છે. પરંતુ ઝોમેટો કે સ્વીગી કંપનીની મેનેજમેન્ટ તો અદૃશ્ય (faceless)જ હોય છે. કોઇ સુપરવાઇઝર તેના ખભા પરના બોજ સામું જોતો નથી. જો ગણવી હોય તો ઓર્ડર સ્વીકારવા કે નકારવા માટેની એપને જ પ્રત્યક્ષ મેનેજમેન્ટ ગણી શકાય, જે કામદારની કુશળતાનું મૂલ્યાંકન કદી કરી શકે નહિ.
કેટલીક વખત તો કામદારોને પંદરવીસ કિલો વજન ઉપાડીને મોટી સીડીઓ પણ ચડવી પડે છે. કારણ કે ઘણી સોસાયટીઓમાં લિફ્ટ હોતી નથી અથવા તો કામદારોને આ લિફટનો ઉપયોગ કરવાની રજા નથી હોતી. અલબત અપવાદ રૂપે કેટલીક સોસાયટીઓમાં લિફ્ટનો ઉપયોગ કરવા દેવાય છે અથવા કામદારો માટે અલગ લિફ્ટ હોય છે.
પ્રણાલિકાગત રોજગારમાં કદાચ કામદાર કોઇ ભૂલ કરે તો તેને તરત જ સુધારવાની તક પણ ક્યારેક હોય છે. પરંતુ અહીં એ તક નથી હોતી.
કંપનીઓ કહે છે કે અમે કામદારોને તાલીમ પણ આપીએ છીએ. પરંતુ આ તાલીમ પણ ઓનલાઇન હોય છે. જેમાં માત્ર સૂચનાઓ હોય છે આ સૂચનાઓ સૌમ્ય હોવાને બદલે જાણે ધમકીરૂપ હોય તેવી હોય છે.
આપણા લોકોને સુવિધાજનક સેવાઓની અપેક્ષાનો કોઈ અંત હોતો નથી આથી માર્કેટ પોતે ગિગ ઇકોનોમીનો વ્યાપ્ત દિવસે ને દિવસે વધારતું જ જશે. આ વ્યાપ્ત કામદારોના શોષણ પર જ આધારિત રહેવાનો. કોઇ વિચારસરણીને આધારે નહિ પરંતુ માનવીય દૃષ્ટિકોણથી આપણે અનેક હાડમારીઓની વચ્ચે આપણને સેવા પૂરી પાડનાર વર્ગ પ્રત્યે સક્રિય રીતે સંવેદનશીલ બનવું આપણી નૈતિક ફરજ બનવી જોઇએ. આ માટે કામદારોનું શોષણ અટકાવવા કંપની અને સરકારને ફરજ પાડવી જોઈએ. અહીં કોઇના પર દયા કરવાની વાત નથી, પરંતુ સવાલ ન્યાયનો છે.
(આ લેખ લખવા માટે તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના ઈન્ડીયન એક્સ્પ્રેસમાં પ્રસિદ્ધ થયેલા લેખ, ગૂગલ પરથી મેળવેલી માહિતી અને વ્યકતિગત રીતે મેળવેલી જાણકારીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કચરા ફેંકો, તમાશા દેખો
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘સ્વચ્છતા અભિયાન’ની દેશભરમાં બોલબાલા છે, અને ગાંધીજીનાં ગોળ ચશ્માનું પ્રતીક ઠેરઠેર જોવા મળી રહ્યું છે. ગાંધીજીએ મનની સ્વચ્છતા પર પણ એટલો જ ભાર મૂક્યો હતો. પ્ર પોતાની જવાબદારી હોય એવાં કામ કરવાનો દેખાવ કરવામાંય પોતાની સિધ્ધિ ગણાવતી સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રચાર જોરશોરપૂર્વક કરવામાં આવે છે. કચરો એકઠો કરવાના વાહન દ્વારા જોરશોરથી વગાડાતા ગાયનના શ્રવણથી હવે અનેક લોકોની સવાર પડે છે. તેનાથી એટલો ખ્યાલ આવે છે કે સ્વચ્છતા અભિયાન હજી અટક્યું નથી. આ વાહનમાં પોતાના ઘરનો કચરો પધરાવનારને કદી એવો સવાલ થતો હશે ખરો કે વાહનમાં એકઠો થયેલો કચરો ક્યાં પધરાવાતો હશે? આવો સવાલ ઘણાને થતો હોય તો પણ પછી એનો જવાબ મેળવવાનો પ્રયત્ન ભાગ્યે જ કોઈ કરતું હશે. આનો જવાબ મેળવવાના પ્રયત્નરૂપે ફેબ્રુઆરી, ૨૦૨૬માં બેંગલૂરુમાં બનેલી એક ઘટના પર નજર કરવા જેવી છે.
બેંગલૂરુ શહેર દિવસરાત સતત વિસ્તરી અને વિકસી રહ્યું છે. અનેક લોકોને રોજગારી પૂરી પાડતું કેન્દ્ર કોઈ શહેર બને એની સાથે એની સમસ્યાઓ પણ વિકસે અને વિસ્તરે છે. બેંગલૂરુનો વિસ્તાર એટલો છે કે તેમાંથી પેદા થતા ઘન કચરાને વિવિધ સ્થળે એટલે કે લેન્ડફીલ પર ઠાલવવામાં આવે છે. પૂર્વ અને ઊત્તર બેંગલૂરુનો ઘનકચરો બેલાહલ્લી ગામ નજીક આવેલા લેન્ડફીલ પર ઠલવાય છે. સ્વાભાવિકપણે જ અહીં અનેક ભારે વાહનોની અવરજવર રોજેરોજ ચાલતી રહેતી હોય. કચરાના આવા એક વાહનના કારણે ગામના એક બાળકનું મૃત્યુ થયું એ સાથે જ ગામલોકોનો રોષ ભભૂકી ઉઠ્યો. તેઓ રીતસર રસ્તા પર આવી ગયા અને અહીં આવતાં વાહનોને તેમણે અટકાવ્યાં. જોતજોતાંમાં દોઢસો બસો ખટારાઓની લાઈન પડી ગઈ. ગામલોકો બબ્બે દિવસ સુધી વિરોધ પ્રદર્શિત કરતા રહ્યા. એ વખતે બેંગલુરુના પૂર્વ અને ઊત્તર વિસ્તારોની સ્થિતિ શી થઈ હશે એની કલ્પના કરવી રહી!

મવલ્લીપુરમાં એકઠા થતા કચરાના ઢગલા – ૨૭.૦૪.૨૦૧૮ની એક તસવીર Pic: Amrita Sen
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીજો કે, ગામલોકોનો વિરોધ કંઈ પેલા બાળકના આકસ્મિક મોતને લઈને જ હતો એમ નહીં, પણ એ નિમિત્તે તેમને એ પ્રદર્શિત કરવાની તક મળી. કેમ કે, દિવસ આખો અહીંના સાંકડા, ધૂળિયા રસ્તા પર કચરાનાં વાહનોની અવરજવરને લઈને અહીં આવનજાવન જોખમી બની રહે છે. આ ઊપરાંત અહીં ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ ગયું છે, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, કચરો બાળવાને કારણે ઝેરી ધુમાડો પ્રસરે છે અને શ્વાસમાં ભળે છે. ટૂંકમાં નર્કથીય બદતર સ્થિતિ પેદા થઈ ગઈ છે. સત્તાવાળાઓએ ગામલોકોના આ વિરોધને પહેલાં તો આવશ્યક સેવાઓમાં વિક્ષેપનું કારણ આપીને દબાવવા પ્રયત્ન કર્યો, પણ ગામલોકો મક્કમ રહ્યા. આખરે સત્તાવાળાઓ વાટાઘાટો માટે તૈયાર થયા અને તેમણે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી એ પછી ગામલોકોએ વિરોધ પાછો ખેંચ્યો.
મુદ્દાનો સવાલ એ છે કે જે જરૂરી પગલાં લેવાની સત્તાવાળાઓએ ખાતરી આપી એના અમલ માટે વિરોધ પ્રદર્શન સુધી રાહ જોવાની જરૂર હતી? કેમ કે, ગામલોકોના જણાવ્યા અનુસાર પીવાના પાણી, રોડ, શાળા અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ માટે ફાળવાયેલાં નાણાં છેલ્લા બે વરસથી તુમારશાહીમાં અટવાયેલા પડ્યા છે. હજી તો સત્તાવાળાઓએ આમ કરવાની બાંહેધરી આપી છે, અને ઊભી થયેલી તણાવગ્રસ્ત પરિસ્થિતિને તત્પૂરતી થાળે પાડી છે. વાસ્તવમાં કામ થાય ત્યારે ખરું.
આપણા દેશમાં અત્ર તત્ર સર્વત્ર કોઈ પણ સમસ્યાના ઊકેલ વિચારવામાં આવે તે મુખ્યત્વે લક્ષણોને ડામવાના હોય છે. મૂળભૂત બિમારીનો ઈલાજ કરવાની નથી કોઈની વૃત્તિ કે નથી કોઈનું વલણ. આથી જ બેલાહલ્લીમાં ઊભી થયેલી પરિસ્થિતિ કદાચ કામચલાઉ ધોરણે થાળે પડી, પણ ઘન કચરાના નિકાલની સમસ્યા એમની એમ ઊભી રહી. પેદા થતો કચરો, તેનું વિવિધ તબક્કે વિભાજન, એ પછી તેનો યોગ્ય રીતે નિકાલ શી રીતે કરવો તેનું આયોજન હજી દૂર જણાય છે. રખે એમ માની લેવાય કે આ સ્થિતિ કેવળ બેંગલુરૂ પૂરતી છે. દેશ આખામાં આ પરિસ્થિતિ વ્યાપેલી છે, અને ખાસ કરીને શહેરના સીમાડે આવેલાં ગામડાં કચરાના ઢગ બની રહ્યાં છે.
બેલાહલ્લી પહેલાં મંડુર ગામ પાસે આવું લેન્ડફીલ હતું. તેને કારણે અહીંનું ભૂગર્ભ જળ ઝેરી બની જતાં ગામલોકોએ ઉગ્ર વિરોધ કર્યો અને આખરે ૨૦૧૪માં અહીં કચરો ઠાલવવાનું બંધ કરાયું. અહીં સિત્તેર ફીટ ઊંચો કચરાનો ઢગ ખડકાઈ ગયો હતો. હજી આ સ્થળને નવનિર્મિત કરવાની કવાયત ચાલી રહી છે. પણ મંડુરની ઘટનામાંથી બોધપાઠ શો લેવાયો? મંડુરને બદલે બેલાહલ્લીમાં કચરો ઠાલવવાનું શરૂ થયું અને અહીં પણ એ જ પરિસ્થિતિ આવી ગઈ.
લેન્ડફીલ શું અનિવાર્ય છે? પહેલાં લેન્ડફીલ ઊભાં કરવાં, ત્યાં બરાબર કચરો ઠાલવીને તેની આસપાસના વિસ્તારને પ્રદૂષિત કરી મૂકવો અને પછી ત્યાંથી સ્થળ બદલવું આ રીત નથી. ઘન કચરાના વ્યવસ્થાપનની રીત પણ વિકેન્દ્રીત કરવી પડશે અને તેમાં નાગરિકોની સામેલગીરી જરૂરી બની રહેશે. નીતિગત રીતે તેમજ નાગરિકોના સ્તરેથી, એમ બન્ને તરફથી નક્કર નીતિઓ ઘડીને પગલાં લેવાય તો જ આ સમસ્યા હળવી થઈ શકશે. પરિસ્થિતિ હવે એ હદે વણસી ચૂકી છે કે આ સમસ્યાનો સંપૂર્ણ ઊકેલ કદાચ શક્ય નથી.
કચરા બાબતે હજી નાગરિકોમાં પણ જોઈએ એવી જાગૃતિ નથી. અને એ કારણે તેઓ તંત્ર પર પણ તેની નીતિ ઘડવા બાબતે યોગ્ય પ્રભાવ ઊભો કરી શકતા નથી. પોતાનું આંગણું સ્વચ્છ રાખવું જરૂરી છે, પણ આપણે ‘બહાર’ ફેંકેલો કચરો છેવટે આપણાથી સહેજ જ દૂર રહે છે. આ બાબતે નવેસરથી વિચારવાની જરૂર છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૩– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
