વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એસ ધમ્મો સનંતનો – સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન – [૩] આપણો મધ્ય કાળ અને આધુનિક કાળ

    સનાતન પરંપરા વિશે જેટલું લખીએ તેટલું ઓછું પડે. આ દીર્ઘ લેખામાળાના સમાપનમાં સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન તેમને સમજવામાં મદદરૂપ બની શકશે.

    આ પહેલાં આપણે વૈદિક અને શ્રમણ પરંપરાઓ અને હિંદુ ધર્મને અગ્રીમ સ્થાન અપાવવાનું અભિયાન વિશે વાત કરી હતી. હવે આગળ …..


    પ્રવાસી યુ. ધોળકિયા

    પશ્ચિમી કૅલેન્ડર પ્રમાણે. ઇ. સ. ૨૦૦૦માં વિશ્વએ પોતાની બે હજાર વર્ષની સમયાવધિ પુરી કરી. એક વિદેશી વિદ્વાને સાચું જ કહ્યું છે કે પ્રથમ હજાર વર્ષમાં, એટલે કે ઇ. સ. ૧૦૦૦ સુધીમાં,  ભારતની સનાતન સંસ્કૃતિ શિખર પર પહોંચી. આ સનાતન પરંપરા હિંદુ અને બૌદ્ધ હતી. તે ફક્ત ભારતીય ઉપખંડમાં જ નહીં, પણ મધ્ય એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા તથા છેક ચીન,  જાપાન, કોરિયા અને તાઈવાન સુધી ફેલાઈ હતી. ખાસ નોંધવાની બાબત એ છે કે સંસ્કૃતિનો આ વિસ્તાર કોઈ પણ પ્રકારની બળજબરી કે રક્તપાત વિના થયો હતો. વિશ્વના ઇતિહાસમાં આ એક વિરલ ઘટના ગણવામાં આવે છે.

    ઓશો રજનીશ કહે છે કે જ્યારે કોઈ પણ સંસ્કૃતિ તેના જ્ઞાન, અધ્યાત્મ અને ધર્મમાં ટોચ પર પહોંચે છે ત્યારે તે સ્ત્રૈણ બની જાય છે. ભારતમાં સનાતન પરંપરા સાથે પણ એવું જ કંઈક બન્યું.  સહસ્ત્રાવધિના બીજા ખંડ દરમ્યાન ઇ. સ. ૧૨૦૦ થી ૧૮૦૦ સુધીમાં અનેક તુર્ક લોકો મુસલમાન બનીને હિંદ પર શાસન કરવા લાગ્યા. એ સમયે આપણો દેશ આ મારક અને શોષક રાજવીઓનો માત્ર રાજકીય ગુલામ બનીને જ ન અટકી ગયો. આપણે આપણી ૨૫ ટકા વસ્તીને મુસલમાન બનતા પણ ન રોકી શક્યા. આ ધર્મ પરિવર્તન પાછળ મુસલમાનોની તલવાર, તેમણે નાખેલ જજિયાવેરો જેવાં અનેક કારણો પણ હતાં.

    તેથી આજની પેઢીને એ સવાલ થવો સ્વાભાવિક છે કે આપણાથી વધારે અભણ અને ઊતરતી મુસ્લિમ સંસ્કૃતિના આપણે આવા કાયર બનીને ગુલામ કેમ બની ગયા? આવું કેમ બન્યું એ માટે આપણે આજે કદાચ અવૈજ્ઞાનિક લાગે એવી જ્યોતિષવિદ્યાનો આધાર લેવો પડશે. આ વિજ્ઞાન પ્રમાણે, સૂર્યની આસપાસ રાહુ-કેતુ સાથે અગિયાર ગ્રહો ફરતા રહે છે. પ્રાચીન જ્યોતિષશાસ્ત્રમાં માનતા આપણા જ્યોતિષીઓ આ અગિયારમાંના આઠ ગ્રહોને લઈને માનવ જીવનનાં ભાવિનું ફળકથન કરે છે. તેઓ મેદીનીય જ્યોતિષને આધારે દેશ-વિદેશનાં ભાવિ વિશે પણ સચોટ આગાહી કરી શકે છે.

    પરંતુ છેલ્લાં ત્રણસોએક વર્ષમાં પશ્ચિમ યુરોપના દેશોએ ઉપરોક્ત સૂર્યમાળાના ત્રણ નવા ગ્રહ – યુરેનસ (અરુણ), નેપ્ચ્યુન (વરુણ) અને  પ્લુટો (યમ) – ની શોધ કરી.  સૂર્યની આસપાસ એક ભ્રમણ પુરું કરતાં યુરેનસને, નેપ્ચ્યુનને અને  પ્લુટોને અનુક્રમે ૮૪ વર્ષ, ૧૬૫ વર્ષ અને ૨૫૦ વર્ષ લાગે છે.

    ૧) રૉઝી ફિન્ન નામની જ્યોતિષ વિદુષીએ ખાસ કરીને  પ્લુટોનો આધાર લઈને છેલ્લાં ૩,૦૦૦ વર્ષોમાં  પ્લુટોનાં એક એક પરિભ્રમણ દરમ્યાન વિશ્વમાં કેવાં કેવાં પરિવર્તન આવ્યાં તેની અદ્‍ભૂત શોધખોળ કરી છે. તે ઉપરાંત યુરેનસે અને નેપ્ચ્યુને પણ વિશ્વની સંસ્કૃતિનાં પરિવર્તનમાં પ્લુટો સાઈકલને જે ગતિ આપી છે તેની પણ નોંધ લીધી છે. રોઝીએ શાસકોમાં હમુરાબી, ચંગીઝખાન, હિટલર અને સ્તાલિન જેવાં નામો ગણાવ્યાં છે અને તેઓ દ્વારા સંસ્કૃતિઓના વિનાશને સમજાવ્યા છે.

    ૨)  પ્લુટોનાં છેલ્લાં બે ભ્રમણ, એટલે કે ઇ. સ. ૧૫૦૦ થી ૨૦૦૦, ના સમયગાળામાં પશ્ચિમી વિજ્ઞાન અને ટેક્નૉલોજિએ વિશ્વની, ભારત, ચીન કે ઇસ્લામિક જેવી, ખેતી આધારિત સંસ્કૃતિઓનો કારમો પરાજય કર્યો.

    ૩)  પ્લુટોનું છેલ્લું પરિભ્રમણ ઇ. સ. ૧૭૭૫માં થયું. રૉઝી લખે છે કે આ ચક્રના આરંભ સાથે જ ઇ. સ. ૧૭૭૬માં અમેરિકામાં યુ એસ એ બ્રિટનથી સ્વતંત્ર થયું. ઇ. સ. ૧૭૭૯માં ફ્રાન્સમાં ક્રાંતિ થઈ અને રાજાશાહી ઊથલી પડી. પછી રશિયાની ઝારશાહી, તુર્કસ્તાનનાં ઓટોમન અને ભારતનાં મુગલ શાસનનો અંત આવ્યો.

    ૪) તલવાર અને ભાલાથી લડાતાં યુદ્ધોનો અંત આવ્યો. પહેલાં તોપો અને પછી ટેન્કો, મિસાઈલો અને અણુશસ્ત્રોથી સજ્જ આધુનિક સૈન્ય વડે પશ્ચિમી સંસ્કૃતિઓએ વિશ્વના આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાનાં અનેક રાજ્યો જીતી લઈને પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

    પ્લુટોનાં સૂર્યની આસપાસનાં છેલ્લાં ચાર પરિભ્રમણ ( ૨૫૦ x ૪ વર્ષ)ને સનાતન પરંપરાના ધારક આપણા દેશના સંદર્ભમાં આપણે હવે જોઈએ.

            ૧)  પ્લુટોનાં પહેલાં બે પરિભ્રમણ, એટલે કે ઇ. સ. ૧૦૨૫ થી ૧૫૨૫ દરમ્યાન મધ્યપૂર્વથી તુર્ક        મુસલમાનો ચડી આવ્યા. તેઓએ ભારત પર ઇસ્લામિક સુલતાનો બનીને ઈસ્લામિક સંસ્કૃતિનો પાયો નાખ્યો. ૫૦૦ વર્ષનો તેમનો શાસન કાળ અતિ ક્રૂર અને ઘાતકી હતો.

            ૨)   પ્લુટોનું ત્રીજું પરિભ્રમણ ઇ. સ. ૧૫૨૫ થી ૧૭૭૫ દરમ્યાન થયું. હવે સુલતાનોની   જગ્યાએ મુગલ બાદશાહો આવ્યા. બધું મળીને પંચાવન જેટલા મુસ્લિમ શાસકોએ ભારત પર    તેમના શાસન કાળ દરમ્યાન બહુ જ શોષણ કર્યું.

            ૩)  પ્લુટોનું ચોથું પરિભ્રમણ ઇ. સ. ૧૭૭૬ થી ૨૦૨૫ સુધી ચાલ્યું. એ સમયે મુસ્લિમોને     હરાવીને તેનાથી વધારે શક્તિશાળી એવા પશ્ચિમ યુરોપના અગ્રેસર બ્રિટિશરોએ આપણા પર  આધુનિક કહી શકાય તેવું  છતાં પણ અતિ શોષણકર શાસન ચલાવ્યું. બીજાં વિશ્વયુદ્ધને પરિણામે બ્રિટન નબળું પડ્યું અને ભારતને સ્વતંત્રતા આપવી પડી. પરંતુ કુટિલ બ્રિટિશરોએ હિંદુ મુસ્લિમ   વચ્ચે કાયમી તિરાડ પાડી દીધી. ભારતને સ્વાતંત્ર્ય મળ્યું પણ દેશ ભૌગોલિક અને રાજકીય સ્તરે ખંડિત થઈ ગયો. અહીં એ સ્પષ્ટતા કરીએ કે છેલ્લાં ચોર્યાસી વર્ષ, એટલે કે યુરેનસનું એક  પરિભ્રમણ પૂરું થવાથી, તેની નેપ્ચ્યુન અને પ્લુટો એક વિશિષ્ટ પ્રકારની યુતિ સર્જાઈ, જે  દરમ્યાન વિશ્વયુદ્ધો થયાં. ૧૮૫૧માં પ્રારંભ થયેલ યુરેનસ સાઈકલે ભારતને સ્વાતંત્ર્ય અપાવ્યું.

            ૪) આઝાદી સમયે દેશ સામે અનેક પડકારો હોવા છતાં ભારતે લોકશાહી રાજ્ય વ્યવસ્થા        અપનાવી. આઝાદી પછીના ૭૮ વર્ષોમાં ભારતે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી. સ્વતંત્ર  ભારતનાં વિશ્વવિદ્યાલયોના સ્નાતકોએ તેમની બુદ્ધિપ્રતિભાથી વિશ્વમાં ડંકો વગાડ્યો છે.  ભારતની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓએ અંતરિક્ષ વિજ્ઞાન અને શસ્ત્રસરંજામ ઉત્પાદન ક્ષેત્રોમાં જે  પ્રગતિ સાધી છે તે જોઈને વિશ્વ આશ્ચર્ય અનુભવે છે. આર્થિક વિકાસની દૃષ્ટિએ આપણે વિશ્વના પ્રથમ પાંચ દેશોમાં સ્થાન પામીએ છીએ. આપણું ભવિષ્ય ઉજળું હશે.

    હિંદુ પરંપરાના મહાવતારો

    કાળની અનેક માર ખાધા છતાં આપણી હિંદુ પરંપરા આજે વિશ્વની વસ્તીના ૧૫ પ્રતિ શત ભાગમાં માન્ય છે એ માટે આપણે આ મહાવતારોના ઋણી છીએ

    જૂન ૨૦૨૫ના પ્યુ રીસર્ચ સેન્ટરના એક અભ્યાસ અનુસાર વિશ્વમાં વિવિધ ધર્મોની વસ્તીનું તુલનાત્મક વર્ગીકરણ

    ૧) ભગવાન શ્રીકૃષ્ણ

    વિવેચકો કહે છે કે હિંદુ ધર્મના સાચ સંરક્ષક ભગવાન શ્રીકૃષ્ણ છે. મહાભારત કાળમાં તેઓએ જોયું કે તે સમયના પચાસ જેટલાં રાજ્યોનાં રાજ્યકુળો  સાવ અસંસ્કારી, ઘાતકી અને અતિ ભોગવિલાસી બની ગયાં હતાં. તેતી ભગવાનશ્રીએ મહાભારતનું યુદ્ધ થવા દીધું. આ મહાયુદ્ધમાં લગભગ બધાં રાજ્યકુળોનો નાશ થયો. તેમણે પોતાનાં યાદવ કુળનો અને સ્વયંનો પણ સામાન્ય માનવી જેવો અંત આણ્યો.

    ભારતના ધર્મ અને અધ્યાત્મનો પ્રાણ શ્રીકૃષ્ણનો યોગ માર્ગ છે. આ યોગમાર્ગના સ્થાપક ભગવાન શિવ હતા તેથી શિવ આદિ યોગી કહેવાય છે. શ્રીકૃષ્ણે આ યોગમાર્ગને ભવિષ્ય માટે સરળ બનાવ્યો એટલે શ્રીકૃષ્ણ યોગેશ્વર કહેવાયા. વેદ અને ઉપનિષદમાં રહેલાં જ્ઞાન-વિજ્ઞાનને શ્રીકૄષ્ણએ પોતાના પ્રવચનને ભગવદ્‍ગીતામાં અદ્‍ભૂત રીતે વણી લીધાં. તેઓએ સૌથી વિશેષ પ્રાધાન્ય કર્મવાદને આપ્યું. ભગવદ્‍ગીતાનો ઉપદેશ શાશ્વત  છે અને આજે પણ એટલો જ પ્રાસંગિક છે.

    ૨) ગોરખનાથ

    બીજા મહાવતાર નાથ સંપ્રદાયના પ્રધાન ગુરુ ગોરખનાથ છે.  તેઓએ બૌદ્ધ ધર્મના સિદ્ધોના યોગ અને તંત્ર માર્ગને નવું સ્વરૂપ આપ્યું. પછી એવું બન્યું કે તે યોગ માર્ગ જ એક સંપૂર્ણ માર્ગ બની ગયો. ગોરખનાથે પોતાના ઉપદેશો હિંદી, માગધી અને સંસ્કૃત જેવી મિશ્રિત ભાષામાં સમજાવ્યા હતા. તેમની આ ભાષાને ઉલટભાષી કહેવાય છે. ઓશો રજનીશ કહે છે કે ગોરખનાથ ન હોત તો ભારતમાંથી શિવના તાંત્રિક યોગનો સંપૂર્ણપણે વિનાશ થઈ ગયો હોય. ગોરખનાથે આ યોગમાં એટલા માર્ગો સૂચવ્યા કે લોકોને ભ્રમ થવા લાગ્યો કે કયો માર્ગ ખરેખર પસંદ કરવો. તેથી આપણે જ્યારે કોઈ માણસના વ્યવસાયને ઓળખી શકતા નથી ત્યારે તેને ગોરખધંધા કહીએ છીએ.

    ૩) શ્રી શંકરાચાર્ય

    શ્રી શંકરાચાર્ય અદ્વૈતવાદના તત્વજ્ઞાનના માર્ગને વિકસાવીને બૌદ્ધોના શૂન્યવાદનો કારમો પરાજય કર્યો. તેઓ આટલેથી જ ન અટક્યા.  તેમણે હિંદુ ધર્મને વ્યવસ્થિત કરવા ચાર ખૂણે ચાર મઠો સ્થાપ્યા. તેઓએ શિવ, વિષ્ણુ અને શક્તિની ભક્તિમય આરાધના કરતાં અદ્‍ભૂત સ્તોત્રોની રચના કરી. સંન્યાસની સામે તેમણે ગૃહસ્થાશ્રમ પણ સામાન્ય માનવી માટે અતિ ઉત્તમ છે તેમ પ્રતિપાદિત કર્યું.

    ઉપસંહાર – સનાતન પરંપરાનો સુવર્ણ કાળ શું ફરી નહીં આવે ?

    ઓસ્વાલ્ડ સ્પેંગ્લર નામના મહાન જર્મન વિચારકે સંસ્કૃતિઓના ઉદભવ – ઉત્થાન અને પતન વિશેનાં સંશોધન કરીને કેટલાક સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા. એમાંનો એક સિદ્ધાંત સંસ્કૃતિઓના આદાન-પ્રદાનનો છે. આ સિદ્ધાંતને તેમણે નકલી આવરણ (Pseudo Morphosis) નામ આપ્યું. આ સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ વિકાસ પામતી સંસ્કૃતિના સંસર્ગમાં બીજી સંસ્કૃતિ આવે છે તે વિકાસ પામતી સંસ્કૃતિથી અંજાઈ જાય છે, પહેરવેશ, ભાષા, કળા, સાહિત્ય, વિજ્ઞાન અને ઔદ્યોગિક પદ્ધતિઓ જેવાં તેના અનેક પાસાંઓ અપનાવીને એક પ્રકારનું નકલી આવરણ ધારણ કરે છે. સ્પેંગ્લર આ માટે રશિયા અને જાપાનનું ઉદાહરણ આપે છે. આ બંને દેશોએ પશ્ચિમ યુરોપ અને અમેરિકાની સંસ્કૃતિથી અંજાઈને તેમના મૂલ્યોનું નકલી આવરણ ઓઢ્યું. પરિણામે પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યો વિસરાઈ ગયાં. આજે ચીન પણ એ પંથે છે.

    આપણાં દેશના સંદર્ભમાં નકલી આવરણનો  સિદ્ધાંત આબેહૂબ બંધ બેસે છે. બીજા સહસ્ત્રાવધિ કાળખંડના છસ્સો વર્ષના સમયમાં પહેલાં ઇસ્લામિક સંસ્કૃતિના અને પછીના બસ્સો વર્ષમાં પશ્ચિમની અગ્રેસર બ્રિટિશ સંસ્કૃતિના, દુર્ભાગ્યે, આપણે ગુલામ રહ્યા. તેથી આ સંસ્કૃતિઓનો આપણાં પર ઊંડો પ્રભાવ પડ્યો. આજે પણ અમેરિકી સંસ્કૃતિની આપણે આંધળી નકલ કરી રહ્યાં છીએ. પરિણામે, આપણે આજે નકલી સનાતનીઓ બનીને રહી ગયાં છીએ. આપણા પહેરવેશ, ખાનપાન, જીવનશૈલી, કળા, સાહિત્ય, સ્થાપત્ય, વિચારવાની પદ્ધતિ, વિજ્ઞાન અને ઔદ્યોગિક કાર્યશૈલી એ સંસ્કૃતિના પ્રભાવના ઓછાયામાં રહેલાં જોવા મળે છે.

    મિર્ઝા ગાલિબથી મોહમ્મદ રફી, રાજા રામમોહન રાય, રવિન્દ્રનાથ ઠાકુર, મહાત્મા ગાંધી, સત્યજીત રાય, શંકર જયકિશનથી શાંતનુ મોહિત્રા જેવાં વર્તમાન સમયનાં વિશિષ્ટ વ્યક્તિત્વોના ઘડતર અને નિખાર પર મુસ્લિમ અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર બહુ સ્પષ્ટપણે કળાય છે.

    સ્વાતંત્ર્ય મળ્યા પછીના ૭૮ વર્ષના ગાળામાં આપણી બધી સરકારોએ ઘણાં પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે. તેમાં છતાં હજુ પણ વિશ્વના નકશા પર આપણું સ્થાન ઔદ્યોગિક ક્રાન્તિ પહેલાની ખેતીપ્રધાન મૂલ્યોવાળી સંસ્કૃતિ તરીકેનું ગણાય છે. આર્થિક વિકાસની દૃષ્ટિએ આપણને ત્રીજા વિશ્વ (Third World)ની ઉભરતી અર્થવ્યવસ્થાની (Emerging Economy) શ્રેણીમાં મૂકવામાં આવે છે. આમ થવાનાં કેટલાંક કારણો આ મુજબ ગણાવી શકાય:

    ૧) આપણી વસ્તી બેપ્રમાણ વધી રહી છે.

    ૨) સેંકડો વર્ષની ગુલામીએ આપણા માનસને સાવ બેઈમાન, ચરિત્રહીન અને બળાત્કારી બનાવી મૂક્યું છે. કોઈ પણ રીતે ભૌતિક સમૃદ્ધિ અર્જિત કરવામાં આપણે માનવા લાગ્યાં છીએ.

    ૩) બધા કાયદાઓનો છડેચોક ભંગ થાય છે. ન્યાય મળવો મોંઘો છે અને મોંઘો મોંઘો મળે તો મોડો મળે છે.

    ૪) રાજ્યતંત્ર સાવ શિથિલ બની ગયું છે. તે પોતાનાં સ્વાભાવિક, અને અપેક્ષિત, સામર્થ્ય અને બળનો ભાગ્યે જ પ્રયોગ કરે છે.

    ૫) હિંદુ – મુસ્લિમ વચ્ચેના અવિરત વિવાદો અને સનાતનીઓ વચ્ચેના જ્ઞાતિ અને વર્ણવ્યવસ્થાના મનભેદો અને દરેક કાર્યનો વિરોધ કરવાની માનસિકતામાં આપણને  રચ્યા પચ્યા રહેવાનું કોઠે પડી ગયું છે.

    ૬) નવાં કળા-કૌશલ્યો વિકસાવવાની દૃષ્ટિ જ આપણે ગુમાવી બેઠેલાં જણાઈએ છીએ.

    ૭) સમાજના અમુક વર્ગને નીચો ગણવાની અને સ્ત્રીઓને હીન ગણવાની મનોવૃત્તિ ક્ષીણ થવાનાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી જણાતાં.

    મા ભારતી સનાતનીઓને આર્તનાદ કરીને પોકારે છે કે જાગો, ઊઠો અને જ્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાર્ય કરતાં રહો. આમ થશે તો જ મામૈદેવ, રામદેવપીર, અચ્યુતાનંદ જેવા મધ્ય યુગના આપણા સંતો અને વિવેકાનંદ અને અરવિંદ ઘોષ જેવા આધુનિક યુગના વિચારપુરુષોએ આપણા દેશના સુવર્ણ યુગનાં ભવિષ્યની વાસ્તવિકતાને મૂર્ત થવાની જે ભવિષ્યવાણી કરી છે તેનું હકીકતમાં અવતરણ કરી શકીએ છીએ.

    આમ કરવા માટે આપણે આપણા ટૂંકા ગાળાના લાભોને જતા કરી દેવા તૈયાર છીએ?


    હવે પછીના મણકામાં લેખમાળામાં વિશ્વ સર્જનની પ્રક્રિયા વિશે વાત કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ

    નિસબત

    ચંદુ મહેરિયા

    લોકસભા સ્પીકર ઓમ બિરલાએ  આ વરસના બજેટ સત્રના પ્રશ્નકાળમાં સભ્યોને બિનજરૂરી લાંબાલચ્ચક જવાબો આપતા મંત્રીઓને ” ભાષણ ના આપો”  તેમ કહીને ટપાર્યા હતા. સંક્ષિપ્ત સવાલ અને તેનો મુદ્દાસર સંક્ષિપ્ત જવાબની જરૂરિયાત પણ તેમણે ચીંધી હતી.ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર ૨૦૨૬ના પ્રશ્નકાળમાં ધારાસભ્યો વાંચીને પૂરક પ્રશ્નો પૂછતા હતા અને મંત્રીઓ પણ વાંચીને જવાબો આપતા હતા તે  બાબતે અધ્યક્ષ શંકર ચૌધરીએ નારાજગી વ્યક્ત કરી હતી. સંસદ અને ધારાગૃહોમાં પ્રશ્નોત્તરીનો સમય સૌથી વધુ જીવંત અને સભ્યોની સૌથી વધુ હાજરી ધરાવતો હોય છે. તેમાં જનપ્રતિનિધિ એવા સાંસદો અને ધારાસભ્યો કોઈના લખી આપેલા પ્રશ્નો વાંચે અને મંત્રીશ્રીઓ પણ અગાઉથી નક્કી હોય તેમ વાંચીને જવાબો આપે તેનાથી તેમની મૌલિકતા કે પ્રશ્ન સાથેનો નાતો તો પરખાય છે, ગૃહની કાર્યવાહી કંટાળાજનક બની જાય છે.

    સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના સત્રો ચાલુ હોય ત્યારે તેની બેઠકોનો આરંભ એક કલાકના પ્રશ્નકાળ (QUESTION HOUR) થી થાય છે. સામાન્ય રીતે પ્રશ્નોત્તરીનો સમય સવારના ૧૧ થી ૧૨ વાગ્યાનો હોય છે. અપવાદરૂપે નવેમ્બર ૨૦૧૪થી રાજ્યસભા પ્રશ્નકાળથી શરૂ થતી નથી. સંસદીય પ્રક્રિયાનો મહત્વનો ભાગ એવો ધારાગૃહોનો પ્રશ્નકાળ ધાંધલ-ધમાલ કે પ્રશ્નોત્તરી સ્થગિત કરી અન્ય અગત્યના પ્રશ્નની ચર્ચા હાથ ધરવાની માંગણીમાં વેડફાઈ જતો હતો. તેના નિવારણ અર્થે  રાજ્યસભાના તત્કાલીન અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં તેનો સમય બદલીને ૧૨ થી ૧ નો કર્યો છે.

    પ્રશ્નકાળ સરકારને લોકો પ્રતિ જવાબદાર બનાવવાનું મહત્વનું સંસદીય ઉપકરણ છે. વહીવટી તંત્ર અને જનતા વચ્ચેનો સેતુ છે. સાંસદો અને ધારાસભ્યોને મળેલો મૂળભૂત અધિકાર છે. જેમાં તે સરકારને નિ:સંકોચ સવાલો કરી શકે છે અને મંત્રીઓ પણ તેના જવાબો આપવા અનિવાર્યપણે બાધ્ય છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રશ્નો પૂછી શકે છે અને સરકારનું દાયિત્વ છે કે તે પ્રશ્નોના જવાબો આપે. પ્રશ્નો દ્વારા સાંસદો અને ધારાસભ્યો સરકારને વહીવટી કાર્યો, સરકારની નીતિઓ, લોકહિત સાથે જોડાયેલા મુદ્દાઓ, તેમના મતવિસ્તારની સમસ્યાઓ અને બીજી અનેક માહિતી અને જાણકારી મેળવે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્રશ્નો હોય છે. જ્યારે સંસદ અને ધારાગૃહોનું સત્ર મળે ત્યારે પૂછાતા પ્રશ્નો તારાંકિત પ્રશ્નો કહેવાય છે.તારાંકિત પ્રશ્નોના લેખિત જવાબો આપવામાં આવે છે. ઉપરાંત તેની વિશેષતા એ છે કે તેના પર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. મૂળ પ્રશ્નકર્તા સભ્ય અને ગૃહના બીજા સભ્યો પણ પૂરક પ્રશ્નો પૂછી શકે છે. તેના પર વિષદ ચર્ચા થઈ શકે છે. સંવાદ, વાદવિવાદ પણ થાય છે. સભ્યો અને મંત્રીઓ બંનેની કસોટી  થતી હોય છે. સભ્યો જો કોઈના ઉછીના શબ્દો કે કોઈએ લખી આપેલા પ્રશ્નો પૂછતા હોય તો તેમને પૂરક પ્રશ્નોમાં તકલીફ પડે છે. એ જ રીતે મંત્રીઓ પોતાના વિભાગની કામગીરીથી કે તેને આનુષંગિક મુદ્દાઓથી કેટલા વાકેફ અને સચેત છે તેનું માપ તેમના જવાબો પરથી નીકળી જાય છે. ઘણીવાર મંત્રી જવાબ ન આપી શકે ત્યારે સિનિયર મંત્રી કે વડાપ્રધાન/મુખ્યમંત્રી દરમિયાનગીરી કરી શકે છે.

    અતારાંકિત પ્રશ્નો ગૃહ ચાલુ હોય કે બંધ હોય એવા કોઈપણ સમયે પૂછી શકાય છે. તેનો લેખિત જવાબ મળે છે. સદનના પટલ પર પણ તે સવાલ-જવાબ મૂકવામાં આવે છે પરંતુ અતાંરાકિત પ્રશ્નોની મર્યાદા એ છે કે તેના પર ચર્ચા થઈ શકતી નથી કે પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી. તારાંકિત પ્રશ્ન જ્યારે ગૃહમાં ચર્ચાય અને કોઈ એક પ્રશ્ન પર ગૃહના ઘણા સભ્યો સવાલ પૂછવાની રુચિ દર્શાવે તો અધ્યક્ષ તેના પર અડધો કલાકની જુદી ચર્ચાની મંજૂરી આપી શકે છે. સભ્યો કોઈ જનહિતના મુદ્દે સરકારને ટૂંકી મુદતની નોટિસથી પ્રશ્ન પૂછી શકે છે અને તેના પર ચર્ચા થાય છે.

    સાંસદો અને ધારાસભ્યોના પ્રશ્નોમાંથી સ્વીકૃત પ્રશ્નોની સૂચિ તૈયાર કરવાનું કામ સંસદ કે ધારાગૃહોના અધ્યક્ષોના કાર્યાલયો કરે છે. સ્વીકૃત પ્રશ્નોની ગૃહમાં પ્રાયોરિટી પણ તેઓ જ નક્કી કરે છે. સંસદમાં રોજના આશરે ૨૦૦ અને ધારાગૃહોમાં ૧૫૦ પ્રશ્નોના જવાબો મળે છે પરંતુ પ્રાથમિકતાના ધોરણે પસંદ થયેલા દસ કે વીસ જ પ્રશ્નોની ચર્ચા થઈ શકે છે. પ્રશ્નકાળમાં ઉઠાવાતા પ્રશ્નો મારફતે સરકારી કામકાજની તપાસ, નાણાકીય અનિયમિતતા ઉજાગર કરવી, જનહિતના પ્રશ્નો ઉઠાવવા અને સરકારના કામકાજની સફળતા કે સિધ્ધિઓ દર્શાવવાનો ઉદ્દેશ છે.

    ભારતના બંધારણમાં પ્રશ્નકાળનો કોઈ સીધો ઉલ્લેખ જોવા મળતો નથી.પરંતુ બંધારણના આર્ટિકલ ૧૧૩ હેઠળ સંસદની પ્રક્રિયા અને સંચાલન સંબંધી નિયમો હેઠળ તે આવે છે. પ્રશ્નકાળનું મૂળ બ્રિટિશ સંસદીય પ્રણાલીમાં રહેલું છે. સંસદીય લોકશાહીને વરેલા મોટાભાગના દેશોમાં પ્રશ્નકાળનું અસ્તિત્વ જોવા મળે છે. ઈ.સ. ૧૭૨૧માં બ્રિટિશ સંસદના હાઊસ ઓફ લોર્ડસમાં પ્રશ્નકાળનો પહેલવહેલો આરંભ જોવા મળ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં સૌથી પહેલો પ્રશ્ન ૧૮૩૫માં પૂછાયો હતો. ૧૯૬૧માં બ્રિટિનમાં PMQ કે પાઈમ મિનિસ્ટર ક્વેસ્ચન શરૂ થયા હતા.જેમાં સભ્યોના સવાલોના જવાબો બિટિશ વડાપ્રધાને આપવાના હોય છે.

    ભારતીય લોકતંત્રના ચાર પાયા પૈકી કાર્યપાલિકાને સવાલો કરવાની શરૂઆત   ૧૮૯૨ના ઈન્ડિયન કાઉન્સિલ એક્ટમાં જોવા મળે છે. ૧૮૯૩માં ભારતની પાર્લામેન્ટમાં પૂછાયેલો સૌથી પહેલો સવાલ અંગ્રેજ સરકારી અધિકારીઓ ગામડાની મુલાકાતો લે છે કે પ્રવાસો કરે  છે ત્યારે નાના દુકાનદારો પર તેમના પ્રવાસનો બોજો પડે છે તે અંગે હતો. ૧૯૦૯માં એકટમાં સુધારો કરીને પૂરક પ્રશ્નોની જોગવાઈ થઈ હતી. આઝાદીપછી લોકસભા અને રાજ્યસભામાં ૧૯૫૨થી પ્રશ્નકાળનો આરંભ થયો હતો. ૧૯૯૧થી સંસદની કાર્યવાહીનું ટી.વી.પર જીવંત પ્રસારણ થતાં લોકોને તેમના જનપ્રતિનિધિઓની કામગીરીનો સીધો પરિચય મળતો થયો. જોકે ગુજરાત સહિતની ઘણાં રાજ્યોની વિધાનસભા કામગીરીનું જીવંત પ્રસારણ થતું નથી.

    ધીરે ધીરે વિકસેલો પ્રશ્નકાળ આજે તેના પતન તરફ જઈ રહ્યો હોય તેવું લાગે છે. હવે સરકારો પોતાની વાહવાહી થાય તેવા પ્રશ્નો જાતે જ તૈયાર કરીને પૂછાવતી હોય છે. ગુજરાતમાં પણ પ્રશ્નોત્તરીના પ્રશ્નો શાસક જ નહીં વિપક્ષના નેતાઓના કાર્યાલયો તૈયાર કરતાં હોવાનું કહેવાય છે.  એટલે તેની પ્રસ્તુતતા ઘટતી રહી છે. સરકારની કસોટી થાય તેવા પ્રશ્નો ન પૂછવામાં આવે તેની કાળજી લેવાય છે. ૧૯૫૭ના વરસમાં લોકસભામાં ફિરોઝ ગાંધીના એક સવાલ પરથી મુંદ્રા કૌભાંડ છતું થયું હતું અને તે સમયના નાણા મંત્રી ટી.ટી .ક્રિષ્ણમાચારીને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. હવે તો રાહુલગાંધી અને રંજન ગોગોઈએ અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં એકેય પ્રશ્ન પૂછ્યો નથી તે સમાચાર બને છે. વિપક્ષના નેતા અને રાજ્યસભાના નિયુક્ત સભ્યને મંત્રીઓને કોઈ સવાલ કરવાનું મન ન થાય તેના પરથી પ્રશ્નકાળનું ભાવિ અને પ્રાસંગિકતા જણાઈ આવે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સ્વરાજથી સમતા સુધી: સંઘર્ષ એક, આયામ અનેક

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    હમણે વાંચી તો રહ્યો છું એક હસ્તપ્રત, જગજીવન રામ વિશે અરવિંદ માર્ડનની કલમે : જોઉં છું કે પાંચમી એપ્રિલે એમની જન્મજયંતી ટકોરા દઈ રહી છે; અને વાંસોવાંસ ફુલે જયંતી (અગિયારમી એપ્રિલ) અને આંબેડકર જયંતી (ચૌદમી એપ્રિલ) પણ… બિલકુલ, એપ્રિલ જાણે કે દલિત ઇતિહાસ માસ સ્તો. જોકે આ લખી રહ્યો છું ત્યારે બે પિછવાઈધક્કા પણ ચિરશોભીતા અનુભવું છું. હવામાં કાંશીરામને ભારતરત્ન ઘોષિત કરવાની માંગ માયાવતીની જ નહીં, રાહુલ ગાંધીની પણ છે. વળી, ખાસ તો, આજકાલ શશી થરુરની નારાયણ ગુરુ પરની કિતાબ ચર્ચામાં છે.

    ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ગાળામાં એક તબક્કે એ કેવી મોટી ઘટના હશે, એનો બને કે આજે આપણને પાધરો ખયાલ નયે હોય. પણ વરસેક પર વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી વિશે વાંચવા-લખવાનું થયું ત્યારે ગાંધીજીનો એક હૃદયવેધી ઉદગાર બલકે પુણ્યાવેશી ચિત્કાર નોંધવાનું બન્યું હતું તે બસ થઈ પડશે. મંદિર ફરતે જે રસ્તાઓ હતા તેમાં દલિતોને ચાલવાની પરંપરાગત બંધી હતી. ગાંધીજીએ કહ્યું હતું : જેની ફરતે રસ્તા પર નારાયણ ગુરુ પણ ન ચાલી શકે તેવું મંદિર હું કલ્પી શકતો નથી. ઈસવી ૨૦૦૦ સંકેલાતે મેન ઓફ ધ મિલેનિયમ કોણ એવી ચર્ચામાં વિશ્વસ્તરે ઊપસેલું નામ ગાંધીજીનું હતું. પણ ૧૯૯૯માં એક મલયાલી અખબારે કેરળ પૂરતું આવું સર્વેક્ષણ કર્યું ત્યારે ઉભરેલું નામ નારાયણ ગુરુનું હતું : વાયકોમ પર્વમાં ગાંધીનું નારાયણ સ્મરણ એક સહસ્ત્રાબ્દી પુરુષે બીજા સહસ્ત્રાબ્દી પુરુષને આપેલી અનન્ય અંજલિ હતી. જે કાળે બેછૂટ છુઆછુતને કારણે વિવેકાનંદને કેરળની ભૂમિ ગાંડાઓના આશ્રયધામ (લ્યુનેટિક એસાયલમ) જેવી લાગી હતી એની વચ્ચે નારાયણ ગુરુ આવ્યા અને એક નાત, એક ધર્મ, એક ઈશ્વર એવા ખ્યાલ સાથે કેમ જાણે છાઈ ગયા. શિવગિરિ જાતરાનો જે સમો એમણે બાંધી જાણ્યો એમાં ઊપસી રહેલાં વાનાં શિક્ષણ, સ્વચ્છતા, ખેતી, ઉદ્યોગ ને ટેકનિકલ ટ્રેઈનિંગ જેવાં હતાં. વાયકોમ દિવસોમાં, એમ તો, કોંગ્રેસમેન પેરિયાર પણ સત્યાગ્રહ સાથે હતા પણ એ મોળો લાગતાં ખસી ગયા હતા. જોકે એમની રીતે એમણે પૂરા કદનો જ વૈકલ્પિક વિમર્શ જગવ્યો એની વચાળે ગાંધી પરત્વે એમનો અભિગમ પ્રસંગે સલામત અંતર એટલો જ સટીક સમાદરનો રહ્યો.

    મહારાષ્ટ્રની ફુલે-આંબેડકર પરંપરા જુઓ. શિવાજી તો અમારા શુદ્રોના રાજા કહેતાં ફુલે અંગ્રેજી રાજને કારણે જે સમતાલક્ષી સંભાવના ઊભી થઈ એના કાયલ છે. આંબેડકર બૌદ્ધ બનવું પસંદ કરે છે, અને ક્યારેક વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર રહ્યા પછી એ તમને પ્રજાસત્તાક સ્વરાજના બંધારણના અગ્ર ઘડવૈયાઓમાં જોવા મળે છે. પુના કરારે ગાંધી-આંબેડકર જેવા બે કથિત સ્પર્ધી ભેરુઓને એવા સાંકળ્યા છે કે ગાંધીસૂચને આંબેડકર નેહરુ-પટેલના બરકયા સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળ પર છે.

    આ તો પ્રમાણમાં જાણીતી વિગત છે. પણ ઇંદ્રાણીએ પતિ જગજીવન રામનાં જે સંસ્મરણો આલેખ્યાં છે એમાં નોંધ્યું છે કે ત્યારે દલિત છેડેથી કોંગ્રેસ નેતૃત્વમાં ઉભરેલા જગજીવન રામ પણ આંબેડકર સાથી પ્રધાન હોય તેવું સૂચવવામાં હતા. જે અર્થમાં જગજીવન રામ સીધી સ્વરાજ લડતમાં હતા તે અર્થમાં આંબેડકર અલબત્ત નહોતા. પણ સમતા વગરની રાજકીય સ્વતંત્રતા અધૂરી છે એ સમજમાં તો બેઉ સાથે જ હતા ને. પુના કરાર સાથે આંબેડકર રાષ્ટ્રીય સ્તરે ઊંચકાયા ત્યારે જગજીવન રામની રાજકીય કામગીરી ને કારકિર્દીની પણ માંડ શરૂઆત હશે. બિહારના આ તેજસ્વી છાત્રને માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ સારુ નિમંત્ર્યો, પણ જેમ સયાજીરાવ આંબેડકરને નિવાસ ન અપાવી શક્યા તેમ માલવિયાજી જગજીવન રામને છાત્રાવાસ ન અપાવી શક્યા. કલકત્તે જઈ ભણી ઊતર્યા ને ડિપ્રેસ્ડ લીગ તેમ કોંગ્રેસ મારફતે સક્રિય બન્યા. એમણે ધર્માંતરમાં નહીં પણ ધર્મસુધારમાં ઉગાર જોયો. વ્યાપક સમાજ સાથે, સમતા મથામણ પૂર્વક પણ અનુબંધની ભૂમિકાએ એ સક્રિય હતા. કેન્દ્રીય પ્રધાનમંડળના એમનાં વર્ષો બાંગલા ઘટના વેળાએ સંરક્ષણ પ્રધાન તરીકે તેમ હરિયાળી ક્રાંતિના વારામાં કૃષિપ્રધાન તરીકે ઝળહળતાં છે. લઘુત્તમ વેતન ધારો તેમજ કામદાર વીમા યોજના આદિનું શ્રેય એમને નામે ઇતિહાસ જમે છે.

    કાંશીરામે આંબેડકરને ગુરુ કીધા તો કીધા, પણ આંબેડકર જો અલ્પસંખ્યક માત્રને પૂરા અધિકારે સજ્જ બનાવવામાં અગ્રતા જોતા હતા તો કાંશીરામ નાનામોટા અલ્પસંખ્યકોને એકત્ર કરી બહુસંખ્ય રાજનૈતિક ફતેહની રણનીતિમાં રમેલા હતા. આંબેડકરને માટે હિંદુ મટી બૌદ્ધ થવું એ અંતરતમની આરત હશે તો કાંશીરામ માટે આપણે સત્તા પર આવીએ અને બૌદ્ધ બનીએ તો રોલો પડી જાય એવું હશે. માયાવતી સર્વસમાજ ફોર્મ્યુલા સાથે મુખ્યમંત્રીની પાયરીએ પહોંચ્યાં એ નિ:શંક એક વિક્રમ ઘટના હતી. જો સહયોગપૂર્વક સમતાલક્ષી સ્વરાજ નિર્માણ અભીષ્ટ હોય તો કેવળ આંબેડકર છેડેથી અગર કેવળ જગજીવન રામ છેડેથી ચાલવાનું નથી. થોડી બાંધછોડ, થોડી સોરાબ-રુસ્તમી… અને તમે જુઓ, કેવોક ગોફ ગુંથાતો આવે છે!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫-૩-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ – ૨

    મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ [૧] થી આગળ

    રામચંદ્ર ગુહા

                    અનુ. ડંકેશ ઓઝા

    હું ચંડીપ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણાની વાત એથી કરી શકું છું કે ચીપકો ચળવળના અભ્યાસને કારણે હું તેમના કામ સાથે ગાઢ સંપર્કમાં મુકાયો. તમારા બધાંમાંથી જે લોકો નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલા છે, તેમણે પણ તેની નેતાગીરીના જીવન-કાર્યમાં ગાંધીની ભાવના જેવું કંઈક જોયું જ હશે. ચીપકો આંદોલન અને નર્મદા આંદોલન તો ઉત્કૃષ્ટ છે જ. તે કંઈ ગાંધીના જીવંત વારસાનાં એકલદોકલ ઉદાહરણ માત્ર નથી. કારણ કે સાંપ્રત પર્યાવરણ ચળવળમાં તે અન્યત્ર પણ જોવા મળે છે.

    જોકે આજના પર્યાવરણવાદીઓ ગાંધીના દાખલાને અનુસરી રહ્યા હોવાનો માત્ર દાવો કરતા નથી, તેઓ તો આગળ વધીને એમ કહે છે કે મહાત્માને આધુનિક ઔદ્યોગિક સમાજની પર્યાવરણ સમસ્યાની બહુ વહેલી જાણ થયેલી. શું ગાંધી સમયથી વહેલા પર્યાવરણવાદી હતા ? તેમના પ્રશંસકો સવાલનો જવાબ પૂરતા પુરાવા સાથે કાયમ હકારમાં આપતા રહ્યા છે. એ તો હવે સર્વ સ્વીકૃત છે કે ગાંધીને પર્યાવરણની નિસબત વહેલી સમજાઈ ગયેલી. ક્યાં અને કયા પ્રકારે એ કટોકટી તેમને જોવા મળી તે અંગે તેમણે સ્પષ્ટ કહ્યું નથી. આ ઉદ્દેશથી જો એમનાં બધાં લખાણો તપાસવામાં આવે તો ૧૯૦૯માં પ્રકાશિત હિંદ સ્વરાજ તરફ પહેલી નજર જાય છે.

    આપણા સમયના વિશિષ્ટ ગાંધીજન તેથી જ દાવો કરે છે કે વિકાસનો વૈકલ્પિક નકશો ગાંધીએ તેમાં આપ્યો છે. તેમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે “વિકાસની હાલની તરાહમાં કેવી રીતે માણસ માણસનું અને માણસ કુદરતનું કેવું શોષણ કરે છે.” જોકે તાજેતરમાં મેં ફરી હિંદ સ્વરાજ વાંચ્યું. હું પેલા ચુકાદા સાથે સંમત થઈ શકતો નથી. આધુનિક પશ્ર્ચિમી સંસ્કૃતિ પ્રત્યે પ્રગટ ધિક્કાર પછી એ પુસ્તકમાં માણસના કુદરત સાથેના સંબંધ વિશે કશું કહેવાયું નથી અને વિકાસના વૈકલ્પિક પરિપ્રેક્ષ્ય બાબતે તો તેમાં એથી પણ ઓછું છે.

    મને લાગે છે કે આ બાબતે હિંદ સ્વરાજને જોવાની જરૂર નથી. એ તો ત્યારે લખાયું હતું જ્યારે ગાંધી હજુ દક્ષિણ આફ્રિકામાં હતા. ૧૯૧૪માં તેઓ જ્યારે ભારત પાછા ફર્યા ત્યારે એમને અહીંનાં ગામડાઓની આર્થિક અને સામાજિક સ્થિતિનો સીધો ખ્યાલ આવ્યો. ૧૯૧૭માં ચંપારણ અને ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ વખતે તેઓ ભારતના ગ્રામીણ પ્રદેશમાં મુસાફરી કરતા હતા અને ત્યારનાં ખેડૂત સંગઠનોને મળતાં હતાં ત્યારે અંગ્રેજનો વસાહતવાદ કેવું આર્થિક શોષણ કરે છે તે તેમણે પ્રત્યક્ષ નજરે જોયું. આ અનુભવ દક્ષિણ આફ્રિકાના રંગભેદ જેવો એમને સ્પષ્ટ નજરે પડ્યો.

    ગ્રામીણ ભારતમાં તે ખૂંપી ગયા અને વસાહતવાદની સમજણ વિકસી એટલે એમને સ્પષ્ટ થયું કે પશ્ર્ચિમના ઔદ્યોગિક વિકાસની પદ્ધતિને અનુસરવાનું ભારત માટે અશક્ય છે. એ તો સ્વીકારવું રહ્યું કે તેમની પાસે ભારતના વિકાસનું વૈકલ્પિક માળખું હાથવગું નથી. એનાં બે કારણ છે : ૧. એ પદ્ધતિસરના વિચારક નથી ૨. રાજકીય અને સામાજિક બાબતે સંગઠન અને સુધારાની બાબતો એમના દિમાગમાં સર્વોપરી છે. આમ છતાં ૧૯૨૦, ૧૯૩૦ અને ૧૯૪૦નાં એમનાં છૂટાંછવાયાં લખાણો એક પ્રકારે વિકલ્પના માર્ગ તરફ સંકેત કરતાં રહે છે. હવે હું તેથી જ એ લખાણો ઉપર આવું છું.

    ભારતના થોકબંધ ઔદ્યોગિકીકરણ અંગેના ગાંધીના વાંધાવિરોધ નૈતિક ભૂમિકાએ છે. તેઓ માને છે કે એવો આધુનિક સમાજ સ્વાર્થમાં અને સ્પર્ધામાં રમમાણ હશે. આ બધા વિચાર પાછળ પર્યાવરણીય અંદેશાઓ તો રહેલા જ છે. આ સંદર્ભમાં એમના સામયિક યંગ ઇન્ડિયા તા. ૨૦/૧૨/૧૯૨૮ના લેખનો એક ફકરો જોઈએ :

    “ભગવાન કરે ભારત પશ્ર્ચિમના જેવા ઔદ્યોગિકીકરણના માર્ગે ન ચઢે તો સારું. એક ટચૂકડા ટાપુ પરના અંગ્રેજ રાજનો આર્થિક શાહીવાદ આખી દુનિયાનો ભરડો લઈ બેઠો છે. જો ત્રીસ કરોડનો દેશ આ જ પ્રકારના આર્થિક શોષણને માર્ગે વળે તો દુનિયાના તીડોની સંખ્યા પણ ઓછી પડશે.”

    આના પણ બે વર્ષ પહેલાં ગાંધીએ લખેલું, ભારતને ઇંગ્લેંડ અને અમેરિકા જેવું બનાવવું હશે તો શોષણ માટે પૃથ્વી પર સ્થળો અને નવી જાતિઓ શોધવી પડશે. અત્યારે તો એવું લાગે છે કે પશ્ર્ચિમી દેશોએ યુરોપ બહારની બધી જ જાણીતી જાતિઓને શોષણ માટે વિભાજિત કરી નાખી છે. હવે કોઈ નવી દુનિયાને શોધવાની રહેતી નથી. આમ કહીને ગાંધી સવાલ કરે છે : “પશ્ર્ચિમનું અનુકરણ કરવા જતાં ભારત શી દશામાં મુકાશે ?” (યંગ ઇન્ડિયા તા. ૭-૧૦-૧૯૨૬).

    ગાંધીના સવાલનો જવાબ દેખીતો અને દુ:ખદ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણો પ્રયત્ન નિશ્ર્ચિતપણે ભારતને ઇંગ્લેંડ અને અમેરિકા બનાવવાનો જ રહ્યો છે. એ બે રાષ્ટ્રોએ ઉદ્યોગો શરૂ કર્યા ત્યારે તેમને જે સંસાધનો અને બજારો ઉપલબ્ધ હતાં તે હવે આપણી નજરમાં નથી. ભારત એ માર્ગે વળે તો એની પાસે બે જ શક્યતા છે : એ પર્યાવરણનું શોષણ કરે અને પોતાના લોકોનું. નગર અને ઉદ્યોગ બેયની આવશ્યકતાઓ પૂરી કરવા માટે સતત ગ્રામીણ વિસ્તારનાં કુદરતી સંસાધનોનો ઉપયોગ થાય છે. જંગલો, પાણી વગેરે બોલકા સમૃદ્ધ વર્ગ માટે વપરાય છે. પર્યાવરણનો વિનાશ પરિણામે ઝડપી બન્યો છે. ચીપકો અને નર્મદા આંદોલન ઉત્કૃષ્ટ હોવા છતાં ગાંધીના જીવંત વારસાના એકલદોકલ ઉ.દા. નથી. સમકાલીન પર્યાવરણીય ચળવળો પર્યાવરણનો હ્રાસ રોકી શકવા અસમર્થ છે. ગ્રામીણ અને આદિવાસી લોકોનો પરંપરાથી જે રીતે કુદરતી સંસાધનો ઉપર અધિકાર  હતો તેનાથી તેઓ વંચિત બની રહ્યા છે. તેઓ તેનો ઉપયોગ એ રીતે કરતા હતા, જેથી આ સંસાધનો જળવાઈ રહે. આ દરમ્યાન આધુનિક ક્ષેત્ર ઉત્તર પૂર્વ અને આંદામાન-નિકોબાર ટાપુઓ સુધીનાં કુદરતી સંસાધનો પર બહુ ઝડપથી તરાપ મારી રહ્યું છે.

    ગાંધીને કદાચ એનું સ્હેજે આશ્ર્ચર્ય ન થયું હોત. કારણ એમને ખબર હતી કે ઔદ્યોગિક વિકાસ નગરો સર્જે છે અને બાકીના પ્રદેશનું એકપક્ષી શોષણ જોવા મળતું હોય છે. ૧૯૪૬માં તેમણે આ વાત લાક્ષણિક  ઢબે વ્યક્ત કરેલી : “ગામોનાં લોહી ઊભાં થતાં શહેરોમાં સિમેન્ટનું કામ કરે છે.” (હરિજન ૨૩-૬-૧૯૪૬) આ પૂર્વે પણ ગાંધીએ પોતાની દૃઢતા તેમજ સૌમ્યતાથી ઇન્દોરની સભાને ચેતવેલું કે નગરજીવનમાં સંસાધનોનું કેન્દ્રિકરણ થઈને જ રહેવાનું. તેમના શબ્દો હતા : “આપણે ઝગારા મારતી લાઈટ સાથેના સરસ પંડાલમાં બેઠા છીએ. પણ આપણે જાણતા નથી કે આ બધો ભાર ગરીબોની કેડે જ છે.” (હરિજન, તા. ૧૧-૫-૧૯૩૫)

    ઔદ્યોગિકીકરણનાં દૂષણોના આ નિદાનમાંથી જ ગાંધીનો ઉકેલ પ્રગટેલો. જ્યાં આર્થિક વિકાસના કેન્દ્રમાં ગામ હતું. એમની ઇચ્છા એ હતી કે નગરોની ધોરી નસોમાં જે લોહી રહ્યું છે એ ફરી પાછું ગામોની નસોમાં વહેતું થાય. આ એમનું સ્વપ્ન પણ હતું. આ વિચારમાં રાજકીય અને આર્થિક સત્તાનું વિકેન્દ્રિકરણ મહત્ત્વનું હતું જેથી ગામો ફરી કાબૂ ધરાવતાં થાય. જ્યારે એમના પર આરોપ મુકાયો કે તેઓ વિજ્ઞાનની શોધોને નજર-અંદાજ કરી રહ્યા છે જેમાં વિજળી અત્યંત મહત્ત્વની છે. ત્યારે ગાંધીએ કહેલું : “જો ગામના દરેક ઘરમાં વીજળી આવતી હોય તો તેનાં સાધનો માટે ગામના લોકો મદદરૂપ થાય તેનો મને બહુ વાંધો નથી. પરંતુ તે સંજોગોમાં ગ્રામીણ સમૂહો કે રાજ્ય ગામના ગૌચર પર જે સત્તા ધરાવે છે એવી એમની સત્તા વીજળી મથકો પર પણ હોવી જોઈએ.” (હરિજન તા. ૨૨-૬-૧૯૩૫)

    ગ્રામીણ પુન:રચના માટે ગાંધી જ્યારે વર્ધા તરફ વળ્યા ત્યારે થોડાં વર્ષો બાદ ૧૯૩૭માં તેમણે નીચેના શબ્દોમાં આદર્શ ભારતીય ગામની વ્યાખ્યા આમ કરેલી : “એવાં ગામોમાં, એવાં ઘરો હશે જેમાં પ્રકાશ અને હવાની અવર-જવરની પૂરતી જોગવાઈ હશે અને ગામની આસપાસના પાંચ માઈલમાંથી તે ઊભાં કરવા માટેનાં માલ-સાધનો મેળવાયાં હશે. આ ઘરોના વાડામાં ઘર માટે શાકભાજી ઉગાડવાની તેમજ ઢોર-ઢાંખર બાંધવાની પૂરતી જોગવાઈ હશે. ગામની શેરીઓ અને પોળો ધૂળથી મુક્ત હશે. ત્યાં બધાં ઉપયોગમાં લઈ શકે તેવા કૂવાઓ હશે. ત્યાં ઉપાસના માટે અને સમૂહમાં ભેગા થઈને બેસવા માટે પૂરતી જોગવાઈ હશે, ગામલોકોનાં ઢોર માટે ગૌચર હશે, સહકારી ડેરી હશે, વ્યાવસાયિક ઔદ્યોગિક તાલીમ સહિતની પ્રાથમિક અને આધ્યાત્મિક શાળાઓ હશે અને પોતાના સમાજના ઝઘડાના નિકાલ માટે પંચાયતો પણ હશે. ગામલોકોના ઉપયોગ માટેનું અનાજ, શાકભાજી, ફળો અને ખાદી ગામમાં જ પેદા કરાતાં હશે. મારા વિચારના ગામનો નમૂનો કંઈક આવો છે.” (હરિજન તા. ૯-૧-૧૯૩૭)

    પર્યાવરણવાદીના સ્વપ્નલોક માટે આ ચિત્રમાં ખૂબ સુંદર એવાં ઘણાં તત્ત્વો પડેલાં છે, જેવાં કે સ્થાનિક સ્વનિર્ભરતા, સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ, સામૂહિક વ્યવસ્થાપન અને માનવજીવન માટે કુદરતની ભેટનો ઉપયોગ, પાણી અને લીલોતરી. પણ ગાંધી માત્ર સ્વપ્નદૃષ્ટા ન હતા. એમનાં સ્વપ્નોમાં વ્યવહારુતા બુદ્ધિપૂર્વક ભળેલી હોય છે.  આ સંદર્ભમાં એમણે જમીનની ફળદ્રુપતાની મોટી સમસ્યા માટે કેવું ધ્યાન આપ્યું છે તે નોંધવા જેવું છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, ખેતીના ઝડપી યાંત્રિકીકરણના પુરસ્કર્તાઓને ચેતવણી આપતાં તેમણે કહેલું કે જમીનની ફળદ્રુપતાનો ઝડપી પેદાશો માટે ઉપયોગ કરવા લાગશો તો તે વિનાશક અને ટૂંકી દૃષ્ટિવાળું પુરવાર થઈ રહેશે. તેમાં જમીન લગભગ બિનફળદ્રુપ બની રહેશે. (હરિજન તા. ૨૫-૮-૧૯૪૬)

    તેઓ સેન્દ્રિય ખાતરના ઉત્સાહી પુરસ્કર્તા હતા. જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય અને કચરાના અસરકારક નિકાલ દ્વારા ગામનું આરોગ્ય સુધરે, વિદેશી હૂંડિયામણ બચે અને પાકનું ઉત્પાદન વધે – આ બધું, આજે આપણે જાણીએ છીએ તેમ, આજની આધુનિક રાસાયણિક પદ્ધતિઓ જે સંસાધનો બગાડે છે, પરિણામે પ્રદૂષણ પેદા થાય છે. રાસાયણિક પદ્ધતિઓ સિવાય ઇન્દોરના પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટીટ્યુટમાં આલ્બર્ટ હોવાર્ડે કુદરતી ખેતીની જે પદ્ધતિઓ વિકસાવી હતી તેની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એના વિશે વિગતે લખતાં તેમણે તે સાથે પૂર્ણ સંમતિ દર્શાવી હતી. જેમાં છાણ, ખેતરનો કચરો, લાકડાનું ભૂસું અને રાખ તથા પેશાબનો ઉપયોગ મૂલ્યવાન ખાતરમાં થતો હતો.


    (હરિજન ૧૭/૮ અને ૨૪/૮/૧૯૩૫)


    ક્રમશ:


    ભૂમિપુત્ર : ૧ ડિસેમ્બર, ૨૦૨૪

  • નિર્દોષ ને નિર્મળ આંખ તારી

    હરિશ્ચંદ્ર ભટ્ટ

    નિર્દોષ ને નિર્મળ આંખ તારી
    હતી હજી યૌવનથી અજાણ,
    કીધો હજી સાસરવાસ કાલે,
    શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો.!

    કૂંળી હજી દેહલતા ન પાંગરી,
    કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
    પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
    સરી પડી ત્યાં તુજ અંગથી એ !

    સંસારના સાગરને કિનારે
    ઊભાં રહી અંજલિ એક લીધી,
    ખારું મીઠું એ સમજી શકે ત્યાં
    સરી પડ્યો પાય સમુદ્રની મહીં !

    છો કાળ આવે, શિશિરોય આવે,
    ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
    સુકોમળી દેહકળી અરે અરે
    વસંતની ફૂંક મહીં ખરી પડી !


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક સપનું – “મેધા, તુ કહાં, યે બતા! (ભાગ ૨)

    જયશ્રી વિનુ મરચંટ

    ભાગ ૧ થી આગળ

    મારી બચપણની ખૂબ જ વ્હાલી સખી, મેધા, મેધા પાટીદર, ક્યાં હતી આજકાલ? ૨૦૧૬માં મારા એક ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ- કદાચ વિચિત્ર – સપનામાં આવીને મને અને મારી જિંદગીને એની યાદો હલબલાવી ગઈ હતી. મેધા અને હું બીજા ધોરણથી સાથે હતા. ફીફ્ટીસ અને સીક્સ્ટીસમાં, માંડ દસ થી પંદર હજારની વસ્તી ધરાવતું મલાડ, મુંબઈનુ, એક પશ્વિમનું પરું – સબર્બ હતું. નો કમ્પ્યુટર, નો ઈન્ટરનેટ, નો સેલ ફોન, નો સોશ્યલ મિડિયા – ફેસબુક- એટલે કે નો ફસાદબુક – (સોરી!) કે નો ટ્વીટર! શું સોનેરી દિવસો હતા! સાચે જ, “ते हि नः दिवसो गताः”! એ સુખના દિવસો જતા રહ્યા! સોશ્યલ મીડિયા નહોતા, પણ માણસો ‘સોશ્યલ’ હતા. માણસોને એકમેકને મળવા માટે ફોન કરીને સમય લેવાની પણ જરૂર નહોતી. મીડિયા જેવું કોઈ ‘મીડલમેન’ તત્વ હતું જ ક્યાં, ત્યારે?

    એ સમયનું મલાડ અને આજનું મલાડ..! બધું કેટલું બદલાઈ ગયું હતું? ક્યાં શોધું મારી એ વ્હાલી મેધાને? મારી, સીમા અને મેધાની દોસ્તીની બધાંને જ નવાઈ લાગતી હતી. હું શાળામાં ખૂબ સોશ્યલ હતી અને અનેક મિત્રો હતા. સીમા સરળ અને પ્રવાહી સ્વભાવની હતી, જેની પણ સાથે હોય, એની જોડે સીમા હળી મળી જતી પણ પોતાપણું કદીયે ન ગુમાવતી. મેધા ખૂબ જ શાંત અને અંતરમુખી હતી અને બહુ ઓછું બોલતી, પણ એના મોઢા પર કોઈ અજબ શાંતિ સદા માટે રહેતી. હું ને સીમા, અંદર અંદર વાતો કરતી વખતે,  ક્યારેક ટીચર્સની મસ્તી કરતાં તો ક્યારેક સહપાઠીઓની વાતો કરતાં. પણ મેધા જેનું નામ, એ અમને કહેતી, “આવી વાતો કરીને તમને શું મળે છે?”

    હું અને સીમા હાઈસ્કૂલના એ દિવસોમાં, મેધાને ગણિતની કોન્સટન્ટ સંજ્ઞા “પાઈ” કહીને બોલાવતાં અને એની મશ્કરી પણ કરતાં કે, “ગમે તે થઈ જાય, “પાઈ”ની વેલ્યુ સિસ્ટમ બદલાય જ નહીં!”

    મેધા સાત વરસની હતી ત્યારે એના પિતાની બદલી  નડિયાદથી મુંબઈ થઈ હતી. અમારી મૈત્રીની શરૂઆત મેધા શાળામાં પહેલા દિવસે આવી, ત્યારથી થઈ હતી. શાંત, બે ચોટલા વાળેલી, થોડીક શ્યામ પણ તાજી ખીલેલી પોયણી જેવી ખૂબ નમણી, ઊંચી અને એકવડા બાંધાવાળી આ નવી વિદ્યાર્થીની બીજા ધોરણથી મારી અને સીમાની વચ્ચે એક જ બેન્ચ પર બેસતી. તે પ્રથા અગિયારમા- તે સમયના એસ.એસ.સી.-પર્યંત ચાલુ રહી. હું, મેધા, અને સીમા, અમારી ત્રણેની મૈત્રીમાં, ઘનિષ્ઠતા સાથે અણબોલાયેલી સમજણ અને વિશ્વાસ હંમેશા રહ્યો હતો.

    મેધા અને મને ખૂબ જ બનતું, પણ સીમા અને મારી વચ્ચે વ્યક્તિગત રીતે થોડીક મજાક અને મસ્તી વધારે થતી. તો, સીમા અને મેધાના સખ્યમાં બહેનો જેવો પ્રેમ વધુ હતો. અમે ત્રણેય જ્યારે સાથે હોઈએ ત્યારે જાણે એમ જ લાગતું કે આખી જિંદગી આમ જ અમે સખીઓ સાથે રહીશું! ત્યારે ક્યાં ખબર હતી કે સમયની ધારા કોને ક્યાં વહાવીને લઈ જશે!

    સીમા અને હું, ફેસબુક પર ૨૦૧૨થી ફ્રેન્ડ્સ હતાં પણ કોણ જાણે કેમ, ન સીમાએ કે ન મેં, એ સમયે, મેધા સાથે ફેસબુક પર કનેક્ટ કરવા કોશિશ કરી! સાચા અર્થમાં, કદાચ, અમે મેધાને વિસરી ગયાં હતાં…! (આ લખતાં પણ શરમ આવે છે!) સીમાએ એની પડોશમાં રહેતાં પંજાબી, ડૉક્ટર, શેખર ખન્ના સાથે લગ્ન કર્યા હતા. હવે તો શેખર મુંબઈનો ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ બની ચૂક્યો હતો ને સીમા હાઉસ વાઈફ હતી. તે દિવસે મેધા મારા એ વિચિત્ર, ઢંગધડા વગરના સપનામાં આવી શું કે મને અને મારાં અંતરને હલબલાવી ગઈ હતી.

    બીજે દિવસે, સવારનાં ઊઠતાંવેંત જ સીમાનો કોન્ટેક્ટ કરવાનું નક્કી કર્યું. મેં પહેલાં તો સીમાને મેસેન્જર પર ફોન કર્યો, તો એણે ન ઊંચક્યો. પછી ફેસબુકના ચેટ પર એને ‘પીન્ગ’ કરી, અને, મને સીમા સાથે સંપર્ક સાધવામાં સફળતા મળી. સીમા સાથે આમ-તેમની વાત પછી મેં ચેટ પર પૂછ્યું, “સીમા, આપણી “પાઈ”-મેધા- ક્યાં છે આજકાલ?”

    એણે ઉત્તર આપ્યો, “અરે, હું પણ કેટલાક સમયથી એને યાદ કરી રહી હતી. મારે ૧૯૭૬-૭૭ પછી કોઈ જ કોન્ટેક્ટ નથી. મેં વચ્ચે ફેસબુક પર શોધવા કોશિશ પણ કરી જોઈ હતી પણ લગ્ન પછી એની અટક શું હતી એ સાવ જ ભૂલી ગઈ છું. હજારો મેધા મળી પણ અટક વિના કોને ક્યાં કોન્ટેક્ટ કરવો? તું  જો એને ટ્રેક કરે તો પ્લીઝ, મને જણાવજે. મને પણ એની બહુ જ યાદ આવી રહી છે. આઈ એમ ટ્રુલી મિસિંગ હર. ”
    અને પછી ચેટ મેસેજમાં અહીં ત્યાંની બીજી વાતો કરીને છૂટાં પડ્યાં.

    સીમા સાથે વાતો કર્યા પછી એક રીતે મને પણ ફિકર થવા માંડી કે ક્યાં હશે મેધા? શું થયું હશે? આટલા વર્ષોમાં એની સાથે કંઈ ન બનવાનું બન્યું છે? હું અને  સીમા આમ કઈ રીતે એને ભૂલી જ ગયાં? કેમ અમે એની ફેસબુક પર શોધ કરવા કોશિશ પણ ન કરી? મેધા મારા મનમાં એવી તો વસી ગઈ હતી કે એની ભાળ મેળવ્યાં વિના હવે મને ક્યાંય ચેન પડવાનું નહોતું.

    એસ.એસ.સી. પાસ કર્યા પછી મેધા અને સીમા જુદી-જુદી કોલેજમાં આર્ટસમાં ગયા હતા અને હું સાયન્સમાં ગઈ. આમ અમારા કોલેજકાળના મિત્રો પણ અલગ થઈ ગયાં હતાં. છતાંયે, અમે ત્રણેય જ્યારે પણ મળતાં ત્યારે એમ જ લાગતું કે કદી જુદાં પડ્યાં જ નહોતાં. ઈન્ડિયામાં માઈક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી કર્યા પછી હું તરત જ અમેરિકા આગળ ભણવા માટે આવી ગઈ હતી. તો બીજી બાજુ, બી.એ. પાસ કરીને, વરસની અંદર જ લગ્ન કરીને મેધા એના પતિ સાથે મસ્કત જતી રહી હતી. હું મેધાના લગ્નમાં જઈ નહોતી શકી કારણ, મીડલ ઓફ ધ સેમેસ્ટરમાં મારું ભણવાનું છોડીને ભારત જવું શક્ય નહોતું. હું પાછી ભારત ગઈ અને લગ્ન કર્યા ત્યારે મેધા મસ્કતથી આવી શકી નહોતી. પછી સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં અમે અમેરિકા આવી ગયા હતાં. મેધાના મસ્કત જવાના બે—ત્રણ વરસ સુધી તો મારો પત્ર વ્યવહાર એની સાથે નિયમિત રહ્યો હતો પણ પછી ધીમે ધીમે ઓછો થતો ગયો. મને અડસટ્ટે યાદ હતું ત્યાં સુધી, ૧૯૭૮-૭૯ સુધીમાં તો એ પત્રવ્યવહાર સાવ જ બંધ થઈ ગયો.

    ૧૯૮૦ માં હુ ઈન્ડિયા ગઈ હતી ત્યારે મેધાની મમ્મીને મળવા જવાની હતી, તો ભાભીએ કહ્યું કે એના મમ્મી છ-સાત મહિના પહેલાં ગુજરી ગયાં હતાં. મેધાના પિતાજી તથા ભાઈ-ભાભી તો બીજે કશેક, ઘર ખાલી કરીને જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ, મેં અમેરિકા જઈને મેધાને એની મમ્મીના અવસાન બદલ અફસોસ વ્યક્ત કરતો પત્ર એનાં મસ્ક્તના સરનામા પર લખ્યો હતો, જે થોડાક વખત પછી ફરતો-ફરતો પાછો આવ્યો હતો એક નોંધ સાથે કે,  – “Addressee Not Found at the Designated Address.” (તમે જેને પત્ર લખ્યો છે, એ વ્યક્તિ હવે આ સરનામા પર રહેતી નથી.”) અને પછી તો, હું, અમારી અમેરિકામાં સેટલ થવાની સ્ટ્રગલમાં ફરી પડી ગઈ અને મેધા સાથેના સંપર્ક-વિચ્છેદ પર વિસ્મૃતિનો પડદો પડી ગયો.

    મેધાના લગ્ન થયા ત્યારે હું અમેરિકા ભણવા માટે આવી હતી. ત્યારે મારા લગ્ન નહોતાં થયાં અને મારા લગ્ન થયાં ત્યારે મેધા મસ્કતથી આવી શકી નહોતી. આમ, મને કદી એના પતિને પ્રત્યક્ષ મળવાનો મોકો પણ નહોતો મળ્યો. આજે મને કેમેય કરીને એના પતિનું નામ અને એની અટક યાદ આવતી નહોતી અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો!

    આ બાજુ, હું મેધા સાથે કનેક્ટ થવા અત્યંત બેચેન હતી અને વિચાર કરતી હતી કે શું કરું કે મને મેધાના ‘વ્હેર એબાઉટ’ની ખબર મળે! બરાબર, તે જ સમયે, મને ઓચિંતો જ, મારા પતિદેવે સાચવી રાખેલા પત્રોનો એ “અલ્લાદીનના જાદુઈ ચિરાગ” જેવો “પેન્ડોરા”નો બોક્ષ યાદ આવ્યો. હું જલદીથી ઊભી થઈ અને એ બોક્ષ કાઢ્યો. હાથ એકબીજા સાથે ઘસ્યાં અને પછી જોડ્યાં, ઈશ્વરને પ્રાર્થના કરવા કે મને આમાંથી મેધાનો એકાદ પત્ર, એના લગ્ન પછીનો લખેલો મળી આવે! મેં ફાઈલો ફંફોસવા માંડી, ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ અને ૧૯૭૮ – અને of course, there it was!

    ૧૯૭૮ની સાલ, ડિસેમ્બરની ૩૧, તારીખે મેધાએ પત્ર લખ્યો હતો. મેં એ પત્ર વાંચવો શરુ કર્યો એ પહેલાં એનું એડ્રેસ અને નામ સેન્ડર તરીકે વાંચ્યું, “મેધા અનિલ પટેલ”. એ પત્ર વાંચતાં વાંચતાં મારી આંખો છલકાઈ ગઈ. મેધાએ લખ્યું હતું. “જયુ, છેલ્લા કેટલાક મહીનાઓથી અનિલનો કારોબાર અહીં બરાબર નથી ચાલતો. કદાચ હજી થોડો સમય અહીં કોશિશ કરીશું અને બિઝનેસ નહીં જ ચાલે તો અમે વિચારીએ છીએ કે, મસ્કત છોડી, દુબઈ સેટલ થવા જતાં રહીએ. ક્યારે જઈશું એ હજુ નક્કી નથી થયું. અત્યારે તો એવું વિચાર્યું છે કે અનિલ પહેલાં ત્યાં જશે. હું અને અમારા સંતાનો વડોદરા જઈશું. અનિલ જેવા દુબઈમાં સેટલ થશે કે અમને ત્યાં બોલાવી લેશે. એકાદ-બે વરસની જ તો વાત છે, ત્યાં સુધી, મારી મોટી દીકરી નીના, અને નાની બેઉ જોડકી દીકરીઓ, સુસ્મિતા અને અમિતાને લઈને હું, વડોદરા રહીશ.

    બે વરસ પહેલાં, અમે વડોદરામાં, મારા સાસુ અને સસરા માટે એક બંગલો ખરીદ્યો હતો. મારા સાસુ –સસરા હવે ગામનું કાચું મકાન છોડીને ત્યાં રહે છે. એટલે અમારે વતનમાં રહેવા માટે કોઈ પ્રોબ્લેમ નથી. તને તો ખબર જ છે કે અનિલ એમનો એકનો એક દીકરો છે. અનિલ ખૂબ જ મહેનતુ છે. એટલે મને ખાતરી છે કે એ સેટલ થઈને અમને જલદી જ દુબઈ બોલાવી લેશે. આ સાથે સીમાને પણ પત્ર લખીને આ બધી જ વિગત જણાવી છે. જો હાથ થોડો તંગ ન હોત ને, તો તમને બેઉને ફોન જ કરત. અમે સારો સમય પણ જોયો અને હવે થોડી તકલીફ પણ આવી છે, તો વાંધો નહીં, આ સમય પણ જતો રહેશે. બરાબર ને? મારી ફિકર કરતી નહીં. ક્યારે જઈશું એ ટાઈમલાઈન નક્કી નથી પણ જેવી હું વડોદરા પહોંચીશ અને ઠરીઠામ થઈશ કે એડ્રેસ અને ફોન નંબર આપવા પાછો કાગળ લખીશ. આશા છે કે તું, જીજાજી અને બાળકો આનંદમાં હશો. અમારા જીજાજી અને વ્હાલાં ભૂલકાંઓની પણ કાળજી લેજે પણ એ સાથે પોતાની ધ્યાન રાખવાનું ભૂલીશ નહીં.”

    મારી ખૂબ વહાલી મિત્રનો એ છેલ્લો પત્ર હતો અને મેં કે સીમાએ પણ આ પત્ર પછી એની ભાળ લેવાની પરવા પણ ન કરી? ફિટકાર છે મારા આવા સ્વાર્થી સખ્ય પર કે જ્યારે એ તકલીફમાં હતી તે જાણ્યા પછી પણ મેં એટલું જાણવાની દરકાર ન કરી કે હવે બધું બરબર થયું હતું કે નહીં…! એનું વડોદરાનું સરનામું કદી આવ્યું નહીં ને આ બાજુ, સીમા અને હું પણ અમારા સંસારમાં એટલા ડૂબી ગયા કે પાછું વળીને જોયું પણ નહીં ને વિચાર્યું પણ નહીં!

    હું આજે વિચારોમાં મેધામય થઈ ગઈ હતી. મેધાની દીકરીઓ હવે મોટી થઈ ગઈ હશે! મેં સીમાને મેધાના કાગળની કોપી સ્કેન કરીને, ઈ-મેલમાં મોકલી અને સાથે લખ્યું કે એના કોઈ કોન્ટેક્ટ જો વડોદરામાં હોય તો મેધાની તપાસ જરુર કરાવે. મને અંદરથી ખાતરી હતી કે મેધા પોતે ફેસબુક પર તો હોય જ નહીં! કારણ, મેં ભલે એની ભાળ ન લીધી પણ જો એ ફેસબુક પર હોત તો એણે નક્કી મને અને સીમાને શોધી હોત!

    મને થયું કે, મારે એની દીકરીઓના નામે ફેસબુક પર સર્ચ કરવી જોઈએ. એની દીકરીઓ તો ‘નવું જનરેશન’ છે. તો, એ લોકો તો ફેસબુક પર હશે જ. મેં ફેસબુક પર પછી નીના, સુસ્મિતા તથા અમિતા – નામોની સર્ચ કરવાની ચાલુ કરી. મને પછી થયું કે દીકરીઓ જો પરણી ગઈ હશે તો એમનાં નામ પણ જુદા હશે, છતાંયે કોશિશ તો કરવી રહી.  મેં પછી ખાલી ત્રણેય નામોની સાથે પટેલ લખીને સર્ચ કરી તો મારા આશ્ચર્ય વચ્ચે મને બસોથીયે વધારે નીના પટેલ અને ચારસો બીજી અટકવાળી નીના મળી. બસોથીયે વધુ અમિતા પટેલ અને ત્રણસોથી પણ વધુ અમિતા અન્ય અટક વાળી મળી. પરંતુ ફક્ત એકત્રીસ સુસ્મિતા મળી જેમની અટક પટેલ હોય અને સોથી વધુ સુસ્મિતા બીજી અટક વાળી હતી.

    હવે આગળ શું કરું, એ વિચારમાં પડી. પછી મેં નક્કી કર્યું કે કેટલો પણ સમય લાગે પણ પહેલાં તો એકત્રીસે એકત્રીસ સુસ્મિતાનો સંપર્ક કરવો. અને, ત્યાં જો કંઈ ન થાય તો બાકીની સો સુસ્મિતાને પણ કોન્ટેક્ટ કરવો.

    મેં ધીરજથી, એકત્રીસ સુસ્મિતાને મેસેન્જર પર સંદેશો મોકલ્યો કે હું મારી બહુ વ્હાલી મિત્ર મેધા પાટીદારને શોધું છું. અમે મુંબઈના સબર્બ, મલાડની સ્કૂલમાં સાથે ભણ્યા હતાં. મેધા લગ્ન કરીને એના પતિ અનિલ પટેલની સાથે મસ્ક્ત રહેતી હતી,  અને પછી થોડાંક સમય માટે વડોદરા રહ્યાં હતાં, વગેરે, વગેરે, વિગતો પણ મોકલી. સાથે એ પણ લખ્યું કે “અનિલ અને મેધાની ત્રણ દીકરીઓ હતી, મોટી નીના અને પછીની બે ટ્વીન દીકરીઓ, અમિતા અને સુસ્મિતા. જો આપ એ સુસ્મિતા હો તો અવશ્ય મને જણાવજો અને ન હો તો તકલીફ બદલ માફ કરજો.”

    રાતના સાડા અગિયાર થયા હતાં. મેં કમ્પ્યુટર બંધ કર્યું અને પથારીમાં પડી. મનોમન, પ્રાર્થના કરતી રહી કે આ બધી સુસ્મિતાઓમાં મને એ સુસ્મિતા મળે જેને હું શોધું છું.

    બીજે દિવસે, ડિનર પછી મેં કમ્પ્યુટર ખોલ્યું, અને મારા આશ્ચર્ય વચ્ચે દરેક સુસ્મિતાના જવાબો આવ્યા હતા. ત્રીસ સુસ્મિતાએ દિલગીરી જાહેર કરીને, મને મારી મિત્ર જલદી મળે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. પણ એક જવાબ હતો સુસ્મિતા પટેલ-મહેરાનો, જેણે લખ્યું હતું, “આન્ટી, પ્લીઝ, મને તમે ફોન નંબર મોકલો અથવા મને ફોન કરો. નંબર મોકલાવું છું. બાય ધ વે, હું મુંબઈમાં રહું છું. હું એ સુસ્મિતા નથી જેને તમે શોધો છો પણ મને લાગે છે કે હું તમારી મદદ કરી શકું એમ છું.” આ બે-ત્રણ વાક્યોના જવાબે મને જાણે “કૌન બનેગા કરોડપતિ” ના છેલ્લા સાત કરોડના પ્રશ્નના જવાબ માટે સ્પેશ્યલ લાઈફ-લાઈન મળી હોય એટલો આનંદ થયો!

    સાન ફ્રાન્સીસ્કોમાં ત્યારે સાડા આઠ રાતના થયા હતા. મેં એના મોકલાવેલા નંબર પર ફોન કર્યો.

    “હું સાન ફ્રાન્સીસ્કોથી જયુઆન્ટી વાત કરું છું. સુસ્મિતા પટેલ-મહેરા છે?”

    “હા, હું જ સુસ્મિતા. બોલો આન્ટી”.

    “થેંક્યુ ફોર ટેઇકીંગ ટાઈમ ટુ આન્સર માય રેન્ડમ ક્વેરી. હું તમારા સમયની કદર કરું છું. હવે તમે કહો, શું મદદ કરી શકો છો તમે?”

    “આન્ટી, મારી ગાયનેકોલોજીસ્ટ છે, જેનું નામ ડૉ. નીના એમ. પાટીદાર છે. અહીં, પેડર રોડ પર, મારા બિલ્ડીંગથી દસેક બિલ્ડીંગ દૂર, બિલકુલ જેસલોક હોસ્પિટલની સામે “ડૉક્ટર્સ હાઉસ” છે, ત્યાં એમની ઓફિસ છે. હજી એકાદ અઠવાડિયા પહેલાં હું મારી એપોઈન્ટમેન્ટ માટે ગઈ હતી ત્યારે એમની ટ્વીન બહેનો, અમિતા અને સુસ્મિતા લંડનથી ત્યાં આવી હતી. ડૉ. નીનાએ એમની ઓળખાણ મને કરાવી હતી. મારી બહેન પણ લંડન રહે છે અને મેં એમની સાથે પાંચેક મિનીટ વાતો પણ કરી હતી. આથી મને એમનાં નામો યાદ રહી ગયાં. હું ડૉ. નીનાનો નંબર આપું છું. એ સાથે હું ડૉ. નીનાને તમારો નંબર પણ મોકલીશ. આશા છે કદાચ તમે શોધો છો એ આ જ કુટુંબ હોય. તમે એકાદ બે કલાક રહીને ડૉ. નીનાને ફોન કરજો જેથી એટલા સમયમાં એમને મારો સંદેશો પહોંચી શકે. ગુડ લક આન્ટી.”

    મારી ખુશીનો પાર નહોતો. હું હવે એકાદ-બે કલાક કેમ વિતાવવા એની રાહ જોતી હતી. મેં ઝી ટીવી ચાલુ કર્યું. “આંધી” મુવી ચાલી રહ્યું હતું. મુવીમાં ધ્યાન આપવાની કોશિશ પણ ઠાલી નીવડી! ત્યાં તો મેસેન્જર પર રીંગ વાગી. મેં ફોન ઉપાડ્યો અને સામે જે મેં સાંભળ્યું, મને લાગ્યું કે હું સપનું જોઈ રહી છું! એ ફોન ડૉ. નીના પાટીદારનો હતો!

    ઔપચારિક વાતો માંડ કરી અને મેં તરત જ એને પૂછ્યું કે, “મારી મેધા છે ક્યાં? મને એનો ફોન નંબર આપ. સહુ પહેલાં, તો મારે એને ફોન કરીને ચોંકાવી દેવી છે!”

    પણ નીનાને આટલા વરસોનો “ભારેલો અગ્નિ” ઠરી જાય એ પહેલાં જ, જાણે બધું જ કહી દેવું હતું. ડૉ. નીનાએ જે વાતો કરી એ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસતી ગઈ.

    મેધાના પતિએ દુબઈ જઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરી લીધા. મેધા તથા બાળકોને કદીયે પાછા ન બોલાવ્યા, એટલું જ નહીં, પણ પોતાના વૃદ્ધ માતા-પિતાની તરફ પાછા વળીને જોયું પણ નહીં! મેધાએ એના સંતાનોના ભણતર અને સફળતા માટે અનહદ મહેનત કરીને, બાળકોને મોટા કર્યાં. મેધા ઘરેથી ટિફીન સર્વીસ ચલાવતી હતી અને શનિવાર ને રવિવારે કેટરીંગના ઓર્ડરો લેતી. મેધાના સાસુ-સસરા જીવિત રહ્યાં, ત્યાં સુધી મેધાએ એમને પણ પ્રેમથી રાખ્યાં. નીનાએ એમ.ડી. કર્યું અને ૨૦૦૭થી મુંબઈમાં પ્રેક્ટીસ કરી રહી હતી. નીનાએ કાયદેસર રીતે પિતાનું નામ અને અટક બેઉ કાઢી નાખીને મેધાનું નામ અને અટક રાખી હતી. અમિતા-સુસ્મિતા બેઉ સોફ્ટ્વેર એન્જિનીયર થઈને, લગ્ન કરીને લંડન શીફ્ટ થઈ ગયા. આ બધી વાત કરતી નીનાના અવાજનો કંપ હું દસ હજાર માઈલ દૂર, સાન ફ્રાન્સિસ્કોમાં, આટલે દૂર અનુભવી શકતી હતી.

    નીના બોલી, “આન્ટી, મારો સેલ નંબર પણ નોટ કરી લેજો.”

    મારાથી અનાયસે કહેવાઈ જવાયું, “બેટા, મને થાય છે કે હું ઊડીને ત્યાં આવું! મને મેધાનો નંબર આપ. મારાથી રાહ નથી જોવાતી હવે! આટલું બધું એ એકલી સહેતી રહી ને.. હુંયે કેવી સ્વાર્થી કે મારી વ્હાલી સખીની ભાળ ન કાઢી! મારે એને ધમકાવવી છે અને સાથે એને કહેવું છે કે એ મને વઢે, કે મેં કેમ આટલો સમય એની ખબર ન લીધી!”

    સામેથી નીનાના અવાજમાં ડૂમો છલકાયો, “આન્ટી, મમ્મી એની બધી મુશ્કેલીઓમાં પણ તમને અને સીમા આન્ટીને ભૂલી નહોતી. હું કહેતી કે તું કહેતી હોય તો હું એમને શોધું. પણ એનો એક જ જવાબ રહેતો કે, “મારી બે સખીઓને મારી તકલીફનો અણસાર પણ જશે તો એમને દુઃખ થશે! અને મારે એવું નથી કરવું. અમે ત્રણેયે જે સુખનો સમય વીતાવ્યો છે એ જ યાદ રાખવો છે.” પણ, મમ્મીને ખાતરી હતી કે તમે કે સીમાઆન્ટી ક્યારેક તો એને શોધશો જ અને કોન્ટેક્ટ પણ કરશો! એણે તમારા બેઉ માટે એક પત્ર આજથી દસ વરસ પહેલાં લખીને મૂકી રાખ્યો છે, તે પત્ર સ્કેન કરીને આજે જ મોકલીશ.”

    મારી ધીરજ ખૂટતી જતી હતી. શું થયું હતું મેધાને કે દસ વરસ પહેલાં પત્ર….! હું હ્રદયનો ધબકારો ચૂકી ગઈ અને પૂછ્યું, “મેધાને કઈં થઈ ગયું છે? મને જલદી કહે, બેટા!”

    સામે છેડેથી જવાબ આવ્યો, “આન્ટી, મમ્મી મારી સાથે જ રહે છે. હું ઘેર જઈને ફેસ-ટાઈમ કરીને મમ્મીને નક્કી આજે જ તમારી સાથે મેળવીશ. પણ, મમ્મીને દસ વરસ પહેલાં અલ્ઝાઈમરની શરુઆત થઈ હતી. જે દિવસે અલ્ઝાઈમર શરુઆતના સ્ટેજમાં પરખાયું હતું, તે જ દિવસે એણે તમારા માટે અને સીમાઆન્ટી માટે જુદા પત્ર લખીને મૂક્યા હતાં. હું હમણાં કન્સલ્ટિંગરૂમ પર છું. રાતના ઘેર જઈને ફોન કરું છું. મમ્મી હવે તો કોઈનેય ઓળખતી નથી અને એની પોતાની દુનિયામાં જ રહે છે. મમ્મી હવે આ દુનિયાની રહી નથી, આન્ટી!” ડૂમા ભરેલા અવાજે નીના બોલી રહી હતી અને એણે ફોન મૂકી દીધો.

    આ હું શું સાંભળતી હતી! આટલાં વરસો સુધી મારી વ્હાલી સખી આ બધું જ સાવ એકલી સહેતી રહી, એક વાર પણ ઊફ કર્યાં વિના? અરે, મને નહીં તો સીમાને તો કોન્ટેક્ટ કરવો હતો? પણ કોન્સટન્ટ સંજ્ઞા, “પાઈ”, એવી મેધાને મોઢેથી મેં કદી કોઈ નાની-સરખી ફરિયાદ પણ સાંભળી નહોતી. તો આ બધી વાતો તો કેમ કરવાની હતી? આટલી વેદના, આટલી વ્યથા, મારી સખીના ભાગ્યમાં લખાઈ ગઈ અને હું? મારી આંખમાંથી આંસુ વહ્યાં કરતાં હતાં.!

    ડૉ. નીનાના શબ્દો મારા કાનમાં ગુંજતાં હતાં, “મમ્મી હવે આ દુનિયાની રહી નથી…!”

    સાચે જ, એની મમ્મી આમ પણ, ક્યારેય આ દુનિયાની હતી જ નહીં!


    સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પ્રોફેશનલ પ્રેમ… એ વળી કેવો હોય?

    ધિક્કારનાં ગીતો

    જૂના જમાનામાં લોકો દિલથી પ્રેમ કરતાં અને હવે દિમાગથી કરે છે એવું તમને લાગે છે ખરું?

    દીપક સોલિયા

    વાત એ ચાલતી હતી કે આગ તો દઝાડે જ, પરંતુ ઠંડક પણ ઓછી ‘કરપીણ’ નથી હોતી. ગરમ ધિક્કાર કરતા ઠંડી નિર્લેપતા વધુ ઇજા પહોંચાડી શકે છે. સ્ત્રી-પુરુષ સંબંધમાં વાંકું પડે ત્યારે ‘તું ખરાબ છે. તું બેવફા છે. તું ત્રાસજનક છે.’ એવા આકરા શબ્દો કરતાં પણ વધુ ખતરનાક શબ્દો આ છેઃ ‘તું કોણ છે? તું મારા માટે કશું નથી. યુ ડોન્ટ એક્ઝિસ્ટ.’

    તો, સ્ત્રી-પુરુષ સંબંધમાં એકમેક સામેનો વિરોધ વ્યક્ત કરવાની બે રીત થઈ.

    ૧) સીધો દ્વેષ વ્યક્ત કરવો.

    ૨) સામેની વ્યક્તિના અસ્તિત્વને નકારવું.

    આ ઉપરાંત એક ત્રીજી રીત છેઃ પ્રેમ નામની ચીજને નકારવી. સામેની વ્યક્તિને કશું ન કહેવું. માણસની વાત જ ન કરવી. સીધો પ્રેમ પર પર જ હુમલો કરવો કે પ્રેમ પોતે જ એક બકવાસ બાબત છે. આવી એક દલીલ ફિલ્મ ત્રિશુલના એક ગીતમાં, સાહિર લુધિયાનવીના શબ્દોમાં, સામસામી ચર્ચા રૂપે આ રીતે વ્યક્ત થઈ છેઃ

    પ્રો (પ્રેમતરફી શશી કપૂર) ગાય છેઃ

    મહોબ્બત બડે કામ કી ચીઝ હૈ.

    સામે પક્ષે એન્ટી (પ્રેમવિરોધી અમિતાભ) ગાય છેઃ

    કિતાબોં મેં છપતે હૈ ચાહત કે કિસ્સે
    હકીકત કી દુનિયા મેં ચાહત નહીં હૈ
    ઝમાને કે બાઝાર મેં યે વો શય હૈ
    કિ જિસ કી કિસી કો ઝરૂરત નહીં હૈ
    યે બેકાર, બેદામ કી ચીઝ હૈ.

    ટૂંકમાં, પ્રેમ વેવલાઈ છે, પ્રેમ કલ્પના છે, પ્રેમ એક નકામી અને મૂલ્ય વિનાની (બેકાર, બેદામ) ચીજ છે. હકીકતની દુનિયામાં પ્રેમ-બ્રેમ જેવું કશું નથી હોતું.

    આવી બધી વાતો ફિલ્મમાં એ અમિતાભ કહે છે જેની ભારોભાર કડવાશના પાયામાં એની માતાને થયેલો એક કડવો અનુભવ હતો. માતાને તેના પ્રેમી (અને દીકરા અમિતાભના પિતા) સંજીવ કુમારે સગર્ભા કરીને છોડી મૂકેલી. એને લીધે માતાને પ્રેમ નામની બલા પ્રત્યે ભયંકર રોષ હતો. અમિતાભ પોતે પ્રેમમાં નહોતો દાઝ્યો. દાઝેલી એની માતા. પણ માતાએ પોતાની એ દાઝ દીકરા અમિતાભમાં ટ્રાન્સમિટ કરેલી. દીકરાને પ્રેમ પ્રત્યેનો દ્વેષ વારસામાં મળેલો. એની કડવી માતાએ, ગીતકાર સાહિર લુધિયાનવીએ લખેલા ગીત રૂપે, દીકરાને આપેલો ભયંકર આદેશ જુઓઃ

    મેરા હર દર્દ તુઝે દિલ મેં બસાના હોગા
    મૈં તેરી માં હૂં, મેરા કર્ઝ ચુકાના હોગા
    મેરી બર્બાદી કે ઝમીન અગર આબાદ રહે
    મૈં તુઝે દુધ ના બખ્શૂંગી તુઝે યાદ રહે.

    સ્ત્રી-પુરુષ વચ્ચેનાં દ્વેષગીતોની આ શ્રેણીમાં સૌથી ડંખીલા, ઝેરીલા દ્વેષગીત તરીકે આ ગીત નં. ૧ નું દાવેદાર ખરું, જેમાં પ્રેમમાં પછડાટ ખાનાર સ્ત્રી તેને પછડાટ આપનાર પુરુષને બરબાદ કરવાની જવાબદારી દીકરાને સોંપતાં કહે છે કે જો દીકરા, તું મારો કરજદાર છે. મારી પીડા તારે તારા દિલમાં રાખવાની છે. મને બરબાદ કરનારો જો આબાદ રહેશે તો હું તને દૂધ માફ નહીં કરું.

    પછી આ કડવી માતાનો જબરો દીકરો મોટો થઈને એમ કહે કે મહોબ્બત ફાલતુ ચીજ છે, તો એ સમજી શકાય તેવું છે.

    ખેર, દ્વેષ વ્યક્ત કરવાના આ ત્રણ રસ્તા -સીધી ટીકા, ઠંડી નિર્લેપતા, પ્રેમનો વિરોધ- ઉપરાંત એક ચોથો પણ રસ્તો છે, નારાજગી વ્યક્ત કરવાનો. એ રસ્તો એવો છે જેમાં પ્રેમની કે પ્રેમી (યા પ્રેમિકા)ની સીધી ટીકા નહીં કરવાની, પરંતુ દોષનો ટોપલો સમાજ અને સમય પર ઢોળી દેવાનો. લોકો કેવા ખરાબ છે અને જમાનો કેવો ખરાબ છે એવું બધું કહેતાં કહેતાં પ્રેમીને વખોડતું એક યાદગાર ગીત છે, ફિલ્મ દાગનું. ફરી એક વાર (યોગાનુયોગે લેખમાં ત્રીજી વાર) ગીતકાર એ જ છે, સાહિર લુધિયાનવી. શબ્દો આ પ્રમાણે છેઃ

    જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈં લોગ
    એક ચહરે પે કઈ ચહરે લગા લેતે હૈં લોગ.

    વાત સ્પષ્ટ છે. મન ફાવે ત્યારે લોકો (બેવફા પ્રેમીઓ) પ્રેમિકાને છોડીને બીજી સ્ત્રીને પરણીને બેસી જાય છે. લોકો જૂના ચહેરા પર નવા ચહેરા ઓઢી લે છે.

    તીર તો સીધું પ્રેમીને જ મારવામાં આવી રહ્યું છે, પરંતુ કહેવાની રીત એવી છે કે એકલો તું જ નહીં, તારા જેવા લોકો આવું બધું – નવી દુનિયા બસાવી લેવી અને ચહેરા પર ચહેરા ઓઢી લેવાં જેવાં કૃત્યો – કરતાં હોય છે.

    લોકો કેવા બગડી ગયા છે અને જમાનો કેવો બગડી ગયો છે એવી એક સંયુક્ત લોક-નિંદા-કમ-યુગ-નિંદા કરવાની વૃત્તિ આપણા સૌમાં વત્તેઓછે હોય છે. એ બેવડી નિંદાને અસરકારક રીતે વ્યક્ત કરતા આ ગીતમાં કહ્યું છેઃ

    યાદ રહતા હૈ કિસે ગુઝરે ઝમાને કા ચલન
    સર્દ પડ જાતી હૈ ચાહત, હાર જાતી હૈ લગન
    અબ મહોબ્બત ભી હૈ ક્યા એક તિજારત કે સિવા
    હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન
    વર્ના જીને કે લિએ સબ કુછ ભૂલા લેતે હૈં લોગ
    એક ચહરે પે કંઈ ચહરે લગા લેતે હૈં લોગ.

    લગાવ ઠંડો પડી જાય અને લગની હારી જાય. વાત એકદમ સાચી લાગે તેવી છે. મામલો પ્રેમનો હોય કે બીજો કોઈ, એમાં સતત ઉંમગ, જોશ, સ્ફૂર્તિ ટકાવવાં અઘરાં છે. પરંતુ અહીં કવિ એવું કહે છે જૂના જમાનામાં પ્રેમને આજીવન લીલોછમ્મ રાખવાનું ‘ચલણ’ હતું અને હવે નવા જમાનામાં પ્રેમ ફક્ત એક તિજારત બની રહ્યો છે. તિજારત મતલબ ધંધો, રોજગાર, વ્યવસાય. એક હાથ દે, એક હાથ લે.

    આવું શું ફક્ત હવે જ જોવા મળી રહ્યું છે? જૂના જમાનાનો પ્રેમ વધુ સાચો, ઊંડો અને દીર્ઘ હતો? નવા જમાનામાં પ્રેમ ફક્ત વ્યાવસાયિક અભિગમ (પ્રોફેશનલ એટિટ્યૂડ)થી જ કરવામાં આવે છે: ‘અસ્સલના જમાના’માં અસ્સલ પ્રેમ થતો અને આજના જમાનાનો પ્રેમ નકલી હોય છે.

    શું ખરેખર આવું છે? તમારું શું માનવું છે?


    વધુ આવતા અંકે.


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • વાદ્યવિશેષ (૪૦) – તાલવાદ્યો (૫) : ઢોલકી અને લાવણીનૃત્ય

    ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    હિન્દી ફિલ્મી ગીતોની સાથે નૃત્ય-શાસ્ત્રીય અને લોક્નૃત્ય-નો સમન્વય મોટા પાયે થતો આવ્યો છે. આવાં ગીતોમાં મહદઅંશે પંજાબી ભાંગડા, ગુજરાતી ગરબા તેમ જ મરાઠી લાવણી પ્રકારનાં લોકનૃત્યો સાથેનાં ગીતો ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. સ્વાભાવિક છે કે નૃત્ય સાથે તાલવાદ્યોનો પ્રચૂર ઉપયોગ થયો હોય. જેમ કે ભાંગડા સાથે ઢોલક, ગરાબા સાથે ઢોલ અને લાવણી સાથે ઢોલકીના તાલ જોડાયેલા હોય છે.

    આ કડીમાં આપણે લાવણીનૃત્ય સાથે ઢોલકીના તાલ વડે સજાવાયેલાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો માણીએ. ગઈ કડીમાં ઢોલકી અને તેના બોલનો પરિચય થઈ ચૂક્યો છે. અહીં શરૂઆતમાં લાક્ષણિક લાવણી નૃત્યની એક ઝલક માણી લઈએ. પ્રસ્તુત ગીત મરાઠી ફિલ્મ સુશીલા(૧૯૬૬)નું છે, જેને માટે રામ કદમ નામના સંગીતકારે સ્વરનિયોજન કર્યું હતું.

    હવે આગળ વધીએ ઢોલકીના તાલ અને લાવણી નૃત્ય સાથેનાં હિન્દી ફિલ્મી ગીતો તરફ.

    ફિલ્મ દાગ(૧૯૫૨)નું ગીત ‘દેખો આયા યે કૈસા જમાના’ સાંભળતાં જ ઢોલકીના બોલ સ્પષ્ટ પારખી શકાય છે. સંગીત શંકર-જયકિશનનું છે.

    https://www.youtube.com/watch?v=Sf6dbWkCEHg&list=RDSf6dbWkCEHg&start_radio=1

    ૧૯૫૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ પહલી ઝલક માટે સંગીતકાર રામ કદમે ગીતો તૈયાર કર્યાં હતાં. આ ફિલ્મનું લાવણીગીત ‘અચ્છી સૂરત હૂઈ મુસીબત’ ઢોલકીના બોલથી ભરપૂર છે.

    https://www.youtube.com/watch?v=F5pS82za9Wc&list=RDF5pS82za9Wc&start_radio=1

    ફિલ્મ આવાઝ (૧૯૫૬)ના પ્રસ્તુત ગીતમાં એક વિશિષ્ટ પ્રયોગ કરાયો હતો. એક ખુબ લોકપ્રિય એવા બંગાળી લોકગીત ‘ધ્રીતાંગ ધ્રીતાંગ બોલે’ને લાવણીનૃત્ય સાથે ઢાળવામાં આવ્યું હતું. મૂળ લોકધૂનનું વાદ્યવૃંદ થકી સમૃદ્ધિકરણ સંગીતકાર સલિલ ચૌધરીએ કર્યું હતું. પ્રસ્તુત રજૂઆત સાથે વીડિઓ જોવા નથી મળતો, પણ શરૂઆતમાં જ કાને પડતા ઢોલકીના બોલ ગીતના ‘લાવણીકરણ’નો ખ્યાલ આપે છે.

    ફિલ્મ ચંદન(૧૯૫૮) માટે સંગીત મદનમોહને તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું એક લાવણીગીત ‘ચાહે લાખ જમાના રોકે’ ઢોલકીના ધ્યાનાકર્ષક બોલ ધરાવે છે.

    ૧૯૬૨ના વર્ષમાં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ સંત જ્ઞાનેશ્વરનું ગીત ‘મૈં તો છેલ છબીલી નાર’ સાંભળીએ. આ ફિલ્મનાં ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં.

    સલિલ ચૌધરીના નિર્દેશનમાં તૈયાર થયેલું ફિલ્મ ચંદા ઔર સૂરજનું લાવણીગીત ‘મેરી ઔર ઉન કી પ્રીત પૂરાની’ ઢોલકીના પ્રભાવક બોલથી સભર છે. પરદા ઉપર ઢોલકી વગાડતા કલાકાર નજરે ચડતા રહે છે.

    હવે સાંભળીએ ૧૯૬૮ની ફિલ્મ આશિર્વાદનું ગીત ‘સાફ કરો ઈન્સાફ કરો’. વસંત દેસાઈના સંગીતનિર્દેશનમાં તૈયાર થયેલા આ ગીતમાં લાવણીનું લાક્ષણિક નૃત્ય અને ઢોલકીવાદન માણી શકાય છે.

    https://youtu.be/5kgcqedpyy4?si=nsJNnDS1rjn_3LDO

    ૧૯૭૨ની ફિલ્મ નારદલીલા માટે નારાયણ દત્ત નામના પ્રમાણમાં અજાણ્યા સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. તે પૈકીનું એક લાવણીગીત ‘પહન કે નૌ ગજ કી સાડી’ સાંભળીએ. અહીં પણ પરદા ઉપર લાક્ષણિક લાવણીનૃત્ય જોઈ શકાય છે.

    ફિલ્મ સબ સે બડા રુપૈયા(૧૯૭૬)નું એક ગીત ‘દરિયાકિનારે એક બંગલો’ પાંચ દાયકા પછી આજે પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ લાવણીગીતનું સ્વરનિયોજન બાસુ ચક્રવર્તી અને મનોહરી સિંહે કર્યું હતું.

    ૧૯૭૭માં પરદા પર આવેલી ફિલ્મ શીરડી કે સાંઈબાબા મૂળે તો એક ધાર્મિક ફિલ્મ હતી, પણ તેમાં એક લાવણીગીત ‘પ્યાર મેં તેરે મૈં દુનિયા ભૂલ ગયી’નો સમાવેશ થયો હતો. ઢોલકીના સથવારે નૃત્ય અને ગાયકી ખુબ જ રોચક બની રહે છે. સંગીત પાંડુરંગ દીક્ષિત નામના અલ્પપ્રસિદ્ધ સંગીતકારે તૈયાર કર્યું હતું.

    ૧૯૭૭ના જ વર્ષની ફિલ્મ ભૂમિકાનું વનરાજ ભાટીયાના નિર્દેશનમાં બનેલું લાવણીગીત ‘મેરા જીસ્કિલા બાલમ ના આયા’ માણીએ. શરૂઆતમાં જ ઢોલકીના લાક્ષણિક બોલ સંભળાવા લાગે છે.

    ફિલ્મ આક્રોશ (૧૯૮૦) માટે અજિત વર્મન નામના સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. તે પૈકીનું એક લાવણીગીત ‘તૂ ઐસા કૈસા મર્દ’ સાંભળીએ.

    https://www.youtube.com/watch?v=ZHHmGAwFwo0&list=RDZHHmGAwFwo0&start_radio=1

    હવે સાંભળીએ ૧૯૮૨ની ફિલ્મ અશાંતિ માટે રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલું લાવણીગીત ‘લવીંગી મીરચી મૈં કોલ્હાપૂર કી’

    આ કડીના અંતમાં ફિલ્મ અંજામ (૧૯૯૪)નું લાવણીગીત ‘મૈં કોલ્હાપૂર સે આયી’. સ્વરનિયોજન સંગીતકાર બેલડી આનંદ-મીલિંદનું છે.

    આ કડીમાંનાં ગીતો માણતી વખતે એક નોંધપાત્ર બાબત વિશે ધ્યાન ખેંચવું છે. કુલ ચૌદ ગીતો છે, તેમાં બાર અલગ અલગ સંગીતકારોનું સ્વરનિયોજન છે. આટલું વૈવિધ્ય હોવા છતાં બધાં જ ગીતોના ઢોલકીવાદનમાં ચોક્કસ સામ્ય જણાઈ આવે છે. આ પરથી એવું તારણ કાઢી શકાય કે બધા જ સંગીતનિર્દેશકોએ પોતપોતાની મૌલિકતાને બાજુ પર રાખી, લાવણીનૃત્ય સાથે સમાવિષ્ટ ઢોલકીવાદનને પ્રાધાન્ય આપ્યું છે.

    અહીં અટકીએ. આવતી કડીમાં નવાં તાલવાદ્યો સાથે મળીએ.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • રોતલ દેડકી

    લતા હિરાણી

    એક હતી દેડકી. એનું નામ હતું રુબી પણ જ્યારે જુઓ ત્યારે એ રોતી જ હોય….એટલે જંગલમાં બધાએ એનું નામ પાડી દીધું રોતલ દેડકી !! એ સાવ ધીમું ધીમું બોલે ‘ડ્રાંઉ ડ્રાંઉ’  … અને બધાને સંભળાય ‘વાંઉ વાઉં’. એ જેવી કુવા પાસે આવે અને બધા દેડકા નાસી જાય, “એ રોતલ દેડકી આવી. ….ભાગો રે ભાઇ ભાગો” આ દેડકી કોઇને ગમે નહીં.

    એ કનુ કાચબા પાસે ગઇ. “જુઓને કનુકાકા,  આ કોઇ દેડકા મારી દોસ્તી કરતા નથી.. હું જઉં ને બધા ભાગી જાય છે.” કહેતાં રુબી રડવા માંડી.. “મને એકલાં એકલાં કેમ ગમે ?” અને એણે મોટો ભેંકડો તાણ્યો.

    કનુ કાચબો કહે, “બસ આજ તારી મુશ્કેલી છે ને ! જયારે જુઓ ત્યારે ફરિયાદ ને ફરિયાદ, રડતી ને રડતી !  પછી તારી સાથે કોણ દોસ્તી કરે ??

    એવામાં ત્યાં  અપ્પુ ઉંદર આવ્યો.

    કનુ કાચબો કહે, “રડવાનું બંધ કર. ચાલ અપ્પુ સાથે દોસ્તી કર.”

    અપ્પુ ઉંદર કહે, “ના બાબા ના એક વાર એ મારી સાથે રમવા આવી હતી. મને એ વખતે બહુ ભુખ લાગી હતી. મેં કહ્યું તું બેસ હું થોડાં દાણા ખાઇ લઉં. તો એ રડવા માંડી. એવું થોડું ચાલે ભઇ !”

    “અરે પણ એમાં રડવાનું શું ?? કનુ કાચબાએ પુછ્યું.

    ”મને પણ ભુખ લાગી હોય ! મારે પણ કંઇક ખાવું હતું. તેં મને પુછ્યું કેમ નહીં ?? એવું કહીને એ રડી.

    “ભુખ લાગી હોય તો એ પણ ખાઇ લે, મેં ક્યાં ના પાડી હતી ?” અપ્પુ ઉંદર  બોલ્યો.

    “વાત તો તારી સાચી,” હજી કનુ કાચબો અપ્પુ ઉંદરને સમજાવે એ પહેલાં એ નાસી ગયો.

    રુબી દેડકી નિરાશ થઇ ગઇ. આગળ ગઇ તો ત્યાં મોટો કૂવો હતો.. કુવાકાંઠે પથ્થરો ઘસાઇને ઘસાઇને ગોળ થઇ ગયા હતા. રુબી દેડકી કુદવા ગઇ પણ એનો પગ લપસ્યો.. એ પડી પાણીમાં. વળી એનો ભેંકડો ચાલુ થયો. “મને ખબર છે. આ ગરબડિયા પથ્થરોનો જ વાંક છે.  એણે મને પછાડી દીધી.”

    ત્યાં ફરતા બધા અળસિયા  હસવા માંડ્યા. “જુઓ જુઓ, આ રોતલ દેડકી !!”

    “એક તો મને વાગ્યું અને ઉપરથી તમે મને રોતલ કહીને હસો છો ?”

    ”રોતલ, રોતલ ને રોતલ. એક વાર નહીં સાત વાર રોતલ. તું જ્યાં સુધી રડતી રહીશ ત્યાં સુધી અમે તને રોતલ કહીશું.”

    રુબી દેડકી રડતી રડતી પોતાના ઘર તરફ જતી હતી ત્યાં રસ્તામાં એને ક્યુટ કાચિંડો મળ્યો, “ઓહો, હજી તારું રડવાનું ચાલે છે !”

    “પ્લીઝ, તું મને હેરાન ના કર ને ! એક તો મારી દોસ્તી કોઇ નથી કરતું ને ઉપરથી બધા હેરાન કરે છે.”

    “તારે ફ્રેંડની જરુર છે ખરી ?”

    ”હાસ્તો વળી”

    “તો સાંભળ મારી વાત. તારે વાતે વાતે રડવાનું બંધ કરવું પડશે. એ વગર તારી દોસ્તી કોઇ નહીં કરે.”

    “તે મને કંઇ શોખ નથી થતો રડવાનો !!”

    ”પણ તને રડવું બહુ આવે છે એ તો સાચી વાત કે નહીં ? રોતી સુરત કોઇને ન ગમે. તું એકવાર નક્કી કર કે હવેથી હું નહીં રડું. પછી જોઇ લે, કોની મજાલ છે કે તને રડાવે !!”

    ”એવું કેવી રીતે થાય ?”

    “સાવ સહેલું છે. સવારના ઉઠીને મનમાં દસ વાર બોલી જા. નહીં રડું, નહીં રડું, નહીં રડું..રડવું આવે ત્યારે આ વાત યાદ કરીને મન મક્કમ કરી લેવાનું.”

    ”સાચે જ એ એટલું સહેલું છે ?”

    ”સવાલ જ નથી. બસ તું નક્કી કર એટલે કામ પુરું. હવે આજે તું તારા ઘરે જા આપણે ફરી મળીશું, બાય” ક્યુટ કાચિંડો ચાલતો થયો.

    રુબી દેડકી વિચારમાં પડી ગઇ. રોજ એને કંઇ ને કંઇ વાતે રડવું આવતું એટલે એ દુબળી થઇ ગઇ હતી. એની આંખો ઝીણી થઇ ગઇ હતી. રાત્રે એને કેટલાંય સપનાં આવ્યાં. સપનામાં યે બધાં એને ચીડવતા હતા. એ સાવ એકલી પડી ગઇ હતી.

    આમ ને આમ રાત પુરી થઇ. સવાર પડી. આખી રાત સુવા છતાં એ થાકેલી  હતી. એણે પાક્કું નક્કી કર્યું, “ભલે ને આજે કોઇ મને ગમે એટલું ચીડવે તો પણ હું ચીડાઇશ નહીં કે જરાય રડીશ નહીં.” આંખ બંધ કરીને એ મનમાં ને મનમાં દસ વાર બોલી, “નહીં રડું. નહીં રડું, નહી રડુ….. કોઇ દિવસ નહીં રડું જા…..”  એ “જા” એટલા જોરથી બોલી કે એની મમ્મીએ સાંભળ્યું,

    “અરે ! કોની સાથે વાત કરે છે તું ?” રુબીને હસવું આવી ગયું. એ એકલી એકલી મનમાં ને મનમાં બોલતી હતી.

    એની મમ્મી ખુશ થઇ. “હાશ આજે કેટલા વખતે તને હસતી જોઇ !!” એણે બ્રશ કર્યું. એની મમ્મીએ એના માટે નાસ્તો તૈયાર રાખ્યો હતો. “ચાલ સરખું ખાઇ લે !!” એની મમ્મીને એની બહુ ચિંતા રહેતી. “ આ મારી રડતી દીકરીને પરણશે કોણ ?? આમ ને આમ જોને કેવી છુંછા જેવી થઇ ગઇ છે !”

    જોકે રુબી દેડકી હવે બદલાઇ ગઇ હતી. એ નાહી ધોઇને સરસ તૈયાર થઇને કુવા કાંઠે ગઇ, “કુવાઅંકલ, કુવાઅંકલ તમે મને એક બહેનપણી શોધી આપોને !!”

    કુવો કહે, “જો તું ખુશ રહીશ તો એક નહીં કેટલીયે બહેનપણીઓ તને મળશે.”

    ”આજે તમને મારો મુડ કેવો લાગે છે ?” રુબીએ પુછ્યું.

    “આજે તો તું ખુશ દેખાય છે.”

    ”બસ તો હવે રોજ આમ જ રહેશે.”

    ”અરે વાહ દેડકીબેન ! તો તો તું મને બહુ વહાલી લાગે !!”

    એટલીવારમાં ત્યાંથી સ્વીટુ સસલી નીકળી. કુવાભાઇ કહે, “ સ્વીટુ, આ દેડકીબેનને તારી પીઠ પર બેસાડી ફરવા લઇ જા ને !  કેવી સરસ તૈયાર થઇને આવી છે ?”

    સ્વીટુ કહે, “ચાલ આવી જા.”

    રુબી દેડકી ખુશ થઇ ગઇ. કુદીને બેસી ગઇ સ્વીટુની પીઠ ઉપર. સ્વીટુને મજા પડી ગઇ.  એ તો કૂદી, એક વાર, બે વાર.. રુબી દેડકી ચીપકીને બેસી રહી પણ સ્વીટુ ત્રીજી વાર કૂદી અને રુબીની પકડ છુટી ગઇ. એ નીચે પડી. એને થોડું વાગ્યું. એની આંખમાં જરા પાણી આવી ગયાં પણ એને યાદ આવી ગયો પોતાનો સંકલ્પ. એ મનમાં ને મનમાં બોલી, ના ના રડાય નહીં જ…

    સ્વીટુ સસલી બિચારી ઝંખવાણી પડી ગઇ હતી. એનો ઇરાદો કંઇ રુબી દેડકીને પછાડવાનો નહોતો. “સોરી દોસ્ત, પણ મેં તને જાણીજોઇને નથી પાડી. ચલ હવે બરાબર બેસી જા”

    રુબીને જરા હાશ થઇ.“કંઇ વાંધો નહીં, મને ખાસ વાગ્યું નથી હોં !!” રુબી દેડકી પાછી સ્વીટુ સસ્સીની પીઠ પર ચડી ગઇ.

    સ્વીટુ સસ્સી છલાંગ મારતી ચાલી. આગળ એક તળાવ આવ્યું. “ચાલ દેડકીબેન, ઉતર. અહીં કેટલાય નવાં દેડકા છે. તું બધાને મળી આવ.” આ બધા દેડકા બીજા ગામના હતા. કોઇને ખબર નહોતી કે આ એ જ પેલી રોતલ દેડકી છે.

    ”હાય દેડી” એક સ્માર્ટ દેડકો બોલ્યો.

    ”હાય” રુબી દેડકી ખુશ થઇ ગઇ.

    ત્યાં બીજી એક દેડકી આવી, “કમ ઓન, લેટ અસ ડાંસ.”

    રુબી દેડકી તો આભી બની ગઇ. પોતાના ગામમાં તો આવું કદી બન્યું નહોતું. જો કે એ કંઇ વિચારે એ પહેલાં મ્યુઝિક શરુ થયું અને બધા દેડકાં ખુબ નાચ્યાં. રુબી દેડકીને બરાબર નાચતાં આવડી ગયું હતું ડાંસનો પ્રોગ્રામ પુરો થયો એટલે સ્વીટુ સસ્સી કહે, “ચાલ હવે જઇશું આપણે ગામ ?”

    રુબીને જવાનું મન નહોતું થતું પણ ઘરે તો જવું જ પડે. મમ્મી કેટલી રાહ જોતી હોય ને વળી ચિંતા યે કરતી હોય !! બહુ મોડું થાય તો પપ્પા પણ વઢે.

    એ ફટાફટ સ્વીટુની પીઠ પર ચડી ગઇ, “હવે તમે નાચતા નાચતા જાઓ તો યે વાંધો નહીં મને જરાય પડવાની બીક નથી લાગતી.”

    બંને રુબીના ઘર પાસે પહોંચ્યા. રસ્તામાં કનુ કાચબાએ રુબીને જોઇ. “અરે વાહ રુબી દેડકી આટલી બધી આનંદમાં !!” કુવા અંકલે જોયું રુબી ખુશખુશાલ હતી. અપ્પુ ઉંદર રુબીને જોઇને માની જ નહોતો શકતો પણ સાચી વાત હતી. રુબી દેડકી સાવ બદલાઇ ગઇ હતી.

    એ જોર જોરથી ગાવા લાગ્યો,

    “આ રુબી છે ભઇ રુબી છે
    એ રોતી નહીં પણ રમતી છે
    એ રોતી નહીં પણ રમતી છે..”

    બીજા દેડકા દેડકી આવી પહોંચ્યા.  રુબી દેડકીની આજુબાજુ ગોળ ફરતે ગોઠવાઇ ગયા અને ગાવા માંડ્યા,

    “આ રુબી છે ભઇ રુબી છે
    રમતી છે ભઇ રમતી છે
    ગમતી સૌને ગમતી છે
    આ રુબી છે ભઇ રુબી છે..”

    સ્વીટુ સસ્સી રુબીના કાનમાં કહે, “બાય રુબી, હું જાઉં છું હવે તું એમને તારો નાચ પણ બતાવ. તારી પાસે શીખવા માટે બધા લાઇન લગાવશે…”

    રુબી કહે, “અને હા મારો વટ પડી જશે….”


    (દિવ્ય ભાસ્કરની પૂર્તિ ‘બાલ ભાસ્કર’માં પ્રકાશિત ૧૦-૦૩-૦૭)

  • શિયાળનો પાટો

    ગિરિમા ઘારેખાન

    એક શિયાળ હતો. એનું નામ હતું ગલબો. એ એક જંગલમાં રહેતો હતો. એક વાર જંગલમાં એ ચાલતો  ચાલતો જતો હતો. ત્યાં રસ્તામાં ક્યાંકથી ઊડીને આવેલું એક ચીથરું પડ્યું હતું. શિયાળના પગમાં એ ચીથરું વીંટાઈ ગયું. શિયાળે એને ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ એ ખેંચી શકાયું નહીં. એણે વિચાર્યું કે ચાલતાં ચાલતાં નીકળી જશે. પણ ચીથરાનો લટકતો છૂટો છેડો પગમાં આવવાથી એને ચાલવામાં  તકલીફ પડતી હતી.

    ત્યાં ઝાડ ઉપર બેઠેલા વનુ વાંદરાએ શિયાળને આવી રીતે ચાલતો જોયો. એણે કહ્યું, ‘ગલબાભાઈ, પગે વાગ્યું લાગે છે. એટલે જ આવી રીતે ચાલો છો. બહુ વાગ્યું છે? પગે પાટો બાંધવો પડ્યો છે ને? અરેરે ! હવે દોડીને શિકાર કેવી રીતે કરશો ?

    વાંદરાનું બોલવું સાંભળતા વેંત લુચ્ચા શિયાળાના મનમાં એક વિચાર ઝબકી ગયો. એણે મોં ઢીલું કરીને   કહ્યું, ‘હા, જુઓને ! બહુ વાગ્યું છે. કોઈ મદદ કરશે, ખાવાનું આપશે તો ખાઇશ. નહીં તો ભૂખ્યો રહીશ. બીજું શું?’

    હવે શિયાળે તો થોડે આગળ જઈને પેલા ચીંથરાને પાટાની જેમ કચકચાવીને બાંધી દીધું. પછી એ તો વરુની ગુફાની બહાર જઈને ઊભો રહ્યો. અંદરથી ખાવાનાની સુગંધ આવતી હતી. શિયાળે રડમસ અવાજમાં બૂમ પાડી, ‘વરુભાઈ, જરા બહાર આવો તો !’ વરુને થયું કે આજે આ ગલબાને વળી મારું શું કામ પડ્યું ? એ બહાર આવ્યું એટલે દયામણું મોં કરીને શિયાળે કહ્યું,

    ‘માનો નહીં મને ઠગ
    મારો તૂટી ગયો છે પગ
    દોડી ના શકું ફટ ફટ
    થોડું ખાવાનું આપો ઝટ ઝટ’

    વરુએ શિયાળના પગે બાંધેલા મોટા પાટા તરફ જોયું. એને એની દયા આવી. ‘અરે રે ! હવે આ ગલબો દોડીને શિકાર નહીં કરી શકે અને ભૂખ્યો રહેશે. અમારે મુશ્કેલીમાં એકબીજાને મદદ કરવી જોઈએ. એણે પોતે કરેલા શિકારમાંથી થોડો ભાગ શિયાળને આપ્યો.

    શિયાળને તો મહેનત કર્યા વિના ખાવાની બહુ મઝા આવી. પછી તો એ રોજ રોજ જુદા જુદા પ્રાણીઓ પાસે જાય અને કહે,

    ‘માનો નહીં મને ઠગ
    મારો તૂટી ગયો છે પગ
    દોડી ના શકું ફટ ફટ
    થોડું ખાવાનું આપો ઝટ ઝટ.’

    બધા પ્રાણીઓને એના પગ ઉપરનો પાટો અને એનું દયામણું મોં જોઇને દયા આવી જાય. પાછો  શિયાળ કોઈ પ્રાણીની નજીક જાય એટલે લંગડાતો ચાલવા માંડે.

    આમ ને આમ ઘણા દિવસ વીત્યા. પેલો વનુ વાંદરો રોજ શિયાળને જુએ અને વિચારે, ‘આટલા દિવસ થયા આ ગલબાને મટતું જ નથી ! એવું કેવું વાગ્યું છે? શિયાળનો ભરોસો ના થાય. એ લંગડાવાનું નાટક તો નથી કરતો ને ! એણે ઝાડ ઉપર રહેતા પોતાના મિત્ર કકુ કાગડાને મનની વાત જણાવી..

    કાગડો કહે, ‘તમારી વાત તો સાચી છે. હું આજે જ તપાસ કરી લઈશ.’

    પછી કકુ તો શિયાળ જ્યાં જ્યાં જાય ત્યાં પાછળ પાછળ ઉડવા માંડ્યો. શિયાળ ખાવા માટે ઊભો રહ્યો   એટલે એ બાજુના ઝાડ ઉપર બેસી ગયો. પેટ ભરીને ખાધા પછી શિયાળ નદી તરફ પાણી પીવા ગયો. કાગડાએ જોયું કે જયારે કોઈ પ્રાણી નજીક હોય ત્યારે જ શિયાળ લંગડાય છે. બાકી બરાબર ચાલે છે, દોડે પણ છે. એણે ઝાડ ઉપર પાછા જઈને વાંદરાને બધી હકીકત જણાવી દીધી.

    વનુ વાંદરાને થયું કે આવું તો ના જ ચાલે. આ તો છેતરપીંડી છે. બીજી વાર કોઈને ખરેખર જરૂર હોય તો પણ કોઈ કોઈને મદદ ના કરે. અને એમ પોતે મહેનત ના કરે અને બીજાની મહેનતનું ખાધાં કરે એવું થોડું ચાલે ? એ તો ગયો વનના રાજા સિંહ પાસે. એણે સિંહને શિયાળની લુચ્ચાઈની બધી વાત કરી. આ સાંભળીને સિંહ તો ખૂબ ગુસ્સે થયો. એ કહે, ‘એ ગલબો ! આવી રીતે બધાને છેતરે છે ! બધા મહેનત કરીને શિકાર કરે અને એ માગી માગીને મહેનત વિના પેટ ભરી લે છે! હું એને પાઠ ભણાવીશ. ’ એણે વાંદરા સાથે મળીને શિયાળની પોલ ખોલવાની એક યોજના બનાવી.

    બીજે દિવસે શિયાળ લંગડાતો ચાલતો જતો હતો ત્યારે સિંહ એની પાછળ આવ્યો અને જોરથી ત્રાડ પાડી. એણે કહ્યું,‘તને તો પગે વાગ્યું છે ને? આજે તો તું દોડી પણ નહીં શકે. આજે હું આરામથી તારો શિકાર કરીશ.’ આમ કહીને સિંહ ધીરે ધીરે ગલબાની નજીક આવ્યો. શિયાળે તો લંગડાવાનું ભૂલીને પૂરી તાકાતથી દોડવા માંડ્યું. વનુ વાંદરાએ બધાને જણાવી દીધું હતું એટલે બધાં પ્રાણીઓ પણ એને ભાગતો  જોવા આજુબાજુ સંતાઈને ઊભા હતા. એ બધાએ પણ શિયાળની પાછળ દોડવા માંડ્યું. ગભરાયેલા શિયાળને રસ્તામાં એક મોટો ખાડો હતો એ ન દેખાયો અને એ ખાડામાં જઈને પડ્યો. હવે એનો પગ ખરેખર તૂટી ગયો.

    ઘણા દિવસ સુધી એણે સાચો પાટો બાંધીને લંગડાતા ચાલવું પડ્યું. જે એને જુએ એ કહે,

    ‘તૂટી ગયો તારો પગ
    કેમ કે તું છે મોટો ઠગ
    હવે મહેનત કરીને ખાજે
    મફતનું ખાધું છે ઢગ’

    શિયાળ હવે સમજી ગયો છે કે કોઈનું જૂઠ લાંબો સમય ટકતું નથી. મહેનત કરીને ખાવામાં જ મજા છે.


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯