વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    સાક્ષર ગામ, સમરસ ગામ, સ્વચ્છ ગામ, વ્યસનમુક્ત ગામ, પ્રદૂષણમુક્ત ગામ એવું તો આપણે જોયું, વાંચ્યુ, સાંભળ્યું છે. પણ ગાળમુક્ત ગામ? હા, ગાળમુક્ત ગામ. આશરે ૬ હજારની વસ્તીના મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના બોરસર ગામે ગાળમુક્ત ગામ બનવાનો સંકલ્પ કર્યો છે. ગામમાં ગાળોનું ભારે ચલણ. એથી કંટાળીને પંચાયત અને લોકોએ મળીને ગાળોને ગામવટો આપવાનો નિર્ધાર કર્યો છે. તેમણે ગાળોથી મુક્તિનું  અભિયાન તો આદર્યું છે. સાથે ગાળ બોલનારને રૂ. ૫૦૦નો દંડ અને એક મહિના સુધી ગામની સફાઈની સજા પણ નક્કી કરી છે. એની કેટલી અસર પડશે અને બોરસર ગાળમુક્ત બનવામાં સફળ થશે કે કેમ એ તો કાળના ગર્ભમાં છૂપાયેલું છે. પરંતુ ગાળમુક્તિની ઝુંબેશ  અને સંકલ્પ જ સરાહનીય પહેલ છે અને અનેક ગામો, નગરો, શહેરોએ તેનું અનુકરણ કરવા જેવું છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    અપશબ્દ, ભૂંડો કે ખરાબ બોલ એટલે ગાળ. એવો અર્થ સાર્થ ગુજરાતી જોડણીકોશમાં જણાવ્યો છે. પરંતુ માણસ આવો ખરાબ કે ભૂંડો બોલ કેમ, કોને, ક્યારે અને ક્યાં બોલે, લખે, આચરે છે તે વિચારવા જેવું છે. માણસ હાલતા- ચાલતા, હરતા- ફરતા, વાતવાતમાં, ઘરમાં, ઓફિસમાં, શાળા-કોલેજમાં, મોલમાં અને મંદિરમાં;  દુકાને અને સ્મશાને, સડક પર અને ક્યારેક સંસદમાં , સાઈકલ ચલાવતા અને મોંઘી મર્સિડીઝ હાંકતા, ખેતરમાં કામ કરતા અને યુનિવર્સિટીમાં પરીક્ષા લેતા, રેડિયો સાંભળતા અને રેંટિયો કાંતતા, સર્જરી કરતા અને શર્ટને બટન ટાંકતા – એમ સમય-સ્થળના કશા ય બાધ વિના ગાળો બોલતો હોય છે.

    કહે છે કે વાદ-વિવાદ અને ચર્ચા-વિમર્શ કરતાં દલીલો  કે તર્ક ખૂટી જાય ત્યારે માણસ ગાળાગાળી પર ઉતરી આવે છે. પોતાનાથી નબળાને ઉતારી પાડવા, અપમાનિત કરવા , તેની લાગણીને ઠેસ પહોંચાડવા, તેનું ચારિત્ર્ય હરણ કરવા ગાળો બોલાય છે. ગાળો બોલનાર વ્યક્તિ ગુસ્સો, ક્રોધ, નિરાશા, હતાશા અને પોતાની સુપ્રીમસી સ્થાપવા ગાળો બોલે છે, ભાષાનો અતિ આક્રમક ઉપયોગ કરીને લોકો ગાળો બોલે છે, એવું મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે.

    ગાળો પુરુષો બોલે છે તેમ સ્ત્રીઓ પણ બોલે છે. યુવાનો અને આધેડો, નાના બાળકો અને વયોવૃધ્ધો પણ ગાળો બોલે છે. ગાળો કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી. તેનો વ્યાપ વિશ્વ આખામાં છે. કોઈ ચોક્કસ  લિંગ, ભાષા, વર્ણ, વર્ગમાં બંધાય એ ગાળ શાની? આ એક પુરાણી એટલી જ ચિંતાજનક ભારતીય પરંપરા છે. જેને દેશવટો આપવાની જરૂર છે. લગભગ બધી જ ગાળો મહિલાઓને કેન્દ્રમાં રાખીને, તેના શરીરના  અંગ-ઉપાંગને સંબંધિત હોય છે. મા, બહેન, દીકરીને જ ઉતારી પાડતી ગાળો જ બહુધા બોલાય છે. ગાળ વ્યક્તિના મર્મસ્થાને ઘા કરે છે. વ્યક્તિ માટે ઘરની મહિલાઓનું માન-અપમાન, ઈજ્જત- આબરુ મહત્વના છે એટલું જ નહીં પવિત્ર છે. એટલે મહિલાની પવિત્રતાને લાંછન લગાડતી, તેના ચારિત્ર પર ડાઘ લગાડતી ભૂંડામાયલી ગાળો બોલાય છે.

    ભારતમાં ગાળો સામાજિક રીતે અસ્વીકાર્ય વ્યવહાર છે અને કાયદાની દ્રષ્ટિએ દંડનીય અપરાધ છે. તેમ છતાં ગાળોનું ચલણ ઘટતું નથી. ગાળો પર કંઈ સમાજના નીચલા વર્ગનો જ ઈજારો નથી. ઉચ્ચ શિક્ષિત અને જ્ઞાતિ કોટિક્રમમાં ટોચે રહેતી જ્ઞાતિના લોકો પણ ગાળો બોલે છે. ગુજરાતી કે દેશની સ્થાનિક ભાષામાં તો ગાળો બોલાય જ છે. વિશ્વભાષા અંગ્રેજીમાં પણ ગાળો બોલાય છે. જેની માત્રુભાષા અંગ્રેજી નથી તે જો અંગ્રેજીમાં ગાળો બોલે તો મોર્ડન  અને ફેશનેબલ ગણાય છે!

    ગાળોનો ઉદભવ ભાષાના ઉદભવ અને વિકાસ સાથે જ થયો હશે. લગ્નના ફટાણામાં અને લોકગીતોમાં જે ગાળો બોલાય છે તેની બોલનાર અને સાંભળનાર બેઉ મજા માણે છે. જ્યાં સુધી સમાજમાં સ્ત્રી-પુરુષ  સમાનતા હતી અને માતૃસત્તાક સમાજ હતો ત્યાં સુધી ગાળો નહોતી કે તેનું આટલું બધું ચલણ નહોતું. પરંતુ સ્ત્રી-  પુરુષ બરાબર ગણાતી અટકી, સમાજમાં તેનું સ્થાન બીજા દરજ્જાનું કે દરજ્જા વગરનું બન્યું  અને પિતૃસત્તાક સમાજની બોલબાલા વધી પછી ગાળો પણ સમાજમાં વધી લાગે છે. મહિલાઓને ગાળો બોલીને શિકાર બનાવવાનું અને પુરુષોના મર્મસ્થાને ઘા કરવાનું આસાન બન્યું હશે. ગાળોનો વરસાદ વરસે પછી મારામારી અને મર્ડર સુધ્ધાં થાય છે. એટલે ગાળો હિંસક છે અને અતિહિંસાનો આરંભ છે.

    ગાળો બોલવાની સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. તે કદાચ તણાવ અને ગુસ્સો ઘટાડે છે. તો તેના થકી સામાજિક વિભાજનો વધુ દ્રઢ થાય છે. ઝઘડાના મૂળ નંખાય છે કે ઝઘડાને વધુ મોટો કરે છે. આજકાલ ફિલ્મો અને ઓટીટી પર આવતા કાર્યક્રમોમાં અપશબ્દો અને ગાળોની ભરમાર જોવા મળે છે. ઘરમાં કુટુંબ સાથે બેસીને ન જોઈ શકાય તેવા ટી.વી કાર્યક્રમો પ્રચૂર માત્રામાં પ્રસારિત થાય છે. તેનો સૌથી વધુ ભોગ બાળકો અને કિશોરો બને છે. કેટલાક સાહિત્યમાં પણ વાસ્તવ ના નામે ભરપૂર ગાળો હોય છે.  એટલે ગાળોથી બચવું મુશ્કેલ બન્યું છે. ફિલ્મો અને બીજા માધ્યમોમાં જે અપશબ્દો, દ્વિઅર્થી સંવાદો અને ગાળો હોય છે તેના ટીકાકારોને એવું સંભળાવવામાં આવે છે કે અમે તો સમાજમાં જે છે તે જ ફિલ્મોમાં દર્શાવીએ છીએ. કૂવામાં છે તે હવાડામાં આવે છે અને તે હવાડાની ગંદકી આપણા ઘરમાં અને જીવનમાં ઠલવાય છે.

    ગાળો બોલનારને કાયદેસર દંડ અને સજા થાય છે. એ રીતે તેના પર કાનૂનની લગામ છે ખરી.પણ તેનાથી તે અટકી નથી. ગાળોની વિરુધ્ધ કોઈ જોરદાર ચળવળ થયાનું જાણમાં નથી.” ધ ગાલી પ્રોજેકટ”  ગાળોને લોકોના શબ્દકોશમાંથી અને દિમાગમાંથી હઠાવવાનો પ્રયત્ન જરૂર છે. આ પ્રકલ્પ લોકોને ગાળોનો વિકલ્પ આપે છે. તેમાં અપશબ્દોને હળવા કરી રમૂજ અને હાસ્યમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ થયો છે. આરંભમાં આ પ્રોજેકટમાં લોકો પાસેથી મંગાવવામાં આવેલી લગભગ ૮૦૦ ગાળો પર કામ કરી તેના અહિંસક અને હળવા વિકલ્પો સૂચવ્યા છે. આખરે તો માનવીના શેતાન મગજમાં જ્યાં સુધી ભૂંડા વિચારો, શબ્દો જન્મતા રહેશે ત્યાં સુધી ગાળો રહેવાની. તે મહિલાઓ અને કમજોરને  નિશાન બનાવતી અટકે, જાહેરમાં બોલાતી ઓછી થાય તો બોરસર ગામ અપવાદ ન રહેતાં આખો માનવ સમાજ બની શકે. આવું ક્યારે શક્ય બનશે?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ચિત્રકથા [૧]

    કેપ્ટન સાહેબ એમના બહુ પહેલાં લખાયેલાં લેખનમાંથી સંચય કરેલી કેટલીક ચૂંટેલીલી રચનાઓને ‘પુનરોક્તિ’ સ્વરૂપે પુસ્તકનાં રૂપમાં પ્રકાશિત કરવાનું વિચારી રહ્યા છે.
    એ જાણીને એમ થયું કે તેમના બ્લૉગ ‘જિપ્સીની ડાયરી’ પરથી એવા ઘણા લેખોને ફરીથી માણી શકાય તેમ છે.
    એ વિચારને અમલમાં મુકવા માટે શરૂઆત તેમના લેખ ‘ચિત્રકથા’થી કરેલ છે.
    હવેથી દર મહિના ચોથા મંગળવારે આપણે કેપ્ટન સાહેબના લેખોનું “આસપાસ – ચોપાસ” શીર્ષક હેઠળ પુનઃઆચમન કરીશું.
    સંપાદક મંડળ, વેબ ગુર્જરી

    આ વાર્તા વાંચતાં કદાચ લાગશે કે તે એક જાણીતી ફિલ્મની નકલ છે! આગળ જતાં જણાશે કે આ વાત અને ‘પેલી’ જાણીતી ફિલ્મની કથા વચ્ચે ઢાકાની મલમલ જેવો બારીક અને નાજુક અંતરપટ છે. આ અંતરપટની મુલાયમ ભાતમાં કોઈના હૃદયનાં ધબકાર વણાયેલાં લાગે તે બનવાજોગ છે.

    મધ્ય પ્રદેશના એક નાનકડા રજવાડામાં સાત સૂરોનાં સાધક કલામહર્ષિ વસે છે. મા દુર્ગાની તેમના પર અસીમ કૃપા છે તેથી જ તેમની સાધના પૂર્ણ થઈ છે એવી તેમને શ્રદ્ધા છે. તેમની પાસે સંગીત શીખવા દૂર દૂરથી પ્રતિભાશાળી કલાકારો આવે છે. તેમનાં સૌથી ઉત્તમ શિષ્યો છે તેમની મોટી પુત્રી અને પુત્ર.

    મોટી પુત્રી સિદ્ધ સંગીતકાર થઈ. પિતાએ હોંશથી તેને પરણાવી. તેઓ માનતા હતા કે પતિગૃહે તેની સંગીત સાધના ચાલુ રહેશે; દીકરી નવાગંતુકોને સંગીત શીખવશે અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખશે.

    કમભાગ્યે સાસરિયું અત્યંત રૂઢિચુસ્ત નીકળ્યું. કોણ જાણે ક્યારે અને કોણે એવી માન્યતા ફેલાવી હતી કે તેમના ધર્મના શુદ્ધ આચરણમાં સંગીત હરામ છે, તેથી લાંબા સમયથી – છેક ભારતના એક ઐતિહાસીક બાદશાહથી માંડી અત્યાર સુધીના અનેક પરિવારો તેનું પાલન કરતા હતા. મોટી દીકરીનાં સાસરિયાં તેમાંનો એક હતો. પરિણામ અત્યંત કરૂણ નીકળ્યું. સંગીત જેનો શ્વાસ હતો, તે રૂંધાઈ ગયો. દુ:ખીત હૃદયે ખાંસાહેબે નક્કી કર્યું, નાની દીકરીને સંગીત ન શીખવવું. તેમને નાનકી પર ઘણું વહાલ હતું. તેના નાજુક અને સંવેદનશીલ હૃદય પર સંગીતને કારણે દુ:ખની સહેજ પણ છાયા ન પડે તેથી તેને સંગીતકક્ષથી દૂર જ રાખી. શિષ્યોને તાલિમ આપી, તેમને રિયાઝ કરવા કહી તેઓ પરસાળમાં રાખેલા પાટ પર બેસી દીકરીને પાંચીકા, પગથિયાં જેવી રમત આનંદથી રમતાં જોઈ ખુશી અનુભવતા.

    એક દિવસ ચમત્કાર થયો. હકીકતમાં એ ચમત્કાર નહિ, સાક્ષાત્કાર હતો.

    તે સમયે નાનકી છ-એક વર્ષની હતી. અાંગણામાં પગથિયાંની રમત રમતી હતી. પિતાજી અને મોટા ભાઈ અંદરના તાલિમના કમરામાં હતા. પિતાજીએ પુત્રને સરોદ પર એક કઠિન ગત શીખવી અને કહ્યું, “બેટા, આનો રિયાઝ કરો,” કહી બહાર આવ્યા.

    ભાઈએ પહેલી વાર આ ગત વગાડી તે નાનકીએ સાંભળી. સાતમા પગથિયા પર પત્થર નાખી લંગડી કરતાં પહેલાં તેણે ભાઈને મોટેથી કહ્યું, “ભૈયા, બાબાને ઐસા નહિ, ઐસા સીખાયા,” કહી આ લાંબી ગત અણિશુદ્ધ રીતે ગાઈ સંભળાવી. ગતના compositionમાં જ્યાં નાજુક ફરક હતો તે ‘જગ્યા’ ફરીથી સંભળાવી. ફક્ત એક વાર સાંભળેલી ગત આત્મસાત કરી તેને ગાઈ સંભળાવી ત્યારે ભાઈ આશ્ચર્ય ચકિત થઈને એકદમ થંભી ગયા! ઓસરીમાં ગોઠવેલા પાટ પર બેઠેલા પિતાજી દીકરીએ ગાઈ સંભળાવેલા સૂરમાં સો ટચના સોના જેવી શુદ્ધતા અનુભવીને સ્તબ્ધ થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે જ્યારે તેઓ શિષ્યોને તાલિમ આપતા કે પોતે રિયાઝ કરતા, નાનકી ન કદી તેમની સામે બેઠી, કે ન તેણે છાનાંમાનાં સંગીત શીખવાનો પ્રયાસ કર્યો. આજે અચાનક ઘનનીલ વાદળાં પાછળથી ઉદય પામતા શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ તેની મેધાને પ્રકાશી ઉઠતી જોઈ પિતાજીએ તેને બોલાવી. હેતથી તેના મસ્તક પર હાથ રાખી તેમણે કહ્યું, “દીકરી, ખુદાએ તારામાં અમને હિરો આપ્યો છે. તેમની રહેમતનો અનાદર મારાથી કેવી રીતે થાય? કાલથી તને વિધીસર શિષ્યા બનાવી સંગીત શીખવીશ.”

    આમ શરૂ થઈ આ પ્રતિભાશાળી કન્યાની તાલિમ. પહેલાં ધૃપદ અને ધમારની ગાયકી અને ત્યાર પછી સિતાર. ટૂંક સમયમાં તેનું કૌશલ્ય જોઈ તેમણે દીકરીને ભારે મુશ્કેલ ગણાતું વાદ્ય સૂરબહાર શીખવવાનું નક્કી કર્યું.

    દીકરીની આંગળીઓમાં જાદુ હતો. તે વગાડતી ત્યારે તેના વાદ્યમાંથી નીકળતા સૂર જીવંત થઈને નૃત્ય કરતાં હોય તેવું લાગે!  પિતાજી અને ભાઈ ગૌરવથી તેની કલાનો ઉત્કર્ષ થતો જોઈ આનંદ પામતા રહ્યા. પિતાજીને ખાતરી થઈ કે એક દિવસ તેમની નાનકી દુનિયાભરમાં ઘરાણાનું નામ રોશન કરશે!

    ખાંસાહેબ રાજ્યાશ્રીત સંગીતકાર હતા. એક દિવસ રાજાસાહેબે તેમને વિનંતી કરી. ભારતના વિશ્વવિખ્યાત નર્તકના અઢાર વર્ષના નાના ભાઈ તેમની પાસે સિતાર શીખવા માગે છે. તેમને આપના શિષ્ય બનાવશો? રાજાસાહેબની વિનંતીને હુકમ માની તેમણે યુવાનને શાગિર્દ બનાવ્યો. નાનકી, તેના મોટા ભાઈ અને આ સ્વરૂપવાન યુવાન એક સાથે બેસીને તાલિમ પ્રાપ્ત કરતા હતા. ગુરૂપુત્રીની અદ્ભૂત વાદનકળા અને તેનું સાદું અને સૌંદર્યપૂર્ણ વ્યક્તિત્વ યુવાનના મનમાં વસી ગયું. તેમણે પિતા-ગુરૂને લગ્ન કરવાની રજા માગી. વિશાળ હૃદયના ખાંસાહેબે મંજુરી આપી. લગ્ન સમયે નાનકી કેવળ ચૌદ વર્ષની હતી! ખાંસાહેબે દીકરીની ખુશી ખાતર યુવાનના પરિવારની વિનંતી માન્ય કરી તેને સનાતન ધર્મ સ્વીકારવાની રજા આપી. કેવળ અઢાર વર્ષની વયે આ યુવતિને પુત્ર રત્ન લાધ્યું..

    ***

    વર્ષો વિત્યાં. કલા સંપાદન કર્યા પિતા-ગુરૂએ રજા આપ્યા બાદ તેમનાં જાહેરમાં કાર્યક્રમો થવા લાગ્યા. પતિ-પત્નીનાં સંયુક્ત કાર્યક્રમોમાં જુગલબંધી થવા લાગી. શ્રોતાઓ અને વિવેચકોનાં ટોળાં તેમની સંગીત સભામાં હાજરી આપવા લાગ્યા. કાર્યક્રમના અંતે સૌથી વધુ વાહ વાહ થઈ હોય તો પત્નીની. એવું નહોતું કે તેના પતિમાં પ્રતિભાની કમી હતી. બન્નેની કલા પૂનમના ચંદ્ર જેવી પ્રકાશતી હતી. ફેર હોય તો એટલો કે પત્નીની કલા શરદ પૂર્ણિમાના ચંદ્રની પૂર્ણ કળામાં ઓપતી હતી. તેના અપૂર્વ પ્રકાશમાં શ્રોતાસાગર અભિભૂત થઈ આનંદની પ્રચંડ ભરતી દ્વારા હ્રદયમાં હર્ષ પ્રદર્શિત કરતો હતો. પત્નીનું સંગીત સાંભળ્યા બાદ સભાગૃહમાંથી બહાર નીકળનારાઓનાં હૃદયમાંથી જાણે ચરમ તૃપ્તિના શબ્દો નીકળતા હતા, ‘પિતા! આજે કાળના સર્વ સંતાપ શમી ગયા!”

    પત્નીને મળતી અભૂતપૂર્વ પ્રસિદ્ધીને કારણે પતિના મનમાં ઈર્ષ્યા થઈ. આમ તો બન્નેના સંયુક્ત કાર્યક્રમ સુવર્ણ અને સુગંધના સમન્વય જેવા હતા, પણ પતિને તે રૂચ્યા નહિ. પુરુષપ્રધાન સમાજમાં કયો પતિ સહન કરે કે તેની પત્ની તેના કરતાં તસુ ભર સુદ્ધાં ઉંચી ગણાય? આમ જોવા જઈએ તો સાચા કલાસાધકમાં અભિમાનનો જરાય અંશ નથી હોતો. કોઈ ભાવના હોય તો તે કેવળ પરસ્પર આદર અને નમ્રતાની. અહીં પતિનો પ્રત્યક્ષ અણગમો, તીક્ષ્ણ બાણ જેવાં તેમનાં વચન અને નાની નાની બાબતોમાં પત્ની પર ઉતરી પડવું – આ બધું જોઈ પત્નીએ નક્કી કર્યું કે લગ્નજીવન સુખી કરવું હોય તો તેણે જાહેરમાં કાર્યક્રમ ન આપવો. તેણે પતિને એવું જણાવીને મા શારદા સામે હાથ જોડીને શપથ લીધી : “આજથી ખાનગી કે જાહેર કાર્યક્રમમાં કદી ભાગ નહિ લઉં.”

    પતિ હવે ખુશ હતા! દેશ ભરમાં જુદી જુદી જગ્યાએ કાર્યક્રમ આપવા જવા લાગ્યા. તેમનું સંગીત વખણાયું અને તેમની ખ્યાતિ દેશના સિમાડા પાર કરી ગઈ. વિશ્વભરમાં તેઓ પ્રખ્યાત થયા.

    હવે તેમનું જીવન સુખમય થશે! બન્ને એકત્ર થશે અને તેમના સંગીતનો વારસો તેમના પુત્રને આપી આનંદથી જીવન વ્યતિત કરશે, એવું આપને લાગ્યું હોય તો તેમાં નવાઈ નથી. આગળ જતાં મુંબઈની ચિત્રસૃષ્ટી તેમના જીવન પર ચિત્રપટ બનાવશે, તેને નામ આપશે “અભિમાન” અને તેના નાયક – નાયિકા હશે અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી અને સર્વત્ર આનંદ આનંદ પ્રવર્તી રહેશે! વાત બરાબર છે. “અભિમાન” ફિલ્મ તેમના જીવન પર જ બનાવવામાં આવી હતી. ફેર થયો હોય તો કથાના અંતમાં. આગળ જતાં શું થયું તે કહેતાં પહેલાં અત્યાર સુધી કહેલી સત્યકથાનાં પાત્રોનાં સૌનાં નામ જાણીએ:

    પિતા : ખાંસાહેબ અલાઉદ્દીનખાન સાહેબ. પ્રખ્યાત મૈહર ઘરાણાંના અધિષ્ઠાતા.

    પુત્ર : ખાંસાહેબ અલી અકબરખાન સાહેબ. વિશ્વવિખ્યાત સરોદ વાદક.

    દીકરી: મૂળ નામ રોશનઆરા ;  લગ્ન બાદ અન્નપૂર્ણા દેવી.

    પતિ: પંડિત રવિશંકર. હા, એ જ પંડિતજી જેમની પાસે સંગીત શીખવા બીટલ્સ આવ્યા હતા; જેમની સાથે યેહૂદી મૅન્યુહીન જેવા વિશ્વવિખ્યાત વાયોલિનીસ્ટે જુગલબંધી કરીને ધન્યતા અનુભવી હતી ; જેમને દેશના સર્વોચ્ચ ભારતરત્નના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા!

    ***

    કોઈ કાર્યક્રમમાં ભાગ ન લેવાની પ્રતિજ્ઞા લીધા બાદ અન્નપૂર્ણા દેવીએ પોતાની સાધના ચાલુ રાખી. પિતાનો વારસો ચાલુ રાખવા તેમણે કમર કસી. બીજી તરફ પંડિત રવીશંકરનાં દેશભરમાં અનેક કાર્યક્રમો  યોજાયા. પંડિતજી પોતે સોહામણું વ્યક્તિત્વ ધરાવતા હતા અને સિતારવાદનમાં તેમણે ઉતારેલી સુંદરતાને કારણે ઘણી લાવણ્યવતી લલનાઓનાં સમ્પર્કમાં આવ્યા. કમલા શાસ્ત્રી નામનાં એક નૃત્યાંગના ઉપરાંત અન્ય સ્ત્રીઓ સાથે તેમનાં લગ્નેતર સંબંધ થયાં. આ વાતની જાણ થતાં ૧૯૪૦માં અન્નપૂર્ણા દેવીએ પતિગૃહ છોડ્યું અને પુત્ર શુભેન્દ્ર – શુભ -ને લઈ તેઓ પિતાને ઘેર મૈહર આવી ગયા. જ્યારે તેમને જાણ થઈ કે પતિ કમલાની સાથે રહેવા લાગ્યાં હતાં, તથા અન્ય સ્ત્રીઓને તેમના સંસર્ગથી બાળકો અવતર્યાં હતાં, અન્નપૂર્ણાદેવીએ ૧૯૬૦માં છૂટા છેડા લીધા.

    સ્ત્રીઓ સાથેનાં સંબંધો અંગે પંડિતજીએ ખુદ તેમની આત્મકથા ‘રાગ માલા’માં લખ્યું, “I felt I could be in love with different women in different places. It was like having a girl in every port – and sometimes there was more than one!”

    અમેરિકામાં તેઓ કાર્યક્રમ આપવા ગયા ત્યારે ન્યુ યૉર્કની કાર્યક્રમ આયોજક સૂ જોન્સ નામની અમેરિકન સ્ત્રી સાથે રહેવા લાગ્યા અને તેમનાથી એક પુત્રી થઈ – નોરા જોન્સ ; જ્યારે તેમના લગ્નેતર સંબંધ બેઉ – કમલા શાસ્ત્રી તથા સૂ જોન્સ સાથે હતાં ત્યારે તેમના કાર્યક્રમમાં તાનપૂરો વગાડવા બેસતાં સુકન્યા નામની પરિણીતા સાથે સંબંધ બંધાયા અને તેમાં પુત્રી જન્મી અનૂષ્કા. સૂ જોન્સે તેમની સાથેના સંબંધનો અંત આણ્યો. પાકટ ઉમરે પહોંચેલા પંડિતજીએ આખરે ૧૯૮૯માં સુકન્યા સાથે લગ્ન કર્યાં.

    ***

    અન્નપૂર્ણાદેવીએ શપથ અનુસાર કદી પણ જાહેર કે ખાનગી કાર્યક્રમ ન આપ્યો. પિતાજીએ બક્ષેલી કળાને જીવંત રાખવા તેમણે શિષ્યો સ્વીકાર્યા અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખી. શિષ્યોને સંગીત શીખવતાં, તે ગાઈને. તેમનું વાદ્ય – સૂરબહારનો રિયાઝ તેઓ તેમના બંધ ઓરડામાં એકલાં જ કરતાં. જીવન ખાનગી રાખવા તેઓ ઘરકામ પણ જાતે કરતાં. આમ લાંબા સમય સુધી તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા. તેમના શિષ્યો સિવાય તેમના વિશે કોઈ કશું જાણતું નહોતું. જ્યારે પંડિત રવીશંકરે પોતાની આત્મકથામાં તેમના “પ્રથમ પત્ની” વિશે ટીકાત્મક વચનો લખ્યાં ત્યારે પત્રકારો અન્નપૂર્ણાદેવીની શોધમાં નીકળ્યા અને તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અેક પત્રકાર લખે છે, “અમે તેમના ફ્લૅટની બહાર પહોંચ્યા અને જોયું તો તેમનાં બારણાં પર પાટિયું હતું. ‘કૃપયા ત્રણ વાર બેલ દબાવશો. જો બારણું ખોલવામાં નહિ આવે તો આપનું કાર્ડ બારણાં પાસે મૂકીને પાછા જશો. આપનો સંપર્ક સાધવામાં આવશે.”

    આજની વાત અન્નપૂર્ણા દેવીની છે, એક પારસમણીની. તેમની પાસે તાલિમ લેવા હરિ પ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, બસંત કાબ્રા જેવા જે જે સંગીતકારો આવ્યાં, સંગીતના ક્ષેત્રમાં રત્ન બનીને પ્રકાશ્યા.


    (વધુ આવતા અંકમાં)


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • માળીયે મુકેલ રતન: અભરામ ભગત

    સોરઠની સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    હું ભાષાજ્ઞ કે. કા. શાસ્ત્રી નથી પણ જે રાઈના દાણા જેટલું જાણું છ એનાથી એટલું તો કઈ સકું કે દુનિયાની બધી ભાષામાં ગદ્ય અને પદ્ય સાહિત્ય નવ રસો – શૃંગાર, હાંસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંત રસ – આધારિત છે. હા, આ નવ માંથી એક કે વધુ રસો એક જ કૃતિમાં વણ્યા હોય એવું બને. હવે જો હું ગુજરાતી ભાષા વિષે કહું તો શિષ્ટ ગુજરાતી ને લોક ગુજરાતીમાં ગદ્ય અને પદ્ય સાહિત્યનાં ખાલી નામ અલગઅલગ હોય છ. શિષ્ટ ગુજરાતીમાં દા.ત., ગદ્ય સાહિત્યમાં વાર્તા, લેખ, નીબંધ, સંકલન, વ. ને લોકબોલીમાં આ હંધાયનું એક જ નામ ને ઈ લોકસાહિત્ય. ઈ જ રીતે પદ્ય સાહિત્યમાં શિષ્ટબોલીમાં ગીતને એના ભાવ અનુસાર સુગમસંગીત, શાસ્ત્રીયસંગીત, ગઝલ, સંતવાણી, હવેલી સંગીત, વ. કે’ તો લોકભાષામાં લોકગીત, હેલો, રામગ્રી, સાખી, દુહા, છંદ, ભજન, ચાળ, મરશિયાં, વ. કે’. ઇથી આગળ, સૌ સાજન ભેગા બેસીને સંગીત સાંભળે તો શિષ્ટભાષી એને ભાવ અનુસાર બેઠક, જલસો, મુશાયરો કે ભજનસંધ્યા એવું ક્યાંક કે’ ને લોકભાષી એને ડાયરો કે; પછી ભલે ઈ લોકવાર્તા, રમુજી વાત્યું, લોકગીત, ભજન, મરશિયાં કે લગનના માંડવે દીકરી વિદાયની વાત્યુંનો હોય. અલબત્ત, આજકાલના બજારુ ડાયરે આમાનાં બેચાર કણ ભેળવીને પકવેલ મઘમઘતી ખીચડી પીરસાય છ કારણ કે સુજાન ડાયરો ઈ માંગે છ.

     

    ભજન ડાયરાના અનુસંધાને જો કઉં તો હું લગભગ જુવાન જ વીજળી-નળ વિનાના કાઠિયાવાડી ગામડાઉમાં થ્યો કે જ્યાં પ્રસંગેપ્રસંગે ભાતીગળ દાજીડાયરા થાતા ને અમે જાતા એટલે ડાયરા મારે હાડે છે, મારા કણે છે. ભજનડાયરે મેં ભવાનભગત, જેઠાબાપા, વલકુબાપુ, કાનજીમા’રાજ, છગનભાઈ કંદોઈ, મુળુભાઈ બારોટ, વ. જેવા ગામના સ્થાનિક ભજનીકુંને ગામને પાદર, સીમમાં સેઢે, રામમંદિરે, રાધામાંના આશ્રમે, ભથેશ્વર મંદિરે, બ્રહ્મચારી બાપુના આશ્રમે ને અંબાઇના ચોકમાં ઘણીવાર ભજનું લલકારતા સાંભળ્યાતા. ઈ જ રીતે ઈ વખતના આકાશવાણીના મોભી ભજનિકુમાં કનુભાઈ બારોટ, માધુભગત જેઠવા, અભરામ ભગત, નારાયણ સ્વામી (શક્તિદાન ગઢવી), દિવાળીબેન ભીલ ને પ્રાણલાલ વ્યાસને પણ રૂબરૂ સાંભળ્યાંતાં. જેને ભજનું ગાતાં હરૂભરૂ મા’ણવાનો મોકો નો’તો મળ્યો એવા કાગ બાપુ, હેમુ ગઢવી, મુગટલાલ જોષી, ઇસ્માઇલ વાલેરા, દીનાબેન પાઠક, પુષ્પાબેન છાયાં, કુંચાલા સાહેબ, વ. ને મેં આકાશવાણી રાજકોટેથી સાંભળ્યાંતાં ને ને બહુ પાછળથી સ્વ. લક્ષમણ બારોટને ને ખાસ એનું “ધૂણી ર્રે ધખાવી બેલી અમે તારા નામની… – યુટ્યુબ પર.

     

    હવે જો ભજનની જ વાતને આગળ ધક્કો મારું તો ગઈ સાલ સાતેક વરસે હું દેશ આવ્યો. આ લાંબા અંતરાલના કારણોમાં મારી દીકરીએ ઘરમાં થાપા પાડીને ઘરનો ઉંબરો ઓળંગ્યો, વચાળે કોવિડ ગરી ગ્યો ને મને ઉંમર ગરવાની ચાલુ થઇ. પણ સાહેબ દેશમાં પગ મૂક્યા પછી તો ગામેગામે ગેલ કરી, જગેજગે જલસો કર્યો, ટેમેટેમે ટેસડો કર્યો ને ટૂંકમાં મારા મલકના માયાળુ માનવીયુંની મીઠપે મોજે દરિયો ભર્યો. એમાં જલસાની એક જગ્યા અમૃતસર કે જ્યાંથી અમે હવાઇમારગે રાજકોટ રાતના નવેક વાગે પુગ્યા ને યાંથી ટેક્ષીમાં મામાને ઘેર જૂનાગઢ જાવા નીકળ્યા. રસ્તામાં ટેક્ષીડ્રાઈવરને ચાની તલપ લાગી એટલે એને જેતપુર બા’ર એક સામિયાણા પાસે ટેક્ષી રોકી ને અમને પણ ચા પીવા ઉતરવાનું એના અંતરથી દબાણ કર્યું કારણ કે ઈ ઘેડનો આયર હતો, અમદાવાદી નહી. અમે ઊતર્યા ને ઈ કાઠિયાવાડી ડાંડા ચાની ચાર ચૂસ્કી મારી પણ એવામાં મેં જોયું તો ઈ સામિયાણા પાછળ તાપણું કરીને પાંચસાત પાકટ ઉંમરના જણ બેઠાબેઠા ઘીમુંઘીમું ક્યાંક ગાતાતા. મેં પાસે જઈને કાન માંડ્યા તો ઈ અભરામ ભગતે ગાયેલ કાગબાપુનું વડલો કેછે વનરાયું સળગી…” ભજન ગાતાતા. પછી તો હું નાનપણના ભજનુંના ડાયરે ખોવાણો ને “ધરા વિણ ધાન ન નિપજે, કૂળ વિણ માડુ ના કોઈ…” એમ જે ભોમકા ઉપર હું ઉભોતો એનો જ પનોતો દીકરો અભરામ ભગત પાંસેઠેક વરસ પછી મચરક દઈને મારામાં બેઠો થ્યો એટલે આજ એની જ વાત હું માંડું છ.

    અભરામ ભગતનો જનમ ૨૪-૧૦-૧૯૨૦માં જેતપુરના પરગણા નવાગઢમાં એક ગરીબ કુટુંબમાં થ્યોતો. એનું મૂળ નામ ઈબ્રાહીમ કરીમ સુમરા હતું. એના અબૂ પોલીસખાતામાં નોકરી કરતા ને એની ટૂંકી આવકમાં કટમ્બનો ગુજારો કરવો કપરો હતો એટલે ઈબ્રાહીમને એકાદ ચોપડી ભણાવીને ભણતો ઉઠાડી લીધો. સમો ગળતાં ઈ કામ કરવાની વયનો થ્યો એટલે એને મિલમજૂરની નોકરીએ લગાડી દીધો. આ નોકરીમાં અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગ્યો ને ઘાનું ઝેર પગમાં ફેલાઈ જાતાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં એનો ઈ પગ કાપી નાખવો પડ્યો. ગરીબી, ભણતરની ખામી, કાયમી પંગુતા ને ગામમાં બેકારી એટલે ઈબ્રાહીમને એના કાકા પોતાને ઘેર પાસેના ખીરસરા ગામે લઈ ગ્યા કે જ્યાં ઈબ્રાહીમના જીવનમાં જબરજસ્ત વળાંક આવ્યો ને જમીન પર ડગલાં ન પાડી સક્તો ઈબ્રાહીમ દુનિયાના ફલક પર દોડવા મંડ્યો ને બુલંદ થઈને ચમક્યો. આનું પાયાનું કારણ ઈ કે ખીરસરામાં દર પૂનમે ભજન યોજાતાં જેમાં ઈબ્રાહીમ મંજીરા વગાડતો. ધીરેધીરે નિયમિત સાંભળેલાં ભજન એને મોઢે થઇ ગ્યાં એટલે ક્યારેક એને ગાવાનો મોકો પણ મળ્યો ને ભક્તિમાં લીન્ન થઇ મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ રાતરાણીની ધમરકની ઘોડે આખાયે પંથકમાં ફેલાઈ ગઈ. પછી એને જૂનાગઢના ભવનાથના શિવરાત્રીના મેળામાં ભજન ગાવા માટે નોતરું મળ્યું. મેળે આવેલ મોટી મેદની એની ગાયકીથી ચકિત થઈ ગઈ ને ભવનાથના શિવમંદિરેથી ફૂટેલ ભજનની સરવાણી ધીરેધીરે સૌરાષ્ટ્રનાં નાનાંમોટાં ગામોમાં ઘોડાપૂરે ફરીવળી જાણે “ભોલે તેરી જટામે બહેતી હૈ ગંગધારા…”

    ભજને જેનો દી’ ઉગતો ને આથમતો ઈ ભજનકંઠી ઈબ્રાહીમ સ્વાભાવે અલગારી એટલે ઈ “ભગત” તરીકે ઓળખાણો પણ તળ કાઠિયાવાડમાં ઈબ્રાહીમનું “અભરામ” થઇ ગ્યું ને નવું નામ “અભરામ ભગત” પ્રચલિત થ્યું. કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં અભરામ ભગતે એક આગવી ઓળખ મેળવી એટલું જ નહીં પણ યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ ને કાગબાપુ જેવા ઈ વખતના ગુજરાતના મોભી ભજનિકોના હોઠે પણ એનું નામ ચડ્યું. ભજન ઉપરાંત અભરામ ભગત આખ્યાનની કળામાં પણ નિપુણ હતા. નરસિંહ મહેતાનું “કુંવરબાઈનું મામેરું” આખ્યાન એના મોઢે સાંભળવું ઈ એક લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત આરાધ, કટારી, પ્રભાતિયા, રામગ્રી, ચાળ, વ. જેવી ભજનની અનેક ગાયકીમાં પણ “ભગતે” ઉસ્તાદી હાંસલ કરીતી. પછી તો અભરામ ભગતની ખ્યાતિ વાયા વિરમગામ થઈને મુંબઈમાં ફેલાણી ને યાં પણ એના શો હાઉસફુલ બન્યા. કોલંબિયા અને એચ.એમ.વી. જેવી નામી કંપનીઓએ બહાર પાડેલ “ભગત”ની ગુજરાતી ને હિંદી ભજનોની એલ.પી. રેકર્ડસ મોટી સંખ્યામાં વીજળીવેગે વેંચાણી. એને હિંદીમાં ગાયેલ સાંઈબાબાનાં ભજનોની રેકર્ડ એટલી પ્રખ્યાત થઈ કે લોકો ઈ જ હોટલમાં જાતા કે જયાં ઈ વાગતી.

    વખત વે’તાં “ભગત”ની ભજનગાયકી ભારત ઓળંગીને વિદેશ પુગી ને એમાં નોંધનીય “અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ,” ને “સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ” જેવી સંસ્થાઓ ને “ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી”ના શિક્ષણ વિભાગ તરફથી પણ એને આમંત્રણ મળ્યું. એક વરસ હાલેલી આ ભજનયાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાનાં ઘણા શે’રોમાં એના કાર્યક્રમો શ્રોતાઓથી ભર્યાભાદરા રયા. યુ.એસ. ઉપરાંત કેનેડા, યુ.કે., આફ્રિકા અને યુરોપના અનેક દેશોમાં “ભગતે” ભજનજાત્રા કરી. અભરામ ભગતની ટોચે આંબેલ ખ્યાતિની કલગીમાં બે વધુ પીછાં ઈ હતાં કે મહાત્મા ગાંધી એના ચાહક હતા ને એને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો’તો. બીજું, ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુધ્ધ દરમ્યાન પોતાની સઘળી આવક “પ્રધાનમંત્રી રાહત ફંડ”માં દાન આપી દેનાર આ અલગારી ભગતને પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ભજનો ગાવા દિલ્હી તેડાવ્યાતા. એનાં ભજનો સાંભળીને પ્રધાનમંત્રીશ્રીએ એનો રાજીપો કાગળ લખીને વ્યક્ત કરેલ. મજાની વાત ઈ હતી કે ભણતરની રીતે અભણ એવા “ભગત”ની આ વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એના દુભાષીયા તરીકે માહિતી ખાતાના અધિકારી શ્રી પી.એલ. સાધુની નિમણૂંક થઇતી.

    વખત વળોટતાં જેતપુર પાસે વડિયા ગામના દરબારે અભરામ ભગતને દીધેલ જમીનમાં મકાન બાંધીને પત્ની હલીમાબાનુ હારે ચૂલો પેટાવીને “ભગતે” પોતીકો સંસાર વસાવ્યો ને નાણાંની રેલમછેલ વચ્ચે સાદું, સાલસ ને સંયમિત જીવન જીવ્યા. અંતે વિધાતાના લેખે ૨૭-૨-૧૯૮૮ના “ભગત” જન્નતજાત્રાએ નીકળી પડ્યા ને આમ ભજનદુનિયા ભોગાવો બની, ભજનાસ્મેથી “ઉમાગૌરી” તારો ખર્યો. અલબત્ત, આજે ઘણા નામાંકિત ગુજરાતી ભજનિકો જેવા કે નિરંજન પંડ્યા, હેમંત ચૌહાણ, ઓસમાણ મીર, ફરીદાબેન મીર, ભારતીબેન કુંચાલા, સંગીતાબેન લાબડીયા ને જીજ્ઞેશ બારોટ,વ. છે પણ માળીયે મુકાયેલ રતનો અભરમ ભગત, કનુભાઈ બારોટ ને ઈ પેઢીના કે એનાથી આગલી કાગબાપુની પેઢીના ભજનિકોના ગળાની કુણાશનો, મીઠપનો, ભજનના અસલી ઢાળનો ને હલકનો ખાડો ભરવા મારા જેવાના કાને ટેવાવું પડશે.


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સંભારણુ -૧૬ – સુશીમામી અણધારી વિદાય

    શૈલા મુન્શા

    ૨૧ મે ૨૦૨૩ની સવાર હું ક્યારેય નહિ ભૂલી શકું…

    જાગવાનો સમય થઈ ગયો હતો, પણ સવારની એ મીઠી નીંદરમાં આંખ ખોલવાનુ મન થતું નહોતું. અપાર્ટમેન્ટની બહાર જ આવેલા શંકરના મંદિરમાંથી પ્રાતઃ આરતીના સૂર રેલાઈ વાતાવરણ ભક્તિમય બનાવી રહ્યાં હતાં અને અચાનક ફોન રણક્યો…

    જોયું તો સમીત, મારા દીકરાનો ફોન હતો. વહેલી સવારે એનો ફોન જોતાં જ મનમાં ફાળ પડી! “મમ્મી એક દુઃખદ સમાચાર છે” સાંભળીને જ એક ક્ષણમાં કેટલા વિચારો અને ધ્રાસ્કો.. “તેં દેસાઈ કઝીનમાં મેસેજ નથી જોયો?? સુશીમામીનુ અવસાન થયું છે!” મારો શ્વાસ, કાન, મન બધું જાણે સ્થગિત થઈ ગયું, સમીત કાંઈ બોલતો રહ્યોને દુનિયા જાણે થંભી ગઈ! છેવટે કાને એટલું જ સંભળાયું “મમ્મી, મમ્મી શાંત થા, ઊંડા શ્વાસ લે” શરીર થરથર કાંપતું હતું અને બોલવા માટે શબ્દો….

    થોડીવારે કળ વળી અને સમીતને પૂછ્યું પણ એને વધારે કાંઈ ખબર નહોતી. ફક્ત રાતે એટલે કે વહેલી સવારે સુશીમામીનું અવસાન થયું એટલી જ વિગત જાણતો હતો.

    સુશીમામી પહેલીવાર જ્યારે કલકત્તાથી ગુજરાતી મંડળ તરફથી નૃત્યનાટિકાનો પ્રોગ્રામ લઈ મુંબઈ આવ્યા ત્યારે મળી હતી. એક જ બિલ્ડીંગમાં રહેતાં ઉમેશ મામાને સુશીમામી પ્રેમમાં હતાં અને ઘરના સહુની સમંતિથી વૈવાહિક જીવન શરુ કરવાના હતાં. મમ્મી સાથે હું અને પારુલ ભાવિ મામીને મળવા તેજપાલ ઓડિટોરિયમ પહોંચી ગયા હતાં. મામા બધા ભાઈ બહેનમાં સહુથી નાના એટલે અમને હમેશ મામા કરતાં મિત્ર વધારે લાગતાં. મામી સાથે પહેલી મુલાકાતમાં જ એક નાસમજ પણ અનોખી લાગણીનો તાર જોડાઈ ગયો.

    ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે કોને ખબર? ૧૯૬૮નું વર્ષ અમારા સહુ માટે, મારા નાના નાની માટે કારમો આઘાત લઈ આવ્યું. એકવીસ દિવસના ગાળામાં મારા મોટા માસાને મારા પપ્પા હાર્ટફેઈલથી અવસાન પામ્યા. મમ્મીએ સ્વમાનભેર સ્કૂલની નોકરી કરી અમ ભાઈબહેનોને પાંખમાં લીધાં, પણ એ હિમ્મત નાનાની સોચ અને મામા, મામી માસા, માસી બધાની સહિયારી મદદથી કરી શકી..

    જીવન થોડું થાળે પડ્યું અને બીજો વજ્રાઘાત.. એક અકસ્માતમાં મારી મમ્મીનું પણ અવસાન થયું. અમે ભાઈ બહેન સાવ નોધારાં થઈ ગયાં, ફરી નાના નાની એ જ હિમ્મત બની પડખે ઊભા રહ્યાં
    મારા લગ્ન કરાવી નાના મારી બહેન અને નાના ભાઈને લઈ કલક્ત્તા ગયાં. સુશીમામી મામી મટી એમનાં પણ મા બની રહ્યાં. એમને એક જ દીકરો પણ પારુલ સ્નેહલના કલકત્તા ગયાં પછી મામા મામી ક્યાંય એકલા ફરવા ગયા હોય એવું મને યાદ નથી. હજુ એટલી કસોટી બાકી હોય તેમ બીજા વર્ષે સુરેશમામાનું અવસાન થયું અને સુશીમામીએ જેઠાણી અને એમના ત્રણ બાળકો સહુને પાંખમાં લીધાં અને જીવનભર સહુની મા બની રહ્યાં!!

    હજી હમણાં જ મધર્સ ડે ગયો અને ૧૭ મે ૨૦૨૩ અમારી પચાસમી લગ્નતિથિ. મહિના પહેલાં જ હું અને પ્રશાંત કાયમ માટે ભારત પાછા આવ્યાં હતાં. મામી ઘણા ખૂશ હતાં. ચાલો હવે તું પાસે આવી ગઈ એટલે જલ્દી મળવાનુ થશે, લગ્નતિથિએ આશીર્વાદના સંદેશ સાથે કલક્ત્તા આવવાનું ભાવભીનુ આમંત્રણ હતું. કોને ખબર હતી કે એ પળ ક્યારેય નહિ આવે..

    મારી કવિતા, ગઝલ, કે વાર્તા; મામી હંમેશ વાંચીને સરસ પ્રતિભાવ આપતાં અને મારા લખાણના મોટા પ્રશંસક હતાં. હજી થોડા મહિના પહેલાં તો મેં મારા સંભારણામાં એક મા ગુમાવ્યા પછી કેટલી માતાનો પ્રેમ મળ્યો એ વાત લખી હતી અને આજે??

    ત્રણ દિવસે આજે સુશીમામીની યાદોને વાગોળતાં શ્રધ્ધા સુમન રુપે કશુંક લખવાની હિમંત રહી છું. મનમાં વિચારોનો મહાસાગર ઊમટે છે. શું લખું અને શું નહિ??

    સુશી મામીએ જીવનભર નિઃસ્વાર્થભાવે ફકત લાગણી વહેંચવાનુ જ કામ કર્યું છે. કલક્ત્તામાં બાળમંદિરમાં એક સ્વયંસેવક તરીકે સેવા આપવાનું શરુ કરી ત્યાંની કમિટિમાં માનદ હોદ્દા પર વર્ષો કામ કર્યું અને સંસ્થાને આંતરરાષ્ટ્રિય સ્તરે આગળ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો…

    આવી નિરાભિમાની કર્મનિષ્ઠ વ્યક્તિની પ્રભુને પણ જરુર હશે એટલે એમને ત્યાં સેવા આપવા બોલાવી લીધાં અને આ એમના સત્કર્મનો જ પ્રભાવ છે કે રાતે બાર વાગ્યા સુધી પતિ, દીકરા, વહુ સાથે ક્રિકેટ મેચ જોયા પછી સાડાબારે જરા શ્વાસમાં મુંઝવણ થઈ અને ગાડીમાં હોસ્પિટલ પહોંચતા પહેલાં સ્મિતવદને, ચહેરા પર પરમ શાંતિ સાથે એક નવી દુનિયાને પ્રેભવાનીપુર ગુજરાતી બાળમંદિર કલકત્તાના પરિવારના શોક સંદેશ સાથે વિરમું છું…

    શ્રી ઉમેશભાઈ, વિરલ, નીપા અને પરિવાર જન…

    સરળ સ્વભાવ, હસમુખ ચહેરો, એક વિશેષ વ્યક્તિત્વ.. સૌના પ્રિય સુશીબેન.. એક યથાર્થ જીવન જીવી ગયાં. એમનો પુણ્યશાળી જીવાત્મા કર્મનો ક્ષય અને ઋણ મુક્તિની નવી રાહ નવું પ્રારબ્ધ ભોગવવા સમસ્તિ તેજમાં ભળી ગયો. સુશીબેનની કાર્યશીલતા, કાર્ય પ્રત્યેની સુઝ ચીવટ અને નિયમિતતા બાલમંદિર પરિવાર માટે પ્રેરણારુપ છે. બાલમંદિર પ્રત્યેનો એમનો સ્નેહ અને યોગદાન સદાય અમારી સ્મૃતિમાં જીવંત રહેશે.

    “મા” ના વાત્સલ્ય અને હૂંફ જીવનના અમૂલ્ય વરદાન છે. કોઈપણ ઉંમરે “મા” નો વિયોગ અસહ્ય છે આ અવસાદની ક્ષણોમાં આપ સર્વે ધૈર્યથી સાથે રહી એમની ચેતનાના આશિષ પામજો, એમની સાથે વિતાવેલાં સુખદ સ્મરણોથી સાંત્વના પામજો.

    પરમ કૃપાળુ પરમાત્મા! એક જીવ સાચા અર્થમાં તમારા દ્વારે સજીવ થવા આવી રહ્યો છે એ રાહમાં ઝળહળ પ્રકાશ પાથરો, પરમ શાંતિ અને મુક્તિ આપો…..

    બાલમંદિર પરિવારની અંતઃકરણની પ્રાર્થના

    ૐ શાંતિ શાંતિ શાંતિ.

    ૨૦૨૬ ત્રણ વર્ષ પસાર થઈ ગયાં પણ સુશીમામીની યાદ સદૈવ દિલમાં એક અમર જ્યોત રૂપે ઝળહળતી રહેશે. આજે ખરા અર્થમાં હું મા વિહોણી થઈ ગઈ.. બસ એક જ પ્રાર્થના પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અમને એમના પગલે ચાલવાની પ્રેરણા….

    અસ્તુ,

    શૈલા મુન્શા તા ૦૫/ ૨૪/૨૦૨૩


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • લાઘવ ક્યાંય નથી કવનમાં

    નિર્મિશ ઠાકર
    ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:

    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કાલિન્દીનાં જલમાં ઝાંકી
    પૂછે કદંબડાળી
    યાદ તને બેસી અહીં કોણે
    રચી શબ્દની જાળી ?
    લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કરો કવિને જાણ:
    અરથની તાણ રહી છે વરતી !
    સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
    રાવ હવે ક્યાં કરવી ?
    છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    શિર પર ગોરસમટકી (?)
    ના એ છલકી કે નવ તૂટી,
    કંકર અંદર-બાહર વાગ્યા
    કશું ન નીકળ્યું ફૂટી !
    નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:

    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કાલિન્દીનાં જલમાં ઝાંકી
    પૂછે કદંબડાળી
    યાદ તને બેસી અહીં કોણે
    રચી શબ્દની જાળી ?
    લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    કરો કવિને જાણ:
    અરથની તાણ રહી છે વરતી !
    સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
    રાવ હવે ક્યાં કરવી ?
    છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

    શિર પર ગોરસમટકી (?)
    ના એ છલકી કે નવ તૂટી,
    કંકર અંદર-બાહર વાગ્યા
    કશું ન નીકળ્યું ફૂટી !
    નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !

    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧૨ મું – ભીષણ સૌંદર્ય.

    પ્રકરણ ૧૧ મું. – અમેરિકાની દીલસોજી થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    દરીયાપારના પ્રવાસીઓ કેમેરા લઇ લઈને આવ્યા, ભાષણો દઈ ગયા, વિનાશની છબીઓ પાડી ગયા, ઘેર જઈને વર્તમાનપત્રોમાં કોરીયાની દુઃખમય કથની ઉપર કરૂણાના થોડાએક શબ્દો લખી કાઢ્યા–સ્વતંત્રતાના સાથીઓ અમેરિકાવાસીઓની મનોવેદના પ્રગટ થઈ ચુકી ! રે ! જાપાનની તલવારોના ઝખ્મો તો રૂઝાશે, પણ આ સ્વાતંત્ર્યપ્રેમી બંધુજનોની કરૂણા રૂપી ક્રૂર મશ્કરીના ઉંડા ઘા રૂઝાતાં વાર લાગશે. દુશ્મનોને હાથે ગળાં રેંસાય, એમાં શુરવીરોને મન પરમ સુખની મીઠાશ છે, અરેરાટીનો ઉચ્ચાર કર્યા વિના પ્રાણ કાઢી આપવામાં તો એક અપૂર્વ ગૌરવ, અદ્‌ભુત મહિમા, અને અપાર શોભા ભરેલ છે. કારણ કે શુરવીર એ મરનારાને “બિચારો” કહી અપમાન દેનાર કોઇ ત્યાં નથી હોતું. કોરીયાનું હૈયું હાહાકાર કરી ઉઠતું હશે કે “ઓ પ્રભુ ! મ્હારા મિત્રોથી મને બચાવી લેજે.”

    શા માટે આવ્યા હતા આ વિદેશીઓ ? એક પીડાતી પ્રજાની વ્હારે ધાવા ? દુઃખી અને ઝખ્મી બે કરોડ માનવોના મસ્તક ઉપર અનુકમ્પાનાં બે અશ્રબિન્દુ વરસાવવા ? જાલીમ જાપાનને સાવધાન કરવા ? ના, ના. એવી મિથ્યા અનુકમ્પાની ઘેલછા ડાહ્યા ડમરા વેપારીઓને ન શોભે ! પોતાના કિનારાઓને સાચવીને અમેરિકા આનંદભર્યું મ્હાલે છે. દરીયાપારની લહરીઓમાં ન્હાની ન્હાની પ્રજાઓનાં આક્રંદની ચીસો આવીને એને કાને અથડાય છે, પણ સીગારેટ કે નૃત્ય નાટકના તાનમાં બેઠેલા એ વેપારીનાં નેણાં ઘેરાતાં હોય, તે વેળા એ આર્તનાદની એને શી તમા ? એની તંદ્રા ને એનું ઘેન તો ત્યારે જ ઉડે, કે જ્યારે લ્યુસીટેનીઆના બસો ચારસો દેશ–બંધુઓ ઉપર જર્મન પ્રલયનાં મોજાં ફરી વળે !

    અમેરિકાવાસીઓ આવ્યા, તે તો પોતાનાં દેવાલયોની, ને પોતાના ધર્મબંધુઓની પાયમાલી સાંભળીને. અમેરિકાના વેપારીઓએ બૂમરાણ કર્યું, તે તો પેલી પોતાની રેલ્વે કંપનીઓના પાટા કોરીયાની ભૂમિ પરથી જાપાને ઉખેડી નાખ્યા એ બળતરાએ. પચીસ પચીસ વરસ થયાં એનાં વિજળીનાં કારખાનાં કોરીયાની અંદર ચાલતાં, એની તમાકુની પેઢીઓ જામી પડેલી, એના નાખેલા નળોમાંથી કોરીયાવાસીઓને પાણી પહોંચતું, એને હાથે કોરીયાનાં જંગી વ્હાણો બંધાતાં, એના સંચાઓ વડે કોરીયાની ખાણોમાંથી સોનું ખેંચાતું, દારૂગોળો એનાં કારખાનામાં તૈયાર થતો. જાપાને આવીને એ બધું અમેરિકાની પાસેથી ઝુંટવી લીધું. પોતાના વેપારીઓને બેસુમાર હક્કો આપ્યા, એની હરીફાઈ સામે અમેરિકાવાસીઓ હાથ ખંખેરી ચાલતા થયા. એ બળતરા અમેરિકાના અંતરમાંથી બોલી રહી છે, કોરીયા માટેની કોઈ અનુકમ્પા નહિ.

    વિદેશી મુસાફરો તો મુગ્ધ હતા પેલી ભવ્ય સરકારી મ્હેલ મહેલાતો ઉપર, સરકારે બંધાવેલા બાગ બગીચાઓ ઉપર અને આખા દેશમાં ઠેર ઠેર બંધાવેલી સુંદર સફાઈદાર સડકો ઉપર. પણ ક્યાં બંધાવેલી હતી એ સુશોભિત સડકો ? વસ્તીવાળા પ્રદેશોમાં નહિ, દૂર દૂરના વેરાનમાં. ગામડાનાં ગરીબ કોરીયનો પોતાનાં ગાડાંઓ ખેતરાઉ અને પહાડી રસ્તાઓ ઉપર સુખેથી ચલાવતા, જરૂર જોગો વેપાર કરી આવતા. એને આવા મનોહર રાજમાર્ગોની જરૂર નહોતી. એ નિર્જન રાજમાર્ગો વેરાનની ભીષણતામાં વધારો કરતા હતા. લોકો એ રાક્ષસી સડકોથી ભય પામતાં. હુ હુ હુ હુ કરતી એ સડક કોરીયાનું હૃદય વીંધીને જાણે ચાલી જતી. પ્રજા પળે પળે કાન માંડીને ચમકી ઉઠતી, કે જાણે એ સડકના હૈયામાં દૂર દૂરથી ચાલ્યા આવતા જાપાની સૈન્યના તાલબંધ કદમના ધબકારા સંભળાય છે, સંગીનો ઝબૂકે છે, તલવારો ખણખણે છે, તોપખાનું માર માર કરતું, આકાશ ગજવતું ચાલ્યું આવે છે. સેના ચાલી આવે છે, રસ્તાના મુલકને આગ લગાડતી આવે છે, દેવળો તોડતી, અને લોકો ઉપર ગોળીઓ છોડતી આવે છે. હાય ! એ જીવલેણ સડકો તો જાપાની સેનાને એ રમ્ય ભૂમિ ઉપર છોડી મૂકવા માટે બાંધવામાં આવેલી. એ મહેલ મહેલાતો અને રાજમાર્ગો બાંધવામાં હજારો લોકોને તલવારની અણીએ વેઠે વળગાડેલાં હતાં. એ જમીનો લોકો પાસેથી જબરદસ્તી કરી ઝૂંટવી લેવામાં આવી હતી. કોરીચાની એ શોભાયમાન ને મોહમયી મહેલાતોના પત્થરો, તે પત્થરો નથી, પણ જીવતાં કોરીયાવાસીઓનાં–મરદો, ઓરતો અને બાલકોનાં–શરીરોના ગંજ ખડકેલા છે. પળે પળે એ પત્થરોમાંથી ઝીણું આક્રંદ ઉઠે છે. કેમેરા લઇને છબી પાડવામાં મશ્ગુલ બનેલા વિદેશી મુસાફર એ આક્રંદ ન સાંભળી શકે.

    આ બધી કવિતા નથી. ધગેલા મસ્તકની મિથ્યા કલ્પના નથી. કઠોર સત્ય છે. કોરીયાની શોભા વિસ્તારવા જતાં જાપાની સરકારે, એ દેશનું રાષ્ટ્રીય કરજ ૩૬૮,૨૫૬ ડોલર હતું, તે વધારીને પર,૪૬૧,૮૨૭ ડોલર જેટલે પહોંચાડી દીધું છે. અને વાર્ષિક કર વેરો સને ૧૯૦૫ માં ૩,૫૧,૯૦૭ ડોલર હતો તે વધારીને ૧૯,૮૪૯,૧૨૮ ડોલર સુધી પહોંચાડ્યો છે. બદસુરત દેશને રમણીય બનાવવા જતાં, દેશનું કરજ એકસોતેતાલીસ ગણું વધારી દેવાય, અને પ્રજા ઉપર સાડાપાંચ ગણો કર ચાંપી બેસાડાય એ કાંઇ સાધારણ દિગ્વિજય ન કહેવાય. ‘મહત્‌ જાપાન’ કે ‘મહત્ બ્રીટન’ થવું સ્હેલું નથી. લોકોની ખાનગી મિલ્કતો, રે ! ખુદ બૌદ્ધ દેવાલયોની જમીનો ઝુંટવી લેવામાં છાતી કઠણ કરવી પડે છે ! ત્રણ લાખ જાપાનીઓને વેપાર વાણિજ્ય તેમજ સરકારી નોકરીઓ સોંપી દેવામાં બડી હિંમત વાપરવી પડે છે ! જાપાનીઓને માટે જગ્યા કરી દેવા કોરીયાવાસીઓ દેશ છોડી ચાલી નીકળે, મંચુરીયા અને સાઈબીરીયાના બરફની બખોલોમાં ભરાઈ બેસે, તો ત્યાં પણ જાપાની લશ્કર તત્કાળ પહોંચી જાય. કારણ ? સરકાર કહે છે, કે અમારી પ્રજા જ્યાં જાય ત્યાં એનું રક્ષણ કરવાનો અમારો ધર્મ છે ! મહારાજ્યો આમજ બંધાયાં છે. આ રીતે જ બંધાશે.

    આજ કોરીયાની પ્રત્યેક બેન્ક ઉપર જાપાની “સલાહકાર” ચડી બેઠો છે. એની સીલક સરકારી બેંકમાં જ રાખવી પડે છે; ને એ સરકારી બેંકની મુન્સફી સિવાય કોઈ બેંક એ સીલકનાં નાણાં પાછાં મેળવી શકે નહિ. બેંકો ઉપર તો શું, પણ પ્રત્યેક કોરીયન શ્રીમંતની છાતી ઉપર અક્કેક જાપાની Steward (નોકર) ચાંપી દેવામાં આવ્યો છે, કે જે ઘરનો હિસાબ રાખે છે, તેમજ નાણાં પ્રકરણી સલાહ–સૂચના કરે. સરકારના નીમેલા આ સલાહકારની પરવાનગી વિના કોરીયાના શ્રીમંત કશું ખર્ચ કરી શકે નહિ. એ કાયદો તોડનારની મિલ્કત તત્કાળ જપ્ત થાય. એક શ્રીમંતે ચીનની અંદર કોરીયાના તરૂણોને શિક્ષણ દેવાની અભિલાષાએ પેકીંગની અંદર એક શાળા ઉઘાડી. સરકારી અમલદારે એના ઉપર કાવતરાંનો આરોપ મૂક્યો, એની મિલ્કત જપ્ત કરી. ચીનાઈ સરકાર એક સખૂન પણ ન ઉચ્ચારી શકી. બીજા એક ગૃહસ્થે સરકારી બેન્કમાં મૂકેલાં પોતાનાં નાણાંમાંથી એક લાખ સીક્કા ઉપાડવાની પરવાનગી માગી. સરકારે ના પાડી. એણે જીદ કરી. સરકારે એની આખી ઈસ્કામત જપ્ત કરી. કારણ ? એ બદમાશ સરકારની સામે કાવતરું રચતો હતો !

    આવતા અંકેઃ પ્રકરણ ૧૩ મું – સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી.

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান –૧૩

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. રવીન્દ્રસંગીતને નજદીકથી જાણવા સમજવાની આ સફરને આગળ વધારતા, આજે આપણે પ્રેમ પારજોયની એક ખુબ જાણીતી રચનાની સંવેદનાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રેમ  એટલે કે love સર્વ પરિમાણોથી અને સરહદોથી ઉપર છે. તેને કોઈ તોલ-માપથી માપી ન શકાય કે ત્રાજવે તોલી ન શકાય કે કોઈ સીમાડાથી બાંધી ન શકાય. અને એટલેજ કદાચ પ્રેમમાં પ્રચંડ શક્તિ છુપાયેલી છે.

    પ્રેમ શાશ્વત છે પણ પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી શાશ્વત નથી. ક્યારેક પ્રિયજનની ગેરહાજરી ક્ષણિક હોય તો ક્યારેક સંજોગોવશાત એ કાયમી પણ હોઈ શકે. પ્રિયજનની કાયમી ગેરહાજરી ભલે હોય પણ તેથી તેમના પ્રત્યેનો પ્રેમ અદ્રશ્ય નથી થઇ જતો. પ્રિયપાત્ર સાથે ગાળેલી એક એક ક્ષણની યાદોમાં એ ખીલતો રહે છે મહોરતો રહે છે. ગુરુદેવ પણ પોતાના અંગત જીવનમાં પણ તેમના પ્રિયપાત્ર, તેમના પ્રેરણાસ્તોત્ર કાદમ્બરી દેવીના અકાળ મૃત્યુ પછી આવાજ કોઈ સમયમાંથી પસાર થયા અને આ ઘટના પછી તેમની સંવેદનાઓને વાચા આપતી આ સંવેદનશીલ રચનાને આપણે આજે જાણીશું અને માણીશું. 1927માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે সেদিন দুজনে (Sedin Dujone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આપણે બે…
    જેનું સ્વરાંકન કવિવરે રાગ પીલુમાં કર્યું છે અને કહેરવા તાલ પર તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

    આપણે બે …

    ઝૂલતા હતા ફૂલને હિંડોળે વનમાં ઝાલી હાથ
    રેલાતા’તા મારા મૌન શબ્દો સમીરને સંગાથ

    આકાશે પુરાઈ હતી તારા સ્મિતની રંગોળી
    પૂનમનો ચંદ્ર મલકાતો હતો રૂપેરી રંગ ઢોળી

    હતી એ દિવ્ય ક્ષણ જ્યારે થયું આપણું મિલન
    એક એક ક્ષણની યાદ આજ થઇ રહી સજીવન

    ગયા હતા આપણા આત્મા એકમેકમાં વણાઈ
    હવે મારા જ એકાંતમાં મારે જવાનું છે સમાઈ
    પ્રિયે, દરેક સ્મૃતિ તારી મારા હૈયે ગઈ કોતરાઈ

    ©અલ્પા શાહ

    આ રચનામાં શબ્દે શબ્દે કવિવર પોતાના પ્રિયજનની સાથે ગાળેલી અમૂલ્ય ક્ષણોને યાદ કરીને પુનઃજીવિત કરે છે. પ્રિયજન સાથે ગાળેલી પ્રત્યેક પળમાં ફરીથી સાંગોપાંગ ભીંજાય છે. આ રચનામાં ફરી એકવાર પ્રિયજન સાથે સંવાદ કરતા કવિવર વાસ્તવિકતાને ખુબ સુપેરે જાણે છે, સમજે છે. પણ આ સોનેરી ક્ષણોની યાદ જે તેમના અંતઃ કરણ અને માનસ પટલ પર કોતરાઈ ગઈ છે તેના સહારે તેમના પ્રિયજનનો વિરહ થોડો હળવો કરવાનો પ્રયત્ન કરે છે.

    યાદ એટલે કે memory – આમતો બેધારી તલવાર જેવી હોય છે. સુખદ ક્ષણોની યાદના સહારે ક્યારેક આખું જીવન જીવી જવાય, આવી સુખદ ક્ષણોની યાદ ગમે તેવા કપરા સંજોગોમાં પણ પાર ઉતારી શકે. Memories are timeless treasures of life. પણ ક્યારેક દુઃખદ ક્ષણોની યાદ  જીવનની ધારાને એક અનંત વમળમાં ઓગાળી દે છે. અને કદાચ એટલે જ પ્રભુએ આપણને યાદ અથવા સ્મૃતિની સાથે વિસ્મૃતિનું પણ વરદાન આપ્યું છે.

    આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ અત્યારની પ્રત્યેક ક્ષણ આવતી ક્ષણે યાદમાં પરિવર્તિત થઇ જવાની છે. Today’s moments are tomorrow’s memories.  માટે જ જે આ પળની કિંમત સમજી શકે તે જીવનને સમજી શકે, જાણી શકે અને માણી પણ શકે. માટે જ કહેવાયું હશે કે Enjoy every moment as if it is your last અથવા પળે પળે પરમાનંદ…

    તો ચાલો, હું પણ પ્રત્યેક પળને ઉજવવાનો સંકલ્પ  કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

  • આજ જાનેકી ઝીદ ના કરો!

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    તારીખ ૩૦ જુન ૨૦૧૦. સ્થળ કામાણી અૉડીટોરીયમ, દિલ્હી. હૉલના દરવાજા પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું હતું તેમ છતાં સેંકડો સંગીતપ્રેમીઓ કાર્યક્રમના સંયોજકોને વિનંતિ કરી રહ્યા હતા. “અમને અંદર આવવા દો. એક ખુણામાં ઉભા રહીને, શાંતિથી કાર્યક્રમ સાંભળીશું.” જવાબ હતો, “માફ કરશો, અંદર તો ઉભા રહેવાની પણ જગ્યા નથી. અરે, ચાલવાની કૉરીડોરમાં પણ લોકો બેઠા છે!”

    કાર્યક્રમ હતો ફરીદા ખાનુમનો.

    આપણા દેશની પ્રજાએ કલાની કદર કરવામાં કદી પણ ભેદ ન રાખ્યો કે કલાકાર ક્યા દેશનો વતની છે. આપણે તો મુક્ત હૃદયે તેમના પર બધું ન્યોચ્છાવર કર્યુ: માન, ધન, મહેમાન-નવાઝી, કશામાં કમી ન રાખી. ફરીદા ખાનુમ પર ભારતે વિશેષ સ્નેહ દર્શાવ્યો. અને કેમ નહિ? તેમનો જન્મ ભારતમાં-કોલકાતામાં થયો હતો ને! અખબારી મુલાકાતમાં તેમણે પોતે કહ્યું હતું કે તેઓ પિયરની મુલાકાતે આવ્યા હતા! અને તેમનો આનંદ વ્યક્ત થતો હતો તેમણે ભારતમાં પેશ કરેલા દરેક કાર્યક્રમમાં.


    ફરીદા ખાનુમના અવાજનું માધુર્ય સૌથી પહેલાં ઓળખ્યું હોય તો તેમનાં મોટા બહેન મુખ્તાર બેગમે. મુખ્તાર બેગમ પોતે જ લોકપ્રિય ગાયિકા હતા અને ‘બુલબુલે-પંજાબ’નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમણે નાની બહેનને પાસે બેસાડી સંગીતની તાલિમ આપી. તેમનો potential જોઇ તેમના અમૃતસરના વાસ્તવ્ય દરમિયાન પટિયાલા ઘરાણાંના ઉસ્તાદ આશિક અલી ખાં, ખાંસાહેબ બડે ગુલામ અલીખાં સાહેબ તથા તેમના નાના ભાઇ બરકત અલીખાં પાસે સંગીતની તાલિમ મેળવી. દેશના ભાગલા થયા અને પરિવાર સાથે તેઓ પાકિસ્તાન ગયા, પણ તેઓ કદી કોલકાતા, બનારસ અને અમૃતસરને કદી ભૂલ્યા નહિ. ન ભૂલ્યા ભારતીય સાડીને! જાહેરમાં કોઇ પણ કાર્યક્રમ હોય, તેમણે હંમેશા સાડી પરિધાન કરી અને સંગીતને વધારાનો ઓપ ચઢાવ્યો.

    જિપ્સીની પંજાબમાં બદલી થઇ ત્યારે પાકિસ્તાન ટેલીવિઝનના પ્રસારીત થતા ખાસ કાર્યક્રમોમાં મેહદી હસન સાહેબના કાર્યક્રમ બાદ થયેલા એક કાર્યક્રમમાં ફરીદા ખાનુમનો કાર્યક્રમ આવ્યો ત્યારે પહેલી વાર તેમને સાંભળ્યા. જ્યારે તેમણે ‘આજ જાનેકી ઝીદ ના કરો‘ ગાયું, તેમના ચાહકોના લિસ્ટમાં એક વધારે નામ નોંધાઇ ગયું! ત્યાર પછી તેમણે ‘વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા’ ગાયું અને બસ, ઑફિસર્સ મેસમાં બેઠેલા પલ્ટનના અફસરો મંત્રમુગ્ધ થઇ સાંભળતા જ ગયા.

    ફરીદા ખાનુમનું ‘આજ જાનેકી ઝીદ ના કરો’ તેમના ગળાના હારની જેમ કાયમ માટે આરોપાઇ ગયું. દુનિયાના કોઇ પણ દેશમાં તેમનો કાર્યક્રમ થાય, આ ગઝલ વગર કાર્યક્રમ અધુરો જ ગણાતો. મજાની વાત એ હતી કે આ ખાનદાની મહિલાને જ્યારે પણ દાદ મળતી, એટલા આભારવિવશ થઇ, ગૌરવથી આદાબ કરવા હાથ ઉંચો કરતાં તે જોવું પણ એક લહાવો બની ગયું.

    અહીં એક મજાની વાત કહીશ. ફરીદા ખાનુમનો મુંબઇમાં કાર્યક્રમ થયો ત્યારે તેમનો પરિચય આપવાનું કામ કોઇને નહિ અને શત્રુઘ્ન સિન્હાને સોંપાયું. આપને સૌને યાદ હશે કે યુવાનીના જોશમાં શત્રુઘ્ન પોતાને ‘શૉટગન સિન્હા’ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. એક ફિલ્મ વિવેચકને આ ઉપનામનું મહત્વ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “સરળ શબ્દોમાં કહીએ તો big bore and loud noise, તેથી!” શૉટગનની નળીનો પરીઘ એક ઇંચનો (બંદૂકમાં સૌથી મોટો બોર) હોય છે, અને તેમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે તેનો ધડાકો કાનના પડદા ફાડી નાખે તેવો. શૉટગન સિન્હાએ ફરીદા ખાનુમનો પરિચય આપવાને બદલે પોતાની મહત્તા બતાવવાનું શરૂ કર્યું. અધવચ્ચે ગૅલેરીમાંથી તાળીઓ શરૂ થઇ – ‘બંધ કરો તમારો બકવાદ. અમે ફરીદા ખાનુમને સાંભળવા આવ્યા છીએ.’ મહાશય મોઢું બંધ કરવાને બદલે ઉશ્કેરાઇ ગયા, ત્યારે આખો હૉલ તાળીઓથી છવાઇ ગયો અને લોકોએ બૂમાબૂમ શરૂ કરી. અંતે કાર્યક્રમના આયોજકોને સ્ટેજ પર જઇ તેમને વિંગમાં લઇ જવા પડ્યા!

    જ્યારે ફરીદા ખાનુમે સ્ટેજ પર આવીને સૂર પકડ્યો, હૉલ ફરી એક વાર તાળીઓના ગડગડાટથી ગર્જી ઉઠ્યો. આપ જાણી ગયા હશો કે કઇ ગઝલનો આ સૂર હશે!’આજ જાનેકી ઝીદ ના કરો!’

    https://youtu.be/CfUDuYAasjE?si=307FVuCvYuUIl5o6

    ત્યાર પછી તેમણે ગાયેલી ગઝલ ‘વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા’ને લોકોએ એટલા જ ઉત્સાહથી વધાવી લીધી.

    https://youtu.be/FAIT8qSijQQ?si=YlAOHHpdi6JM_kmn

    રાબેતા મુજબ આજે તેમના જીવનચરિત્રની તારીખો કહેવાને બદલે તેમને સાંભળવાનો લહાવો લઇશું. અહીં ઉતારેલી ગઝલ – મેરે હમનફસ, મેરે હમનવા – સાંભળી હશે.

    શકીલ બદાયુંની આ ગઝલ અહીં ઉતારવા પાછળનો આશય સરખામણી કરવાનો નથી; કેવળ ફરીદા ખાનુમે કરેલા તેના interpretationનો આનંદ માણવા માટે છે.

    વળી તેમણે પોતે જ કહ્યું હતું કે બેગમ સાહિબાએ ગાયેલી આ ગઝલ તેમની પ્રિય ચીજોમાંની એક છે.

    ફરીદા ખાનુમ તેમની ઉમરના ૭મા દશકમાં અને લોકપ્રિયતાના સાતમા આસમાનમાં બિરાજી રહ્યા છે. પાકિસ્તાનની સરકારે તેમને રાષ્ટ્રીય સન્માનના બીજા નંબરનો ઇલ્કાબ આપ્યો. ભારત તથા પાકિસ્તાનના સંગીતપ્રેમીઓએ તેમને પોતાનાં હૃદયોમાં પ્રથમ સ્થાન આપ્યું છે.

    ભારતની વિદાય લેતાં પહેલાં ફરીદા ખાનુમે એક ઇચ્છા વ્યક્ત કરી હતી: લતા મંગેશકર સાથે ગીત ગાવાની. તે પૂરી થશે કે નહિ એ તો પરમાત્મા જાણે, પણ તેમની મુલાકાત જરૂર થઇ!

    (છબી: સૌજન્ય ટાઇમ્સ ઑફ ઇન્ડીયા)

    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com

     

  • દયાળુ દેવાંગી

    ગિરિમા ઘારેખાન

    એક નાની છોકરી હતી. નામ હતું એનું દેવાંગી. સાત વર્ષની દેવાંગી એક શહેરમાં એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. દેવાંગી ખૂબ દયાળુ હતી. કોઈની પણ તકલીફ એનાથી જોઈ ના શકાય. એ બધાને થાય એટલી મદદ કરે. ઊંચી જગ્યાએ ફસાઈ ગયેલા બિલાડીના બચ્ચાને ઉપર ચડીને લઇ આવે. રસ્તા ઉપર રમતું બાળક પડી જાય તો એને ઊંચકીને પોતાની ચોકલેટ એને આપી દે. એટલે દેવાંગીને બધાં બહુ વહાલ કરતાં.

    દેવાંગીની સોસાયટીની બાજુની સોસાયટીમાં એની ખાસ બહેનપણી મોના રહેતી હતી. દેવાંગી ઘણી વાર એની આ બહેનપણીને ઘેર રમવા જતી હતી.

    એ દિવસે મોનાનો જન્મ દિવસ હતો. એણે સાંજે પોતાને ઘેર થોડી બહેનપણીઓને બોલાવી હતી. એટલે દેવાંગી ખૂબ ખુશ હતી. એને નવાં નવાં કપડાં પહેરવાનો બહુ શોખ હતો. એને ખબર હતી કે જન્મ દિવસની પાર્ટીમાં જવા માટે એની મમ્મી એને નવું ફ્રોક પહેરાવશે.

    સાંજ પડી. પાર્ટીમાં જવાનો સમય થઇ ગયો. દેવાંગીની મમ્મીએ એને એકદમ નવું ગુલાબી રંગનું ફ્રોક પહેરાવ્યું. માથામાં ગુલાબી રંગનું બક્કલ પણ નાખી આપ્યું.

    દેવાંગીએ કહ્યું, ‘મમ્મી, આ તો મારું સહુથી વધારે ગમતું ફ્રોક છે. મને લાગે છે કે આજે તો મારી બધી બહેનપણીઓ પણ આ ફ્રોકના બહુ વખાણ કરશે.’

    મમ્મીએ કહ્યું, ‘એકદમ નવું ફ્રોક છે. ગંદુ ના થવા દેતી. બક્કલ પણ ખોઈને ના આવતી.’

    ‘સારું’ કહીને ખુશ ખુશ થતી દેવાંગી મોનાને ઘેર જવા નીકળી.

    હવે થયું હતું એવું કે એમની સોસાયટીની બહારના રસ્તા ઉપર અચાનક ગટરનું પાણી ઊભરાયું  હતું. એને લીધે રસ્તાની બાજુમાં કીચડ થઇ ગયો હતો. દેવાંગી ખૂબ સાચવીને ત્યાંથી પસાર થતી હતી. ત્યાં એણે જોયું કે રસ્તાની એક બાજુ ઊભી રહીને એક વૃદ્ધ સ્ત્રી રડતી હતી. એણે એમની પાસે જઈને પૂછ્યું,

    ‘મા, તમે કેમ રડો છો ? શું થયું ?’

    જવાબમાં માજીએ રડતાં રડતાં એમની આંગળી કીચડ તરફ કરી. હવે દેવાંગીએ એ તરફ નજર કરી. એણે જોયું કે એક નાનું કુરકુરિયું ત્યાં કીચડમાં ફસાઈ ગયું હતું.  એ બિચારું બહાર નીકળવા માટે છટપટી રહ્યું હતું. પણ એના ગળે બાંધેલો પટ્ટો એના પગમાં ફસાઈ ગયો હતો. એ બહાર ન હતું આવી શકતું.

    માજીએ કહ્યું, ‘આ મારું જીપ્સી છે. રોજ હું એને ચલાવવા માટે બહાર નીકળું છું. અહીંથી પસાર થતી હતી ત્યારે મારું તોફાની જીપ્સી અચાનક કીચડ તરફ દોડ્યું અને પછી ત્યાં ફસાઈ ગયું. બિચારું. હવે એ કેવી રીતે બહાર નીકળશે ? હું તો અંદર જાઉં તો પડી જ જાઉં. હવે શું કરું ?’

    દેવાંગીએ આજુબાજુ નજર કરી. ત્યાંથી થોડા માણસો તો પસાર થતાં હતા. પણ ગટરના પાણીની વાસ એટલી આવતી હતી કે બધાં પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને ત્યાંથી ઝડપથી પસાર થઇ જતા હતા.  કોઈ ત્યાં ઊભા રહેવા જ તૈયાર ન હતું, તો જીપ્સીને કાઢવા કીચડમાં તો કોણ જાય?

    દેવાંગીએ જોયું કે પેલું જીપ્સી તો કીચડમાં વધારે ને વધારે ફસાઈ રહ્યું હતું. એને એના ઉપર અને પેલા રડતાં માજી ઉપર ખૂબ દયા આવી ગઈ. પોતે બહેનપણીના જન્મ દિવસની પાર્ટીમાં જવા નીકળી હતી, નવું ફ્રોક પહેર્યું છે, બધું જ એ ભૂલી ગઈ અને ઉતરી પડી કીચડમાં. ધીરે ધીરે ચાલીને એ જીપ્સી પાસે પહોંચી અને એને ઊંચકીને બહાર લઇ આવી. આમ કરવામાં એનું આખું શરીર ગંદુ થઇ ગયું. ફ્રોકનો રંગ તો ઓળખાય એવો જ ન હતો રહ્યો. માજીએ દેવાંગીના માથે પોતાનો હાથ મુક્યો. એમણે એનું ઘર ક્યાં  છે એ પણ પૂછ્યું. પછી એ જીપ્સીને લઈને જતા રહ્યાં.

    દેવાંગીએ હવે જોયું કે કીચડમાં ઉતરવાથી એનું નવું ફ્રોક તો સાવ જ ગંદુ થઇ ગયું હતું. આવું ફ્રોક પહેરીને કોઈની બર્થ ડે પાર્ટીમાં થોડું જવાય? હવે તો એણે ઘેર જઈને નહાવું જ પડશે. જો કે એને એનો બિલકુલ અફસોસ ન હતો. એને તો આમ પણ કુરકુરિયાં બહુ ગમતાં. એને જીપ્સીને બચાવવાનો આનંદ જ હતો.

    દેવાંગી ઘેર પાછી આવી ગઈ. એણે મમ્મીને બધી વાત કરી. મમ્મીએ એને બરાબર નવડાવીને સાફ કરી. ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ગયું હતું. દેવાંગીએ મોનાને ફોન કરી દીધો.

    બીજે દિવસે દેવાંગી સ્કૂલથી પછી આવી ત્યારે એની નવાઈનો પાર ન રહ્યો. એના ઘરમાં પેલા માજી બેઠા હતા. એમના પગ પાસે જીપ્સી રમતું હતું. એને જોઇને જીપ્સી સીધું એની પાસે આવ્યું અને વહાલ કરવા માંડ્યું. દેવાંગીએ એને ઊંચકી લીધું અને રમાડવા માંડી.

    હવે પેલા માજીએ દેવાંગીને પાસે બોલાવી અને એના હાથમાં એક પેકેટ મુક્યું. એમણે કહ્યું, ‘આ તારે માટે છે બેટા.’ દેવાંગીએ પેકેટ ખોલ્યું અને જોયું તો એમાં એના ફ્રોક કરતાં પણ સરસ ગુલાબી રંગનું ફ્રોક હતું. એણે અને એના મમ્મીએ એ લેવાની ના પાડી કે દેવાંગી તો એમ જ બધાની મદદ કરતી હતી. પણ માજીના આગ્રહથી એમણે તે લેવું પડ્યું. વધારે મોટું આશ્ચર્ય તો હજી બાકી હતું. માજી બહાર મુકેલી પોતાની બાસ્કેટ અંદર લઇ આવ્યા અને એ પણ દેવાંગીને આપી. એણે બાસ્કેટ ખોલીને જોયું  તો અંદર એક નાનું, સુંદર, કુરકુરિયું સૂતેલું હતું. માજીએ કહ્યું, ‘આ જીપ્સીનો ભાઈ છે. એ તારે માટે ગીફ્ટ છે. મને ખબર પડી ગઈ છે કે તને પપ્પી ખૂબ ગમે છે. એટલે તો તેં તારું ફ્રોક ગંદુ કરીને, તારી પાર્ટી જતી કરીને, એને બચાવ્યું. બરાબર ને ? મને તારી મમ્મીએ તારા દયાળુ સ્વભાવની બધી વાત કરી.’

    દેવાંગીએ એવું વિચાર્યું પણ ન હતું કે કોઈને એક નાની મદદ કરવાથી એને આવો મોટો બદલો મળશે.  એક પપ્પી લેવાની ઈચ્છા તો એને ક્યારથી હતી. ખુશીથી ઉછળતી દેવાંગીએ જીપ્સીના ભાઈનું નામ  પાડી દીધું, ‘જર્સી’. એણે અને એની મમ્મીએ માજીનો ખૂબ આભાર આપ્યો. હવે તો એ લોકો અવાર નવાર એ એકલાં રહેતાં માજીને ઘેર જાય છે અને એમને કંઈ કામ હોય તો પણ કરી આપે છે.


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯

  • એક હતી પિંકી

    લતા હિરાણી

    એક હતી પિંકી. એને દરિયો બહુ ગમે.

    એનું શહેર અમદાવાદ. દરિયાથી માઇલો દૂર.

    પિંકીના મામાનું શહેર પોરબંદર દરિયા કાંઠે આવેલું હતું. એ જ્યારે મામાને ઘરે જાય ત્યારે દરિયે ફરવા-રમવા જાય.

    પિંકી સવારમાં ઉઠે બ્રશ કરે અને કહે, – મામા દરિયે જાઉં ?

    મામા કહે, અરે જરા ખાઈ પી તો લે ! પછી જઈશું.

    ‘ના મને દરિયો બોલાવે છે.’

    અને એના નાનીમા ખડખડ કરતા હસે.

    ‘એમ કરીએ. તને દરિયો બહુ ગમે છે ને! તો મોટી થઈશ એટલે તને દરિયા સાથે પરણાવી દઈશ.’

    પિંકી તો કુદવા માંડે, ‘હા તો તો મને બહુ મજા આવે. મારે દરિયા સાથે જ રહેવાનું ને !’

    મામી કહે,  ‘ડૂબી જઈશ ડૂબી….દરિયો કોક દિવસ તાણી જશે તને. ખસતી જ નથી ને પાણી પાસેથી !’

    બધા પિંકીને ચિડવ્યા કરે પણ એ કોઈનું કંઈ સાંભળે નહીં. એને તો દરિયો ગમે એટલે ગમે. બસ બીજી કોઈ વાત નહીં.. રોજ સાંજે મામા-મામી એને દરિયાકાંઠે ફરવા લઈ જાય. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો. એ દિવસે બધા વહેલાં  દરિયે ફરવા ગયા.

    પિંકી ખૂબ રમી. રેતીમાં એણે મજાનું ઘર બનાવ્યું. કિનારેથી કેટલા શંખલા છીપલા વીન્યા. મામા નો હાથ પકડી ક્યાં સુધી દરિયાના મોજામાં પગ પલાળ્યા. પગ શું, એનું આખું ફ્રોક પલળી ગયું હતું પણ પિંકી જેનું નામ, દરિયાથી ધરાય નહીં.

    મામાને પણ ખબર હતી એટલે એ પણ મોડે સુધી તેનો હાથ પકડીને ઉછળતાં મોજામાં ઉભા રહ્યા.

    પિંકીને તો આગળ આગળ જવાનું બહુ મન થતું હતું પણ મામા હાથ ના છોડે. સમજાવે કે આગળ જઈએ તો મોજું તાણી જાય.

    અંધારું થવા આવ્યું. મામા કહે – ચાલો ઘરે જઈએ.

    પિંકી ઉદાસ થઈ ગઈ. કાલે સવારમાં તો એણે અમદાવાદ જવાનું હતું. અમદાવાદ તો દરિયો ક્યાં મળે !
    ‘થોડીવાર રહોને ! પિંકીએ કહ્યું.

    એમ કરતાં કરતાં બીજો અડધો કલાક થયો.

    મામા કહે, ‘હવે બેટા જવું પડશે. તને ભૂખ લાગી છે ને !’

    પિંકી કહે, ‘દરિયો હોય તો ભૂખ ના લાગે ને તરસ પણ ન  લાગે.’

    મામી કહે, ‘એમ કર તું કે થોડો દરિયો તારી સાથે લેતી જા.’

    પિંકી તો ખુશીથી કૂદી પડી. ‘સાચે જ મામી ! કેવી રીતે લઈ જાઉં દરિયાને?’

    મામાને વિચાર આવ્યો. એમની પાસે પાણીની બોટલ હતી. એ ખાલી કરી નાખી પછી કહે કે આમાં તારો દરિયો ભરી લે.

    પિંકી ખુશખુશાલ થઈ ગઈ. એણે તળિયે થોડી રેતી ભરી. થોડાક શંખલા છીપલા નાખ્યાં. કિનારે ઉગેલી દરિયાઈ વેલના થોડાક પાંદડા નાખ્યા પછી મોજું આવે એટલે બોટલમાં પાણી ભરાઈ જાય એમ વાંકી વળી ને ઉભી રહી.

    બોટલનું મોં સાંકડું. અંદર માંડ થોડાક ટીપાં પાણી જાય. પછી પિંકીએ બોટલ ડુબાડી દરિયાને એમાં ભરી લીધો.

    અમદાવાદ આવીને પિંકીએ બોટલ ટેબલ પર મૂકી દીધી.

    હવે ઘરે કોઈ મહેમાન આવે તો મમ્મી કહે, ‘ચલો તમને દરિયો બતાવું. પિંકીના રૂમમાં લઈ જાય.

    પિંકી ખુશખુશાલ થઈ ને બધાને બોટલ બતાવે અને કહે, ‘આ જુઓ મારો વહાલો દરિયો….’


    લતા હિરાણી * એક હતી વાર્તા (બાળવાર્તાઓ) * સ્વયં ૨૦૨૧