-
પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૬
પ્રીતિ શાહ-સેનગુપ્તા
રિચાર્ડની ગાડીમાં, અડધોએક કલાક અમે આમ પહાડોની અંદર અંદર ગયાં. સરસ ચણેલો રસ્તો ક્યારેક ખાસ્સો ઊંચો ચઢતો પણ ગયો. ચોકીદારના પહેરા સાથેના એક ગેટમાંથી પસાર થયા પછી અમે રિચાર્ડ અને હૅલનના વસવાટી પરિસરમાં આવી ગયાં. નૈસર્ગિક પરિસરની વચમાં આ ખૂબ સરસ આધુનિક ગોઠવણી હતી – ભરપુર લીલોતરી, સ્વચ્છ હવા, ને સાથે જ પાકા ચણેલા રસ્તા, સુંદર મકાનો.
આ વિશાળ રહેવાસી પરિસરમાં દોઢેક હજાર ઘરો બંધાઈ ગયાં છે, અને બીજો-ત્રીજો હિસ્સો ધીરે ધીરે શરૂ થતો જાય છે. ઘર નાનાં કે મોટાં હોય, છેક રસ્તા પર કે છુપાયેલાં હોય, પણ બધાં છેલ્લાં વીસ-પચીસ વર્ષ પહેલાં બનેલાં છે. દરેક પ્લૉટ ફૂલછોડ અને મોટાં જૂનાં વૃક્ષોથી સજ્જ છે. સમયને અનુરૂપ સગવડોની સાથે સાથે કુદરતનો ખ્યાલ પણ રખાયેલો છે.
રિચાર્ડ અને હૅલનનું ઘર નાનું અને સરસ હતું. પાછળ સળંગ વરંડો હતો, જ્યાં સળંગ જાળી નંખાવેલી, એટલે હવા-ઉજાસ આવે, માખી-મચ્છરો આવી ના શકે, અને પાષાણયુક્ત પાહાડો દેખાયા કરે. આ કારણે જે બહાર હતું તે હંમેશાં આંખોની સામે રહેતું હતું.
એ બંનેને બહાર કામ કરવું ગમે, એટલે એમણે બધે ફૂલો ઉગાડેલાં, જાતજાતનાં ફળોનાં ઝાડ રોપેલાં, રસોઇમાં વપરાય તેવાં શાક અને ઔષધિ વાવેલાં. પનામાની સ્થાનિક ઇન્ડિયન જાતિના બે યુવાનોને માળી તરીકે રાખેલા, છતાં જાતે પણ ઘણું કરે. ગમતી જીવન-રીતિ માટે અમેરીકાથી દૂરનું આ સ્થાન એમણે પસંદ કરેલું.
એમનાં જેવાં અનેક દંપતી અન્ય પશ્ચિમી દેશોમાંથી આવીને અહીં સ્થાયી થયેલાં છે. એ બધાં સહેલાઈથી મિત્રો બની જતાં હોય છે, અને સ્વીમિન્ગ, હાઇકિન્ગ, ક્લાઇમ્બિન્ગ જેવી પ્રવૃત્તિઓ સાથે મળીને કરતાં હોય છે. જેમને ઑપૅરા અને આર્ટનો શોખ હોય તેવાં યુગલ એક-બે દિવસ પનામા શહેરમાં ગાળતાં હોય છે.
આમ તો, જે જીવન છોડીને આવ્યાં હોય તેવું જ જીવન અહીં જીવતાં હોય. ફેર એટલો, કે અહીં ટૅન્શન ઓછાં હોય, સમયની ગતિ ધીમી હોય, અને ખર્ચા પણ વૅસ્ટર્ન દેશો કરતાં એક-તૃતિયાંશ જેટલા ઓછા હોય છે. છતાં, સાવ જુદી જગ્યાને અપનાવવા માટેની સજ્જતા અને ધીરજ હોય તો જ સુખેથી રહેવાય.
રિચાર્ડ અને હૅલન રોજ સવારે ટૅલિવિઝન પર અમેરિકાના સમાચાર સાંભળી લેતાં. તે પછી આખો વખત એ બંને આ જ સ્થાનમાં ઓતપ્રોત રહેતાં. બંને સ્થાનિક એવી સ્પૅનિશ ભાષા શીખવાનો, બોલવાનો પ્રયત્ન કરતાં રહેતાં હતાં. ભાષાનું સૂત્ર હંમેશાં બહુ મજબૂત પુરવાર થતું હોય છે.
માળી તરીકે રાખેલા યુવાનો સાથે બંને સહૃદયતા દાખવતાં, સ્પૅનિશમાં વાતો કરતાં, એમને ખાવાનું અને કોકાકોલા જેવાં પીણાં આપતાં, અને બને તો એમને થોડે સુધી ગાડીમાં મૂકી પણ આવતાં. રિચાર્ડે મને કહેલું, કે એ લોકો બહુ દૂર રહેતા હતા. આવી તળ-જાતિઓનાં ગામો પહાડોના ઢોળાવોની વચમાં, ખીણોની વચ્ચેના નાના મેદાનોમાં વસેલાં હોય છે. ત્યાં વીજળી અને પાણીના નળ હજી પણ આવ્યાં નથી. સૂરજ ઢળે એટલે અંધારું, અને પાણી માટે નદી હોય ત્યાં રોજ જવાનું.
હું હતી તે દિવસે, બાગનું કામ પૂરું થયું એટલે રિચાર્ડ એ યુવાનોને ગાડીમાં થોડા માઇલો સુધી મૂકવા ગયા. હું પણ સાથે ગઈ. મને પર્વતના ઊંડાણમાં જવાની બીજી તક ક્યાં મળવાની? એમને ઉતાર્યા તે પછી પણ એ યુવાનોનું એક-દોઢ કલાકનું ચાલવાનું બાકી હતું. ને ત્યારે બંને પોતાને ઘેર પહોંચવાના. ઘણી મહેનતની અને તકલીફની જિંદગી છે તળ-લોકોની. ના સંપૂર્ણ રીતે ટ્રૅડિશનલ રહેવાય, ને ના સંપૂર્ણ રીતે મૉડર્ન થવાય.
આપણાં ઘરોમાં હોય તેવી મહેમાનગીરી અહીં નહતી. શું ખાશો, શું પીશો, એવું નહીં, પણ રિચાર્ડ અને હૅલન ત્યાં જતાંની સાથે મને બહાર ચાલવા લઈ ગયેલાં. ઢોળાવો સતત ઉપર અને નીચે થતા રહેતા હતા. પછી સાંકડા પથ્થરોની બનેલી સીડી આવી. સારું હતું કે વરસાદ પડતો અટકેલો. બધા પથ્થર લીલને કારણે લીલા બનેલા હતા. પીસ્તા જેવો હલકો રંગ હતો એમનો. આસપાસ સર્વત્ર એક લીલો જ રંગ હતો.
બસો જેટલાં પગથિયાં હશે. થોડાં તૂટેલાં, ને થોડાં લપસણાં પણ ખરાં. ને હું તો સાધારણ ચાલવાનાં ચંપલ પહેરીને ગયેલી. સાચવીને ચાલી, એટલે વાંધો ના આવ્યો. બહુ આકરું ના હોય તેવું આઉટિન્ગ જ પસંદ કરેલું રિચાર્ડે. અલબત્ત, પેલાં બસો પગથિયાં ઊતરેલાં તે ચઢવાનાં પણ આવ્યાં જ.
દૂર હતાં ત્યારથી જ પાણીનું ગર્જન સંભળાવા માંડેલું. પછી અમને એ ધોધ દેખાયો. ત્રણ-ચાર પાતળી સેરમાં પાણી પડતું હતું. જે મુખ્ય પ્રપાત હતો તે બીજા ધોધની જેમ પછડાતો નહતો, પણ પાષાણો ઉપર સરકતો, વળાંક લેતો જતો હતો. જુદું સ્વરૂપ હતું એનું. છતાં, એનો અવાજ ઓછો નહતો.

એ નાની નદી પર લાકડાંનો એક પુલ બાંધેલો. અમે એના પર ચાલ્યાં ત્યારે એ બહુ હાલતો, ને થથરતો રહ્યો. સારું હતું, કે એનાં પાટિયાં પર પૂરતા જાડા વાયર વીંટાળેલા હતા, ને એ તૂટી પડવાનો ભય નહતો. એના પર ઊભાં રહીને પાણીનો ગર્જન-રવ ક્યાંય સુધી સાંભળ્યો.
જંગલની લીલી ગીચતાની અંદર આવી કેડીઓ, ને નાનકડી નદીઓ, અને ધોધ અનેક છે. અત્યંત વિશાળ છે આ આખો વિસ્તાર. મન વારંવાર પૂછ્યા કરે, શું જોવું?, શું કહેવું?, શું અનુભવવું? ને પછી થાય, આહા, વર્ણન પણ શું કરવું કુદરતના આવા મહિમ્નનું.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સંસ્કૃતિની વ્યાખ્યા રાજકારણીઓ પાસેથી શીખવી પડે એ કળિયુગ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સંસ્કાર, સંસ્કૃતિ, કળા, ધર્મ જેવી બાબતો રાજકારણીઓ વ્યાખ્યાયિત કરવા માંડે ત્યારે આ વિદ્યાઓની અધોગતિ થઈ એમ કહી શકાય. રાજકારણીઓ ઊપરાંત લાખોની સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા, ‘સંત’ તરીકે ઓળખાતા લોકોનો પણ આમા સમાવેશ થાય. સંસ્કાર, સંસ્કૃતિ અને કળા ખરેખર તો અમૂર્ત બાબત છે, જે પોતાના સમયની અસરોને ઝીલે છે. પણ તેમાં રાજકારણીઓનો પ્રવેશ થાય એટલે પત્યું! સત્તા ટકાવી રાખવાના પોતાના ટૂંકા અને એક માત્ર સ્વાર્થ ખાતર રાજકારણીઓ આ બાબતોને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે. મોટા ભાગના લોકો આ ચાલમાં આવી જાય છે, અને તેઓ પણ પોતાની સમજણને કોરાણે મૂકીને રાજકારણીઓ દ્વારા પઢાવાયેલા પાઠ રટવા લાગે છે. હકીકતમાં રાજકારણીઓને મન આ મુદ્દા પોતાની ખુરશી ટકાવી રાખવાના ગતકડાંથી વિશેષ કશું નથી હોતું. આના માટેનું સૌથી હાથવગું માધ્યમ છે શિક્ષણ. દરેક શાસનકાળમાં પાઠ્યપુસ્તકો જુદી જુદી રીતે લખાતાં રહ્યાં છે, જેનો હેતુ પણ જુદો જુદો હોય છે.
આ બાબતનું વરવું, અને વધુ એક ઉદાહરણ જોવા મળ્યું. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(એન.સી.ઈ.આર.ટી.)ના નવમા ધોરણના કળા અંગેના પાઠ્યપુસ્તકમાં મોહેં-જો-ડેરોમાંથી મળી આવેલી, ‘નર્તકી’ની જગવિખ્યાત પ્રતિમાનો ઊલ્લેખ છે, સાથે તેની છબિ પણ હોય એ સ્વાભાવિક છે. કાંસાની બનેલી આ અસલ પ્રતિમા દિલ્હીસ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સંઘરાયેલી છે. તેનો સમયગાળો ઈ.સ.પૂર્વે ૨૩૦૦થી ઈ. સ. પૂર્વે ૧૭૫૦નો હોવાનું મનાય છે, અને તે સિંધુ સંસ્કૃતિની ઝલક આપતી મહત્ત્વની કળાકૃતિ છે. ૧૯૨૬માં તે મળી આવી હતી. કળાના ઈતિહાસમાં તેના ઊલ્લેખ વિના ઈતિહાસ અધૂરો લેખાય, આથી તે વરસોથી પાઠ્યપુસ્તકમાં સ્થાન પામે છે.
કાઉન્સિલના સભ્યોને અચાનક, આ વરસે લાગ્યું કે આ તો નગ્નતા કહેવાય, અને નવમા ધોરણનાં બાળકોને એનાથી દૂર રાખવા જોઈએ. આથી આ પ્રતિમાની છબિના ધડના ભાગને ઘેરો કરીને એવો અસ્પષ્ટ કરી દેવામાં આવ્યો કે એ સપાટ જ જણાય. હા, આ પ્રતિમા એક નગ્ન યુવતીની અવશ્ય છે, અને સૌ કોઈ જાણે છે એમ શિલ્પકળામાં અર્ધનગ્ન કે નગ્ન માનવશરીરનું શિલ્પ હોવું તદ્દન સામાન્ય બાબત છે, કારણ કે શરીરનાં વિવિધ અંગો થકી શિલ્પકળાનાં વિવિધ આયામોને શિલ્પમાં ઊજાગર કરવાની શિલ્પકારને તક મળે છે. આ કોઈ સંશોધન કે અભિપ્રાય નથી, બલકે સર્વસામાન્ય હકીકત, પદ્ધતિ અને પ્રણાલિ છે. આને પગલે ઊહાપોહ થયો એટલે ‘યોગ્ય તપાસ અને કાર્યવાહી’નો આદેશ અપાયો. ‘નિષ્ણાતો’ ના અભિપ્રાય લેવાયા અને એ પછી મૂળ છબિને પાછી મૂકવાનો આદેશ અપાયો. પુસ્તકોનું મુદ્રણ થઈ ગયું છે, આથી હવે તેની ડીજીટલ આવૃત્તિમાં સુધારો પહેલો કરવામાં આવશે અને એ પછી ફેરફાર કરાયેલી આવૃત્તિમાં.

નવમા ધોરણના પાઠયપુસ્તકમાં છપાયેલી ‘નર્તકી’ની મૂર્તિની સુધારેલી છબિ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીએવું નથી કે સંસ્કારના આવા હુમલા પહેલવહેલા છે. કોઈ પણ બાબતને નગ્નતાનું લેબલ મારવાની ‘સંસ્કારી’ લ્હાયમાં આવા સાંસ્કૃતિક રખેવાળો નગ્નતા અને અશ્લિલતા વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. સૌથી મોટી વક્રતા એ છે કે જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની તેઓ દુહાઈ આપીને આમ કરે છે, એ જ પ્રાચીન સંસ્કૃતિની આ ઓળખ અને અભિન્ન હિસ્સો છે. આવા ‘સંસ્કારી’ હુમલા આજકાલના નથી. ‘સભ્ય અને સંસ્કારી’ દેખાવાની હોડમાં મોટે ભાગે લોકો સામાન્ય બુદ્ધિને બાજુએ મૂકી દે છે. એક સમયે ખજૂરાહોનાં શિવમંદીરની બહાર આવેલાં, કળાના ઊત્તમ નમૂના જેવાં ભોગશિલ્પોને નષ્ટ કરી દેવાનો પ્રસ્તાવ કેટલાક ‘સંસ્કારી’ લોકોએ ગાંધીજી સમક્ષ મૂકેલો. ગાંધીજીએ એ બાબતે ખ્યાતનામ ચિત્રકાર, શાંતિનિકેતનના કલાભવનના આચાર્ય અને કળામર્મજ્ઞ નંદલાલ બોઝનો આ બાબતે અભિપ્રાય મેળવવા સૂચવેલું, જે સ્વાભાવિકપણે જ આ શિલ્પોને જાળવવાની તરફેણમાં હતો.
કશી સેન્સરશીપ વિનાનાં ઓ.ટી.ટી.(ઓવર ધ ટોપ) માધ્યમો પરથી પ્રસારિત કરાતી વિવિધ ફિલ્મો કે ધારાવાહિકોમાં ગાળ હવે સાવ સામાન્ય તત્ત્વ બની ગયું છે. મહિલાઓનું વિવિધ રીતે થઈ રહેલું ઉત્પીડન અને એ કરનારાઓને મળી રહેલો રાજકીય આશ્રય એટલો ખુલ્લેઆમ અને રોજિંદી ઘટના છે કે એની કશી નવાઈ રહી નથી. જાતીય રીતે વિકૃત લોકોનાં નામોલ્લેખ ધરાવતા એપસ્ટિન ફાઈલ્સ જેવા નામોશીભર્યા દસ્તાવેજમાં દેશના મંત્રીનાં નામ આવે એ સ્વીકૃત છે, પણ આપણી ખરેખરી પ્રાચીન સભ્યતામાં સંસ્કારના આ પૂજારીઓને ‘નગ્નતા’ જણાય છે.
નગ્નતા ખરેખર તો મનની હોય છે, અને જાહેરમાં પોતાની ‘સંસ્કારી’ છબિ ઊપસાવવા માટે તેનું દમન કરવામાં આવે ત્યારે તે આવા માર્ગે બહાર આવતી હોય છે. દુર્ભાગ્યે સંસ્કારિતાના આવા રખેવાળો એવા રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, જે આવી બાબતો માટે એકધાર્યું, સળંગ, બદનામ વલણ ધરાવે છે. જે દેશમાં પુરવાર થયેલા બળાત્કારીઓની સજા માફ થઈ જાય, તેમનું છડેચોક સ્વાગત થાય, અમુક કિસ્સામાં તો તે પૂજાય ત્યાં શિક્ષણના ક્ષેત્રે પેધેલાં આવાં સરકારી પ્યાદાં નગ્નતાને છાવરવાને નામે આવું હાસ્યાસ્પદ કૃત્ય કરાવે એ વિચિત્ર ન કહેવાય!
જનતા તરીકે આપણા કેવા ખરાબ દિવસો આવી ગયા કહેવાય કે હવે રાજકારણીઓ આપણને સંસ્કારની વ્યાખ્યા આપે, સંસ્કૃતિ કોને કહેવાય એ જણાવે, આપણા રાષ્ટ્રપ્રેમને તેઓ પ્રમાણિત કરે અને કળાનાં ધોરણો પણ તેઓ જ નિર્ધારીત કરે. શિક્ષણની ઘોર ખોદીને અટકે નહીં, પણ તેને છેક સાતમા પાતાળ સુધી લઈ જાય અને સતત નીચે ઊતારતા જાય. આ બધું સાતત્યપૂર્વક, તીવ્રતાપૂર્વક થઈ રહ્યું છે અને આપણે રાજકારણીઓએ વ્યાખ્યાયિત કરી આપેલી શબ્દાવલિઓના નવા અર્થોને હોંશે હોંશે સ્વીકારી રહ્યા છીએ. એટલે વિચારવાનું આપણે છે કે શું આપણે આને જ લાયક છીએ? પેલી જાણીતી ઊક્તિ અનુસાર, ‘આપણે જેને લાયક હોઈએ એવા જ રાજકારણીઓ આપણને મળતા હોય છે.’ સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ કે કળાની, કોઈ પણ રાજકારણી કે રાજકીય પક્ષે કરેલી વ્યાખ્યામાં હોંકારો ભણતાં પહેલાં આ સત્ય યાદ રાખવા જેવું છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સ્મૃતિસંપદા – સપના વિજાપુરા : જિંદગીકા સફર [૧]
‘ખૂલી આંખના સપના’ અને ‘સમી સાંજના સપના’ નામના બે ગઝલ સંગ્રહ તથા ‘અધૂરાં સપનાં’ નામની નોવેલની લેખિકા સપના સ્વપ્નલોક સમાન અમેરીકાના કેલિફોર્નિઆમાં એમના પતિ શરીફ સાથે વસે છે.તેમનો જન્મ મહુવામાં ૧૯૫૩માં થયો હતો. કેમેસ્ટ્રીના સ્નાતક સપનાબેનને નાનપણથી લેખનકાર્યમાં રસ હતો. કલાપીના કાવ્યો એમના હ્રદયમાં સ્પંદનો જગાડી જતા.
૧૯૭૭માં અમેરિકા આવ્યા પછી બેંકમાં જોબ અને ગૃહિણી તરીકેની ફરજોને કારણે વર્ષો સુધી કાગળ કલમ હાથમાં લઈ શક્યા નહી. ૨૦૧૦માં ઉદાસીના વાદળોને વિખેરવા માટે કલમ હાથમાં લીધી અને હ્રદયમાંથી પ્રેમાનંદ ફરી વહેવા લાગ્યો. છાપાઓમાં અને સાહિત્યિક સંસ્થાઓમાં એમની રચનાઓને દાદ મળવા લાગી. સાહિત્યિક ક્ષેત્રે વધુ પ્રવૃત થઈ દેશ-વિદેશના કવિ સંમેલનોમાં પણ તેમણે સક્રિય રસ લીધો. પારિતોષિકો અને પ્રમાણપત્રો દ્વારા તેઓ પ્રોત્સાહિત થતા રહ્યા.
લેખન અને વાંચનને તેઓ પ્રસન્નતાનું ઝરણું અને માનસિક ઉપચાર માને છે. પ્રવાસ એમનો શોખ છે અને તેઓએ લગભગ ૩૨ દેશોનો પ્રવાસ કર્યો છે. www.kavyadhara.com બ્લોગ પર એમને વધુ વાંચી શકાશે.
Email: sapana53@hotmail.com
હર જીવન એક કહાની હૈ!
અકબંધ કોઈ કિતાબમાં વર્ષોથી સાચવી રાખેલા સૂકા ગુલાબની જેમ સાચવી રાખેલી આ સ્મૃતિઓ હજુ સુવાસિત છે! જ્યારે કોઈ શાંત જળમાં પથ્થર ફેંકે તો વમળ ઉઠીને કિનારાને અડી જાય છે તેમ મારા શાંત માનસપટ પર વિચારરૂપી પથ્થર ફેંકે તો સ્મૃતિઓ કઠપૂતળી બનીને સામે નાચવા લાગે છે. સ્મૃતિ કષ્ટદાયક પણ હોય અને પ્રેમદાયક પણ હોય! આ સ્મૃતિ આપણને જીવનભર એ રીતે વળગીને રહે છે જે રીતે વૃક્ષને વેલી વીંટળાયેલી રહે છે . જો વૃક્ષથી વેલ જુદી કરવામાં આવે તો મરી જાય! આજ ફરી એકવાર હું અતીતની સફર કરવા જાઉં છું! ચાલો, મારી સાથે ભાવનગરથી લંબાઈને તળાજામાંથી પસાર થઇ માલણ નદીને પાર કરીને બંને બાજુ જટાયુ જેવી નાળિયેરીની હારમાળામાંથી કોઈ કોઈ તપસ્વી જેવો પસાર થતો એ રસ્તો તમને મહુવા સુધી પહોંચાડી દેશે!
મહુવા એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય! ત્રણ બાજુ દરિયો અને એક બાજુ રસ્તો! ભવાની જાઓ કે દીવાદાંડી અથવા બંદર! એકજ દરિઓ પણ જુદાં જુદાં રૂપ એના! બંદરમાં એ શાંત ઋષિમુનિ જેવો, જેમાં પડીને અમે ખૂબ નાહ્યાં છીએ! કિનારા આગળ પાણી છીછરાં! અમેરિકાના બીચ જેવો! દીવાદાંડીનો ઉછાંછળો! દીવાદાંડી ત્યાં એટલે જ રાખવામાં આવી હશે. કારણકે ત્યાંનો દરિયો પથરાળ. આજુબાજુ મોટાં મોટાં પથ્થરથી ઘેરાયેલો! એણે પથ્થર સાથે માથાં પછાડીનેઅદભૂત કોતરકામ કર્યું છે, એવું લાગે કે હમણાં પથ્થર ગીત ગાઈ ઉઠશે! ભવાનીમાં મોટાં મોટાં રેતીના ઢગલાં છે!અહીં ભવાનીનું મંદિર છે. અહીં દરિયો ખૂબ ઊંડો છે અને અંદર દલદલ પણ છે.
એકવાર હું, મારી બહેન શીરીન અને મારા કાકાની દીકરી નિલોફર ભવાનીનાં દલદલમાં ઉતરી પડયાં હતાં. શીરીને નીલોફરને તેડેલી હતી. અમે ભવાની ફરવા ગયેલાં. દૂર ફતુમાબેન અને એના ફિઆન્સે પ્રેમગોષ્ઠી કરી રહ્યાં હતાં. અમે હાથ હલાવી હલાવીને એમને બોલાવવાં પ્રયત્ન કરતાં હતાં. બંને પ્રેમમગ્ન હતાં. અંતે અમે બૂમો પાડીવાં લાગ્યાં તો બંને દોડીને આવ્યાં. ફતુમાબેને સાડી પહેરી હતી. તરત એમણે સાડી કાઢીને પથ્થર સાથે વીંટાળીને એક છેડો અમારાં તરફ ફેંક્યો, બીજો પકડી રાખ્યો. સાડી ને પકડીને અમે બહાર નીકળી ગયાં . અમે લગભગ ઢીંચણ સુધી દલદલમાં ખૂંપી ગયાં હતાં. આમ છતાં દરિયો મને ખૂબ વહાલો છે. શરદપૂનમમાં ઘણી રાતો અમે દરિયા કિનારે વિતાવી છે, આખી રાત જાગીને દૂધપૌંઆ ચાંદનીમાં રાખીને રમત પણ રમ્યાં છીએ!
ચાંદ રૂપેરી જાળ બીછાવે
પ્રેમાન્ધ દરિયો મોજા ઉછાળે
બુંદ બુંદ પ્રેમથી ચરણો પખાળે
આંખો મારી પ્રેમ વરસાવે
રહી રહીને મને દરિયો સાંભરેઆજ ના જાણે કેમ મહુવાની નાની ગલીયોમાં મન દોડી દોડીને જાય છે, મને પણ સાથે ઘસડી જાય છે. દાદા ની હવેલીમાં એ ભાગીને પહોંચી જાય છે. ધોબીવાડની સાંકડી શેરીમાં દાદાની ત્રણ માળની હવેલી હતી. મારું બાળપણ આ હવેલીમાં જ વીત્યું. આ નાનકડી શેરીમાં મોટે ભાગે ધોબીઓ રહેતાં હતાં. ઘર માલણ નદીના તટ થી બહું દૂર ના હતું. તેથી નદીમાં પૂર આવે તો પાણી હવેલીના ડેલામાં પણ આવી જતું અને એમાં સાપ માછલી જેવા નાના પાણીમાં રહેતાં જાનવર પણ આવી જતાં. બા કુરાન પડીને આ પાણી ઉતરવાની દુઆ કરતાં .
મારો જ્ન્મ એક મુસલમાન કુટુંબમા મહુવામાં થયેલો. પરિવાર ખૂબ સુખી હતું. જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો નથી. અમે છ બહેનો અને બે ભાઈ હતાં. પપ્પા બ્રીટિશ જમાનામાં મેટ્રિક સુધી ભણ્યા હતા એટલે ઈંગ્લીશ સરસ બોલતા. મમ્મી વિજપડી ગામનાં હતાં એમણે શિક્ષણ લીધું ના હતું, પણ હંમેશા અમને શિક્ષણ માટે પ્રેરણા આપતાં!
હું પહેલા ધોરણમાં હતી ત્યારે ભણવાં જવું મને ના ગમે, કારણકે જેઠા સાહેબ ખૂબ ગુસ્સાવાળા હતા, કાંઈ ના આવડે તો ધડ દઈને થપાટ મારી દે. હું ફક્ત પાંચ કે છ વર્ષની હોઈશ. મારા નાજુક ગાલ પર એમની આંગળીના નિશાન પડી જતા. શાળા ઘરની નજીક હતી. શાળા અને ઘરની વચ્ચે એક ખંડેર હતું. તો હું સ્કૂલે જવાને બદલે ખંડેરમાં બેસી રહેતી અને સ્કૂલ પૂરી થાય એટલે ઘરે આવી જતી! થોડા દિવસ આવું ચાલ્યું, પણ એક દિવસ મારી મોટી બહેન ફતુમા મને જોઈ ગઈ અને મારી ધુલાઈ થઇ. મેં પણ રડતાં રડતાં કહી દીધું કે મને જેઠા સર મારે છે. પપ્પા ધુંઆફુંઆ થતા શાળામા ગયા અને જેઠા સરની ધૂળ કાઢી નાખી. આ પ્રસંગે અમેરિકામાં કિન્ડરગાર્ડનમાં ભણતાં ભૂલકાં યાદ આવી ગયાં. કેટલા પ્રેમથી શિક્ષકો બાળકોને સાચવે છે.
દાદાની હવેલીમાં ત્રેવીશ ઓરડા અને આઠ બાથરૂમ હતા. દાદાને ઓઇલમીલ હતી. ડુંગળીના મેડા પણ ભરતા! દાદાની સાથે મારા કાકા બરાબર જામી ગયા હતા. પણ પપ્પાને આવા કોઈ ધંધામાં રસ ના હતો. એમને ફિલ્મ દુનિયામાં રસ હતો. દાદાની સાથે એમનો ખટરાગ હંમેશા ચાલતો. એક સમય આવ્યો હતો ત્યારે પપ્પા મુંબઈ જતા રહ્યા હતા અને મેહબૂબ સ્ટુડિયોમાં કામ પણ કર્યું હતું. ત્યાં જઈને રેડિયો રિપેરનો કોર્સ પણ કર્યો. ઘરે આવ્યા પછી પપ્પાએ રેડિયાની દુકાન નાખેલી જે મહુવામા ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. પપ્પા મમુભાઈ રેડિયાવાળા તરીકે અને અમે રેડિયાવાળાની દીકરીઓ તરીકે પ્રખ્યાત થઈ ગયાં. દાદા સાથે અણબનાવ થતા એ જ હવેલીના નીચેના માળ પર અમે રહેવા આવી ગયાં
દાદાએ પપ્પાને ખાસ કોઈ વસ્તુ આપી ન હતી. દાદાનો પ્રેમ હંમેશા કાકા પર વધારે હતો. કદાચ દાદાના એ કહ્યાગરા દીકરા હતા. અમે છ બહેનો હતી. એક પછી એક સુવાવડમાંથી પસાર થતી બાને દીકરાની આશા હતી અને છેવટે સાદિકનો જન્મ થયો. એ અમારા માટે ખૂબ ખુશીની વાત હતી. ઘરમાં ભાઈ આવ્યો હતો. અમે બહેનો તો ભાઈને તેડી તેડીને ફરીએ, અને ખૂબ લાડ કરાવીએ. પછી બે વરસમાં બીજો ભાઈ મહેબૂબ પણ આવ્યો. રેડિયાની દુકાનમાં બહુ મોટી આવક ના હતી. કાકા ઓઇલમીલની બધી આવક રાખતા અને ખૂબ જાહોજલાલીથી રહેતા. પપ્પાની વાત યાદ કરતા એક વાત યાદ આવી, પપ્પાને કબૂતરને દાણાં આપવા ખૂબ ગમતા અને હું એમના ખોળામાં ફ્રોક પહેરીને પપ્પાની વાટકીમાંથી મારી નાની નાની મુઠ્ઠીમાં દાણાં લઈને કબૂતરને નાખતી. કદાચ અત્યારે પક્ષી પ્રત્યેનો પ્રેમ એ નાની મુઠ્ઠીમાંથી આવ્યો હશે.
પપ્પા અમને પાર્ટીશનની વાત કરતા. મારું મોસાળ વીજપડી ગામમાં હતું. એ ખૂબ નાનું ખેતી પ્રધાન ગામ હતું. મારા નાના એ ગામના મુખી જેવા હતા. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટિશર્સ , મહમદઅલી ઝીણા અને જવાહરલાલે મળીને ભારતના ભાગલાં પાડવાનું નક્કી થયું. ભારતમાતાની છાતી પર લોહીથી લકીર દોરવામાં આવી! આ ભારત અને આ પાકિસ્તાન! નેતાઓએ જે નિર્ણય લીધો તે લીધો,પણ એ નિર્ણયને લીધે કેટલા લોકોને વતન છોડવું પડ્યું. કેટલા પોતાના વ્હાલાઓથી દૂર થઇ ગયાં! પાર્ટીશન સમયે ટ્રેન ભરીને લાશો ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત આવતી! મિલિયન્સ લોકો મરી ગયાં . મિલિયન્સ ઘરબાર વગરના થયાં! 75000 વધારે સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. નાના નાના બાળકોની લાશો રસ્તા પર રઝળતી મળી આવતી! ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે કે આવું ખુનારેજીવાળું પાર્ટીશન ક્યાંય જોયું નથી અને જોવા મળશે નહીં! મારા નાના અને એમના ઘરનાએ ભારત છોડી પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. મારી બાના લગ્ન થઇ ગયા હતા, તેથી બા મહુવામાં રહી ગયાં. પપ્પાએ ભારતમાં જ રહેવાનું વિચાર્યું. કેટલા સમય સુધી એ લોકો હિન્દુની જેમ રહ્યાં પોતાની ઓળખ છૂપાવીને ! અત્યારે એવું લાગે છે કે આ ધર્મના વાડા શા માટે? “ના તેરા ખુદા કોઈ ઔર હૈ, ના મેરા ખુદા કોઈ ઔર હૈ , યે જો રાસ્તે હૈ જુદાં જુદાં, યે મામલા કોઈ ઔર હૈ! બેસતાં વર્ષને દિવસે બા નવી સાડી પહેરે અને જાતજાતની મીઠાઈ મંગાવે , અમે આંગણામાં રંગોળી બનાવીએ ,ફટાકડા ફોડીએ અને આનંદમંગળ કરીએ. અડોશપડોશની વહુઓ બાને પગે લાગી આશીર્વાદ લે અને બા બધાને પૈસા આપે! આવો પ્રેમભાવ અમારી વચ્ચે હતો! પણ આ ઝેર ક્યાંથી આવ્યું હશે?
૧૯૬૪ માં પપ્પા અમને પાકિસ્તાન લઈ ગયેલા. બા નાના તથા નાનીને ખૂબ યાદ કરે એટલે પપ્પાએ અમને બધાં ને પાકિસ્તાન લઈ જવાનું નક્કી કર્યુ. દાદાએ ખૂબ વિરોધ કર્યો પણ પપ્પા મક્કમ હતા. અમે દરિયા માર્ગે એક સ્ટીમરમાં ગયાં હતાં. તોફાની દરિયામાં થી પસાર થઈ અમે ત્રણ દિવસની મુસાફરી પછી કરાચી પહોંચ્યા હતાં. રસ્તામાં વીજળી, ધોધમાર વરસાદ પણ પડેલો. જુના જમાનાની એ સ્ટીમર ડૂબતાં ડૂબતાં બચી હતી. મને ત્યાં જરાય પણ ગમતું ના હતું. વતન યાદ આવતું હતું. બે મહિના રહી અમે ભારત પાછાં ફર્યા. મારી એક શિક્ષિકાએ મને મહેણું માર્યુ, “તું પાકિસ્તાની છે, તું તારા દેશમાં જતી રહે!” મને ખૂબ દુઃખ થયું કે મારું વતન ભારત છે મને પાકિસ્તાની કેમ કહી? હું ખૂબ રડી! પ્રિન્સીપાલ પાસે જઈને ફરિયાદ કરી કે ફ્લાણા બહેન મને પાકિસ્તાની કહે છે. પ્રિન્સીપાલે શિક્ષીકાને બોલાવીને ખૂબ ધમકાવ્યાં પછી કદી એમણે મને પાકિસ્તાની કહી નહીં. હું ભારતીય છું અને મને ભારતીય હોવાનો ગર્વ છે.મને બાળપણથી જ વતન પ્રત્યે ખૂબ પ્રેમ! દેશભક્તિના ગીતો ખૂબ ગમે અને હજુ પણ મારા રુંવાડા ઊભા કરી દે છે.
માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
આવી વતનથી દૂર કારાવાસમાં.હું આઠમાં ધોરણમાં આવી ત્યારે મને એન્જીનીયર બનવાનો શોખ જાગેલો. તેથી હું જે.પી. હાઈસ્કૂલમાં દાખલ થઇ. સ્કૂલવાળા મને લેવા તૈયાર જ હતા નહિ, કારણકે એ ફક્ત છોકરાઓની સ્કૂલ હતી. તેર થી ચૌદ વર્ષની હોઈશ અને હું સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ઝગડી પડી કે મારે ટેકનિકલ માં દાખલ થવું છે, તમે મને ના શા માટે કહો છો? સ્ત્રી પુરુષના સમાન હક માટે એ પહેલું પગથિયું હતું. મારું લોહી ઉકળી આવ્યું. અંતે પ્રિન્સિપાલ માની ગયા. પચાસ છોકરાની વચ્ચે હું એકલી છોકરી. જીદ કરીને હું કલાસમાં આવી તો ગઈ, પણ મને મજા આવતી નહોતી. કારણકે રીસેસમાં હું એકલી પડતી, લેડીઝ વોશરૂમ ના હતું. એટલે બાથરૂમ જવાનો પણ પ્રોબ્લેમ થઈ ગયો. હવે શું કરું? મારા મોટાબહેન ફતુમાબેન ને લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ અને ફરીથી એમ.એન. સ્કૂલમાં ટ્રાન્સફર લીધી. ત્યારે મને લાગેલું કે ભલે હું કન્યાશાળામાં પાછી આવી ગઈ પણ મેં છોકરાની શાળામા દાખલો તો લીધોને! મારો હક હતો તે મેં લીધો ભલે હું ત્યાંના વાતાવરણને હું અનુકૂળ ના થઇ શકી ને મારું શિક્ષણ પૂરું ના કરી શકી!
એક બંગલા બને ન્યારા!
માધ્યામીક શાળા એમ.એન. હાઈસ્કુલમાં કરી, મેં ૧૯૭૧ માં મેટ્રિક પાસ કર્યુ. કાકા સ્ટેશન રોડ પર રહેવા જતા રહ્યા. હવે બાપાજીએ હવેલી વેચી નાખવાનું નક્કી કર્યું. બાપાજીએ પપ્પાને નૂતનનગરમાં એક જગ્યા અપાવી દીધી જ્યાં પપ્પાએ 299 બંગલો બનાવ્યો.
કૉલેજકાળમાં મારા સપનાએ અર્ધ ખીલેલી કળીની જેમ આંખો ખોલી હતી. સપનાની જિંદગી એટલે સપનામાં વિહરતી સપનામાં મહાલતી સપનામાં જીવતી એક કલ્પનાની દુનિયા! કૉલેજના પહેલા વર્ષમાં આવી ત્યારે નવા બંગલામાં રહેવાં ગયાં હતાં, ત્યારે અમે ત્રણ જ બહેનો પપ્પાની સાથે હતી. ત્રણનાં લગ્ન થઇ ગયેલા. પપ્પા અમને ત્રણ ને પૂછીને દરેક વસ્તુની પસંદગી કરે! જેમકે ક્યાં રૂમમાં કઈ લાદી નાખવી, રસોડું કેવું બનાવવું, ડાઇનિંગ ટેબલ કેવો જોઈએ, બગીચામાં ક્યાં ફૂલ નાખવા. ક્યાં ફળ વાવવાં! આ બંગલો એમની જાન બની ગયો હતો. એક સપનું બની ગયો હતો. ત્રણ બેડરૂમ, એક ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન, વરંડા, હોલવે અને ઉપર અગાશી અને એક સ્ટોર રૂમ!! બસ આ ઘરમાં પપ્પાનો આખો સંસાર સમાઈ ગયો હતો.
સાંજે શેરીની છોકરીઓ સાથે ખો ખો, આંધળીયો પોતલળીઓ રમવું શેરીની છોકરીઓને ટ્યુશન આપવું, લાયબ્રેરીમા જઈ પુસ્તકો નો ઢગલો લઇ આવવો પછી ગરમ બપોરમાં પંખા નીચે સૂઈ પુસ્તકો વાંચવાં! આ ઘર દિવસે દિવસે વધારે ને વધારે વહાલું થતું જતું હતું. બગીચો હવે ખૂબ મહેકી ગયો હતો. રાતરાણી, સાચા ગુલાબ અને ચંપો અમારાં બગીચાને મહેકાવા માટે પૂરતાં હતાં. અને જાસુદ, બોગનવેલ અને પારિજાત બગીચાને રંગ આપી રહ્યાં હતાં. નાળિયેરી, કેળાં અને પપૈયા ફળ આપી રહ્યાં હતાં. પપ્પા રોજ સવારે બધાં છોડને પાણી આપે અને પ્રેમથી એને પ્રસારે. એક એક ફૂલ સાથે વાતો કરે. બા પણ પપ્પા પાછળ ફરી પપ્પાને મદદ કરે. સવારના સાત વાગ્યાથી લગભગ નવ વાગ્યાં સુધી બંને આ કામ કરે. બા મારા એકદમ સાદા ,સીધા અને સરળ સ્વભાવનાં હતાં. બાનો વાન એકદમ ગોરો હતો. એમની દાઢી પર એક છૂંદણું ટંકાવેલું હતું. બા ગુજરાતી સાડલો પહેરતાં. ગુજરાતી હિરોઈન દિના પાઠક જેવા લાગતા! સ્નેહ નીતરતી આંખો એમની ઓળખાણ હતી!
પપ્પાની ઈચ્છા મને ડૉક્ટર બનાવવાની હતી. પહેલાં એફ.વાયથી મેડિકલમાં જવાતું હતું.પણ કમનસીબે એ વરસથી અચાનક પ્રી સાયન્સથી મેડીકલનાં ઍડમીશનનું ચાલું થયું અને મેં પ્રી સાયન્સમાં બહું મહેનત કરેલી નહીં એટલે મેડિકલમાં ના જઈ શકી. પછી નર્સીંગમાં જવું હતું પણ એ જમાનામાં નર્સીંગને બહું સારો પ્રોફેશન ગણવામાં આવતો ન હતો તેથી પપ્પાએ ના જવા દીધી.પછી ભણવામાં રસ ઓછો થઈ ગયો.
જિંદગી ઔર મૌત તો ઉપરવાલેકે હાથમે હૈ!
હું જ્યારે કૉલેજનાં ચોથા વરસમાં હતી ત્યારે મારા જીવનમાં એક હાદસો થઈ ગયો જે હું જીવનના અંત સુધી નહીં ભૂલું. મારી એક મોટી બહેન નજમા પરકોમના છોકરાના પ્રેમમાં હતી. એનું નામ રવિ હતું. રવિ એ કૉલેજનો તોફાની છોકરો હતો. ભણવા ગણવાનું નહીં અને છોકરીઓની લાગણી સાથે રમવાનું! કૉલેજની બહાર ઊભા રહેવું માવા ખાવા અને આવતી જતી યુવતીઓને છેડછાડ કરવી. પણ નજમા પ્રેમમાં અંધ હતી. એને રવિનો અસલી ચહેરો દેખાતો ના હતો. એ બંને વચ્ચે કૈક ખટરાગ થતા નજમાએ એકવાર ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. તેથી પપ્પા ગભરાઈ ગયા, એમણે કહ્યું,”બેટા,જો રવિ તારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો મને વાંધો નથી, સમાજ અને ધર્મની વિરુધ જઈને તારા લગ્ન રવિ સાથે કરાવી આપીશ. મારે માટે દીકરીનું જીવન કોઈ સમાજ કે ધર્મ કરતાં વધારે છે. તું રવિ સાથે લગ્નની વાત કરી લેજે.” રવિના માબાપ આ પ્રેમસંબંધની વિરુધ હતાં. પપ્પાએ દીકરીની જીદ આગળ નમતું જોખેલું. પણ રવિ ને તો રમત કરવી હતી લગ્ન ક્યાં કરવા હતા?
એ દિવસે મારા કેમેસ્ટ્રીના પ્રેકટીકલ હતાં. ચાર વાગે હું કોલેજથી પાછી ફરતી હતી. મેઘદૂત સિનેમા પાસે પહોંચી તો અમારા પડોશી લાભુબેન એકદમ હાંફળા ફાફળા દોડતાં મારી પાસે આવ્યાં, મને કહે કે જલ્દી ઘરે જા તારાં ઘરમાં કૈંક બની ગયું છે. મારા હાથમાંથી પુસ્તકો પડી ગયા. હું ઘર તરફ ભાગી તો ઘરમાં રોકકળ ચાલું હતી, નજમાએ રવિની હાજરીમાં પોતાના પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. એનું અર્ધ બળેલું શરીર મારી સામે હતું. મારી આંખો પટપટાવાનું ભૂલી ગઈ હતી ગળે ડૂમો બાજી ગયો હતો. મારા હાથ પગ ધ્રુજી રહ્યાં હતાં . રવિ સામે જ રસોડામાં ઊભો હતો. મારું શરીર ગુસ્સાથી ધ્રુજી રહ્યું હતું, મારા હાથમાં કોફીનો કપ આવ્યો, મેં જોરથી એ કપ રવિના માથામાં માર્યો. એ ભાગી ગયો. ફરી કદી મહુવામાં નજર ના આવ્યો. એમ્બ્યુલન્સ આવી નજમાને લઈ ગઈ. પપ્પાની આંખોમાં ચોધાર આંસું હતા. નજમા થોડી વાર માટે હોશમાં આવી. પપ્પા બાજુમા બેઠા હતા. પપ્પાને જોઈને બોલી “પપ્પા મને બચાવી લો, મારે મારો જીવ એ બેવફા માટે નથી આપવો.” પપ્પાએ કહ્યું “બેટા તને જરૂર બચાવી લઈશ.” નજમા ફરી બોલી “પપ્પા મારા શરીર ઉપર બળવાના ડાઘ તો રહી જશેને?” એ બોલ્યા ” બેટા, તું શું કામ ચિંતા કરે છે, હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવીશ.”નજમા એ પપ્પાનો હાથ પકડી રાખ્યો. ધીરે ધીરે એની આંખો સદા માટે બંધ થઈ ગઈ. નજમા પપ્પાને કરગરતી રહી મને બચાવી લો. પણ પપ્પા એને બચાવી ના શક્યા.
નજમાનું મય્યત ઘરે આવ્યું. બધા મને હાથ પકડીને છેલ્લીવાર નજમાનું મોઢું જોવા માટે આગ્રહ કરતાં હતાં. પણ મેં સુંદર નજમાને જોયેલી, મને બળેલું મોઢું જોવાની હિંમત ના હતી. મારે એને સુંદર રીતે જ યાદ રાખવી હતી. રસોડાની બારીમાંથી મેં જનાજો જતા જોયો. હું નજમાને હજુ સુધી અલવિદા નથી કહી શકી! બા અને પપ્પા આ ગમ જિંદગીભર ભૂલી ન શક્યાં. હું કોલેજનાં ચોથા વરસની પરીક્ષા ના આપી શકી. મેં ડ્રોપ લઈ લીધો. પછીના વરસે એટલેકે ૧૯૭૫ માં મેં ચોથા વર્ષની પરીક્ષા આપી. ભણવામાં દિલ ચોંટતું ના હતું. તેથી પાસિંગ માર્ક સાથે પાસ થઇ.નજમા ઉર્દુમાં શાયરી લખતી હતી.
देकर हीज़्र मुझे खुद खुदा भी परीशां है हशरमें
“क्या होगा गर मर जायेगी एक मासुम बेखता.મને જુદાઈ આપીને કયામતમાં ખુદ ખુદા પણ પરેશાન છે,
“શું થશે જો એક નિર્દોષ વાંક વિના મરી જશે”નજમાનું મૃત્યુ એ 299 નો પહેલો આઘાત હતો. આમારું જીવન બદલાઈ ગયું હતું. હવે 299 અમને ખાવા ધાતુ હતું. મારો એક બહુ નજીકનો મિત્ર હતો તેનું નામ અશોક હતું જે રવિનો દોસ્ત પણ હતો. શાંત સ્વભાવનો અશોક રવિ થી બિલકુલ વિપરીત સ્વભાવનો હતો. પણ નજમાના મૃત્યુ પછી પણ એ રવિનો દોસ્ત રહ્યો એટલે મને એના પર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં એની સાથે દોસ્તી તોડી નાખી, એને કહ્યું તું જો રવિ સાથે દોસ્તી રાખે તો હું તારી સાથે દોસ્તી ના રાખી શકું કારણકે રવિના શરીરમાંથી મારી બહેનની બળેલી ચામડીની બદબુ આવે છે, તું જો એની સાથે રહે તો મને એ બદબુ તારામાંથી પણ આવશે. અમારી દોસ્તી તૂટી ગઈ. આમ નજમા ની સાથે સાથે એક મિત્ર પણ ખોયો.
પણ સમયનું શું છે? સમય તો વહેતો જ રહેવાનો. જીવનને ઝાટકા આપી આપીને પણ એ ક્યાં થંભે છે? સારો કે ખરાબ સમય હંમેશા પસાર થઇ જતો હોય છે. ખુશી હોય તો સમય ક્યાં પસાર થાય એ ખબર પડતી નથી. અને ખરાબ સમય કાચબાની ગતિથી પણ પસાર થઇ જાય છે.
પપ્પા અમારું ખૂબ ધ્યાન રાખતા. અમને બધા દુઃખોથી બચાવીને રાખતા. પપ્પા એટલે ખૂબ હિમંતવાળુ પાત્ર!! પણ નજમાના મૃત્યુ સમયે પપ્પાને તૂટતા જોયા છે. ક્યારેય ના રડતા પપ્પાની આંખોમાંથી ચોધાર આંસું નીકળતાં જોયાં! નજમાના મૃત્યુ પછી ઉદાસ થતી તો પીકચરમાં લઈ જતા અને જાત જાતના બહાના કરી હસાવતા!! જાત જાતના પુસ્તકો લઇ આવે. અમારી સાથે કેરમ રમે ! માબાપમાં કેટલી સબર હોય છે. પોતાનું દુઃખ છૂપાવીને બાળકોને પોતાના દામનમાં છૂપાવી દે છે. નજમાથી હું નાની એટલેકે પાંચમો નંબર! હવે મારા લગ્નની ચિંતા બા પપ્પા કરવા લાગ્યાં હતાં. અમે શિયા હતા. શિયા મુસલમાનનો એક ફીરકો છે. નજમાની આત્મહત્યાની ખબર ઘરે ઘરે પહોંચી ગયેલી. એટલે શિયામાં મારા લગ્ન થવા મુશ્કેલ હતા. બધાં ઘરમાં વાતો થતી કે મમુભાઈની દીકરીએ હિંદુના છોકરાના પ્રેમમાં આત્મહત્યા કરી. મમુભાઈ દીકરીઓને ખૂબ છૂટ આપે છે. આવી દીકરીને કોણ ઘરમાં લાવે!
પપ્પાએ અમારા માટે સ્ત્રી મેગેઝીન બંધાવેલું. એમાં હું હંમેશા લગ્ન માટેની જાહેરાત જોતી. મને વિચાર આવ્યો કે હું પણ આમાં જાહેરાત આપું તો કેવું! પપ્પાની ઈચ્છા ના હતી. તેમ છતાં મેં મારી મોટી બહેન ફતુમાનુ સરનામું આપી સ્ત્રીમાં જાહેરાત મોકલાવી. જો કોઈને રસ હોય તો ફતુમાના ઘરે પત્ર લખે. લગભગ ત્રણ મહિના સુધી કોઈ જવાબ ના આવ્યો, પણ પછી શરીફનો પત્ર આવ્યો. અમે લોકોએ મળવાનું નક્કી કર્યું. એને ટેલિગ્રામ કર્યો કે એ મને મળવા આવે છે. પણ મને ટેલિગ્રામ મળ્યો નહિ. ૧૨મી જૂન ૧૯૭૬ ના દિવસે સવારે પાંચ વાગે અમારા બંગલાની ડોરબેલ વાગી. પપ્પા એને ઓળખી શક્યા નહીં. શરીફે કહ્યું, “હું બાનુમાને મળવા આવ્યો છું. મેં ટેલીગ્રામ કરેલો શું આપને મળ્યો નથી?” પપ્પાએ ના પાડી. હું લઘરવઘર કપડામાં હતી અને સામે શરીફ ઊભો હતો.ઘરમાં બધાં ઉઠી ગયાં. બા ઉઠીને નાસ્તો બનાવવા લાગ્યાં. હું શાવર લઈને સફેદ સાડી પહેરીને એની સામે તૈયાર થઈને આવી ગઈ. બશીરા બાને મદદ કરવા લાગી. એટલામાં દસ વાગી ગયા અને ટેલિગ્રામવાળો આવ્યો અને ટેલિગ્રામ આપીને કહે બેન કોઈ તમને મળવા આવે છે, બક્ષિસ આપો! અને સર્વ હસી પડ્યાં!
મારા અને શરીફ વચ્ચે પત્ર વહેવાર ચાલતો રહ્યો. શરીફ અમેરિકા જવાનું વિચારતો હતો. અમેરિકા જવું એ મારા માટે કોઈ મોટી વાત ના હતી, કારણકે અમેરિકાને મેં ફક્ત નકશામાં જ જોયેલું અને અમેરિકા જવું એટલે મોટી તક હતી અને તમારું જીવન બદલી નાખશે એવો કોઈ વિચાર મને ના હતો. પણ એ હંમેશા અમેરિકાની ખૂબ સારી સારી વાત કરતો એટલે અમેરિકાનું મહત્વ ધીરે ધીરે મને સમજાવા લાગ્યું. એ વિઝા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એને ફાર્મ ડી કરેલું. તે જમાનામાં ડોકટર્સ, ફાર્માસીસ્ટ અને નર્સને ગ્રીનકાર્ડ મળી જતું હતું. અંતે એને પણ વિઝા મળી ગઈ. એ ૨ ઓક્ટોબર, ૧૯૭૬ ના દિવસે ફરી મને મળવા મહુવા આવ્યો. એની ઈચ્છા હતી કે જો હું હા પાડું તો સગાઇ કરીને અમેરિકા જવું. એને મારી સાથે લગ્ન કરવા એવું દિલથી નક્કી કરી નાખ્યું હતુ. એ મને મહોબત કરતો હતો. એના પત્રો પરથી સાફ જાહેર થતું હતું. પણ હું નાદાન હતી!
પપ્પા પણ પહેલા શરીફનું ઘર તથા એમના કુટુંબને મળવા માગતા હતા. પિતાના મનમાં કેવી દ્વિધા હોય છે એ એક પિતા જ જાણે છે. દીકરીનું સાસરું કેવું છે. લોકો કેવા છે, ખાનદાન કેવું છે, એ જાણવું એ એક પિતાને માટે ખૂબ મહત્વનું છે શરીફ દસ ઓક્ટોબરે અમેરિકા જવા નીકળી જવાનો હતો, પણ પત્રવહેવાર ચાલુ રાખવાનું વચન આપી અમે છૂટા પડયાં.
ક્રમશઃ
-
સમજાયું નહીં….
જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
સેજલે કેટલાયે ત્રાગા કરીને સાસુને અંતે વૃધ્ધાશ્રમમાં મોકલ્યે જ છૂટકો કર્યો. શાલિન ઝગડાનો કાયર..ભીરુ..જે કહો તે.. પણ રોજના કલહ,કંકાસથી ત્રાસીને અંતે…મા ત્યાં જ સુખી થશે..એમ મન મનાવી કચવાતે મને, ભારે હ્રદયે માને મૂકી આવ્યો. અલબત્ત ત્યાં તેમને કોઇ અગવડ ન પડે તે ગોઠવણ કરવાનું તે ચૂકયો નહોતો. સેજલની જાણ બહાર વધારે પૈસા ભરીને બાને વધુ સગવડ મળી રહે તેટલું કરી તેણે થોડી રાહત અનુભવી.પોતાની કાયરતા પર પોતાની જાતને તે ધિક્કારતો રહ્યો. પરંતુ પહેલેથી શ્રીમંત પત્ની પાસે તે દબાઇ ગયો હતો. સેજલનું ભલું પૂછવું..તે કંઇ પણ કરી શકવા સમર્થ હતી. હું મરું પણ…!
લાચાર શાલિન બાને કહે તે પહેલા બાએ જ પરિસ્થિતિ સમજી સામેથી જ….
રૂન્ધાયેલ કંઠે શાલિન એક શબ્દ બોલી ન શકયો. શું બોલે તે ? અને આમ મીનાબહેન વૃધ્ધાશ્રમમાં પહોંચી ગયા હતા. પોતાનું ધાર્યું થવાથી સેજલ ખુશખુશાલ હતી. નોકરની વ્યવસ્થા તેણે પહેલેથી જ કરી રાખેલ હતી. પાંચ વરસની જલશ્રીને સ્કૂલેથી લાવવી, જમાડવી,રમાડવી, રસોઇ કરવી વિગેરે માટે એક બહેન રાખી લીધા અને બાકી ઝાડુ,પોતા,કપડા, વાસણ વિગેરે કામ કરવા તેનો જ સોળ વરસનો દીકરો વિનુ આવતો હતો. આમ બધી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હતી.
નહોતી ગોઠવાઇ શકી ફકત નાનકડી જલશ્રી… દાદીમા વિના તેને કયાંય ચેન નહોતું. દાદીમા વાર્તા કરતા, તેને જમાડતા..તેની સાથે રમતા.દાદી પૌત્રી સાથે ફરવા જતા..દાદીમા બગીચામાં હીંચકા ખવડાવતા..આવા વહાલા દાદીમા તેને મૂકીને કેમ..કયાં ચાલ્યા ગયા..તે તેને સમજાતું નહોતું.મમ્મીને પૂછવાથી તે ખીજાતી હતી. અને પપ્પા તો આ વાતનો જવાબ જ નહોતા આપતા.
આજે સેજલને રજા લેવી પડી હતી. કામ કરનાર બેન અને તેનો દીકરો બંને કોઇ લગ્નપ્રસંગે બહારગામ ગયા હતા. અને આઠ દિવસ પછી આવવાના હતા. તાત્કાલિક આટલે દૂર બીજી કોઇ કામવાળી મળે તેમ નહોતું. આઠ દિવસ શું કરીશ ? આટલી બધી રજા કેમ મળશે ? સેજલને સાસુ યાદ આવી ગયા. એ હતા ત્યારે આવી કોઇ ફિકર નહોતી. જલશ્રી પણ ત્યારે કેવી ખુશ રહેતી.પોતે ઘેર આવે એટલે આજે દાદીમા સાથે શું કર્યું, દાદીમા એ કેટલી વાર્તાઓ કરી., કેવા રમ્યા બધું હોંશથી કહેતી રહેતી. હવે તો કોઇ વાત નથી કરતી. પૂછે તો પણ ખાસ કોઇ જવાબ નથી આપતી. તેના ચહેરા પરથી જાણે નૂર ઉડી ગયું છે.
આજે સેજલને આ બધું યાદ આવવા લાગ્યું. એક મિનિટ તો મનમાં વિચાર પણ આવી ગયો કે સાસુને પાછા લઇ આવવા…પણ પોતે જ કાઢયા હતા. હવે કયા મોંએ પાછા લાવવાનું કહે ? અને એકવાર લાવે એટલે પછી જિંદગીભરની ઉપાધિ…સાજા , માન્દા થાય બધું પોતાએ જ કરવું પડે. ના..ના.. ભલે થોડા દિવસ અગવડ પડે..પણ એ ભૂલ તો કરવી જ નથી. બે ચાર દિવસ પોતે રજાની વ્યવસ્થા કરશે. બે ચાર દિવસ રજા લેવાનું શાલિનને કહેશે. બાકી ભૂલેચૂકે હવે ડોશીને પાછી ઘરમાં ઘલાય નહીં.પુત્રી પણ ધીમે ધીમે ટેવાઇ જશે.
તેણે જલદી જલદી કામ પતાવવા માંડયા. જલશ્રીને તૈયાર કરીને સ્કૂલે મોકલવાની હતી. તેણે જલશ્રીનો નાસ્તો તૈયાર કર્યો. પછી તેને ઉઠાડી. બ્રશ કરાવી નવડાવવા લઇ ગઇ. કપડાં કાઢી જલદીથી નવડાવતી હતી. ત્યાં…. ’ મમ્મી, તું આજે અહીં નહીં ઘસતી હોં. “ સુ સુ “ કરવાની જગ્યાએ મને બહું દુ:ખે છે. ‘ સેજલ ચોંકી ઉઠી. ધ્યાનથી જોયું તો આખો ભાગ લાલ..લાલ અને સૂજી ગયેલ…
‘ આ શું થયું બેટા ? ‘ ’ વિનુ મને નવડાવે ત્યારે રોજ ત્યાં જોશથી ઘસે છે. હું રડું તો ખીજાય છે. અને મમ્મીને કહીશ તો બાવા પાસે પકડાવી દેશે એમ કહે છે.’ જલ ડઘાઇ ગઇ. ’ તે તને બેન નથી નવડાવતા ? ’ ના, રોજ વિનુ જ નવડાવે…અને……’ વાત પૂરી કરતાં પહેલાં જ જલશ્રી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.
સેજલ સ્તબ્ધ…તેની આંખો વરસી પડી. તે દિવસે જ તેણે શાલિન પાસે ફરી એકવાર જીદ કરી..સાસુને પાછા ઘેર લાવવાની. ‘ મેં ભૂલ કરી છે અને હું જ તેમની માફી માગીને લઇ આવીશ.’ કહેતી ભીની આંખે સાસુને પાછા લાવવા પોતે ઉપડી ગઇ.
શાલિનને કશું સમજાયું નહીં.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
હાર્પ : આઇરિશ વીણા
માહિતી જંક્શન
વિશાખા મોઠિયા
એક એવા વાજિંત્રની વાત કરવાની છે જેનું સ્થાન રાષ્ટ્રધ્વજમાં પણ રહી ચુક્યું છે. જે આજે પણ રાષ્ટ્રધ્વજની સાથોસાથ પાસપોર્ટ, સીલ – સિક્કા, આર્મી કોટ, સરકારી કચેરીઓ તેમજ તેના ડોક્યુમેન્ટ પર પણ જોવા મળે છે. આ વાદ્ય ~ વાજિંત્ર વગાડનાર સંગીતકારોને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવતું હતું તેમજ શાહી દરબારોની શોભા વધારતું. તો ચાલો જાણીએ, પ્રાચીન વાજિંત્ર એવા હાર્પ વિશે સાથે જાણીશું તેનો પરિચય, ઇતિહાસ, તેની બનાવટ તેમજ વિશેષ બાબતો વિશે.

હાર્પ એ તંતુવાદ્યની શ્રેણીમાં આવતું ત્રિકોણાકાર વાજિંત્ર અથવા તો T શેપ વાજિંત્ર છે. તે પ્રાચીન આયર્લેન્ડનું સત્તાવાર રાષ્ટ્રીય પ્રતીક હતું, જેમ આપણે અશોકસ્તંભ છે એવી રીતે. આજે પણ આયર્લેન્ડનાં પાસપોર્ટ, સરકારી દસ્તાવેજો, ચલણી સિક્કા વગેરેમાં હાર્પનું ચિહ્ન જોવા મળે છે. હાર્પનું મૂળ આઇરિશ નામ clairseach – ક્લારશાખ હતું. સ્કોટલેન્ડમાં તે clarsach – ક્લારશાખ તરીકે ઓળખાતું. હાર્પ એ પોતે ફ્રેન્ચ શબ્દ Harpa પરથી આવેલ છે, જે ત્રિકોણાકાર તંતુવાદ્યને દર્શાવે છે. આ ઉપરાંત તે ગેલિક હાર્પ તરીકે ઓળખાતું. અત્યારનું મોડર્ન જમાનાનું હાર્પ કોન્સર્ટ હાર્પ તરીકે ઓળખાય છે.
હાર્પના ઈતિહાસ વિશે જાણીશું.
હાર્પ કેટલું જૂનું છે એ કહેવું અશક્ય છે. પરંતુ મેસોપોટેમિયા અને ઇજિપ્શિયન સભ્યતામાંથી તેના ૫૦૦૦ વર્ષ જૂના ચિત્રો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ૮ મી સદીના ખ્રિસ્તિયન ક્રોસના પથ્થરો પર તેમજ એ સમયની મળેલી હસ્તપ્રતો પર તેના ચિહ્નો જોવા મળ્યા હતા. હાર્પનો અર્થ માત્ર તંતુવાદ્ય એટલે કે લાકડાના કોઈ માળખામાં ચાંદી – પિત્તળ અથવા તો ગટ (પ્રાણીઓનાં સુકાયેલા આંતરડા) તાર ગોઠવેલા હોય એમ થતો હતો. હાર્પની કોઈ ચોક્કસ વ્યાખ્યા કે અર્થ નહોતો આવ્યો. લગભગ મોટા ભાગના દેશોની સંસ્કૃતિ તેમજ માયથોલોજીમાં હાર્પનો અલગ અલગ નામ, સ્વરૂપ ~ આકાર સાથેનો સંદર્ભ જોવા મળે છે. ૧૦ મી સદીમાં યુરોપમાં આવા તંતુવાદ્ય જોવા મળ્યા હતા, પરંતુ તે હાર્પ ઓછા અને ગિટાર વધારે લાગતા હતા.
આયર્લેન્ડ કે જેને મુખ્યરૂપે હાર્પનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે ત્યાં, એનું આગમન અગિયારમી સદીની આસપાસ થયું હોય એવું માનવામાં આવે છે. હાર્પ આયર્લેન્ડની સાથે સાથે સ્કોટલેન્ડમાં પણ હતા. આ ત્રિકોણાકાર તંતુવાદ્યનું નામ એ લોકોની સ્થાનિક ભાષામાં પાડવામાં બહુ બધી ગડમથલ જોવા મળી હતી. જ્યાં સુધી હાર્પનું કોઈ ચોક્કસ નામ અસ્તિત્વમાં નહોતું આવ્યું, ત્યાં સુધી તેના માટે cruit અને crott જેવા નામો સજેસ્ટ કરવામાં આવ્યા હતા, કારણકે આ બંને નામો તંતુવાદ્ય સાથે જોડાયેલા હતા. પરંતુ આ બંને નામોમાંથી એકપણ નામ આ ત્રિકોણાકાર તંતુવાદ્યને ફીટ બેસતું નહોતું, કારણ કે cruit અને crott જેવા નામો ચાર બાજુવાળા ચતુષ્કોણ તંતુવાદ્ય સાથે વધુ સંકળાયેલ હતા. પરંતુ જ્યાં સુધી હાર્પનું કોઈ ચોક્કસ નામ નહોતું આવ્યું, ત્યાં સુધી તે cruit તરીકે ઓળખાતું હતું. ૧૨ મી સદીથી તેને સત્તાવાર રીતે આયર્લેન્ડનું રાષ્ટ્રીય પ્રતીક જાહેર કરવામાં આવ્યું હતું. ૧૩ મી સદીના આયર્લેન્ડના રાષ્ટ્રધ્વજમાં બ્લુ રંગના બેકગ્રાઉન્ડ પર કેન્દ્રસ્થાને ચાંદીના તારવાળું સુવર્ણ હાર્પનું ચિહ્ન રાખવામાં આવ્યું હતું. આ સમયગાળામાં હાર્પ અને તેના સંગીતકારો (harper કે harpist) આયર્લેન્ડના ગેલિક સમાજમાં પ્રમુખસ્થાને હતું.
૧૩ મી સદીમાં આ ત્રિકોણાકાર તંતુવાદ્યનું ફ્રેન્ચ શબ્દ Harpe પરથી Harp – હાર્પ નામ જાહેર કરવામાં આવ્યું. ૧૪ મી સદીમાં, હાર્પ આયર્લેન્ડમાં તેના આઇરિશ નામ Clairseach – ક્લારશાખ તરીકે ઓળખાયું અને સ્કોટલેન્ડમાં Clarsach – ક્લારાશાખ તરીકે ઓળખાયું.
૧૨ મી સદીથી આ ત્રિકોણાકાર તંતુવાદ્યનો સુવર્ણકાળ શરૂ થયો. આયર્લેન્ડમાં વસતા ગેલિક સભ્યસમાજની સંસ્કૃતિમાં હાર્પ અને તેના સંગીતકારો (હાર્પર કે હાર્પિસ્ટ) પ્રમુખસ્થાને હતા. આપણે જેમ હરખના પ્રસંગમાં ઢોલ વાળાને બોલાવીએ તેમ ગેલિક લોકો પણ કોઈપણ પ્રકારની ઉજવણી વખતે હાર્પ વગાડવાવાળાને બોલાવતા. બાળક જન્મ (છઠ્ઠી), લગ્ન પ્રસંગ, યુદ્ધમાં જતી વખતે, યુદ્ધ પછી વિજયરેલી તેમજ ધાર્મિક તહેવારો તેમજ સામાજિકમાં કાર્યક્રમોમાં હાર્પ વગાડવામાં આવતું. કોઈના મૃત્યુ વખતે પણ સાંત્વના આપવા એને લાગતું સંગીત વગાડવામાં આવતું. પ્રસંગને અનુરૂપ પ્રેમ, આનંદ, ઉત્સાહ, ભક્તિ, પ્રેમ, વિરહ વગેરેની ધૂન વગાડીને કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા.
હાર્પ વગાડનારાઓ તારોમાંથી સુરો રેલાવીને શાહી દરબારોની શોભા વધારતા. તેઓ હાર્પ વગાડતા વગાડતા પૌરાણિક કથાઓ – વાર્તાઓ કહેતા, ગીતો તેમજ કર્ણપ્રિય સંગીતની ધૂનો રેલાવતાં. રાજાઓના દરબારમાં આ કલાકારોનું સ્થાન વિદ્વાન કક્ષાનું રહેતું; તેમજ તે બારોટ તરીકે પણ ભૂમિકા ભજવતા. હાર્પર એવા એકમાત્ર સંગીતકારો (કલાકાર) હતા, જેને મનોરંજક તરીકેનો સ્વતંત્ર કાનૂની દરજ્જો મળેલો હતો. કલાકારોના નખને પણ કાયદાકીય સુરક્ષા આપવામાં આવતી; આપણે જેમ વીમો ઉતરાવીએ એમ. નખને સુરક્ષા એટલા માટે આપવામાં આવતા કારણ કે હાર્પના તારો વગાડીને નખો તૂટી જતાં. હાર્પ સંગીતકારો ને કેટલાય વર્ષો સુધી તેને વગાડવાનો અભ્યાસ કરવો પડતો તેમજ તાલીમ લેવી પડતી. હાર્પ કલાકારોને રાજાના દરબારમાં એક પગારદાર કલાકાર તરીકે રાખવામાં આવતા. સન ૧૫૪૧માં જ્યારે હેનરી આઠમો આયર્લેન્ડનો રાજા ઘોષિત થયો ત્યારે તેણે હાર્પ પર તાજ પહેરેલો હોય (crowned harp) એવા સિક્કાઓ બહાર પાડ્યા હતા.
૧૬ મી સદીમાં આયર્લેન્ડ પર બ્રિટીશરો દ્વારા આક્રમણ બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. હાર્પ એ આયર્લેન્ડની સંસ્કૃતિનું તેમજ રાજકીય દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું પાસું હતું; એક ગૌરવ હતું. દુશ્મન લોકો માટે હાર્પ એ ખતરા સમાન હતું. આથી આયર્લેન્ડ પર કબજો જમાવતાની સાથે જ રાણી એલિઝાબેથ પ્રથમે હાર્પ સંગીતકારોને બંધી બનાવી લીધા હતા અને એ લોકોને ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઘણાંખરા હાર્પ પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આ બ્રિટીશરો હાર્પ સંસ્કૃતિને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં માગતા હતા; એની ઓળખ નષ્ટ કરવા માંગતા હતા. હાર્પ વગાડવા અને તેના ઉત્પાદન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેટલા હાર્પ કલાકારો બચ્યા હતા તેને માટે તો જાણે રોજીરોટી તેમજ આત્મગૌરવ છીનવાઈ ગયું હતું. આથી એ લોકોએ પોતાની કલાને બચાવવા મજબૂરીના માર્યા અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. ત્યાં આ લોકો અલગ અલગ સ્થળે વિચરણ કરીને આ સંગીતકારો હાર્પ વગાડીને પોતાનું ગુજરાન ચલાવતા. ધનિક ઘરોમાં હાર્પ સંગીત શીખવવા જતા. નવી ધૂન – ગીત બનાવીને લોકોનું મનોરંજન કરીને પૈસા કમાતા. આવા કપરા સમયમાં પણ એ વખતના પ્રખ્યાત તેમજ પ્રખર હાર્પ કલાકાર Turlough O’ Carolan એ નવું સંગીત કંપોઝ કરવાનું શરૂ રાખ્યું. હાર્પનો આવો કપરો સમયગાળો લગભગ ૧૬ મી થી ૧૯ મી સદી સુધી ચાલ્યો.
૧૯૬૦થી આ આઇરિશ વીણા – હાર્પનો જાણે પુનર્જન્મ થયો હોય તેમ ફરી પાછું આયર્લેન્ડ માં ઉદ્ભવ્યું. પરંતુ હવેનું આ હાર્પ થોડાંક ફેરફારો સાથે આધુનિક સ્વરૂપમાં હતું. Celtic – કેલ્ટિક હાર્પના સ્થાને આધુનિક જમાનાનું કોન્સર્ટ હાર્પ આવ્યું હતું. હાર્પ સંગીતકારો તેમજ શીખાનારાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધવા લાગી હતી. આ આધુનિક હાર્પ ફ્રેંચમેન જોન ઈગન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે હજુ પણ યથાવત છે.
અત્યારે માત્ર ત્રણ પ્રાચીન હાર્પ જ અસ્તિત્વમાં છે, જેને મ્યુઝિયમમાં સાચવવામાં આવેલ છે. આ ત્રણમાં બે સ્કોટલેન્ડના અને એક આયર્લેન્ડનું છે;
ક્વિન મેરી હાર્પ, લેમૌટ હાર્પ અને બ્રાયન બોરું હાર્પ. આયર્લેન્ડનું બ્રાયન બોરું હાર્પ(૧૪ – ૧૫ મી સદીનું) ડબલિનની ટ્રિનિટી કોલેજની લાઇબ્રેરીમાં સાચવવામાં આવ્યું છે.
હાર્પનું વર્ણન
હાર્પ એ ત્રિકોણાકાર તંતુ વાદ્ય છે. દેખાવમાં આડા ત્રિકોણ જેવું લાગે છે. ઊભો ભાગ સ્તંભ જેવો હોય છે. તેની સાથે એક પોલું સાઉન્ડ બોક્સ જોડાયેલું હોય છે જેમાં તાર ~ તંતુ ફીટ કરવામાં આવેલા હોય છે. પ્રાચીન હાર્પમાં ચાંદી – પિત્તળનાં બનેલા તારનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારના આધુનિક હાર્પ માં નાયલોન, અન્ય ધાતુ તેમજ અમુકમાં તો એનિમલ ગટ (પ્રાણીઓનાં સુકાયેલા આંતરડા) તારનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારના આધુનિક હાર્પમાં ૪૭ તંતુઓ જોવા મળે છે, જેમાં એ તંતુઓ અમુક સંખ્યામાં A, B, C ગ્રુપમાં વિભાજિત હોય છે અને એ બધાય ગ્રુપ અલગ અલગ રંગોથી રંગવામાં આવેલા હોય છે. સાઉન્ડ બોક્સનો ઉપરનો વળાંકવાળો ભાગ ગરદન તરીકે ઓળખાય છે જ્યારે નીચેનો ભાગ નીચે તરફ સીધો ઢળતો હોય છે. સાઉન્ડ બોક્સના ઉપરના ગરદનવાળા ભાગ પર સાઉન્ડ પીચ બદલવા માટેના લેવર બટન આવેલા હોય છે જેનાથી સાઉન્ડ પીચ એડજેસ્ટ થાય છે – તીવ્ર અને કોમળ. સાઉન્ડ બોક્સની નીચે પેડલ ફીટ કરવામાં આવેલ હોય છે. અત્યારે જે હાર્પ વગાડવામાં આવે છે તે કોન્સર્ટ કે લેવર હાર્પ હોય છે. પ્રાચીન હાર્પ કલાકારો તેના નખોથી વગાડતા જ્યારે અત્યારનું હાર્પ કલાકાર નખ પર કવર (ફિંગર પિક્સ) પહેરીને વગાડે છે.
વિશેષ બાબતો
- હાર્પ આયર્લેન્ડ સિવાય યુરોપ, મેક્સિકો, સ્પેન, આફ્રીકા, બર્મા વગેરે જેવા દેશોમાં પણ પ્રખ્યાત થયું હતું, પરંતુ તેનો દેખાવ અને નામ અલગ હતા.
- ભારતમાં હાર્પ ‘સ્વરમંડળ’ તરીકે ઓળખાય છે. જે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, સ્વર્ગનાં ગંધર્વો દ્વારા વગાડવામાં આવતું.
- આજે પણ આયર્લેન્ડના રાષ્ટ્રીય પ્રતીક તરીકે હાર્પ યથાવત્ છે. આયર્લેન્ડના સિક્કાઓ, પાસપોર્ટ, સરકારી સીલ, સરકારી દસ્તાવેજો વગેરે પર તેનું ચિહ્ન જોવા મળે છે.
- વર્ષ : ૨૦૧૯ આઇરિશ હાર્પને યુનેસ્કો દ્વારા Intangible Cultural Heritage (અમૂર્ત સાંસ્કૃતિક વારસો)ની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું.
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ખાતરનો અસંતુલિત ઉપયોગ ખાતર ઉપર દિવેલ સાબિત થશે
નિસબત
ચંદુ મહેરિયા
જૂનનો આખો મહિનો લગભગ કોરોધાકોર ગયો છે. છેક અખાત્રીજથી ખેતર ખેડી આંખોનું નેજવું કરી મેહુલિયાની રાહ જોતો જગતનો તાત ચિંતામાં છે. આકાશી ખેતી પર નભતા કે સિંચાઈ પર જીવતા કિસાનનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એટલે તે ગમે તેટલી મહેનત કરે તો પણ તેને વળતરમાં ઘણીવાર ઘણીબધી નિરાશાઓ સાંપડે છે. વાવેતર થઈ ગયું છે. ખાતર અપાઈ ગયું છે. પણ પાણી ક્યાં? ખાતર-પાણી ભલે સાથે બોલાય પણ સાથે મળે જ તેવું ન પણ બને. આ વરસનું ચોમાસું સામાન્ય રહેશે અને દર વરસ કરતાં થોડો ઓછો વરસાદ વરસશે એવી આગાહીઓ વચ્ચે ખેડૂત જીવે છે.
બિયારણ, ધરુ, છોડ, રોપો, ખાતર, પાણી, દવા એ ખેતી માટેના કિસાનના કેટલાક સાધનો છે. આમ તો ખેતીમાં બધાનું સરખું મહત્વ છે પરંતુ ખાતરનું મહત્વ સવિશેષ છે. સાર્થ ગૂજરાતી જોડણીકોશ મુજબ ખાતર એટલે ખેતર સુધારવા સારુ તેમાં નખાતાં છાણ, કાંપ, લીંડી વગેરે પદાર્થો, તેવો બીજો રસાયણી પદાર્થ.બીજા અર્થમાં ખેતરની જમીન કે માટીમાં પાકના બિયારણ, ધરુ કે છોડને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડતો કુદરતી કે કૃતિમ મૂળનો કોઈ પદાર્થ. જોડણીકોશના અર્થ મુજબ અગાઉ પાકને માત્ર છાણિયું ખાતર જ આપવામાં આવતું હતું. પરંતુ અનાજની અછતમાંથી બહાર આવવા સર્જાયેલી હરિયાળી ક્રાંતિ દરમિયાન વધુ ઉપજ મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ થવા માંડ્યો. તેના કારણે અનાજના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર જ ન બન્યો નિકાસ કરતો પણ થયો. જોકે આજે તો રાસયણિક ખાતરોનો અસંતુલિત અને અતિરેકી ઉપયોગ થઈ રહ્યો છે. જે નુકસાનકારક છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સરકારે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ હેઠળ ખાતરને આવશ્યક વસ્તુ જાહેર કરી છે. ૧૯૭૩ અને ૧૯૮૫ના બે આદેશોથી ખાતરનું વેચાણ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારોને અધિકારો આપેલા છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી પરવડે તે હેતુસર ખાતર પર સબસિડી આપે છે. યૂરિયા ખાતરની ૪૫ કિલોની થેલી જે ખેડૂતોને આશરે રૂ. ૨૬૦ થી ૨૮૦માં પડે છે તેની વાસ્તવિક કિમત લગભગ રૂ.૨૫૦૦ થી ૨૮૦૦ હોય છે. એટલે એક થેલીએ સરકાર આશરે રૂ. ૨૫૦૦ ની સબસિડી આપે છે. આ વરસના ખરીફ કે ચોમાસુ પાક માટે જ ખાતરની સબસિડી રૂ. ૪૧,૫૩૪ કરોડ નક્કી કરી છે. દર વરસે સરકાર ખાતરની સબસિડી પેટે જ ખેડૂતોને રૂ. ૨ લાખ કરોડ આપે છે.
૨૦૧૦ના હુકમથી સરકારે પોટેશિયમ અને ફોસ્ફરસ ખાતરના ઉપયોગ પર નિયંત્રણો લાદ્યા છે. પરંતુ તેમાંથી યૂરિયાને બાકાત રાખ્યું છે. એટલે ખેડૂતો યૂરિયાનો અસંતુલિત, આડેધડ અને અત્યાધિક ઉપયોગ કરે છે. કૃષિ નિષ્ણાતોના મતે ખેડૂતના ખેતરમાં જે છોડ કે બિયારણ વાવ્યું હોય તેને માટે જરૂરી ત્રણ પોષક તત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ૪: ૨: ૧ ના પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ પરંતુ ખેડૂતો સામાન્યત: ૧૧:૪:૧ના પ્રમાણમાં આ તત્વોનો ઉપયોગ કરે છે. ખાતરનો ૧/૩ હિસ્સો જ છોડ અવશોષિત કરે છે. બાકીનો વેડફાય છે. એટલે ખાતરના પ્રમાણમાં સંતુલન જરૂરી છે.
ખાતરનો મોટો જથ્થો સરકારે બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. તેમાં કિંમતી વિદેશી હુંડિયામણ વપરાય છે. વળી ખાતર પર સબસિડી મળે છે.એટલે સરકારને મોટો ખર્ચ વેઠવો પડે છે. બીજી તરફ કિસાનો સસ્તું મળેલું ગણીને જરૂર કરતાં વધુ ખાતર વાપરે છે. ખાતરના અસંતુલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. પ્રદૂષણ વધે છે. ખાતર બનાવતા યંત્રોમાંથી નિકળતો ઝેરી કચરો પાણી અને હવાની ગુણવત્ત્તા બગાડે છે. માનવ આરોગ્ય પર પણ તેની અસર પડે છે. એમોનિયાના સંપર્કથી દમ અને શ્વસનસંબંધી બીમારી થઈ શકે છે.યૂરિયાનો વધુ ઉપયોગ પાકને ફાયદાને બદલે નુકસાન કરે છે. ખાતરના વધારે ઉપયોગથી પોષક તત્વોમાં અસંતુલન થાય છે. માટીની ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેના લીધે પાકની વૃધ્ધિ અને પેદાશ પર પ્રતિકૂળ અસરો જન્મી છે. ૨૦૧૩-૧૪માં ૩૦.૬ મિલિયન ટન યૂરિયાનો વપરાશ થયો હતો. દસવરસ પછી ૨૦૨૩-૨૪માં ૩૫.૮ મિલિયન મેટ્રિક ટન યૂરિયાનો વપરાશ થયો છે. આ વૃધ્ધિ ખાતરના વધુ ઉપયોગને કારણે છે.
વડાપ્રધાને ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વપરાશ અડધો કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. અગાઉ મન કી બાતમાં પણ તેમણે આ વાત કરી હતી. સરકાર તરફથી આ દિશામાં કેટલાંક પગલાં લેવાઈ રહ્યાં છે.પરંતુ તેની ધારી અસર જોવા મળતી નથી. ખાતરોના અસંતુલિત ઉપયોગને અટકાવવા સરકારે ખેડૂતોને ખાતરના ઉપયોગના પ્રમાણ અંગે અને તેનાં કરતાં વધુ ઉપયોગથી થનારા નુકસાન અંગે જાગ્રત કરવા માટે તથા તેમની સમજ વિકસે તે માટેના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.
ખાતર પરની સબસિડી તેના ઉપયોગમાં જોવા મળતા અસંતુલનનું પ્રમુખ કારણ છે. પરંતુ કોઈ સરકાર ખાતરની સબસિડી બંધ તો શું ઘટાડવા માટે પણ વિચારી શકે તેમ નથી. એટલે તેના વિકલ્પો માટે વિચારવું જોઈએ. એક ઉપાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે. એટલે ખેડૂતના બેન્ક ખાતામાં સબસિડીની રકમ સીધી જમા કરવી. ખેતરનો આકાર, જમીનની ગુણવત્તા અને સોઈલ હેલ્થ કાર્ડના આધારે આ સંભવ હોવાનું મનાય છે. પરંતુ સરકારે દેશના ૨૭ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે આ સ્કીમ દાખલ કરી હતી. પરંતુ તેનો ફાયદો ખેડૂતોને ઓછો અને ખાતર ઉત્પાદક કંપનીઓને વધુ થતો જોવા મળ્યો છે.
સબસિડીવાળા યૂરિયા ખાતરના કાળાબજાર થતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું છે. યૂરિયાના ભાવો એટલા ઓછા છે કે ખેડૂતોના નામે કાળાબજારિયા તેની ખરીદી કરી લે છે અને તેનો ઉપયોગ ઔધ્યોગિક રસાયણમાં કરવા દેશમાં અને વિદેશોમાં વેચે છે. તેનો ઉપાય લાભાર્થી ખેડૂતોની ઓળખ વધુ ગંભીર રીતે કરવાની આવશ્યકતા છે. સરકાર પારંપરિક દાણાદાર યુરિયાને સબસિડી માટે યોગ્ય ગણે છે.પરંતુ છોડના પાના પર છાંટવાના પ્રવાહી કે તરલ યૂરિયાને સબસિડી માટે યોગ્ય માન્યું નથી. ખરેખર દાણાદાર યૂરિયા કરતાં તરલ યૂરિયા છોડને માટે વધુ ઉપયોગી છે અને તેનો બગાડ ઓછો થાય છે એટલે સરાકારે નૈનો યૂરિયા અને તરલ યૂરિયા માટે વિચારવું જોઈએ.
ખેતીમાં ખાતરની ભૂમિકા શું અને કેવી છે, તે આરોગ્ય માટે કેટલાં આવશ્યક છે તેની સ્પષ્ટ અને પાકી સમજ ખેડૂતોમાં અને લોકોમાં ઉભી કરવાની જરૂર છે. જૈવિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી લાંબાગાળે કેટલી ફાયદાકારક નીવડે છે તે અંગે પણ જાગ્રતિની જરૂર છે. ટકાઉ ખેતી અને વધુ ખેત ઉપજ માટે ખાતરના ઉપયોગમાં સંતુલન જરૂરી છે. નહીં તો ક્યાંક તે ખાતર ઉપર દિવેલ પણ સાબિત થઈ શકે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોમેડીમાં અશ્લીલતતાને સ્થાન નથી
મંજૂષા
વીનેશ અંતાણી
આપણે ત્યાં સ્ટેન્ડઅપ કોમેડીનું ચલણ વધ્યું છે, પરંતુ ઘણી વાર એમાં મર્યાદા ચુકાઈ જાય છે. અશ્લીલ અને અશોભનીય રમૂજોથી કોમેડીની કલાને કલંક લાગે છે. આ પરિસ્થિતિ સમાજ અને કલાકારો બંને માટે ચિંતાજનક છે. સ્ટેન્ડઅપ કોમેડીના કલાકારોની જોક્સ અને રજૂઆત પ્રેક્ષકો અને સમાજને વિચલિત કરે ત્યારે કોમેડીનું નૈતિક મૂલ્ય જોખમાય છે.
કોમેડી મહાન અને અઘરી કળા છે, દુનિયાભરમાં અનેક ઉત્તમ કલાકારોએ જૂના સમયથી કોમેડીને ઉચ્ચ કક્ષાની પ્રતિષ્ઠા અપાવી છે, રંગભૂમિની જ વાત કરીએ તો કોમેડીના કલાકારો પ્રેક્ષકોને શુદ્ધ મનોરંજન પૂરું પાડતા હતા. રમૂજ, કટાક્ષ અને અસ્વાભાવિક હાવભાવ સાથે તેઓ સામાજિક અને રાજકીય કડવાં સત્યો તરફ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચતા. સામાન્ય વ્યક્તિ સમાજ અને સત્તાધીશોને પૂછવાની હિંમત ન કરે તેવા સવાલો સ્ટેજ પરથી ઉઠાવતા. સંસ્કૃત નાટકોની પરંપરામાં વિદૂષકની ભૂમિકા અગત્યનું સ્થાન ધરાવતી હતી. કેટલાંય નાટકોમાં વિદૂષક નાટકના ધીરોદાત્ત નાયકના સાથીદારનો પાઠ ભજવતા. એ પરંપરા ગુજરાતની ભવાઈ, કર્ણાટકના યક્ષગાન, બંગાળના જાત્રા અને મહારાષ્ટ્રના તમાશા જેવાં ભારતનાં વિવિધ લોકનાટ્યોમાં ઊતરી આવી છે.
ગુજરાતી જૂની રંગભૂમિનાં નાટકોને લોકપ્રિય બનાવવામાં કોમેડીના કલાકારોએ આગવો ફાળો આપ્યો છે. અભ્યાસીઓ કહે છે તેમ વિદૂષકનાં પાત્રો ચાલુ નાટકે રમૂજી કોમેન્ટ કરી નાટકની કાલ્પનિક કથા અને જીવનની વાસ્તવિકતાને જોડતા પુલનું કામ કરતા હતા. તેઓ વિનોદ અને રમૂજપ્રેરક અભિનયથી ટ્રેજેડી અને ગંભીર વિષયનાં નાટકોમાં હળવાશ લાવતા, માનવસ્વભાવની મર્યાદાઓ તરફ આંગળી ચીંધતા અને તત્કાલીન દૂષણો વિશે તંદુરસ્ત ટીકા-ટિપ્પણી કરતા. એ રીતે તેઓ સમાજ સામે અરીસો ધરવાની જવાબદારી અદા કરતા હતા.
મહારાષ્ટ્રના ખૂબ જાણીતા લોકનાટ્ય સ્વરૂપ ‘તમાશા’માં વિદૂષકનું પાત્ર ભજવનાર લોકલાડીલા અભિનેતા દાદૂ ઇંદુરીકર સાથે જોડાયેલા એક સંવાદમાં એક વડીલ એને કહે છે: ‘તું બહુ બોલે છે.’ દાદૂ ઇન્દુરીકરનો જવાબ હતો: ‘કોઈ મારી વાત પર ધ્યાનથી સાંભળશે તો હું ઓછું બોલીશ.’
મરાઠી અને હિન્દી સિનેમાની આંતરરાષ્ટ્રીય હસ્તી અરુણ ખોપકરનું એક સુપ્રસિદ્ધ પુસ્તક છે – ‘ચલત્ ચલચિત્રવ્યૂહ.’ એમાં એમણે સિનેમા અને કળાજગતની અગિયાર પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથેનાં એમનાં અંગત સંસ્મરણો લખ્યાં છે. એ પુસ્તક ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’થી સન્માનિત થયું છે. અશ્વિની બાપટે આ પુસ્તકનો એ જ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એ અનુવાદ સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ પુસ્તકમાં અરુણ ખોપકરે તમાશાના જાણીતા કલાકાર દાદૂ ઇંદુરીકરનાં જીવન અને કળા વિશે આત્મીય લેખ મૂક્યો છે. એમણે લખ્યું છે: ‘દાદૂ માત્ર એક વ્યક્તિ ન હતો. એ તો એક પરંપરાનો ધાગો હતો. એના શરીરની એકેક પેશી એ પરંપરાના ચૈતન્યને લઈને આવી હતી.’ એ પરંપરા હતી ‘હાજરજવાબી વિદૂષકની, કસબી રંગલાની અને વિચિત્ર મશ્કરાની.’ દાદૂનો પરિચય આપ્યા પછી તમાશાના કલાકારોની કળાસાધનાની પણ રસપ્રદ માહિતી આપી છે.નાટ્યકલાકારો અને તેમાંય વિદૂષકનું પાત્ર ભજવતા અભિનેતાઓએ એમની કળા ખીલવવા માટે કેવી અને કેટલી મહેનત કરવી પડતી એની પરદા પાછળ રહી જતી વિગતોથી વાંચકોને મહાન પરંપરાની માહિતી મળે છે. આ સંદર્ભમાં એમનું ખૂબ મહત્ત્વપૂર્ણ વિધાન છે : ‘તમાશાનો રંગલો – વેશ ભજવવાવાળો – અભણ હોય તો પણ અશિક્ષિત તો ન જ હોય. ઘણી વાર તો એ સાક્ષરો કરતાં વધારે શિક્ષિત હોય છે.’ ભાષાનો લય, સંગીતના સંસ્કાર, લોકોનું નિરીક્ષણ કરવાની આવડત વગેરે ગુણો એમની કળાને અલગ જ નિખાર આપતા હતા. અરુણ ખોપકરે કહ્યું છે તેમ ચાલુ નાટકે કલ્પનાશીલતા, સમયસૂચકતા અને હાજરજવાબીપણું એમની કળાનાં અભિન્ન અંગ છે. વિદૂષકનું પાત્ર ભજવતા કલાકારના અભિનય અને વિનોદનો છોળ પ્રેક્ષકો સુધી પહોંચે અને એનાં મોજાં પૂરાં ઓસરે નહીં ત્યાં સુધી એ પોતાના ચહેરા પર ગંભીરતા જાળવી રાખતા, તે પણ એમની કલાશિસ્તની મોટી શરત હતી.
દાદૂએ ભજવેલા તમાશાનાં નાટકોના ઘણા રસપ્રદ કિસ્સા ઘણા લોકોને આજે પણ યાદ હશે. અરુણ ખોપકરે એક નાટકનું દૃશ્ય નોંધ્યું છે: ‘એક તમાશામાં દાદૂ રાજાની સતત મશ્કરી કરતો, રેવડી દાણાદાણ કરતો. રાજા ગુસ્સે થઈ તેને ફાંસીની સજા ફરમાવે તો પણ દાદૂ માફી માગતો નથી અને ઉપરથી હસ્યા જ કરે. રાજા ભડકીને એને કહે છે, ‘તું માફી પણ માગતો નથી. કેવો મગરૂર થઈ ગયો છે.’ દાદૂ ત્યારે કહે છે, ‘મહારાજ, માફી માગી હોત તો પણ અપમાન કરતાં માફી વધુ અપમાનજનાક હોઈ શકે. છે.’ રાજા એને એ સાબિત કરવાનું કહે છે. જો દાદૂ એ વાતનું તથ્ય સાબિત કરી બતાવે તો તેની ફાંસીની સજા માફ થશે તેવી શરત રાખે છે. ‘પછીના દૃશ્યમાં રાજા વાંકો વળીને ફૂલ વીણી રહ્યો છે. એણે શાલ લપેટેલી છે. દાદૂ બાગમાં આવે છે, પાછળથી આવીને ધીરેથી રાજાના નિતંબ પર હાથ ફેરવે છે. રાજા ભડકી જઈને ઊભો થાય છે અને તેની સામે ડોળા ફાડીને જોઈ રહે છે. દાદૂ કહે છે, ‘માફ કરજો, મને લાગ્યું કે આ રાણીસાહેબ જ છે.’ માફી માગીને પણ બેવડું અપમાન કરવાની વાત સાબિત થઈ એટલે તેની ફાંસીની સજા માફ કરવા સિવાય રાજા પાસે કોઈ વિકલ્પ જ ન હતો.’
વિકલ્પ તો વિદૂષકનું પાત્ર ભજવતા કલાકાર પાસે પણ હોતો નથી, એણે એની કળાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એકલા હાથે કરવું પડે છે. નાટકનાં અન્ય પાત્રોને પ્રભાવશાળી સંવાદો, વેશભૂષા અને લાગણીશીલ દૃશ્યોનો આધાર મળે છે, જ્યારે વિદૂષકે પ્રેક્ષકોને હસાવવાના છે, નાટકની કથાનો લય જાળવવાનો છે અને હાસ્ય દ્વારા જીવનનાં ગહન સત્યો પ્રેક્ષકો સુધી પહોંચાડવાનાં છે. દરેક હાસ્યકલાકાર વર્તમાન પરિસ્થિતિઓને સૂક્ષ્મતાથી સમજતો સમાજસુધારક પણ છે. કોમેડીમાં અશ્લીતતાને કોઈ સ્થાન નથી એ સત્ય આજે સ્ટેન્ડઅપ કોમેડીના કલાકારોની સાથે પ્રેક્ષકોએ પણ સમજવાની જરૂર છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
કોણ કરી રહ્યું છે આપણી રક્ષા?
હળવા નિબંધો
માવજી મહેશ્વરી
આ લખું છું ત્યારે એ ભયાનક ઘટનાનો ત્રીજો દિવસ છે. યાદ કરું છું તો શરીર ભયથી કંપી ઉઠે છે. વિચારું છું તો બુદ્ધિ અમુક જગ્યાએ અટકી જાય છે. હું માંડવીથી નીકળ્યો ત્યારે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે ક્યાંક દૂર એક ચોક્કસ સ્થળે સમય મારા પર તરાપ મારવાની વાટ જોઈ રહ્યો છે. મને મિટાવી દેવા, મારો નાશ કરી નાખવા એક ચોક્કસ તત્વ તખતો ઘડીને બેઠું છે. અને એવી કલ્પના તો હું કરું જ શા માટે? કોઈ પણ ન કરે.
એક ક્ષણ ધીમેધીમે નજીક આવી રહી હતી. જે રસ્તા પરથી હું છેલ્લા બે દાયકાથી સ્કૂટર અને મોટર સાયકલથી જાઉં છું એ રસ્તો મારો હંમેશાનો સાથી રહ્યો છે. ક્યા વળંlક છે, રસ્તા ઉપર ક્યાં કયું ઝાડ છે એ પણ મને યાદ છે. એટલે જ હું હંમેશા આ રસ્તે નચિંત બનીને મુસાફરી કરતો રહ્યો છું. અંધારી રાતે બાઈક ચલાવવી એ મારા માટે નવું નથી. જે રસ્તા ઉપર સતત વાહનો દોડ્યા કરે છે એ રસ્તા પરથી વાહન ચલાવવું મારા માટે પહેલીવારનું નહોતું. મેં મોટાભાગની મુસાફરીઓ ટુ વહીલર ઉપર જ કરી છે. આ દ્વીચક્રિ વાહન મને અતિ પ્રિય છે. મારા બાઈક ઉપર ચડું છું ત્યારે મને અશ્વસવારીનો આનંદ મળે છે. અઢી દાયકામાં ક્યારેય ન વાહને મને પાડ્યો છે ન વાહનને મેં પાડ્યું હોય. તેમ છતાં બાઈક અથડાયું.
વવાર પાટિયું છોડ્યા પછી મારું બાઈક એક લાંબુ ચઢાણ ચડી રહ્યું હતું. એ સમયે સામેથી આવી રહેલી એક ટ્રકને ઓવર ટેઈક કરી બીજી ટ્રક આગળ થઈ. મારી આંખો ચાર હેડાઈટ્સનું અજવાળું ઝીલી શકી નહીં કે પછી હું બેધ્યાન હતો એ યાદ નથી. મને મારી જ સાઈડમાં ઉભેલી પાઇપ ભરેલી ટ્રક ન દેખાઈ. હા, મારા બાઈકની દૂરની બત્તી ચાલુ હોત તો દેખાત પણ એવું ન હતું. અને જયારે ટ્રક અને બાઈક વચ્ચે માત્ર છથી સાત ફૂટનું અંતર રહ્યું ત્યારે મારી જિંદગી સામે મોત ઉભું હતું. મને યાદ છે મેં બાઈકને અટકાવવા શક્ય એટલા જોરથી બ્રેક દાબ્યો. તે છતાં મારું બાઈક ભયંકર ધડાકા સાથે ઉભેલી ટ્રકની અંદર ઘૂસી ગયું. ટ્રકની ચેસીસના એંન્ગલ સાથે મારું હેલ્મેટ અથડાયું. માત્ર ક્ષણનો ખેલ હતો અને પૂરો થયો!
એ મોતની ક્ષણ હતી. મોત જાળ પાથરીને બેઠું હતું. છતાં કોઈકે મને બચાવી લીધો. કોણે બચાવ્યો? હા, બુદ્ધિ એમ જરૂર કહે કે હેલમેટ પહેર્યું હતું એટલે માથું બચી ગયું. પણ પેલું તોતિંગ એંન્ગલ હેલ્મેટ સાથે જ શા માટે ભટકાયું. એના કાચ સાથે અથડાઈ શકતું હતું. કોણે આદેશ કર્યો મને માથું જરા નમાવી નાખવાનું? અને શા માટે કર્યો? હું આ બે પ્રશ્નનો તાગ મેળવવા મથું છું. જે રીતે બાઈક અથડાયું એ રીતે મારા બીજા અંગોને ભયંકર ઇજાઓ થવાની શક્યતાઓ હતી, છતાં હું આઠે અંગે સલામત હતો. અરે! તે પછી હું ચોવીસ કિલોમીટર બાઈક ચલાવીને મારા ઘેર પહોંચ્યો! આજે યાદ કરું છું તો પરમતત્ત્વ સામે માથું નમી જાય છે, જેણે મને નવું જીવન આપ્યું. જીવનમાં અસ્તિત્વનો સવાલ ઊભો થાય એવી ક્ષણનો સામનો થાય ત્યારે જ આ શરીર અને જિંદગીની કિંમત સમજાય છે.
આવું મારી સાથે જ બન્યું છે એવું નથી. બીજા અનેકો સાથે બન્યાનો હું સાક્ષી છું. ભૂકંપ વખતે આખુંય ઘર ધસી પડ્યું હોય, પરિવારમાં પાંચ-સાત જણના મૃત્યુ થયાં હોય, છતાં ઘોડિયામાં સૂતેલાં બાળકને કાંકરીય ન વાગી હોય એવા દાખલા મેં નજરે જોયા છે. ૨૨ જાન્યુઆરી ૧૯૮૪ મનમાડ(મહારાષ્ટ્ર )થી આવી રહેલા વ્હોરા પરિવારને કુકમા ફાટક પાસે અકસ્માત નડ્યો. પરિવારના છ જણ મૃત્યુ પામ્યા અને એની સાથે રહેલા એક વૃદ્ધ અને એક બાળકને ઉજરડોય નહોતો પડ્યો. એ મેં મારી સગી આંખે જોયું હતું. આજે એ બાળક યુવાન હશે. શું એ પણ બચી જવાનો અર્થ શોધતું હશે? જેમ હું શોધી રહ્યો છું.
કુદરત અથવા જેને આપણે ઈશ્વર કહીએ છીએ તે આપણને પેદા કરે છે અને આપણને સતત મોતથી બચાવતા રહે છે. આપણી પડખે જ હોય છે. છતાં એની પ્રતિતિ ત્યારે થાય જયારે મોત આપણને સામે આવી ઊભેલું દેખાય. હા, આવી ક્ષણ આપણને જો કોઈ શીખવાડે નહીં કે આપણે કાંઈ શીખીએ નહીં તો એ તો એ ઘટના માત્ર માત્ર દુર્ઘટના જ હોઈ શકે છે. આવે છે અને પસાર થઈ જાય છે. એ મહત્વની ક્ષણનું કોઈ મહત્વ રહેતું નથી.
આજે હું વિચારું છું કે મને બચાવી લેવા પાછળ કુદરતનો આશય શું હશે? શા માટે મને મરવા ન દીધો? હા, કદાચ કુદરત મારા હાથે હજુ કોઈ એવું કાર્ય કરાવવા ઈચ્છે છે જે મારે જ કરવાનું છે. એ કાર્ય કયું હોઇ એ મારે વિચારવાનું છે. વળી કુદરત આવી ક્ષણ આપીને ચેતવવા પણ માંગે છે કે અટલીવાર લાગે! આ તારું- મારું, આ અહમ્ આ ગુસ્સો આ માલિકીભાવની દોડ બધું એક ક્ષણમાં પૂરું થઈ જાય તેમ છે. યાદ કરું છું તો ગદગદ થઈ જાઉં છું ઈશ્વરની અપાર કૃપા જોઈને! હા, હું સર્જક છું, વિચારક છું, જો આવા સમયે હું વિચારું નહીં તો આ લખવાનો કશો અર્થ નથી. મને ગીતાજીમાં ભગવાન કૃષ્ણે કહેલું વાક્ય યાદ આવે છે. એમણે સમગ્ર માનવજાતને ધરપત આપી છે. યોગ:ક્ષેમમ્ વ્હામ્યહમ્: તારા યોગક્ષેમની, તારી સલામતીની ચિંતા હું કરું છું. જો ભગવાન આપણી સલામતીની બાંયધારી આપતો હોય તો પછી એય મારા નાથ, લે હું રહ્યો તારા શરણે! ઈશ્વરનું જ શરણ આપણું અંતિમ લક્ષ્ય છે. જો કે, એની આપણને ખબર હોતી નથી!!
લ્યો ત્યારે આવજો. રામ રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મારા રુદિયામાં આવ્યા હરિ | સાવ પાસે
મારા રુદિયામાં આવ્યા હરિ
રમેશ પારેખ
મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણીકૂણી પીંછી ફરીઘડી હું ફૂંક ને હું જ બંસરી,
ઘડી ડું જ હરિવર નકરી;
મને ખબર્યું ન પડતી ખરીપળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી;
હરિ સોંસરવી હું સંચરી …
સાવ પાસેરક્ષા શુક્લસાવ પાસે, સાવ પાસે છે હવે,
આ હવાને શ્વાસ બનવા દે હવે.
આંખ મીચું કે ઊઘાડું શું મળે ?
સ્વપ્ન કે સહવાસ તારો કે’ મને.
જીભ મુશ્કેટાટ બાંધીને ઊભી,
તું પૂરા કર પાપ, બાકી બે હવે.
કૈં યુગોથી હું મને વાવ્યા કરું,
પાન ક્યાં ‘ને મૂળ ક્યાં? કે’ લે હવે.
હું હસી ‘ને લે, રીઝી પણ, ટેવ વશ,
એ મહોરાંને ઊતારું શે હવે ?
સો વજનિયાં કાંધ પર વે’વારના,
છે મને કીડી વિશે પણ ભે હવે.
લાગતો લૂણો સતત ભીતર બધે,
મોકલ્યા દરિયા છતાં કાં તેં મને. -
કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : પ્રકરણ ૧ લું.

કર્ત્તા : નંદશંકર તુળજાશંકર
એક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાતના એટલે ગુર્જ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજનો હુકમ જાહેર થયો. જ્યોતિષ વિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈન માર્ગના જોશીઓને બોલાવી પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રકટ કીધું કે ઈ. સ. ૧૨૯૭ માં તે નગરનો નાશ થશે. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું. હમણાં તે પાટણ અથવા કડી પાટણ એ નામથી ઓળખાય છે.
પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું, એવી ઘણી જ થોડી નિશાનીઓ માલમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતાં કોતરેલા આરસના પથ્થરો નીકળે છે. વળી ત્યાંના રજપૂત રાજાઓએ વાવ, કુવા, તળાવ, અને દહેરાં વિગેરે બાંધેલાં તેઓ ઉપર કાળચક્ર ફરવાથી, તથા મુસલમાન લોકોના ધર્માંધપણાથી, તે સ્થળે ઘણીએક લડાઈઓ થવાથી, તથા મરાઠાઓના અજ્ઞાનપણા તથા પૈસાના લોભથી તેઓમાંનાં જે થોડાંએક બચેલાં છે તેઓ ભાંગીતુટી અવસ્થામાં હમણાં નજરે પડે છે; તો પણ એ તો નિશ્ચય કે એ શહેર આજથી સાતસો વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું. તેના મહત્વ તથા શોભાવિશે ઘણાએક કવિઓ તથા ઇતિહાસકર્તાઓ લખી ગયા છે.
કુમારપાળચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણે વર્ણન કીધું છે– “અણહિલપુરનો ફરતો ઘેરાવ ૧૨ કોસનો હતો, અને તેમાં ઘાણાંએક દેવાલય તથા વિદ્યાશાળા હતી. ચોરાસી ચકલા,ચોરાસી ચૌટાં, અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંકશાળ હતી. પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદાં ઠેકાણાં હતાં, તેમ જ હાથીદાંત, રેશમનાં કાપડ, હીરા, મોતી, માણેક વિગેરે વ્યાપારની વસ્તુઓ વેચવાની જુદી જુદી જગા હતી, નાણાવટીનું એક જુદું ચૌટું હતું, ન્હાતી વખતે ચોળવાની તથા સુગન્ધિદાર વસ્તુઓનું એક ચૌટું, વૈદોનું એક, કારિગરોનું એક, સોનિઓનું એક, રૂપાના ઘાટ ઘડનારાઓનું એક, ખલાસીઓ, ભાટ તથા વહીવંચાઓનું એક, એ પ્રમાણે જુદાં જુદાં ઠેકાણાં હતાં. નગરમાં અઢારે વર્ણનો વાસો હતો, અને સઘળા લોકો ઘણા સુખી હતા. રાજાના મહેલને લગતાં જુદાં જુદાં ઘણાંએક ઘરો હતાં લડાઈનાં હથિયારોને વાસ્તે, હાથી, ઘોડા, રથને વાસ્તે, તથા હિસાબી મહેતાઓ અને દરબારી અમલદારોને વાસ્તે જુદાં જુદાં ઘર હતાં, પ્રત્યેક જાતની વ્યાપારની જણસને માટે જુદા જુદા ફુરજા હતા. ત્યાં માલની આવક-જાવક તથા વેચાણનું મહેસુલ વસુલ કરવામાં આવતું હતું. માલમાં તેજાના, ફળ, કરિયાણાં, કપુર, ધાતુઓ, તથા તે શહેરની અને બીજાં શહેરોની પેદાશની હરેક કિમતી વસ્તુઓ હતી. આખા જગતનો વ્યાપાર આ શહેરમાં ચાલતો હતો. દરરોજ એક લાખ તનખા મહેસુલ ઉપજતી હતી. જો કોઈ પાણી માગે તો તેને દુધ આણી આપવામાં આવતું. ત્યાં ઘણાંએક જૈનધર્મનાં દહેરાં હતાં; અને એક તળાવને કાંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું. ચંપા, નારીએળી, જાંબુડા, ચંદનવૃક્ષ, અને આંબા વિગેરે ઝાડની ઘટા નીચે લોકો આનંદથી ફરતા. એ ઝાડોને વિંટળાયેલા જાતજાતના વેલાઓ હતા, અને તેઓની પાસે અમૃત જેવાં મીઠા પાણીના કુંડ હતા, અહિંઆં વેદ ઉપર વાદ થતો હતો, અને તેથી શ્રોતાજનોને ઉપદેશ થતો હતો. ત્યાં જૈન માર્ગના ધર્મોપદેશકોની, તથા એકવચની અને વ્યાપારના કામમાં પ્રવીણ એવા વ્યાપારીઓની ખેાટ ન હતી. વ્યાકરણશાળા પણ ઘણી હતી, અણહિલપુર માણસનો સાગર હતું. જો એક મહાસાગરનું પાણી માપી શકાય તો જ ત્યાં રહેનારા માણસોની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું, અને ઘંટવાળા હાથીએાની પણ કાંઈ કસર ન હતી.”
ઉપલા વર્ણનમાં ઘણીએક અતિશયોક્તિ છે ખરી, તો પણ એટલું તો ખરૂં કે, અણહિલપુર પાટણ એકવાર ઘણું દ્રવ્યવાન, મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈ. સ.૧૨૯૬ અથવા સંવત ૧૩પર ના આશ્વિન સુદ ૯ એટલે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે, તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાડો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેરઘેર બારણે તોરણો બાંધેલાં હતાં. આંગણાં આગળ સુંદર રંગના સાથીઆ પુરેલા હતા. લોકો ઘણા આનંદથી હરફર કરતા હતા. બ્રાહ્મણો ધોતીયું, અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાએક તો ટોપી પણ પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલી એક મુદત થયાં હજામની સાથે ભારે દુશ્મનાઈ કીધી હોય એવું તેઓનાં મ્હોં ઉપરથી જણાતું હતું. ચોમાસુ બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખુંપરા કાઢ્યા નથી હોતા તે વખતે તે ખેતર જેવાં જણાય છે તેવાં તેઓનાં માથાં, દાહાડી તથા ગાલ હતાં. એવા કેટલાએક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી તથા શોભીતી હતી. તેને ચાર માળ હતા, અને તેનો બહારનો દેખાવ ઘણો ભભકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો; તેની એક બાજુએ એક મોટો દરવાજો હતો, અને તે ઉપર એક મેડી હતી, તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી, દરવાજામાં પેસતાં જ એક ખુલ્લું મેદાન હતું, તેમાં ઘણા જ ખુબસુરત સાથીયા પુરેલા હતા. તે ચોગાનની ચારે બાજુઓ ઉપર ફરતી અડાળી હતી, તેમાં એક તરફની માં હાથી, ઘોડા, રથ વિગેરે વાહનો રાખવામાં આવતાં હતાં, એક તરફ ગામના પટેલ, અને વાણીયા વિગેરે બીજા લોકો જેઓ રાજા પાસે ઈનસાફ માંગવા આવતા હતા તેઓ પડી રહેતા હતા; એક તરફ કારકુન દફતર ઈત્યાદિ હતાં, અને ચોથી તરફની અડાળીમાં દેવડી, એટલે સિપાઈ ચોકીદાર વિગેરેને બેસવાની જગા હતી. એ દેવડીમાં છ ફીટથી ઉંચા, શરીરે મજબુત, વિક્રાળ મ્હોંના, માંજરી આંખના, અને ભુરા નીમાળાવાળા, કરણના વંશના કહેવડાવનારા કાઠી લોકો હતા, શરીરે ઠીંગણા પણ બાંધાદાર અને કમ્મરે તીરકામઠાં બાંધેલા કોળી, કાળા જુસ્સાવાળા, લુંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો; અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના, સુધરેલી સ્થિતિના, તે પણ શૂર રજપૂત સિપાઈઓ બેઠા હતા.
ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી, અને તેની ભીંત ઉપર ઝાડ, કુલ, જાનવરો, માણસો વિગેરે કોતરેલાં હતાં. બારીઓ અગર જો નીચી હતી તો પણ તેઓ આગળ પડતી હતી, અને તેથી જે રવેશ થતા હતા તેની નીચે ટેકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડા – એટલે પરસાળમાં માળ ઉપર જવાની પથ્થરની સિડી હતી, અને તેમાં ઘણાંએક ઘરના ચાકરો બેસી ગપાટા ગપાટા મારતા હતા. એ પરસાળ મુક્યા પછી જે એરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોક હતો, અને તેની ચારે બાજુએ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા, તથા વચમાં વચમાં હજારી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખેાસેલા હતા. બેઠકના થાંભલાની વચ્ચે અાંબાનાં પાતરાંનાં તોરણ બાંધેલાં હતાં, અને બીજા કેટલાએક ઠાઠમાઠથી તે જગા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્યે એક મોટો કુંડ કરેલો હતો, અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડે માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ બાયડીઓ અને બીજી તરફ ભાયડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોસીપાડોસીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી તથા ઘણીએક વખત નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળ ગમન કરતા હતા,
તે દહાડે નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી માતાનો હવન તે વખતે થતો હતો, બ્રાહ્મણો ઘણા જોશથી ચંડીપાઠના મંત્ર ભણતા હતા તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો, જે તલની આહુતિઓ આપવામાં આવતી હતી તે અગ્નિમાં પડતાં જ તડતડ અવાજ થઈ બહાર પડતા હતા, લીલોતરી તથા સહેલથી બળે નહી એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરતાં જ તેમાંથી ધુમાડાના જે ગોટેગોટા નીકળી સર્પાકારે ઊંચે ચઢી સ્વચ્છ આસમાની રંગના આકાશ જોડે મળી જતા હતા, વખતે વખતે મોટા મોટા સર્વા ઘીએ ભરીને કુંડમાં રેડતા ત્યારે મોટા તાપના જે ભડકા થતા હતા, તેમ જ એક તરફ નાગરની નાજુક તથા રૂપાળી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર તથા આભૂષણ સહિત બિરાજેલી હતી, અને તેમની સામે મોટાં પાઘડીવાળા પણ ગૌર વર્ણના અને ખુબસુરત નાગરગૃહસ્થ તથા બીજા પુરુષો બેઠા બેઠા પાનસોપારી ખાતા હતા, એ સઘળાઓની વાતચિતથી જે ગણગણાટ થઈ રહ્યો હતો, એ સર્વની તો કલ્પના માત્ર થઈ શકે, પણ યથાસ્થિત બ્યાન કરવાને તો કોઈ કવિરાજ અથવા ચિત્રવિદ્યામાં કુશળ પુરુષ જરુર જોઈએ.
જે ઠેકાણે ગામોના પટેલ બેઠા હતા ત્યાં સૌથી કદાવર તથા દેખીતો હોંશિયાર ભાણો પટેલ હતો. તે જાતનો કણબી હતો, અને તેને પટેલાઈમાં રાજાની તરફથી ઘણાંએક વીઘાં જમીન મળેલી હતી, તે સિવાય તે ઘણાંએક પરગણાઓ ઇજારે રાખી તેઓની આમદાની વસુલ કરી રાજાને ત્યાં ભરતો. તેની ઉમર આસરે ત્રણ કુંડી વર્ષની હતી, પણ “સાઠી બુદ્ધિ નાઠી” એ કહેવત તેણે જુઠી પાડી હતી. તેનું શરીર ખાધેલ પીધેલ હતું, અને તેનું મન તેની જુવાનીના વખત જેવું જ તીવ્ર હતું, એટલું જ નહી પણ પ્રત્યેક વર્ષના અનુભવથી તેની અક્કલમાં વધારો થયાં કરતો હતો. તે સિવાય પાછલા વખતના રાજાઓ ખેડુતની સાથે કેવી રીતે ચાલતા હતા, તેઓના વખતમાં જમીનનો દર કેટલો હતો, તથા તે કેવી રીતે વસુલ કરવામાં આવતો હતો, એ વિગેરે જમીન સંબંધી તમામ હકીકત તેની યાદદાસ્તના ખજાનામાં ભરેલી હતી.
તેની સામેની બેઠકમાં જેઠાશા નામે શ્રાવક વ્યાપારી ઉંચી તથા માનવાળી જગાએ બેઠો હતો. એ શખસ લાખો રૂપિયાનો વ્યાપાર જમીન ઉપર તથા દરીયા ઉપર ચલાવતો તેની પેહેડીઓ ગામોગામ હતી. તેની સાખ એટલી તે હતી કે તેને જંગલમાં પણ રૂપિયા મળી શકે. તેનાં વહાણો દેશાવર ખાતે ઘણાંએક ફરતાં અને તેની દોલત લાખો તથા કરોડોથી ગણાતી. મુખમુદ્રા જોવાથી જેઓ માણસના ગુણ, બુદ્ધિ તથા સ્વભાવની પરીક્ષા કરે છે તેઓ જેઠાશાનું મ્હોં જોઈને ઘણું ગુંચવાયા વિના રહે નહી, પૈસા મેળવવાને તથા તેને સાચવી રાખવાને અને વ્યાપાર બરોબર ચલાવવાને જે અક્કલ જોઈએ છે તે તેની શિકલ જોતાં તેનામાં છે એમ શોધી કાઢવું મુશ્કેલ હતું. તેનું શરીર એટલું તો જાડું હતું કે જો તે એકાએક મરી જશે તો તેને ઊંચકી શી રીતે લઈ જવાશે એ વિશે તેની ન્યાતના લોકોને ભારે ફિકર હતી. તેમાં ચરબી એટલી તો હતી કે તેનું પેટ ઝુલી ગયું હતું. અને તેના વાટા એવા મોટા અને જાડા હતા કે જો કોઈ નાની વસ્તુ તેમાં ભરાઈ જાય તો વર્ષોનાં વર્ષો સુધી તેમાં રહે અને તેના જાણ્યામાં પણ ન આવે, તેની બોચી આગળ એક એવો જાડો વાટો વળ્યો હતો કે હજામત કરાવતી વખતે હજામને તેને ઉચકી બોડતાં ઘણી મુશ્કેલી પડતી હશે. તેનું મ્હેાં પણ તેવું જ મોટું હતું. તેની આંખ ખાડામાં પેસી ગયેલી તથા ઝીણી હતી, અને વારેવારે પલકારા માર્યા કરતી તે ઉપરથી જણાતું કે તેને સોનું રૂપું જોવા ઉપર ઘણી પ્રીતિ હતી. એવો જેઠાશા તે વખતે મોતીનાં ઘરેણાં પહેરીને બેઠો હતો. તે આદિનાથનો ભક્ત હતો તેથી માતાના હવન ઉપર તેને કાંઈ આસ્થા ન હતી, તથા તે જોવાથી અને બ્રહ્મવચન સાંભળવાથી પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે એમ તે માનતો ન હતો, તો પણ ઘરધણીને માત્ર ખુશ કરવાની મતલબથી તે ત્યાં આવી બેઠો હતો.
નાગર ગૃહસ્થોની ટોળીમાં એક પુરુષ વિશેષે કરીને તેજસ્વી તથા જોવા લાયક હતો, તે એક મોટા રૂપાની ભમરીવાળા પાટલા ઉપર બેઠેલો હતો, તેના શરીર ઉપર ફક્ત ધોતીયું તથા ઘણી ઉમદા કાશ્મિરી શાલ હતી, હાથે હીરાની પોંહોચી તથા બાજુબંદ હતા, અને આંગળીએ હીરા, માણેક વિગેરેની ચળકતી વીંટીઓ હતી. કોટે વટાણા જેવડાં મોતીઓની કેટલીએક માળા તથા હીરાનો કંઠો હતો, અને કાન પણ તેથી વધારે મોટાં તથા પાણીદાર મોતીથી શણગારેલા હતા, તેના દેખાવ ઉપરથી માલમ પડતું હતું કે તે કોઈ મોટો માણસ છે, અને તેને જોઈને કોઈને પણ તેને માન આપ્યા વિના ચાલે જ નહીં એવો તેનો દમામ હતો. તેનું કદ મધ્યમ હતું, તેના શરીરનો બાંધો છેક જાડો તો ન કહેવાય, તો પણ તેનું વલણ કાંઈએક જાડાશ ઉપર હતું, તેની ચામડીનો રંગ ઘણો સફેદ હતો, તેનું મ્હોં જરા લંબગોળ હતું; અને નાક કાન પણ ઘણાં ઘાટદાર હતાં. તેની આંખ ચપળ તથા બુદ્ધિના તેજવાળી હતી, આ ગૃહસ્થ જાતે નાગર બ્રાહ્મણ હતો, અને તેનું નામ માધવ હતું, તે કરણરાજનો મુખ્ય પ્રધાન હતો. તેણે પોતાના બુદ્ધિબળે તે રાજા ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પુછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તે જ કરતો. રાજા તો પુતળા જેવો હતો, અને ખરેખરો રાજા પોતે જ હતો, એ કારણથી સઘળા લોકો તેનાથી દબીને ચાલતા, તેને માન આપતા, અને તેને ખુશ કરવાને વાસ્તે જ ઘણાએક આ પ્રસંગે તેના ઘરમાં એકઠા થયા હતા.
હવનનું કામ હવે પુરું થવા આવ્યું, છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગૃત કીધો, બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા. સઘળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા. સઘળે ગડબડાટ થઈ રહી, કુંડમાંથી અગ્નિનો ભભુકો ઉઠયો, અને માતાનું છેલ્લું બલિદાન આપવામાં આવ્યું, તે ક્ષણે “જે અંબે” “અંબે માતકી જે” એવો મોટો પોકાર પડ્યો. નાનાં નાનાં છોકરાંઓ પોતાની જગો ઉપરથી ઉઠીને કુદવા લાગ્યાં, થોડીવાર પછી સઘળું શાંત થયું એટલે વિજીયાદત્ત પંડ્યા જે માધવનો કુળગોર હતો તે ચાંલ્લાની કુંકાવટી, હવનની આશકા તથા પ્રસાદ લઈને ઉઠ્યો. ગોર મહારાજને આવા શ્રીમંત યજમાન મળેલા તેથી તેને પૈસાની કંઈ ખોટ ન હતી, તે શરીરે ઘણો સ્થૂલ હતો, અને તેનું પેટ એટલું તો મોટું હતું કે તેમાં સાત લાડુ ગોઠવાય તો પણ થોડી ખાલી જગા રહે. તેણે બાયડીઓને તથા ભાયડાઓને ચાંલ્લા કીધા, તે ઉપર ચોખા ચોડ્યા, હવનની આશકા આપી, આશિર્વાદનો મંત્ર ભણી, થોડો થોડો પ્રસાદ સઘળા મોટી ઉમરવાળાને વહેંચ્યો. પછી નાનાં નાનાં છોકરાંને પોતાની પાસે બોલાવી. તેઓને કુદાવ્યાં, નચાવ્યાં તથા ખાવાની લાલચને વાસ્તે કુતરાંની પેઠે ગેલ કરાવી પ્રસાદ એકદમ ઉડાવ્યો, એટલે તેઓ ભોંય ઉપર પડી સાંભરવા મંડ્યાં. તે વખતની તેઓની બુમાબુમ, પ્રસાદ લેવાને માટે મારામાર અને હડસેલા હડસેલી, અને માતાનું નૈવેદ પગતળે છુંદાય નહી તે બાબતની તેમની ફિકર, તથા જેઓએ વધારે જબરાં હોવાને લીધે વધારે પ્રસાદ લીધો તેઓનો હરખ, અને જે બીચારાંની પાસે થોડો આવ્યો તેઓની દિલગીરી એ સઘળું જોઈને બીજાં બધાંને ઘણી જ ગમત થઈ. પ્રસાદ વહેંચાઈ રહ્યો એટલે તમામ છોકરાં વેરાઈ ગયાં, તથા હવન પૂરો થયો, એટલે ઘણા ખરા જોવા આવેલા લોકો પોતપોતાને ઘેર ગયા. બઈરાં પોતાને ધંધે વળગ્યાં, બ્રાહ્મણો દક્ષિણા લઈ અનાજ વિગેરે જે કાંઈ મળ્યું તે ધોતીયાને છેડે બાંધી લઈ બીજે ઠેકાણે હવન કરાવવા ગયા, તે ઠેકાણે માત્ર માધવ પ્રધાનજી, જેઠાશા શાહુકાર, ભાણો પટેલ, તથા વિજીયાદત્ત પંડ્યા બેશી રહ્યા. તેઓને માધવની સાથે મિત્રાચારીનો દાવો તથા તેઓ શહેરના મુખ્ય માણસ તેથી બીજા પારકા લોકોની પેઠે તુરત ઉઠી જવું તેઓને યોગ્ય લાગ્યું નહી તેથી તેઓ પ્રધાનજીના પાટલા પાસે ગાદી માંડી હતી ત્યાં તકીએ અઢેલીને બેઠા. થોડી વાર ચુપ બેઠા પછી માધવ બોલ્યો. “ગોરમહારાજ, હવન સારી પેઠે તો કીધો છે ? કાંઈ ગડબડ ગોટા તો વાળ્યા નથી? કેમકે આજે ઘણે ઠેકાણે હવન થવાના, અને તમારી નજર તમારા બ્રાહ્મણોને જેમ બને તેમ રળાવવાની એટલે કદાચ ગડબડ થઈ હોય, તમે કરો એવા તો નથી, તોપણ અમથું પુછું છું. ક્રોધ લાગે તો ક્ષમા કરજો.”
આવા બોલ સાંભળીને ગોરમહારાજને ક્રોધ તો ચઢ્યો. પોતે માતા ઉપર અનાસ્થા રાખી પોતાના જાતભાઈઓનો ફાયદો કરવા ઉતાવળ કરી, કર્મ બરાબર કરાવ્યું નહી એવી યજમાનને શંકા ઉત્પન્ન થઈ તેથી જીવને જરા દિલગીરી પણ થઈ, પણ પ્રધાનજીના ગોર રાજદરબારમાં જનારા, તથા મોટાની ચાકરીમાં નીચાએ કેવી રીતે વર્તવું એ વિશે તેણે ઘણીએક વાર સાંભળેલું તેથી તેને પોતાની મનોવૃત્તિઓ ઉપર અખતિઆર રાખવાની ટેવ પડી હતી, તેથી ગુસ્સો દબાવી દઈને તથા મ્હોં જેવું શાંત હતું તેવું રાખીને જવાબ દીધો, “યજમાનરાજ ! આવી વાત તમે કોઈ દહાડો મારી આગળ કીધી નથી, અને આજે આવાં વચન તમારા મ્હોમાંથી નીકળેલાં સાંભળીને મને ઘણું આશ્ચર્ય લાગે છે, અને તમારી મતિ કાંઈ બદલાઈ હોય એમ મને લાગે છે, અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે, જે મોટી આદ્યશક્તિ, જેથી આખા વિશ્વની ઉત્પત્તિ, એવી અંબાભવાની તથા સઘળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જીદગીમાં આજે જ મારે માટે આવી છે. તમે જાણો છો કે જગતમાં જે સઘળા દેવો છે તેઓ કળિયુગમાં ઉંઘી ગયેલા છે, જાગતીજોત અંબામાતા છે, તેનો પરતો કેટલો છે તે સઘળાને માલમ પડે છે. માતાનાં રૂપ જુદે જુદે વખતે જુદાં જુદાં દેખાય છે, એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવે છે. અમથા અપશબ્દ બોલવામાં પાપ છે ખરૂં પણ માતાની આગળ ભવાઈ કરતી વેળા નિર્લજ શબ્દો બોલવામાં જાત્રાળુઓ પાપ ગણતા નથી. આપણા લોકોના ધર્મમાં મદ્યપાન કરવાનો પ્રતિબંધ કીધેલો છે, છતાં પણ દેવીભક્તો તેનું પાન કરે છે. વળી કોઈપણ પ્રકારની હિંસામાં મોટામાં મોટું પાતક આપણા ધર્મશાસ્ત્રમાં ગણેલું છે; તો પણ માતાના ધામમાં બકરાં, મુરઘાં, પાડા વિગેરેનું બળિદાન કરવામાં આવે છે, અને તેથી પણ વધારે આશ્ચર્યકારક વાત એ છે કે, એ પ્રમાણે વધ કીધેલાં પ્રાણી પ્રસાદની માફક વહેંચી લેવામાં આવે છે, અને ઘણાએક શખ્સો જેઓ બીજે કોઈપણ વખતે માંસ ભક્ષણ કરતા નથી તેઓ આવે પ્રસંગે દેવીને પ્રસન્ન કરવાને માટે પોતાના બાપદાદાનો સંપ્રદાય તોડે છે, અને ધર્મશાસ્ત્રને પણ એક બાજુએ મુકે છે. અંબાભવાનીની યાત્રા કરવા લોક જાય છે ત્યારે તેઓને કેટલી હોંશિયારી રાખવી પડે છે ? તેલ તો ત્યાં મુદ્દલ વપરાય જ નહી. માતાના ધામ આગળ કોઈ દુરાચરણે વર્તે તો તેનાં માઠાં ફળ તેને તત્કાળ મળ્યા વિના રહે જ નહી, માતાના કામમાં વર્ષોવર્ષ જે પ્રમાણે કરવામાં આવતું હોય તેમાં જો જરા પણ ફેરફાર કીધો તો માતાજી કોપાયમાન થાય છે, અને એ પ્રમાણે કરોઠું બદલનારને કોઈપણ પ્રકારે શિક્ષા થયા વિના રહેતી નથી. નવરાત્રી નવ દહાડા સમી સંધ્યાએ માતાજી પોતાની સહિયરોને સાથે લઈ રથમાં બેસી આકાશમાર્ગે જાય છે, તે વખતે ઉઘાડે માથે જો કોઈ અગાસી, ચોક અથવા બીજી ખુલ્લી જગામાં બેસે તો તેના માથા ઉપરથી તે રથ ફરી જાય, અને તેને તે વર્ષમાં કોઈ રોગ થયા વિના રહે નહી. એ સિવાય માતા આગળનો દીવો તથા તેને લગતી ઘણીએક વસ્તુઓમાં હોંશિયારી રાખવાની છે. આ પ્રમાણે હું દેવીનું મહાત્મ તથા પરતો જાણું છું તે છતાં હવન કરવામાં ગડબડ કરું એ વાત કાંઈ સંભવિત છે? બાપજી ! તમે બ્રાહ્મણના રળતરની વાત કહી તે સાંભળીને મારૂં હૈયું ઉભરાઈ આવે છે. બ્રાહ્મણોના તો દહાડા ગયા, અને તેઓની કમાઈ સુકાઈ ગઈ, શી વાત કહેવડાવો છો?
બાપજી ! બ્રાહ્મણો બિચારાનું હમણાં કાંઈ વળતું નથી. યુગ બદલાઈ ગયો, રાજા અને પ્રજા એ બંનેમાંથી ભક્તિ ઉઠી ગઈ. પરમેશ્વર ન કરે પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. લાહોર અને દિલ્લી તરફ મ્લેચ્છ લોકો હિન્દુ રાજાઓની ધુળધાણી કરતા જાય છે. એ જ પાપે સોમનાથ મહાદેવનું ખંડન થયું, અને આ દેશના રાજાની પણ ઘણી દુર્દશા થઈ, પણ હજી આગલા રાજાનાં સુકૃત આડા આવે છે, અને તેથી દેશનું રક્ષણ થાય છે. તમારા સરખા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પ્રધાનજી છે એટલે આ રાજ્યમાંના બ્રાહ્મણોને બેશક લાભ છે જ. આગલા રાજાની તો શી વાત થાય ? સાંભળો, મહારાજ ! હું એક દૃષ્ટાંત આપું.
જ્યારે મૂળરાજ વૃદ્ધ થયો ત્યારે તેનાં પાપથી મુક્ત થવાને તથા શુદ્ધિ પ્રાપ્ત કરવાને શ્રીસ્થળ (સિદ્ધપુર) ગયો. બધાં તીર્થમાં શ્રીસ્થળ વધારે પવિત્ર ગણાય છે તે લક્ષ્મી આપનાર છે, અને જે તેને જોય છે તેનો ઉદ્ધાર થાય છે. ગયાજીથી સ્વર્ગ ત્રણ યોજન આઘું છે. પ્રયાગથી દોઢ યોજન છે, પણ શ્રીસ્થળ જ્યાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે ત્યાથી તો તે એક જ હાથ આધું છે એમ લોકો માને છે, એ તીર્થે તેણે સઘળાં પવિત્ર સ્થળોથી બ્રાહ્મણોને બોલાવ્યા, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ થાય છે ત્યાંથી એકસો ને પાંચ બ્રાહ્મણ આવ્યા, સો સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા; બસેં કન્યાકુબજમાંથી, સૂર્ય સરખા તેજસ્વી સો કાશીથી; બસેં ને બોત્તેર કુરૂક્ષેત્રથી, ગંગાદ્વારથી સો, નૈમિષારણ્યથી સો; અને કુરૂક્ષેત્રથી વળી વધારે એકસો બત્રીશ આવ્યા. રાજાએ બ્રાહ્મણોની આગળ સાષ્ટાંગ દંડવત કીધા, અને તેઓએ તેને આશિર્વાદ દીધો. પછી હાથ જોડીને રાજા બોલ્યો, “તમારી કૃપાથી જન્મ લીધાનો લાભ મને મળ્યો, મારી આશા હવે પૂર્ણ થશે, માટે અરે બ્રાહ્મણો, કૃપા કરીને મારું રાજ, ધન, હાથી, ઘોડા, ઈત્યાદિ જે ઈચ્છામાં આવે તે લો. હું તમારે શરણે છું, અને તમારો દાસ છું.” બ્રાહ્મણો બેાલ્યા; “રાજાધિરાજ, અમારાથી રાજ ચલાવી શકાય નહીં, ત્યારે તેનો નાશ કરવા શા સારૂં અમે તે લઈએ? જમદગ્નિના પુત્ર પરશુરામે ક્ષત્રિયો પાસેથી બળાત્કારે પૃથ્વી લઈ બ્રાહ્મણોને એકવીશવાર આપવા માંડી, પણ બ્રાહ્મણોએ તે લીધી નહી.” રાજા બોલ્યો, “હું તમારૂં રક્ષણ કરીશ. તમે તમારું ખટકર્મ કરો, અને કાંઈ ચિંતા ન કરો.” બ્રાહ્મણો બોલ્યાઃ “પંડિતો કહી ગયા છે કે જેઓ રાજા પાસે રહે છે તેઓના ઉપર વિપત્તિ આવી પડે છે. રાજાઓ અહંકારી, કપટી, તથા સ્વાર્થી હોય છે, માટે રાજાધિરાજ, જો દાન કરવાની તમારી ઇચ્છા હોય તો આ મોટું તથા રમણીય શ્રીસ્થળ અમને આપો એટલે અમે અહિઆં સુખેથી રહીશું. જે સોનું, રૂપું, અને હીરા વિગેરે બ્રાહ્મણોને આપવાં હોય તે સઘળું એ શહેરને શોભાયમાન કરવાને ખરચો.” રાજા આ વાત સાંભળી ઘણો ખુશ. થયો અને તેઓને પગે પડીને ગાય, સોના, હીરા વિગેરેના હાર ટાંગેલા રથ, તથા બીજી દક્ષિણાની સાથે શ્રીસ્થળ આપ્યું. વળી મૂળરાજે દશ બ્રાહ્મણને દક્ષિણા સહિત સુંદર તથા દ્રવ્યવાન સિંહપુર (સિહોર) ગામ આપ્યું. સિદ્ધપુર અને સિહોરની પડોસમાંનાં બીજા કેટલાંએક ગામો તેણે બીજા બ્રાહ્મણોને આપ્યાં. વળી તેણે સોમવલ્લીમાં મગ્ન રહેનારા છ બ્રાહ્મણોને સાઠ ઘોડા સહિત સ્તંભતીર્થ (ખંભાત) આપ્યું. સિદ્ધરાજે આ બક્ષિસ મંજુર કીધી અને બાલક (ભાલ) દેશમાં સો ગામ બ્રાહ્મણોને આપ્યાં, તે વખતે સિહોરની આસપાસ વાઘ અને બીજાં પ્રાણઘાતક પશુઓનો ભય હતો તેથી બ્રાહ્મણોએ તેને બદલે ગુજરાતમાં રહેવાની રજા માગી, ત્યારે રાજાએ તેઓને સાબરમતી નદી ઉપરનું આશાબીલી ગામ આપ્યું, અને સિહોરમાંથી જેટલું અનાજ લઈ ગયા તેટલા ઉપરથી દાણ માફ કીધું. ધન્ય છે એ રાજાઓને તથા તેઓનાં માતાપિતાને. તેઓએ તો પોતાના દેહનું સાર્થક કીધું. તેઓ તે ચોરાસી લાખના ફેરામાંથી ટળ્યા. હમણાં તેઓ આકાશમાં તારા થઈ પ્રકાશતા હશે.” એટલી વાત કહી વિજીયાદત્ત મહારાજ માટે નિશાસો મુકી ચુપ રહ્યા.
બ્રાહ્મણનું એટલું દુ:ખ સાંભળીને ભાણા પટેલથી પોતાનું તથા બીજા ખેડુત લોકનું દુઃખ કહ્યા વિના રહેવાયું નહી. તે બોલ્યો, “ભાઈ, એકલા બ્રાહ્મણની જ અવસ્થા આવી થઈ એમ નથી, ખેડુત લોકોની દશા પણ હાલને સમયે સારી નથી. હોણ વરસાદ જોઈએ તેટલો આવ્યો નથી, તેથી પાક પણ વર્ષોવર્ષ જેવો થયો નથી, તે છતાંપણ ઉઘરાતદાર મહેતો કહે છે કે દરબારી ભાગ મારી ઠોકીને લીધામાં આવશે. અમારા ઉપર કાંઈ થોડો જુલમ છે ? ગામની ખળીમાં અમારું અનાજ ભરવાની શરતે અમને કાપણી કરવા દે છે. જુદા જુદા માલિક તેઓના અનાજના જુદા જુદા ઢગલા કરે છે. બળદવડે અનાજ જુદું પાડે છે. પછી જમીનદાર પટેલ, કારભારી, અનાજ માપનારા વાણીયા, ખેડુત અને ચોકીદાર એ સઘળા ખળીમાં એકઠા થાય છે. પહેલાં તે અનાજને ચાળીશમો ભાગ રાજાને જુદો કાઢે છે. પછી તેથી કાંઈ થોડું કારભારીને માટે, રાજાના પાટવી કુંવરના ખાનગી ખરચને વાસ્તે, ગામના ચોકીદારને, અનાજ માપનાર વાણીયાને, ગામના પટેલને, દેવી અથવા વિષ્ણુના દેવસ્થળને વાસ્તે, તળાવને સારૂં, કુતરાને માટે અને એમ બીજા ઘણા એકને આપવામાં આવે છે. જ્યારે માપવાનું કામ પૂરૂ થાય છે ત્યારે ખેડુત જોરથી ટોપલા ઉપર હાથ નાંખે છે, અને કહે છે કે હવે બસ થયું. બાકી જેટલું અનાજ રહ્યું તે ખેડુત તથા જમીનદાર બરાબર હિસ્સે વહેંચી લે છે. એટલું થોડું ખેડુતને મળે છે, તે છતાં પણ જ્યારે રાજાને કુંવરી પરણાવવી હોય, અથવા એવો બીજો અગત્યનો ખરચ કરવો હોય, ત્યારે ખેડુત ઉપર ફાળો નાંખે છે. વળી રાજકુટુંબના વહીવંચા ભાટને અથવા કોઈ ભિક્ષુકને હરેક હોળ ઉપર જુજવો કર કરી આપે છે. અથવા ખળીમાંના અનાજના ઢગલામાંથી કેટલાંએક માપાં અનાજ લેવાનો હક કરી આપે છે એ પ્રમાણેનો કર એક વર્ષ લેવામાં આવે છે અથવા વર્ષોવર્ષ ચાલુ રાખે છે. કોઈએક ગામની આમદાનીમાંથી કેટલાએક રૂપીયા વસુલ કરી લે છે. ખેડુત લોકોની સારા વર્ષમાં પણ જ્યારે આવી અવસ્થા છે, ત્યારે વરસાદની અછતને લીધે જ્યારે પાક ન થાય ત્યારે તો તેઓનું પુછવું જ શું ? મંત્રી કહે છે કે કાંઈ પણ છુટ મુકવામાં આવશે નહી. તમે રાજા આગળ જઈને નાનાં છોકરાંની પેઠે રડશો તથા કાલાવાલા કરશો અને પંચ માગશો તે પણ તમારી વાત ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. તેનો વિચાર એવો છે કે રૈયતના ઉપર જરા પણ દયા કરવી નહી; અને એ વિચારને તે મજબુતી આપવાને વારેવારે આ કહેવત કહ્યાં કરે છે કે ‘રૈયત રાજા રામચંદ્રની પણ થઈ નથી.’ પણ બાપજી, એ પ્રમાણે નથી. રૈયત તો રાજના સ્તંભ છે, રૈયતવડે જગત જીવે છે; અને રૈયત સારાં કામની કદર જાણનાર છે. બાપજી તમે તો જાણતા હશો કે ભીમદેવના રાજમાં એક વર્ષ વરસાદ ન થયો તેથી ડંડાહી તથા વિશોપક ગામના કુટુંબિક (કણબી) રાજાને તેનો અનાજનો ભાગ આપી શક્યા નહીં. તે વખતે રાજાએ તપાસ કરવાને તે ગામો ઉપર એક મંત્રી અથવા મહેતાને મોકલ્યો, તેણે તમામ મિલકતવાળા ખેડુતને પકડીને રાજધાનીમાં લાવી રાજા આગળ રજુ કીધા, રાજાનો પાટવી કુંવર મૂળરાજ સત્યવાદી તથા એકવચની હતો. તે એક દિવસે સવારે રાજાના એક ચાકરને સાથે લઈને તે ફરતે હતો. તે વખતે તેણે આ સઘળા લોકોને ભયભીત થઈ માંહેમાંહે બબડતા સાંભળ્યા. તરત તેણે ચાકરની મારફતે ખબર કઢાવી, અને તેઓની હકીકત સાંભળીને તેને એટલી તો દયા આવી કે તેની આંખમાં આંસુ આવ્યાં. એકવાર મૂળરાજે અશ્વવિદ્યામાં એટલી તો કુશળતા દેખાડી કે રાજાએ તેના ઉપર પ્રસન્ન થઈ તે જે માગે તે આપવા વચન આપ્યું. મૂળરાજે માગી લીધું કે કણબીઓનું ગણોત માફ કરવું, રાજાએ ઘણી ખુશીથી તેની વાત કબુલ કરી તેઓને બંધીખાનામાંથી છોડી મુક્યા. તેઓ મૂળરાજને પગે પડ્યા, તેઓમાંના કેટલાએક જાથુ તેની સાથે રહ્યા, અને બીજાઓ જે પોતાને ગામ ગયા તેઓએ તેની કીર્તિ ઘણી વધારી, પણ તે બિચારો મૂળરાજ મરી ગયો. પછી બીજે વર્ષે જ્યારે પાક સારો થયો ત્યારે ચાલુ તથા પાછલા વર્ષનો રાજાનો ભાગ લઈને તે ખેડુતો આવ્યા. ભીમદેવે પાછલા વર્ષનો ભાગ લેવાની ના કહી; પણ ખેડુતોએ કાલાવાલા કરી માંગી લીધું કે એ બાબતનો ફેંસલો કરવાને પંચ નીમવા જોઈએ. પંચે ઠરાવ કીધો કે બંને વર્ષના રાજાના ભાગ લેવા, અને આમદાનીમાંથી મૂળરાજના કલ્યાણને અર્થે ત્રિપુરૂષપ્રસાદનું દહેરૂં બાંધવું, ખેડુત લોકો તો એવા હોય છે. માટે બાપજી ! મંત્રીના કહેવાથી કામ ના કરતાં ઉપલા દૃષ્ટાંત ઉપર પણ વિચાર રાખજો.” એ પ્રમાણે વાતની વાતમાં પોતાનું કામ કાઢી લઈ મનમાં ઘણો સંતોષ પામીને ભાણો પટેલ મુંગો રહ્યો.
માધવે વિજીયાદત્ત ગોરની તથા ભાણા પટેલની વાત લક્ષ દઈ સાંભળ્યા પછી જેઠાશા તરફ ફરી તેને પુછયું, “કેમ શાહ ! તમારે કાંઈ દુ:ખ રડવું છે?” તે વર્ષે તેને વ્યાપારમાં નફો સારો મળ્યો હતો તેથી તેના મનમાં એવું હતું કે આખા જગતમાં વ્યાપારીઓ સુખી જ હોવા જોઈએ. તો પણ કાંઈ બોલવું તો જોઈએ માટે તે પોતાની બડાઈ કરવા લાગ્યો, “મ્હેં હોણ સ્તંભતીર્થ તથા ભૃગુપુર (ભરૂચ) બંદરે ઘણુંએક મંજીષ્ઠ (મજીઠ) મોકલ્યું છે. વળી બેટ દ્વારિકા, દેવ૫ટણ, મહુવા, ગોપનાથ અને બીજા બંદરોના મારા આડતિયા લખે છે કે અમે ઘણોએક માલ તમારી તરફથી લીધો છે. તે બધામાંથી રોટલા ખાવા જેટલું કુટી કાઢીશું, હોણ મળત વધારે, પણ સૂર્યપુર (સુરત) તથા ગણદેબા (ગણદેવી) બંદર આગળ મારાં વહાણ આવતાં હતાં તેમાંનો માલ ચાંચીયા લોકો લુંટી ગયા. તો પણ એટલું ભાગ્ય કે સોનાની મોહોરો સંતાડી રાખી હતી તે બચી ગઈ; નહી તો હોણ દેવાળું કાઢવાનો વખત આવત, બાપજી ! કાંઈ વધારે તમને કહેવાનું તો નથી, પણ એ ચાંચીયા લેાકોનો કાંઈ બંદોબસ્ત થાય તો સારૂં નહી તો અમારા જેવા વેપારી લોકનું સત્યાનાશ વળી જશે વળી રાજ્યમાં જે માલ આવે છે તથા જાય છે તે ઉપર દાણ જરા વધારે છે તેમાંથી કાંઈ ઘટાડો થાય તો સારૂં, તમે શ્યાણા છે એટલે વધારે બોલવાની જરૂર નથી, તો પણ જેમાં આપણો સ્વાર્થ રહેલો તેમાં બોલ્યા વગર પણ કેમ ચાલે ? કહેવત છે કે “માગ્યા વિના મા પણ ન પિરસે.” માધવે આ સઘળી વાત ઘણું મન દઈને સાંભળી. જો બને તો તે પ્રમાણે કરી લોકોની પ્રીતિ સંપાદન કરવી એ તેની મુખ્ય મતલબ હતી. માધવનું પ્રધાનપણું કાંઈ તેના બાપદાદાથી ઉતરેલું ન હતું. તે કોઈ ગરીબ માણસનો છોકરો વડનગર શહેરમાં જન્મ્યો હતો, અને તેની ઉમર સોળ વર્ષની થઈ ત્યારે તે ધંધો શોધવાને પાટણમાં આવ્યો હતો. પહેલાં તે લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. ત્યાં ચાલાકી, હોંશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી, ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી તેમાં માધવની હોંશીયારીથી તથા કાવત્રાંથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો, અને કરણ રાજાએ ગાદી ઉપર નિર્ભય થતાં જ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. દરેક રાજ્યમાં મુખ્ય પ્રધાનની પદવી ઘણી ભારે તથા જોખમ ભરેલી હોય છે. રાજા તથા રૈયત બંનેને એકી વખતે ખુશ કરવાનું કામ હમેશાં મુશ્કેલ થઈ પડે છે. માધવ તે સઘળું સમજતો હતો. તેને લોકોમાં વહાલા થવાની તથા પોતાનું નામ લોકોને વાસ્તે સારાં તથા ઉપયોગી કામો કરી, અમર કરી લેવાની ઘણી હોંસ હતી; તો પણ રાજાની મહેરબાની તે જ તેના અધિકારનો પાયો છે, એમ તે સારી પેઠે જાણતો હતો. તેથી ગમે તે પ્રકારે રાજાને રાજી રાખવાનો તેણે દૃઢ નિશ્ચય કીધો હતો. આગલા રાજાઓમાંના કેટલાએકના પ્રધાન વાણીયા હતા તેથી તે લોકો માનતા હતા કે માધવને પ્રધાનપદ મળ્યાથી તેમનો હક્ક ખેાટો થયો, માટે હરેક પ્રસંગે રાજાની આગળ માધવની તેઓ ચાડી કરતા હતા. તેની સામે માધવને ઘણી યુક્તિઓ કરવી પડતી હતી, એ બધું કરવાની સાથે પોતાને વાસ્તે દ્રવ્ય એકઠું કરવા તરફ પણ તેની ઘણી નજર હતી, કેમકે તેનું પ્રધાનપણું કાયમ રહેશે એવો એક ક્ષણવાર પણ તેને પાકો ભરોસો ન હતો. હવે પૈસા તો મેળવવા અને સાધન તો થોડાં તેથી તે ઘણીવાર મોટા વિચારમાં પડતો હતો. રાજ્યની મર્યાદા ઉત્તર તરફ અચળગઢ તથા ચંદ્રાવતી, પશ્ચિમ તરફ મોઢેરા તથા જિંજુવાડા, પૂર્વ તરફ ચાંપાનેર તથા ડભોઈ અને દક્ષિણ તરફ છેક કોંકણ સુધી હતી, પણ ભોળા ભીમદેવના મરણ પછી રાજ્યમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી. અચળગઢના પરમાર રાજાઓ ખંડણી બરાબર આપતા ન હતા. બીજા ખંડીયા રાજાઓ પણ નામની તાબેદારીમાં હતા. તેથી જો કરણ રાજા શૂરો નીકળે, અને રાજધાનીનું સુખ મુકી તલવાર બાંધી આગળ પડે, તો જ રાજ્યની આગલી કીર્તિ પાછી આવે. પણ તેમ થવાને ઘણો સંભવ ન હતો. જો કરણ જય કરી આવે, જો કેટલાએક નાના રાજાઓ પોતાની ખંડણી આપવી જારી કરે, અને તેથી રાજ્યની આમદાનીમાં વધારો થાય, તો જ બ્રાહ્મણોને રાજી કરાય, તો જ ભાણા પટેલના કહેવા પ્રમાણે ખેડુતોને છુટ આપવામાં આવે, તથા જેઠાશાનો માંગેલો દાણાનો ઘટાડો થઈ શકે. જો એ પ્રમાણે ન થાય, અને નહી થશે તેવી તેની ખાતરી હતી, તો રૈયતને ખુશ કરવી એ અશકય; માટે રાજાને રીઝવી જેમ બને તેમ પૈસા પોતાના ખજાનામાં ભરવા એ જ રસ્તો ખુલ્લો રહ્યો. પણ તેમ કરવામાં જોખમ ઘણું હતું. પ્રધાનપણું કરવું અને ગોખરૂની શય્યા ઉપર સુવું એ બે બરોબર હતું. જ્યારે સઘળા નાખુશ રહે, અને રાજા કાનનો કાચો, ત્યારે ગમે તેટલી ઊંચી પદવીનો શો ભરોસો ? વળી એવી રીતે વર્તી પોતે એકલાનું પેટ ભરી મોતે કે કમોતે મરવું એ વાત તેને જરા પણ ગમતી ન હતી. તેને કાંઈ છોકરાં ન હતાં. અને હવે પછી કદાપિ થાય પણ નહીં એવી બીક હતી. એ વાતથી તેના મનમાં નિરંતર શોક ઉત્પન્ન થતો હતો. કાળું ધોળું કરી પૈસા મેળવવા તે કોને વાસ્તે ? પાછળ કોઈ ભોગવનાર ન મળે, પિત્રાઈઓ તેની દોલતને માટે લડી મરે, અને તેનો જરા પણ ઉપકાર માને નહી, એટલું જ નહી પણ ઉલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના હૈયામાં જાણે જખમ વાગતા હોય તેવું દુઃખ થતું, વળી હિંદુશાસ્ત્ર પ્રમાણે જેને પુત્ર પરિવાર નહી તેના જીવતરને ધિક્કાર ! તેની પાછળ પોક મુકનાર, આગ મુકનાર તથા મૃત્યુ- સંસ્કાર કરનાર કોઈ નહી તેથી તેની મુઆ પછી શી ગતિ થશે એ વિશે પણ તેને ઘણો ભય રહેતો હતો, પોતાનું નામ અમર રાખવાને માણસોને સ્વાભાવિક વૃત્તિ હોય છે, અને એ નામ પોતાના વંશથી અથવા લોકોપયોગી કામથી કાયમ રહે છે, માધવને પોતાના વંશ તરફથી કોઈ આશા ન હતી. તેમ લોકોપયોગી કામો કરવાનો હજુ સુધી પ્રસંગ પણ મળ્યો ન હતો, તેથી અગર જો તે રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, અગર જો રાજા તેને પુછ્યા સિવાય પાણી પણ પીતો ન હતો, અગર જો તેની ડોકી ધુણવાથી હજારોનાં નસીબ ખુલતાં, અને હજારો પાયમાલ થઈ જતા, અને અગર જો કે તેના ઉપર લક્ષ્મીની પણ કૃપા હતી તો પણ તે જ્યારે ભવિષ્યનો વિચાર કરતો હતો ત્યારે તેની અવસ્થા એવી થતી કે કોઈ ગામડીયો પણ તેની અદેખાઈ ન કરે.
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.
હવે પછીઃ પ્રકરણ ૨ જું
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
