વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • અદીઠ સંવેદન

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આ જગથી બેપરવા એવું એ ઝાડ એકદમ અકડુની જેમ ઊભું હતું. એને તો કશાથી કોઈ ફરક પડતો નહીં જ હોય, પણ એને લીધે મા-બાપુ વચ્ચે અવારનવાર વિખવાદ થયે રાખતો.

    “એ કપાશે પછી જ હું ખાઈશ નહીંતર આજથી જ મારે ઉપવાસ.” મા ગુસ્સે થઈને જીદ પર આવી જતી. કેટલીય વાર સમજાવ્યા પછી એ ખાતી, પણ ઘરમાં પાછું એ પુનરાવર્તન થયે રાખતું.

    આંગણાની પરવા કર્યા વગર એ પગ પસારીને ફેલાવા માંડ્યું હતું. દાદાબાપુએ આ ઝાડ દાદા-દાદીની લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે એ વાવ્યું હતું એટલે એને વધતું જોઈને બંને જણા ખુશ થતાં.

    ત્યારે ક્યાં ખબર હતી કે, આ જ ઝાડ એક દિવસ એમનાં દુઃખનું કારણ બનશે ?

    આખા આંગણાંમાં ફેલાયા પછી એ ઘરની છત પર છત્રીની જેમ ફેલાવા માંડ્યું. ગરમીમાં એની છાયા ગમતી, પણ ઠંડીમાં તડકો રોકાવા માંડ્યો ત્યારે પરેશાની શરૂ થઈ. પણ, એને શું ફરક પડ્યો? એનો તો વ્યાપ વધવાની સાથે જાણે રોફ વધતો ચાલ્યો. હા, એ જાગૃત પ્રહરીની જેમ ઘરનું રક્ષણ કરતું.

    પાનખરમાં ઘરના આંગણમાં ખરેલાં પાનનો ઢગલો સાફ કરવાનું કામ વધી જતું. દાદીનો આગ્રહ હતો કે ઘરનું આંગણું એકદમ સાફ હોવું જોઈએ એટલે જેને આ જવાબદારી સંભાળવાની આવતી એને એ ઝાડ પર રોષ ચઢતો.

    દાદાએ દક્ષિણ દિશા છોડીને ઝાડની ફરતે ચબૂતરો બનાવ્યો હતો. સૌની જેમ દીદી પણ સાસરેથી આવે તો પહેલાં આ ચબૂતરા પર બેસી્ને જરા શ્વાસ લઈને જ ઘરમાં આવતી. દીદીને જોઈને દાદી દોડી આવતી. દીદીને વહાલથી ગળે લગાવતી ને ઘરની બધી ફરિયાદોનું પોટલું દીદી આગળ ખોલી દેતી.

    ચબૂતરો કેટલાય અવતારો ધારણ કરતો. ઘડીકમાં એ દાદીની અકળામણ ઠલવવાનું સ્થાન બનતો તો ક્યારેક લક્ષ્મણરેખા.

    લક્ષ્મણરેખા એટલા માટે કે, ચબૂતરો વટાવીને નાનીના પત્રો અંદર લઈ જવાની માની હિંમત નહોતી. દાદીની નજર ચૂકવીને એણે પત્રો અહીં જ વાંચી લેવા પડતાં.

    ક્યારેક ચબૂતરો અમારી રમતોનો, ભણવાના નામે રામાયણ-મહાભારત વાંચતા જોવાનો, દાદીની વાતો સાંભળવાનો તો ક્યારેક મજૂરો સાથે દાદાજીની લમણાઝીક જેવી કેટલીય ઘટનાઓનો સાક્ષી બન્યો.

    કૉલેજમાં કેટલીય રાતો આ ઝાડ નીચે બેસીને વાંચ્યું હશે. રાતના પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રનું અજવાળું આ ઝાડના પાંદડાઓની વચ્ચે ચળાઈને આંગણામાં રેલાઈ આવતું.

    આ ઝાડ સાથે હું અનોખું ઐક્ય અનુભવતો. જાત સાથે વાતો થતી તો જાણે એ મારું અંતરમન વાંચી લેતું. મારી લાગણીઓ એ પારખી લેતું. અમારાં સુખ-દુઃખ એકબીજાનાં હોય એવી મનોસ્થિતિમાં અમારાં બંને વચ્ચે મૌન સંવાદ રચાતો.

    એક દિવસ અચાનક દાદાજીએ હંમેશ માટે વિદાય લીધી. દક્ષિણાભિમુખ મૂકેલી દાદાજીની અર્થીને કાંધ આપીને સૌ લઈ ચાલ્યા. દાદી બેભાન થઈને પડી. ઝાડ એનું’યે સાક્ષી. એ પછી રાતના અંધારામાં દાદીનું મૂક આક્રંદ પણ એ સાંભળતું રહ્યું. સતત બોલ્યા કરતી કરતી દાદી રાતોરાત મૌનયોગી જેવી બની ગઈ. દાદીની સાથે એ ઝાડ પણ સાવ ગુમસૂમ.

    ક્યારેક ચબૂતરા પર બેઠી દાદી જાણે કોઈને લાડ કરતી હોય એમ ઝાડને સહેલાવતી. પોતાના મનની વ્યથા મનમાં જ સમાવીને બહારથી હિંમત દેખાડતી દાદી મનથી કેટલી હિજરાય છે એનુંય સાક્ષી એ ઝાડ. રાત્રે ઘર આખું જંપી ગયું હોય ત્યારે વિલાપ કરતી દાદીને ભલે એ સાંત્વન ન આપી શકતું, પણ એનો શોક સમજી શકતું. એકાદ પાંદડું ખેરવીને સમજાવતું કે, સહન કરવાનું સૌના નસીબમાં લખેલું જ હોય છે.

    દાદાજી કહેતા કે, “સહનશીલ વ્યક્તિઓથી વિપત્તિ પણ હાર માની લે.” દાદાજીની આ વાત ઝાડ બરાબર સમજતું. એની સહનશક્તિ અસીમ, અપ્રમેય હતી. મેં પણ આ વાતને જીવનપથનું ભાથું બનાવી લીધું.

    “ગમે એટલા આંધી-તોફાન આવે, પથરીલા રસ્તે ચાલવાનું થાય કે શાંત પગલે મોત આવીને ઊભું રહે આપણે મેરુની જેમ અટલ રહીશું.” એવા ભાવને મારી જેમ જ એ ઝાડે આત્મસાત કરીને સમય સાથે કદમતાલ મેળવી લીધો હતો. સમય એની પાંખો પસારીને આગળ વધતો રહ્યો. મારી જેમ ઝાડ બાળપણમાંથી યુવાન બનતું ચાલ્યું. પહેલાંથી અધિક ગર્વીલું બનીને સૂર્ય-ચંદ્રની સમીપ જવા પ્રયાસ કરતું રહ્યું. બદલાતી મોસમ સાથે પોતાની રૂખ બદલીને વધુ સશક્ત બન્યું.

    ચબૂતરા પર બેસીને જેવી નોકરી મળ્યાની ઘોષણા કરી કે તરત દાદીએ પડોશમાં રહેતી છોકરી સાથે મારા વિવાહ નક્કી કર્યા. વિવાહ, લગ્ન, દીકરીનો જન્મ, આ બધી ઘટનાનું સાક્ષી આ ઝાડ.

    અચાનક દક્ષિણ દિશાએ ઝાડનો એક ભાગ સુકાવા માંડ્યો. એક વાત ધ્યાનમાં આવી હતી કે, દાદીમા એ બાજુથી મૂળ ખોદીને દરેક આગંતુકને આપતી. હું દાદીમાને ટોકતો તો માબાપુની વઢ પડતી. દાદી તરફ આ સહાનુભૂતિનું કારણ દાદીમાની ઉંમર હતી કે ઝાડ પર એમનો અધિકાર હતો, એ મને નહોતું સમજાતું.

    ઝાડ સુકાવાના લીધે ઘરમાં સૌ વ્યથિત હતાં. જૂની માન્યતાને અનુસરીને પિતાજીએ શાલિગ્રામ પર ચઢાવેલું પાણી લાવીને ઝાડ પર છંટકોર્યું. વહેલી સવારે પાણીમાં સોનું કે ચાંદી નાખીને એ પાણીનો છંટકાવ કર્યો. ઝાડ બચાવવા શક્ય એટલા પ્રયાસો કર્યા.

    કદાચ દાદાજી વગર એ હિજરાતું હશે એમ માનીને દાદીએ દાદાજીનો ફોટો લાવીને ઝાડની નીચે મૂકવાનું કહ્યું. એ ઝાડ અમારા માટે માત્ર ઝાડ નહોતું, ઘરનું એક સદસ્ય હતું. દરેકની જેમ એનામાં  લાગણીઓ હતી. ફરક માત્ર એ હતો કે એની સંવેદના એ વ્યક્ત નહોતું કરતું, પણ એ સમજવા જેટલી સંવેદનશીલતા અમારામાં વિકસી હતી.

    એક દિવસ દાદીએ મને બોલાવીને કહ્યું, “ભલે એ ફળ નથી આપતું, પણ એની દક્ષિણ તરફનું મૂળ કમર પર બાંધવાથી અંડકોષ-વૃદ્ધિને લગતો રોગ મટે છે. તારા દાદાજીના આ નુસખાથી છોકરાંઓને ફાયદો થતો. આ ઝાડનો પાડ માનવો જોઈએ, એની પ્રદક્ષિણા કરી, પાણી સીંચીને માથું ટેકવવું જોઈએ. તું એના માટે જેમતેમ બોલે છે એ બંધ કર. એની મરજીથી એ સુકાયું છે, એની મરજીથી ખીલશે અને અંતે જેટલું સૌના માટે ઉપયોગી થવાનું હશે એટલું થઈને સમય થતાં જાતે મુક્તિ મેળવી લેશે. અને હા, હું ના હોઉં તો જ્યાં સુધી એ છે ત્યાં સુધી તું એની સંભાળ લેજે. તારા પરદાદા બહુ ખુશ થશે, તને ઢગલો આશીર્વાદ આપશે.”

    ઓહ! તો આ હતું ઝાડનું રહસ્ય !? સત્ય જાણ્યા વગર મત આપવા માટે મને જાત પર ચીઢ ચઢી.

    આસપાસના ગામમાં સૌને ફાયદો થાય છે એ જાણ્યા પછી ભલે એ ઝાડ ફળ નથી આપતું, આંગણમાં એના પાંદડા ખરે છે કે તડકો નથી આવતો એ ચિંતા કરવાનું મેં છોડી દીધું.

    સમય જતા સાચે જ ઝાડ નવપલ્લવિત થવા માંડ્યું સાથે દાદીએ પથારી પકડી. દાદીએ પોતાની ઉંમર ઝાડના નામે કરી હોય એમ ઝાડ લીલુંછમ થયું ને દાદી ચાલી નીકળી.

    દાદીના પાર્થિવ શરીરને ઝાડની સાત વાર પરિક્રમા કરાવીને વિદાય આપી. થોડા દિવસ સુધી અસ્થિકુંભ ઝાડ પર લટકાવી રાખ્યો. એક દિવસ એમનાં અસ્થિ ઝાડની બખોલમાં પધરાવી, ખાલી કપડાંની પોટલી અને કુંભનું ગંગામાં વિસર્જન કરી આવ્યો. મને વિશ્વાસ છે ઝાડ અને દાદી બંને એકાકાર થઈ, સમાજ પર અનંતકાળ સુધી ઉપકાર કરતાં રહેશે.

    ‘અસ્થિકુંભ’ના વિસર્જન પછી આવીને ઝાડ પાસે માથું ટેકવ્યું તો દાદીની જેમ ઝાડ મને લાડ કરતું હોય એમ તનમનને શીતળતાનો સ્પર્શ થયો.


    બંદિતા દાશ લિખિત, વિજય અગ્રવાલ અનુવાદિત વાર્તા ‘અનદેખા ભાવ’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક પિતાના દિલના આશીર્વાદ..

    જૂન મહિનામાં આવતો ખાસ દિવસ એટલે પિતૃદિનઃ

    સ્વ. હિમાંશુભાઈ ભટ્ટ એક ગઝલકાર હતા. કેન્સરગ્રસ્ત અવસ્થામાં તેમણે  અમેરિકાના ડલાસ શહેરમાંથી ૨૦૧૩માં વિદાય લીધી હતી.  તે પહેલાં પોતાનાં સંતાનો માટે એક ગઝલ લખી હતી તે અત્રે પ્રસ્તુત છે.


     એક પિતાના દિલના આશીર્વાદ..

    :ગઝલઃ

    પર્વત તને મળે કદી, કે રણ તને મળે
    બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે.
    છો પાનખર મળે કદી, ખિલતું રહે ચમન
    પલળી શકે વસંતમાં, તે મન તને મળે.
    કાબુમાં હો બધું સદા, એમાંય ક્યાં મજા?
    ઊર્મીના અવનવા, રૂડા પવન તને મળે.
    પથમાં ચડાવ છે, અહિં ઊતાર છે ઘણા.
    સ્થિતપ્રજ્ઞ તું રહી શકે, ચિંતન તને મળે.
    કેડી હો પારકી, કદી તો દોડતો નહિં
    તારું છે શું સ્વરૂપ, તે સમજણ તને મળે.
    તારામાં તત્વ છે, અહિં તું એકલો નથી,
    મળવાને કૃષ્ણને, સદા કારણ તને મળે.
    તારાથી મોટો તો, અહિં તું થાય ના કદી
    સાચી ઝલક ધરે જે, તે દર્પણ તને મળે.
    ચાહું છું સાચો કોઈનો તું પ્રેમ પામજે
    મુક્તિ મળે છે જ્યાં, તે બંધન તને મળે.
    એવું બુલંદ કોઈ તો તું ધ્યેય ગોતજે
    જેથી ઘડે જીવન,અહિં તર્પણ તને મળે.
    આંખોમાં ગર્વ હો સદા, હૈયામાં કંપ હો
    પ્રજળે અનંતમાં સદા, જીવન તને મળે.
    મારા ગયા પછી, તને તારા વિચારમાં
    મારા વિચારની, સદા રજકણ તને મળે.

    – હિમાંશુ ભટ્ટ

    ડલાસ,અમેરિકા

  • નર્સ એમિના – “જંગલી ફૂલોનો પ્રેમ..!”

    જયશ્રી વિનુ મરચંટ

    ૨૦૧૪, જૂન માસમાં, ફિલાડેલ્ફિયામાં રહેતી અમારાં ખૂબ જ વહાલાં મિત્રની દીકરીના લગ્નમાં અમને સહકુટુંબ આમંત્રણ હતું.

     વિનુએ છેલ્લાં બે-એક વરસોથી ફોર્મલ પ્રસંગોમાં આવવાનું સાવ મૂકી દીધું હતું. હું પણ એમની મરજીનો આદર કરીને એમને સાથે લઈ જવાનો આગ્રહ નહોતી કરતી. આથી, મેં પણ આર.એસ.વી.પી. કરતાં પહેલાં, માત્ર ઔપચારિકતા ખાતર જ વિનુને પૂછ્યું કે તેઓ લગ્ન માટે ફિલાડેલ્ફિયા આવશે કે નહીં. મારા પતિદેવે ઓચિંતું જ, ખૂબ જ ઉત્સાહથી કહ્યું કે એ પણ આવશે. ૪૨ વર્ષના લગ્નજીવનમાં મારે માટે મોટા shock ની વાત હતી. વિનુ, કે જે, “સમઃ સુખ દુઃખેષુ નિત્યમ્” એને આમ ફિલાડેલ્ફિયા, લગ્ન પ્રસંગ માટે જવાની વાત પર, ઉત્સાહથી તરવરતો, જવાબ આપતાં સાંભળવાનો પણ એક લહાવો હતો! પણ, ત્યારે ક્યાં ખબર હતી કે એ ટ્રીપ એમના જીવનકાળની અંતિમ ટ્રીપ બની જવાની હતી?

    અમે ભારતથી સીધા ફિલાડેલ્ફિયા જ આવ્યા હતાં આથી ફિલાડેલ્ફિયા, વતનથી દૂર, અમારું બીજું વતન હતું. કેલિફોર્નિયા મુવ થતાં પહેલાં અમે ૨૨-૨૩ વરસો સુધી ત્યાં રહ્યાં હતાં અને કુટુંબ જેવા મૈત્રીના સંબંધો બંધાયા હતાં. એ સંબંધો આટલા બધાં વરસોથી ફિલાડેલ્ફિયા છોડ્યા પછી પણ એટલા જ મીઠાશવાળા રહ્યાં હતાં. અમે ફિલાડેલ્ફિયા પહોંચ્યાં.

    લગ્નના પ્રસંગો વચ્ચે એક દિવસ ખાલી હતો. અમારા પહેલા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષથી આ સફર શરુ કરી. એના પછી, અમારા સંતાનોની સ્કૂલો, વિનુના અને મારા પહેલા જોબની જગા અને અન્ય જગાઓ જોવા અમે ઉપડી ગયાં. ચૌદ-પંદર વર્ષોના ગાળામાં ઘણું બદલાઈ ગયું હતું. પછી, છેલ્લે, અમારા હેવરટાઉનના એ પહેલાં ઘરને જોવા ગયાં. હું અને વિનુ કાર પાર્ક કરીને અમારા એ પહેલા હાઉસ પાસે ઊભા રહ્યાં, અને કેટકેટલાં દ્રુશ્યો નજર સામે ફુલસ્પીડથી પસાર થવા માંડ્યાં.

    વિનુએ મને પૂછ્યું, “તું આપાણા ઘરની સામેના ઘરમાં રહેતી નર્સ એમિનાના કોન્ટેક્ટમાં છે? તારી જોડે એને સારા એવા બહેનપણાં હતાં.”

    મેં કહ્યું, “ફેસબુક પર ફ્રેન્ડ છું પણ એમિના ફેસબુક પર બહુ એક્ટિવ નથી. અહીંથી તો એ અનેક વર્ષો પહેલાં જ મુવ થઈ ગઈ હતી અને મારી પાસે એનો ફોન નંબર પણ નથી.”

    પણ આ બાજુ, મારા મનમાં તો એમિના સાથેની અમારી દોસ્તીની ટેકનિકલર ફિલ્મના રીલ ચાલી રહ્યાં હતાં…!

    *****

    એમિના અને અમારી ઓળખાણ તો ૧૯૮૫ના ફેબ્રુઆરીમાં જ્યારે એ અમારા ઘરની સામેનું ઘર લઈ રહેવા આવી, ત્યારે થઈ હતી. મને હજુ યાદ છે કે અમારી દોસ્તી ૧૯૮૫, મે માસથી શરૂ થઈ હતી. એમિના બાય પ્રોફેશન, નર્સ હતી. અમારા ફિલાડેલ્ફિયાના ઘરના ફ્રન્ટયાર્ડમાં સરસ લીલોતરીથી આચ્છાદિત નાનકડો એવો ઢોળાવ હતો. ઉનાળાના આવાગમનની છડી પોકારતા, આ ઢોળાવના લીલા ઘાસની વચ્ચે, જંગલી, (વિડ્સ) નાનાં-નાનાં, પીળાં ફૂલો ખીલવા માંડ્યા હતાં.

    એ દિવસે મારો ડે ઓફ હતો. છેલ્લા ૧૦ દિવસોથી સ્ટાફની તંગીને કારણે લેબમાં મારે સતત કામ કરવું પડ્યું હતું. અને, હવે એનો એક ફાયદો ગણો તો એ કે મને એકસાથે ચાર દિવસો ઓફ મળ્યા હતાં. એમાં શનિવાર ને રવિવાર ઉમેરી દેતાં છ દિવસોનું મિનિ વેકેશન મળી ગયું હતું!

    સવારના સાડા દસ વાગ્યા હતાં. વિનુ ઓફિસમાં ગયા હતાં ને બાળકો સ્કૂલમાં હતાં. સહુ મિત્રો પણ પોતપોતાના કામે હતાં. હું મારા ફ્ર્ન્ટયાર્ડમાં ઊગેલા જંગલી પીળાં ફૂલો ઉખેડી રહી હતી અને મનનું એકાંત માણી રહી હતી. મને થયું કે “જંગલી પીળાં ફૂલોને મૂળ સોતાં ઉખેડી નાંખ્યા પછી પણ દર વર્ષે એનાં મૂળો નાંખીને પાછાં ઊગી જ જાય છે! શું એનું કારણ એ હશે કે જંગલી ફૂલોને માવજતની જરૂર જ નથી પડતી? ગમે ત્યાં, ગમે ત્યારે વચ્ચે ઊગી જવાનું અને લીલા ઘાસના ગાલીચાની શોભા નષ્ટ કરવાની…!” આવા સાવ નકામા લાગતાં વિચારો સાથે સમય વીતાવવો, એ મારા માટે એક પ્રકારે “ઝેનિંગ ઍક્ટિવિટિ ” હતી. તે દિવસે પણ હું આવા જ કઈંક મુડમાં હતી ને, લીલા ઘાસમાં ઊગતાં આ પીળા ફૂલોને આમ ઉખેડતાં હું મારો ‘ઝેનિંગ’ સમય માણી રહી હતી!

    એટલામાં, મને બહાર કામ કરતી જોઈ, એમિના ઓસ્મીર આવી. અમે અનેકવાર આગળ-પાછળ નીકળતી વખતે એકબીજા સાથે વાતો કરવા ઊભા રહેતાં. ત્રીસેક વરસની એમિના એકલી જ રહેતી હતી.

    એણે પૂછ્યું, “હાય મિસિસ મરચંટ. યુ હેવ અ ડે ઓફ ટુડે? સો ડુ આઈ.”

    મેં કહ્યું, “હા, આજે મારો ડે ઓફ છે. તમારો પણ ડે ઓફ છે એ જાણી ખૂબ જ આનંદ થયો. શું પ્લાન છે આજે તમારો?”

    એમિના જવાબ આપતાં અંગ્રેજીમાં કહે, “નથીંગ મચ. જો આજે તમને સમય હોય તો પ્લીઝ, તમે મારી સાથે ઈન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં આવી શકશો?” પછી હસીને મને ઈંગ્લીશમાં કહ્યું, “મારે ત્યાં કાલથી, સમરસિંગ ખન્ના, એક ઈન્ડિયન સિંગર, છ મહિના માટે રહેવા આવવાના છે.”

    “અરે, વાહ! તમારા ફ્રેન્ડ છે?”

    “અરે ના. હું, “IEFAA” – “ઈન્ટરનેશનલ એક્ષચેન્જ ફોર આર્ટ એનહેન્સમેન્ટ” નામની નોન-પ્રોફિટ સંસ્થામાં વોલન્ટિયર છું. આ સંસ્થા દર વરસે, સંગીત અથવા બીજા કોઈ ફીલ્ડના ઉદય પામતાં, નવા આર્ટિસ્ટને, દુનિયાભરમાંથી દર વરસે, ફુલ સ્કૉલરશિપ અને સ્ટાઈપન્ડ આપીને છ મહિના માટે બોલાવે છે. અને અમે, આ સંસ્થાના મેમ્બર્સ વારાફરતી આ આર્ટિસ્ટne પોતાના ઘરમાં રાખીએ છીએ જેથી એ આર્ટિસ્ટને ખર્ચો ઓછો થાય અને થોડા પૈસા બચાવીને અહીંથી પાછા જઈ શકે.”

    મારા માટે આ નવી જ માહિતી હતી. મને રસ પડ્યો. મેં પૂછ્યું, “તમે નક્કી કેવી રીતે કરો કે કોને આ સ્કૉલરશિપ આપવી અને કોને બોલાવવા? અને આ, સમરસિંગ ખન્ના શું કરે છે, આઈ મીન ક્યા ફિલ્ડમાંથી છે?”

    એમિનાએ પ્રોસેસ સમજાવતાં કહ્યુ,” એને માટે અરજી કરવી પડે છે પણ મોટી શરત એ છે કે આર્ટિસ્ટે, એનાં દેશમાં કોઈ સિનિયર પાસે ઓછામાં ઓછાં ત્રણ વરસ કામ કર્યું હોય અને આર્ટિસ્ટની ઉમર ત્રીસથી વધુ ન હોવી જોઈએ.”

    પછી થોભીને પોતાની પર્સ ફંફોસતાં કહે, “વેઈટ. હું આ પેપરમાં જોઈને કહું કે આ સમરસિંગ શું કરે છે.”
    પછી પેપર ખોલીને એક જગા પર આંગળી મૂકીને કહે, “છેલ્લા પાંચ વરસથી એ કોઈ ફેમસ સિંગર, મિ. ‘જાગાજીતસિંગ’ના સ્ટુડન્ટ હતા.”

    મને હવે વધુ જાણવાની ઉત્સુકતા થઈ. “અરે વાહ, જગજીતસિંગના શાગિર્દ હતા! એ તો બહુ મોટા કલાકાર છે. હું એમની ફેન છું. આ તો બહુ સરસ! સમરસિંગ કે બીજા કોઈ પણ આર્ટિસ્ટ અહીં છ મહિના માટે આવે તો કરે શું?”

    એમિના કહે, “અહીં એમના ફિલ્ડની આર્ટ, હિસ્ટરી, અને કલ્ચરથી અમે ઓરિયેન્ટ થઈએ અને આર્ટિસ્ટ અહીં વેસ્ટર્ન આર્ટ, હિસ્ટ્રી અને કલ્ચરથી વાકેફ થાય. જો આર્ટિસ્ટ ઈંગ્લીશ ન જાણતા હોય તો અમે એમને સૌ પ્રથમ એક મહિના માટે ઈંગ્લીશ શીખવીએ.”

    “અરે વાહ, આ એક સાચે જ બહુ સરસ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ છે!”

    “હા, અને આ સાલ, ઈન્ટરનેશનલ ગેસ્ટને હોસ્ટ કરવાનો વારો મારો છે. તમે મને ઈન્ડિયન ફુડ માટેના બેઝિક મસાલાઓ અને અન્ય ઈનગ્રેડિયન્સ લાવવા મદદ કરી શકશો?”

    મેં કહ્યું, “માય પ્લેઝર. મારું આ વિડ્સ ઉખેડવાનું કામ ૩૦ મિનિટમાં થઈ જશે. આપણે એકાદ કલાકમાં જવા નીકળીએ.”

    બસ, એ દિવસથી અમારી બિન-શરતી મૈત્રી વધુ ગાઢ થવાની શરુઆત થઈ હતી.

    એના બીજે દિવસે, સમરસિંગ ખન્ના એમિનાને ત્યાં છ માસ માટે રહેવા આવી ગયા. હું પણ મારાં ઘરનાં બધાં જ કામ પતાવીને એમિનાને ઘરે ગઈ.

    એમિનાએ મને મહેમાનની ઓળખાણ કરાવી અને પછી મને એના કિચનમાં બોલાવીને કહે, “ઓ માય ગોડ! હી ઈઝ સો ગુડલુકીંગ! મને લાગે છે કે મને “લવ એટ ફર્સ્ટ સાઈટ” થઈ ગયો છે! આઈ એમ રેડી ટુ ડાય ફોર હીમ! (એ એટલો દેખાવડો છે કે હું એની સાથે કે એને માટે મરી ફીટવા પણ તૈયાર છું.)

    સમરસિંગ ૨૫-૨૬ વર્ષના ખૂબ જ દેખાવડા, ગોરા અને છ ફૂટ ઊંચા પંજાબી નવયુવાન હતાં.

    “તું છે ને ગાંડી થઈ ગઈ છે! જાણ-પિછાણ વિના આમ કોઈ કરે?” અને એના માથા પર ટાપલી મારીને હું કિચનમાંથી બહાર આવી.

    બહાર આવીને મેં સમરસિંગ સાથે વાતચીત કરતાં કહ્યુ, “યહાં આનેસે પહેલે આપ ગઝલસમ્રાટ જગજીતસિંગકે શાગિર્દ રહે થે પાંચ સાલકે લિયે, ઐસા સુના હૈ. તો, ભાઈસા’બ કુછ અશઆર સુના દિજિયે. મુઝે તો ઉનકી ગાઈ હુઈ સારી ગઝલેં અચ્છી લગતી હૈં!”

    સમરસિંગે અચકાતાં કહ્યું, “દીદી, પહેલે તો, મૈં આપસે બહુત છોટા હું. મુઝે આપ મત કહીએ!” હું આછું સ્મિત આપી મનોમન બોલી, ‘માણસ તો વિવેકી છે.’

    “હાં તો કહીએ, આપ કૈસે જગજીતજી કે શાગિર્દ બને? જગજીતજી કા પ્રોગ્રામ યહાં તીન હપ્તોં કે બાદ હૈ.  આપ કો તો માલૂમ હી હોગા, ઉનકી અમેરિકા કી ઈસ ટૂર કે બારેમેં. યહાં ફિલામેં આપ ઉનકે સાથ સંગત કરના ચાહતે હૈં તો મૈં આપ કો ઓર્ગેનાઈઝર્સ કે સાથ મિલવાકર યહ એરેન્જ કરા સકતી હું. મૈં ઓર્ગેનાઈઝર્સ કો અચ્છી તરહ સે જાનતી હું.”

    આ સાંભળીને સમરસિંગના મુખ એકદમ ઝાંખું પડી ગયું. મને એવું પણ લાગ્યું કે સમરસિંગ થોડા ડરી ગયા હતા.

    એમિના તો હજુ કિચનમાં હતી.

    સમરસિંગે ગભરાટમાં આગળપાછળ જોયું અને કરગરતાં મને કહે, “આપને હું કંઈ કહું તો આપ કોઈને નહીં કહોને?”

    મને થયું કે બિચારા નવા છે અને આ નવા વાતાવરણમાં ડરી ગયા હશે. હું બોલી, “અરે જરા પણ અચકાટ વિના કહો. શું વાત છે સમરસિંગ?”

    સમરસિંગે હાથ જોડતાં હહ્યું, “દીદી, હું પંજાબી ફોક ગાઉં છું પણ કોઈ સાથેય મેં ત્રણ વર્ષ માટે ન તો તાલિમ લીધી છે ન તો જગજીતજીનો શાગિર્દ રહ્યો છું. તેઓ મને જાણતાયે નથી. મેં એ લેટર ખોટો લખ્યો છે, જાલી છે. મને માફ કરો દીદી.”

    હવે ચોંકી જવાનો વારો મારો હતો. મેં મારા પર માંડ કાબુ રાખીને, જરા કડક અવાજે કહ્યું, “જે કહેવું હોય તે જલદી અને સ્પષ્ટ કહો. કોણ છો તમે અને આવા સરસ કલ્ચરલ એકેડેમિક પ્રોગ્રામમાં તમે કઈ રીતે આવી ચડ્યા?”

    “દીદી, દરઅસલ હું પંજાબ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ છું અને યુનિવર્સિટીની ઓફિસમાં ક્લાર્કનું કામ કરું છું. ત્યાં જ મને ખબર પડી કે આ વરસે કોઈ ગાયકને આ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે સ્કૉલરશિપ આપવામાં આવવાની હતી.”

    “તો?” મેં એ જ કડકાઈથી પૂછ્યું.

    “આ પ્રોગ્રામમાં દાખલ થવા માટે પાંચ વરસ મેં જગજીતજી સાથે સંગત કરીને ગાયકી શીખી છે, એવું યુનિવર્સિટીના લેટરહેડ પર લખીને ખોટો કાગળ મોકલી આપ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે મને આવવાનો મોકો મળી ગયો!”

    “આનો અર્થ એ કે તમે ગાયકી વિષે કંઈ નથી જાણતા? અનબિલીવેબલ! આટલું જૂઠ્ઠાણું?”

    ઓલમોસ્ટ રડમસ અવાજે સમરસિંગ બોલ્યા, “નહીં, નહીં, હું ફોક સિંગિંગ કરું છું અને પંજાબમાં લોકલ પ્રોગ્રામો પણ કરતો હતો. પણ જગજીતજી પાસે કોઈ તાલિમ નથી લીધી કે નથી એમનો શાગિર્દ રહ્યો! બસ, આટલું જ ખોટું બોલ્યો છું.”

    મારા મોઢા પર ખૂબ ગુસ્સો હતો. પણ સમરસિંગે આજીજીભર્યા અવાજે પોતાની કથની કહેવાનું ચાલુ રાખ્યું.

    “બાબુજીના ગુજરી જવા પછી મારા માથે ઘરની બધી જ જવાબદારી આવી પડી અને એમાં ત્રણ નાની બહેનોના લગ્નના દહેજ જમા કરવાની જવાબદારી પણ મારે માથે છે. વખાના માર્યા મારે આ કામ કરવું પડ્યું છે. દીદી, પ્લીઝ, મને અહીંથી કઢાવશો નહીં. મારા સ્ટાઈપન્ડમાંથી ચાર પૈસા બચાવીને હું વતન પાછો જતો રહીશ. કમ સે કમ મારી નાની બહેનોનાં લગન તો કરાવી શકીશ!”

    હું સદંતર અવાચક થઈ ગઈ હતી. માંડમાંડ મારા ગુસ્સા અને અવાજ પર કાબુ રાખીને હું બોલી, “તમારા જેવા માણસો આવી રીતે ખોટું બોલીને અહીં આવીને બાકી સહુ ભારતીયોનું નામ ખરાબ કરીને જાય છે. તમે હમણાં જ આ વાત એમિનાને કહો છો કે નહીં? નહીં તો હું કહીશ.”

    સમરસિંગ કરગરી પડ્યો, “ખોટું કરવાનું મને પણ ખરાબ લાગે છે દીદી. પણ, પ્લીઝ, પ્લીઝ, ગરીબ પર દયા કરો!”

    “સમરસિંગ, હું સમજી શકું છું કે તમે વખાના માર્યા છો પણ તોયે આ તો ફરેબ છે, દગો છે! તમને પોતાને પણ ખબર છે કે આ સારું નથી થતું. કમ સે કમ એમિનાને હમણાં ને હમણાં જ સાચું કહો. તમે એનું નમક ખાઈને એની સાથે રહેવાના છો. એનો ભરોસો આમ તમે તોડશો? એ ફરી કદી કોઈ ફોરેનર પર વિશ્વાસ કઈ રીતે કરશે?”

    મારા અવાજમાં સખતાઈ તો હતી પણ પછી એમને સમજાવવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું, “સમરસિંગ, એમિના જે સંસ્થા સાથે સંકળાયેલી છે તે સંસ્થા, સંગીત અને લલિતકળાના વિકાસ માટે આંતરરાષ્ટ્રિય સ્તર પર કામ કરે છે. તમને ખબર છે, કે આ જૂઠાણું પકડાશે તો શું થશે?”

    સમરસિંગના મોઢા પર ભય પણ હતો અને અનિશ્ચિતતાની કાળી છાયા પણ હતી.

    મેં પછી આગળ કહ્યું, “કેટલા બધાં નવા, ઉદય પામતાં કલાકારોને તક આપતાં પહેલાં, આવી નોન-પ્રોફિટ સંસ્થા તમારે લીધે સો વખત વિચાર કરશે.”

    સમરસિંગ હવે એકદમ ડરી ગયો હતો. મને કહે, “દીદી, પ્લીઝ, મુઝે બચાલો દીદી!. મૈં વખ્ત કા મારા હું, પર બૂરા આદમી નહીં હું.”

    એમિના હજુ કિચનમાં જ હતી. આ સાંભળી, મેં જરાક નરમ પડીને કહ્યું, “ભાઈ, તમે ગાયક તો છો જ. બસ, એકવાર સાચું કહી દો કે તમે જગજીતજીના શાગિર્દ નથી. અને તે પછી પણ એમિના અને એની ઇન્સ્ટિટ્યૂટવાળાઓ, તમને રહેવા દે તો મને શું વાંધો હોય? એમિનાને તમે સત્ય કહી દો. પછી એને અને એની સંસ્થાએ જે કરવું હોય તે કરે!”

    સમરસિંગ હજુ ભયભીત હતો.

    “જુઓ, ભાઈ, તમે મને સાચું કહ્યું, એથી આટલું તો સાબિત થાય છે કે તમે બૂરા નથી પણ, એમિનાને સાચું કહી દો. આટલું જ હું કહું છું. હું તમારા પર ભરોસો રાખું છું કે તમે એમિનાને મારા ગયા પછી, તરત સાચું કહી દેશો.”

    સમરસિંગ સૂનમૂન થઈને ઊભો હતો. એની આંખોમાં ડર હતો, પસ્તાવો હતો કે ડરની સાથે પસ્તાવો હતો? જે કઈં પણ હતું એ આંખોમાં, પણ, એ નક્કી કરવાનું કામ મારું ક્યાં હતું? અમારી આ વાત દરમિયાન એમિના હજુ કિચનમાં જ હતી.

    મેં એમિનાને બહારથી જ કહ્યું, “આઈ એમ લિવિંગ, ઓકે? મારે થોડુંક બહાર જવાનું છે.”

    એમિનાએ ડોકું કિચનની બહાર કાઢીને કહ્યું, “બાય, ડિયર. હેલ્પ માટે થેંક્યુ.”

    સમરસિંગની પીઠ એમિના તરફ હોવાથી એ એમિનાને જોઈ નહોતો શકતો. એમિના સમરસિંગને બે-ચાર ફ્લાઈંગ કિસિસ આપતી હતી અને હું મ્લાન, આછું સ્મિત આપી, મારા ઘરે આવી ગઈ.

    પછીના બે દિવસ સુધી ન તો મને એમિના દેખાઈ કે ન તો સમરસિંગ. ત્રીજા દિવસે હું, ફ્રન્ટયાર્ડંમાં કામ કરવા લગભગ સાંજના પાંચેક વાગે આવી. બરાબર એ જ સમયે એમિના તૈયાર થઈને બહાર જવા નીકળી.

    મને જોઈ એણે હાથ ઊંચો કર્યો અને રસ્તો ક્રોસ કરીને મારી પાસે આવીને, ટાઈટ હગ આપીને કહ્યું, “થેંક યુ, માય ફ્રેન્ડ!”

    મેં એને પૂછ્યું, અંગ્રેજીમાં, “યુ આર ઓલવેઝ વેલકમ, પણ શેને માટે થેંક્યુ કહી રહી છે?”

    એણે કહ્યું, “સમરસિંગે મને સાચું કહ્યું, તમારા કહેવાથી, તે મને ગમ્યું.”

    હું ચૂપ રહી, ક્ષણેક, અને પછી બોલી, “તું હર્ટ થઈ હશે! તને તો એની સાથે લવ એટ ફર્સ્ટ સાઇટ થયો હતો ને! સોરી, મારા દેશવાળાએ તારું દિલ તોડ્યું. તેં એને પાછો મોકલી આપ્યો કે નહીં? એ ખોટું બોલ્યો, એ સાચે જ ખરાબ કર્યું!”

    એમિના પળેક અટકી ગઈ. પછી કહે, “હું કોણ છું, કોઈને સાચા કે ખોટા સાબિત કરવાવાળી? મેં અમારી ઇન્સ્ટિટ્યૂટને સાચું કહીને એના રહેવાની વ્યવસ્થા બીજે કરાવી છે. તેઓ એની સિંગિંગ ટેલેન્ટને ઈવેલ્યુએટ કરશે અને બોર્ડ મિટિંગમાં એનો ફેંસલો કરશે. હું સમજું છું કે પોતાની ગરીબી હટાવવા એ ખોટું બોલ્યો છે, પણ સિંગર તો છે. હવે જો એને સંગીત ખરેખર આવડતું હશે તો એ આ પ્રોગ્રામમાં ટકી જશે! ભગવાન કરે અને આ એક્ષચેન્જ પ્રોગ્રામને લીધે એની જિંદગી સારી થાય તો મને ખરેખર આનંદ થશે.”

    આ સાંભળીને એમિનાના હૃદયની વિશાળતા પાસે માથું અનાયસે ઝૂકી ગયું.

    એમિનાએ કહ્યું, “જે થઈ ગયું તે થઈ ગયું. હું તો આજે બ્લાઈન્ડ ડેટ પર હમણાં જઈ રહી છું. વિશ મી લક મિસિસ મરચંટ.” આ સાંભળીને હું આભી બની ગઈ!

    મને લાગ્યું, એનો પહેલી નજરનો પ્રેમ સફળ ન થયો, એથી એ ભાંગી પડી હશે! મને એકાદ મિનિટ કળ વળતાં લાગી અને અનાયસે બોલાઈ જવાયું, “બ્લાઈન્ડ ડેટ?”

    એ હસી પડી. “હું તો પ્રેમમાં પડવાના વિચારના જ ગળાડૂબ પ્રેમમાં છું!”

    “એમિના, હું તારા આ આશાવાદની આજે તો ફેન થઈ ગઈ!”

    ત્યાં તો એમિના હસીને જાણે કંઈ થયું જ ન હોય એમ અંગ્રેજીમાં બોલી, “યુ સી, મિસિસ મરચંટ, પ્રેમ તો આ ઘાસમાં ઊગી જતાં, જંગલી પીળાં ફૂલો સમો છે. જેટલો અને જેટલી વાર ઉખેડશો, એટલીવાર જોરશોરથી પાછો ઊગશે અને ગમે ત્યાં ઊગશે. કારણ જાણો છો? જંગલી ફૂલો કુદરતી છે અને ફૂલોનો સ્વભાવ છે ઊગવાનો! પ્રેમ પણ ફૂલોની જેમ જ કુદરતી ઊગે છે! જે ઓરગેનિક હોય એને કેમ રોકી શકાય?”

    “ખરેખર, આટલી નાની વયમાં પણ તારા મન અને હૃદયની સ્વચ્છતા અને સ્પષ્ટતાને સલામ, માય ડિયર! તને કોઈ માટે પણ નફરત – હેટ્રેડ્ કે પછી નિરાશા જેવું નથી થતું?”

    “કેમ નહીં, મને પણ થાય છે નફરત અને નિરાશા, જેલસી. પણ હું એને રેશનલાઈઝ્ડ – (વ્યાજબી કરવાના કારણો શોધીને)- મારા મનમાં પાળતી નથી. એટલે બચી જાઉં છું!”

    પછી, એક ઊંડો શ્વાસ લઈને કહે, “હેટ્રેડ – નફરત કે ઈર્ષા – જેલસી, એની જાતે નથી ઊગતાં! એ તો મેનમેઈડ છે. આપણે જ એને સિંચીને આપણા મનમાં ઊગાડીને, પેન્ડેમિક- મહામારીના રોગચાળાની જેમ આપણી હયાતી પર ફેલાવીએ છીએ. મને આ જંગલી વીડ્સનાં પીળાં ફૂલો આથી જ માત્ર ગમતાં નથી, પણ હું તો આ જંગલી ફૂલોના પ્રેમમાં જીવું છું, કારણ કે તેને માણસે નથી બનાવ્યા.” સાવ સહજતા, સરળતા અને સ્વાભાવિકતાથી એમિના આ વાત કહી રહી હતી.

    મારાથી ન રહેવાયું અને મેં એને એક ટાઈટ હગ આપતાં કહ્યું, “મને આજે તારી પાસેથી ખૂબ શીખવા મળ્યું છે!”

    એમિનાએ આંખ મીંચકારીને કહ્યું, “નાઉ, ક્મ ઓન મિસિસ મરચંટ! નોટ અ બિગ ડીલ! એની વે, વિશ મી લક, કે હું કોઈ સરસ માણસને – આ જંગલી ફૂલ જેવા કે જેનામાં બનાવટ ન હોય, એવા કોઈને મળું, મારી આ બ્લાઈન્ડ ડેટ પર! મને તો બસ, બધે જ પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ દેખાય છે!”

    મેં ફરી એને હગ આપીને કહ્યું, “બેસ્ટ ઓફ લક, માય ફ્રેન્ડ!”

    એમિના ખુશખુશાલ થનગનતી ચાલે રસ્તો ક્રોસ કરીને, એના ડ્રાઈવ વેમાં પાર્ક કરેલી ગાડીમાં બેઠી અને ગાડીમાંથી હાથ ઊંચો કરીને એણે કાર પૂરપાટ મારી મૂકી અને હું મારા ફ્રન્ટયાર્ડમાં પાછાં ઊગી ગયેલાં પીળાં ફૂલોને ઉખેડવા ફરી બેસી ગઈ હતી.

    *****

    મને એમિનાના શબ્દો આજે ફરી યાદ આવી રહ્યા હતા; “પ્રેમ તો આ ઘાસમાં ઊગી જતાં, જંગલી પીળાં ફૂલો સમો છે. જેટલો અને જેટલી વાર ઉખેડશો, એટલીવાર, જોરશોરથી પાછો ઊગશે. કારણ, જંગલી ફૂલો કુદરતી છે અને ફૂલોનો સ્વભાવ છે ઊગવાનો!”

    આ વાત યાદ શું આવી કે મારા મનમાં હું ગણગણવા માંડી; “અજીબ દાસ્તાં હૈં યે, કહાં શુરુ કહાં ખતમ, યે મંઝીલેં હૈં કોનસી, ન વો સમજ સકે ન હમ!”


    સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૪

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગતછે. રબીન્દ્રસંગીતની આપણી સફર આગળ ધપાવતા, આજે આપણે પ્રેમ પારજોયની ખુબ નજાકત ભરેલી રચનાને જાણીશું અને માણીશું.

    આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમમાં “પડવું” એ એક અવર્ણીય અનુભૂતિ છે અને ખાસ કરીને વિજાતીય પ્રેમમાં પડવાની અનુભૂતિ તો જે ખરેખર પ્રેમમાં પડ્યું હોય તેજ સમજી શકે અને સમજાવી શકે. ક્યારેક અચાનક કોઈકના હૃદયના ટુકડાની સાથે આપણા હૈયાનો ટુકડો પેલા jigsaw puzzleની જેમ જડબેસલાક જોડાઈ જાય એટલે કે it just clicks – ત્યારે બને પક્ષે આ પ્રેમની અનુભૂતિનો સાક્ષાત્કાર થાય…પ્રેમ અને આકર્ષણ વચ્ચે આભ-જમીનનો ફરક છે. પ્રેમ આપીને ખુશ થાય અને આકર્ષણ પામીને ખુશ થાય.. પ્રેમ ઉડવાને મુક્ત આકાશ પૂરું પડે જયારે આકર્ષણ ઉડાનને આંતરે…જોકે આજકાલ પ્રેમ અને આકર્ષણ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે તે જુદી વાત છે…

    જયારે બે પાત્રો વચ્ચે પ્રેમનો પ્રાદુર્ભાવ થાય ત્યાર બાદ હંમેશા એકબીજાના સાંનિધ્યમાં રહેવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. આવાજ કોઈક પાત્રની લાગણીઓને ગુરુદેવે આ રચનામાં ખુબ નજાકત પૂર્વક વાચા આપી છે.1897માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે ভালোবেসে সখী নিভৃতে যতনে | (Bhalobashi Sokhi nibrite jatone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “તારા મન મંદિરે…”
    જેનું સ્વરાંકન કવિવરે કીર્તન પદ્ધતિ પરથી કર્યું છે અને તેને દાદરા  તાલ પરતાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

     તારા મન મંદિરે….

    મારા નામને સાચવીને તું સખી 
    તારા મન મંદિરે ગોપાવી રાખજે 

    મારા ગીતના સૂર સંગાથે સખી 
    તારા નૃત્યના પગલાં થરકાવજે 

    મારી યાદો તણા પંખીને સખી 
    આંગણે આવકાર મીઠો આપજે

    મારા પ્રેમબંધનના કંગનથી સખી 
    તારી નાજુકશી કલાઈ શોભાવજે 

    મારા સ્નેહનું એક તણખલું સખી 
    તારા ઘટાદાર કેશમાં ગુંથી રાખજે 

    ચપટીક સિંદૂર મારા નામનું સખી 
    તારા ચમકીલા ભાલે શણગારજે 

    મારા અસ્તિત્વની સુવાસથી સખી 
    તારી આસપાસ સદાય મહેકાવજે 

    મારા નામને સાચવીને તું સખી 
    તારા મનમંદિરે ગોપાવી રાખજે 

    ©અલ્પા શાહ

    આ રચનામાં કવિવરે ખુબ નાજુકતાથી એક પ્રેમી હૃદયની ઈચ્છા અને મહેચ્છાને વાચા આપેલ છે. પોતાના પ્રિયપાત્રને સાંનિધ્ય, સામીપ્ય અને સાયુજ્યને પામવું એજ એક પ્રેમીની અભિલાષા હોય છે જે દરેકે દરેક પંક્તિમાં કવિવરે શૃંગારિક રીતે વ્યક્ત કરેલ છે. કદાચ તનથી સમીપે રહેવું શક્ય ના હોયતો પણ મનથી એકબીજાની નજીક રહેવાની આકાંક્ષા વ્યક્ત કરેલી છે. રબીન્દ્રસંગીતની આ રચના પ્રેમ પારજોયની એક અતિ વિખ્યાત રચના છે જેને બંગાળી સંગીતના અનેક ધુરંધરોએ પોતાના સુમધૂર સ્વરમાં રજુ કરી છે.

    આ રચનાને જયારે હું સમજવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે મારા મનમાં એક વિચાર ફરકી ગયો. આપણે સૌ જાણીએ છીએ તેમ રાધા-કૃષ્ણ  વચ્ચેના પ્રેમને પ્રેમની પરાકાષ્ટા કે પ્રેમની ચરમસીમા કહી શકાય. જેમ રાધાજીના રોમમાં રોમમાં શ્રી કૃષ્ણનો વાસ હતો તેમ શ્રી કૃષ્ણ   માટે પણ રાધાજી તેમનો શ્વાસ જ હતાને! રાધાજી માટે શ્રી કૃષ્ણ   તેમના હૈયાનો ધબકાર હતો તો શ્રી કૃષ્ણ   પણ રાધાજીમાં એકાકારજ હતાને! . રાધાજીના શ્રી કૃષ્ણ   પ્રત્યેના પ્રેમની ઉર્મિઓને શબ્દો દ્વારા પ્રાચીન કાળથી ઘણા બધા સાહિત્યકારો એ વાચા આપી છે પણ શ્રી કૃષ્ણ ના રાધાજી પ્રત્યેના પ્રેમને વર્ણવતી રચનાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે….શ્રી કૃષ્ણ ના રાધાજી પ્રત્યેના પ્રેમને કદાચ આ રચના દ્વારા વ્યક્ત કરી શકાય એટલી નજાકત આ રચનામાં રહેલી છે.

    તો ચાલો, આ દિવ્ય પ્રેમની પવિત્રતાને માણતા માણતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,


    સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ‘અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા’…

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

     

    તારાશંકર બંદ્યોપાધ્યાયની નવલિકા પર સત્યજીત રાય ‘જલસાઘર’ નામનું (મૂળ નવલિકાના નામનું જ ચિત્રપટ) બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આપ તો જાણો છો કે સત્યજીત રાય સંવેદનશીલ નિર્માતા-દિગ્દર્શક હતા. મૂળ લેખકે તેની કથામાં સર્જેલા પાત્રો રંગભુમિ પર જીવંત થઇ ઊઠે તે માટે તેઓ એવા કલાકારોને શોધી તેમના કસબનું એવું ચિત્રીકરણ કરતા, જાણે આ પાત્રો અપણા સૌના જીવનમાં આવી ગયા હોય, અથવા આપણે તેમને નજીકથી ઓળખતા હોઇએ તેવું લાગે.

    ‘જલસાઘર’ના મુખ્ય પાત્ર જમીનદાર બિશમ્બર રાયે તેમના મહેલના સંગીતકક્ષ – જલસાઘરમાં જીવનનો છેલ્લો કાર્યક્રમ તેમાં હાજરી આપનારાઓના જીવનનો અવિસ્મરણીય બનાવ બની રહે તે માટે તેમણે તેમના જમાનાનાં ઉત્તમોત્તમ ગાયક-ગાયિકાઓને બોલાવ્યા. આજની વાત ‘જલસાઘર’ની નથી: મૂળ કથાના મૂખ્ય પાત્રને જીવંત કરવા તેમણે રાયમોશાયની ભુમિકામાં બંગાળની રંગભુમિના સર્વશ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા છબી બિશ્વાસને ઉતાર્યા. તેમના જીવનની છેલ્લી ઠુમરી ‘ભર ભર આયી મોરી અંખીયા’ને યાદગાર બનાવવી હતી તે માટે તેમણે કોને પસંદ કર્યા હશે? એવી કલાકૃતિ જે શ્રોતાઓના જીવનમાં યાદગાર બની જાય?

    અલબત્, મલિકા-એ-ગઝલ બેગમ અખ્તર સિવાય બીજું કોણ હોય? અને બેગસસાહિબાએ તેમાં પ્રાણ સિંચીને ગાયું. અહીં જોઇશું ‘જલસાઘર’ની ભવ્યતા, ખાનદાની રસીક-રઇસ રાય મહાશય, જાજ્વલ્યમાન અને કલાની અમીરીના ખુમારથી દમકતી ગાયીકા તથા તેમને સાથ આપનારા વાદક કલાકારો! વાહ! શું એ જમાનો હતો! કેવા તો ગાયકો હતા અને કેવી તો એ ગાયકી હતી! આજના ભજનસમ્રાટો અને સેકન્ડહૅન્ડ ગીત-ગઝલ ગાનારા ટિનપાટીયા ‘કલાકારો'(!)ને સાંભળી, TV પર જોઇ ખરા દર્દીઓ ‘ते हि नो दिवसा गता:’ કહી માથું હલાવે તે બનવા જોગ છે.

    આ પહેલાં જિપ્સીએ રત્ન તથા તેને ઊઠાવ આપવા માટેના જરૂરી ગણાતા કિમતી ધાતુઓનાં ઘરેણાંની વાત કરી હતી-કોહિનૂર જેવા હિરાને રાજમુકૂટ જોઇએ-જેવી. પણ આ તો બેગમ અખ્તર હતા! તેમને ચંદ્રની જેમ કોઇના ઉછીના તેજની જરૂર નહોતી. તેઓ પોતે જ સ્વયં પ્રકાશિત હતા. તેમનું જીવન, તેમનો હસમુખો ચહેરો તથા ગાવાનો અંદાજ એવો મીઠો અને અવાજ એવો પ્રવાહી હતો, જાણે ભગવાનને અર્પણ કરવા માટે તેમના પરમ ભક્તે સુવર્ણના ઘડામાં પંચામૃત ન બનાવ્યું હોય! અને તેમને સાંભળનારાઓ માટે તો પરમાત્માએ ખુદ તેનો સ્વીકાર કરી નાદબ્રહ્મમાં રત થયેલા ભક્તોને આ પંચતત્વની પ્રસાદીનો આસ્વાદ કરાવ્યો હોય તેવું લાગે!

    બેગમ અખ્તરના જીવન પર ઇન્ટરનેટ પર તથા પુસ્તક જગતમાં ગણી ન શકાય એટલા પાનાંઓ અને પુસ્તકો મળી આવશે. તેથી તેમાં એક વધારાનું પાનું ઉમેરવાની ધૃષ્ટતા ન કરતાં આપના શ્રવણ આનંદ માટે અહીં તેમના કેટલાક ચૂંટેલા નગીનાઓનો આપણે મળીને રસાસ્વાદ કરીશું.

    અમારા સૈનિક જગતમાં પ્રભાતનાં કિરણોની અને સુપ્રભાતને આગાહ કરવા બ્યુગ્લર reveille વગાડતો હોય છે. બ્યુગલના આહ્લાદક ધ્વનિમાં સૂરજ ઉગે તેમ કોલકાતાની સુવર્ણભુમિમાં બેગમ અખ્તરની પ્રતિભાનો સૂર્યોદય થયો. તેમની કારકિર્દીની શરૂઆતની ગાયકી જોઇએ તો તે ટાન્ઝાનાઇટ જેવા અણમોલ રત્નના સ્ફટિક જેવી લાગશે. જેમ જેમ તેમાં પાસા પડતા ગયા, અદ્ભૂત રોશનીનાં કિરણો પરિવર્તીત થવા લાગ્યા. ટાન્ઝાનાઇટ એટલા માટે કે તેના આછા નીલા પ્રકાશમાંથી જાણે આહ્લાદકતા ઉછળીને બહાર પડતી હોય તેવું લાગે. બીજા અલંકારમાં કહીએ તો જાણે પારિજાતની કળીઓ ખિલવા લાગે અને તેનું મંદ હાસ્ય – જેને ઉર્દૂ કવિઓ તબસ્સુમ કહે છે – તેમ નિખરતું જાય. બેગમ અખ્તરનો પારિજાત એટલો વિશાળ હતો, સવારના પહોરમાં તેનાં ફૂલ તથા તેની ખૂશબૂ આખા વિશ્વ પર વર્ષા કરવા લાગી!

    સુંદર અને સુગંધી ફૂલનું સ્થાન ફૂલદાનીમાં નથી એ ફૂલ સિવાય બીજું કોઇ જાણતું હોય તો તેના ચાહકો. ખુલા ઉદ્યાનમાં તેની મહેક તથા તેની સુંદરતાનો લાભ લેવા લાખોની સંખ્યામાં જતા ચાહકો માટે બેગમ અખ્તરે પોતાની હવેલીની ફૂલદાની છોડી અને સૂરબહારનો સૌરભ પ્રસરાવવા બહાર નીકળ્યા. ત્યાર પછી જે થયું એ તો ઇતિહાસ છે!

    આજે આપણે કેવળ બેગમ અખ્તરની કલાનો રસાસ્વાદ કરીશું.

    તે સમયે બેગમ અખ્તરે કેવળ ‘અખ્તરીબાઇ ફૈઝાબાદી’ના નામે સંગીત જગતમાં પ્રવેશ કર્યો. અને શરૂઅતની પ્રસ્તુતી કંઇક આવી હતી:

    આપે તેમની “અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા’ તો સાંભળી જ હશે! જાણે શહેનાઇમાંથી શબ્દો બહાર પડતા હોય!

    આપે શકીલ બદાયૂંનીએ રચેલી ગઝલ આપે સાંભળવી જ જોઇશે! ફરીદા ખાનુમ જેવી મહાન ગાયિકાએ સુદ્ધાં કહ્યું હતું કે બેગમ અખ્તરે આ ગઝલ એટલી ખુબસુરતીથી ગાઇ છે, વાહ! આફ્રિન! ગઝલ છે, ‘મેરે હમ-સફર, મેરે હમ-નવા..’ શબ્દો હૃદય સુધી પહોંચે, પણ બેગમ સાહિબાએ ગાઇને હૃદયના તાર એવા છેડ્યા, તેનો ઝંકાર હજી પણ અનુભવાય!

    ગુજરાત માટે બેગમ સાહિબાની મુલાકાત આનંદ અને શોકના અગમ્ય સંગમ જેવી નીકળી. ગુજરાતની રંગભુમિનાં જાણીતા પુરસ્કર્તા નીલમબહેન ગામડીયાના આમંત્રણથી બેગમ અખ્તર અમદાવાદ આવ્યા હતા. આ મુલાકાત તેમનાં જીવનની ભૈરવી બની, અને…

    https://www.youtube.com/playlist?list=PLMYQ2DE1_LdbZhDr_ChI-V9CXo-XTsEvs

    એક દીપનું નિર્વાણ થયું અને યુગ વિતી ગયો. અલ્ વિદા બેગમ સાહિબા, આપની રૂહને ખુદા બક્ષે!


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ચોમાસાનો રંગીન રાજદૂત: નવરંગ

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    ભારતીય ઉપખંડના રંગબેરંગી પક્ષીઓમાં જો કોઈ પક્ષી પોતાની અદભુત સુંદરતાથી તરત જ મન મોહી લે, તો તે છે નવરંગ જેનું અંગ્રેજી નામ ઇન્ડિયન પીટ્ટા (Indian Pitta) છે. તેના શરીર પર જાણે પ્રકૃતિએ નવ રંગોની પીંછી ફેરવી હોય તેવું લાગે છે. કદમાં નાનું અને સ્વભાવથી શરમાળ આ પક્ષી એટલું રળિયામણું લાગે છે કે તેને એકવાર જોનાર તેને સહેલાઈથી ભૂલી શકતો નથી.

    પ્રથમ નજરે નવરંગ જાણે કોઈ ચિત્રકારની કલ્પનામાંથી બહાર આવ્યું હોય એવો ભાસ થાય છે. લીલી પાંખો, આછું પીળું પેટ, આંખ પરથી પસાર થતી કાળી પટ્ટી, ખભા પાસેનો વાદળી ઝાંયવાળો રંગ, પાંખ ની અંદર બાજુ વાદળી રંગ અને વચ્ચે સફેદ કૂંડાળા, આ બધું મળીને તેને અદ્વિતીય સૌંદર્ય આપે છે. ઉડાન દરમિયાન તેની પૂંછડી નીચે દેખાતો લાલ રંગ તો તેના રૂપમાં વધુ એક આકર્ષક સ્પર્શ ઉમેરે છે.

    આટલો રંગીન હોવા છતાં નવરંગને ઘાટા જંગલમાં શોધવો એટલો જ મુશ્કેલ છે. તે મોટાભાગનો સમય સૂકા પાંદડાંની વચ્ચે જમીન પર ફરતા-ફરતા ખોરાક શોધવામાં પસાર કરે છે. તેની ચપળતા અને સંતાઈ રહેવાની ટેવને કારણે ઘણીવાર પક્ષીપ્રેમીઓને તેનો અવાજ તો સંભળાય છે, પરંતુ પક્ષી દેખાતું નથી.

    નવરંગનો વ્યાપ સમગ્ર ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. જોકે તે દરેક જગ્યાએ વર્ષભર રહેતું પક્ષી નથી, તે દક્ષિણ ભારતથી મધ્ય અને ઉત્તર ભારત તરફ તે મુખ્યત્વે ચોમાસા એટલે કે પ્રજનનકાળ દરમિયાન સ્થળાંતર કરે છે. ગુજરાતમાં નવરંગ ખાસ કરીને ચોમાસાના આગમન સાથે જોડાયેલું પક્ષી છે. પ્રથમ વરસાદથી ધરતી હરિયાળી બનવા લાગે ત્યારે તે યોગ્ય વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં દેખાવા માંડે છે. ઘણા પક્ષીપ્રેમીઓ માટે નવરંગનું આગમન એ ચોમાસાની શરૂઆતનું એટલું જ જીવંત પ્રતીક છે જેટલું આકાશમાં ઘેરાતા વાદળો કે વરસાદથી ભીની બનેલી માટીની સુગંધ.

    ગુજરાતમાં જૂન-જુલાઈનો સમય નવરંગ જોવા માટે શ્રેષ્ઠ છે. તે સમગ્ર ગુજરાતના ઘાટા જંગલ વિસ્તાર જેમ કે ડાંગ, ગીર, બરડા, શૂલપાણેશ્વર, હિંગોળગઢમાં સારી સંખ્યામાં આવે છે. કચ્છ જેવા સૂકા પ્રદેશમાં તેનું મળવું અસામાન્ય છે, પણ ધીણોધર અને આસપાસના જંગલ વિસ્તારોમાં ચોમાસામાં તેની નોંધ થયેલ છે.

    ઘણા રંગીન પક્ષીઓ વૃક્ષોની ટોચ પર રહેવું પસંદ કરે છે, પરંતુ નવરંગને તો આપણા પગ નીચેની દુનિયા વધુ પસંદ છે. તે જમીન પર પડેલા પાંદડાં વચ્ચે કૂદકાં મારતું ફરતું રહે છે અને અળસિયાં, ભમરડા, કીડીઓ, ઊધઈ તથા અન્ય નાના અપૃષ્ઠવંશી જીવોની શોધમાં રહે છે. થોડા-થોડા અંતરે તે થોભે છે, માથું સહેજ નમાવે છે અને પછી ક્ષણમાત્રમાં પોતાના શિકાર પર ઝપાટો મારે છે.

    આ પ્રક્રિયામાં નવરંગ જંગલના પરિસ્થિતિતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિવિધ અપૃષ્ઠવંશી જીવોનો ભક્ષક હોવાને કારણે તે તેમની સંખ્યાના સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. ખોરાકની શોધ દરમિયાન તે સૂકા પાંદડાંને ઉલટાવતો અને જમીનને હળવેથી ખોતરતો રહે છે, જે સજીવ પદાર્થોના વિઘટન અને પોષક તત્ત્વોના રિસાયકલિંગની પ્રક્રિયાઓને પરોક્ષ રીતે સહાય કરે છે. સામાન્ય નજરે નિર્જીવ લાગતી પાંદડાંની સપાટી હકીકતમાં જીવાણુઓ, ફૂગ, જંતુઓ અને અસંખ્ય સૂક્ષ્મ સજીવોનું જીવંત વિશ્વ છે. નવરંગનું જીવન આ અદૃશ્ય જગત સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને તેની હાજરી આપણને યાદ અપાવે છે કે જંગલનું સાચું જીવન ઘણીવાર આપણી નજરથી ઓઝલ રહેતું હોય છે.

    ઘણીવાર નવરંગ દેખાય તે પહેલાં તેનો અવાજ સંભળાય છે. પ્રજનન ઋતુ દરમિયાન આ પક્ષીનો સ્પષ્ટ અને મધુર દ્વિ-સ્વરીય ટહુકો જંગલમાં દૂર સુધી ગુંજી ઊઠે છે.જે સાંભળતા એવું લાગે કે તે “લાઇન ક્લિયર – લાઇન ક્લિયર”ની ચીસો પાડતું હોય. વરસાદથી ધોવાઈ ગયેલા હરિયાળા જંગલમાં આ ટહુકો સાંભળવાનો અનુભવ પ્રકૃતિપ્રેમીઓ માટે હંમેશા યાદગાર બની રહે છે.

    (નવરંગનો અવાજનો એક સુંદર વિડિઓ

    તેનો પ્રજનનકાળ સામાન્ય રીતે ચોમાસા સાથે સંકળાયેલો હોય છે. નવરંગ જમીનની નજીક ઘાસ, મૂળિયાં, પાંદડાં અને નાની ડાળીઓથી ગુંબજાકાર માળો બનાવે છે. બચ્ચાંના ઉછેરમાં નર અને માદા બંને ભાગ લે છે. થોડા જ સમયમાં બચ્ચાં માળો છોડીને આસપાસના વનપ્રદેશમાં પોતાનું જીવન શરૂ કરે છે.

    [નવજાત બચ્ચા અને માળા પાસે ઊભું એક સુંદર નવરંગ]
    જોકે નવરંગ હજુ પણ વ્યાપક રીતે જોવા મળતું પક્ષી છે, તેમ છતાં તેનું અસ્તિત્વ સ્વસ્થ જંગલો, ગીચ વનસ્પતિ અને સજીવ વનતળિયાં પર નિર્ભર છે. વનોના નાશ, વધતા માનવીય દબાણ અને કુદરતી વસવાટસ્થાનોના હ્રાસથી સ્થાનિક સ્તરે તેની સંખ્યાને અસર થઈ શકે છે. આવા આવાસોનું સંરક્ષણ માત્ર નવરંગ માટે જ નહીં, પરંતુ તેની સાથે અસંખ્ય અન્ય સજીવો માટે પણ જરૂરી છે.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • અભિપ્રાય આપતાં પહેલાં સાત ગળણે ગાળીએ

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    પ્રવેશ દ્વારે “ રજા સિવાય અંદર આવવાની મનાઈ છે ” એવું બોર્ડ કોઇ મોટી કંપનીના ઔદ્યોગિક એકમે, કોઇ રાજકારણી નેતાની બેઠકે , સરકારી કર્મચારીની ઓફિસે કે કોઇ માલેતુદાર શેઠિયાને બંગલે અચૂક ભળાય છે ત્યારે સમજી  જવાનું કે સીધા મળવા ગયે બહુ કામમાં ડૂબેલા હોઇ ડીસ્ટર્બ થવાનો સવાલ હશે કોઇને –બધાને નહીંજ  ! છતાં તેમને કંઇક તકલીફ જેવું જણાતું હશે તો જ આવું લખવું પડેને ? !.તેમની સાથે ખેડૂતના રાત-દિનના સખત ઉદ્યમ વાળા અને કટોકટી વાળા સમયની ઉપસ્થિતિને સરખાવીએ તો કોઇને સમય આપવાનો તેમને અવકાશ હોય છે ખરો ?  અરે ! કોઇ કોઇ વાર બેસીને નિરાંતે ખાવાનો પણ ગાળો નથી હોતો. તે છતાં તેમના બાગ-બગીચાના દરવાજે કે ખેતર-વાડીના શેઢે “ રજા સિવાય અંદર નહીં આવવું ” એવું લખાણ કોઇને વાંચવા મળ્યું હોય તો કહો !

    ખેતી સિવાયના બીજા વ્યવસાયો બધા હોય છે વપરાશી ચીજ-વસ્તુઓની હેરાફેરી કરી, થોડી ગુપ્તતા રાખી, પૈસા રળી લેવાના. જ્યાં માત્ર પૈસા જ રળવાની  યુક્તિ-પ્રયુક્તિઓ કરાતી હોય ત્યાં બીજા બધાથી ઘણું યે છાનુંમાનું રાખવું પડે છે. એટલે જ કોઇ અંદર આવી ત્યાં ઉપયોગમાં લેવાતી બીજા બધાથી છૂપાવી રાખવા જેવી ખાનગી સરકારી કામગિરી કે પ્રોડક્શનની નવિનતમ ટેકનીક કે કોઇ તરકીબ બીજા જોઇ-જાણી જાય અને વહીવટમાં કે વ્યવસાયમાં હરિફ બનવાની ઉપાધિ ઊભી કરે તેમાંથી બચવા આવાં બોર્ડ લટકાવવાં પડતાં હોય તેવું જણાય છે.

    ખેતીની વાત જુદી છે = જ્યારે “ ખેતી ” એ માત્ર પૈસા રળવાનો નહીં, તમામ લોકો સાથે રહીને જીવનનિર્વાહ કરવાનો વ્યવસાય છે. ખેતી એ તો હંમેશા કૃપા વરસાવતી, કુદરત માતાના ખોળે ઝુલતી, બીજા કોઇનાએ ભય કે સાડીબાર વિના પરસેવાની કમાણી દ્વારા મરદાનગીભર્યો પ્રમાણિક રોટલો રળવા સાથે અન્યની ભરણ-પોષણની ચિંતા સેવનારી જીવન પ્રણાલી છે ભૈલા ! એટલે છેતરામણથી કોઇનું પડાવી લેવાનું કે છાનું-છપનું રાખવા જેવી કોઇ વાત આમાં આવતી જ નથી. તેથી ખેતીમાં વધુ અન્ન,દાણા, ફળ કે કઠોળ, દૂધ કે શાકભાજી વગેરે મેળવવાની કોઇ સારી રીત-પધ્ધતિ કે યુક્તિ કોઇના હાથમાં આવી હોય તો તે બીજા ખેડૂતને  જણાવવામાં મનને ચોરી તો  ન જ રખાય  ને ! “ સુખ તો વહેંચવાથી જ વધે છે ” એજ સંસ્કારસુત્ર ખેડૂતની નસેનસમાં રૂધિર બની વહેવું જોઇએ.

    ખેડૂત, ખેડૂતની વાત પહેલાં સ્વિકારે છે. = ૨૦ વરસ પહેલાં જ્યારે પંચવટી બાગમાં આમળાની ખેતી કરવાનું મન થયેલું ત્યારે આમળા વિષે જોવા-સમજવા આણંદની કૃષિ યુની.મા જઇ, એના બાગાયત વિભાગના વડા ડૉ. કે.પી.          કીકાણી સાહેબને મળ્યો. કેંપસ પરના આમળાનાં ઝાડ, એને આવેલો ફાલ, એને અપાયેલી માવજત – બધું જોયું. અમારે આમળાનું વાવેતર જરૂર કરવું એવો કીકાણી સાહેબનો આગ્રહ જોઇ અમારુંએ મન વધ્યું. છતાં મનમાં એક ખચકાટ રહ્યા કરે કે  “ ભલા ! આ તો કૃષિની યુનીવરસીટી છે, અહીં તો આ “ પ્રયોગની ખેતી” ગણાય. એની પાછળ ખર્ચ ગમે તેટલો થાય-તો સંશોધનના હેડે ખર્ચ નખાઇ જાય !અમારે આવો ખર્ચ ફોગટ જાય તો ક્યા હેડે નાખવો ? આ માટે કોઇ ખેડૂતની વાડી જોવી જોઇએ અને આર્થિક કસોટીમાં પાર ઉતરેલા કોઇ ખેડૂતનો અભિપ્રાય જાણવો પડે !” તે પછી  અમે ઉતરસંડા અને નરસંડાના આમળાના વાવેતરવાળા બગીચા જોયા, તેના ખેડૂતોને મળ્યા અને તેમની પાસેથી આમળાનું જ આર્થિક પાસુ જાણ્યા પછી જ આમળાને પંચવટીબાગમાં પ્રવેશ કરાવ્યો. નહીં તો કીકાણી સાહેબ તો ડૉક્ટરેટ ડીગ્રી ધરાવતા અને ખેડૂતોમાં ફળપાકોની ખેતી કેમ વધુ વિસ્તરે એના માટે તન-મન-ધનથી કાર્યશીલ એવા બાગાયત નિષ્ણાંત હતા. તેમ છતાં માત્ર તેમના અભિપ્રાય ઉપર આગળ ન વધતા આમળાની પ્રત્યક્ષ ખેતી કરી રહેલા ખેડૂતની વાતને આધારે આગળ વધ્યા. ખેડૂતના તટસ્થપણે અપાએલા અભિપ્રાયનું વજન એટલું નક્કર હોય છે

    મિત્રો !  આપણી નૈતિક ફરજ ન ભૂલીએ= આપણે જાણેલી ખેતીની કોઇ નવી રીત,પધ્ધતિ કે જેમાં અદ્યતન બિયારણ-દવા કે ખાતર-પોતર, એની પાછળ લાગેલી મજૂરી અને અન્ય ખર્ચ પછી એમાંથી મળેલ ઉત્પાદનના આંકડા બાબતે કોઇને વિગત જણાવવાની થાય ત્યારે બહુ જ તટસ્થ રહીને આપણને જે અનુભવાયું હોય-જે કમાયા હોઇએ, અરે ! નુકશાન થયું હોય તો તે પણ જણાવવું એ આપણી નૈતિક ફરજ બને છે. કોઇને ઘીંહલાને માર્ગે તો ન જ ચડાવી દેવાયને !

    હમણાં થોડા ‘દિ પહેલાં ખેતીના એક ખૂબ રસિયા યુવાન ભેગા થઇ ગયા, અને સજીવખેતીમાં ઘઉં કેટલાક ઉતરે તેની વાત નીકળતાં મારો અનુભવ કહ્યો કે “ બધું સમુસુતરું હોય તો નાને વિઘે ૩૫ થી ૪૨ મણ જેવા ઉતરે છે” તેમણે મારી વાત કાપી નાખી-“ શું હીરજીભાઇ ! એવી તે કાંઇ સજીવખેતી કરાતી હશે ? આવો મારી સાથે જોવા ! ફલાણાભાઇ સજીવખેતી જ કરે છે, નાખી દેતા દેતાય તમારાથી ત્રણગણા વધુ વિઘે ઉતારે છે બોલો !” શું કહેવું મારે ? અમારી જમીનની ફળદ્રુપતા, પાણીની સોઇ અને કદાચ માવજત ઓછી રહેતી હોય તો  ૩૫ થી ૪૨ મણની જગાએ એમને થોડા વધુ ઉતરતા હશે એની એ ના નથી પણ ત્રણગણા એટલે નાના વિઘે સવાસો મણનો ઉતારો ! અતિશયોક્તિનીયે કોઇ હદ હોયને ? દાર્શનિક પુરાવાની જગાએ આવા મૌખિક અભિપ્રાયો મોટાભાગે વાંજિયા રહી જાય એ ખેડૂતોના હિતમાં છે. મેં જોયું છે કે સફળ ખેડૂતો ઘણીવાર પોતાની ખેતીના ઉત્પાદનનાં આંકડા ઉંચા આપવામાં પોતાની મહત્તા મનાવતા હોય છે

    અભિપ્રાયમાં  તટસ્થતા ની દેખાતી ઉણપ

    [૧] પોતાની ચાવી બીજાને  ન બતાવનારાયે છે ! = વીસેક વરસ પહેલાનો પ્રસંગ છે.-અમારા મોટાકાકાને વાડીએ લઇ જઇ મેં પુછ્યું હતું “ કાકા ! કપાસને હવે પાણી પિવરાવવાનો  વખત થઇ ગયો ગણાયને ?” તો કહે “ ના રે ના ! પાંચ-સાત દિવસ ખમી જાવ ! હજુ વહેલું પડશે ,” મોટાકાકા તો ખેતીના પૂરા અનુભવી. મેં એમની વાત માની. પાંચ દિવસ પિયત આપવામાં મોડું કર્યું – ને કપાસ માળો લંઘાઇને સાવ વણાઇ ગયો ! હું તો ઉપડ્યો એ કાકાની વાડીએ. કાકા વાડીએ નહોતા.કામ કરનાર મજૂર એના કપાસમાં પાણી વાળતો હતો. કપાસનો ઘેરો તો સરસ કોળ્યમાં કલા કલા કરતો ભાળ્યો ! મજૂરને પુછ્યું “ પાણી કે ‘દિ  શરુ કર્યું ?” તો કહે “ આજ દસમો  દિવસ છે, દસ ‘દિ પહેલાં પાયેલાને આજ બીજું પાણ શરુ કર્યું છે.” હું તો વિમાસણમાં મૂકાઇ ગયો કે “ આ કાકાએ પાણી એના કપાસમાં પાંચ ‘દિ પહેલાં શરુ કરેલું અને મને કેમ પાંચ દિવસ મોડું શરૂ કરવાની સલાહ દીધી હશે ? આનું કારણ શું ?” આવા લોકોને સામૂહિક પ્રગતિ નથી ખપતી. બીજાને પછાડવામાં જ પોતાનો વિકાસ સમજતા હોય છે.પછી તો અમે એ કાકાનો સ્વભાવ જાણી ગયા એટલે એને પુછીએ ખરા પણ એ કહે એવું કરવાનું નહીં ! ખેતીમાં તો દરેકને પોતાની મહેનતનું રળવાનું છે, કોઇની આડેથી કંઇ પડાવી જવાની વાત જ નથી. ખેતી તો જેવી જેની મતિ-શક્તિ  એવી કમાણી એ કરે ! કોઇને નુકશાનીમાં ઉતારવાનું પાપ આપણાથી તો ન જ કરાયને !

    એક ખેડૂતની વાડીએ હું જઇ ચડેલો. તેઓ બિયારણના રજકામાં લશ્કરી ઇયળના ઉપદ્રવ સામેદવા છાંટે. તે વરસે લશ્કરીનો બહુ ઉપાડો હતો. ભલભલાના રજકાના ઘેરા સાફ કરી નાખેલા ! આ ભાઇને કોઇ કારણસર – કાગનું બેસવું ને ડાળનું ભાંગવું –દવાનુ પરિણામ સારું મળેલું. મેં પુછ્યું “ કઇ દવા છાંટો છો ?” તો ડબલુ લાવીને બતાવ્યું. દવાના ડબલા પર “ ડીમોક્રોન ” લખેલું. મને પડ્યો વહેમ ! કારણ કે છંટકાવ ચાલુ હતો અને એની વાસ ડીમેક્રોનની નહોતી ! એની ગંધ ઉપરથી મને ડી.ડી.વી.પી દવાની એ યાદ તાજી થઇ ગઇ [કારણ કે વષો પહેલાં દિવેલાના અમારા બીજ-પ્લોટમાં  લશ્કરી ખૂબ લાગેલી અને અમે ડી.ડી.વી.પી.નો  કેનમોઢે ઉપયોગકરેલો ] મેં કહ્યું “ સાચુ બોલ ભાઇ ! આ દવાના ડબલા પર નામ છે એ દવા આ નથી ” તો દાંત કાઢતા કાઢતા મને કહે “ તો કઇ છે તેમ તમે જ કહોને ! મેં કહ્યું “ ગંધ પરથી દવાના નામની ખબર ન પડે પણ ડી.ડી.વી.પી. ટેકનીકલ અંદર હોય  એવી આ વાસ છે.” પછી તો એણે કબુલ્યું પણ ખરું કે “ હા, તમારી વાત સાચી છે”. પણ આવું કરવાનું કારણ પુછ્યું તો કહે “ નોખનોખી કેટલીય દવા છાંટી જોઇ પણ આના જેવું સારું પરિણામ કોઇનું નથી મળ્યું . બીજાને આની ખબર ન પડી જાય માટે ચૂસિયાને મારવા લાવેલ દવાના ખાલી ડબલામાં આ દવા ભરી દીધી છે.” શું કહેવું આને ? મગના જથ્થામાં કોઇ કોઇ કઅડુ મગ- જે ગમે તેવા ઉકળતા પાણીમાં પણ ચડીને પોચા નથી થતા- એમ ખેડૂતોમાં પણ કોઇ કોઇ કઅડુ ખેડૂત હોય્ છે ખરા ! આપણે એવા ન થઇએ.

     [૨] બીજાની શેહમાં આવી જઇ ખોટી સલાહ દેવી = ખાતર,બિયારણ, જંતુનાશક દવા કે હોય ફળઝાડના કલમ-રોપડા વેચનાર વ્યાપારી ! પોતાનો માલ ખેડૂતોમાં ઘૂસાડી દેવાની માસ્ટરી ધરાવતા હોય છે. કઇ વસ્તુથી કેટલો લાભ થશે એ જોવા-ચકાસવાનું  કામ એનું નથી.એનું ધ્યેય તો કઇ ટ્રીક અજમાવી હોય તો વધુ જથ્થામાં વસ્તુ વેચાય એવું હોય .એ માટે એ ખેડૂતને મળતાં પહેલાં જાણી લે છે કે જરા ખ્યાતિવાળો આગેવાન ખેડૂત કોણ છે ? પહેલાં એને મળે અને નાખણી એવી કરે કે ન પૂછો વાત ! એની ખેતીના થોડા વખાણ કરી આગળ કરે..અરે ! જો મેળ પડતો હોય તો મામા,માસી,ફોઇ કે સસરા પક્ષના સંબંધી , મિત્ર,પાડોશી કે હિતેચ્છુ બની જઇ,નજિકતાનું નાટક કરી પોતાના વાહનમાં આગળ બેસાડી સાથે ફેરવે અને વેચાણ બાબતે એને મોરિયાળ બનાવે, અને એ જે વસ્તુ વેચવા નીકળ્યા હોય , એ વસ્તુના આપણા જ મોઢે સૌ સાંભળે તેમ વખાણ કરાવી – આપણા જ ઓળખીતા,સગા-સંબંધીકે મિત્રમંડળમાં એની વસ્તુ ખપાવવામાં આપણને નીમિત બનાવે ! ખેડૂતો તો એ અજાણ્યા વેપારી કરતા આપણા અભિપ્રાયને વધુ ધડારૂપ ગણી એ વસ્તુ ખરીદવાનું જોખમ વહોરે, અને ક્યારેક ફસાઇ મરે તો ગુનેગાર કોણ થયું કહો ! એ વેપારી કે એનું સાધન બની ગયેલા આપણે ?

    [૩] કમીશનની મધલાળે વળગાડી ખોટા અભિપ્રાય અપાવે = આર.ટી.ઓ માં વાહનની નોંધણી કરાવવાની હોય, કે બેંકમાંથી લોન લેવી હોય,કોઇ વસ્તુનો સોદો કરવો હોય કે મકાન બાંધકામ માટે રેતી-પથ્થર કે ઈંટનો ફેરો  જોયતો હોય-સીધેસીધું કામ પતતું જ નથી. વચ્ચે વચેટિયા તો જોઇએ જ ! ખેતીમાં પણ આ જ શિરસ્તો દાખલ થવા માંડ્યો છે. મજૂર તેડાવવાના હોય, ભાગિયા રાખવાના હોય કે ગાય વેચવાની હોય , અરે ! મગફળી-કપાસ જેવો માલ વેચવાનો કેમ ન હોય ! વચ્ચે દલાલ ન આવતો હોય એવું હવે બનતું જ નથી.

    હજુ હમણાનો જ  પ્રસંગ.” હીરજીભાઇ ! કાલે તો તમને સમય નહોતો. આજ કેમ થશે ? અમારે માત્ર અર્ધો કલાક ખેડૂતોના લાભાર્થે તમારો સમય લેવો છે”.હું હજુ હા-ના કરું તે પહેલાં તો શૂટેડ-બૂટેડ બે જુવાનિયા –ખભે થેલા ટીંગાડેલા બપોરના દોઢ વાગે દરવાજામાં દાખલ થઇ – હાથે ખુરશી ઢાળી મારી નજીક બેસી ગયા અને શરુ કરી દીધું “ અમે સાંભળ્યું છે કે આ વિસ્તારમાં ખેતીમાં અવનવા પ્રયોગો કરવામાં તમારું નામ છે. આસપાસના તો શું, દૂર દૂર સૌરાષ્ટ્રના જ નહી –ગુજરાતભરના ખેડૂતો તમારી સાથેના ફોન,રેડિયો,કૃષિ મેગેઝિન અને છાપાના વાર્તાલાપ-લખાણ દ્વારા તમારી સલાહ અને માર્ગદર્શન મેળવી રહ્યા છે.એટલે લાંબી ગણતરીએ આપની પાસે આવ્યા છીએ કે અમારી આ કંપનીએ તાજેતરમાં ખેડૂતોને ખૂબ લાભ થાય તેવી આ પ્રોડક્ટ્સ લોંચ કરી છે. તમે જો બીડું ઝડપો તો તમને અને અમને બન્નેને લાભ જ લાભ છે સમજોને ! એવી ગોઠવણી અમે કરીને આવ્યા છીએ કે તમારે કોઇ ખર્ચકરવાનો નથી કે નથી કોઇ વસ્તુ ખરીદવાની.અમે એમ કહીશું કે “ હીરજીભાઇ આ પ્રોડક્ટ્સ વાપરે છે” અને તમને એ લોકો ખરાઇ કરવા પૂછે કે ફોન કરે ત્યારે એટલું કહેવાનું કે “ હા, હું વાપરું છું, અને એની અસર બહુ સારી થાય છે.” આ વિસ્તારમાં વેચાણ થાય તે બધામાં તમારાકમિશનના ટકા તમને ઘેરબેઠા મળી જશે,” જુવાનિયો એકીશ્વાસે બોલી ગયો. કહો ! મારા તો ભાગ્ય જ ખૂલી ગયાને મિત્રો ! પ્રોડક્ટસ સારી છે કે નબળી –કશી ખબર ન હોય અને મોટીમા બની વેપારીની ભેરે ચડવા માંડું અને મારાઅભિપ્રાયે ખેડૂતોને ભરમાવામાં મદદગારી કરું ? આથી મોટું બીજું ક્યુ પાપ હોઇ શકે ?

    [૪] પ્રસંશા કે પ્રસિધ્ધિના લોભમાં નાખીને = હમણા હમણાના વેપારીઓના પોતાની ચીજ-વસ્તુના પ્રચારનાનવા નુસ્ખા પ્રમાણે ક્યારેક છાપામાં, કૃષિ-મેગેઝિનમાં કે રોડ-રસ્તે બોર્ડ-પાટિયા લગાવી ખેડૂતના નામ-ફોટા સાથેનો દૂરઉપયોગ શરુ થયો છે. ઘડીભર તો એમ થાય કે “ કંઇ વાંધો નહીં ! આપણા તો સમાજમાં વખાણ થય છેને ?” પણ ના ! રખે એવું થવા  દેતાં ! ચેતજો ! આ જાહેરાતમાં વાસ્તવિકતાથી વધુકા લાભનાં આંકડા દર્શાવી ,ખેડૂતોને ખોટી વિગતો આપી ફસાવી પાડવાના ફાંહલામાં પકડાવી દેવાનું નીમિત્ત આપણે તો નથી બની રહ્યાને જોજો!


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૪

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    પનામા નગરના, દક્ષિણ છેવાડાના, ‘જૂના શહેર’ હિસ્સામાં ખૂબ ચાલી, ને મોટાં વૃક્ષોની છાયામાં મૂકેલી બેન્ચો પર બેસતી પણ ગઈ. ફક્ત થાકને લીધે નહીં, પણ એ દરેક પ્લાઝાનું આગવું સ્વરૂપ નિરાંતે અને વિગતે માણી શકાય, તેથી પણ ખરું. ઉપરાંત, આ વિભાગની યાદો પણ આ રીતે તાજી થતી ગઈ હતી.

    પાછાં જતાં કોઈ બીજી ગલીઓમાં ચાલી હોઈશ. ત્યાં હસ્તકળા વેચતી નાની માર્કેટ અને કેટલીક દુકાનો આવતી રહી. એમાં મને ઘણી વસ્તુઓ જોવા મળી – માટી પર ચીતરેલી ચીજો, નેતરની વણેલી ચીજો, સુતરાઉ કપડાં, ઑઇલ કલરમાં કરેલાં ચિત્રો, તેમજ ‘મોલા’  કામના ઘણા નમૂના, વગેરે.

    ચોખ્ખો વિસ્તાર, કળાત્મક ઇમારતો, તાજગી આપતી હવા, વૃક્ષોનો છાંયડો, અને પનામા નગરનાં આધુનિક, ઊંચાં મકાનો. આવી રીતે કલાકોના કલાકો ચાલી. સૂરજ ઉગ્ર-તપ્ત હતો. જ્યંા છાંયડો ના હોય ત્યાં ઘણો તાપ, ઘણી ગરમી લાગે. પણ સમકાલીન કૌતુક જેવાં આ દૃશ્યો જોતાં જોતાં મનને આનંદ પણ ઘણો મળ્યો.

    પગ ખરેખર થાકી ગયા હતા, પણ હોટેલના રૂમમાં જઈને હાથ-મોઢું ધોયા પછી થયું, કે ચાલ ને, રસ્તાની ડાબી તરફ, પાણી પાસે આંટો મારી આવું. આમ તો ટૂંકું અંતર જ હતું. તેથી ફરી બહાર નીકળી. એ દિશામાં જતાં એક મૃત-ગૃહ આવ્યું, ને નાનાં છોકરાં માટેની હૉસ્પિટલ આવી. ને પછી હતો મોટો પહોળો, ઍવનિદા બાલ્બોઆ નામનો માર્ગ.

    એના પર થઈને સતત વાહનો જતાં હતાં. એને અડધે સુધી પાર કરવા માટે લાઇટ લીલી થાય તેની રાહ જોવી પડે. પછી ઢાળ પડતા જતા ઓવર-પાસ પર ચઢવાનું. બે છેડે એ ગોળ વળતો જાય છે. ચાલવું ઘણું પડે, પણ પગથિયાં વગરનું. માર્ગના બીજા અડધા ભાગમાં જતો શહેરનો ટ્રાફીક જોવા ઘડીક ઊભી રહી જાઉં છું.

    પેલી બાજુ પહોંચો તે પહેલાંથી જ પનામા નગરનું અનન્ય સ્વરૂપ નજરે પડતું જાય છે. પનામા અખાત દૂર સુધી પથરાયેલો છે. વળાંક લેતા જતા કિનારા પર, અને શહેરના કેન્દ્ર ભાગમાં બનેલાં, એકદમ નવાં ને ચમકતાં ગગનચુંબી મકાનોના અવનવા ને આધુનિક આકાર કોઈ પણ આગંતુકને આશ્ચર્યચકીત કરી દે છે. એક તરફ આ દૃશ્ય, અને બીજી તરફ ‘જૂના શહેર’ની ઇમારતો.

    પાણી પર રહેલાં, દુનિયાનાં ઘણાં શહેરો યાદ આવે પનામાની આ બધી આધુનિક ઇમારતોના ગુચ્છ જોઈને. ન્યૂયૉર્ક શહેર, વાનકુવર, ટોરન્ટો, દુબાઇ, હૉન્ગકૉન્ગ, સિડની. હા, બધાં પોતપોતાની રીતે આગવાં અને જુદાં જરૂર ખરાં, પણ કાચ ને સ્ટીલની બનેલી આધુનિકતામાં સામ્ય પણ ખરું જ.

    ઓવર-પાસની પેલી તરફ સળંગ બનાવાયેલો પાર્ક તો અનહદ નવાઈ અને આનંદ પમાડે છે. કિનારા પર સળંગ લાંબી જગ્યાને શું અસાધારણ રીતે પરિવર્તિત કરી દીધી છે. લીલું ઘાસ, ફૂલછોડ, ઝાડ, ફુવારા, પથ્થર જડેલા પ્લાઝા, ચલન-પથ, બેસી શકાય તેવી પાણી પરની પાળી, અને સાંધ્ય-વિહાર માટે આવેલા લોકો. નવું જ લાગે છે આ બધું, અને સ્વચ્છ, સુંદર, શાંત.

    એક છેડે મરીના છે, જ્યાં શહેરના ધનિક લોકોની પ્રાઇવેટ નૌકાઓ નાંગરેલી હતી. એક ફૅન્સી ક્લબ પણ છે પાસે. વળી, શિલ્પો અને સ્મારકો પણ છે. હું અહીં બધે પણ ચાલી. ખસવાનું મન જ ના થાય. આકાશમાં હવે સૂર્યાસ્તના રંગ ખેંચાઈ આવ્યા હતા. મને થાય, પનામાના લોકો માટે શું સુંદર સ્થાન છે આ. હું થાકેલી હતી, છતાં કેવું સારું થયું કે હું પણ આવી અહીં.

    હોટેલની નાની રૅસ્ટૉરાઁમાં શાકાહારી ભાત મળતો હતો, તેથી નિરાંત થઈ. બીજે કશે ખાવાનું શોધવા જવાની શક્તિ બચી નહતી. પણ દિવસ કેવો સરસ ગયો હતો. પનામાનું જૂનું-નવું, ગરીબ-તવંગર, અને સાધારણથી માંડીને અસાધારણ જેવાં બધાં પાસાં મને જોવા મળ્યાં હતાં. આજે નગર જોયું, આવતી કાલે દેશનું નિસર્ગ જોવા મળવાનું હતું.

    એ કાલ પડી ત્યારે સવારે જલદી બ્રેકફાસ્ટ ખાઈ લીધો, રૂમ ખાલી કર્યો, સૂટકેસને હોટેલમાં રાખવા આપી, ખભા પર રહે તેવી નાની બૅગ સાથે રાખી, અને હું બહાર નીકળી ગઈ. સદ્‍ભાગ્યે, મૅટ્રો’ કહેવાતી ભૂગર્ભ રેલનું લૉટેરિયા સ્ટેશન બે-ત્રણ મિનિટ જ દૂર હતું. સ્ટેશનની અંદરના મશિનમાંથી મૅટ્રોની ટિકિટ માટેનું કાર્ડ ખરીદ્યું, અને પ્રવેશ-સ્લૉટમાંથી એને પસાર કરીને, ટ્રેન લેવા માટે નીચે ગઈ.

    એકદમ ચોખ્ખું, અજવાળિયું, ને શાંત સ્ટેશન હતું. આવતી ને જતી ટ્રેનો માટેની સંજ્ઞાઓ સ્પષ્ટ હતી. આ બધું તદ્દન નવું છે. ગયા વર્ષે જ મૅટ્રો શરૂ થઈ છે. આલબ્રૂક બસ ટર્મિનલ જતી ટ્રેન બે મિનિટમાં આવી લાગી. ટાઇમસર અને ફાસ્ટ. ને ત્યાં પહોંચતાં પાંચ જ મિનિટ થઈ.

    વાર તો લાગી મૅટ્રોમાંથી ઊતરીને બસ ટર્મિનલ પર જતાં. એક બ્રિજ ચઢવાનો હતો. ત્યાં સુધી હું બહુ ખુશ થતી હતી, કે વાહ, શું સ્માર્ટ ને પર્ફેક્ટ છે બધું. જેવી ટર્મિનલમાં પ્રવેશી કે બધું બદલાઈ ગયું – મારો મત પણ.

    ટર્મિનલ ખૂબ મોટું હતું, અને ભીડ પણ ખૂબ હતી. કેટલીક બસોના કન્ડક્ટરો પ્રવાસીઓને માટે બૂમ-બરાડા પાડતા હતા. મેં ટિકિટબારી તરત શોધી કાઢી. એ બધું બરાબર હતું, પણ આખા ટર્મિનલમાં પાણી નહતું -કોઈ કારણસર.એ અગવડ હતી. વળી, બસની પાસે જવા માટે એક કાર્ડ હોવું જોઈએ. પણ એ મેળવવું ક્યાંથી?

    આ બાબતે ગોટાળો હતો. સ્થાનિક લોકો પાસે તો રોજને માટે આ કાર્ડ હોય જ, પણ કોઈ પ્રવાસીનું શું? પછી એક કન્ડક્ટરે પોતાનું કાર્ડ વાપરીને મને બસ તરફ મોકલી આપી. આમેય થતા હતા તો પાંચ જ પૈસા.

    બસો પર કોઈ સ્થળનાં નામ નહતાં. આમતેમ દોડીને, પૂછી પૂછીને મેં બસ શોધી. ભરાઈ ગયેલી. માંડ એક જગ્યા બાકી હતી, તે મને મળી. ત્યાં સુધીમાં હું પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. દેશ ગરમ, ને હું અજંપ.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • હિમાલયમાં આવા સંકટો વધતાં જશે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ઊંચા પહાડો, તડકે ચળકતાં તેમનાં હીમશિખરો, સીધા ઢોળાવવાળી ઊંડી ખીણો, પર્વતોની વચ્ચે વહેતી નદીઓ, કે એકદમ સ્વચ્છ પાણીનાં સરોવર, નજરે પડતી છૂટીછવાઈ લીલોતરી, અને તેની વચ્ચે વસેલાં નાનકડાં ગામ. હિમાચલ પ્રદેશ જેવા, હિમાલયનો મોટો વિસ્તાર ધરાવતા રાજ્યમાં આવાં મનમોહક દૃશ્યોની નવાઈ નથી. આ રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, એ કશા અભ્યાસ કે સર્વેક્ષણ વિના પણ સમજાઈ જાય. અલબત્ત, હજી એવા અનેક વિસ્તારો છે કે જ્યાં પ્રવાસીઓ પહોંચ્યા છે ખરા, પણ તેમનાં ધાડેધાડાં નથી ઊમટી પડ્યાં. એવા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે એ સવાલ છે. પ્રવાસનને કારણે માળખાકીય સુવિધાઓનો વિકાસ અને તેને પગલે રોજગારની તકો ઊભી થાય છે, જે સ્થાનિકો માટે જરૂરી હૌય છે. આ બધું એક હદ સુધી બરાબર છે, કેમ કે, છેવટે બધો બોજો જે તે વિસ્તારના પર્યાવરણ પર પડે છે.

    હિમાલયનો પહાડી વિસ્તાર ધરાવતાં ક્ષેત્રોમાં છેલ્લાં થોડાં વરસોમા દુર્ઘટનાઓનું વધી રહેલું પ્રમાણ આ હકીકતનો પુરાવો તેમજ પરચો છે. કુદરતી આપત્તિ જેવી જણાતી દુર્ઘટનાઓમાં માનવસર્જિત પરિબળો ઉમેરાતાં જે હાનિ થાય છે એ હવે છાની નથી, એમ અનેક સ્થળો પર આપત્તિનો ખતરો તોળાઈ રહ્યો છે.

    કુલ્લૂ ખીણને લાહૌલ-સ્પિતિ ખીણી સાથે જોડતી અટલ ટનલ બન્યા પછી સાવ દુર્ગમ ગણાતો આ વિસ્તાર હવે પહોંચની રીતે સુગમ બન્યો છે. ટનલ બન્યા પહેલાં અવરજવર રોહતાંગ પાસ દ્વારા થતી, જે વર્ષ દરમિયાન માંડ પાંચ-છ મહિના ખુલ્લો રહે છે. આશરે તેર હજાર ફીટ જેટલી ઊંચાઈએ હોવાથી અહીં વાતાવરણની અનિશ્ચિતતા પુષ્કળ હોય છે. કુલ્લૂ ખીણ વટાવીને લાહૌલ-સ્પિતિ ખીણમાં પ્રવેશતાં જ આખું ભૂપૃષ્ઠ બદલાઈ જાય છે. આ ખીણના પ્રવેશદ્વારે કહી શકાય એ રીતે વસેલું એક નાનકડું ગામ છે સિસ્સૂ. ચંદ્ર નદીને કાંઠે વસેલા આ શાંત અને સુસ્ત ગામમાં ખેતી અને પશુપાલન સિવાય ખાસ કશી ગતિવિધિઓ નહોતી. ૨૦૨૦માં અટલ ટનલ આરંભાયા પછી હવે અહીં પર્યટકોની ભીડ ઊમટી પડે છે. જ્યાં સાવ પાંખો વાહનવ્યવહાર હતો તેને બદલે રોજનાં બેએક હજાર વાહનો અહીંથી પસાર થાય છે, જે પ્રવાસની મોસમમાં વધીને પાંચેક હજારે પહોંચે છે. અઢળક પ્રવાસીઓ અહીં ઠલવાય છે, એમ અહીંથી પસાર થતાં પણ તેઓ થોભે છે.

    ગામલોકો આનાથી રાજી હોય એ સમજી શકાય એમ છે, કેમ કે, તેમની આવકમાં ઘણો વધારો થયો છે. આમ છતાં, તેમના દિલમાં એક છૂપો ડર સળવળતો રહે છે, ખાસ કરીને વરસાદની મોસમમાં. આ ગામથી અગિયારેક કિ.મી.ના અંતરે, તેરેક હજાર ફીટની ઊંચાઈએ ઘેપન સરોવર આવેલું છે. આ સરોવરમાં પાણીની આવકનો સ્રોત છે આસપાસની હિમનદીઓ એટલે કે ગ્લેશિયરો. આ સરોવરનો ઊત્તરોત્તર વિસ્તરતો જતો વિસ્તાર ચિંતાનું મુખ્ય કારણ છે. ૧૯૮૯માં તેનો વિસ્તાર ૩૬.૪૯ હેક્ટર હતો, જે ૨૦૨૨ સુધીમાં વિસ્તરીને ૧૦૧.૩૦ હેક્ટર થઈ ગયો. એટલે કે ત્રણેક દાયકામાં લગભગ ત્રણ ગણો. આ કારણે ‘રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સ્ત્તામંડળ’ (એન.ડી.એમ.એ.) દ્વારા તેને ‘અતિ સંવેદનશીલ’ની શ્રેણીમાં મૂકાયું છે. વિજ્ઞાનીઓને આશંકા છે કે આ સરોવર ફાટશે તો સૌથી પહેલું અને સૌથી વધુ જોખમ સિસ્સૂ ગામ પર છે.

    ઘેપન સરોવર
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    હૈદરાબાદના ‘નેશનલ રિમોટ સેન્સર સેન્ટર’ દ્વારા તૈયાર કરાયેલા ‘રીસ્ક એસેસમેન્‍ટ રિપોર્ટ’ અનુસાર સરોવર ફાટવાની કુલ આઠ પ્રકારની સ્થિતિઓનું આકલન કરવામાં આવ્યું છે, આ તમામ સ્થિતિઓમાં સિસ્સૂ ગામ ‘રેડ ઝોન’ એટલે કે સૌથી વધુ જોખમ ધરાવતા વિસ્તારમાં છે. સરોવર અને ગામની વચ્ચે આવેલા તીવ્ર ઢોળાવને કારણે પાણી અને તેની સાથે વહી આવતા કાટમાળની ગતિ અતિશય ઝડપી બની શકે છે. સિસ્સૂ પછી ગોશાલ, તાંદી જેવાં ગામનો વારો આવે. સૌથી બદતર સ્થિતિમાં સરોવર ફાટ્યા પછી એકવીસ મિનીટમાં જ પાણી ગામ સુધી ધસી આવે, જેની ગતિ ૪૩ કિ.મી. પ્રતિ કલાકની અને ઊંડાઈ વીસેક મીટર સુધીની હોવાનું અનુમાન છે.

    આમ થવાનું કારણ? ‘જર્નલ ઓફ લેશિયોલોજિ’માં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવાયા અનુસાર ઘેપન ગ્લેશિયરમાં દર વર્ષે જેટલો બરફ જામે છે, એનાથી અનેક ગણી વધુ માત્રામાં તે પીગળી રહ્યો છે. કેમ કે, છેલ્લા ત્રણ-ચાર દાયકામાં હિમાલયના વિસ્તારોનું તાપમાન ઝડપભેર વધ્યું છે. પહેલાં જે વિસ્તારોમાં હિમવર્ષા થતી હતી ત્યાં હવે વરસાદનું પ્રમાણ વધ્યું છે. વરસાદને કારણે ગ્લેશિયરના પીગળવાની ઝડપ વધી છે. આ એક સાતત્યપૂર્વક થતી રહેતી પ્રક્રિયા છે, જે એક વાર આરંભાયા પછી વધ્યા જ કરે છે. ગ્લેશિયરના પીગળવા માટે કેવળ તાપમાનમાં વૃદ્ધિ જ નહીં, વરસાદનું બદલાયેલું સ્વરૂપ પણ જવાબદાર છે. આની અસર કેવળ એકલદોકલ ગ્લેશિયર પર નહીં, સમગ્ર હિમાલયનાં ક્ષેત્રો પર થાય છે.

    સરોવર ફાટવાથી પૂર આવે તો ભારે પ્રમાણમાં પથ્થરો સહિત અન્ય કાટમાળ નીચે ધસી આવશે. ૩૪ વસાહતો, ખેતીલાયક ૨૦૪ હેક્ટર જમીન,  ૫૭ પુલ અને ૧૦૬ કિ.મી. જેટલી સડકનો વિસ્તાર સીધેસીધો અસરગ્રસ્ત થશે. મનાલી-લેહ ધોરીમાર્ગ, અટલ ટનલ તેમજ પ્રવાસન સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પણ તેનો ભોગ બનશે. અને આ અસર કેવળ હિમાચલ પ્રદેશ પૂરતી સીમિત ન રહેતાં, ચિનાબ નદી દ્વારા છેક જમ્મુ અને કાશ્મીર સુધી જોવા મળી શકે.

    આની સામે સિસ્સૂ ગામમાં આગોતરી તૈયારી યોગ્ય ન હોવાના અહેવાલ છે. એવું નથી કે સરોવર કાલે ને કાલે ફાટશે. કદાચ ન પણ ફાટે. છતાં માનવીય ગતિવિધિઓએ માનવજાત માટે જ કેવાં કેવાં જોખમ ઊભા કર્યાં છે એ જાણીને ખેદ થાય એવું છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૧-૬– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • હેપી બર્થ ડે..

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    રાતના બાર વાગ્યા હતા. માધવી જાગતી જ સૂતી હતી. આજે આંખોમાં ઉંઘ નહોતી. સાવ બાજુમાં મિહિર ઘસઘસાટ ઉંઘતો હતો. થોડી ક્ષણો સૂતેલા  મિહિર તરફ જોઇ રહી. કદાચ ઉંઘવાનો ડોળ કરતો હશે. હમણાં ઉઠીને પોતાને નજીક ખેંચી.. હેપી બર્થ ડે…વીશ કરી પોતાને વહાલથી  ભીંજાવી દેશે.

    મીઠી કલ્પનામાં થોડીવાર ખોવાયેલી રહી. પણ ઘડિયાળનો કાંટો તો ખસતો ગયો..ખસતો ગયો..મિહિર તો ભરઉંઘમાં…. માધવીની મોટી મોટી આંખો છલકાઇ ઉઠી. પિયરમાં હોય તો બર્થ ડે ને આગલે દિવસે રાતે બરાબર બાર વાગે અને મમ્મી, પપ્પા તેના રૂમમાં આવ્યા જ હોય. વહાલી દીકરીને રાતે જ સૌથી પહેલાં વીશ કરે. ને પછી કેવી ધમાલ..ધમાલ… આજે અહીં સાસરામાં તો આ તેનો પહેલો જન્મદિવસ..અને મિહિરને યાદ પણ નથી ? જોકે ઘરમાં તો એ અને મિહિર બે જ છે. મિહિર આમ પોતાનો જન્મદિવસ ભૂલી જાય એ તેને ગમ્યું નહીં. ખેર ! સવારે વીશ કરે કે રાતે શું ફરક પડે છે ? મન મનાવી તે સૂવાનો પ્રયત્ન કરી રહી. મમ્મીએ  તો કહી દીધું હતું કે હવે સૌથી પહેલાં વીશ કરવાનો અધિકાર મિહિરનો છે.  પોતે હવે રાતે ફોન કરીને  પતિ, પત્નીને ડીસ્ટર્બ નહીં કરે. તેથી હવે કોઇના ફોનની રાહ અત્યારે જોવાની નહોતી.

    માંડ માંડ સવાર પડી. વહેલી ઉઠી નાહીને તે તૈયાર થઇ ગઇ. અને આતુરતાથી મિહિરના  ઉઠવાની  પ્રતીક્ષા કરી રહી. આ મિહિર પણ ખરો છે. આજે પણ ઉઠવાનું નામ નથી લેતો. પત્નીનો  બર્થ ડે ભૂલી ગયો હશે ? હજુ તો લગ્નને એક વરસ જ થયું છે.અને અત્યારથી ભૂલી જવાનું ? વીસ વરસ પછી તો ન જાણે શું યે કરશે ? મનમાં ને મનમાં તેને એવો તો ગુસ્સો આવતો હતો.

    અંતે મિહિર ઉઠ્યો ખરો. તે આશાભરી નજરે તેની સામે જોઇ રહી. પણ..મિહિર તો હમેશની જેમ તેના રુટિન કામોમાં વ્યસ્ત બની ગયો. બસ..એકવાર પત્ની તરફ જરાક  સ્મિત ફરકાવી લીધું. નાસ્તો કરતી વખતે માધવીની ધીરજ ખૂટી ગઇ. મિહિર, આજે કઇ તારીખ છે ?

    દસ જુલાઇ…કેમ તારે વળી તારીખની શી જરૂર પડી ? તારે કયાં નોકરી કરવા જવું છે ? અરે, માધવી, સારું થયું…તેં તારીખ પૂછી..આજે અમારા એમ.ડી.આવવાના છે. અને મારે પ્રેઝ્ન્ટેશન આપવાનું છે..ઓહ માય ગોડ..ચાલ, હું ભાગું જલદી..બાય.. કહેતા ચાનો કપ મૂકી મિહિર ભાગ્યો. માધવીની આંખો હવે તો રીતસર વરસી જ પડી.

    ઓફિસમાં તો આમ પણ મિહિરને કામ સિવાય બીજું કશું સૂઝતું જ નહીં.તેથી હવે કોઇ આશા રાખવી નકામી હતી. આખો દિવસ તે એકલી એકલી ઘરમાં ફરતી રહી. હા, મમ્મીના અને મિત્રોના ફોન આવ્યા કર્યા. બધાએ  આજના પ્રોગ્રામનું પૂછયું. પેલી વૈશાલીએ તો કહે,’ અરે,આજે યે મિહિર ઓફિસે ગયો છે ? મારા બર્થ ડે ને દિવસે અંશુલે તો ઓફિસમાં રજા જ રાખી દીધી હતી. આવું ચલાવી કેમ લે છે ? અત્યારથી આવી આદત પડી જશે તો પછી તો શું કરશે ? અને જાતજાતની સલાહો વૈશાલી આપતી રહી. આમ પણ એ થોડી બટકબોલી તો છે જ. માધવી આખો દિવસ ગુસ્સાથી ઉકળતી રહી. સાંજે મિહિર આવ્યો. રોજ કરતાં થોડો વહેલો આવ્યો. આવતાની સાથે જ.. ’ માધવી, ચાલ જલદી તૈયાર થઇ જા…’ માધવીની આંખમાં આશાનું કિરણ તરી આવ્યું. આખરે મોડું મોડું પણ  યાદ આવ્યું લાગે છે. ત્યાં મિહિર નો અવાજ  આવ્યો.’ મારો મિત્ર અનિકેત બીમાર છે..એને હોસ્પીટલમાં દાખલ કર્યો છે..તેથી આપણે બંને તેને જોવા જવાનું છે. ‘ માધવીનો ચહેરો પડી ગયો. તે તો શું માની બેઠી હતી.. એકાદ  મિનિટ તો થયું પોતે મિહિરને હચમચાવીને પૂછે..યાદ કરાવે..પણ અભિમાન આડે આવ્યું..પોતે યાદ કરાવવું પડે ?

    એક પણ શબ્દ બોલ્યા સિવાય ગુસ્સામાં જ તે તૈયાર થઇ. મિહિરની પાછળ  બાઇક ઉપર બેઠી.

    મિહેરે બાઇક ભગાવી.

    ‘ માધવી, મને ભૂખ લાગી છે. હોસ્પીટલમાં કદાચ થોડું મોડું પણ  થાય…આપણે  પહેલા થોડો નાસ્તો કરતા જઇશું ? ‘ માધવી જવાબ શાની આપે ? મિહિરે પણ જવાબની રાહ જોયા સિવાય બાઇક એક  મોટી રેસ્ટોરંટ પાસે ઉભી રાખી. માધવી કમને ઉતરી. મિહિરે માધવીનો હાથ પકડયો. બંને અંદર દાખલ થયા.ત્યાં જ.. હોટેલનો સ્ટાફ હાથમાં સુંદર બુકે સાથે હેપી બર્થ ડેના ગીત સાથે માધવીને વેલકમ કરી રહ્યો. બેંડના સૂર ગૂંજી ઉઠયા.  મિહિરના મિત્રો કેક સાથે હેપી બર્થ ડે ગાઇ ઉઠયા. તાળીઓના  ગડગડાટમાં માધવીનો ગુસ્સો કયાંય ઓગળી ગયો. તેણે કૃત્રિમ ગુસ્સાથી મિહિર સામે જોયું… મિહિર લુચ્ચું હસી રહ્યો હતો. પછી ધીમેથી કહે,

    ‘ પત્નીનો પહેલો બર્થ ડે ભૂલી જવા જેટલી હિંમત મારામાં હોય ખરી ?’

    માધવી ખડખડાટ હસી પડી.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે