વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૬ ]

    આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની બાલ્યકાળથી શાળા જીવન  સુધીની યાત્રાની કેડીની સફર કરી.
    હવે આગળ…….

    કોલેજના મિત્રો

    કોલેજમાં મારા ઘણા મિત્રો થયાં, એમાં રજનીભાઈએ મને ટ્યુશન કરીને થોડી ઘણી આવક કરવા પ્રેરિત કર્યો, તેમણે આજીવન મારી સાથે મિત્રતા નિભાવી. પ્રદીપ શાહ પહેલા સાયન્સ કોલેજમાં અને પછી એન્જિનિયરિંગ કોલેજમાં પણ મારી સાથે હતો. અને અત્યારે હ્યુસ્ટન, અમેરિકામાં પણ અમે ભેગા થઈ ગયાં. આજે પણ અમે બંને મિત્રો ભેગા થઈને અમારા તે સંસ્મરણો વાગોળીએ છીએ. એવી રીતે જ બીજા મિત્રોમાં મનહર રાઠોડ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતાં. અમે બંને એકબીજાના ઘરે અવાર-નવાર આવતા જતાં.

    કોલેજમાં મારી નજીક એક છોકરી બેસતી હતી, તેનો રોલ નંબર ૧૧૦ હતો, એટલે અમે મિત્રોએ એનું ઉપનામ ૧૧૦ રાખ્યું હતું. મને મનોમન એ ગમવા મંડી હતી. મનમાં ને મનમાં રમાયેલી અને આગળ ન વધેલી એ એક તરફી પ્રેમની અને મારા એકાકીપણાની વ્યથા મારા મનમાં કવિતા રૂપે પ્રગટ થઈ. ‘ક્ષોભ’ નામની એ મારી પ્રથમ કવિતા હતી.

    ક્ષોભ

    ક્યારેક મન થઈ શંકિત,
    પૂછે પ્રશ્ન પોતાને,
    શું નથી મંજૂર વિધાતાને,
    તારું ને મારું મિલન?

    ત્રણ વખત મળી તું,
    જોઈ મેં તને, પરંતુ,
    ન ચડ્યો હું તવ દ્રષ્ટિમાં,
    ને હું ય કેમ બોલાવું તને,
    જ્યારે હોય કો તુજ સાથમાં?

    અવ જ્યારે મળશે તું,
    કહેવા આતુર હૈયું આ,
    વિચારી વિચારી ફરી
    મિલન સમયે,
    હોઠ બંધ થઈ જતાં
    શાને?

    ‘ક્ષોભ’ માં મારી અવસ્થાનું વર્ણન કરતી છેલ્લી પંક્તિઓ “વિચારી વિચારી મિલન સમયે હોઠ બંધ થઈ જતાં શાને?” મોટાભાગના યુવાનોની વ્યથા અને અવસ્થાનો પ્રશ્ન છે કે પ્રેમનો એકરાર કરવો છે, શું કહેવું, શું ના કહેવું બધું જ વિચારી રાખ્યું છે, પણ પ્રેમિકા પ્રત્યક્ષ આવે ત્યારે મોંઢામાંથી એક શબ્દ નીકળે નહીં, સાવ મૂંગા થઈ જવાય, અને પછી એ પળ ચાલી જાય, એટલે હતાશા અને નિરાશા છવાઈ જાય. એક બે મહિના પછી પાછી બીજી કવિતા “અનિલ” લખી, તેની પણ છેલ્લી પંક્તિઓ “કળી કરમાય, કૂંપળ સુકાય, ડાળી બટકે, પાન ખરે, વૃક્ષ સુકાય, વિના વસંતે, મુખ કરમાય, હૈયું સુકાય, ભાવના તૂટે, આંસુ ખરે, મન દુભાય, જીવનસાથી વીના.” સગાં-વહાલાં અને આટ-આટલાં મિત્રો હોવા છતાં મારી એકાકીપણાની એ અવસ્થા હતી. પછી તો એ મારી પ્રેમની વ્યથા અને એકાકીપણાથી ચાલુ થયેલી કવિતાઓ રૂપી સફરમાં સમયની સાથે-સાથે, જીવનના તડકા-છાંયડાંમાં, સંવેદનાઓના વિરાટ સમુદ્રમાં હાલકડોલક થતી નાની હોડી જેવી મારા હ્રદયની ઘણી બધી ભાવનાઓને પાનાંઓ ઉપર ઉતારતો રહ્યો.

    ઇન્ટર સાયન્સમાં સારા માર્કે પાસ થયો, અને મુંબઈની જ વી.જે.ટી.આઈ. (વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, માટુંગા) કોલેજમાં મિકેનિકલ એંજિનિયરિંગમા એડમિશન લીધું. અત્યાર સુધી માત્ર ચાર વિષયમાં સારા માર્ક લાવવા માટે ધ્યાન આપવું પડતું હતું, પણ એંજિનિયરિંગના પહેલા વર્ષમાં જ ૯ વિષયો હતાં એટલે પહેલા વર્ષની પરીક્ષામાં ૯ માથી ૬ વિષયોમાં પાસ થયો અને ૩માં નાપાસ થયો. આખું વર્ષ પાછું કરવું પડ્યું. મહેનત કરીને ઓક્ટોબરમાં બધા વિષયોની ફરી પરીક્ષા આપી. આખી યુનિવર્સિટિમાં ૩૦૦માંથી બીજે નંબરે પાસ થયો. બીજું વર્ષ જૂનમાં ચાલુ થવાનું હતું માટે છ મહિનાનો અવકાશ હતો. મારા એક મિત્રએ મને ફિનલે મિલ્સમાં સ્ટેટિસ્ટિક્સ વિભાગમાં નોકરી અપાવી. મહિને રૂપિયા ૨૪૦નો પગાર હતો. પહેલા મહિનાનો પગાર મેં મારા કાકાના હાથમાં મૂક્યો તો એ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. બરાબર એ સમયે મારી શાળાનો મિત્ર સુરેશ દાણી ફરી મારા સંપર્કમાં આવ્યો. મારી જેમ તે પણ પહેલા વર્ષમાં નાપાસ થયો હતો. મોટાભાગના મારા શાળાના મિત્રો મારી સાથે મારી કોલેજમાં જ હતાં. સુરેશ દાણી અને હું બંને નાપાસ થયાં હતાં એટલે સાથે ભણતા. પણ સુરેશને મારું મિલમાં નોકરી કરવું નહોતું ગમતું. તેણે મને ઘણો સમજાવ્યો કે આપણે બંને ટ્યુશન કરીએ, એક-બે ટ્યૂશનમાં જ બસોથી અઢીસો રૂપિયા ક્માઈ લેશું, મિલમાં કામ કરવાની જરૂર નથી. અને થયું પણ એમજ, એણે મને ટ્યૂશનો અપાવ્યા અને હું મહિને ૭૦૦ થી ૮૦૦ રૂપિયા કમાતો થઈ ગયો.

    હું મોટાભાગે સુરેશ દાણીને ઘરે જ સમય વિતાવતો. એક દિવસ એના પિતા પ્રાણજીવન કાકાએ મને કહ્યું, “મારે તારી જરૂર છે, આ તારો મિત્ર અમારા જ માળામાં રહેતી એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને એને લીધે જ નાપાસ થયો છે, એનું ધ્યાન ભણવામાં ઓછું ને એ છોકરીમાં વધારે રહે છે, તું એને સમજાવ કે ભણવામાં ધ્યાન આપે અને એ છોકરીથી દૂર રહે.” મેં કહ્યું,”ભલે કાકા હું પ્રયત્ન કરીશ.” ત્રણ-ચાર મહિના પછી મેં કાકાને કીધું કે,”મેં ખૂબ કોશિશ કરી પણ એને માટે એ છોકરીને ભૂલવાનું શક્ય નથી, એ બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે.” તેમનાં મા-બાપે નિર્ણય લીધો અને લગ્ન નક્કી કરીને એમને પરણાવી દીધા. મારો મિત્ર સુરેશ દાણી એની પ્રેમિકા મંજુલા સાથે પરણી ગયો અને ૫૦ વર્ષથી દાંપત્ય જીવનનો આનંદ માણી રહ્યો છે. પરિવારની સહાયતાથી તે પોતાની મહત્વાકાંક્ષા રૂપે સફળ કોચિંગ વર્ગો સ્થાપી શક્યો. તેનું માનવું છે કે ભારતમાં જ કોઈ પણ યુવાન સફળ થઈ શકે છે અને વિદેશ જવાની જરૂર નથી. તેણે પોતાના ત્રણે પુત્રોને એંજિનિયરિંગમા સ્નાતક કર્યા અને વિદેશ મોકલવાને બદલે એના જ વ્યવસાયમાં સ્થાયી કર્યા.

     એંજિનિયરિંગ કોલેજમાં ગુજરાતી મંડળ

    વી.જે.ટી. આઈ.માં અમે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી. હું પ્રમુખ અને મારો ખાસ મિત્ર પ્રવિણ પાઠક ઉપપ્રમુખ બન્યા.  એક રંગસંધ્યાનું આયોજન કર્યું. ભવંસમાં સ્પર્ધામાં નાટક રજૂ કર્યું. નાટકમાં નારી પાત્ર ભજવવા માટે છોકરી ક્યાંથી લાવવી?  પ્રવિણ પાઠકે રૂઈયા કોલેજમાં ભણતી નલિની ગોકળગાંધીને તૈયાર કરી.  ગણિત, વિજ્ઞાન અને યાંત્રિક કોલેજને અમારા ગુજરાતી મંડળે સાહિત્ય રસિક અને કલાપ્રેમી બનાવી. પ્રમુખ તરીકે એક વસ્તુ શીખવા મળી.  તમારી સમિતિમાં જે કાર્યકરો હોય તેમની નિષ્ઠા, સમર્પણ સફળતા લાવે છે.

    મિત્રની સ્મૃતિ

    ૧૩ સપ્ટેંબર ૨૦૧૮ને દિવસે કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. કાકીનું ઋણ તો જન્મોજન્મ ચુકવી શકાય તેમ નથી તે છતાય કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. તે નિમિત્તે એક ભોજન સમારોહનું આયોજન મેં મુંબઈમાં કર્યું.  થોડા મિત્રો અને સગા વહાલાને બોલાવ્યા હતાં. તે વખતે મારા એક અંગત મિત્ર મનહર રાઠોડને આમંત્રણ આપવા હું તેના ઘરે ગયો ત્યારે તેણે જે વાત કરી તે ચોંકાવી નાખે તેવી હતી.

    ૧૯૭૧માં મનહરે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવ્યું. મુંબઈથી અમેરિકા જતા પહેલા મનહર વીરપુર જલારામ બાપાના દર્શને ગયો. વીરપુરની યાત્રાથી પાછા ફરતા તેની બસનો અકસ્માત થયો. બસ ઊંધી પડી ગઈ. મનહરને માથામાં ચોટ લાગી અને તે પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો. મનહર બધા સામે જોયાં કરે પણ કોઈને ઓળખી ના શકે. લગભગ છ મહિનાની સારવાર પછી કુટુંબનાં માણસોને ઓળખતો થયો. મુંબઈ આવી મનહર ફરીથી કક્કો બારાખડી શિખ્યો. દરેક ધોરણનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમાં તેનાં સગા અને મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. પછી કોલેજનાં ૨ વર્ષ અને એંજિનિયરિંગના ૪ વર્ષનાં પુસ્તકોનો અભ્યાસ કરી પોતે સિવિલ એંજિનિયરિંગ ગ્રેજ્યુએટ છે એમ સાબિત કરી નોકરી મેળવી.  મિત્રોના સહકારથી તેણે મકાન બાંધકામના ધંધામા ઝંપલાવ્યું અને ખૂબ કમાયો.

    આ મનહર જ્યારે કાકીના ભોજન સમારોહમાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને અમારા કોલેજનાં એ દિવસો યાદ છે જ્યારે તે એક દિવસ મારા ઘરે આવ્યો હતો. મેં તેના માટે ખિચડી શાક બનાવી જમાડ્યો હતો.

    મને એમ કે મનહરની સ્મ્રુતિ પુસ્તકોનાં અભ્યાસથી પાછી આવી હતી. પણ ૧૯૬૪માં બનેલ ઘટના કોઈ પુસ્તકમાં નહોતી. હવે મને શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયાં કે મનહરની સ્મ્રુતિ સંપૂર્ણપણે વાપસ લાવવા.માટે જલારામ બાપાનાં જ આશીર્વાદ છે.

    નંદ શોદા સ્વરૂપ કાકા કાકી

    કાકી મારા જીવનમાં હું ૧૨ વર્ષનો  હતો ત્યારે આવ્યા. ત્યારે  હું ખૂબ નાદાન અને જિદ્દી હતો. કાકા કાકીને મેં ઘણા તંગ કર્યાં. પરંતુ કાકાએ મારા માબાપને વચન આપેલ તે પાળીને મને મોટો કર્યો. અમારા દરજી કુટુંબમાં છોકરો ૧૪ વર્ષનો થાય એટલે તેને ધંધે લગાડી દે. દરજીનો દીકરો, જીવે ત્યાં સુધી સિવે. ભણવું હોય તો ભણો પણ સાથે સાથે દરજીકામ પણ શીખે. અન્ય સગાં વહાલા કાકા પર દબાણ લાવતા હતાં કે આ છોકરાને કામ શીખવો. એકલા ભણતરથી કંઈ વળવાનું નથી. પરંતુ કાકા અડગ રહ્યા. મને ભણાવ્યો, ગણાવ્યો. વર્ષો પછી મને સમજ આવી કે બંને કાકા કાકીએ મારા માટે કેટલો ભોગ અને ત્યાગ આપ્યો.  મારી બાના અવસાન પછી મેં કાકીને ભેટી પડીને રડતે મુખે કબૂલ કર્યું કે કાકી, મેં તમને  ઓળખવામાં ભૂલ કરી છે.  તમે તો મારા યશોદા મા છો. મારી જન્મદાતા મા તો મારા મામાને ત્યાં જતી રહી હતી, પણ મને મોટો કરવાનો, સંસ્કારો આપવાનો અને ઉચ્ચ શિક્ષણ આપવાનો ખરો યશ તો તમને જ અપાય. એ એકરાર પછી કાકી અને મારા સંબંધોમાં સોનામાં સુગંધ પૂર્યા જેવું થયું.

    કાકા કાકી અંધેરી જે રૂમમાં રહેતા હતાં તેમાં ૨૦૦૧ થી ૨૦૦૫ સુધીમાં ૪ વખત ૫ થી ૭ ફૂટ જેટલું  પાણી ચોમાસા દરમ્યાન ભરાઈ જતું.  ૨૦૦૭ માં તેમને માટે એક ફ્લેટ પહેલે માળે લીધો અને પાણીનો પ્રશ્ન ટળી ગયો. ૨૦૧૦માં કાકાના અવસાન પછી કાકી ૬ વર્ષ ત્યાં રહ્યાં. નિવૃત્તિમાં હું અવારનવાર મુંબઈ આવન જાવન કરતો.  કાકી સાથે રહેતો. સુખ દુઃખની વાતો કરતા  ભૂતકાળની સ્મ્રુતિ તાજી કરતા અને આનંદથી સમય પસાર કરતા. કાકીએ અમને ભાઈ-બહેનને સંપીને અને એકમેકની સાથે પ્રેમ આનંદથી રહેવાની શીખ અને પ્રેરણા આપી છે જે અમને જીવનભર યાદ રહેશે. તેમના પુત્ર ભરતભાઈ મારા કપડા માપસર બંધબેસતા સીવી આપે છે અને નાનો પુત્ર યોગેશ મારું મુંબઈને લગતું કાર્ય નિષ્ઠાથી કરી આપે છે.

    વહાલના સ્રોત સમા એ કાકી પણ અમને સૌને રડતા મૂકી ફેબ્રુઆરી ૨૦૨૨માં દેવલોક સિધાવી ગયાં.

    વિહંગાવલોકન

    મારું જીવન નસિબવંતુ છે.  બાળપણમાં દાદીમા, આઠ વરસ સગી જનેતા, પછી કાકી, અમેરિકામાં વહાલસોયી પત્ની, મારી બા, અને બે પુત્રીઓનો ભરપુર સ્નેહ મને મળ્યો છે. મારા જન્મ પછી ભારતને આઝાદી મળી. ૨0-૨૨ વર્ષો સોનેરી કાળ સમા હતાં.  એવો જ સોનેરી કાળ અત્યારે હ્યુસ્ટનમાં પ્રતિત થાય છે.  દરેક કોમનાં લોકો  અહીં  હળીમળી રહે છે. સાહિત્ય, ધર્મ, કલા અને સામાજિક કાર્યક્રમોમાં સમય સુંદર રીતે પસાર થાય છે.  જનસેવા અને પ્રભુસેવાના અનેક મોકા મળતા રહે છે. ખરેખર, સૌનો પ્રેમ અને સહકાર પામી ૭૫ વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે ખબર જ ન પડી.

    આશા છે કે જન્મોજનમ મને આ સહકારની કેડી મળ્યા કરે અને જીવનને નવપલ્લવિત કર્યા કરે.

    અસ્તુ.


    સમાપ્ત


    હવે પછી  – સપના વિજાપુરા : જિંદગીકા સફર

  • વામા-વિશ્વ : અંબાતી મોન્યુકાના અગ્નિપથની વાત

    ૧૩૨ વર્ષ પછી કોલસાની ખાણમાં કામ કરતી આધુનિક ૨૫ વર્ષની યુવતી અંબાતી મોન્યુકાના અગ્નિપથની વાત.  

    અનુરાધા દેરાસરી.  

     

    તું રુકેગી નહીં કભી,
    તું મુડેગી નહીં કભી
    તું ન ઝુકેગી કભી,
    કર શપથ, કર શપથ,
    અગ્નિપથ, અગ્નિપથ…’

    ૧૩૨ વર્ષ પછી કોલસાની ખાણમાં કામ કરતી આધુનિક ૨૫ વર્ષની યુવતીના અગ્નિપથની વાત. અંબાતીએ કોલસાની ખાણમાં ઈતિહાસમાં નવું પાનું ખુલ્લું મૂક્યું છે.

    તેલંગણા રાજ્યની સિંગેરી કોલિયરીઝ કંપની લિમિટેડ કોલસાની ખાણમાં જવા એક ૨૫ વર્ષની આધુનિક યુવતી હેલમેટ સરખી કરી રહી છે. પછી હેલમેટ ઉપરનો લેમ્પ સરખો કરે છે, જે અંદર જઈ કોલસાની ખાણની સલામતી જુએ, ત્યારે ખાણના અંધારામાં પ્રકાશ ફેલાવી મદદ કરે છે. આ યુવતી અંદર જઈ રેસ્ક્યૂ (બચાવ) કરતી ટીમની મહિલા ઓફિસર છે.

    જ્યાં એમ જડબેસલાક માન્યતા હતી કે, કોલસાની ખાણમાં ફક્ત પુરુષો જ કામ કરી શકે, તે પરંપરાગત બેડી તેલંગણાની માઇન એન્જિનિયર અંબાતી મોન્યુકાએ તોડી બતાવી છે અને અંડર ગ્રાઉન્ડ રેસ્ક્યૂ (બચાવ) ટીમમાં કામગીરી બજાવી રહી છે. જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં, નવા પગરણ મંડાય છે ત્યારે ઈતિહાસના પાનાં ફેરવાય છે અને નવો ઈતિહાસ રચાય છે. આધુનિક અંબાતીએ પણ સિંગેરી કોલસાની ખાણના ઈતિહાસમાં નવું પાનું ખુલ્લું મૂક્યું છે.

    તેલંગણાના મધ્યમ પરિવારની દીકરી અંબાતી મોન્યુકાનો ઉછેર સામાન્ય પરંતુ ભણવામાં ખૂબ હોંશિયાર. આથી ધોરણ બારમા પછી, સારું પરિણામ આવવાથી એન્જીનિયરિંગ લાઇન લેવાની ઈચ્છા ધરાવતી હતી. પરંતુ એન્જીનિયરિંગમાં અંબાતીને માઇન એન્જિનિયર થઈ, કોલસાની ખાણોમાં કામ કરવું હતું.

    અંબાતીએ જ્યારે ઘરમાં વિચાર રજૂ કર્યો કે, તે માઇન એન્જિનિયર થઈ, કોલસાની ખાણોમાં કામ કરવા માંગે છે ત્યારે કુટુંબીજનો, સગાવહાલાં અને અન્ય લોકોએ રીતસર તેના વિચારોને તોડી પાડયા. તેમની દલીલો હતી, ‘કોઈ પણ યુવતી ગમે તેટલી આધુનિક હોય પરંતુ તે કોલસાની ખાણમાં માઇન એન્જિનિયર તરીકે કામ ના કરી શકે. કોલસાની ખાણમાં કામ કરવા માટે સખત શારીરિક ને માનસિક તાકાત જોઈએ અને હજુ સુધી કોઈ મહિલાએ આ રીતનું કામ કર્યું નથી.’

    સમાજની આ નકારાત્મકતાની અંબાતી પર અસર થઈ. શરૂઆતમાં તેણે ઈલેક્ટ્રિકલ કે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનો વિચાર કર્યો. પરંતુ તેના દૃઢ મનોબળ, સાહસિક સ્વભાવ અને કંઈક નવું કરવાની વૃત્તિએ આ એન્જીનિયરિંગમાં નન્નો ભણ્યો અને માઇન એન્જિનિયરિંગમાં જ પ્રવેશ લીધો.

    કાટગોદામ માઇન એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લઈ ભવિષ્યમાં કોલસાની ખાણમાં કામ કરવાના તેના અગ્નિપથ પર ચાલવાની શરૂઆત કરી. તેણીના પિતા તેના પ્રેરણા સ્ત્રોત બન્યા. બધાની દલીલો નકારાત્મક રહી, જ્યારે અંબાતીના પિતાનું કહેવું હતું, ‘નાનપણથી ભણવામાં હોંશિયાર અને કંઈક નવું કરવાની સાહસિકવૃત્તિવાળી અંબાતી જરૂર માઇનિંગ એન્જિનિયર તરીકે આગવું કામ કરી બતાવશે.’

    માઇન એન્જિનિયરિંગ કરી, અંબાતીએ હિન્દુસ્તાન ઝીંકમાં અનુભવ લીધો અને તેલંગણાની સિંગેરી કોલેરિયઝ કંપની લિમિટેડમાં નોકરી માટે એપ્લાય કર્યું. ખાણના રેસ્ક્યૂ ઓફિસર તરીકેના ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે, ‘અમારા ૧૩૨ વર્ષના ઈતિહાસમાં કોલસાની ખાણમાં કોઈ યુવતી/મહિલાએ કામ નથી કર્યું. મહિલાઓની શારીરિક અને માનસિક તાકાત ખાણમાં કામ કરવાની હોતી નથી તો તમે કેવી રીતે રેસ્ક્યૂ ઓફિસર તરીકે કામ કરશો ?’

    જેના જવાબમાં અંબાતી મોન્યુકાએ જવાબ આપ્યો, ‘ક્યાં એવું લખ્યું છે કે, સ્ત્રીઓ ખાણમાં કામ ન કરી શકે ? મને જો તક મળશે તો હું બતાવી આપીશ કે સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય માટે જ નથી સર્જાઈ, જો તેને તક આપવામાં આવે તો તે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરી શકે છે, પછી એ આભ હોય કે ધરતી.’

    અંબાતીનો આટલા નિર્ભય અને મક્કમ નિર્ણય જવાબે અંબાતીને સિંગેરી કોલેરિયઝ કોલસાની ખાણમાં નોકરી મળી ગઈ.

    આ પછી રેસ્ક્યૂ ટીમ માટેની નાગપુરમાં ૧૪ દિવસની ટ્રેનિંગ શરૂ થઈ. આ ટ્રેનિંગ જ ખૂબ કઠીન હતી. જેમાં સવારે વહેલા ઊઠવાનું, દોડવા જવાનું પછી સવારના નવથી રાતના આઠ સુધી જુદી જુદી કસરતો, મેડિટેશન કરવાનું. ત્યારબાદ દરરોજ કોલસાની ખાણનું ઈન્સ્પેકશન કેવી રીતે કરવાનું વગેરે ટ્રેનિંગ લેવી પડી.

    આ બેચમાં એકલી યુવતી હોવા છતાં તે ટ્રેનિંગમાં ઘણી આગળ રહી. ત્યાંના મેનેજરનું કહેવું હતું કે, ‘ખૂબ બહાદુર છોકરી છે. કોલસાની ખાણની કામગીરીમાં તે જરાય ગભરાતી નથી. તે ઉત્તમ રેસ્ક્યૂ ઓફિસર બની રહેશે.’

    અંબાતી મોન્યુકા અહીં જીભભન્માં એક વર્ષથી કામ કરે છે. તેની કામગીરીની શરૂઆત હેલમેટ અને લેમ્પ વ્યવસ્થિત પહેરી, પોતાની ટીમને લઈને સિંગેરી કોલસાની ખાણમાં તાપમાન, ગેસનું પ્રમાણ વગેરે ચેક કરવાનું હોય છે. કોઈવાર ખાણમાં પથ્થરોનું સ્લાઇડિંગ થાય અને મજૂરોને ઈજા થાય તો તરત અંદર દોડી જઈ, તેમની બચાવગીરીનું કામ તત્કાલ કરવાનું હોય છે. જો કોઈ મજૂરોને ઈજા થાય તો તેમની સારવારની તત્કાલ જવાબદારી અંબાતીની છે. ઉપરાંત કોલસા શોધવા ખાણમાં ડ્રિલિંગ થાય ત્યારે પણ તેણે અંદર ઉભા રહી, સાવચેતી રાખવાની હોય છે. ખાણમાં આગ લાગવાની શક્યતા ઘણી વધારે હોય છે આથી આગથી બચાવગીરીની જવાબદારી પણ રેસ્ક્યૂ ઓફિસરની હોય છે.

    કોલસાની ખાણમાં ઠંડક જાળવવા માટે મિથેન ગેસનો ઉપયોગ કરાય છે. વેન્ટિલેશન માટે દીવાલોમાં વાતાયનની સગવડ હોય છે. આ ખૂબ નાજુક કામગીરી છે. મિથેન વાયુ લિકેજ ના થાય એ જોવાની જવાબદારી પણ રેસ્ક્યૂ ઓફિસર એટલે અંબાતી મોન્યુકાની છે.

    આમ કોલસાની ખાણનું કામ,રેસ્ક્યૂ ઓફિસર માટે ખૂબ જવાબદારીભર્યું છે. અંબાતી મોન્યુકાના ઉપરી અધિકારીઓનું કહેવું છે કે, અંબાતી મોન્યુકા હજુ ઘણી ઉંમરમાં નાની અને તાજી જ નોકરીમાં જોડાઈ હોવા છતાં તેણે તેના રેસ્ક્યૂ કામમાં માસ્ટરી મેળવી લીધી છે.

    આનંદની વાત એ છે કે સિંગેરી કોલોરાઇઝ લિમિટેડ કંપની બીજી ૧૨૦ યુવતીઓની બેચ તૈયાર કરી રહી છે, જે કોલસાની ખાણોમાં રેસ્ક્યૂ ઓફિસરની કામગીરી કરશે. અત્યારે તેને ટ્રેનિંગ અપાઈ રહી છે.

  • ઢળતું જાતું

    લતા હિરાણી
     
    ઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાત
    દીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાત
    હવે તો આવી ઊભી રાત….

     

    આંખ આંજતું અંધારું, આ આવી ઊતર્યું હેઠે
    પળપળની પોઠો બિચ્ચારી ભલે જુદારો વેઠે
    જળમાં ભળતી જાત, હવે તો આવી ઊભી રાત….

     

    ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબે
    તૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટે
    વિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..

     

    :આસ્વાદઃ

    દેવિકા ધ્રુવ 

    આજની સવારે એક મઝાનું ગીત વાંચવામાં આવ્યું અને જાણે સવાર સુધરી ગઈ. પહેલી નજરે લાગે કે,અજવાળા, અંધારા, સાંજ,રાત અને દીવાની વાત છે. હા, છે પણ માત્ર એ જ વાત નથી, અને એ જ તો આ કાવ્યની ખૂબી છે. જે કંઈ નથી કીધું તે બધું ખુલી ગયું છે. કારણ કે, એ માત્ર રચનાકારની સ્વાનુભૂતિ નથી. પણ સર્વાનુભૂતિ હોઈ સૌ કોઈને સ્પર્શે છે.

    સાવ નાની, માત્ર બે જ ટૂંકા અંતરામાં રચાયેલી આ કવિતાનો આસ્વાદ કરવાનું મન થાય જ, થાય.

    ઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાત..
    દીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાત

    સાંજની સાથે જ અજવાળું પણ ઢળે અને અજવાળું ઢળે એટલે કે રાત પડવા માંડે એ એક કુદરતનો નિયમ છે. એ હકીકતને માનવ-જીવન સાથે જોડીને કવયિત્રી તરત જ બીજી પંક્તિમાં કહે છે કે, ઝીણો દીવો ઝળઝળ થાય ને તેવે વખતે આખીયે ચોક્ખી દેખાતી ભાત ઝાંખી થતી લાગે. આ દીવો એટલે કે, કાયાના કોડિયામાં ભીતર રહેલો આતમનો દીવો. એ દીવો ખરેખર તો ઝળહળતો હોય. તો પછી ઝાંખુ કેવી રીતે દેખાય એ સવાલની સાથે જ નજર પડે છે ઝળઝળ શબ્દ પર. સામાન્ય રીતે દીવાની સાથે ઝળહળ શબ્દ જાય. પણ અહીં  ‘ઝળઝળ’શબ્દ પ્રયોજાયો છે. આંખમાં આવતાં ઝળઝળિયાંનો અર્થ અભિપ્રેત છે. ઝળઝળિયાને કારણે ઝાંખું દેખાય. ને ત્યારે ક્ષણભંગુર શરીરના અંગોનો અર્થ ખુલે છે. જીવનના સાંજના પડાવે ગાત્રો ઢીલા અને ધીમા પડે છે. ખૂબ ચાલ્યાંનો થાક વર્તાય છે. આંખે ઝાંખપ વળે છે. અંધારાં ઘેરી વળે છે.

    એ જ ભાવને બીજા અંતરામાં કવિ રૂપકો અને સજીવારોપણ થકી વ્યક્ત કરે છે. જાણે કે કોઈ આવી આંખમાં કાજળ નહિ,અંધારું આંજી જાય છે. પળેપળ સાવ અલગ  અલગ વર્તાય છે. કંઈક ને કંઈક નવી નવી વ્યાધિઓ આવતી રહે છે. ક્ષણની માફક જ એક જાય ને બીજી આવીને ઊભી જ રહે છે. દિવસને અંતે ઉતરતા જતાં અંધારાંની માફક જ રાખનાં આ રમકડાં અંતે જળમાં સરી જતાં સમજાય છે અને અનુભવાય છે. ‘જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ ગઈ.’ઓજસ પાલનપુરીના એ મશહૂર શેરનો સૂર સંભળાય વગર રહેતો નથી. આ અંતરામાં એકમાત્ર જાત શબ્દ અહીં રાતનો ભેદ ખોલી આપે છે.

    ને ત્યારે ઘડીભર એ કહેવાનું મન થાય કે,
    ” સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
    જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.”

    બીજા અંતરામાં ક્રમિક રીતે રાતની જ વાત આગળ વધે છે. હજી ક્યાંય કવિએ ચોક્ખી રીતે જીંદગીને, શરીરને કે મૃત્યુને વર્ણવ્યું નથી. એ તો રાતની જ વાત કરે છે. બાકીનું તો ભાવકના મનોજગતને માટે છોડી દે છે. એ કહે છે કે, જેમ જેમ અંધારું થતું જાય છે તેમ તેમ આંખે અક્ષરો ઉકેલાતાં નથી, બધું અંધકારમાં ડૂબતું જણાય છે, જીવનની તમામ દૈનિક ક્રિયાઓ, અવરજવર બધું શમવા લાગે છે,વાતો વિખરાઈ જાય છે અને અંતે પિંડ પણ પોઢી જાય છે.

    ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબે
    તૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટે
    વિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..

    આ અંતરામાં પણ એક જ એવો શબ્દ મળે છે જે આપણને છૂપાયેલા ગૂઢાર્થ તરફ દોરી જાય છે. ‘પિંડ પદારથ’. કેટલો સરસ શબ્દ છે? ‘પદારથ’. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ કવયિત્રીના મનમાં નરસિંહ મહેતાની ઘેરી અસર છે. તેમણે અગાઉ પણ  નરસિંહ મહેતા માટે એક સુંદર સ્તુતિગાન આપ્યું છે કે “આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો”.

    હા, તો આ પદારથ ખૂટે ત્યારે શું શું થાય છે? રાત પડવા માંડે ને દુનિયાનું રોજીંદું જીવન જંપી જાય; બરાબર તે જ રીતે જીંદગીની રાત નજીક આવે ત્યારે આંખે દેખાવાનું બંધ થાય, નાડીઓ તૂટવા માંડે, શ્વાસ રુંધાવા લાગે, પાંચે ઇન્દ્રિયો લથડવા માંડે અને આખાયે આયખાની વાતો વિસરાતી અને વિખરાતી ભાસે. આ  એક સનાતન સત્ય છે. એને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ પર્યાય ક્યાં છે? સદીઓથી સંતોએ, કવિઓએ અને કલાકારોએ અલગ અલગ અંદાઝમાં આ વાત સમજાવી છે.

    અહીં  પ્રયોજાયેલ ‘હવે’ શબ્દ પણ કેટલો સૂચક છે? અર્થોનાં ઘણાંબધાં દ્વાર ઉઘાડી દે છે. હંસલા હાલોને હવે…મોતીડાં નહિ રે મળે.. હવે.. હવે એટલે કે, ઢળતી સાંજની જેમ જ જિંદગીનો આ અંતિમ પડાવ છે. સવારથી માંડીને સાંજ સુધી ઘણું બધું કરી લીધું છે. પામવાનું હતું તે પામી લીધું છે, આપવાનું હતું તે આપી દીધું છે. અરે, રડવું, હસવું, દોડવું, ચડવું, પડવું, વેઠવું, વધાવવું, સ્વીકારવું, સત્કારવું…તમામ કામો અને ક્રિયાઓ કરી લીધી છે. હવે બાકી કશું રહ્યું નથી. રહ્યું છે તે માત્ર હવે..હવે આવી ઊભેલી રાતને, એના અંધકારને જોવાનો,એને પણ સ્વીકારીને સત્કારવાનો અને ભેટવાનો.

    આવી સુંદર કવિતા ત્યારે જ લખાય જ્યારે નિકટથી અને ભીતરથી જાતને ઝંઝોડી હોય, સમજણનો દીવો સતત પ્રગટાવેલ રાખી જાણ્યો હોય અને મનને સ્વસ્થ રહેવા કેળવ્યું હોય. આ કવિતાની વધુ વિશેષતા એ છે કે, એમાં ઓછામાં ઓછા અને ઉચિત શબ્દો પ્રયોજાયા છે.’જળમાં ભળતી જાત’ વાંચતા તો નજર સામે નદીમાં પધરાતા અસ્થિ-વિસર્જનનું ચિત્ર ખડું થાય છે. અંત્યાનુપ્રાસ-રાત, ભાત, વાત, હેઠે, વેઠે, ભેટે વગેરે- કેવા સહજપણે ગૂંથાઈ ગયા છે! શાંત વહેતા સરોવરનાં જળ જેવો હળવો લય પણ ચિત્તમાં  સતત ગૂંજ્યા કરે તેવો છે અને આદિથી અંત સુધી કવિતાનું મુખ્ય હાર્દ  પણ સુપેરે જળવાઈ રહ્યું છે.

    કવયિત્રી લતાબહેન હિરાણીની કલમને સલામ.

    અસ્તુ.


    Devika Dhruva.-  ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • એક શિક્ષક, અનેક વિદ્યાર્થી શાળા, અનેક શિક્ષક, શૂન્ય વિદ્યાર્થી શાળા

    નિસબત

    ચંદુ મહેરિયા

    ૨૦૨૬-૨૭ના  શૈક્ષણિક વરસનો આરંભ થઈ ગયો છે. ગુજરાતનો બહુ ગાજેલો શાળા પ્રવેશોત્સવ પણ રંગેચંગે સમાપ્ત થઈ ગયો છે.. આઝાદી મળી ત્યારે દેશનો  સાક્ષરતા દર ૧૮.૩૩ ટકા હતો તે ૨૦૧૧માં ૭૪.૦૪ અને આજે ૮૦.૯ ટકા છે. એટલે સાક્ષરતા દરમાં અનેકગણો વધારો થયો છે. છતાં આપણા પ્રાથમિક શિક્ષણની હાલત ભાંખોડિયા ભરતાં બાળક જેવી વર્તાય છે. એટલે દેશના અને રાજ્યના પ્રાથમિક શિક્ષણની દશા અને દિશા વિશે વિચારવાનો આ યોગ્ય સમય છે.

    ૨૦૦૯ના શિક્ષણના અધિકાર કાયદાથી ૬ થી ૧૪ વરસના બાળકોને ફરજિયાત અને નિ:શુલ્ક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો ફાળવવાની કાયદાકીય જોગવાઈ પછી તો ફરજિયાત શિક્ષણ સમાન પણ લાગવા માંડ્યું છે. મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠે  તેના તાજેતરના ચુકાદામાં ખાનગી પ્રાથમિક શાળામાં ફી નહીં ભરી શકેલ એક ૧૩ વરસની બાળકીને શાળામાંથી કાઢી મૂકવાના પગલાંને બંધારણના અનુચ્છેદ ૨૧-એ અને આરટીઈ અધિનિયમની કલમ ૧૬(૪) અંતર્ગત ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યું છે. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે આરટીઈ કાયદા હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં વિધાર્થીના વાલીને પસંદગીની શાળા નક્કી કરવાનો અધિકાર હોવાનું નકાર્યું છે. આ બંને ચુકાદાથી પ્રાથમિક શિક્ષણને મળેલું સ્થાન અને અધિકારના અમલ અંગેનું અદાલતી વલણ સમજાય છે. .

    એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ( અસર- ASER )  જણાવે છે કે આપણા દેશનું પ્રાથમિક શિક્ષણ મોટાભાગે સરકારી શાળાઓ પર નભે છે.  દેશમાં આશરે ૧૦.૧૭ લાખ ગવર્નમેન્ટ પ્રાઈમરી સ્કૂલ્સ છે. તેમાં લગભગ ૧ કરોડ પ્રાઈમરી ટીચર્સ છે. રાષ્ટ્રીય કક્ષાએ ૬૬.૮ ટકા પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓ મારફત આપવામાં આવે છે. મોટા રાજ્યોમાં સૌથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ બંગાળમાં છે. બંગાળની કુલ પ્રાથમિક શાળાઓમાં ૮૦ ટકા સરકારી છે. ગ્રામીણ બિહારના ૬ થી ૧૪ વરસના ૮૦ ટકા બાળકો સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણે છે.

    સરકારી શાળાઓએ ઘરેઘરે પ્રાથમિક શિક્ષણ તો પહોંચાડ્યું છે પરંતુ તે કેટલું ગુણવત્તાયુક્ત છે તે મોટો સવાલ છે. ભારત સરકારના ખુદના ડેટા જણાવે છે કે દેશમાં એક લાખ કરતાં વધુ એકલ શાળાઓ છે. એટલે કે આ શાળાઓમાં એકથી વધુ ધોરણના તમામ બાળકોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે. ૨૦૨૨માં ૧, ૧૮, ૧૯૦,  ૨૦૨૩માં ૧,૧૦,૯૭૧ અને ૨૦૨૫માં ૧,૦૪, ૧૨૫ શાળાઓમાં જુદાજુદા ધોરણના ઘણા વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. ૩૩,૭૬,૭૬૯ બાળકો આવી એકલ શાળાઓમાં ભણે છે. આંધ્રપ્રદેશમાં એક્લ શાળાઓની સંખ્યા અને ઉત્તરપ્રદેશમાં એકલ શાળાઓમાં ભણતા વિધાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.

    દેશની ૧૦.૧૭ લાખ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૨.૨૪ લાખ શાળાઓ જર્જરિત કે અસલામત છે. ગયા વરસે રાજસ્થાનના ઝાલાવાડના મનોહરથાણા બ્લોકની પીપલોદી સરકારી પ્રાઈમરી સ્કૂલની છત તૂટી પડતાં ૭ બાળકોના મોત થયા હતાં.

    ૨૦૨૫ના વરસના ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી માહિતી આપી હતી કે  રાજ્યમાં ૩૨૭ પ્રાથમિક શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે. એટલે બધા ધોરણના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. તેનું કારણ શાળાના મકાન માટે જમીન ઉપલબ્ધ ન હોવાનું છે. રાજ્યના ૩૩ જિલ્લાની ૫૧૭૫ સરકારી પ્રાથમિક શાળાઓમાં  ૬૧૦૦ વર્ગખંડ ભણાવવા માટે અસલામત છે.  કેમકે તે ઓરડાઓ ગમે ત્યારે પડી જાય તેવા જર્જરિત છે. માત્ર અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ આ સ્થિતિ નથી રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, જુનાગઢ અને ભાવનગરની ૬૬૭ શાળાઓના ૭૬૪ વર્ગખંડો ખરાબ સ્થિતિમાં છે.

    ગત વરસના સંસદના શીતકાલીન સત્રમાં લોકસભામાં એવી માહિતી આપવામાં આવી હતી કે દેશમાં ૫૧૪૯ સરકારી શાળાઓમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી. એટલે કે આ શાળાઓમાં કોઈ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ શૂન્ય વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૫,૧૪૯ શાળાઓમાં ૧.૪૪ લાખ શિક્ષકો ફરજ(?) બજાવે છે. શિક્ષકોની કામગીરી તો વિદ્યાર્થીઓને ભણાવવાની છે. પરંતુ જો વિદ્યાર્થીઓ જ ન હોય તો આ ગુરુદેવો શું કરતા હશે? સરકારનો જવાબ છે કે બાળકોને સરકારી શાળાઓ તરફ આકર્ષવા અને તેમને પ્રવેશ મેળવવા સમજાવવાનું કામ કરવા આ શિક્ષકો રાખ્યા છે. એટલા માટે જ શૂન્ય વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૫૦૦૦ શાળાઓમાં દોઢેક લાખ શિક્ષકો છે ! જ્યારે દેશમાં લાખો શિક્ષકોની ઘટ હોય ત્યારે શૂન્ય વિદ્યાર્થી સંખ્યાની શાળાઓમાં શિક્ષકોનું હોવું પ્રજાના નાણા અને દેશના સંસાધનોનો બગાડ છે, વેડફાટ છે.

    પ્રાથમિક શિક્ષણ નબળું હોવા પાછળના કારણોમાં આવી વહીવટી અણઆવડત કે આવડતનો મોટો ફાળો રહેલો છે. બધા જ ધોરણના વિદ્યાર્થીઓને એક જ ક્લાસ રૂમમાં ભણાવવાથી ભણતરમાં શું ભલીવાર આવે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકો માટે એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આ બાળકો  શિક્ષકો જે ભણાવે છે તે સમજવામાં અને બીજાને સમજાવવામાં કાચા છે.

    બાળકોના ભણતર પરની માઠી અસર ‘અસર’ ના રિપોર્ટમાં પણ દર્શાવી છે. ધોરણ ૧ ના ૩૧.૯ ટકા બાળકો ૧ થી ૯ સુધીની ગણતરી પણ વરસના  અંતે કરી શકતા નથી. ધોરણ ૩ના ૬૨.૫ ટકા વિદ્યાર્થીઓ સામાન્ય સરવાળા બાદબાકી કરી શકતાં નથી.

    જ્યારે શાળામાં આપવામાં આવતું શિક્ષણ નબળું હોય ત્યારે માબાપ કે વાલીએ બાળકોના ટ્યુશન કે કોંચિંગનો  માર્ગ કમને કે મધ્યમવર્ગે અન્ય ખર્ચ પર કાપ મૂકીને પણ અપનાવવો પડે છે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(NSO) ના આંકડા જણાવે છે કે ગુજરાતના વાલીઓ ખાનગી ટ્યુશન પાછળ વરસે સરેરાશ રૂ.૧૪,૫૪૫ ખર્ચે છે. પ્રિપાઈમરી થી ધોરણ ૧૨ સુધીના શહેરી ૩૫ ટકા અને ગ્રામીણ ૧૨ ટકા વિદ્યાર્થીઓ ખાનગી કોંચિંગ લે છે. ગુજરાતમાં ધોરણ ૧ થી ૫માં ખાનગી ટ્યુશનનો વ્યક્તિદીઠ સરેરાશ ખર્ચ રૂ.૯૧૫૨ છે.

    દલિત, આદિવાસી, નબળા વર્ગો અને ગરીબોને ખાનગી શાળાઓની ફી પોસાતી નથી એટલે તેમના માટે સરકારી શાળાઓ એક માત્ર વિકલ્પ છે. સરકારી શાળાઓના નબળા શિક્ષણને પ્રતાપે આ બાળકોનું પાયાનું એવું  પ્રાથમિક શિક્ષણ કાચું રહે છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને ભણાવવા ઉપરાંત અનેક પ્રકારની વધારાની સરકારી કામગીરીઓના બોજ તળે દબાયેલા છે. લાખો શિક્ષકોની ખાલી જગ્યાઓ, કાયમીને બદલે સહાયક સિક્ષક તરીકેની નોકરી અને તેમાં એકલ શાળા કે શૂન્ય વિદ્યાર્થી શાળા જેવા વ્યવધાનો પ્રાથમિક શિક્ષણને વધુ નબળું બનાવે છે. શિક્ષણને તમામ દુખોની દવા માનવી હોય તો પ્રાથમિક શિક્ષણ ગુણવતાસભર  અને સબળુ હોય તેની તકેદારી રાખવી જોઈએ.


    સાંદર્ભિક વિડીયો :  નેટ પરથી


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘ભારત એક ખોજ’નું સંગીત – [ ૩ ] – વર્ણવ્યવસ્થાની શુરૂઆત

    દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

    (એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્‍ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)

    બીરેન કોઠારી

    ચોથો હપ્તો છે ‘વર્ણવ્યવસ્થા કી શુરૂઆત’,

    મણકાના આરંભે ‘વિદેઘ માધવ ચલા અગ્નિ વૈશ્વાનર કો જબ મુખ મેં લેકર’ નું સમૂહગાન છે. (@ ૨.૪૩થી ૪.૩૬). આ ગીત યજુર્વેદમાં ઉલ્લેખાયેલી વિદેઘ માધવની કથાને વર્ણવે છે.

    ‘જોતતા ધરતી લિયે વો બૈલ છહ, ઔર ઋતુયેં હૈ હમારી છહ’ શબ્દો ધરાવતું ટૂંકું સમૂહગાન ખેતીના મહત્ત્વને દર્શાવે છે. (@ ૫.૧૩ થી ૬.૦૮)

    આ સમયગાળાને આગળ વર્ણવતાં ‘આદિપુરુષ કે યજ્ઞ મેં, પુરુષ કી હવિ કી, દેવતાઓં ને કી ધારણા’નું સમૂહગાન છે. જે ભારતવર્ષમાં વર્ણવ્યસ્વસ્થાની શરૂઆત દર્શાવે છે.  ( @ ૬.૫૨ થી ૭.૫૩)

    આ હપ્તામાં શમ્બૂક ( @ ૮.૦૬થી ૧૩.૩૩) અને એકલવ્યની ( @ ૧૩.૩૫ થી ૨૦.૪૫) વાત છે, એમ ‘ત્રણ પિતાનો એક પુત્ર’ ( @ ૨૦.૪૬ થી ૪૧. ૦૪) નામની જાણીતી વાર્તા પણ છે.

    આ વાર્તામાં સમૂહગાન રૂપે ‘વણિક ઈન્‍દ્ર હૈ, આઓ, બિનતી હૈ’ (@ ૨૩.૪૪ થી ૨૪.૫૭) સાંભળી શકાય છે, જે ઈશ્વરને થતી પ્રાર્થનાસ્વરૂપે છે.

    આ હપ્તાના અંત ભાગમાં શુદ્રોની સ્થિતિ વર્ણવતા ગુજરાતી ગીતના હિન્‍દી અનુવાદ ‘મૈં તમ મેં જાતા હૂં, મૈં તમ સે આતા હૂં’નું સમૂહગાન છે. (@ ૪૧.૫૪ થી ૪૩.૧૩)

    આ હપ્તો અહીં જોઈ શકાશે.


    Disclaimer:

    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.


    ક્રમશઃ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો : રંગભૂમિમાં ગીત-સંગીત

    જીના શેઠ

    શરૂઆત અને તેની અસર

    ૧૮૬૨ પછી એક નાટક આવ્યું “બેજન-મનિજેહ’. જેનું દિગ્દર્શન કર્યું. કેખુશરો કાબરાજીએ. તેમણે નાટકમાં ગીતો સામેલ કર્યા અને નાટ્ય ગીત-સંગીતની પરંપરા શરૂ થઈ. આ પહેલાં નાટ્યપ્રયોગમાં સંગીત અલગ રજૂ થતું. આમ, કેખુશરો કાબરાજી એટલે નાટકનાં બધાં જ અંગના જાણકાર, વિઝનરી અને દષ્ટિવંત વ્યવસ્થાપક.

    આમ જોવા જઈએ તો નાટકના એક રંજક અંગ રૂપે સંગીત છેક ભરતમુનિના કાળ પહેલાંથી સંસ્કૃત નાટયપ્રયોગો સાથે નાન્દી, ઈશ્વર સ્તવન અને પદ્યનાટિકાઓના શ્લોકાદિના પાન દ્વારા સંકળાયેલું રહ્યું છે. સંસ્કૃત નાટકોમાં જે સ્થાન શ્લોકોનું છે, ગુજરાતી અને ઉર્દૂ નાટકોમાં એ જ સ્થાન ગીતોનું છે.

    તે વખતનાં નાટકો ગીતોથી સભર હતાં અને ગીતો નવેનવ રસથી સભર ! આ ગીતોના શબ્દો અને લય એવાં કર્ણપ્રિય હતાં કે સાંભળનારને વારંવાર સાંભળવાની ઇચ્છા જાગ્રત થતી, તેથી જ તો ગીતોને ‘વન્‍સમૉર’  મળતા. પરિણામે રાત્રે નવ સાડા નવે શરૂ થયેલું નાટક તેનાં ગીતોને લીધે સવારના ત્રણ-ચાર વાગ્યા સુધી ચાલતું ને ગીતના નશામાં ઝૂલતો પ્રેક્ષક સવારે દાંતણ કરતાં-કરતાં પાછો ફરતો કદાચ તેથી જ નાટકની વ્યાખ્યામાં “ન અટકે તે નાટક’ એમ પણ કહેવાતું.

    સૂરીલું સંગીત રેલાવતા વાદ્યકારો

    કેટલાંય દિલહર ગીતોએ નાટકોને જિવાડી યાદગાર બનાવ્યાં હતાં અને વિક્રમ સર્જ્યો હતો. માત્ર ગાયનો પર જ નાટકો ચાલ્યાના અનેક દાખલાઓ છે. જેમ કે, ડાહ્યાભાઈ ધોળશાજીનું “અશ્રુમતી’. જે અમદાવાદ, વડોદરામાં ન ચાલ્યું, પણ મુંબઈના પ્રેક્ષકોને તેનો ગરબો ‘શું નટવર વસંત થેઈ થેઈ નાચી રહ્યો’ ખૂબ ગમ્યો અને કંપનીની ગાડી ચાલી પડી. આમ આ ગીતોએ કેટલીય નાટકમંડળીઓને જિવાડી હતી. એટલું જ નહીં અનેક સંગીત વિધાયકોને માત્ર રોજી-રોટી જ નહીં, માન-સન્માન પણ અપાવ્યું. અનેક મહેફિલોને, લગ્ન-પ્રસંગોને રસમય બનાવ્યા. ગુજરાતી સુગમ સંગીતના મૂળ પણ અહીં જ છે. કેટલાંય ગીતોની રેકર્ડો ઊતરી છે ને કેટલાંક ફિલ્મોમાં પણ લેવાયાં છે. નાટકનો આ મહત્ત્વનો “બીજો અવાજ’ ‘સેકન્ડ વૉઇસ’ હતો.

    ગીતોમાં વિવિધતા અને જાદુગરી

    એવું તે શું હતું રંગભૂમિના ગીત-સંગીતમાં કે એ આટલી બધી અસર કરતું? એ ગીતના શબ્દો ખૂબ સરળ હતા, ગાતાં ફાવે એવી સીધી-સાદી રચનાઓ હતી દા.ત.,

    આ દુનિયા છે દંભ ભરેલી ઉપરથી પૉલિશ કરેલી
    દંભ કરીને ઠગવી સહેલી દંભીના ખોબાર.

    સાથે ભાવસભર અવાજ, હૃદયસ્પર્શી રજૂઆત અને ધૂન પણ એવી સરસ હોય કે દિલોદિમાગમાં મઘમઘાટ વ્યાપી જાય. રાતોની રાતો જાગીને કેટલાંય ગીતોની તરજો બંધાણી હશે. ઘણાં ગીતો તો લોકગીતો બની ઘેર-ઘેર ગવાતાં. આ બધું લેખક, સંગીતકાર અને કલાકારની ઉત્તમ કલાસાધનાનું પરિણામ હતું. બધાં વચ્ચે સંગીત વિષયક ખૂબ બધી વૈચારિક આપ-લે થયા પછી એક ગીત બનતું. આ ગીતો ચાલુ ખેલે ગાયનની લોકપ્રિય ચોપડીઓ સાથે ગવાતાં, રસ્તા પર કે ઘેર-ઘેર ગણગણાતાં.

    ગીતો આખા નાટક દરમિયાન પ્રેક્ષકોને કારુણ્યનાં, શૃંગારનાં, હાસ્યનાં, ૧ર બોધનાં, વીરતાનાં, દેશદાઝનાં, સંસાર-સુધારનાં, નીતિ-પ્રેમનાં તથા તત્ત્વજ્ઞાનનાં ગીતો સાંભળવા મળતાં. એવા પ્રેક્ષ્કો પણ હતા જે એક વખત નાટક જોયા પછી માત્ર ગાયનો સાંભળવા પાછા પ્રેક્ષકગૃહમાં આવે અને ગાયન પૂરું થતા ચા-નાસ્તા માટે બહાર નીકળી જાય. દરેક કલાકારને સંગીતની તાલીમ આપવામાં આવતી અને સારા ગાયક નટોની એવી તો બોલબાલા ને માંગ રહેતી કે એમને મેળવવા અનેક પ્રકારના નાટકીય કાવાદાવા પણ ખેલાતા. અશરફખાન, કાસમભાઈ, મુન્નીબાઈ, રામપ્યારીબાઈ આ કલાકારો માટે ગાયકી પ્રધાનતત્ત્વ રહેતું અને કેટલાંક ગીતો તેમને માટે ખાસ રચાતાં.

    કહેવાય છે કે ગુજરાતી ભાષાની પહેલી ફિલ્મ “નરસિંહ મહેતા’ રજૂ થઈ ત્યારે તેમાં આવતું “વૈષ્ણવજન તો તેને..’ ભજન આખું ઓડિયન્સ સાથે ગાતું હતું. આ અસર જૂની રંગભૂમિની મનાય છે.

    અરુણોદય નાટકનું ગીત ‘ચહો જો ભારતના સંતાન જગમાં ભારત આબાદી, તમે અંગે ધરો ખાદી’ આ ગીત વખતે પ્રેક્ષકોમાંથી ખાદીની ટોપી સિવાયની બધી ટોપીઓ રંગમંચ પર પડતી, તો અન્ય ગીતો “અય ખાખે હિંદ તેરી અજમન  મેં ક્યા ગુમાં હૈ…’ અને “દાઝ ધરો કંઈ દેશની દિલમાં બોલો વંદેમાતરમ્‌…’ આવાં બધાં દેશભક્તિનાં ગીતો સાથે.

    “દુખીને દિલાસો દેતો,
    રંકનો બેલી ભલી ભળ લેતો,
    સૂનાં આંગણા શોભાવે માંરો રેંટિયો રૂડો..”.

    વગેરે ગીતોએ લોકોને ખૂબ પ્રેરણા આપી હતી.

    તો રસકવિની રચના “વિકસાવે નવજીવન કુસુમ આ વિદ્યાની વાડી’  ગીત ગુજરાતની શાળાઓમાં ગામેગામ લોકપ્રિય હતું અને સંગીતશિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને સંગીતના વર્ગમાં આ ગીત શીખવતા અને ‘સ્વદેશ-સેવા’ નાટકનું કવિ મનહરનું ‘સૃજેલાં શ્રી પ્રભુજીએ મનુષ્યો સર્વ સરખાં છે’ ગીત ઘણીખરી શાળાઓમાં એક રાષ્ટ્રગીત જેવું થઈ પડ્યું હતું અને પ્રાર્થનાઓમાં અચૂક ગવાતું, તો ડાહ્યાભાઈએ લખેલું રાજગીત, શહેનશાહ સાતમા એડવર્ડના રાજ્યારોહણ વખતે સરકારે આખા મુંબઈની બધી શાળાઓમાં ગવડાવ્યું હતું.

    તો કૉમિક ગીતોનો તો વળી જુદો જ ઇતિહાસ  છે. ‘અજયધારા’ નાટકનું એક ગીત…

    આ ગામમા તે શ્યે રહેવાય
    પીટયાં પડોશી દેખી બળી જાય.
    મારું નામ પડયું છે સંતુ રંગીલી

    એટલું લોકપ્રિય થયું કે, નવી રંગભૂમિનું “સંતુ રંગીલી’ નાટક[1] ખૂબ ખ્યાતિ પામ્યું તેનાં મૂળ આ નાટકના “સંતુ રંગીલી’ નામના ‘કેરેક્ટર’માં છે.[2]

    આ બધાં ગીતોમાં ગાયનના શબ્દો વાજિત્રોના ઘોંઘાટમાં ખોવાઈ ન જતા. છેક છેલ્લે બાલ્કનીમાં બેઠેલો પ્રેક્ષક પણ ગીતના ભાવ અને મર્મને માણી શકતો અને કલાકારો પણ ઓશિયાળા કંઠના મોહતાજ ન હતા. ટ્રેઇન્ડ હતા.

    સંગીતકારો અને સંગીત

    મોતીલાલજી, મા. છનાલાલ (વડનગર), હમીરજી ઉસ્તાદ, લલ્લુભાઈ શામળ, બાપુલાલ પૂંજીરામ નાયક, નારાયણદાસ ઉસ્તાદ, ડોસુમિયાં, મા. છેલાજી, મા. ડાહ્યાલાલ, હાજી મહંમદ મીર જેવા ઘણાં સંગીત વિધાયકોએ ગુજરાતી રંગભૂમિના સંગીતને લોકપ્રિય બનાવ્યું હતું અને એક અલાયદો પ્રેક્ષકવર્ગ ઊભો કર્યો હતો.

    ઘણી વખત સંગીતનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવા સંગીતકારો અને સાજિંદાઓને ઝડપી લેવાની હરીફાઈ જામતી. “સૌભાગ્યસુંદરી’ કે “સરસ્વતીચંદ્ર’નાં ગીતોએ લોકો પર કામણ કર્યું હતું. તો શ્રી મૂળચંદમામા, શ્રી લલ્લુ માસ્તર તથા નારણદાસ ઉસ્તાદની સંગીત ત્રિપુટી અને રસકવિ પ્રભુલાલ દ્વિવેદીનાં ગીતો સાથે અશરફ ખાન, મા. ત્રિકમ અને ભવાનીશંકર જેવા ગાયકો – આ બધો સમન્વય રંગભૂમિના રસસંગીતમાં ખૂબ જ આગળ પડતો ભાગ ભજવી ગયો છે. સુંદર ગીતો અને અદ્દભુત સંગીત એ આ નાટકોની મહાન સફળતાનાં મુખ્ય કારણો હતાં. તેમાં પ્રેક્ષકોની સંગીતપ્રિયતા પણ પોષાતી હતી.

    વળી, આ ગીતો તો નીતિ, બોધ અને મૂલ્ય આધારિત શિક્ષણ આપવાનું એક સુંદર માધ્યમ પણ બન્યાં  હતાં. કેળવણીના આ વૈકલ્પિક માધ્યમનો એ વખતે ખૂબ પ્રભાવ હતો અને આ બાબત અંગે કવિઓ  ખુદ પણ ખૂબ સ્પષ્ટ હતા, આજે નિર્માતાઓને અને લેખકોને લોકરુચિને અનુકૂળ થવા મથવું પડે છે, જ્યારે તે સમયે નાટકો અને તેનાં ગીતો લોકપિય  લોકરૂચિ ઘડતાં અને કેળવતાં હતાં.


    [1]

    સંતુ રંગીલી (૧૯૭૩)

    [2] મારું નામ પડયું છે સંતુ રંગીલી – નવું સંસ્કરણ


    ક્રમશઃ


    હવે પછી –
    મગલાચરણ

    સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com

  • સામાન

    શ્રદ્ધા ભટ્ટ

    “આ લો આ સામાનનું લિસ્ટ. એક પણ વસ્તુ ભુલાય નહીં.”   મંજુએ હાથમાં થેલી પકડાવી.

    “વટાણા લખ્યા નથી આમાં. લાવવાના છે ને?” આદતવશ મારાથી પૂછાઈ ગયું. મંજુની સૂકી ભઠ આંખોમાં લીલા વટાણાની નાની શી કૂંપળ ઊગતી દેખાઈ મને. એની તાજગી મને વીંટળાઈ વળે એ પહેલાં જ હું ત્યાંથી નીકળી ગયો. જેવો ચપ્પલમાં પગ નાંખ્યો, નાનો એવો પથ્થર અંગુઠા પાછળ ખૂંપી ગયો. નીચે વળી એ પથ્થર કાળજીથી કાઢ્યો તોય પેલા વટાણા જેમ અંદર સુધી ઘસરકો પાડતો ગયો. ઘડીભર તો થયું, મૂક સામાન પડતો. ક્યાંય જવું નથી. પણ ઘેર રહીને મંજુના અકથ્ય સવાલો જીરવવા એના કરતાં બહાર જવું બહેતર એમ વિચારી  ચપ્પલ ઘસડતો હું બહાર નીકળ્યો.

    બહાર આવીને મેં રીક્ષા રોકી.

    “પીરછલ્લા લઈ લે.” રિક્ષામાં બેસતાં વેંત મને કોર્નરમાં પડેલું પર્સ દેખાયું. મેં તરત રિક્ષાવાળાનું ધ્યાન દોર્યું.

    “ભાઈ, ઘડીક ઊભો રહે. આ જો અહીં કોઈનું પર્સ પડ્યું છે. પહેલાં એ લઈ લે.”

    “તમે જ લઈને આપી દો ને કાકા. આ તમારી પહેલાં એક ભાઈને ઉતાર્યા, એ જ ભૂલી ગયા લાગે છે.” એણે રીક્ષા ચાલુ કરતાં કહ્યું.

    “તું ઉતરીને આનો હવાલો લઈ લે ભાઈ. હું તો એને અડીશ નહીં.”

    “તમેય શું કાકા? કાઈ બૉમ્બ નહીં હોય એમાં!”

    “આજકાલ આવી નધણિયાતી વસ્તુનો ભરોસો જ થાય એમ નથી. હજી ગઈ કાલે  ક્રાઈમ પેટ્રોલમાં એક એપિસોડ આવ્યો હતો. એમાં આવી જ રીતે….”

    “કાકા, આખો દિવસ એ જ જોતાં લાગો છો તમે! જરા જોઉં તો.” કહેતો એ ઉતરીને પાછળ આવ્યો ને પર્સ ફંફોસવા લાગ્યો. “અરે આ તો એ જ. મેં હમણાં જ એમને ઉતાર્યા. આ એનું ડ્રાયવિંગ લાયસન્સ રહ્યું. પૈસા ય ખાસ્સા છે આમાં તો. તમને ઉતારીને હું આ પર્સ પહોંચાડી આવીશ.”

    “તે તને ખબર છે એ ક્યાં રહે છે?”

    “તમારા ઘરથી થોડે દૂર જ ઉતર્યા એ. એમણે ઘર પાસે જ રીક્ષા ઊભી રખાવી હતી. એટલે મને ખબર છે.”

    “ઠીક છે. ચાલ હવે. ઉતાવળ કર.” કમને સામાન લેવા જતો હતો એમાં આ અડચણ આવી. પગમાં ખૂંચેલો પથ્થર પણ પીડા આપતો હતો. ચપ્પલ કાઢીને જોવા ગયો ત્યાં નીચે પડેલી એક ચબરખી પર ધ્યાન ગયુ. થયું, પેલા પર્સમાંથી જ પડી હોવી જોઈએ.

    “અરે આ કોઈક ચિઠ્ઠી જેવું પડ્યું આ પર્સમાંથી. જો તો જરા.”

    “કાકા, ફરી રીક્ષા રોકું? તમને મોડું નથી થતું?” પેલા એ ચિડાઈને જવાબ આપ્યો.

    “એ બહુ સારું. હું જ જોઈ લઉં છું.” મેં વાંકા વળી એ ચોળાઈ ગયેલી ચિઠ્ઠી ઉપાડી.

    “આ લે. મૂકી દે આને ય.”

    “કાકા, જરા જુઓ ને. કયાંક એડ્રેસ કે એવું લખેલું હોય તો. સીધો પર્સના માલિકના હાથમાં જ પર્સ પહોંચાડી આવું. ”

    મનોમન અકળાતા મેં પેલી ચબરખી ખોલી. જેમ જેમ વાંચતો ગયો એમ એમ મંજુની આંખોની એ લીલાશ મારા પર હાવી થતી ગઈ. કંઈ કેટલીય યાદો, નાના મોટા ઘણાય પ્રસંગો વીણાના તાર માફક ઝંકૃત થઈ ઊઠ્યા. સજ્જડ બંધ કરેલું મનનું એ બારણું એક જ થપાટે ઊઘડી ગયું.

    “ભાઈ, તું પહેલાં આ ભાઈને જ્યાં ઉતાર્યા હતા ત્યાં જ લઈ લે. એમને પર્સ આપી આવીએ.” અધીરાઈએ ડેરો જમાવ્યો મન પર.

    “અચાનક શું થયું કાકા?”

    “તું ભાડાની ચિંતા ન કર. જેટલું થશે એટલું હું આપી દઈશ. જલ્દી કર.”

    “તમે ય ગજબ છો હો કાકા. પહેલાં પર્સને અડવાની ય ના પાડતા હતા ને હવે?  કેમ બોલ્યા નહીં? કાકા, તબિયત તો ઠીક છે?”

    “અરે હા ભાઈ. મારી તબિયતને પથરા ય નથી પડવાના. તું તારે રીક્ષા હાંક ને!”

    “લો કાકા. આવી ગયું. આ શેરીમાં પહેલું જ ઘર. તમે બેસો હું હમણાં આવ્યો.”

    “મને આપ પર્સ. હું જ જાઉં છું. લાયસન્સમાં શું નામ લખ્યું છે?”

    “જયેશ પટેલ. કાકા, હું આવું સાથે?”

    “પહેલું જ ઘર ને? હું આવ્યો હમણાં.”

    ત્રણ ચાર વાર જોરથી બારણું ખાખડાવ્યું મેં. કોઈ સ્ત્રી એ દરવાજો ખોલ્યો.

    “કોનું કામ છે?”

    “જયેશભાઇ પટેલ અહીં રહે છે?”

    “હા. તમે?”

    “જરા બોલાવશો એમને?”

    “હમણાં જ બોલાવી આવું. તમે અંદર આવો ને.”

    “તમે જયેશભાઈને બોલાવો ને. હું અહીં જ ઊભો છું.” દસેક સેકન્ડ માંડ વીતી હશે ત્યાં ત્રીસેક વર્ષના એક ભાઈ બારણે દેખાયા

    “હા બોલો. હું જ જયેશ.”

    “આ તમારું પર્સ છે? તમે રિક્ષામાં જ ભૂલી ગયા હતા.” મેં પર્સ એમને દેખાડ્યું. ખુશ થઈને એણે પર્સ હાથમાં લીધું.

    “અરે હા. મને યાદ જ નહોતું આવતું કે ક્યાં પડી ગયું! થેન્ક યુ સો મચ. મને તો થયું બે હજારનો ચૂનો લાગ્યો આજે. .અરે, તમે કેમ બહાર ઊભા છો? પ્લીઝ અંદર આવો ને. રમા… પાણી લાવજે.” એણે સહેજ ખસીને મને અંદર આવવા કહ્યું.

    “બહાર રીક્ષા ઊભી રાખી છે. તમે રીક્ષા છોડી એ પછી હું બેઠો ને મારી નજર પર્સ પર પડી. એટલે થયું તમને આપી જ આવું. પૈસા જરા જોઈ લેજો હો.”

    “અરે હોય કંઈ. તમે સમય બગાડી આટલી જહેમત ઉઠાવી એ જ ઘણું કહેવાય. આજકાલ લોકોને ક્યાં આવો સમય હોય છે? એક કામ કરો. હું રિક્ષાનું ભાડું ચૂકવી દઉં. તમે ચા પાણી પીને જ જજો.”

    “ના ભાઈ. મારું ઘર અહીંથી નજીક જ છે. હું જતો રહીશ. અઅઅ… આ ચિઠ્ઠી પણ હતી તમારા પર્સમાં.”

    “ચિઠ્ઠી? જોઉં જરા. ઓહ… આ તો ગુડ્ડી એ લખેલી છે. ગુડ્ડી, મારી નાની દીકરી. ખરી છે એ પણ. મને કહે, પપ્પા સાચવીને રાખજો હો. મને જરૂર પડશે ત્યારે માંગીશ.  થેન્ક ગોડ આ મળી ગઈ. એને ખબર પડત તો મારું તો આવી જ બનત.”

    “સાચવીને રાખજો તમારી દીકરીની અમાનત. ચાલો હું રજા લઉં.”

    “કાકા, ફરી એક વાર તમારો આભાર. તમે કાઈ લીધું પણ નહીં.”

    “ફરી ક્યારેક આવીશ.” હું ઝડપથી રીક્ષા પાસે પહોંચ્યો.

    “ચાલ ભાઈ. પર્સ તો એના માલિકને આપી આવ્યો.”

    “સરસ. હવે પીરછલ્લા લઉં ને?”

    “ના ભાઈ. તું મને ઘેર જ ઉતારી દે. સામાન તો પછી લેવાશે.”

    “ઠીક છે કાકા.”

    જેવી રીક્ષા ઘર પાસે ઊભી રહી, ફટાફટ ભાડું ચૂકવી, ચપ્પલ પણ કાઢ્યા વિના હું ઘરમાં ઘૂસ્યો. થેલી એક બાજુ ફગાવી અંદરના રૂમમાં દોટ મૂકી. મંજુ ગભરાઈને મારી પાછળ દોરવાઈ.

    “અરે તમે આટલી જલ્દી આવી ગયા? શું થયું? બધું ઠીક છે? સામાન ક્યાં છે? કૈક બોલો તો ખરા. હવે મારા કબાટમાં શું શોધો છો?”

    “અરે અરે…. આ બધો સામાન કેમ બહાર કાઢ્યો? શું થયું છે તમને આજે? આ તો રીંકુની વસ્તુઓ…”

    “મંજુ, રીંકુ પોતાની બધી વસ્તુઓ તને સાચવવા આપતી ને? આ જો એની ઢીંગલી, આ બંગડી એણે જીદ કરીને મેળામાંથી લેવડાવી હતી, નહીં? ને આ એના ઘૂંઘરૂં, આ એની સોનાની બુટ્ટી. કેટલું રડી હતી એ જ્યારે એના કાન વીંધ્યા હતા! આ એનો રૂમાલ, એનું ફેવરિટ ફ્રોક… બધું જ સાચવ્યું છે તેં!”

    “હા. એ જ તો જાતે પોતાની બધી વસ્તુ અહીં મૂકતી હતી. મારા કબાટમાં એની વસ્તુ સુરક્ષિત રહેશે એવી એને ખાતરી હતી.  સોરી, તમે ના પાડી હતી છતાં…”

    “મેં ઘરની બહાર કાઢેલી રીંકુની એક એક વસ્તુને પાછી લાવીને તેં સાચવી છે મંજુ. કાશ….”  આગળ બોલાયું જ નહીં મારાથી.

    “રીંકુ પણ પાછી આવી જ શકશે. એ અને વિનયકુમાર તો તમે કહો ત્યારે આવવા તૈયાર છે. હજી ય મોડું નથી થયું. તમે કહો તો હું અબઘડી ફોન…” મંજુની એ આશભરી આંખોને મારી હા ની જ રાહ હતી. ધૂંધળી આંખે મેં મંજુ સામે જોયું. પેલી લીલી કૂંપળ મારી ય આંખોમાં ઊગી નીકળી.  ને સાથે જડ્યો આડે હાથે મૂકાઈ ગયેલો મારો અણમોલ સામાન.

  • સરવૈયું

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ‘હે..પ્રભુ.. સાંજ ઢળવા આવી, આંખે મોતિયો પાક્યો છે. રખેને ક્યાંક ઠોકર ખાઈને…” ચિંતાતુર માલતી વિશેષ વિચારી શકી નહીં.

    માલતીની ચિંતા સકારણ હતી. વિનાયકરાવનો નિવૃત્ત થયા પછી સાંજે પાર્કમાં ચાલવા જવાનો અને સમયસર પાછા આવવાનો નિયમ. આજે સાંજ રાત તરફ ગતિ કરી રહી હતી, છતાં એ પાછા ફર્યા નહોતા. માલતીની ચિંતા અને ઘરની અંદરબહારના ચક્કરોની ગતિ વધી ગઈ.

    વિચારવંટોળમાં અટવાતી માલતીને વિનાયકની ભાળ લેવા ફોન કરવાનો વિચાર આવ્યો, પણ રાત પડે ફોન કરીને કોઈને ચિંતા કરાવવી કે નહીં એની અવઢવમાં ફોન પાસે જઈને અટકી.

    થોડી વાર પહેલાં પ્રકાશ દવાઓનું લિસ્ટ લેવા આવ્યો, વિનાયક રાવને ન જોતાં એમના વિષે પૃચ્છા કરી ત્યારે માલતીએ ચિંતા હડસેલીને કહ્યું હતું, ‘આ પેંશનરોની વાતો પૂરી થશે ત્યારે આવશે ને?”

    પ્રકાશ એટલે એમની સંકટ સમયની સાંકળ. એમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતો.

    અને અવિનાશ? એ તો વળી માલતીની રસોઈનો ભારે ચાહક. વર્કશૉપમાંથી રોજે ફોન કરે, “માસી, મારા માટે કટોરો ભરીને શાક રાખવાનું હોં… મને તૃપ્ત કરશો તો સ્વર્ગમાં તમારું સ્થાન નિશ્ચિત સમજો.”

    માલતીની સખી સુનિતાના દીકરાઓ પ્રકાશ, અવિનાશ અને સતિશ માલતી અને વિનાયકનું ખૂબ ધ્યાન રાખતા.

    દર રાત્રે અવિનાશ અચૂક ફોન કરીને માલતીને દવાઓ લેવાનું, વિનાયકના પલંગ પાસે પાણી મૂકવાનું, ઘરનું બારણું લૉક કરવાનું, લાઇટો બંધ કરવાનું યાદ કરાવતો ને જરૂર પડે તો ફોન કરવાનું કહેતો.

    માલતીને અવિનાશ યાદ આવ્યો. એને ફોન કરવાનું વિચારીને ઉતાવળે માલતી ઊભી થઈ જ ને પગના અંગૂઠામાં મોચ આવી. હવે ચિંતા, વેદના અને વિનાયક તરફના રોષે માઝા મૂકી.

    ‘અહીં હું એકલી છું અને છે એમને કોઈ ચિંતા? કોણ જાણે શું સમજે છે જાતને?’

    વળી ગુસ્સો ઓસર્યો ને ચિંતાથી મન ઘેરાયું. ‘કેટલાક સમયથી મગજનું ઠેકાણું નહોતું. ઘર છોડીને ચાલ્યા જવાનું બોલ્યા કરે છે. ક્યાંક જતા રહ્યા હશે તો ક્યાં શોધીશ એમને?’

    એટલામાં ખીચડી બળ્યાની વાસથી માલતી ચોંકી.

    ‘હાય…હાય..’

    બે બુઢ્ઢા લોકો માટે બે મુઠ્ઠી દાળ-ચોખા ઓર્યા હતાં તે બળીને કોયલા થઈ ગયાં, હવે ?

    માલતીમાં ફરી ખીચડી બનાવવાની હામ નહોતી.

    ત્યાં બારણું ખખડ્યું.

    “કેટલું મોડું કર્યું, ક્યાં રહી ગયા હતા?” વિનાયકને જોઈને માલતીની ચિંતા ને ચીઢ સાથે પ્રગટ્યાં.

    “સોનાલી માંદી છે. એની પાસે ગયો હતો.”

    “સોનાલી? કોણ સોનાલી?”

    “દેશપાંડેની દીકરી.’ વિનાયકને બોલ્યા પછી યાદ આવ્યું કે, એમણે ક્યારેય માલતીને સોનાલી અંગે વાત કરી જ નહોતી.

    “આમ જોઉં તો એની સાથે કોઈ સંબંધ નથી અને આમ જોઉં તો બહું ઊંડો સંબંધ. મને એનામાં આપણી સ્વીટી દેખાય છે.”

    વિનાયકે ખુલાસાથી વાત માંડી.

    એક દિવસ એ પાર્કમાં બેઠા હતા ને છ-સાત વર્ષની છોકરી એમની પાછળ આવીને સંતાઈ.

    “દાદાજી, હું અહીં સંતાઈ છું એ કોઈને કહેતા નહીં હોં. તમારો કોટ મારી પર નાખી દો.”

    એ દિવસથી સોનાલીનાં રમવાના સમય અનુસાર વિનાયકનો પાર્કમાં જવાનો સમય નિશ્ચિત થઈ ગયો. એની સાથે રમવામાં ક્યાં સમય પસાર થતો એની ખબર નહોતી પડતી.

    “મને તો ક્યારેય કહ્યું નહીં અને રાત સુધી સોનાલી પાર્કમાં થોડી બેસી રહે?”

    “સોનાલીને તાવ આવ્યો છે. એણે જીદ કરી કે દાદાજીને બોલાવો.”

    “આજ સુધી મને જણાવવાનું જરૂરી ન લાગ્યું?” માલતીના અવાજમાં પીડા હતી. એ ઊભી થઈ ગઈ.

    રાત્રે અવિનાશનો ફોન આવ્યો. એ પૂછે એની પહેલાં જ માલતી બોલી,

    “દવા, પાણી, ટૉર્ચ બધું જ પાસે છે, પણ નજીકની વ્યક્તિ જ દૂર થઈ જાય એનું શું કરવું? જીવતરનો સાર કાઢીએ ને ખબર પડે કે આખું ગણિત જ ખોટું હતું તો કોની ભૂલ કાઢવી?”

    “શું થયું માસી, લાગે છે આજે તબિયત ઠીક નથી.. હું આવી જઉં?”

    “ના..ના..દીકરા, આ તો તારા કાકા મોડા આવ્યા એટલે મૂડ ખરાબ છે.

    “એક કામ કરો. મનને શાંત કરવા પ્રભુનું ધ્યાન ધરો, માળા કરો.” માસીનું મન પારખીને અવિનાશે એમને સાંત્વન આપ્યું.

    અવિનાશના કહ્યા પછીય માલતીનું મન શાંત ન થયું. માળા લઈને બેઠી. મનમાં શ્રીરામનું નામ ને  ચિત્ત બીજે ભટકતું રહ્યું. હાથમાંથી માળા સરકી ગઈ. એને પોતાનાં મિલિંદ અને મનીષા યાદ આવી ગયાં.

    *******

    માલતી અને સુનિતા બહેનપણીઓ. બંનેના સ્વભાવમાં ફરક. માલતીનાં સપનાં ઘણાં ઊંચા હતાં. એમ.એસ.સી. કરીને એ લેક્ચરર બની. સુનિતા માતા-પિતાએ બતાવેલા યુવક સાથે લગ્ન કરીને ઘર-ગૃહસ્થીમાં વ્યસ્ત થઈ ગઈ. એમ.એસ.સી.નું ફોર્મ ભર્યા પછી સાસુની બીમારી, દીયરનાં લગ્ન, એક પછી એક સંતાનોના જન્મને લીધે આગળ ભણવાનો વિચાર જતો કર્યો.

    એન્જિનિયર થયેલા વિનાયક સાથે લગ્ન પછી તો માલતીનું અભિમાન વધ્યું. સુનિતાની સરળ, વાસ્તવિક વાતો એને તુચ્છ લાગતી. એ માનતી કે વ્યક્તિએ પિતા કે પતિ પર નિર્ભર રહેવાના બદલે આત્મવિશ્વાસ સાથે સ્વબળે ગરુડની જેમ આસમાનને આંબવા ઊંચી ઉડાન ભરવી જોઈએ.

    માલતીએ મિલિંદ અને મનીષાની આંખોમાં આભને આંબવાનું સ્વપ્ન આંજ્યું. વિનાયકની અનિચ્છા છતાં મિલિંદને પંચગીનીની કૉન્વેન્ટ સ્કૂલમાં મૂક્યો. મુંબઈમાં મેડિકલનું ભણી, ડૉક્ટર બનીને એ અમેરિકા સેટલ થયો. મનીષાએ જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એની સાથે ભણતા સ્વિટ્ઝર્લેન્ડના યુવક સાથે લગ્ન કરીને વિદેશ સ્થાયી થવાનો નિર્ણય કર્યો.

    વિનાયકે મનીષાને અલગ સંસ્કૃતિવાળા વિદેશી યુવક સાથેના લગ્ન સામે લાલબત્તી ધરી હતી.

    “અલગ દેશ, અલગ સંસ્કૃતિ. સ્વિટ્ઝર્લેન્ડ જઈને ક્યાંક ફસાઈ તો?”

    “પ્રેમ કરે છે એને પરણે છે. બીજા દેશનો, બીજી સંસ્કૃતિનો હોય તેથી શું, માણસ તો છે ને? મનીષા તો સ્વબળે આભમાં અનેરા રંગ ભરી દે એવી ચિત્રકાર છે.” માલતી કહેતી.

    “આભ આભાસ છે. સત્ય નહીં.” વિનાયક કહેતો રહ્યો અને મનીષા ચાલી ગઈ.

    માલતીએ શીખવ્યું હતું એમ બંને સંતાનોની આકાંક્ષાએ આભને આંબવા ‘ગરુડ-ઉડાન’ ભરી. માલતી ખુશ હતી. વિનાયક રડી પડ્યો.

    વિનાયક જમીનથી જોડાઈને રહેવામાં માનતો. સુનિતાના ઘરનો સ્નેહ, સુમેળભર્યો માહોલ, ગણેશપૂજા, નવરાત્રીની ધામધૂમ બહુ ગમતાં, પણ માલતી આગળ વ્યક્ત ક્યાં વ્યક્ત કરવો? એ ચૂપ રહેતો.

    સુનિતાનો સતીશ એન્જિનિયર થયો ત્યારે માતા-પિતાની ઇચ્છા અને આશીર્વાદથી ત્રણે ભાઈઓએ પોતાની ફેક્ટરી ખોલવાનો નિર્ણય કર્યો.

    વિનાયક ખુશ.

    એ રાત્રે મિલિંદનો ફોન આવ્યો.

    “મા. હું સેટલ થઈ ગયો છું. તારી ઇચ્છા મુજબ દર મહિને પૈસા મોકલતો રહીશ. તબિયતનું ધ્યાન રાખજો અને હા, દર મહિનાની ત્રીજી તારીખે ચોક્કસ ફોન કરીશ.” મિલિંદે વાત પૂરી કરી.

    “મિલિંદ સેટલ થઈ ગયો. દર મહિને પૈસા મોકલશે.” માલતીએ સુનિતાને ખુશખબર સંભળાવ્યા. સંતાનોની પ્રગતિનું અભિમાન સુનિતા પાસે પ્રગટ કરવાનું ક્યારેય એ ચૂકતી નહીં.

    સુનિતાની પસંદગીની સાદી, સરળ યુવતીઓ સાથે અવિનાશ અને પ્રકાશના લગ્ન લેવાયાં.

    માલતીના મનમાં મિલિંદના લગ્નની શરણાઈના સૂર છેડાયા. મિલિંદ સર્જન છે. એના માટે તો ડૉક્ટર કે એન્જિનિયર યુવતી જ શોધીશ, મનનો વિચાર જણાવવા મિલિંદને ફોન કર્યો.

    “ મા, મારા પત્રની રાહ જોજે.” કહીને મિલિંદે ફોન કટ કર્યો.

    એ રાત્રે મનિષાનો ફોન આવ્યો કે, એ ચિત્રકાર પતિથી મુક્ત થઈ ગઈ છે. મનીષાનો ફોન આવ્યો ત્યારે વિનાયકે મનીષાને પાછા આવી જવા સમજાવી.

    “અહીં મારાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે. અઢળક નામના, પ્રસંશા પામી છું. એકલી છું, ખુશ છું. ‘ગરુડ-ઉડાન’ની ટેવ પડી છે ને હવે કોઈ બંધનમાં પડવું નથી.” મનીષાની વાત સાંભળીને પહેલી વાર માલતી ચૂપ હતી.

    એક દિવસ અવિનાશ ને પ્રકાશ આવ્યા.

    “એક વિનંતી છે, કાકા. અમારી ફેક્ટરીમાં તમારા માર્ગદર્શનની જરૂર છે. આપશો ?”

    વિનાયક ખુશ. નિવૃત્તિ પછી એને ખાલી ઘર ખાવા ધાતું, ઘરની બહાર નીકળવાનો મનગમતો માર્ગ મળ્યો.

    વિનાયકનો સમય ફેક્ટરીમાં અને માલતીનો સમય મિલિંદના પત્રની રાહ જોવામાં પસાર થતો રહ્યો.

    એક દિવસ મિલિંદે લગ્ન કરી લીધાંની જાણ કરતો પત્ર આવ્યો. પત્રની સાથે  મિલિંદ અને રોઝીનો ફોટો હતો.

    માલતી સાવ તૂટી ગઈ.

    “અરે, પ્રેમ કરીને પરણ્યો છે. બીજા દેશની, બીજી સંસ્કૃતિની હોય તેથી શું, માણસ તો છે ને ?” વિનાયકે માલતીને કહ્યું.

    શું બોલે માલતી? મનીષાને લગ્ન માટે રોકી ત્યારે માલતીએ વિનાયકને આમ જ કહ્યું હતું. માલતી એના શબ્દોને યાદ આવ્યા.

    વિનાયકે મિલિંદને રોઝી સાથે ભારત આવવા કહ્યું.

    “શક્ય જ નથી બાબા, રોઝીએ હમણાં જ દીકરીને જન્મ આપ્યો છે. સ્વીટીનો ફોટો મોકલી આપીશ.”

    “રોઝી પ્રેગનન્ટ હતી, જણાવ્યું નહીં?”

    “આવી નાનીનાની વાતોમાં શું કહેવાનું?”

    માલતીને પોતાની પાંખો કપાઈ ગયાં જેવી આજે વેદના થઈ.

    “માલતી, તેં છોકરાંઓને આભને આંબવાના સ્વપ્ન દેખાડ્યાં, ‘ગરુડ-ઉડાન’ ભરવાનું શીખવ્યું. પ્રેમ ન શીખવી શકી. જીવનમાં સ્નેહ, સંબંધ કેટલા મહત્વના છે એ જ ન શીખવ્યું !? પહેલેથી તેં એમને નિર્બંધ, સ્વતંત્ર રહેતાં શીખવ્યું. હવે સૌ પોતપોતાનાં વ્યસ્ત છે. હું સ્વીટીમાં સોનાલીને શોધીને સંતોષ માનું છું. ફક્ત તારાં હાથ ખાલી છે.”

    વિનાયકને કહેવાની ઇચ્છા થઈ, પણ બીમાર, મનથી ભાંગી ગયેલી માલતીને વધુ પીડા થશે માનીને મન માર્યું.

    થોડા સમય પહેલાં માલતીને હાર્ટ એટેકને લીધે હોસ્પિટલ દાખલ કરવી પડી હતી. માઇલ્ડ એટેક હતો, ઝાઝી ચિંતાનું કારણ નહોતું છતાં સુનિતાનો પરિવાર ઊભાઊભ આવી ગયો. ઘરનું કોઈ એક જણ માલતી પાસે રોકાતું.

    મિલિંદને જાણ કરી. એનો ફોન આવ્યો.

    “મા, પૈસાથી કોઈ ચિંતા ના કરતી. ઉત્તમ ટ્રીટમેન્ટ કરાવજે. હું આવી જાત. રોઝી ફરી પ્રેગનન્ટ છે. સ્વીટીનું ધ્યાન આયા રાખે છે, પણ રોઝીનું મારા સિવાય કોઈ નથી. અને હા, મનીષાનો ફોન હતો, એણે બીજા લગ્ન કરી લીધાં છે.”

    માલતીએ ફોન પટક્યો.

    વિચારોનાં વાવાઝોડામાં અટવાઈ. છોકરાંઓનાં મનમાં આભને આંબવાની ઇચ્છા એણે જ રોપી હતી.

    છોકરાંઓને ક્યાં દોષ દે?

    શું જોઈતું હતું ને શું મેળવ્યું?

    જીવનનાં સરવૈયામાં મળી હતી, આત્મગ્લાનિ, હાર, એકલતા….

    આજે એ એકલી હતી, સાવ એકલી.


    શુભાંગી ભડભડે લિખિત, ડૉ.ઉષા બંદે અનુવાદિત મરાઠી વાર્તા ‘સારાંશ’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં જૂન ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Art Ceations for June 2026

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – [૧] – शुद्र्म हृदयं दौर्बलम

    પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ,
    જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫
    ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

    હરેશ ધોળકિયા

    ગીતાના પ્રથમ અધ્યાયમાં જયારે અર્જુન યુદ્ધમાં સામે ઊભેલા પોતાના વડીલોને સામે જુએ છે, ત્યારે તે મોહમાં ફસાઈ જાય છે અને કૃષ્ણને કહે છે કે તે લડવા ઈચ્છતો નથી અને પોતાના ધનુષ-બાણને નીચે મૂકી દે છે. આ જોઈ કૃષ્ણ વિચારમાં પડી જાય છે અને અર્જુનને લડવા કેમ પ્રેરિત કરવો તે વિચારે છે અને જવાબમાં જે પહેલો શ્લોક બોલે છે તેમાં આ સૂત્ર છે. તે કહે છે, “ હે અર્જુન, તું કાયર ન થા. તે તને શોભતું   નથી. તારું હૃદય નબળું થઇ ગયું છે. આ નબળાઈનો  ત્યાગ કરી લડવા ઊભો થા.”

    ગીતા કહે છે કે બધી જ તકલીફો,  દુખ, પીડા, નિરાશા… આ બધું જ નબળાઈના કારણે થાય છે. આ નબળાઈ શારીરિક પણ હોય અને માનસિક પણ હોઈ શકે છે. કૃષ્ણ અર્જુનની આ માનસિક નબળાઈ સમજી ગયા. એટલે તેમણે તેને પડકાર્યો અને આ નબળાઈનો ત્યાગ કરવાની હાકલ કરી. તેમણે કહ્યું કે આ નબળાઈનો એક માત્ર ઉપાય છે “ પુરુષત્વ.”

    જયારે જયારે અર્જુન જેવા વીરો આ નબળાઈના શિકાર બન્યા છે, ત્યારે ત્યારે તેમના ગુરુઓએ તેમને આ પુરુષત્વનો ઉપદેશ આપ્યો છે. મરાઠા રાજા શિવાજી જયારે હજી સંઘર્ષ કરતા હતા, ત્યારે તેમના ગુરુ સમર્થ રામદાસે તેમને ઉત્તમ રીતે રાજ્ય કરવાની અને પ્રજાને સુખી કરવાની સલાહ આપી હતી. વિવેકાનંદ હજી તરુણ હતા અને ગરીબીનો સામનો કરતા હતા અને નિરાશા અનુભવતા હતા, ત્યારે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેમને ઉત્સાહ આપ્યો હતો અને આગળ વધવા પ્રેરણા આપી હતી.

    ખુદ વિવેકાનંદે પણ જયારે જોયું  કે ભારતની પ્રજા ભૂતકાળમાં અને ગૂંચવણમાં રહેતી હતી અને બ્રિટીશરોની ગુલામી ભોગવતી હતી, ત્યારે તેમણે  પણ પ્રજાને હાકલ કરી કે “ અરે મિત્રો, શા માટે રડો છો ? તમારામાં જ બધી શક્તિ રહેલી છે. તમારા સ્વભાવને પ્રગટાવો તો સમગ્ર વિશ્વ તમારા ચરણોમાં પડશે. હું જેમ જેમ મોટો થતો જાઉં છું, તેમ તેમ મને ખાતરી થતી જાય છે કે બધું જ પુરુષત્વમાં રહેલું છે. એટલે નબળા ન બનો. નબળાઈનો ઉપાય નબળાઈનો સતત વિચાર કરવો તે નથી, પણ સતત બળનો વિચાર કરવો તે છે. જગતમાં એક જ પાપ  છે અને તે છે નબળાઈ.”

    એટલે જ કૃષ્ણ અર્જુનને નબળાઈ છોડીને પુરુષત્વને અપનાવવાની સલાહ આપે છે.

    રાજા રણજીતસિંહનો  પણ દાખલો જાણીતો છે.  શત્રુ સામે લડવા જતા હતા ત્યારે રાત્રે એક નદીના કિનારે રોકાયા. કિનારે નૌકા ન હતી, એટલે સામે કિનારે કેમ જવું તે બાબતે  સેનાપતીઓ મૂંઝાતા હતા. રણજીતસિંહ સામે બહાના બતાવવા લાગ્યા. રણજીત સિંહે સૈનિકોને કહ્યું,

    જા કે મનમેં ખટક  હય, સોઈ અટક રહા,
    જા કે મનમેં ખટક નાં, વાકો અટક કહા ?

    આ સાંભળી સૈનિકો શરમાયા અને પોતામાં રહેલ કાયરતાને ભૂલી ગયા અને નદીમાં કુદી પડ્યા અને તરીને સામે કિનારે પહોંચી ગયા. શત્રુઓ આભા બની ગયા અને નાશી ગયા.

    ગીતા પણ સતત સૂચવે છે કે મોહ અને આસક્તિ જ નબળાઈ જન્માવે છે. મનને એટલું તો દૃઢ કરવાનું છે કે કોઈ જ નબળાઈ તેને સ્પર્શી ન શકે અને વ્યક્તિ ધારે તે કરી શકે. દરેક વ્યક્તિએ, ખાસ કરીને વિદ્યાર્થી અને યુવાનોએ, તો સતત સામર્થ્યનું જ ચિંતન કરવાનું છે. તો તે ગમે તેટલી મુશ્કેલીઓ આવશે, પણ તે એ બધાને અતિક્રમીને સફળતા જ પ્રાપ્ત કરશે.

    દરરોજ સવારે ઉઠીને પ્રથમ ચિંતન પૌરુષત્વનું કરવાનું છે. અને તેનું સૂત્ર છે “ હું સમર્થ છું. હું ધારું તે કરી શકું છું. અને હું કરીશ જ.”

    ૦૦૦

    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com