વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મારા રુદિયામાં આવ્યા હરિ | સાવ પાસે

    મારા રુદિયામાં આવ્યા હરિ

    રમેશ પારેખ

    મારા રુદિયામાં આવ્યા હરિ
    મારી સુરતામાં કૂણીકૂણી પીંછી ફરી

    ઘડી હું ફૂંક ને હું જ બંસરી,
    ઘડી ડું જ હરિવર નકરી;
    મને ખબર્યું ન પડતી ખરી

    પળ પળમાં હરિવરની વાંચી,
    હું ચબરખી ઉકેલાઉ સાચી;
    હરિ સોંસરવી હું સંચરી …

     

    સાવ પાસે
    રક્ષા શુક્લ
    સાવ પાસે, સાવ પાસે છે હવે,
    આ હવાને શ્વાસ બનવા દે હવે.
     
    આંખ મીચું કે ઊઘાડું શું મળે ?
    સ્વપ્ન કે સહવાસ તારો કે’ મને.
     
    જીભ મુશ્કેટાટ બાંધીને ઊભી,
    તું પૂરા કર પાપ, બાકી બે હવે.
     
    કૈં યુગોથી હું મને વાવ્યા કરું,
    પાન ક્યાં ‘ને મૂળ ક્યાં? કે’ લે હવે.
     
    હું હસી ‘ને લે, રીઝી પણ, ટેવ વશ,
    એ મહોરાંને ઊતારું શે હવે ?
     
    સો વજનિયાં કાંધ પર વે’વારના,
    છે મને કીડી વિશે પણ ભે હવે.
     
    લાગતો લૂણો સતત ભીતર બધે,
    મોકલ્યા દરિયા છતાં કાં તેં મને.
  • કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : પ્રકરણ ૧ લું.

    કર્ત્તા : નંદશંકર તુળજાશંકર

    ક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાતના એટલે ગુર્જ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજનો હુકમ જાહેર થયો. જ્યોતિષ વિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈન માર્ગના જોશીઓને બોલાવી પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રકટ કીધું કે ઈ. સ. ૧૨૯૭ માં તે નગરનો નાશ થશે. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું. હમણાં તે પાટણ અથવા કડી પાટણ એ નામથી ઓળખાય છે.

    પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું, એવી ઘણી જ થોડી નિશાનીઓ માલમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતાં કોતરેલા આરસના પથ્થરો નીકળે છે. વળી ત્યાંના રજપૂત રાજાઓએ વાવ, કુવા, તળાવ, અને દહેરાં વિગેરે બાંધેલાં તેઓ ઉપર કાળચક્ર ફરવાથી, તથા મુસલમાન લોકોના ધર્માંધપણાથી, તે સ્થળે ઘણીએક લડાઈઓ થવાથી, તથા મરાઠાઓના અજ્ઞાનપણા તથા પૈસાના લોભથી તેઓમાંનાં જે થોડાંએક બચેલાં છે તેઓ ભાંગીતુટી અવસ્થામાં હમણાં નજરે પડે છે; તો પણ એ તો નિશ્ચય કે એ શહેર આજથી સાતસો વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું. તેના મહત્વ તથા શોભાવિશે ઘણાએક કવિઓ તથા ઇતિહાસકર્તાઓ લખી ગયા છે.

    કુમારપાળચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણે વર્ણન કીધું છે– “અણહિલપુરનો ફરતો ઘેરાવ ૧૨ કોસનો હતો, અને તેમાં ઘાણાંએક દેવાલય તથા વિદ્યાશાળા હતી. ચોરાસી ચકલા,ચોરાસી ચૌટાં, અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંકશાળ હતી. પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદાં ઠેકાણાં હતાં, તેમ જ હાથીદાંત, રેશમનાં કાપડ, હીરા, મોતી, માણેક વિગેરે વ્યાપારની વસ્તુઓ વેચવાની જુદી જુદી જગા હતી, નાણાવટીનું એક જુદું ચૌટું હતું, ન્હાતી વખતે ચોળવાની તથા સુગન્ધિદાર વસ્તુઓનું એક ચૌટું, વૈદોનું એક, કારિગરોનું એક, સોનિઓનું એક, રૂપાના ઘાટ ઘડનારાઓનું એક, ખલાસીઓ, ભાટ તથા વહીવંચાઓનું એક, એ પ્રમાણે જુદાં જુદાં ઠેકાણાં હતાં. નગરમાં અઢારે વર્ણનો વાસો હતો, અને સઘળા લોકો ઘણા સુખી હતા. રાજાના મહેલને લગતાં જુદાં જુદાં ઘણાંએક ઘરો હતાં લડાઈનાં હથિયારોને વાસ્તે, હાથી, ઘોડા, રથને વાસ્તે, તથા હિસાબી મહેતાઓ અને દરબારી અમલદારોને વાસ્તે જુદાં જુદાં ઘર હતાં, પ્રત્યેક જાતની વ્યાપારની જણસને માટે જુદા જુદા ફુરજા હતા. ત્યાં માલની આવક-જાવક તથા વેચાણનું મહેસુલ વસુલ કરવામાં આવતું હતું. માલમાં તેજાના, ફળ, કરિયાણાં, કપુર, ધાતુઓ, તથા તે શહેરની અને બીજાં શહેરોની પેદાશની હરેક કિમતી વસ્તુઓ હતી. આખા જગતનો વ્યાપાર આ શહેરમાં ચાલતો હતો. દરરોજ એક લાખ તનખા મહેસુલ ઉપજતી હતી. જો કોઈ પાણી માગે તો તેને દુધ આણી આપવામાં આવતું. ત્યાં ઘણાંએક જૈનધર્મનાં દહેરાં હતાં; અને એક તળાવને કાંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું. ચંપા, નારીએળી, જાંબુડા, ચંદનવૃક્ષ, અને આંબા વિગેરે ઝાડની ઘટા નીચે લોકો આનંદથી ફરતા. એ ઝાડોને વિંટળાયેલા જાતજાતના વેલાઓ હતા, અને તેઓની પાસે અમૃત જેવાં મીઠા પાણીના કુંડ હતા, અહિંઆં વેદ ઉપર વાદ થતો હતો, અને તેથી શ્રોતાજનોને ઉપદેશ થતો હતો. ત્યાં જૈન માર્ગના ધર્મોપદેશકોની, તથા એકવચની અને વ્યાપારના કામમાં પ્રવીણ એવા વ્યાપારીઓની ખેાટ ન હતી. વ્યાકરણશાળા પણ ઘણી હતી, અણહિલપુર માણસનો સાગર હતું. જો એક મહાસાગરનું પાણી માપી શકાય તો જ ત્યાં રહેનારા માણસોની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું, અને ઘંટવાળા હાથીએાની પણ કાંઈ કસર ન હતી.”

    ઉપલા વર્ણનમાં ઘણીએક અતિશયોક્તિ છે ખરી, તો પણ એટલું તો ખરૂં કે, અણહિલપુર પાટણ એકવાર ઘણું દ્રવ્યવાન, મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈ. સ.૧૨૯૬ અથવા સંવત ૧૩પર ના આશ્વિન સુદ ૯ એટલે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે, તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાડો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેરઘેર બારણે તોરણો બાંધેલાં હતાં. આંગણાં આગળ સુંદર રંગના સાથીઆ પુરેલા હતા. લોકો ઘણા આનંદથી હરફર કરતા હતા. બ્રાહ્મણો ધોતીયું, અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાએક તો ટોપી પણ પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલી એક મુદત થયાં હજામની સાથે ભારે દુશ્મનાઈ કીધી હોય એવું તેઓનાં મ્હોં ઉપરથી જણાતું હતું. ચોમાસુ બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખુંપરા કાઢ્યા નથી હોતા તે વખતે તે ખેતર જેવાં જણાય છે તેવાં તેઓનાં માથાં, દાહાડી તથા ગાલ હતાં. એવા કેટલાએક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી તથા શોભીતી હતી. તેને ચાર માળ હતા, અને તેનો બહારનો દેખાવ ઘણો ભભકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો; તેની એક બાજુએ એક મોટો દરવાજો હતો, અને તે ઉપર એક મેડી હતી, તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી, દરવાજામાં પેસતાં જ એક ખુલ્લું મેદાન હતું, તેમાં ઘણા જ ખુબસુરત સાથીયા પુરેલા હતા. તે ચોગાનની ચારે બાજુઓ ઉપર ફરતી અડાળી હતી, તેમાં એક તરફની માં હાથી, ઘોડા, રથ વિગેરે વાહનો રાખવામાં આવતાં હતાં, એક તરફ ગામના પટેલ, અને વાણીયા વિગેરે બીજા લોકો જેઓ રાજા પાસે ઈનસાફ માંગવા આવતા હતા તેઓ પડી રહેતા હતા; એક તરફ કારકુન દફતર ઈત્યાદિ હતાં, અને ચોથી તરફની અડાળીમાં દેવડી, એટલે સિપાઈ ચોકીદાર વિગેરેને બેસવાની જગા હતી. એ દેવડીમાં છ ફીટથી ઉંચા, શરીરે મજબુત, વિક્રાળ મ્હોંના, માંજરી આંખના, અને ભુરા નીમાળાવાળા, કરણના વંશના કહેવડાવનારા કાઠી લોકો હતા, શરીરે ઠીંગણા પણ બાંધાદાર અને કમ્મરે તીરકામઠાં બાંધેલા કોળી, કાળા જુસ્સાવાળા, લુંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો; અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના, સુધરેલી સ્થિતિના, તે પણ શૂર રજપૂત સિપાઈઓ બેઠા હતા.

    ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી, અને તેની ભીંત ઉપર ઝાડ, કુલ, જાનવરો, માણસો વિગેરે કોતરેલાં હતાં. બારીઓ અગર જો નીચી હતી તો પણ તેઓ આગળ પડતી હતી, અને તેથી જે રવેશ થતા હતા તેની નીચે ટેકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડા – એટલે પરસાળમાં માળ ઉપર જવાની પથ્થરની સિડી હતી, અને તેમાં ઘણાંએક ઘરના ચાકરો બેસી ગપાટા ગપાટા મારતા હતા. એ પરસાળ મુક્યા પછી જે એરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોક હતો, અને તેની ચારે બાજુએ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા, તથા વચમાં વચમાં હજારી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખેાસેલા હતા. બેઠકના થાંભલાની વચ્ચે અાંબાનાં પાતરાંનાં તોરણ બાંધેલાં હતાં, અને બીજા કેટલાએક ઠાઠમાઠથી તે જગા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્યે એક મોટો કુંડ કરેલો હતો, અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડે માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ બાયડીઓ અને બીજી તરફ ભાયડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોસીપાડોસીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી તથા ઘણીએક વખત નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળ ગમન કરતા હતા,

    તે દહાડે નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી માતાનો હવન તે વખતે થતો હતો, બ્રાહ્મણો ઘણા જોશથી ચંડીપાઠના મંત્ર ભણતા હતા તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો, જે તલની આહુતિઓ આપવામાં આવતી હતી તે અગ્નિમાં પડતાં જ તડતડ અવાજ થઈ બહાર પડતા હતા, લીલોતરી તથા સહેલથી બળે નહી એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરતાં જ તેમાંથી ધુમાડાના જે ગોટેગોટા નીકળી સર્પાકારે ઊંચે ચઢી સ્વચ્છ આસમાની રંગના આકાશ જોડે મળી જતા હતા, વખતે વખતે મોટા મોટા સર્વા ઘીએ ભરીને કુંડમાં રેડતા ત્યારે મોટા તાપના જે ભડકા થતા હતા, તેમ જ એક તરફ નાગરની નાજુક તથા રૂપાળી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર તથા આભૂષણ સહિત બિરાજેલી હતી, અને તેમની સામે મોટાં પાઘડીવાળા પણ ગૌર વર્ણના અને ખુબસુરત નાગરગૃહસ્થ તથા બીજા પુરુષો બેઠા બેઠા પાનસોપારી ખાતા હતા, એ સઘળાઓની વાતચિતથી જે ગણગણાટ થઈ રહ્યો હતો, એ સર્વની તો કલ્પના માત્ર થઈ શકે, પણ યથાસ્થિત બ્યાન કરવાને તો કોઈ કવિરાજ અથવા ચિત્રવિદ્યામાં કુશળ પુરુષ જરુર જોઈએ.

    જે ઠેકાણે ગામોના પટેલ બેઠા હતા ત્યાં સૌથી કદાવર તથા દેખીતો હોંશિયાર ભાણો પટેલ હતો. તે જાતનો કણબી હતો, અને તેને પટેલાઈમાં રાજાની તરફથી ઘણાંએક વીઘાં જમીન મળેલી હતી, તે સિવાય તે ઘણાંએક પરગણાઓ ઇજારે રાખી તેઓની આમદાની વસુલ કરી રાજાને ત્યાં ભરતો. તેની ઉમર આસરે ત્રણ કુંડી વર્ષની હતી, પણ “સાઠી બુદ્ધિ નાઠી” એ કહેવત તેણે જુઠી પાડી હતી. તેનું શરીર ખાધેલ પીધેલ હતું, અને તેનું મન તેની જુવાનીના વખત જેવું જ તીવ્ર હતું, એટલું જ નહી પણ પ્રત્યેક વર્ષના અનુભવથી તેની અક્કલમાં વધારો થયાં કરતો હતો. તે સિવાય પાછલા વખતના રાજાઓ ખેડુતની સાથે કેવી રીતે ચાલતા હતા, તેઓના વખતમાં જમીનનો દર કેટલો હતો, તથા તે કેવી રીતે વસુલ કરવામાં આવતો હતો, એ વિગેરે જમીન સંબંધી તમામ હકીકત તેની યાદદાસ્તના ખજાનામાં ભરેલી હતી.

    તેની સામેની બેઠકમાં જેઠાશા નામે શ્રાવક વ્યાપારી ઉંચી તથા માનવાળી જગાએ બેઠો હતો. એ શખસ લાખો રૂપિયાનો વ્યાપાર જમીન ઉપર તથા દરીયા ઉપર ચલાવતો તેની પેહેડીઓ ગામોગામ હતી. તેની સાખ એટલી તે હતી કે તેને જંગલમાં પણ રૂપિયા મળી શકે. તેનાં વહાણો દેશાવર ખાતે ઘણાંએક ફરતાં અને તેની દોલત લાખો તથા કરોડોથી ગણાતી. મુખમુદ્રા જોવાથી જેઓ માણસના ગુણ, બુદ્ધિ તથા સ્વભાવની પરીક્ષા કરે છે તેઓ જેઠાશાનું મ્હોં જોઈને ઘણું ગુંચવાયા વિના રહે નહી, પૈસા મેળવવાને તથા તેને સાચવી રાખવાને અને વ્યાપાર બરોબર ચલાવવાને જે અક્કલ જોઈએ છે તે તેની શિકલ જોતાં તેનામાં છે એમ શોધી કાઢવું મુશ્કેલ હતું. તેનું શરીર એટલું તો જાડું હતું કે જો તે એકાએક મરી જશે તો તેને ઊંચકી શી રીતે લઈ જવાશે એ વિશે તેની ન્યાતના લોકોને ભારે ફિકર હતી. તેમાં ચરબી એટલી તો હતી કે તેનું પેટ ઝુલી ગયું હતું. અને તેના વાટા એવા મોટા અને જાડા હતા કે જો કોઈ નાની વસ્તુ તેમાં ભરાઈ જાય તો વર્ષોનાં વર્ષો સુધી તેમાં રહે અને તેના જાણ્યામાં પણ ન આવે, તેની બોચી આગળ એક એવો જાડો વાટો વળ્યો હતો કે હજામત કરાવતી વખતે હજામને તેને ઉચકી બોડતાં ઘણી મુશ્કેલી પડતી હશે. તેનું મ્હેાં પણ તેવું જ મોટું હતું. તેની આંખ ખાડામાં પેસી ગયેલી તથા ઝીણી હતી, અને વારેવારે પલકારા માર્યા કરતી તે ઉપરથી જણાતું કે તેને સોનું રૂપું જોવા ઉપર ઘણી પ્રીતિ હતી. એવો જેઠાશા તે વખતે મોતીનાં ઘરેણાં પહેરીને બેઠો હતો. તે આદિનાથનો ભક્ત હતો તેથી માતાના હવન ઉપર તેને કાંઈ આસ્થા ન હતી, તથા તે જોવાથી અને બ્રહ્મવચન સાંભળવાથી પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે એમ તે માનતો ન હતો, તો પણ ઘરધણીને માત્ર ખુશ કરવાની મતલબથી તે ત્યાં આવી બેઠો હતો.

    નાગર ગૃહસ્થોની ટોળીમાં એક પુરુષ વિશેષે કરીને તેજસ્વી તથા જોવા લાયક હતો, તે એક મોટા રૂપાની ભમરીવાળા પાટલા ઉપર બેઠેલો હતો, તેના શરીર ઉપર ફક્ત ધોતીયું તથા ઘણી ઉમદા કાશ્મિરી શાલ હતી, હાથે હીરાની પોંહોચી તથા બાજુબંદ હતા, અને આંગળીએ હીરા, માણેક વિગેરેની ચળકતી વીંટીઓ હતી. કોટે વટાણા જેવડાં મોતીઓની કેટલીએક માળા તથા હીરાનો કંઠો હતો, અને કાન પણ તેથી વધારે મોટાં તથા પાણીદાર મોતીથી શણગારેલા હતા, તેના દેખાવ ઉપરથી માલમ પડતું હતું કે તે કોઈ મોટો માણસ છે, અને તેને જોઈને કોઈને પણ તેને માન આપ્યા વિના ચાલે જ નહીં એવો તેનો દમામ હતો. તેનું કદ મધ્યમ હતું, તેના શરીરનો બાંધો છેક જાડો તો ન કહેવાય, તો પણ તેનું વલણ કાંઈએક જાડાશ ઉપર હતું, તેની ચામડીનો રંગ ઘણો સફેદ હતો, તેનું મ્હોં જરા લંબગોળ હતું; અને નાક કાન પણ ઘણાં ઘાટદાર હતાં. તેની આંખ ચપળ તથા બુદ્ધિના તેજવાળી હતી, આ ગૃહસ્થ જાતે નાગર બ્રાહ્મણ હતો, અને તેનું નામ માધવ હતું, તે કરણરાજનો મુખ્ય પ્રધાન હતો. તેણે પોતાના બુદ્ધિબળે તે રાજા ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પુછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તે જ કરતો. રાજા તો પુતળા જેવો હતો, અને ખરેખરો રાજા પોતે જ હતો, એ કારણથી સઘળા લોકો તેનાથી દબીને ચાલતા, તેને માન આપતા, અને તેને ખુશ કરવાને વાસ્તે જ ઘણાએક આ પ્રસંગે તેના ઘરમાં એકઠા થયા હતા.

    હવનનું કામ હવે પુરું થવા આવ્યું, છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગૃત કીધો, બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા. સઘળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા. સઘળે ગડબડાટ થઈ રહી, કુંડમાંથી અગ્નિનો ભભુકો ઉઠયો, અને માતાનું છેલ્લું બલિદાન આપવામાં આવ્યું, તે ક્ષણે “જે અંબે” “અંબે માતકી જે” એવો મોટો પોકાર પડ્યો. નાનાં નાનાં છોકરાંઓ પોતાની જગો ઉપરથી ઉઠીને કુદવા લાગ્યાં, થોડીવાર પછી સઘળું શાંત થયું એટલે વિજીયાદત્ત પંડ્યા જે માધવનો કુળગોર હતો તે ચાંલ્લાની કુંકાવટી, હવનની આશકા તથા પ્રસાદ લઈને ઉઠ્યો. ગોર મહારાજને આવા શ્રીમંત યજમાન મળેલા તેથી તેને પૈસાની કંઈ ખોટ ન હતી, તે શરીરે ઘણો સ્થૂલ હતો, અને તેનું પેટ એટલું તો મોટું હતું કે તેમાં સાત લાડુ ગોઠવાય તો પણ થોડી ખાલી જગા રહે. તેણે બાયડીઓને તથા ભાયડાઓને ચાંલ્લા કીધા, તે ઉપર ચોખા ચોડ્યા, હવનની આશકા આપી, આશિર્વાદનો મંત્ર ભણી, થોડો થોડો પ્રસાદ સઘળા મોટી ઉમરવાળાને વહેંચ્યો. પછી નાનાં નાનાં છોકરાંને પોતાની પાસે બોલાવી. તેઓને કુદાવ્યાં, નચાવ્યાં તથા ખાવાની લાલચને વાસ્તે કુતરાંની પેઠે ગેલ કરાવી પ્રસાદ એકદમ ઉડાવ્યો, એટલે તેઓ ભોંય ઉપર પડી સાંભરવા મંડ્યાં. તે વખતની તેઓની બુમાબુમ, પ્રસાદ લેવાને માટે મારામાર અને હડસેલા હડસેલી, અને માતાનું નૈવેદ પગતળે છુંદાય નહી તે બાબતની તેમની ફિકર, તથા જેઓએ વધારે જબરાં હોવાને લીધે વધારે પ્રસાદ લીધો તેઓનો હરખ, અને જે બીચારાંની પાસે થોડો આવ્યો તેઓની દિલગીરી એ સઘળું જોઈને બીજાં બધાંને ઘણી જ ગમત થઈ. પ્રસાદ વહેંચાઈ રહ્યો એટલે તમામ છોકરાં વેરાઈ ગયાં, તથા હવન પૂરો થયો, એટલે ઘણા ખરા જોવા આવેલા લોકો પોતપોતાને ઘેર ગયા. બઈરાં પોતાને ધંધે વળગ્યાં, બ્રાહ્મણો દક્ષિણા લઈ અનાજ વિગેરે જે કાંઈ મળ્યું તે ધોતીયાને છેડે બાંધી લઈ બીજે ઠેકાણે હવન કરાવવા ગયા, તે ઠેકાણે માત્ર માધવ પ્રધાનજી, જેઠાશા શાહુકાર, ભાણો પટેલ, તથા વિજીયાદત્ત પંડ્યા બેશી રહ્યા. તેઓને માધવની સાથે મિત્રાચારીનો દાવો તથા તેઓ શહેરના મુખ્ય માણસ તેથી બીજા પારકા લોકોની પેઠે તુરત ઉઠી જવું તેઓને યોગ્ય લાગ્યું નહી તેથી તેઓ પ્રધાનજીના પાટલા પાસે ગાદી માંડી હતી ત્યાં તકીએ અઢેલીને બેઠા. થોડી વાર ચુપ બેઠા પછી માધવ બોલ્યો. “ગોરમહારાજ, હવન સારી પેઠે તો કીધો છે ? કાંઈ ગડબડ ગોટા તો વાળ્યા નથી? કેમકે આજે ઘણે ઠેકાણે હવન થવાના, અને તમારી નજર તમારા બ્રાહ્મણોને જેમ બને તેમ રળાવવાની એટલે કદાચ ગડબડ થઈ હોય, તમે કરો એવા તો નથી, તોપણ અમથું પુછું છું. ક્રોધ લાગે તો ક્ષમા કરજો.”

    આવા બોલ સાંભળીને ગોરમહારાજને ક્રોધ તો ચઢ્યો. પોતે માતા ઉપર અનાસ્થા રાખી પોતાના જાતભાઈઓનો ફાયદો કરવા ઉતાવળ કરી, કર્મ બરાબર કરાવ્યું નહી એવી યજમાનને શંકા ઉત્પન્ન થઈ તેથી જીવને જરા દિલગીરી પણ થઈ, પણ પ્રધાનજીના ગોર રાજદરબારમાં જનારા, તથા મોટાની ચાકરીમાં નીચાએ કેવી રીતે વર્તવું એ વિશે તેણે ઘણીએક વાર સાંભળેલું તેથી તેને પોતાની મનોવૃત્તિઓ ઉપર અખતિઆર રાખવાની ટેવ પડી હતી, તેથી ગુસ્સો દબાવી દઈને તથા મ્હોં જેવું શાંત હતું તેવું રાખીને જવાબ દીધો, “યજમાનરાજ ! આવી વાત તમે કોઈ દહાડો મારી આગળ કીધી નથી, અને આજે આવાં વચન તમારા મ્હોમાંથી નીકળેલાં સાંભળીને મને ઘણું આશ્ચર્ય લાગે છે, અને તમારી મતિ કાંઈ બદલાઈ હોય એમ મને લાગે છે, અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે, જે મોટી આદ્યશક્તિ, જેથી આખા વિશ્વની ઉત્પત્તિ, એવી અંબાભવાની તથા સઘળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જીદગીમાં આજે જ મારે માટે આવી છે. તમે જાણો છો કે જગતમાં જે સઘળા દેવો છે તેઓ કળિયુગમાં ઉંઘી ગયેલા છે, જાગતીજોત અંબામાતા છે, તેનો પરતો કેટલો છે તે સઘળાને માલમ પડે છે. માતાનાં રૂપ જુદે જુદે વખતે જુદાં જુદાં દેખાય છે, એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવે છે. અમથા અપશબ્દ બોલવામાં પાપ છે ખરૂં પણ માતાની આગળ ભવાઈ કરતી વેળા નિર્લજ શબ્દો બોલવામાં જાત્રાળુઓ પાપ ગણતા નથી. આપણા લોકોના ધર્મમાં મદ્યપાન કરવાનો પ્રતિબંધ કીધેલો છે, છતાં પણ દેવીભક્તો તેનું પાન કરે છે. વળી કોઈપણ પ્રકારની હિંસામાં મોટામાં મોટું પાતક આપણા ધર્મશાસ્ત્રમાં ગણેલું છે; તો પણ માતાના ધામમાં બકરાં, મુરઘાં, પાડા વિગેરેનું બળિદાન કરવામાં આવે છે, અને તેથી પણ વધારે આશ્ચર્યકારક વાત એ છે કે, એ પ્રમાણે વધ કીધેલાં પ્રાણી પ્રસાદની માફક વહેંચી લેવામાં આવે છે, અને ઘણાએક શખ્સો જેઓ બીજે કોઈપણ વખતે માંસ ભક્ષણ કરતા નથી તેઓ આવે પ્રસંગે દેવીને પ્રસન્ન કરવાને માટે પોતાના બાપદાદાનો સંપ્રદાય તોડે છે, અને ધર્મશાસ્ત્રને પણ એક બાજુએ મુકે છે. અંબાભવાનીની યાત્રા કરવા લોક જાય છે ત્યારે તેઓને કેટલી હોંશિયારી રાખવી પડે છે ? તેલ તો ત્યાં મુદ્દલ વપરાય જ નહી. માતાના ધામ આગળ કોઈ દુરાચરણે વર્તે તો તેનાં માઠાં ફળ તેને તત્કાળ મળ્યા વિના રહે જ નહી, માતાના કામમાં વર્ષોવર્ષ જે પ્રમાણે કરવામાં આવતું હોય તેમાં જો જરા પણ ફેરફાર કીધો તો માતાજી કોપાયમાન થાય છે, અને એ પ્રમાણે કરોઠું બદલનારને કોઈપણ પ્રકારે શિક્ષા થયા વિના રહેતી નથી. નવરાત્રી નવ દહાડા સમી સંધ્યાએ માતાજી પોતાની સહિયરોને સાથે લઈ રથમાં બેસી આકાશમાર્ગે જાય છે, તે વખતે ઉઘાડે માથે જો કોઈ અગાસી, ચોક અથવા બીજી ખુલ્લી જગામાં બેસે તો તેના માથા ઉપરથી તે રથ ફરી જાય, અને તેને તે વર્ષમાં કોઈ રોગ થયા વિના રહે નહી. એ સિવાય માતા આગળનો દીવો તથા તેને લગતી ઘણીએક વસ્તુઓમાં હોંશિયારી રાખવાની છે. આ પ્રમાણે હું દેવીનું મહાત્મ તથા પરતો જાણું છું તે છતાં હવન કરવામાં ગડબડ કરું એ વાત કાંઈ સંભવિત છે? બાપજી ! તમે બ્રાહ્મણના રળતરની વાત કહી તે સાંભળીને મારૂં હૈયું ઉભરાઈ આવે છે. બ્રાહ્મણોના તો દહાડા ગયા, અને તેઓની કમાઈ સુકાઈ ગઈ, શી વાત કહેવડાવો છો?

    બાપજી ! બ્રાહ્મણો બિચારાનું હમણાં કાંઈ વળતું નથી. યુગ બદલાઈ ગયો, રાજા અને પ્રજા એ બંનેમાંથી ભક્તિ ઉઠી ગઈ. પરમેશ્વર ન કરે પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. લાહોર અને દિલ્લી તરફ મ્લેચ્છ લોકો હિન્દુ રાજાઓની ધુળધાણી કરતા જાય છે. એ જ પાપે સોમનાથ મહાદેવનું ખંડન થયું, અને આ દેશના રાજાની પણ ઘણી દુર્દશા થઈ, પણ હજી આગલા રાજાનાં સુકૃત આડા આવે છે, અને તેથી દેશનું રક્ષણ થાય છે. તમારા સરખા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પ્રધાનજી છે એટલે આ રાજ્યમાંના બ્રાહ્મણોને બેશક લાભ છે જ. આગલા રાજાની તો શી વાત થાય ? સાંભળો, મહારાજ ! હું એક દૃષ્ટાંત આપું.

    જ્યારે મૂળરાજ વૃદ્ધ થયો ત્યારે તેનાં પાપથી મુક્ત થવાને તથા શુદ્ધિ પ્રાપ્ત કરવાને શ્રીસ્થળ (સિદ્ધપુર) ગયો. બધાં તીર્થમાં શ્રીસ્થળ વધારે પવિત્ર ગણાય છે તે લક્ષ્મી આપનાર છે, અને જે તેને જોય છે તેનો ઉદ્ધાર થાય છે. ગયાજીથી સ્વર્ગ ત્રણ યોજન આઘું છે. પ્રયાગથી દોઢ યોજન છે, પણ શ્રીસ્થળ જ્યાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે ત્યાથી તો તે એક જ હાથ આધું છે એમ લોકો માને છે, એ તીર્થે તેણે સઘળાં પવિત્ર સ્થળોથી બ્રાહ્મણોને બોલાવ્યા, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ થાય છે ત્યાંથી એકસો ને પાંચ બ્રાહ્મણ આવ્યા, સો સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા; બસેં કન્યાકુબજમાંથી, સૂર્ય સરખા તેજસ્વી સો કાશીથી; બસેં ને બોત્તેર કુરૂક્ષેત્રથી, ગંગાદ્વારથી સો, નૈમિષારણ્યથી સો; અને કુરૂક્ષેત્રથી વળી વધારે એકસો બત્રીશ આવ્યા. રાજાએ બ્રાહ્મણોની આગળ સાષ્ટાંગ દંડવત કીધા, અને તેઓએ તેને આશિર્વાદ દીધો. પછી હાથ જોડીને રાજા બોલ્યો, “તમારી કૃપાથી જન્મ લીધાનો લાભ મને મળ્યો, મારી આશા હવે પૂર્ણ થશે, માટે અરે બ્રાહ્મણો, કૃપા કરીને મારું રાજ, ધન, હાથી, ઘોડા, ઈત્યાદિ જે ઈચ્છામાં આવે તે લો. હું તમારે શરણે છું, અને તમારો દાસ છું.” બ્રાહ્મણો બેાલ્યા; “રાજાધિરાજ, અમારાથી રાજ ચલાવી શકાય નહીં, ત્યારે તેનો નાશ કરવા શા સારૂં અમે તે લઈએ? જમદગ્નિના પુત્ર પરશુરામે ક્ષત્રિયો પાસેથી બળાત્કારે પૃથ્વી લઈ બ્રાહ્મણોને એકવીશવાર આપવા માંડી, પણ બ્રાહ્મણોએ તે લીધી નહી.” રાજા બોલ્યો, “હું તમારૂં રક્ષણ કરીશ. તમે તમારું ખટકર્મ કરો, અને કાંઈ ચિંતા ન કરો.” બ્રાહ્મણો બોલ્યાઃ “પંડિતો કહી ગયા છે કે જેઓ રાજા પાસે રહે છે તેઓના ઉપર વિપત્તિ આવી પડે છે. રાજાઓ અહંકારી, કપટી, તથા સ્વાર્થી હોય છે, માટે રાજાધિરાજ, જો દાન કરવાની તમારી ઇચ્છા હોય તો આ મોટું તથા રમણીય શ્રીસ્થળ અમને આપો એટલે અમે અહિઆં સુખેથી રહીશું. જે સોનું, રૂપું, અને હીરા વિગેરે બ્રાહ્મણોને આપવાં હોય તે સઘળું એ શહેરને શોભાયમાન કરવાને ખરચો.” રાજા આ વાત સાંભળી ઘણો ખુશ. થયો અને તેઓને પગે પડીને ગાય, સોના, હીરા વિગેરેના હાર ટાંગેલા રથ, તથા બીજી દક્ષિણાની સાથે શ્રીસ્થળ આપ્યું. વળી મૂળરાજે દશ બ્રાહ્મણને દક્ષિણા સહિત સુંદર તથા દ્રવ્યવાન સિંહપુર (સિહોર) ગામ આપ્યું. સિદ્ધપુર અને સિહોરની પડોસમાંનાં બીજા કેટલાંએક ગામો તેણે બીજા બ્રાહ્મણોને આપ્યાં. વળી તેણે સોમવલ્લીમાં મગ્ન રહેનારા છ બ્રાહ્મણોને સાઠ ઘોડા સહિત સ્તંભતીર્થ (ખંભાત) આપ્યું. સિદ્ધરાજે આ બક્ષિસ મંજુર કીધી અને બાલક (ભાલ) દેશમાં સો ગામ બ્રાહ્મણોને આપ્યાં, તે વખતે સિહોરની આસપાસ વાઘ અને બીજાં પ્રાણઘાતક પશુઓનો ભય હતો તેથી બ્રાહ્મણોએ તેને બદલે ગુજરાતમાં રહેવાની રજા માગી, ત્યારે રાજાએ તેઓને સાબરમતી નદી ઉપરનું આશાબીલી ગામ આપ્યું, અને સિહોરમાંથી જેટલું અનાજ લઈ ગયા તેટલા ઉપરથી દાણ માફ કીધું. ધન્ય છે એ રાજાઓને તથા તેઓનાં માતાપિતાને. તેઓએ તો પોતાના દેહનું સાર્થક કીધું. તેઓ તે ચોરાસી લાખના ફેરામાંથી ટળ્યા. હમણાં તેઓ આકાશમાં તારા થઈ પ્રકાશતા હશે.” એટલી વાત કહી વિજીયાદત્ત મહારાજ માટે નિશાસો મુકી ચુપ રહ્યા.

    બ્રાહ્મણનું એટલું દુ:ખ સાંભળીને ભાણા પટેલથી પોતાનું તથા બીજા ખેડુત લોકનું દુઃખ કહ્યા વિના રહેવાયું નહી. તે બોલ્યો, “ભાઈ, એકલા બ્રાહ્મણની જ અવસ્થા આવી થઈ એમ નથી, ખેડુત લોકોની દશા પણ હાલને સમયે સારી નથી. હોણ વરસાદ જોઈએ તેટલો આવ્યો નથી, તેથી પાક પણ વર્ષોવર્ષ જેવો થયો નથી, તે છતાંપણ ઉઘરાતદાર મહેતો કહે છે કે દરબારી ભાગ મારી ઠોકીને લીધામાં આવશે. અમારા ઉપર કાંઈ થોડો જુલમ છે ? ગામની ખળીમાં અમારું અનાજ ભરવાની શરતે અમને કાપણી કરવા દે છે. જુદા જુદા માલિક તેઓના અનાજના જુદા જુદા ઢગલા કરે છે. બળદવડે અનાજ જુદું પાડે છે. પછી જમીનદાર પટેલ, કારભારી, અનાજ માપનારા વાણીયા, ખેડુત અને ચોકીદાર એ સઘળા ખળીમાં એકઠા થાય છે. પહેલાં તે અનાજને ચાળીશમો ભાગ રાજાને જુદો કાઢે છે. પછી તેથી કાંઈ થોડું કારભારીને માટે, રાજાના પાટવી કુંવરના ખાનગી ખરચને વાસ્તે, ગામના ચોકીદારને, અનાજ માપનાર વાણીયાને, ગામના પટેલને, દેવી અથવા વિષ્ણુના દેવસ્થળને વાસ્તે, તળાવને સારૂં, કુતરાને માટે અને એમ બીજા ઘણા એકને આપવામાં આવે છે. જ્યારે માપવાનું કામ પૂરૂ થાય છે ત્યારે ખેડુત જોરથી ટોપલા ઉપર હાથ નાંખે છે, અને કહે છે કે હવે બસ થયું. બાકી જેટલું અનાજ રહ્યું તે ખેડુત તથા જમીનદાર બરાબર હિસ્સે વહેંચી લે છે. એટલું થોડું ખેડુતને મળે છે, તે છતાં પણ જ્યારે રાજાને કુંવરી પરણાવવી હોય, અથવા એવો બીજો અગત્યનો ખરચ કરવો હોય, ત્યારે ખેડુત ઉપર ફાળો નાંખે છે. વળી રાજકુટુંબના વહીવંચા ભાટને અથવા કોઈ ભિક્ષુકને હરેક હોળ ઉપર જુજવો કર કરી આપે છે. અથવા ખળીમાંના અનાજના ઢગલામાંથી કેટલાંએક માપાં અનાજ લેવાનો હક કરી આપે છે એ પ્રમાણેનો કર એક વર્ષ લેવામાં આવે છે અથવા વર્ષોવર્ષ ચાલુ રાખે છે. કોઈએક ગામની આમદાનીમાંથી કેટલાએક રૂપીયા વસુલ કરી લે છે. ખેડુત લોકોની સારા વર્ષમાં પણ જ્યારે આવી અવસ્થા છે, ત્યારે વરસાદની અછતને લીધે જ્યારે પાક ન થાય ત્યારે તો તેઓનું પુછવું જ શું ? મંત્રી કહે છે કે કાંઈ પણ છુટ મુકવામાં આવશે નહી. તમે રાજા આગળ જઈને નાનાં છોકરાંની પેઠે રડશો તથા કાલાવાલા કરશો અને પંચ માગશો તે પણ તમારી વાત ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. તેનો વિચાર એવો છે કે રૈયતના ઉપર જરા પણ દયા કરવી નહી; અને એ વિચારને તે મજબુતી આપવાને વારેવારે આ કહેવત કહ્યાં કરે છે કે ‘રૈયત રાજા રામચંદ્રની પણ થઈ નથી.’ પણ બાપજી, એ પ્રમાણે નથી. રૈયત તો રાજના સ્તંભ છે, રૈયતવડે જગત જીવે છે; અને રૈયત સારાં કામની કદર જાણનાર છે. બાપજી તમે તો જાણતા હશો કે ભીમદેવના રાજમાં એક વર્ષ વરસાદ ન થયો તેથી ડંડાહી તથા વિશોપક ગામના કુટુંબિક (કણબી) રાજાને તેનો અનાજનો ભાગ આપી શક્યા નહીં. તે વખતે રાજાએ તપાસ કરવાને તે ગામો ઉપર એક મંત્રી અથવા મહેતાને મોકલ્યો, તેણે તમામ મિલકતવાળા ખેડુતને પકડીને રાજધાનીમાં લાવી રાજા આગળ રજુ કીધા, રાજાનો પાટવી કુંવર મૂળરાજ સત્યવાદી તથા એકવચની હતો. તે એક દિવસે સવારે રાજાના એક ચાકરને સાથે લઈને તે ફરતે હતો. તે વખતે તેણે આ સઘળા લોકોને ભયભીત થઈ માંહેમાંહે બબડતા સાંભળ્યા. તરત તેણે ચાકરની મારફતે ખબર કઢાવી, અને તેઓની હકીકત સાંભળીને તેને એટલી તો દયા આવી કે તેની આંખમાં આંસુ આવ્યાં. એકવાર મૂળરાજે અશ્વવિદ્યામાં એટલી તો કુશળતા દેખાડી કે રાજાએ તેના ઉપર પ્રસન્ન થઈ તે જે માગે તે આપવા વચન આપ્યું. મૂળરાજે માગી લીધું કે કણબીઓનું ગણોત માફ કરવું, રાજાએ ઘણી ખુશીથી તેની વાત કબુલ કરી તેઓને બંધીખાનામાંથી છોડી મુક્યા. તેઓ મૂળરાજને પગે પડ્યા, તેઓમાંના કેટલાએક જાથુ તેની સાથે રહ્યા, અને બીજાઓ જે પોતાને ગામ ગયા તેઓએ તેની કીર્તિ ઘણી વધારી, પણ તે બિચારો મૂળરાજ મરી ગયો. પછી બીજે વર્ષે જ્યારે પાક સારો થયો ત્યારે ચાલુ તથા પાછલા વર્ષનો રાજાનો ભાગ લઈને તે ખેડુતો આવ્યા. ભીમદેવે પાછલા વર્ષનો ભાગ લેવાની ના કહી; પણ ખેડુતોએ કાલાવાલા કરી માંગી લીધું કે એ બાબતનો ફેંસલો કરવાને પંચ નીમવા જોઈએ. પંચે ઠરાવ કીધો કે બંને વર્ષના રાજાના ભાગ લેવા, અને આમદાનીમાંથી મૂળરાજના કલ્યાણને અર્થે ત્રિપુરૂષપ્રસાદનું દહેરૂં બાંધવું, ખેડુત લોકો તો એવા હોય છે. માટે બાપજી ! મંત્રીના કહેવાથી કામ ના કરતાં ઉપલા દૃષ્ટાંત ઉપર પણ વિચાર રાખજો.” એ પ્રમાણે વાતની વાતમાં પોતાનું કામ કાઢી લઈ મનમાં ઘણો સંતોષ પામીને ભાણો પટેલ મુંગો રહ્યો.

    માધવે વિજીયાદત્ત ગોરની તથા ભાણા પટેલની વાત લક્ષ દઈ સાંભળ્યા પછી જેઠાશા તરફ ફરી તેને પુછયું, “કેમ શાહ ! તમારે કાંઈ દુ:ખ રડવું છે?” તે વર્ષે તેને વ્યાપારમાં નફો સારો મળ્યો હતો તેથી તેના મનમાં એવું હતું કે આખા જગતમાં વ્યાપારીઓ સુખી જ હોવા જોઈએ. તો પણ કાંઈ બોલવું તો જોઈએ માટે તે પોતાની બડાઈ કરવા લાગ્યો, “મ્હેં હોણ સ્તંભતીર્થ તથા ભૃગુપુર (ભરૂચ) બંદરે ઘણુંએક મંજીષ્ઠ (મજીઠ) મોકલ્યું છે. વળી બેટ દ્વારિકા, દેવ૫ટણ, મહુવા, ગોપનાથ અને બીજા બંદરોના મારા આડતિયા લખે છે કે અમે ઘણોએક માલ તમારી તરફથી લીધો છે. તે બધામાંથી રોટલા ખાવા જેટલું કુટી કાઢીશું, હોણ મળત વધારે, પણ સૂર્યપુર (સુરત) તથા ગણદેબા (ગણદેવી) બંદર આગળ મારાં વહાણ આવતાં હતાં તેમાંનો માલ ચાંચીયા લોકો લુંટી ગયા. તો પણ એટલું ભાગ્ય કે સોનાની મોહોરો સંતાડી રાખી હતી તે બચી ગઈ; નહી તો હોણ દેવાળું કાઢવાનો વખત આવત, બાપજી ! કાંઈ વધારે તમને કહેવાનું તો નથી, પણ એ ચાંચીયા લેાકોનો કાંઈ બંદોબસ્ત થાય તો સારૂં નહી તો અમારા જેવા વેપારી લોકનું સત્યાનાશ વળી જશે વળી રાજ્યમાં જે માલ આવે છે તથા જાય છે તે ઉપર દાણ જરા વધારે છે તેમાંથી કાંઈ ઘટાડો થાય તો સારૂં, તમે શ્યાણા છે એટલે વધારે બોલવાની જરૂર નથી, તો પણ જેમાં આપણો સ્વાર્થ રહેલો તેમાં બોલ્યા વગર પણ કેમ ચાલે ? કહેવત છે કે “માગ્યા વિના મા પણ ન પિરસે.” માધવે આ સઘળી વાત ઘણું મન દઈને સાંભળી. જો બને તો તે પ્રમાણે કરી લોકોની પ્રીતિ સંપાદન કરવી એ તેની મુખ્ય મતલબ હતી. માધવનું પ્રધાનપણું કાંઈ તેના બાપદાદાથી ઉતરેલું ન હતું. તે કોઈ ગરીબ માણસનો છોકરો વડનગર શહેરમાં જન્મ્યો હતો, અને તેની ઉમર સોળ વર્ષની થઈ ત્યારે તે ધંધો શોધવાને પાટણમાં આવ્યો હતો. પહેલાં તે લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. ત્યાં ચાલાકી, હોંશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી, ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી તેમાં માધવની હોંશીયારીથી તથા કાવત્રાંથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો, અને કરણ રાજાએ ગાદી ઉપર નિર્ભય થતાં જ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. દરેક રાજ્યમાં મુખ્ય પ્રધાનની પદવી ઘણી ભારે તથા જોખમ ભરેલી હોય છે. રાજા તથા રૈયત બંનેને એકી વખતે ખુશ કરવાનું કામ હમેશાં મુશ્કેલ થઈ પડે છે. માધવ તે સઘળું સમજતો હતો. તેને લોકોમાં વહાલા થવાની તથા પોતાનું નામ લોકોને વાસ્તે સારાં તથા ઉપયોગી કામો કરી, અમર કરી લેવાની ઘણી હોંસ હતી; તો પણ રાજાની મહેરબાની તે જ તેના અધિકારનો પાયો છે, એમ તે સારી પેઠે જાણતો હતો. તેથી ગમે તે પ્રકારે રાજાને રાજી રાખવાનો તેણે દૃઢ નિશ્ચય કીધો હતો. આગલા રાજાઓમાંના કેટલાએકના પ્રધાન વાણીયા હતા તેથી તે લોકો માનતા હતા કે માધવને પ્રધાનપદ મળ્યાથી તેમનો હક્ક ખેાટો થયો, માટે હરેક પ્રસંગે રાજાની આગળ માધવની તેઓ ચાડી કરતા હતા. તેની સામે માધવને ઘણી યુક્તિઓ કરવી પડતી હતી, એ બધું કરવાની સાથે પોતાને વાસ્તે દ્રવ્ય એકઠું કરવા તરફ પણ તેની ઘણી નજર હતી, કેમકે તેનું પ્રધાનપણું કાયમ રહેશે એવો એક ક્ષણવાર પણ તેને પાકો ભરોસો ન હતો. હવે પૈસા તો મેળવવા અને સાધન તો થોડાં તેથી તે ઘણીવાર મોટા વિચારમાં પડતો હતો. રાજ્યની મર્યાદા ઉત્તર તરફ અચળગઢ તથા ચંદ્રાવતી, પશ્ચિમ તરફ મોઢેરા તથા જિંજુવાડા, પૂર્વ તરફ ચાંપાનેર તથા ડભોઈ અને દક્ષિણ તરફ છેક કોંકણ સુધી હતી, પણ ભોળા ભીમદેવના મરણ પછી રાજ્યમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી. અચળગઢના પરમાર રાજાઓ ખંડણી બરાબર આપતા ન હતા. બીજા ખંડીયા રાજાઓ પણ નામની તાબેદારીમાં હતા. તેથી જો કરણ રાજા શૂરો નીકળે, અને રાજધાનીનું સુખ મુકી તલવાર બાંધી આગળ પડે, તો જ રાજ્યની આગલી કીર્તિ પાછી આવે. પણ તેમ થવાને ઘણો સંભવ ન હતો. જો કરણ જય કરી આવે, જો કેટલાએક નાના રાજાઓ પોતાની ખંડણી આપવી જારી કરે, અને તેથી રાજ્યની આમદાનીમાં વધારો થાય, તો જ બ્રાહ્મણોને રાજી કરાય, તો જ ભાણા પટેલના કહેવા પ્રમાણે ખેડુતોને છુટ આપવામાં આવે, તથા જેઠાશાનો માંગેલો દાણાનો ઘટાડો થઈ શકે. જો એ પ્રમાણે ન થાય, અને નહી થશે તેવી તેની ખાતરી હતી, તો રૈયતને ખુશ કરવી એ અશકય; માટે રાજાને રીઝવી જેમ બને તેમ પૈસા પોતાના ખજાનામાં ભરવા એ જ રસ્તો ખુલ્લો રહ્યો. પણ તેમ કરવામાં જોખમ ઘણું હતું. પ્રધાનપણું કરવું અને ગોખરૂની શય્યા ઉપર સુવું એ બે બરોબર હતું. જ્યારે સઘળા નાખુશ રહે, અને રાજા કાનનો કાચો, ત્યારે ગમે તેટલી ઊંચી પદવીનો શો ભરોસો ? વળી એવી રીતે વર્તી પોતે એકલાનું પેટ ભરી મોતે કે કમોતે મરવું એ વાત તેને જરા પણ ગમતી ન હતી. તેને કાંઈ છોકરાં ન હતાં. અને હવે પછી કદાપિ થાય પણ નહીં એવી બીક હતી. એ વાતથી તેના મનમાં નિરંતર શોક ઉત્પન્ન થતો હતો. કાળું ધોળું કરી પૈસા મેળવવા તે કોને વાસ્તે ? પાછળ કોઈ ભોગવનાર ન મળે, પિત્રાઈઓ તેની દોલતને માટે લડી મરે, અને તેનો જરા પણ ઉપકાર માને નહી, એટલું જ નહી પણ ઉલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના હૈયામાં જાણે જખમ વાગતા હોય તેવું દુઃખ થતું, વળી હિંદુશાસ્ત્ર પ્રમાણે જેને પુત્ર પરિવાર નહી તેના જીવતરને ધિક્કાર ! તેની પાછળ પોક મુકનાર, આગ મુકનાર તથા મૃત્યુ- સંસ્કાર કરનાર કોઈ નહી તેથી તેની મુઆ પછી શી ગતિ થશે એ વિશે પણ તેને ઘણો ભય રહેતો હતો, પોતાનું નામ અમર રાખવાને માણસોને સ્વાભાવિક વૃત્તિ હોય છે, અને એ નામ પોતાના વંશથી અથવા લોકોપયોગી કામથી કાયમ રહે છે, માધવને પોતાના વંશ તરફથી કોઈ આશા ન હતી. તેમ લોકોપયોગી કામો કરવાનો હજુ સુધી પ્રસંગ પણ મળ્યો ન હતો, તેથી અગર જો તે રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, અગર જો રાજા તેને પુછ્યા સિવાય પાણી પણ પીતો ન હતો, અગર જો તેની ડોકી ધુણવાથી હજારોનાં નસીબ ખુલતાં, અને હજારો પાયમાલ થઈ જતા, અને અગર જો કે તેના ઉપર લક્ષ્મીની પણ કૃપા હતી તો પણ તે જ્યારે ભવિષ્યનો વિચાર કરતો હતો ત્યારે તેની અવસ્થા એવી થતી કે કોઈ ગામડીયો પણ તેની અદેખાઈ ન કરે.


    આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


    હવે પછીઃ પ્રકરણ ૨ જું


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૯] : અમિતાભ બચ્ચન

    નિરંજન મહેતા

    અમિતાભ બચ્ચન – એંગ્રી યંગમેનથી મહાનાયક સુધીની એક વૈવિધ્યપૂર્ણ કારકિર્દી. અઢળક ફિલ્મોમાં વિવિધ પ્રકારની અદાકારી. તેની કેટલીયે ફિલ્મોમાં તેના માટે ગાયેલા ગીતોનાં ગાયકો એક કરતા વધુ હોય તેવી ફિલ્મો અને તેવા ગીતો આ લેખમાં સમાવાયા છે. અન્ય પાર્શ્વગાયકો ઉપરાંત ખુદ અમિતાભે ગયેલા ગીતોની પણ નોંધ લીધી છે.

    ૧૯૭૨ની ફિલ્મ ‘એક નજર’નું ગીત છે

    पत्ता पत्ता बूटा बूटा
    हाल हमारा जाने है, पत्ता पत्ता…
    जाने न जाने गुल ही न जाने
    बाग तो सारा जाने है, पत्ता पत्ता

    અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની પ્રણય ગાથા રજુ કરતાં આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી
    બીજું ગીત છે

    ऐ ग़म-ए-यार बता कैसे जिया करते हैं
    जिनकी तकदीर बिगड़ जाती है क्या करते हैं

    અમિતાભ બચ્ચનની વ્યથા આ ગીતમાં દર્શાવી છે જેના ગાયક છે મહેન્દ્ર કપૂર
    બંને ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

    ૧૯૭૩ની ફિલ્મ ‘સૌદાગર’ જેમાં અમિતાભ એક લગ્નેતર સંબંધ ધરાવે છે તેના ગીતો

    हर हसीं चीज़ का मैं तलब्गार हूँ
    हर हसीं चीज़ का मैं तलब्गार हूँ
    रस का फूलों का गीतों का बीमार हूँ
    रस का फूलों का गीतों का बीमार हूँ
    हर हसीं चीज़ का मैं तलब्गार

    આ ગીતમાં તેની માનસિક પરિસ્થિતિ ઉજાગર થાય છે જેના ગાયક છે કિશોરકુમાર.

    બીજું ગીત છે

    हुस्न है या कोई क़यामत है
    ख़्वाब देखा है या हकीकत है
    बेबसी है के प् नहीं सकते है
    हमसे थोड़ी सी दूर जन्नत है
    हमसे थोड़ी सी दूर जन्नत है

    હોડીમાં સવાર અમિતાભ અને પદમા ખન્નાના વિચારો દર્શાવતાં આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને આરતી મુકરજી.
    બંને ગીતના ગીતકાર અને સંગીતકાર રવીન્દ્ર જૈન.

    ૧૯૭૩ની અન્ય ફિલ્મ ‘અભિમાન’ જેમાં પતિ પત્નીના સંબંધોમાં ઈર્ષા જ્યારે જન્મે છે ત્યારે શું થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગાયાં છે.

    પહેલું ગીત છે

    मीत न मिला रे मन का
    कोई तो मिलन का
    कोई तो मिलन का, करो रे उपाय

    ગાયક તરીકે વિખ્યાત અમિતાભ પ્રેક્ષકો સામે આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.

    બીજું ગીત છે

    तेरी बिंदिया रे आय हाय
    तेरी बिंदिया रे
    सजन बिंदिया ले लेगी तेरी निंदिया
    रे आय हाय तेरी बिंदिया रे

    આ ગીત તાજા પરણેલા યુગલના મનોભાવને વ્યક્ત કરે છે. જેના ગાયક છે લતાજી અને રફીસાહેબ

    ત્રીજું ગીત છે

    लूटे कोई मन का नगर बन के मेरा साथी
    लूटे कोई मन का नगर बन के मेरा साथी
    कौन है वो, अपनों में कभी, ऐसा कहीं होता है
    ये तो बड़ा धोखा है

    કોઈ એક કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીને એક સાથે ગાવાની તક મળે છે ત્યારનું આ ગીત છે. લતાજી અને મનહર ઉધાસ ગાયકો છે.
    ત્રણેય ગીતના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન.

    ૧૯૭૭ની ફિલ્મ ‘પરવરીશ’નું આ ગીત રોમીઓ અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના પર રચાયું છે.

    अजी ठहरो ज़रा देखो
    कुछ सोचो ज़रा समझो
    हम तो मर जाएँगे ले के तेरा नाम
    टूट गया जब दिल तो जीने से क्या काम
    हम तो चले जो कहा-सुना हो माफ़ कर देना

    નીતુ સિંહ અને શબાના આઝમીનો પીછો કરતા અમિતાભ અને વિનોદ ખન્ના આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, અમિતકુમાર, આશા ભોસલે અને આરતી મુકરજીએ.

    બીજું ગીત છે

    आइए शौक़ से कहिए
    हम्म आइए शौक से कहिए
    कहिये ना है कोई काम
    अजी काम वाम में क्या रखा है हम तो हैं आपके गुलाम
    आइए बैठिये कहिये, क्या है जी आपका नाम

    નીતુ સિંહ અને અમિતાભ પર રચાયેલ આ ગીતના ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.
    બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

    ૧૯૭૯ની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત એક ક્લબમાં ગવાતું ગીત છે

    रक्कासा मेरा नाम
    ए साहिब सबको सलाम
    आप की खिदमत के लिए
    मैं हाजिर हु आज की शाम

    કલાકારો છે ઝીનત અમાન અને અમિતાભ. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ.
    બીજું ગીત છે

    पहले पहले प्यार की
    क्या हैं ये दीवानगी
    तुझसे मिलकर हो गयी
    क्या से क्या ये ज़िन्दगी

    નીતુ સિંહ અને અમિતાભની નોકઝોક આ ગીતમાં રજુ થઇ છે જે આશા ભોસલે અને કિશોરકુમારનાં સ્વરમાં છે.
    બંને ગીતોના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.

    ૧૯૭૯ની અન્ય ફિલ્મ ‘મિ.નટવરલાલ’નું આ ગીત એક સમૂહ નૃત્ય છે
    આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગયા છે.

    परदेसिया
    परदेसिया ये सच है पिया
    सब कहते हैं मैंने तुझको दिल दे दिया
    मैं कहती हूँ तूने मेरा दिल ले लिया

    રેખા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે લતાજી અને કિશોરકુમારે.

    બીજું ગીત એક સંદેશાત્મક ગીત છે .

    अरे हे ऊँची-ऊँची बातों से
    किसी का पेट भरता नहीं
    अरे हे है राम का भरोसा जिसे
    कभी भूखा मरता नहीं

    રેખા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે લતાજી અને રફીસાહેબે.

    ત્રીજું ગીત બાળકોને વાર્તા કહેવાના રૂપમાં છે જેનો અંત રસિક છે.

    मेरे पास आओ, मेरे दोस्तो, एक क़िस्सा सुनो
    कई साल पहले की ये बात है
    बोलो ना, चुप क्यूँ हो गए?

    આ ગીતમાં અમિતાભે પોતે જ સ્વર આપ્યો છે.

    ૧૯૮૦ની ફિલ્મ ‘દોસ્તાના’નું આ ગીત બે મિત્રો વચ્ચેની તિરાડને જાગૃત કરે છે.

    मेरे दोस्त किस्सा ये क्या हो गया
    सुना है के तू बेवफा हो गया

    શત્રુઘ્ન સિન્હા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.

    બીજું ગીત એક પ્રેમગીત છે જે ઝીનત અમાંન અને અમિતાભ પર રચાયું છે..

    दिल्लगी ने दी हवा, थोड़ा सा धुआँ उठा
    और आग जल गई
    तेरी मेरी दोस्ती, प्यार में बदल गई
    तेरी मेरी दोस्ती, प्यार में बदल गई

    ગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.

    બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ

    ૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’ એક પ્રેમગાથા રૂપ છે તેના ગીતો પણ આ જ લાગણી પર રચાયા છે.

    देखा एक ख़्वाब तो ये सिलसिले हुए
    दूर तक निगाहों में हैं गुल खुले हुए
    ये गिला है आप की निगाहों से
    फूल भी हों दरमियाँ तो फ़ासले हुए

    રેખા અને અમિતાભ આ ગીતના કલાકારો છે જેના ગાયકો છે લતાજી અને કિશોરકુમાર.

    બીજું ગીત પણ રેખા અને અમિતાભ પર રચાયું છે જેમાં અમિતાભનો સ્વર સંભળાય છે.

    नीला आसमाँ सो गया
    ओस बरसे रात भीगे होंठ थर्राये
    धड़कने कुछ कहना चाहे कह नहीं पाये
    हवा का गीत मध्यम है

    બંને ગીતોનાં શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત આપ્યું છે શિવ હરીએ.

    ૧૯૮૧ની અન્ય ફિલ્મ ‘નસીબ’નું આ ગીત એક પાર્ટીમાં ગવાયું છે જેમાં ફિલ્મ જગતની મોટી હસ્તીઓ પણ દેખાય છે. અમિતાભ આ ફિલ્મમાં એક વેઈટરનાં પાત્રમાં છે.

    जोन जानी जनार्दन, तरा रम पम पम पम पम
    साहिब ने बुलवाया, हाज़िर हूँ मैं आया
    हूँ यारों का मैं यार, दुश्मनों का दुश्मन, दे दना दन

    https://youtu.be/anaowa4UnKw

    સ્વર છે રફીસાહેબનો.

    બીજુ ગીત સિક્કાની બીજું બાજુને અનુરૂપ છે જેમાં ચાર કલાકારો દર્શાવાયા છે.

    जिंदगी इम्तिहान लेती है
    लोगों की जान लोगों की जान
    लोगों की जान लेती है

    https://youtu.be/1S9pSwlW5Oo?list=RD1S9pSwlW5Oo

    અમિતાભ સાથે શત્રુઘ્ન સિન્હા, હેમામાલીની અને રીના રોય સામેલ છે જેને સ્વર આપ્યો છે અનવર, કમલેશ અવસ્થી અને સુમન કલ્યાણપુરે.
    બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ

    ૧૯૮૧ની વધુ એક ફિલ ‘લાવારીસ’નું ગીત એક કટાક્ષગીત છે.

    चार पैसे क्या मिले
    क्या मिले भई क्या मिले
    खुद को समझ बैठे खुदा
    वो ख़ुदा ही जाने अब होगा तेरा अंजाम क्या
    काहे पैसे पे
    काहे पैसे पे इतना गुरूर करे हैं

    ઝીનત અમાનને ઉદ્દેશીને અમિતાભ આ ગીત ગાય છે. ગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.

    બીજું ગીત તો અત્યંત પ્રચલિત ગીત છે. ગીતના મધ્યમાં રાખી પણ દેખાય છે,

    मेरे अंगने में
    तुम्हारा क्या काम है
    जोह है नाम वाला
    अरे जोह है नाम वाला
    वही तोह बदनाम है

    ગીતને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને ખુદ અમિતાભે.
    બંને ગીતના ગીતકાર છે અનજાન અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    ૧૯૮૨ની ફિલ્મ ‘દેશપ્રેમી’નું આ ગીત રોમીઓ ટાઈપનું છે. હેમા માલિનીને માટે ગવાયેલું આ ગીત મહેમૂદનું ગીત ‘ખયાલો મેં’ ની યાદ અપાવે છે.

    ख़ातून की खिदमत मे सलाम अपुन का
    अजी पोट्ती पटना है भाई पोट्ती पटना है
    अजी पोट्ती पटना है फ़क़त काम अपुन का
    घर-बार हुआ इश्क़ मे नीलाम अपुन का

    સ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના.

    બીજું ગીત સામાજિક ગીત છે જેમાં બે પક્ષોનાં ઝઘડામાં વચ્ચે આવી અમિતાભ આ સંદેશાત્મક ગીત રજુ કરે છે.

    नफ़रत की लाठी तोड़ो, लालच का खंजर फेंको
    ज़िद के पीछे मत दौड़ो, तुम प्रेम के पंछी हो
    देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों

    સ્વર છે રફીસાહેબનો.
    બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ

    ૧૯૮૩ની ફિલ્મ ‘નાસ્તિક’નું આ ગીત પણ રોમીઓ ટાઈપનું છે. રસ્તે જતી હેમા માલિનીને છેડતા અમિતાભ આ ગીત ગાય છે.

    अरे, एक फरियादी हाज़िर है
    हा एक फरियादी हाज़िर है दिलबर के दरबार मे
    प्यारे तेरे प्यार मे लूट गये हम बाज़ार मे
    प्यारे तेरे प्यार मे लूट गये हम बाज़ार मे

    અમિતકુમાર અને આશા ભોસલેના સ્વર.

    બીજું ગીત એક મસ્તીભર્યું ગીત છે જે ટ્રેન ઉપર ગવાયું છે. સ્વર છે કિશોરકુમારનો.

    आज का ये दिन कल बन जाएगा कल
    पीछे मुड़के ना देख प्यारे आगे चल
    तू पीछे मुड़के ना देख प्यारे आगे चल

    બંને ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    ૧૯૮૩ની અન્ય ફિલ્મ ‘મહાન’નું આ ગીત રિસામણા મનામણા રૂપનું છે

    ऐ आधी बात हो चुकी तू आधी बात करले
    अरे आधी बात हो चुकी तू आधी बात करले
    आज की इस रात को सुहाग रात करले
    भरले मेरे प्यार से

    ઝીનત અમાનને સુહાગરાતે મનાવવા આ ગીત ગવાયું હોય તેં લાગે છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.

    બીજું ગીત એક સામુહિક નૃત્ય છે. અસંખ્ય કલાકારો વચ્ચે પરવીન બાબી અમિતાભને ઉદ્દેશીને આ ગીત ગાય છે.

    यह दिन तो आता हैं एक दिन जवानी मे
    आँखे मिले तोह लगे आग पानी मे
    दिल को तोह खोना हैं खोना हैं खो जाये
    आगे जो होना हैं होना हैं हो जाये

    સ્વર છે આશા ભોસલે અને આર.ડી.બર્મનના.
    બંને ગીતના ગીતકાર અનજાન અને સંગીતકાર આર.ડી.બર્મન.

    ૧૯૮૮ની ફિલ્મ ‘શહેનશાહ’નું આ ગીત બહેનની મસ્તી કરતુ ગીત છે.

    ओ बहना ओ बहना
    ओ मेरे जीजाजी का क्या कहना
    रब ने ऐसी जोड़ी बनायी
    जैसे तोता और मैना

    કલાકરો છે અમિતાભ અને મિનાક્ષી શેષાદ્રી. ગાયક છે મહમદ અઝીઝ

    બીજું ગીત એક પ્રણય ગીતના રૂપમાં કહી શકાય જેમાં મિનાક્ષી શેષાદ્રી પોતાની મનસા જાહેર કરે છે.

    होगा थानेदार मेरा है दिलदार तू
    वर्दी का तू रोब जमाले
    टोपीवाले डराले करले जो है करना
    मैं नही डरना मैं नही डरना

    ગાયકો છે લતાજી અને કિશોરકુમાર.
    બંને ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર છે અમર ઉત્પલ

    ૧૯૮૯ની ફિલ્મ ‘જાદુગર’માં અમિતાભ એક જાદુગરનું પાત્ર ભજવે છે અને તે મુજબ આ ગીત ગાય છે.

    मैं जादूगर हैं मेरा नाम गोगा
    है मुझ जैसा नहीं कोई होगा
    मैं जादूगर हैं

    https://youtu.be/H1lxztXkpMc?list=RDH1lxztXkpMc

    સ્વર છે કુમાર સાનુનો.

    બીજું ગીત પોતાની પડોસન જયા પ્રદાને ઉદ્દેશીને ગાય છે. આ ગીત ખુદ અમિતાભ ગાય છે

    आए दीवाना जैसे जाता है
    हा दीवाना जैसे जाता है
    ज़ंजीरे तोड़के
    अरे मुर्गा निकल गयामेरा

    અંને ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    ૧૯૯૧ની ફિલ્મ ‘હમ’નું આ ગીત સમભાવની ભાવનાને દર્શાવે છે.

    एक दूसरे से करते हैं प्यार हम
    एक दूसरे के लिए बेकरार हम
    एक दूसरे के वास्ते मरना पड़े तो
    हैं तैयार हम हैं तैयार हम

    દીપા સાહીને મનાવવા અમિતાભ સાથે ગોવિંદા, રજનીકાંત અને બાળ કલાકાર જોડાય છે. ગીતના ગાયકો છે અલકા યાજ્ઞિક, સુરેશ વાડકર, ઉદિત નારાયણ અને સોનાલી વાજપાઈ.

    બીજું ગીત કિમી કાટકરને ઉદ્દેશીને ગવાયું છે. અતિ પ્રસિદ્ધ આ ગીત સુદેશ ભોસલેના સ્વરમાં છે.

    अरे ओ जुम्मा, मेरी जानेमन, बाहर निकल
    आज जुम्मा है, आज का वादा है
    देख मैं आ गया, तू भी जळी आ
    मुझे मत और तड़पा

    બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ

    ૧૯૯૯ની ફિલ્મ ‘સૂર્યવંશમ’નું આ ગીત હૃદયની લાગણીને વ્યક્ત કરે છે. આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગયા છે.

    दिल मेरे तू दीवाना है
    पागल है मैंने माना है
    पल पल आहें भरता है
    कहने से क्यों डरता है
    दिल मेरे तू दीवाना है

    સૌન્દાર્યાને અનુલક્ષીને ગવાતા આ ગીતના ગાયક છે કુમાર સાનુ.

    આ ફિલ્મનું બીજું ગીત છે

    धरती पे नही अम्बर पे नहीं
    नदिया पे नहीं सागर पे नहीं
    फूलों पे नही बादल में नहीं
    कागज़ पे नहीं आँचल पे नहीं

    અમિતાભે સૌન્દર્યા સાથે આ પ્રણયગીત ગાયું છે જેને સ્વર આપ્યો છે સોનું નિગમે. સૌન્દર્યા માટે સ્વર છે જસ્પીનદર નરુલાનો.

    તો ત્રીજું ગીત ખુદ અમિતાભે ગાયું છે.

    चलिआ रे चलि आरे चलि आरे
    चोरी से चोरी से चोरी चोरी चोरी से

    ત્રણેય ગીતના ગીતકાર સમીર અને સંગીત છે અનુ માલિકનું.

    ૨૦૦૩ની ફિલ્મ ‘બાગબાન’ એક સંયુક્ત કુટુંબના વિખવાદને અનુલક્ષીને છે. જ્યારે અમિતાભ અને હેમા માલિનીને જુદા જુદા રહેવાનું આવે છે ત્યારે ફોન ઉપર તે બંને આ ગીત ગાય છે.

    मई यहा तू वाहा, जिंदगी है कहा
    तू ही तू है सनम देखता हू जहा
    नींद आती नही याद जाती नही

    સ્વર છે અલકા યાજ્ઞિક અને ખુદ અમિતાભના.

    બીજું ગીત છે એક પાર્ટી ગીત જેમાં અમિતાભ હેમા માલિનીને ઉદ્દેશીને કહે છે

    मेरी मखणा मेरी सोणिये, हे चाँद बलिए
    सोनी तेरी चल सोनी वे, लगाड़ी कमाल सोनी वे

    ગાયકો છે સુદેશ ભોસલે અને અલકા યાજ્ઞિક

    બંને ગીતના ગીતકાર છે સમીર અને સંગીતકાર છે આદેશ શ્રીવાસ્તવ.

    આ લેખમાં મળ્યા એટલા ગીતો સમાવાયા છે. આશા છે રસિકોને તે પસંદ પડશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • હાસ્યથી મોંને ભરી દેતી પેરડીની પ્રસાદી

    શ્રી બીરેન કોઠારી હિંદી ફિલ્મોના ગીતોના વિભાગ માટે પેરડીરૂપે ગીતશૃંખલા (મેડલી)ની નવી લેખમાળા રજૂ કરી રહ્યા છે.

    દર મહિના બીજા શનિવારે એક એક પેરડી – મેડલી ગીતની મજા માણી શકાશે.


    પ્રતિકાવ્ય : ગીતશૃંખલા

    બીરેન કોઠારી

     ‘પેરડી’એટલે પ્રતિકાવ્ય અથવા પ્રતિરચના. તે હાસ્યનો એક પ્રકાર છે. પ્રતિરચનામાં વાંચનાર માટે શરત એ હોય છે કે તેને મૂળ રચનાની જાણકારી હોવી જોઈએ. તો જ તે મૂળ રચનાના અનુસર્જન જેવી ‘પેરડી’ને બરાબર માણી શકે.

    ઘણાં જાણીતાં કાવ્યોની ‘પેરડી’ રચાયેલી છે. હિન્‍દી ફિલ્મોમાં પણ આવી ‘પેરડી’ની પરંપરા જોવા મળે છે. સામાન્ય રીતે અતિશય જાણીતા બનેલા ગીતમાં ધૂન એની એ જ રાખીને, તેના શબ્દો તદ્દન બદલી નાંખવામાં આવે છે. મૂળ ગીત જાણીતું હોય અને તેની ધૂન પર હાસ્યપ્રેરક ગીત રચાય એટલે તે રમૂજ પેદા કરે એ સ્વાભાવિક છે. હિન્‍દી ફિલ્મોમાં સામાન્ય રીતે આવી ‘પેરડી’ઓ ગીતોની શૃંખલા (મેડલી) રૂપે સાંભળવા મળે છે, જેમાં જાણીતાં ગીતોનાં મુખડાં લઈને તેની ધૂન પર હાસ્યપ્રેરક શબ્દો ગોઠવાયા હોય  અને આવા છ-આઠ ગીતો હોય સળંગ હોય. ક્યારેક આખેઆખું ગીત પણ ‘પેરડી’ રૂપે સાંભળવા મળે છે. પેરડીની શરૂઆત ચોક્કસપણે કઈ ફિલ્મથી, કયા સંગીતકારથી, ગીતકારથી થઈ હશે એ કહેવું મુશ્કેલ છે. ધૂન તૈયાર હોવાથી તેમાં જે તે ફિલ્મના સંગીતકારનું કર્તૃત્વ નહીંવત ગણાય, અને ગીતકારનો ઉદ્યમ વધુ ગણાય.

    આ વિશિષ્ટ શ્રેણીને બે મુખ્ય ધોરણે વિભાજીત કરવામાં આવી છે. પહેલા વિભાગમાં ‘મેડલી’ એટલે કે ગીતશૃંખલા અને બીજા ભાગમાં એકલ ગીતો.

    આ ઉપરાંત ઘણી વાર એ પણ જોવા મળ્યું છે કે એક લોકપ્રિય ગીત અથવા ગીતશૃંખલા આખેઆખાં યથાતથ, પણ મૂળ ગીત કરતાં સાવ જુદી સ્થિતિમાં વપરાયાં હોય, જેનો હેતુ મુખ્યત્વે હાસ્ય પેદા કરવાનો હોય છે. આવાં, યથાતથ વપરાયેલાં ગીતો કે ગીતશૃંખલાનો સમાવેશ આમાં કર્યો નથી.

    વધુ એક સ્પષ્ટતા એ કરવાની કે કોઈ એક ગીતની ધૂન પરથી પ્રેરીત થઈને એની એ ધૂન અન્ય સંગીતકારે વાપરી હોય તો એને ‘પેરડી’ ન કહી શકાય. આવાં તો અનેક ગીતો મળી આવે. કેવળ ઉદાહરણ ખાતર કહેવું હોય તો નૌશાદના પ્રસિદ્ધ ગીત ‘ક્યા મિલ ગયા ભગવાન’ (ફિલ્મ: અનમોલ ઘડી) પરથી એ જ ધૂન પર પ્રદીપજીએ ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ (ફિલ્મ:જાગૃતિ) લખ્યું હતું. ફિલ્મનું સંગીત હેમંતકુમારનું હતું, પણ એ બહુ જાણીતી વાત છે કે પ્રદીપજી પોતાનાં ઘણાં ગીતોની ધૂન તૈયાર કરીને આપતા. પાકિસ્તાનમાં બનેલી ફિલ્મ ‘બેદારી’ આખેઆખી ‘જાગૃતિ’ ફિલ્મની પાકિસ્તાની નકલ હતું અને તેનાં તમામ ગીતો ‘જાગૃતિ’નાં ગીતોની ધૂન પર બનેલાં હતાં. ખ્યાતનામ કવિ ફૈયાઝ હાશમીએ આ ધૂનમાં શબ્દો ગોઠવ્યા હતા, જ્યારે સંગીતની ક્રેડીટ ફતેહ અલી ખાને લીધી હતી. (નુસરત ફતેહ અલી ખાનના તે પિતાજી થાય, જે પોતે કવ્વાલ હતા.) પાકિસ્તાનમાં બનેલી આ ફિલ્મનો હીરો ‘બુટ પૉલીશ’ અને ‘જાગૃતિ’નો બહુખ્યાત બાળનાયક રતન કુમાર (મૂળ નામ ‘નઝીર રીઝવી’) હતો.

    પેરડીરૂપે ગીતશૃંખલાની દરેક કડીમાં પેરડી ગીતની લીન્‍ક મૂકવાની સાથોસાથ મૂળ ગીતની લીન્‍ક પણ મૂકાયેલી છે. શક્ય ત્યાં સુધી વર્ષવાર ચડતા ક્રમમાં આ ગીતોને મૂકવામાં આવશે.


    પેરડીરૂપે ગીતશૃંખલાની પહેલી કડી

    છિલના તેરા કામ, ખાના મેરી શાન

     આમાં ધૂન તૈયાર અને નીવડેલી હોવાથી એમાં ફિલ્મની પરિસ્થિતિ અનુસાર હાસ્યસભર શબ્દો લખવાનું મુખ્ય કામ ગીતકારના ફાળે આવે એ સમજી શકાય એમ છે.

    ૧૯૪૨માં રજૂઆત પામેલી ફિલ્મ ‘જવાની કી પુકાર’ યાને ‘Call of youth’માં એક પેરડી ગીત સાંભળવા મળે છે. ‘આર્ટિસ્ટ્સ કમ્બાઈન, મુંબઈ’ દ્વારા નિર્મિત, ડી. બીલીમોરીયા દિગ્દર્શીત આ ફિલ્મના ગીતકાર એ.કે.મિસ્ત્રી અને સંગીતકાર વસંતકુમાર નાયડુ છે. ફિલ્મમાં ડી.બીલીમોરીયા, હરીશ, કલ્યાણી, વઝીર મોહમ્મદ ખાન, અફઘાન સેન્ડો જેવા કલાકારો હતા.

    ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જેમાંના કેટલાકમાં ગાયિકાના નામ તરીકે મિસ કલ્યાણીનો ઉલ્લેખ છે. ફિલ્મમાંનું એક ગીત પેરડી છે, જેમાં આગલા વરસોનાં બે સુપરહીટ ગીતોની પેરડી છે. ગાયક માસ્ટર દીન ઉર્ફે માસ્ટર સરફરાઝ અને સાથીઓ છે.

    ગીતનો આરંભ ‘સાલન મેં બટાટે હૈ, છીલો છીલો’થી થાય છે, જે ૧૯૪૧ની ફિલ્મ ‘ખજાનચી’ના અતિ ખ્યાત ગીત ‘સાવન કે નઝારે હૈં‘ની પેરડી છે. મુખડા પછી તરત ટેમ્પો બદલાય છે અને ગીત શરૂ થાય છે ‘ચલ ચલ રે છુરી ચલ’. આ ગીત ૧૯૪૦ની ફિલ્મ ‘બંધન’ના પ્રખ્યાત ગીત ‘ચલ ચલ રે નૌજવાન‘ની પેરડી છે.

    ‘સાલન’ એક પ્રકારની ‘કરી’ છે, જે મૂળત: હૈદરાબાદી છે, પણ વિવિધ પ્રાંતોમાં પોતપોતાની રીતે ખવાય છે. આ ગીતમાં તેના વિવિધ સંદર્ભ છે. મઝાની વાત એ છે કે ‘સાલન મેં બટાટે હૈ’ પંક્તિઓ કેવળ મુખડા પૂરતી જ છે, એ પછીના ગીતના ભાગમાં ‘ચલ ચલ રે નૌજવાન’ના ગીતની પેરડીવાળા અંતરા છે.

    ત્રીજી પેરડી ‘ઝિંદગી’ ફિલ્મના સાયગલે ગાયેલા ગીત ‘મૈં ક્યા જાનૂ ક્યા જાદુ હૈ‘ની પેરડી ‘તુમ ક્યા જાનો ક્યા, આલૂ હૈ’ છે. આમ, આ ગીતમાં કુલ ત્રણ ગીતની પેરડી છે. આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.

     


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – ભૂપેન ખખ્ખરની શૈલી પર ચિત્રકારોનો પ્રભાવ

    બીરેન કોઠારી

    ભૂપેન ખખ્ખરની ચિત્રશૈલી પર બે ચિત્રકારોનો મુખ્ય પ્રભાવ હોવાની વાત જાણીતી છે. એમાંના એક તે બ્રિટીશ ચિત્રકાર ડેવિડ હૉકની/David Hockney અને બીજા હતા ફ્રેન્ચ ચિત્રકાર હેન્રી રુસો/Henry Rousseau. આ બન્ને ચિત્રકારોનો સમયગાળો અલગ અલગ છે. હૉકની વીસમી સદીમાં થઈ ગયા, અને લગભગ ભૂપેનના સમકાલીન કહી શકાય. રુસો ઓગણીસમી સદીમાં, ઉત્તર પ્રભાવવાદ/Post impresionismના ગાળામાં થઈ ગયા.

    ભૂપેન આ બન્નેની શૈલીથી પ્રભાવિત થયા હશે, પણ તેમણે કોઈની નકલ કરવાને બદલે પોતાની આગવી શૈલી નીપજાવી. હૉકનીએ પોપ આર્ટનો પ્રકાર અજમાવેલો, અને ભડકીલા રંગોનો પોતાનાં ચિત્રોમાં તેમણે ઉપયોગ કર્યો. ભૂપેનનાં ચિત્રોમાં જોવા મળતા ભડકીલા, પણ ભારતીય શૈલીના રંગો કદાચ હૉકનીમાંથી લેવાયેલી પ્રેરણા હોઈ શકે.

    ડેવિડ હૉકનીએ ચીતરેલો લેન્ડસ્કેપ

    રુસોની શૈલી આદિમવાદ/Primitivism કહેવાય છે. આ પ્રકારના ચિત્રોમાં એક કેળવાયેલો કલાકાર જે પૂર્ણતાથી આકૃતિઓ ચીતરે તેનો અભાવ હોય છે. કંઈક અંશે અણઘડપણું આ શૈલીની ઓળખ કહી શકાય. ભૂપેનનાં ચિત્રોમાં આ શૈલી ઘણી વાર જોવા મળે છે.

    ડેવિડ હૉકનીએ દોરેલું એક ચિત્ર
    Jungles in Paris by Henry Rousseau
    Henri Rousseau’s Dream

    અલબત્ત, ભૂપેનની મૌલિકતા તેમના ચિત્રોમાં જોવા મળતી ભારતીયતામાં હતી, જેમાં ભારત બહારના લોકોને વિશેષ રસ પડ્યો. વિકસવા મથતું શહેર, તેમાં હરતાફરતા માણસો, તેમના વ્યવસાય, તેમની જાતીય સમસ્યાઓ, તેમની મુશ્કેલીઓ, તેના થકી ઊભી થતી રમૂજી પરિસ્થિતો ભૂપેનનાં ચિત્રોમાં તેમના તીવ્ર નિરીક્ષણ થકી ઝળકવા માંડી.

    અહીં હૉકની અને રુસોની શૈલી સાથે ભૂપેનની શૈલીના સામ્યનો અને તફાવતનો અંદાજ આવી શકે એટલા માટે બન્ને કલાકારોએ ચીતરેલાં બબ્બે ચિત્રો અને એકાદ ચિત્ર ભૂપેનનું મૂક્યું છે. એ જોઈને ખ્યાલ આવશે કે ભૂપેન કઈ રીતે મૌલિક હતા.

     

    ભૂપેન ખખ્ખરે દોરેલું ચિત્ર

    (તસવીરો નેટ પરથી કેવળ ચિત્રસંદર્ભ પૂરતી)


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સંસ્પર્શ-૨૫

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથામાં માનવનાં માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથેનાં અનોખા સંબંધોની વાત કરી છે. વાત આમ તો નર્મદા નદીની છે ,પરતું નદીની સાથે સાથે તેની આસપાસ વસતાં લોકોનાં જીવનની, સજીવ સૃષ્ટિની ,વનનાં સાગનાં વૃક્ષોની ,નર્મદાનાં પરિક્રમાવાસીઓની વાત પણ સંકળાયેલી છે. નદીને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે? આપણી ગંગા, યમુના, નર્મદાને પગે લાગી તેનાં પાણીને ચરણામૃત કેમ કહીએ છીએ? કારણ ,આ નદીઓ માનવજીવનને કે બહોળા અર્થમાં તમામ પ્રકારના જીવનને ટકાવી રાખનારી,વિકસાવનારી શક્તિ જ નહીં તે એક સંસ્કૃતિના પરિવહનનું, પરિપક્વતાનું અને તેની સતત વધતી વિસ્તરતી જીવનગાથાનું અમરગાન છે.

    નર્મદા કિનારાવાસીઓ માટે તે જીવનદાયિની છે. નવલકથાની શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસનાં વિસ્તારોનું મનોહર વર્ણન દાદાએ કર્યું છે. તેમજ પરિક્રમાવાસીઓ સાવ અજાણ્યા હોય તે છતાં તેમને સાહજિકતાથી મદદરૂપ થતાં લોકોનાં સંવેદનાસભર સંવાદો દ્વારા દાદાએ નર્મદાતટવાસીઓનો પરિચય કરાવતાં સમગ્ર ભારતીય સંસ્કૃતિનો હૃદયંગમ પ્રભાવ ઊભો કર્યો છે.

    બિત્તુબંગાનાં ભાઈ બંગાને ,જે વાઘણ ખાઈ ગઈ હતી, તે વાઘણનું મોં ગલસંટામાં ફસાઈ ગયું અને બિત્તુ તેને કુહાડી લઈ મારી નાખવા ગયો ,પરતું જ્યાં તેણે તેનાં નાનાં બચ્ચાંને જોયાં અને પોતે મા વગર ઉછર્યો હતો અને તે વેદના યાદ આવતાં એને વાઘણને છોડી દીધી. પોતે જીવેલી મા વગરની જિંદગી એને વાઘનાં બચ્ચાંઓને આપવી નહોતી.આ પ્રસંગ સાથે જ સાંકળેલ મહાભારતનો પ્રસંગ- દ્રૌપદીનાં પાંચપુત્રોને અશ્વત્થામાએ ઊંઘમાં સૂતા જ મારી નાંખ્યા છતાં જ્યારે અશ્વત્થામાને હણવાની દ્રૌપદી ના કહે છે અને કહે છે પુત્રહીનતાનું દુ:ખ શું હોય છે ?તે હું જાણું છું, કૃપીને એ દુ:ખ કદી ન મળો.આમ નવલકથાનાં આદિવાસી અભણ લોકો હોવા છતાં અને જેમણે શાસ્ત્રો ક્યારેય વાંચ્યાં નથી તેમનાં સંસ્કારોની ઉચ્ચતા દાદાએ કુશળતાપૂર્વક આલેખી છે અને તેની સાથે મહાભારતનાં પાત્રોની વાતની ગુંથણી સરસ રીતે રજૂ કરી છે.આમ નાયક આદિવાસી લોકોની કેવી કેવી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી અભિભૂત થાય છે તેનાં ખૂબ સંવેદનશીલ સંવાદો દાદાએ સુપેરે પાત્રો દ્વારા રજૂ કર્યા છે.

    નર્મદા નદી ભારતને બે ભાગમાં વહેંચેં છે તેવી માન્યતા સામે દાદા માને છે કે નર્મદા ઉત્તરાખંડ અને દક્ષિણાખંડને જોડીને એક સાથે રાખે છે. એક નદી સાથે વિકસેલી, નદી કિનારે પાંગરેલી અને તેના જ પુણ્ય પ્રતાપે હજીયે વિકસતી આપણી સંસ્કૃતિમાં તેનું મહત્વ અનન્ય છે એમ સમજાવતાં દાદા લખે છે,  “અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રદ્ધા ,કેટકેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ,આદર અને પુણ્યો સમાવતી દંતકથાઓનું સર્જન કરે છે. એક ઝરણ સ્વરૂપથી સાગરને મળવાના સમગ્ર પ્રવાસમાં તે પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારનાં જીવન બદલી નાંખે છે.”

    પાણીનાં એક પ્રવાહને એટલે જ આપણી સંસ્કૃતિમાં લોકમાતાનું બિરુદ અપાયું હશે!

    નવલકથાની પરિપક્વ ક્ષણો સમયે નાયકનું માનસ પરિવર્તન ખૂબ સહજ જણાય છે.એમાં કોઈ એક પ્રસંગ કે ઘટનાનો ભાગ નથી,પરતું સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન તેણે અનુભવેલું એ નિતાંત આહ્લાદક સૌંદર્ય છે, જે ફક્ત માનવજીવનનું નથી,વનરાજીનું,પ્રાણીઓનું,માન્યતાઓ અને તેનાં અર્થઘટનનું અને સૌથી વધુ લોકમાતા નર્મદાનું છે.દરેક પરિક્રમાવાસીને નર્મદા દર્શન આપે જ છે એવી માન્યતાની તેમની આગવી પુષ્ટિ કોઈ ચમત્કાર નહીં ,સાક્ષાત્કાર બની રહે છે.

    નવલકથાનાં અંતમાં નદીની અર્ધપરિક્રમાએ નીકળેલો નાયક કાબાઓ દ્વારા લુંટાઈ છે ત્યારે તેમના મને કરેલું અર્થઘટન સચોટ અને અર્થગર્ભિત છે. તેઓ કહે છે કે કાબાઓની માન્યતા છે કે પરિક્રમાવાસી સાધુઓને લૂંટવાની ,અરે ! તેમના વસ્ત્રો સુદ્ધાં લઈ લેવાની આજ્ઞા તેમને ‘મા’ નર્મદા આપે છે. કારણ “ભૂખ્યો તરસ્યો, જીવનનિર્વાહ માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા હશે.સંન્યાસ શું છે? ત્યાગ શું છે? જીવન શું છે?આવા તમામ પ્રશ્નોનો જવાબ તેને સ્વયં મળી ગયા હશે.આવું સચોટ અને સત્યાર્થ રજૂ કરતી ફિલસુફી જ નવલકથાને બીજા કરતાં આગવી ઓળખ આપે છે. નવલકથાનાં બધાં જ પાત્રો શરૂઆતથી અંત સુધી આપણને લાગણીની અલગ સફરે લઈ જાય છે. આપણે પણ પાત્રોની સાથે નર્મદાની અને તેની આસપાસનાં જંગલોની ,આદિવાસીની ઝૂંપડીઓની સફરનો અનુભવ કરીએ છીએ. ગુણદોષથી ભરેલા તે આદિવાસીઓ શહેરનાં માણસથી જુદા પડે છે કારણ તે કુદરત સાથે જોડાએલ છે. કુદરત સાથેનો તેમનો સંબંધ સાવ નોખો છે , કારણ કુદરત તેમના અસ્તિત્વનો એક ભાગ છે.

    આ સાથે ઘ્રુવદાદાની ચાર પંક્તિઓ-

    “ક્યાં કહું છું હું અને તું એક હોવા જોઈએ,
    માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.

    એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી,
    શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.

    સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે,
    પણ બધાંની દૃષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ફાઉન્ડ આર્ટ – નકામી વસ્તુઓમાંથી કળાસર્જન

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah Kalasampoot – Creation from waste ( Found Art )

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : સત્યનો જ જય થાય છે

    દેવિકા ધ્રુવ

    सत्यमेव जयते नानृतम् सत्येन पन्था विततो देवयानः
    येनाक्रमन्त्यृषयो ह्याप्तकामाः यत्र तत्सत्यस्य परमं निधानम्

    मुन्डकोपनिषत्

    સમાસ વિભાજન અને  શબ્દશ: ગુજરાતી અર્થ:

    सत्यमेव=सत्यम्+एव= સત્ય જ, जयते= વિજય પામે છે. नानृतम्= न+अनृतम्= નહિ કે અસત્ય,

    सत्येन = સત્ય થકી, पन्था= માર્ગો, विततो = વિસ્તર્યા છે. देवयानः દેવોના

    येनाक्रमन्त्यृषयो= येन + आक्रमन्ति + ऋषयः – येन = જેના થકી, आक्रमन्ति = ઉન્નતિ પામે છે. ઊંચાઈએ પહોંચે છે. ऋषयः = ઋષિ મુનિઓह्याप्तकामाः = हि+आप्तकामा =  हि = (ભારવાચક),  आप्तकामा  = ઇચ્છા મુજબ મેળવવું यत्र = જે  तत्सत्यस्य= तत+सत्यस्य તે સત્યનું परमं=પરમ, સૌથી ઊંચું ,   निधानम् = નિવાસ,રહેઠાણ,ધામ

    શ્લોકનું ગુજરાતી  ભાષાંતરઃ

    સત્યનો જ જય થાય છે; અસત્યનો નહિ. સત્ય થકી જ દેવોના માર્ગો વિસ્તર્યા છે. તેના થકી જ ૠષિઓ ઊંચાઈએ પહોંચી શકે છે અને તેના જ થકી ઇચ્છા મુજબનું પરમ ધામ પામી શકે છે.

    વિચારવિસ્તારઃ

    સત્ય પર ભાર મૂકતો આ શ્લોક  મુંડક ઉપનિષદનો છે અને ખૂબ જાણીતો છે. કારણ કે, ભારતની સ્વતંત્રતા પછી,  सत्यमेव जयते ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે  અપનાવવામાં આવ્યું હતું. આ શબ્દો તમામ ભારતીય ચલણની એક  બાજુ પર અંકિત થયેલ છે. સત્ય એક અમોઘ શસ્ત્ર છે જેના થકી ૠષિઓ પરમ ધામને આંબી શકે છે. મહાત્મા  ગાંધીજીએ ભારત દેશને સત્ય થકી જ ગુલામીમાંથી મુકત કર્યો હતો. તેના થકી જ તેઓ ‘મહાત્મા’નું બિરુદ પામી શક્યા.

     Sanskrit shlok in English script :

    satyameva jayate naanrutaṃ satyena pantha vitato devayaana
    yenaakramanty
    ṛushayo hiaaptakamaa yatra tatsatyasya paramaṃ nidhaanam

    Word to word meaning in English:

     Satyam eva = Truth only,   Jayate= conquers, wins. Na+ anṛutam – not falsehood.  satyena – by Truth, panthaaḥ – roads, journey, vitato = was stretched out. devayaanaḥ= Path leading to Gods,

    yenakramantyṛushayo= yen+akramanti+rushayo = yena = by which , akramanti = ascend ,  ṛushayao = the sages, hi+apta+kama= hee=only (emphasis),  aaptakama – winning their desire ,  yatra = where, tatsatyasya=tat+satyasya.-  tat= that,  satyasya = Truth,   paramam = Supreme, nidhanam= abode 

    Translation in English:

     Truth alone triumphs, not falsehood. By truth, the divine paths are unfolded, through which the sages having fulfilled all their desires, reach the supreme abode of the (eternal) truth.

     (‘Satyameva Jayate’ is the national motto of India.)


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com
    http://devikadhruva.wordpress.com

  • પધારો ! અમારો વિનાશ નોંતરવા આપ સૌનું સ્વાગત છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    એ હકીકત હવે અજાણી રહી નથી કે એ.આઈ. (આર્ટિફિશ્યલ ઈન્‍ટેલિજન્સ/કૃત્રિમ બુદ્ધિમતા) નો ઊપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, અને તેના માટેનાં ડેટા સેન્‍ટર દ્વારા પ્રચંડ ગરમીનું ઉત્સર્જન થાય છે. આને કારણે તેના માટે પુષ્કળ પાણીની જરૂરિયાત રહે છે. તેનું આ પાસું એવું છે કે તેને ધ્યાનમાં રાખવું જ પડે. ત્રણેક મહિના અગાઉ આ કટારમાં તેના વિશે વાત કરવામાં આવી હતી. આ એક માત્ર કારણસર અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકા અને અગ્નિ એશિયાના દેશોમાં આવાં ડેટા સેન્‍ટરો ઊભાં કરવાનો વિરોધ થઈ રહ્યો છે. તેમના દ્વારા ઉત્સર્જિત કરાતી ગરમી ઊપરાંત તેના માટે જરૂરી વીજપુરવઠાની પ્રચંડ માત્રા અને વિશાળ જમીનની જરૂરિયાત પણ આ વિરોધ પાછળનાં પરિબળો ખરાં.

    બીજી તરફ ફેબ્રુઆરી, ૨૦૨૬ માં દિલ્હી ખાતે ભરાયેલા એ.આઈ.ના સંમેલનમાં, વર્તમાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ભારતમાં એ.આઈ.સેન્‍ટર સ્થાપિત કરવા ઈચ્છનાર સૌને આવકાર્યા અને ભારતને એ.આઈ.સેન્ટરનું વૈશ્વિક કેન્‍દ્ર (હબ) બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ કેન્‍દ્રો રોજગારજનક બની રહેશે એમ પણ કહેવાયું. આવી ઘોષણા વડાપ્રધાને કશું જોયાજાણ્યા વિના ન કરી હોય! વિશ્વના અન્ય દેશોમાં એ.આઈ.સેન્‍ટરોનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, એ બાબત આપણા જેવા સામાન્ય નાગરિકોને ખબર હોય તો માહિતી માટેનું વિશાળ માળખું ધરાવતા વડાપ્રધાન કાર્યાલયને એની જાણ ન હોય એ શક્ય નથી.

    આ આખા મામલે મૂળ મુદ્દો એ છે કે ભારત જળતંગી ધરાવતો દેશ છે. વીજતંગી પણ અહીં કાયમી સ્થિતિ હોય છે. અધૂરામાં પૂરું જળવાયુ પરિવર્તનને કારણે ગરમીનો પ્રકોપ વરસોવરસ વધી રહ્યો છે, જે જળ અને વીજળી બન્નેની માંગમાં પ્રચંડ વધારો કરે છે.

    આ કેન્‍દ્રો થકી પેદા થતા રોજગારની વાત કરીએ કે જે મુદ્દાને આગળ કરવામાં આવ્યો છે, અને મહત્ત્વનો ગણાવાયો છે. ડેટા સેન્‍ટરને જુદી જાતનાં ગોદામ કહી શકાય. સેંકડો કે હજારો ચોરસ ફીટ વિસ્તારમાં તે પથરાયેલાં હોય છે. એક વાર તે કાર્યરત થઈ જાય એ પછી મુઠ્ઠીભર ટેક્નિશ્યન અને ઈજનેરો થકી તેનું સંચાલન કરવામાં આવે છે. અન્ય ઉદ્યોગોની જેમ આ સ્થાને કોઈ ટેક્નોલોજીને વિકસાવવામાં આવતી નથી કે જેમાં લોકોને તાલીમ આપવામાં આવે. વિશાળ વિસ્તારમાં પથરાયેલાં આ કેન્‍દ્રોમાં રાક્ષસી કદનાં એ.આઈ.મોડેલનું સંચાલન થાય છે, જે સુપર કમ્પ્યુટરની જેમ ડેટા એટલે કે વિગતોને સંઘરે છે. આપણા દેશના પાટનગરમાં સુધ્ધાં જનસામાન્યને પીવાના પાણીની અને વીજળીની તંગી છે, અને પૂરતો પુરવઠો મળે એવી વ્યવસ્થા દેશની આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ગોઠવી શકાઈ નથી, ત્યાં બીજા નગરો, શહેરો કે રાજ્યોની વાત જ ક્યાં કરવી! આ સંજોગોમાં એ.આઈ.સેન્‍ટરો દ્વારા ઓહિયાં થઈ જતો જંગી માત્રામાં પાણી અને વીજપુરવઠો કોના ભાગેથી છીનવાઈને ત્યાં પહોંચશે એની કલ્પના કરવાની જરૂર ખરી?

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    જમીનના મુદ્દાને પણ અવગણવા જેવો હરગીઝ નથી. ગૂગલ, અમેઝોન અને મેટા જેવી રાક્ષસી કદની કંપનીઓએ, ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં જમીન મેળવવા માટે અદાણી જૂથ અને રિલાયન્‍સ જૂથ સાથે હાથ મિલાવ્યા છે. આમાંની ઘણી બધી જમીન પર્યાવરણની રીતે સંવેદનશીલ પ્રદેશોમાં છે, પણ બીજી તરફ સરકાર લીલીછમ વાડીઓ અને ખેતીની જમીન પર કબજો વધારી રહી છે. આમ કરવામાં તેમના માર્ગમાં આવતી ઝૂંપડપટ્ટીઓનો નિર્દયતાપૂર્વક સફાયો કરાઈ રહ્યો છે. કેમ કે, કરોડો ડોલરનું રોકાણ આ રીતે ઠલવાઈ રહ્યું છે. મહિલા પત્રકાર લતા જિષ્ણુએ ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં આ હકીકતને ઊજાગર કરી છે. અહેવાલમાં જણાવાયા અનુસાર આ પૈકીનો સૌથી મોટો પ્રકલ્પ દસ હજાર કરોડ ડોલરનો છે, જે અદાણી જૂથનો છે. આ પ્રકલ્પ અંતર્ગત ૨૦૩૫  સુધીમાં પાંચ ગીગાવૉટની ક્ષમતા ધરાવતાં એ.આઈ.ડેટા સેન્‍ટર બનાવવાની યોજના છે. એમાંથી ગૂગલ કંપનીના સહયોગમાં સ્થપાનારું વિશાખાપટણમ ખાતેનું બે ગીગાવૉટની ક્ષમતા ધરાવતું એ.આઈ.ડેટા સેન્‍ટર સૌથી વધુ ક્ષમતા ધરાવતું સેન્ટર હશે. તેના માટે ગૂગલને ૪૮૦  એકર જેટલી વિશાળ જમીન દરિયાકાંઠાના વિસ્તારમાં ફાળવવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર પર્યાવરણની રીતે અતિ સંવેદનશીલ છે, અને પહેલેથી જ પર્યાવરણને લગતા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે.

    એ યાદ રાખવું રહ્યું કે અનેક દેશોમાં થઈ રહેલો એ.આઈ.સેન્ટરો સામેનો વિરોધ એ.આઈ.ની સામાજિક અસરો અંગેનો નહીં, પણ પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો અંગેનો છે. વિવિધ ભૌગોલિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ તેમજ વિભિન્ન રાજકીય વિચારધારા ધરાવતા દેશોમાં થઈ રહેલો પ્રચંડ વિરોધ એ બાબતનું પ્રમાણ છે કે સૌ આ બાબતે સમાન રીતે ચિંતિત છે.

    વડાપ્રધાને એ.આઈ.સેન્‍ટરોને આવકાર્યાં છે, તો રાજ્ય સરકારો તેમને માટે પાણી અને વીજળીના વપરાશ પર સબસિડી આપી રહી છે. સામાન્ય નાગરિકો વીજળીના કમરતોડ દર ચૂકવે અને આવી કંપનીઓને સબસિડી!

    પર્યાવરણ ક્ષેત્રના કર્મશીલો તેમજ વિવિધ નાગરિક સંગઠનો ઘણા સમયથી આનો વિરોધ કરી રહ્યાં છે, પણ એની ખાસ અસર નથી. પરિસ્થિતિ એવી છે કે વાજબી કારણોસર વિરોધ કરનાર રાષ્ટ્રદ્રોહીમાં ખપી જાય છે. એ.આઈ.સેન્‍ટરના આવા પ્રચંડ પ્રકલ્પોથી ભવિષ્યમાં સંબંધિત વિસ્તારની પર્યાવરણીય સ્થિતિ કઈ હદે કથળશે એની કલ્પના જ કરવી રહી.

    સરકારની તરફેણમાં કામ કરતા સત્તાતંત્ર પાસે કોઈ ન્યાયી પગલાંની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એમાંય ખુદ વડાપ્રધાને નોંતરું આપીને લાલ જાજમ બિછાવડાવી હોય પછી કયા અધિકારીની મગદૂર છે કે સામો હરફ કાઢે?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૬ ]

    આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની બાલ્યકાળથી શાળા જીવન  સુધીની યાત્રાની કેડીની સફર કરી.
    હવે આગળ…….

    કોલેજના મિત્રો

    કોલેજમાં મારા ઘણા મિત્રો થયાં, એમાં રજનીભાઈએ મને ટ્યુશન કરીને થોડી ઘણી આવક કરવા પ્રેરિત કર્યો, તેમણે આજીવન મારી સાથે મિત્રતા નિભાવી. પ્રદીપ શાહ પહેલા સાયન્સ કોલેજમાં અને પછી એન્જિનિયરિંગ કોલેજમાં પણ મારી સાથે હતો. અને અત્યારે હ્યુસ્ટન, અમેરિકામાં પણ અમે ભેગા થઈ ગયાં. આજે પણ અમે બંને મિત્રો ભેગા થઈને અમારા તે સંસ્મરણો વાગોળીએ છીએ. એવી રીતે જ બીજા મિત્રોમાં મનહર રાઠોડ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતાં. અમે બંને એકબીજાના ઘરે અવાર-નવાર આવતા જતાં.

    કોલેજમાં મારી નજીક એક છોકરી બેસતી હતી, તેનો રોલ નંબર ૧૧૦ હતો, એટલે અમે મિત્રોએ એનું ઉપનામ ૧૧૦ રાખ્યું હતું. મને મનોમન એ ગમવા મંડી હતી. મનમાં ને મનમાં રમાયેલી અને આગળ ન વધેલી એ એક તરફી પ્રેમની અને મારા એકાકીપણાની વ્યથા મારા મનમાં કવિતા રૂપે પ્રગટ થઈ. ‘ક્ષોભ’ નામની એ મારી પ્રથમ કવિતા હતી.

    ક્ષોભ

    ક્યારેક મન થઈ શંકિત,
    પૂછે પ્રશ્ન પોતાને,
    શું નથી મંજૂર વિધાતાને,
    તારું ને મારું મિલન?

    ત્રણ વખત મળી તું,
    જોઈ મેં તને, પરંતુ,
    ન ચડ્યો હું તવ દ્રષ્ટિમાં,
    ને હું ય કેમ બોલાવું તને,
    જ્યારે હોય કો તુજ સાથમાં?

    અવ જ્યારે મળશે તું,
    કહેવા આતુર હૈયું આ,
    વિચારી વિચારી ફરી
    મિલન સમયે,
    હોઠ બંધ થઈ જતાં
    શાને?

    ‘ક્ષોભ’ માં મારી અવસ્થાનું વર્ણન કરતી છેલ્લી પંક્તિઓ “વિચારી વિચારી મિલન સમયે હોઠ બંધ થઈ જતાં શાને?” મોટાભાગના યુવાનોની વ્યથા અને અવસ્થાનો પ્રશ્ન છે કે પ્રેમનો એકરાર કરવો છે, શું કહેવું, શું ના કહેવું બધું જ વિચારી રાખ્યું છે, પણ પ્રેમિકા પ્રત્યક્ષ આવે ત્યારે મોંઢામાંથી એક શબ્દ નીકળે નહીં, સાવ મૂંગા થઈ જવાય, અને પછી એ પળ ચાલી જાય, એટલે હતાશા અને નિરાશા છવાઈ જાય. એક બે મહિના પછી પાછી બીજી કવિતા “અનિલ” લખી, તેની પણ છેલ્લી પંક્તિઓ “કળી કરમાય, કૂંપળ સુકાય, ડાળી બટકે, પાન ખરે, વૃક્ષ સુકાય, વિના વસંતે, મુખ કરમાય, હૈયું સુકાય, ભાવના તૂટે, આંસુ ખરે, મન દુભાય, જીવનસાથી વીના.” સગાં-વહાલાં અને આટ-આટલાં મિત્રો હોવા છતાં મારી એકાકીપણાની એ અવસ્થા હતી. પછી તો એ મારી પ્રેમની વ્યથા અને એકાકીપણાથી ચાલુ થયેલી કવિતાઓ રૂપી સફરમાં સમયની સાથે-સાથે, જીવનના તડકા-છાંયડાંમાં, સંવેદનાઓના વિરાટ સમુદ્રમાં હાલકડોલક થતી નાની હોડી જેવી મારા હ્રદયની ઘણી બધી ભાવનાઓને પાનાંઓ ઉપર ઉતારતો રહ્યો.

    ઇન્ટર સાયન્સમાં સારા માર્કે પાસ થયો, અને મુંબઈની જ વી.જે.ટી.આઈ. (વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, માટુંગા) કોલેજમાં મિકેનિકલ એંજિનિયરિંગમા એડમિશન લીધું. અત્યાર સુધી માત્ર ચાર વિષયમાં સારા માર્ક લાવવા માટે ધ્યાન આપવું પડતું હતું, પણ એંજિનિયરિંગના પહેલા વર્ષમાં જ ૯ વિષયો હતાં એટલે પહેલા વર્ષની પરીક્ષામાં ૯ માથી ૬ વિષયોમાં પાસ થયો અને ૩માં નાપાસ થયો. આખું વર્ષ પાછું કરવું પડ્યું. મહેનત કરીને ઓક્ટોબરમાં બધા વિષયોની ફરી પરીક્ષા આપી. આખી યુનિવર્સિટિમાં ૩૦૦માંથી બીજે નંબરે પાસ થયો. બીજું વર્ષ જૂનમાં ચાલુ થવાનું હતું માટે છ મહિનાનો અવકાશ હતો. મારા એક મિત્રએ મને ફિનલે મિલ્સમાં સ્ટેટિસ્ટિક્સ વિભાગમાં નોકરી અપાવી. મહિને રૂપિયા ૨૪૦નો પગાર હતો. પહેલા મહિનાનો પગાર મેં મારા કાકાના હાથમાં મૂક્યો તો એ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. બરાબર એ સમયે મારી શાળાનો મિત્ર સુરેશ દાણી ફરી મારા સંપર્કમાં આવ્યો. મારી જેમ તે પણ પહેલા વર્ષમાં નાપાસ થયો હતો. મોટાભાગના મારા શાળાના મિત્રો મારી સાથે મારી કોલેજમાં જ હતાં. સુરેશ દાણી અને હું બંને નાપાસ થયાં હતાં એટલે સાથે ભણતા. પણ સુરેશને મારું મિલમાં નોકરી કરવું નહોતું ગમતું. તેણે મને ઘણો સમજાવ્યો કે આપણે બંને ટ્યુશન કરીએ, એક-બે ટ્યૂશનમાં જ બસોથી અઢીસો રૂપિયા ક્માઈ લેશું, મિલમાં કામ કરવાની જરૂર નથી. અને થયું પણ એમજ, એણે મને ટ્યૂશનો અપાવ્યા અને હું મહિને ૭૦૦ થી ૮૦૦ રૂપિયા કમાતો થઈ ગયો.

    હું મોટાભાગે સુરેશ દાણીને ઘરે જ સમય વિતાવતો. એક દિવસ એના પિતા પ્રાણજીવન કાકાએ મને કહ્યું, “મારે તારી જરૂર છે, આ તારો મિત્ર અમારા જ માળામાં રહેતી એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને એને લીધે જ નાપાસ થયો છે, એનું ધ્યાન ભણવામાં ઓછું ને એ છોકરીમાં વધારે રહે છે, તું એને સમજાવ કે ભણવામાં ધ્યાન આપે અને એ છોકરીથી દૂર રહે.” મેં કહ્યું,”ભલે કાકા હું પ્રયત્ન કરીશ.” ત્રણ-ચાર મહિના પછી મેં કાકાને કીધું કે,”મેં ખૂબ કોશિશ કરી પણ એને માટે એ છોકરીને ભૂલવાનું શક્ય નથી, એ બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે.” તેમનાં મા-બાપે નિર્ણય લીધો અને લગ્ન નક્કી કરીને એમને પરણાવી દીધા. મારો મિત્ર સુરેશ દાણી એની પ્રેમિકા મંજુલા સાથે પરણી ગયો અને ૫૦ વર્ષથી દાંપત્ય જીવનનો આનંદ માણી રહ્યો છે. પરિવારની સહાયતાથી તે પોતાની મહત્વાકાંક્ષા રૂપે સફળ કોચિંગ વર્ગો સ્થાપી શક્યો. તેનું માનવું છે કે ભારતમાં જ કોઈ પણ યુવાન સફળ થઈ શકે છે અને વિદેશ જવાની જરૂર નથી. તેણે પોતાના ત્રણે પુત્રોને એંજિનિયરિંગમા સ્નાતક કર્યા અને વિદેશ મોકલવાને બદલે એના જ વ્યવસાયમાં સ્થાયી કર્યા.

     એંજિનિયરિંગ કોલેજમાં ગુજરાતી મંડળ

    વી.જે.ટી. આઈ.માં અમે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી. હું પ્રમુખ અને મારો ખાસ મિત્ર પ્રવિણ પાઠક ઉપપ્રમુખ બન્યા.  એક રંગસંધ્યાનું આયોજન કર્યું. ભવંસમાં સ્પર્ધામાં નાટક રજૂ કર્યું. નાટકમાં નારી પાત્ર ભજવવા માટે છોકરી ક્યાંથી લાવવી?  પ્રવિણ પાઠકે રૂઈયા કોલેજમાં ભણતી નલિની ગોકળગાંધીને તૈયાર કરી.  ગણિત, વિજ્ઞાન અને યાંત્રિક કોલેજને અમારા ગુજરાતી મંડળે સાહિત્ય રસિક અને કલાપ્રેમી બનાવી. પ્રમુખ તરીકે એક વસ્તુ શીખવા મળી.  તમારી સમિતિમાં જે કાર્યકરો હોય તેમની નિષ્ઠા, સમર્પણ સફળતા લાવે છે.

    મિત્રની સ્મૃતિ

    ૧૩ સપ્ટેંબર ૨૦૧૮ને દિવસે કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. કાકીનું ઋણ તો જન્મોજન્મ ચુકવી શકાય તેમ નથી તે છતાય કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. તે નિમિત્તે એક ભોજન સમારોહનું આયોજન મેં મુંબઈમાં કર્યું.  થોડા મિત્રો અને સગા વહાલાને બોલાવ્યા હતાં. તે વખતે મારા એક અંગત મિત્ર મનહર રાઠોડને આમંત્રણ આપવા હું તેના ઘરે ગયો ત્યારે તેણે જે વાત કરી તે ચોંકાવી નાખે તેવી હતી.

    ૧૯૭૧માં મનહરે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવ્યું. મુંબઈથી અમેરિકા જતા પહેલા મનહર વીરપુર જલારામ બાપાના દર્શને ગયો. વીરપુરની યાત્રાથી પાછા ફરતા તેની બસનો અકસ્માત થયો. બસ ઊંધી પડી ગઈ. મનહરને માથામાં ચોટ લાગી અને તે પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો. મનહર બધા સામે જોયાં કરે પણ કોઈને ઓળખી ના શકે. લગભગ છ મહિનાની સારવાર પછી કુટુંબનાં માણસોને ઓળખતો થયો. મુંબઈ આવી મનહર ફરીથી કક્કો બારાખડી શિખ્યો. દરેક ધોરણનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમાં તેનાં સગા અને મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. પછી કોલેજનાં ૨ વર્ષ અને એંજિનિયરિંગના ૪ વર્ષનાં પુસ્તકોનો અભ્યાસ કરી પોતે સિવિલ એંજિનિયરિંગ ગ્રેજ્યુએટ છે એમ સાબિત કરી નોકરી મેળવી.  મિત્રોના સહકારથી તેણે મકાન બાંધકામના ધંધામા ઝંપલાવ્યું અને ખૂબ કમાયો.

    આ મનહર જ્યારે કાકીના ભોજન સમારોહમાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને અમારા કોલેજનાં એ દિવસો યાદ છે જ્યારે તે એક દિવસ મારા ઘરે આવ્યો હતો. મેં તેના માટે ખિચડી શાક બનાવી જમાડ્યો હતો.

    મને એમ કે મનહરની સ્મ્રુતિ પુસ્તકોનાં અભ્યાસથી પાછી આવી હતી. પણ ૧૯૬૪માં બનેલ ઘટના કોઈ પુસ્તકમાં નહોતી. હવે મને શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયાં કે મનહરની સ્મ્રુતિ સંપૂર્ણપણે વાપસ લાવવા.માટે જલારામ બાપાનાં જ આશીર્વાદ છે.

    નંદ શોદા સ્વરૂપ કાકા કાકી

    કાકી મારા જીવનમાં હું ૧૨ વર્ષનો  હતો ત્યારે આવ્યા. ત્યારે  હું ખૂબ નાદાન અને જિદ્દી હતો. કાકા કાકીને મેં ઘણા તંગ કર્યાં. પરંતુ કાકાએ મારા માબાપને વચન આપેલ તે પાળીને મને મોટો કર્યો. અમારા દરજી કુટુંબમાં છોકરો ૧૪ વર્ષનો થાય એટલે તેને ધંધે લગાડી દે. દરજીનો દીકરો, જીવે ત્યાં સુધી સિવે. ભણવું હોય તો ભણો પણ સાથે સાથે દરજીકામ પણ શીખે. અન્ય સગાં વહાલા કાકા પર દબાણ લાવતા હતાં કે આ છોકરાને કામ શીખવો. એકલા ભણતરથી કંઈ વળવાનું નથી. પરંતુ કાકા અડગ રહ્યા. મને ભણાવ્યો, ગણાવ્યો. વર્ષો પછી મને સમજ આવી કે બંને કાકા કાકીએ મારા માટે કેટલો ભોગ અને ત્યાગ આપ્યો.  મારી બાના અવસાન પછી મેં કાકીને ભેટી પડીને રડતે મુખે કબૂલ કર્યું કે કાકી, મેં તમને  ઓળખવામાં ભૂલ કરી છે.  તમે તો મારા યશોદા મા છો. મારી જન્મદાતા મા તો મારા મામાને ત્યાં જતી રહી હતી, પણ મને મોટો કરવાનો, સંસ્કારો આપવાનો અને ઉચ્ચ શિક્ષણ આપવાનો ખરો યશ તો તમને જ અપાય. એ એકરાર પછી કાકી અને મારા સંબંધોમાં સોનામાં સુગંધ પૂર્યા જેવું થયું.

    કાકા કાકી અંધેરી જે રૂમમાં રહેતા હતાં તેમાં ૨૦૦૧ થી ૨૦૦૫ સુધીમાં ૪ વખત ૫ થી ૭ ફૂટ જેટલું  પાણી ચોમાસા દરમ્યાન ભરાઈ જતું.  ૨૦૦૭ માં તેમને માટે એક ફ્લેટ પહેલે માળે લીધો અને પાણીનો પ્રશ્ન ટળી ગયો. ૨૦૧૦માં કાકાના અવસાન પછી કાકી ૬ વર્ષ ત્યાં રહ્યાં. નિવૃત્તિમાં હું અવારનવાર મુંબઈ આવન જાવન કરતો.  કાકી સાથે રહેતો. સુખ દુઃખની વાતો કરતા  ભૂતકાળની સ્મ્રુતિ તાજી કરતા અને આનંદથી સમય પસાર કરતા. કાકીએ અમને ભાઈ-બહેનને સંપીને અને એકમેકની સાથે પ્રેમ આનંદથી રહેવાની શીખ અને પ્રેરણા આપી છે જે અમને જીવનભર યાદ રહેશે. તેમના પુત્ર ભરતભાઈ મારા કપડા માપસર બંધબેસતા સીવી આપે છે અને નાનો પુત્ર યોગેશ મારું મુંબઈને લગતું કાર્ય નિષ્ઠાથી કરી આપે છે.

    વહાલના સ્રોત સમા એ કાકી પણ અમને સૌને રડતા મૂકી ફેબ્રુઆરી ૨૦૨૨માં દેવલોક સિધાવી ગયાં.

    વિહંગાવલોકન

    મારું જીવન નસિબવંતુ છે.  બાળપણમાં દાદીમા, આઠ વરસ સગી જનેતા, પછી કાકી, અમેરિકામાં વહાલસોયી પત્ની, મારી બા, અને બે પુત્રીઓનો ભરપુર સ્નેહ મને મળ્યો છે. મારા જન્મ પછી ભારતને આઝાદી મળી. ૨0-૨૨ વર્ષો સોનેરી કાળ સમા હતાં.  એવો જ સોનેરી કાળ અત્યારે હ્યુસ્ટનમાં પ્રતિત થાય છે.  દરેક કોમનાં લોકો  અહીં  હળીમળી રહે છે. સાહિત્ય, ધર્મ, કલા અને સામાજિક કાર્યક્રમોમાં સમય સુંદર રીતે પસાર થાય છે.  જનસેવા અને પ્રભુસેવાના અનેક મોકા મળતા રહે છે. ખરેખર, સૌનો પ્રેમ અને સહકાર પામી ૭૫ વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે ખબર જ ન પડી.

    આશા છે કે જન્મોજનમ મને આ સહકારની કેડી મળ્યા કરે અને જીવનને નવપલ્લવિત કર્યા કરે.

    અસ્તુ.


    સમાપ્ત


    હવે પછી  – સપના વિજાપુરા : જિંદગીકા સફર