-
એવું કંઇક કરીએ જે બીજાં માટે પ્રેરક કહાની બની રહે
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
મારાં વ્યવસાય-વિશ્વને કર્મચારીઓ થકી
ઘડવામાં મને ક્યારેય રસ નથી પડ્યો.હા, લોકો દાખલ જરૂર કર્મચારીઓ તરીકે થાય છે.
પરંતુ અમે એવું વાતાવરણ રચીએ છીએ કે એ લોકો
ઉદ્યોગ સાહસિક તરીકેની ભાવનાથી ખીલે.એમાંથી કેટલા ઉદ્યોગ સાહસિકો પણ પાકે છે. .
– કેટલાક અમારી EightQor પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થામાં નીવડે છે.
– કેટલાક બહાર જઈને ઉભરે છે.જીત તો બન્ને કિસ્સાઓમાં છે.
કેમકે સંસ્થા માટે ખરાં પરિણામ
તેનં ઉત્પાદનો કે તેણે ઊભી કરેલી નવી કંપનીઓ જ નથી.એ તો નવઘડતર કરનારાંઓ છે.
મારૂં કામ એ મોકળાશ ઊભી કરવાનું છે.
તમારૂં કામ છે એવું કંઇક કરવાનું જે બીજાં માટે પ્રેરક કહાની બની રહે.
+ + +
પાદ નોંધઃ
થોડા દિવસો પહેલાં મેં વિનય કામથનું પ્રેરક પુસ્તક, Titan: Inside India’s Most Successful Consumer Brand વાંચ્યું હતું.પરંતુ એ પુસ્તક પરથી બનેલી વેબસિરીઝ જોવા માટે મને આગ્રહપૂર્વકનું સૂચન ૬,૨૩૦ કિ. મી.. દૂર બેઠેલ કવિતાએ કર્યું.
મને એ સૂચન બહુ જ આનંદદાયક નીવડ્યું.
ઘણી વાર આપણે કેટલીય વાતો જાણતાં હોઈએ છીએ.
પરંતુ એ વિશેનો કોઈ અલગ જ અનુભવ આપણામાં નવો જ દૃષ્ટિકોણ ખોલી આપે છે.
આ વેબ સિરીઝ જોવી એ પણ એવો જ એક અનુભવ રહ્યો..
હવે મારી અંદર માત્ર કંપનોઓ કે કપનીઓનું ઝુમખું નહીં, પણ Tata Group જેવી સસ્થાનું ઘડતર કરવાનો તણખો પ્રગટ્યો છે.
+ + +
થોડાં વર્ષો પછી #LifeAtUpsquare યાદ કરીને કહેશે – ‘ટાઈટન યાદ આવે છે?”
રૂમમાં બેઠેલ દરેકને બરાબર ખ્યાલ આવી જશે કે શેની વાત થઈ રહી છે.
ગયે અઠવાડીયે, અમે બધાંએ એક સાથે વેબસિરીઝ Made in India: A Titan Story જોઈ.એક બેઠકે નહીં.
દરરોજના બબ્બે કલાક કરીને ત્રણ દિવસ લાગ્યા.
પહેલે દિવસે મધ્યાંતરમાં બધાંએ પૉપકૉર્નની મજા માણી.
બીજે દિવસે બધાં પોતાનાં લચબોક્ષમાં કંઈક ને કંઇક વાનગીઓ લઈ આવ્યાં હતા. શાળાના દિવસોની જેમ બધાંએ દાબડા ઉજાણી કરી. અમારી ટેક કંપની એ દિવસે શાળાના રિયુનિયનના મુડમાં ફેરવાઈ ગઈ હતી.
ત્રીજે દિવસે સિરીઝ પુરી થઈ એટલે ટેરેસ પર પાણીપુરીની જ્યાફત પણ માણી.
આ બધાં વચ્ચે અમે સંસ્થાના ઘડતરની પરિકલ્પનાનું ચિત્ર પણ મનમાં દોરી લીધું.
જ્યારે પરિણામોમાં અનિશ્ચિતતા દેખાતી હોય ત્યારે ધીરજ રાખવાનું મૂલ્ય સમજાયું.
પુરાવો દેખાય તે પહેલાં ભરોસાની પ્રતિતી કરવાનું સમજાયું.
કંઇ પણ નિશ્ચિત, નક્કર દેખાવા લાગે તે પહેલાં તેની પાછળ લાગેલી વર્ષોની જહેમતની કિંમત સમજાઈ.
પરંતુ, કોઈ અનુભવને સાથે અનુભવવાની ખરી ખુબી પછીથી કળાવા લાગે છે.
કંપનીના દરેક સભ્ય પાસે હવે એક સમાન સદર્ભ રેખા છે.
મહિનાઓ પછી જ્યારે કોઈ વાત સમજાવવાની થશે ટાઈટનના કોઇ વિચારનાં દૃશ્યોને જ યાદ કરાવવાનાં રહે. તો કોઈએ ટાઈટનનાં કોઈ પાત્ર, કે નિર્ણય-પ્રક્રિયા કે પેલી મુશ્કેલ ઘડીઓની યાદ કરાવવાની રહે.
ચર્ચાઓ માટે મિટિંગો કે પ્રેઝન્ટેશન વગેરે , કદાચ, જરૂર જ ન પડે.
સંદર્ભ તો બધાંની આંખ સામે જ છે.
#Upsquareની બાબતે પણ આપણે એવું જ વિચારતાં થઈશું.
દરેક કંપનીની પોતપોતાની ભાષા, ધીમે ધીમે, વિકસવા લાગે છે.
કંઈક કામ શીખવે છે.
કંઈક નિષ્ફળતાઓ શીખવી જાય છે.
કંઈક લોકો અંદરોઅંદર એ બીજને વિકસાવી લે છે.
તો કેટલુંક સાથે રહીને થયેલા અનુભવો શીખવવાનું સિંચન કરે છે.
કંપનીની સંસ્કૃતિના મૂળિયાં કંપનીના લોકોનાં સંસ્મરણોનાં જાળાંઓના સમુહોમાં કાયમનો વસવાટ કરે છે.
માટે જ, જે યાદો આપણે સર્જીએ છીએ તે વિશે થોડું વધારે વિચારશીલ થઈએ.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સજા ન કરીએ, સુધારવાની તક બતાવીએ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
ઘણી સંસ્થાઓમાં આ મુજબની કાર્યપ્રણાલી જોવા મળે છે –
સંસ્થાની કાર્ય પ્રક્રિયાઓનું ઘડતર ISO જેવાં કેટલાંક ચોક્કસ માપદંડો કે ધારાધોરણોને પ્રમાણિત કરવાના ઉદ્દેશ્યથી થતું હોય છે. સમગ્ર સંસ્થામાં એ કાર્ય પ્રક્રિયાઓ એમ સમાન રીતે અમલ કરવામાં આવતી હોય છે. પરિણામે કાર્ય પ્રક્રિયાઓ કર્ય કરવાની સ્વાભાવિક લય ચુકીને માત્ર નિશ્ચિત ધારાધોરણનાં અનુપાલનનું માધ્યમ બની જાય છે. કેટલીકવાર, સંસ્થાના સંચાલન અગ્રણીઓ વ્યક્તિઓના કાર્યસિદ્ધિ પ્રદર્શનને અનુપાલનના સ્તરની સાથે જોડવાની જાળમાં ફસાઈ જાય છે. પરિણામે, સંસ્થામાં “મર્યાદા”સિમિત માનસિકતાનું વાતાવરણ ઘેરાઈ જાય છે. જો લોકો અનુપાલન કરવામાં અસફળ રહે, તો તેમને સજા કરવામાં આવતી હોય છે. આપણે પ્રક્રિયા પાલનના એટલે હદે હઠાગ્રહી બનવા લાગીએ છીએ કે લોકો વાસ્તવિક અને વ્યવહારિક સ્તર મુદ્દાઓનો સામનો કરી રહ્યાં હોય છે તે આપણી નજરમાં નથી આવતા.
મેં મારાં પુસ્તક “#QUALITYtweet – 140 bite-sized ideas to deliver quality in every project” માં લખ્યું છે કે પ્રક્રિયાને ગુણવત્તા ઘડતરના સાધન તરીકે નહીં ગણીએ, તો પ્રક્રિયા આપણને દોરવણી આપવાની વૃત્તિ ધરાવવા લાગે છે.
મારા મતે આમ થવું ખૂબ જ પ્રતિ-ઉત્પાદક છે. પ્રક્રિયા સુધારણા માટે જવાબદારા અગ્રણીઓ માર્યાદા-સિમિત માનસિકતાનાં કોચલામાંથી બહાર નીકળીને પ્રક્રિયા અમલનો અભ્યાસ કરે તે જરૂરી છે.
લોકો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી, ત્યારે તેનો અર્થ એ થાય છે કે કાં તો તેઓ પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી અથવા પ્રક્રિયાની જે રીતે બાંધણી કરાઈ છે તે તેમના માટે કામ કરતી નથી. બંને કિસ્સાઓમાં, પ્રક્રિયાને મૂળથી સુધારવાની તક છે.
અહીં કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે જે જ્યારે કોઈ પ્રક્રિયા કામ કરતી નથી ત્યારે આત્મનિરીક્ષણમાં મદદ કરી શકે છ, :
- શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ખરેખર લોકોને તેમનું કાર્ય વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે?
- શું લોકોને જાણે છે કે આ પ્રક્રિયા શા માટે જરૂરી છે અને તે તેમને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકે છે? શું તેઓ આ પ્રક્રિયા રાખવા પાછળના હેતુ વિશે સ્પષ્ટ છે?
- શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ને એવી રીતે વધુ સરળ બનાવી શકાય જેથી જે છે એટલી , કે વધુ સારી રીતે, અસરકારક બની રહે?
- શું કોઈ એવું કાર્ય નજરે ચડે છે કે જે વર્તમાન પ્રક્રિયાઓના સમૂહમાં આવરી લેવાયેલ નથી?
- શું લોકોને પ્રક્રિયા કેવી રીતે કરવી તેની પુરતી જાણ ન હોય તો વધારાની કેવી અને કઈ તાલીમ/કાઉન્સેલિંગની જરૂર છે? શું સસ્થા પાસે એ માટે જરૂરી માર્ગદર્શન/સંદર્ભો ઉપલબ્ધ છે?
- શું સંસ્થામાંના મધ્યમ સ્તરમાં આવેલા સંચાલકો પ્રક્રિયાઓ રાખવા માટેના સંસ્થાના દૃષ્ટિકોણ સાથે વૈચારિક અને લાગણીના સંબંધે સંકળાયેલા છે, તેમની ટીમનાં સભ્યો પ્રક્રિયાને સહેતુક અનુસરે એ માટે પોતાનાં વાણી અને વર્તનથી યોગ્ય દાખલો બેસાડી રહ્યા છે?
મુખ્ય વાત: પ્રક્રિયાઓનો અમલ કરતી વખતે વ્યવહારિક અભિગમ અપનાવાય એવું વાતાવરણ સર્જાતું અને જળવાતું રહેવું જરૂરી છે.જ્યારે પ્રક્રિયાઓનું પાલન ન થતું હોય, ત્યારે લોકોને તરત જ ટપકારવાને બદલે, ઘણીવાર “શા માટે?” (પાલન નથી થઈ શકતું) એમ પૂછવું જોઈએ. પાલન ન કરવાના મૂળ સુધી પહોંચવાથી તમને વાસ્તવિક સમસ્યા શું છે તે જાણવા મળશે. પાલન ન થવું એ ફક્ત એક દેખીતી ઘટના છે. યોગ્ય પ્રશ્નો પૂછવામાં અને તેમના જાવાબો શોધવામાં, તેમજ પ્રક્રિયા ખરેખર હેતુને પૂર્ણ કરેવા માટે સુસંગત અને પર્યાપ્ત છે તેનું મૂલ્યાંકન કરવામાં તમારી ટીમના દરેક સભ્યને સામેલ કરો.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સમાજની આધુનિકતા શેનાથી મપાય?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કોઈ સ્ત્રી માતા બને એ સમાચાર નથી. કોઈ મહિલા મેયર માતા બને એ પણ સમાચાર ન હોવા જોઈએ. આવી ઘટના સમાચાર ત્યારે બને, જ્યારે લોકોને તેમાં કંઈક અસામાન્ય જણાય. ઘણી વાર અમુક સમાચાર કરતાં વધુ રસપ્રદ લોકોની પ્રતિક્રિયાઓ હોય છે, જે સૂચવે છે કે સમાજ હજી અનેક પૂર્વગ્રહો, માનસિકતાઓ કે ગ્રંથિમાંથી બહાર આવ્યો નથી.
તાજેતરમાં જાપાનમાં કંઈક આવું જ બન્યું.
યાવાતા શહેરનાં ૩૫ વર્ષીય મેયર શોકો કાવાતાએ જાહેર કર્યું કે પોતે માતા બનવાનાં હોવાથી ચાર મહિના માટે પ્રસૂતિ રજા(મેટરનીટી લીવ) લેશે. વાત બહુ સીધીસાદી અને આટલી જ છે, પણ તેણે જાપાન આખાને ચર્ચાના ચકડોળે ચડાવ્યું. અખબારોમાં એના વિશે તંત્રીલેખો લખાયા, આમ કરવું યોગ્ય કહેવાય કે નહીં એ બાબતે અભિપ્રાયો મંગાવાયા કે સર્વેક્ષણો યોજાયાં. ટીવી ચર્ચાઓ થઈ. સમગ્ર ચર્ચાનું કેન્દ્ર એક જ સવાલ હતો અને તે એ કે એક મેયર માતૃત્વ રજા લઈ શકે કે નહીં. આ જાણીને નવાઈ લાગ્યા વિના રહે નહીં કે આવું કેમ? અને એય જાપાન જેવા પ્રગતિશીલ દેશમાં?

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી મૂળ મુદ્દો મેયરના માતૃત્ત્વનો નહીં, પણ એ નિમિત્તે જાપાનીઓની પ્રતિક્રિયાનો છે. હકીકતે જાપાનમાં સામાન્ય નોકરી કરતી સ્ત્રીઓને માતૃત્વ રજાનો અધિકાર છે. એટલે આવી રજાનો વિચાર ત્યાં નવો નથી, બલ્કે સ્વીકૃત છે. પણ ચૂંટાયેલા મેયર માટે એવો કોઈ નિયમ નથી, કારણ કે આજ દિન સુધી કોઈ મહિલા મેયરે આવી રજા લીધી જ નહોતી. કાનૂન ઘડનારાએ કદાચ વિચાર્યું જ નહોતું કે શહેરનું નેતૃત્વ કરતી કોઈ વ્યક્તિ ગર્ભવતી પણ થઈ શકે.
કાવાતાએ એક મુલાકાતમાં કહ્યું કે સંતાનજન્મ કોઈ પુરુષને તેના શરીર પર અસર કરતો નથી; પણ સ્ત્રીને અવશ્ય કરે છે. અને આ બાબત કંઈ અજાણી નથી, બલ્કે એક જૈવિક અને જાહેર સત્ય છે. છતાં આધુનિક કાર્યસંસ્કૃતિ એવી ઊભી થઈ છે કે કર્મચારી કોઈ માણસ નહીં, પણ સતત કામ કરતું યંત્ર હોય. એને ન કોઈ બીમારી હોય, કે ન વૃદ્ધાવસ્થા. માતૃત્વ કે પિતૃત્વ પણ ન હોય. તેણે બસ, કામ કર્યે જવાનું. જાપાનમાં આ પ્રશ્ન વધુ તીવ્ર છે. ત્યાં કામ પ્રત્યેની નિષ્ઠા લગભગ સાંસ્કૃતિક મૂલ્ય ગણાય છે. ‘કરોશી’ એટલે કે ‘અતિશય કામના કારણે મૃત્યુ’ જેવો શબ્દ જાપાને જ દુનિયાને આપ્યો છે. આવા દેશમાં એક યુવા મહિલા મેયર માતૃત્વ માટે રજા ભોગવવાની વાત કરે તેને પગલે રાષ્ટ્રીય ચર્ચા શરૂ થઈ જાય તેમાં આશ્ચર્ય થવું ન જોઈએ. સવાલ એ છે કે શું આ પ્રશ્ન કેવળ જાપાન પૂરતો મર્યાદિત છે? આપણી આસપાસ નજર કરીએ તો ખ્યાલ આવશે કે સ્ત્રી માટે સફળતાની વ્યાખ્યા ઘણી વખત વિચિત્ર હોય છે. તે આગળ વધે, નેતૃત્વ કરે, નિર્ણયો લે એ બધું બરાબર, પણ એ જ સ્ત્રી માતા બને એટલે અચાનક પ્રશ્નો શરૂ થાય છે. તે હવે કામ કેવી રીતે સંભાળશે? તેની વ્યાવસાયિક જવાબદારીઓનું શું? કારકિર્દી માટે તે સમય ક્યાંથી કાઢશે? આવા જ પ્રશ્નો નવા પિતા બનેલા પુરુષને ભાગ્યે જ પૂછાય છે. કેમ જાણે કે સંતાન ભલે ને બંનેનું હોય, પરંતુ જવાબદારી એકલી સ્ત્રીની જ.
આ માનસિકતા જાપાન પૂરતી મર્યાદિત નથી. પરંતુ જાપાનના સંદર્ભમાં એક બીજી વિસંગતિ પણ ધ્યાન ખેંચે છે. તે એ કે જાપાન આજે ઝડપથી ઘટતી જતી વસ્તીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. લગ્નનું પ્રમાણ ઘટે છે, જન્મદર સતત નીચે જઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. સરકાર વર્ષોથી યુવાન દંપતીઓને સંતાનપ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરવાની યોજનાઓ ઘડી રહી છે. એક તરફ સમાજને વધુ બાળકો જોઈએ છે અને બીજી તરફ એક મહિલા મેયર માતૃત્વને કારણે થોડા મહિના માટે જાહેર જીવનમાંથી વિરામ લેવાની વાત કરે છે ત્યારે તેના પર રાષ્ટ્રીય ચર્ચા થાય છે. વસ્તી વધારવાની ચિંતા અને માતૃત્વ પ્રત્યેની માનસિકતા વચ્ચેનો આ વિરોધાભાસ વિચિત્ર ન કહેવાય?
કાવાતા બાબતે એક જાપાની અખબારે યોગ્ય રીતે જ લખ્યું કે પ્રશ્ન એ નથી કે મેયર રજા લે છે; પ્રશ્ન એ છે કે તેમની ગેરહાજરીમાં પણ શહેરનું વહીવટતંત્ર સરળતાથી ચાલે એવી વ્યવસ્થા છે કે નહીં. આ બાબત કોઈ પણ લોકશાહી માટે અગત્યની કહી શકાય. સારા નેતાની ઓળખ એ નથી કે તેના વિના કશું ચાલે નહીં; સારા નેતાની ઓળખ એ છે કે તેના વિના પણ સંસ્થા ચાલતી રહે.
કોઈ પણ સમાજમાં પરિવર્તનની શરૂઆત કેવળ કાયદો લાવી દેવાથી થતી નથી. પહેલાં દૃષ્ટિકોણ બદલવો જરૂરી છે. કાલ સુધી અસામાન્ય લાગતી વાત આજે સહજ લાગે છે. એક સમય હતો જ્યારે સ્ત્રી ડૉક્ટર, ન્યાયાધીશ કે પાયલટ બને એ સમાચાર હતા. આજે એની નવાઈ નથી. એ જ રીતે કોઈ મહિલા મેયર માતૃત્વ રજા લે એ પણ કદાચ આવતી કાલે સમાચાર નહીં રહે. અલબત્ત, એ દિવસ આવશે કે નહીં, એ તો સમય કહેશે. પરંતુ ત્યાં સુધી એક પ્રશ્ન રહેવાનો જ છે : કોઈ સમાજ કેટલો આધુનિક છે, તેનો નિર્ણય તેની ટેક્નોલોજી કરતી નથી; પણ હજી તેને કઈ બાબત અસામાન્ય લાગે છે એની પરથી તે નક્કી થાય છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૭
પ્રીતિ શાહ-સેનગુપ્તા
રાતે ઝરમર વરસાદ પડતો રહેલો. મોડી રાતે બહુ જ વીજળીઓ થવા માંડેલી. હું જાગી ગઈ. મારી ઊંઘ-ઘેરી આંખોએ જોયું, કે રાતનું વાદળ-છાયું કાળું આકાશ રૂપેરી ચમકાટ દર્શાવીને મને કશો સંદેશ આપી રહ્યું હતું.
મને લાગ્યું, કે કોઈ સુંદર ખાનગી બાબત જેવો આ કુદરતી વિસ્તાર મને વધારે રહસ્ય બતાવવા માગે છે.
ન્યૂયૉર્કની મારી યહુદી મિત્ર. એની મસિયાઇ બહેન તે હૅલન. આ જ ઓળખાણ. એને અને રિચાર્ડને હું પહેલી જ વાર મળી. કેટલીક ભેટ એમને માટે લઈ ગયેલી, તે એમને બહુ ગમી. વળી, અમને એકબીજાં સાથે તરત ફાવી પણ ગયું હતું. તો શા માટે ઉતાવળે ભાગી જવું અહીંથી?
સવારે કૉફી અને નાસ્તો કરતી વખતે મેં યજમાન-દંપતીને પૂછ્યું, કે હું બીજો દિવસ રહી જાઉં? એમણે તો મને બે દિવસ રહેવા પહેલેથી જ કહ્યું હતું. મેં જ એક દિવસ રહેવાની વાત કરી હતી. હવે મને જલદી પાછાં જતાં રહેવાની જરા પણ ઇચ્છા નહતી. ને એ બંનેએ ખુશી થઈને, ચોક્કસ, મને બીજી રાત રોકાઈ જવા કહ્યું.
મેં પનામા સિટીની હોટેલ પર ફોન કરી દીધો, કે હું આવતી કાલે પાછી આવવાની છું. એ પછી હૅલને એમના એક સ્થાનિક મિત્રને ફોન કર્યો, કે સાંજની પાર્ટીમાં મને લઈ આવે તો વાંધો છે? એ લોકોને એમના જેવા જ એક દેશાંતરવાસીને ત્યાં, સાવ નજીકમાં, પાર્ટીમાં જવાનું હતું. માર્ક નામના એ ઑસ્ટ્રેલિયન માણસે તો તરત કહ્યું, હા, હા, ચોક્કસ લઈ આવજો. જેમ વધારે લોકો તેમ વધારે મઝા.
પનામા દેશના એક ઊંડા, અંતરાલમાં જવાનું ભાગ્ય મને મળ્યું હતું. કોઈ એકલી પ્રવાસી આવા વિસ્તારમાં આવી જ ના શકે. ગાડી તો જોઈએ જ, પણ આ વિભાગ તો રહેવાસીઓ માટે જ હતો, તેથી અજાણી ગાડીને ગેટની અંદરથી પસાર થવાની રજા પહેરેગીર આપે જ નહીં. જુદી જ જગ્યાએ જીવાતું જીવન જોવાની તક મેં જવા ના દીધી, તે કેવું સારું થયું.
શું અસાધારણ તક હતી આ – આવા કુદરતી પરિસરમાં સમય ગાળવાની. ચારે તરફ શાંતિ, અને પર્વતો કેટલા સમીપે. ઘણા ઊંચા પર્વતો પણ ઠેર ઠેર હતા. રસ્તાના કોઈ વળાંકેથી, કોઈ ઢોળાવ પરથી, પનામા દેશના બે સમુદ્રો – કરીબિયન અને પૅસિફિક- ની ઝલક દેખાઈ જતી હતી. આહા, કેટલા નજીક હતા એ પણ. એમના સુંદર રેતાળ કિનારા પર રહેવાની ઘણી જગ્યાઓ થઈ છે. મનને હવે ત્યાં જવાની ઝંખના થઈ. એ માટે ફરીથી આવવું પડશે આ દેશમાં.
ઘણા કલાકો રિચાર્ડ અને હૅલને ગાડીમાં મને આસપાસના પરિસરમાં ફેરવી. ઊંચા ને નીચા, આમ ને તેમ જતા રસ્તાઓ ક્યારેક ખૂબ સીધા ચઢાણ પર જવા માંડતા હતા. ત્યારે ઊંચાં શિખર અને એમના પરની કાળી શિલાઓ સાવ પાસે દેખાતાં. કૈંક એવું સુભગ દર્શન હતું, કે ફોટા પાડવા જેવી દુન્યવી પવૃત્તિ મારાથી થઈ ના શકી.
ને ત્યાં તો અમે ક્યાંક નીચે ઊતરી આવ્યાં હોઈશું, ને સાવ અચાનક જાણે એક ગામમાં આવી પહોંચ્યાં. “લ વાલે” – એટલે “ધ વૅલી” કહેવાતું ગામ, અને પહોળા એક મેદાન જેવી ખીણમાં વસેલું. ફરવા આવનારાં પ્રવાસીઓને માટે અહીં કેટલીક હોટેલો, રૅસ્ટૉરાઁ, દુકાનો, સિનેમા વગેરેની સગવડો થઈ છે.
સ્થાનિક ફળ અને શાકભાજીની માર્કેટ અને હસ્તકળાના સ્ટૉલ પણ અહીં વસ્યાં છે. અમે એમાં થોડું ફર્યાં. અહીં તળ-જાતિના ઘણા સ્થાનિક લોકો દેખાતા હતા – બાળકો, સ્કૂલના ગણવેશમાં વિદ્યાર્થીઓ, સ્ત્રી-પુરુષો. હજી વધુ ભાગે આ સ્થાન એમને માટેનું જ હતું, એ જોઈને મને સારું લાગ્યું.

દરેક મિનિટે હું પૂરેપૂરી વિસ્મિત થતી રહું છું. એક જ દેશ છે, પનામા – પણ આ કેવી સાવ જુદી બાજુ છે એની. ક્યાં અતિઆધુનિક પાટનગર, ને ક્યાં આ સાદો, સ્વાભાવિક તળ-વિસ્તાર. મનની અંદર ભાવ સતત આનંદનો અને આશ્ચર્યનો રહ્યો.
સાંજ પડ્યે માર્કને ત્યાં ગયાં. પાર્ટી એના ઘરની પાછળના નાના સ્વિમિન્ગપૂલની પાસે હતી. બીજાં સોળેક જણ પહેલેથી આવી ગયેલાં હતાં. મોટા ભાગનાં અમેરિકન હતાં. બધાં જ પૈસાદાર હતાં. તો જ શક્ય બનેને આવી બેવડી જીવન-રીતિ.
બધાં હસમુખાં અને મળતાવડાં હતાં, જેમ શરૂઆતમાં દરેક મનુષ્ય હોય છે તેમ. મારા મનમાં કટાક્શનો થોડો ભાવ ઊપસી આવેલો. ગિલ્બર્ટ નામનો એક માણસ ખાસ વાત કરવા આવેલો, કારણકે એને હિન્દુ ફિલસુફીમાં થોડો રસ હતો. એણે દીપક ચોપરાનો ઉલ્લેખ કર્યો, અને કૈંક કટાક્શથી વાત કરવા લાગ્યો. ઘણા પૈસા ભરીને એણે ચોપરાનો કોઈ કોર્સ લીધેલો, ને પછી એની નિરર્થકતા પર નિરાશ થયેલો.
ચાલો, વાતોમાં મારો સમય સારો ગયો, ને એકલું ના લાગ્યું. ગરમી ઘણી હતી. પવન જરાયે નહીં, અને ઘામ. ખાવાનું પણ ક્રૅકર અને સૅલાડ જેવું જ હતું. બધાં કૈંક કૈંક લઈ આવેલાં. ગિલ્બર્ટની પત્ની શાકાહારી પાસ્તા લાવેલી. પ્લેટો હતી જ નહીં, તેથી ટૂથપીકથી એક એક બાઇટ જેવું ખાધેલું.
પણ સાંજ સુંદર હતી. કમનીય, તનુ નૂતન ચંદ્ર નીકળી આવેલો. ક્યાંય સુધી એ રૂપાળી રૂપેરી કટારી આકાશમાં દેખાતી રહેલી. પછી વાદળોએ એને ઢાંકી દીધેલી.
સવાર વહેલી પડેલી. આકાશ સ્વચ્છ હતું, ને હવામાં હજી ઠંડક હતી. પાછલા વરંડામાંથી ઘરની બહાર રહેલા પર્વતની અડીખમ જેવી પાષાણી શિલા અત્યારે સ્પષ્ટ દેખાઈ. અને પર્વતનું ઊંચું શિખર પણ અત્યારે વિશદ દેખાતું હતું. વાહ, સરસ વિદાય-દર્શન થઈ ગયું.
ગેટમાંથી નીકળીને, પહાડો ઊતરીને ફરી હાઇ-વે પર આવી પહોંચ્યાં. લગભગ તરત જ એક મિનિ-બસ આવી ગઈ. થોડી વાર હાઇ-વે પર ગયા પછી, એ અંદરના રસ્તા પર, કેટલાંક નાનાં ગામોમાં થઈને ગઈ. ખૂબ લોકો ચઢ્યાં ને ઊતર્યાં. સારું હતું કે હું છેક આગળ બેઠેલી, એટલે ભીડ મને નડી નહીં.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
એક અનોખી ચિત્ર શ્રેણી – આનંદ અનુભવ – ચિત્રકારઃ ડૉ. ગીતા આચાર્ય [૨]
રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

વિવિધ દેશોના પ્રવાસ અને નિવાસ દરમ્યાન ડૉ. ગીતાનો કુદરત, મકાન અને માનવ પ્રેમ, ચિત્રો દ્વારા દેખાય છે.
ઈટલીના મિલાન શહેરમાં નાના સુંદર ઘર, અને ફૂલોથી સજાવેલાં આંગણામાં ખૂલતું બારણું અને બારીને ચિત્રકારે ચિત્રાંકિત કર્યા છે. ૧૧ ઇંચ બાય ૧૫ ઈંચના આ કાગળ ઉપર વોટર કલર ચિત્રને ગીતા બહેને ૨૦૧૮ માં એક સંસ્થાને દાનમાં આપી દીધું.
આ ચિત્રમાં ચિત્રકારે પોતાની પોર્ટુગલની યાદોને કેદ કરી લીધી છે. ૨૦૦૮ માં એમણે જે જોયું હતું અને કેમેરામાં કેદ કર્યું હતું, એનું આ ચિત્રાંકન છે. ૯ ઈંચ બાય ૧૧ ઈંચના આ કાગળ ઉપરના વોટર કલરની જે કીમત ઉપજી એ પણ એમણે એક વિદ્યાર્થીને દાનમાં આપી દીધી. ચિત્રમાં છાપરાંવાળા ઘર અને ઘરની બહાર સુકાતાં વસ્ત્રો એ ત્યાં વસતા લોકોની પરીસ્થિતિ દર્શાવે છે, તો સામેની બાજુના મકાનોમાં રહેતા લોકોની થોડી વધારે સારી પરીસ્થિતિ દર્શાવે છે. બન્ને દશાના લોકો હળીમળીને રહે છે, એવું કદાચ ચિત્રકાર કહેવા માગે છે.


આ ચિત્રમાં પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિક કુમારના મુખપૃષ્ટ ઉપર એમના ચિત્ર “આવી વસંત” ની પ્રતિકૃતિ છે.

માતા, ડો.સુશીલાબેન મહારાષ્ટ્રિયન અને ગુજરાતી પિતા ડો.મુકુંદભાઈ જોષી, બે પ્રેમાળ, ઉત્તમ વ્યક્તિત્વની છાયામાં ગીતા અને ભાઈ નિલ મુંબઈમાં ઉછરેલાં. મલય આચાર્ય સાથે પ્રેમલગ્ન અને બે પુત્ર અને પૌત્ર,પૌત્રીથી ભર્યા જીવનમાં તેઓ અંતર-આનંદથી સર્જન કરતા રહે છે.
ડૉ.ગીતા કહે છે…આ જન્મમાં મને બમણાં આશીર્વાદ મળ્યા છે. પ્રથમ, માતાપિતા સાથે જેમણે મને સતત ટેકો આપ્યો અને પ્રોત્સાહન આપ્યું, અને પછી માતાપિતાના બીજા સેટ સાથે – મારા સાસુ અને સસરા – તે પ્રેમ ચાલુ રાખવામાં એક ધબકાર ચૂક્યા નહીં.મારા બીજા પુત્રના જન્મ પછી, મેં મારી કારકિર્દીના માર્ગને આગળ ધપાવ્યો અને મારું એમ બી એ મેળવવા માટે ફરી અભ્યાસ ચાલુ કર્યો. મારું વ્યવસાયિક જીવન એક આત્મવિશ્વાસ સાથે યોગ્ય કર્મ કરવા શક્તિમાન રાખે છે અને ત્યારે ચિત્રકામ તે ‘યાંગ’ માટે મારા આવશ્યક ‘યીન’ તરીકે સેવા આપે છે – મારા આંતરિક ઉત્સાહને સંપૂર્ણ સર્જનાત્મક સંતુલન પ્રદાન કરે છે.
મારી વ્યવસાયિક પૃષ્ઠભૂમિ ઉપરાંત, હું અહીં, યુએસ અને ભારતમાં શૈક્ષણિક અને સેવા-સંસ્થાઓને ટેકો આપવા માટે સતત પ્રયત્નશીલ રહી છું.

The original ‘Stay Well’ cards are available; contact geetaa4@gmail.com NewJersey.
Saryu Parikhસરયૂ પરીખ www.saryu.wordpress.com
-
સ્મૃતિસંપદા – સપના વિજાપુરા : જિંદગીકા સફર [૪]
સપના વિજાપુરાની ‘જિંદગીકા સફર‘ હવે નિવૃતિ ભણી જઈને હાપ પુરતી પુરી થઈને ચાલુ રહે છે.
પછી ૨૦૧૦ માં મને ટી. સી. એફ બેંકમાં જોબ મળી. શરીફે પણ સી વી એસ છોડીને વોલમાર્ટ માં જોબ લીધી હતી. શબ્બીર ડિપોલ કોલેજમાં સોફ્ટવેર એંજિનીઅરિંગનું ભણતો હતો.
શરીફને વોલમાર્ટ માં મેનેજરની પોઝિશન મળતી હતી, તેથી એ લોરેન્સવીલ મુવ થવું પડ્યું. એ પહેલીવાર મને છોડીને ગયો હતો. ત્યાં નાનું એવું ઘર રાખીને ત્યાં જોબ કરવા લાગ્યો. લોરેન્સવીલ શ્યામબર્ગથી છ કલાકનું ડ્રાઈવ હતું. એક સુંદર મજાનું ગામ હતું. ફક્ત ચારસો જેટલા ઘર હતા. લોકો બધાં લગભગ ખેડૂત હતાં, ખૂબજ માયાળુ પણ ખરાં! એ બે અઠવાડિયે ઘરે આવતો. શબ્બીરને ડાઉન ટાઉન શિકાગોમાં શરીફે કોન્ડો લઇ આપેલો, શબ્બીર ત્યાં રહેતો હતો અને વીકેન્ડમાં ઘરે આવતો. અમે ત્રણે એકલા એકલા રહેતા શીખી ગયા. પ્રેમમાં થોડી દૂરી જરૂરી પણ છે. એકબીજાની કદર થાય. શરીફની લોરેન્સ વીલ થી ચાર્લસ્ટનમાં બદલી થઇ. ૨૦૧૧ થી ૨૦૧૩ સુધી ત્યાં જોબ કરી, ફરી શિકાગો આવી ગયો. ૨૦૧૪માં શરીફે રિટાયરમેન્ટ લઇ લીધું. મારી જોબ ચાલું હતી. શબ્બીરે એંજિનીઅરિંગ કર્યું. શબ્બીર સ્કૂલમાં હતો ત્યારથી એપલ માટે ‘એપ’ બનાવતો હતો. એટલે હજુ એને એંજિનીઅરિંગ પૂરું નહોતું અને ફેઈસબૂકના રિક્રુટરે કોલ કરીને રેઝ્યૂમી મોકલવા કહ્યું. દસ ઇન્ટરવ્યૂ પછી એને ફેઈસબૂકે હાયર કરી લીધો. શબ્બીર એંજિનીઅરિંગ પછી કેલિફોર્નિયા મુવ થઇ ગયો અને ફેઈસબુકમાં જોબ કરવા લાગ્યો. શબ્બીર હવે મારાથી દૂર થઇ ગયો હતો. મેં હાથ ઉઠાવીને દુઆ કરી!
કલેજાના ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
અને ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપુંસદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપુંચડે જીવનમાં પ્રગતિના નવાં સોપાન ઉતરોતર
થશે પૂરાં સર્વ સૂનેહરા સપના નયન આપુંખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપુંશબ્બીર અને ફાતિમા બંને ડિપોલમાં સાથે ભણ્યાં અને બંનેની દોસ્તી થઇ ગઈ હતી. ૨૦૧૪ માં અમે ફાતિમાનાં માબાપને મળવાં ગયાં. એ લોકો પાકિસ્તાનથી છે. પહેલા અમને અચકાટ થયો કે પાકિસ્તાની છોકરી હોય તો ભારત તો છૂટી જવાનું! કારણકે ભારતની ગવર્નમેન્ટ પાકિસ્તાનીને વિઝા નથી આપતી! પણ દીકરાની મહોબત સામે અમે નમતું જોખ્યું. એમનું ખાનદાન ખૂબ સરસ હતું. ઑગષ્ટની એકવીશની તારીખે બંનેનાં ગ્રેડ્યુએશન અને એન્ગેજમેન્ટ ની પાર્ટી અમે હોલીડે ઈનના હોલમાં રાખી. અને ફાતિમાને અમારી દીકરી તરીકે વધાવી લીધી. ભારત પાકિસ્તાનની વચ્ચે ગમે તેટલી દુશ્મની હોય અમારી વચ્ચે ખૂબ પ્રેમ અને સદભાવ છે. જૂન 5, 2015ના દિવસે એ લોકોના લગ્ન થયા. લગભગ ૧,૦૦૦ માણસોને અમે આમંત્રણ આપેલું. ખૂબ ભવ્ય રીતે શબ્બીરના લગ્ન થયા. લોકો કહેતાં હતાં કે, “વેડિંગ ઓફ સેન્ચ્યુરી” અમે પણ શબ્બીરના લગ્ન પતાવી શ્યામબર્ગનું ઘર વેચીને કેલિફોર્નિયા આવી ગયાં. એ વાતનો અફસોસ છે કે ફાતિમા શબ્બીરને ભારત જવું હોય તો ફાતિમાને વિઝા નથી મળતા! એટલે શબ્બીર પણ ભારત જવાનું ટાળે છે!
2016 થી આજ સુધી અમે કેલિફોર્નિયામાં જ છીએ. શબ્બીરનું અલગ ઘર છે. અમે એની નજીકમાં નવ માઈલના અંતરે અમારું ઘર લીધું છે. અમેરિકન માબાપે સંતાનથી દૂર રહીને જીવવાનું શીખી લીધું છે. સંતાનને પોતાની જરૂરિયાત અને પ્રવૃત્તિ અને જોબ ના લીધે સ્થળાંતર કરવું પડે છે. અમારા આશીર્વાદ સદા એમની સાથે છે. શબ્બીર અને ફાતિમાએ અમને એક સુંદર પૌત્રથી નવાજી દીધાં છે. ઇહાન કેવું પ્યારું નામ છે! ‘પૂનમનો ચાંદ’ આમ પણ મને ચાંદથી ખૂબ પ્રેમ છે. ચાંદને હું પ્રેમની નિશાની સમજુ છું! હું તો કવિહૃદય એટલે મને ખૂબ ગમ્યું. જાન્યુઆરી ૧, ૨૦૨૨ ના દિવસે ઇહાન એટલે કે ‘ફૂલ મૂન’ એ અમારા ઘરને રોશન કરી દીધું છે.હવે અમારા ઘર ઉપર હંમેશા ચાંદની પથરાયેલી રહેશે! ભલે અમાવસ હોય તો પણ!
પુરાની કિતાબ હું, જરા સંભલકર પઢા કરે!
બિખરનેમે દેર નહિ લગતી!મુમતાઝ મર્ચન્ટ
એક એક પાનું મારી કથાનું જર્જરિત છે! એને સાચવીને ખોલજો! એવું ના બને કે એક એક પત્તુ વિખેરાઈ જાય! જિંદગી આપણને ભૂતકાળમાં પાછાં જઈને આપણે કરેલી ભૂલો સુધારવાનો અવસર નથી આપતી,પણ આવનારા દિવસોને વીતેલા દિવસો કરતા બેહતર બનાવવાનો મોકો જરૂર આપે છે. એટલે આવનારી પેઢીએ સમજવા જેવું છે કે કોઈ માણસ માસૂમ નથી દરેકથી ભૂલો થાય છે, નિરાશ થયાં વગર આવનાર દિવસોને બેહતર બનાવો. તમારા માટે આખું વિશ્વ બાહો પ્રસારીને રાહ જોઈ રહ્યું છે. એ જિંદગી ગલે લગા લે!
સમાપ્ત
હવે પછીઃ જગદીશ પટેલ : જીવનનાં ઝરણાં
-
વધઘટમાં નહીં પણ ઘટઘટમાં પ્રેમ છે..
જવાહર બક્ષી
કંઈ નથી બનતું છતાં સબંધ સંકટમાં નથી,
પ્રેમ તો હોવાપણામાં છે, એ વધઘટમાં નથી.પ્રેમ જેવું નામ છે એ તો છે એક વ્હેતી ભીનાશ,
જળ વિના કોઈ નદી તટ, પટ કે પનઘટમાં નથી.તટ ઉપર રહીને તમાશો દેખનારા ! ભૂલ નહિ,
જો નદી છે તો જ તટ છે, પણ નદી તટમાં નથી.રૂપ તારું કલ્પનાથી પણ વધુ આગળ ગયું,
સ્વપ્નમાં જોયો તો જે ચ્હેરો, એ ઘૂંઘટમાં નથી.ઘટ ફૂટ્યો, માટીમાં માટી તો મળી, એક ફેર છે,
જે હતું આકાશ ઘટમાં, એ હવે ઘટમાં નથી.
:આસ્વાદઃ
રક્ષા શુક્લ
જવાહર બક્ષીની ગઝલોમાં તીવ્ર સંવેદનશીલતાનાં તત્ત્વો આધ્યાત્મિકતાની અનુભૂતિઓ પ્રગટ થતી રહી છે. કવિ એમની ગઝલયાત્રા દરમિયાન જે જે સંજોગોમાંથી પસાર થયા એનો પરિચય એમના સર્જનને મળ્યો છે. એમની રચનાઓમાં તગઝ્ઝુલ (પ્રેમ) અને તસવ્વુફ (સુફીવાદ) પણ છે. એમની રચનામાં પહેલી નજરે દેખાતો સ્થૂળ પ્રેમ અચાનક સૂક્ષ્મ પ્રેમ તરફ સરકી જાય છે.
કવિ અહીં પ્રેમની અનુભૂતિ અને તેની આજુબાજુની ઋજુ સંવેદનાઓને સરસ રીતે બલ્કે અદભુત રીતે રજૂ કરે છે. માણસને કોઈ ઘટનાની સંભાવના દેખાય તો એની ફળશ્રુતિમાં ભલે અનિશ્ચિતતા હોય પણ માણસ તે સ્વીકારવા કે નકારવાની તૈયારી સાથે તેનો સામનો કરવા સજ્જ હોય છે. પરંતુ અહીં કવિ કહે છે કે સંબંધ તો અડીખમ છે. જ્યાં છે, જ્યાં હતો ત્યાં સ્થિર, નિશ્ચલ…તેમાં નથી કોઈ સળવળાટ કે નથી કંઈ ફરકવું. કોઈ પણ સારી કે ખરાબ ઘટના બને એ માટે કોઈક નાની કે મોટી, સુખદ કે દુઃખદ હલચલ તો થવી જોઈએ ને પણ એવું કંઈ જ ના બનતા કવિ મન મનાવે છે કે ચલો, આ કંઈ પણ બનતું નથી; એ વાતને પોઝિટિવલી લઈએ. તેથી હકારાત્મક અભિગમથી કહી શકાય કે એટલે સંબંધ જરા પણ સંકટમાં નથી, તેમાં ચઢાવ કે ઉતારની કોઈ શક્યતા પણ નથી, સંબંધમાં એક સ્થિરતા છે. પ્રેમની હાજરી તો છે જ પણ કોઈ ઘટનાના અભાવથી તેમાં કોઈ વધઘટ પણ નથી એટલે સંકટમાં તો પ્રેમ છે જ નહીં. પ્રેમનું હોવું જ કવિ માટે અતિ મહત્વનું છે. અહીં પ્રશ્ન એ પણ થાય કે એવું તો નથી ને કે કંઈ ન બનવા પાછળ કવિની સંવેદના જ બુઠ્ઠી થઈ ગઈ છે ? પ્રેમ વધઘટમાં નહીં પણ ઘટઘટમાં હોય છે…
કવિને લાગે છે કે દુનિયામાં અનેક સંજ્ઞાવાચક નામો છે તેમાં ‘પ્રેમ’ પણ એક નામ છે પરંતુ એ એક વહેતી ભીનાશ જેવું છે જે ભીતરથી છદ્મ વેશે સૂકાપણું છે. એ ક્યારે, ક્યા સૂર્યના આગમનથી, જીવનની કઈ તાપણીમાં એ અસ્તિત્વ ગુમાવશે, ક્યારે નામશેષ થશે એ કહી ન શકાય એટલે જ કવિએ એને વહેતી ભીનાશ કહી છે. આ ભીનાશ ક્યારે બાષ્પ સ્વરૂપે વહેતી પકડે એ ભાવિના ગર્ભમાં છૂપાયેલું રહસ્ય માત્ર છે. માત્ર આવી ભીનાશની હયાતીથી કોઈ નદીનો તટ કે એનું ફલક કે પહોળાઈ જેવું હોતું નથી. અરે, એટલે કોઈ પનઘટ હોવાની સંભાવના તો ક્યાંથી હોય ! આમ કવિ અહીં પ્રેમના અભાવની વાતને સામે લાવે છે. નદી વગર તટનું કોઈ મૂલ્ય નથી એમ પ્રેમ વગર જીવનનું કોઈ મૂલ્ય નથી.
કવિ પ્રેમમાં નહીં પડનારાને, કિનારે રહી તમાશો જોનારા નિર્લેપ જણને કે જેણે પ્રેમરસને ચાખ્યો જ નથી તેને સાવચેત કરતા કહે છે કે, તું ભલે કિનારા પર રહીને તમાશાની મજા લેતો હોય પણ તું ભૂલતો નહીં કે જો નદી છે તો જ તટ છે, તટમાં જો નદી નથી તો તટનું અસ્તિત્વ જ ક્યાંથી હોય ? પ્રેમ એ તો અનુભવની વાત છે જીગર મુરાદાબાદી કહે છે કે.
યે ઇશ્ક નહીં આસાં ઇતના હી સમજ લિજે,
એક આગ કા દરિયા હૈ ઔર ડુબકે જાના હૈ.પ્રેમમાં ડૂબેલો માણસ દિલ દરિયાના અગાધ ઊંડાણ તો માપી જ લે છે પરંતુ એની કલ્પનાની આકાશી ઉડાન પણ અકલ્પ્ય અને અપાર હોય છે. કલ્પનાથી વધુ આગળ ‘ને આગળ ‘ને આગળ એ પ્રિય વ્યક્તિ સપનામાં પણ પ્રેમીને વારંવાર દેખાય છે, ડોકિયા કરી જાય છે પણ કવિ જ્યારે પ્રિયજનનો ઘૂંઘટ ખોલે છે ત્યારે કંઈક છેતરાયાનો ભાવ અનુભવે છે. એ કહે છે કે આજ સુધી કલ્પેલો અને સ્વપ્નમાં જોયેલો ચહેરો એ નથી તો એ ચહેરો મૃગજળ માત્ર હતો ? એ ભ્રમ હતો ? કબીરનો ભાવક આશ્વસ્ત છે કે ઘૂંઘટ ઉઠતા જ ઈશ્વર મળશે પણ પ્રિયજનને પામવાની દુન્યવી ઇચ્છામાં ડૂબેલા આપણા નાયકને આપણે ખાતરી પણ કેમ આપવી કે ‘ઘૂંઘટ કા પટ ખોલ રે તોકો પીવ મિલેંગે’… પ્રાપ્તિ પહેલાનો રોમાંચ અદભુત હોય છે. પ્રાપ્તિ પછી તો રોમાંચ જતો રહે છે. પ્રતીક્ષાની પણ એક મજા છે. ‘શબરી’થી ‘શાંત ઝરુખે…’ સુધીની વાટ નીરખવાની વાત માણી-પ્રમાણી છે.
અસ્તિત્વના અનેક સ્તર પર જીવનનું રહસ્ય માણસ પામતો હોય છે. તેમાં રોમાંચ પણ હોય છે અને વિરક્તિ પણ. જવાહર બક્ષીએ નાનપણમાં ઘણાં મૃત્યુ જોયેલાં એટલે મૃત્યુ વિશેનું એક કૂતુહલ તેમનામાં ઉત્કટ બની ઉછરતું રહ્યું. એ કોઈ ગમતા પુસ્તકનું વળેલું પાનું હતું જેનું રહસ્ય વણઉકલ્યું હતું, જે બ્લેકહોલની માફક વારંવાર કવિને તેનામાં ખેંચી જતું હતું. કવિના સર્જનમાં તેની મૃત્યુ મીમાંસા આપણને ઠેર ઠેર જોવા મળે છે જે વાચકને પણ મૃત્યુનાં મોતી વિષયે હનુમાનજીનું વિસ્મય આપે છે. મૃત્યુનું રહસ્ય પામવા એ તેના સર્જનમાં દુરાગ્રહ સેવી વાણીના પ્રહાર કરવા, શરણાગતિ સ્વીકારવા, યાચક બનવા કે હઠયોગ આચરવા પણ સંકલ્પબદ્ધ છે.
છેલ્લા શેરમાં કવિ મૃત્યુ પાસે આવતા શરીર સંસાર તરફની સભાનતા છોડી દે છે તેની વાત કરતા કહે છે કે આ દેહરૂપી ઘટ ફૂટી ગયા પછી, પિંજરમાંથી હંસલો ઊડી ગયા પછી આ માટી તો માટીમાં મળી જાય છે. ‘મીટ્ટી ઓઢાવન, મીટ્ટી બીછાવન, મીટ્ટી સે મિલ જાના હોગા’ કહેતા કબીરજી ફેરી આંખ સામે આવે. આ ઘટ જ્યાં સુધી આખો હતો ત્યાં સુધી એક આકાશ પણ કોઈ ચોક્કસ આકારમાં ઘટની ભીતર, દેહની અંદર સમાયેલું હતું. અહી કવિ નિર્દેશ કરે છે કે આપણો દેહ પંચમહાભૂતોનો બનેલો છે તેમાનું એક તત્ત્વ આકાશ પણ છે જે ઘટ તૂટતા પંચતત્વમાં જ વિલીન છે. આકાશ તો આકાશ છે. પણ તે બંનેમાં તફાવત છે. પહેલા જે આકાશ હતું એ ધબકતા દેહનો એક અનિવાર્ય ભાગ હતું..પણ પછીનું આકાશ આકારવિહીન છે. એ ઘટનો ભાગ પણ નથી.
પ્રેમની વાતથી પ્રારંભ કરેલો અને પ્રેમની વાતથી જ પૂર્ણાહુતિ કરીએ. આમ પણ જગતની દરેક બાબતનો આરંભ અને અંત પ્રેમ જ છે. પ્રેમ જ પ્રશ્ન છે અને પ્રેમ જ ઉત્તર. પ્રેમની પૂર્વશરત અને પૂર્ણશરત સદા સમર્પણ છે. પ્રેમમાં કેલ્ક્યુલેટર કશે કામ નહીં આવે…
-
અટકવાનું નામ ન લેતી ઔદ્યોગિક દુર્ઘટનાઓ
નિસબત
ચંદુ મહેરિયા
અમદાવાદના વસ્ત્રાલ-રામોલ વિસ્તારના મહેમુદપુરા ગામમાં આવેલાં ફટાકડાંના કારખાનામાં વિસ્ફોટ અને આગની દુર્ઘટનામાં ૧૧ શ્રમિકોનાં જાન ગયાં છે. કાયદેસર કે ગેરકાયદેસર ઉદ્યોગોમાં સર્જાતી આવી દુર્ઘટના આ કંઈ પહેલી નથી અને કદાચ છેલ્લી પણ નહીં હોય. ગયા મહિનાઓમાં ડીસાની ફટાકડા ફેકટરીમાં આવા જ બ્લાસ્ટથી ૨૧ , કાલોલમાં ૩, મોડાસામાં ૪ અને કપડવંજમાં ૧ કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સરકારી કે પોલીસના ચોપડે ઔધોગિક દુર્ઘટના તરીકે ખતવાતી આ ઘટનાઓ ખરેખર તો બેદરકારીના લીધે થતી ગરીબ મજદૂરોની હત્યાઓ જ છે. કેમ કે આદ્યોગિક દુર્ઘટનાઓ વાસ્તવમાં પૂર્વાનુમાનિત હોય છે. દુર્ઘટના બને છે ત્યારે તેને આકસ્મિક કે કમનસીબ કહીને થોડાં આંસુ જરૂર સારી લઈએ છીએ પરંતુ ઉદ્યોગ કે કંપનીની ખામી, અપર્યાપ્ત નિયમન અને નિરીક્ષણ, જોખમની આગોતરી જાણ છતાં તેને અટકાવવા માટેનાં પગલાંનો અને સલામતી ઉપકરણોનો અભાવ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. તેનો ઉકેલ શક્ય છે પરંતુ દુર્ઘટના પછી તે વિસારે પાડી દેવાય છે અને નવી દુર્ઘટનાઓ બનતી રહે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી ઔદ્યોગિક દુર્ઘટનાઓ કંઈ ગુજરાત કે ભારતમાં જ ઘટતી નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે. જે દુર્ઘટનાઓ બને છે તે કંઈ ભિન્ન ભિન્ન નથી પરંતુ ઉધ્ધ્યોગોમાં રહેલી વ્યાપક માળખાકીય સમસ્યાઓનો સંકેત છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો દાયકો પૂર્વેનો રિપોર્ટ જણાવે છે કે આખી દુનિયામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં દર વરસે ૩.૫૦ લાખ મજૂરોના મોત થાય છે. ૨૦૨૦માં ભારતમાં નોંધાયેલા કારખાના ૩,૬૩,૪૪૨ હતા અને તેમાં ૨ કરોડ શ્રમિકો કામ કરતા હતા. ૨૦૧૬ થી ૨૦૨૦માં રજિસ્ટર્ડ ફેકટરીઓમાં વરસે સરેરાશ ૧૧૦૯ મોત દુર્ઘટનાઓમાં થતાં હતાં. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન કારખાનાઓમાં કામ કરતાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૩૫૬૨ શ્રમિકોના મ્રુત્યુ થયાં હતા જ્યારે ૫૧,૦૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ હિસાબે દેશમાં રોજના ૩ કામદારોના મોત અને ૪૭ ઘાયલ થાય છે.
૨૦૨૪માં પાદરા ( જિ.વડોદરા)ની ફાર્માસ્યુટિકલ કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં ૩ મજૂરોના મોતની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થઈ હતી. વિપક્ષની ધ્યાન ખેંચતી દરખાસ્તના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૦૨૧માં ૨૪૪, ૨૦૨૨માં ૨૩૮ અને ૨૦૨૩માં ૨૩૧ મજૂરોના ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં મોત થયાં હતાં. ૨૦૨૩માં રાજ્યમાં રજિસ્ટર્ડ ફેકટરીઓ ૪૯,૨૪૬ હતી જે આજે આશરે ૫૧,૦૦૦ છે.
ગુજરાતમાં ૨૦૨૪ના આંકડા પ્રમાણે ૫૭૦ જોખમી કામો ધરાવતાં કારખાનાં છે. જેમાંથી ભરુચ જિલ્લામાં ૯૮ અને વડોદરા જિલ્લામાં ૮૯ છે. ૫૭૦ ફેકટરીઓમાં ખતરનાક કામો થતાં હોવાની આગોતરી જાણ હોવા છતાં ત્યાં દુર્ઘટનાઓ બને છે. ભલે કાર્લ માર્કસે શ્રમિકોને એક જ વર્ગના ગણાવ્યા હોય પરંતુ વર્ગ અને વર્ણમાં વહેંચાયેલા ભારતીય સમાજમાં વ્યવસાયિક જોખમો પણ કામદારોની સામાજિક આર્થિક સ્થતિ જોઈને વહેંચાય છે. ઉદ્યોગોના જોખમોનું વિતરણ કામદારો-કર્મચારીઓમાં સમાન ધોરણે થતું નથી. એટલે રામોલ-વસ્ત્રાલની દુર્ઘટના હોય કે બીજી કોઈ તેનો ભોગ આદિવાસી, દલિત, પછાત કોમોના ગરીબ કામદારો જ બને છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટનમના સરકારી સ્ટીલ પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં હજુ ગયા મહિનાઓમાં જ ૯ મજૂરોના મોત થયાં હતાં. ટ્રેમાં ધગધગતું પોલાદ ભરીને જતી ક્રેન તૂટી પડતાં તેનાથી દાઝેલા નવ મજૂરોના મોત થયાં હતાં. સ્ટીલનું નિર્માણ સહજ રીતે જ એક જોખમભર્યો ઉદ્યોગ છે. સ્ટીલના ઉત્પાદનમાં અત્યધિક તાપમાન, ભારે સાધનો, વિશાળ પ્રમાણમાં ઉર્જા અને દબાણયુક્ત ગેસ સામેલ કરવાનો હોય છે. જે દુર્ઘટના બની તેમાં ઉકળતી અને પિગળતી ધાતુનું તાપમાન ૧૬૦૦ ડિગ્રી સેલ્સિયસ હતું. આટલા ઉંચા તાપમાનમાં બનતી ધાતુ જેના પર પડે તેનું જીવવું મુશ્કેલ છે. ઉદ્યોગકારો આ જોખમથી પરિચિત હોય છે. વળી તેનાથી બચવાના સાધનો અને પ્રક્રિયા ઉપલબ્ધ છે. છતાં દુર્ઘટના ઘટે છે તેનું કારણ બચાવ માટેના પગલાંનો અભાવ છે.
જૂના અને ઘસાતાં યંત્રો અને તેની જાળવણીમાં થતો ખર્ચ ટાળવો,વધુ નફાની લ્હાયમાં કર્મચારીઓ-કામદારોની સંખ્યામાં ઘટાડો અને હયાત કામદારોના માથે વધુ કાર્યબોજ, કાયમીને બદલે હંગામી અને કરાર આધારિત કર્મચારીઓ પર વધતી નિર્ભરતા, સલામતી ઉપકરણો માટે નાણાના રોકાણની કમી જેવા કારણોથી દુર્ઘટનાઓ ઘટે છે. જોખમી અને ખતરનાક ઉદ્યોગોમાં હંગામી અને કોન્ટ્રાકટ પરના કામદારોને વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. તેઓ રોજી જવાની બીકે જોખમી કામો સલામતી સાધનો વિના કરવા તૈયાર રહે છે અને જો દુર્ઘટના ઘટે તો માલિકને કશું વળતર આપવું પડતું નથી. આ પ્રકારના કારણોથી દુર્ઘટનાઓમાં વધારો થતો રહે છે. અગાઉ કહ્યું તેમ જોખમોની જાણ છે અને તેને અટકાવવાના સાધનો છે પરંતુ તેનો ઉપયોગ કર્યા વિના કામ કરાવવામાં આવે છે એટલે મજૂરોના મોત થાય છે.
ઔદ્યોગિક દુર્ઘટનાઓ કોઈ એક જ ભૂલને કારણે ઘટતી નથી. લાંબા સમયથી આવી ભૂલો અને સલામતીના પગલાંના અભાવે કે તે તરફ આંખા આડા કાન કરવાની માલિકોની વૃતિ કે કંપનીની સંસ્થાકીય નબળાઈનું પરિણામ હોય છે. વધુ નફો મેળવવાનૂં વલણ અથવા આર્થિક દબાણ સહેતા ઘણા ઉદ્યોગો સલામતી માટેના રોકાણને નકામો ખર્ચ ગણે છે અને મજદૂરોને જોખમ ઉઠાવવાની ફરજ પાડે છે. આખરે તેમનાં મોત નિપજે છે કે ઘાયલ થાય છે.
કામદારો-કર્મચારીઓને જોખમ સંબંધી વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી નથી. રોજમદાર કે હંગામી કામદારોને તો પહેલા દિવસથી જ આવા કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. ઔદ્યોગિક દુર્ઘટનાઓ અટકાવવા અને કામદારોની સલામતી માટે કેન્દ્ર અને રાજ્યોના કાયદાઓ મોજુદ છે પરંતુ તેનો અમલ કરાવનારું તંત્ર ભ્રષ્ટ છે. ઉદ્યોગોનું નિયમિત નિરીક્ષણ અને નિયમન થતું નથી. કાયમી અને હંગામી બંને કર્મચારીઓને કામના જોખમોથી વાકેફ કરવા જોઈએ અને બચાવની તાલીમ આપવી જોઈએ. દુર્ઘટના ઘટે ત્યારે ઉદ્યોગ પાસે કામદારોની તાત્કાલિક સારવારનું કોઈ તંત્ર કે સાધન પણ હોતું નથી. જોખમ જ્ઞાત છે અને પૂર્વાનુમાન છે તો પછી તેને અટકાવી ન શકવું તે તો માણસને મરવા મજબૂર કરવા બરાબર છે. ઉદ્યોગકારોએ એ બાબત સમજવી પડશે કે તેના કામદારોની સલામતી તે માત્ર તેની કાયદાકીય જવાબદારી જ નથી પરંતુ સલામતીને સંસ્થાનું મૂળભૂત મૂલ્ય બનાવવું જોઈએ. અમદાવાદની ફટાકડા ફેકટરીમાં માલિકના માતા પણ ઈજાગ્રસ્ત્ત થયાં છે. તેમ દુર્ઘટનાનો કોણ ભોગ બનશે તે નક્કી હોતું નથી. માલિક દુર્ઘટનાથી કાયમ બાકાત હોય તેમ ન પણ બને. એટલે પોતાના કામદારોની અને સાથે સાથે ખુદની સલામતીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલાં લેવાવાં જોઈએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણું સગું કોણ?
હળવા નિબંધો
માવજી મહેશ્વરી
લેખની શરૂઆત જ વિચિત્ર નથી લાગતી! આવો તો કોઈ પ્રશ્ન હોતો હશે. જીવનનો છેદ ઉડાવી દે અથવા તો લખનારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દે તેવો પ્રશ્ન તો છે જ. અને આમ જોઇએ તો કેટલો સરળ પ્રશ્ન છે. કોઈ પૂછે કે તમારૂં સગું કોણ? જવાબ બહુ જ સરળ અને ત્વરિત હશે. અરે! કેટલાંય સગાં છે. મા-બાપ, પતિ-પત્ની, ભાઇ-બહેન, દીકરા-દીકરી, નાના-નાની, મામા-મામી, સાળા-સાળી. આ સંબંધોના સ્વરૂપો સામે આવી શકે છે. પણ તોય પેલો પ્રશ્ન તો એની જગ્યાએ ઊભો જ છે. કદાચ કોઈ એને ફેરવીને પૂછે, તમારૂં નજીકનું સગું કોણ? તો વળી કાપકૂપ થાય અને થોડાંક વિશેષણો આવીને ઊભાં રહે.
અહીં એક પ્રશ્ન એ પણ થાય કે આપણાં જે સગાં છે તેમને આપણે ક્યાં પસંદ કરેલા છે. કેટલાંક જન્મથી જ આપણી આસપાસ ગોઠવાઈ ગયા હોય છે. જેમ કે માબાપ, કાકા -કાકી, ભાઇ-બહેન વગેરે વગેરે. આ બધાં તો આપણા જન્મની સાથે જ નક્કી થઈ ગયાં. એ કાંઈ આપણી શોધ કે પસંદ નથી. એમા કોઈ વ્યક્તિને કશી જ છૂટછાટ કે વિકલ્પ આપવામાં આવતો નથી. જન્મથી જે મળ્યું તે મળ્યું. એટલે કે કેટલીક દિશાઓ આપણા માટે જન્મથી જ બંધ થઈ જાય છે. આપણે એને કદાચ કિસ્મત કહીએ છીએ. જેમ કે કોઈ એમ વિચારે કે હું સ્વિઝર્લેન્ડમાં જન્મ્યો હોત તો? હું અમેરિકામાં જન્મ્યો હોત તો? હું કોઈ ઉદ્યોગપતિને ત્યાં કે કોઈ સેલિબ્રિટીને ત્યાં જન્મ્યો હોત તો? આપણા જન્મ પહેલા આ બધી જ શક્યતાઓ ચોક્કસપણે હતી. પણ જન્મ પછી બધી શક્યતાઓનો છેદ ઊડી જાય છે. જે હિન્દુ છે તે હિન્દુ છે અને જે મુસ્લિમ છે તે મુસ્લિમ છે. કોઈ દલિતને ત્યાં જન્મ્યો તો જન્મ્યો એ સંપૂર્ણ સત્ય આપણાં જન્મથી જ આપણા કપાળ પર ચોટી જાય છે. આપણને ભારત ગમે કે ન ગમે, આપણાં મા-બાપ ગમે કે ન ગમે, આપણી જ્ઞાતિ ગમે કે ન ગમે, આપણાં ભાઇ-બહેનો, કાકા-કાકી ગમે કે ન ગમે. આપણી ગરીબી ગમે કે ન ગમે. પણ એ આપણા જન્મ સાથે જ મળ્યું હોય એટલે આપણે સ્વીકારવું જ રહ્યું . એના સિવાયની સ્થિતિઓ આપણી કલ્પના હોઇ શકે છે. વાસ્તવ નહીં. એટલે જ અમુક સ્થિતિઓ આજીવન આપણી ઓળખ સાથે જોડાયેલી રહે છે. કોઈને ગમે છે કોઈને અફસોસ થયા કરે છે.
આ લેખ વાંચનાર કોઈ વાચક કહેશે, ભાઇ તમે તો શરૂઆત કરી કે આપણું સગું કોણ? અને પહોંચી ગયાં જન્મ, જાતિ અને દેશ ઉપર. તો મારા પ્રિય વાચક, આ વિચારોની લગામ મારા હાથમાં છે પણ એની શક્તિ મારા હાથમાં નથી. તેમ છતાં એક ઘોડો નિયત માર્ગે દોડી રહ્યો છે જેની એની મને ખાતરી છે. હું ફરીને ત્યાં જ આવી ગહ્યો છું કે આપણું સગું કોણ? સૌ જાણે છે કે બે મનુષ્ય કવચિત જ એક સરખા હોઇ શકે. અને એટલી હદે એક સરખાં ન હોઇ શકે કે ઓળખી ન શકાય કેટલાક જોડિયા ભાઈઓ એક સરખાં લાગે છે પણ ખરેખર હોતાં નથી. આવા કિસ્સામાં ધ્યાનથી જોજો એમની ચાલ, અવાજ અને દાંતનું ચોકઠું. આ ત્રણમાંથી એકાદમાં જુદાપણું હશે. ભૂલી જવાય તે હદે એક્સરખાં ચહેરાવાળા વ્યક્તિઓ ફિલ્મોમાં હોઇ શકે (ખાસ કરીને ભારતીય હિન્દી ફિલ્મમાં) તો પછી એવુંય વિચારવું રહ્યું કે જે ચીજ જન્મથી આપણને મળે છે તે છે આપણું શરીર, આપણો ચહેરો જે આપણી ઓળખ છે. અને એ આપણાં મૃત્યુ સુધી આપણી સાથે રહે છે. આપણાં સુખ-દુઃખ આપણાં શરીર સાથે જોડાયેલા છે. આપણે જે છીએ તે એટલે કે આપણું નામ છે તે આપણાં શરીર સાથે જોડાયેલું છે અને જે કંઈ માણે છે કે જે વેઠે છે તે આપણું શરીર છે. શરીરનો નાશ થતાં જ આપણી સાથે જોડાયેલા સંદર્ભો એક એક કરીને વિખરાઈ જાય છે અને આખરે ભુલાઈ જાય છે. તો આપણું સગું તો આ શરીર જ થયું ને? બાકીનું જે કાંઈ તે શરીર સાથે બાહ્ય રીતે જોડાયેલું છે.
જન્મથી જ વ્યક્તિને જે કંઈ મળે છે તેની સાથે એક ચહેરો મળે છે. એ ચહેરો જેનું કોઈ નામ હોય છે. સામાજિક અને કાયદાકીય ઓળખ રૂપે એ નામ રહે છે અને નામને સાબિત કરવા એ શરીરે હાજર થવું પડે છે. આપણી ઈચ્છાઓ-અનિચ્છાઓ, સુખો-દુઃખો, સ્પર્શ, કંટાળાઓ, રોમાંચો, સ્વાદો જે કંઈ માણવાનું છે એ તો શરીરે માણવાનું છે. આપણાં કેટલાક સગાંઓ કોઈ શકે છે, પણ એ સગાંઓને આપણી પ્રાકૃતિક સંવેદનાઓ સાથે કોઈ સંબંધ હોતો નથી. આપણા મા-બાપ, ભાઇ -બહેન, પતિ-પત્ની આપણાથી ગમે તેટલા નિકટ હોય, પરંતુ આપણી પીડા કે રોમાંચમાં સાથ આપી શકતા નથી. આપણું દુઃખ જોઈને કોઈ દુઃખી થાય તો પણ એ દુ:ખ લઈ શકતો નથી. એ દુઃખને આપણા શરીરના સંદર્ભો સાથે સંબંધ છે. આપણે જે સ્વાદ માણીએ છીએ તે અંગત છે. એને આપણા સગાંઓ સાથે કોઈ સંબંધ નથી. તો આખરે તો આપણું સગું આ આપણું પોતાનું શરીર છે. અને આપણી ઓળખ પણ આપણું શરીર છે.
તો જગતના રહસ્યો, જગતના ઊંડાણો, આનંદો આ બધું જાણવા માણવા માટે આપણું ફક્ત આપણું જ શરીર કામ આવવાનું છે. ફક્ત આપણું જ. એટલે જન્મથી મૃત્યુ સુધીની સફરમાં જે જે પડાવ આવે છે તેમાં આ શરીર જ આપણું સગું બનીને સાથ આપે છે. જતાં જતાં એક જુદો સવાલ મુકવાની લાલચ જતી કરી શકાય તેમ નથી. જે શરીર અનેક રીતે આપણને કામ આવે છે એ શરીરના સગાં આપણે છીએ કે નહીં? સવાલ વ્યક્તિગત છે એટલે પોત પોતાનો ઉત્તર હશે.
લ્યો ત્યારે આવજો. રામ રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પોતાની રાખમાંથી ઊભા થવું
મંજૂષા
વીનેશ અંતાણી

ઘણી વાર લોકોને લાગવા માંડે છે કે દુનિયાને એમની ઉપયોગિતા રહી નથી. પરિવારમાં, વ્યવસાયના સ્થળે, સમાજમાં એમનું મહત્ત્વ રહ્યું નથી. મળવા આવનાર લોકો ઘટી ગયા છે, ફોન ઓછા થઈ ગયા છે, કોઈને એમનું માર્ગદર્શન જોઈતું નથી. પરિવારમાં પણ એમની સલાહ લેવામાં આવતી નથી. અપ્રસ્તુત થઈ જવાનો ભાવ શબ્દોમાં સમજાવી શકાતો નથી. દરેક વ્યક્તિને એનો અહેસાસ અલગઅલગ રીતે થાય છે.
કોઈને આપણી જરૂર રહી નથી એ વિચારથી વિચિત્ર ડર લાગે છે, જાણે આપણું અસ્તિત્વ ધીરેધીરે ભૂંસાવા લાગ્યું હોય. વર્ષો સુધી કેન્દ્રમાં રહેલા લોકો અનુભવવા લાગે કે એ હાંસિયામાં ધકેલાઈ ગયા છે ત્યારે એમનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને વધી પડ્યા હોઈએ એવું લાગે છે. એ અહેસાસ કે સ્થિતિને ઉંમર સાથે સંબંધ નથી. નિવૃત્તિ પછી અને વૃદ્ધાવસ્થામાં એ પ્રકારની લાગણી જન્મે તો હજી સમજી શકાય, પરંતુ દર વખતે એવું બનતું નથી. પ્રમાણમાં નાની વયે પણ બને છે.
ચાલીસ વર્ષનો મનોજ બહુ મોટી ઇન્ફર્મેશન કંપનીમાં કામ કરે છે. એની આવડત અને પ્રતિબદ્ધતા વિશે કોઈને શંકા નથી. કંપનીના પ્રોજેક્ટમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે એના સિનિયર મેનેજર એનો હલ કાઢવાનું કામ એને જ સોંપે અને એ સફળતાપૂર્વક કરી આપે, થોડા સમયથી એમાં બદલાવ આવ્યો છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળવા લાગી છે. એથી એ ક્ષેત્રના જાણકાર નવા લોકોનું મહત્ત્વ વધ્યું છે અને મનોજ બાજુમાં હડસેલાઈ ગયો છે.
આ સ્થિતિ કોઈની પણ સાથે ઊભી થાય છે. સંતાનો મોટાં થઈ એમના જીવનમાં વ્યસ્ત થઈ જાય પછી માબાપને લાગે છે કે ઘરમાં એમનું સ્થાન રહ્યું નથી. વિદ્યાર્થીઓ અભ્યાસના મુદ્દા કોમ્પ્યૂટરના સ્ક્રીન પરથી શીખવા લાગે ત્યારે નિષ્ઠાવાન શિક્ષકો લાગે છે, તેઓ વર્ગમાં અપ્રસ્તુત બની ગયા છે. વર્ષોની સૂઝબૂઝ પછી સફળતા મેળવનાર પીઢ બિઝનેસમેન આધુનિક ટેક્નોલોજી સાથે કામ કરતા યુવાન પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં પોતાને નવા નિશાળિયા જેવો અનુભવવા લાગે છે.
દેખીતી રીતે એમાંના કોઈએ કૌશલ્ય ગુમાવ્યું ન હોય, છતાં મુખ્ય પ્રવાહમાંથી બહાર ફેંકાઈ જવાનું વજન અસહ્ય બને છે, દુનિયા આપણી સમજની બહાર બહુ ઝડપથી બદલાય છે. બદલાતા વાતાવરણમાં આપણી સિદ્ધિઓ, સફળતાઓ, આપણે પાડેલી નવી કેડી કશાયનું મહત્ત્વ રહેતું નથી. એ પરિસ્થિતિ વાસ્તવિકતા છે, છતાં એની બીજી બાજુ પણ છે. આપણે કરેલા પ્રદાનનું મહત્ત્વ ઓછું આંકવું જોઈએ નહીં. સમય બદલાયો છે એ સત્ય સ્વીકારી લેવાથી અપ્રસ્તુત બની જવાનો અફસોસ થતો નથી.
એક જૂની કલમ ટેબલ પર કોમ્પ્યૂટરની બાજુમાં પડી હતી. કોમ્પ્યૂટરે એને પૂછ્યું; ‘કેમ છે? ઘણા દિવસે દેખાઈ?’ કલમ નિસાસો નાખ્યો. ‘ક્યાંથી દેખાઉં? હવે કોઈને મારી જરૂર રહી નથી. બધાં તારી મદદથી જ કામ કરે છે.’ કોમ્પ્યૂટરે સ્મિત કર્યું. ‘તારી વાત સાચી છે, પરંતુ તું અગત્યની બાબત ભૂલી જાય છે. તારા વિના સાહિત્ય, ઇતિહાસ કે પ્રેમપત્રો સુધ્ધાં કશું લખાયું ન હોત.’ કલમે બદલાતી કાર્યપદ્ધતિને પોતાની નિષ્ફળતા માની લીધી.
ઘણા લોકો એ જ ભૂલ કરે છે. લોકો નવીનતા, નવી શોધો ઝંખે છે, પરંતુ ભૂલી જાય છે કે દરેક આધુનિકતા પરંપરામાંથી જ આકાર લે છે. કશુંય ક્યારેય અપ્રસ્તુત હોતું નથી. અમેરિકાની ગ્રેન્ડમા મોઝિસનું જીવન ખેતી, ઘરકામ, સંતાનોને ઉછેરવામાં વીત્યું. એ કલાત્મક ભરતકામ કરવા માટે એના વિસ્તારમાં જાણીતી હતી. આંખો નબળી પડી છતાં મોડી રાત સુધી હાથમાં સોય પકડી સુંદર ઝીણું ભરતકામ કરતી. સિત્તેર વર્ષની ઉંમરે એનો આર્થ્રાઇટિસ ખૂબ વધી ગયો. સોય પણ બરાબર પકડી શકતી નહોતી. સામાન્ય રીતે એ સ્થિતિમાં લોકો ગાઢ હતાશામાં ડૂબી જાય, પરંતુ ગ્રેન્ડમા અપ્રસ્તુત બની જવા તૈયાર નહોતી. એણે વૃદ્ધાવસ્થામાં પીંછી હાથમાં લીધી. થોડાં વર્ષોમાં જ લોકકળાના ઉત્તમ ચિત્રકારોમાં સ્થાન મેળવ્યું.
જીવનમાં પ્રસ્તુત રહેવા માટે પોતાને નવેસરથી શોધવાં જોઈએ તે હકીકત એ સમજતી હતી. આપણે માની લઈએ છીએ વૃદ્ધો બહુ સહેલાઈથી જીવનની મુખ્ય ધારામાંથી બહાર નીકળી જાય છે. પરંતુ આજે કેટલાંય વૃદ્ધ સ્ત્રી-પુરુષો ‘બહાર નીકળી જવા’ની પરિસ્થિતિ સામે અડીખમ ઊભાં રહ્યાં છે. તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખ્યાં છે. સ્માર્ટફોનથી પેમેન્ટ કરે છે, ઓનલાઇન ખરીદી કરે છે, વિડિયો કોલથી દૂર વસતા પરિવાર સાથે સંપર્ક જાળવે છે. વ્હૉટ્સએપ પર સક્રિય રહે છે. કશુંક ફાવે નહીં તો માર્ગ શોધી લે છે.
ભારતમાં એકલા રહેતા દાદાનો એંસીમો જન્મદિવસ હતો. વિદેશમાં રહેતા પરિવારે એમને સેલ્ફી મોકલવા કહ્યું. દાદાને સેલ્ફી લેતાં ફાવ્યું નહીં એટલે એ લાંબા અરીસા સામે ઊભા રહ્યા અને પોતાના પ્રતિબિંબનો ફોટો પાડી લખ્યું – ‘હું હજી છું.’
અપ્રસ્તુત થઈ જવાનો ડર લાગે ત્યારે જાતને કેટલાક સવાલો પૂછવા જોઈએ – શું હું આજે પણ નવાં પુસ્તકો વાંચું છું? સંગીત સાંભળું છું? ક્રિકેટ-ટેનિસ-ફૂટબોલની મેચ ટી. વી. પર જોઉં છું? મને નવુંનવું જાણવાની જિજ્ઞાસા થાય છે? સુંદર દૃશ્ય જોઈને રોમાંચિત થઈ ઊઠું છું? દેશ અને દુનિયામાં બનતી અનિચ્છનીય ઘટનાઓથી વિચલિત થાઉં છું? દુ:ખી લોકોને જોઈ મને પીડા થાય છે? એવા સવાલોના જવાબ હકારમાં આવે તો આપણે હજી અપ્રસ્તુત થયા નથી. પહેલાં હતા એવા જ છીએ…
માણસ ઇચ્છે નહીં ત્યાં સુધી કોઈ બાહ્ય પરિબળ એને હાંસિયામાં ધકેલી શકતું નથી. આપણા અસ્તિત્વનું મૂલ્ય જાળવી રાખવું આપણા હાથમાં છે. કોઈ વૃક્ષ ફળ-ફૂલ આપવાનું બંધ કરે એટલે એનું મહત્ત્વ ઘટી જતું નથી. એ છાંયડો આપે છે, સૂકાં પાંદડાં ખેરવી ધરતીની ફળદ્રુપતામાં ઉમરો કરે છે, વરસાદને વરસવા માટે આહ્વાન આપી શકે છે. દરેક માણસ એ ફીનિક્સ પક્ષી છે, જે પોતાની રાખમાંથી નવો જન્મ લે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
