-
અહેવાલ અને અભરાઈ બન્ને એકમેક માટે બનેલા છે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
એક જમાનામાં શાળાના પરિણામનો દિવસ વિદ્યાર્થીઓ માટે ખાસ ઉત્સુકતાનો રહેતો. કોણ પ્રથમ આવ્યું, કોણ પાછળ રહ્યું—તેની ચર્ચા થતી. પણ થોડા સમયમાં સમજાતું કે આવો ક્રમ એ આખા વિદ્યાર્થીનું સંપૂર્ણ મૂલ્યાંકન નથી. એટલે કે ગમે એવી જટિલ વાસ્તવિકતાને આંકડામાં સમેટી કે દર્શાવી શકાય ખરી, જે આપણા સૌની પ્રિય પ્રવૃત્તિ છે. પણ એ આંકડો આખી વાત ભાગ્યે જ કહી શકે.
રાજ્યોના વિકાસનું મૂલ્યાંકન કરતી વખતે પણ આ બાબત ધ્યાને લેવી પડે. કોઈ રાજ્યની અર્થવ્યવસ્થા મોટી હોય, ઉદ્યોગો વધુ હોય કે આવકનું પ્રમાણ ઊંચું હોય, તો આપણે તેને વિકસિત માનવા લાગીએ છીએ. પણ વિકાસ એટલે માત્ર આર્થિક વૃદ્ધિ? જાહેર આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, ખેતી, જાહેર સુવિધાઓ વગેરે જેવી અનેક બાબતો વિકાસ સાથે સંકળાયેલી હોય છે. તાજેતરમાં પ્રકાશિત થયેલો ‘સ્ટેટ ઑફ ઇન્ડિયાઝ એન્વાયર્ન્મેન્ટ ૨૦૨૬’ અહેવાલ આ રીતે મહત્ત્વનો બની રહ્યો છે. તેમાં પર્યાવરણ, ખેતી અને જમીન, જાહેર આરોગ્ય તથા માનવવિકાસ અને જાહેર માળખાગત સુવિધાઓ જેવાં ચાર મુખ્ય ક્ષેત્રોના આધારે આપણા દેશનાં રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી આ અહેવાલ અનુસાર દેશનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં પાંચ રાજ્યો—ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ—ઘણા માપદંડોમાં પાછળ રહ્યાં છે. તો ગોવા, આસામ, હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવાં, પ્રમાણમાં નાના રાજ્યો અનેક ક્ષેત્રોમાં આગળ છે. એટલે કે એ હકીકત નીચે લીટી ઘેરી બને છે કે મોટું રાજ્ય એટલે વધુ વિકસિત, વધુ વસ્તી એટલે વધુ પ્રગતિ કે મોટી અર્થવ્યવસ્થા એટલે સર્વાંગી વિકાસ એવું હંમેશાં હોતું નથી. બીજી રીતે કહીએ તો વિકાસનો સંબંધ માત્ર કદ સાથે નહીં, આયોજન, શાસનની ગુણવત્તા અને જાહેર સેવાઓની અસરકારકતા સાથે પણ છે. આ અહેવાલ માટેના જરૂરી આંકડા સરકારી સ્રોતમાંથી લેવામાં આવ્યા છે.
આ અહેવાલની સૌથી રસપ્રદ બાબત કદાચ એ છે કે પ્રથમ ક્રમે આવવું એટલે સંપૂર્ણ બનવું નહીં. ગોવા ઘણા માપદંડોમાં આગળ છે ખરું, છતાં ત્યાં પાણીના શુદ્ધીકરણ, પ્રદૂષિત નદી વિસ્તારો અને જાહેર આરોગ્યની માળખાકીય મર્યાદાઓ જેવા પ્રશ્નો છે. પંજાબ ખેતીની દૃષ્ટિએ મજબૂત રાજ્ય છે, પણ રાસાયણિક ખાતરો પરની વધુ પડતી નિર્ભરતા અને સજીવ ખેતીના અભાવ જેવા પ્રશ્નોથી તે અસરગ્રસ્ત છે. એટલે અમુકતમુક માપદંડ અનુસાર કોઈ રાજ્ય અગ્રક્રમે હોય એ કોઈ મોટી સિદ્ધિ નથી, એમ કોઈ રાજ્ય પાછળ હોય તો એ એવી શરમની વાત પણ નથી. કેમ કે, મૂળ વાત તો પોતે પોતાના ક્રમ બાબતે, મર્યાદાઓ બાબતે સભાન છે કે કેમ એ જ મહત્ત્વનું છે.
આ જ બાબતને જરા વ્યાપક રીતે જોઈએ તો, માત્ર રાજ્યો માટે નહીં, વ્યક્તિ અને સમાજ માટે પણ આ હકીકત લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી હોતી. આગળ વધવાનો અર્થ એ નથી કે તેનામાં કશી ખોટ નથી. આગળ વધવાનો સાચો અર્થ એ છે કે પોતાની ખામીઓને ઓળખીને તેને દૂર કરવાની તેની તૈયારી છે. ચાહે એ વ્યક્તિ હોય, સંસ્થા હોય કે રાજ્ય હોય!
આંકડાઓનું મહત્ત્વ અવશ્ય છે. તે આપણને વાસ્તવિકતા નિહાળવાનો એક દૃષ્ટિકોણ આપે છે. તે બતાવે છે કે ક્યાં પ્રગતિ થઈ છે અને ક્યાં હજી લાંબી મજલ કાપવાની છે. એ જ રીતે આંકડાઓની પોતાની એક મર્યાદા પણ છે. તેમાં એ બાબત દર્શાવી શકાય છે કે કેટલા રસ્તા બન્યા, કેટલા લોકોને આરોગ્યસુવિધા મળી કે કેટલો જંગલ વિસ્તાર બચ્યો. પણ કોઈ સમાજમાં જવાબદારીની ભાવના કેટલી છે, જાહેર જીવનમાં સંવેદનશીલતા કેટલી છે કે લોકો પોતાના ભવિષ્ય વિશે કેટલા સજાગ છે—એ બધું માત્ર આંકડાઓથી માપી ન શકાય.
અત્યારે આખો ખેલ ક્રમાંકનો ચાલી રહ્યો છે. ચાહે એ પરીક્ષા હોય કે સમાજજીવન યા રાજકારણ. ક્રમાંક આગળ આવડત ગૌણ બની રહે એવું વાતાવરણ આપણે નિર્માણ કરી દીધું છે. નેતાઓ પોતાની છબિને અનુકૂળ બની રહે એવા અહેવાલ કે સર્વેક્ષણ કરાવે છે, એમ જે સર્વેક્ષણ કે અહેવાલમાં પોતાની છબિ ખરડાતી લાગે એને તેઓ વિશ્વસનીય ગણતા નથી. આખો ખેલ વાસ્તવિકતાનો નહીં, પણ છબિનો, એટલે કે શું છે એનો નહીં, પણ કેવું દેખાવું જોઈએ એનો છે. આ આખા ખેલમાં એવી એવી નકામી વસ્તુઓ મૂલ્ય તરીકે સ્થાપિત થતી જાય છે કે મૂળભૂત બાબત સાવ ગૌણ બની રહે છે.
આ અહેવાલના સહકર્તા અને ‘ડાઉન ટુ અર્થ’ના મેનેજિંગ તંત્રી રિચર્ડ મહાપાત્રે જણાવ્યા અનુસાર ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પૈકીનાં બત્રીસ જાહેર માળખાકીય સુવિધાઓ (સડક, વિજળી અને આવાસ) બાબતે અડધે પણ પહોંચી શક્યા નથી. મતલબ કે સમગ્રપણે રાષ્ટ્રીય વિકાસ ઘણો ઘણો મંથર ગતિએ થઈ રહ્યો છે. આપણા માટે આ અહેવાલ કેવળ ક્રમાંક મેળવવાનું માધ્યમ બની રહે એમ હોય તો એનો કશો અર્થ સરતો નથી.
એવો સવાલ પણ થઈ શકે કે આ અહેવાલ ગમે એટલો પ્રમાણભૂત હોય, પછી એનું શું? એમાં ઊજાગર કરાયેલી બાબતો પર વિચારવિમર્શ કરવા કોઈ તૈયાર થશે ખરું? એમાં દર્શાવાયેલી પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા અંગે કશાં પગલાં લેવાશે? કે પછી નાણાં ખર્ચાયા પછી તૈયાર થયેલો વધુ એક અહેવાલ આખરે અભરાઈને શોભાવશે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે..
ભગવતીકુમાર શર્મા
ચોમસાને કાગળ લખ
એ સમજી જાશે..
ના ફાવે તો ઝાકળ લખ,
એ સમજી જાશે..અડખે – પડખે
લાંબા – ટુંકા મીંડા દોરી..
એની નીચે વાદળ લખ,
એ સમજી જાશે..અકાદ – બે સર્પાકારી
લીટી દોરી..
એમાં વચ્ચે ખળખળ લખ
એ સમજી જાશે..તીર જેવું દોરી
એનો છેડો તું લંબાવ..
હળવેથી હળ લખ
એ સમજી જાશે..જેવી ફાવે એવી
તું બે આંખ ચિતરજે..
પાંપણ નીચે જળ લખ
એ સમજી જાશે..અગન ઓકતા આભમાં
પંખી જેવી બે લીટી તાણ..
એની નીચે ચાતક લખ
એ સમજી જાશે..ચોમાસાને કાગળ લખ
એ સમજી જાશે..🌨️💧☔️☂️ -
પતંજલિ યોગસૂત્ર : એક આચમન – પ્રાસ્તાવિક
દિ નેશ લ. માંકડ
ભારતીય સંસ્કૃતિની મહાનતાને સહુ સ્વીકારે જ છે. એમાંય જ્યારથી ૨૧ મી જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘ તરીકે પ્રસ્થાપિત થયો છે ત્યારથી તો યોગ વિષે વૈશ્વિક જાગૃતિ તો ઉડીને આંખે વળગે છે. યોગ શબ્દથી હવે લગભગ કોઈ અપરિચિત નથી યોગ શબ્દ સંસ્કૃત ભાષાના युज् ( ધાતુ } શબ્દ થી આવેલો છે. युज् એટલે જોડાવું.
યોગ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક જગ્યાએ થયેલો છે.શ્રીમદ ભગવદગીતામાં યોગ શબ્દ દરેક અધ્યાય સાથે અને અનેક શ્લોકમાં પ્રયોજાયેલો છે.ઉપનિષદોમાં પણ અનેક મંત્રોમાં યોગ શબ્દ તેના યથાર્થ ભાવ .સાથે છે માનવ ને માનવ તરીકે જીવન જીવતાં શીખવનાર અનેક પુણ્યશ્લોક ઋષિઓ એ આપણા અમૂલ્ય વા રસાનો ભાગ છે. મહાશ્રી પતંજલિ પણ એમાંના એક છે.
પ્રાચીનકાળ થી યોગ એ ઋષિઓ અને માનવજીવનનો સહજ ભાગ જ હતો. મહર્ષિ પતંજલિએ આશરે બે હજાર વર્ષ પહેલાં માનવની ઉત્તમ જીવન શૈલીને ઘડતાં 196 જેટલાં યોગસૂત્રો તૈયાર કર્યાં. એ એટલે ‘ પતંજલિ યોગસૂત્ર ‘
ઇતિહાસકારોના મતે મહર્ષિ પતંજલિ ઈસ્વીસન પૂર્વે આશરે 200 વર્ષ પહેલાં થઇ ગયા.ઉત્તરપ્રદેશના ગોંડા શહેરમાં જન્મેલા પતંજલિ ,પ્રખર વ્યાકરણ શાસ્ત્રી પાણિની શિષ્ય મનાય છે.એક મત અનુસાર મહર્ષિ પાણિનીના વ્યાકરણ પર નું મહાભાષ્ય પણ પતંજલિ એ લખ્યું છે.તેમનું નામ આયુર્વેદ સંશોધન સાથે પણ જોડાયેલું છે.રાજા ભોજે તો મહર્ષિ પતંજલિને તન અને મનના ચિકિત્સક તરીકે ઓળખાવ્યા છે.
‘ પતંજલિ યોગસૂત્ર ‘ ના માત્ર ૧૯૬ સૂત્રોમાં ગારગરમાં સાગર જેટલો અમૂલ્ય ભંડાર છે’ જે યોગના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસાઓ સમજાવે છે સ્વામી વિવેકાનંદ ,શ્રી યોગેશ્વરજી ,તેમજ અનેક ચિંતકોએ તેમના પર ભાષ્ય લખયાં છે. . .અત્યારે યોગ શબ્દને લઈને જે શારીરિક અને માનસિક ક્રિયાઓ થાય છે તે યોગનો અલ્પત્તમ ભાગ છે. અલબત્ત તન અને મનના સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ છે જ. અને હવે તો લગભગ મોટાભાગના ઘેર કોઈને કોઈ નાના મોટા જોડાયેલ છે.. તેવે વખતે યોગના મૂળમાં શું છે ? પાયામાં શું છે ? તે વિષે વિશેષ જાણવાની જિજ્ઞાષા હોય તે સ્વાભાવિક છે.
કેટલાક વિવેચકો માત્ર અષ્ટાંગ યોગને જ પતંજલિ યોગ ગણે છે પરંતુ મહર્ષિ પતંજલિએ તો માણસની જીવનની શ્રષ્ઠત્તમ અવસ્થા વિષે સૂત્રો આપેલાં છે. પતંજલિ યોગસૂત્રમાં ચાર પ્રકરણ છે. : સમાધિ પાદ, સાધનપાદ ,વિભૂતિપાદ અને કૈવલ્ય પાદ
સમાધિ પાદ { ૫૧ સૂત્રો }
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગ સૂત્ર નો પ્રથમ અને મુખ્ય ભાગ છે, જેમાં યોગનો ઉદ્દેશ્ય, ચિત્તની વૃત્તિઓ અને તેને કાબૂમાં કરવાની રીતો વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે
સાધન પાદ { ૫૫ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ રચિત ‘યોગસૂત્ર’નો બીજો અને અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય છે। તેમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેના વ્યવહારિક ઉપાયો (ક્રિયા યોગ અને અષ્ટાંગ યોગ) નું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
વિભૂતિપાદ (૫૫ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગસૂત્ર નો ત્રીજો અધ્યાય છે, જે અષ્ટાંગ યોગના અંતિમ ત્રણ અંગો—ધારણા, ધ્યાન અને સમાધિ—તેમજ તેનાથી પ્રાપ્ત થતી અલૌકિક સિદ્ધિઓ (વિભૂતિઓ) નું વિસ્તૃત વર્ણન કરે છે.
કૈવલ્ય પાદ (૩૪ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત પતંજલિ યોગ સૂત્ર નો ચોથો અને અંતિમ ભાગ છે. આ અધ્યાય આઝાદી, આત્મ-સાક્ષાત્કાર, અને મુક્તિ (કૈવલ્ય) ની અંતિમ અવસ્થાનું વર્ણન કરે છે.
કેવળ ઉપદેશ નહિ પણ માનવમાત્રને ઉત્તમ માનવ બનવાની દિશામાં વ્યવહારલક્ષી સૂત્રો આપનાર મહર્ષિ પતંજલિને સમગ્ર માનવ આ રીતે વંદન કરે છે.
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन |
योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि ॥“ યોગ દ્વારા જેણે ચિત્ત (મન) ની અશુદ્ધિઓને દૂર કરી છે, વ્યાકરણ (પદ) દ્વારા જેણે વાણી ને શુદ્ધ કરી છે, અને વૈદકશાસ્ત્ર દ્વારા જેણે શરીર ના રોગો (અશુદ્ધિઓ) નું નિવારણ કર્યું છે, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ પતંજલિને હું હાથ જોડીને નમસ્કાર કરું છું.”
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
સ્મૃતિસંપદા – સપના વિજાપુરા : જિંદગીકા સફર [૩]
ગતાંકમાં આપણે સપના વિજાપુરા ના નવા જીવનની મઝાની સફરમાં સંગાથ કર્યો.
હવે આગળ ……
અમેરિકાની સફર!
શરીફે એરફ્રાન્સ ની ટિકિટ મોકલેલી. મારે પેરિસ થઈને અમેરિકા જવાનું હતું. મારા બંને હાથમાં મહેંદી મુકેલી હતી. પ્લેનમાં ઘણાં ગોરા લોકો હતાં. અને એજ પ્લેનમાં રાજેન્દ્રકુમાર બૉલીવુડ ના હીરો પણ હતા. લાંબી મુસાફરીમાં એકવાર હું અને રાજેન્દ્રકુમાર વોશરૂમની લાઈનમાં સાથે થઇ ગયાં . એમણે મને પૂછ્યું “અમેરિકા જાઓ છો?” મેં કહ્યું,”હા.” બાજુમાં એક ગોરો ઉભો હતો એણે મને પૂછ્યું,” વ્હોટ ઇઝ ઈન યોર હેન્ડ?” રાજેન્દકુમારે હસતા હસતા કહ્યું ,”ઇટ્સ કોલ્ડ હેના. શી મસ્ટ બે ગોઈંગ ટુ સી હર હસબન્ડ.” અને ફરીથી ખડખડાટ હસી પડ્યા. હું પણ શરમાઈ ગઈ. આટલી વાતો થઇ ત્યાં સુધી મને ખબર ના પડી કે આ રાજેન્દ્રકુમાર છે. પણ હું મારી સીટ પર પાછી ફરી તો મારી બાજુમાં બેઠેલી એક ભારતીય સ્ત્રીએ પૂછ્યું,”શું કહેતો હતો રાજેન્દ્રકુમાર?” ત્યારે મને ખબર પડી કે એ રાજેન્દ્રકુમાર હતો.
મારા આવ્યા પહેલા શરીફ ફાર્મસી માં જોબ શોધતો હતો. અમેરિકા આવ્યા પાછી શરીફે ફાર્મસીની પરીક્ષા આપી ના હતી. તમારી પાસે ફોરેનની ફાર્મસીની ડિગ્રી હોય તો 3000 કલાકની ઇન્ટરશીપ કરવી પડે પછી તમે ફાર્મસીની પરીક્ષામાં બેસી શકો. અંતે વોટકિન્સ ફાર્મસીમાં ગયો. તે ફાર્મસીનો માલિક ફ્રેડ વુલ્ફ હતો. શરીફે એને કહ્યું કે હું તારી ફાર્મસી માં મફતમાં કામ કરીશ પણ તું મને થોડા કલાક રોજના આપ. ફ્રેડને વિશ્વાસ આવતો નહોતો. શરીફે પ્રમાણિકતાથી મફતમાં કામ કરવા માંડ્યું. શરીફના ગણિત થી અને શરીફની ચપળતાથી ફ્રેડ ખૂબ પ્રભાવિત થયો હતો. હવે બંને દોસ્ત બની ગયાં હતાં . એની વાઈફ મરીન પણ શરીફને ખૂબ ગમાડતી હતી. આ દોસ્તી અમારી હજુ કાયમ છે. દોસ્તી માટે ધર્મ, જ્ઞાતિ અને રંગના વાડા નડતાં નથી. જીવ થી જીવ મળવો જોઈએ. માણસ ખરાબ હોતાં જ નથી. આખા વિશ્વમાં ફરી વળો, આ પંડિત અને મૌલવી અને પાદરીએ દીવાલો ઊભી કરી છે. બાકી દરેકના શરીરમાં એજ લાલ રંગનું લોહી છે, અને છાતી નીચે સંવેદનશીલ હૃદય હોય છે.
હું એપ્રિલ 21,1978 ના દિવસે શિકાગોના એરપોર્ટ ઓહેર પર ઉતરી ત્યારે મને ગ્રીનકાર્ડ એરપોર્ટ પર જ આપી દીધેલું. શરીફ મને લેવા આવેલો, પણ પહેલી નજરે હું એને ના ઓળખી શકી! કારણકે એને મૂંછ રાખેલી. મેં સિલ્કની સાડી અને ફક્ત એક સ્વેટર પહેરેલું હતું, પગમાં સેન્ડલ હતા. શિકાગોની કાતિલ ઠંડીનો પરચો પહેલે દિવસે જ મળી ગયો. અંબાલાલ પટેલની કારમાં શરીફ મને એરપોર્ટ લેવા આવેલો. શરીફે ખાસ અંબાલાલને વિંનતી કરીને “બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હૈ” ની કેસેટ મૂકાવેલી. આ વાત હું ક્યારેય નહિ ભૂલું. શરીફ મારો વ્યાકુળતાથી ઇન્તેઝાર કરી રહ્યો હતો. અને પ્રેમના પુષ્પોથી એને મારું અમેરિકામાં સ્વાગત કર્યું.
અંબાલાલ અમને શંકરભાઇ અને શાંતીભાભીને ઘરે મૂકી ગયા. શરીફ એની કૉલેજના મિત્ર શંકરના ઘરે રહેતો હતો. બે બેડરૂમ કિચન અને એક વોશરૂમનું સરસ મોટું એપાર્ટમેન્ટ હતું. મને ખાવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. હું જાતજાતનું ખાવાનું બનાવતી , શાંતીભાભી મને મદદ કરતાં. શરીફ અને શંકરભાઇ બંને ગુલ્ડ કંપનીમાં કામ કરતા હતા. ફિલ્ડની જોબ ના હતી. ઓડ જોબ હતી. બંને કવોલિટી કંટ્રોલ ઇન્સપેકર હતાં . હજુ મારા આવ્યાને અઠવાડિયું પણ નહોતું થયું ને શરીફે મને દસ ડોલર આપી સામેથી દૂધ, દહીં, ઈંડા, બ્રેડ વિગેરે લઇ આવવા કહ્યું. હું જવા માટે તૈયાર ના હતી. પણ શરીફે દબાણ કરીને મને મોકલી. હું લગભગ રડી પડી. કારણકે ગોરા લોકોની સાથે કેવી રીતે વાત કરવી, ડોલર અને કોઈન શી રીતે ગણવા એ મને આવડતું ના હતું. હું કાર્ટ લઈને ગ્રોસરી સ્ટોરમાં ગઈ. શરીફે બિલ લાવવાનું કહેલું. હું ગ્રોસરી લઈને આવી તો શરીફે દસ ડોલરનો હિસાબ અને બિલની સાથે કિંમત જોઈને ગણતરી કરી. હું પૈસા બરાબર લઇ આવી હતી. શરીફે મને શાબાશી આપી અને કહ્યું,” આ તારું પહેલું લેસન હતું. અહીંના પૈસાની જાણકારી રાખવી જરૂરી છે, હું ના હોઉં તો તું આટલું તો હેન્ડલ કરી શકે.” ત્યારે ફક્ત દસ ડોલરમાં આટલી બધી વસ્તુ આવતી હતી. અને હવે આટલી ગ્રોસરી માટે પચાસ ડોલર પણ ઓછાં પડે.
એક દિવસ ફ્રેડ અને મરીન અમારે ઘરે આવી ગયાં. ત્યારે સેલફોનનો જમાનો ના હતો,પણ લેન્ડલાઈન હતી. ફ્રેડે શરીફને કહ્યું કે ચાલો આપણે બાનુ ને ડાઉન ટાઉન શિકાગો જોવા લઇ જઈએ. અમે ફ્રેડની કારમાં શિકાગો ડાઉન ટાઉનમાં ખૂબ ફર્યા. ફ્રેડ અમને સરસ રેસ્ટોરન્ટમાં જમવા લઇ ગયો. હું ખૂબ શરમાતી અને અચકાતી હતી. કારણકે ઈંગ્લીશ બોલવું મારા માટે ખૂબ અઘરું હતું. અને ફ્રેડ અને મરીન કાંઈ પૂછે તો એના જવાબ આપી શકતી નહોતી. પણ એ એ દિવસે શિકાગો મને એટલું બધું સુંદર લાગેલું કે મને થયું કે જો જન્નત છે તો અહીં જ છે. ઊંચી ઊંચી કાચની બિલ્ડીંગ્સ, પહોળાં રસ્તાં. લેઈક મિશિગન જોઈને મને મહુવાનો દરિયો સાંભરી આવ્યો. શિકાગોની સ્કાય લાઈન! ઉફ શિકાગો ની બ્યુટી! આજ સુધી એ કાર રાઈડ હું ભૂલી નથી. હજુ સુધી શિકાગોની એ સુંદરતાનું પિક્ચર મારા હૃદયમાં બેઠેલું છે.શિકાગો નો નજારો દરેક ઋતુમાં રોમાંચક હોય છે.
कभी हरी चादर, कभी सफेद ,तो कभी पीली
ए जमीं तेरा क्या खूब नजारा है इस शहरमे!એક મહિનામાં તો અમે અમે જૂની ઇમ્પાલા કાર ખરીદી. જે ફક્ત અમને અઢીસો ડોલરમાં મળેલી. સરસ કન્ડિશનમાં હતી. શરીફે એમાં ડ્રાઇવિંગ શીખી લીધું. આમ તો એ ભારતથી ડ્રાઇવિંગ શીખીને આવેલો. પણ ડાબી સાઈડ અને જમણી સાઈડના ભેદને લીધે અહીં ફરીવાર શીખવું પડ્યું. હવે શરીફ અને શંકરભાઇ બંને સાંજની શિફ્ટમાં કામ કરે એટલે હું અને શાંતિભાભી એકલા પડીએ. બ્લેક એન્ડ વાઈટ ટીવી જોઈએ. હું શરીફ પાસે જીદ કરવા લાગી કે મારે જોબ કરવી છે. ત્યારે ડિવોન એવન્યુ એટલું વિકસેલું ના હતું. બે કે ત્રણ ભારતીય સ્ટોર હતા. જેમાં ઇન્ડિયા સારી પેલેસ પણ હતું. એક દિવસ શરીફ મને સાડી અપાવવા ત્યાં લઇ ગયો. ત્યાંના મેનેજર પંજાબી હતા. મેં એમને પૂછ્યું,” આપની પાસે સેલ્સ ગર્લની જોબ છે?” એમણે હા પાડી. અને મને ત્યાં ને ત્યાં હાયર કરી લીધી. હું ત્યાં જોબ કરવા લાગી. મારે ઘરેથી બસ લઈને આવવું પડતું. યુવાની હતી , જોશ પણ હતો. ઠંડી કે ગરમી હું બસમાં ચડી જતી. અહીં મારે ઘણાં લોકોની ઓળખાણ પણ થઇ. એ સિવાય બોલીવુડના હીરો અને હીરોઇન્સ સાડી લેવા આવે એટલે સેલિબ્રિટી સાથે મુલાકાત પણ થતી. મેં છ મહિના ત્યાં જોબ કરી. પણ મારો પે ખૂબ ઓછો હતો અને મજૂરી ખૂબ કરાવે!
મેં શરીફને કહ્યું કે એની કંપનીમાં જોબ અપાવે દે, શરીફ ના પાડે કે તું આ કામ નહિ કરી શકે, પણ મેં જીદ ના છોડી! અંતે શરીફે એના બોસ મિસ્ટર મરફીને વાત કરી. એ ભલા માણસે મને જોબ આપી દીધી. આમ તો એક કુટુંબના બે માણસોને જોબ આપતા ના હતા, પણ શરીફનું માન ખૂબ હોવાથી મને જોબ મળી ગઈ. ચાર ડોલર કલાકના મળતાં હતાં . હું મશીન ઓપરેટર તરીકે કામ કરતી હતી. પાર્ટ ઉપર થ્રેડ બનાવવાના, હોલ બનાવવાના! આ કામ મોટાં મોટાં મશીન પર થતાં. મારી કૂણી અને નાજુક આંગળીઓમાં લોખંડ અને પિત્તળની ચિપ્સ ઘૂસી જતી અને હું રાતે પ્લકર લઈને આંગળીમાંથી એ ચિપ્સ ખેંચી કાઢતી. અમેરિકા ફક્ત સુખ અને સાહ્યબી જ નથી પણ તકલીફનો સામનો પણ કરવો પડે છે. જીવનમાં મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે. કોઈએ નથી કહ્યું કે જીવન ગુલાબની શૈયા છે . એમાં કાંટા પણ હોય છે. ભારતીયને જો એમ લાગતું હોય કે ડોલર ઝાડ પર ઉગે છે અને તોડી લેવાના છે તો એવું નથી! શરીફ મને શા માટે આ જોબ માટે ના કહેતો હતો તે મને સમજ પડી ગઈ! હું અને શરીફ સાથે જ જોબ પર જતાં , સાથે લંચ લેતાં, સાથે અમારી ઇમ્પાલામાં ઘરે આવતાં. શરીફે મને લર્નિગ લાયસન્સ પણ લઇ આપેલું. અમે રાતે દસ વાગે જોબ પરથી છૂટતાં, તે સમયે રાતે દસ વાગે રસ્તાં સૂમસામ રહેતાં . ત્યારે આટલો બધો ટ્રાફીક પણ નહોતો. એટલે શરીફ મને ઇમ્પાલા ચલાવવા આપે. અને હું એમ કરતા ડ્રાઇવિંગ શીખી ગઈ. શરીફના સાથને લીધે એ દિવસો પણ યાદગાર બની ગયાં. “તું જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા!”
છ મહિના અમે શંકરભાઇ સાથે આલ્બનીના એપાર્ટમેન્ટમાં રહ્યાં, પછી અમે અમારું એપાર્ટમેન્ટ શોધવાં લાગ્યાં . મોઝાર્ટ પર મગનભાઈની મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ હતી. અમે એમાં એક બેડરૂમનું એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધું. 175 ડોલર ભાડું હતું. શંકરભાઇ અને ભાભી ખૂબ પ્રેમાળ હતા. પણ તો પણ મારે અલગ રહેવું હતું. 1979 માં અમે મોઝાર્ટ પર રહેવા આવી ગયાં. બસ ત્યારે અમારું ફોક્સ ફક્ત પૈસા કમાવાનું હતું. શરીફની ઈચ્છા હતી કે 20 લાખ રૂપિયા ભેગા થાય તો વતનમાં પાછું જવું. જિંદગીની રફ્તાર ટ્રેનના પાટા પર ટ્રેન ચાલે એવી વેગે ચાલી રહી હતી. શરીફ મને ખૂબ સારી રીતે સાચવતો હતો કારણકે એ એવું સમજતો હતો કે અહીંયા મારું કોઈ નહોતું અને હું વતન છોડીને એની પાછળ પાછળ આવી હતી. શિકાગોની ઠંડીનું વર્ણન કરવું આવશ્યક છે. શિકાગોની ઠંડીમાં જો ઉકળતું પાણી હવામાં ફેંકવામાં આવે તો બરફના ટુકડાં થઈને જમીન પર પડે. આવી ઠંડીમાં હું પગમાં સ્લીપર પહેરીને નીચે લોન્ડરી કરવા ગઈ. લોન્ડરી બેઝમેન્ટમા હોવાથી દાદર બહારની સાઈડ હતો, જેમાં બરફ જામેલો હતો.શરીફે આ વાત તરત મારા પપ્પાને લખી નાખી. પપ્પાએ મારા પર ગુસ્સો કર્યો અને કહ્યું “શરીફભાઇ કહે તેમ કરો.” આ પ્રસંગ મને યાદ રહી ગયો કારણકે શરીફ મારી હદથી વધારે કાળજી રાખતો હતો. શિકાગોમાં બરફ ખૂબ પડે, સવારે ઉઠ્યા હોઈએ ત્યારે આઠ દસ ઇંચ બરફ પડી ગયો હોય. સવારે જોબ પર જવાનું હોય સ્ટ્રીટમાં પાર્ક કરેલી ઇમ્પાલાને કાઢતા અડધી કલાક લાગી જાય! બરફ ખસેડીએ, કાર સાફ કરીએ, અને ધક્કા મારીને કાર કાઢીએ! ત્યારે જોબ પર પહોંચીએ! પણ એ દિવસોની મજા કૈક ઔર હતી.
અમેરિકામાં સંઘર્ષ!
અમારા લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા હતા. અમારી જોબ પણ સારી ચાલતી હતી પણ શરીફને આ જોબ કાયમ નહોતી કરવાની. તેથી એને ફાર્મસીનો અભ્યાસ કરવાનો ચાલુ કર્યો અને ફ્રેડને ત્યાં વૉલીનટીયર તરીકે કામ પણ ચાલુ રાખ્યું. એના ઇન્ટરશીપના ૩૦૦૦ કલાક પૂરાં થવાં આવ્યાં હતાં. આ સમય દરિમયાન અમને ઉસ્માનભાઈ મળી ગયા. ઉસ્માનભાઈનું ટુ સ્ટોરી મકાન હતું. જેમાં ઉપરના ફ્લોરને એમને ભાડે આપવો હતો. આમ એપાર્ટમેન્ટ હતું, પણ સગવડતા બધી હાઉસ જેવી હતી. મોઝાર્ટની લીઝ અમારી પૂરી થતી હતી. તેથી અમે ઉસ્માનભાઈના એપાર્ટમેન્ટમાં જવાનું નક્કી કર્યું. ઉસ્માનભાઈ અને મહેરુનબેન ખૂબ પ્રેમાળ હતા. અમને ઘરના સભ્યોની જેમ ટ્રીટ કરતા હતા. આ એપાર્ટમેન્ટ ફ્રાન્સિસકો એવન્યુ પર હતું.
શિકાગોનો એક હ્રદયદ્રાવક પ્રસંગ યાદ આવી ગયો.શરીફની કૉલેજના એક મિત્ર યુસુફભાઇ વોહરા શિકાગો સાઉથ સાઈડમાં જોબ કરતા હતા. 1979 માં એમને પાંચ ડોલર માટે એક આફ્રિકન અમેરિકને ગોળીઓ મારી. જખ્મી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા. બે મહિના એમને હોસ્પિટલમાં રહેવું પડ્યું. પછી અમે એમને અમારે ઘરે લઈ આવ્યા. અમે એમની ખૂબ સેવા કરી એમને ફરી જીવન તરફ વાળ્યાં. એમણે મને બહેન માની હજુ સુધી એ સંબંધ જાળવી રાખ્યો છે. લાગણીના સબંધ એવી વેલ જેવા છે જે કદી સુકાતાં નથી!
શરીફે હવે દિલથી ફાર્મસીની જોબ શોધવાનું ચાલુ કર્યું અને નસીબથી અમારા ઘરની નજીક જ એને એક પ્રાઇવેટ ફાર્મસીમાં જોબ મળી ગઈ. ફાર્મસીનું નામ હતું, ગોલ્ડનરુલ ફાર્મસી. ફાર્મસીના ઓનર નેથન પોટકિન્સ અને નાન્સી પોટકિન્સ હતું. નેથન વર્ષોથી ફાર્માસીસ્ટ હતા અને અને એમણે ડેન્ટિસ્ટની ડિગ્રી પણ લીધેલી તેથી એમને ફાર્મસી સંભાળવા એક ફાર્મસી ટેક્નિશ્યન ની જરૂરત હતી. ફાર્મસી ફક્ત નસિંગહોમના પ્રિસ્ક્રિપશન ભરતી હતી. એટલે શરીફ બધી દવાઓ ભરીને રાખે, મી. પોટકિન્સ સાંજે આવી બધી દવા તપાસીને નર્સિંગહોમમાં મોકલી આપે. શરીફને પણ આ જોબમાં મજા આવી ગઈ. મી. પોટકિન્સે શરીફને કાર પણ આપેલી. અને ઘરની નજીક વળી ફાર્મસીનો અનુભવ પણ મળી રહ્યો હતો. નાન્સી મારી ‘ગોડ મધર’ બની ગયાં હતાં . એ અમને એમના ઘરે પણ બોલાવતાં . એમના સ્વિમિંગ પુલમાં નહાવાં પડતાં, બાર્બેક્યૂ કરતાં અને ખૂબ મજા કરતાં. પ્રેમ મેળવવા માટે પ્રેમાળ હૃદય જોઈએ.
શરીફે ફાર્મસીની એક્ઝામ આપવા માટે તૈયારી કરી દીધી. પણ પહેલી વાર એ ફેઈલ થઇ ગયો. પણ એક ફાયદો થયો, એમને હેમંત વોરા જેવા મિત્ર મળી ગયા. અમે વિજાપુરા અને હેમંત વોરા એટલે શરીફ અને હેમંતભાઈનો નંબર એક બેન્ચ પર આવેલો. અને હેમંતભાઈના મમ્મી મહુવાનાં એટલે અમારે સરસ મિત્રતા બંધાઈ ગઈ. અને હેમંતભાઈને મેં રાખડી બાંધી સ્નેહના ધાગાથી બાંધી લીધાં. હજુ પણ હેમંતભાઈ સાથે એવોજ સ્નેહનો સંબંધ છે. બાનું અવસાન 2015માં ૩ જૂનના દિવસે થયું હતું.
બીજી વખતે શરીફે અને હેમંતભાઇએ મળીને સ્ટડી કર્યો અને બંનેએ ફાર્મસી ની એક્ઝામ 1981 માં પાસ કરી દીધી. પપ્પા પણ ભારત આવવા માટે આગ્રહ કરતાં હતાં. શરીફને પણ મા યાદ આવેલા! શરીફે તો ગુલ્ડ કંપની ક્યારની છોડી દીધી હતી. અમે ભારત જવાનું નક્કી કર્યું અને અમારી ફલાઇટ રવિવારની હતી અને કંપનીએ મને શુક્રવારે લેઈડ ઓફ આપી દીધો. હું ઘરે આવી એટલે હું અને શરીફ તરત અનએમ્પ્લોયમેન્ટ ઓફિસમાં જઈને ફાઈલ કરી આવ્યા કે મને લેઈડ ઓફ મળ્યો છે. અને અમે ભારત જઈએ છીએ એ પણ જણાવ્યું. અમે ભારતથી આવ્યા એટલે તરત મને અનએમ્પ્લોયમેન્ટ ના પૈસા મળવાં લાગ્યાં. શરીફ એક ડૉક્ટર ની ઓફિસ મિશિગન ગાર્ફીલ્ડ ફાર્મસીમાં કામ કરવા લાગયો. ત્યાં બે ડૉક્ટર કામ કરતાં હતાં. ડૉક્ટર સ્મિતા શાહ, અને ડૉક્ટર શાહિદ અન્સારી. ઓનર ડૉક્ટર અન્સારી હતા. શરીફે થોડો સમય ત્યાં કામ કર્યું, ડૉકટર અન્સારી ને શરીફ ગમી ગયો અને એને ફાર્મસી શરીફને વેચવાનું નક્કી કર્યું. આમ શરીફ ફાર્મસીનો ઓનર બની ગયો. હું તો જોબલૅસ હતી, તેથી મેં ફાર્મસી ટેક્નિશ્યનનું લાયસન્સ લઇ લીધું અને હું શરીફની ટેક્નિશ્યન બની ગઈ. ધંધો જોરદાર ચાલતો હતો. ત્યારે ગવેર્નમેન્ટ પબ્લિક એઇડ લેવાવાળાને દવાના ખૂબ પૈસા આપતી હતી. શિકાગોમાં શરીફનો આખો કલાસ સેટલ્ડ થયેલો. ઘણીવાર દિવાળી પાર્ટીમાં આખો કલાસ ભેગો થાય. શરીફના કલાસે ફાર્મસી એશોશિયન બનાવેલું. એને ઘણા મિત્રો ફાર્મસી બોર્ડમાં મોટા મોટા હોદ્દા પર પહોંચી ગયાં હતાં. કલાસમાં સંપ ખૂબ હતો. એકબીજાને જોબ અને ધંધા માટે મદદ કરતાં . આમ એક મીની ભારત શિકાગોમાં વસી ગયું હતું.
ઝિલમિલ સિતારોંકા આંગન હોગા, રીમઝીમ બરસાતા સાવન હોગા! આ સુંદર સપનું પૂરું થયું, અમે 1982માં સ્કૉકીમાં ઘર ખરીદ્યું. આ અમારું બંનેનું એકસાથે પહેલું ઘર હતું જે અમારું પોતાનું હતું. જિંદગી સપના જેવી સુંદર વીતી રહી હતી, પણ એક ખોટ હતી. સંતાનની ! અમારા લગ્નને સાત વર્ષ થવા આવ્યા હતા. અલ્લાહે અમને ઔલાદ આપી ના હતી. મારી નાની બહેન બશીરાના લગ્ન 1981 માં થયા, અને નવ મહિનામાં સમાચાર આવ્યા કે એને દીકરો થયો છે. આ સમાચાર મારી છાતીની આરપાર તીરની માફક ઉતરી ગયા. એ દિવસે હું ખૂબ રડી હતી. એટલાં માટે નહીં કે મારી બહેનની મને ઈર્ષા હતી. પણ અલ્લાહે મારી ગોદ શા માટે ખાલી રાખી! અલ્લાહ પાસે ખૂબ ફરિયાદ કરી! બધા ભાઈ બહેનોને ઘરે ત્રણ ત્રણ સંતાન થયા હતા મારા સિવાય! અલ્લાહે મારી ઝોળી કેમ ખાલી રાખી! ત્યારબાદ કોઈપણ ના પ્રેગ્નેટ હોવાના સમાચાર આવતા તો મારા ગળે ડૂમો બાઝી જતો. ડૂસકાંઓ હૃદયમાં અટવાઈ જતા. અમે ઘણાં ડોક્ટરને બતાવ્યું, પણ કોઈ દોષ નજર આવતો ના હતો. બસ સમય લાગી રહ્યો હતો.
ડૉક્ટર અન્સારી પોતાની ક્લિનિક વેચીને હોસ્પિટલમાં જતા રહ્યા. આ ક્લિનિક ડૉક્ટર શાહે ખરીદી લીધી. ડોક્ટર અન્સારીના ગયા પછી શરીફનું દિલ આ ધંધા પરથી ઉતરી ગયું. અમારે હજ કરવા પણ જવું હતું. અમે હેમંત વોરાને ફાર્મસી ચલાવવા આપી અને હજ કરીને ભારત ગયાં. હજમા સંતાન માટે ખૂબ દુઆ કરી. ઉપરવાળાંને ત્યાં દેર છે અંધેર નથી એ વિશ્વાસ હતો. ભારત પહોંચ્યાં પછી શરીફને પાછું અમેરિકા આવવાનું મન ના હતું. પણ 1984 માં અમે પાછાં અમેરિકા આવ્યાં. હેમંત વોરાને ફાર્મસી વેચીને ફરી ભારત તરફ પ્રયાણ કર્યું. મા પાસે રહ્યાં . અમે ગાંધીનગર યુસુફભાઇ સાથે રહેવા લાગ્યાં. અમારી પોતાની કહી શકાય એવી કોઈ જગ્યા ના હતી. આમ બીજાના ઉપર ભારરૂપ થઈને રહેવાનું દિલમાં ખટકતું હતું. ગામમાં મકાન હતું પણ ગામમાં રહીને શું કરીએ? કોઈ કામકાજ તો શોધવું પડે એમ હતું. અમે 1985માં ભારત ગયાં ત્યારે અમાનતનું આંદોલન ચાલતું હતું. મોટે ભાગે કર્ફયુ અને ગુજરાત બંધના એલાન થતા હતા. શરીફ પાસે સિટીજનશિપ હતી. પણ મારી પાસે ગ્રીનકાર્ડ હતું, જે અગ્યાર મહિને રીન્યુ કરાવવું પડતું. એટલે શરીફે મને એકલીને અમેરિકા મોકલી આપી.
હિંમતે મર્દા ,તો મદદે ખુદા!
આ વખતે હું હિંમત કરીને અમેરિકા આવી ગઈ. શરીફ ભારતમાં હતો તે છતાં!! કારણકે અહીં હવે ઘણાં મિત્રો બની ગયા હતા. અને જે લગ્ન પહેલાની બાનુમા હતી એ બાનુમા હવે હું નહોતી. અમેરિકાએ બીજી ઘણી વસ્તુ સાથે હિંમત પણ આપી હતી. અને શરીફે મને જમાના સામે ઊભી રહેતા શીખવાડી દીધું હતું. હું મિત્રોની સાથે રહી. મેં અમેરિકા આવીને શરીફને કોલ કર્યો કે અમેરિકામાં ફાર્મસીની જોબ ખૂબ મળે છે. ભારતમાં તો આપણાં નસીબ ના ખૂલ્યાં, તું અહીં આવી જા. આમ પણ મને ભારતમાં મજા નહોતી આવતી.પોતાના ઘર વગર જાણે બીજાને બોજારૂપ હોઈએ એવું લાગતું હતું. ભલે એ લોકો અમને ખૂબ સારી રીતે રાખતાં હતાં. શરીફ ફરી અમેરિકા આવી ગયો. અમાનતના આંદોલનથી જે સેટલમેન્ટ ગવર્નમન્ટ એ કર્યું હતું એનો અમલ ગવર્નમેન્ટ કરી શકી ના હતી. ત્યારે શરીફને લાગેલું કે પોતે કરેલા વાયદા પાળી શકતી નથી એવી સરકારનો કેટલો ભરોસો કરાય?
અમેરિકા ઓપોર્ચ્યુનિટી નો દેશ છે એમાં કોઈ વિવાદ નથી. સરકાર તરફથી સલામતી પણ છે. સોશિયલ દબાણ પણ નથી. આ દેશમાં તમને જો સંતાન નહિ હોય તો કોઈ મેણાં તો નહીંજ મારે કદાચ સહાનુભૂતિ વ્યકત કરશે. અને સંતાન નથી તે માટે ફક્ત સ્ત્રીને જ દોષી નહીં માને. ભારતમાં પ્રેમ, લાગણી અને સંબંધની મીઠાશ છે. પણ ઘણીવાર લોકો તમારી પર્સનલ વાતને પબ્લિક ઇસ્યુ બનાવી દેતા હોય છે.
1986 માં શરીફે રિટેઇલ ફાર્મસીમાં જોબ કરી અમે બે મહિના મુસબજી મિયાજીના એપાર્ટમેન્ટમાં રહ્યાં કારણકે એ લોકો ભારત જતાં હતાં. 1987માં શરીફે ડોલટન મેડિકલ સેન્ટરમાં જોબ ચાલુ કરી. તે ભરત આચાર્યની ફાર્મસી હતી. એક દિવસે એ ફાર્મસીનો ધંધો બંધ કરીને જતો રહ્યો. ડૉકટર દવે એ શરીફને એ ફાર્મસી આપી દીધી. મેં વોલ્ટ ગ્રોસરી સ્ટોરમાં કેશિયરની જોબ સ્વીકારી લીધી હતી.
1988 માં બશીરાનો ફ્રાન્સથી ફોન આવ્યો કે એ લોકો અમેરિકા ફરવા આવે છે. હું ખૂબ ખુશ થઇ ગઈ. મારા ઘરની પહેલી વ્યક્તિ હતી જે પહેલીવાર મારે ઘરે અમેરિકા આવતી હતી. ત્યાં સુધીમાં બશીરાને ત્રણ બાળકો થઇ ગયાં હતાં. અકીલ, સુકેના અને અબ્બાસ. બશીરા અને શબ્બીરભાઈ પોતાના ત્રણ બાળકો સાથે અમેરિકા આવી ગયાં. અમારી પાસે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ હતું. એ લોકો પાંચ જણા એક રૂમમાં સૂઈ જતાં અને અમે એક રૂમમાં! ઘર અમારું નાનું પણ દિલ મોટું હતું અને પ્રેમ એના કરતા પણ મોટો હતો તેથી સાત જણા સમાઈ ગયાં. બશીરાને અમે કેનેડા અને સેન્ટ લૂઇસ ફરવાં પણ લઇ ગયાં. અમેરિકામાં પણ ખૂબ ફેરવી. બશીરા અને એની ફેમેલી બે મહિના અમેરિકા રહ્યાં.
અમારી ટ્રીટમેન્ટ ચાલતી રહી હજુ અમે સંતાનની આશા છોડી ના હતી. ઈશ્વરને જો બાળક આપવું હોય તો મોટી ઉંમરે પણ આપે છે. 1989 માં અમે ફાર્મસી મુસબજીને વેચી નાખી અને શરીફે રોઝલેન્ડ હોસ્પિટલમાં જોબ લઇ લીધી. સાથે સાથે વોલગ્રીનમાં જોબ લીધી હવે શરીફ બે જોબ કરતો હતો. શરીફને વોલગ્રીનમાં ફાર્મસી મેનેજર બનાવી દીધો. શરીફે હંમેશા મને નવું ઘર અપાવ્યું છે. અમે ટીનલી પાર્કમાં ઘર શોધતા હતા અને અમને એક મોડેલ હોમ મળી ગયું. એ જમાનામાં ચાર બેડરૂમ , ત્રણ બાથ , લિવિંગ રૂમ , ફેમેલી રૂમ, કિચન ડાઇનિંગ રૂમ અને ફૂલ બેઝમેન્ટ વાળું બ્રાન્ડ ન્યુ ઘર અમને ખાલી 180,000 માં મળ્યું હતું. સુંદર લેઆઉટ અને સરસ એરિયા. ૧૯૮૯માં આ મકાનમાં રહેવાં આવ્યાં મેં બાજુના ઓમની સ્ટોરમાં કેશિયર તરીકેની જોબ સ્વીકારી લીધી.
એક ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ સાથે અમારી ટ્રીટમેન્ટ ચાલુ હતી. 1989 નવેમ્બર મહિનામાં મેં પ્રેગ્નેસી ટેસ્ટ કર્યો અને પોઝેટીવ હતો. હું તો નાચી ઉઠી! અલ્લાહ તારો શુકર! હું અને શરીફ સજદામાં પડી ગયાં . અલ્લાહે અમારી દુઆ સાંભળી હતી. હવે મારા આંગણમાં પણ કોઈ પાપા પગલી કરશે ! દીકરો કે દીકરી ગમે તે હોય એ મારી આંખનો સિતારો બની જશે! ચારે તરફ ખુશી જ ખુશી હશે! “જીવનકી બગિયા મ્હેકેગી .લહેકેગી ચહેંકેગી , ખુશીયોંકી કલીયા જૂમેગી જૂલેગી ફૂલેગી!”આટલા વર્ષની સબરનો બદલો મળ્યો હતો. ત્યારે મારી ઉંમર સાડત્રીશ વર્ષની હતી. લગ્નને તેર વર્ષ થયા હતા. ઘણાં વરસો મેં રડી રડીને કાઢ્યાં , શરીફના પ્રેમે મને જીવતી રાખી હતી. પણ અમે બંને એટલા ઉત્સાહમાં આવી ગયાં કે ભારત જવાનું નક્કી કરી નાખ્યું. જાન્યુઆરી મહિનામાં અમે ભારત જવાં ઉપડયાં ત્યારે અમને ખબર ના હતી કે અમારું શું થવાનું હતું!
મુંબઈ પહોંચી ગયાં. એક મિત્રને ત્યાં દાવત ખાવા જવાનું થયું. ત્યાંથી આવ્યાં, મને બ્લીડીંગ ચાલુ થઇ ગયું. મારી બહેન માસુમાએ તરત ડોક્ટર ગુલરાજાનીને કોલ કર્યો. બ્લીડીંગ બંધ જ થતું ના હતું. મારી આંખમાંથી આંસુ દડી રહ્યાં હતા. મારા બાળકને કોઈપણ રીતે બચાવવું હતું. ડોક્ટર ગુલરાજાનીએ એમની હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. હું હોસ્પિટલમાં દાખલ થઇ ગઈ.શરીફને દવાની જાણકારી એટલે બધી દવા એ વાંચે કે કઈ છે. દવાની સાઈડ ઇફેક્ટ પણ એને ખબર હોય. એને ચિંતા થવા લાગી કે ખબર નહીં આ ડોક્ટર કેમ આવી દવા આપતી હશે? પણ ગુલરાજાની એક પણ વાત ના માની અને દવા કરતી રહી. અને મારો ગર્ભ ટકી ગયો. વીશ દિવસે હું ઘરે આવી. ડોકટરે ગામમાં જવાની તેમજ મુસાફરી કરવાની ના પાડી. અમેરિકા આવવાની પણ રજા જો એને યોગ્ય લાગે તો જ આપશે એવું કહ્યું. હું માસુમાને ઘરે રોકાઈ ગઈ. માસુમાએ મારી ખૂબ સેવા કરી મને પથારીમાંથી ઊભી ના થવા દીધી. બે મહિના થઇ ગયાં. હું ઇલોલ ના ગઈ, હું મહુવા ના ગઈ. બધાં મને મળવાં મુંબઈ આવ્યા. બા બિચારા અસ્થમાના પેશન્ટ પણ બોમ્બે આવી ગયાં. મારા નણંદ અને નણંદોઈ પણ બોમ્બે આવી ગયાં. બે મહિના પછી ગુલરાજાનીએ અમેરિકા આવવાની રજા આપી. હું ગુલરાજાનીનો જેટલો એહસાન માનું, તેમજ માસુમા અને ગુલામઅબ્બાસનો જેટલો એહસાન માનું એટલો ઓછો. એ લોકોની મહેનતથી શબ્બીરને બચાવી શકી. અને નિરાશામાંથી બહાર આવી શકી.
અમેરિકા આવી મેં ડોક્ટરની સૂચનાથી બેડરેસ્ટ કર્યો. જુલાઈ ૩૧, ૧૯૯૦ ના દિવસે સવારે મને લેબરપેઈન ચાલુ થયું. શરીફ વોલગ્રીનમાં જોબ કરતો હતો અને સવારે એને સ્ટોર ખોલવાનો હતો એટલે એ મારી સાથે હોસ્પિટલ આવી ના શક્યો. મારી મિત્ર મને હોસ્પિટલ લઇ ગઈ. સાંજના ચાર વાગ્યા સુધી શબ્બીરનો જન્મ ના થયો, પછી ડોકટર હેડવેંગીએ સર્જરી કરવાનું નક્કી કર્યું. શરીફ હજુ સુધી આવ્યો ના હતો તેથી મારે જ નિર્ણય લેવો પડ્યો. નર્સ મને ઓપરેશન થિયેટરમાં લઈ જતી હતી, એટલામાં શરીફ આવી ગયો. સાંજનાં ૪.૩૧એ નર્સે મારા હાથમાં શબ્બીરને આપ્યો! ઓહ અલ્લાહ! આનાથી સુંદર કોઈ ચીજ નથી. કેવો સુંદર ! કેવો મીઠો! જાણે કોઈએ ચાંદને મારા હાથમાં મૂકી દીધો. મારી તથા શરીફની આંખો ખુશીથી છલકાઈ ગઈ! અત્યારે મારો શબ્બીર ૩૧ વરસનો થઇ ગયો છે, એને ફાતિમા સાથે લગ્ન કર્યા છે અને એના ઘરે પણ દીકરો આવ્યો છે જેનું નામ ઇહાન છે ઇહાન નો અર્થ શરદપૂનમ છે. જેને અમારા જીવનમાં ચંદ્ર જેવું નૂર ફેલાવી દીધું છે. ફરી એકવાર અલ્લાહે મારા હાથમાં ચાંદ મૂકી દીધો છે!
મેરા રાજદુલારા,
વોહ જીવન પ્રાણ હમારા દિનકા વોહ સૂરજ હૈ રાતોકા ચાંદ સિતારા ,થોડાં હમારાં થોડાં તુમ્હારા આયા ફિરસે બચપન હમારાં! શબ્બીરે અમારાં જીવનમાં નવા રંગ ભરી દીધા! એના જન્મ પછી મેં જોબ કરી નહિ. પણ શરીફ ત્રણ જોબ કરતો હતો. શબ્બીર મને મા કહીને બોલાવે છે. એ બે વર્ષનો થયો એટલે અમે એક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ખરીદ્યો. એમ કહું તો ચાલે કે ખરીદવો પડ્યો. અમે એ સ્ટોર ભારતથી આવતા અમારા એક નજીકના મિત્રના જમાઈ માટે લીધેલો. એમને વિઝા માટે એપ્લાય કરેલું અને આવીને ગ્રોસરી સ્ટોર સંભાળશે એવું નક્કી થયું હતું. પણ એમને વિઝા મળી નહિ. એટલે સ્ટોર મારે સંભળવો પડ્યો. પણ મેં એમ્પ્લોયી રાખેલો.એનું નામ રઝાક હતું. એ પ્રમાણિકતાથી સ્ટોર સંભાળતો હતો હું શબ્બીરને કારમાં બેસાડી સામાન લેવા જતી. જેમકે વેજીટેબલ્સ , મૂવીની વિડિઓ કેસેટ , સમોસા ખમણ વિગેરે. એક દિવસ તો ટાયર ફ્લેટ થઇ ગયું હતું. હાઇવે પર એક દેવદૂત જેવા મેક્સિકને ટાયર બદલી લીધું, મેં એને દસ ડોલર આપવા પ્રયત્ન કર્યો, તો મને કહે, “તું ‘ગોડ’માં માને છે?” મેં હા કહ્યું, તો કહે ,” બસ અમારા માટે દુઆ કરજે! “ગરીબ લોકોમાં પણ કેટલી દયા , કરુણા અને ખુદ્દારી હોય છે! અને એકવાર ડિવોનથી આવતા ખૂબ વરસાદને લીધે બધે પાણી ભરાઈ ગયેલા. આમ તો મારા ઘરથી ડિવોન 45 મિનિટ્સ નું ડ્રાઈવ હતું, તે દિવસે હું શબ્બીરને લઈને પાંચ કલાકે ઘરે પહોંચી. શબ્બીર મારો ખૂબ ધીરજવાળો હતો. દૂધની બોટલ પણ ખલાસ થઇ ગયેલી અને પાણી પણ ના હતું! ત્યારે કારમાં જી.પી.એસ પણ ના હતા. સેલ ફોન પણ નહીં !પણ અલ્લાહની મહેરબાનીથી પાંચ કલાકે ઘરે પહોંચી ગઈ. મેં એ સ્ટોર બે વર્ષ ચલાવ્યો. પછી વેચી નાખ્યો.
૧૯૯૪ માં મારા વચેટ જેઠનો વિઝાકોલ આવી ગયો. શરીફને ખબર હતી કે મારા જેઠની ઉંમર થઇ ગઈ હોવાથી એ ક્યાંય ઓડ જોબ નહિ કરી શકે! એમણે ડિપ્લોમા ફાર્મસી કરેલું હતું. શરીફે એ લોકોને સેટ કરવા માટે એટલાન્ટામાં બે હોટલમાં પાર્ટનરશીપ રાખી. પાર્ટનર અમારા મિત્ર જ હતા. શરત એટલી રાખી કે તમારે અમારા ભાઈ ભારતથી આવે એટલે એમને જોબ આપવાની. મિત્ર કબૂલ થઇ ગયા. યુસુફભાઇ, ઝોહરાભાભી અને આબીદ અમેરિકા આવી ગયાં . એમનો મોટો દીકરો તાહિર 21 વરસનો થઇ ગયો હતો તેથી તેને વિઝા ના મળી. અમે એમને એટલાન્ટા ડ્રાઈવ કરીને લઇ ગયાં . એટલાન્ટા ટીનલી પાર્કથી દસ કલાકનું ડ્રાઈવ થાય. શબ્બીર ત્યારે ચાર વરસનો હતો. શરીફ મૂકીને ફ્લાય કરીને ટીનલી પાર્ક પાછો ગયો. હું એમની સાથે રોકાઈ. હોટલમાં એપાર્ટમેન્ટ હતું તેમાં તેમને રહેવાનું હતું. પણ ભારતમાં આરામની જિંદગી જીવેલા અને દિકરાથી કદી જુદાં થયેલાં નહીં તેથી મારા જેઠાણી તો રડ્યાં કરે, યુસુફભાઇ પણ બેચેન ફર્યા કરે. અઠવાડિયામાં એમણે નિર્ણંય લઇ લીધો કે એમણે અમેરિકા નહીં ફાવે. અમે એમને ત્રણ મહિના ફેરવી પરત ભારત મોકલી આપ્યા. એવી જ રીતે ત્રણ મહિનામાં બીજા જેઠ હાસમભાઇ મદિનાનાભાભી , મહંમદ અને નજમા આવ્યાં. એમના દીકરાને તો સ્કૂલમાં દાખલ કર્યો, દીકરીને પણ દાખલ કરી પણ એ લોકોને ભાષાનો મોટો પ્રોબ્લેમ લાગતો હતો. દીકરો તો સ્કૂલ જતા ગભરાતો હતો. અને એમને પણ ભારત જવાનું નક્કી કર્યું. આપણો દેશ સારો છે! એવું કહેવા લાગ્યાં. એ પણ ભારત પાછાં ફર્યા.
શબ્બીર ધીરે ધીરે મોટો થઇ રહ્યો હતો. એના શિક્ષણનું હું જ ધ્યાન રાખતી હતી. એને સન્ડે સ્કૂલમાં લઇ જતી હતી અને ઇસ્લામિક એડ્યુકેશન અપાવતી હતી. શરીફ વોલગ્રીન અને રોઝલેન્ડ હોસ્પિટલમાં બીઝી હતો. . સાથે સાથે સ્ટોક માર્કેટમાં પણ રસ લેતો હતો.૧૯૯૫ અને ૧૯૯૬ માં ઇન્ટરનેટ આવી ગયું. કોમ્પ્યુટરનું મહત્વ વધવા લાગ્યું. સોશિયલ મીડિયા ચાલુ થઇ ગયું. દુનિયા નાની બનતી ગઈ. પારકા પોતાના થઇ ગયાં અને પોતાના દૂર થતાં ગયાં. જિંદગીનું વહેણ બદલાઈ ગયું. દરેક વ્યક્તિ પોતાનામાં મસ્ત રહેવા લાગી. આ સમય દરમ્યાન ક્યારેક ક્યારેક અમે ભારતની મુલાકાત લઇ આવતાં હતાં. શબ્બીરને દેશનું વાતાવરણમળે, અને સગાંવહાલાંને ઓળખે તે માટે!
1999ની સાલમાં અચાનક મારા જેઠનો કોલ આવ્યો કે મા ગુજરી ગયાં. માને કોઈ બીમારી ના હતી. મા ખૂબ તંદુરસ્ત હતાં. ચોરાણું વર્ષની ઉમરે પણ કોઈપણ જાતની મેડિસિન લેતાં નહોતાં. એમણે આખી જિંદગી કામ ખૂબ કર્યું. ચોત્રીસ વર્ષની નાની ઉમરે પતિને ગુમાવ્યાં. આઠ બાળકોની જવાબદારી એમના પર આવી ગઈ. ખેતી સિવાય કોઈ આવકનું સાધન ના હતું. તેથી નસીરભાઇ જે થોડા મંદ બુદ્ધિના હતા એમને લઈને ખેતરમાં કાળી મજૂરી કરી અને બાળકોને ભણાવ્યાં. દીકરીઓના લગ્ન કર્યા. બધાં સંતાનોના લગ્ન કર્યા, પોતાના બાળકો માટે ખૂબ કુરબાની આપી હતી. ‘મધર ઇન્ડિયા ‘નું બિરુદ ખરેખર એમને મળવું જોઈતું હતું. એ મા દુનિયાથી ચાલ્યાં ગયાં હતાં. મેં શરીફની ટિકિટ બુક કરાવી અને એને કહ્યું નહીં કે મા આપણને છોડીને જતાં રહ્યાં છે. એમને પ્લેનમાં બેસાડી હું ખૂબ રડી પડી! મા એ મને પ્રેમ આદર, સન્માન બધું આપેલું. હું એમની ફેવરિટ દીકરાની વહુ હતી. હવે એમને હું કદી જોઈ નહિ શકું!
૨૦૦૦ની સાલમાં ભારતથી ભાઈનો કોલ આવ્યો કે બા સખત બીમાર રહે છે અને એમના છેલ્લાં દિવસો છે. તારે મળવું હોય તો આવી જા. હું જુલાઈ મહિનામાં શબ્બીર સાથે ભારત પહોંચી ગઈ. બાને જોઈને બાના ખોળામાં માથું રાખીને પોકે પોકે રડી પડી. બાને ઘણાં વર્ષે જોયાં હતાં. બા દસ વર્ષથી પથારીમાં હતાં. એ મોટાભાઈને ઘરે રહેતાં હતાં. બા જિંદગીભર શરીરે ભરાવદાર હતાં. પણ જ્યારે આ સમયે હું ભારત ગઈ તો બાની દુબળી કાયા અને ઢીલા ઢીલા કપડાં જોઈને મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. “બા,બા તમારી આ હાલત શી રીતે થઇ?” બાની આંખોમાં કેટલાય કિસ્સા હતા. બા મૌન રહ્યાં. મારી હિંમત પણ ના હતી પૂછવાની! મારા સવાલનો બા પાસે જવાબ ના હતો. પણ જવાબ ની આશા પણ ના હતી. એ એક મહિનો બા સાથે સમય કાઢ્યો. પણ અમેરિકાએ મારી બા નો સાથ છીનવી લીધો હતો. આમ તો દીકરીના લગ્ન થાય એટલે માબાપનો સાથ છૂટી જતાં હોય છે. પણ નજીક હોય તો મુલાકાત થયાં કરે! મહિના પછી હું અમેરિકા પાછી આવી. બા ત્યારે જીવિત હતા. પણ એજ વર્ષે સપ્ટેમ્બરની ચોથી તારીખે બાના મૃત્યુના સમાચાર મળ્યા. અને એ દિવસથી માની દુઆ થી વંચિત થઇ ગઈ!
मां जबसे छोड गई है इस जहाँको
दामन और दिल दोनों महेरुम दुआसे रहेશબ્બીર દસ વર્ષનો થઇ ગયો હતો. પાંચમા ધોરણમાં આવી ગયો હતો. એટલે મેં એન.એલ .એસ. બી બેંકમાં કેશિયર તરીકેની જોબ લીધી હતી. 2000 થી મેં જોબ ચાલુ કરી હતી. શબ્બીરની સ્કૂલનો સમય આઠ વાગ્યાનો હતો હું પણ આઠ વાગે જોબ પર જવા નીકળતી અને શબ્બીરના આવવાનો સમય ત્રણ વાગ્યાનો હતો અને હું બે વાગે ઘરે આવી જતી. એટલે બધું સરસ ગોઠવાઈ ગયું હતું. આ બેંકમાં ઘણી ગોલમાલ ચાલતી હતી. એ જમાનામાં તમે જોબ પર પહોંચો એટલે કાર્ડ પંચ કરવાનું હોય. અહીં કાર્ડ પંચ કરીને સ્ટાફની ગોરી છોકરીઓ બહાર નીકળી જતી. પોતાના કામ પતાવીને શાંતિથી પાછી આવે. આના લીધે મારા પર કામનો બોજો વધી જાય. કોઈ કેશિયર હાજર ના હોય. કસ્ટમરની મોટી મોટી લાઈન થઇ જાય. હું રોજ શરીફને આવીને કકળાટ કરું. એક દિવસે શરીફે બેંકના સી ઈ ઓ ને નનામો લેટર લખી નાખ્યો કે આ બેંકમાં આવું બધું ચાલે છે. સીધો શક મારા પર આવ્યો કારણકે હું એ લોકો સાથે ભળેલી નહોતી. બેંક ચેતી ગઈ. સી ઈ ઓ એ મિટિંગ બોલાવી અને બ્રાન્ચ મેનેજર સાથે બાવીશ લોકોને ફાયર કર્યા. નવો સ્ટાફ આવી ગયો. અને નવી બ્રાન્ચ મેનેજર મેરિઓન આવી ગઈ. એ મને ખૂબ માન આપવા લાગી. મને ઓફિસમાં બોલાવીને કહ્યું “તું કાઈપણ ગોલમાલ થાય તો મને જણાવી દેજે.” બેંકે એટલી પ્રગતિ કરી કે એ એક મોટી બેંક સાથે જોડાઈ ગઈ હવે મારી બેન્કનું નામ હૅરિસ બેંક હતું.
એ સપ્ટેમ્બર ૧૧ , ૨૦૦૧ની તારીખ હતી. હું સવારે જોબ પર જવા નીકળી હતી. રોજની જેમ મેં રેડિયો પર ન્યુઝ મૂકેલા. હું સમાચાર સાંભળતી હતી. અને અચાનક બ્રેકીંગ ન્યુઝ મેં સાંભળ્યા કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે એક પ્લેન અથડાયું અને ટાવર ડેમેજ થઇ ગયો છે. તરત બીજું પ્લેન આવ્યું અને બીજી તરફથી ટાવર સાથે અથડાયું. અને ત્રીજા પ્લેને પેન્ટાગોન પર હુમલો કર્યો. એક પ્લેન પેન્સિલ્વિનયામાં પણ અથડાયું. મુસલમાન ટેરોરિસ્ટનું નામ આવ્યું. ૨૯૭૭ માણસો ગુજરી ગયા. જેમાં 19 લોકો હુમલો કરવાવાળા પણ હતા. ૬૦૦૦ લોકો ઘાયલ થયાં હતાં. ઉસામા બિન લાદીનનું નામ આવી રહ્યું હતું. ઇસ્લામ જે પરદા પાછળ છૂપાયેલો હતો એ ચર્ચામાં આવી ગયો.
અમેરિકન મુસ્લિમ પ્રત્યે જુદી દ્રષ્ટિથી જોવા લાગ્યા. હિજાબ પહેરેલી સ્ત્રી કે દાઢીવાળા પુરુષને ટેરોરિસ્ટ ગણવા લાગ્યા! એમની તરફ શંકાથી જોવાં લાગ્યાં. મસ્જિદ તરફ કડક નજર રાખવામાં આવતી. પણ આ ધડાકાથી એક રિવર્સ અસર પણ આવી. ઇસ્લામની અવગણના કરવાવાળા ઇસ્લામને જાણવાં સમજવાં માટે કુરાન ખરીદવા લાગ્યા! હજારોની સંખ્યામાં કુરાન વેચાવાં લાગ્યાં. હજારોની સંખ્યામાં લોકો મુસલમાન પણ બનવાં લાગ્યાં. આફ્રિકન અમેરિકન અને ગોરા લોકો ઇસ્લામને સ્વીકારવાં લાગ્યાં. કુરાનમાં એક આયાત છે કે ” જો કોઈએ એક માનવીને માર્યો તો એને આખી માનવજાતને મારી, અને જો કોઈએ એક માનવીને બચાવ્યો તો એને આખી માનવજાતને બચાવી.” સુરા માએદા આયાત 32. ઇસ્લામ શાંતિપ્રિય ધર્મ જ છે. અસ્સલામો અલયકુમનો અર્થ પણ “તમારા ઉપર સલામતી થાય.” એવો થાય છે. તો ઉસામા બિન લાદીન ઇસ્લામમાં નથી, પણ ઉસામા ઇસ્લામનો દુશમન છે એમ કહી શકાય! શબ્બીરના બાળમાનસ પર આ પ્રસંગની અસર થઇ હતી. ઇસ્લામને સમજવાની કોશિશ કરવા લાગ્યો. હું પણ ઇન્ટરફેઈથ કાર્યક્રમમાં જવા લાગી. શિકાગો ડાઉન ટાઉનમાં એક મોટો ઇન્ટરફેઈથ કાર્યક્રમ થયેલો. જેમાં એક ક્રિશ્ચન અને એક મુસ્લિમ એમ બેસાડવામાં આવ્યાં હતાં. મારી સાથે એક ક્રિશ્ચન શિક્ષિકા હતી. અમે બંને ખૂબ વાતો કરી અને અંતમાં માનવધર્મ સૌથી શ્રેષ્ઠ છે, અને એને ફોલો કરવો જોઈએ. તેમજ કોઈ પણ ધર્મ હિંસા શીખવતો નથી. એમ માનીને શેક હેન્ડ કરી અમે છૂટા પડયાં હતાં. લોકોમાં એકતા પણ આવી. લોકોનો ઇસ્લામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો.
પપ્પા હવે એકલા પડી ગયા હતા. જોકે બા પપ્પાને બંને જીવતાં હતા ત્યારથી જ જુદાં પાડી દેવામાં આવ્યાં હતાં . બાગબાન મુવી જેવી હાલત થઇ હતી. બાગબાનમાં છેલ્લે અમિતાભ અને હેમા માલિની મળી જાય અને અને ‘બાગબાન’ પુસ્તકમાંથી લાખો રૂપિયા કમાય છે પણ અહીં એવું કાંઈ બન્યું નહિ.એ થૅન્ક્સ ગિવિંગ નો સમય હતો , ભાઈનો કોલ આવ્યો,” પપ્પાની તબિયત સારી નથી. તું ભારત આવી જા, છેલ્લીવાર પપ્પાનો મોઢું જોવા માટે!”મને ભારતની ટિકિટ મળતી નહોતી . મેં બેગ તૈયાર રાખેલી અને શરીફનો મારી જોબ પર કોલ આવ્યો કે તને આજ રાતની ટિકિટ મળે છે તું જલ્દી ઘરે આવી જા. મેરીઓન મારી બોસ ખૂબ સારી હતી. એને કહ્યું ,”બાનુ, તું જા અમે તારું ડ્રોઅર બેલેન્સ કરી લઈશું.” અને હું નીકળી ગઈ. પ્લેનમાં હું રડતી રહી. ભારત મને હતું એના કરતા પણ દૂર લાગ્યું. હું ભારત પહોંચી તો પપ્પા મને ઓળખી પણ ના શક્યા. એમને ઓલ્ઝાઇમર થઇ ગયું હતું. એમણે મને પૂછ્યું,” તમે કોણ બહેન ?” પણ આંખો બંધ કરીને બોલતા હતા કે “બાનીયાને બોલાવો એ અમેરિકા છે.” મેં પપ્પાને હલાવીને કહ્યું,” પપ્પા, હું તમારો બાનીઓ પપ્પા આંખો ખોલો, પપ્પા મને ઓળખો! હું જ તમારો બાનીઓ ! ” પણ પપ્પા ના ઓળખી શક્યા. પપ્પાએ ખાવા પીવાનું મૂકી દીધું હતું. બસ ખાલી શ્વાસ ચાલતાં હતાં. ફરી એકવાર મને મજબૂર થઇ અમેરિકા પાછું ફરવું પડ્યું કારણકે રિટર્ન ટિકિટ લઈને આવી હતી. સત્તર ડિસેમ્બર 2002ના દિવસે પપ્પાને આવી હાલતમાં મૂકીને અમેરિકા પાછી ફરી. 21 ડિસેમ્બરે એમણે પ્રાણ છોડી દીધા. બાનીયાના પપ્પા બાનીયાને આ દુનિયામાં એકલી મૂકીને જતા રહ્યા.
મેં સગાવહાલા પાસેથી સાંભળ્યું કે પપ્પાની તબિયત થોડી સારી હતી ત્યારે પપ્પા ઘૂંટણિયે ચાલતા ચાલતા ભાઈના ઘરમાંથી બહાર નીકળી જતા અને કહેતા કે મારે 299 માં જવું છે. પણ એમને યાદ ના હતું કે એ ક્યાં આવ્યું છે. મરતા મરતા પણ એમને 299 માં રહેવા જવું હતું! એવો પ્રેમ હતો એ બંગલા સાથે! પપ્પા તમે હવે નથી, 299 પણ નથી ત્યાં એક ખાલી મેદાન છે. પપ્પાનો માળો વિખેરાઈ ગયો. એક એક તણખલું લઈને એમણે બાંધ્યો હતો. હવે પપ્પાના બધાં અરમાન એક મેદાન બની ગયા છે . ત્યાં હવે રાતરાણી, ગુલાબ કે ચંપો મહેકતા નથી. ત્યાં હવે બોગનવેલ નમીને સલામ કરતી નથી. ત્યાં નાળિયેરી દીકરીઓની રાહ જોતી નથી.ત્યાં ‘પપ્પા પપ્પા , બા બા” નો કલરવ સંભળાતો નથી. બસ એક સૂનું મેદાન છે. ખુલ્લા મેદાનમાં પપ્પાના પગલાં પણ નથી! 1970 માં બંધાયેલા એ માળાના તણખલાં 2017માં વેરવિખેર થઇ ગયાં!
બસ નથી ગમતું હવે ‘સપના‘ અહીં
આજ પપ્પા એજ લખવાનું હતું.સમય તો વહેતો જ જાય છે. 2003 માં અમે લોકોએ યુરોપની ટૂર લીધી. શબ્બીર તેર વરસનો થયો હતો. અમે ફ્રાન્સ ઘણીવાર જઈ આવેલાં. યુરોપની ટૂરમાં અમે સત્તર દેશ જોયાં. જેમાં સ્વિઝર્લેન્ડ , ઇટલી, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રિયા વિગેરે હતાં. 2004 જુલાઈમાં અમે ફરી ભારતથી અમે મલેશિયા, સિંગાપુર, અને થાઈલેન્ડ ફરવા ગયાં હતાં. અમે જ્યારે ભારત જતાં ત્યારે એક દેશ જોઈને જતાં. જેમાં કેનેડા,ટરકી, સ્પેન, મસ્કત, મોરોકો , ઈજીપ્ત ,ઓમાન, દુબઇ, સીરિયા, ઈરાન, ઇરાક, અબુધાબી આવે છે. આમ શરીફે કુદરતની બનાવેલી આ અદભૂત ધરતી પર 32 દેશ દેખાડીને મને મંત્રમુગ્ધ કરી દીધી છે. દુનિયા જોવાનો મારો શોખ એ હજુ પણ પૂરો કરી રહ્યો છે. પ્રકૃતિ એટલે ઈશ્વર! અવની આટલી સુંદર છે તો જેને આ અવની બનાવી છે તે કેટલો સુંદર હશે ! આ પહાડ, આ ફૂલો, આ જંગલ, વહેતી નદીઓ, આ સમુદ્ર, આ અવનવા પ્રાણીઓ, અને આ રંગબેરંગી પક્ષીઓ! અહો ઈશ્વર કેવી કરામત કરી આ અવની બનાવીને !!
આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી
ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે!2004 માં શરીફે વોલગ્રીન છોડીને સીવીએસમાં જોબ લીધી. અમે ટીનલી પાર્ક છોડી ને શ્યામબર્ગ રહેવાં આવી ગયાં. એ ઘર મસ્જિદથી નજીક હતું અને શરીફની જોબથી પણ નજીક હતું. ટીનલી પાર્ક માં અમે સોળ વર્ષ રહ્યાં. એ ઘર છોડતાં ખૂબ દર્દ થયું. એ ઘરમાં હતાં ત્યારે મા , બા અને પપ્પાને ગુમાવ્યાં હતાં. વળી અમારા પડોશી બધાં અમને ખૂબ ચાહતાં હતાં. શબ્બીરના જન્મથી શબ્બીરને 14 વર્ષનો થતા જોયો હતો. શબ્બીરનો ખાસ મિત્ર માઈકલ અને માતાપિતા ઓસ્કાર અને લીઝ જે અમારી બાજુમાં રહેતાં હતાં. પાછળ મેટ અને બની રહેતાં હતાં, સામે રહેતાં એલ અને વેરોનિકા અમારા સુખદુઃખના સાથી બની ગયાં હતાં . એ બધાને છોડીને જવાનું ખૂબ દુઃખ હતું. ભલે એમની સાથે લોહીનો સંબંધ ના હતો. પણ લાગણીનો સંબંધ જરૂર હતો.
શ્યામબર્ગ આવતા મારે બેન્કમાંથી પણ બદલી કરાવવી પડી. ૨૦૦૪ થી બેરીંગ્ટનની હેરિસ બેંકમાં કામ ચાલુ કર્યું. તે ૨૦૦૮ સુધી કામ કર્યું. ટીનલી પાર્કના ઘરમાં એક વખત હું દાદર પરથી પડી ગઈ હતી. અને મારા ગોઠણની ગાદી તૂટી ગઈ હતી. તેથી મને ચાલવામાં ખૂબ તકલીફ પડતી હતી. ડોકટરે ‘ની રિપ્લેસમેન્ટ’ કરવાની સલાહ આપી હતી. શરીફને પણ લાગતું હતું કે આટલી નાની ઉંમરે આવી જિંદગી શી રીતે જીવાય? સ્ટોર માં જવાનું પણ હું ટાળતી. ચાલી જ નહોતી શકતી. ૨૦૦૮ ની જૂન મહિનાની 21 તારીખે નોર્થવેસ્ટ હોસ્પિટલમાં મારાં બંને ગોઠણની સર્જરી થઇ. સર્જરી તો થઇ ગઈ પણ મને લગભગ બધી પેઈન કિલરની એલર્જી હતી, એટલે કોઈ પણ પેઈન કિલર લઇ શકતી નહોતી. અને આ સર્જરીનો દુ:ખાવો સખત હોય છે. મને નવ મહિના લાગ્યા રિકવર થતા. પણ શરીફે અને શબ્બીરે મારું ખૂબ ધ્યાન રાખ્યું. હું રિહેબ માં ત્રણ અઠવાડિયા રહી તો શરીફ મને વ્હીલચેરમાં નાખી અને રસ્તા પર ફેરવ્યા કરે કારણકે દર્દ એટલું થાય કે પથારીમાં સુઈ પણ ના શકું. આ રિકવરીને લાંબો સમય લાગ્યો એટલે મારી બેંક ની જોબ છૂટી ગઈ અને મારે ડિસેબિલિટી પર જવું પડ્યું. આ લાંબા સમયના દુ:ખાવાના લીધે હું ડિપ્રેશનમાં ગઈ હતી. જીવવાની બિલકુલ ઈચ્છા નહોતી. બસ એમ થાય કે ક્યારે આ દુ:ખાવાથી છૂટકારો મળે.
બચપણથી મને લખવાનો શોખ હતો. મારી બહેન નજમા ઉર્દુમાં શાયરી લખતી, હું હિંદીમાં અને ગુજરાતીમાં લખતી. સૌરાષ્ટ્ર સમાચારમાં મારી કવિતાઓ આવતી. આ નિરાશાએ મારા હાથમાં ફરી કલમ પકડાવી દીધી. મારી વરસોથી છૂટી ગયેલી મારી સહેલી જાણે મળી ગઈ! વર્ષોથી ગુંગળાતાં શબ્દો કાગળ પર નાચવાં લાગ્યાં. મારું દુઃખ ,મારી હતાશા અને મારી અંદર છૂપાયેલો પ્રેમ શબ્દ થકી વહેવા લાગ્યો. શબ્દો મારી આસપાસ ગુંજતાં રહેતાં અને હું એને પકડીને કાગળ પર મૂકી દેતી! શબ્બીરે મને બ્લોગ બનાવી દીધો. એનું નામ મેં રાખ્યું,”કાવ્યધારા” ૨૦૧૦ માં હું ગઝલ લખતાં શીખી. અને ૨૦૧૦ માં મારો પહેલો ગઝલ સંગ્રહ ” ખૂલી આંખનાં સપનાં ” પ્રકાશિત થયો. જેનું વિમોચન કવિ શ્રી કૃષ્ણ દવેએ કરેલું. ૨૦૧૪ માં મારો બીજો સંગ્રહ “સમીસાંજના સપનાં ” ઇમેજ પ્રકાશને પ્રિન્ટ કર્યો. અને એનું વિમોચન સ્વ કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબે કર્યું. એક નવલકથા પ્રકાશિત થઇ છે. જેનું વિમોચન કવિ શ્રી અઝીઝ ટંકારવી સાહેબે કર્યું હતું. કવિ શ્રી ભાગ્યેશ જહાં એ હાજરી આપેલી! હજુ સાહિત્યની સફર ચાલુ છે. હાલમાં એક નવલકથા પૂરી થઇ જેનું નામ ” અધૂરાં સપનાં “છે. અલ્લાહ કરે ઝોરે કલમ ઔર ઝ્યાદા! આ સાહિત્ય સફર દરમ્યાન ઘણાં સુપ્રખ્યાત કવિઓ સાથે મુશાયરો કરવાનો મોકો મળ્યો. જેમકે કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ, કવિ શ્રી આદમ ટંકારવી સાહેબ, કવિશ્રી રઈશ મણિયાર સાહેબ, કવિ શ્રી વિવેક ટેઈલર સાહેબ, કવિ શ્રી અશરફ ડબાવાલા, કવયિત્રી શ્રીમતી મધુમતી મહેતા. અને હું બાનુમામાંથી ‘સપના’ ક્યારે બની ગઈ એની મને ખબર પણ ના પડી. આ શબ્દોએ મારું ડિપ્રેશન પણ દૂર કર્યું અને જીવવા માટે લક્ષ આપ્યું. હું ગુજરાતીને એ રીતે પ્રેમ કરું છું , જે રીતે દીકરી પોતાની માતાને પ્રેમ કરે! તેથી જે તેને માતૃભાષા કહેતા હશે!
ક્રમશઃ
-
મારી આંતરયાત્રા : અનંત આકાશ તરફનું એક અવિરત પ્રસ્થાનઃ પદ્યમાં
ગતાંકમાં આપણે સુશ્રી પૂર્વીબેનની આંતરયાત્રા’ની સફરનું હાર્દ ગદ્યમાં વાંચ્યું.તેમની આ શ્રેણીમાં તેઓ તેમની આ યાત્રા દરમ્યાન સર્જનનું માધુઅમ બનેલ તેમની કવિતાઓ વિશે વિવેચન પણ રજૂ કરતાં રહેવાનાં છે.આજે તેમની આંતરયાત્રાની પ્રસ્તાવનાનું પદ્ય સ્વરૂપ માણીએ.
મારી આ આંતરયાત્રા કે મારી લાંબી સફર
કોઈ શહેરથી શહેર સુધીની નહોતી,
ન કોઈ પર્વતની ચોટી સુધીની હતી.
એ તો મારી પોતાની અંદર સુધી પહોંચવાની યાત્રા હતી.ક્યારેક મન પ્રશ્નોથી ભરાઈ ગયું,
ક્યારેક સ્મૃતિઓના વાદળોમાં સંતાઈ ગઈ
ક્યારેક પીડા ને દુઃખે પગ રોકી લીધા,
તો કયારેક આનંદીત થયેલ મને પાંખો આપી.આમ હું અનેક રસ્તાઓને શોધી રહી ત્યારે
એક દિવસ સમજાયું કે,
જે જવાબો હું દુનિયામાં શોધું છું,
તેના બીજ તો મારા અંતરમાં જ વાવેલા છે.આ આંતરયાત્રામાં
મેં મારા ભયને ઓળખ્યો,
મારી કમજોરીઓને સ્વીકારી,
અને મારી શક્તિને પણ પહેલી વાર સાચે જોઈ.ધ્યાનની નિઃશબ્દ ક્ષણોમાં,
પ્રાર્થનાના મધુર સ્વરોમાં,
અને એકાંતના શાંત સાથીપણામાં
મને મારી જાતનો પરિચય મળતો ગયો.હવે સમજાય છે કે
મંજિલ કોઈ દૂરનું સ્થાન નથી,
પણ પોતાના હૃદયમાં વસેલી શાંતિ છે.અને આ યાત્રા આજે પણ ચાલુ છે—
દરેક શ્વાસ સાથે,
દરેક વિચાર સાથે,
દરેક નવા સૂર્યોદય સાથે.મારી આંતરયાત્રા—
મારા અંદરના અનંત આકાશ તરફનું એક અવિરત પ્રસ્થાન. 🌿✨
હવે પછીઃ
आज खो गई वोह नदीयाँ की धारा: સુકાતા વહેણની કથા
-
સૌથી જુનો વ્યવસાય
આસપાસ – ચોપાસ
કંઈક વાંચેલું, કંઈક સાંભળેલું
કેપ્ટન નરેન્દ્ર ફણસે
૧. કલકત્તાની એ સાંજ:
એક જમાનામાં કલકત્તાના એસ્પ્લેનેડ મેદાનમાં લોક નાટ્ય ‘જાત્રા’ (આપણે ત્યાં થતી ભવાઈ જેવી કલા), બાઉલ ગાયકો અને લોકવાર્તા કહેનાર કલાકારો ડાયરો જમાવતા. લોકો ટોળે વળી તેમને સાંભળવા એકઠા થાય. તે દિવસે હું એક મોટા ટોળામાં સામેલ થયો અને વાર્તાકારે શરૂ કરેલી કથા એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યો. તેણે કહેલી વાત જેવી સાંભળી તેવી જ અહીં ઉતારી છે.“રાયબહાદુરની કલકત્તામાં આવેલી રાજબાડીના જલસાઘરમાં સંગીત રસિકો હકડેઠઠ થઈને બેઠાં હતા. પ્રસંગ જ એવો હતો. બનારસ ઘરાણાંના રાજેશ્વરીદેવીના અગ્રગણ્ય શિષ્ય પંડિત ઉમાપ્રસાદનો રાગદારીનો કાર્યક્રમ હતો. દિલ્હી, કાનપુર, મેરઠ અને લખનૌની સંગીત સભાઓમાં સુવર્ણનાં બિલ્લા જીતી આવેલા પંડિતજીનો અવાજ કસાયેલો હતો. તાલિમ પણ એટલી જ જબરજસ્ત. આજે તો જલસાઘરના ઉપરના ભાગમાં અાવેલી ગૅલેરીમાં ચિકના પડદા ગોઠવાયા હતા અને તેની પાછળ રાજબાડીની મહિલાઓ બેઠી હતી. આજનાે કાર્યક્રમ રાયબહાદુરના પાટવીપુત્ર બિનૉયબાબુના માનમાં રાખવામાં આવ્યો હતો.
“રાયબહાદુરની સરકારમાં સારી વગ હતી. વિલાયતની અગ્રગણ્ય કંપનીઓની એજન્સીઓ તેમને મળી હતી. બિનૉયબાબુ બનારસમાં રાયબહાદુરના વ્યાપારની શાખાના સંચાલક હતા. ત્યાં જ તેમણે સ્નેહ લગ્ન કર્યાં અને પત્ની સાથે કલકત્તા પહેલી વાર આવ્યા હતા તેથી ઘરમાં ખુશીની હવા દોડી રહી હતી.
તાનપુરાનાં તાર ઝંકારાયાં. પંડિતજીએ તેમના ધીર ગંભીર અવાજમાં ગાવાની શરૂઆત કરી. જેમ જેમ કાર્યક્રમ આગળ વધતો ગયો, શ્રોતાઓ મંત્રમુગ્ધ થતા ગયા. કાર્યક્રમના અંતરાળ બાદ કોઈએ પંડિતજીને વિનંતી કરી : તેમનાં ગૂરૂમાતા રાજેશ્વરી દેવીની પ્રિય ‘ચીજ’ સંભળાવો!
વિલંબીતમાં પંડિતજીએ એવી મજાની હવા બાંધી, રસિયાઓ ‘વાહ વાહ’ કરતા થાકતાં નહોતાં. ત્યાર પછી શરૂ થયો દ્રુત અને તબલાંની સંગતમાં રાગ બરાબર જામ્યો. અચાનક શું થયું કોણ જાણે, પંડિતજી સમ ચૂકી ગયા. તેમણે ફરી એક વાર તાનનાં આવર્તન ગાયાં અને – ફરીથી સમ પર આવી ન શક્યા. બધા આશ્ચર્યમાં પડી ગયા! પંડિતજીને તાનનું ફરી એક વાર આવર્તન કરવાની વિનંતી કરતાં તબલચીએ ફરી તબલાં પર થાપ મારી અને અચાનક રાણીવાસના ચીક પાછળથી તાન સંભળાઈ! રાગની બારીકીઓ રજુ કરીને ગાયિકાએ તબલાંની છેલ્લી ‘તિરકીટ ધા!’ પર તાન પૂરી કરી.
જલસાઘરમાં બેઠેલો ભદ્રગણ અવાચક થઈ ગયો.
પંડિતજીએ રાણીવાસ તરફ જોઈ બેઉ હાથ જોડ્યાં અને બોલ્યા, “ધન્ય! ધન્ય!”
રાય બહાદુરનો ચહેરો અચાનક લાલ થયો. તેમણે પંડિતજી તરફ નજર કરી અને ઉપરના માળ પર લગાવેલા ચિક તરફ તીવ્રતાથી જોયું.
“માફ કરજો, રાય સાહેબ! આ રાગ પર આટલી માલિકી રાજેશ્વરી દેવી સિવાય ફક્ત એક જ વ્યક્તિમાં હતી. તેમનાં પુત્રી ઉમા મહેશ્વરી દેવી. તેમનાં સિવાય આટલા અધિકારથી ગાનાર અન્ય કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે. દસ વર્ષના મારા શિક્ષણમાં મેં એવા કોઈ ગાયક કે ગાયિકા નહોતાં જોયાં જેમને આ રાગમાં માહિરીયત તો ઠીક, પણ તે વિશે ઊંડાણમાં માહિતી હોય. આપની રજા હોય તો હું તેમનાં દર્શન કરી શકું? તેમનાં ચરણસ્પર્શ કરીને હું ધન્ય થઈશ!”
રાય બહાદુરે તેમના વૃદ્ધ નોકરને ઉપર દોડાવ્યો. તે પાછો આવ્યો ત્યારે તેના ચહેરા પર દુ:ખની છાયા હતી. તેણે રાય બહાદુરના કાનમાં કશું કહ્યું. લાકડીના ટેકા પર વૃદ્ધ રાય સાહેબ એકદમ ઉભા થઈ ગયા. તેમનો હાથ અને લાકડી, બન્ને ધ્રુજતાં હતા. પુત્ર તરફ જોઈ તેમણે કડક સ્વરે કહ્યુંં, “અબ્બી હાલ તેને કાઢી મૂકો. ભરી સભામાં કૂળને લાંછન લગાડતાં તેમને શરમ ન આવી? અને તમે, તમે અમારાથી આ વાત છુપાવી? એક બાઈજીની દીકરી…?”
***
વાર્તાકાર અચાનક થંભી ગયો. તેમના શ્રોતાઓ પણ વાર્તાના અંતના વિસ્મયમાંથી બહાર આવ્યા નહોતા. એક ભોળા યુવાને પૂછ્યું, “ તો શું ગાયિકા રાય સાહેબનાં પુત્રવધુ…?“ અને રોકાઈ ગયો.
“તો પછી તેમનું શું થયું?” મેં પુછ્યું.
વાર્તાકારે ટોળામાં ઉભેલા તિરછી ટોપી પહેરેલા, ગળામાં રંગીન ચટાપટાવાળું રેશમી મફલર પહેરેલા, ગલોફાંમાં પાન નાખેલ લુંગીધારી માણસ તરફ જોયું. તે મારી પાસે આવ્યો અને બોલ્યો, “સિર્ફ સો રૂપિયા! સાથે સાથે રવીંદ્ર સંગીત, રાગદારી, ગજ્જલ, ઠુમરી – જે સાંભળવું હોય તે પણ સાંભળવા મળશે.”
***
૨. આગ્રાની એ રાત…
પહેલી કથા વાંચી તેના લગભગ તે જ અરસામાં આ નવલિકા એક મરાઠી સામયિકમાં વાંચી હતી. લેખક છે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ લેખક શ્રી. રણજીત દેસાઈ.
***
મુંબઈની એક પ્રખ્યાત પરદેશી કંપનીની શાખામાં હું મૅનેજર હતો. કામ પ્રસંગે મારે ઉત્તર ભારતના શહેરોમાં હંમેશા જવું પડતું. ઉત્તરમાં મારૂં સૌથી પ્રિય શહેર હતું આગ્રા! પહેલી વાર ગયો તે રાતે પુનમ હતી. પૂર્ણિમાની રાતમાં તાજનાં દર્શન કરવા એક અમૂલ્ય લહાવો છે જે મને તે રાત્રે મળ્યો. ત્યાર પછી જ્યારે પણ મારે ઉત્તર ભારતની સફર પર જવાનું થાય ત્યારે એવો પ્રયાસ કરતો કે અજવાળિયાંની એક રાત આગ્રામાં ગાળી શકું અને રાત્રે ચંદ્રના પ્રકાશમાં તાજના સાન્નિધ્યનો આનંદ માણી શકું.
આ વખતે શરદપુનમની રાત હતી. મિટીંગ મોડેથી પૂરી થઈ. હૉટેલ પર જઈ સ્નાન કર્યું, અને કુર્તા-પાયજામામાં હું બહાર જમવા ગયો. જમી કરીને નજીકની પાનની દુકાનમાં ગયો અને બનારસી ઝર્દાનાં મઘઈ પાનની જોડી બનાવવાનો અૉર્ડર આપ્યો. ચૌરસિયાજી ગીત ગણગણતાં મઘઈના નાજુક પત્તાં પર એવી જ નજાકતથી ચૂનો-કાથો લગાડતા હતા, ત્યાં રેશમી સાડીમાં બની ઠનીને એક સ્ત્રી આવી. પાલવ ઓઢવાની ઢબ અને તેણે કરેલા શૃંગાર પરથી તે સ્થાનિક રહેવાસી હતી અને કયા વ્યવસાયની હતી તેનો તરત અણસાર આવ્યો. મેં તેના તરફ દુર્લક્ષ્ય કર્યું, પણ ચૌરસિયાજીએ તેની તરફ આંખ મિંચકાવીને પૂછ્યું, “ક્યોં ચમેલી, પાન ખાઓગી?”
હવે મેં તેની તરફ જોયું. યુવતીની ઉમર ચોવીસ – પચીસ સાલથી વધુ નહોતી. આંખના ખૂણામાંથી મારી તરફ તિરછી નજર ફેંકી તેણે ચૌરસિયા તરફ સ્મિત કર્યું. તેના હાસ્યમાં તેની ધવલ દંતપંક્તિ દુકાનના ફાનસના અજવાળામાં પણ ચમકી ઉઠી. આ મધુર હાસ્ય સાથે તેણે ચૌરસિયાને કહ્યું, “કોઈ ખિલાને વાલા હો તો ક્યોં નહિ, ભૈયા?” અને આંખના ખૂણામાંથી મારી તરફ મારકણી નજરે જોઈને પૂછ્યું, “ક્યા ખયાલ હૈ બાબુ, આપ ખિલાઈયેગા?” બાઈની વાણીમાં રહેલી તહેજીબ જોઈ મને ખરેખર નવાઈ લાગી. હવે મેં ચમેલી તરફ વધુ ધ્યાનપૂર્વક જોયું. તેના શ્યામ ચહેરા પર કોણ જાણે કેમ મને તેની ચરિત્રકથા અંકાયેલી લાગી. તેના હાસ્યના પડદા પાછળ એક કારૂણ્ય હતું. એક પ્રકારની અસહાયતા, લાચારી તો દેખાયાં પણ તેના વાર્તાલાપમાં તેની બુદ્ધિમતા, વિનોદી પ્રકૃતિ અને એક પ્રકારની શિષ્ટતા જણાઈ આવ્યાં – બધાં એકી સાથે. મને વિચાર આવ્યો, કોણ હતી આ અભાગિની, જેને ‘આ’ વ્યવસાયમાં આવવું પડ્યું હતું?
હું પરિણીત છું અને પત્ની પર મને અત્યંત પ્રેમ છે. કોણ જાણે કેમ, આ વખતે મને ચમેલી પ્રત્યે સહાનુભૂતિની ભાવના થઈ આવી. આગ્રામાં રહીને પણ તેણે તાજમહાલ જોયો હતો કે નહિ તે વિચાર આવ્યો. વળી આજે તો પુનમની રાત હતી.
“પાન તો ખિલાઉંગા, પહલે યહ બતાઓ, ચાંદની રાતમેં કભી તાજ દેખા હૈ?” મેં પૂછ્યું.
ચમેલી ખડખડાટ હસી પડી. તેણે માથું હલાવ્યું અને તેના વાળની એક લટ તેના ગાલ પર સરકી પડી. તેણે કહ્યું, “મજાક તો નહિં કર રહે બાબુજી? હમરે પેશેમેં રાત કો ભલા કોઈ કભી તાજ દેખને તો ક્યા, કમરે કે બહાર ભી નિકલતા હૈ?”
મેં ખિસ્સામાંથી સોની નોટ કાઢીને તેને આપી અને કહ્યું, “બસ, એક કલાક મારી સાથે તાજના સાન્નિધ્યમાં બેસવાના આ પૈસા છે. આવીશ?” તે જમાનામાં સો રૂપિયા આખા મહિનાનો પગાર ગણાતો!
ચમેલી તૈયાર હતી. ઘોડાગાડી કરી અમે તાજ મહાલ જોવા ગયા. ચંદ્રના પ્રકાશમાં રૂપાના મહેલ જેવા દમકતા તાજ મહેલના ઉદ્યાનમાંની એક બેેન્ચ પર બેસી અમે તાજનાં દર્શન કરતા રહ્યા. અમારી બન્નેની વચ્ચે સારૂં એવું અંતર રાખીને હું બેઠો હતો. અત્યાર સુધી ઘોડાગાડીમાં પણ હું ચમેલીથી દૂર બેઠો હતો. અર્ધો -પોણો કલાક અમે શરદ પુનમની ચાંદનીના પ્રકાશમાં તાજનાં દર્શન અમે અપલક રીતે કરતાં રહ્યાં. મારી વાત કરૂં તો અંતરમાં એક એવી અનુભૂતિ થઈ, જાણે ચાંદનીના પ્રકાશ દ્વારા મુમતાઝ મહાલ તેના હૃદયનો સ્નેહ ઉદ્યાનમાં હાજર રહેલ બધી વ્યક્તિઓ પર વરસાવતી હતી. મને ખ્યાલ ન રહ્યો ક્યારે ચમેલીએ મારી નજીક આવી મારા ખભા પર માથું ટેકવ્યું. મારૂં તેની તરફ ધ્યાન જતાં તેનાથી દૂર ખસવા જતો હતો ત્યાં તેણે કહ્યું, “બાબુજી,રહેવા દો! પણ અમને ગલત ન સમજતા. આજ દિવસ સુધી અમે તાજને દૂરથી જોયો. કદી નજીક જવાનો મોકો ન મળ્યો. આજે ચાંદની રોશનીમાં તાજના અદ્ભૂત રૂપનાં દર્શન આટલી નજીકથી કરાવીને આપે અમારી જીંદગી પ્રત્યેની નજર બદલી નાખી છે. આજે કશું કહેવા માટે મારી પાસે શબ્દ નથી. બસ, અત્યારે ફક્ત એક ખ્વાહેશ છે : અહીં બેઠાં બેઠાં આજની રાતમાં આખી જીંદગી વિતી જાય!”એક ઊંડો શ્વાસ લઈ તેણે મારી તરફ જોયું અને કહ્યું, “એક મહેરબાની કરશો, બાબુ સાહેબ? આપે આપેલા પૈસા હું નહિ રાખી શકું. આપની જે ઈચ્છા હોય…”
મેં તેના તરફ જોઈ મારા હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવા નિશાની કરી. એક કલાક ત્યાં બેસી રહ્યા બાદ ઘોડાગાડી કરી અમે ચૌરસિયાની પાનની દુકાને ગયા. એ તો દુકાન બંધ કરીને ચાલ્યો ગયો હતો, પણ ચમેલીને ત્યાં ઉતારી હું મારી હૉટેલ પર ગયો. બીજા દિવસે વહેલી સવારની ટ્રેનથી મુંબઈ પાછો.
ત્રણેક મહિના બાદ મારે પાછા આગ્રા જવાનું થયું. આ વખતે ફક્ત એક દિવસની ટ્રિપ હતી. સાંજની ટ્રેનથી મારે દિલ્હી જવાનું હતું તેથી મિટીંગ બાદ નજીકની રેસ્ટરાંમાં ભોજન પતાવી પેલી પાનની દુકાને ગયો. દુકાનદાર મને ઓળખી ગયો. આમ પણ પાનવાળાઓની સ્મરણશક્તિને દાદ આપવી જોઈએ! તેણે કહ્યું, “ક્યા નોશ ફરમાઓગે, સાહેબ? મઘઈ-જોડી, બનારસી ઝર્દા?” મેં હસીને હા કહી. હું આગળ કશું કહું તે પહેલાં તે બોલ્યો, “સાહેબ, આપે ચમેલી પર શો જાદુ કર્યો કોણ જાણે. બીજા દિવસે તે મારી પાસે આવી, અને કહ્યું, ‘ભૈયા, હું મારે વતન પાછી જઉં છું. ગઈ કાલે રાતે ચાંદનીમાં તાજનાં દર્શન કરાવીને પેલા બાબુજીએ જીવન પ્રત્યે જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. જીવનની સામાન્ય જરૂરિયાતોને પેલે પાર પરમાત્માની સૃષ્ટિમાં અને માનવ નિર્મીત કલાકૃતિમાં જે સૌંદર્ય છે તે નિરખવાની શક્તિ પેલા શરીફ માણસે મને તે રાતના બે કલાકમાં મારા શરીરને સ્પર્શ પણ કર્યા વગર આપી. ગઈ કાલ રાતની ચાંદનીમાં નહાઈને મારૂં શરીર શુદ્ધ થયું તેને હવે કલંકિત નહિ કરૂં. બસ, હવે કશાની અપેક્ષા રહી નથી,’ કહીને તે જે ગઈ, પાછી આવી નથી. બિચારી કોઈ સારા ઘરની હોય તેવું લાગ્યું. કોણ જાણે કઈ મજબુરી…?
હું કશું બોલ્યો નહિ. ચૌરસિયાજીની વાત સાંભળી મનમાં ગ્લાનિ ઉપજી. તેમને પાન-જોડી બાંધી આપવા કહી, તે લઈ હું ત્યાંથી નિકળી ગયો. એક વાત સાચી. ચમેલીને લાંબા સમય સુધી હું ભુલી ન શક્યો.
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
કરકસર કરવાથી વર્તમાન આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?
નિસબત
ચંદુ મહેરિયા
રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન-ઈઝરાયેલ યુધ્ધો અટકવાનું નામ લેતાં નથી. તેને કારણે વિશ્વ આખામાં આર્થિક સંકટ ઉભું થયું છે. પશ્ચિમ એશિયામાં જારી ધમાસાણની સીધી અસર આપણી અર્થવ્યવસ્થા પર પડી છે. ભારત તેની જરૂરિયાતનું ૮૫ ટકા ઓઈલ આયાત કરે છે. હાલમાં તે પ્રતિ બેરલ ૧૦૦ ડોલરના ભાવે મળે છે. જો પેટ્રોલ/ડીઝલ મોંઘા થાય તો પરિવહન ખર્ચ વધે છે તેને કારણે રોજબરોજની ચીજો, કરિયાણુ, શાકભાજી, દૂધ વગેરે મોંઘા થાય છે. મોંઘવારી વધતાં લોકોને માટે જીવવું મુશ્કેલ બને છે.
હાલની આર્થિક સ્થિતિના મુકાબલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે. કોરોના, યુધ્ધો અને ઉર્જા સંકટને કારણે આપણે આફતોના દાયકામાં જીવીએ છીએ તેમ જણાવી વડાપ્રધાને લોકોને આર્થિક કરકસર કરવા અને ખોટા ખર્ચા ટાળવા અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. જેથી મોંઘા ઓઈલની આયાતમાં રાહત મળે. તેમણે કંપનીઓને શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ વિચારવા જણાવ્યું છે. લોકોને વિદેશયાત્રાઓ ટાળવા અને કમસેકમ એક વરસ સોનાની ખરીદી ન કરવા કે ઓછી કરવા પણ અપીલ કરી છે. ખેડૂતોને રાસાયણિલ્ક ખાતરોનો ઉપયોગ ઘટાડવા અને જૈવિક ખેતી અપનાવવા આગ્રહ કર્યો છે.
કરકસર એક સારો ગુણ છે. દરેક વ્યક્તિએ તેને અપનાવવો જોઈએ. પરંતુ આર્થિક સંકટનો ઉકેલ ખર્ચાઓ પર કાપ અને કરકસર હોઈ શકે કે કેમ અને તે કેટલી રાહત આપે તે વિશે મતમતાંતરો પ્રવર્તે છે. .જ્યારે લોકો કરકસર કરે અને ખર્ચા ઘટાડે ત્યારે તેની સીધી અસર બજારની માંગ ઉપર પડે છે. જો લોકો ખરીદી જ ન કરે કે ઘટાડે તો માંગ ઘટી જાય છે અને બજારમાં પુરવઠો વધી જાય છે. એટલે ખર્ચામાં કાપની ઉંધી અસર પણ થાય છે. જો સરકારો તેના સરકારી ખર્ચાઓમાં કાપ મૂકે તો સરકારી દેવું ઓછું કરવામાં મદદ મળી શકે છે. તેના કારણે કુલ વપરાશ પણ ઘટે છે. ખર્ચાઓમાં ઘટાડાના ઉપાયથી આર્થિક ગતિવિધિઓમાં થોડીક રાહત જરૂર મળે છે પરંતુ ઘણીવાર બજારમાં તે મંદી પણ નોતરે છે. ઓછા રોકાણ કે ઓછી નિકાસ ધરાવતી અર્થવ્યવસ્થાઓના દેશો જો આ પ્રકારનું વલણ અપનાવે તો તે જોખમી બને છે અને તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.

કરકસરની વિરોધાભાસી અસરો
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીખર્ચમાં કાપની અસર રોજગારી પર પડે છે.જો લોકો સોનુ ખરીદવાનું બંધ કરે કે ઓછું કરે તો સોની બજારમાં હજારો કારીગરો બેરોજગાર થાય છે . સોનાના દાગીના બનાવનાર અને વેચનાર લાખો કારીગરોના માથે બેકારીનું સંકટ તોળાય છે. તેમના માલિકો પણ તેમને ધંધા વિના કામે ચાલુ રાખી શકતા નથી. મોંઘુ વિદેશી હુંડિયામણ બચાવવા ખાવા-પીવાની ચીજો, રાસાયણિક ખાતરો અને તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કેટલાક દેશોએ કર્યો છે. શ્રીલંકાએ ૨૦૨૧માં રાસાયણિક ખાતરોની આયાતો બંધ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ફરજ પાડી હતી. તેનું પરિણામ અનાજના ઓછા ઉત્પાદનરૂપે આવ્યું. દેશમાં અનાજનું ઉત્પાદન ૩૦ થી ૫૦ ટકા ઓછું થતાં લોકોને મોંઘવારી, ગરીબી અને ભૂખમરામાં સબડવાનું થયું હતુ. આ સ્થિતિમાં લોકોનો સરકાર સામેનો રોષ સત્તા પરિવર્તન સુધી પહોંચ્યો હતો.
ભારતમાં માર્ચ-૨૦૨૬માં ખાધ્યચીજો પરની મોંઘવારીનો દર ૩.૯ ટકા હતો. તે પછીના મહિને એપ્રિલ ૨૦૨૬માં તે ૪.૨ ટકા થયો હતો. જૂન ૨૦૨૬માં તે ૪.૩૮ ટકા છે. જે છેલ્લા દોઢ વરસમાં સૌથી વધુ મોંઘવારી છે. વળી આ વરસે ચોમાસુ નબળું રહેવાની શક્યતાઓ જણાવાઈ રહી છે. એટલે સરકારે અનાજનું ઉત્પાદન ઘટે અને ખાધ્યસુરક્ષા સામે જોખમ ઉભું થાય તેવાં પગલાંઓથી દૂર રહેવાની જરૂર છે. મોંઘવારીની સાથે જ બેકારી અને ગરીબી વધે છે. કાચા માલની કિંમતો વધતાં કંપનીઓનો નફો ઘટે છે. કંપનીઓ કર્મચારીઓની છટણી કરે છે તેથી બેરોજગારી વધે છે. લોકોની જરૂરિયાતો ઘટતાં ખરીદી ઘટે છે. માંગ ઘટે છે અને અંતે મંદી આવે છે.
૧૯૯૧માં દેશમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થયું હતું. ત્રણ અઠવાડિયા ચાલે તેટલો જ વિદેશી મુદ્રા ભંડાર બચ્યો હતો. એ વખતના કોંગ્રેસી વંડાપ્રધાન પી.વી.નરસિંહ રાવ અને તેમના નાંણાં પ્રધાન મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો હતો. પંડિત નહેરુના જમાનાથી જે મિશ્ર અર્થંતંત્ર ભારતે અપનાવ્યું હતું. તેના બદલે બજાર અધારિત અર્થતંત્ર અપનાવવામાં આવ્યું હતુ. વૈશ્વિકીકરણના આ નવા યુગથી ભારત આર્થિક સંકટમાંથી ઉગરી ગયું હતું. આર્થિક સુધારા અને લાઈસન્સ રાજને ખતમ કરવાથી વિદેશી મૂડીરોકાણને મોકળું મેદાન મળ્યું હતું. આયાત કર ઘટાડીને, સરકારી ખર્ચ પર કાપ મૂકીને અને લાઈસન્સ રાજને ખતમ કરીને મુક્ત બજાર અર્થવ્યવસ્થાથી આર્થિક સંકટમાંથી બચી શક્યા હતા. એ પછીની બીજી સરકારો અને હાલની સરકારે પણ બજાર અધારિત મુક્ત અર્થવ્યવસ્થા ચાલુ રાખી છે. તેના ફલસવરૂપે વિદેશી રોકાણો વધ્યાના અને ગરીબી ઘટ્યાના દાવાઓ પણ થતા રહે છે.
૧૯૯૧ના ભારતના અનુભવો કરતાં વિશ્વના બીજા દેશોના આર્થિક સંકટના અનુભવો જુદા જુદા છે. ૨૦૦૮ના આર્થિક સંકટ પછી લેટિન અમેરિકી દેશો લાંબા ગાળા સુધી તેમાંથી બહાર આવી શક્યા નહોતા. યુરોપિય દેશોએ ખર્ચમાં કાપનો માર્ગ અપનાવ્યો હતો અને દીર્ઘકાળની મંદી બદલામાં મેળવી હતી. શ્રીલંકા અને પાકિસ્તાને વર્તમાનમાં આયાતો પર પ્રતિબંધ મૂકીને લોકોને ભૂખમરામાં ધકેલ્યા છે અને દેશની આર્થિક હાલત બહુ જ નાજુક છે. આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિકાસશીલ દેશો પર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ જેવી સંસ્થાઓ પણ અઘરી શરતો લાદે છે. આ બધા અનુભવો દર્શાવે છે કે યુધ્ધજનિત સ્થિતિ પછી લાંબા વિચાર કર્યા સિવાયના કોઈ પગલાં આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે.
બિનજરૂરી ખર્ચ પર લગામ લગાવીને , સાચી દિશાની બચતો કરીને મંદીની અસરથી બચી શકાય છે અને હાલની સ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે.પરંતુ માત્ર કરકસર જ કોઈ રામબાણ ઈલાજ નથી. એક તરફ લોકોની આજીવિકા બચાવવાની છે અને ખર્ચાઓ ઘટાડવાના છે.આ બંને હાંસલ કરવા માટે આવક અને ખર્ચ વચ્ચે સખત સંતુલન સાધવું પડશે. દેવું ઓછું કરવા પર ધ્યાન આપવું પડશે. પશ્ચિમ એશિયાનું યુધ્ધ સંકટ આપણા બારણે આર્થિક સંકટના દસ્તક દઈ ચૂક્યું છે. સધ્ધર આર્થિક સ્થિતિ અને ગરીબી સામે હાંસલ કરેલી સિધ્ધિઓ ધોવાઈ ન જાય તે માટે પણ વધુ જાગ્રત રહેવાનું છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંભારણું – ૧૮- જીવનની સફર
શૈલા મુન્શા
આજે Indian Idol ના બાળકોને ગાતા સાંભળી મને ૨૦૨૨ની સાલ યાદ આવી ગઈ.
૨૦૨૨નુ વર્ષ શરુ થયે પંદર દિવસ પસાર પણ થઈ ગયા. નવું વર્ષ નવી આશા અને ઉમંગ લઈને આવે પણ આ વર્ષ હજી પણ જાણે ભયનો, એક ડરનો આંચળો ઓઢીને આવ્યું છે. વાયરસની ત્રીજી લહેરમાંથી જગત હજી મુક્ત નથી થયું, પણ હવે લોકો એને એક દૈનિક પ્રક્રિયાની જેમ સ્વીકારતાં થઈ ગયા છે.
હંમેશા કેમ એવું થાય છે કે જીવન જરા થાળે પડે અને કોઈ અણધારી ઘટના પાછું બધું ડામાડોળ કરી દે. છેલ્લા બેત્રણ દિવસના વાંચને, ટીવી પર જોયેલા કાર્યક્રમે મન વિચલિત કરી દીધું.
એક ડાયરીનું પાનું ફેસબુક પર વાંચ્યું. ૨૦૨૧ ની વિદાય અને ૨૦૨૨નું સ્વાગત કોઈના જીવનમાં દારૂણ વેદના લઈને આવ્યું અને એ વેદના જ્યારે આપણા કોઈ સ્વજનના જીવનમાં બને એનો આઘાત વધુ લાગે. ૩૧મી ની રાત્રે તમે બહારથી ઘરે આવો અને ઘરમાં બધું વેરણછેરણ જુઓ. ખબર પડે કે ફટાકડાના અવાજમાં બારીનો કાચ તોડ્યાનો અવાજ દબાઈ ગયો, અને કોઈ હાથ સાફ કરી ગયું. કબાટ, ડ્રેસરના ખાનાં બધું જ ખાલી, જીવનભર કમાયેલી મુડી ક્ષણમાં ગાયબ. આ ભૌતિક પાયમાલી વચ્ચે પણ જ્યારે મનમાં એક સમતા કે “બન્ને સલામત છીએ” એ જીવનનો બહુ મોટો અહેસાસ છે. એ વાંચી એ સ્વજનો માટે વધુ આદર અને પ્રેમની લાગણીનો અહેસાસ થયો. ભૌતિક સંપત્તિ તો પાછી મેળવાશે પણ બન્ને સલામત છે એ ભાવના એમના સ્વભાવની ધૈર્યતાનો આભાસ આપે છે.
સાંજે ટીવી જોતાં ફરી એક વાતે મને મારા જીવનનો આઘાત તાજો કરી દીધો તો એવા જ બીજા કાર્યક્રમે જીવન જીવવાનો અભિગમ વધુ બળકટ બનાવી દીધો.
ટીવીના સારેગમ કાર્યક્રમમાં આ વખતે શ્રોતાઓ પોતાની પસંદગીના ગીતો પોતાને ગમતા કલાકાર પાસે સાંભળવા આવ્યા હતા. એક દિવ્યાંગ બાળકના માતાપિતા વ્હીલચેરમાં પોતાના પુત્ર સંસ્કારને લઈને આવ્યા હતાં. નોર્મલ જન્મેલા આ બાળકને નવ દિવસની આયુમાં કોઈ ગફલતને કારણે માનસિક સંતુલન ગુમાવવું પડ્યું. આ સંસ્કાર મને અમેરિકામાં છેલ્લા વીસ વર્ષથી દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું એ સ્મરણકેડી પર લઈ ગયો. આ બાળકો પણ તમારા પ્રેમનો, લાગણીનો પ્રતિભાવ આપે છે. કોઈના ગુસ્સા કે કોઈની અવહેલનાનો એમને ખ્યાલ આવી જાય છે. જ્યારથી હું આ બાળકો સાથે કામ કરું છું અને એમની તકલીફો સાથે પણ એમને આનંદમાં રહેતા જોઉં છું તો મને પણ જીવવાની પ્રેરણા મળે છે. કેટલાય બાળકોની દિવ્યાંગતાનું કારણ કુટુંબ, માતાપિતા કે ઘરના કોઈ વ્યક્તિની ભૂલનુ પરિણામ હોય છે ત્યારે મન આઘાતથી વિચલિત થઈ જાય છે. અમારાથી થાય એટલો પ્રેમ શિક્ષણ અમે આ બાળકોને આપીએ છીએ અને જ્યારે માતાપિતા પોતાના બાળકની પ્રગતિ જુએ ત્યારે એમની આંખોમાંથી છલકતો આભાર અમારી સાચી મુડી છે. મારાં આ બાળકોનો પ્રેમ મને સતત મળતો રહ્યો છે અને સંસ્કારના માતાપિતાની એના માટેની કાળજી પ્રેમ જોઈ મન ખુશ થઈ ગયું. સંસ્કારને સંગીત સાંભળવું ગમે છે અને એનુ ગમતું ગીત માસુમ ફિલ્મનું “तुझसे नाराज नहि जिंदगी हैरान हुं मैं” જ્યારે નીલાંજના અને સચિને ગાયું ત્યારે સહુની સાથે સંસ્કારની આંખમાં પણ આંસુ અને ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. કોણ કહે છે કે આ દિવ્યાંગ બાળકોમાં કોઈ લાગણી કે ભાવ નથી હોતો!!
હું નસીબદાર છું આવી નાની નાની ખુશીની પળો જીવવાનો મોકો મારા આ માસુમ બાળકોએ મને ઘણીવાર આપ્યો છે.
એ જ દિવસે ટીવી પર India’s Got Talentsનો કાર્યક્રમ હતો. ઓગણીસ વર્ષની ઈશિતા ગીત પ્રસ્તૂત કરવા આવી હતી, પંજાબી ડ્રેસ પર એણે જરા મોટું એવું જેકેટ પહેર્યું હતું. પેનલ પરના જજને નવાઈ લાગી અને પૂછ્યું કે ઠંડી લાગે છે? એના જવાબમાં ઈશીતાએ જે કહ્યું એ ફરી મને મારા એ જ ઉંમરના પડાવે લઈ ગયું. સ્મરણોના તાર ક્યાંથી ક્યાં જોડાઈ જાય છે!!
ઈશિતાના પિતાનું મૃત્યુ એક મહિના પહેલાં જ થયું હતું અને આજે એ પપ્પાને શ્રધ્ધાંજલિ સમર્પિત કરવા આ મંચ પર ગીત ગાવા આવી હતી અને પપ્પાની હુંફ અને પ્રેમનો અહેસાસ રહે એ માટે એ પપ્પાનું જેકેટ પહેરીને આવી હતી. નાનપણથી એના હુન્નરને પારખી પપ્પાએ હમેશ એને સંગીત માટે પ્રોત્સાહિત કરી હતી. એમની સાધના, તપસ્યા પ્રોત્સાહનને જીવંત રાખવા, જીવનમાં એમના નામને રોશન કરવા ઈશિતાએ સંગીતને પોતાનું જીવન બનાવ્યું હતું. એને પસંદ કરેલું ફિલ્મ મેરા સાયાનું ગીત “तु जहां जहां रहेगा, मेरा साया साथ होगा” એટલા મધુર સ્વરે ગાયું કે સહુની આંખો ભીની થઈ ગઈ. ઈશિતા એની મમ્મી અને નાની બહેન સ્ટેજ પર હતાં અને ઈશિતા જાણે રાતોરાત પરિપક્વ બની ગઈ હોય, એવી લાગતી હતી. ઘરની જવાબદારીએ એને હિંમતવાન બનાવી દીધી. મમ્મીને બહેન સામે મક્કમ રહી એકાંતમાં રડતી રહી.
મારી પણ કથની કાંઈ એવી જ હતી. લગભગ એ જ ઉંમરે મેં મારા પિતાને ગુમાવ્યા, નાની બહેન અને મમ્મી અમે ત્રણે એકબીજાના પૂરક થઈને રહ્યાં. પરિસ્થિતિ વ્યક્તિને જીવતાં અને મુસીબતોનો સામનો કરતાં શીખવાડી દે છે.
મારા મિત્રની ડાયરીનું પાનું અને મેરી સ્ટીવન્સનની કવિતાનું વાક્ય યાદ આવી ગયું.” anything can happen to anybody, anytime in life”
પ્રભુએ દિલ અને દિમાગ એવા યંત્રો બનાવ્યા છે જેનો ભેદ કોઈ પામી શકતું નથી. ક્યારેક તો બન્ને સંપીને કામ કરે છે તો ક્યારેક સાવ વિરુધ્ધ!! દિમાગ કહે છે વર્તમાનમાં જીવ અને દિલ એ તો હઠીલું બધી યાદોને એના પટારામાં પુરી રાખે છે. ભલે વર્તમાનમાં જીવીએ પણ આમ જ આજની ક્ષણ જ તો આપણને દિલના દરવાજે દસ્તક દઈ ભૂતકાળમાં લઈ જાય છે, અને સંભારણાની સાંકળ જોડાતી જાય છે!! એના થકી જ તો જીવન જીવાતું જાય છે.
અસ્તુ,
તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૨
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
“દાદ”ને ફળિયે “દાદ”ને સાંભળ્યા
સોરઠની સોડમ
દિનેશ વૈષ્ણવ
શરૂઆતમાં જ ખુલાસો કરી દઉં કે આજ જે વાત હું માંડું છ ઈ ભાગ્યે જ કોકને ખબર હશે એટલે જરૂર વાંચજો.

તો મૂળ વાત એમ છે કે જૂનાગઢ રહીસ મારો પિતરાઈ ને હું કવિ દાદુદાન પ્રતાપદાન મિશણ ઉર્ફે “દાદ”ને મળવા ૨૦૧૨ની શિવરાત્રિની સાંજે એને ઘેર ગ્યા. ત્યારે ઘરની ફળીમાં દાદબાપુની ત્રીજી પેઢી રમતીતી, મારી ધારણાએ દીકરા જીતુને ઘરેથી બાઈલુબેન ચૂલે મગબાફણાં ભરતાંતાં, દાદબાપુનાં પત્ની જસુબેન ઘરની ઓસરીની કોરે બેઠાંબેઠાં ત્રીજી પેઢીને રમતી જોતાંતાં ને દાદ પોતે એના ઓયડે શાંતિથી ખુરસીમાં બેસી વાંચતાતા. એને અમને બેયને મીઠપે આવકાર્યા ને મારા પિતરાઈએ બાપુને મારો પરિચય દીધો. અમે બાપુ હારે એના હિરણ કાંઠાના વતન ઈશરીયાથી લઈને ખુદ ઈશ્વર લગીની ને એના મને કિલકારા કરતી હિરણથી લઈને એની વાણી અને લેખણીમાં એના હૈડેથી ઉઠતી, દોડતી ને દડતી શાબ્દિક હિરણ વિષે ચારેક કલાક વાત્યું કરી. વાત્યુંમાં દાદબાપુના બાળપણથી ને એને મોસાળેથી મળેલ લોકસાહિત્યની વિરાસતથી લઈને એને રચેલ લોકસાઈત ને યાંથી આગળ હાલીને ભાતભાતના ભાતીગળ રચાયેલ લોક્સાહિતની વાત્યું કરી. અલબત્ત, દાદને મોઢેથી એને જ ફળીયે સાંભળેલી વાત્યું ઈશરીયાની સીમમાં પાકટ મધપૂડેથી ટપકતા મધ જેવી હોય ઈ સ્વાભાવિક છે. એને શબદે શણગારવી ઈ મારા જેવાના ગજાની બા’રનું છે એટલે એને મેં જે બે સવાલ કર્યા ને એના એને જે જવાબ દીધા ઈ જ હું આંઈ લખું છ:
“કાળજાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…” કેમ લખાણું — દાદના જ વતન ઈશરીયામાં વરસો પે’લાં મૂછે લીંબુ લટકાવીને ફરતા એક મરદ કાઠી દરબારની એક્નીએક દીકરીનાં લગન લેવાણાં ને દીકરીબા ઘરમાં થાપા પાડી કાઠી લાજનો હૈયા લગી ઘૂમટો તાણી વેલડે બેઠાં. રિવાજે વેલડાનું પૈડું સિંચાણું, કાઠી દીકરીનું વિદાય લગન ગીત “હાલ્યા હંસલા…” ગળ્યાગાળાની કાઠિયાણીઓની હલકે ગવાણુ ને જાન ઉઘલાવાનો સમો થ્યો. ઈ ટાણે રુદાલીથી લથપથ ઈ દીકરીનો બાપ ને દાદબાપુ પડખેપડખે ઘરની ડેલી બારના કોમળ હથેળીભાતે લીપેલા ઓટે બેઠાતા. બાપુ ઈ મરદ કાઠીને – પણ તીયેં લાચાર દીકરીના બાપને – છાના રાખતાતા ત્યારે ઈ છપ્પનની છાતીવાળા બાપના મોઢેથી શબદ સરી પડ્યા, “દાદુભાઈ, મારો કાળજાનો કટકો આજ હાલ્યો.” બસ, ઈ જ શબદને દાદે જીલ્યા ને એની માં સરસ્વતીએ બક્ષેલ કલમે સજાવ્યા, શણગાર્યા, કરુણાથી મઢ્યા ને લેખણીએ એવા લઢાવ્યા કે આજ ઈ ગીત દાયકાઓથી દુનિયાના સ્વર્ગસ્થ, હૈયાત ને થાનારા ગુજરાતી બાપોને દીકરીની વિદાયની પળે ચોધાર આંસુએ રોવરાવ્યાતા, રોવરાવે છ ને રોવરાવસે.
“ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…” કેમ લખાણું — ૧૯૬૨ના ભારત અને ચીનના યુદ્ધ વખતે જયમલભાઈ પરમાર, રતુભાઇ અદાણી, પિંગળસી ગઢવી, મેરૂભા ગઢવી, હેમુ ગઢવી, વ. મહાનુભાવોએ “સૌરાષ્ટ્ર નાટ્ય એકેડેમી”ના નેજા હેઠે સૈનિકોના લાભાર્થે ફંડ ભેગું કરવા સમગ્ર ગુજરાતમાં ને ગર્યમાં ટે’લ નાખેલ. અવલ દરજ્જાના, આ અદકા ચારણી કલાકારો – જો હું ન ભૂલતો હોઉં તો – “સમરાંગણ” નામે ગામોગામ ફંડ ઉઘરાવા ડાયરો રજૂ કરતા. કેવાય છ કે લોકોએ આ ફંડમાં નકદ નાણું, સંઘરેલું સોનું ને સોળવલ્લાં ઘરેણાં ખોબેખોબે દિધેલ. હવે આ ખેપ નાખતાં પે’લાં હેમુભાઈએ કવિવર દાદને કીધું, “દાદુમામા મને એક શૌર્યગીત લખી દયોને. ગીતનો ઢાળ “કૈલાશી કંદરાની રૂપેરી સોડ તજી ઓલ્યા ઉતરડા વાયરા ઉઠ્યા …” ઈ બને તો રાખજો.” ઈ વખતે દાદબાપુ કદાચ રાજકોટ કે એવા મોટા ગામમાં ઘરની ઓસરીએ બેઠાતા ને સામે ક્યાંક ઘરનું ચણતર થાતુંતું. ત્યારે બાપુને વિચાર આવ્યો કે આ બેલાં માંથી મંદિરમાં પધરાવા મૂર્તિયું ને પોઠિયા ઘડાય, ઘરની દીવાલ ચણાય, બે ભાયું નોખા થતા હોય તો વચાટે દીવાલ ઉભી થાય ને આજ બેલાં માંથી સમરાંગણમાં જેનું માથું વઢાણું હોય ને ધડ ઘમસાણ મચાવતું હોય એનો સિંદૂરિયો પાળીયો પણ થાય. બસ, આ જ વિચારે કવિવરના દિલની કલમ જાગી, બેઠી થઇ, માયથી શુરવીરતાની શાઈ ટપકવા મંડી, ગીત રચાણું, હેમુભાઈએ એને એના લોકપ્રિય કંઠે ને ઢાળે ગાયું ને આજે પણ ઈ જ ઢાળે આ ગીત ભારતમાં ને દરિયાપાર ગવાય છે.
છેલ્લે ચારેક કલાકની દાદબાપુની જમાવટથી વિદાય લેવાની વસમી વેળા આવી એવામાં મારું ધ્યાન જમણીકોરની દીવાલે પડ્યું. હું ઉભો થ્યો ને પાસે જઈને જોયું તો જે તે વખતે દેશના વડાપ્રધાન ઈન્દિરાજી, શાસ્ત્રીજી ને રાષ્ટ્રપતિઓથી લઈને ગુજરાતના મુખ્યમંત્રીઓ અને ગવર્નરો, ગુજરાતી ચલચિત્રોના નિર્માતાઓ ને કલાકારો ને ચારણી સાહિત્યના અવલ મહારથીઓના વરદહસ્તે કવિવર દાદ સન્નમાનિત થયેલ ઈ “બ્લેક એન્ડ વાહીટ” તસ્વીરો જોઈ. મેં આ સબબ એને સવાલો કર્યા તો દાદબાપુનો સવિનય જવાબ, “ભાઈ હું આ બધું ભૂલી ગ્યો છ, મન હજી ઘણું લખવાનું છ એમાં છે.” ખેર, છેલ્લે એને ૨૦૨૧માં “પદ્મશ્રી”નો ઇલખાબ પણ મળ્યો પણ ઈ જ સાલ કાળનું કરવું ને “દાદ”નું દડવું તે એનો આતમ એની વ્હાલી મદમાતી હિરણમાં મોજ કરવા કૂદયો.
એક ઉમેરો કરું તો – મારો જનમથી જ લોકસાહિત્ય ને ડાયરાનો જીવ એટલે પપ્પા મને ૧૯૬૨-૬૩માં ઉપરોક્ત “સમરાંગણ ” કાર્યક્રમ માણવા ચોરવાડથી જૂનાગઢ લિયાવેલ. આની રજુઆત બાહદુરખાનજી હાઇસ્કુલના પટાંગણમાં થયેલ. મને યાદ છે કે મેરૂભાબાપુએ કટાક્ષમાં કીધેલ કે “હંસલા મોતી ચણીને ઉડી ગ્યા ને એની જગ્યાએ બગો કીચડ ઉડાડવા આવી ગ્યા છ.” આ કે’વા પાછળનું રહસ્ય ઈ હતું કે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી. જીવરાજભાઈ મેહતાની – કે જેનાં પત્નીનું નામ હંસાબેન હતું – જગ્યાએ બળવંતરાય ગોપાલજી મેહતા (બ.ગો.) આવેલા. બીજું, એકાદ ડાયરે પદ્મશ્રી ભીખુદાન ગઢવીને મેં કે’તા સાંભળ્યા છ કે ઈ ત્યારે એના ગામ માણેકવાડાથી મારી જ ઉંમરે આ કાર્યક્રમ માણવા આવેલ.
મારી જિંદગીના અવલ ચાર કલાક જેને મને દાને દીધા ઈ દાતા ને લોકસાહિત્યના મહાસાગર કવિવર “દાદ”ને મારી વિકલાંગ કલમે પણ જો હું શબ્દાઅજંલિ ન આપું તો નગુણો ગણાવ એટલે:
“દાદ હવે તારી હિલોળી હિરણને કોણ હલકારસે
કે ઈ પડતીઆખડતી એના કોણ હાલ હવે પૂછસેદાદ તારાં “ટેરવાં” વિના હવે હબસણ હોઠના રંગે
રૂપાળા ગર્યની રુડી શ્રાવણી સંધ્યા કોણ ચીતરસેદાદ તારા વિના હવે પ્રકૃતિમાં કોણ પ્રાણ રેડસે
કે રાતી ચણોઠડીને અવનિના ભાલે કોણ ચોડસેદાદ તારા વિના “લોકશાહી”નું દુઃખ હવે કોણ ગાશે
કે તારા વિના ગુજરાતને હવે હેમુ કોણ યાદ કરાવશેગયા બ્રહ્માનંદ, મેઘાણી, કાગ, બારોટ ગીગો ને દાન
દાદ હવે તુંયેં ગયો તે પડશે “ગડથલ હાંહાં” કાન.”
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
મિસ જૂલિયટીનું પ્રણયગીત | નેતા
મિસ જૂલિયટીનું પ્રણયગીત
રાવજી પટેલ
મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.
નેતા
શૈલા મુન્શારામ નામે પથરા તરે,
ને ગાંધી નામે નેતા.ભુખ્યો સાવજ કરે શિકાર,
ના નજર વિણ કારણ ક્યાંય.ભર પેટે, ઝપટે થાળ બીજાનો
ભાઈ એ તો અવતાર નેતાનો.કોને ફિકર ભાઈ કોઈ જીવે, મરે,
હાજરી એમની ભલે સહુને નડે.પાંચસોની પત્તી ને છબી ગાંધીની,
બની હાર, પહેરામણી એ નેતાની.આજ તો ભાઈ..રામ નામે
પથરા તરે કે ના તરે!
આધુનિક રામરાજમાં ગાંધી નામે,
નેતા તો ખૂબ તરે.
