-
મિસ જૂલિયટીનું પ્રણયગીત | નેતા
મિસ જૂલિયટીનું પ્રણયગીત
રાવજી પટેલ
મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.
નેતા
શૈલા મુન્શારામ નામે પથરા તરે,
ને ગાંધી નામે નેતા.ભુખ્યો સાવજ કરે શિકાર,
ના નજર વિણ કારણ ક્યાંય.ભર પેટે, ઝપટે થાળ બીજાનો
ભાઈ એ તો અવતાર નેતાનો.કોને ફિકર ભાઈ કોઈ જીવે, મરે,
હાજરી એમની ભલે સહુને નડે.પાંચસોની પત્તી ને છબી ગાંધીની,
બની હાર, પહેરામણી એ નેતાની.આજ તો ભાઈ..રામ નામે
પથરા તરે કે ના તરે!
આધુનિક રામરાજમાં ગાંધી નામે,
નેતા તો ખૂબ તરે. -
કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : પ્રકરણ ૨ જું.

કર્ત્તા : નંદશંકર તુળજાશંકર
આશ્વિન સુદ ૧૦ એટલે દશેરાની સવારે રાજાના દરબાર આગળ ભારે ગડબડ થઈ રહી હતી. ઘોડાવાળાઓ (રાવતો) દશેરાની સવારીને માટે ઘોડાને સાફ કરવામાં તથા તેને શણગારવામાં, મ્હાવતો હાથીને તે પ્રમાણે કરવામાં, તેમ જ રાજાના બીજા નોકરો રથ તૈયાર કરવામાં કામે વળગી ગયા હતા. ખવાસ, ગોલા, રાજાના ભાંડ, મલ્લ વિગેરે લોકો પોતાનાં વાહનને માટે મોટી ફિકરમાં દેખાતા હતા. તે દહાડાને વાસ્તે સારાં લુગડાં તૈયાર કરાવવાને દરજીને ત્યાં દોડાદોડ થઈ રહી હતી. શહેરના સઘળા દરજી, ધોબી તથા મોચી તે દહાડાની આગલી રાત્રે જરા પણ સુતા નહતા, તેઓની સાથે તેમના કેટલાએક અધીરા ગ્રાહકો પણ જાગરણ કરવા લાગ્યા હતા, તેટલું છતાં પણ સવારે તેઓની દુકાને એટલી તો ભીડ થઈ રહી હતી કે કોઈ છુંદાઈ ન ગયું એજ આશ્ચર્યકારક હતું. શહેરમાં ચોમાસાના વરસાદનું પાણી બહાર જવાને મોરીઓ છુટી મુકી હતી તે સઘળી લોકોએ તે સવારે બંધ કરી દીધી હતી, તેથી તે રસ્તો આરસી જેવો સાફ થઈ ગયો હતો. તે ઉપર પાટણની સુંદરીઓ નાના પ્રકારના રંગ લઈને હાથવડે તથા લાકડાનાં બીબાંવડે રમણિક સાથિયા પુરતી હતી, અને કોનો સાથિયો સારો પુરાય છે તે બાબે માંહોમાંહે સ્પર્ધા કરતી હતી. શહેરમાં સઘળે ઉત્સવ થઈ રહ્યો હતો, અને પૂર આનંદમાં સ્ત્રીઓ સારાં લુગડાં, ઘરેણાં પહેરીને મ્હાલતી હતી, અને વખતે વખતે તેઓના હૈયામાંથી હર્ષ ઉભરાઇ જતો હોય એમ તેઓ ગીત ગાવાથી જણાઈ આવતું હતું. સઘળી નિશાળોમાં છુટ્ટી હતી તેથી છોકરાઓનાં મ્હોં આનંદથી ભરપૂર હતાં; અને આણીગમ તેણીગમ દોડીને, કુદીને અને એવું બીજું નાના પ્રકારનું તોફાન કરીને તેઓ હર્ષને બહાર જવાનો રસ્તો આપતા હતા. જે ચૌટામાંથી સવારી જવાની હતી તે ચૌટામાંના દુકાનદારો સવારી જોવા આવનાર લોકો તેઓની દુકાનના ઓટલા ઉપર બેસવાનું ભાડું આપશે એ ઉમેદથી ઘણા ખુશમાં હતા. મીઠાઈવાળા, માળી, રમકડાંવાળા, ખાવાનાવાળા, અને બીજા કેટલાકોને તે દહાડે સારો વકરો થવાનો તેથી તેઓ પણ ઘણા જોશભેર ચાલતા હતા. છેલ્લે જેઓ નવ દહાડો ફળાહાર અને અપવાસ કરીને રહેલા હતા, અને જેઓ તે સવારે ચીમળાયલા તથા ભુખ્યા વરૂના જેવા બેઠા હતા તેઓ પણ આજે પારણાનું મિષ્ટાન્ન મળશે એ જ વિચારથી ઘણા આનંદભેર દેખાતા હતા.
રાજમહેલ અથવા રાજપાઠિકા કિલ્લામાં હતો, અને તેને લગતા બીજા ઘણાએક મહેલો હતા. મુખ્ય મહેલ જમીનથી ૫૦ ગજ ઉંચે હતો. તે કાળા પથ્થરનો બનાવેલો હતો, અને તેમાં ઘણેક ઠેકાણે સ્ફાટિકના પથ્થર વાપરેલા હતા. તે ચોખુણાકાર હતો. ફરતા કોટમાં ઠેકાણે ઠેકાણે અષ્ટખુણ બુરજો હતા, અને તેઓના ઉપર ઘુમટ કીધેલા હતા. આગલા દરવાજાનું નામ ઘટિકા હતું, અને તે દરવાજાની સામા ધોરી રસ્તા ઉપર ત્રિપોલ્ય એટલે ત્રણ દરવાજા હતા. મહેલની ઉપર જમીનથી આસરે ૨પ ગજને અંતરે મહેલની તમામ લંબાઈ જેટલી એક અગાસી હતી, તે ઉપરથી આખું શહેર નજરે પડતું હતું. એ અગાસીની નીચે ઘણાં સુન્દર કમાન હતાં, અને તેઓની બે બાજુએાએ કીર્તિસ્તંભ હતા, દીવાલો ઉપર ઘણી જ સુંદર નકશી કોતરેલી હતી, અને રામ તથા રાવણની લઢાઈ, મહાભારતની લઢાઈ, કૃષ્ણનો રાસ, વગેરે ઘણાંએક ચિત્રો કોરી કાઢેલાં હતાં. મહેલની માંહેની ભીંતો ભભકાદાર જુદા જુદા રંગોથી રંગેલી હતી, અને તેઓ ઉપર કેટલાએક તખ્તા તથા મોટા મોટા આરસા જડેલા હતા, તે દિવસે સૂર્યોદયની તૈયારી થતાં જ રાજ્યમહેલમાં ચોઘડીયાં વાગ્યાં, નોબત ગડગડવા લાગી, તથા શંખનાદ થયો એટલે રાજાએ શય્યાથી ઉઠી પોતાના વહાલા ઘોડાને બહાર કઢાવી થોડોએક ફેરવ્યો. પછી દાતણ કરી સ્નાન કીધું, અને પોતાના ઇષ્ટદેવ શિવની પૂજા ઘણાએક બ્રાહ્મણોની સમક્ષ કીધી. પછી બ્રાહ્મણો વેદના મંત્રો ભણ્યા તેમને રાજાએ ધારા પ્રમાણે દક્ષણા આપી. બહાર જે હજારો ગરીબ ભુખે મરતા ભિખારીઓ એકઠા થયા હતા તેઓને અનાજ આપવાનો હુકમ કીધો. એ કામ થઈ રહ્યા પછી લુગડાં, ઘરેણાં પેહેરીને પોતે દરબારમાં જવા નીકળ્યો.
જે વિશાળ ઓરડામાં દરબાર ભરાયું હતું તે ઘણો જ લાંબો, પહોળો તથા શોભાયમાન હતો. તેમાં સ્ફાટિકના કીર્તિસ્તંભો હતા. ભોંય ઉપર મોટી ગાદી પાથરેલી હતી, અને તેના ઉપર સફેદ ચાદર બીછાવેલી હતી. બાજુઓ ઉપર તકીયા મુકેલા હતા અને જે બાજુ તરફ રાજગાદી હતી તે તરફ રાજાના કામદારોને માટે તેઓના જુદા જુદા હોદ્દા પ્રમાણે વધારે અથવા એછી ઉંચાઈની બેઠકો બનાવેલી હતી. રાજાની ગાદી સઘળાથી ઉંચી હતી, તે કિનખાબની બનાવેલી હતી; તથા તે ઉપરની ચાદર બંગાળાની ઉંચામાં ઉંચી તથા મોંઘામાં મેાંધી મલમલની હતી; તકીયો પણ તેવો જ બનાવેલો હતો. પાસેની ગાદી યુવરાજ અથવા પાટવી કુંવરની હતી; પણ કરણ રાજાને કુંવર નહતો તેથી તે ગાદી ખાલી પડેલી હતી. તેની પાસેની ગાદી ઉપર માધવ પ્રધાન બિરાજેલો હતો. તેણે આ વખતે મંદીલની પાઘડી તથા કિનખાબનો ડગલો પહેરેલો હતો, અને સોનું, મોતી, હીરા, તથા બીજાં જવાહિરનાં ઘરેણાંની તેના શરીર ઉપર કાંઈ ખોટ ન હતી. તેની પાસે મુકુટધારી ઠાકોરો તથા મંડળેશ્વરો એટલે પરગણાના માલિકો બેઠેલા હતા. એક બે મંડળિક રાજા પણ હતા. બીજી તરફ ઉદેપુર, જોધપુર વિગેરે બીજાં રાજ્યસંસ્થાનોમાંથી આવેલા સંધિવિગ્રહિકો, જેઓનું કામ લઢાઈ તથા સલાહ કરવાનું હતું, અને જે દરબારમાં તેઓ રહેતા હોય તેનાં કામકાજની ખબર પોતાના રાજાને કરવાનું હતું તેઓ, તથા સ્થાનપુરૂષો જેઓ પારકા રાજ્યમાં જઈ ત્યાંના રાજ્યની નોકરીમાં રહેતા અને ત્યાંની ખબર અંતર પોતાના રાજાને કરતા તેઓ પણ હતા. વળી ત્યાં સામંત એટલે લશ્કરી અમલદારો પણ બેઠેલા હતા, તેઓનો દરજજો તેઓના હાથ નીચે જેટલાં માણસ હોય તે પ્રમાણે ગણાતો હતો. તેએામાં મુખ્ય છત્રપતિ તથા નોબતવાળા એટલે જેઓના ઉપર છત્ર ધરી શકાય તથા જેઓની આગળ નોબત વાગી શકે તેઓ હતા. એક તરફ તલવાર, કટાર, બરછી, ઢાલ વિગેરે શસ્ત્રવાળા સિપાઈઓ હતા, એ સિવાય વેદિયા, પંડિત, જોશી વિગેરે વિદ્વાન બ્રાહ્મણો જુદા બેઠેલા હતા; અને એ સઘળાએાની સામેની બાજુએ ભાટ, ચારણો, ચિતારા, ઘોડા ઉપર બેસતાં શીખવનારા, નાચતાં શીખવનારા, ભાંડ, જાદુગરો, ઇત્યાદિ બેઠેલા હતા. વળી એક ઠેકાણે ગુણિકા અથવા વારાંગના પણ કીમતી વસ્ત્ર તથા આભુષણ પેહેરીને બેઠેલી હતી, અને તેની બેસવાની રીત, તેની આંખની ચપળતા, તથા તેના હાવભાવથી સઘળા મોહિત થતા હતા, એ પ્રમાણે તે દિવસે દરબાર ભરાયું હતું. એટલામા સોનાની છડીવાળા ચેાબદારો આગલ ચાલી “રાજાધિરાજ, ખમાખમાજી, અન્નદાતા” એવી નેકી પોકારતા સંભળાવવા લાગ્યા. તે શબ્દ સાંભળી દરબારમાંના લોકોને માલુમ પડ્યું કે રાજા પધારે છે. રાજા દરબારમાં આવતાં જ તમામ દરબારી લોકોએ ઉભા થઈ જુદી જુદી રીતે તેને માન આપ્યું. ચોબદારો વધારે બુમ પાડવા લાગ્યા, અને આખા દરબારમાં ગણગણાટ શબ્દ થઈ રહ્યો. રાજાજી ગાદીએ બેઠા, ચેાબદાર બીજા લોકોને અંદર આવવા ન દેવાને દરવાજા આગળ ઉભા રહ્યા, અને દરબારી લોકો પોતપોતાને ઠેકાણે બેઠા.
કરણ રાજાની ભરજુવાની હતી. તેની ઉમર ત્રીશ વર્ષની હતી. તેનું શરીર પરમેશ્વરની કૃપાથી, નાનપણથી અંગકસરત કીધાથી, પાતળું તથા જોરાવર હતું. તેની ચામડીને રંગ ઘઉંવર્ણો હતો. તે શરીરે લાંબો હતો તેનું મ્હોં લંબગોળ હતું, તેનું નાક સીધું તથા લાંબુ હતું. તેના ઓઠ નાના તથા બિડાયેલા હતા, જેથી જણાતું કે તે ઘણો આગ્રહી, એટલે જે કામ મનમાં ધારે તે કર્યા વિના રહે નહી, એવા સ્વભાવનો હતો. એ સ્વભાવને લીધે તે ઘણી વખતે ઉતાવળથી તથા વગર વિચારે કામ કરતો, તેથી જ તેનું ઉપનામ ઘેલો પડ્યું હતું. તેની આંખ જરા લાંબી હતી, અને હમેશાં રતાશ પડતી રેહેતી તેથી તેનું રૂપ કાંઈક વિક્રાળ દેખાતું, અને તે જોઈને દુષ્ટ લોકો થથરી જતા. તેનામાં ક્ષત્રિયનું ખરેખરું લોહી હતું, અને તેની હિમ્મતનાં સઘળે ઠેકાણે વખાણ થતાં હતાં. તેમાં મુખ્ય ખોડ બે હતી. એક તેનો ઉતાવળો તથા ઉન્મત્ત સ્વભાવ, અને બીજી વિષયવાસના. એ છેલ્લી ખોડ તેની આંખ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતી હતી; તેમ તેની ખાનગી ચાલચલણથી એ વાત સઘળાને જાણીતી હતી. તેનું કપાળ વિશાળ હતું, અને તેની ભમર જાડી તથા એક બીજાની પાસે પાસે આવી ગયલી હતી તેથી તેનામાં દઢતાને ગુણ કોઈ પણ જોનારને લાગતો. આ વખતે તેણે પોશાક ઘણો કીમતી પહેર્યો હતો. માથાપર મંદીલની પાઘડી પહેરી હતી, તે ઉપર હીરા તથા મોતીનો શિરપેચ બાંધેલો હતો. અંગરખું જરીનું હતું, અને એક કાશીની બનાવટનું શેલું કમરે વીંટાળેલું હતું, જેમાં સોનાના મિયાનની તથા હીરે જડેલી મૂઠવાળી તલવાર તથા હીરામોતીએ જડેલું ખંજર ખોસેલું હતું. તેની ડોકમાં મોતીની માળાઓ તથા હીરાના કંઠા હતા. તેણે કિનખાબની સુરવાલ પહેરેલી હતી, અને એક પગે સોનાનો તોડો હતો. જોડા મખમલના હતા તથા તે ઉપર સોનેરી ટીકડી ચોઢેલી હતી. તેને માથે મોરપીંછ હતાં, તથા આસપાસ બે ખીદમતગારો ચંમર કરતા હતા. એવી શોભાથી કરણ રાજા ગાદીએ બિરાજેલો હતો.
દરબાર ભરાતાં જ ત્યાં બેઠેલા બ્રાહ્મણો આશિર્વાદના મંત્રો ભણવા લાગ્યા. તે પુરા થયા પછી ગુણિકાએ થોડીવાર ગાયન ગાઈ, કટાક્ષ કરી તથા બીજા હાવભાવ દેખાડી રાજાનું મન રંજન કીધું. તે દહાડો દશેરાનો હતો માટે એક ભાટે ઊઠીને રામની લંકા ઉપર ચઢાઈ થઈ તેનું એક કવિત કહી સંભળાવ્યું. પછી બીજો ભાટ એક બીજું કવિત બોલ્યો, તેમાં પાંડવો વૈરાટ નગરમાં ગયા તેનું વર્ણન કીધેલું હતું. તે બેઠા પછી પંડિતોએ વ્યાકરણનો થોડો વિવાદ ચલાવ્યો. પછી ચિતારાએ એક ઘણી રૂપાળી સ્ત્રીનું ચરિત્ર રાજાને નજર કરી તેનું રૂપ વર્ણવ્યું. એ થઈ રહ્યા પછી બીજું કાંઈ કામ તે દહાડે ન હતું તેથી જુદા જુદા વિષય ઉપર સઘળા વાતો કરવા લાગ્યા.
આ સઘળું કામ થઈ રહ્યું ત્યારે સવારના દસ વાગ્યાનો વખત થયો હતો. રાજાનો જઠરાગ્નિ કાંઈ મંદ નહતો તેથી દરબારમાંથી તે ઉઠ્યો. ચોબદારોએ ધારા પ્રમાણે નેકી પોકારી. કામદાર લોકો પોતપોતાને ઘેર ગયા. રાજાએ ભોજનશાળામાં જઈ રૂપાના પાટલા ઉપર બેસીને સોનાની થાળીમાં યથાસ્થિત ભેાજન કીધું. ત્યાર પછી પાનસોપારી, તેજાના વિગેરે ખાધાં, અને સુવાના ઓરડામાં જઈ પલંગ ઉપર બેઠો. તે વખત ત્યાં એક ભાટ તથા એક બ્રાહ્મણ જે રાજ્યગુરૂ હતો, તે હાજર હતા, તેઓને રાજાએ પોતાના પલંગ પાસે બેલાવ્યા, દરરોજ જમ્યા પછી ધર્મ, નીતિ તથા રાજ્ય સંબંધી જે વાતો શાસ્ત્રમાં લખેલી હોય તે બ્રાહ્મણેને મ્હોડે સાંભળવાની રાજાને ટેવ હતી, તેથી તે દિવસે રાજા બોલ્યોઃ “ગુરૂજી ! આજે શા વિષય ઉપર વાત ચલાવીશું ?” ગુરૂજીએ થોડોએક વિચાર કરી જવાબ દીધો, “રાજાધિરાજ, ઘણા દહાડા થયાં રાજાનો ધર્મ શો છે, અને રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ, એ વિષે આપ સાથે વાત કરવાનો વિચાર હતો, પણ આજ સુધી તેમ કરવાની જોગવાઈ આવી નહી તેથી આજે તે વિષય આપણે ચલાવીશું, અને હું આશા રાખું છું કે આપ મારી વાત શ્રવણ કરી તે પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરશો.” ભાટે પણ શાસ્ત્રમાંથી તો નહી પણ લોકવ્યવહારથી એ વિષય ઉપર થોડું ઘણું જ્ઞાન મેળવ્યું હતું તેથી તે પણ ગોર મહારાજ સાથે સામેલ થવાને જાગૃત થયો. ગોર મહારાજે પહેલાં મહાભારતમાંથી નીચે પ્રમાણે એક વાત કહી.
“રાજા વિના કોઈ દેશ સુખી થઈ શકતો નથી. શરીરની સુખાકારી, સદ્દગુણ ઈત્યાદિ કાંઈ કામ લાગતાં નથી. બે માણસ મળીને એકની મિલકત દબાવી પડે, અને એમ માણસો એક બીજાને ઉપદ્રવ કરે; એ પ્રમાણે જેમ જુદા જુદા પ્રકારનાં માછલાં એક બીજાનો નાશ કરે છે તેમ માણસો પણ એક એકનો નાશ કરે. એ પ્રકારે માણસો એક બીજા ઉપર જુલમ નિરંતર કર્યા કરતાં હતાં. તે વખતે તેઓ રાજા માગવાને બ્રહ્મા પાસે ગયાં. બ્રહ્માએ મનુને રાજા થવાને કહ્યું. મનુએ જવાબ દીધો, “મહારાજ ! હું પાપનાં કામથી બીહું છું રાજ્ય- કારભારમાં જોખમ ઘણું, તેમાં વિશેષે કરીને હમેશાં જુઠું બોલનાર માણસોને જવાબદારી વધારે છે.” લોકોએ તેને કહ્યું, “બીહીશો મા, તમને સારો બદલો આપીશું. પશુઓનો પચાશમો ભાગ, તેમ જ સોનાનો તેટલામો ભાગ તમને મળશે. અનાજનો દશમો ભાગ તમને આપીશું; અને તમારા ભંડારમાં વૃદ્ધિ કર્યા કરીશું. કન્યા ઉપર ઘટતું દાણ, તથા મુકર્દમા અને જુગાર રમવા ઉપર કર આપીશું. વળી જેમ દેવતાઓ ઈંદ્રરાજાને તાબે રહે છે તેમ જ દ્રવ્યવાળા તથા વિદ્વાન પુરૂષો તમારા તાબામાં રહેશે. તમે અમારા રાજા થાઓ, તમે શક્તિવાન થશો. તમને કોઈ ભય પમાડી શકશે નહી; અને જેમ કુબેર યક્ષલોકો ઉપર સલાહસંપથી રાજ્ય ચલાવે છે તેમ તમે ચલાવશો. રાજાના આશ્રય નીચે રહીને રૈયત જે જે પુણ્યનાં કામો કરશે તે પુણ્યનો ચોથો ભાગ તમને મળશે. એ પ્રમાણે જેમ શિષ્ય ગુરૂને શ્રેષ્ઠ ગણે છે, દેવતાઓ ઇંદ્રને ઉપરી માને છે, તેમ જેઓને ઉંચી પદવી મેળવવાની ઇચ્છા હોય તેઓએ રાજાને શ્રેષ્ઠ માનવો, કેમકે તે લોકોનું રક્ષણ કરનાર છે. જ્યારે તેઓ રાજાની સમક્ષ ઉભા રહે ત્યારે તેઓએ રાજાનું પૂજન કરવું.” એટલી વાત સાંભળીને યુધિષ્ઠિર બોલી ઉઠ્યો, “જન્મ, મરણ, આવરદા તથા શરીરનાં અવયવો રાજાનાં અને બીજા લોકોનાં સરખાં જ છે, ત્યારે બળવાન શૂરા પુરૂષોએ રાજાને શા માટે માન આપવું જોઈએ ! તથા તેનું પૂજન શા માટે કરવું જોઈએ? અને રાજા સુખી અથવા દુ:ખી હોય તે પ્રમાણે તેઓને સુખદુઃખ શા માટે થવું જોઈએ?” એ પ્રશ્ન સાંભળીને ભીષ્મપિતામહે રાજાની ઉત્પત્તિ સંભળાવી, અને તે ઉપરથી સિદ્ધ કીધું કે જગતનું કલ્યાણ રાજાના ઉપર આધાર રાખે છે.” રાજાનાં આટલાં વખાણ તથા રાજ્યપદનું આટલું માહાત્મ્ય સાંભળીને ભાટ ઘણો જ ખુશ થયો અને બોલ્યોઃ “સત્ય છે મહારાજ, રાજા તે બીજો પરમેશ્વર; પૃથ્વી ઉપર પરમેશ્વરને મુનિમ. જેમ પરમેશ્વર ચાહે તે કરી શકે તેમ તે પણ કરી શકે.” બ્રાહ્મણ બોલ્યોઃ “રાખ, એટલી ઉતાવળથી અનુમાન મા કર. સઘળા કરતાં અને રાજા કરતાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે રાજાએ વહેલાં ઉઠીને ત્રિવેદી બ્રાહ્મણોની સેવા કરવી, અને તેઓના કહેવા પ્રમાણે કરવું.” ભાટ બોલ્યો “પણ મહારાજ, મનુસ્મૃતિમાં આમ પણ કહેલું છે કે સૂર્યની પેઠે રાજા આંખ તથા અંત:કરણને બાળી નાંખે છે, અને પૃથ્વી ઉપર કોઈ પણ માણસ તેના ઉપર દષ્ટિ કરી શકતું નથી. તે અગ્નિ તથા જળ છે, તે અપરાધી લોકોના ન્યાયનો દેવ છે, તે દ્રવ્યનો દેવ છે, તે જળનો ઉપરી છે, તે આકાશનો ધણી છે, તે માણસના રૂપમાં શક્તિવાન દેવ છે, તેનો ક્રોધ થાય તો મૃત્યુ જાણવું, જે ઘેલાઈમાં પણ રાજા ઉપર દ્વેષભાવ દેખાડે તેનો નિઃસંશય નાશ થશે, કેમકે રાજા તેનો નાશ કરવા તરફ જલદીથી પોતાનું મન લગાડશે.”
બ્રાહ્મણ બોલ્યોઃ “એ ગમે તેમ હોય તે પણ બ્રાહ્મણોને રાજાએ માન આપવું, અને તેઓના કહ્યા વિના કાંઈ કામ કરવું નહી. શાસ્ત્રમાં કહેલું છે કે રાજા ગમે તેવા દુઃખમાં હોય તો પણ બ્રાહ્મણોને ક્રોધાયમાન કરવા નહી, કેમકે એક વાર તેએ કોપ્યા એટલે તેનો તથા તેના હાથી, ઘોડા, રથ, લશ્કર એ સઘળાનો તે તુરત નાશ કરવાને સમર્થ છે. બ્રાહ્મણો જો કોપે, તો બીજી પૃથ્વીઓ તથા પૃથ્વીપતિઓ કરી શકે, તથા બીજા દેવ તથા માનવને ઉત્પન્ન કરી શકે. એવા બ્રાહ્મણ ઉપર જુલમ કીધાથી કયા રાજાને દ્રવ્ય મળી શકે? વળી મનુ કહે છે કે બ્રાહ્મણની શક્તિ તેના જ ઉપર માત્ર આધાર રાખે છે, તે રાજાની શક્તિ જે બીજા માણસોવડે છે તેના કરતાં શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિવડે બ્રાહ્મણો પોતાના શત્રુઓને વશ કરી શકે છે, જે બ્રાહ્મણ શાસ્ત્રમાં પ્રવીણ છે તેને કોઈ મહાવ્યથા કરે તો તેને રાજાની આગળ ફરીયાદ કરવાની જરુર નથી, કેમકે તે પોતાની શક્તિવડે વ્યથા કરનારને શિક્ષા કરી શકે છે. બ્રાહ્મણ ગમે તેવો અપરાધ કરે તો પણ તેનું શાસન બીજા લોકોના જેટલું નથી. મનુસ્મૃતિમાં લખેલું છે કે, બ્રાહ્મણે ગમે તેવો અપરાધ કીધો હોય તો પણ રાજાએ તેના પ્રાણનો ઘાત કરવો નહી. અપરાધી બ્રાહ્મણને તેના રાજ્યમાંથી કાઢી મુકવો, તેની સઘળી મિલકત પણ રાજાથી જપ્ત કરી શકાય નહી, તથા તેના શરીરને દુઃખ દઈ શકાય નહી. વળી બીજે ઠેકાણે કહેલું છે કે રાજા પૈસા વગર મરી જતો હોય તો પણ વેદ ભણનાર બ્રાહ્મણ પાસેથી તેણે કાંઈ પણ કર વસુલ કરવો નહી.”
ભાટ આ ઉપરની વાત સાંભળીને છક થઈ ગયો. તેણે બ્રાહ્મણની સત્તા વિષે આટલું બધું સાંભળ્યું નહતું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે, “આ લાડુભટને પરમેશ્વરે તો ઘણો અખતિયાર આપ્યો દેખું, ” અને એ વિચારથી તેના મનમાં એ ભટ લોકો ઉપર અદેખાઈ આવી; પણ તેની સામે શાસ્ત્રનાં વચન કાંઈ તેને માલમ ન હતાં તેથી તે બોલ્યો: “હવે એ વાત તો ઘણી થઈ, હવે રાજાએ શું શું શીખવું જોઈએ તે હું કહી સંભળાવું છું. ધારના રાજાની તેના પૌત્ર ભર્તુહરિ તથા વિક્રમાદિત્યને શું શું શીખવવાની મરજી હતી તે વિષે ભરતખંડનો ઇતિહાસ લખનાર મૃત્યુંજય નીચે પ્રમાણે કહે છે.
“તેણે પોતાના બે છોકરાઓને પાસે બેલાવી તેઓને જે અભ્યાસ કરવાનો હતો તે વિષે સારી શિખામણ આપી અને કહ્યું: “તમારે ઘણો ઉદ્યમ કરી વ્યાકરણ, વેદ, વેદાંત, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ગાંધર્વવિઘા, જુદી જુદી કળા તથા હાથની કારિગરી, હાથી તથા ઘોડા ઉપર બેસવાની તથા રથ હાંકવાની વિદ્યાનો અભ્યાસ કરવો. બધા પ્રકારની રમત, દોડવું, કુદવું, કિલ્લાઓને ઘેરો ઘાલવે, લશ્કરનાં ટોળાં બાંધવાં, તથા તેઓને તેડવાં, એ સઘળામાં પ્રવીણ થવું, હરેક રાજ્યગુણ મેળવવા, શત્રુની શક્તિનો નિશ્ચય કરતાં શિખવું. યુદ્ધ કરતાં, મુસાફરી કરતાં, મોટા માણસો આગળ બેસતાં, કાંઈ તકરારી વાતમાં તકરાર પ્રમાણે જુદા જુદા ભાગ કરી નાંખતાં, બીજા રાજાઓ સાથે સંબંધ કરતાં, નિરપરાધી અને અપરાધીને એાળખતાં, દુષ્ટને યથાયોગ્ય શિક્ષા કરતાં, તથા સંપૂર્ણ ન્યાયથી રાજ્ય ચલાવતાં શિખવું, અને તમારું મન ઘણું ઉદાર રાખવું.’ પછી તે છોકરાઓને નિશાળે ઉત્કૃષ્ટ શિક્ષકોના હાથ નીચે મોકલ્યા. ત્યાં તેઓ ખરેખર કીર્તિવંત થયા.”
રાજાએ ઉપલી વાતના પાછલા ભાગમાં ઉપરાઉપરી બગાસાં ખાવા માંડ્યાં. તે વખતે શરદ મહિનાનો આકરો તડકો હતો તેથી ગરમીની અશક્ત કરનારી અસર તેના શરીર ઉપર લાગી, અને રોજની ટેવ પણ મદદે આવી તેથી ભર્તૃહરી તથા વિક્રમાદિત્ય બંને કીર્તિવંત થયા તે તેણે સાંભળ્યું નહીં. ભાટે જ્યારે વાત પુરી કરી તેણે રાજાના મ્હોં સામું જોયું ત્યારે તેની વાત ધ્યાન આપી સાંભળવાને બદલે તેને મીઠી નિદ્રાને વશ થયલો દીઠો. તે જોઈ ભાટ તથા બ્રાહ્મણ ઓરડામાંથી બહાર ગયા, અને રાજાને સુખેથી ઉંઘ કાઢવા દીધી.
જ્યારે રાજા નિદ્રાદેવીને વશ થઈ આ લોક તથા પરલોકને વિસરી જઈ મૃત્યુથી ઉતરતી અવસ્થામાં પડેલો હતો તે વખતે કિલ્લા આગળ તથા શહેરમાં ભારે ગડબડાટ થઈ રહી હતી. લોકો ઘણા ઊમંગથી સારાંસારાં લુગડાં પહેરી, નવી રંગેલી પાઘડીમાં જુવારા ખેાસી, તથા નવા જોડા પહેરી કેટલાએક એકલા તથા કેટલાએક નાનાં નાનાં છોકરાંને સાથે તેડી સ્વારી જવાના રસ્તા ઉપર કોઈ ઓટલા અથવા દુકાન ઉપર બેસતા હતા. કેટલાએક રજપૂત તથા બીજા લશ્કરી લોકો હથિયાર કમરે બાંધીને ઘણા ડોળથી ફરતા હતા. ભીલ, કાઠી, કોળી વિગેરે જંગલી લોકો તરત ખસી જઈને રસ્તે આપતા. ઢેડા તથા તેથી હલકી જાતિના લોકો “ખસો બાપજી” એ પ્રમાણે બુમો પાડી ધીમે ધીમે રસ્તો કરી જતા, અને લોકોને તેઓને વાસ્તે ખસવું પડતું તે વખતે તેઓને ગાળ દીધા વિના રહેતા નહી. ઘણી વાર કોઈ ઘોડો અથવા હાથી ભડકતો ત્યારે લોકોમાં દોડાદોડી થતી, અને છોકરાં ચીસાચીસ પાડતાં. મોટા કામદારોનાં બઈરા સુખાસનમાં બેસી તેમના ધણીનાં સગાં, મિત્ર, અથવા ઓળખીતાનાં ઘર હોય ત્યાં જતાં. ગરીબ તથા વચલા વાંધાનાં લોકોની બાયડીઓ ખુલી રીતે ચાલતી જતી, પણ તેઓને રસ્તામાં કોઈ ઉપદ્રવ કરશે એવી કોઈને દહેશત ન હતી. ઓટલા તથા બારીઓ લોકોથી ભરાઈ ગયાં હતાં. બાકીના લોકો કેટલાએક છાપરા ઉપર અને કેટલાએક ઝાડ ઉપર ચઢીને બેઠા હતા; અને ઘણાએક રસ્તાની બાજુએ બે હાર કરી ઉભા રહ્યા હતા. દુકાનદારોએ દુકાન ધોળાવી, રંગાવી, તે ઉપર તોરણ બાંધી સઘળો માલ બહાર કાઢેલો હતો, તેમ જ રહેવાનાં ઘરો પણ ઘણાંએક રંગાવેલાં તથા ઘણું કરીને સઘળાં ધોળાવેલાં હતાં. એ પ્રમાણે શહેરમાં સ્વારી જોવાની તૈયારીમાં લોકો બેઠા તથા ઉભા હતા. કિલ્લા આગળ કાઠીયાવાડી, સિંધી, કચ્છી, તથા કાબુલી શણગારેલા અને ઘણા ઉમદા જીનવાળા કેટલાએક ઘેાડા ખંખારતા, કેટલાએક નાચતા, કેટલાએક ભોંય ઉપર પગ ઠોકતા તથા કેટલાએક કાવો ફર્યા કરતા હતા. હાથીઓથી ઉભા રહેવાતું ન હોય તેમ એક જગાથી બીજી જગાએ જતા, કેટલાએક તેના અતિ બળથી મસ્ત થઈને ડોલતા, તથા કેટલાએક સુંઢ હલાવી ઉંચી કરી આસપાસના લોકોને નસાડતા હતા. સુખાસન એક કોરે મુકીને ભોઈ લોકો આણીગમ પેલીગમ મોજ કરતા ફરતા હતા. સ્વાર તથા પાયદળ સિપાઈ સઘળા હથિયારબંધ તૈયાર થઈ રહ્યા હતા, રાજા કરણે સવારે જે લુગડાં ઘરેણાં પહેર્યા હતાં તેનાં તે જ હમણાં પણ તેના શરીર ઉપર હતાં. વિશેષ એટલું જ કે બહાર કોઈની નજર ના લાગે માટે હાથે કેટલાંએક મંત્રેલાં માદળિયાં બાંધેલાં હતાં. રાજાનો હાથી ઘણો જ પુષ્ટ તથા બીજા સૌ કરતાં ઉંચાઇમાં વધારે હતો, તેના ઉપર સોનેરી ઝુલ નાંખી હતી. તેના પગમાં સોનાનાં કડાં ઘાલેલાં હતાં. તેના કુંભસ્થળ ઉપર મોતીની માળાઓ બાંધેલી હતી. હાથી ઉપરનો મેઘાડંબર તમામ રૂપાનો સોને રસેલો હતો, તથા તેમાં કેટલેએક ઠેકાણે રત્નો જડેલાં હતાં. રાજાની પાછળ માધવ પ્રધાનજી યંમર લઈને બેઠેલા હતા, અને તેનો પોશાક તથા ઘરેણાં સવારના જેવાં જ હતાં. સ્વારીની આગળ નોબત તથા ડંકા વગાડનારા ઉંટ અથવા હાથી ઉપર બેઠેલા હતા. નોબતની આસપાસની ઝુલ કીનારીદાર લુગડાંની હતી, અને તેના વગાડનાર પણ સઘળા બાંકા બનીને બેઠેલા હતા. તે પછી સ્વાર તથા સિપાઈઓ આવ્યા પછી શહેરનાં મુખ્ય માણસો તથા દરબારના કામદાર લોકો ઘોડા, રથ, વિગેરે વાહનપર બેસીને ચાલ્યા, વચમાં વચમાં મલ, ભાંડ વગેરે હલકા લોકો પણ મોટો ઠાઠમાઠ કરી ચાલતા હતા. છેલે હાથી ઉપર રાજા આવ્યો. સ્વારીમાં ઘણીએક તરેહનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં, તેમાં રણસિંગડાં, ભુંગળ, શરણાઈ વિગેરેનો અવાજ બહાર નીકળી આવતો હતો. રાજા સઘળા લોકોને આખે રસ્તે માથું નમાવતો જતો હતો, અને લોકો તેને જોઈને નીચા વળી નમતા તથા હરખનો પોકાર કરતા હતા. કેટલાએક લોકો જેઓ ઉંચી બારીઓમાં બેઠેલા હતા તેઓ રાજા ઉપર ફુલના હાર, દડા, તથા છુટાં ફુલની વૃષ્ટિ વરસાવતા હતા. ઘણા લોકો રસ્તામાં ફુલ વેરતા હતા; અને કેટલાએક શ્રીમંત લોકો સોના રૂપાનાં ફુલ રાજાના માથા ઉપર વધાવતા હતા. તે વખતે લોકોની રાજા ઉપરની પ્રીતિ એટલી ઉભરાઈ જતી હતી કે જો બની શકે તો તેઓ પોતાનામાંથી થોડું થોડું આવરદા રાજાને આપવાને તૈયાર થાય. રાજા જુવાન અને ખુબસુરત હતો. તેની સાથે તે દહાડે એટલો તો મોહ પમાડે એવો તે લાગતો હતો કે સવારી જોવા મળેલી ઘણી સ્ત્રીઓએ તેનાં ઘણા હેતથી ઓવારણાં લીધાં.
સ્વારી શહેર બહાર કેટલેએક દૂર જઈ એક શમીના ઝાડ આગળ અટકી. ત્યાં હજારો બ્રાહ્મણો શમીપૂજન કરાવવાને તથા દક્ષિણા વહેંચાય તે લેવાને એકઠા થયા હતા. રાજા હાથી ઉપરથી ઉતરીને શમીવૃક્ષ આગળ જઈ ઉભો રહ્યો. તે વખતે રાજ્યગોરે આવી સરપાવ માગ્યો, “રાજાધિરાજ ! કાંઈ આપો તો પૂજનના કામનો આરંભ થાય.” તે જ ક્ષણે નાણાંની એક થેલી ગોરને મળી. બીજા બ્રાહ્મણો પણ પોતપોતાના યજમાન પાસે ગયા, અને કહેવા લાગ્યા: “મહારાજ ! આજે રામચન્દ્રજીએ દુષ્ટ રાવણ ઉપર ચઢાઈ કરી, અને આજે પાંડુપુત્ર વૈરાટ નગરમાં પેંઠા. આજે અર્જુન તથા તેના ભાઈઓએ શમીપૂજન કીધું, અને પોતાનાં શસ્ત્રને તે વૃક્ષ ઉપર લટકાવ્યાં; માટે આજ એ શમી એટલે અપરાજિત દેવીનું પૂજન કરવાનો ઘણો ધર્મ છે.” પછી તેઓએ પહેલાં તો તે ઝાડને પંચામૃતનું સ્નાન કરાવ્યું. તેના ઉપર પાણી છાંટ્યું, અને ચંદન પુષ્પ ચઢાવ્યાં; અપરાજિત દેવી આગળ દીવો કીધો; ઝાડ ઉપર ચાંલ્લા કરી હાર ચઢાવ્યા; ગુલાલ અબીલ નાંખ્યાં; નૈવેદ મુક્યું; અને રાજા પાસે પ્રદક્ષિણા કરાવી. પછી તેઓએ વારાફરતી દશ દિગ્પાળની પૂજા કીધી, તેમાં પહેલાં ઇંદ્ર એટલે પૂર્વના દેવની કીધી, પછી રાજાએ તથા બીજા લોકોએ બળેવને દહાડે બાંધેલી રક્ષા તોડી ઝાડ ઉપર ફેંકી દીધી. તે થયા પછી શમીના મૂળ આગળથી થોડું થોડું મટોડું તથા તેનાં પાત્રાં, સોપારી તથા જુઆરા બ્રાહ્મણોએ સઘળાને આપ્યાં, અને કહ્યું કે આ સઘળાંને એકઠાં માદળીયામાં ઘાલી જયારે પ્રવાસ કરવા જાઓ ત્યારે રાખજો. હવે પૂજન પુરૂં થયું એટલે રાજાની તરફથી દક્ષિણા થઈ, અને ખાનગી ગૃહસ્થોએ પણ પોતપોતાની શક્તિ તથા બાપદાદાના સંપ્રદાય પ્રમાણે દક્ષિણા આપી, અને અગર જો કે એ દક્ષિણા હંમેશાંના કરતાં કાંઈ થોડી ન હતી તો પણ ધારા પ્રમાણે સઘળા બ્રાહ્મણો કાળનો વાંક કાઢી સારી પેઠે બબડ્યા, પોતાનાં છોકરાંની આગળ કેવી અવસ્થા થશે તે વિષે ઘણું ફીકર કરવા લાગ્યા, અને છેલ્લે ભાગ વહેંચવામાં બોલચાલ ઉપરથી ગાળાગાળી અને ગાળાગાળીથી મારામારી ઉપર આવી ગયા, અને જો કેટલાએક વૃદ્ધ બ્રાહ્મણો ત્યાં કજીયો પતાવવામાં ન હોત તો થોડું લોહી પણ તે દિવસે અપરાજિત દેવીને અર્પણ થાત.
એ બ્રાહ્મણોને લડતા તથા શોરબકોર કરતા રહેવા દઈને રાજાની સ્વારીની સાથે આપણે પણ પાછા વળીએ. સ્વારી થોડી આગળ ચાલ્યા પછી રાજાએ પાછા ઉતરીને ગઢેચી માતા એટલે કિલ્લાનું રક્ષણ કરનારી દેવીનું પૂજન કરી ફરીથી ત્યાંના બ્રાહ્મણોને દક્ષિણા આપી. ત્યાંથી સ્વારી ચાલી તે ઠેઠ કિલ્લા સુધી આવી પહોંચી ત્યાંસુધી અટકી નહી. કિલ્લા આગળ એક મોટું ચોગાન હતું ત્યાં લાખો લોકો એકઠા થઈ રહ્યા હતા. ત્યાં સ્વારો, પાયદળ, ઘોડા, હાથી અને છેવટે રાજાનો હાથી એ સઘળા ઉભા રહ્યા. પછી એક ઠેકાણે, મલ્લો, જેઓ આખા વરસ સુધી દુધ, દહીં, ને ઘી ખાઇ ખાઇને જાડા થઈ ગયા હતા તેઓ કુસ્તી કરવા લાગ્યા, તે જોવાને લોકોનું એક મોટું ટોળું ત્યાં એકઠું થયું હતું. એક ઠેકાણે બે સ્વાર ઘોડા ઉપર બેસીને જુઠું યુદ્ધ કરતા હતા. બંનેની પાસે બુઠ્ઠી અણીના ભાલા હતા અને તેઓ એક હાથમાં ગેંડાના ચામડાની ઢાલ પકડી લડતા હતા, તેમાંથી સામાવાળાના ભાલાના આચકાથી જે પડી જાય તે હારે અને લોકો તુરત તાળી પાડી બુમાબુમ કરી મુકે. એક રજપૂત સ્વાર ભાલાવાળાની સામા તલવાર લઈને લડ્યો, અને તલવારની અણીવતી તે સામા માણસને વગાડ્યા સિવાય તેને ઘોડા ઉપરથી ઢોળી પાડ્યો. કેટલાએક કોળી સિપાઈઓ સામે માટીનું ચક્કર મુકી તેમાં તીર પીંછાસુદ્ધાં પેસે એવી શરતે આઘેથી તીર મારતા હતા. કેટલાએક સ્વરો પોતાના ઘોડાને કાવો જ ફેરવ્યાં કરતા; કેટલાએક તેઓને નચાવતા; કેટલાએક ઘોડાને થોડુંક દોડાવી પાછા લાવતા. એ પ્રમાણે ત્યાં ગમત થઈ રહી હતી. આસરે એક કલાક સુધી કસરત કરી સ્વાર લોકો તથા સિપાઇઓ રાજાને જુહાર કરી પોતપોતાને ઠેકાણે ગયા. તમાશગીર લોકો તે દહાડાની હકીકતની વાતો કરતા તથા સ્વારીની ટિકા કરતા કરતા પાછા વળ્યા. રાજા હાથી ઉપરથી ઉતરી મહેલમાં જઈ લુગડાં ઘરેણાં ઉતારી દેવની પૂજા કરી આરતી ઉતારી ચંદ્રશાળામાં ગયો, અને ત્યાં ભોજન કરવાની તૈયારી કીધી, રાત્રે રાજા પોતાની રાણી સાથે જમતો, માટે ત્યાં બીજું કોઈ ન હતું. રૂપાના પાટલા માંડ્યા, અને મુખ્ય રાણી સોનાની થાળીમાં જમવાનું પીરસીને લાવ્યાં. જમી રહ્યા પછી સીસાઓ તથા વાડકા આવ્યા, તેમાં દરાખ તથા મહુડાનો દારૂ રાજાએ થોડો થોડો પીધો. ખાઈ રહી હાથ મ્હેાં ધોઈ રાજાએ પાનસોપારી ખાધાં, અને ત્યાર પછી આખા શરીર ઉપર ચંદન તથા મળિયાગરાનો લેપ કરાવ્યો; તે થઈ રહ્યા પછી રૂપાની એક સાંકળનો હિંડોળો તે ઓરડામાં હતો તે ઉપર રાજા આરામ લેવા જરા સુતો, પાસે રૂપાની સુંદર દીવીઓ ઉપર દીવા બળતા હતા તેથી આખા ઓરડામાં ઝળઝળાટ થઈ રહ્યો હતો. એ ઓરડાનાં બારણાં આગળ ચોકીદાર બેઠા હતા, તેઓ રાજા હવે સુઈ જશે એમ ધારતા હતા. પણ થોડીવાર પછી રાજા હિંડોળેથી ઉઠ્યો અને એક હલકા રજપૂતનાં લુગડાં રાખેલાં હતાં તે તેણે પહેર્યાં. તેણે પોતાનું મ્હોં છુપાવવાને બુકાની બાંધી, અને પગે જુના જોડા પહેર્યા પછી એક ખવાસને બોલાવી હુકમ કીધે કે આજ રાત્રે વીરચર્ચા કરવાનો એટલે નગરચર્ચા જોવાનો મારો વિચાર છે, માટે એક લોટામાં પાણી ભરી લઈ મારી સાથે આવવું, ખવાસ હુકમ પ્રમાણે જલદીથી તૈયાર થયો, અને તે તથા રાજા બંને મહેલને પાછલે બારણેથી નીકળી પડ્યા.
તે વખતે દોઢ પહોર રાત ગઇ હતી, અને દુકાનદારો દુકાન બંધ કરી પોતપોતાને ઘેર જતા હતા. લોકો પોતપોતાના ઘરમાં જ હતા, અને આખો દહાડો રઝળેલા તેના થાકથી ઘણાએક તો સુઈ ગયા હતા. કેટલાએક બારીએ બેસી પડોસીઓ જોડે તડાકા મારતા હતા. કેટલેક ઘેર બાયડીઓ એકઠી થઈ માતાના ગરબા ગાતી હતી તે જોવા તથા સાંભળવા કેટલાએક લોકો બહાર મ્હોં ઊઘાડાં મુકીને ઉભા હતા, અને ગરબાના વિષય, તે ગાવાની રીત, તથા ગાનારીઓના ઘાંટા ઉપર ટિકા કરતા હતા. પાતરવાડામાં પાતરો બારીએ દીવા મુકીને પોતાનાં અંગ ઉપર કીમતી લુગડાં, ઘરેણાં તથા ફુલના હારગજરા પહેરીને બેઠેલી હતી, અને રસ્તે જતા આવતા લોકોને મોહજાળમાં ફસાવવા ફાંફાં મારતી હતી. તેમાંથી કેટલાએક અભાગીયા લોકો તે જાળમાં ફસાઈ પડીને ક્ષણભંગુર સુખને વાસ્તે અક્ષય સુખનો આંધળા થઈ ત્યાગ કરતા હતા. કેટલીએક રામજનીના ઘરમાં રાગતાન થતાં હતાં, વાજીંત્રનો નાદ થઈ રહ્યો હતો, અને દીવામાં પડતાં પતંગીયાંની પેઠે કેટલાએક મૂર્ખ લોકો ત્યાં ઝંપલાવતા હતા, અને તેઓની આંખ ઉપર એવાં તો જાડાં પડ વળી ગયાં હતાં કે તેઓ તે સમયે જાણે વિષ્ણુના વૈકુંઠમાં બેઠા હોય એમ તે અધમ પુરૂષોને લાગતું હતું. સાંકડી ગલીઓ તથા ઉજડ રસ્તાઓમાં બુકાની બાંધેલા માણસો ચુપકીથી ફરતા હતા, અને લાગ ફાવે તો પારકો માલ પોતાનો કરવાને તેઓનો ઈરાદો જણાઈ આવતો હતો. કોઈ કોઈ ઠેકાણે વંઠેલ સ્ત્રીપુરૂષ પોતાનાં ઘરબાર છોડી દુષ્ટ વિચારથી આમ તેમ ભટકીયાં મારતાં હતાં, એ સઘળું રાજાએ જોયું, અને તેમાંની ઘણીએક વાતનો બંદોબસ્ત કરવાનો પ્રધાનને હુકમ કરવો એવો પોતાના મનમાં નિશ્ચય કીધો રાજસંબંધી વાત કોઈ પણ ઠેકાણે તેના સાંભળવામાં આવી નહી. જ્યાં જ્યાં કાંઈ પણ વાત થતી હતી, ત્યાં સવારીની જ વાત ચાલતી હતી. તેમાં સઘળાં તેના રૂપ, ગુણ, લુગડાં, ઘરેણાં, ઈત્યાદિનાં વખાણ કરતાં હતાં. એટલું સાંભળી રાજાનું મન તૃપ્ત થયું નહી તેથી શહેર બહાર ચાંદનીમાં ફરવા જવાનો તેણે નિશ્ચય કીધો.
દરવાનને થોડા પૈસા આપી દરવાજો ઉઘડાવ્યો, અને મેદાન ઉપર નીકળી ગયો, તે દહાડે શરદ મહિનાનો ચંદ્ર ખીલી રહ્યો હતો. આકાશ ઘણું જ નિર્મળ હતું. ચાંદરણાથી બધું મેદાન રૂપેરી રંગનું હોય એમ દેખાતું હતું. તેમાં વચમાં વચમાં ઘાસ ઉગેલી લીલી જગા હતી, તે ગૌરવર્ણની સ્ત્રીના હાથ ઉપર લીલમની વીંટીના જેવી માલમ પડતી હતી, તે ઠેકાણે કોઈ પ્રાણી નજરે પડતું ન હતું; પણ પાણીનાં ખાબોચીયાંમાંથી દેડકાઓ ડ્રેંડુંડ્રેંડુ કરતા હતા. કંસારીઓ જગાએ જગાએથી બંધ ન પડે એવો અવાજ કરતી હતી, અને કોઈ ઠેકાણેથી સાપનો શબ્દ પણ સંભળાતો હતો. એવી રીતે રાત રમણિક લાગતી હતી. આગળ ચાલતાં તેઓ સ્મશાન પાસે આવી પહોંચ્યા, ત્યાં ચાંદરણામાં ઝાડની છાયાથી અન્ધારું પડતું હતું; અને સ્મશાન એ નામથી જ તે જગા ભયાનક લાગતી હતી ત્યાં ઉભા રહીને રાજાએ દૂર નજર કીધી તો એક ઝાડ નીચે મોટું તાપણું તેના જોવામાં આવ્યું, અને તે બળતાંની આસપાસ કેટલાંએક બઈરાં કુંડાળું ફરતાં તેણે જોયાં. રાજાને તે તમાશો જોવાની ઘણી મરજી થઈ, તેની પાસે તલવાર તથા ખંજર હતાં તેથી તેના મનમાં બીહીક થોડી હતી. ખવાસ તો તે જોઈને ધ્રુજવા લાગ્યો, અને હાથ જોડી બોલ્યો, “મહારાજ, એ તો કોઈ ડાકણી, યક્ષણી, પિશાચ, વંતરી અથવા એવી કોઈ બાયડીઓ હશે, માટે તેઓની પાસે જવામાં કાંઈ ફળ નથી.” પણ રાજા કરણ એક વાત મનમાં લેતો તે કદી છોડતો નહી, અને વળી બીહીને ત્યાં ન જવાથી રજપૂતની બહાદુરીને કલંક લાગે, માટે ગમે તે થાય તો પણ જવું એવો દૃઢ નિશ્ચય કરી તે આગળ ચાલ્યો. જ્યારે તે ટોળા આગળ જઈ પહોંચ્યો ત્યારે સઘળી બાયડીઓ ક્રોધાયમાન થઈ સ્થિર ઉભી રહી, અને રાજાની સામે ડોળા કાઢીને બોલી, “અલ્યા માનવી, તું રંક હોય કે રાજા હોય, પણ ઈહાં તારે આવવાનું શું કામ હતું? તે અમારી રમતમાં કેમ ભંગ પાડ્યો ? શું તું તારે ઘેરથી રીસાઈ આવ્યો છે ? શું આટલી નાની ઉમરમાં તું આવરદાથી કંટાળી ગયો છે કે મોતના જડબામાં આવી ફસાઈ પડ્યો ? તું ઈહાંથી એકદમ જતો નહી રહે, તો અમે બધાં મળીને તને ચીરી નાંખી તારો લોહીની ઉજાણી કરીશું.” રાજા કરણ એવી રાંડોથી બીહે એવો ન હતો, મિયાનમાંથી તલવાર કાઢી તેણે જુસ્સાથી કહ્યું, “હું ક્ષત્રિય રાજપુત્ર, આખા ગુર્જર દેશનો રાજા કરણ વાઘેલો છું, અને તમે મારા રાજમાં રહો છો તેથી મારી રૈયત છો, માટે હું તમને આજ્ઞા કરું છું કે તમે સઘળાં કોણ છો તે તુરત મને કહો.” વંત્રીઓએ જાણ્યું કે આ તો દેશનો ધણી છે, તેથી તેઓ સઘળી તેની આગળ હાથ જોડીને ઉભી રહી, અને તેઓમાંથી એક બોલી, “રાજાધિરાજ ! અમે વાણીયા બ્રાહ્મણની બાયડીઓ હતી, પણ અમે સઘળી સુવાવડમાં મરી ગઈ, અમારા ધણી બીજી વાર પરણ્યા, તેથી તેઓએ અમારી પાછળ યોગ્ય ક્રિયા કીધી નહી માટે અમારી અસદ્ગતિ થઈ છે, માટે હે રાજા ! જો તમે તેઓને કહી તેઓની પાસે અમારે સારૂં નારાયણબળિ કરાવશો તો જ અમારો ઉદ્ધાર થશે.”
રાજાએ તેઓના ધણીનાં નામ લખી લીધાં, અને તેઓને વચન આપ્યું કે હું તમારો જલદીથી આ ગતિમાંથી છુટકો કરાવીશ, વંત્રીઓ એ સાંભળીને એટલી તો ખુશ થઈ કે તેઓ સઘળી બોલી ઉઠી:- “રાજા તું માગ, જે માગે તે આપીએ.” રાજાએ પોતાના ભવિષ્યની વાત પુછી ત્યારે એક વંત્રી બોલી, “મહારાજ ! અમને ભવિષ્યનું જ્ઞાન નથી, તો પણ જ્યારે તમે અમારા ઉપર આટલો ઉપકાર કીધો છે ત્યારે અમે પણ તમને એક શીખામણ દઈએ તે પ્રમાણે તમારે ચાલવું. તમે જાણો છો કે બાયડીઓથી જગતમાં ઘણી ઉથલપાથલ થઈ છે. સીતાને રાવણ હરી ગયો તેથી લંકાનો નાશ થયો, અને રાવણનું મૃત્યુ થયું; દ્રૌપદીનાં ચીર દુર્યોધને ભરી સભામાં ખેંચાવ્યાં તેથી કુરૂક્ષેત્રનું યુદ્ધ થઈ તેમાં કૌરવોનો અને તેઓનાં તથા પાંડવ તરફનાં કરોડો માણસોનો નાશ થયો, માટે હે રાજા ! બાયડીથી બહુ સંભાળીને ચાલવું, અને તેઓ સાથે જેમ બને તેમ થોડો સંબંધ રાખવો.”
કરણ રાજા એટલું સાંભળી પાછો વળ્યો, અને આખે રસ્તે આ બનાવ વિષે એટલા બધા વિચાર તેના મનમાં આવ્યા કીધા કે તેણે રસ્તો કાંઈ જાણ્યો નહીં. તે એક યંત્રની પેઠે આગળ ચાલ્યાં જ કરત, પણ એક મહાદેવના દેવસ્થાન આગળ ભારે ભીડ થઈ હતી ત્યાં લોકોની ઉપર તે અથડાયો ત્યારે તેને ભાન આવ્યું. આસપાસ જોઈ ભીડ થવાનું કારણ લોકોને પુછ્યું ત્યારે એક જણે જવાબ દીધો કે દહેરામાં વૈરાટપર્વનું નાટક થાય છે તે જોવાને લોકો મળ્યા છે. નાટકનું નામ સાંભળીને તે જોવાનું તેને મન થયું અને ખવાસને બોલાવી બંને જણ દહેરામાં ગયા, તથા ધક્કામુક્કી કરી ઉભા રહ્યા તો ત્યાં વૈરાટ રાજાની સભા મળી હતી, અને પાંડવો એક પછી એક જુદો જુદો વેશ ધારણ કરી રાજાની પાસે નોકરી માગવા આવતા હતા, નાટકની ગમતમાં રાજા એટલો બધો લીન થઈ ગયો કે વંત્રીની વાત તે તમામ ભુલી ગયો. કેટલીક વારે ખવાસને અફીણને લીધે ઝોકાં તથા બગાસાં ખાતો જોઈને રાજાને પણ બગાસાં આવવા માંડ્યા, અને એક પહોર રાત રહી છે, એમ સાંભળીને તેણે પાછા મહેલ ઉપર જવાનો ઠરાવ કીધો. જતાં પહેલાં મહાદેવનાં દર્શન કરવાને દહેરા તરફ ગયો, પણ બારણાં આગળ જાય છે એટલામાં ઝમઝમાટ કરતી આવતી સ્ત્રીને જોઈને પોતાની મરજી ઉપરાંત તે ત્યાં જ ઉભો રહ્યો, અને તેની શુદ્ધ બુદ્ધ ઉડી ગઈ. તે સ્ત્રી ખરેખરી પદ્મિની હતી. જ્યારે તે સ્ત્રી દહેરામાં ગઈ અને જ્યારે કરણને બોલવાની શુદ્ધિ આવી ત્યારે તે સ્ત્રી કોણ હતી તે વિષે તેણે ખવાસને પુછ્યું, ખવાસે જવાબ દીધો કે, “મહારાજ, એ તો આપણા પ્રધાનજી માધવની ધણીઆણી છે, અને તેની પાછળ ચાકરના હાથમાં સેનાની થાળી હતી, તેમાં ચંદન, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય હતું તેથી તે પૂજા કરવા આવી હશે.” વિજળીનો આચકો લાગ્યો હોય તેમ આ સાંભળીને કરણ ચમક્યો અને બોલ્યો, “માધવની ધણીઆણી ? પેલા માધવની ! એ વાત ખરી છે? તું જુઠું તો બોલતો નથી ? આ રાજ્યમંદિરમાં વાસ કરવા લાયક, એ રાજ્યમહેલનું આંગણું દીપાવે એવી સ્ત્રી એક બામણાના ઘરમાં ! એવો વિચાર કરતો કરતો કરણ પોતાના મહેલમાં જઈ હિંડોળે સુતો, પણ તેને જરા પણ નિદ્રા આવી નહી.
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.
હવે પછીઃ પ્રકરણ ૩ જું
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
જલે મોરા મનવા, જલે મોરા મનવા
ધિક્કારનાં ગીતો
ઇર્ષ્યાને શાનદાર ઢબે વ્યક્ત કરતા એક ગીતની વાત.
દીપક સોલિયા
પુરુષ ગોળગોળ વાત કરે. સ્ત્રીની વાત સીધી ને સટ હોય. વાત કહેતી વખતે સ્ત્રીનું ધ્યાન ‘શું કહેવું છે’ તેના જ પર જ ફોકસ થયેલું હોય, જ્યારે પુરુષના મનમાં વાત કહેતી વખતે ‘શું કહેવું છે?’ તે ઉપરાંત ‘કહેવાથી કેવી અસર પડશે?’ તેનું ગણિત પણ ચાલતું હોવાથી તે બોલવામાં ગોથાં વધુ ખાય. સ્ત્રી દિલથી વાત કરે, પુરુષ દિમાગથી. અભિવ્યક્તિના મામલે સ્ત્રી ખુલ્લી હોય, પુરુષ મીંઢો હોય.
આ ધારણા સાથે સહમત ન થવાની છૂટ, પરંતુ આ ‘પ્રમેય’ સાબિત કરતા એક ગીતની વાત કરીએ. ફિલ્મ ‘કુદરત’ના આ ગીતના શબ્દો તમે જાણો જ છેઃ
હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિનાગયા લેખમાં આપણી વાત એ ચાલતી હતી કે એક જ ગીત કિશોર કુમાર ગાય અને અન્ય ગાયક કે ગાયિકા ગાય ત્યારે સામાન્ય રીતે કિશોરવાળું વર્ઝન વધુ લોકપ્રિય બનતું હોય છે. આ ગીત -હમેં તુમસે પ્યાર કિતના-માં પણ એવું જ બન્યું. આ ગીતનું કિશોર કુમારવાળું વર્ઝન તો સૌએ સાંભળ્યું જ હશે, પરંતુ એ જ મુખડું ધરાવતું પરવીન સુલતાનાએ ગાયેલું ગીત પ્રમાણમાં ઓછું પ્રચલિત બન્યું.
પહેલાં પુરુષ-વર્ઝનવાળા ગીતની વાત કરીએ. એના બે અંતરા આ પ્રમાણે છેઃ
સુના ગમ જુદાઈ કા ઉઠાતે હૈ લોગ
જાને ઝિંદગી કૈસે બિતાતે હૈ લોગ
દિન ભી યહાં તો લગે બરસ કે સમાન
હમેં ઇંતઝાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે તુમ્હારે બિના…અને બીજા અંતરાના કેન્દ્રમાં ઇર્ષ્યા છે.
તુમ્હેં કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ
બડી મુશ્કીલોં સે ફિર સંભલતા હૈ દિલ
ક્યા ક્યા જતન કરતે હૈ તુમ્હેં ક્યા પતા
યે દિલ બેકરાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે તુમ્હારે બિના.કિશોર કુમારે નરમાશથી, આછી ઉદાસીના સૂર સાથે આ ગીત ગાયું છે. એમણે વિરહ તો ઠીક, ઇર્ષ્યાનો ભાવ પણ કોમળતાથી, રૉમેન્ટિક ઢબે વ્યક્ત કર્યો છે. એ રૉમેન્ટિક અદાયગી એટલી શાનદાર છે કે આજે પણ એ ગીત લોકપ્રિય છે, સાંભળનારને સ્પર્શી શકે છે.
બીજી તરફ પરવીન સુલતાનાએ ગાયેલા વર્ઝનમાં વાત એકદમ ડાયરેક્ટ છે. સ્ત્રી સીધી પોતાની ફરિયાદ વ્યક્ત કરે છે. પુરુષવાળા વર્ઝનમાં દુનિયાની વાત આવે છેઃ સુના ગમ જુદાઈ કા ઉઠાતે હૈ લોગ, જાને ઝિંદગી કૈસે બિતાતે હૈ લોગ… સ્ત્રીનો મિજાજ એવો છે કે લોકો પડે ખાડામાં… મારી ફરિયાદ તારી (પ્રેમી) સામે છે. અને ફરિયાદ આ છેઃ તને નથી ખબર, તને નથી કદર.
મને ભલે નથી ખબર કે હું તને કેટલો ચાહું છું (હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે), પણ મને એટલી તો ખબર છે કે તારા વિના હું જીવી નહીં શકું (મગર જી નહીં સકતે તુમ્હારે બિના). આ વાત હું જાણું છું, પણ તું નથી જાણતો. તારા વિના હું મરી જઈશ એ વાત તને નથી સમજાતી. તું જાડી ચામડીનો છે. તું ભૂલકણો છે. તને મારી પરવા નથી. મારા પ્રેમનું મૂલ્ય તને સમજાયું નથી. આ બધી વાત ઓછામાં ઓછા અને સાદામાં સાદા શબ્દોમાં પહેલા અંતરામાં આ રીતે વ્યક્ત થઈ છેઃ
મૈં તો સદા કી તુમ્હારી દીવાની
ભૂલ ગયે સૈયાં પ્રીત પુરાની
કદર ન જાની, કદર ન જાનીપછી બીજા અંતરમાં ઇર્ષ્યાની ‘ભૌતિક’ અનુભૂતિની વાત આવે છે.
કોઈ જો ડારે તુમપે નયનવા
દેખા ના જાએ મોસે સજનવા
જલે મોરા મનવા, જલે મોરા મનવાઆ જ વાત કિશોર કુમાર પણ ગાય છેઃ તુમ્હે કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ… પણ એના કરતાં પરવીન સુલતાના જ્યારે ગાય છે કે જલે મોરા મનવા… જલે મોરા મનવા… ત્યારે તેમાં દહનની ઉષ્ણતા ઘણી વધુ તીવ્ર રીતે અનુભવાય છે.
ફિલ્મમાં પરવીન સુલતાનાવાળું વર્ઝન રજૂ થાય છે ત્યારે સિચ્યુએશન એવી છે કે આગલા ભવમાં મૃત્યુ પામી ચૂકેલાં બે પ્રેમીપંખીડાં બીજા જન્મમાં ફરી મળે છે ત્યારે સ્ત્રીને ગયા ભવની યાદ આવી રહી છે, એ જૂની પ્રીત નથી ભૂલી, પણ પુરુષ આગલો ભવ ભૂલી ચૂક્યો છે અને એ તો એકદમ ભોળા ભાવે નવા ભવમાં નવી સ્ત્રી સાથે પરણવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
અને એ વખતે સ્ટેજ પર એક ગાયિકા (અભિનેત્રી અરુણા ઇરાની, ગાયિકા પરવીન સુલતાના) આ ગીત ગાય છે અને ઑડિયન્સમાં જૂના ભવના પ્રેમી (રાજેશ ખન્ના)ને નવા ભવની પ્રેમિકા (પ્રિયા રાજવંશ) પાસે બેઠેલો જોઈને જૂના ભવની પ્રેમિકા (હેમા માલિની) એટલી બધી બેચેની અનુભવે છે કે ગીત પૂરું થાય એ પહેલાં જ તે હોલ છોડીને જતી રહે છે. શું કામ? જલે મોરા મનવા… જલે મોરા મનવા… હું નથી જોઈ શકતી તને અન્ય સ્ત્રીની સાથે.
મૂળ આસામના અને પટિયાલા ઘરાનાનાં પરવીન સુલતાના શાસ્ત્રીય ગાયકીનું ભારતનું એક રત્ન છે. સ્વર દ્વારા ભાવની અભિવ્યક્તિમાં તે આ ગીતમાં બરાબર ખીલ્યાં છે. ક્યારેક સમય મળ્યે આ બન્ને ગીત એક પછી એક તરત સાંભળશો તો તમને (લેખના આરંભે નોંધ્યું છે તેમ) લાગશે કે પુરુષની અભિવ્યક્તિ ગોળગોળ જ્યારે સ્ત્રીની વાત સીધી ને સટ હોય છે. અને ખાસ તો, જલનની અભિવ્યક્તિમાં પુરુષ કરતાં સ્ત્રી, કિશોર કુમાર કરતાં પરવીન સુલતાના ઘણાં આગળ છે. કિશોર કુમાર જલનની વાત કરે છે ત્યારે રૉમેન્ટિક લાગે છે, જ્યારે પરવીન સુલતાના જલનની વાત કરે છે ત્યારે એવું લાગે જાણે જલન નામની લાગણી એક સૂરનું રૂપ ધારણ કરીને વ્યક્ત થઈ રહી છે.
ખાતરી ન થતી હોય તો એક જ રસ્તો છેઃ સાંભળી લો.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
વાદ્યવિશેષ : (૪૪) – તાલવાદ્યો (૯) – ખોલ
ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ કડીમાં વધુ એક તાલવાદ્યનો પરિચય કેળવીએ. ખોલ તરીકે જાણીતું આ લોકતાલવાદ્ય મુખ્યત્વે બંગાળ અને ઓરીસ્સાના વિસ્તારોમાં સૈકાઓથી ખાસ્સું પ્રચલિત છે. આમ તો અન્ય પરંપરાગત તાલવાદ્યો જેવી જ મૂળભૂત રચના ધરાવતા આ વાદ્યનો એક બાજુનો છેડો કે જે મોટા ભાગના વાદકો જમણા હાથ વડે વગાડે છે (દાંયા), તે સામેના છેડા (બાંયા) કરતાં પ્રમાણમાં વધારે લાંબો અને પાતળો જોવા મળે છે. લોકબોલીમાં આ પાતળા છેડાને ‘ગૌપુચ્છ’ (ગાયાના પુંછડા જેવો) કહે છે. આમ હોવાથી તસવીરમાં જોઈ શકાય છે તેમ તેનો મધ્ય ભાગ ઢોલક, મૃદંગ કે પખાવજ જેવાં તાલવાદ્યો કરતાં વધુ ઉપસી આવેલો જણાય છે. નોંધનીય છે કે બાંયા વડે નીકળતો ધ્વનિ ઘેરો હોય છે, જ્યારે એકદમ પાતળા એવા દાંયા તરીકે ઓળખાતા છેડાનો ધ્વની તીણો ઉભરી આવે છે.

ખોલની બનાવટમાં મોટા ભાગે માટીનો અથવા ટેરાકોટાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના બન્ને છેડાને ગાય, ભેંસ અથવા બકરાના ચામડા વડે મજબૂતીથી મઢી લેવામાં આવે છે. સામસામેના છેડાને ચામડાની પાતળી પટ્ટીઓથી મજબૂતીથી બાંધી લેવામાં આવે છે. હાલના વખતમાં ક્યારેક ક્યારેક ટેરાકોટાની જગ્યાએ ધાતુના અથવા ફાઈબરગ્લાસના બનેલા લંબઘન નળાકારનો ઉપયોગ કરવામાં આવે છે. એકવાર તૈયાર થઈ જાય તે પછી બન્ને છેડા ઉપર શાહી તરીકે ઓળખાતા પદાર્થની લૂગદી લગાડાય છે.
તેની લાક્ષણિક રચનાને લીધે ખોલના બોલ અન્ય તાલવાદ્યોથી એકદમ અલગ પડે છે. પ્રસ્તુત ક્લીપને માણવાથી તે જણાઈ આવશે.
સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં, બંગાળી પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મોનાં ગીતોમાં ક્યાંક ને ક્યાંક ખોલ સાંભળવા મળે છે, જે તેના બોલની વિશિષ્ટતાને લીધે તરત જ ધ્યાન ખેંચે છે. આ કડીનાં ગીતોના સંકલનમાં ખાસ નોંધનીય છે કે અનાયાસે જ વસંત દેસાઈ અને રવીન્દ્ર જૈનને બાદ કરતાં અન્ય તમામ સંગીતકારો બંગાળી છે.
હવે સાંભળીએ એવાં હિન્દી ફિલ્મી ગીતો, જેના વાદ્યવૃંદમાં ખોલ એક તાલવાદ્ય તરીકે હોય.
૧૯૪૯ની ફિલ્મ જીત માટે અનિલ બિશ્વાસે ગીતો તૈયાર કર્યાં હતાં. તેના ગીત ‘સુનો સુનો બનવારી મેરી’માં તાલવાદ્ય તરીકે ખોલનો પ્રભાવક ઉપયોગ જણાઈ આવે છે.
ફિલ્મ પરીણિતા (૧૯૫૩)નું ગીત ‘ચલી રાધેરાની અખીયોં મેં પાની’ ખોલના કર્ણપ્રિય બોલોથી સભર છે. સંગીત અરૂણકુમાર મુખરજીએ આપ્યું હતું.
આગળ વધીએ ફિલ્મ બિરાજ બહુ (૧૯૫૪)ના ગીત ‘મેરે મન ભૂલા ભૂલા’ તરફ. સલીલ ચૌધરીના સંગીતનિર્દેશનમાં બનેલા અને તેમના જ કંઠે ગવાયેલા આ ગીત સાથે મુખ્ય તાલવાદ્ય તરીકે ખોલનો ઉપયોગ થયો છે.
https://www.youtube.com/watch?v=ABxfu2fYtSM&list=RDABxfu2fYtSM&start_radio=1
૧૯૫૫ની સાલમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેમાં સંગીતનિર્દેશક હતા વસંત દેસાઈ. આ ફિલ્મના ગીત ‘જો તુમ તોડો પિયા’ સાથે ખોલના બોલ તાલ પુરાવે છે. પરદા પર રજૂ થઈ રહેલા આ ગીતને માણવા સાથે મશહૂર નૃત્યકાર ગોપીકૃષ્ણના અદ્ભૂત નૃત્યનો પણ લાભ મળે છે.
https://www.youtube.com/watch?v=xA5z1UR1PZU&list=RDxA5z1UR1PZU&start_radio=1
હવે માણીએ ફિલ્મ પ્યાસા (૧૯૫૭)નું સચીનદેવ બર્મન દ્વારા સ્વરાંકિત થયેલું ખોલના બોલ ધરાવતું ગીત ‘આજ સજન મોહેં અંગ લગા લો’. પરદા પર ખોલ વગાડી રહેલા એક કલાકાર દેખાય છે.
https://www.youtube.com/watch?v=1h816N9qTh4&list=RD1h816N9qTh4&start_radio=1
ફિલ્મ સુજાતા (૧૯૫૯)નું સચીનદેવ બર્મને સ્વરબદ્ધ કરેલું અને ખોલના તાલ વડે સજાવાયેલું એક ગીત ‘સૂન મેરે બંધુ રે’ માણીએ.
૧૯૬૧ની સાલની ફિલ્મ કાબૂલીવાલાની સફળતામાં રવીન્દ્રનાથ ટાગોરની મૂળ મજબૂત કથા અને સલીલ ચૌધરીએ સ્વરબદ્ધ કરેલાં ગીતોનો મોટો ફાળો હતો. પ્રસ્તુત ગીત ‘ગંગા આયી કહાં સે’ સાથે તાલવાદ્ય તરીકે ખોલનો પ્રયોગ થયો છે, જેના બોલ સ્પષ્ટપણે પારખી શકાય છે.
ફરી એકવાર હેમંતકુમારના નિર્દેશનમાં બનેલું એક ગીત માણીએ. ફિલ્મ સાહિબ બીબી ઔર ગુલામ (૧૯૬૨)ના ગીત ‘કોઈ દૂરસે આવાઝ દે ચલે આઓ’માં ગાયકી સાથે તાલ પુરાવતા ખોલના કર્ણપ્રિય બોલ સાંભળી શકાય છે.
૧૯૬૯ની ફિલ્મ આરાધના માટે સચીનદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ગીતોએ તે ફિલ્મના નાયક રાજેસ્શ ખન્નાની કારકીર્દિને નવી ઊંચાઈએ પહોંચાડી દીધી હતી. સચીનદેવ બર્મને જાતે ગાયેલાં ફિલ્મી ગીતો પૈકીનું એક ‘સફલ હોગી તેરી આરાધના’ આ ફિલ્મમાં સમાવાયું હતું. લાક્ષણિક બંગાળી ધૂન સાથે તાલવાદ્ય તરીકે ખોલનો પ્રયોગ થયો છે.
https://www.youtube.com/watch?v=1y23s6lQ5iM&list=RD1y23s6lQ5iM&start_radio=1
ફિલ્મ સૌદાગર (૧૯૭૩)નું એક ખોલના તાલ ધરાવતું ગીત ‘દૂર હૈ કિનારા’ સાંભળીએ. સંગીત રવીન્દ્ર જૈનનું છે.
ફિલ્મ બાલિકા બધુ (૧૯૭૬)નું ખોલના બોલથી સભર એવું એક ગીત ‘જગત હૈ મુસાફીરખાના’ માણીએ. સંગીતનિર્દેશન રાહુલદેવ બર્મનનું છે.
https://www.youtube.com/watch?v=RQf80Ld7mKQ&list=RDRQf80Ld7mKQ&start_radio=1
આજની કડીની આખરમાં સાંભળીએ ૧૯૮૦માં પરદા પર રજૂ થયેલી ફિલ્મ અપને પરાયેનું ગીત ‘શ્યામ રંગ રંગા રે’. પરદા પર નાયકને ગાયકીની સાથે સાથે ખોલ વગાડતા જોઈ શકાય છે.
https://www.youtube.com/watch?v=UxP7iaTk5ng&list=RDUxP7iaTk5ng&start_radio=1
આવતી કડીમાં એક અન્ય તાલવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
હાથીની સૂંઢ
લતા હિરાણી
એક હતું મોટું જંગલ. એમાં જાતજાતનાં પ્રાણીઓ રહે. છેક ગીચ જંગલમાં હાથીનું કુટુંબ વસે. મમ્મી હાથી, પપ્પા હાથી અને બેબી હાથી. બેબી હાથીનું નામ બબલુ.
બબલુ એક વાર ફરતાં ફરતાં સિંહરાજાના લગ્નમાં જઈ ચડ્યો. ત્યાં તો જોયું બધા નાચે ! સિંહ નાચે, વાઘ નાચે, સાપ નાચે, શિયાળ અને વરુયે નાચે. વાંદરા તો એય મસ્તીથી ખૂબ નાચે. બધા લગ્નની પાર્ટીમાં આવ્યાં હતાં એટલે કોઈને બીક નહોતી..
બબલુને થયું ચાલ હું યે નાચું. એણે તો પોતાનો પગ ઊંચો કર્યો પણ માથું ! ત્યાં તો લટકે આવડી મોટી સૂંઢ.. આડી જ આવે. એક તો ભારે શરીર ને વળી આવડી મોટી સૂંઢ…એણે બહુ ટ્રાય કરી પણ સૂંઢને લીધે માથું ડોલાવવાની મજા જ ના આવે ! નીચી મૂંડી રાખીને નાચવાની થોડી મજા આવે !!
બબલુ નિરાશ થઈ ગયો. ત્યાંથી ચુપચાપ નીકળી ગયો.રસ્તામાં આકાશ તરફ સૂંઢ લાંબી કરીને કહે,”હે ભગવાન, તેં બધાને કેવા સરસ નાના નાના નાક આપ્યા અને અમને જ આવી લાંબી સૂંઢ કેમ આપી ? ન તો માથું સરખું ઊંચુ થાય કે ન તો ડાન્સ થાય !!” એની આંખમાં આંસુ આવી ગયા.બબલુ પોતાના ઘરે જતો રહ્યો. મમ્મી કહે,
”બેટા ફરી આવ્યો ? કંઈ ખાધું કે નહીં ?”બબલુ ચુપ !“કેમ બોલતો નથી બેટા ?”બબલુ રડવા માંડ્યો. “અરે, શું થયું એ તો કહે ! આમ રડીશ તો મને ક્યાંથી ખબર પડશે !”બબલુએ બધી વાત કરી.
મમ્મી હસવા માંડી, “આટલા માટે તું રડે છે ! વેરી બેડ બેટા. સૂંઢ તો આપણી શાન છે. આ તો ભગવાને આપણને સ્પેશ્યલ ગીફ્ટ આપી છે. તું કેવો સરસ લાગે છે દીકરા !”
”પણ મારાથી ડાન્સ નથી થતો, એનું શું ?”
”જો બેટા, ડાન્સ કરવા માટે બસ ઇચ્છા જોઈએ. તારે નાચવું છે ને! તારું મન હોય તો તું નાચી જ શકીશ..જો, પહાડીની પાસે એક મોટા વડદાદા છે. એની પાસે જા. એ તને કહેશે કેમ કરવું.”
બબલુ દોડતો દોડતો વડદાદા પાસે ગયો.
“કેમ આમ વીલું મોં છે બબલુ ?”
”વડદાદા, બધા ડાન્સ કરે છે ને મારાથી ડાન્સ નથી થતો. આ સૂંઢ આડી આવે છે.”
”અરે ગાંડા બબલુ, આપણી ઇચ્છા હોય ને તો કંઈ આડું ન આવે. પહેલાં આ તારી રોતી સુરત બદલ જોઉં. મને રડતા બાળકો ન ગમે. તારી તાકાત તો રડવામાં વપરાઈ જાય પછી તું શું કરી શકે ?”
બબલુ વડદાદા સામે જોઈ રહ્યો.”એમ નહીં, હસતો ચહેરો રાખ અને નક્કી કર કે મારે ડાન્સ કરવો જ છે. પછી જો મજા.”બબલુએ હસવા ટ્રાય કરી.
”જો, આ પાંદડા અને ડાળીને પૂછ કે ડાન્સ કેમ કરાય!”
પાંદડુ કહે, “એમ તો વડદાદાએ અમારા પગ પકડી રાખ્યા છે કેમ કે અમે પડી ન જઈએ. તોયે અમે ડાન્સ તો કરીએ જ..”
ડાળી કહે, “ભલેને વડદાદા અમને પકડી રાખે. પણ જેવા પવન અંકલ આવે ને અમે મસ્તીથી ડાન્સ કરવા માંડીએ.”
બબલુ આશ્ચર્યથી જોઈ રહ્યો.
ડાળી કહે, “તને કોઈ ગીત આવડે છે ? બબલુએ સૂંઢ હલાવી.
”બોલ, કયું ગીત આવડે છે? ગા જોઈએ”
”મારી મમ્મીએ શીખવાડ્યું છે.” કહેતાં બબલુએ શરુ કર્યું,
‘સૂરજદાદા વહેલા આવેઝળહળ તડકો લેતા આવેચાંદામામા રમતા રમતાઝગમગ દીવડા નભમાં ગાતા…”“અરે વાહ..” પાંદડી બોલી ઉઠી..”તો હવે નાચવાને શું વાર છે?” વડદાદાએ ચપટી વગાડી.બબલુએ નાચવાની ટ્રાય કરી.
”એમ નહીં એકદમ મસ્તીથી.. તારી સૂંઢ પણ નાચશે” વડાદાદાએ તાળી આપી તાલ પુરાવ્યો..
બબલુ એકદમ ખુશ.. એણે જેવું આવડે એવું નાચવાનું શરુ કર્યું અને બધી ડાળીઓ, પાંદડા એમાં જોડાયા.
થોડી વાર થઈ ત્યાં તો માળાના પંખી પણ બબલુ પર બેસી નાચવા લાગ્યા. આજુબાજુ મનિયો મંકી, ધનુ ગધેડો, વિનિયો વરુ, શકરુ શિયાળ બધા ભેગા થઈને ‘બબલુ નાચે, બબલુ નાચે’ શોર મચાવી દીધો. નાચગાનની પાર્ટી થઇ ગઈ..અચાનક બબલુના મમ્મી-પપ્પા આવી પહોંચ્યા. બબલુને નાચતો જોઇને ખૂબ ખુશ થયા..પપ્પા કહે, ”જોયું, થોડી હિંમત કરી નાખી તો કેવી મજા પડી.. હવે તને સૂંઢ ક્યાં નડે છે ? ખરું ને ?”
મમ્મી કહે, “આપણે જે ધારીએ એ કરી જ શકીએ.. સૂંઢ તો શું કંઈ ન નડે..”
અને બધા પ્રાણીઓ હાથમાં હાથ પકડીને બબલુની સાથે નાચવા લાગ્યા..
લતા હિરાણી * એક હતી વાર્તા (બાળવાર્તાસંગ્રહમાંથી) * સ્વયં પ્રકાશન ૨૦૨૧
-
બે ભાઈબંધો
ગિરિમા ઘારેખાન
એક નાનકડું ગામ હતું. નામ એનું શાહપુર. આ ગામ એટલું નાનું હતું કે ગામમાં એકપણ નિશાળ જ ન હતી. બાળકોએ ભણવા માટે નજીકના બીજા ગામ સંખેડામાં જવું પડતું. સોનુ અને મોનુ શાહપુરમાં રહેતા હતા. એ લોકો પણ ગામના બીજા થોડાક બાળકોની જેમ સંખેડાની શાળામાં ભણવા જતા હતા. બંને ખાસ ભાઈબંધ એટલે એ લોકો સાથે સાથે જ સંખેડા જાય અને સાથે જ પાછા ફરે. રસ્તામાં ખેતરો આવે અને કૂવા પણ આવે. બંને ભાઈબંધો ખેતરોમાં ઉગેલા લહેરાતા પાકને જોતા જાય, કયો કૂવો ખાલી છે અને કયા કૂવામાં કેટલું પાણી છે એ તપાસતાં જાય અને સાથે સાથે આનંદ કરે. ખાલી કૂવામાં મોં નાખીને પોતાનું નામ બોલે અને અંદરથી પડઘો પડે એ સાંભળવાનું એમને બહુ ગમે.
સોનુ અને મોનુ બંને ભાઈબંધ ખરાં, પણ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર. સોનુ આશાવાદી, એ ક્યારેય કશી વાતમાં નિરાશ ન થાય. મોનુ એકદમ નિરાશાવાદી, નાની નાની વાતમાં ‘હવે નહીં થાય’ એમ કહી દે. માથે હાથ દઈને બેસી જાય. સોનુ એને એના આ સ્વભાવ માટે બહુ ટોકે, પણ મોનુ સુધરે નહીં.
એક વખતની વાત છે. ચોમાસાના દિવસો હતાં. સોનુ અને મોનુ નિશાળેથી ઘર તરફ આવતાં હતાં. આકાશ બરાબર ઘેરાયું હતું. સાંજ પડી ગઈ હતી. પહેલા થોડો વરસાદ પણ પડી ગયો હતો. વધારે વરસાદ પડે એ પહેલા ઘેર પહોંચી જવા માટે એ લોકો દોડવા માંડ્યા. પણ ચીકણી થઇ ગયેલી જમીનમાં બહુ ઝડપથી દોડાતું ન હતું. થોડીક વાર પછી એમને થાક લાગ્યો. એટલે એક કૂવાના થાળા ઉપર થાક ખાવા બેઠા. થોડી વાર બેઠા પછી એમને એ કૂવો કેટલો ઊંડો હશે એ જાણવાની ઇંતેજારી થઇ. કૂવામાં તો અંધારું હતું. એટલે એની ઊંડાઈ જોવા માટે બંને જણાએ શરીર થોડું વધારે અંદર ઝુકાવ્યું. એમ કરતાં થાળાની લીલ બાઝી ગયેલી ભીની સપાટી ઉપરથી એ લોકો લપસ્યા અને સીધા કૂવામાં જઈને પડ્યા. સારું હતું કે વરસાદની ઋતુને લીધે કૂવામાં પાણી હતું એટલે એમને વાગ્યું નહિ.
પણ આવી રીતે અચાનક કૂવામાં પડવાથી મોનુને તો બહુ જ આઘાત લાગ્યો. એણે સોનુને કહી દીધું, ‘સોનુ, હવે આપણે બચીશું નહીં. સાંજ થઇ ગઈ છે એટલે હવે કોઈ અહીંથી પસાર પણ થશે નહીં અને કોઈ આપણને બહાર નહીં કાઢે.’
પણ સોનુ આશાવાદી હતો. એણે કહ્યું,
‘કદાચ બાજુના ખેતરમાં કોઈ હોય તો આપણી બૂમ સાંભળે પણ ખરા. આપણે પ્રયત્ન ના છોડવો જોઈએ.’
મોનુએ સોનુની વાત માની નહીં. પણ સોનુએ તો ‘બચાઓ, બચાઓ’ ની બૂમો પાડવાની ચાલુ કરી દીધી. સાથે સાથે એણે હાથ પગ પછાડીને તરવાનું પણ ચાલુ રાખ્યું. એને મોનુને કહ્યું, ‘તું તરવાનું તો ચાલુ રાખ. ડૂબી ન જવાય ત્યાં સુધી આપણે પ્રયત્ન તો કરતાં જ રહીશું.’ એણે તો તરવાનું પણ ચાલુ રાખ્યું અને સાથે સાથે બૂમો પણ પાડતો રહ્યો. આમ કરવામાં એ ઘણો થાકી ગયો પણ એણે બૂમો પડવાનું બંધ ન કર્યું.
હવે તો અંધારું થઇ ગયું હતું અને થોડો થોડો વરસાદ પણ ચાલુ થઇ ગયો હતો. એવા સમયે કોઈ ત્યાંથી નીકળે એવી શક્યતા બહુ ઓછી હતી. પણ સોનુએ આશા ન છોડી. એણે હતું કે જે થવાનું હોય એ થશે, પણ હું પ્રયત્ન તો ચાલુ જ રાખીશ. એણે ‘બચાવો બચાવો’ ની બૂમો પડવાનું ચાલુ જ રાખ્યું.
હવે બન્યું એવું કે શાહપુરના બે માણસો – અંબાલાલ અને સોમાભાઈ, એ દિવસે શહેરમાં થોડી ખરીદી કરવા ગયા હતાં. ખરીદી કરવામાં સમયનો ખ્યાલ ન રહ્યો. એટલે એમને પણ પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું. વરસાદમાં ફસાઈ ન જવાય એટલે આમ તો એ લોકો બને એટલી ઝડપથી ગાડી ચલાવતાં હતા. પણ થયું એવું કે આ કૂવા પાસે આવીને જ એમની મોટરમાં પંક્ચર પડ્યું. પંક્ચરને જોવા એ લોકો નીચે ઊતર્યા અને ત્યાં જ એમના કાને ‘બચાવો, બચાવો’ એવા શબ્દો પડ્યા. અવાજ એટલો ધીમો હતો કે પહેલાં તો એમને લાગ્યું કે આ એમનો ભ્રમ હશે. પણ ધ્યાનથી સાંભળતા લાગ્યું કે ખરેખર કોઈ મુશ્કેલીમાં છે જ.
અંબાલાલ અને સોમાભાઈએ આજુબાજુ જોયું. કોઈ દેખાયું નહિ. એ લોકોએ પૈડું બદલવાનું ચાલુ કર્યું. ફરીથી પેલો અવાજ સંભળાયો. એટલે એ અવાજને શોધતાં શોધતાં એ લોકો પેલા કૂવા પાસે ગયાં અને અંદર ડોકિયું કર્યું. પોતાના મોબાઈલની લાઈટ ચાલુ કરીને એમણે ધ્યાનથી અંદર જોયું.
‘અરે, આની અંદર તો કોઈ પડી ગયું છે !’ સોમાભાઈએ કહ્યું.
ઉપરથી કોઈનો અવાજ આવતો સાંભળીને સોનુએ એક હાથ એમના તરફ હલાવ્યો. હવે એ પણ બહુ જ થાકી ગયો હતો. અંબાલાલ તરત જ ગાડીમાં રાખેલું દોરડું લઇ આવ્યા અને કૂવામાં ફેંક્યું. ત્યાં સુધીમાં મોનુ તો લગભગ બેભાન જેવો જ થઇ ગયો હતો. સોનુને એને પહેલા ઉપર મોકલ્યો અને પછી પોતે પણ ફેંકેલા દોરડાને લટકીને ઉપર આવી ગયો. મોનુના પેટમાં થોડું પાણી જતું રહ્યું હતું. એ લોકોએ એને ઊંધો કરીને એ પાણી બહાર કાઢી નાખ્યું. બંને છોકરાઓ અંબાલાલની ગાડીમાં બેસીને ઘેર પહોંચી ગયાં.
બીજે દિવસે મોનુએ સોનુને કહ્યું, ‘આભાર દોસ્ત. તારી વાત માનીને હું તરવાનો પ્રયત્ન કરતો રહ્યો એટલે જ બચી શક્યો. તેં પણ મારી જેમ નિરાશ થઈને જો બૂમો પડવાનું બંધ કરી દીધું હોત તો આપણને કોઈ બચાવવા ના આવત. અને આપણે કૂવામાં ડૂબી જ જાત.’
સોનુએ કીધું, ‘એટલે જ હું હમેશા તને કહેતો હોઉં છું કે નિરાશાવાદી નહીં બનવાનું. પ્રયત્ન કરવાનો તો બંધ ન જ કરાય.’
એ પછી મોનુ પણ સોનુની જેમ પ્રયત્નમાં વિશ્વાસ રાખવાવાળો બની ગયો છે. હવે એ ગમે તેવા મુશ્કેલ સંજોગોમાં નિરાશ થઈને પ્રયત્ન કરવાનું છોડી દેતો નથી.
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
-
સ્મૃતિઓ પર માલિકી કોની? વ્યક્તિની કે સત્તાતંત્રની?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
દરેક રાષ્ટ્રના ભૂતકાળમાં એવી ઘટનાઓ હોય છે, જેના માટે તેને ગૌરવ અનુભવાય; અને એવી પણ હોય છે, જેના માટે ગ્લાનિ અનુભવાય. ગૌરવ અનુભવવું સહેલું હોય છે, પણ ગ્લાનિયુક્ત ઈતિહાસ શી રીતે જીરવવો? તેને કેમે કરીને ઢાંકી શકાતો નથી. જેમ કે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીનો નાઝી ભૂતકાળ કે દક્ષિણ આફ્રિકાના કલંક જેવો રંગભેદનો ઈતિહાસ. આવા કલંકિત કે શરમયુક્ત ઈતિહાસમાં વર્તમાન પેઢીનું કશું પ્રદાન નથી હોતું, પણ એવા સવાલનો વારંવાર સામનો કરવાનો આવે છે કે પોતાના દેશના એ શરમજનક ઈતિહાસનું કરવું શું? તેને ખુલ્લા મને સ્વીકારવો, તેની ચર્ચા કરવી કે પછી તેની પર ઢાંકપિછોડો કરીને તેને વિસરાવી દેવો? જે તે રાષ્ટ્રની વૈચારિક પરિપક્વતા કેવી છે એ તેના આ બાબત પ્રત્યેના અભિગમથી સ્પષ્ટ થાય છે.
ભારતમાં પણ ઇતિહાસ અંગેની ચર્ચાઓ અવારનવાર ઊભી થતી રહે છે. પાઠ્યપુસ્તકોમાં ફેરફાર, કયા શાસકને કેટલું સ્થાન મળવું જોઈએ, કઈ ઘટનાનું અર્થઘટન કેવી રીતે કરવું, વગેરે બાબતો અવારનવાર પ્રસાર માધ્યમોમાં ચમકે છે. અલબત્ત, એક વાત સ્પષ્ટ છે કે જે ઇતિહાસની ખુલ્લી ચર્ચા થતી નથી, તે ઇતિહાસ અદૃશ્ય થતો નથી; પણ જાહેર જીવનમાંથી ખાનગી સ્મૃતિઓમાં જતો રહે છે.
આ સંદર્ભે ચીનમાં બનેલી એક ઘટના વિચારવા જેવી છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, ઉત્પાદન અને અર્થતંત્રમાં સમસ્ત વિશ્વને આશ્ચર્યચકિત કરનાર આ દેશ પોતાના ભૂતકાળના એક અધ્યાય અંગે આજે પણ અસ્વસ્થતા અનુભવે છે એ જાણીને આપણને આશ્ચર્ય થયા વિના રહે નહીં. ચીનના ભૂતકાળનો એ અધ્યાય એટલે ચીનના સર્વોચ્ચ નેતા માઓ ઝે દોંગના નેતૃત્ત્વમાં ૧૯૬૬માં આરંભાયેલી ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ તરીકે ઓળખાવાયેલી ઘટના, જેણે આ વર્ષે છ દાયકા પૂરા કર્યા. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ જેવું સત્તાવાર નામ ધરાવતી આ ચળવળની સૌથી મોટી કિંમત સંસ્કૃતિએ જ ચૂકવવી પડી હતી. વિચારધારાની શુદ્ધિના નામે શરૂ થયેલું આ અભિયાન જોતજોતાંમાં સામાજિક ઉન્માદમાં ફેરવાઈ ગયું. લાખો લોકોનાં જીવનમાં ઊથલપાથલ થઈ ગઈ. શિક્ષકોને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા, વિદ્વાનોને શ્રમશિબિરોમાં મોકલવામાં આવ્યા, કલાકારો અને લેખકોને શંકાની નજરે જોવામાં આવ્યા. પુસ્તકોનો નાશ થયો, પરંપરાઓને પ્રતિક્રિયાવાદી ગણવામાં આવી અને વ્યક્તિનું મૂલ્ય તેના વિચારોથી નહીં, તેની રાજકીય વફાદારીથી નક્કી થવા લાગ્યું. આ ચળવળમાં વીસેક લાખ લોકો મૃત્યુ પામ્યા કે આત્મહત્યા કરવા મજબૂર બન્યા. આજે પણ તેની સ્મૃતિઓ ભૂંસાઈ નથી.
૧૯૭૬માં માઓના મૃત્યુ પછી ધીમે ધીમે ચીનમાં પરિવર્તન શરૂ થયું. અર્થવ્યવસ્થા ખુલ્લી થઈ. વિશ્વ સાથેના સંબંધો વધ્યા. નવી પેઢી ઊભી થઈ. પણ પેલી સાંસ્કૃતિક ક્રાંતિનું શું? સરકારે તેને ભૂલ ગણાવી ખરી, પરંતુ તેના વિશે કેટલું બોલી શકાય, શું લખી શકાય અને કઈ રીતે યાદ કરી શકાય તેની મર્યાદા આજે પણ રાજ્યસત્તા નક્કી કરે છે.
એ શી રીતે? અમેરિકામાં વસતા સિત્તેર વર્ષના ચીની શિલ્પકાર ગાઓ ઝેન ૨૦૨૪માં ચીનની મુલાકાતે આવ્યા કે તેમની ધરપકડ કરી લેવામાં આવી. તેમની પર ‘રાષ્ટ્રીય નાયકો અને શહીદોની બદનામી’નો આરોપ મૂકવામાં આવ્યો. કારણ? આ શિલ્પકારે ભૂતકાળમાં એવાં શિલ્પો બનાવેલાં, જેમાં માઓનું વ્યંગ્યાત્મક નિરુપણ હતું. વક્રતા એ છે કે તેમણે પોતાની કૃતિઓ સર્જી ત્યારે આવો કોઈ કાનૂન અસ્તિત્ત્વમાં નહોતો. આ કલાકારના પિતા સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન અત્યાચારનો ભોગ બન્યા હતા. ચીનનો આ ઈતિહાસ તેમના માટે એક પારિવારિક જખમ હતો. એથી વધુ વક્રતા એ છે કે વર્તમાન પ્રમુખ શી જીન પિંગના પિતાએ પણ આ ક્રાંતિમાં ઘણું વેઠ્યું હતું.

ગાઓ ઝેનનું શિલ્પ – Execution of Christ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીઆ ઘટનાનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન કાનૂની છે. કોઈ પણ કલાકારને એવા કૃત્ય માટે કાનૂની સજા કરી શકાય ખરી કે જે એ કૃત્ય થયું ત્યારે અસ્તિત્ત્વમાં જ નહોતો? અને આ કૃત્ય કંઈ વિધ્વંસાત્મક નહીં, પણ શિલ્પ જેવું સર્જનાત્મક હોય ત્યારે તો ખાસ! સીધી અને સાદી વાત એટલી છે કે કાયદો ભૂતકાળને પોતાની અનુકૂળતા મુજબ બદલવા લાગે, તો તે ન્યાયનું નહીં, પણ સત્તાનું સાધન બની જાય છે.
કળાની ખાસિયત એ છે કે સત્તાવાર દસ્તાવેજો કરતાં કળા દ્વારા વ્યક્ત થતા સત્યની અનુભૂતિ અને ઊંડાણ અનેક ગણાં વધુ હોય છે. ઇતિહાસકાર આંકડા કે તથ્યો મૂકીને ઘટનાનો હિસાબ આપે છે; જ્યારે કલાકાર ઈતિહાસના ઘાની અનુભૂતિ કરાવે છે. સરમુખત્યારો હોય કે લોકશાહીમાં શાસન કરતા સરમુખત્યારશાહી માનસ ધરાવતા શાસકો હોય, તેમને પુસ્તકો, કાર્ટૂન કે તથ્ય ઉજાગર કરતાં માધ્યમો કે લોકો નાપસંદ હોય છે.
ગાઓ ઝેન્ગને હજી કશી સજા ફરમાવાઈ નથી, પણ તેઓ હજી કેદમાં જ છે. તેમને મુક્ત કરવા માટે માંગ થઈ રહી છે. મૂળ સવાલ એ છે કે શું રાજ્ય પોતાના નાગરિકોને શું યાદ રાખવું અને શું ભૂલી જવું તેની ફરજ પાડી શકે? સ્મૃતિ પર અધિકાર કોનો? રાજ્યનો કે સમાજનો? લોકોના અનુભવ અને સ્મૃતિને કાયદાથી નિયંત્રિત કરી શકાય ખરાં?
એમ માનવાની જરૂર નથી કે આ સવાલ કેવળ એક કલાકારની સ્વતંત્રતાનો છે. આજે નિશાન પર એક કલાકાર છે; આવતી કાલે કોઈ ઇતિહાસકાર, લેખક કે સામાન્ય નાગરિક પણ હોઈ શકે. કારણ કે પોતાના નાગરિકોને શું યાદ રાખવું અને શું ભૂલી જવું તે રાજ્ય નક્કી કરવા લાગે, ત્યારે પ્રશ્ન એક વ્યક્તિ પૂરતો રહેતો નથી; સમગ્ર સમાજની વિચારશક્તિનો બની જાય છે.
શું ચીન કે શું ભારત, મૂળ વાત એ છે કે દરેક સમાજ પોતાના ગૌરવને હોંશે હોંશે અપનાવી લે છે, પણ તેની સાચી કસોટી એ છે કે તે પોતાની ગ્લાનિ સાથે કેવી રીતે જીવે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
અબ્દુલચાચા
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

લગભગ ૬૦ ઉપરાંત વર્ષ પછી અબ્દુલચાચાના દીકરા ફરીદભાઈનો સંપર્ક થયો, તે પણ ફોન પર. મારું અને ગામનું નામ આપીને મેં પૂછ્યું કે મને ઓળખો છો? જવાબમાં તેમણે કહ્યું. “કેમ ના ઓળખું ? તું વિજુકાકાનો બીજા નંબરનો દીકરો. તને જનોઇ દીધી અને બડવો દોડાવ્યો હતો એ બધું જ મને યાદ છે” આ ઉપરાંત બાળપણના બીજા સ્મરણોની વાત થઈ અને હું એ ૬૦ વર્ષ પહેલાનાં એ દિવસોમાં સરી પડ્યો.
એ સમયે મારી ઉંમર છ સાત વર્ષની. આઝાદી આવ્યાને દશકો પૂરો થવા આવ્યો હતો. છતાં લોકોમાં રાષ્ટ્રીય પર્વો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણીનો ઉત્સાહ ઓસર્યો ન હતો. તેં દિવસે શાળાઓમાં ધ્વજવંદન થતા અને ત્યાર પછી પ્રભાતફેરી પણ કાઢવામાં આવતી. મારા ગામ ધોlલેરામાં પ્રભાતફેરીના છેલ્લો મુકામ ગામનું પોલીસ સ્ટેશન હતું. ત્યાં કરવામાં આવતા ધ્વજવંદનમાં પોલીસ કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગામના આગેવાનો પણ જોડાતા.
આઝાદીના આ ઉલ્લાસ છતાં દેશના ભાગલા સમયે સાંભળેલી કોમી રમખાણોની વાતો લોકોના માનસમાં તાજી હતી. બધા ગામડાંઓની જેમ અમારા ગામમાં પણ કોમી સંવાદિતા ભલે જળવાઇ રહી હોય, પરંતુ સદીઓ પુરાણો મુસ્લિમો પ્રત્યેનો પૂર્વગ્રહ તો હાજર જ હતો. આજુબાજુના લોકોની વાત પરથી મુસલમાન એટલે માંસમટન ખાનારા અને દયા વિનાના ક્રુર એવો જ ખ્યાલ હતો. અફવાઓ એવી સાંભળવામાં આવતી કે મોટા શહેરોમાં મુસલમાનો છરો લઈને જ ફરતા હોય છે અને રસ્તા પર પસાર થતા દરેક જણને પૂછે કે હિંદુ કે મુસલમાન? જો જવાબમાં હિંદુ કહેવામાં આવે તો તરત જ છરો મારી દેવામાં આવે છે!
પરંતુ એક દિવસે જ્યારે મારી જાણમાં આવ્યું કે ‘અબ્દુલ’ નામ મુસલમાનનું હોય છે ત્યારે મને તીવ્ર આઘાત લાગ્યો. હું માની જ ન શકું કે મારી શેરીમાં જ રહેતા અબ્દુલચાચા મુસલમાન છે. પછી મોટેરાઓને પૂછતા તેમણે પણ કહ્યું કે ચાચા ખરેખર મુસલમાન છે. પરંતુ મારા માનસમાં ગોઠવવમાં આવેલી મુસલમાનની છબીમાં અબ્દુલચાચા બંધબેસતા ન હતા
ચાચા ધોલેરાની પોસ્ટ ઓફિસમાં ટપાલી હતા. મેં તેમને ક્યારેય પણ ટપાલીના ખાખી યુનિફોર્મ વિના જોયાનું યાદ નથી. ગામમાં તેમનાથી નાના હોય કે મોટા દરેક તેમને ચાચા કહીને જ બોલાવતા. અમારી શેરીમાં જ તેઓ સ્વામિનારાયણ મંદિરનાં એક મકાનમાં ભાડે રહેતા! (આ વાક્યને અંતે આશ્ચર્ય વિરામ એટલા માટે મૂક્યું છે કે મંદિરમસ્જિદના ઝઘડામાં જ ઉછરેલી આજની પેઢી કેવી રીતે માને કે કોઇ મંદિરનું મકાન એક મુસલામાનને ભાડે આપી શકાય?)
ચાચાને બે દીકરા. મોટા દીકરાનું નામ મહમદ અને નાનાનું નામ ફરીદ. આ ઉપરાંત ચાર દીકરીઓ પણ હતી. મહમદભાઈનો ખાસ પરિચય નહિ પણ મારાથી એક વર્ષ આગળ ભણતા ફરીદભાઈનો ખાસ્સો એવો પરિચય. સાથે રમતા અને હોળી ધૂળેટીમાં તો ફરીદભાઈ અમારી શેરીના છોકરાઓના આગેવાન રહેતા. પરંતુ જ્યારે મોજ આવે ત્યારે “ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રેન કહાં તુ સોવત હે” એ કવિતા ગાવા લાગે. તે વખતના તેમના ચહેરા પરના ભાવ આજે પણ મને યાદ છે.
પરંતુ મારે વાત તો કરવી છે અબદુલચાચાની. ચાચાએ સતત બત્રીસ વર્ષ ધોલેરામાં જ ટપાલી તરીકે નોકરી કરી. નોકરી પણ એ રીતે કરી કે ગામના અબાલવૃદ્ધ સૌનાં હૃદયમાં વસી ગયા. સવારે દસ વાગ્યાથી જ ચાચાની કામગીરી શરૂ થાય અને અગિયાર વાગ્યાની બસ ટપાલ લઈને ધંધુકાથી આવે તે પહેલા જ બસ સ્ટેન્ડે પહોંચી ગયા હોય ને બસ આવે ત્યારે બસમાંથી ટપાલનો ભારે થેલો ઉતાર્યા પછી ઊંચકીને પોસ્ટ ઓફિસે પહોંચી જાય. પહોંચ્યા પછી તરત જ ટપાલનાં સોર્ટિંગમાં લાગી જાય. બપોરના દોઢબે વાગવાનો સમય થાય ત્યારે આગલા દિવસથી આવેલી ટપલો એક્ઠી કરીને થેલામાં પેક કરીને અઢી વાગ્યની બસમાં ચડાવી દે. ત્યાર બાદ ટપાલોના સોર્ટિંગનું અધુરું કામ પૂરું કરે ત્યાં તો સમય થાય વિન્ડો ડોલિવરીનો.
જેમણે પણ ધૂમકેતુની ‘પોસ્ટઓફિસ’ વાર્તા વાંચી હશે તેમને ‘ વિન્ડો ડિલવરી’ નો ખ્યાલ હશે જ. અહીં ટપાલ લેવા કોઈ કોચમેન અલીડોસા આવતા નહિ, પરંતુ કદાચ આવ્યા હોત તો તેમની મજાક ન થઈ હોત. ચાચા એમને પ્રેમથી પોસ્ટ ઓફિસની અંદર બોલાવીને કહેતા, “મારું મન કહે છે કે આપની મરિયમ કુશળ છે. તેનો પત્ર આવશે તો હું તરત જ આપના ઘરે આવીને પહોંચાડી દઈશ.”
વિન્ડો ડિલિવરીના સમય પહેલા જ પોસ્ટ ઓફિસે પહોંચી ગયેલા કેટલાક દુકાનદારો કે તેમના ગુમાસ્તાઓ, શાળા અને સરાકારી ઓફિસોના પટાવાળાઓ વગેરે પોસ્ટ ઓફિસની બહાર આવેલા ઓટલા પર અને તેની આજુબાજુ ટોળે વળીને વાતો કરતા કે અંદરોઅંદર મજાક મશ્કરી કરતા. એ સમયે જો અંદર ટકટક કરતું તારનું મશીન કોઈ તાર ઉતારતું હોય તો તારમાસ્તરને ખલેલ પહોંચવાની શકયતા ઊભી થાય. આ સમયે ચાચા ઓફિસની બહાર આવી જાય. તેમને બહાર આવેલા જોતાની સાથે જે શાંતિ પથરાઈ જતી એમાં ચાચા પ્રત્યેનાં સન્માનનો પ્રભાવ જણાઇ આવતો.
વિન્ડો ડિલિવરીનો દોર શરૂ થાય ત્યારે વેપારી પેઢીના માણસો પેઢીના નામો અને ઓફિસોના પટાવાળાઓ ઓફિસના નામો બોલવા લાગે જો તેમની ટપાલ હોય તો ચાચા રાજીપાના ભાવ સાથે છેએએએ..એમ લંબાણથી બોલે અને જો ન તો હોય તો દિલગીરીના ભાવ સાથે નથીઇઇઇ….એમ લંબાવીને જવાબ આપે.
આ પછી જ્યારે ચાચા ગામમાં ટપાલ વહેંચવા નીકળે ત્યારે અમે નિશાળેથી છૂટીને દક્તર(અમે દફ્તરને દક્તર જ કહેતા) ઘરમાં ફેંકીને તરત જ શેરીમાં રમવા નીકળી પડેલા હોઇએ. ચાચાને જોઈને દરેક છોકરો પૂછે ”અમારી ટપાલ છે?” “અમારી ટપાલ છે?” ચાચા દરેકે દરેકને એક સરખો પ્રેમપૂર્વક જવાબ આપે “નથી બાબા”. અમને ટપાલમાં તો કોઇ રસ નહોતો, પરંતુ ચાચા પ્રેમપૂર્વક જે ‘નથી બાબા’ બોલતા એ સાંભળવામાં આનંદ આવતો.
ચાચા કદી કોઈનાં ઘરમાં ટપાલ ફેંકીને જતા ન રહે, પરંતુ તેના નામની બૂમ પાડે અને ઘરમાંથી કોઇ ટપાલ લેવા આવે તો તેના હાથમાં આપે. અને જો ઘેર કોઈ ન હોય તો જ ટપાલ ઘરમાં નાખે.
ટપાલ વહેંચવા નીકળે ત્યારે તેમની એકસરખી ચાલમાં અવરોધ ત્યારે જ આવતો જ્યારે તેઓ રસ્તા પર કોઇ પથ્થર કે ઇંટને જુએ. એ જોતાવેંત જ કોઇને ઠેસ ન વાગે તેવી જગ્યાએ પથ્થર કે ઇંટને બાજુ પર મૂકી દેતા તેમને ગામલોકોએ અનેકવાર જોયા છે. એ જ રીતે ગામની બજારમાં નીકળે ત્યારે કોઇ વેપારી તેમને કહે કે ચાચા આ વસ્તુ મારા ઘરે પહોંચાડી દેશો તો ચાચા જરા પણ આનાકાની વિના તે વસ્તુ લઈને જે તે શેરીમાં ટપાલ વહેંચવા જાય ત્યારે ચીવટપૂર્વક પહોંચાડી આપે.
ચાચાને મેં કોઇની સાથે વાતો કરતા કદી જોયા નથી, પરંતુ તેઓ ગામના અબાલવૃદ્ધ સૌને ઓળખે. એ સમયે વોટ્સેપ ન હતું. આથી કોઇ દીકરીનું નવું નવું સગપણ થયું હોય ત્યારે મૂરતિયા તરફથી સંદેશો પહોચાડવાનું સાધન તો ટપાલનું પરબિડીયું જ હતું. ચાચા કોઇ પરબિડીયા પરના સરનામામાં દીકરીનું નામ જુએ તો તેમને ખ્યાલ આવી જાય કે આ દીકરીનું તાજેતરમાં સગપણ થયું હશે. એ સમય એવો હતો કે જો ઘરની વડીલ વ્યક્તિના દેખતા એ દીકરીને ટપાલ આપે તો દીકરીઓ ખૂબ શરમ અને સંકોચ અનુભવતી. ચાચા આ બાબતનો બરાબર ખ્યાલ રાખીને દીકરી એકલી હોય ત્યારે જ ટપાલ આપે અથવા તેની બહેનપણી કે ભાભીને એ ટપાલ દીકરીને પહોંચાડવા આપે! આજે 70 વર્ષથી ઉપરની ઉંમરની ધોલેરાની કોઇપણ દીકરીને અબ્દુલચાચા વિશે પૂછો તો તેઓ ચાચાને સૌ પ્રથમ આ પ્રકારે જ યાદ કરશે.
અવસાનનો તાર કે અશુભ લખેલો કાગળ કોઇના પર આવ્યો તો ચાચા કદી જે તે વ્યક્તિને ન આપે, પરંતુ પડોશી કે ખાસ સબંધીને આપે અને પછી જે તે પડોશી કે સબંધી મૂળ વ્યક્તિને ઓછામાં ઓછો આઘાત લાગે તે રીતે સમજાવીને આપે. આમ ચાચાને મન ટપાલ એ નિર્જીવ કાગળ ન હતો પણ તેમાં તેમને માણસનો ચહેરો દેખાતો.
ગામના લોકોનો તો ચાચા પ્રત્યેનો આદર હતો જ ઉપરાંત પોસ્ટ ખાતાના ઉપરના અધિકારીઓ સુધી તેમની સુવાસ પહોંચેલી હોવાથી તેઓ પણ ચાચાને આદર આપતા. કોઈ પોસ્ટમાસ્તર બદલી થઈને નવાસવા આવે તો જરૂર જણાયે ચાચા તેમને ખૂબ વિનમ્રપણે માર્ગદર્શન આપતા.
તે વખતમાં દિવાળી ટાણે ટપાલીઓ દુકાને દુકાને અને ઘેરઘેર ફરીને દિવાળીની બોણી ઉઘરાવતા. બહોળો પરિવાર અને ટૂંકો પગાર છતાં અબ્દુલચાચાએ કદી પણ દિવાળીની કે બીજી કોઇ બોણી માટે હાથ લાંબો ન કર્યો.
વર્ષ આવ્યું ૧૯૭૧નું અને ગામલોકોને જાણ થઈ કે ચાચા નિવૃત થાય છે. સામાન્ય રીતે કોઇ ઓફિસનો કોઈ કર્મચારી નિવૃત થાય તો તેના સહકર્મચારીઓ નાનકડો વિદાય સમારંભ યોજીને સન્માનમાં કશીક ભેટ આપીને વિદાયમાન આપે.. પરંતુ અબ્દુલ ચાચાનો પોસ્ટમેન તરીકે નિવૃતિનો સમય થયો ત્યારે એક વેપારીએ ગામની બજારમાં મૂકાયેલા એક કાળા પાટિયા પર આ પ્રમાણે લખ્યું. “અબ્દુલચાચા નિવૃત થાય છે. જેમણે પણ તેમને ભેટ આપવી હોય તે મારી દુકાને રકમ આપીને પહોંચ લઈ લે. આ માટે કોઇનો વ્યક્તિગત સંપર્ક સાધવામાં નહિ આવે.” આમ છતાં ગામના વેપારીઓ નાનામોટા નોકરિયાતો સહિત અનેક લોકોએ પોતાની શક્તિ પ્રમાણે રકમ ક્યારેક તો લાઇનમાં ઊભા રહીને પણ આપી.
ચાચાનો વિદાય સન્માન સમારંભ ગામના સ્થાનકવાસી જૈન સંઘના એક સભાગૃહમાં યોજાયો. ખૂબ મોટી સંખ્યામાં ગામલોકોએ તેમાં હાજરી આપી એટલું જ નહિ અમદાવાદથી ખુદ પોસ્ટમાસ્તર જનરલ પણ હાજર રહ્યા. દૂરના એક અંતરિયાળ ગામના ટપાલીના વિદાય સમારંભમાં જિલ્લાનો પોસ્ટખાતાનો સૌથી વડો અધિકારી હાજરી આપે તે ઘટના પોસ્ટ ખાતાના ઇતિહાસમાં અભૂતપૂર્વ હતી. આના પરથી જ ચાચાની કામગીરી અને લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય. આ સમારંભમાં ગામના નાનામોટા વેપારી આગેવનો, નોકરિયાતો અને વિદ્યાર્થીએ પણ લાગણીસભર પ્રવચન કર્યા. ગામલોકો દ્વારા ઉઘરાવાયેલી ભેટ (તેને થેલી કહેવાતી) પોસ્ટમાસ્તરના હસ્તે ચાચાને અર્પણ કરવામાં આવી. થેલી અર્પણ કરતાની સાથે પોસ્ત માસ્તર જનરલે ચાચાને વંદન સાથે પોતાના વક્તવ્યમાં કહ્યું કે મારા હાથ કાયદાથી બંધાયેલા છે, નહિ તો હું ચાચાને ચોક્કસ એક્ષ્સ્ટેન્શન આપતો.
ચાચા પોતાના કામ અને ધોલેરા ગામ સાથે એટલા ઓતપ્રોત થયેલા કે ગામલોકોને ધોલેરા સિવાય ચાચાનું વતન બીજું હોઇ શકે એવી કલ્પના પણ ન હતી. પરંતુ નિવૃત થયા પછીના થોડા જ સમયમાં જ્યારે ચાચાએ પોતાના વતન જવાની તૈયારી કરી ત્યારે જ ઘણાખરાને જાણ થઈ કે ચાચાનું વતન તો પંચમહાલ જિલ્લાનું ઝાલોદ ગામ છે. ઝાલોદ જવા નીકળ્યા ત્યારે ગામના અનેક લોકો તેમને વળાવવા માટે આવ્યા અને તે સમયે જે લાગણીસભર દૃશ્ય સર્જાયું તે આજે પણ સ્મરણમાં છે.
ઝાલોદમાં અબ્દુલચાચાએ તેમના અવસાન સુધીનો નિવૃતિનો સમય પરિવાર સાથે ખૂબ શાંતિથી પસાર કર્યો. ફરીદભાઇએ કહ્યા મુજબ ચાચાના પરિવારના દીકરાદીકરીઓ, પૌત્રપૌત્રીઓ આજે ખૂબ જ સુખી છે. તેઓ આને તેમના પિતાશ્રી અબદુલચાચાનો પુણ્યપ્રતાપ કહે છે. એ જે પણ કાંઈ હોય, પરંતુ મને બાળપણમાં જે સમજાતું ન હતુ તે સમજાઈ ગયું કે ચાચા માત્ર મુસલમાન જ નહિ પરંતુ સાચા મુસલમાન હતા. કારણ કે ચાચા ખૂબ પ્રમાણિક, નીતિ પરાયણ, કર્તવ્યનિષ્ઠ, સ્વાશ્રયી અને નિર્વ્યસની એવા ખુદના બંદા હતા. જો કે તેમને નમાજ પઢવાની જરૂર ન હતી કારણ કે તેમની કાર્યનિષ્ઠા જ બંદગી હતી. છતાં આ અંગે ફરીદભાઇને પૂછતા તેમણે જણાવ્યું કે ચાચા નમાજ પણ પઢતા, પણ કામના સમયે નહિ પરંતુ રાત્રે બધા જ પ્રહરની નમાજ સાથે પઢતા.
( ચાચાના પૌત્ર ઈબ્રાહીમભાઈ પાસે મેં ચાચાની તસવીરની માંગણી કરી તો તેમણે સત્વરે મોકલી આપી. એ તસવીર ઘણી જૂની છે અને સ્પષ્ટ જોઇ શકાતી નથી. તેથી એ સાથે AIની મદદથી મૂળ તસવીરની સાથે બીજી સ્પષ્ટ જોઇ શકાય તેવી તસવીર પણ મૂકી છે. ઇબ્રાહીમભાઈનો ખૂબ આભાર. સાથે ચાચા વિશેના મારા સ્મરણોની ખરાઇ કરવા બાબતે ફરીદભાઈ અને ધોલેરા ગામના અનેક વડીલોનો આભાર માનું છું.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઊર્ધ્વ ચેતનાનાં આરોહી : માતાજી [૧]
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
ભારતના મહાન જ્ઞાનપુરુષ શંકરાચાર્યે મનુષ્યનાં ત્રણ પ્રકારનાં ભાગ્ય ગણાવ્યાં છેઃ
दुर्लभं त्रयमेवैतत् देवानुग्रहहेतुकम् ।
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः॥અર્થાત્ મનુષ્યત્વ, મુક્તિ માટેની ઉત્કટ અભિલાષા અને કોઈ મહાત્માનો આશ્રય પ્રાપ્ત થવો – આ ત્રણેય દુષ્પ્રાપ્ય જ છે. અને જ્યાં પણ તે જોવા મળે છે, ત્યાં સમજવું જોઇએ કે એ કેવળ ઈશ્વરની કૃપાના કારણે છે.
મનુષ્યને જ ઇચ્છાઓ જાગતી હોય છે. તેને પૂરી કરવાની આવડત પણ તેનામાં જાગી જતી હોય છે. પણ આ ઇચ્છાઓ સામાન્યત: વાસનાની કોટિએ જ રહી જતી હોય છે. ધનપ્રાપ્તિ, કીર્તિ, દરજ્જો જેવી ભૌતિક ઇચ્છાઓમાં જ અટવાયેલો મનુષ્ય જીવનનું ઊર્ધીકરણ કરવાને માટે ખાસ ઇચ્છુક હોતો નથી. હજારોમાં કોઈ એકાદને જ આવી ઇચ્છા જાગે છે. કોઈક તત્ત્વની શોધ, જેનાથી પોતે છૂટો પડી ગયો છે એ અનંત તત્ત્વની અભીપ્સા માની લઈએ કે જાગે છે ત્યારે પણ આ થઈ રહ્યું છે તેની એવા લોકોને સમજ પડતી નથી. એ સમજ ત્યારે જ પડે છે જ્યારે એ અનંત તત્ત્વને પામીને બેઠેલું કોઈ નીવડેલું વ્યક્તિત્વ આ અભીપ્સુ આત્માનો હાથ પકડીને તેને યોગ્ય માર્ગે દોરે. સદ્ભાગ્યનાં આ ત્રણ પગથિયાં છે. ત્રણેયમાં ક્રમ ચઢતો ચઢતો અંતે પરાકાષ્ઠાને પામે છે. મુક્તિ માટેની અભિલાષા ને મહાપુરુષનો સંશ્રય અચાનક જ ઘટી કે છટકી પણ જતો હોય છે. તેને માટે કરવામાં આવત અપ્રયત્નોથી એ હાથ લાગતો નથી હોતો. આથી જ આચાર્ય શંકર જેવી તાર્કિક વ્યક્તિ એમાં એમાં ઈશ્વરનો અનુગ્રહ જુએ છે. આ ઘટનાઓ દેશ-કાળથી પર છે કેમકે વિરાટ સ્વરૂપે સ્વરૂપે ફેલાયેલું ચૈતન્ય ક્યારે, ક્યાંથી પ્રગટે એ કહેવું મુશ્કેલ હોય છે. આ ત્રણેય વસ્તુઓનું સંયોજન થઈ જતું હોય છે. બહારથી એ અચાનક છે પણ આતરિક રીતે જોતાં ધીમે ધીમે એની ભૂમિકા રચાતી જતી હોય છે.
ભારત દેશ અને હિન્દુ ધર્મ આમ તો સતત પરદેશી પ્રજાઓથી સતત દબાયેલા જણાય હે. પણ ભારતની આધ્યાત્મિક ખોજ અટલી તો પ્રબળ ઊણ્ચાઇ પર રહેલી છે કે કે જગતભરમાં લોકો ભારતીય ચિંતનનાં વૈચારિક ઉંડાણથી આકર્ષાયાં છે. તે માંયે ખાસ કરીને પાશ્ચાત્ય દેશોની મહિલાઓને ભારતીય ચિંતન વધારે આક્ર્ષી ગયું છે. ત્યાં સુધી કે આ મહિલાઓએ પોતાનાં સુખી જીવન ત્યાગીને ભારતને પોતાની સાધનાભૂમિ તેમ જ કર્મભૂમિ તરીક પસંદ કરીને ભારતીય થવામં શાંતિ અને ગૌરવ અનુભવ્યાં છે. સિસ્ટર નિવેદિતા, મેડલીન સ્લેડ, શ્રી માતાજી, એની બેસંન્ટ, સોફિયા વાડિયા વગેરે જેવી મહાન મહિલાઓએ ભારતને ભૂમિ બનાવીને, આત્મકલ્યાણનું માધ્યમ બનાવ્યું. આ સ્ત્રીઓની આ પ્રકારની નિયતિ હતી, જેને આચાર્ય શંકરે ઈશ્વરકૃપા એવું નામ આપ્યું.આ સૌ મહિલાઓમાં માતાજીનું વ્યક્તિત્વ ઘણી રીતે જુદું પડે તેવું છે. નાનપણથી જ તેમના જીવનની આસપાસ રહસ્યનું આભામંડળ ફેલાયેલું છે. મેડલીન સ્લેડ કે માર્ગરેટ નોબલની જેમ તેમને કોઈ આધ્યાત્મિક બેચેનીમાંથી પસાર થવું પડ્યું નથી. એક પ્રકારની ઊંચાઈ સાથે જ તેમનો જન્મ થયો છે. આમ, તેમની આધ્યાત્મિકતા જન્મજાત છે.

બાલ્ય વયે – મીરા આલ્ફાસ્સા મીરા આલ્ફાસ્સા તરીકે ઈ.સ. ૧૮૭૮ની ફેબ્રુઆરીની ૨૧ તારીખે જન્મેલાં માતાજીના પિતા ધનવાન બેન્કર હતા. બાલ્યાવસ્થામાં તેમને ખૂબ જ સુખ-સાધનો સાંપડેલાં. પાંચમા વર્ષથી જ તેમનું રહસ્યમય (mystic) વ્યક્તિત્વ જુદું તરી આવતું. તેમને માટે બનાવેલી ખુરશીમાં બેસીને તેઓ ઊંડા ધ્યાનમાં ઊતરી જતાં. તેમની ગંભીરતા તેમની ઉંમરને માટે યોગ્ય નહોતી. આથી તેમનાં બુદ્ધિવાદી માતા અકળાઈને તેમને પૂછતાં, “અરે, તું આવું ભારેખમ મોઢું કરીને કેમ બેસે છે ? શું આખી દુનિયાનો ભાર તારા ઉપર છે ?’ ત્યારે નાની મીરાં કહેતી : ‘હા, આખી દુનિયાનું દુ:ખ મારા પર ઊતરી રહ્યું હોય તેવું મને જણાય છે.’
ચેતનાની આ વિશાળતા મીરાએ બાળપણથી જ અનુભવી. તેમની અંદર રહેલો પ્રજ્ઞાપ્રકાશ જીવનભર તેમને દોરતો રહ્યો. તેઓ નોંધે છે તેમ : “હુ પાંચ વર્ષની હતી પરથી માંડીને પૃથ્વી ઉપરનાં મારાં છેલ્લાં ૮૬ વર્ષ દરમિયાન હું એને હંમેશા જોતી રહી છું. મારું જીવન મેં એ પ્રમાણે ગાળેલું છે, એ મારો માર્ગદર્શક પ્રકાશ રહેલો છે.’
આ વસ્તુ દર્શાવે છે તેમ માતાજીને નાનપણથી જ એક પ્રકારનુ આત્મદર્શન પ્રાપ્ત થયેલું છે. તે માટે તેમને કોઈ ગુરુની જરૂર પડી નથી. આ પ્રકારના દર્શનનો લાભ દુનિયાને કઈ રીતે આપવો તેના આયોજન માટે જ જીવનમાં બે ગુરુજનો, શ્રી થેયાઁ અને મહર્ષ અરવિંદ,નું આગમન થયેલું છે. પણ એક રીતે જોતાં આ બન્ને મહાપુરુષો માતાજીના સમાનધર્મા જ છે. માતાજી એ બન્નેની મદદ લઈને પોતા ઉપર ઉતરી આવેલા દુનિયાના દુઃખોને હળવું કરવાનો જીવનધર્મ બજાવેલો છે. આથી જ જીવનમાં શું કરવું જેથી આત્મકલ્યાણની સાથે સાથે લોકકલ્યાણ થાય એવો પશ્ન માતાજીને જાગ્યો નથી. કોઈક અસાધારણ શક્તિને લઈને તેઓ સિદ્ધ યોગિનીનાં સ્વરૂપમાં પ્રાદુર્ભાવ પામેલાં છે. તેમને સાંપડેલો પ્રકાશ તેમને ક્યાં લઈ જાય છે એ તેમણે તદ્દન તટસ્થ રહીને જોયું છે. જીવનનું કેન્દ્રબિંદુ પહેલેથી જ સુલભ બન્યું છે. એ બિન્દુએ તેમના જીવનપ્રવાહને જ્યાં જ્યાં વહેવડાવ્યો ત્યાં તેઓ વહ્યાં. તેમનું આ વહેવું સૌને માટે કલ્યાણપ્રદ બન્યું. આ ઘટનાને ચમત્કાર પણ કહી શકાય, સિદ્ધિ પણ કહી શકાય. તેમને પોતાને તો આ બધું એટલું સહજ લાગ્યું છે કે તેમણે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને ચમત્કાર તરીકે જોઈ પણ નથી, અને ઘટાવી પણ નથી. માત્ર અનાયાસે જે મળ્યું તેનો તેમણે પૂરો ઉપયોગ કરી લીધો છે.
માતાજીના આ વિશિષ્ટ ગુણલક્ષણોએ કરીને તેમનાં મિત્રવર્તુળે તેમનું નાં ‘સ્ફિંક્સ’ પાડેલું. આ ગ્રીક શબ્દનો અર્થ થાય છે રહાસ્યમયી રમણી તેમના વ્યક્તિતવં કંઇક એવું હતું જેનાથી સૌ કોઈ તેમના તરફ આકર્ષાતું હતું છતાં તેમને પામી શકતું નહોતું. ચાર વર્ષની બાળકી મીરા ધ્યાન ધરતી ! અનેક પ્રકારનાં તેજોવર્તુળનાં દર્શન કરતી. નિદ્રાવસ્થામાં અનેક ગુરુઓ પાસેથી માર્ગદર્શન પામતી ! ધ્યાનમાં એક વાર હિંદુ ધર્મના અવતાર શ્રીકૃષ્ણનાં દર્શન પણ કરેલાં. જોકે એ સમયે બાળકી મીરા એમના વિશે કશું જાણતી નહોતી. પાછળથી તેમની એ શોધ પુરી થયેલી. તેમને થયેલાં દર્શન સ્થળકાળથી પર હતાં કેમકે સમગ્ર માનવજાતનું કલ્યાણ એ જ એમનું ધ્યેય હતું. સ્થળ-કાળ-ચેતના પ્રત્યેની તેમની આ નિરપેક્ષતાએ કરીને એ જ વૃક્ષો સાથે,પ્રાણીચેતના સાથે ને અંતે મહાન ગુરુઓની ચેતના સાથે અદ્વૈત સાધ્યું.આ પરતી જણાય છે તેમ લોકકલ્યાણ જ તેમનો હેતુ નહોતો, પદાર્થમાત્રની ચેતના સાથે એકતા અનુભવવાની એમની મહેચ્છાએ તેમને પદાર્થમાત્રનાં કલ્યાણી બનાવ્યાં. પથ્થરમાં પણ પ્રાણતત્ત્વ રહેલું છે એવો સિદ્ધાંત જૈન ધર્મે તો પતીતિ સાથે આપેલો જ છે. એ સિદ્ધાંત પર માતાજીએ અનેક પ્રયોગો કર્યા.
જપાનમાં માતાજીને ચેરીના વૃક્ષ સાથે અદ્વૈત અનુભવાયું. એ ચેરીના વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલાં માતાજીએ પોતાનો અનુભવ નોંધતાં જણાવ્યુંઃ મેં જોયું કે વૃક્ષના પુષ્પ સાથે હું એકરૂપ બની રહી છું, પછી એ પુષ્પોની એકરૂપતાએ કારણે દ્વારા હું બધાં યે ચેરીનાં પુષ્પો સાથે એકરૂપ બનવા લાગી છું. અને પછી એક નીલરંગની શક્તિના પ્રવાહની પાછળ ચાલતાં ચાલતાં હું ચેતનામાં જેમ જેમ વધુ ઊંડે ઊતરતી ગઈ તેમ તેમ એકાએક ચેરી વૃક્ષ બની ગઈ… મનુષ્યના અને વૃક્ષના શરીર વચ્ચે શો ભેદ છે? વાસ્તવમાં કશો જ નહીં. બંગેની પાછળ ધબકી રહેલી ચેતના એક જ છે.’
વૃક્ષ પછી એક બિલાડી ઉપર પણ માતાજીએ તેની ચેતનાને અકાવાનો પ્રયોગ કરેલો. તેઓ આ અંગે નોંધે છે : ‘હું એક પ્રકારનો પ્રયોગ કરવા સારુ બિલાડીઓમાં રસ લેતી હતી. એને જો તમારે કહેવું હોય તો, એક પ્રકારની ઊલટી દિશામાંનો જન્માંતર કહી શકાય. એટલે કે મારે એ જોવું હતું કે પ્રાણીઓ જો તેમના હવે પછીના જન્મમાં માનવદેહમાં પ્રવેશવા માટે તૈયાર હોય તો એમનો પ્રાણી તરીકેનો છેલ્લો જન્મ હતો કે કેમ ! મારો પ્રયોગ સંપૂર્ણપણે સફળ થયેલો. મારી પાસે તદ્દન ખાતરીલાયક એવા ત્રણ દાખલાઓ બનેલા જેમાં તે પ્રાણીઓનો ચૈત્ય પુરુષ એટલા પ્રમાણમાં વિકસિત થયેલો હતો કે જેથી તેઓ માનવદેહમાં પ્રવેશી શકે.’
આ જ રીતે આગળ જઈને માતાજીએ ઇચ્છ્યું કે માનવીની ચેતનાનો વિકાસ થાય તો છેવટે મનુષ્ય-યોનિમાંથી પણ મુક્તિ મળે. મનુષ્ય-યોનિમાંથી મુક્તિ એટલે મૂળ સ્વરૂપ સાથેનું જોડાણ. માતાજી જેના માટે મથ્યાં તે તત્ત્વ આ હતું. આ પ્રકારની વાતો આજે પણ દરેકને ગ્રાહ્ય બને તેવી, સ્વાભાવિક રીતે જ ન હોય. એટલા માટે માતાજીએ પોતાનું દેખીતું સ્વરૂપ એક કલ્યાણની કામના કરતી સ્ત્રીનું, માતૃભાવે સૌને અનુકૂળ આવે એવું પથ્ય બનાવતી વ્યક્તિ તરીકેનું જ રાખ્યું. તેમને સમજયા હતા માત્ર મહર્ષિ અરવિંદ, જેમનાં દર્શન માતાજીએ બાલ્યાવસ્થામાં સ્વપ્નપ્રદેશમાં કરેલાં.
મહર્ષિ અરવિંદ સુધી પહોંચતાં પહેલાં સક્રિય આધ્યાત્મિકતા સિદ્ધ કરવા માટે માતાજીએ ગુહ્ય વિદ્યાનો પ્રદેશ ખેડ્યો. શરીરને, મનને મજબૂત કરવા માટે તેમણે સત્તાવીશ વર્ષની ઉમરે, ઈ.સ. ૧૯૦૫માં અલ્જેરિયામાં આવેલા ત્લેમએમ નગરમાં ગુહ્ય વિદ્યાના વિખ્યાત તજજ્ઞ એમ. થેયાઁ પાસે એ વિદ્યા શીખવા પ્રયાણ કર્યું. માતાજીના સ્વભાવ મુજબ આ વિદ્યામાં પણ ઊંડે સુધી જઈને તેમણે પ્રભુત્વ મેળવ્યું. શરીરમાંથી બહાર નીકળવું, દૂરથી વસ્તુઓને હલાવવી વગેરે જેવી બાબતો તેમને કરતાં આવડતી. પણ આ વિદ્યા તેમને માટે કંઈ પ્રદર્શનનો મુદ્દો નહોતી. તેમના ગુરુ શ્રી થેયાઁ તથા માતાજી પોતે પણ જાણતાં હતાં તેમ, આ પ્રકારનું જ્ઞાન માતાજીનું અંતિમ લક્ષ્ય નહોતું. તેમના ગુરુ ને ગુરુપત્નીને મતે એમની સાધનાની અંતિમ સિદ્ધિએ પહોંચાડવા માટે કોઈ બીજા ગુરુ તેમની રાહ જોતા હતા. ખુદ માતાજીને પણ ઈ.સ. ૧૯૦૭માં એવું જણાયેલું કે પોતે આ જગતમાં એક ઊર્ધ્વ પ્રકાશને નીચે લઈ આવવાને માટે અવતરેલાં છે.
જીવનની મહત્તમ સિદ્ધિ ચેતનાનું ઊર્ધ્વીકરણ કરવામાં રહેલી છે, ચમત્કાર કરવામાં નહિ એ વાતની ભેદરેખાને બરોબર પામી ચૂકેલાં માતાજીએ પોતાને મળેલી સિદ્ધિઓનું પણ અતિકમણ કર્યું અને નોંધ્યું : “… આપણે જેમ જેમ સત્યની નજીક જતાં જઈએ છીએ તેમ આપણને સર્વ પ્રકારના છળપ્રપંચ સામે, દંભ અને અસત્ય સામે રક્ષણ મળી આવે છે… અને એ રીતે જેને સાચી ગુહ્ય શક્તિ મળી આવેલી હોય છે તેને સાથે સાથે પોતાના આંતર સત્યના બળમાંથી દરેક રીતનાં જાદુ, કાળાં કે ઘોળા કે કોઈ પણ રંગના જાદુ નિર્મૂળ કરી દેવાની શક્તિ, એં સત્યનું માત્ર એક બિંદુ અડતાંવેત જ મળી આવે છે.’
માતાજીમાં રહેલી ગુહ્ય શક્તિનો તેમણે કોઈ ભેદભરમ જેવો, લોકોને આકર્ષતો ઉપયોગ ન કર્યો તેના મૂળમાં તેમનામાં રહેલી સત્યની શોધ ભણી આગળ ધપવાની અભીપ્સા હતી. સિદ્ધિ ને અધ્યાત્મ વચ્ચે આ પ્રકારની પરખ કરવાની શક્તિ યથાર્થ રૂપની આધ્યાત્મિક ચેતના ધરાવતી વ્યક્તિઓમાં જ હોય છે. આ પરખને કારણે જ માતાજીમાં રહેલો ચેતનાપ્રવાહ મહર્ષિ અરવિંદના ચેતનાપ્રવાહ સાથે સમન્વિત થઈ શક્યો. એમના ગુરુ શ્રી થેયાઁએ તેમનામાં પ્રેરેલી સમજ પણ તેમાં મોટા પ્રમાણમાં કારણભૂત બની. |
અધ્યાત્મજીવનમાં ઉત્તરોત્તર ઊંડાં ઊતરતાં માતાજીએ સંસાર વ્યવહાર ને અનરર્થ શોખોને પણ પોતાના જીવનમાં એક ઘટના તરીકે પ્રવેશ આપ્યો. ઓગણીસ વર્ષની વયે એન. મોરિસ્સે સાથે તેમનું લગ્ન થયું. પુત્ર આન્્દ્રેનો જન્મ પણ થયો. ઈ.સ. ૧૯૧૦ની આસપાસ મોરિસ્સે તેઓ છૂટાં પડ્યાં ને ફાન્સના જાણીતા અધ્યાત્મયાત્રી શ્રી પોલ રિશાર સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. બાળપણથી જ ચિત્ર, સંગીત – એ બે કલાઓમાં તેમને ખૂબ રસ હતો. આ બંનેમાં પારંગત બનીને રમતગમતના ક્ષેત્રમાં પણ રસ લીધો. આઠ વર્ષની ઉંમરે જ ટેનિસ પણ શીખેલાં ને સારા સારા ખેલાડીઓ સાથે રમેલાં. પણ જેમ ગુહ્ય વિદ્યા એ તેમનું અંતિમ લક્ષ્ય નહોતું તેમ આ બધું પણ તેમના માટે પ્રકીર્ણ બની રહ્યું. બીજો જ કોઈ અવાજ તેમને સંભળાઈ રહ્યો હતો.
તેમની ચેતના સતત એક પ્રકારનું આરોહણ અનુભવતી હતી. જે તેમની ઉંમરના પ્રમાણમાં ઘણું વધારે ઊંચું હતું. જોવાનું એ છે કે તેમને થતા વિવિધ અનુભવો તેમનામાં વિસ્મય જગવતા નહોતા પણ તેમને રાહ જોવાનું જ માત્ર યાદ કરાવતા હતા. તેઓએ નોંધ્યું છે : અગિયાર અને તેર વર્ષની વચ્ચે મને અનેક ચૈતસિક અને આધ્યાત્મિક અનુભૂતિઓ થતી રહેલી અને તેમાં મને જણાયેલું કે પ્રભુનું અસ્તિત્વ છે જ એટલું જ નહિ પણ મનુષ્ય પ્રભુને મળી શકે તેમ છે, ચેતનામાં અને ક્રિયામાં તેમને પૂર્ણ રીતે પ્રગટ કરી શકે છે, પૃથ્વી ઉપર એક દિવ્ય જીવનમાં તેમનો આવિર્ભાવ આપી શકે છે. મારું શરીર નિદ્રામાં હોય તે વખતે કેટલાક ગુરુઓ મને આ વસ્તુ સમજાવતા હતા તથા તેને સિદ્ધ કરવા માટેની વ્યવહારુ સાધના પણ શીખવતા હતા. એમાંના કેટલાકને તો મારે પછીથી સ્થૂળ ભૂમિકા ઉપર મળવાનું પણ બન્યું હતું. પછીથી આગળ જતાં, આંતરિક તેમ જ બાહ્ય વિકાસ થતો ગયો તેમ તેમ, આ ગુરૂઓમાંના એક ગુરુ સાથે મારો આધ્યાત્મિક તથા ચૈતસિક સંબંધ વધુ ને વધુ સ્પષ્ટ બનવા લાગ્યા અને અર્થસભર બની રહ્યો…’
ક્રમશઃ
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા – સપના વિજાપુરા : જિંદગીકા સફર [૨]
સુશ્રી સપના વિજાપુરાની જિંદગીની સફરનો પહેલો પડાવ આપણે ગતાંકમાં પાર કરી ગયાં.હવે આગળ ….
નવા જીવનનો આગાઝ!
પપ્પાએ ઇલોલ જવાનું નક્કી કર્યું. એ ૧૯૭૭નો એપ્રિલ મહિનો હતો. પપ્પા અમદાવાદની બસમાં બેસી ગયા. પપ્પા તે સમયે તંદુરસ્ત ના હતા. મને આજે નવાઈ લાગે છે કે પપ્પાએ આટલી લાંબી મુસાફરી શી રીતે કરી હશે! પણ દીકરીની ખાતર બિચારા નીકળી પડ્યા. અમદાવાદથી હિંમતનગરની બસ પકડી. હિંમતનગર પેરેમાઉન્ટ રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ત્યાં વાતવાતમાં એક ભાઈને પૂછ્યું કે તમે શરીફને જાણો છો જે અમેરિકા ગયા છે! એ ભાઈ શરીફના સગા જ નીકળ્યા. અને કહ્યું ,”હા ચાલો જાણું છું, તમને એમના ઘરે લઇ જઈશ.” ફરી હિંમતનગરથી ઇલોલની બસમાં બેસી એ લોકો ઇલોલ પહોંચી ગયાં . ઇલોલ સાત હજારની વસ્તીવાળું નાનું ગામ હતું. હવે તો વસ્તી વધી ગઈ છે.એ ભાઈ શરીફને ઘરે લઇ ગયા.
મા ભેંસ દોહતાં હતાં. ગારથી લીપેલું ઘર હતું. શરીફના મોટાભાઈ મંદ બુદ્ધિના હતા. એ બોલ બોલ કરતા હતા. શરીફના બીજા ભાઈ બહારથી આવ્યા તો એમનો એક હાથ ના હતો. જે ઇલેક્ટ્રિક શોક લાગવાથી કાપવો પડ્યો હતો. પપ્પા થોડી વાતો કરીને નીકળી ગયા. ઇલોલ એક ખેતીપ્રધાન ગામ છે. મોટાં ભાગના લોકો ખેડૂત હતાં. જોકે હવે લોકો બહાર નીકળી અને હોટલના ધંધામાં પડી ગયાં છે. પણ પપ્પાને લાગ્યુ કે મને આ વાતાવરણમાં ફાવશે નહિ. એટલે પપ્પાનો જવાબ નેગેટિવ હતો. જેનો અફસોસ શરીફને હજુ પણ છે. પણ શરીફના કહેવા પ્રમાણે મારે બાનુમાને અમેરિકા લઇ જવી છે, ઇલોલ તો હું પોતે નથી રહેવાનો તો બાનુમા શું કામ રહે! અંતે પપ્પા માની ગયા. શરીફના વચેટ ભાઈ યુસુફભાઇ ગાંધીનગર રહેતા હતા. એમને ત્યાં પપ્પા ગયા, અને અમારી સગાઈની વાત કરી. યુસુફભાઇ પણ શોક પામી ગયા. કારણકે શરીફની એક સગાઇ તો થયેલી હતી. પહેલી સગાઇ તોડ્યા વગર બીજી સગાઇ શી રીતે થાય? તો પણ યુસુફભાઇએ પપ્પા પર વિશ્વાસ રાખી સગાઇ કરી દીધી. અમારામાં શરબતનો રિવાજ હતો. એટલે શરબત પી લીધું. સગાઇ થયા પછી ત્રણ અઠવાડિયે શરીફને ખબર પડી. ત્યારે વોટ્સએપ ના હતું. બહુ ફોન પણ થતાં નહિ, એટલે વાયુવેગે સમાચાર મળતાં નહીં.
મારા દાદાની તબિયત લથડવા લાગી હતી. ડોકટરના કહેવા પ્રમાણે બહુ લાંબુ નહીં ખેંચે. દાદાની ઈચ્છા ખરી કે મારા લગ્ન જોઈને જાય. શરીફને પત્ર લખી આવવા કહ્યું. હજુ એ અમેરિકામાં સેટ પણ થયો ના હતો. ફક્ત બે ડોલર પર કલાકની જોબ કરતો હતો એના ગયે હજુ નવ મહિના જ થયાં હતાં અને અમારે એને પાછો ભારત બોલાવવો પડ્યો.એ દેવું કરીને ભારત આવ્યો. મારી પ્રત્યેની મહોબત એને ભારત ખેંચી લાવી! નહીંતર કોને પડી હોય કે આટલે દૂરથી દેવું કરીને ભારત પાછો આવે! એ જુલાઈ 1977 માં પાછો આવ્યો. હું અને પપ્પા એને બોમ્બે લેવા ગયા. એણે મને એરપોર્ટ પર જ ઘડિયાળ પહેરાવી દીધી એ વાત હું કદી નહિ ભૂલું! હજુ એ ઘડિયાળ મારી પાસે છે જોકે ચાલતી નથી . બંને ત્રણ દિવસ બોમ્બેમાં ખૂબ ફર્યા. પિક્ચર જોવા ગયાં! બાંન્દ્રાબીચ ગયાં. ધીરે ધીરે મહોબત પરવાન ચડી રહી હતી. અમારા લગ્ન ઓગષ્ટ 2, 1977 ના દિવસે નક્કી થયા. ફટાફટ કંકોત્રી છપાઈ અને વહેંચાઈ! બોમ્બેથી થોડું શોપિંગ કરી હું અને પપ્પા મહુવા આવી ગયાં.
અંતે જે દિવસની પ્રતીક્ષા હતી એ દિવસ આવી ગયો. શરીફ બપોરે બે વાગે જાન લઈને આવી ગયો. બસમાં પચાસ માણસને લઈને આવ્યો હતો. બાનુમાની સગાઇ કોઈ બીજા ગામમાં થઇ છે એ વાત આખા મહુવાને ખબર પડી ગઈ હતી. એટલે જાન અને વર જોવા અડધું મહુવા ભેગું થઇ ગયું હતું. ઇલોલ ગામનો પહેરવેશ અને ભાષા બંને જુદા હતા. હું પણ લગ્ન પહેલા ઇલોલ ગઈ ના હતી. એમની બોલીમાં મને કાંઈ સમજ પડતી ના હતી. બધાં આવીને કૈંક કહી જતાં પણ હું પ્રશ્નાર્થભરી નજરથી એમને તાકી રહેતી. મારા વચેટ જેઠાણી જે ગાંધીનગરમાં રહેતાં હતાં એ ચોખ્ખું ગુજરાતી બોલતાં હતાં, એ મારા દુભાષિયા બની ગયાં. મને સમજાવતાં કે આ એમ કહેવા માંગે છે. એ લોકોનો પહેરવેશ પણ મહુવાથી બિલકુલ જુદો હતો. જાનને બપોરનું જમણ જમાડી સાંજે અમારાં નિકાહ હતાં. મારું દિલ ખૂબ ખૂબ ધડકતું હતું, કારણકે બિલકુલ અજાણી કોમમાં મારે જવાનું હતું, જેની ભાષા પણ મને આવડતી ના હતી.
સાંજના લાયન્સ ક્લબમાં પપ્પાએ મારું રીસેપ્શન રાખેલું હતું. મૌલવી સાહેબે નિકાહ પણ ત્યાં જ પઢાવ્યા હતા. બીજા દિવસે સવારે નાસ્તો અને બપોરના જમણવાર પછી મને રૂખસત કરવામાં આવી. મારા માટે એ ઘણી અઘરી ઘડી હતી. હું એટલું રડી કે લગભગ બેહોશ થઇ ગઈ! એક તો નજમાની યાદ, બીજું પિયર છોડવાનું દુઃખ અને ત્રીજું એકદમ અજાણ્યા લોકોમાં જવાનું! દિલ ધડકી રહ્યું હતું. પપ્પાની આંખમાં આંસુ આવી ગયાં, કદાચ વિચારતા હશે કે ” કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.” અને મારા મનમાં ” ડુંગરા જેવો ઉંબરો બેનીએ માંડ કરી ઓળંગ્યો.” “ચલ રી સજની અબ ક્યાં હોતે, કઝરા ના બેહ જાયે રોતે રોતે” ગીત સ્ટીરીઓ પર વાગતું રહ્યું, પગ ભારે થઇ ગયાં હતાં, પપ્પાનું ઘર છોડતાં જીવ તાળવે આવી ગયો હતો. વળી વળીને હું બા, પપ્પા અને ઘરવાળાને જોઈ લેતી હતી. મારો ભાઈ સાદિક ખુરશી પર ચઢીને કુરાન લઈને ઊભો હતો, હું કુરાનનાં સાચા નીચેથી પસાર થઈને ઇલોલ જવા બસમાં બેસી ગઈ.
એક અજાણી વ્યક્તિ અને એક અજાણ્યા ગામની સફર ની શરૂઆત થઇ ગઈ હતી. રાત્રે નવ વાગે અમદાવાદ પહોંચ્યા. ત્યાં પેરામાઉન્ટમાં શરીફે મને જમાડી. ત્યાંથી સીધા અમે ઇલોલ પહોંચ્યા. ઇલોલ પહોંચ્યા ત્યારે રાતના બે વાગ્યા હતા. અમારું ઘર મેં પહેલીવાર જોયું. બહેને રસ્તો રોકી ભાઈ પાસેથી મેખના પૈસા લીધાં, ઘરમાં દાખલ થવા માટે આ એક રિવાજ હતો. રાતે બે વાગે લગભગ ઘણાં લોકો ઘરમાં આવી ગયાં . હું કોઈ એલિયન હોઉં એવી રીતે બધા મને તાકી રહ્યાં હતાં . મારા વચેટ જેઠાણી મને બીજા ફ્લોર ઉપર લઈ ગયાં, ત્યારે બધાં વિખેરાયાં.
નવા જીવનની મહેક!
બીજા દિવસે ઘરે ઘરે મળવા જવાનું હતું. મેં લીલા રંગની સાડી પહેરી હતી. ગામમાં આવી રીતે સાડી પહેરીને કોઈ નીકળતું નહોતું. શરીફે રિક્ષા બોલાવી હતી છતાં ગામના છોકરાનું ટોળું અમારી રિક્ષા ની પાછળ પાછળ દોડતું હતું. વરસાદની ઋતુ હોવાથી સિમેન્ટ અને ડામર વગરના માટીનાં રસ્તા પર કીચડ થઇ ગયેલો અને હું જ્યાં ઉતરતી ત્યાં સાડી ઊંચી લેવી પડતી હતી. મારા સેન્ડલ પણ ગારાથી ખરડાઈ ગયેલા. ઘરે ઘરે ચા પીવી ફરજિયાત હતી. ઘરે આવી ત્યારે શરમને મારી જે ચા પીધેલી એ બધી ઉલ્ટી વાટે બહાર આવી ગઈ. બિચારા મારા સાસુ કહેવાં લાગ્યાં, મારી સુંદર વહુને નજર લાગી ગઈ છે. ખરેખર હું ત્યારે ઘણી સુંદર દેખાતી હતી. કોલેજમાં મને લીના ચંદાવરકર, અને તનુજા કહીને બોલાવતાં. મા એ નજર ઉતારી. મને બહાર જવાની ના કહી. મને હાશ થઇ હતી. કારણકે એ લોકોની ભાષા હું જાણતી ના હતી, અને લોકો સાથે હળવા મળવાનો મને શોખ ના હતો. મા મને ખૂબ ચાહતાં હતાં . તેથી મા હંમેશા મને સંભાળી લેતાં.
ત્રીજા દિવસે શરીફ મને ગાંધીનગર લઇ આવ્યો. ત્રણચાર દિવસ ત્યાં રહ્યાં. પછી અમે હનીમૂન માટે આબુ ફરવાં ગયાં. અમે ત્રણ દિવસ રોકાયાં હતાં. દેલવાડાના ડેરા જોયાં, નખી તળાવ જોયું. ત્યાં જાતજાતના રંગબેરંગી પક્ષીઓ દૂર દૂરથી આવે છે. પક્ષીનો મધૂર અવાજ કાનમાં સંગીત ઘોળી દે! ત્યાંની પર્વતની હારમાળા જોવાનો એક લહાવો લીધો. દૂર દૂર સુધી હરિયાળી છવાયેલી છે. એમાં જો મનગમતો સાથ હોય તો સફર ઔર હસીન થઇ જાય છે. ખાસ કરીને વહેલી સવારે સૂર્યોદય જોવો એક લહાવો છે. ત્યાંની સુંદરતાએ મને મંત્રમુગ્ધ કરી દીધી હતી. એ પછી તો ઘણીવાર અમે આબુ જઈ આવ્યા, હનીમૂનના પ્રેમની જે સુવાસ હૃદયમાં પ્રસરી એ હજુ સુધી બાકી છે. મધૂર મધૂર દિવસો હતાં.
ત્રણ દિવસ પછી અમે ગાંધીનગર આવ્યા. ગાંધીનગર પહોંચતા જ યુસુફભાઇએ સમાચાર આપ્યા કે મારા દાદા જે બીમાર હતા તે ગુજરી ગયા છે. ફક્ત મારા લગ્ન થવાની જ રાહ જોતા હતા. મારા લગ્ન પછી અઠવાડિયામાં ગુજરી ગયા.
અમે મહુવા જવાં રવાનાં થયાં . દાદાની ઝિયારત કરી શરીફ મારા જન્મપત્રક અને મારા લગ્ન સર્ટિફિકેટ બનાવવાની ધમાલમાં પડી ગયો. જેમાં કાકાના મેનેજર મનહરભાઈએ મદદ કરી. આ બધાં પેપરનું મહત્વ હવે મને સમજાઈ છે. શરીફ બે મહિના માટે આવેલો. અમે પેપર્સની ફાઈલ બનાવી હતી. શરીફ અમેરિકા જઈને પછી મારા માટે વિઝા માટે એપ્લાય કરવાનો હતો. શરીફ અમેરિકા જવાનો હતો ત્યારે હું એને બોમ્બે મૂકવા ગઈ. મારું દિલ ખૂબ ઉદાસ થઇ ગયું હતું. બે મહિનામાં શરીફે મને ખૂબ પ્રેમ આપ્યો. એરપોર્ટ પર હું એને વળગીને ખૂબ રડી પડી. એ મને આશ્વાસન આપતો રહ્યો કે જલ્દી બોલાવી લઈશ. અને હું એને ભીડમાં અદ્રશ્ય થતો જોઈ રહી! હું ગાંધીનગર પાછી આવી. એના વગર મને ખૂબ એકલું લાગતું હતું.
ગાંધીનગરમાં રહીને અમદાવાદમાં મેં કી પંચિંગ ના કલાસ ચાલુ કર્યા . અમદાવાદમાં મારે દેવયાની સાથે મુલાકાત થઇ. દેવયાની સુરેન્દ્રની પત્ની. અને સુરેન્દ્ર શરીફનો પાકો મિત્ર. એ બંને અમેરિકામાં અને હું અને દેવયાની બંને વીઝા ની રાહ જોતાં ભારતમાં. અમારે સરસ મેળ પડી ગયેલો. બંને સાથે ક્લાસ કરીએ, ફિલ્મ જોઈએ, ભેળપૂરી ખાઈએ અને અમદાવાદની ગલીઓમાં રખડીએ. થોડા સમય પછી મને ગાંધીનગરના હેન્ડલુમ હાઉસમાં સેલ્સ ગર્લની જોબ મળી ગઈ. ૮૦૦ રૂપિયા મહિને પગાર હતો. મને પહેલેથી પગભર થવું ગમતું. કોઈ પાસે પૈસા માંગવા ના ગમે. પણ ખાવા પીવાના બહું ઠેકાણા પડે નહિ એટલે મારું વજન ઉતરવા લાગ્યું હતું. બા પપ્પા એકવાર કાણોદર ગયેલા ત્યાંથી એ લોકો ગાંધીનગર મને મળવાં આવ્યાં. મને જોઈને બા તો રડી જ પડયાં.એમની મમતા ઉમટી આવી!
શરીફે વિઝા માટે એપ્લાય કરી દીધું હતું. અને લગ્ન પછી નવ મહિને વિઝા કોલ આવ્યો. હું ખુશીથી ઉછળી પડી! લગ્ન સમયે મારી ઉંમર ૨૪વર્ષની હતી. જિંદગી પ્રત્યે હું ગંભીર ના હતી.છોકરમત હતી. અમેરિકાને પણ મેં ગંભીરતાથી લીધું ના હતું. લોકો અમેરિકા જવા માટે પડાપડી કરતાં હતાં. ત્યારે સહેલાઈથી મળેલી તક ને હું સમજી શકતી નહોતી.વિઝા લેવા હું બોમ્બે આવી. બૉંમ્બેમાં માસુમાબેનને ઘરે ઉતરી હતી. વિઝા લઈને હું મહુવા બધાને મળવા ગઈ. બધાથી છેલ્લીવાર વિદાઈ લઇ લીધી. પપ્પાને ભેટીને હું ખૂબ રડી! પપ્પા બોમ્બે સુધી મૂકવા આવેલા. એ મને દૂર સુધી એરપોર્ટ પર અદ્રશ્ય થતી જોઈ રહેલા. એમની આંખોના આંસુ મને દૂરથી પણ દેખાતાં હતાં.
ક્રમશઃ
