વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • જર્સીનો રંગ બદલવાથી બીજું કશું બદલાશે ખરું?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    હોકીના ખેલાડીએ હાથમાં હોકી સ્ટિક લઈને દોડવાનું હોય, બીજા ખેલાડીને પાસ આપવાનો હોય, ગોલ કરવાનો હોય. આ બધામાં તેણે પહેરેલી જર્સીનો રંગ કોઈ રીતે મદદરૂપ બની શકે ખરો? તેણે પહેરેલી જર્સીનો રંગ વાદળી હોય કે કેસરી, હોકી સ્ટિક અને તેની આવડત એની એ જ રહે છે. આમ છતાં, રંગની એક મુશ્કેલી છે. શરૂઆતમાં એ કેવળ રંગ હોય છે. ધીમે ધીમે એ ઓળખ બને છે. ઓળખમાંથી એ સ્મૃતિનું રૂપ લે છે અને જોતજોતાંમાં એ સ્મૃતિમાંથી વારસો બની જાય છે.

    ભારતીય હોકી ટીમની ઓળખ બની ગયેલી વાદળી રંગની જર્સી સાથે બિલકુલ આવું થયું છે. સોએક વર્ષથી ભારતીય હોકી ટીમ સાથે આ રંગ અભિન્નપણે સંકળાઈ ગયો છે. અને હવે આ વાદળી રંગનું સ્થાન કેસરી રંગ લેવાનો છે. રંગ તો રંગ હોય છે, પણ તેની સાથે આપણે વિવિધ ભાવથી લઈને ધાર્મિક લાગણીઓ સાંકળતાં હોઈએ છીએ. રંગ જેવી બાબત પર પણ રાજકારણ ખેલાતું થઈ ગયું છે. અને એ જ ક્રમમાં કેસરી રંગ પર પસંદગી ઊતરી હોય એમ જણાય છે. હકીકતમાં કેસરી રંગ અન્ય કોઈ રંગ જેવો જ રંગ છે. તેની સામે શો વાંધો હોઈ શકે? ભારતના ધ્વજમાં પણ એક રંગ કેસરી છે, જે ત્યાગ અને બલિદાન સૂચવે છે. તેનો પોતાનો એક અર્થ છે, એક સ્થાન છે. એટલે સવાલ કેસરી રંગનો નથી. સવાલ એ છે કે કેસરી રંગને લાવવા માટે વાદળી રંગને શું કામ હટાવવો પડ્યો?

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આવો સવાલ પૂછનારને ચોક્કસ રંગવિરોધી,  તેથી ચોક્કસ પક્ષવિરોધી અને એ કારણે રાષ્ટ્રવિરોધી ગણાવી દેવા માટે કેટલાય લોકો ટાંપીને બેઠા હોય છે. આદર્શ રીતે જોઈએ તો કોઈ રંગ કોઈ એક પક્ષની માલિકીનો નથી,  છતાં રંગને કોઈ એક રાજકીય અર્થમાં મર્યાદિત કરી દેવાનું રાજકારણ જૂનું છે.

    જર્સીનો રંગ બદલવો હોય તો બદલી શકાય. તેનું ક્યાં કોઈ શાસ્ત્ર છે? આખી દુનિયાની ટીમો પોતાની કિટ બદલતી રહે છે. પ્રાયોજકો બદલાય, ડિઝાઇન બદલાય, આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ રંગ બદલવો પડે—આ બધો રમતજગતનો સામાન્ય વ્યવહાર છે. પણ એક બાબત સામાન્ય વ્યવહારથી થોડી અલગ પડે છે. એ છે એક રમતની ઐતિહાસિક ઓળખને બદલવી.

    એક સમય હતો જ્યારે ભારતીય હોકીનું નામ સાંભળતાં દુનિયાને ભારત યાદ આવતું અને ભારતને હોકી. ધ્યાનચંદથી લઈને બલબીરસિંહ સુધીના ખેલાડીઓ અને તેમની પછીની પેઢીઓએ જે વારસો ઊભો કર્યો, એ કોઈ જર્સી ડિઝાઇનરની કલ્પના કરતાં અનેક ગણો મોટો છે, કેમ કે, એ ઊભો કરવા માટે ખેલાડીઓએ પરસેવો સીંચેલો છે. આથી અહીં સવાલ થાય કે જર્સીનો રંગ બદલવાનો આ નિર્ણય લીધો કોણે? એની પાછળનું કોઈ કારણ ખરું? એના માટે સંબંધિત ખેલાડીઓ અને આ રમતના ભૂતપૂર્વ દિગ્ગજો સાથે કશી ચર્ચા થઈ ખરી? આવા સવાલ અને શંકા એટલા માટે પણ થાય કે હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ ટિર્કીએ સુધ્ધાં આ નિર્ણયની મંજૂરી અંગે સવાલ ઉઠાવ્યો છે. મતલબ કે માત્ર જર્સીના રંગની નથી; નિર્ણય લેવાની રીતની પણ કરવી પડે.

    આવો આદેશ ખરેખર ‘ઊપરથી’ આવ્યો કે પછી ‘ઊપરવાળા’ને ખુશ કરવા સંબંધિત અધિકારીઓએ આવો નિર્ણય લીધો? એક બાબત આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે જે તે કાળખંડના કોઈ હોદ્દેદારને મળેલી સત્તા અને કોઈ એક પેઢીનો સુદીર્ઘ વારસો-આ બન્ને અલગ બાબતો છે. જે વ્યક્તિ આજે અધિકારી છે, તે કાલે નહીં હોય. આજે જે ખેલાડી છે, તે થોડાં વર્ષ પછી ભૂતપૂર્વ ખેલાડી બની જશે. પ્રમુખ બદલાશે, કોચ બદલાશે, પ્રાયોજક બદલાશે. પણ સંસ્થાની સ્મૃતિ નિરંતર રહેવાની. ઘણી વાર આપણે સંસ્થાઓને એવી રીતે જોઈએ છીએ જાણે કે ત્યાં બેઠેલા લોકો એટલે જ સંસ્થા. હકીકતમાં સંસ્થા એ લોકો કરતાં વધુ પરિપક્વ અને સુદીર્ઘ હોય છે.

    એક તરફ જોરશોરથી આપણે વારસાને જાળવવાની વાત કરીએ છીએ અને સાથોસાથ વારસાની સૌથી દેખાતી નિશાનીને બદલી નાખીએ છીએ. તેના માટે કારણ પણ એવું ક્ષુલ્લક આપીએ છીએ કે આ તો રાષ્ટ્રીય રંગ છે. શું ભારતની ઓળખ કેવળ એક રંગમાં સમાઈ જાય છે?  અરે, આપણા રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગ છે. અને ભારતનો ઇતિહાસ એથીય અનેકગણો રંગીન છે.

    મુખ્ય મુદ્દો એ નથી કે જર્સીનો રંગ કેસરી કેમ કર્યો. અરે! એમાં સફેદ અને લીલો ઊમેરીને રાષ્ટ્રધ્વજના રંગો પણ કરી શકાય. વાત એ છે કે કેવળ રં બદલવાથી ભારતીય હોકીની પરિસ્થિતિમાં કશો ફેરફાર થવાનો છે ખરો? નવા રંગની જર્સીથી ભારતીય હોકીની રમતમાં કશી નવિનતા આવ્શે? નવી પ્રતિભાને તક, તાલીમની નિતનવી પદ્ધતિઓ, સારી સુવિધાઓ. યોગ્ય વહીવટ, ખેલાડીઓ પ્રત્યેની જવાબદારી અને આખરે, મેદાન પરનું પ્રદર્શન. કેવળ જર્સીનો રંગ બદલવાથી આમાંની એકેય વસ્તુ સુધરવાની છે? હા, કદાચ નવા રંગની જર્સી બજારમાં પણ વેચાતી થશે. તેની તસવીરો આવશે. થશે. સોશિયલ મીડિયા પર ચર્ચા થશે. થોડા દિવસ લોકો તેના રંગ વિશે વાત કરશે. પણ પછી મેદાન પરની વાસ્તવિક રમત શરૂ થશે ત્યારે રંગ નહીં, ખેલાડી દેખાશે.

    એટલે હરીફરીને આ આખી ચર્ચા કદાચ એક જ સવાલ પર આવીને અટકે છે: આપણે ભારતીય હોકીની ઓળખમાં કંઈ ઉમેરવા માગીએ છીએ કે કંઈ કાઢી નાખવા માગીએ છીએ? રંગ બદલવાથી જર્સી બદલાશે, સંબંધિત નિર્ણયકર્તાથી કદાચ રાજકીય નેતાઓ ખુશ થઈને તેને બઢતી આપશે, પણ એ રીતે ન તો ઈતિહાસ બદલી શકાશે, ન તો પ્રવર્તમાન પરિસ્થિતિમાં કશો સુધારો લાવી શકાશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૭-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૯

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    અકબરભાઈ અને ફાતિમાબેન મને આસપાસનો પાડોશ બતાવવા લઈ ગયાં, ત્યારે મને પનામા શહેરના મંદિરમાં પણ લઈ ગયાં હતાં. મને યાદ હતું કે આગલી વાર મને એ મંદિર પર લઈ ગયા હતા. એમને પણ એ યાદ હતું.

    રસ્તા પરથી એક ફાંટો ખાસ્સો ઉપર ગયો. ત્યાં, એક નાની ટેકરી પર આ મંદિર હતું. શહેર નીચે પથરાયેલું દેખાય. મને જરા જુદું લાગ્યું, ને ત્યારે વાત થઈ, કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એમાં સાચે જ ફેરફાર કરવામાં આવ્યો હતો. મુખ્ય દ્વાર આમ હતું તેને બદલે તેમ થયું, ને એ પ્રમાણે અંદર મૂર્તિઓની ગોઠવણી પણ બદલાઈ હતી.

    અકબરભાઈએ કહ્યું, કે ભજન ને પૂજાપાઠ તો બરાબર છે, પણ રાસ-ગરબા વખતે એટલે તો મોટેથી મ્યુઝીક ચલાવે કે દૂર સુધી સંભળાય. વળી, ઘણી મોડી રાત સુધી પણ ચાલુ રહે. અમારાં બધાંનાં ઘર સુધી નવ નવ રાત —- એ તો સજ્જન છે, એમણે વાક્ય પૂરું ના કર્યું. ને ખરેખર જ, બહારના કમ્પાઉન્ડમાં મોટાં મોટાં સ્પીકર ગોઠવેલાં હતાં. નીચે રહેલા રહેવાસી વિભાગોને ગાજતા હું કલ્પી શકી.

    પણ આ વર્તન ક્યારેય, ને ક્યાંય પણ સારું નથી લાગતું. અન્ય દેશમાં, અન્ય પ્રજાને અગવડ આપવાનું વલણ કેવું કહેવાય? જેમ પેલા પાર્કમાં રાતે આઠ વાગ્યે મ્યુઝીક બંધ કરી દેવામાં આવ્યું હતું, તેમ અહીં અગિયાર વાગ્યે પણ બંધ ના કરી દઈ શકાય? હવે તો ભારતનાં શહેરોમાં પણ આ નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે.

    ખેર, આમ કરતાં કરતાં, આખરે, ગયાના અને પનામાની સંયુક્ત સફરનો છેલ્લો દિવસ આવી લાગ્યો હતો. પનામા સિટીથી ન્યૂયૉર્કની ફ્લાઇટ છેક સાંજે હતી, અને મોટા ભાગનો દિવસ હજી બચેલો હતો, તેથી મનમાં પ્રશ્નોની ખેંચતાણ થવા માંડેલી – જાઉં? ના જાઉં? જવું જોઇએ? કે ચાલશે? રાત દરમ્યાન આ પ્રશ્નો મનમાં ઘુમરાતા રહેલા. ને અલબત્ત, જવાનું જ નક્કી કર્યું. છેવટે, એકસો વર્ષ થતાં હતાં એટલે તવારિખ અગત્યની કહેવાય, મેં વિચાર્યું. અલબત્ત, જરાક લાગણીમાં ખંેચાઇને.

    મનની અંદરની અવઢવનો આ સંદર્ભ હતો જગ-વિખ્યાત પનામા કૅનાલનો. ૧૯૧૪માં, વિશ્વ યુદ્ધના કારમા પડછાયામાં રહ્યે રહ્યે, પૅસિફિક અને ઍટલાન્ટીક મહાસાગરોને જોડતો આ જળ-માર્ગ ખુલ્યો હતો. આટલાં વર્ષોમાં એ પણ નાની પડવા માંડી, ને તેથી સમાંતરે બીજી કૅનાલ બનાવવાનું શરૂ થયું. કહે છે, કે ૨૦૧૫ના ડિસેમ્બર સુધીમાં એ પણ ખુલી જશે. પછી વધારે મોટાં અને વધારે સંખ્યામાં કાર્ગો-સામાન ભરેલાં વહાણો અવરજવર કરી શકશે.

    મેં કૅનાલની સફર બોટમાં  તો પહેલી વારની ટ્રીપ દરમ્યાન કરેલી. આ વખતે મેં એક ટ્રેન-સફર વિષે વાંચેલું. એ પણ ઐતિહાસિક ટ્રેન છે, ને તેથી એ આજે લઈ લઉં, કે ના લઉં?, એવા સવાલ મુંઝવતા રહેલા. પણ નવું જોવાનો મોહ-લોભ ક્યારે ખાળી શકાયો છે મારાથી?

    હોટેલમાંથી રસ્તા પર આવીને, સવારે સવા છ વાગ્યે ટૅક્સી લીધી. કૉરૉઝાલ નામના નાના સ્ટેશનેથી આ ટ્રેન લેવાની હતી. એની ટિકિટનો ભાવ પણ વધી ગયો છે, તો સામે લોકો સાવ ઓછા હતા. પચીસ પણ નહીં હોય. આખી સફર પૂરી થઈ ત્યારે નિરાશ જ થવાયું. એનું જે પ્રમાણેનું વર્ણન આપવામાં આવે છે તેવું કશું ના લાગ્યું. જેમકે, મૂળ કૅનાલ ખૂબ ઓછી વાર દેખાઈ, વન્ય પ્રાણીઓ નજરે ના પડ્યાં, વગેરે.

    આ રેલ-વે સૌ પ્રથમ ૧૮૫૫માં બંધાઈ હતી. હજાર ચીની લોકોને આ કામ માટે લાવવામાં આવેલા. કૅનાલ ચાલુ થઈ ગઈ પછી આ ટ્રેનનો વપરાશ બંધ થઈ ગયો. વીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં ફરી આ ટ્રેન, એના પાટા વગેરેનું સમારકામ શરૂ થયું. છેલ્લાં પંદરેક વર્ષથી, લગભગ એંસી કિ.મિ.ની આ ટ્રેન-સફર પ્રવાસીઓને માટેની પ્રવૃત્તિ તરીકે ચલાવવામાં આવી રહી છે.

    ટ્રેનને બહારથી પીળા અને લાલ રંગે, અને પનામા કૅનાલ રેલ-રોડ જેવા શબ્દોથી ચિતરી છે. અંદર દરેક બોગીમાં સરસ પૉલિશ કરેલાં લાકડાં જડેલાં છે, સુંદર લૅમ્પની શોભા છે, અને બેસવાની સીટો આરામપ્રદ છે. આખો રસ્તો પનામાનાં જંગલમાં થઈને જાય છે. ક્યાંક કાદવિયાં ખાબોચિયાં દેખાય, તો ક્યાંક હાડપીંજર જેવાં સૂકાં ઝાડ દેખાય. આમ કરતાં, એકાદ કલાકે એ કોલોન નામના ગામની બહારના, સાવ સૂની જગ્યાએ બનેલા સ્ટેશન પર પહોંચે છે.

    પનામા સિટી પાછાં આ ટ્રેનમાં જવું હોય તો એ સાંજે છેક પાંચ વાગ્યે એ અહીંથી નીકળે. એ દરમ્યાન, ફરી મોંઘી ટૅક્સી કરી આસપાસ જવાય. હું બસો દ્વારા આ બધી જગ્યાઓએ જઈ આવી હતી, આગલી વખતે; તેથી હવે મેં પનામા સિટી પાછાં જવા માટે કોલોન ગામના બસ-સ્ટેશન પરથી એક બસ લઈ લીધી.

    ત્યાંથી ફરી મૅટ્રો લઈને હોટેલ પર પહોંચી. ઍરપૉર્ટ જવા માટેની ટૅક્સી મેં હોટેલમાંથી જ બૂક કરાવી દીધી. લંચ લઈ લીધા પછી, સમય થતાં હું ઍરપૉર્ટ જવા નીકળી ગઈ. મુખ્ય એક જ રસ્તો છે. એના પરથી જ જવાનું, તેથી ટ્રાફીકનો ખ્યાલ રાખવો પડતો હોય છે. ઉપરાંત, મથક ખૂબ મોટું હોય, એટલે પૂરતો સમય પણ રાખવો પડે.

    બસ, વિમાન સમયસર સાંજના સાડા છ વાગ્યે ઊપડ્યું. રાતના સાડા બાર વાગ્યે એ ન્યૂયૉર્ક પહોંચ્યું. એ પછી વળી ટૅક્સી લીધી, અને વહેલી સવારે પોણા બે વાગ્યે ઘેર પહોંચી ગઈ. એ તો પરિચિત સ્થાન. ત્યાં તો સુખરૂપ જ પહોંચવાનું હોય ને.


    ( સમાપ્ત)


    હવે પછી ઃ મોંગોલિયા


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • એક અનોખી ચિત્ર શ્રેણી – આનંદ અનુભવ – ચિત્રકારઃ ડૉ. ગીતા આચાર્ય – ચિત્રની વિવિધ સર્જનાત્મક કેડીએ

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

    પહેલાં ઓઈલ કલરથી શરુ કર્યા પછી વોટર કલર વાપરવાનું વધારે અનુકૂળ લાગ્યું. વોટર કલરનો વધુ અભ્યાસ તેમજ નવું શીખવાના ઉત્સાહ સાથે બીજી કલાકારીમાં પણ કુશળતા મેળવી.

    ગીતા કહે છે…મારું MBA, પૂર્ણ કર્યા પછી, મને the Greater Guildford area માં એક કલાકાર સાથે પરિચય થયો અને તેના સ્ટુડિયોની વ્યવસાયિક બાજુની રચના કરવામાં મદદ કરવાનું શરૂ કર્યું. અમારા સાથેના એ સમય દરમિયાન, તેણીએ મને મારી ‘in-control’ mindset  સામે સૌમ્ય પડકાર તરીકે સિલ્ક પેઇન્ટિંગનો પરિચય આપ્યો – જેમાં તમારું નિયંત્રણ છોડી શરણાગતિ સ્વીકારી…રંગોને પોતાનું સ્વત્વ લેવા દવું પડે છે.

    Silk Painting Using the Serti Technique; a  traditional silk-painting method in which resistance, such as gutta, creates patterns that prevent the dyes from spreading to neighboring areas.

    સેર્ટી પરંપરાગત રેશમ-પેઇન્ટિંગ પદ્ધતિ છે જેમાં ગુટ્ટા (રબર જેવા સંયોજક પદાર્થ)  રંગોને પડોશી વિસ્તારોમાં ફેલાતા અટકાવે છે.

    1. રેશમને ધોઈને ફ્રેમ પર સજ્જડ રીતે ખેંચો.
    2. ફાઇન-ટીપ એપ્લિકેટરનો ઉપયોગ કરી રેશમ પર ગુટ્ટા લગાવી રેખાંકન કરી, સૂકાવા દેવું.
    3. રેશમ રંગો, steam-set silk dyes. વરાળથી સેટ રેશમ રંગો અને નરમ બ્રશનો ઉપયોગ કરો. દરેક ગુટ્ટા-બાઉન્ડેડ વિભાગની અંદર રંગ કરી, પેઇન્ટેડ રેશમને સંપૂર્ણ રીતે સૂકવવા દો.
    4. સૂકા રેશમને સાફ કરી, printed paperમાં રંગેલો ભાગ એકબીજાને અડે નહીં એ રીતે વીંટાળો.
    5. વીંટાળેલ રેશમને યોગ્ય સ્ટીમરમાં પાણીની સપાટીથી ઉપર રાખો. સામાન્ય રીતે 1-3 કલાક લાગે.
    6. રેશમને ઠંડુ થવા દો, પછી વધારાના રંગને દૂર કરવા માટે તેને હળવેથી ધોઈ લો અને ગુટ્ટા દૂર કરો.
    રેશમ-પેઇન્ટિંગ – તૈયારીઓ અને પરિણામ

    એક વધુ કલા શીખવામાં રસ લીધો તે છે, સુમી–ઈ ચિત્રકળા

    સુમી જાપાનની એક લોકપ્રિય ચિત્રકળાનો પ્રકાર છે. સુમી એટલે કાળી સ્યાહી. સુમી ચિત્રો વિરોધાભાસની મદદથી સુચારૂતા દર્શાવે છે.

    સુમી માટે માત્ર કાગળ, શાહી અને બ્રસની જ આવશ્યક્તા છે. સુમી માટેની શાહી એ સાદી શાહી નથી, પણ પાઈનના બળેલાં લાકડાંની રાખ સાથે દિવાના મેશના મિશ્રણથી બનેલો રંગ છે. આ પદાર્થોને કપૂર અને ગ્લુની મદદથી સ્ટીક બનાવીને સાચવી રાખવામાં આવે છે. જ્યારે વાપરવો હોય ત્યારે એને પાણીમાં ભીંજાવી પથ્થર ઉપર વાટીને શાહી જેવું ગાઢું પ્રવાહી બનાવવામાં આવે છે. એને જરૂર અનુસાર ઘેરૂં કે આછું કરી શકાય છે.

    સુમી ચિત્રો માટેના બ્રશ પણ અલગ પ્રકારના હોય છે. હાથ બનાવટના કાગળ, જેને રાઈસપેપર કહેવામાં આવે છે, એ બાંબુમાંથી બને છે. એ નરમ અને ભેજ ચૂસી લે એવા હોય છે.

    સુમી ચિત્રો સાદા અને સરળ હોય છે, અને કલાકાર જે કહેવા માગે છે એ સહેલાઈથી સમજાય છે. સુમી ચિત્રોમાં રેખા ચિત્રો પણ હોઈ શકે. આવા ચિત્રોમાં બારીકાઈ કે શણગાર જેવું કંઈ હોતું નથી.

    અહીં ગીતાબહેને તૈયાર કરેલા સુમી આર્ટના ચિત્રો આપ્યા છે.

    તો અહીં ગણેશના ચિત્રો.

    હાથબનાવટના ખાદીના કાગળ ઉપર દોરેલું આ ચિત્ર Chiddingfold High street નું છે. ઈંગ્લેંડમાં સુંદર મકાનોની હાર આ ૧૧” બાય ૧૫” ના ચિત્રમાં ૨૦૦૯ માં ચિત્રાંકિત કરવામાં આવી હતી.

     

    ‘સોનેરી સવાર’ આ કુદરતી માહોલમાં ચિત્રકાર
          એમના બાળકો સાથે દૂર સુધી ચાલવા જતાં…
    … મળી ગયું વાદળી રંગના ફૂલોથી સજેલા વૃક્ષોની વચ્ચે  દોડતું હરણ. માર્ચ ૨૦૧૭.
    પ્રેમથી ઊછેરેલા પુષ્પો.

    Geeta. geetaa4@gmail.com  NewJersey.


    Saryu Parikhસરયૂ પરીખ  www.saryu.wordpress.com

  • સ્મૃતિસંપદા – અરવિંદ સી. થેકડી – અમદાવાદથી અમેરિકા [૧]

    ગુજરાતના સાંબરકાંઠા જિલ્લાના રૂપાલ ગામમાં ૧૯૪૧માં જન્મેલા અરવિંદભાઈ ૧૯૬૭માં અમેરીકા આવ્યા. પંચાવન વર્ષો દરમ્યાન અમેરિકાનાં અનેક રાજ્યો બદલ્યા પછી નિવૃત થઈ તેઓ એમના પત્ની મંજુલાબેન સાથે સુગરલેન્ડ( ટેક્ષાસ )માં રહે છે અને પરિવારના સભ્યો અને અનેક મિત્રો સાથે આનંદની લ્હાણી કરતા રહે છે.

    અમદાવાદની શાળામાં વિદ્યાર્થી જીવન શરૂ  કર્યા બાદ તેઓ તત્કાલીન સામાજિક મુદ્દા તથા તકનીકી વિષયોના જાહેર વક્તા બની ચૂક્યા છે. એમની ઝળહળતી કારકિર્દીને અંતે E3MInc કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ અમેરિકા, ભારત તથા બીજા દેશોની અનેક સેવાસંસ્થાઓમાં પ્રવૃત્ત છે.

    જાસૂસીકથા અને અન્ય સાહિત્યનું વાંચન, સામયિકો માટે લખવું, વર્તમાન વિષયોની સમાલોચના કરવી વગેરે તેમની મનગમતી પ્રવૃત્તિ છે. ઉપરાંત, વધારામાં તે અને તેમના પત્ની દિવસનો સારો એવો સમય આરોગ્યની કાળજી રાખવામાં ગાળે છે. આ માટે લાંબુ અંતર ચાલવું, સ્થાનિક અખાડાની મુલાકાત લેવી અને યોગાસન વિગેરેમાં પ્રવૃત હોય છે. કોઈને મદદની જરૂર જણાય તો તેમની પડખે ઊભા રહે! ખૂબ જ સાલસ સ્વભાવના આ દંપતિ પર્યટનો દ્વારા જીવનના આનંદને માણવાનું પણ ચૂકતા નથી.


       આ ભારતમાં ઉછેરલા યુવાનની એક વિદ્યાર્થી તરીકે, નોકરીયાત તરીકે, નોકરી આપનાર તરીકે અને અમેરિકામાં રહીને ત્રણ ધંધાકીય રીતે સફળ સંતાનોને ઉછેરનાર માતાપિતા તરીકે થયેલા અમેરિકાના અનુભવની કથા છે. એમાં ૫૫  વર્ષ કરતાં વધુ વર્ષના અમેરિકા દેશના તેમજ અમેરિકન અને આંતરરાષ્ટ્રીય જગતના લોકોના અવલોકન અને અનુભવ ઉપરાંત દુનિયાના ૨૫  કરતાં વધુ દેશોની મુલાકાત અને ત્યાં કરેલાં કામની રસભરી વિગતો પણ સમાવિષ્ટ કરી છે.

    પશ્ચાતભૂ

    આ એક એવા યુવાન દંપતિની કથા છે જેમણે જીવનના ત્રીજા દશકની મધ્યમાં યુવાન વયે ઉચ્ચ અભ્યાસ કરવાના ધ્યેય સાથે એક અજાણ્યા પણ તકદાયી દેશમાં જવા માટે ૧૯૫૭માં ભારત છોડ્યું.

    હા, આ વાત મારી છે. મારું નામ છે અરવિંદ થેકડી અને મારાં પત્નીનું નામ છે મંજુલા થેકડી. અમે જીવનનો મોટા ભાગનો સમય, નિશ્ચિત રીતે કહું તો ૫૫ વર્ષ, અમેરિકામાં રહ્યા છીએ અને ભાગ્યશાળી છીએ કે અમને અદભૂત પરિવાર તથા મિત્રવર્તુળ મળ્યાં છે. મારી અમેરિકાના જીવનની કથા વર્ણવું એ પહેલાં ભારતમાં જે જીવન વીતાવ્યું તેનો નાનકડો ઈતિહાસ પ્રસ્તુત કરું છું.

    મારો જન્મ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જીલ્લાના રૂપાલ નામના નાનકડા ગામમાં થયો હતો. ૧૦ વર્ષની ઉંમરે અમદાવાદ તરફ ગમન કર્યું ત્યાં સુધી મારું બાળપણ ગામઠી વાતાવરણમાં વીત્યું. અમારો એ વખતનો સર્વસામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર હતો જેની આવક અને જેની પાસે મોટા શહેરમાં રહેવા માટે જરૂરી બીજાં સાધનો મર્યાદિત હતાં..હું અમદાવાદની માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણ્યો અને ૧૯૫૮માં એસએસસી પાસ કરી. એ વખતે ગુજરાત મુંબાઈ રાજ્યનો ભાગ હતું. મુંબાઈની એસએસસી બૉર્ડની પરિક્ષામાં વિજ્ઞાનના વિષયમાં હું પહેલા નંબરે હતો એટલે ઘણાં બધાં ઈનામો અને શિષ્યવૃત્તિ મળ્યાં જેથી હું ગુજરાત કૉલેજમાં અને પછી અમદાવાદની એલ.ડી.કૉલેજ ઓફ એન્જિનીયરીંગમાં ભણી શક્યો. હું જ્યારે ઉચ્ચ માધ્યમિક શાળા અને ગુજરાત કૉલેજમાં હતો ત્યારથી જ એટલે કે ૧૯૬૦ પહેલાંથી જ ગુજરાત રાજ્યને અલગ પાડવા માટે આંદોલનન ચાલી રહ્યું હતું. બનવાકાળ હું પણ વિદ્યાર્થીચળવળોમાં ભાગીદાર હતો. મિકેનિકલ એન્જિનીયરીંગમાં ડિગ્રી મળ્યા બાદ હું આઈઆઈએસસી(બેંગલોર)માં પાવર એન્જિનીયરીંગના વિષયમાં માસ્ટર્સ કરવા માટે ગયો. પછી અમેરિકા આવતા પહેલાં મુંબાઈમાં એક અમેરિકન કંપનીમાં કામ કર્યું.

    ૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યા પછીનાં વર્ષોમાં, ખાસ કરીને ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં, સામાજિક અને રાજકીય વાતાવરણમાં ઝડપથી થતા ફેરફારોના અમે સાક્ષી બન્યા. આ ફેરફારોથી યુવાન છોકરા-છોકરીઓ માટે કેળવણીની તકો ઊભી થઈ. અમે આ મોજાના જ ભાગ હતા જેમને ઉચ્ચ શિક્ષણ સાઘારણ અથવા નહિવત્ ખર્ચમાં મળ્યું. હું એવા વિદ્યાર્થીઓમાંનો એક છું જે પરિવાર પાસે મર્યાદિત આર્થિક સાધનો હોવા છતાં ઉચ્ચ કક્ષાની શાળા તેમજ કૉલેજની કેળવણી પામી શક્યા. જે કેળવણી અને તાલીમ ભારતમાં અમને યુવાન વયે મળી એ અમેરિકામાં અમારા જીવનનો પાયો હતો. અમને ભારતમાં જે શિક્ષણ મળ્યું તેના માટે સાધનો ઊભાં કરવાની અને પ્રોત્સાહન આપવાની દીર્ઘદ્રષ્ટિ દાખવનાર મહાનુભાવોના અમે આભારી છીએ.

    ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં અમદાવાદ અને ભારતમાં જે જીવનનો અનુભવ થયો તે જીવનની પાયાની જરૂરિયાતોના અભાવે મુશ્કેલી ભરેલો હતો. ખાદ્યપદાર્થ, અનાજ, દૂધ, બળતણ, સ્વચ્છ પાણી, ગુણવત્તાભરી વૈદકીય સારવાર સહિત લગભગ બધી ચીજોની અછત હતી. પણ અમારામાંથી ઘણા એવું જીવન જીવતાં શિખ્યા જેમાંથી સખત મહેનત, કેળવણીને પ્રોત્સાહન અને અમારું તથા ભવિષ્યની પેઢીનું જીવન સુધરે એ માટે તત્કાલીન પરિસ્થિતિને બદલવાનો દ્રઢ નિર્ણય જેવા પાઠ શિખવા મળ્યા.અમે અમેરિકામાં રહેતા હતા ત્યારે સખત મહેનત, આગળ વધવાની અને જીવનમાં સફળ થવાની તમન્ના અમારાં ચાલકબળ બની ગયાં.

    પરદેશગમન

            મારો અમેરિકામાં અભ્યાસ, ત્યાંનું નિરીક્ષણ તથા અનુભવની શરુઆત થઇ ૧૯૬૩માં જ્યારે હું ઘણા અમેરિકન અધ્યાપકોને તથા બેંગલોર(અત્યારે બેંગલુરુ)ની ઇન્ડિયન ઇન્ટિટ્યુટ ઓફ સાયન્સમાં આવેલા અમેરિકામાં તૈયાર થયેલા અધ્યાપકોને મળ્યો. મને મુંબઇમાં અમેરિકાની ફાયરસ્ટોન ટાયર એન્ડ રબર કંપનીમાં અમેરિકનો સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્ચારે આ અનુભવમાં ઉમેરો થયો.

    પછી તો છેલ્લાં ૫૫ વર્ષથી અમેરિકાનાં અલગ અલગ રાજ્યોમાં રહેતાં રહેતાં અમેરિકા, અમેરિકન લોકો તથા આંતર રાષ્ટ્રીય લોકોનું નિરીક્ષણ કરવાનો અને તેમના અનુભવો જાણવાનો લાભ મળ્યો. મારો પરિવાર નસીબદાર હતો કે તેને અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં રહેવાનો, દુનિયાભરના લોકોને મળવાનો અને તેમની સાથે કામ કરવાનો લાભ મળ્યો. આ વાત છે પહેલાં વિદેશી વિદ્યાર્થી, પછી નોકરિયાત, પછી નોકરીએ રાખનાર અને પોતપોતાના ક્ષેત્રમાં ઝળકનાર ત્રણ બાળકોના માતપિતાના અમેરિકાના અનુભવની. મારા દુનિયાના લગભગ 25 દેશોના પ્રવાસ કરવાથી તથા ત્યાં કામ કરવાથી મળેલા અનુભવની રસદાયક વિગતો પણ તેમાં વણી લીધી છે.

    અમેરિકા સાથે પરિચય

    મારા અમદાવાદના રહેઠાણ દરમિયાન ૧૯૬૩માં મિકેનિકલ એન્જિનીયરીંગમાં બી.ઈ.ની ઉપાધિ મળી ત્યાં સુધીમાં અમેરિકા વિષે થોડીઘણી માહિતી કોર્નેલ યુનિવર્સિટીમાં ભણી અમદાવાદની એલ.ડી.એએન્જિનીયરીંગ કોલજમાં પાછા આવેલા એક અધ્યાપક પાસેથી મળેલી. તે ઉપરાંત અમેરિકન એમ્બેસીએ મોકલેલ સ્પાન નામનું માસિક અને કેટલાંક પુસ્તકો વાંચવાથી તેમજ અમેરિકા વિષેનાં થોડાંક પ્રદર્શનોમાંથી અમેરિકાનો વધારે પરિચય થયો. આ બધું બન્યું અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુધ્ધના સમયે જ્યારૈ તેઓ ભારત જેવા વિકસતા દેશોના યુવક-યુવતીઓનું હ્રદયપરિવર્તન કરી માનસિક બદલાવ લાવવા પ્રયત્ન કરતા હતા. મારાં ઈજનેરી કોલેજનાં વર્ષો દરમિયાન અમેરિકા અને તેની શિક્ષણપ્રણાંલી વિષે માહિતી એકઠી કરતો હતો કારણ કે મારે પણ વધુ અભ્યાસ માટે મારા બીજા મિત્રોની જેમ અમેરિકા જવું હતું. પણ મારી આર્થિક પરિસ્થિતિ એન્જિનીયરીંગની ઉપાધિ મળ્યા પછી  તરત જ અમેરિકા જવા જેટલી સારી ન હતી. પરંતુ 1963માં મિકેનિકલ એન્જિનીયરીંમાં બી.ઈ.ની ઉપાધિ મળ્યા પછી મને બેંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં આકર્ષક શિષ્યવૃત્તિ સાથે પાવર એન્જિનીયરીંગમાં માસ્ટર્સ કરવા માટે એડમિશન મળ્યું. આ એક સન્માન હતું કેમકે તે વખતે આઈઆઈએસસીમાં પોસ્ટગ્રેજ્યએશનમાં દરેક રાજ્યમાંથી એક ડિપાર્ટમેન્ટમાં એક જ વિદ્યાર્થી લેવામાં આવતો હતો.

    અમેરિકાનો સાચો પરિચય અને અનુભવ તો બેંગલોરમાં હતો ત્યારેજ થયો. કેમકે ત્યાં હું એવા અનેક અધ્યાપકોને મળ્યો જે અમેરિકા સહિત ઘણા દેશોની વિખ્યાત વિદ્યાપીઠોમાંથી પ્રવાસી અધ્યાપકો તરીકે તરીકે આવતા હતા અથવા અમેરિકન વિદ્યાપીઠમાં ભણીને ભારત પાછા આવ્યા હતા.

    ૧૯૬૦ની આસપાસનો સમયગાળો ભારત માટે ઉત્તેજનાપૂર્ણ હતો. સ્વતંત્ર ભારતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ નવા શૈક્ષણિક ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહી હતી. તેમાં આઇ.આઇ.એસસી.ના વિખ્યાત વૈજ્ઞાનિકો અગ્રેસર હતા..રોકેટ વિજ્ઞાની તરીકે પ્રખ્યાત થયેલા શ્રી સતીષ ધવન એ વખતે આઇ.આઇ.એસસી.ના ડાયરેક્ટર હતા. તદુપરાંત સી.વી.રામન, હોમી ભાભા, વિક્રમ સારાભાઇ જેવા પ્રસિધ્ધ વૈજ્ઞાનિકો આઇ.આઇ.એસસી.માં અવારનવાર આવતા અને પદાર્થવિજ્ઞાન, ઉડ્ડયનશાસ્ત્ર, અણુવિજ્ઞાન, અવકાશવિજ્ઞાન વિગેરે ક્ષેત્રોમાં સંશોઘનના વિકાસ માટે ઇન્સ્ટિટ્યુટની સગવડ તથા સાધનોનો ઉપયોગ કરતા. આમાંના કેટલાક અમેરિકા, ઇંગ્લેંડ, જર્મની જેવા પશ્ચિમી દેશોની મુલાકાત લેતા અને તેમના વક્તવ્યમાં પોતાના અનુભવોનું વર્ણન કરતા તથા આપણે તેમની પાસેથી શું શીખી શકીએ તે બતાવતા. તેમાં પણ અમેરિકાને દાખલારૂપ ગણાવતા. અમેરિકા જઇ આવેલા કેટલાક વિદ્યાર્થોઓ અને અધ્યાપકોએ મેળવેલી માહિતીથી આ જ્ઞાનમાં ઉમેરો થતો. આઇ.આઇ.એસસી.ની શિક્ષણપ્રણાલી શરૂઆતમાં બ્રિટીશ પ્રણાલીને અનુસરતી હતી. પણ સ્વતંત્રતા મળ્યા પછી તે પ્રણાંલી લગભગ અમેરિકા જેવી થઇ ગઇ. આઇ.આઇ.એસસી.માં ગાળેલાં બે વર્ષે અમેરિકા જઇને જાતઅનુભવ મેળવવાની મારી મનોકામના દ્રઢ કરી.

    આઇ.આઇ.એસસી.માંથી પાસ થયા પછી અમેરિકાની ફાયરસ્ટોન એન્ડ રબર કંપનીમાં કામ કર્યું. ત્યાં વહીવટ કરનાર કાં તો અમેરિકન હતા અથવા અમેરિકામાં તૈયાર થયેલા હતા. મારા જેવા યુવાન ઈજનેર માટે તો આ શિખવા માટેનો અમૂલ્ય અવસર હતો. ત્યાંનો કામ કરવાનો માહોલ 1960ના ભારતમાં મળવો મુશ્કેલ હતો. પગાર ઉપરાંત મેડિકલ ઇન્સ્યોરન્સ તથા ટ્રાન્સપોર્ટનો લાભ તો ખરો જ. પણ ત્યાંનો માહોલ વિચારવાની, સૂચનો કરવાની તથા ઉત્પાદનપધ્ધતિને સુધારવાની કે નવી પધ્ધતિ અંગે ચર્ચા કરવાની અને અમલમાં મૂકવાની સ્વતંત્રતા આપતો હતો. આ વાત મહત્વની હતી કેમકે એ વખતે મશીનરી કે તેના ભાગો આયાત કરવાની મુશ્કેલી હતી અને ઉત્પાદક કંપનીઓને દેશમાં મળતાં સાધનોનો ઉપયોગ કરવો પડતો હતો. વહીવટીતંત્ર ઇજનેરોને નવતર ઉપાયો શોધવા માટે ઉત્તેજન આપતું હતું

    ફાયરસ્ટોનમાં કામ કરવું એ અમેરિકા સાથેનો પરિચય હતો-એક અલગ સપાટીએ, એટલે કે અમેરિકા જેવા કામ કરવાના માહોલમા અમેરિકનો જોડે કામ કરવું અને શીખવુ.

    આ પશ્ચાતભૂમિ સાથે પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી(પેન સ્ટેટ)માં આસિસ્ટન્ટશીપ સાથે એડમિશન મળતાં હું ૧૪ જુન, ૧૯૬૭ના રોજ અમેરિકા પહોંચ્યો.


    ક્રમશઃ

  • આનંદો! પ્લાસ્ટિકની નોટોનો જમાનો આવી રહ્યો છે!

    નિસબત

    ચંદુ મહેરિયા

    જો બધું સમુસુથરું પાર પડશે તો આગામી ૨૦૨૭-૨૮ના નાણાકીય વરસમાં આપણા ચલણમાં કાગળની સાથે પ્લાસ્ટિકની નોટ આવી ગઈ હશે! રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિરેકટર્સની ભલામણના આધારે R B I એ કેન્દ્ર સરકારને પોલીમર બેન્ક નોટ(પ્લાસ્ટિકની નોટ) પ્રગટ કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત કરી હતી. ભારત સરકારે તાજેતરમાં  R B I ને રૂ.૧૦ અને રૂ.૨૦ ની ૧૦૦-૧૦૦ કરોડ એમ કુલ રૂ.૨૦૦ કરોડની પ્લાસ્ટિક નોટ છાપવાની મંજૂરી આપી છે. તેના અનુસંધાને R B I એ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે. એટલે દસ અને વીસ રૂપિયાની પ્લાસ્ટિકની નોટો આગામી વરસે બજારમાં આવી જવાની શક્યતા છે.

    પરદેશના રાષ્ટ્રપ્રમુખને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસ્તા પરની રેંકડીના ચા અને વડાપાઉં ખવડાવી બિલનું ડિજિટલ પેમેન્ટ કરાવડાવ્યું તે ઠાલો દેખાડો નહોતો. પરંતુ ભારતમાં યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ કેટલી હદે વિસ્તરી ચૂક્યું છે તેનો સંકેત હતો. ડિજિટલ ચુકવણામાં ભારત વિશ્વના અગ્રણી દેશ તરીકે ઉભરી રહ્યો છે અને ભારતનું આર્થિક પરિદ્રશ્ય બદલાઈ રહ્યું છે તેવું નિ:સંદેહ લાગે છે.

    પરંતુ કદાચ આ ઈન્ડિયાની વાસ્તવિકતા છે. ભારતનું વાસ્તવ જુદું છે. દેશના લાખો ગામડાઓમાં વસતા સામાન્ય લોકો, ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો, નાના દુકાનદારો , વિશાળ અસંગઠિત ક્ષેત્ર અને સ્થાનિક બજારોમાં આજે ય નાણાકીય લેવડદેવડ રોકડ રૂપિયામાં જ  થાય છે. ગામડાઓમાં સતત વીજળી મળતી નથી એટલે નિર્બાધ ઈન્ટરનેટ સેવા શક્ય ન હોવાથી ડિજિટલ પેમેન્ટ બાધિત થાય છે. વીજળીના અભાવે સર્વર ડાઉન હોય, ઈન્ટરનેટ ચાલતું ન હોય, મોબાઈલ ચાર્જ થયેલો ન હોય ત્યારે રોકડમાં વધુ વ્યવહાર થાય તે સહજ છે. ભલે નાણાંકીય વ્યવહાર ઓનલાઈન વધ્યો હોય પણ રોકડનો તે વિકલ્પ બની શક્યો નથી. બંને સાથે ચાલે છે એ હકીકત સ્વીકારીને પણ કહેવું પડે તેમ છે કે રોકડથી થતા નાણાના વ્યવહારો વધ્યા છે. ૨૦૨૫-૨૬માં રોકડ નાણાથી રૂ.૪૨.૮૬ લાખ કરોડના વ્યવહારો થયા હતા. એ વરસે રોકડની માંગમાં ૧૧.૫ ટકાની વૃધ્ધિ થઈ હતી. જે તેના ગયા વરસના ૫.૮ની સરખામણીએ લગભગ ડબલ છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલમાં કહેવાયું છે કે  ૨૦૨૩-૨૪માં હાલ વ્યવહારમાં છે તે કાગળની નોટોનો છપામણી ખર્ચ રૂ.૫૧૦૧.૪ કરોડ હતો. જે ૨૦૨૪-૨૫માં વધીને રૂ.૬૩૭૨.૮ કરોડ થયો હતો. ખરાબ, રદ્દી, ગંદી, ફાટેલી અને ફરી ઉપયોગમાં લઈ ન શકાય તેવી થઈ ગયેલી ૨૩.૮ અબજ નોટોનો નાશ કરવામાં આવ્યો હતો. રૂ. ૧૦ અને રૂ.૨૦ના સિક્કા કેન્દ્રિય બેન્કે બજારમાં મૂક્યા હતા પરંતુ તેની સ્વીકાર્યતા બહુ ઓછી છે. વળી ડિજિટલની તુલનામાં પણ રોકડ નાણામાં  લેવડદેવડ વધી છે એટલે R B Iએ પાતળા પ્લાસ્ટિક કે પાલીપ્રોપાઈલીન નામક વિશેષ સિન્થેટિક પ્લાસ્ટિકમાંથી બનતી પ્લાસ્ટિકની નોટો બનાવવાનું મન બનાવી લીધું છે. હાલમાં નાના મૂલ્યની રૂ. ૧૦ અને રૂ.૨૦ ની નોટો પ્રગટ થશે. તેના અનુભવો પછી આગળ વિચારવામાં આવશે. જોકે સરકારે હાલના લોકસભાના વર્ષાસત્રમાં જ ખાતરી આપી છે કે કાગળની નોટોને રદ કરવામાં નહીં આવે કે એના બદલે પ્લાસ્ટિક નોટ છે તેવું પણ કરવામાં નહીં આવે. બંને નોટો બજારમાં પ્રચલનમાં રહેશે.

    હાલની કાગળની નોટોને  અધિક સલામત, કુશળ અને ટકાઉ બનાવવાનો પડકાર R B I સમક્ષ હતો. તેણે જ પ્લાસ્ટિક નોટનો વિકલ્પ પસંદ કર્યો છે. પોલીમર કે પ્લાસ્ટિક બેન્ક નોટની કેટલીક ખાસિયતો કે વિશેષતાઓ છે. તે કાગળની નોટના વિકલ્પે ફાયદાકારક છે. પ્લાસ્ટિકની નોટનો પ્રારંભિક છપામણી ખર્ચ ઘણો વધારે છે પરંતુ કાગળની નોટની સરખામણીએ આ નોટ પાંચ થી સાત ગણી વધુ ટકાઉ છે. એટલે કાગળની નોટોનો દર વરસે થતો છપામણીનો ખર્ચ ઘટશે અને નાશ કરવાનું પ્રમાણ પણ ઓછું થતાં સરવાળે નાણાકીય ફાયદો થઈ શકે તેમ છે.

    હાલની કાગળની નોટોની ધૂમ નકલી નોટો બજારમાં ફરે છે. નકલી નોટો એક મોટી સમસ્યા છે. નકલી નોટો પર અંકુશ મૂકવા પ્લાસ્ટિકની નોટો પર સ્પેશ્યલ સિક્યોરિટી ફીચર જોડવાની વ્યવસ્થા છે. પારદર્શી વિંડો અને ઉન્નત સલામતી થ્રેડ તથા એડવાન્સ  હોલોગ્રાફિક ફીચર્સને કારણે પ્લાસ્ટિકની નોટોની નકલ કરવી લગભગ અશક્ય બનશે. તે સૌથી મોટો ફાયદો છે. પોલીમર નોટનો  સ્પર્શ સામાન્ય નોટ જેવો જ છે પરંતુ તે પાણીમાં પલળવા છતાં ગળતી નથી. સહેલાઈથી ફાટતી નથી. પાણી, ગંદકી, ભેજ અને ધૂળથી ખરાબ થઈ જતી નથી. એટલે દર વરસે અમુક નોટોનો નાશ કરવાનો સવાલ ઉભો થશે નહીં.

    પોલીમર બેન્ક નોટનો આ વિચાર કંઈ તાજેતરનો અને આપણા જ દેશનો નથી. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, રોમાનિયા અને વિયેટનામ સહિતના ૬૦ દેશોમાં પ્લાસ્ટિકની નોટ ચલણમાં છે. કેટલાક દેશોમાં ત્રણ દાયકાથી તે બજારમાં છે અને એકમાત્ર પ્લાસ્ટિકની નોટ જ ચલણમાં છે. આપણે સૌથી પહેલાં ૨૦૦૯માં પ્લાસ્ટિકની નોટનો વિચાર કર્યો હતો. ૨૦૧૨ અને ૨૦૧૭માં તે માટેની કેટલીક પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. પરંતુ છેક હવે  લગભગ દોઢ દાયકે કંઈક અંશે તે વિચાર અમલમાં મૂકાવાની સંભાવના ઉભી થઈ છે.

    ભારત સરકારના  નાણા મંત્રાલયની મંજૂરી અને ગ્લોબલ ટેન્ડર છતાં      પ્લાસ્ટિકની નોટને બજારમાં મૂકવાના વિચારને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. ગ્લોબલ ટેન્ડર પ્લાસ્ટિક નોટના સંપૂર્ણ નિર્માણનું માંગ્યું છે.પરંતુ હાલના નાણું છાપતા ચાર સરકારી પ્રેસ ( નાસિક, દેવાસ, મૈસુર, સાલબોની)ને પણ પ્લાસ્ટિક નોટ છાપવા તકનિકી રીતે સજ્જ કરવાની આવશ્યકતા છે. અલગ અલગ વાતાવરણ દેશના ભૂ ભાગોમાં નોટોનું પરીક્ષણ થવું જોઈએ. બેન્કોના વર્તમાન એટીએમ અને નોટો ગણવાના મશીનોને પ્લાસ્ટિક નોટો માટે અનુકૂળ બનાવવાંની પણ જરૂર રહેશે. પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવે તે પહેલાં તેનો લોકજાગ્રતિ માટે વ્યાપક પ્રચાર કરવો પડશે.જેથી લોકો તેના ઉપયોગ માટે સજ્જ બને. પાયલોટ્ પ્રોજેકટ તરીકે પહેલાં તેને ચોક્કસ વિસ્તારોમાં મૂકવી જોઈએ. તે પૂર્વે તેની ગુણવત્તાની ચકાસણી અને નિર્માણ કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ.

    ડિજિટલ નાણાકીય વ્યવહારો અને રોકડથી થતા વ્યવહારો બંને આજના ભારતની વાસ્તવિકતા છે. તેને એકબીજાના વિરોધી, સારા-નરસા કે ઉચ- નીચની નજરે જોવાની જરૂર નથી. કાગળની નોટને બદલે પ્લાસ્ટિકની નોટનું બજારમાં આવવું તે કોઈ સામાન્ય બદલાવ નથી. ભારતના ભાવિ આર્થિક વિકાસ માટે તે મહત્વનું પગલું છે. દેશને ન માત્ર આર્થિક દ્રષ્ટિએ નાણાની સલામતી અને ટકાઉ પણાની રીતે પણ પ્લાસ્ટિક નોટ બહેતર સાબિત થઈ શકશે તેમ સરકારનું અને અર્થવિદોનું કહેવું છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જઠરાગ્નિઃ ઉમાશંકર જોશી

    જઠરાગ્નિઃ ઉમાશંકર જોશી

    રચો, રચો અંબરચુંબી મંદિરો,
    ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
    મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
    રંગે ઉડાવો જળના ફુવારા!

    રચો, રચો ચંદનવાટિકાઓ,
    રાચો, રચી કંચનસ્થંભમાળા
    ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
    ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
    રચો ભલે!   અંતર-રૂંધતી શિલા
    એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?

    દરિદ્રની એ ઉપહાસલીલા
    સંકેલવા, કોટિક જીભ ફેલતો
    ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
    ખંડેરની ભસ્મકણી ના લાધશે!


    આસ્વાદઃ  દેવિકા ધ્રુવ

     

    ઉમાશંકર જોશીની આ ‘જઠરાગ્નિ’ કવિતા ઉપજાતિ છંદમાં ગૂંથાયેલ એક સોનેટ છે. આમ તો એ સીધી અને સરળ ભાષામાં લખાયેલ હોઈ એકદમ તરત જ સમજાઈ જાય છે. પણ તેમાં રહેલ કવિની સંવેદનાનાં વિવિધ પાસાંઓ અને તે સમયના સામાજિક ચિત્રો પ્રતિબિંબિત થયાં છે જે ખરેખર આસ્વાદ તરફ ખેંચી જાય છે. ઘણાં ભાવકોએ પોતપોતાની રીતે અનુભવીને આલેખન પણ કર્યું છે.

    આ કાવ્ય એક વાર વાંચી લીધા પછી એકદમ તરત, પહેલું તો વિસ્મય એ થાય છે કે, એક પ્રકૃતિપ્રેમી અને સંવેદનાઓને કોમળતાથી કવિતામાં કંડારનારા કવિ શ્રી ઉમાશંકરભાઈ એક આક્રોશ દર્શાવતું કાવ્ય પણ આપી શકે! ૧૯૧૧માં જન્મેલા આ મહાન કવિએ તેમની માત્ર ૨૧ વર્ષની ઉંમરે, એટલે કે ખૂબ શરૂઆતના વર્ષોમાં આ કાવ્ય લખ્યું છે.

    પ્રથમ પંક્તિ છેઃ “ રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!”  અહીં શબ્દેશબ્દમાંથી નીકળતા ટોનમાં-ધ્વનિમાં  વ્યંગાત્મક આક્રોશ છે. પણ માત્ર આક્રોશ નથી. હિત છૂપાયેલો ઠપકો છે, ચિંતાનો સૂર છે; જાણે વાત્સલ્યભરી માનો રોષભર્યો ભાવ છે. અને તે ભાવ કવિની અલગ અલગ શૈલીમાં આ કાવ્યમાં  વ્યક્ત થયો છે. એ કહે છે કે, મહેલ, મિનારા, ઝુમ્મર, ફુવારા, ચંદનવાટિકા, કંચનસ્થંભમાળા, ઘુમ્મટો, ક્રીડાંગણ, ચંદ્રશાળા…આહાહા… રચો, રચો..

    શરૂઆતમાં કવિએ ધનિકો જે કંઈ રચાવી શકે અને રચાવી રહ્યાં છે તેને વર્ણનાત્મક શૈલીમાં ગણાવ્યાં છે. તે દરેક રચાતી ઈમારત,જગા કે બાંધણીને વળી વિશેષણોથી નવાજી છે. દા.ત.અંબરચુંબી મંદિરો,ઊંચા મ્હેલ, મિનારા, સ્ફટિક મઢ્યાં ઝુમ્મરો, રંગીન ફુવારા,ચંદનની વાટિકાઓ, કંચનની સ્થંભમાળા, નવરંગી ઘુમ્મટો, ક્રીડાંગણ, ચંદ્રશાળા વગેરે વગેરે. અને તેમ કહેતાં કહેતાં ‘રચો, રચો ’ શબ્દને બે વાર ઘૂંટ્યો છે જે વ્યંગના ભાવને એકદમ ઘેરો ઉપસાવે છે.

    આગળની પંક્તિઓમાં  ‘રચો’ની સાથે ‘રાચો’ શબ્દ દ્વારા વર્ણાનુપ્રાસ અલંકાર સ્વાભાવિક રીતે ગૂંથાયો છે અને તેમાં રાચવાની ક્રિયાઓમાં અમીરોના વર્તન સામે આક્રોશી અને ચિંતાજનક સૂર સંભળાય છે. ભૌતિક વસ્તુઓમાંથી મળતી ક્ષણિક ખુશીઓમાં રાચો, એમાં મ્હાલો, ઉજવણીઓ કરો,આનંદો,આનંદો વગેરે..અભિવ્યક્તિમાં ભરેલો કટાક્ષ ભાવકનાં હૈયાંને અડતો જાય છે.

    આમ, સાદા, સીધા અને તરત જ સમજાઈ જાય તેવા શબ્દો થકી કવિએ કાવ્યાત્મક્તા સાથે ધાર્યું નિશાન તાક્યું છે. સમાજમાં ઊભા થયેલા અસમાનતાના વર્ગો સામેનો એક અવાજ સંભળાવ્યો છે.

    તે પછી નવમી પંક્તિથી કવિ ચેતવણી આપે છે. એ અમીરોને કહે છે કે, તમારે જેટલું અને જેવું ભવ્ય રચવું હોય તે રચજો પણ યાદ રાખજો કે આ બધા એકમેકના અંતરને રુંધતા પથ્થરો છે. સમાજમાં આ જે કંઈ ચાલી રહ્યું છે તે ગરીબોની ઉપહાસ લીલા છે, ભેદભાવની શિલા છે. સમય એ ક્યારેય સાંખી શક્શે નહિ. જ્યારે સમય ફરશે ત્યારે – કરોડો ગરીબોની આહ ઓકતી અને ભૂખથી રીબાતા માનવીઓના પેટની આગ પ્રજ્વલશે અને એવી ફેલાશે કે બધું જ એમાં ભસ્મીભૂત થઈ જશે. પછી એમાંથી આ ભવ્ય ઈમારતોની એક કણી પણ રહેશે નહિ. આ છેલ્લી બે પંક્તિઓ  તો એટલી ચોટદાર છે કે,વર્ષોથી મનમાં કોતરાઈ ગઈ છે.

    ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
    ખંડેરની ભસ્મકણી ના લાધશે!

    ઉમાશંકરભાઈ યુગદૄષ્ટા હતા. વાસ્તવિકતાનું ચિત્ર આપી કવિતાની રીતે, વર્ષો પહેલાં એમણે ચેતવણી આપી હતી; જાણે કે, ભવિષ્યવાણી ભાખી હતી કે કાળના ગર્ભમાંથી શું શું નીકળશે. એમણે તે સમાજના ઊભી થયેલી અસમાનતાના વિભાગો સામે, અન્યાય પામતા વર્ગો તરફ આંખ ઉઘાડવા વિશેનો પડકાર ફેંક્યો હતો.  તેમની એક બીજી કવિતા ‘પહેરણનું ગીત’માં પણ કંઈક આવો જ આક્રોશ સંભળાય છે કેઃ

    રામજી કાં રોટલા મોંઘા?
    લોહી માંસ આટલાં સોંઘાં?

    તો ‘ નીશીથ’ કાવ્યસંગ્રહમાં પણ કવિની પંક્તિઓ છે કે,

    કાં ભૂખ ને ભોજન  હેં વિખૂટાં?
    કાં બેય સહેજે મળી શકે ના?

    ગરીબોના પરસેવા અને અમીરોની પ્રસન્ન્તા! કવિની આ સંવેદના એટલી તીવ્રતાથી વ્યક્ત થઈ છે જે કોઈપણ વાચકના હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. ગરીબોની ઉપેક્ષા દર્શાવતું આ એક કટાક્ષથી ભરેલું સોનેટ છે. દલિત વર્ગની કવિતા તેમના સમયમાં ઘણી લખાતી. આ વિશે જરા જુદી રીતે કવિ શ્રી કરસનદાસ માણેકના શબ્દો છેઃ

    એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં

    પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા
    ચાંદીની ચાખડીએ ચડીને ભક્ત થયા’તા ભેળા..

    સુંદરમ્ ની પણ એક કવિતા યાદ આવે જઃ

    રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય.
    શેઠની મેડિએ થાળીવાજું,  નૌતમ ગાણાં ગાય..

    અ બધી કવિતાઓ સર્વકાલીન કવિતા. એ લખાય છે ત્યારે કવિતા એ યુગની હોય છે પણ કહેવાય છે કે, યુગ કવિને ઘડે છે અને કવિ એના યુગને રચે છે. સાચા કવિઓ  ધરતી પરના સૌંદર્યનાં ગીતો રચે છે તો એ સૌંદર્યને ભૂંસતા પરિબળો સામે અજંપો પણ ઠાલવે છે. વળી આ કવિ તો વિશ્વમાનવીના સ્વપ્નસેવી અને વિશ્વશાંતિના ચાહક અને આહવાહક કવિ છે. તેમના અંતરમાંથી ઊઠેલા પૂણ્યપ્રકોપનું આ કાવ્ય છે. આમ, ક્રાંતિની ચેતવણી આપતું ઉ.જો.નું આ ‘જઠરાગ્નિ’ કાવ્ય તેમના વિચારો, લાગણીઓ અને સમાજ તરફની જાગ્રત ચેતનામાંથી સર્જાયેલું  છે અને તેથી એ સર્વકાલીન કવિતાનું ઉત્તમ ઉદાહરણ છે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી..


    Devika Dhruva.-  ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • માણસને ખસેડીને રોબોટ્સની ગુલામી….

    રવીન્દ્ર પારેખ

    ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ ૬ થી ૧૨ ધોરણ દરમિયાન જ રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણે એ હેતુથી અમદાવાદની સીબીએસઈ અને મ્યુનિસિપલ સ્કૂલોમાં કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે. આ વિષય સ્કૂલોમાં પોલિટેકનિકના વિદ્યાર્થીઓ ભણાવશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ શિક્ષણ મળે તે હેતુથી ગવર્નમેન્ટ પોલિટેકનિકની ફેકલ્ટીઝ નક્કી કરવામાં આવેલી સ્કૂલોમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવશે અને કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપશે.

    આ કોર્સની જુદા જુદા કલાકોની અવધિ માટે ૩૩૦૦ થી ૬૩૦૦ રૂપિયા સુધીની ફી નક્કી કરવામાં આવી છે. અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલોમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને આ કોર્સ વિનામૂલ્યે કરાવવામાં આવશે. ગમ્મત એ છે કે અઢી વર્ષ કોરોનાને કારણે પ્રાઈમરી શિક્ષણ પૂરું થયું નથી. માસ પ્રમોશનથી સૌ પાસ થયા છે, લર્નિંગ લોસની ચિંતા નથી અને રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવવાની વાતો ચાલે છે. છેને કમાલ !

    બીજી તરફ નેચરલ ઇન્ટેલિજન્સની સમાંતરે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો મહિમા વધ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોમ્પ્યુટર સાયન્સની એવી શાખા છે કે જે એવાં મશીનોને વિકસિત કરે છે જે માણસની જેમ વિચારી શકે છે અને તેની જેમ કાર્ય કરી શકે છે. જેમ કે અવાજની ઓળખ, સમસ્યાનો ઉકેલ, શીખવું, વિચારવું, આયોજન… વગેરે. આમ તો આ માણસ કે પ્રાણી દ્વારા પ્રગટતી કુદરતી બૌદ્ધિકતાથી અલગ, એવી મશીનો દ્વારા પ્રગટતી બૌદ્ધિકતા છે. એમાં કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત રોબોટ કે સોફ્ટવેરને એવી રીતે વિકસાવવાની વાત છે જે બિલકુલ એ રીતે વિચારી શકે જેમ માનવમગજ વિચારે છે.

    ટૂંકમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એવાં મશીનો વિકસાવાઈ રહ્યાં છે જે પોતાના વાતાવરણની સાથે ઇન્ટરેક્ટકરીને જે ડેટા પ્રાપ્ત થાય છે તેના પર પોતાની બુદ્ધિથી નિર્ણય લે. જો માણસને કોઈ સમસ્યા ઊભી થાય તો તેનો ઉકેલ એઆઈ આપે એમ બને. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેવલપ માણસ કરશે અને માણસનું માર્ગદર્શન એઆઈ કરશે. અત્યારે તો એ પ્રારંભિક તબક્કામાં છે, પણ ટેકનોલોજીના જમાનામાં તે માણસથી આગળ નીકળે એમ બને.

    SIRI વિષે ઘણાં જાણતા હશે. તે એપલ દ્વારા પ્રસ્તુત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ – આભાસી સહાયક છે. તે મેસેજ મોકલી શકે છે, માહિતી મેળવી આપે છે, ફોન કરી શકે છે, ટાઈમર સેટ કરે છે, કેલેન્ડરમાં ઇવેન્ટ સેવ કરી શકે છે… વગેરે. એક રીતે તો આ વોઈસ એક્ટીવેટેડ કોમ્પ્યુટર છે. આવી જ ડિવાઇસ alexa fu google assitant પણ છે. બીજી પણ ઘણી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનક તરીકે અમેરિકન વૈજ્ઞાનિક જ્હોન મેકાર્થીનું નામ લેવાય છે, વિશ્ર્વને અને માનવ ઇતિહાસને બદલવામાં એઆઈ ઉપયોગી થશે એમ માનવામાં આવે છે. એઆઈમાં એક મશીનમાં ડેટા સેટને ફીડ કરવામાં આવે છે ને એ એવી સ્વ શિક્ષિત પેટર્ન બનાવે છે, જે માનવબુદ્ધિની જરૂર હોય એવા વિચાર, સમજણ, શિક્ષણ, સમસ્યા નિવારણ… જેવાં કામ કરે.

    ભારત એઆઈનો ઉપયોગ આર્થિક વિકાસ, ક્ષેત્રીય પ્રગતિ અને સમાવેશી વિકાસ અર્થે કરવા માંગે છે. એઆઈ વ્યૂહ રચનાઓ, સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવે છે અને વ્યવસાયને અપનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. ૨૦૧૭માં વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે એઆઈનો લાભ લેવા નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. ૨૦૧૮માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાગુ કરવા પાંચ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં. એમાં આરોગ્ય, કૃષિ, શિક્ષણ, સ્માર્ટ શહેરો અને તેનાં ઇન્ફ્રાસ્ટક્ચર્સ, સ્માર્ટ પરિવહનનો સમાવેશ થાય છે. પીએમ – એસટીઆઈએસીનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટેકનોલોજી માનવબુદ્ધિને પૂરક બનવા વિકસાવાઈ છે.

    આમ જોઈએ તો વિજ્ઞાન માત્ર, માનવસમુદાયને મદદ કરવા જ વિકસ્યું છે. જુદી જુદી ટેકનોલાજીએ માનવવ્યવહાર સરળ અને સાર્થક કરી આપ્યો છે. સરકારે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે મોટાં બજેટ ફાળવ્યાં છે ને પ્રજાને તેનો લાભ પણ મળ્યો છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ભવિષ્યમાં ખપમાં આવનારી અન્ય ડિવાઇસિસ માનવહિત માટે જ છે, પણ આપણે જાણીએ છીએ કે જેમ ટેકનોલોજીનો ઉપયોગ છે, એમ જ તેનો દુરુપયોગ પણ છે. કોઈ એવી પ્રાઈમરી સ્કૂલની કલ્પના કરીએ જેને શિક્ષણ સમિતિ પરિપત્રો મોકલે છે ને પત્રકોમાં વિગતો માંગે છે. એ સ્કૂલનો આચાર્ય પત્રકોમાં વિગતો ને આંકડાઓ મોકલે છે. બધી સ્કૂલો એમ જ ઓનલાઈન કે મેલથી પત્રકોમાં ડેટા મોકલે છે.

    સમિતિ અધ્યક્ષ પછી એ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલે છે ને એ જિલ્લાનો ડેટા રાજ્યને મોકલે છે ને રાજ્ય એ વાતે ખુશ થાય છે કે તેનાં પ્રાઈમરીના વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં આગળ છે. રાજ્ય આવી વાત ડેટા પરથી નક્કી કરે છે. બધાં આચાર્યોએ પ્રામાણિકતા દાખવી હોય ને સાચો ડેટા મોકલ્યો હોય તો વાંધો જ નથી, પણ અહીં કલ્પ્યો એવો એક આચાર્ય ધારો કે એવું નક્કી કરે કે કોઈ શિક્ષકને વર્ગમાં ભણાવવા મોકલવા જ નથી ને શિક્ષકોને કાલ્પનિક ડેટા તૈયાર કરવા જોતરાય ને એ જ ડેટા આચાર્ય મોકલી આપે ને સમિતિ પણ એ જ આગળ જવા દે તો રાજ્યને સાચું ચિત્ર પહોંચે એમ લાગે છે ?

    ડેટા તે શિક્ષણ નથી, પણ સમિતિને કે રાજ્યને તે ડેટા જ જોઈએ છે. સ્કૂલો પણ એ જ આપે છે જે જોઈએ છે ને આમ વર્ગમાં ભણ્યા વગર જ વિદ્યાર્થીઓ ખોટા ડેટા પરથી હોંશિયાર ગણાય એમ બને. શિક્ષણ વિભાગ પણ ઓન પેપર ‘ફેક્ટ્સ’ એન્ડ ફિંગર્સથી રાજી થાય એમ બને. કહેવાનું તાત્પર્ય એ છે કે આ વર્ગશિક્ષણનું સાચું ચિત્ર નથી. ટેકનોલોજીના ઉપયોગે એ સ્થિતિ સર્જી છે કે કોઈ સાવ ખોટું કરે ને વિગતો મોકલી આપે તો તે સાચું મનાય એવું જોખમ છે. આ ગંભીર બાબત છે.

    એટમની શોધ થઈ એમ જ એટમબોમ્બ પણ બન્યો ને તેણે જે પરિણામો આપ્યાં છે તેની અસરોથી આજે પણ માનવજાત મુક્ત નથી. ટેકનોલોજીએ માણસનો વ્યવહાર વધુ સરળ કરી આપ્યો ને સમય બચાવ્યો એ ખરું, પણ સમયનો વધુ સારો ઉપયોગ કરવાને બદલે માણસ ટેકનોલોજીમાં જ વધુ વ્યસ્ત રહેવા લાગ્યો. મોબાઈલે સંપર્ક સરળ કરી આપ્યો. પણ એમ થતાં ઘરના સભ્યો મોબાઈલમાં જ વધુ બિઝી થઈ ગયા. દુનિયા ઘરમાં આવી ગઈ ને ઘર દુનિયામાં ખોવાઈ ગયું.

    જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી એ વિચારવા જેવું છે કે આ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભારતને અનિવાર્યતા કેટલી છે ? અહીં ટેકનોલોજીનો કે વિજ્ઞાનનો વિરોધ નથી. વિદેશમાં ખપ છે માટે ભારતમાં પણ તે જરૂરી છે એમ માનીને તો આપણે બધું દાખલ કરી રહ્યાં નથીને તે ગંભીરતાથી વિચારવા જેવું છે. ઉદાહરણ તરીકે એ જોઈએ કે રોબોટિક્સ એન્જિનિયરિંગની અનિવાર્યતા કેમ ઊભી થઈ ? તો એનો જવાબ આ કે ઉદ્યોગો મેન પાવરને ઘટાડવા અને ઓટોમેટિક મશીનોનો ઉપયોગ વધારવા માંગે છે, એમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ઉપયોગી થાય એમ છે.

    ધારો કે બધા ઉદ્યોગો એનો ઉપયોગ વધારે છે તો માણસનું કામ મશીનો કરી લેશે ને એટલા માણસો ફાજલ પડશે. આખા દેશમાં અસહ્ય મોંઘવારી વચ્ચે માણસો બેકાર થાય ને કરોડો બેરોજગારોમાં વધારો થાય એ ઇચ્છવા જેવું ખરું ? એક બાજુ સરકાર રોજગારી ઊભી કરવામાં હાંફી જઈ રહી હોય ત્યાં ઉદ્યોગો મશીનો વધારીને માણસોને નવરા પાડે એ કોઈ રીતે ઉપકારક નથી તે સમજી લેવાનું રહે.

    આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હેતુ માણસનાી મદદમાં રહેવાનો જ છે, પણ જરા વિચારો કે રોબોટ્સ કે મશીનો માણસની બુદ્ધિ કરતાં વધુ વિચારતાં ને પરફેક્ટ નિર્ણયો લેતાં થાય તો કોઈ માણસનો ભાવ પૂછે એવું લાગે છે ? ક્ષતિરહિત અને ત્વરિત નિર્ણયો અનેક માનવ-કલાકોને વિકલ્પે, રોબોટ્સ કરતાં થાય તો માણસનો કોઈ ઉપયોગ જ ન રહે એમ બને. આવા ઉપયોગી ન રહેલા માણસોથી બેકારી વધશે કે ઘટશે? વધુ વિચારતાં એમ લાગે છે કે મશીનો માણસોને મર્યાદિત કરે તે પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે પુનર્વિચાર થવો જરૂરી છે.

    એમ લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની શોધ હોય તો પણ તેની ક્ષમતા બધી રીતે માણસને પાછળ પાડે તેવી છે. મશીનો માણસને ખસેડીને ગોઠવાઈ જાય ને માણસ કોઈ કામનો ન રહે એવું મશીનો કરે તો આઘાત ન લાગવો જોઈએ. કોણ જાણે કેમ પણ સ્વાર્થને કારણે સજીવ માણસ કરતાં આપણને નિર્જીવ મશીનો વધુ ઉપયોગી લાગવા માંડ્યાં છે. આમ પણ પ્રત્યક્ષ શિક્ષણનું સ્થાન ઓનલાઈન શિક્ષણે લેવા જ માંડ્યું છે. અત્યારે પણ ઓનલાઈન ભણાવે તો છે માણસો જ, પણ કાલે એવું બને કે મશીન જ ભણાવે. વર્ગમાં શિક્ષક નહીં, રોબોટ ભણાવે એવા દિવસો હવે દૂર નથી.

    જો મશીનો માણસને વિકલ્પે સક્રિય થાય તો બાળકોને ભણાવવાની જરૂર જ કેટલી રહે ? કામ તો મશીનો લાગવાનાં છે, તો માણસોને કે તેનાં બાળકોને ભણાવવાની જરૂર ખરી ? સો બાળકો ભણાવવા તેના કરતાં એક મશીનને ભણાવવું વધારે સહેલું નહીં ? ને એ જ સો માણસનું કામ કરી આપવાનું હોય તો ફેક્ટરીમાં કે અન્ય સંસ્થાઓમાં સો માણસો કરતાં એક મશીન વસાવવું જ વધારે સહેલું ને સસ્તું નહીં ? માણસોનો છેદ મશીનો જ ઉડાડે એવું પૂરું જોખમ છે. માણસો જોઈશે તો ખરા, પણ મશીનો ચલાવવા પૂરતાં જ, પછી તો મશીનો જ વધારાના માણસોને હાંકી કાઢશે. આમાં કોઈને અતિશયોક્તિ લાગે કદાચ, પણ આ સાવ અશક્ય પણ નથી.

    જરા વધારે અતિશયોક્તિ કરી જોઈએ ? જો મશીનો જ હાવિ થવાનાં હોય તો થોડી રાહત પણ થાય, જેમ કે ઓફિસો મશીનો સંભાળે, એમ જ જોખમી જગ્યાએ રોબોટ્સ પણ ગોઠવી શકાય. બધા જ દેશો એવું કરી શકે કે બધી સરહદો પર સૈનિકોને બદલે રોબોટ્સ જ ગોઠવી દે. સામસામે રોબોટ્સ લડે. કોઈ સૈનિક શહીદ જ ન થાય. થાય તો રોબોટ્સ થાય. ક્યાંય માણસો હોય જ નહીં કે જનમ-મરણના આંકડાથી ખાનાં ભરવાં પડે. રેલ આવે, ધરતીકંપ થાય, અકસ્માતો થાય, આગ લાગે કે પર્વતો તૂટી પડે, કોઈ માનવહાનિ જ નહીં ! કોઈ વળતર જ આપવાનું નહીં. માણસો જ નહીં, તો મોંઘવારી પણ શું બગાડી શકે ? સાંસદ રોબોટ્સ જ હોય, ચૂંટણી લડે રોબોટ્સ, પ્રચાર કરે રોબોટ્સ, મત આપે રોબોટ્સ, ચૂંટાય રોબોટ્સ, ડોક્ટરો રોબોટ્સ, દર્દીઓ રોબોટ્સ, નો વસતિ, નો વસ્તી ગણતરી, નો કોરોના, નો ડેથ. માણસ જ ન હોય તો કોરોના થાય કોને ? હસવું આવે છેને ! પણ, હસવા જેવું નથી.


    ભૂમિપુત્ર : ૧૬ મે, ૨૦૨૫

  • મારી આંતરયાત્રા : સુકાતા વહેણની કથા

    સુકાતા વહેણની કથા

     

    એક નદી, એક જંગલ અને અનેક અનકહી વાતો. 

     નદી પૂછે કિનારાને, “ક્યાં ખોવાયો સાથ?”
    પવન જવાબે બોલ્યો, “મૌન જ જીવનપાથ.”

     મૂળ લેખન ✍️:- copyright ©️ 2026 Nagpur  રાત્રે ૧:૩૦ 


    आज खो गई वोह नदी 

     

    आज खो गई है वोह नदी, कभी ख़ुश थी,

    लहरों की खिलखिलाहट अब अपने ही गर्त में डूबी है

     

    जिसकी सतह पर सूरज अपनी किरणें बिछाता था,

    आज वही सतह अपने ही प्रतिबिंब से डरकर सिमटी है

     

    उसकी गहराइयों में अब पानी नहीं

    बस जमे हुए सवालों की ठंडक है,

    जिन्हें कोई सुन भी नहीं सकता

     

    वह बहती तो है, पर बहाव में अब उद्देश्य नहीं,

    थक चुकी हैलगभग मर चुकी है,

    पर फिर भी अपने शरीर की अंतिम शक्ति से चलने की कोशिश करती है

     

    किनारों के सहारे को वह बारबार पुकारती है,

    पर जवाब में सिर्फ़ नापरवाही की हवा मिलती है

    यहीं कारण है कि उसके सारे शब्द

    धीरेधीरे भीतर घुलकर अंधेरे हो गए हैं

     

    अब तो रात में जब चाँद उतरता है पास,

    नदी उसे भी अपने रहस्य में झाँकने नहीं देती

    उसके भीतर रोशनी के लिए कोई जगह नहीं बची

     

    और फिर भी किसी शिकायत के बिना,

    वह अपनी खोई हुई आत्मा को साथ लिए बहती रहती है

    मानो अपने ही अस्तित्व का बोझ ढोने का

    यही अंतिम मार्ग उसे स्वीकार हो गया हो

     મારા ઉપરોક્ત લખાણનું સ્ત્રોત નાગપુર પાસે આવેલ તાડોબાના જંગલમાંથી મને મળ્યું હતું. ભારત પહોંચ્યાંના બીજા જ અઠવાડિયે અમે નાગપુર તાડોબાની મુલાકાત લીધી હતી. હરાભરા જંગલની વચ્ચે નદીના સૂકાતા વહેણે મારા મનને ઉદાસ કરી દીધેલ. જેને કારણે ઉપરોક્ત રચનાનો જન્મ થયો. હવે આ જ અછાંદસ રચનાનો ગુજરાતી અનુવાદ માણીએ.

    આ કવિતામાં નદી માત્ર નદી નથી. તે મનુષ્યના અંતરમનનું, એકલતાનું અને અંદરથી થાકી ગયેલા અસ્તિત્વનું પ્રતીક છે. જો તેનો માહોલ તાડોબાના જંગલ સાથે જોડવો હોય, તો ગુજરાતી રૂપાંતરમાં જંગલની નિઃશબ્દતા, સૂકાતી નદી અને પ્રકૃતિની વેદનાને પણ સ્પર્શી શકાય.

     આજે ખોવાઈ ગઈ છે એ નદી…

     આજે ખોવાઈ ગઈ છે એ નદી, કદી ખુશ હતી,
    તેની લહેરોની ખિલખિલાટ હવે પોતાના જ ગર્તમાં ડૂબી ગઈ છે.

     

    જેની સપાટી પર સૂરજ કિરણોની ચાદર પાથરતો હતો,
    આજે એ જ સપાટી પોતાના પ્રતિબિંબથી ડરીને સંકોચાઈ ગઈ છે.

     

    તેની ઊંડાઈઓમાં હવે પાણી નથી—
    માત્ર થીજી ગયેલા પ્રશ્નોની ઠંડક છે,
    જેને સાંભળનાર પણ કોઈ નથી.

     

    તે વહે તો છે,
    પણ હવે તેના વહેણમાં કોઈ હેતુ નથી,
    થાકી ગઈ છે—જાણે મરી જવા જેટલી થાકી ગઈ છે,
    છતાં પોતાના અસ્તિત્વની છેલ્લી શક્તિ ભેગી કરીને
    આગળ વધવાનો પ્રયત્ન કરે છે.

     

    કિનારાના સહારાને તે વારંવાર પોકારે છે,
    પણ જવાબમાં માત્ર ઉપેક્ષાની પવન મળે છે.
    કદાચ એટલા માટે જ તેના બધા શબ્દો
    ધીમે ધીમે અંદર જ ઓગળી અંધકાર બની ગયા છે.

     

    હવે તો રાત્રે જ્યારે ચંદ્ર તેની નજીક ઉતરે છે,
    ત્યારે પણ નદી તેને પોતાના રહસ્યોમાં ઝાંખવા દેતી નથી.
    તેના અંતરમાં હવે પ્રકાશ માટે કોઈ જગ્યા બચી નથી.

     

    અને છતાં…

    કોઈ ફરિયાદ વગર,
    પોતાની ખોવાઈ ગયેલી આત્માને સાથે લઈને
    એ સતત વહેતી રહે છે—
    જાણે પોતાના અસ્તિત્વનો ભાર વહન કરવો જ
    તેનો અંતિમ સ્વીકાર બની ગયો હોય.


    તાડોબાના જંગલમાં ખોવાયેલી નદી — એક આંતરયાત્રા

     તાડોબાના જંગલમાં ફરતાં ઘણીવાર એવું લાગે છે કે પ્રકૃતિ માત્ર વૃક્ષો, પ્રાણીઓ અને પાણીનું નામ નથી. તે આપણા મનના અરીસા જેવી છે. જંગલની વચ્ચે વહેતી કોઈ નદી જો શાંત હોય, તો એ શાંતિમાં પણ અસંખ્ય કથાઓ છુપાયેલી હોય છે.

    એક સાંજ તાડોબાના ઘન જંગલમાં, જ્યારે સૂર્ય વૃક્ષોની પાછળ ધીમે ધીમે ઓગળી રહ્યો હતો, ત્યારે એક નદીના કિનારે ઉભા રહીને મને લાગ્યું કે આ નદી માત્ર પાણીનો પ્રવાહ નથી. તેના અંદર કોઈ ઊંડી વ્યથા છે. જાણે તે વર્ષોથી કંઈક કહેવા માગે છે, પણ કોઈ સાંભળતું નથી.

    કદી આ નદીના કિનારે વાઘ પાણી પીવા આવતા હશે, ચિત્તળનાં ટોળાં દોડતાં હશે, પક્ષીઓના કલરવથી આસપાસનું વાતાવરણ ગુંજી ઊઠતું હશે. પરંતુ સમયના વહેણે ઘણું બદલી નાખ્યું છે. નદી આજે પણ છે, પણ તેની ખુશી ક્યાંક ખોવાઈ ગઈ છે.

    આ નદી આપણને માણસોની પણ યાદ અપાવે છે. જીવનમાં ઘણીવાર આપણે બહારથી સામાન્ય દેખાઈએ છીએ, પણ અંદરથી પ્રશ્નો, દુઃખ અને એકલતાનો ભાર વહન કરતા હોઈએ છીએ. બહારથી વહેતા રહીએ છીએ, પણ અંદરથી સૂકાઈ રહ્યા હોઈએ છીએ.

    તાડોબાના જંગલની નિઃશબ્દતા એ દિવસે મને શીખવી ગઈ કે પ્રકૃતિની દરેક વસ્તુ જીવંત છે. નદી બોલતી નથી, છતાં તેની વ્યથા સાંભળી શકાય છે. વૃક્ષો ચાલતા નથી, છતાં તેમની ધીરજ શીખી શકાય છે. અને જંગલ મૌન છે, છતાં તે જીવનનું સૌથી ઊંડું સંગીત ગાય છે.

    કદાચ આ નદી સંપૂર્ણપણે ખોવાઈ નથી. કદાચ તેને માત્ર વરસાદની રાહ છે. કદાચ તેને કોઈ સાંભળનારની રાહ છે. કદાચ તેને ફરીથી પોતાને શોધવાની રાહ છે.

    જેમ તાડોબાના સૂકા જંગલમાં એક વરસાદ આખું દૃશ્ય બદલી શકે છે, તેમ જીવનમાં આશાનો એક નાનો કિરણ પણ અંદરના સૂકા પ્રદેશને ફરી હરિયાળો બનાવી શકે છે.

    એટલે જ આ નદીની કથા માત્ર નદીની કથા નથી.

    તે દરેક એવા મનની કથા છે,

    જે બહારથી વહેતું રહે છે,

    પણ અંદરથી કોઈ વરસાદની રાહ જુએ છે.


    © પૂર્વી મોદી મલકાણ – યુ.એસ.એ  purvimalkan@yahoo.com
  • હૃદયતપની અમરવેલ

    ભરત સાંગાણી

    વિશાળ અને અનંત જણાતા રણપ્રદેશની મધ્યમાં, જ્યાં ક્ષિતિજ રેખા રેતીના ઢૂવાઓ સાથે ભળી જતી હતી, ત્યાં એક વિચિત્ર શાંતિ પ્રસરેલી હતી. આ રણ કોઈ ભૌગોલિક સ્થળ નહોતું, પણ કદાચ મનુષ્યના અંતરની શૂન્યતાનું પ્રતીક હતું. અહીં અજીત નામનો એક મુસાફર પોતાના જીવનના માર્ગો શોધતો ભટકી રહ્યો હતો. અજીત તર્કનો માણસ હતો, વિજ્ઞાનનો ઉપાસક હતો. તેના માટે દુનિયા એટલે માત્ર જે આંખે દેખાય અને જેને માપી શકાય તે જ સત્ય હતું. પણ આ રણની તરસ તેને કશુંક એવું શોધવા મજબૂર કરી રહી હતી જે તેના ગણિતમાં ક્યાંય બેસતું નહોતું.

    ત્યાં જ, તેની મુલાકાત અભિજિત સાથે થઈ. અભિજિત નાનકડા બાળક જેવો હતો, પણ તેની વાણીમાં યુગોનું જ્ઞાન અને આંખોમાં બ્રહ્માંડની ગહનતા હતાં. અભિજિત પાસે એક નાનકડું ઓટલા જેવું સ્થાન હતું, જ્યાં તેણે એક અત્યંત સુંદર અને નાજુક શ્વેત પુષ્પ રોપ્યું હતું. આ પુષ્પનું નામ તેણે રૂક્ષ્મણી રાખ્યું હતું. અજીતને આશ્ચર્ય થયું કે આટલા નિર્જન રણમાં એક છોડ પાછળ આટલી મહેનત કેમ?

    અભિજિતે હળવા સ્મિત સાથે કહ્યું, “અજીતભાઈ, દુનિયામાં હજારો ગુલાબ હશે, પણ આ રૂક્ષ્મણી મારા માટે અદ્વિતીય છે. મેં તેને મારા શ્વાસથી સીંચ્યું છે, મેં તેને મારા મૌનથી સાંભળ્યું છે. જ્યારે તમે કોઈને તમારો સમય આપો છો, ત્યારે તે વસ્તુ માત્ર પદાર્થ મટીને સંબંધ બની જાય છે. તપની શરૂઆત પણ અહીંથી જ થાય છ, જ્યારે સાધક અને સાધ્ય વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય.” અજીતને આ વાત ગળે ન ઉતરી. તેણે પૂછ્યું, “પણ આ તો માત્ર એક છોડ છે, તેનું આટલું જતન કેમ?”

    ત્યારે અભિજિતે તેને પ્રેમ અને સમર્પણની ગૂઢ વાતો સમજાવવા માટે ભૂતકાળનાં પૃષ્ઠો ખોલ્યાં. તેણે વાત માંડી મહાન ભક્ત નામદેવની. નામદેવ એટલે એવું વ્યક્તિત્વ જેમણે પથ્થરની મૂર્તિમાં પ્રાણ જોયા હતા. નામદેવ કલાકો સુધી વિઠ્ઠલ સામે બેસી રહેતા. એ સમયે વિદ્વાન અને શાસ્ત્રજ્ઞાની પુરંદર ત્યાંથી પસાર થયા. પુરંદર પાસે વેદ-પુરાણોનું અગાધ ભાથું હતું, પણ હૃદયમાં પ્રેમની સૂકી નદી હતી.

    પુરંદરે અટ્ટહાસ્ય કરતા કહ્યું, “અરે નામદેવ! તું આ જડ પથ્થર સામે કેમ રોદણાં રડે છે? જ્ઞાન મેળવ, આત્મા અને પરમાત્માના અદ્વૈતને સમજ. આ મૂર્તિ તને શું આપવાની?”

    નામદેવે શાંતિથી જવાબ આપ્યો, “પુરંદરભાઈ, જ્ઞાન એ દીવો છે જે રસ્તો બતાવે છે, પણ તપ એ ચરણ છે જે મંજિલ સુધી પહોંચાડે છે. તમે જેને પથ્થર કહો છો, એમાં મને મારા પ્રભુનું હૃદય ધબકતું સંભળાય છે. જ્યારે હું આ રૂક્ષ્મણી જેવી નાજુક ભક્તિને હૃદયમાં સ્થાપું છું, ત્યારે આખી સૃષ્ટિ વિઠ્ઠલમય બની જાય છે.”

    અભિજિતે આગળ બીજી વાત કરતાં કહ્યું, એકવાર નામદેવ વનમાં સાધના કરતા હતા. ત્યાં એક શ્વાન (કૂતરો) આવ્યો અને નામદેવના ભાણામાંથી રોટલો લઈને ભાગ્યો. જ્ઞાની પુરંદર પણ ત્યાં હાજર હતા. નામદેવ તો રોટલો છીનવવાને બદલે ઘીની વાટકી લઈને તે કૂતરા પાછળ દોડ્યા અને કાકલૂદી કરવા લાગ્યા, “હે પાંડુરંગ! ઊભા રહો, કોરો રોટલો ગળે વળગશે, જરા ઘી તો લગાવવા દો!”

    આ દૃશ્ય જોઈ પુરંદર સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે જે સત્ય તેઓ પોથીઓમાં શોધતા હતા, તે નામદેવે સમર્પણની એક પળમાં મેળવી લીધું હતું. અભિજિતે અજીત સામે જોઈને કહ્યું, “અજીત, પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તે ભક્તિ બને છે. ત્યાં ‘હું’ અને ‘તું’ મટી જાય છે.”

    તપ-ભક્તિ માત્ર બહિર્મુખ નથી હોતી. તે અંતર્મુખ પણ હોય છે. આ સમજાવવા માટે અભિજિતે નિરુપમાની વાત છેડી. નિરુપમા એક એવી તપસ્વીની હતી જે મૌન રહીને મંદિરના ખૂણામાં દીવા સાફ કરતી. તેની સેવાની કોઈને ખબર નહોતી. એક રાત્રે ભયંકર તોફાન આવ્યું. વાવાઝોડાએ મોટા વડલાઓને પણ ઊખેડી નાખ્યા. ગામના લોકો જીવ બચાવવા ભાગ્યા, પણ નિરુપમા મંદિરના ગર્ભગૃહના દ્વાર પકડીને બેસી રહી. તેની ચિંતા પોતાનો જીવ બચાવવાની નહોતી, પણ પેલા અખંડ દીવાને બુઝાવા ન દેવાની હતી.

    તેણે કહ્યું હતું, “જો આ દીવો બુઝાઈ જશે, તો સૃષ્ટિના અંધકારને દૂર કરવા કયો સૂર્ય આવશે? મારા માટે આ જ્યોત એ જ મારો પરમાત્મા છે.” નિરુપમાની આ મૌન આરાધના એ સાબિતી હતી કે ભક્તિ માટે શબ્દોની જરૂર નથી, માત્ર અડગ નિશ્ચય જોઈએ.

    અભિજિત અને અજીત રણમાં આગળ વધ્યા. રસ્તો લાંબો હતો, પણ વાતો એવી હતી જે સમયને થંભાવી દેતી હતી. રસ્તામાં તેમને અનિલ અને અભિષેક નામના બે મુસાફરો મળ્યા. તેઓ બંને દુન્યવી સફળતાની પાછળ દોડતા હતા. તેઓએ અભિજિતને પૂછ્યું, “અમે સુખ ક્યાંથી ખરીદી શકીએ?”

    અભિજિતે પોતાના વહાલા સફેદ પુષ્પ રૂક્ષ્મણીને મનોમન યાદ કરી, હસતાં હસતાં કહ્યું: “સુખ બજારમાં નથી મળતું, તે સંબંધોની માવજતમાં મળે છે. તમે જેની પાછળ તમારો અંશ ખર્ચો છો, તે જ તમને પૂર્ણતા આપે છે. ભક્તિમાં પણ એવું જ છે. તમે ભગવાનને શું અર્પણ કરો છો એ મહત્વનું નથી, પણ કયા ભાવથી અર્પણ કરો છો એ મુખ્ય છે.”

    વાતોનો આ મર્મ હવે વધુ ગહન બનતો ગયો. અભિજિતે સમજાવ્યું કે નાના રાજકુમારની જેમ તે પણ એક ગ્રહથી બીજા ગ્રહ એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં મુસાફરી કરી રહ્યો છે. તેણે અજીતને કહ્યું, “જુઓ, આ રણ સુંદર છે કારણ કે તે ક્યાંક ને ક્યાંક મીઠા પાણીનો કૂવો છુપાવીને બેઠું છે. મનુષ્યનું શરીર પણ એક રણ છે, અને હૃદયમાં રહેલો પ્રેમ એ મીઠા પાણીનો કૂવો છે. પણ લોકો બહારના ઝાંઝવાના જળ પાછળ દોડે છે.”

    અજીતની આંખો હવે ભીની થવા લાગી હતી. તેને સમજાયું કે તે જે જ્ઞાન અને તર્કના અહંકારમાં રાચતો હતો, તે કેટલું ખોખલું હતું. તેણે પૂછ્યું, “તો શું મારે પણ આ રૂક્ષ્મણી જેવા પુષ્પની શોધ કરવી જોઈએ?”

    અભિજિતે કહ્યું, “પુષ્પ શોધવાનું નથી હોતું, તેને ખીલવવાનું હોય છે. તમારા ભીતર જે કરુણા છે, જે નિઃસ્વાર્થ સેવા છે, તે જ તમારું પુષ્પ છે. જ્યારે તમે કોઈ અજાણ્યા માટે આંસુ પાડો છો, જ્યારે તમે કોઈ ભૂખ્યાને પોતાનો રોટલો આપો છો, ત્યારે તમે નામદેવ બનો છો. જ્યારે તમે જગતના ઘોંઘાટમાં પણ ઈશ્વરનો સાદ સાંભળો છો, ત્યારે તમે નિરુપમા બનો છો.”

    સમય સરકતો રહ્યો. આકાશમાં તારા ખીલી ઊઠ્યા હતા. અભિજિતે પોતાની વિદાયનો સંકેત આપ્યો. તે પોતાની દુનિયામાં પાછો ફરવાનો હતો, જ્યાં તેનું રૂક્ષ્મણી પુષ્પ તેની રાહ જોઈ રહ્યું હતું. અજીત ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તે ફરી એકલો પડી જશે.

    અભિજિતે તેને ગળે લગાવતા છેલ્લો મંત્ર આપ્યો, “યાદ રાખજે અજીત, સૌથી કિંમતી વસ્તુઓ આંખોથી દેખાતી નથી. તે હૃદયના સ્પર્શથી અનુભવાય છે. જ્યારે તું રાત્રે એકચિત્તે તપની મુદ્રામાં ધ્યાન ધરી આકાશ સામે જોઈશ, ત્યારે તને બધા તારામાં મારું સ્મિત દેખાશે. અને જ્યારે તું તારા હૃદયના ઊંડાણમાં ઊતરીશ, ત્યારે તને ત્યાં તારો પોતાનો ‘વિઠ્ઠલ’ મળશે. ભક્તિ એટલે વિયોગમાં પણ મિલનનો અનુભવ.”

    અભિજિત ધીમે ધીમે તેજપુંજમાં વિલીન થઈ ગયો. રણમાં હવે અજીત એકલો હતો, પણ તેનું એકલવાયાપણું હવે શૂન્યતા નહીં, પણ એક દિવ્ય ભક્તિથી ભરેલું હતું. તેણે જોયું કે રણની રેતીમાં પણ હવે નાના નાના અંકુર ફૂટી રહ્યાં હતાં. તેને સમજાઈ ગયું હતું કે સમર્પણ એ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર છે.

    દરેક મનુષ્ય એક રાજકુમાર છે, જે પોતાની રૂક્ષ્મણી એટલે કે પોતાનાં આંતરિક શાંતિ અને પ્રેમની શોધમાં ભટકે છે અને જે દિવસે તે અહંકાર છોડીને ભક્તિના માર્ગે ડગ માંડે છે, તે દિવસે આખું બ્રહ્માંડ તેની સાથે સંવાદ કરવા લાગે છે. નામદેવ, નિરુપમા અને પુરંદરના પાત્રો દ્વારા અજીતને જે સત્ય સમજાયું તે એ હતું કે, જીવન એ માત્ર જીવવાની પ્રક્રિયા નથી, પણ પરમાત્માના ચરણોમાં એક સુગંધિત પુષ્પ બનીને અર્પણ થઈ જવાની કળા છે.

    રણની એ રાત શાંત હતી, પણ અજીતના હૃદયમાં ભક્તિના અનેક સૂર ગુંજી રહ્યા હતા. તેણે રણની રેતીમાં નતમસ્તક થઈને પ્રણામ કર્યા, કારણ કે હવે તેને રેતીના દરેક કણમાં તેના આરાધ્ય દેખાઈ રહ્યા હતા.

  • લહેરાતો જા | હું

    લહેરાતો જા

                  -રક્ષા શુક્લ

     

    ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.
    તું યશગાથા, તું મુક્તિ અને તું ત્રિરંગ તાલે ગાતો જા.

     

    તું કેસરવર્ણી કાયાથી હુંકાર કરે કે રણબંકાઓ દિવસ-રાત અહીં જાગે છે,
    જ્યાં સારનાથનો સાવજ ગર્જી કરે ત્રાડ તો દિશા થરથરે, દુશ્મન દોડી ભાગે છે.

    તું બલિદાન, તું શૌર્ય અને તું ત્યાગ મહીં મદમાતો જા.
    ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.

     

    તું શુભ્ર, શ્વેત ઉજ્જ્વળતા ઓઢી, સતની કેડી કંડારીને સૂર્ય સમું અજવાળે છે,
    ગાંધીની ખાદી અંગ લપેટી, સહજ સાદગી, પુનિત પ્રેમથી દ્વેષ-કટુતા ચાળે છે.

    તું શુદ્ધ સમર્પણ, શાંત સરવરે મલયાનિલમાં ન્હાતો જા.
    ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.

     

    તું છમ્મલીલું જો કરે સ્મિત ત્યાં મ્હેક મ્હેક માટી થઈ માતૃભૂમિને પણ શણગારે છે,
    સૌ ધર્મચક્ર લઈ નવી દિશાએ નવા ગુંથીશું ગાન પછી ખુશહાલી દ્વારે દ્વારે છે.

    તું હરિયાળી, ગતિશીલ કર્મ, ગૌરવ ઉન્નત, હરખાતો જા.
    ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.

     

     

     હું

    – –રક્ષા શુક્લ

     

    અશ્વ હું, અસવાર હું.
    સારથી ને સાર હું.

    પાંચ. તોયે પાંગળી,
    હાર હું, વ્યાપાર હું.

    દ્વારિકા મનની મળે,
    હું સુબો, સરકાર હું.

    કેદ પથ્થરની ચણો,
    બે મિનીટમાં બ્હાર હું.

    મૌન માથું ઊચકે,
    ત્યાં બનું હુંકાર હું.

    જ્યાં ઢળી, ઢળતી રહી,
    ક્યાં હતી આકાર હું !

    મા બની હું થનગનું,
    છું નવે અવતાર હું.