વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા | જીવવાનું એક કારણ નીકળ્યું

    (૧)  ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા – અમૃત ‘ઘાયલ’

    ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
    કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

    સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
    જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

    તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
    મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

    એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
    એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

    મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
    કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

    કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
    આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

    હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
    ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.


    (૨) જીવવાનું એક કારણ નીકળ્યું – કૈલાસ પંડિત

    જીવવાનું એક કારણ નીકળ્યું.
    ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું.
    મેં કફન માનીને લીધું હાથમાં,
    એ સુખી માણસનું પહેરણ નીકળ્યું.

    તરબતર આંખોય પ્યાસી નીકળી,
    રાતરાણીની ઉદાસી નીકળી.
    તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા,
    ચાંદને જોવા અગાસી નીકળી.

    એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
    છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી.
    વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે,
    થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.

    ચાંદનીની રાહ એ જોતું નથી,
    આંગણું એકાંતને રોતું નથી.
    રાત પાસે આગિયા પણ હોય છે,
    એકલું અંધારું કાંઈ હોતું નથી.

  • કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : પ્રકરણ ૩ જું

    કર્ત્તા : નંદશંકર તુળજાશંકર

    જ્યારે કામજવરથી પીડાયલે કરણ રાજા પોતાનું ધારેલું કામ પાર પાડવાના વિચારમાં બીછાના ઉપર તરફડીયાં મારતો હતે તે વખતે બહાર રાતનો અમલ ઉતરીને રાત તથા દહાડાની મર્યાદાની વચ્ચેનો તકરારી વખત થયો હતો. આકાશ કેવળ સ્વચ્છ હતું. અરૂણે સોનાની કુંચીવડે પૂર્વ દિશાનો મોટો દરવાજો ઉઘાડ્યો, અને સુતી દુનિયાને જાહેર કીધું કે હવે સૌને કામે વળગવાનો વખત થયો છે. અરૂણ સારથી આવ્યો એટલે તેની પાછળ સૂર્યનારાયણ રથમાં બેસીને જલદીથી આવશે એવું જાણીને રસ્તામાં રમતા છોકરા મહેતાજીને આવતા જોઈ નાસી જાય છે તેમ તારાઓ એક પછી એક પોતપોતાનું મ્હોડું સંતાડવા લાગ્યા, ચંદ્ર તો તે પહેલાં અસ્ત થયલે જ હતો. શુક્રનો તારો જેને વિષે ગામડીયા લોકો કહે છે કે ચંદ્રમા મુઆ પછી એ તેની જગો સાચવશે, તે થોડી મુદત સુધી હિંમત રાખી ઉભો રહ્યો, પછી તે પણ જલદીથી ભરાઈ ગયે. સૂર્ય દેવતાને આદરમાન આપવાને પૂર્વ તરફ વાદળામાં ઇંદ્ર રાજાએ ઘણા ભભકાદાર રંગના સાથીયા પૂર્યા. તળાવોમાં કમળનાં ફુલ ખીલી તેઓએ પોતાના સૂર્ય પિતાને મળવાને પોતાનાં મ્હોડાં પૂર્વ તરફ ફેરવ્યાં. કુમુદિનીનાં ફુલની પાંદડી બીડાઈ જઈ નીચે નમી ગઈ. પોતાની પ્રિયાને ખીલેલી જોઈ ભમરાઓ કમળની આસપાસ ફરી ગુંઝાગુંઝ કરવા લાગ્યા. ચંપા, ચંબેલી, સેવતી, માલતી, વગેરે કુલોમાંથી મંદ મંદ સુગંધ શીતળ વાયુની સાથે ઘસડાઈ આવીને નાસિક ઈંદ્રિયને મગ્ન કીધી. ઠેકાણે ઠેકાણેથી દિવાકરના ચોપદાર કુકડાઓએ નેકી પોકારી. ચકલીઓ માળામાંથી નીકળી ચીંચીં કરવા લાગી. કાગડાઓ કાકા બોલવા લાગ્યા. પાંજરામાંનાં પોપટ, મેના ઈત્યાદિ પક્ષીએાએ મીઠા બોલથી પોતાના ધણીને જગાડ્યા; અને વાડીઓ તથા ઝાડીઓ સુંદર નાદવાળાં પક્ષિઓના શબ્દથી આનંદકારક થઈ રહી, દેવસ્થાનોમાં દેવને જગાડવાને નેાબત તથા શંખ વાગવા લાગ્યા. શહેરમાં ગરીબ લોકોનાં ઘરમાં ઘંટીનો ઘોર તથા તેની સાથે દળનાર બાયડીઓને શોર થઈ રહ્યો. કેટલાએક સવારે,સુતા સુતા પ્રભાતિયાં તથા બીજાં ભજન ગાવા મંડ્યા. છીપા, સોની, લુહાર કંસારા વગેરે ઉદ્યમી લોકોએ તે વખતે હથોડા ઠોકી શહેરના તે ભાગને ગજાવી મુક્યો. કોઈ કોઈ ઘરમાં એક અથવા વધારે બાયડીઓ બેસીને ઘરમાંના લાંબી મુદત ઉપર મુએલા માણસને વાસ્તે અમથો રાગડો કાઢી જૂઠું રડવા લાગી. તેઓની આંખ તેએાના મ્હોંને જવાબ દેતી ન હતી, કોઈ કોઈ ઘરમાં દહીં વલોવવાનો શબ્દ સંભળાતો હતો. રાજાના મહેલમાં ચોઘડીયાં વગેરે બીજાં વાજીંત્રો વાગી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ ઓટલે બેસી પાનાં હાથમાં રાખી ધુણતા ધુણતા આગલા દહાડાનું શીખેલું ફરીથી વાંચી જતા હતા. વાણિયાના છોકરા પોતાના અક્ષર ઠેરવવાને વાસ્તે દોપીસ્તાં લખવા બેઠા હતા. ગાય, ભેંસ ઈત્યાદિ પશુઓ ગળાના બંધ છુટ્યાથી આનંદમાં ગોવાળિયાની પાછળ ચરવા જતાં હતાં. કુળવંતી, સારા સ્વભાવની બાયડીઓ ઉઠી પોતાનાં ઘર વાળીઝાડી પેતાનાં છોકરાં તથા ધણીને સુખ આપવાનાં સાધન કરવામાં પડેલી હતી; તેમ દુષ્ટ શંખણી બાયડીઓ બબડતી, ફફડતી છોકરાંને ગાળ દેતી, તથા મારપછાડ કરતી, અને ધણીને ધમકાવતી આણીગમ તેણીગમ ઘરમાં ફરતી હતી. આળસુ, એદી, અફીણી, અને એવા સુસ્ત લોકો બગાસાં ખાતા ઢોલીયા ઉપર ગબડતાં હતા; પણ ઉદ્યમી ચાલાક લોકો ઉઠી દાતણ પાણી કરી પોતપોતાને ધંધે વળગ્યા હતા, દુકાનદારો તો થોડો નાસ્તો કરી લુગડાં પહેરી હાથમાં મોટી કુંચી લઈ દુકાને જતા હતા. કેટલાએક દુકાન ઉઘાડતા હતા. અને કેટલાએક તો દુકાન ઉઘાડી વાળી ઝાડી, ધોઈ તેની પૂજા કરી, માલ ગોઠવી દુકાન આગળનો રસ્તો સાફ કરતા હતા. કેટલાએક લોકો પાઘડી પહેરી અંગવસ્ત્ર ઓઢી હાથમાં લોટા લઈ શહેર બહાર જતા હતા. શહેરની સ્ત્રીઓ પાણી ભરીને માથા ઉપર બહેડાં ઉપર બહેડાં ચઢાવી ઘણી રમણિક ચાલથી પોતાના ધણી, સાસુ, નણંદ વિગેરેની વાતો કરતી ચાલી આવતી હતી, સહસ્ત્રલિંગ તળાવ ઉપર બ્રાહ્મણો પોતે નાહ્યા વગર બેસી બીજાઓને નાહવાના પુણ્યનો બોધ કરતા હતા અને તેઓનાં લુગડાં સાચવવાને સારૂ પૈસા લેતા હતા. તળાવમાં આસ્થાથી ઘણા લોકો નાહી ધોઈને સ્વચ્છ લુગડાં પહેરી ચાંલ્લા કરાવી દેવદર્શને જતા હતા, રાતના રાજા ઘૂડ તથા વનવાગળાં સવાર થવાથી કાગડા વિગેરે બીજાં પક્ષિના ધાકથી ઝાડામાં સંતાઈ જવાને ઉડી જતાં હતાં, ચકોર પક્ષિ તેના સ્વામિ ચંદ્રના અસ્ત પામવાથી કોઈ ગુપ્ત જગ્યાએ ભરાઈ બેઠું હતું. ચાર લોકો પોતાની આશા સફલ કરી અથવા તે નિષ્ફળ થવાથી નિસાસો મુકતા ઉતાવળથી પોતપોતાને ઘેર જતા હતા. મુસાફરો ચાલતા ઘોડે અથવા ગાડીમાં બેસીને ખુશીમાં અથવા ચિંતાતુર જતા હતા. રસ્તામાં ધેાબી બળદ લાદીને આનંદથી ગાતા ગાતા ઘાટ ઉપર જતા હતા. કેટલાએક ધનુર્વિદ્યા શીખવાને અથવા તેમાં અભ્યાસ વધારવાને નિશાન મારતા હતા. રજપૂત લોકો શહેર બહાર અથવા કોઈ ખુલ્લા મેદાનમાં પોતાના ઘોડાને ફેરવવા લેઈ જતા હતા. એ પ્રમાણે તે વખતે શહેરમો દેખાવ થઈ રહ્યો હતો.

    એ સવારે માધવના ઘરમાં બારીએ માંચી ઉપર એક સ્ત્રી નીચું મ્હોં ઘાલી ચિંતાતુર થઈ ઘણા વિચારમાં બેઠેલી હતી, તેનું લુગડું જથ૨૫થર તથા ચોટલો વીખરાયલો હતો; તેણે શરીરે આછું આછું ઘરેણું ઘાલેલું હતું તેથી તેની નાજુક તથા ખુબસુરત કાંતિની શોભા બદલે તેમાં જુદી જ તરેહનો મોહ દેખાતો હતો. તેનાં અવયવો એવાં નાજુક હતાં કે દાતણવાળો રૂપાનો કળશીયો હાથે ઉંચકી પોતાની પાસે મુકયો તે વખતે તેનો નાજુક હાથ એટલા ભારથી પણ મરડાઈ જશે એવી તેના શત્રુઓને પણ ફિકર લાગે, તે અઢાર વર્ષની ભર જુવાનીથી પ્રફુલ્લિત થયલી હતી, અને તેનું નામ રૂપસુન્દરી તેના રૂપને યોગ્ય જ હતું. પણ તે માધવની સ્ત્રી આ વખતે ચિંતાતુર થઈ શા માટે બેઠી હતી ? આજે સવારે વહેલી ઉઠી ત્યારે તેનો ધણી કાંઈ કામસર ગામ જવાને માટે નીચે ઉતરેલો હતો, તેથી ધારા પ્રમાણે તેનાથી તેનું મ્હોં જોવાયું નહી, પણ તેને બદલે સાવરણી ખુણામાં પડેલી હતી તે જોઈ ઓરડામાંથી બહાર નીકળી એટલામાં એક બીલાડી આડી ઉતરી; બારી તરફ નજર ગઈ ત્યારે રસ્તામાં એક રાંડેલી બઈરી જતાં જોઈ. એ પ્રમાણે સવારના પહોરમાં તેને નઠારા શકુન થયા. તેનો ધણી ગામ જવા તથા ત્યાં આખો દહાડો રહેવાનો તેથી તેનું શું થશે એ વિષે તેને ભારે ફિકર થઈ, અને તે ગામ તે દહાડે ન જવાને તેણે તેને ઘણો સમજાવ્યો, પણ કામ અગત્યનું, રાજાનો હુકમ થયલો, અને પોતે નાગર એટલે વહેમ પણ થોડો તેથી વહુની વાત ન ગણકારતાં તે ગામ ગયો. તેના ગયા પછી તે મનમાં વિચાર કરવા બેઠી કે શકુનથી કાંઈ થતું નથી એ તો હું જાણું છું, પરમેશ્વરની ઈચ્છા વિના એક સળી પણ હાલતી નથી, તોપણ તેના મનમાં આવતું કે ભુંડો ભુંડાનો ભાવ ભજવ્યા વિના રહે જ નહી, માટે શૂળીનું વિઘ્ન કાંટે જાય તો જગદંબાની મોટી કૃપા સમજવી.

    એ પ્રમાણે વિચાર કરી રૂપસુન્દરી નીચે ઉતરી સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી પાટલે બેઠી, એટલામાં તેની નજર જોશી મહારાજ ત્યાં આવેલા હતા તે ઉપર પડી, જોશીને જોતાં જ તેને સવારના માઠા શકુન યાદ આવ્યા તેથી તેણે સઘળી વાત તેની આગળ કહી. જોશીએ જરા સૂર્ય તરફ નજર કરી આસપાસ જોઈ તોળા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ગણવા માંડ્યું, અને જરા વિચાર કરી જવાબ દીધો: “શકુન નડે એવું કાળયોગ ઉપરથી જણાતું તો નથી તો પણ શાસ્ત્ર પ્રમાણે તે વખતે તમારા અંગ ઉપર જે જે વસ્ત્રાભૂષણ હોય તે સઘળાં બ્રાહ્મણને દાન કરવાં જોઈએ, તમારી જન્મોત્રીની કુંડળી પણ મને મ્હોડે છે તે ઉપર ધ્યાન પહોંચાડતાં પણ કાંઈ વિપરીત થાય એવો સંભવ નથી, તમને માત્ર રાહુ પીડિત છે તેને માટે આજ તેનું દાન કરો તો સારું દાન ઘણું નથી; એક મહોર બસ છે.” રૂપસુંદરીએ તે જ ક્ષણે સવારે પહેરેલાં તમામ લુગડાં, ઘરેણાં તથા તે ઉપર એક સોનાની મહોર મુકીને પગે પડીને જોશી મહારાજને આપ્યાં.

    તેમને વિદાય કીધા પછી થોડું ઘણું દેવપૂજન કરી ભોજનની તૈયારી કીધી. પણ એટલામાં ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. ચાકરને તુરત તેણે તજવીજ કરવાને મોકલ્યો, તેણે આવી જાહેર કીધું કે રાજાના હજારો સિપાઈઓએ આવી આપણો મહેલ ઘેરી લીધો છે, અને તેઓ આપણી ચોકીદારોને કાપી નાંખે છે.

    એ ખબર સાંભળતાં જ રૂપસુન્દરી મૂર્ચ્છાંગત થઈ ભોંય ઉપર પડી. કેટલાએક નામરદ ચાકરો નાસી જઈ ઘરમાં ખુણે ખોચરે ભરાઈ બેઠા, પણ કેટલાએક શૂરા ઈમાનદાર નોકરોને એ વાત સાંભળી શૂર ચડ્યું, અને પોતપોતાની ઢાલ, તલવાર વિગેરે જે જે હથીયાર હાથ આવ્યાં તે લઈ લડવા તૈયાર થઈ ઉભા રહ્યા. રૂપસુન્દરીની આગળ ઢાલ લઈને તેનો દીયર એટલે માધવનો ભાઈ કેશવ ઉભો રહ્યો. તેની ઉમર આસરે પચીસ વર્ષની હતી, અને પોતાના મોટા ભાઈએ રળીને તેને ઘણી મુદત સુધી ખવડાવ્યું હતું તેથી નાનપણથી તેને રળવાની ફીકર ન હતી. તેણે તેની સોળ વર્ષથી બાવીશ વર્ષ સુધીની ઉમર અંગકસરત, દાવપેચ, કુસ્તી, તલવારના પટ ઈત્યાદિ સિપાઈને ઉપયોગી થઈ પડે એવાં કામોમાં કાઢી હતી, તેથી જુવાનીના સ્વાભાવિક બળ સાથે તેનામાં કસરતથી મેળવેલું વિશેષ બળ હતું તેનું અંગ મજભૂત તથા સીનાદાર હતું. તેની આંખ જુસ્સાથી રાતી જ રહેતી, અને તેને વેચાતી લડાઈ લેવાની એવી તો ટેવ પડી ગઈ હતી કે માધવે તેને સારા ઉંચા હોદ્દા ઉપર નિમેલો હતો તો પણ જેમ બને તેમ તેને બીજા લોકો સાથે થોડો જ પ્રસંગ પડવા દેતો. તે તેના ભાઈના જેવો ખુબસૂરત તથા ગોરા વર્ણનો નહોતો; તોપણ લોહીની સ્વચ્છતાથી તેના રૂપ ઉપર જુદા જ પ્રકારનું તેજ દેખાતું હતું. તે બહાર આવો વાઘ હતો તો પણ ઘરમાં બકરી જેવો હતો, અને તેની છાતી બહારથી વજ્ર જેવી સખત હતી, તે પણ તેનું હૈયું ઘણું નરમ હતું. પોતાના ચાકર પાસે પોતાની વહાલી તલવાર મંગાવી એક હાથમાં તે પકડી બીજા હાથમાં ઢાલ રાખી ઉભો રહ્યો, અને હજારો માણસ તેના ઉપર એકદમ ટુટી પડે તો પણ મરાય તેટલા મારી આખરે મરવું એવો દૃઢ નિશ્ચય કરી તોફાની સમુદ્રની વચ્ચોવચ પથ્થરના ખડકની પેઠે રૂપસુન્દરીનું રક્ષણ કરવાને ઉભો રહ્યો.

    બહારના ચોગાનમાં ગડબડાટ વધ્યો; ઉછળતી તલવારનો ખડખડાટ કેશવને કાને પડ્યો, તેનું ચાલે તો ઉડીને ત્યાં જઈ શત્રુના કટકે કટકા કરી નાંખે; પણ સ્ત્રીનું રક્ષણ કરવું તેથી તેનાથી ત્યાંથી ચસાય નહી. એટલામાં એક મોટી ચીસની સાથે સો માણસો ઘરમાં પેઠાં, અને બારણા આગળ ઉભેલા માધવના ચાકરોને હઠાવીને તથા કાપી નાંખીને આગળ વધ્યાં. કેશવ તેમને આદરમાન આપવાને તૈયાર જ હતો, તણે એક ઘાથી આગલા સિપાઈના બે કકડા કીધા અને બીજે ઘાએ બીજાનું માથું તેના ધડથી જુદું પાડ્યું, સિપાઈઓ જરા આંચકો ખાઈ ઉભા, અને પોતાના નાયક સામું જોયું, નાયકે કેશવને કહ્યું, “સાંભળો ભાઈ ! અમે કંઈ ઈહાં મારામારી કરવા આવ્યા નથી. રાજાની ઇચ્છા રૂપસુન્દરીને લેવાની છે, તે જો તમે સલાહસંપથી આપશો તો અમે મુગા મુગા અમારૂં કામ કરીને ચાલ્યા જઈશું, નહી તો અમારે નકામી બ્રહ્મહત્યા કરવી પડશે, માટે વિચાર કરીને કામ કરજો. ”કેશવ ક્રોધથી રાતો હિંગળોક વર્ણ થઈ ગયો. તે બોલ્યો: “જો તારા કૃતઘ્ની, અધમ, વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય, અને તમને તેણે લેવા મોકલ્યા હોય, તો મને મારીને લઈ જાઓ. નાગર બચ્ચો કદી પોતાનો જીવ બચાવવા સારૂ પોતાના કુળ, ધર્મ તથા ન્યાતને કલંક લાગવા નહી દે.” તે સાંભળી નાયકે ઇસારત કીધી, એટલે એકલા કેશવ ઉપર તલવારના ઘાનો વરસાદ વરસાવ્યો, પણ એક તસુ ખશ્યા સિવાય તે મરણતોલ ઘાયલ થયો ત્યાં સુધી તેની તલવારે પાંચ અથવા સાત માણસનાં રૂધિર પીધાં. પણ ઘણા આગળ એકનો શો હીસાબ ? તેનું શરીર ઘાએ વીંધાઈ ગયું, આખું અંગ લોહીથી તરબોળ થઈ ગયું, અને અંતે એક કારી ઘા વાગવાથી, તથા લોહી વહેવાને લીધે અશકત થઈ જવાથી તે પડ્યો, અને એક ભયંકર ચીસની સાથે તેનો આત્મા આ દુષ્ટ તથા પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી તેની અસલ ભૂમિમાં મહાન ન્યાયાધીશના તખ્ત આગળ જઈને ઉભો રહ્યો.

    કેશવની મરતી વખતની ચીસ સાંભળતાં જ રૂપસુન્દરીને ભાન આવ્યું, તથા આસપાસનો બનાવ જોઈ બોલી ઉઠી: “શિવ, શિવ, રે ભગવાન આ તે શો દૈવકોપ!” તે વધારે બોલે છે એટલામાં રાજાના સિપાઈઓએ તેને પકડી ઉંચકી લીધી, અને ઘરબહાર લઈ ગયા. બેભાન અવસ્થામાં રૂપસુન્દરીને સુખાસનમાં બેસાડી રાજમહેલમાં લાવ્યા અને સિપાઈઓ પોતપોતાને કામે વળગ્યા.

    રાજ્યપાઠિકાની ચંદ્રશાળામાં એક પલંગ ઉપર રૂપસુંદરી સુતેલી હતી અને તેની પાસે કરણ રાજા બેઠેલો હતો. રૂપસુંદરીના કેશ છુટા તથા વીખરાઈ ગયલા હતા, તેની આંખ બેબાકળી થઈ ગયલી હતી, અને અગર જો તેને શુદ્ધિ તો આવેલી હતી, તે પણ આ અકસ્માત્ અને વગર ધારેલા બનાવથી તેનું મગજ ગુંચવાઈ ગયલું હતું. રાજા તેની આસનાવાસના કરતો હતો, અને તેના મનનું સમાધાન કરવાને તથા હવે જે થયું તે થયું અને જેવો વખત તેવું ચાલવું એ વાત તેના દીલમાં ઉતારવાને તે ઘણાએક પ્રયત્ન કરતો હતો.

    રાજાની એ સઘળી વાતથી રૂપસુન્દરીના મનનું લેશમાત્ર પણ સમાધાન થયું નહી. તેના હૈયામાં શોકનો ઉભરો ચઢી આવ્યો. તેના મનમાં વિચારના તરંગ ઉપર તરંગ ઉઠવા લાગ્યાઃ– “અરે મારા ધણી, તેં મને લાડ લડાવવામાં કાંઈ બાકી રાખી નથી, તને પ્રધાનવટું મળ્યું નહતું, તું જ્યારે ગરીબ અવસ્થામાં હતો, ત્યારે પણ તેં દુઃખ ભોગવી મને સુખ આપ્યું. પાણી માગેલું ત્યારે દુધ આપેલું, અને કોઈ દહાડે મેં અપરાધ કીધા છતાં પણ તેં મને કડવા બોલ કહ્યો નથી. અરે ! તે સુખ તે હવે વહી ગયું ! હવે હું તારૂં મ્હોં ફરીથી ક્યાં જોઈશ ? તને પાનસોપારી હવે ક્યારે આપીશ ? તું જ્યારે ફીકર ચિંતામાં ઘેર આવશે ત્યારે મ્હોં હસતું રાખી તારી દિલગીરી કોણ કાઢી નાંખશે ? અરે હું દુષ્ટ ચંડાળણી, તારો પાડ તે હું ક્યારે વાળીશ ? તારું કીધેલું કોઈથી થવાનું નથી. મને અત્યાર સુધી કાંઈ છોકરાં ન થયાં તો પણ મારા જીવને કલેશ થાય માટે તે જરાં પણ તે વિષે શોક બતાવ્યો નથી. હાય હાયરે ! તે દહાડા તો ગયા, પણ હું જીવીશ ત્યાં સુધી તેને ભુલવાની નથી, અરે મહાદેવ, ઓ જગતપિતા, મને પાપીને તું ગમે તે કર, પણ મારા પરમપ્રિય સ્વામિને તું સદા આરોગ્ય, સુખી ધનવંત રાખજે. મારા ખરા દીલથી એ પ્રાર્થના છે તે તું સાંભળજે. અરે મારા દીયરજી, તારે સારૂં તો હું મારાં આંસુએ સાગર ભરૂં તો પણ થોડું છે તેં મારી આમન્યા કોઈ દિવસ લોપી નહતી, તેં મને મા સમાન ગણી હતી, અને મેં તને મારી આંખે મારૂં રક્ષણ કરવામાં ભોંય ઉપર લોહીમાં આળોટતો જોયો. તેં તારૂં જોર, જુવાની, તારી આશા, સ્ત્રી, તારો આવરદા મને આવી ભયંકર રીતે અર્પણ કીધાં; તું મારી ખાતર ભરજુવાનીમાં મુઓ, એ સઘળાને બદલો હું તે ક્યારે વાળીશ ? અરે મારી દેરાણી, તારૂં હમણાં કેવું મ્હોડું થયું હશે તે મારી આંખ આગળ આવે છે એટલે મારી છાતી ફાટી જાય છે. હાય ! હાય ! તારી શી ગતિ થશે ! તારી ઉમર કેટલી? હજી તો હમણાં સોળ વર્ષ પુરાં થયાં એટલામાં મુવા દૈવે તને રંડાપો મોકલ્યો, હવે એ દહાડા તે કેંમ જશે ? તું મને લાખો ગાળો દેશે તેથી મારા જીવને નિરાંત વળશે. અરે રામ ! તારા દુઃખનો કાંઈ કાંઠો નથી, તારી હવે કોણ પરવરશી કરશે ? તારા પીહેરમાં પણ સુખી નથી; તારી ભાભી તને ટપલા મારી સુકો રોટલો ખવડાવશે; એ બધું મારે લીધે, તું જીવતી મોઈ, અને તારા ધણીના તથા તારા મોતની હત્યા મારે માથે બેઠી. અરે પરમેશ્વર, તેં મને બળ્યું રૂપ શા સારૂં આપ્યું ? એ મુઆ રૂપથી આ સઘળી ખરાબી થઈ છે એ સઘળાં પાપથી હું ક્યારે છુટીશ? જીવતાં સુધી મારા મનમાં પસ્તાવાનો તાપ બળ્યાં જ કરશે તે કદાપિ રાજા કહે છે તે પ્રમાણે મને ગમે તેટલું સુખ થશે તો પણ નહી હોલવાય એવા અગ્નિથી હું બળી બળીને મરી જઈશ. ઓ ભગવાન ! તે દહાડો જલદી આવે તો સારૂં. વળી પરમેશ્વરે બ્રાહ્મણમાં અને સૌથી ઉંચી નાગરી ન્યાતમાં મને જન્મ આપ્યો તે સઘળું મિથ્યા. મારા એક ભવમાં બે ભવ થયા. કોણ જાણે કયા જન્મનાં પાપ નડ્યાં. ન્યાત, જાત, સગાં, વહાલાં, માબાપ, ભાઈ, ભોજાઈ, બહેન વગેરે સઘળાં કુટુંબના માણસોને મન તો હું આજ મરી ગઈ અરે ! તમે મારૂં આજ સ્નાન કરજો, હું તેઓને કોઈ વખત મળીશ તો ખરી, પણ હવે કાંઈ પહેલાં જેવો વહેવાર રહેવાનો છે? શું હવે એકઠાં મળીને ખવાવાનું છે? આખા નગરમાં સૌ મારે ફીટકાર કરશે. રાજાના મહેલમાં સૌ મને શત્રુભાવે જોશે. બીજી રાણીઓ મારી અદેખાઈ કરશે. અને રાજાનો ભરોસો શો ? રૂપ તો ક્ષણભંગુર, રૂપ ઉપરનો મોહ ખોટો સમજવો. પણ લાચાર, હવે બીજો શો ઉપાય ? જે બન્યું તે બન્યું. દૈવની ગતિ આગળ કોઈ ડાહ્યું છે? મારા નસીબમાં આ દુઃખ લખેલું હશે તે કોટી ઉપાયે પણ મિથ્યા થનાર નથી. વિધાતાએ લલાટમાં જે લેખ લખ્યા હશે તે કદાપિ ફરવાના નથી, માટે હવે તો જે માથે આવી પડે તે મૂગે મ્હોડે સહન કરવું.”

    એ પ્રમાણે રૂપસુન્દરી રાજાના મહેલમાં વિચાર કરે છે, તે વખતે આખા શહેરમાં તેમ જ માધવના ઘરમાં ઘણો જ જુદો દેખાવ થઈ રહ્યો હતો. રૂપસુંદરીનું હરણ તથા કેશવનું મરણ થયું, એ ખબર આખા શહેરમાં ચાલ્યાથી સઘળે હાહાકાર થઈ રહ્યો. ઘેરઘેર, દુકાને દુકાને, ચકલે તથા મોહલે મોહલે એની એ જ વાત ચાલવા માંડી. માધવ ઉપર આવી ભારે આફત આવી પડી તેથી તે બીચારા ઉપર સઘળાં દયા લાવતાં હતાં. માણસો વાત કરતા હતા કે હવે રાજા કેાને પ્રધાન કરશે, અને તે વિષે અનેક અટકળ કરતા હતા. કેશવને તો બીચારાને કોઈએ ગણ્યો જ નહીં પણ રાજાની આ દુષ્ટ રીતથી સઘળાના મનમાં ત્રાસ પેસી ગયો. આજ તેને ઘેર ને કાલે આપણે ઘેર મ્હોકાણ મંડાય એવી સઘળાના મનમાં ફીકર ભરાઈ, વળી રાજધાનીના શહેરમાં બ્રહ્મહત્યા થઈ તેથી રાજ્ય ઉપર ઈશ્વર તરફથી શેા કોપ થશે એ વિષે ફિકર કરવા લાગ્યા. સઘળા ભારે ઉદાસીમાં પડેલા હતા. બાયડીઓ સઘળી રૂપસુંદરીની વાતો કરતી હતી. કેટલીએક કહેતી હતી કે પકડાઈ તે વખતે તેણે પોતાનો પ્રાણ કાઢવો હતો; બ્રાહ્મણ ટળી રજપૂત થવું પડશે તે કરતાં મોત હજારગણું સારું, કેટલીએક કહેતી હતી કે એ બીચારી શું કરે ? જીવ તો હાથે કેમ કઢાય? પરમેશ્વરે એને રૂપ આપ્યું તેમાં એનો શો વાંક ? રજપુત તે રજપુત પણ જીવ કાંઈ કઢાય નહીં, કેટલીએક બોલતી કે રાજા તો રૈયતને માબાપ, અને જ્યારે તે પોતાનાં છોકરાં ઉપર આવી દુષ્ટ નજર કરે, અને જોરજુલમથી બાયડીઓને પકડી લઈ જાય ત્યારે રાજયમાં રહેવાય પણ કેમ ? આજે એને અને કાલે બીજા કોઈને. પરમેશ્વર રાજાના એ બે અપરાધ સાંખવાનો નથી. જોજો થોડા દહાડા પછી એના ઉપર ભારે દુ:ખ આવી પડશે, એની રાણીને કોઈ લઈ જશે, અને રાજાને પાપે આખી રૈયત દુ:ખી થશે. ભગવાને જે ધાર્યું હશે તે થશે. એ પ્રમાણે આખા નગરમાં ચર્ચા ચાલી રહી હતી. માધવનો મહેલ સૂનોસુનો નિસ્તેજ અને ઉદાસ દેખાતો હતો. મોહલ્લામાં કુતરાં કઠોર સાદે રડતાં હતાં. બાઈડીઓ અને ભાયડાઓ ટોળે મળી ઓટલે બેઠેલાં હતા, અને પ્રધાનના ઘરને બારણે નાગર ગૃહસ્થ ડાધુને વેશે કોઇ રડતા હતા, તથા કોઈ ભારે દિલગીરીમાં બેઠા હતા. તેના જુના મિત્ર, તેના સગા કહેવડાવનારા, તેના ઓળખાણમાં આબરૂ માનનારા, તેને બારણે રોજ જોડા ફાડનારા, તેને બાપજી બાપજી કહેનારા, એ સઘળામાંથી કોઈ ત્યાં ન હતું. જેમ પાણી સુકાયા પછી માછલાં નાશી જાય છે, જુવાર કપાયા પછી ચલીયાં બીજે ઠેકાણે ઉડી જાય છે, જેમ ગળપણ ખસેડ્યા પછી તેના ઉપર બમણતી માખી જતી રહે છે, તેમ તે લીલા વનના સુડા, ઉગતા સુરજને પૂજનારા, આવતાના બોલબાલા તથા જતાનું મ્હોં કાળું કહેનારા, આ વખતે કોઈ માધવને ઘેર ફરકયા જ નહી.

    માધવે થોડી મુદત સુધી જ પ્રધાનપણું કીધું હતું પણ તેટલા વખતમાં તેણે સારાં કામો કીધેલાં હતાં તેથી જ લોકો તેના ઘરને વાસ્તે શોક કરતા હતા, તેનાં સગાં તથા કેશવનાં સાસરિયાં સઘળાં ત્યાં આવ્યાં હતા. તેઓએ વિલાપ કરી હવેલી ગજાવી મુકી હતી. વખતે વખતે તેઓ એકઠાં મળીને કુટતાં હતાં, તે વખતે તેઓ એટલા જોરથી છાતી ઉપર હાથ અફાળતાં હતાં કે છાતીનો રંગ લોહીવર્ણ થઈ જતો હતો. કેટલાએકને તો તે જગાએથી લોહીની સેર ચાલતી હતી, અને જો કુટવાનું કામ વધારે જારી રેહેશે તો રોવા આવેલાંમાંથી બીજું કોઈ મરનારની પાછળ જશે એમ લાગતું હતું. ઘર આગળના ચોગાનમાં ચોકીદાર સિપાઈઓનાં મુડદાં કપાઈ ગયલાં પડ્યાં હતાં તેને ઠીક ગોઠવી બાળવા લઈ જવાની તૈયારી કરવામાં સૌસૌની ન્યાતના લોકો કામે વળગ્યા હતા. મરનાર સિપાઈઓની સંખ્યા આશરે પચાસની હતી, તે સઘળાની ન્યાતજાતના લોકોની તથા બાકી રહેલા જીવતા ચાકરોની રડારડથી ત્યાં ભારે ગડબડ થઈ રહી હતી. તેની સાથે બાયડીઓ ત્યાં આસરે હજારેક એકઠી મળી તરેહતરેહવાર અવાજ કાઢી વિલાપ કરતી હતી, તથા જીવથી બચેલા નોકરો “જીવતા શા સારૂ રહ્યા,” અને “ધણીની પાછળ પ્રાણ શા સારૂ અમારો ન ગયો,” એવા શબ્દો કાઢી મોટેથી બૂમ પાડી રોતા હતા. ઘરમાં ગયા કે પરસાળમાં એક ભયાનક દેખાવ નજરે પડતો હતો, એક ખુણામાં કેશવની વહુની મા, બેન, માસી, ઈત્યાદિ બીજાં સગાં બેઠેલાં હતાં, અને બીજે છેડે કેશવનું શબ પડેલું હતું. ગાયના પવિત્ર ગણાતા છાણથી સ્વચ્છ કીધેલી ભોંય ઉપર દર્ભ પાથરીને શબને સુવાડેલું હતું, અને તેના માથા આગળ નીચું માથું ઘાલી તેની ધણિયાણી બેઠેલી હતી.

    એ સ્ત્રી તેની ઉમરના પ્રમાણમાં વધારે લાંબી હતી, તેનો રંગ ઘઉંલો હતો; અને અગરજો તે કાંઈ દેખાવડી ગણાતી ન હતી તો પણ આ પ્રસંગે તેના લોહીમાં જુસ્સો આવવાથી તેના તમામ શરીરનો રંગ રતાશ મારતો હતો, તેના મ્હોડા ઉપર એક પ્રકારનું તેજ પથરાયલું હતું. તેની આંખ એવી તો વિકરાળ તથા હિંગળોક વર્ણ થઈ ગઈ હતી કે તેને જોઈને કોઈ પણ પુરૂષ થથરી જાય, અને તે કોઈ ઈશ્વરી માતા છે એવું તેના મનમાં આવી તેને પગે પડવાની તેની મરજી થઈ આવે. તેનો એવો ઉગ્ર ચેહેરો જોઈને તેની માની પણ તેની પાસે જવાની હિંમત ચાલતી નહતી. તે એકલી પોતાના સ્વામિને એકાગ્ર ચિત્તે જોઇને બેસી રહેલી હતી, અને તેની આસપાસ જે રડાપીટ તથા શોરબકોર થતો તે ઉપર તેનું જરા પણ લક્ષ જતું નહતું, ઘણા લોકના મનમાં હતું કે તેને જલદીથી સત ચઢશે; પણ હજી તેમ થવાનાં ચિન્હ નજરે પડતાં નહતાં, તેની મા ઘેલી જેવી થઈ ગઈ હતી, અને છોકરીને આ રંડાપો આવ્યો તેના અત્યંત દુ:ખની સાથે તેને જોસ ચઢશે તો તે પણ બળી મરશે એવી ધાસ્તી ઉભી થવાથી તેને વધારે સંતાપ થવા લાગ્યો હતો. અત્યાર સુધી તો તેનો એવો અભિપ્રાય હતો કે છેાકરી રંડાય તેના કરતાં મરે તે સારૂં. રંડાય તો મ્હોં આગળ એક ધગધગતી સગડી થઈને પડે; તેને જોયાથી નિરંતર દુઃખનું સ્મરણ રહે; તેના જીવને ઘડી ઘડી ક્લેશ થયાં કરે તેથી તેના માબાપનાં હૈયાનો તાપ હોલવાય જ નહી. એથી ઉલટું તે મરે તો ઘણું દુઃખ લાગે ખરૂં, પણ તે દુઃખનો અંત પણ તે જ વખતે; પછી દેખવુંએ નહી અને દાઝવુંએ નહીં, પણ હવે તેને લાગ્યું કે મરવા કરતાં રંડાઇને જીવતી રહે તે સારૂ. તે એવી અવસ્થામાં જીવે તેમાં ઉપર કહેલાં દુ:ખ તો થાય, પણ છોકરી જીવતી રહી પોતાની આંખ આગળ રહે તેથી જીવને શાતા વળે. વળી તેને સલાહ પુછવા, સાથે જવા આવવા, તથા ઘરનું કામકાજ કરવામાં કામ આવે. બીજું તે ઘરડી અશક્ત થઈ ખાટલે પડે ત્યારે રાંડેલી છોકરી તેની ચાકરી કરવામાં તથા તેની સંભાળ રાખવામાં લાખ રૂપિયાની થઈ પડે. દુ:ખનું ઓસડ દહાડા, રાંડેલાં બઈરાં ધણીનું દુઃખ પણ કેટલેક વર્ષે ભૂલી જાય ત્યારે રાંડેલી તો રાંડેલી પણ જીવતી છોકરીથી તેનાં માબાપના અંતઃકરણમાં તો સંતોષ થાય, એ પ્રમાણે વિચાર ગુણસુંદરી (કેશવની વહુ જેનું નામ તેને યોગ્ય જ હતું, કેમકે અગરજો તેનું રૂપ તેની જેઠાણીના જેવું નહતું તો પણ તેનામાં ગુણ રૂપસુંદરી કરતાં વધારે હતા, અને તેના કેટલાએક ગુણો તે માણસોમાંથી પણ થોડામાં જ શોધ્યા જડે એવા હતા ) ની માએ કીધો, હવે જો છોકરી સતી થાય તો સારું કેટલું ? આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં તેનું નામ કીર્તિવંત થાય, તેની આખી ન્યાતને તેથી શોભા મળે, તેના કુટુંબની પ્રતિષ્ઠા વધે, અને તેના માબાપને સૌ કોઈ ધન્ય ધન્ય કહે, વળી શાસ્ત્ર પ્રમાણે તેનો તથા તેના ધણીનો ઉદ્ધાર થાય અને બધા દેવલોક તેને જોઈને પ્રસન્ન થાય, એ સઘળા વિચારથી ગુણસુંદરીની માના મનમાં ધર્મનો જુસ્સો ભરાયો અને તેની છોકરી જીવે તે કરતાં મરે તો સારું એવું તેના મનમાં નક્કી થયું. તોપણ પોતાની છોકરીનું મન જોવાને તેને પુછ્યું, “બેન, લોકમાં વાત ચાલી રહી છે કે તું તારો દેહ તારા ધણીને અર્પણ કરનાર છે, એ વાત ખરી હોય તો મારી જાત ઉપર, મારી ઉમ્મર ઉપર, મારી અવસ્થા ઉપર વિચાર કરીને જે કામ કરવું હોય તે કરજે. તારા વિના મારાથી જીવાવાનું નથી, તારી પાછળ હું મારો દેહ પાડીશ, પછી તારા બાપની, તારાં નાનાં નાનાં ભાઈ બેનની શી વલે થશે ? શું હું તને મરતાં જોઉં ? શું તું તારી મેળે મરે, અને હું ડોશી તને વળાવી જીવું ? એમ કદી થનાર નથી. માટે તારા દુ:ખના જોશમાં તેં જે કાંઈ ગાંડો વિચાર કીધો હોય તે મનમાંથી કાઢી નાંખ અને પરમેશ્વરે જે આફત મોકલી છે તે સહીને દુઃખેપાપે દહાડા કાઢવા ઉપર નજર રાખ. જો તારો આવરદા ટુંકો જ હશે તો વધારે જીવવું નહી પડે. પણ જાણી જોઈને તે કેમ મરાય ? માટે હવે જીવવું, અને જે થાય તે જોવું, તે સિવાય બીજો કાંઈ ઉપાય નથી.”

    આ વાત સાંભળતાં જ ગુણસુંદરીના મ્હોં ઉપર વધારે લોહી ચઢી આવ્યું, તેની આંખ વધારે લોહીવર્ણ થઈ, તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું, અને જે મહાભારત દુ:ખ તેના ઉપર આવી પડ્યું હતું તેની અસર તેના અવાજ ઉપર થવાને બદલે તેના શબ્દ વધારે જુસ્સાથી તથા સ્પષ્ટતાથી નીકળવા લાગ્યા, અને તે કોઈ દહાડો વાચાળ ન હતી તેવી આ વખત થઈ. તે બોલી:–“હવે જીવવું ? જેણે મારો હાથ પકડ્યો, જેની સાથે ઘણાં વર્ષ આ સંસારમાં સુખમાં અથવા દુ:ખમાં કાઢવાની આશા બાંધી, જેણે મને મનગમતાં લાડ લડાવ્યાં, જેણે આટલાં વર્ષમાં એક કડવો સુખન કહ્યો નથી, જે બહાર વાઘ જેવા ગણાતા, પણ મારી સાથે જેની વર્તણુક ગરીબ ગાયના જેવી હતી, તે આટલી નાની ઉમ્મરમાં આવે અકાળ મોતે મારાથી રીસાઈ ગયા, અને હું દુષ્ટ પાછળ પડી જાઉં ? ના ના, તે જ્યાં હશે ત્યાં હું જઈશ. તેનું જે થશે તે મારૂં થશે. હવે જીવવું ? જીવીને મારા ધણીની અસદ્ગતિ કરાવવી, અને જે પૂર્વ જન્મમાં પાપથી તેનું આવું મૃત્યુ થયું તે પાપ ધોઈ નાંખવાનું મારા અખતિયારમાં હોવા છતાં આ ક્ષણભંગુર જગતમાં થોડા દહાડા દુ:ખેપાપે કાઢવા સારૂ તેના અક્ષય સુખનો નાશ કરૂં ? હવે જીવવું ? જીવીને ઘરેણાંનો ત્યાગ કરી રુદ્રાક્ષની માળા ધારણ કરવી, અને મારાં વહાલાં લુગડાં બચકે બાંધી ધોળું વસ્ત્ર પહેરી ફરવું? હવે જીવવું ? જીવીને સઘળા વ્યવહારથી દૂર રહેવું, અને સઘળાં શુભ કામમાં મારો ઓળો પડવા ન દેવો ? હવે જીવવું ? જીવીને લોકોમાં રાંડ કહેવડાવવું, અને રસ્તામાં કોઈને મળું તો તે અપશકુન સમજી પોતાના ઘરમાં પાછા ભરાઈ જાય તે સહન કરવું! હવે જીવવું? જીવીને ઘરમાં બોજો થઈ પડવું અને માબાપના દુ:ખનું મૂળ થવું? હવે જીવવું? જીવીને ભાઈ ભોજાઈના ઠોક ખાવા અને પેટને સારૂ હલકામાં હલકી પરતંત્રતાની અવસ્થા ભોગવવી ! હવે જીવવું ? જીવીને શું સુખ ભેાગવવું ? જીવવાથી ફળ શું ? માટે એવી રીતે જીવવા કરતાં મરવું લાખ ગણું સારૂં. માટે મરવું એ જ સિદ્ધાંત એમાં કંઈ સંશય નહી, માટે મારા ધણીની સાથે મારી પણ તૈયારી કરવી.” એટલું બોલતાં બોલતાં તેને બેહદ જોસ ચઢી ગયો, અને તે “જય અંબે” “જય અંબે” બૂમ પાડી ઉઠી. એ બૂમ સાંભળતાં જ સઘળાં બઈરાં સતી માની પાસે આવી તેને પગે પડ્યાં, અને જે કોઈ રોતું હતું તેને ધમકાવવા લાગ્યાં.

    તે વખતે બે પિંડ તૈયાર કરાવી ગોરે એક શબને અને બીજો પાંથક, એ પ્રમાણે એક શબની નીચે દર્ભ ઉપર અને બીજો આંગણે મુકાવ્યો. અને શબને સ્મશાન લઈ જવાની તૈયારી થઈ જોઈને બાયડીઓ ગુણસુંદરીને બીજા ઓરડામાં લઈ ગઈ, ત્યાં તેને સ્નાન કરાવ્યું, પછી તેણે પોતાને હાથે ઘણાં જ કિમતી વસ્ત્ર પહેર્યા, અને ઘલાઈ શકાય એટલાં ઘરેણાં ઘાલ્યાં. બાકી જે પોતાનું રહ્યું તે સઘળું પોતાની બેન, ભોજાઈ વગેરે સગાંને વહેંચી આપ્યું, તે સતી માતાનો પ્રસાદ તેઓએ ઘણા હર્ષની સાથે લીધો, પછી, પોતાને કપાળે પિયળ કાઢી, ચોટલો છુટો તથા ભીનો રાખ્યો. અને એવે વેશે તે પાછી પોતાના ધણીના શબ પાસે આવી. તેનાં દર્શન કરવાને મોહલ્લાનાં તથા શહેરનાં એટલાં લોક એકઠાં થયાં કે ત્યાં દેવમંદિરના જેવી ભીડ થઈ રહી, તે સઘળાં તેને પગે લાગતાં, અને તેઓને તે આશીર્વાદ દેતી, કેટલીએક વાર ચુપ રહ્યા પછી તે બોલી, “સાંભળો લોકો, એક વાર મહાદેવના સસરાએ યજ્ઞ કીધો તેમાં તેણે પોતાના જમાઈને નોતરૂં દીધું નહીં, તેથી તે મહાદેવની સ્ત્રી સતીને ક્રોધ ચઢ્યો, અને તે તેના બાપના ઘરમાં અગ્નિકુંડમાં પડીને બળી મોઈ, તેને બીજે જન્મે તે પાર્વતી થઈ હિમાચળને ઘેર અવતરી, અને મહાદેવને પાછી વરી, એ જ રીતે આજે હું મારા ધણીની ચિતામાં બળી મરી બીજા જન્મમાં અવતરી તેને જ પરણીશ, અને જેટલું સુખ ભોગવવું બાકી રહ્યું છે તેટલું ત્યાં ભોગવી લઈશ.” તે સાંભળી લોકો “જય અંબે” “જય અંબે” બોલ્યા, તે વખતે સતી માએ પોતાના બે હાથ ઘસીને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા હિંગળોક કાઢ્યો, અને તેવડે સઘળી સૈભાગ્યવંતી સ્ત્રીઓને ચાંલ્લા કીધા. ઘણીએક ઓળખીતી સ્ત્રીઓના માથા ઉપર અથવા વાંસે હાથ ફેરવ્યા, અને બીજાઓને લાંબા હાથ કરી આશીર્વાદ દીધો. કેટલીએક સ્ત્રીઓ પોતાનાં માંદાં છોકરાંને ત્યાં સતી માતાનાં દર્શન કરાવવા લાવી હતી તેના ઉપર સતી માનો હાથ મુકાવવાને તેઓ ઘણી આતુર હતી. તે સઘળાંને રાજી રાખવાને બધાં માંદાં છોકરાંને આશીર્વાદ દીધો, એટલે તેઓ સુસ્ત થઈ પડી રહ્યાં હતાં તે હસવા તથા રડવા લાગ્યાં. લોકો આવેલાં કોઈ જાય નહી, અને નવાં આવ્યાં જ કરે તેથી શબ લઈ જવાને વખત ન મળે માટે બ્રાહ્મણોએ સઘળા લોકોને ઘર બહાર કાઢી મુક્યા, અને શબને બહાર કાઢ્યું, એવે વખતે સાધારણ રીતે જે રડારડ તથા બુમાબુમ પડે છે તે કાંઈ તે વખતે ત્યાં થયું નહી જ્યાં સતી થવાની હોય ત્યાં રડવાનું કામ બંધ પડે છે, સતી હાથ ચોળતાં અને હાથમાંથી હિંગળોક વેરતાં વેરતાં બહાર આવી સુખાસનમાં બેઠાં. આગળ પાછળ લોકોનું ટોળું અને વચમાં શબને ઉંચકનારા બ્રાહ્મણો તથા સતીનું સુખાસન હતું. લોકો પાછળથી “જય અંબે” “જય અંબે” “અંબે માતકી જય” કરતા હતા, અને તેમાં સતી મા પણ સામેલ થતાં હતાં. આગળ રણશિંગડાં, શરણાઈ, તુરાઈ, ઢોલ, નોબત, ઘંટા, ઘડિયાળ, શંખ, થાળી, ઝાંઝ વગેરે વાજીંત્રનો એકત્ર થયલા જેવા પણ બેસુરો તથા ભયાનક નાદ થતો હતો. એવી રીતે તે સઘળાં શહેરના દરવાજા આગળ આવ્યાં, તે વખતે વાંઝિયાં બૈરાં પુત્રવંતાં થવા સારૂં સતી માતાના હાથ માથે મુકાવવા આવ્યાં, તેઓ સઘળાંને તેણે રાજી કરી પાછાં વાળ્યાં, જે સ્ત્રીઓને સાસરે અથવા પિએર દુ:ખ હતું, જેઓનો ધણી તેઓના કહ્યાસર નહીં હતા, જેઓને રંડાપો વહેલો આવશે એમ લાગતું હતું, જેઓને છોકરાં આવતાં પણ જીવતાં નહી, તે સઘળાંને સતી માએ આશીર્વાદ દીધો, પછી પુરૂષોનાં ટોળેટોળાં પોતપોતાનાં ધારેલાં કામ પાર પડે એવા હેતુથી સતીને પગે પડી આશીર્વાદ માગવા લાગ્યાં. તેઓ સઘળાં તૃપ્ત થયાં. ત્યાર પછી જે કોઈએ કોઈ પણ વખત સતીના ઉપર દ્વેષ રાખ્યો હશે, જેએાએ ખુલ્લી રીતે તેને અપશબ્દ કહ્યા હશે, અથવા ગાળો દીધી હશે, તેઓએ પણ તેની પાસેથી ક્ષમા માગી, તે તેમને મળી, આગળ ચાલતાં શબને દરવાજા બહાર વિસામા ઉપર મુક્યું, અને ત્યાં ધારા પ્રમાણે પિંડદાન કરવામાં આવ્યું, તે વખતે લોકોનાં ટોળાંમાંથી એક ચીથરીયા રજપૂતે બહાર નીકળી હાથ જોડી સતીને વિનંતિ કીધી, “માતા પરાપૂર્વથી એવો સંપ્રદાય છે કે જ્યારે કોઈ સતી થાય છે ત્યારે તે શહેરના, અથવા ગામના દરવાજા ઉપર હિંગળોકના હાથા મારે છે, અને શહેર અથવા ગામના રાજા તથા રૈયત એ બંનેને આશીર્વાદ દે છે, તે પ્રમાણે માતાએ પણ આ વખત કરવું જોઈએ.” તે જ ક્ષણે સતીએ પોતાના બે હાથ ચોળી બળતાં અંગારાઓ ખોબે ભર્યો, અને તે શહેર ઉપર ફેંકી બોલ્યાં. “જે રાજાએ વગર વાંકે પરસ્ત્રી, પોતાના મુખ્ય પ્રધાનની વહુ, બ્રાહ્મણી, અને તે પણ વળી નાગર જ્ઞાતિની, એવીનું હરણ કીધું, જે રાજાએ એવું કામ કરી તેના મુખ્ય પ્રધાનને, તેનું ભલું ઈચ્છનારને, તેના રાજ્યનું સુખ વધારનારને તેના દરબારમાંથી હમેશને માટે કાઢી મુક્યો, જે રાજાએ બળાત્કારે પરસ્ત્રી હરણ કરવામાં તેનો કારભારી જે ઉંચો બ્રાહ્મણ હતો તેના ભાઈની હત્યા કરાવી, અને અગર જો તે સ્ત્રીના મનને મરવું દુર્લભ છે અને કૈલાસ લોકમાં જવા જેવું છે, તોપણ તેનાં અકાળ મૃત્યુથી તેનાં માબાપ, ભાઈ, બેન, સગાં વહાલાં, ઈત્યાદિને જે પરમ દુ:ખ થશે તેનું કારણ જે રાજા છે, તે રાજા ગણ્યા દહાડામાં વનવન રઝળશે; તેની સ્ત્રીને પારકા લઈ જશે; તેની છોકરી દુ:ખ પામી પામીને પરપુરૂષના હાથમાં જઈ પડશે; તેનું મોત તે પોતે માગી લેશે; તે ક્યાં તથા ક્યારે મુઓ તે કોઈ જાણશે નહીં; તેનું નામ નિશાની કાંઈ રહેશે નહી; તેના મહેલમાં તેના શત્રુ આવી વસશે; અને રાજાના પાપથી રૈયત દુ:ખી થાય એવો નિયમ છે તે પ્રમાણે આ અણહિલ્લપુર પાટણનો નાશ થશે; તેનું દ્રવ્ય લુંટાઈ જશે, તેના વ્યાપારીઓ જડમૂળથી ઉખડી જશે; અને કેટલાએક કાળ પછી આ ઠેકાણે આવું મોટું શહેર હતું તેનું એક પણ ચિહ્ન રહેશે નહી. રે જગદંબા ! મારો આ શાપ ફળજો. જો મારું આ વચન સિદ્ધ ન થાય, તો મને પાપી, દુષ્ટ, ઢોંગી અને મિથ્યા સતી સમજજો, માટે રે તેત્રીસ કરોડ દેવતાઓ ! મને સહાય થજો, અને મારૂં વાક્ય ફળિભૂત થજો. ” એ વચન સાંભળીને તથા તે બોલતી વખતે સતીમાનું દેવતાઈ તથા ઉગ્ર સ્વરૂપ જોઈને પેલો રજપૂત તો પગથી માથા સુધી થરથર ધ્રુજવા લાગ્યો અને તેના મનમાં એવા તો વિરૂદ્ધ વિકારો ઉત્પન્ન થયા કે તેના જોરથી તેને ચકરી આવી, અને જો પાસેના લોકોએ તેને પકડી લીધો નહી હોત તો તે ભોંય ઉપર પડત. તેને એવી અવસ્થામાં જોઈને તે કોણ છે, અને તેને બીજા કરતાં આટલો વધારે શોકાતુર થવાનું શું કારણ છે તેની તજવીજ કરવાની બીજાઓને ઘણી ઈચ્છા થઈ; પણ તે ગડબડાટમાં તે ઉઠીને એવો તે સટકી ગયો કે ગમે તેટલું શોધ્યા છતાં પણ તે જડ્યો નહી અને તેથી લોકોનું આશ્ચર્ય વધ્યું, અને તે કોઈ પરલોકને પુરૂષ હશે એમ બધા લોકોના મનમાં શંકા ઉત્પન્ન થઈ. લોકોમાં પણ ભારે વાતો ચાલવા લાગી. સતીનો શાપ સાંભળીને સઘળાંઓનાં લોહી ઉડી ગયાં. ધનવંત લોકોએ પોતાનું ધન સંતાડવાનો મનસુબો કીધો; દરબારી લોકો શી રીતની આફત આવી પડશે તે વિષે અટકળ કરવા લાગ્યા. બીજા લોકો મ્હોં લાંબાં કરી રાજાનાં સઘળાં આગલાં કામો સંભારવા લાગ્યા. લુચ્ચા ચોર અને એવા લોકો જેઓને રાજ્યની ઉથલ પાથલમાં હમેશાં લાભ થાય છે તેઓ અંતઃકરણમાં ખુશ થઈને ખરાબીને દહાડો જેમ બને તેમ જલદી આવે એમ પરમેશ્વર પાસે માગવા લાગ્યા; અને જે વખતે હરામીના બે ભાગ થાય તે વખતે ગરીબનો મારો થાય જ, એ નિયમથી બ્હીને ગરીબ નબળા લોકોએ શહેર છેડી પરદેશમાં વસવાને નિશ્ચય કીધો.

    એવા વિચારમાં ને વિચારમાં તેઓ શબની સાથે સ્મશાનમાં આવ્યા, અને ઉંચકનારા બ્રાહ્મણોએ તે શબને ઉતારીને નદીના પાણીમાં ડુબતું મુકી ચિતા તૈયાર કરવા માંડી. માણસના આત્મા વગરના શરીરને વાયુ તથા પૃથ્વીમાં મેળવી દેવાનો જે ઉપાય કરવામાં આવ્યો હતો તે ઉપર સઘળાએાની નજર દોડી, બાવળની સાથે અગર તથા સુકડનાં લાકડાંની એક ચોરસ ચિતા સીંચી હતી, અને તેના ઉપર એક લાકડાંની મઢુલી બનાવી તેની ચારે બાજુએ ઘાસ, કાંટા તથા બીજા જલદીથી મળે એવા પદાર્થથી ઢાંકી નાંખી હતી. મથાળા ઉપર મોટી ભારે ગાંઠો ગોઠવી હતી, અને એક બાજુએથી અંદર પેંસવાનો રસ્તો રાખ્યો હતો. સ્મશાનમાં ગયા પછી સતી સુખાસનમાંથી ઉતર્યા. તે વખતે તેના ચહેરા ઉપર જરા પણ દહેશત જણાતી ન હતી. તેની ચાલ ઉપરથી પણ તે મરવાનું પાસે આવ્યું એમ જાણી જરા પણ આંચકો ખાતી હોય એમ દીસતું ન હતું. તેનું મ્હોં હસતું તો નહીં તો પણ તેના ઉપર શાંતિ તથા જે કામ કરવા ધારેલું તે કરવાનો દૃઢ નિશ્ચય જણાતો હતો, તે ત્યાંથી ચાલીને ચિતા સામે ઉભી રહી, અને શબની સઘળી ક્રિયા થઈ રહ્યા પછી તેણે ચારે દિશાએ નમસ્કાર કીધા, અને સૂર્ય તરફ નજર કરી બોલી –“ સૂર્ય દેવતા ! તું પ્રત્યક્ષ દેવ છે, તારું તેજ સઘળે વ્યાપી રહ્યું છે. તું સઘળા જીવનનું મૂળ છે; અને તું આખું જગત બહારથી જુએ છે એટલું જ નહી, પણ વસ્તુઓની અંદરનાં તત્વ તથા પ્રાણી માત્રના અંતઃકરણના વિચાર જાણે છે, માટે મેં જે પાપ કીધાં હોય તે બાળી નાંખી મને શુદ્ધ કર. અગ્નિદેવતા ! જો મેં ખરેખરૂં પતિવ્રત પાળ્યું હોય, અને મને ખરેખરું સત ચઢ્યું હોય, તો મને અંગીકાર કરજો, નહીં તે મને તમારો સ્પર્શ પણ થવા ન દેતા.” ત્યાર પછી તેણે પરમેશ્વરની સ્તુતિ ઉચું મ્હોં રાખી નીચે પ્રમાણે કીધી –

    શાર્દૂલવિક્રીડિત છંદ.

    દીનાનાથ દયાળ તું જગતમાં, દાતા દુખીયા તણો,

    પ્રાણી માત્ર રહી મહી તળ સહુ, આભાર માને ઘણો;
    ભાનુ ચંદ્ર બિરાજતા ગગનમાં, તારા પ્રકાશે અતિ,
    ગિરિ, સાગર, ઝાડ પાન સઘળાં, માનું હું તારી કૃતિ. ૧

    વાડી ખેતરનાં ફુલો મઘમઘે, રૂપે રળીઆમણાં,
    ભૂમી ઘાસ છવાયલી ખુશનુમાં, શોભા તણી ના મણા;
    કોટી કોટિ લવું જીવે પવનમાં, ન્હાસે રમે સૌ મળી,
    આકાશે બહુ શોભતાં ખગચરે, ઉડે ફરે તે વળી. ર

    ગાડી રાન મધે રહે વનચરો, ખાએ ખુશીમાં વસે,
    લીલા એ સહુ ઈશ્વરી નિરખતાં, બુદ્ધિ જ પાછી ખસે;
    પાપી માનવિ ક્લેશમાં રઝળતો, દીસે ઉદાસી ખરે,
    આશામાં રહી કાળ તે નિરગમે, ભામા વૃથા તે કરે. ૩

    માયા તો અદ્દભૂત છે હરિતણી, થાએ નહીં માપ રે,
    પિડા કારણ શું હશે જગતમાં, શોધ્યા તણું પાપ રે;
    માટે વિનતિ હું કરું કરગરી, પ્રીતે શુણી રાખજે,
    પાપો ઘોર કીધાં જ મેં સરવદા, બાળી સહુ નાંખજે. ૪

    એ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેને ચિતાની આસપાસ ત્રણ પ્રદક્ષિણા ફેરવી. ફરતી વખતે તેણે તેના અંગ ઉપરથી તમામ ઘરેણાં કાઢી નાંખી બ્રાહ્મણોને વહેંચી આપ્યાં, અને ત્રીજી પ્રદક્ષિણા ફરતી વખતે તેનું ચિત્ત આ દુનિયા ઉપરથી એટલું તો ઉઠી ગયું કે તેની આંખ આંધળી જેવી થઈ ગઈ અને તેણે ઠોકર ખાધી. તે વખતે તેના ગોરે તેનો હાથ પકડ્યો પડવાથી લોકોમાં નામોશી થશે એવા વિચારથી જાગૃત થઈ તેણે હાથ ઝટકી નાંખ્યો, અને લોકોની સામું મ્હોં ફેરવીને ઉભી રહી, તેને જોઈ લોકો સ્તબ્ધ થઈ ઉભા રહ્યા. શરદ મહીનાના બે પહોર દહાડાનો આકરો તડકો પડતો હતો, ભીડથી તથા તાપથી લોકોનાં મ્હોં ઉપર પરસેવાના રેલા ચાલતા હતા, લોકો એવા તો ચુપ હતા કે ત્યાં એક પૈસો પડે તો તેનો પણ અવાજ સંભળાય, પવન એટલો તો બંધ હતો કે ઝાડ ઉપરનું એક પણ પાતરૂં હાલતું નહતું, અને સરસ્વતીનું પાણી તળાવના જેવું નિર્મળ તથા સ્થિર રહેલું હતું. સ્વદેહરક્ષણ એ સૃષ્ટિનો એક નિયમ છે, ધન, માલ, સ્ત્રી, છોકરાં ઈત્યાદિ જગતમાં જે વહાલામાં વહાલું હોય તેને અર્પણ કરી સ્વદેહનું રક્ષણ કરવાની સઘળામાં પ્રેરણા મુકી છે, તે નિયમ, તે પ્રેરણા તોડવાને એક માણસ ધર્મના જુસ્સામાં આવીને, ધર્મશાસ્ત્ર ઉપર ભરોસો રાખીને, અને વગર જોયલી અને વગર અનુભવેલી વાતો ઉપર વિશ્વાસ રાખીને, પોતાનો દેહ પોતાની રાજીખુશીથી, અક્કલ હોશીયારીથી અર્પણ કરવાને તૈયાર થયલું જોઈને જાણે આખું વિશ્વ વિસ્મિત થઈ તમાશો જેવાને સ્થિર ઉભું હોય એમ લાગતું હતું. પણ સતી મા તેના સ્વામીને મળવાને આતુર થઈ રહ્યાં હતાં. તે મઢુલીનું એક પાસું ઉઘાડીને તેમાં પેઠાં, પોતાના ધણીનું માથું ખોળામાં મુક્યું, અને બ્રાહ્મણને ઈશારત કીધી. બ્રાહ્મણોએ તે ઉપર પુષ્કળ ઘી રેડ્યું, અને મશાલવડે ઘાસકાંટાને સળગાવી મુકયા, તાપનું એકદમ મોટું ભડકું થયું. મઢુલીનું મથાળું કડકડ થઈને તુટી પડયું. બાજુ તરફના પ્રજવલિત પદાર્થો વચ્ચોવચ પડ્યા. રણશિંગડાં, તુરાઈ ભુંગળ, ઢોલ, નોબત, શરણાઈ, ઝાંઝ, થાળી વગેરે વાજીંત્રોનો એવો મોટે અવાજ થઈ રહ્યો કે લોકોને પોતાના કાન હાથે બંધ કરવા પડ્યા, અને અવાજના આચકાથી આભ તુટી પડશે એવું લાગ્યું, એ બધાની સાથે લોકો પણ જેમ પડાય તેમ જોરથી “અંબે,” “જે અંબે,” “ અંબે માતની જે,” એવી ચીસ પાડવા લાગ્યા તે વખતે જે ભયાનક તથા રાક્ષસી દેખાવ થઈ રહ્યો તેનું બયાન જ થઈ શકે નહી, ગુણસુંદરીનું સુંદર શરીર લાકડાંની કમઠાળો નીચે છુંદાઈ ગયું, અને એક પણ મરતી વખતની ચીસ પડ્યા સિવાય તેના તથા તેના સ્વામીના આત્માનાં મૃત્તિકા-ગૃહો આસુની મારફતે પંચમહાભૂતમાં મળી ગયાં, અને તે દેહરૂપી ઘરમાં વસતા તેમના આત્મા જે જે બક્ષિશો લઈ આ દુનિયામાં આવ્યા હતા તેનો ઉપયોગ શી રીતે કીશો તેના હિસાબ આપવાને રાજાઓના રાજાની હજુર રજુ થયા.

    લોકો સઘળા ઉદાસ થઈને તથા દુનિયા તરફની વૃત્તિ ઉઠાવી પોતપોતાના ઘર તરફ વળ્યા. માત્ર એક રજપૂત ત્યાં ઉભો રહ્યો, તેની કલ્પનાશક્તિ આ સઘળા બનાવથી એવી તો તીવ્ર થઈ ગઈ હતી કે તેણે સતીની મરતી વખતની ચીસ સાંભળી એમ તેના મનમાં ભ્રાન્તિ પૈઠી, એ કેવા અપશકુન ? હવે શી અવસ્થા થશે ? હવે હું શું કરું ? એવા વિચારમાં ને વિચારમાં તે ડુબી ગયો, અને અસહ્ય દુઃખ થવાથી એક પથ્થર ઉપર બેસી નાના છોકરાની પેઠે તે રડવા લાગ્યો.

    જેના મનમાં પાપ તેને કદી સુખ થતું નથી. દુનિયામાં જે જે બનાવો બને છે તેથી તેને નુકસાન પહોંચશે એવી તેને હમેશાં ધાસ્તી રહે છે. એક કાંકરો પડે તો તે જાણે છે કે એક પહાડ તેના ઉપર પડ્યો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી નથી, એક ઘડી પણ ચેન પડતું નથી. ખરેખરી અને કલ્પિત દહેશતોથી પીડાયાં કરે છે. કીધેલાં માઠાં કામનો પસ્તાવો નહીં છંટાય એવો અગ્નિ થઈ તેનું આખું શરીર બાળી નાંખે છે. અને તેની પાસે ગમે તેટલું દ્રવ્ય, કુટુંબકબીલો, નોકર ચાકર, તથા દુનિયાનું સઘળું બહારનું સુખ હોય છે તો પણ પાપનો કીડો તેનું કલેજું કોતરી ખાય છે, અને અંતે તો નરકમાં જવાની ખાતરી રાખી પોતાનો પ્રાણ મુકે છે, એવી મહાદુ:ખદાયક અવસ્થા તે રજપૂત જે કરણ હતો તેના મનની હતી.


    આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


    હવે પછીઃ  પ્રકરણ – ૪થું


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૧૦] : રાજેન્દ્ર કુમાર

    નિરંજન મહેતા

    રાજેન્દ્રકુમાર જે પોતાની સફળ કારકિર્દીમાં તેમની અનેક ફિલ્મો જ્યુબીલી હિટ રહેવાને કારણે જ્યુબીલી કુમાર તરીકે પણ પ્રખ્યાત છે તેની મોટાભાગની ફિલ્મોમાં રફીસાહેબનો ગાયક તરીકે ઉપયોગ થયો છે. તેમ છતાં કેટલીક ફિલ્મોમાં અન્ય ગાયકોનો અવાજ વપરાયો છે.

    સૌ પ્રથમ ૧૯૬૧ની ફિલ્મ ‘આસ કા પંછી’નાં ગીતો જોઈએ.

    પ્રથમ ગીત છે જે રજાઓની ખુશીમાં મિત્રો સાથે રાજેન્દ્રકુમાર ગાય છે. કોઈને મળવાની ઉત્કંઠા માટેનું આ ગીત છે

    जमीन कागज़ की बन जाये
    समुन्दर रोशनाई का
    बया फिर भी न होगा
    हमसे यह किस्सा जुदाई का

     

    હસરત જયપુરીના શબ્દો, શંકર જયકિસનનું સંગીત અને સ્વર છે રફીસાહેબનો.

    બીજું ગીત ઝડપથી જતી કારમાં મુસાફરી કરતી વખતે વૈજયંતીમાલા તેને વિનવે છે

    धीरे चला ज़रा हाये धीरे चला ज़रा
    मुकद्दर की गाडी पे हम दो अनाडी थे

    ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને શંકર જયકિસનનું સંગીત. સ્વર છે સુબીર સેન અને લતાજીના.

    ત્રીજું ગીત નશામાં ધૂત રાજેન્દ્રકુમાર ગાય છે જે પોતાની જિંદગીને કોસે છે.

    राह के तालिब है पर
    बेराह पड़ते है क़दम
    देखिए क्या ढूंढते है
    और क्या पाते है हम
    अपनी भी क्या ज़िंदगी है निराली

    ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને શંકર જયકિસનનું સંગીત. સ્વર છે મુકેશનો.

    ૧૯૬૧ની અન્ય ફિલ્મ ‘પ્યાર કા સાગર’ના આ ગીતમાં રાજેન્દ્ર કુમાર છોડીને જતી મીનાકુમારીને ઉદ્દેશીને ગાય છે

    मुझे प्यार की जिंदगी देने वाले
    कभी गम ना देना खुशी देने वाले
    मोहब्बत के वादे भुला तो ना दोगे
    कहीं मुझसे दामन छुड़ा तो ना लोगे

    સ્વર છે રફીસાહેબ અને આશા ભોસલેના.

    બીજું ગીત એક વિરહ ગીત છે.

    हो गये दो रोज़ में आबाद भी बर्बाद भी
    अब तमन्ना है वही आये ना उनकी याद भी
    वफ़ा जिनसे की बेवफा हो गया

    સ્વર છે મુકેશનો

    બંને ગીતના ગીતકાર પ્રેમ ધવન. સંગીતકાર રવિ.

    ૧૯૬૧ની વધુ એક ફિલ્મ ‘સસુરાલ’નું આ બહુજ પ્રખ્યાત ગીત છે જે બી. સરોજાદેવીને ઉદ્દેશીને ગવાયું છે

    तेरी प्यारी प्यारी सूरत को
    किसीकी नज़र ना लागे
    चश्म-ए-बद्दूर
    मुखड़े को छुपालो आंचल में,
    कहीं मेरी नज़र ना लगे
    चश्म-ए-बद्दूर

    ગીતના ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન, સ્વર છે રફીસાહેબનો.

    બીજું ગીત એક દર્દભર્યું ગીત છે

    सता ले ऐ जहाँ, न खोलेंगे ज़ुबाँ
    सितम तेरे कभी तो बेअसर हो जाएँगे
    पुकारो लाख तुम, न फिर लौटेंगे हम
    कि हम भी राह की इस धूल में खो जाएँगे

    સ્વર છે મુકેશનો. ગીતના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન.

    ૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું આ ગીત યુવા વર્ગમાં પ્રિય ગીત છે.

    ये मेरा प्रेमपत्र पढ़ कर के
    कि तुम नाराज ना होना
    कि तुम मेरी ज़िंदगी हो

    આ ગીત વૈજયંતીમાલાને ઉદ્દેશીને ગવાયું છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.

    બીજું ગીત પ્રણય ત્રિકોણ રૂપે ગવાયું છે

    हर दिल जो प्यार करेगा वो गाना गायेगा
    दीवाना सैंकड़ों में पहचाना जायेगा

    કલાકારો છે રાજેન્દ્રકુમાર, રાજકપૂર અને વૈજયંતીમાલા. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે મહેન્દ્ર કપૂર, મુકેશ અને લતાજીના.

    ૧૯૬૭ની ફિલ્મ ‘પાલકી’નું આ ગીત વિરહ ગીતના રૂપમાં છે

    मेरे घर से प्यार की पालकी चली गयी
    घर मेरा उजड़ गया, ज़िंदगी चली गयी
    मेरे घर से प्यार की पालकी चली गयी
    आशिया मेरा जला और मैं देखता रहा

    સ્વર છે મન્નાડેનો.

    બીજા ગીતમાં એક પ્રેમી પોતાના મનોભાવને વ્યક્ત કરે છે.

    कल रात ज़िंदगी से मुलाक़ात हो गई
    लब थरथरा रहे थे मगर बात हो गई।

    સ્વર છે રફીસાહેબનો.

    બંને ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના ને સંગીત આપ્યું છે નૌશાદે.

    ૧૯૬૯ની ફિલ્મ ‘અનજાના’નું આ ગીત એક સવાલ જવાબ રૂપે છે જે રાજેન્દ્ર કુમાર અને બબીતા વચ્ચે રચાયું છે.

    वो कौन है वो कौन है
    जो रूठ जाती है
    चीज़ वो नाज़ुक बड़ी है
    टूट जाती है बोलो बोलो

    ગાયકો છે મુકેશ અને લતાજી.

    બીજું ગીત વરસાદની મજા લેતા ગવાયું છે. કલાકારો આ જ બંને

    रिम झिम के गीत सावन गाए गाए
    भीगी भीगी रातों में
    होठों पे बात दिलकी आए आए
    भीगी भीगी रातों में

    ગાયકો રફીસાહેબ અને લતાજી.

    બંને ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

    ૧૯૭૦ની ફિલ્મ ‘ગીત’ એક સંગીત સભર ફિલ્મ છે

    પોતાના મનની વાત રજુ કરતાં રાજેન્દ્ર કુમાર માલા સિંહાને ઉદ્દેશીને ગાય છે

    जिसके सपने हमें
    रोज़ आते है दिल लुभाते रहे
    ये बतादो बतादो
    ये बतादो तुम कहीं
    वो ही तो नहीं वही तो नहीं

    ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. સ્વર આપ્યો છે મહેન્દ્ર કપૂર અને તાજીએ.

    બીજું ગીત પ્રેમિકાને યાદ કરતાં ગવાયું છે.

    आजा तुझको पुकारे मेरे गीत रे मेरे गीत रे
    ओ मेरे मितवा मेरे मीत रे आजा

    ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૭૦ની અન્ય ફિલ્મ ‘ગંવાર’નું આ ગીત એક પ્રેરણાદાયક ગીત છે.

    ऐ किसानो ये धरती तुम्हारी है माँ
    जिंदगी में कोई माँ से प्यारा नहीं

    ગાયક છે મહેન્દ્ર કપૂર.

    બીજું ગીત એક પ્રેમીના ભાવોને વ્યક્ત કરે છે.

    महका महका रूप
    तुम्हारा बहकी बहकी चल
    ऐ फूलों की डाल
    ये राही पूछे एक सवाल
    तुम्हारा नाम क्या है

    ગાયક છે રફીસાહેબ.

    બંને ગીતના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત છે નૌશાદનું.

    ૧૯૭૧ની ફિલ્મ ‘આપ આયે બહાર આઈ’ નું ગીત બે પ્રેમીની નોકઝોક રૂપ છે.

    तुम को भी तो ऐसा ही कुछ होता होगा ओ सजना

    कैसा? कैसा?
    तेरी याद सताती है
    नींद नहीं आती है रातों में

    રાજેન્દ્ર કુમાર અને સાધના વચ્ચેની આ નોકઝોકનાં રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે કિશોરકુમાર અને લતાજીના

    બીજું ગીત પણ આ બે કલાકારો પર ફિલ્માવાયું છે.

    सारे ज़माने पे मौसम सुहाने पे
    इस दिल दीवाने पे वीरानी सी थी छाई
    आप आए बहार आई

    ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.

    ૧૯૭૨ની ફિલ્મ ‘ગોરા ઔર કાલા’માં રાજેન્દ્ર કુમાર ડબલ રોલમાં છે.

    પહેલું ગીત છે હેમા માલિની સાથેનું પ્રેમગીત.

    इक ना इक दिन यह कहानी बनेगी
    तू मेरे सपनो की रानी बनेगी

    ગાયક છે રફીસાહેબ.

    બીજું ગીત પણ આ બે કલાકારો પર છે

    धीरे धीरे बोल कोई सुन ना ले
    सुन ना ले कोई सुन ना ले
    सेज से कलियाँ चुन ना ले
    चुन ना ले कोई चुन ना ले

    સ્વર છે મુકેશ અને લતાજીના

    બન્ને ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

    ૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘ટાંગેવાલા’નું આ ગીત એક સંદેશાત્મક ગીત છે

    जिन के कारण गलियों गलियों भटके थक कर चूर हुए
    बीच डगर में छोड़ के देखो वो भी हम से दूर हुए
    कर भला, होगा भला अंत भले का भला

    ગાયક છે મુકેશ.

    બીજું ગીત નશામાં ધૂત રાજેન્દ્રકુમાર પર રચાયું છે.

    दुनिया शराबी दुनिया शराबी
    कौन नहीं पीता सब पीते है

    ગાયક છે રફીસાહેબ

    બંને ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે નૌશાદ.

    ૧૯૭૨ની વધુ એક ફિલ્મ ‘લલકાર’નું પહેલું ગીત એક ફરિયાદ રૂપે છે

    मेरे महबूब मेरी बात तुम्हें क्या मालूम
    मेरी धड़कन, मेरे जज्बात तुम्हें क्या मालूम

    ગાયકો છે મનહર ઉધાસ અને માલા સિંહા.

    બીજું ગીત બે પ્રેમીઓની વચ્ચે પ્રેમના પરિમાણ માટે ગવાયું છે.

    बोल मेरे साथिया
    कितना मुझसे प्यार है
    बोल मेरे साथिया
    कितना कितना मुझसे प्यार है

    સ્વર છે રફીસાહેબ અને લતાજીના.

    બંને ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    આશા છે આ લેખમાં જે ગીતો સમાવાય છે કદાચ તે ઉપરાંત પણ કોઈ આવા ગીત જણાય તો ધ્યાન ખેંચવા વિનંતી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • પેરડીની પ્રસાદી – – ભોજન કે નજારે હૈ….આહા…આહા…

    બીરેન કોઠારી

    ‘પેરડી’ એટલે પ્રતિરચના. એ જ સૂચવે છે કે પહેલાં મૂળ રચનાનું હોવું આવશ્યક છે. કોઈ મૂળ કૃતિ પરથી, તેના માળખાને પકડીને સાવ જુદો જ અર્થ ધરાવતી રચના તૈયાર કરવામાં આવે ત્યારે તે પ્રતિરચના કહેવાય છે. જરૂરી નથી કે પેરડી કેવળ પદ્યની જ હોય. ગદ્યની પણ હોઈ શકે. આખેઆખી પદ્યરચનાને બદલે એકલદોકલ પંક્તિની પણ હોઈ શકે. તેનો હેતુ વ્યંગ્ય નિપજાવવાનો હોય, અને એ વ્યંગ્ય ક્યારેક પોતાની કોઈક વાત રજૂ કરવા માટે હોઈ શકે, યા હાસ્ય નીપજાવવા પણ હોઈ શકે.

    ગુજરાતીની અનેક રચનાઓની પેરડી થઈ છે, થતી રહી છે. હિન્‍દી ફિલ્મોનાં ગીતો લોકપ્રિય બનીને ખૂણેખૂણે ગુંજવા લાગ્યાં એ પછી એવાં જાણીતાં ગીતોની પણ પેરડી થવા લાગી. એટલે કે પેરડીની ધૂન મૂળ ગીતની જ હોય, અને અમુક શબ્દો પણ મૂળ ગીત સાથે સામ્ય ધરાવતા હોય, પણ સમગ્રપણે એ સાવ જુદો જ, ઘણાખરા કિસ્સામાં હાસ્યપ્રેરક અર્થ પ્રદર્શિત કરતા હોય. કોઈ એક ગીતની પેરડી જોવા મળે છે, પણ એની સામે એવા અનેક દાખલા છે કે જેમાં કોઈ એક નહીં, પણ અનેક ગીતોની medley (વિવિધ ગીતોના સળંગ ટુકડા) પેરડી તરીકે ફિલ્મમાં વપરાઈ હોય. રસિયાઓને ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મની આવી પેરડી યાદ હશે.

    મને વધુ રસ એ બાબતમાં પડ્યો કે ‘મેડલી’માં પ્રયોજાયેલાં ગીતોમાં કશું સામાન્ય છે કે કેમ? પ્રથમદર્શી રીતે ખ્યાલ આવ્યો કે મોટે ભાગે ‘મેડલી’માં વપરાયેલાં ગીતો જે તે ફિલ્મના સંગીતકારનાં પોતાનાં જ હોય છે. પણ આ એક સામાન્ય નિરીક્ષણ છે. બધામાં આવું હશે કે કેમ? બસ, આ એક સવાલે આ શ્રેણીની આ પ્રથમ કડી આરંભાઈ. દર વખતે આવી એક એક મેડલી વિશે વાત કરવા ઈરાદો છે.

    ખાંખાંખોળા કરતાં છેક ૧૯૪૩માં રજૂઆત પામેલી ‘વાડિયા મુવીટોન’ની, જે.બી.એચ.વાડિયા દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘વિશ્વાસ’માં એક પેરડી જોવા મળે છે. સુરેન્દ્રનાથ, મહેતાબ, સુલોચના ચેટર્જી, ત્રિલોક કપૂર જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મનાં આઠ ગીતો કુલ ચાર ગીતકારો- પં.ઈન્દ્ર, ડૉ. સફદર ‘આહ’, મુન્શી શામ જિલાની અને મુન્શી આઝમ- દ્વારા લખાયેલાં છે. સંગીતકાર તરીકે પણ ફિરોઝ નિજામી, બી.એ. અને માસ્ટર છૈલા લાલનાં નામ છે.

    પેરડી ગીત મુન્શી શામ જિલાની દ્વારા લખાયું છે, જેને બેબી માધુરીએ ગાયું છે.

    શરૂઆત ‘ખજાનચી’ (૧૯૪૧)ના સુપરહીટ ગીત ‘સાવન કે નઝારે હૈ‘ ગીતની પેરડી ‘ભોજન કે નઝારે હૈ’થી થાય છે. તેનું માત્ર મુખડું જ છે. એ પછી તરત આ જ ફિલ્મના ગીત ‘લૌટ ગઈ પાપન અંધિયારી‘ની પેરડી ‘લૌટ ગઈ અબ ભૂખ હમારી’ છે. ‘ખજાનચી’ના સંગીતકાર ગુલામ હૈદર હતા. આના પછી તરત ‘સિકંદર’ (૧૯૪૧)ના લોકપ્રિય ગીત ‘જિંદગી હૈ પ્યાર સે, પ્યાર સે બનાયે જા‘ની પેરડી ‘જિંદગી હૈ પેટ સે, ૧૯૪૩ ‘પેટ નિભાયે જા’ આવે છે. ‘સિકંદર’ના સંગીતકાર મીરસાહબ અને રફીક ગઝનવી હતા. પેરડીમાં મુખડા ઊપરાંત એક અંતરો પણ છે. એ પછી ‘ખાનદાન’ (૧૯૪૨)ના નૂરજહાંએ ગાયેલા ચિરંજીવ ગીત ‘મેરે લિયે જહાન મેં‘ની પેરડી ‘ખાને કો ચાહતા હૈ’ છે. આના પછી ‘ખાનદાન’ના નૂરજહાંએ ગાયેલા ખ્યાતનામ ગીત ‘તૂ કૌન સી બદલી મેં મેરે ચાંદ હૈ આજા’ની પેરડી ‘તૂ કૌન સી સાડી મેં મેરી દૈયા હૈ આજા‘ છે. આમાં કેવળ ગીતનું મુખડું જ છે. ‘ખાનદાન’માં પણ ગુલામ હૈદરનું સંગીત હતું. સૌથી છેલ્લે ‘ભોજન કે નઝારે હૈ’ આવર્તિત થાય છે.

    આમ, આ મેડલીમાં કુલ છ ગીતોની પેરડી સાંભળવા મળે છે, જેમાં એક ગીત ફરી વાર છે. આ તમામ ‘વિશ્વાસ’ ફિલ્મની રજૂઆતનાં આગલા એકાદ બે વરસમાં આવેલી ફિલ્મોનાં લોકપ્રિય ગીતોની પેરડી છે. એટલે કે સંગીતકાર ફિરોઝ નિજામીએ લોકપ્રિયતાના માપદંડને આધાર બનાવીને આ મેડલી તૈયાર કરી છે. મેડલીમાં ભોજનનો વિષય કેન્દ્રસ્થાને છે અને બાળકો રહેતાં હોય એવા આશ્રમનું વાતાવરણ હોય એમ લાગે છે. આ બાળકો પર ફિલ્મની, તેનાં ગીતોની પ્રબળ અસર બતાવાઈ છે. મૂળ ગીતોથી સાવ જ નોખા, એક જ વિષય પર રચાયેલી આ પેરડી આપોઆપ જ હાસ્ય નિષ્પન્ન કરે છે.

    આ લીન્ક પર ‘વિશ્વાસ'(૧૯૪૩)નું આ ગીત જોઈ અને સાંભળી શકાશે.

    https://www.youtube.com/watch?v=R4aEsxHlHYE


     

    (લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્‍યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એવું કંઇક કરીએ જે બીજાં માટે પ્રેરક કહાની બની રહે

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    મારાં વ્યવસાય-વિશ્વને કર્મચારીઓ થકી
    ઘડવામાં મને ક્યારેય રસ નથી પડ્યો.

    હા, લોકો દાખલ જરૂર કર્મચારીઓ તરીકે થાય છે.

    પરંતુ અમે એવું વાતાવરણ રચીએ છીએ કે એ લોકો
    ઉદ્યોગ સાહસિક તરીકેની ભાવનાથી ખીલે.

    એમાંથી કેટલા ઉદ્યોગ સાહસિકો પણ પાકે છે. .

    – કેટલાક અમારી  EightQor પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થામાં નીવડે છે.
    – કેટલાક બહાર જઈને ઉભરે છે.

    જીત તો બન્ને કિસ્સાઓમાં છે.
    કેમકે સંસ્થા માટે ખરાં પરિણામ
    તેનં ઉત્પાદનો કે તેણે ઊભી કરેલી નવી કંપનીઓ જ નથી.

    એ તો નવઘડતર કરનારાંઓ છે.

    મારૂં કામ એ મોકળાશ ઊભી કરવાનું છે.

    તમારૂં કામ છે એવું કંઇક કરવાનું  જે બીજાં માટે પ્રેરક કહાની બની રહે.

    +        +       +

    પાદ નોંધઃ

    થોડા દિવસો પહેલાં મેં વિનય કામથનું પ્રેરક પુસ્તક, Titan: Inside India’s Most Successful Consumer Brand  વાંચ્યું હતું.

    પરંતુ એ પુસ્તક પરથી બનેલી વેબસિરીઝ જોવા માટે મને આગ્રહપૂર્વકનું સૂચન ૬,૨૩૦ કિ. મી.. દૂર બેઠેલ કવિતાએ કર્યું.

    મને એ સૂચન બહુ જ આનંદદાયક નીવડ્યું.

    ઘણી વાર આપણે કેટલીય વાતો જાણતાં હોઈએ છીએ.

    પરંતુ  એ વિશેનો કોઈ અલગ જ અનુભવ આપણામાં નવો જ દૃષ્ટિકોણ ખોલી આપે છે.

    આ વેબ સિરીઝ જોવી એ પણ એવો જ એક અનુભવ રહ્યો..

    હવે મારી અંદર માત્ર કંપનોઓ કે કપનીઓનું ઝુમખું નહીં, પણ Tata Group જેવી સસ્થાનું ઘડતર કરવાનો તણખો પ્રગટ્યો છે.  

    +        +       +

    થોડાં વર્ષો પછી #LifeAtUpsquare યાદ કરીને કહેશે – ‘ટાઈટન યાદ આવે છે?”

    રૂમમાં બેઠેલ દરેકને બરાબર ખ્યાલ આવી જશે કે શેની વાત થઈ રહી છે.

    ગયે અઠવાડીયે, અમે બધાંએ એક સાથે વેબસિરીઝ Made in India: A Titan Story જોઈ.

    એક બેઠકે નહીં.

    દરરોજના બબ્બે કલાક કરીને ત્રણ દિવસ લાગ્યા.

    પહેલે દિવસે મધ્યાંતરમાં બધાંએ પૉપકૉર્નની મજા માણી.

    બીજે દિવસે બધાં પોતાનાં લચબોક્ષમાં કંઈક ને કંઇક વાનગીઓ લઈ આવ્યાં હતા. શાળાના દિવસોની જેમ બધાંએ દાબડા ઉજાણી કરી. અમારી ટેક કંપની એ દિવસે શાળાના રિયુનિયનના મુડમાં ફેરવાઈ ગઈ હતી.

    ત્રીજે દિવસે સિરીઝ પુરી થઈ એટલે ટેરેસ પર પાણીપુરીની જ્યાફત પણ માણી.

    આ બધાં વચ્ચે અમે સંસ્થાના ઘડતરની પરિકલ્પનાનું ચિત્ર પણ મનમાં દોરી લીધું.

    જ્યારે પરિણામોમાં અનિશ્ચિતતા દેખાતી હોય ત્યારે ધીરજ રાખવાનું મૂલ્ય સમજાયું.

    પુરાવો દેખાય તે પહેલાં ભરોસાની પ્રતિતી કરવાનું સમજાયું.

    કંઇ પણ નિશ્ચિત, નક્કર દેખાવા લાગે તે પહેલાં તેની પાછળ લાગેલી વર્ષોની જહેમતની કિંમત સમજાઈ.

    પરંતુ, કોઈ અનુભવને સાથે અનુભવવાની ખરી ખુબી પછીથી કળાવા લાગે છે.

    કંપનીના દરેક સભ્ય પાસે હવે એક સમાન સદર્ભ રેખા છે.

    મહિનાઓ પછી જ્યારે કોઈ વાત સમજાવવાની થશે ટાઈટનના કોઇ વિચારનાં દૃશ્યોને જ યાદ કરાવવાનાં રહે. તો કોઈએ ટાઈટનનાં કોઈ પાત્ર, કે નિર્ણય-પ્રક્રિયા કે પેલી મુશ્કેલ ઘડીઓની યાદ કરાવવાની રહે.

    ચર્ચાઓ માટે મિટિંગો કે પ્રેઝન્ટેશન વગેરે , કદાચ, જરૂર જ ન પડે.

    સંદર્ભ તો બધાંની આંખ સામે જ છે.

    #Upsquareની બાબતે પણ આપણે એવું જ વિચારતાં થઈશું.

    દરેક કંપનીની પોતપોતાની ભાષા, ધીમે ધીમે, વિકસવા લાગે છે.

    કંઈક કામ શીખવે છે.

    કંઈક નિષ્ફળતાઓ શીખવી જાય છે.

    કંઈક લોકો અંદરોઅંદર એ બીજને વિકસાવી લે છે.

    તો કેટલુંક સાથે રહીને થયેલા અનુભવો શીખવવાનું સિંચન કરે છે.

    કંપનીની સંસ્કૃતિના મૂળિયાં કંપનીના લોકોનાં સંસ્મરણોનાં જાળાંઓના સમુહોમાં કાયમનો વસવાટ કરે છે.

    માટે જ, જે યાદો આપણે સર્જીએ છીએ તે વિશે થોડું વધારે વિચારશીલ થઈએ.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સજા ન કરીએ, સુધારવાની તક બતાવીએ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    ઘણી સંસ્થાઓમાં આ મુજબની કાર્યપ્રણાલી જોવા મળે છે –

    સંસ્થાની કાર્ય પ્રક્રિયાઓનું ઘડતર ISO જેવાં કેટલાંક ચોક્કસ માપદંડો કે ધારાધોરણોને પ્રમાણિત કરવાના ઉદ્દેશ્યથી થતું હોય છે. સમગ્ર સંસ્થામાં એ કાર્ય પ્રક્રિયાઓ એમ સમાન રીતે અમલ કરવામાં આવતી હોય છે. પરિણામે કાર્ય પ્રક્રિયાઓ કર્ય કરવાની સ્વાભાવિક લય ચુકીને માત્ર નિશ્ચિત ધારાધોરણનાં અનુપાલનનું માધ્યમ બની જાય છે. કેટલીકવાર, સંસ્થાના સંચાલન અગ્રણીઓ વ્યક્તિઓના કાર્યસિદ્ધિ પ્રદર્શનને અનુપાલનના સ્તરની સાથે જોડવાની જાળમાં ફસાઈ જાય છે. પરિણામે, સંસ્થામાં “મર્યાદા”સિમિત  માનસિકતાનું વાતાવરણ ઘેરાઈ જાય  છે. જો લોકો અનુપાલન કરવામાં અસફળ રહે, તો તેમને સજા કરવામાં આવતી હોય છે. આપણે પ્રક્રિયા પાલનના એટલે હદે હઠાગ્રહી બનવા લાગીએ છીએ કે લોકો વાસ્તવિક અને વ્યવહારિક સ્તર  મુદ્દાઓનો સામનો કરી રહ્યાં હોય છે તે આપણી નજરમાં નથી આવતા.

    મેં મારાં પુસ્તક “#QUALITYtweet – 140 bite-sized ideas to deliver quality in every project” માં લખ્યું છે કે પ્રક્રિયાને ગુણવત્તા ઘડતરના સાધન તરીકે નહીં ગણીએ, તો પ્રક્રિયા આપણને દોરવણી આપવાની વૃત્તિ ધરાવવા લાગે છે.

    મારા મતે આમ થવું ખૂબ જ પ્રતિ-ઉત્પાદક છે. પ્રક્રિયા સુધારણા માટે જવાબદારા અગ્રણીઓ માર્યાદા-સિમિત માનસિકતાનાં કોચલામાંથી બહાર નીકળીને પ્રક્રિયા અમલનો અભ્યાસ કરે તે જરૂરી છે.

    લોકો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી, ત્યારે તેનો અર્થ એ થાય છે કે કાં તો તેઓ પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી અથવા  પ્રક્રિયાની જે રીતે બાંધણી  કરાઈ છે તે તેમના માટે કામ કરતી નથી. બંને કિસ્સાઓમાં, પ્રક્રિયાને મૂળથી સુધારવાની તક છે.

    અહીં કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે જે જ્યારે કોઈ પ્રક્રિયા કામ કરતી નથી ત્યારે આત્મનિરીક્ષણમાં મદદ કરી શકે છ, :

    • શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ખરેખર લોકોને તેમનું કાર્ય વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે?
    • શું લોકોને જાણે છે કે આ પ્રક્રિયા શા માટે જરૂરી છે અને તે તેમને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકે છે? શું તેઓ આ પ્રક્રિયા રાખવા પાછળના હેતુ વિશે સ્પષ્ટ છે?
    • શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ને એવી રીતે વધુ સરળ બનાવી શકાય જેથી જે છે એટલી , કે વધુ સારી રીતે, અસરકારક બની રહે?
    • શું કોઈ એવું કાર્ય નજરે ચડે છે કે જે વર્તમાન પ્રક્રિયાઓના સમૂહમાં આવરી લેવાયેલ નથી?
    • શું લોકોને પ્રક્રિયા કેવી રીતે કરવી તેની પુરતી જાણ ન હોય તો વધારાની કેવી અને કઈ તાલીમ/કાઉન્સેલિંગની જરૂર છે? શું સસ્થા પાસે એ માટે જરૂરી માર્ગદર્શન/સંદર્ભો ઉપલબ્ધ છે?
    • શું સંસ્થામાંના મધ્યમ સ્તરમાં આવેલા સંચાલકો પ્રક્રિયાઓ રાખવા માટેના સંસ્થાના દૃષ્ટિકોણ સાથે વૈચારિક અને લાગણીના સંબંધે સંકળાયેલા છે, તેમની ટીમનાં સભ્યો પ્રક્રિયાને સહેતુક અનુસરે એ માટે પોતાનાં વાણી અને વર્તનથી યોગ્ય દાખલો બેસાડી રહ્યા છે?

    મુખ્ય વાત: પ્રક્રિયાઓનો અમલ કરતી વખતે વ્યવહારિક અભિગમ અપનાવાય એવું વાતાવરણ સર્જાતું અને જળવાતું રહેવું જરૂરી છે.જ્યારે પ્રક્રિયાઓનું પાલન ન થતું હોય, ત્યારે લોકોને તરત જ ટપકારવાને બદલે, ઘણીવાર “શા માટે?” (પાલન નથી થઈ શકતું) એમ પૂછવું જોઈએ. પાલન ન કરવાના મૂળ સુધી પહોંચવાથી તમને વાસ્તવિક સમસ્યા શું છે તે જાણવા મળશે. પાલન ન થવું એ ફક્ત એક દેખીતી ઘટના છે. યોગ્ય પ્રશ્નો પૂછવામાં અને તેમના જાવાબો શોધવામાં, તેમજ પ્રક્રિયા ખરેખર હેતુને પૂર્ણ કરેવા માટે સુસંગત અને પર્યાપ્ત છે તેનું મૂલ્યાંકન કરવામાં તમારી ટીમના દરેક  સભ્યને સામેલ કરો.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સમાજની આધુનિકતા શેનાથી મપાય?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કોઈ સ્ત્રી માતા બને એ સમાચાર નથી. કોઈ મહિલા મેયર માતા બને એ પણ સમાચાર ન હોવા જોઈએ. આવી ઘટના સમાચાર ત્યારે બને, જ્યારે લોકોને તેમાં કંઈક અસામાન્ય જણાય. ઘણી વાર અમુક સમાચાર કરતાં વધુ રસપ્રદ લોકોની પ્રતિક્રિયાઓ હોય છે, જે સૂચવે છે કે સમાજ હજી અનેક પૂર્વગ્રહો, માનસિકતાઓ કે ગ્રંથિમાંથી બહાર આવ્યો નથી.

    તાજેતરમાં જાપાનમાં કંઈક આવું જ બન્યું.

    યાવાતા શહેરનાં ૩૫ વર્ષીય મેયર શોકો કાવાતાએ જાહેર કર્યું કે પોતે માતા બનવાનાં હોવાથી ચાર મહિના માટે પ્રસૂતિ રજા(મેટરનીટી લીવ) લેશે. વાત બહુ સીધીસાદી અને આટલી જ છે, પણ તેણે જાપાન આખાને ચર્ચાના ચકડોળે ચડાવ્યું. અખબારોમાં એના વિશે તંત્રીલેખો લખાયા, આમ કરવું યોગ્ય કહેવાય કે નહીં એ બાબતે અભિપ્રાયો મંગાવાયા કે સર્વેક્ષણો યોજાયાં. ટીવી ચર્ચાઓ થઈ. સમગ્ર ચર્ચાનું કેન્‍દ્ર એક જ સવાલ હતો અને તે એ કે એક મેયર માતૃત્વ રજા લઈ શકે કે નહીં. આ જાણીને નવાઈ લાગ્યા વિના રહે નહીં કે આવું કેમ? અને એય જાપાન જેવા પ્રગતિશીલ દેશમાં?

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    મૂળ મુદ્દો મેયરના માતૃત્ત્વનો નહીં, પણ એ નિમિત્તે જાપાનીઓની પ્રતિક્રિયાનો છે. હકીકતે જાપાનમાં સામાન્ય નોકરી કરતી સ્ત્રીઓને માતૃત્વ રજાનો અધિકાર છે. એટલે આવી રજાનો વિચાર ત્યાં નવો નથી, બલ્કે સ્વીકૃત છે. પણ ચૂંટાયેલા મેયર માટે એવો કોઈ નિયમ નથી, કારણ કે આજ દિન સુધી કોઈ મહિલા મેયરે આવી રજા લીધી જ નહોતી. કાનૂન ઘડનારાએ કદાચ વિચાર્યું જ નહોતું કે શહેરનું નેતૃત્વ કરતી કોઈ વ્યક્તિ ગર્ભવતી પણ થઈ શકે.

    કાવાતાએ એક મુલાકાતમાં કહ્યું કે સંતાનજન્મ કોઈ પુરુષને તેના શરીર પર અસર કરતો નથી; પણ સ્ત્રીને અવશ્ય કરે છે. અને આ બાબત કંઈ અજાણી નથી, બલ્કે એક જૈવિક અને જાહેર સત્ય છે. છતાં આધુનિક કાર્યસંસ્કૃતિ એવી ઊભી થઈ છે કે કર્મચારી કોઈ માણસ નહીં, પણ સતત કામ કરતું યંત્ર હોય. એને ન કોઈ બીમારી હોય, કે ન વૃદ્ધાવસ્થા. માતૃત્વ કે પિતૃત્વ પણ ન હોય. તેણે બસ, કામ કર્યે જવાનું. જાપાનમાં આ પ્રશ્ન વધુ તીવ્ર છે. ત્યાં કામ પ્રત્યેની નિષ્ઠા લગભગ સાંસ્કૃતિક મૂલ્ય ગણાય છે. ‘કરોશી’ એટલે કે ‘અતિશય કામના કારણે મૃત્યુ’ જેવો શબ્દ જાપાને જ દુનિયાને આપ્યો છે. આવા દેશમાં એક યુવા મહિલા મેયર માતૃત્વ માટે રજા ભોગવવાની વાત કરે તેને પગલે રાષ્ટ્રીય ચર્ચા શરૂ થઈ જાય તેમાં આશ્ચર્ય થવું ન જોઈએ. સવાલ એ છે કે શું આ પ્રશ્ન કેવળ જાપાન પૂરતો મર્યાદિત છે? આપણી આસપાસ નજર કરીએ તો ખ્યાલ આવશે કે સ્ત્રી માટે સફળતાની વ્યાખ્યા ઘણી વખત વિચિત્ર હોય છે. તે આગળ વધે, નેતૃત્વ કરે, નિર્ણયો લે એ બધું બરાબર, પણ એ જ સ્ત્રી માતા બને એટલે અચાનક પ્રશ્નો શરૂ થાય છે. તે હવે કામ કેવી રીતે સંભાળશે? તેની વ્યાવસાયિક જવાબદારીઓનું શું? કારકિર્દી માટે તે સમય ક્યાંથી કાઢશે? આવા જ પ્રશ્નો નવા પિતા બનેલા પુરુષને ભાગ્યે જ પૂછાય છે. કેમ જાણે કે સંતાન ભલે ને બંનેનું હોય, પરંતુ જવાબદારી એકલી સ્ત્રીની જ.

    આ માનસિકતા જાપાન પૂરતી મર્યાદિત નથી. પરંતુ જાપાનના સંદર્ભમાં એક બીજી વિસંગતિ પણ ધ્યાન ખેંચે છે. તે એ કે જાપાન આજે ઝડપથી ઘટતી જતી વસ્તીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. લગ્નનું પ્રમાણ ઘટે છે, જન્મદર સતત નીચે જઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. સરકાર વર્ષોથી યુવાન દંપતીઓને સંતાનપ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરવાની યોજનાઓ ઘડી રહી છે. એક તરફ સમાજને વધુ બાળકો જોઈએ છે અને બીજી તરફ એક મહિલા મેયર માતૃત્વને કારણે થોડા મહિના માટે જાહેર જીવનમાંથી વિરામ લેવાની વાત કરે છે ત્યારે તેના પર રાષ્ટ્રીય ચર્ચા થાય છે. વસ્તી વધારવાની ચિંતા અને માતૃત્વ પ્રત્યેની માનસિકતા વચ્ચેનો આ વિરોધાભાસ વિચિત્ર ન કહેવાય?

    કાવાતા બાબતે એક જાપાની અખબારે યોગ્ય રીતે જ લખ્યું કે પ્રશ્ન એ નથી કે મેયર રજા લે છે; પ્રશ્ન એ છે કે તેમની ગેરહાજરીમાં પણ શહેરનું વહીવટતંત્ર સરળતાથી ચાલે એવી વ્યવસ્થા છે કે નહીં. આ બાબત કોઈ પણ લોકશાહી માટે અગત્યની કહી શકાય. સારા નેતાની ઓળખ એ નથી કે તેના વિના કશું ચાલે નહીં; સારા નેતાની ઓળખ એ છે કે તેના વિના પણ સંસ્થા ચાલતી રહે.

    કોઈ પણ સમાજમાં પરિવર્તનની શરૂઆત કેવળ કાયદો લાવી દેવાથી થતી નથી. પહેલાં દૃષ્ટિકોણ બદલવો જરૂરી છે. કાલ સુધી અસામાન્ય લાગતી વાત આજે સહજ લાગે છે. એક સમય હતો જ્યારે સ્ત્રી ડૉક્ટર, ન્યાયાધીશ કે પાયલટ બને એ સમાચાર હતા. આજે એની નવાઈ નથી. એ જ રીતે કોઈ મહિલા મેયર માતૃત્વ રજા લે એ પણ કદાચ આવતી કાલે સમાચાર નહીં રહે. અલબત્ત, એ દિવસ આવશે કે નહીં, એ તો સમય કહેશે. પરંતુ ત્યાં સુધી એક પ્રશ્ન રહેવાનો જ છે : કોઈ સમાજ કેટલો આધુનિક છે, તેનો નિર્ણય તેની ટેક્નોલોજી કરતી નથી; પણ હજી તેને કઈ બાબત અસામાન્ય લાગે છે એની પરથી તે નક્કી થાય છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૩૦-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૭

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    રાતે ઝરમર વરસાદ પડતો રહેલો. મોડી રાતે બહુ જ વીજળીઓ થવા માંડેલી. હું જાગી ગઈ. મારી ઊંઘ-ઘેરી આંખોએ જોયું, કે રાતનું વાદળ-છાયું કાળું આકાશ રૂપેરી ચમકાટ દર્શાવીને મને કશો સંદેશ આપી રહ્યું હતું.

    મને લાગ્યું, કે કોઈ સુંદર ખાનગી બાબત જેવો આ કુદરતી વિસ્તાર મને વધારે રહસ્ય બતાવવા માગે છે.

    ન્યૂયૉર્કની મારી યહુદી મિત્ર. એની મસિયાઇ બહેન તે હૅલન. આ જ ઓળખાણ. એને અને રિચાર્ડને હું પહેલી જ વાર મળી. કેટલીક ભેટ એમને માટે લઈ ગયેલી, તે એમને બહુ ગમી. વળી, અમને એકબીજાં સાથે તરત ફાવી પણ ગયું હતું. તો શા માટે ઉતાવળે ભાગી જવું અહીંથી?

    સવારે કૉફી અને નાસ્તો કરતી વખતે મેં યજમાન-દંપતીને પૂછ્યું, કે હું બીજો દિવસ રહી જાઉં? એમણે તો મને બે દિવસ રહેવા પહેલેથી જ કહ્યું હતું. મેં જ એક દિવસ રહેવાની વાત કરી હતી. હવે મને જલદી પાછાં જતાં રહેવાની જરા પણ ઇચ્છા નહતી. ને એ બંનેએ ખુશી થઈને, ચોક્કસ, મને બીજી રાત રોકાઈ જવા કહ્યું.

    મેં પનામા સિટીની હોટેલ પર ફોન કરી દીધો, કે હું આવતી કાલે પાછી આવવાની છું. એ પછી હૅલને એમના એક સ્થાનિક મિત્રને ફોન કર્યો, કે સાંજની પાર્ટીમાં મને લઈ આવે તો વાંધો છે? એ લોકોને એમના જેવા જ એક દેશાંતરવાસીને ત્યાં, સાવ નજીકમાં, પાર્ટીમાં જવાનું હતું. માર્ક નામના એ ઑસ્ટ્રેલિયન માણસે તો તરત કહ્યું, હા, હા, ચોક્કસ લઈ આવજો. જેમ વધારે લોકો તેમ વધારે મઝા.

    પનામા દેશના એક ઊંડા, અંતરાલમાં જવાનું ભાગ્ય મને મળ્યું હતું. કોઈ એકલી પ્રવાસી આવા વિસ્તારમાં આવી જ ના શકે. ગાડી તો જોઈએ જ, પણ આ વિભાગ તો રહેવાસીઓ માટે જ હતો, તેથી અજાણી ગાડીને ગેટની અંદરથી પસાર થવાની રજા પહેરેગીર આપે જ નહીં. જુદી જ જગ્યાએ જીવાતું જીવન જોવાની તક મેં જવા ના દીધી, તે કેવું સારું થયું.

    શું અસાધારણ તક હતી આ – આવા કુદરતી પરિસરમાં સમય ગાળવાની. ચારે તરફ શાંતિ, અને પર્વતો કેટલા સમીપે. ઘણા ઊંચા પર્વતો પણ ઠેર ઠેર હતા. રસ્તાના કોઈ વળાંકેથી, કોઈ ઢોળાવ પરથી, પનામા દેશના બે સમુદ્રો – કરીબિયન અને પૅસિફિક- ની ઝલક દેખાઈ જતી હતી. આહા, કેટલા નજીક હતા એ પણ. એમના સુંદર રેતાળ કિનારા પર રહેવાની ઘણી જગ્યાઓ થઈ છે. મનને હવે ત્યાં જવાની ઝંખના થઈ. એ માટે ફરીથી આવવું પડશે આ દેશમાં.

    ઘણા કલાકો રિચાર્ડ અને હૅલને ગાડીમાં મને આસપાસના પરિસરમાં ફેરવી. ઊંચા ને નીચા, આમ ને તેમ જતા રસ્તાઓ ક્યારેક ખૂબ સીધા ચઢાણ પર જવા માંડતા હતા. ત્યારે ઊંચાં શિખર અને એમના પરની કાળી શિલાઓ સાવ પાસે દેખાતાં. કૈંક એવું સુભગ દર્શન હતું, કે ફોટા પાડવા જેવી દુન્યવી પવૃત્તિ મારાથી થઈ ના શકી.

    ને ત્યાં તો અમે ક્યાંક નીચે ઊતરી આવ્યાં હોઈશું, ને સાવ અચાનક જાણે એક ગામમાં આવી પહોંચ્યાં. “લ વાલે” – એટલે “ધ વૅલી” કહેવાતું ગામ, અને પહોળા એક મેદાન જેવી ખીણમાં વસેલું. ફરવા આવનારાં પ્રવાસીઓને માટે અહીં કેટલીક હોટેલો, રૅસ્ટૉરાઁ, દુકાનો, સિનેમા વગેરેની સગવડો થઈ છે.

    સ્થાનિક ફળ અને શાકભાજીની માર્કેટ અને હસ્તકળાના સ્ટૉલ પણ અહીં વસ્યાં છે. અમે એમાં થોડું ફર્યાં. અહીં તળ-જાતિના ઘણા સ્થાનિક લોકો દેખાતા હતા – બાળકો, સ્કૂલના ગણવેશમાં વિદ્યાર્થીઓ, સ્ત્રી-પુરુષો. હજી વધુ ભાગે આ સ્થાન એમને માટેનું જ હતું, એ જોઈને મને સારું લાગ્યું.

    દરેક મિનિટે હું પૂરેપૂરી વિસ્મિત થતી રહું છું. એક જ દેશ છે, પનામા – પણ આ કેવી સાવ જુદી બાજુ છે એની. ક્યાં અતિઆધુનિક પાટનગર, ને ક્યાં આ સાદો, સ્વાભાવિક તળ-વિસ્તાર. મનની અંદર ભાવ સતત આનંદનો અને આશ્ચર્યનો રહ્યો.

    સાંજ પડ્યે માર્કને ત્યાં ગયાં. પાર્ટી એના ઘરની પાછળના નાના સ્વિમિન્ગપૂલની પાસે હતી. બીજાં સોળેક જણ પહેલેથી આવી ગયેલાં હતાં. મોટા ભાગનાં અમેરિકન હતાં. બધાં જ પૈસાદાર હતાં. તો જ શક્ય બનેને આવી બેવડી જીવન-રીતિ.

    બધાં હસમુખાં અને મળતાવડાં હતાં, જેમ શરૂઆતમાં દરેક મનુષ્ય હોય છે તેમ. મારા મનમાં કટાક્શનો થોડો ભાવ ઊપસી આવેલો. ગિલ્બર્ટ નામનો એક માણસ ખાસ વાત કરવા આવેલો, કારણકે એને હિન્દુ ફિલસુફીમાં થોડો રસ હતો. એણે દીપક ચોપરાનો ઉલ્લેખ કર્યો, અને કૈંક કટાક્શથી વાત કરવા લાગ્યો. ઘણા પૈસા ભરીને એણે ચોપરાનો કોઈ કોર્સ લીધેલો, ને પછી એની નિરર્થકતા પર નિરાશ થયેલો.

    ચાલો, વાતોમાં મારો સમય સારો ગયો, ને એકલું ના લાગ્યું. ગરમી ઘણી હતી. પવન જરાયે નહીં, અને ઘામ. ખાવાનું પણ ક્રૅકર અને સૅલાડ જેવું જ હતું. બધાં કૈંક કૈંક લઈ આવેલાં. ગિલ્બર્ટની પત્ની શાકાહારી પાસ્તા લાવેલી. પ્લેટો હતી જ નહીં, તેથી ટૂથપીકથી એક એક બાઇટ જેવું ખાધેલું.

    પણ સાંજ સુંદર હતી. કમનીય, તનુ નૂતન ચંદ્ર નીકળી આવેલો. ક્યાંય સુધી એ રૂપાળી રૂપેરી કટારી આકાશમાં દેખાતી રહેલી. પછી વાદળોએ એને ઢાંકી દીધેલી.

    સવાર વહેલી પડેલી. આકાશ સ્વચ્છ હતું, ને હવામાં હજી ઠંડક હતી. પાછલા વરંડામાંથી ઘરની બહાર રહેલા પર્વતની અડીખમ જેવી પાષાણી શિલા અત્યારે સ્પષ્ટ દેખાઈ. અને પર્વતનું ઊંચું શિખર પણ અત્યારે વિશદ દેખાતું હતું. વાહ, સરસ વિદાય-દર્શન થઈ ગયું.

     

    ગેટમાંથી નીકળીને, પહાડો ઊતરીને ફરી હાઇ-વે પર આવી પહોંચ્યાં. લગભગ તરત જ એક મિનિ-બસ આવી ગઈ. થોડી વાર હાઇ-વે પર ગયા પછી, એ અંદરના રસ્તા પર, કેટલાંક નાનાં ગામોમાં થઈને ગઈ. ખૂબ લોકો ચઢ્યાં ને ઊતર્યાં. સારું હતું કે હું છેક આગળ બેઠેલી, એટલે ભીડ મને નડી નહીં.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • એક અનોખી ચિત્ર શ્રેણી – આનંદ અનુભવ – ચિત્રકારઃ ડૉ. ગીતા આચાર્ય [૨]

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

    વિવિધ દેશોના પ્રવાસ અને નિવાસ દરમ્યાન ડૉ. ગીતાનો કુદરત, મકાન અને માનવ પ્રેમ, ચિત્રો દ્વારા દેખાય છે.                        

    ઈટલીના મિલાન શહેરમાં નાના સુંદર ઘર, અને ફૂલોથી સજાવેલાં આંગણામાં ખૂલતું બારણું અને બારીને ચિત્રકારે ચિત્રાંકિત કર્યા છે. ૧૧ ઇંચ બાય ૧૫ ઈંચના આ કાગળ ઉપર વોટર કલર ચિત્રને ગીતા બહેને ૨૦૧૮ માં એક સંસ્થાને દાનમાં આપી દીધું.

    આ ચિત્રમાં ચિત્રકારે પોતાની પોર્ટુગલની યાદોને કેદ કરી લીધી છે. ૨૦૦૮ માં એમણે જે જોયું હતું અને કેમેરામાં કેદ કર્યું હતું, એનું આ ચિત્રાંકન છે. ૯ ઈંચ બાય ૧૧ ઈંચના આ કાગળ ઉપરના વોટર કલરની જે કીમત ઉપજી એ પણ એમણે એક વિદ્યાર્થીને દાનમાં આપી દીધી. ચિત્રમાં છાપરાંવાળા ઘર અને ઘરની બહાર સુકાતાં વસ્ત્રો એ ત્યાં વસતા લોકોની પરીસ્થિતિ દર્શાવે છે, તો સામેની બાજુના મકાનોમાં રહેતા લોકોની થોડી વધારે સારી પરીસ્થિતિ દર્શાવે છે. બન્ને દશાના લોકો હળીમળીને રહે છે, એવું કદાચ ચિત્રકાર કહેવા માગે છે.

    આ ચિત્રમાં પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિક કુમારના મુખપૃષ્ટ ઉપર એમના ચિત્ર “આવી વસંત” ની પ્રતિકૃતિ  છે.

    માતા, ડો.સુશીલાબેન મહારાષ્ટ્રિયન અને ગુજરાતી પિતા ડો.મુકુંદભાઈ જોષી, બે પ્રેમાળ, ઉત્તમ વ્યક્તિત્વની છાયામાં ગીતા અને ભાઈ નિલ મુંબઈમાં ઉછરેલાં. મલય આચાર્ય સાથે પ્રેમલગ્ન અને બે પુત્ર અને પૌત્ર,પૌત્રીથી ભર્યા જીવનમાં તેઓ અંતર-આનંદથી સર્જન કરતા રહે છે.

    ડૉ.ગીતા કહે છે…આ જન્મમાં મને બમણાં આશીર્વાદ મળ્યા છે. પ્રથમ, માતાપિતા સાથે જેમણે મને સતત ટેકો આપ્યો અને પ્રોત્સાહન આપ્યું, અને પછી માતાપિતાના બીજા સેટ સાથે – મારા સાસુ અને સસરા – તે પ્રેમ ચાલુ રાખવામાં એક ધબકાર ચૂક્યા નહીં.

    મારા બીજા પુત્રના જન્મ પછી, મેં મારી કારકિર્દીના માર્ગને આગળ ધપાવ્યો અને મારું એમ બી એ મેળવવા માટે ફરી અભ્યાસ ચાલુ કર્યો. મારું વ્યવસાયિક જીવન એક આત્મવિશ્વાસ સાથે યોગ્ય કર્મ કરવા શક્તિમાન રાખે છે અને ત્યારે ચિત્રકામ તે ‘યાંગ’ માટે મારા આવશ્યક ‘યીન’ તરીકે સેવા આપે છે – મારા આંતરિક ઉત્સાહને સંપૂર્ણ સર્જનાત્મક સંતુલન પ્રદાન કરે છે.

    મારી વ્યવસાયિક પૃષ્ઠભૂમિ ઉપરાંત, હું અહીં, યુએસ અને ભારતમાં શૈક્ષણિક અને સેવા-સંસ્થાઓને ટેકો આપવા માટે સતત પ્રયત્નશીલ રહી છું.

    The original ‘Stay Well’ cards are available; contact  geetaa4@gmail.com  NewJersey.


    Saryu Parikhસરયૂ પરીખ  www.saryu.wordpress.com

  • સ્મૃતિસંપદા – સપના વિજાપુરા : જિંદગીકા સફર [૪]

    સપના વિજાપુરાની ‘જિંદગીકા સફર‘ હવે નિવૃતિ ભણી જઈને હાપ પુરતી પુરી થઈને ચાલુ રહે છે.


    પછી ૨૦૧૦ માં મને ટી. સી. એફ બેંકમાં જોબ મળી. શરીફે પણ સી વી એસ છોડીને વોલમાર્ટ માં જોબ લીધી હતી. શબ્બીર ડિપોલ કોલેજમાં સોફ્ટવેર એંજિનીઅરિંગનું ભણતો હતો.

    શરીફને વોલમાર્ટ માં મેનેજરની પોઝિશન મળતી હતી, તેથી એ લોરેન્સવીલ મુવ થવું પડ્યું. એ પહેલીવાર મને છોડીને ગયો હતો. ત્યાં નાનું એવું ઘર રાખીને ત્યાં જોબ કરવા લાગ્યો. લોરેન્સવીલ શ્યામબર્ગથી છ કલાકનું ડ્રાઈવ હતું. એક સુંદર મજાનું ગામ હતું. ફક્ત ચારસો જેટલા ઘર હતા. લોકો બધાં લગભગ ખેડૂત હતાં, ખૂબજ માયાળુ પણ ખરાં! એ બે અઠવાડિયે ઘરે આવતો. શબ્બીરને ડાઉન ટાઉન શિકાગોમાં શરીફે કોન્ડો લઇ આપેલો, શબ્બીર ત્યાં રહેતો હતો અને વીકેન્ડમાં ઘરે આવતો. અમે ત્રણે એકલા એકલા રહેતા શીખી ગયા. પ્રેમમાં થોડી દૂરી જરૂરી પણ છે. એકબીજાની કદર થાય. શરીફની લોરેન્સ વીલ થી ચાર્લસ્ટનમાં બદલી થઇ. ૨૦૧૧ થી ૨૦૧૩ સુધી ત્યાં જોબ કરી, ફરી શિકાગો આવી ગયો. ૨૦૧૪માં શરીફે રિટાયરમેન્ટ લઇ લીધું. મારી જોબ ચાલું હતી. શબ્બીરે એંજિનીઅરિંગ કર્યું. શબ્બીર સ્કૂલમાં હતો ત્યારથી એપલ માટે ‘એપ’ બનાવતો હતો. એટલે હજુ એને એંજિનીઅરિંગ પૂરું નહોતું અને ફેઈસબૂકના રિક્રુટરે કોલ કરીને રેઝ્યૂમી મોકલવા કહ્યું. દસ ઇન્ટરવ્યૂ પછી એને ફેઈસબૂકે હાયર કરી લીધો. શબ્બીર એંજિનીઅરિંગ પછી કેલિફોર્નિયા મુવ થઇ ગયો અને ફેઈસબુકમાં જોબ કરવા લાગ્યો. શબ્બીર હવે મારાથી દૂર થઇ ગયો હતો. મેં હાથ ઉઠાવીને દુઆ કરી!

    કલેજાના ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
    અને ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું

    સદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
    જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપું

    ચડે જીવનમાં પ્રગતિના નવાં સોપાન ઉતરોતર
    થશે પૂરાં સર્વ સૂનેહરા સપના નયન આપું

    ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
    કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું

    શબ્બીર અને ફાતિમા બંને ડિપોલમાં સાથે ભણ્યાં અને બંનેની દોસ્તી થઇ ગઈ હતી. ૨૦૧૪ માં અમે ફાતિમાનાં માબાપને મળવાં ગયાં. એ લોકો પાકિસ્તાનથી છે. પહેલા અમને અચકાટ થયો કે પાકિસ્તાની છોકરી હોય તો ભારત તો છૂટી જવાનું! કારણકે ભારતની ગવર્નમેન્ટ પાકિસ્તાનીને વિઝા નથી આપતી! પણ દીકરાની મહોબત સામે અમે નમતું જોખ્યું. એમનું ખાનદાન ખૂબ સરસ હતું. ઑગષ્ટની એકવીશની તારીખે બંનેનાં ગ્રેડ્યુએશન અને એન્ગેજમેન્ટ ની પાર્ટી અમે હોલીડે ઈનના હોલમાં રાખી. અને ફાતિમાને અમારી દીકરી તરીકે વધાવી લીધી. ભારત પાકિસ્તાનની વચ્ચે ગમે તેટલી દુશ્મની હોય અમારી વચ્ચે ખૂબ પ્રેમ અને સદભાવ છે. જૂન 5, 2015ના દિવસે એ લોકોના લગ્ન થયા. લગભગ ૧,૦૦૦ માણસોને અમે આમંત્રણ આપેલું. ખૂબ ભવ્ય રીતે શબ્બીરના લગ્ન થયા. લોકો કહેતાં હતાં કે, “વેડિંગ ઓફ સેન્ચ્યુરી” અમે પણ શબ્બીરના લગ્ન પતાવી શ્યામબર્ગનું ઘર વેચીને કેલિફોર્નિયા આવી ગયાં. એ વાતનો અફસોસ છે કે ફાતિમા શબ્બીરને ભારત જવું હોય તો ફાતિમાને વિઝા નથી મળતા! એટલે શબ્બીર પણ ભારત જવાનું ટાળે છે!

    2016 થી આજ સુધી અમે કેલિફોર્નિયામાં જ છીએ. શબ્બીરનું અલગ ઘર છે. અમે એની નજીકમાં નવ માઈલના અંતરે અમારું ઘર લીધું છે. અમેરિકન માબાપે સંતાનથી દૂર રહીને જીવવાનું શીખી લીધું છે. સંતાનને પોતાની જરૂરિયાત અને પ્રવૃત્તિ અને જોબ ના લીધે સ્થળાંતર કરવું પડે છે. અમારા આશીર્વાદ સદા એમની સાથે છે. શબ્બીર અને ફાતિમાએ અમને એક સુંદર પૌત્રથી નવાજી દીધાં છે. ઇહાન કેવું પ્યારું નામ છે! ‘પૂનમનો ચાંદ’ આમ પણ મને ચાંદથી ખૂબ પ્રેમ છે. ચાંદને હું પ્રેમની નિશાની સમજુ છું! હું તો કવિહૃદય એટલે મને ખૂબ ગમ્યું. જાન્યુઆરી ૧, ૨૦૨૨ ના દિવસે ઇહાન એટલે કે ‘ફૂલ મૂન’ એ અમારા ઘરને રોશન કરી દીધું છે.હવે અમારા ઘર ઉપર હંમેશા ચાંદની પથરાયેલી રહેશે! ભલે અમાવસ હોય તો પણ!

    પુરાની કિતાબ હું, જરા સંભલકર પઢા કરે!
    બિખરનેમે દેર નહિ લગતી!

    મુમતાઝ મર્ચન્ટ

    એક એક પાનું મારી કથાનું જર્જરિત છે! એને સાચવીને ખોલજો! એવું ના બને કે એક એક પત્તુ વિખેરાઈ જાય! જિંદગી આપણને ભૂતકાળમાં પાછાં જઈને આપણે કરેલી ભૂલો સુધારવાનો અવસર નથી આપતી,પણ આવનારા દિવસોને વીતેલા દિવસો કરતા બેહતર બનાવવાનો મોકો જરૂર આપે છે. એટલે આવનારી પેઢીએ સમજવા જેવું છે કે કોઈ માણસ માસૂમ નથી દરેકથી ભૂલો થાય છે, નિરાશ થયાં વગર આવનાર દિવસોને બેહતર બનાવો. તમારા માટે આખું વિશ્વ બાહો પ્રસારીને રાહ જોઈ રહ્યું છે. એ જિંદગી ગલે લગા લે!


    સમાપ્ત


    હવે પછીઃ જગદીશ પટેલ : જીવનનાં ઝરણાં