વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સંસ્પર્શ-૨૬

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    આજે વાત કરીશું “ લવલી પાન હાઉસ” નવલકથાની. હા,આ ધ્રુવદાદાની જ નવલકથા છે. નામ સાંભળીને વિચારમાં પડી ગયા ને? તો આવો વાત કરીએ આ નવલકથાનાં પાત્રોની, તેમાં વર્ણવેલા લોહીનાં નહીં, પણ લાગણીથી તરબતર માનવસંબંધોની. ભારતનાં વિવિધ જાતિ-પાંતિનાં એકમેક સાથે હળીમળીને રહેતા માનવોની. ધ્રુવદાદાની કલમ હોય એટલે કંઈક નવું ,કંઈક અલગ અને વિશેષ તો હોય જ. આ નવલકથામાં તેમણે કુદરત, પ્રકૃતિ, દરિયો કે જંગલની વાત નથી કરી પણ વાત કરી છે રેલવે સ્ટેશન પર સામાન ઊંચકવાનું કામ કરનાર કુલી સ્ત્રીઓની, તેમના બાળકોની, લવલી પાન હાઉસ પર આવતા અનેક જુદા-જુદા માણસોની અને તેમના સંબંધોની ,તેમના પહેરવેશ, બોલી,માન્યતા અને વાતચીતની લાક્ષણિકતાઓની.

    ટ્રેઈનની ‘છવ્વીસબાણુ’ વેગનમાંથી એક નાનું થોડા સમય પહેલાં જન્મેલું બાળક મળે છે. પરાણે વહાલું લાગે તેવું ગોરું, રૂપાળું બાળક જોઈ સ્ટેશન પર સામાન ઊંચકવાનું કામ કરતી કૂલી સ્ત્રીઓ, તેને પોલીસને કે અનાથાશ્રમમાં આપવાની ના પાડે છે. બધાં સાથે મળીને તેને ઉછેરવાની જવાબદારી લે છે. જન્મનો દાખલો લેવા, ચિઠ્ઠી ઉપાડી. જેનું નામ નીકળ્યું તે રેવા ચોપડે બની એની મા. રંગે ગોરો હોવાથી લાડકું નામ ગોરીયો અને ટ્રેનની યાત્રા કરતો મળ્યો એટલે ભણેલા સાહેબે નામ રાખ્યું યાત્રિક. “કોઈનો નહીં તે સૌનો” એમ ગોરીયો ટ્રેનની વેગનને રાત્રે પોતાની બેડરૂમ બનાવી, બધી મજૂર બહેનોનાં છોકરાઓ સાથે રમીને સૌનું આપેલ ખાઈને, સૌ માનો અને મિત્રોનો સ્વાર્થવિહીન પ્રેમ પામતો મોટો થાય છે.

    કાળિયો, ટીકલો, વામન, સત્તુ, ભીખમંગી જેવા સ્ટેશન પર રખડતાં, કૂલી સ્ત્રીઓનાં છોકરાઓનાં જેવાં માત્ર નામ જ નહીં, પણ તેમાંના જ એક હોય તેમ તેમની અંદર જાણે હૂબહૂ ઉતરીને આલેખી હોય તેવી તેમની મનસ્થિતિ અને વિચારોનું અદ્ભુત વર્ણન ધ્રુવદાદાએ કર્યું છે. સાથેસાથે પાત્રોનાં વિચારો દ્વારા વ્યક્ત થયેલી દાદાની જીવનની ફિલસુફી, અગમ્ય વિચારધારાનાં છાંટણાં વાંચીને તો આપણે પણ વિચારોની હારમાળામાં ગરકાવ થઈ જઈએ.

    “ કાળ કાગળિયાં ખાય, દેહનેય ખાય, મનને થોડો ખાય હકે?”

    પ્રયત્નપૂર્વક પણ ન સમજાતું હોય તો એ કે માણસ પૃથ્વી પર રહે ત્યાં સુધી તેને સમયખંડોમાં વહેંચાયેલા રહેવું પડે તેવી રચના શા માટે થઈ છે! શા કાજે તેના જન્મ ,ઉછેર, ભણતર, ગણતર,સફળતા,નિષ્ફળતા,ઈચ્છા,સ્વપ્નો,આનંદ,પીડા અને સ્મૃતિ બધુંય સમય સાથે આવે કે જાય છે. સમયના બંધને ભેદી શકાય તેવી કોઈ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી?”

    આવા તો અનેક વિચારો નવલકથામાં આપણને પણ એ દિશામાં વિચારતાં કરી દે તેવા સરસ રીતે આલેખાયા છે.

    સ્ટેશન પર વેગનને પોતાનું ઘર માની તેમાં આનંદ સાથે જીવતાં ગોરીયાનું શબ્દચિત્ર,તેમજ ગોરીયાને લવલી પાન હાઉસનાં માલિક મુસલમાન વલીભાઈ પોતાનાં ઘરમાં જ દીકરાની જેમ રાખે છે તે, તેમજ વલીભાઈની પત્ની ગોરીયાને શાકાહારી ભોજન જ ખવડાવી તેને અભડાવતી નથી જેવી અનેક ઉમદા વાતો દાદાએ નવલકથામાં સરસ રીતે રજૂ કરી છે. અને તે યાદ અપાવે ફિલ્મ ‘ધૂલ કા ફૂલ ‘ગીતની પંક્તિઓ.

    “તું હિન્દુ બનેગા ,ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા”
    “માલિકને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા,હમને ઉસે હિન્દુ યા મુસલમાન બનાયા”

    તે ગરીબોની ઝૂંપડીમાં ડોકાતાં હૂબહૂ શબ્દચિત્રોથી યાદ આવી ગઈ, ઝોયા અખ્તરની ફિલ્મ “ગલી બોય” જેમાં આખેઆખી મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીની જિંદગી દર્શાવી હતી.

    ‘લવલી પાન હાઉસ’ પર પિક્ચર બની શકે એટલાં સુંદર સંવાદો, વિચારો અને શબ્દચિત્રો આ નવલકથામાં છે. બધું જ સાવ કાલ્પનિક, છતાં સાવ સાચું, ગરીબાઈમાં પણ આદર્શ સંસ્કારિતાનું દર્શન, માનવમનની ઊંડાઈનું સ્વાભાવિક દર્શન તેમજ જાતિ-પાંતિ, ઘર્મ-વર્ણ વગરનાં સ્વાર્થવિહીન માનવ સંબંધોની, વાહ !પોકારી જાવ તેવી વાતોનું દર્શન. આ નવલકથામાં એક સાથે નાયક ગોરીયા- યાત્રિકની ફિલ્મમાં ફ્લેશબેક આવે એમ બે વાર્તા છે. એક વાત છે એની આગલી જિંદગીની અને બીજી એની પાછલી જિંદગીની.!!! આને માટે નવલકથા વાંચો તો જ સમજાય ……

    આ સાથે દાદાની અલ્લાહ સાથેની વાતચીત કરતા હોય તેવી ગઝલ…. નવલકથામાં મુસ્લિમ વલીભાઈ મુશાયરામાં જાય અને ગોરીયો રાબિયા અને તેની અમ્મી સાથે મોટો થાય એટલે પણ દાદાની ગઝલ જ મૂકવાનું મન થાય !

    “મૂકી છે જાત મેં આખી લે ચરાગી કબૂલ કર,
    મને ખલાસ કર અને તું ખલ્લાસી કબૂલ કર.

    કશાથી શોધ જાતની કે તમારી થતી નથી, 
    જો તું હયાત હો તો મારી હયાતી કબૂલ કર.

    અહીં એ કહી ગયા હતા તે કશું સાંભળ્યું નહીં,
    અમે સતત કરી છે ફિર્કા -ખિલાફી કબૂલ કર.

    ના તું સાકી મને એ સજ્જનોનાં ઘર બતાવ મા, 
    ભરી દે જામ ને આ જાત શરાબી કબૂલ કર.

    અહીં ને આ પળે તારા સમીપે જઈ ઊભો રહું,
    જરા વિચાર મારી ઈશ્ક -મિજાજી કબૂલ કર.

    અને શું હું જ તને રાન રાન શોધતો ફરું,
    લે ચાલ ઘેર ને મારી ચપાટી કબૂલ કર.’

    ચરાગી- (પીરની દરગાહ પર ફાતિયો કરાવતી વખતે દીવા તળે મુકાતી રોકડ.)


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – ચિત્ર દ્વારા સ્વકથન

    બીરેન કોઠારી

    ઈસપની જાણીતી બોધકથા છે. પિતાપુત્ર પોતાના ગધેડાને લઈને પરગામ જવા નીકળે છે. બન્ને ચાલતા હોય છે, સાથે ગધેડો પણ. રસ્તામાં એક ગામ આવે છે. ગામના લોકો આ જોઈને હાંસી ઉડાવતા કહે છે, ‘ખરા મૂરખ છે! છતે ગધેડે બેય ચાલતા જાય છે.’ ટીકાથી વ્યથિત થયેલા પિતાપુત્ર પૈકી પિતા ગધેડા પર બેસે છે, પુત્ર તેમની સાથે ચાલે છે. રસ્તે કોક કહે છે, ‘ખરો બાપ છે આ તો! બિચારા નાજુક છોકરાને ચલાવે છે, અને પોતે ગધેડા પર ચડી બેઠો છે!’ વ્યથિત થયેલા પિતા નીચે ઉતરી જાય છે, અને પુત્રને ગધેડા પર બેસાડે છે. પોતે સાથે ચાલે છે. વળી બીજું કોક મળે છે એ કહે છે, ‘છોકરો કેવો બેશરમ છે! ઘરડા બાપને ચલાવે છે અને પોતે મોજથી ગધેડા પર ગોઠવાઈ ગયો છે.’ હવે શું કરવું એ બેયને સમજાતું નથી. આખરે છોકરો પણ નીચે ઉતરી જાય છે. પિતાપુત્ર મળીને ગધેડાને ઊંચકી લે છે. પણ એક નદી પાર કરવા જતાં ગધેડો પડી જાય છે, ડૂબીને મરણ પામે છે. ત્યારે બાપ દીકરાને કહે છે, ‘લોકોનું કહ્યું ન માન્યું હોત તો?’ આ કથા પાઠાંતરે મોટા ભાગના લોકોને યાદ હશે.

    ચિત્રકાર ભૂપેન ખખ્ખરે આ બોધકથાનો ઉપયોગ પોતાના એક ચિત્રમાં કરીને પોતાના એક મહત્ત્વના વલણની ઘોષણા કરી. આજે ‘સમલૈંગિક ચિત્રકાર’ તરીકે ઓળખાતા ભૂપેનની એ ઓળખ હજી જાહેર થઈ નહોતી. અંગત વર્તુળમાં સૌ એ જાણતા હતા. ખુદ ભૂપેનને એ જાહેર કરતાં સંકોચ થતો હતો. પણ 1979માં તે ઈન્‍ગ્લેન્‍ડના પ્રવાસે ગયા અને ત્યાં રહ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં આ બાબતનો કોઈ છોછ નથી. બલ્કે ત્યાં સમલૈંગિકો મુક્ત રીતે હરેફરે છે, સાથે રહે છે, અને ઘણે અંશે સમાજમાં સ્વીકાર્ય છે. આ જોયા પછી તેમનામાં હિંમતનો સંચાર થયો. ઈન્ગ્લેન્‍ડથી પાછા આવ્યા પછી થોડા સમયમાં તેમનાં માતા મહાલક્ષ્મીબેનનું અવસાન થયું અને ભૂપેન એકલા પડ્યા. 1981માં તેમણે આ ચિત્ર બનાવ્યું, જેનું શિર્ષક છે ‘You can’t please all/તમે સહુ કોઈને રાજી રાખી શકો નહીં.’ ભૂપેનનું આ ચિત્ર આત્મકથાનક કહી શકાય. ચિત્રમાં તેમણે બાપદીકરો અને ગધેડાના પાત્રને દર્શાવ્યું છે, પણ એમની આસપાસ જનજીવન દર્શાવ્યું છે, જે પોતાની રીતે ચાલતું રહે છે. કોઈને બાપદીકરા તરફ જોવાની ફુરસદ નથી.

    કોઈક ઓટલે બેઠેલું છે, તો કોક મકાનની ઓસરીમાં ખાટલો ઢાળીને. કોઈક આંબે આવેલી કેરીઓ વેડી રહ્યું છે. કોઈક ઘરમાં સદ્‍ગતની છબિ પર હાર ચડાવીને કદાચ પાઠ થઈ રહ્યા છે. કોઈક કારનું બોનેટ ખોલીને એમાં માથું નાખીને ઊભો છે, તો કોઈક સાયકલવાળાની દુકાને બેસીને છાપું વાંચે છે. દૂર ક્યાંક મજૂરો મકાનના બાંધકામમાં વ્યસ્ત છે. ઘરમાં મહિલાઓ અને પુરુષો અલગ અલગ બેસીને ગપાટા હાંકી રહ્યા છે.

    પોતાના મકાનની ઓસરીમાં ઊભેલો એક પુરુષ આ તમામ દૃશ્યોને સાક્ષીભાવે નિહાળી રહ્યો છે. એ પુરુષ કદાચ સૂઈને જાગ્યો છે. તે સંપૂર્ણ નગ્નાવસ્થામાં છે. તેના ચહેરા પર કોઈ વિશેષ ભાવ નથી. કદાચ બાપદીકરો અને ગધેડાવાળો ઘટનાક્રમ જોઈને તે વિચારી રહ્યો છે, ‘તમે સહુ કોઈને રાજી રાખી શકો નહીં.’ પૂર્ણ કદની આ માનવાકૃતિની સરખામણીએ સામે શેરીમાં દેખાતી માનવાકૃતિઓનું કદ ઘણું નાનું છે. શેરીનાં મકાનો અને આંબાનું ઝાડ બિલકુલ લઘુચિત્ર શૈલીમાં ચીતરેલા જણાય છે. મુખ્ય માનવાકૃતિની એનેટોમી પ્રમાણમાપ વિનાની છે, પણ ચિત્રનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ આકૃતિનો ચહેરો ખુદ ભૂપેન ખખ્ખરનો હોય એમ જણાય છે. ઓસરીમાં વાળીને ઉપર ચડાવેલી ચટાઈની ભાત સુદ્ધાં ચીતરવામાં આવી છે. એ જ રીતે સૂકવવા મૂકેલા ટુવાલના રુંછાં પણ દર્શાવવામાં આવ્યા છે.

    આજે આટલાં વરસે પણ આ ચિત્ર તેમની ઓળખ સમાન બની રહ્યું છે. ૨૦૧૬માં લંડનની ખ્યાતનામ ટેટ ગેલરીમાં ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું એનું નામ જ You can’t please allહતું, તેમજ એ નિમિત્તે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ પણ You can’t please all છે.

    ચિત્રમાં વપરાયેલા રંગો ભૂપેનની શૈલીની લાક્ષણિક ઓળખ સમા છે. આ ચિત્રને બરાબર માણવા માટે તેને મેગ્નિફાય કરીને તેમાં ચીતરાયેલી વિવિધ ઘટનાઓ જોવા જેવી છે.

    (ચિત્ર અહીં કેવળ આસ્વાદ પૂરતું મૂક્યું છે. તેના હક સંબંધિત વ્યક્તિના છે.)

    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

     

  • સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : સફળ થવા માટે કેટલીક પાયાની વાતો

     

    उद्यमस्साहसं धैर्यम्, बुद्धिः शक्तिः पराक्रमः
    षडेते यत्र वर्तन्ते, तत्र देवः सहायकृत् ॥

    સમાસ વિભાજન અને  શબ્દશ: ગુજરાતી અર્થ:

    उद्यमस्साहसं=उद्यम+साहसं, उद्यम=મહેનત,પરિશ્રમसाहसं=હિંમતधैर्यम्=ધીરજबुद्धिः=બુદ્ધિ,અક્કલ,   शक्तिः= તાકાત,શક્તિपराक्रमः= શૌર્ય,બહાદૂરી
     
    षडेते=षट्+एते= षट्=છ, एते=આ છએ (ગુણો)यत्र=જ્યાંवर्तन्ते= વર્તાય છે,જણાય છે,  तत्र= ત્યાં,  देवः=ઈશ્વર,   सहायकृत्सहाय+कृत्सहाय=મદદ,સહાય,कृत्= કરે છે.

     

    શ્લોકનું ગુજરાતી  ભાષાંતરઃ

    પરિશ્રમ,હિંમત,ધૈર્ય,બુદ્ધિ,શકિત,પરાક્રમ-આ છ ગુણો જેનામાં દેખાય છે; તેને ઇશ્વર પણ મદદ કરે છે.

    વિચારવિસ્તારઃ

    આ સુભાષિતમાં મનુષ્યમાં કયા કયા ગુણો હોય તો ઈશ્વર સહાય કરે છે તે વાત જણાવી છે. દરેક જણે સફળ થવા માટે કેટલીક પાયાની વાતો જાણવા, સમજવા  અને જીવનમાં ઉતારવી જરૂરી છે.
    દા.ત.મહેનત કરવી જોઈએ, 
     
    હિંમતપૂર્વક આગળ વધવું જોઈએ, 
     
    ધીરજપૂર્વક કામ કરવું જોઈએ. 
     
    બુદ્ધિપૂર્વક વિચારી કાર્ય કરવું જોઈએ. 
     
    પોતાની શક્તિને યોગ્ય રીતે કામે લગાડવી જરૂરી છે, અને છેલ્લે,
    વીરતા દાખવવી જોઈએ. 
     
    કોઈપણ કામ આ ગુણોને લક્ષમાં રાખીને કરવામાં આવે તો જરૂરથી ઇશ્વર, કહો કે નસીબ પણ સહાયભૂત થાય છે.

    Sanskrit shlok in English script:

    Udyamassahasyam dhairyam buddhihi shaktihi paraakramah
    Shadete yatra vartante tatra deva sahaayakruta.

    Word to word meaning in English:

    Udyamaha+saahasam, udyamaha= efforts, saahasam= courage, Dhairyam= patience, budhdhihi= intelligence, shaktihi= strength,  Paraakramah= courage, Shadete=Shat+ete, Shat=six, ete= these qualities

    Yatra=where, Vartante=exist, Tatra=there, Deva=GodSahaayakruta=sahaaya+krutaa= Sahaya=Helpful, kruta=provides

    Translation in English:

    To achieve something, six qualities require.

    1. Efforts 2. Courage 3. Patience  4. Intelligence 5. Strength 6. Boldness, Confidence.

    If these six qualities exist in a person, even the God Almighty renders assistance to him.


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com

  • પતંજલિ યોગસૂત્ર : એક આચમન – ચિત્તવૃત્તિ

    દિ નેશ લ. માંકડ

    સામાન્ય રીતે આપણે સહુ  યોગનો અર્થ આસનો અને પ્રાણાયામ એટલો જ કરીએ છીએ પરંતું યોગ એટલે તો  युज्यते अनेना इति योगः –‘ યોગ એટલે જે જોડે. ‘કોની સાથે જોડાવાનું ? માણસ એ  ઈશ્વરનું સમગ્ર પ્રાણિસૃષ્ટિમાં શ્રેષ્ઠ સર્જન છે.અહીં જોડાવાની વાત ચૈતન્ય સાથે જોડાવાની વાત છે. ઉપનિષદ તો એમ કહે છે  ‘ अहं ब्रह्मास्मि –‘  હું પોતે જ બ્રહ્મ { ઈશ્વર } છું.’ પણ આપણે -માણસ જાત આપણું મૂલ્ય ઓછું આંકીએ છીએ અને રૂઢિગત જીવ્યા કરીએ છીએ..એવાં એવાં અનેક ઉદાહરણો મળી આવે છે  જેમણે ખુબ ઉચ્ચ કોટિની આધ્યાત્મિકતા  પ્રાપ્ત કરી હોય અને ઈશ્વર સન્મુખ પહોંચ્યા હોય. યોગ એનું એક ઉત્તમ સાધન છે.

    હજારો વર્ષ પહેલાંથી યોગમય જીવન એ માનવજીવનનો આદર્શ રહ્યો છે.વેદ,ઉપનિષદો ,શ્રીમદ ભગવદગીતા અને બીજા અનેક ગ્રંથોએ યોગ વિચાર આપ્યો છે.શ્રી કૃષ્ણએ ગીતાજીમાં  દરેક અધ્યાયમાં યોગ સંદેશ આપ્યો છે .’ योग: कर्मसु कौशलम् ‘ અને “समत्वं योग उच्यते” જેવાં શ્લોકમાં અનેક  યોગદૃષ્ટિ આપી છે.

    કથોપનિષદમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘તામ યોગમિતિ મન્યન્તે સ્થિરાનિમિન્દ્રિય ધારનામ.’ ભાવાર્થ – યોગ એટલે ઇન્દ્રિયોનું  બહારથી આત્મા તરફ લઈ જવું.

    છ  ભાગમાં લખાયેલા પ્રાચીન ગ્રંથ યોગ વસિષ્ઠના છઠ્ઠા ભાગમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘મનહ પ્રશમનાહ ઉપાયાહ યોગ ઇત્યાનિદિયતે’. ભાવાર્થ -મનને સમજીને આવડતપૂર્વક શાંત કરે અને ઉચ્ચ દિશામાં લઇ જાય તે યોગ

    મહર્ષિ પતંજલિએ આ બધાના સારરૂપ  196 સૂત્રો આપ્યા. પ્રત્યેક સૂત્ર માળાના એક મણકા જેવું છે. જે વ્યક્તિ એક એક સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરે તે ચૈતન્યને પ્રાપ્ત કરવાની દિશામાં ગતિ કરે છે.’ પતંજલિ સૂત્ર ‘માં ચાર પ્રકરણ { અધ્યાય } છે.સાધનપાદ ,સમાધિપાદ ,વિભૂતિપાદ અને કૈવલ્યપાદ

    સાધનપદમા  મહર્ષિએ. પહેલા સૂત્રમાં યોગની વ્યાખ્યા કરી અને બીજાં સૂત્રમાં ચિત્તશુદ્ધિની વાતનો પ્રારંભ કર્યો છે. थ योगानुशासनम् ॥ 1 ॥-  ‘ હવે યોગમાર્ગના વિચારની શરૂઆત કરીએ.’   योगश्चित्तवृत्ति निरोधः ॥ 2 ॥  ‘ ચિત્તની વૃત્તિઓના નોરોધને અથવા ચિત્તવૃત્તિઓ સંપૂર્ણ રોકાઈ જાય તેને યોગ કહે છે.’

    ચિત્ત એટલે આપણું મન.જો અને જયારે મન જ  આપણને જે સૂચવે તેમ આપણે કરીએ છીએ.ગુજરાતીમાં ‘મન હોય તો માળવે જવાય ‘ની કહેવત સો ટકા સાચી છે.શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું કે ‘ બંધન અને મોક્ષની કારણ કેવળ મન જ છે.સહજ રીતે વિચાર,દૃષ્ટિ ,શ્રવણ વગેરે સાથે જોડાય એટલે આપણા  મનભાઈ સક્રિય થઇ જાય.

    જો મન યોગ્ય દિશામાં લઇ જાય તો માણસ ધારે તે મેળવી શકે .અને એટલે જ પતંજલિએ શરૂઆતમાં જ ચિત્તશુદ્ધિને પ્રાધાન્ય આપ્યું છે.

    ચિત્તવૃત્તિ એટલે મનમાં ઉદ્ભવતી વૃત્તિઓ .’વૃત્તિ’ શબ્દનો અર્થ મુખ્યત્વે સ્વભાવ, મનનું વલણ, દાનત કે ચિત્તમાં ઊઠતો વિચાર થાય છે.. મનોવિજ્ઞાન કે  આધ્યાત્મિકતા : અનુસાર મનની સ્થિતિ, લાગણી, કે સ્વભાવ (દા.ત., સાત્વિક કે રાજસિક વૃત્તિ).

    પતંજલિ સ્પષ્ટ કહે છે   तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् ॥ 3 ॥  वृत्ति सारूप्यमितरत्र ॥ 4 ॥  – ‘ યોગસાધના દ્વારા  ચિત્તની પોતાની મૂળ વૃત્તિઓનો નિરોધ ન થાય ત્યાં સુધી  આત્મા પોતાના ચિત્તની વૃત્તિઓ  જેવું રૂપ ધારણ કરે છે.  જો આ વૃત્તિઓને રોકવામાં ન આવે તો માણસ જેવો હોય તેવો જ રહે છે.’

    કેવી હોય માણસ ની વૃત્તિઓ ?   वृत्तयः पञ्चतय्यः क्लिष्टाऽक्लिष्टाः ॥ 5 ॥

    ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની હોય છે તથા દરેક વૃત્તિના ક્લિષ્ટ { દુઃખ આપનારી } અને અક્લિષ્ટ { દુઃખ ન આપનારી }  એમ બે ભેદ હોય છે  એમણે વૃત્તિનું વિશ્લેષણ પણ કરી બતાવ્યું છે  प्रमाण विपर्यय विकल्प निद्रा स्मृतयः ॥ 6 ॥ (તે પાંચ વૃત્તિઓ છે:) ‘ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.’

    મહર્ષિ આગળના સૂત્રોમાં તે વૃત્તિની પણ સમજણ આપે છે

    • પ્રમાણ -પ્રમાણના ત્રણ ભેદ છે प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥ 7 ॥-પ્રત્યક્ષ ,અનુમાન અને આગમ.  મન ,બુદ્ધિ કે ઇન્દ્રિયથી જોઈ કે અનુભવી હોય તે  પ્રત્યક્ષ ,જેની ધારણા અપ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાતે અનુમાન અને કોઈ  શાસ્ત્ર ,સંત કે મહાનુભાવના વિધાન કે વિચારથી અપનાવાય તે આગમ વૃત્તિ અલબત્ત આ ત્રણેય પ્રમાણમાં પણ ક્લિષ્ટ અને અક્લિષ્ટ ભેદ તો હોય જ .
    • વિપર્યય  विपर्ययो मिथ्याज्ञानमतद्रूप प्रतिष्ठम् ॥ 8 ॥ કોઈ  વસ્તુના મૂળ સ્વરૂપને ન સમજીને બીજી વસ્તુ સમજી લેવી  તેવા મિથ્યા જ્ઞાનને વિપર્યય કહે છે
    • વિકલ્પ . शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥ 9 ॥ વાસ્તવમાં જેનું અસ્તિત્ત્વ જ ન હોય અને ફક્ત શબ્દના  આધાર પર કલ્પના કરવા  વાળી ચિત્તની વૃત્તિને વિકલ્પ  વૃત્તિ કહે છે
    • નિંદ્રા    अभाव प्रत्ययालम्बना वृत्तिर्निद्रा ॥ 10 ॥ માણસને જે વખતે કોઈ જ વિષયનું જ્ઞાન  રહેતું   નથી ફક્ત જ્ઞાનના અભાવની પ્રતીતિ થાય છે તેને તે ચિત્તવૃત્તિને નિંદ્રા કહે છે.
    •  સ્મૃતિ    अनुभूत विषयासम्प्रमोषः स्मृतिः ॥ 11 ॥  જુદી જુદી વૃત્તિઓ દ્વારા અનુભવાયેલા વિષયોના સંસ્કાર ચિત્તમાં  પડેલા હોય જે  કોઈ નિમિત્તને લીધે ફરી જાગૃત થાય કે પ્રગટ થાય તેને સ્મૃતિ  છે.

    ચિત્તવૃત્તિઓ તો જાણી પણ મહર્ષિ તો એને નિરોધ કરવાની -અવરોધવાની ક્રિયાને યોગ કહે છે.કેવી રીતે  થશે તેનો અવરોધ ?


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • કચરો પણ છેવટે ગરીબોના સરનામે પહોંચે છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ‘શું પહેરવું?’ એમ કોઈ કહે ત્યારે ઘડીભર એમ લાગે કે એ વ્યક્તિ પાસે વસ્ત્રોની અછત હશે, પણ હવે એથી વિપરીત સ્થિતિ હોઈ શકે એવી સંભાવના પૂરેપૂરી છે. એટલે કે વસ્ત્રોની અછતની નહીં, છતની સમસ્યાથી એ ગ્રસ્ત હોય. આ એક ગંભીર વાસ્તવિકતા છે અને પર્યાવરણની રીતે તેને વિચારવા જેવી છે,

    તાજેતરમાં યુરોપના ચાર દેશોમાં થયેલા એક અભ્યાસે એક ચોંકાવનારી હકીકત ઉજાગર કરી. એ મુજબ નકામાં ગણીને ફેંકી દેવાયેલાં આઠ હજારથી વધુ કપડાંને તપાસતાં જાણવા મળ્યું કે એમાંનાં લગભગ એંસી ટકા જેટલાં કપડાં ફરી પહેરી શકાય તેવી સ્થિતિમાં હતાં. ઘણાંને માત્ર ધોવાની જરૂર હતી, તો કેટલાકને નાનકડી મરમ્મતની. આમ છતાં તે ફરી કોઈના ઉપયોગમાં આવ્યાં નહીં અને કચરાનો ઢગલો બની ગયાં.

    પ્રાથમિક દૃષ્ટિએ જોઈએ તો આ બેદરકારીનું પરિણામ જણાય, પણ હકીકતમાં આ એક આખી આર્થિક વ્યવસ્થાનું પરિણામ છે. એમ શી રીતે?

    વર્તમાન યુગ ફાસ્ટ ફેશનનો યુગ છે. કપડાં હવે ઋતુ પ્રમાણે બદલાતાં નથી; એ રોજેરોજ બદલાતાં રહે છે. ફેશન કંપનીઓ દરરોજ નવી ડિઝાઇન બજારમાં મૂકે છે, અને એ પણ કિફાયત દરે. બીજી તરફ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો વ્યક્તિને સતત નવા દેખાવાનું દબાણ ઊભું કરે છે. આને કારણે કપડાંની ઉપયોગિતા કરતાં તેની નવીનતા વધારે મહત્ત્વની બની ગઈ છે. એનો અર્થ એટલો કે કપડું ઘસાઈ જાય એટલે નહીં, પણ તેનાથી મન ભરાઈ જાય એટલે એ ‘જૂનું’ બની જાય છે.

    આ પરિવર્તનની સૌથી મોટી અસર એ થઈ છે કે કપડાંનાં સમારકામની સંસ્કૃતિ લગભગ અદૃશ્ય થવા લાગી છે. એક સમય હતો કે જ્યારે શર્ટનું કે પેન્‍ટનું બટન તૂટી જાય તો નવું બટન ટાંકવામાં આવતું, પેન્ટ ફાટે તો સાંધવામાં આવતું, કે સ્વેટર ક્યાંકથી ખૂલે તો એટલા ભાગને ગૂંથી લેવામાં આવતો. ઘરમાં સિલાઈનું મશીન હોવું સામાન્ય બાબત હતી, એમ દરજીઓ પણ માત્ર નવા કપડાં નહોતા સીવતા, બલકે જૂનાં કપડાંને નવું જીવન પણ આપતા હતા.

    આજે પરિસ્થિતિ સાવ ઊલટી છે. ઘણી વાર શર્ટનો કોલર બદલાવવા જેટલા ખર્ચમાં નવું શર્ટ મળી જાય છે. વસ્ત્રોના સમારકામ કરતાં નવા વસ્ત્રની ખરીદી સસ્તી પડતી હોય તો ગ્રાહક માટે નિર્ણય લેવો સરળ બની જાય છે. બજાર આપણને કયો રસ્તો પસંદ કરાવશે તે સ્પષ્ટ છે.

    આ એક વિચિત્ર અર્થશાસ્ત્ર છે. વિશ્વમાં દર વર્ષે કરોડો ટન કપડાં કચરાના ઢગમાં ફેરવાય છે. તેનો એક મોટો હિસ્સો સમૃદ્ધ દેશોમાંથી ગરીબ દેશોમાં પહોંચે છે. ઘાના, પાકિસ્તાન અને આફ્રિકાના અન્ય દેશોમાં સેકન્ડ-હેન્ડ કપડાંના વિશાળ બજારો ઉભા થયા છે. તેમાંના ઉપયોગી એટલે કે પહેરી શકાય એવાં કપડાં વેચાઈ જાય છે, પણ બિનઉપયોગી કપડાં આખરે સ્થાનિક કચરાના ઢગલામાં જમા થાય છે. એટલે કે ઘણી બધી વાર આપણે જે કપડાં ‘દાન’ તરીકે કે ‘રીસાયકલ’ કરવાના હેતુથી મોકલીએ છીએ, તે કોઈક બીજા દેશના પર્યાવરણમાં જઈને અંત પામે છે. સીધી રીતે કહીએ તો એ અન્ય કોઈ દેશના કચરામાં વધારો કરે છે. એક દેશનું કબાટ ખાલી થાય છે, અને બીજા કોઈ દેશની કચરાપેટી ભરાય છે.

    આ સમસ્યા દિન બ દિન ગંભીર બની રહી છે, અને તેના ઊકેલ બાબતે વિવિધ ઉપાયો સૂચવાઈ રહ્યા છે. એ પૈકીનો સૌથી મહત્ત્વનો ઉપાય ‘રિસાયકલિંગ’નો ગણાવાય છે. પરંતુ તે પહેલાંનો તબક્કો છે ‘રીયૂઝ’ એટલે કે ઓછું ખરીદવું, લાંબો સમય વાપરવું અને સમારકામ કરીને ફરી ઉપયોગમાં લેવું. એ પછી જ રિસાયક્લિંગ તરફ જવું. આ ઉપાય ક્યારે શક્ય બને? સમાજ તેને મહત્ત્વ આપે અને મૂલ્યવાન ગણે ત્યારે! અત્યારે તો નવી વસ્તુનાં માનપાન છે, નહીં કે ટકાઉ વસ્તુનાં.

    ફેશન અર્થતંત્રનું સ્વયંપોષિત ચક્ર
    સાંદર્ભિક  તસવીરઃ નેટ પરથી

    વિચિત્ર વાત એ છે કે ફાસ્ટ ફેશને કપડાં જ નહીં, ટકાઉપણા વિશેની આપણી સમજ પણ ધરમૂળથી બદલી નાખી છે. પહેલાં વસ્તુ લાંબો સમય ટકે તો એ ગુણવત્તાયુક્ત ગણાતી. આજે જે વસ્તુ ઝડપથી બદલાઈ શકે એ સફળ ગણાય છે. અને આ માનસિકતા માત્ર કપડાં પૂરતી મર્યાદિત નથી. મોબાઇલ ફોનથી લઈને ફર્નિચર સુધી અને વિચારોમાંથી લઈને સંબંધો સુધી બધે જ બોલબાલા ટકાઉ’ની નહીં, પણ ‘નવા’ની થઈ ગઈ છે. આથી જ, પર્યાવરણના પ્રશ્નોનો ઉકેલ માત્ર નવી ટેક્નોલોજીથી આવશે એવી માન્યતા સંપૂર્ણ સાચી નથી. આપણે કેટલી ચીજવસ્તુઓ ઉત્પાદિત કરી શકીએ છીએ, તેના કરતાં વધુ મહત્વનું એ છે કે આપણે વસ્તુઓને કેટલું લાંબું જીવન આપી શકીએ છીએ.

    આમાં એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે. પહેલાં નવી વસ્તુ ખરીદવી એ કોઈ વિશેષ પ્રસંગ ગણાતો. હવે ખરીદી પોતે એક જાતનું મનોરંજન બની ગઈ છે. ઑનલાઇન વેચાણ, ડિસ્કાઉન્ટ, ‘લિમિટેડ ઑફર’ અને સતત બદલાતી ફેશન ગ્રાહકમાં એવી લાગણી ઊભી કરે છે કે આજે આપણે કશું નહીં ખરીદીએ તો કંઈક અગત્યનું ગુમાવી બેસીશું અને પાછળ રહી જઈશું. આવી  માનસિકતા વસ્તુની જરૂરિયાત કરતાં ખરીદીના રોમાંચને વધારે મહત્ત્વ આપે છે. પરિણામે કપડાંનો ઉપયોગ ઓછો અને તેમની હેરફેર વધુ ઝડપી બની છે. આ સંજોગોમાં એક નાગરિક તરીકે આપણે એ યાદ રાખવાનું છે કે પર્યાવરણની લડાઈનો મોરચો માત્ર કારખાનામાં નહીં, આપણા પોતાના કબાટ સામે પણ જીતવાનો છે. દેખાદેખીમાં આપણે કશું પણ નવું ખરીદતાં પહેલાં સહેજ થોભીશું, એક વાર વિચાર કરીશું કે ખરેખર આપણને જરૂર છે કે માત્ર નવીનતાની ‘કીક’ ખાતર ખરીદી રહ્યા છીએ, તો આ મોરચો પૂરેપૂરો તો નહીં, પણ અડધો સર થવાની સંભાવના રહેશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૬-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સ્મૃતિસંપદા – જગદીશ પટેલ : જીવનનાં ઝરણાં [૧]

    જગદીશ પટેલનો જન્મ નડિયાદમાં ૧૯૪૫ની સાલમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એન્જિનીયરીંગ નો અભ્યાસ કરી ૧૯૬૯માં વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા.

    લાસ વેગાસમાં એન્જિનીયર તરીકે થોડો વખત કામ કર્યા પછી સ્ટોરના ધંધામાં ઝંપલાવ્યું. ગાંધી વિચાર શૈલી અને સમાજ કલ્યાણની ભાવના સાથે અમેરિકામાં તેઓ પાંગર્યા તેનો તેમને સંતોષ છે. સ્થળાંતરવાસીઓને તેઓ ભાગ્યશાળી માને છે. પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિનો સુમેળ કરવામાં તેઓ સફળ રહ્યા છે.

    પોતાની જાતને અમેરીકામાં વસતા એક સાધારણ ગુજરાતી તરીકે ઓળખાવતા જગદીશભાઈ હાલ લાસ-વેગાસમાં નિવૃત જીવન ગાળે છે. પ્રમાણિકતા અને નિખાલસતા સાથે તેઓ જીવનનો આનંદ સ્નેહી-મિત્રો સાથે વહેંચતા રહે છે અને ગુજરાતી વાંચન અને લેખન થકી સાહિત્ય સાથે પણ તેઓ સંકળાયેલ રહ્યા છે. ગોલ્ફ રમવાનો અને પ્રવાસનો તેમને ઘણો શોખ છે. ઊંચી આતિથ્ય ભાવનાને કારણે એમનું મિત્રવર્તૂળ વિશાળ છે જેમાં સાહિત્ય રસિકોનો સમાવેશ પણ થાય છે.

    Email: jagdishwriter@gmail.com


    મારી જીવનયાત્રા લખવાનું શરૂ કરું છું ત્યારે મને મુંઝવણ થઈ છે કે મારી જિંદગી માટે કોઈપણ વ્યક્તિને શા માટે કુતુહુલ થાય કે તેમાં રસ હોય? મારા જીવનમાં ઉપદેશ કે સિદ્ધિ નથી, કે નથી અસાધારણ અનુભવો. મારાં સગાવહાલાં કે મિત્રો સિવાય મને કોઈ ઓળખતું નથી, હું જીવન સંગ્રામ લડ્યો નથી, શિખરો સર કરવાનો પ્રયત્ન પણ ના કર્યો, ઇનામ નથી મળ્યાં. આયુષ્ય વીત્યું છે સરળ વહેતાં ઝરણાં માફક, નહીં કે પુરથી ધસતી નદી. મારી પાસે સાહિત્યિક શૈલી લખાય તેવી આવડતનો અભાવ છે.

    ઘણાં કારણો છે ન લખવા માટે, પણ તેવી નકારસૂચક બાબતો મને ક્યારેય રોકી શકી નથી. હું સાચે જ માનુ છું કે ગુજરાતથી અમેરિકા આવેલા મારા સમવયસ્ક સામાન્ય વ્યક્તિઓ નો હું એક ચહેરો, એક દર્પણ છું. મારી જીવનયાત્રાને ગુજરાતી-અમેરિકન બંધુઓના સ્વાનુભવોનું દૃષ્ટાન્ત પણ કહી શકાય. કહેવાય છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તે પ્રમાણે, પચાસ વર્ષોના પરદેશમાં વહેવાસ પછી પણ, હું સ્વયમ ને અમેરિકન ગણું છું છતાં, મારાં સંસ્મરણો ગુજરાતનું પ્રતિક છે. તેમાં અગણિત ગુજરાતીઓ ને પોતાના અનુભવોની ઝાંખી થઈ શકે. ખેર, બીજું કશું નહીં તો મારી આત્મકથાને નિરાદ ચોધરીના પુસ્તકની માફક “ઔટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ગુજરાતી” કહી શકાય.

    ભૂતકાળમાં પગલું ભરું તે પહેલાં આ ઘડીએ વિચાર આવે છે કે જિંદગી કયા સમયે ચાલુ થઈ કહેવાય. જન્મસમય તો પૃથ્વી પર આગમનનો છે, પરંતુ આપણે કેવા માણસ તરીકે જીવન જીવીએ છીએ તેમાં આપણા પૂર્વજોનો મહત્ત્વનો અને કિમતી ફાળો હોય. સંસ્કાર, સંસ્કૃતિ, ડીએનએ વગેરે વ્યક્તિનું નિર્માણ કરે છે, તેમની સતત ઉપસ્થિતી જન્મથી મૃત્યુ વચ્ચેના ગાળામાં આપણને માર્ગદર્શન આપે છે. આ સમયે મારી ઉંમર વધી છે અને મૃત્યુ નજદીક આવતું હોય તેમ લાગે છે ત્યારે, પૂર્વજો વિશે જે માહિતી છે  તે યાદ કરી મને ખૂબ હર્ષ થાય છે.

    અમારું મુળ વતન ચરોતરનુ ધર્મજ ગામ છે. ત્યાં મારા દાદા શિવાભાઈ પટેલ માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હતા. તેઓ પ્રખ્યાત કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાંત)ના વિદ્યાર્થી, અને પછી સાથી થયા હતા. મુંબઈ, ૧૯૧૫માં કાન્ત, દાદા અને બીજા દસેક બૌદ્ધિક પુરુષોએ ભેગા થઈ “હિંદી સ્વીડનબૉર્ગ સોસાયટી”ની સ્થાપના કરી. ખ્રિસ્તી ધર્મના પાદરીની આધ્યાત્મિકતાથી પ્રેરાઈને તેમણે ચર્ચ નહીં પરંતુ એક સંસ્થા ચાલુ કરી જેથી સ્વીડનબોર્ગના વિચારોનો હિંદમાં ફેલાવો થાય. તે કામ સહેલું ન હતું, પરંતુ અભિલાષા અને આગ્રહથી ભરેલા માણસોનું મંડળ એકઠું થયું અને સોસાયટીની સ્થાપના કરી. દાદા તેના પહેલા સેક્રેટરી થયા. થોડા જ મહિનામાં મુંબઈના વિવિધ ધર્મ અને જાતિના પ્રજાજન તેના સભ્ય થયા. તે સંસ્થા બહુ ચાલી ન હોય તેમ હું માનું છું. છતાં મને તેના કાર્યકર્તાઓની હિંમત અને હોંશિયારી માટે માન છે. દાદાએ ‘જીવન પ્રબોધ’ નામની પુસ્તિકા લખી હતી તે વાંચીને મને નવાઈ લાગે છે કે તે સમયે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં તેમને કેવો રસ હતો, કેવી જિજ્ઞાસા હતી.

    મારા માતાના પિતા, આજકાલ જેમને નાના કહેવાય છે, રાવજીભાઈ પટેલ ૧૯૧૦ની આસપાસ દક્ષિણ આફ્રિકા ગયા હતા. થોડા સમય પછી ત્યાં જે ધંધો કરતા હતા તે છોડ્યો અને ગાંધીજી સાથે ફિનિક્સ આશ્રમમાં જોડાઈ ત્યાંના ભારતીયોને જે તકલીફ પડતી હતી તે દૂર કરવાની ચળવળમાં ભાગ લીધો. વર્ષો પછી ભારતમાં આવી બાકીની જિંદગી સાબરમતી આશ્રમમાં અને સ્વતંત્રતાની લડતમાં ગુજારી. તે સમયમાં તેમણે ઘણા પુસ્તકો લખ્યાં. તેમાંથી એક “હિંદના સરદાર”નું નાનું રૂપાંતર કરી ગુજરાત સરકારે લાખો પુસ્તકો ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ના ભૂમિપૂજનમાં નાગરિકોને મફત વહેચ્યાં હતાં.

    રાવજીદાદાએ બે ભાગની આત્મકથા લખી તેમાં એક સુંદર, રસદાયક પ્રસંગનું વર્ણન છે. તે બન્ને દાદાઓના વ્યક્તિત્વની મનોહર ઝાંખી આપે છે.

    મારા માતાપિતાના વિવાહ ૧૯૨૦માં નક્કી થયા ત્યારે રાવજીદાદાએ તેમના ભાવિ વેવાઈ શિવાદાદાને ૩૦૧ રૂપિયા આપવા ખિસ્સામાંથી કાઢ્યા હતા. તે પ્રસંગનો અહેવાલ આત્મકથામાં આ પ્રમાણે હતો :

    “શ્રી શિવાભાઈ જાણે ચમક્યા હોય તેમ બોલી ઊઠ્યા, ‘રૂપિયા, રૂપિયા શાના?”

    “ન્યાતના રિવાજ પ્રમાણે સગાઈ થતાં ચાંલ્લો અપાય છે, તેથી સગાઈ નક્કી થઈ ગણાય.”

    શ્રી શિવાભાઈતો હસ્યા. તે બહુ મર્મભેદી ભાષા બોલનાર હતા. મજાકી અને આનંદી પણ ખરા. ઉચ્ચ આદર્શપ્રિય જીવનની આવી ભાષા બહુ ગૂઢ અર્થવાળી હોય છે. તે મજાક કરતા બોલ્યા, “ન્યાતનો રિવાજ? ન્યાતનો રિવાજ સાટાનો હોય છે, ચાંલ્લાનો ક્યાં છે? ચાંલ્લો કંકુનો હોય, ચાંદીના ટુકડાનો કેમ? મેં તમને વાછરડો નથી વેચ્યો કે તમારી પાસે સાટાના રૂપિયા લઉં. નાતમાં એવો રિવાજ હશે પણ હું લબાડ માણસ નથી. હું ફરી જઈશ તેમ માનીને મને સાટુ આપીને બાંધો છો? મારું અને મગનભાઈનું વચન પૂરતું છે. હૃદયના વિશ્વાસનું પ્રતિક રૂપિયા ના હોય, એ તો એક બીજા પ્રત્યેની શ્રદ્ધા જ હોય.”

    પછી શિવાભાઈ ગંભીરતાપૂર્વક બોલ્યા, “ઠીક થોભો, હું આવું છું.” તે ગયા અને બે જ મિનિટમાં પાછા આવ્યા અને કહ્યું, “લો, મારા પણ ત્રણસો એક. મને લાગે છે કે વરના બાપે પણ કાંઈ કરી છૂટવું જોઈએ. તમે કન્યાના બાપ થયા એટલે બાપડા, બિચારા? હું વરનો બાપ થયો એટલે ટેડુંજી નથી. જો તમે કન્યાને ઉછેરી સમાજના ગુનેગાર થયા છો તો હું પણ તેવો જ છું. આપણે બન્ને સરખા છીએ.”

    અંતે વરકન્યાના નામે ૬૦૨ રૂપિયા એક સંસ્થામાં ભેટ આપ્યા.

    રાવજીદાદાએ સ્વતંત્રતા પછી ફક્ત સમાજસેવા અને સુધારણામાં રસ લીધો. રાજકારણમાં સહેલાઈથી જઈ શક્યા હોત પણ તેમણે ના પાડી અને ભારત સમાજ સેવકના પ્રમુખ થયા. દેશભક્ત અને સમાજ સુધારક થઈ પાંચ દસકા સુધી સેવા કરી.

    અંતિમ વર્ષોમાં તેમણે માનવમૂત્ર પીવાના પ્રયોગો કર્યા હતા અને એક પ્રચલિત પુસ્તક લખ્યું હતું, જેના ઘણા ભાષાંતર પણ થયા છે. મોરારજી દેસાઈ દાદાને અંગત રીતે ઓળખતા હતા અને તેમણે પણ મૂત્ર પીવાના પ્રયોગો કર્યા. આજે અમે હસીએ છીએ કે આપણા કુટુંબે ભારતને મૂત્ર પીતા શીખ્વ્યું છે. બહું જ અગત્યનો ફાળો છે! મારા પિતાએ પણ જ્યારે ગાંધીજીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચળવળ ઉપાડી હતી ત્યારે લંડન જવાનું બંધ રાખ્યું હતું. પછી આખી જિંદગી ખાદીનાં કપડાં જ પહેર્યાં. આવા પૂર્વજોની ત્રીજી થી છઠી પેઢીઓ આજે અમેરિકામાં છે. અમે ઘણીવાર ભેગા મળીએ ત્યારે વાત કરીએ છીએ કે આપણા બાપદાદા જેવા હતા તેમાંથી આપણામાં કશું રહ્યું નથી. સાપ ગયા અને લિસોટા રહ્યા. પરંતુ હકીકત એ છે કે ભલે અમે દેશભક્ત કે સમાજ સુધારક નથી થયા, પૂર્વજના વિચારો, તેમની જિંદગીના દાખલા, રહેણીકરણી વગેરેની અમારી જિંદગીમાં ખૂબ અસર છે. અમારું વર્તમાનના કુટુંબને વારસામાં જે મળ્યું છે તે માટે તેમનું ખૂબ આભારી છે.

    *  *  *   *  *

    પહેલા વિશ્વયુદ્ધ પછી અમારા બાપુજી મુંબઈથી નડિયાદ આવ્યા અને ધંધો ચાલુ કર્યો. ત્યાં પાંચ દિકરી પછી, ૧૯૪૫માં મારો જન્મ થયો. ઘણી રાહ જોયા બાદ, પાંચ પાંચ દિકરીઓ પાછળ, જે દિકરાનો જન્મ થાય તે રાજકુંવર જેવો લાડકો હોય. કુટુંબના બધાં સભ્યો મને ખૂબ સાચવતાં. પહેલાં પાંચ વર્ષ સુધી જૂની અંધશ્રદ્ધાને લઈને મારા માતાએ મને ભિખારી બનાવ્યો હતો. તેથી કોઈના આપેલાં કપડાં જ પહેરવાનાં. ખરેખર તો મારાં કપડાં ભીખ માંગીને નહીં પરંતુ સગાવહાલાંની ભેટથી મળતાં. મારું નામ પણ પહેલાં ગોપાલ, તે છઠા વર્ષે જગદીશ બન્યું. પાંચ વર્ષ  કામચલાઉ નામ આપવાનું કારણ એમજ કે તે જમાનામાં ઘણાં બાળકો વહેલાં ગુજરી જતાં. તેથી કાયમી નામ મોડું મળ્યું. આજે ૭૬ની ઉમરે કુટુંબીજનો મને ગોપાલથી જ બોલાવે છે.

    નડિયાદમાં બાપુજીની સ્પોર્ટના સામાનની દુકાન હતી. તે સમયે નિશાળો, કૉલેજો, વ્યાયામશાળા કે પોળમાં રમાતી રમતોનો સામાન અમારે ત્યાં વેચાતો. હું આઠ-દસ વર્ષનો હતો ત્યારે નબળો અને બિકણ હતો તેથી ક્રિકેટ સારું રમી શકતો ન હતો. પોળના બાળકોની એક ટીમ હતી, તેને અમે પાટી કહેતા. બોલ-બેટ દુકાનમાં થી મને મફતમાં મળતાં તેથી હું ટીમને ભેટ આપતો. તે કારણે ટીમમાં મને કાયમ, યોગ્યતા ન હોવા છતાં, સ્થાન મળતું.

    નડિયાદમાં નાત કે વ્યયસાવ પ્રમાણે બધી પોળો હતી. જેમકે કંસારવાડ, મોદીસાંથ, શેઠપોળ, વગેરે. અમે મૂળ ધર્મજના અને અમારી અટક પટેલ, પણ દેસાઈવગોમાં બધા દેસાઈઓ વચ્ચે વસવાટ કરેલો. સામાન્ય રીતે નડિયાદના યુવાનો બહુ તોફાની હોય છે તેવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. જેથી મારા બાને ચિંતા થતી કે હું ખરાબ સોબતમાં આવીને બગડી જઈશ. સાચી વાત તો એ હતી કે હું ડરપોક હતો તેથી બાનો અજંપો અસ્થાને હતો. આજે છ દસકા પછી પણ મને નઠારા સપના આવે છે. જેમ કે હું પતંગ ચઢાવવા છાપરા પર ચઢ્યો છું અને નીચે ઉતરાતું નથી, અથવા કૂતરો મારી પાછળ દોડે છે અને હું પડી જાઉં છું, અને મારું માથું પથ્થર પર અથડાય છે. મહા મહિનામાં નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં મોટો મેળો થાય તેમાં અમે ચાનો સ્ટોર કરતા અને ટીમ માટે પૈસા બનાવતા. કોઈ વાર સારી ફિલ્મ આવી હોય તો વહેલા વહેલા લાઇનમાં ઊભા રહી ટિકિટો લઈ કાળાબજારમાં વેચતા પણ હતા. ધૂળેટીના દિવસે રસ્તા પર આવતા-જતા લોકોને રંગનો ડર આપી પૈસા ભેગા કરવાનું દર વર્ષે થતું. પછી તે દિવસે ખેતરમાં જઈ માટલાનું ઉંધિયું અને ફરસાણ ખાવાની મજા ઘણી વાર યાદ આવે છે, તેની તીવ્ર ઇચ્છા આજે પણ થાય છે. પોળમાં અમે આધુનિક અને સુધરેલા કુટુંબના હોવાથી અમારું માન હતું. તે સમયના મોટા ભાગના લોકોની જેમ અમે સુખી અને સંતોષી જીવન જીવતા.

    પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ પછી હું વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયર થવા ગયો. ત્યાં ચાર વર્ષે સહેલાઈથી, સરળ ઝરણાના વહેણની માફક, પસાર થયાં. મારા વિદ્યાર્થી જીવનનો અંત આવ્યો.

    પુખ્ત ઉંમરનું પહેલું પાનું પણ લખાયું ન હતું ત્યારે મને જીવનની વાસ્તવિકતાનો અનુભવ થયો. મારી કસોટી થઈ.

    કૉલેજના પરિણામ અને સફળતા પછી હું અમદાવાદ મામાને ઘરે હતો ત્યારે સમાચાર આવ્યા કે મારા પિતા હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ પામ્યા છે. તે સમયે કુટુંબ રતલામમાં રહેતું હતું. અમે તરત ગાડીમાં નિકળી, લાંબી મુસાફરી કરી સીધા સ્મશાન પર ગયા. ત્યાં મેં મોટા દિકરા તરીકે તેમનો અગ્નિદાહ કર્યો. સ્મશાનમાં મને વિચાર આવવા લાગ્યા. મારી બે કુંવારી બહેનો અને ભાઈ હવે મારા પર નિર્ભર થવાના હતા. મોટાભાઈ તરીકે, પ્રણાલિકા પ્રમાણે, તેમની જવાબદારી મારી ગણાય. બાપુજી ખાધે પીધે સુખી, પણ બધી મિલકત એક પછી એક વેચી, દિકરીઓના લગ્ન પ્રસંગે  સમાજના રિવાજો નીભાવવા, તેમણે અખૂટ ખર્ચો કર્યો હતો. સમાજસુધારા માટે ઘણી પરંપરાનો બહિષ્કાર પણ કર્યો હતો. તેથી મરણના સમયે બાપુજી પાસે મકાન સિવાય બહુ એસેટ નહીં. મને થયું કે સમાજ હવે મારી સ્થિતિ માટે મને દયાપાત્ર ગણશે. મેં નક્કી કર્યું કે મારે જવાબદારી નિભાવવા જે કરવું પડે તે હું મક્કમ મને, ધ્યેય પર નજર રાખી, કોઈ કે કશાની ચિંતા વગર કરીશ. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તેમ મારાં ધર્મ અને ફરજ બજાવીશ, મારા કર્મથી.

    ૧૯૬૭ માં વડોદરાના મોટાભાગના સ્નાતક એન્જિનિયરો અમેરિકા જવા આતુર હતા. મેં પણ મુંબઈ જઈ અંગ્રેજીની પરીક્ષા પાસ કરી કૉલેજમાં એડમિશન માટે અરજીઓ કરી. પરંતુ મારો પ્રથમ વર્ગ ન હોવાથી તકલીફ પડી. તે સિવાય ખર્ચાનો પણ સવાલ. નસીબજોગે મામાએ ટિકીટની, અને મારા ફોઈનો દિકરો દિલીપ જે બે વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો તેણે સ્પોન્સરશીપની વ્યવસ્થા કરી. તે સમય દરમ્યાન, એડમિશનની રાહ જોતાં, મેં અમદાવાદમાં એન્જિનિયરની નોકરી મેળવી.

    તે પંદર મહિનાના ગાળામાં, અમેરિકા જવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો ત્યારે, ચાલુ થઈ મારી પ્રેમકથા.


    ક્રમશઃ

  • વામા-વિશ્વ : બાર ડાન્સરથી બોલીવુડ રાઈટર : શગુફતા રફીક

     ”ભલે મેં પ્રાઇવેટ પાર્ટીઓમાં નાની વયે ડાન્સ કર્યો પણ મને ગર્વ છે કે હું ને મારી માતા ઈજ્જતની રોટી ખાતા, અમે કોઈની પાસે ભીખ માંગી નથી”

    અનુરાધા દેરાસરી.  

    ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે, ‘નસીબનું પાદડું ખસવું’ એટલે કે જીવનમાં અણધારેલી, અચાનક જબરજસ્ત કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળવી.

    શગુફતા રફીકના જીવનમાં આ રૂઢિપ્રયોગ સાચો પડયો.

    બાર ડાન્સના પ્લેટફોર્મથી બોલીવુડના લેખક તરીકેની જીવન સફર.

    દુબઈ હોટેલોના ડાન્સબારથી ‘કલયુગ’ ફીલ્મના ડાયલોગ અને પછી આશીકી-૨ જેવી સફળ ફિલ્મની રાઈટર તરીકેની સફળતા.

    શગુફતા રફીકનું જીવન અત્યંત સંઘર્ષમય રહ્યું. તેણે બાળપણથી જવાની સુધી શું ના જોયું ? નજર તેના જીવન પર નાખીએ તો જરૂર રૃંવાડા ઊભા થઈ જાય.

    શગુફતા રફીકના જૈવીક માતા-પિતા (બાયોલોજીકલ પેરન્ટસ)ની કોઈ જાણ નથી. તે ખૂબ નાની હતી ત્યારે તે વખતના એકટ્રેસ, અનવરીબેગમે તેને ઉછેરવા માંડી, પોતાની સાથે રાખીને લગભગ દત્તક લીધી એમ કહી શકાય. સાત વર્ષ સુધી શગુફતાનું બાળપણ આનંદમાં અને મુશ્કેલી વગર વીત્યું. તે શાળાના સાતમાં ધોરણમાં આવી અને તેના જીવને પલટો ખાધો.

    તેના પાલક પિતા એટલે અનવરી બેગમના પતિ મૃત્યુ પામ્યા. અનવરી બેગમે પણ ફિલ્મ સૃષ્ટી છોડી દીધી હતી. થોડો સમય બચત વગેરેમાંથી ઘર ચાલ્યું પછી ઘરેણાં ને ઘરની જણસો વેચવાનો વારો આવ્યો. મા દીકરીને બે ટંક ખાવાના જ સાંસા પડવા લાગ્યા એટલે શગુફતાને શાળામાંથી ઉઠાડી લીધી.

    ઘર ગૃહસ્થી ચલાવવાના ફાંફા હતા એટલે નાની શગુફતા પર આર્થિક ટેકાનો ભાર આવી ગયો. શગુફતા ડાન્સ સારો કરતી હતી. આથી નવ વર્ષની કુમળી વયે, પ્રાઇવેટ ધનાઢ્ય પાર્ટીઓમાં, તે ડાન્સ કરવા લાગી.

    આ દિવસો યાદ કરતાં, શગુફતા કહે છે કે, ”હું નાની હતી, ડાન્સ કરતી, મોટા મોટા, જાડા જાડા ધનાઢ્ય પુરૂષો મારા પર નોટો ઉછાળતા, કોઈ આવીને મારી નજર ઉતારવાનો દેખાવ કરી, શરીરની સાવ નજીકથી પૈસા ફેંકતા મને આ મારા કૃત્ય માટે એટલી ધૃણા આવતી પણ મારી પાસે કમાવવા માટે બીજો કોઈ રસ્તો ન હતો. એ સમયે ફિલ્મ લાઇનમાં ચાઈલ્ડ આર્ટીસ્ટને કોઈ કામ આપવાનો શીરસ્તો ન હતો. મેં આ ધૃણા દસ વર્ષ સહન કરી પણ મને ગર્વ છે કે હું ને મારી માતા ઈજ્જતની રોટી ખાતા હતા. કોઈની પાસે ભીખ માંગવાનો વારો ના આવ્યો.

    ૧૭ વર્ષની વયે શગુફતાને સેક્સવર્કર તરીકે કામ કરવાનું શરૂ કરવું પડયું. તેની એ ચાલમાં, કર્કશ પથારી પર, અનેક મીલીઓનર પુરૂષોને તેણે સાથ આપ્યો. શગુફતાનો આ નિર્ણય સારા માટે ન હતો, પણ જીવનની સંજોગોએ ઊભી કરેલી હતાશા અને પેટનો ખાડો પૂરવા માટેનો રસ્તો હતો. તે રાત્રિના રૃા. ૩૦૦૦ લેતી, તેની આર્થિક સ્થિતિ સુધરી પરંતુ શારીરિક અને સામાજીક સ્થિતિ બગડી.

    અનવરીબેગમે, મા તરીકે આ કાર્યનો ખૂબ વિરોધ કર્યો પરંતુ શગુફતા પાસે કોઈ વિકલ્પ ન હતો. નાની વયે પાર્ટીઓમાં ડાન્સ કર્યા પછી એ સમયના જૂનવાણી વિચારોને કારણે તેની પ્રતિષ્ઠા ખરડાઈ ચૂકી હતી.

    શગુફતા આ સમય માટે કહે છે કે, ‘મારી માની ભૂખ સામે, આ કાર્ય સાવ નાનું હતું. મારી મા મારું સર્વસ્ત હતી.’

    અત્રે એક વાત યાદ કરાવવી જરૂરી છે કે, આપણો સમાજ વૈશ્યાઓ અને તેના બ્રોથેલ માટે નકારાત્મક વિચારો ધરાવે છે કારણ કે તેમનું કામ એવું છે, પરંતુ મોટાભાગની મહિલાઓ સંજોગોની મજબૂરી, હતાશા અને જીવનના નકારાત્મક સંજોગોને કારણે આ વ્યવસાયમાં ધકેલાઈ જાય છે.

    અનવરીબેગમને મા તરીકે શગુફતા આ ધંધામાં કામ કરે તે ખટકતું હતું અને મંજૂર ન હતું. આથી તેમણે દુબાઈની હોટલોના બારમાં ડાન્સર તરીકે શગુફતા માટે કાર્ય શોધી કાઢ્યું અને શગુફતા દુબઈની હોટેલોમાં બાર ડાન્સ તરીકે પહોંચી ગઈ.

    આ વ્યવસાય પણ કંઈ ખૂબ સારો ન હતો. શગુફતા લખે છે કે, ‘સતત દારૂની બાટલીઓમાંથી દારૂ પીતા પુરુષો, સીગરેટના ધુમાડા કાઢતા પુરુષો અને તેમની લોલુપતાભરી નજરો પણ એટલું સારું હતું કે, એ ખરાબ દૃષ્ટિથી જ અટકી જતું, મારે દેહવિક્રય કરવો પડતો નહીં.’

    શગુફતા પોતાનો બાર ડાન્સરનો વ્યવસાય ખૂબ શરાફતથી કરતી. તેની આ શરાફત એક ધનાઢ્ય આધેડ વયના પુરુષને સ્પર્શી ગઈ અને તેણે પોતાના ઘેર શગુફતાને રાખી. થોડો સમય, આમ વીત્યો હવે, શગુફતાને જીવનની એરણે સંપૂર્ણ ઘડી કાઢી હતી.

    અનવરીબેગમને કેન્સરનું નિદાન થયું, મા માટે શગુફતા ભારત પાછી ફરી, આ તેના જીવનનું ટર્નિંગ પોઈન્ટ હતો.

    ઘણી કોશિશ અને દવા કરવા છતાં અનવરીબેગમ બચ્યા નહીં. માના મૃત્યુનો આઘાત શગુફતાને ઘણો લાગ્યો કારણ કે તે હવે દુનિયામાં એકલી થઈ ગઈ.

    પરંતુ શગુફતાએ નક્કી કર્યું કે, તે હવે બાર ડાન્સરના કે અન્યમાં પાછી નહીં ફરે. તેને પહેલેથી લખવાનો શોખ હતો, આથી તેણે નક્કી કર્યું કે, હું મારા સંઘર્ષના અનુભવો લખી એને વિશ્વ સમક્ષ કહાનીના સ્વરૂપમાં મૂકીશ અને તેણે સ્ટોરી ટેલિંગ શરૂ કર્યું.

    બસ આ કાર્યએ તેના નસીબનું પાદડું ખસેડી દીધું. સ્ટોરી ટેલિંગ કરતા કરતાં શગુફતા, રફીક બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને ફીલ્મ મેકર મહેશ ભટ્ટના સંપર્કમાં આવી. મહેશ ભટ્ટે શગુફતાની ‘સ્ટોરી ટેલિંગ’ના વિષય વિષે જાણ્યું તેમને શગુફતાની વાતામાં ખૂબ ઊંડાઈ લાગી અને લાગ્યું કે, આ છોકરી જો બોલીવુડમાં સ્ક્રીપ્ટ રાઇટર બને તો બોલીવુડમાં ભૂચાલ લાવી દેશે. અને તેમણે શગુફતાને બોલીવુડમાં કામ કરવા અંગેની પ્રેરણા આપી અને ભટ્ટ કેમ્પમાં લખવાની તક આપી.

    સૌ પ્રથમ શગુફતા રફીકે ‘કલયુગ’ ફિલ્મના ડાયલોગ લખ્યા. બસ આ શરૂ થઈ તેની બોલીવુડની સફર. ધીરે ધીરે શગુફતા એક પછી એક પગથિયા ચઢતી ગઈ. પ્રથમ સ્ક્રીપ રાઇટર બની અને પછી એક સ્ટોરીઓ લખતી ગઈ.

    શગુફતાનું ફિલ્મી રાઇટર તરીકેનું પ્રથમ મુવી ‘વો લમ્હે’ જેની શગુફતાએ કહાની અને સ્ક્રીનપ્લે બંને લખ્યા છે. મહેશ ભટ્ટના વિશ્વાસ ફિલ્મમાં તેણે લેખનનું વધારે યોગદાન આપ્યું છે.

    ‘વો લમ્હે’ પછી શગુફતાએ આવારાપન, રાઝ, મર્ડર-૨ અને સૌથી સફળ આશીકી-૨ ની વાર્તા અને સ્ક્રીનપ્લે લખ્યા.

    આ ઉપરાંત શગુફતાએ પાકિસ્તાનની સૌથી લોકપ્રિય ટીવી સીરીયલ ‘લંબી જુદાઈ’ની વાર્તા લખી છે જે ખૂબ લોકપ્રિય થઈ હતી.

    વર્તમાન સમયમાં શગુફતા રફીક પોતાના જીવનના પ્રસંગોને વણીને સ્ટોરીટેલિંગ કરે છે, તેને મળતાં બોલીવુડની ફિલ્મો અંગે લેખન કરે છે ઉપરાંત પંજાબી ફીલ્મ અને બંગાળી ફિલ્મોના ડીરેકશનમાં પણ મદદ કરે છે.

    શગુફતા કહે છે, ‘હું જીવનમાં ગમે તેટલી સફળતા મેળવું પરંતુ મારા જીવનના સંઘર્ષમય દિવસો અને મારી માતાને હું ક્યારે પણ ભૂલી નહીં શકું. આજની સફળતાનો પાયો એ ભૂતકાળમાં રહેલો છે.’

    સેલ્યુટ ટુ શગુફતા રફીક… !

  • કૃત્રિમ બુધ્ધિમતાથી સર્જાઈ શકે છે અસલી જળસંકટ

    નિસબત

    ચંદુ મહેરિયા

    પુસ્તકનો ઉપયોગ કરનારને સાચી રીતે જ ટકોરવામાં આવે છે કે એક વૃક્ષની કતલથી બનેલા કાગળ પર છપાયેલું આ પુસ્તક છે. આજકાલ એઆઈનો ઉપયોગ વધ્યો છે ત્યારે ચેટબોટને સવાલ પૂછનારને કહેવાય છે કે તેના આ કૃત્યથી ઝરણું સૂકાઈ જાય એટલું પાણી વપરાય છે! કૃત્રિમ બુધ્ધિમતા કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ સભ્યતાની સૌથી મોટી અને સૌથી વધુ શક્તિશાળી તકનિકી ક્રાંતિઓમાંની એક છે. એઆઈનો વપરાશ ઘણાં માનવીના રોજબરોજના જીવનનો એક હિસ્સો બની ગયો છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી આ ટેકનિકનો ઉપયોગ શિક્ષણ, સંચાર, સંરક્ષણ, આરોગ્ય, ખેતી અને વ્યાપાર-ઉદ્યોગમાં થાય છે. ફોટા, વિડીયો, એઆઈસર્ચ, ચેટબોટ જેવી બાબતોથી માણસ હેવાયો થઈ રહ્યો છે. એઆઈ જનરેટેડ ફોટો કે સવાલ પૂછવાથી એક ઝરણું સૂકાઈ જાય તેટલું પાણી વપરાય જાય છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે છે પરંતુ એઆઈના ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પર માઠી અસરો પડી રહી છે તે બાબત બેબુનિયાદ નથી જ .

    એઝ સચ એઆઈને ખુદને કોઈ પાણીની જરૂરિયાત નથી. પરંતુ એઆઈના ડેટા સેન્ટરોને છે. ડેટા સેન્ટર એઆઈને શક્તિ પ્રદાન કરતું એક પાયાનું વૈશ્વિક માળખું છે. એઆઈ મોડેલને ટ્રેનિંગ આપવા અને ઉપયોગકર્તાઓના સવાલોના જવાબ આપવા કમ્પ્યૂટિંગની તાકાત જરૂરી છે. ડેટા સેન્ટરોના સર્વર તેના કારણે ગરમ થાય છે. તેને ઠંડા રાખવા વિવિધ કૂલિંગ પ્રણાલી અપનાવવામાં આવે છે. તે માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે.

    જેમ જેમ એઆઈનો ઉપયોગ વધશે, તે વધુ વિકસિત થશે તેમ તેમ ડેટા સેન્ટરોનું પ્રમાણ પણ વધારવું પડશે અને તે માટે વધુ પાણી અને વીજળીની જરૂર પડશે. જ્યારે માનવજાત અનિયમિત વરસાદ, જળવાયુ પરિવર્તન, ઝડપી એટલું જ  અંધાધૂંધ શહેરીકરણ અને વસ્તી વૃધ્ધિની સમસ્યાઓથી પીડિત છે અને પાણી તથા વીજળી જરૂરિયાત કરતાં ઓછાં ઉપલબ્ધ છે ત્યારે એઆઈને કારણે પાણી અને વીજળીનો વપરાશ વધતાં તેની અછત અને સરવાળે સંકટ વધવાનું છે. એટલે એઆઈના વિકાસ સાથે જ પર્યાવરણ પર પડનારી તેની અસરોથી સચિંત થવાની અને તેના ઉપાયો શોધવાની જરૂર છે.

    જપાનના ટોકિયો સ્થિત યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે ક્રુત્રિમ બુધ્ધિમતાથી  સંબંધિત પાણીનો જે વપરાશ થવાનો છે તે આ દાયકાના (ઈ.સ.૨૦૩૦) અંત સુધીમાં ૧.૩ અબજ લોકોની ઘરેલુ જરૂરિયાત જેટલો હશે. એઆઈ ૨૦૩૦ સુધીમાં ૯.૩ લાખ કરોડ લીટર પાણી પી જશે તેવો અંદાજ છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ડેટા સેન્ટરો લગભગ  વાર્ષિક ૯૪૫ ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરી શકે છે. જે જાપાનની વાર્ષિક વીજળી વપરાશ બરાબર હશે. ભારતના ડેટા સેન્ટરોમાં ૨૦૨૫માં ૧૫૦ બિલિયન લીટર પાણી વપરાયું હતુ.એકલા અમેરિકાના ડેટા સેન્ટરોમાં ૨૦૨૩માં ૬૬ અબજ લીટર પાણી વપરાયું હતુ.  દુનિયાના ડેટા સેન્ટરોમાં ૨૦૨૫ સુધીમાં  ૪૪,૮૦૦ કરોડ યુનિટ વીજળી વપરાઈ હતી.  આ વીજળી વપરાશ વિશ્વના દેશોમાં અગિયારમા ક્રમે આવે તેટલી મોટી છે. એક એઆઈ જનરેટેડ ફોટો બનાવવામાં સાધારણ ફોટા કરતાં એક હજાર ગણી વધુ વીજળી વપરાય છે. એક વીડિયો બનાવવામાં એઆઈ ૪.૧ લીટર પાણી વાપરે છે અને ઘરનો એલઈડી બલ્બ ૪૨ કલાક ચાલે તેટલી વીજળી વાપરે છે. એઆઈના મોટા ભાષા મોડેલોની તાલીમમાં કોઈ મોટી કાર તેના સમગ્ર જીવન કાળ દરમિયાન ઉત્સર્જિત કરે છે તેટલો કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જિત કરે છે. દરરોજ ચેટજીપીએસ ૨૫૦ કરોડ સવાલોના જવાબો આપે છે એટલે તે કેટલું પાણી અને વીજળી વાપરતું હશે તેની કલ્પના કરી શકાય છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    જોકે કેટલાક નિષ્ણાતો એઆઈને કારણે પર્યાવરણને હાનિને બદલે લાભ થશે તેવા મતના પણ છે. દુનિયાના એક અબજ લોકો જ જેનો ઉપયોગ કરે છે તે એક આઈફોન બનાવવા માટે એઆઈ કરતાં વધુ વીજળી વપરાય છે. જ્યારે એઆઈ તેના કરતાં વધુ લોકોના વપરાશમાં છે. એટલે એઆઈ વધુ લોકો સુધી પહોંચે છે અને વધુ પ્રાસંગિક પણ છે. ઓપનઆઈના સીઈઓ સૈમ ઓલ્ટમૈન કહે છે કે ચેટજીપીટીની પાસેથી પ્રશ્નનો ઉત્તર મેળવવામાં એક ચમચી પાણીના પંદરમા ભાગ જેટલું જ પાણી વપરાય છે. જોકે ‘ મેકિંગ એઆઈ લેસ થસ્ટી’  અભ્યાસમાં કહેવાયું છે કે જીપીટી-૩ મોડેલમાં એક જવાબ મેળવવા ૨ થી ૧૦ ચમચી પાણી વપરાય છે.વળી સવાલ અને જવાબ કેટલા લાંબાટૂંકા છે તેના પર પાણીના વપરાશનો આધાર છે. અન્ય ઉગો જેટલું જ પાણી કૃત્રિમ બુધ્ધિમતા પણ વાપરે છે તેવી પણ દલીલ છે.

    એઆઈને કારણે સર્જાતી અસમાનતા પણ વિચારણીય મુદ્દો છે. એઆઈનો વિસ્તાર, તેની અસર અને પહોંચે નવી અસમાનતા સર્જી છે. એક અંદાજ પ્રમાણે ઈઆઈ નિષ્ણાત કમ્પ્યૂટિંગ ક્ષમતાનો ૯૦ ટકાથી વધુ હિસ્સો અમેરિકા અને ચીન એ બે દેશોમાં જ કેન્દ્રિત છે. વિશ્વના દોઢસો કરતાં વધુ દેશોમાં પર્યાપ્ત ઘરેલુ એઆઈનો અભાવ છે. જે દેશોને એઆઈનો સીધો કશો લાભ નથી તેના પર પર્યાવરણીય અસરો થાય છે. ડેટા સેન્ટરો ઘણા દુર્લભ જળ સંસાધનોનો ઉપભોગ કરે છે. ઠંડા પ્રદેશો કરતાં ગરમ પ્રદેશોના ડેટા સેન્ટરોમાં પાણીનો ઉપયોગ વધુ થાય છે. વિશ્વના ૪૫ ટકા ડેટા સેન્ટરો જ્યાં પાણીની ઉપલબ્ધતાનું જોખમ વધુ છે તેવા નદીના ખીણ પ્રદેશોમાં આવેલા છે જ્યારે દુકાળની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ૪૭ ટકા ડેટા સેન્ટરો આવેલા છે. એઆઈનો લાભ વૈશ્વિક છે પરંતુ તેની પર્યાવરણી અસરો વિશિષ્ટ ક્ષેત્રોમાં જ થતી જોવા મળે છે. એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચરનો કચરો પણ અસમાનતા જન્માવે છે. ૨૦૩૦ સુધીમાં એઆઈ ઈન્ફ્રાફ્રાસ્ટ્રકચર ૨૫ લાખ ટન કચરો ઉત્પન્ન કરશે તેનો મોટો બોજ આર્થિક રીતે નબળા દેશો પર પડશે.

    જળ, જમીન અને પર્યાવરણ પર થનારી એઆઈની પ્રતિકૂળ અસરો માટે અત્યારથી જ સાવચેત થવાની જરૂર છે.. એઆઈના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનું સંતુલન જરૂરી છે. ઓછી વીજળી અને ઓછા પાણીની જરૂર પડે તેવા ડેટા સેન્ટરો વિકસાવવવા જોઈએ. વરસાદી પાણીનો સંઘરો, એક વાર વપરાયેલા પાણીનું શુધ્ધિકરણ કરી તેને ફરી ઉપયોગમાં લેવું અને અધિક કુશળ કુલિંગ ટેકનિક બાબતે વિચાર કરવો રહ્યો. ડેટા સેન્ટરોમાં વપરાતા પાણી અને ઉર્જા અંગે પારદર્શી સરકારી નીતિ ઘડાવી જોઈએ અને કંપનીઓને તેની વિગતો આપવાની ફરજ પાડવી જોઈએ. એઆઈનો વિવેકપૂર્વક અને સમજદારીભર્યો ઉપયોગ થાય અને બિનજરૂરી ઉપયોગ ન કરવા માટે લોકોએ પણ જાગ્રત થવાની જરૂર છે. કામની ગુણવત્તા અને દક્ષતામાં વૃધ્ધિની ખાતરી હોય તો જ એઆઈનો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી પરના મર્યાદિત સંસાધનોનો વિવેકસભર ઉપયોગ અને તેનું સંરક્ષણ થાય તથા માનવજીવન પણ વધુ ઉન્નત બને તો જ ડિજિટલ વિકાસ સાર્થક બન્યો કહેવાય. .


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઘરગથ્થુ વિજ્ઞાન : ઉષ્માનું અવનવું

     પરેશ ર. વૈદ્ય

    નેહાએ જલદીથી દૂધ ગરમ કર્યું, ગ્લાસમાં રેડ્યું અને તેમાં ખાંડ ભેળવી ઠંડુ કરવા માટે એક બાઉલમાં પાણી રેડી ગ્લાસ તેમાં ઊભો કરી દીધો.

    “શૈલી, આ દૂધ રાખ્યું છે, ઠેડું થાય પછી પી લેજે” કહી એ ઉતાવળથી તૈયાર થવા ચાલી ગઈ. ઘણી વાર પછી શૈલીએ ગ્લાસ મોઢે માંડયો ત્યારે એ તો ચીસ પાડી ઊઠી.

    “મા, દૂધ બહુ ગરમ છે!’”

    નેહાને વિશ્વાસ ન પડયો. પરંતુ વાત ખરી હતી – પ્યાલામાં ઉપરનું દૂધ એટલું ગરમ હતું કે જાણે ઠંડું કરવા જ ન મૂક્યું હોય. પૂરતું ઠાર્યા પછી પણ બાળકને દૂધ ગરમ લાગ્યું તેવી વિચિત્ર લાગતી આ ઘટના પાછળ પ્રવાહીના ઠંડા પડવાની ખાસ પ્રક્રિયા કારણરૂપ હતી. એ ઘટના સમજવાને બહાને ચાલો આપણે પણ પદાર્થના ગરમ અને ઠંડા થવાની પ્રક્રિયાની સમજણ તાજી કરી લઈએ.

    વસ્તુ ગરમ કેમ થાય?

    પદાર્થની આણ્વિક રચનાનું ચિત્ર અહીં ફરી જુઓ.

    પદાર્થને ગરમી મળે ત્યારે તેના અણુઓ (કે પરમાણુઓ) જોરથી કંપન કરવા લાગે છે. ચિત્રમાં જોતાં જણાશે કે ઘન પદાર્થના અણુઓ એકબીજાને અડીને ગોઠવાયેલા હોય છે. આથી એકનું કંપન તેના પાડોશીને કંપન કરવા ફરજ પાડે છે. એ બીજો પરમાણુ ત્રીજાને હલાવે છે. એમ ગરમી કંપન સ્વરૂપે આગળ વધતી રહે છે. સ્વાભાવિક છે કે પદાર્થમાં ગરમ પ્રવાહ ઠંડા તરફ આગળ વધતો અર્હે છે. કડાઈને ગેસ પર મુકીએ ત્યારે જ્વાળા ભલે તલિયાને જ અડકતી હોય, પણ થોડીવારમાં તે ઉપર કડાં સુધી પહોંચી જ જાય છે. આ પ્રક્રિયાને ઉષ્ણતાનું ‘વહન’ કહે છે.

    પ્રવાહી અને વાયુમાં અણુઓ એકબીજા સાથે સજ્જડ સંપર્કમાં નથી હોતા. આથી એક અણુનું કંપન તેના પાડોશી અણુને કંપવા માટે ફરજ નથી પાડતું. તો પછી ગરમી પ્રસરે કેમ? કુદરતે તેના માટે જુદી વ્યવસ્થા કરી છે. ગરમીના કારણે પાણી કે હવા (અને વાયુઓ) હલકાં થાય અને તેથી ઉપર ચડે છે. ઉપર જઈ પોતાની જગ્યા બનાવવા માટે એ ત્યાં રહેલ ઠંડા પ્રવાહીને બાજુએ હટાવે છે. તુલનામાં ઠંડું હોવાર્થી એ પ્રવાહી ભારે પણગ છે અને તેથી વાસણમાં એ નીચે ઊતરે છે. આથી ચૂલામાંથી આવતી ગરમી મેળવવાનો વારો હવે આ નીચે ઊતરેલ પ્રવાહીનો છે. એ ગરમ થશે અને ઉપર જશે ત્યારે તેના કરતાં ઓછા ઉષ્ણતામાનવાળા પ્રવાહીને નીચે ધકેલશે. આમ વારવાર તપેલીને તળિયે મુલાકાત લઈ લઈને પ્રવાહી ઊકળવા જેટલી ગરમી પ્રાપ્ત કરી લે છે. વાયુમાં પણ આ જ પ્રક્રિયાથી ગરમી પ્રસરે છે. તેને ઉષ્ણતા ‘નયન’ (લઈ જવું) કહે છે. સ્વાભાવિક છે કે નિયત જથ્થાના ઘન પદાર્થ કરતાં એટલા જ પ્રવાહી અને વાયુને ગરમ થતાં થોડો વધારે વખત લાગે, કેમ કે અણુઓ જાતે પ્રવાસ કરીને ઉષ્મા પહોંચાડે છે.

    ગરમીના પ્રવાસની ત્રીજી રીત છે વિકિરણની. તેમાં ઊર્જાના સોત અને મેળવનારની વચ્ચે કોઈ માધ્યમ (એટલે કે અણુઓ)ની જરૂર નથી. સૂર્યની ગરમી પૃથ્વી પર આ રીતે, સીધી ઠેક મારીને, પહોંચે છે. શિયાળાની રાતે ચોકીદારો તાપણું શેકે છે તે પણ વિકિરણથી જ. તાપણાની ગરમ હવા તો ઉપર જતી હોય, તો આડી દિશામાં હાથ કેમ ગરમ થાય છે? ચારે તરફ વિકિરણથી ફેલાતી ગરમીના કારણે જ.

    રસોડાના સંદર્ભમાં ગરમી મેળવવાનો એક તદ્દન નિરાળો માર્ગ છે. જેમાં ઉષ્ણતાનું વહન કરવાનો પ્રશ્ન જ નથી થતો. એ છે માઈક્રોવેવ ઓવનનો. રેડિયો તરંગો વચ્ચે ખાદ્ય પદાર્થ મૂકવાથી તેમાં રહેલ પાણીના અણુઓ કંપન કરવા લાગે છે. તે રીતે આખો જથ્થો એકસાથે જ ગરમ થતો હોવાથી ઉષ્ણતા પ્રસરવાનો મુદ્દો જ નથી.

    ઠંડું થવા માટે : વસ્તુ કે વાનગી ગરમ થવાની ત્રણ-ચાર રીતો આપણે જોઈ, પરંતુ ગરમ વસ્તુઓ આપમેળે ઠંડા પડવાની એક જ રીત છે – તે છે વિકિરણની. ગરમ પદાર્થ હંમેશાં જ ગરમીનું ઉત્સર્જન કરતો રહે છે.જે આસપાસના પરિસરમાં મળી જાય છે. આ ઉત્સર્જનનો દર બે વાત પર આધાર રાખે – એક તો પદાર્થનું ઉષ્ણતામાન અને બીજી કે ગરમ પદાર્થની ઉષ્ણતાનું વિકિરણ કરે છે એ સપાટી કેટલી ખુલ્લી છે. પદાર્થના ઉષ્ણતામાન અને પરિસરના ઉષ્ણતામાન વચ્ચે  જેમ ફરક વધારે તેમ ઠંડા પડવાની ગતિ વધારે. આથી જ શિયાળામાં વાનગીઓ જલદી ઠંડી પડે છે.

    કુદરતના આ ક્રમ કરતાં વધારે ઝડપથી જો ચીજને ઠંડી પાડવી હોય તો પ્રયત્ન કરવા પડે, જેમાં પેલા ઉષ્ણતાવહન અને ઉષ્ણતાનયનના સિદ્ધાંતો લાગુ પડવા માંડે. દાખલા તરીકે જો ગરમ કૂકરને જલદી ખોલવું હોય તો તમે તેને પાણીના નળ નીચે ઠંડું પાડો છો. પાણીના સંપર્કમાં આવતાં ધાતુ પોતાની ગરમી પાણીને આપવા લાગે છે. કૂકરનો ઉપલો ભાગ ઠંડો થતાં તળિયાં તરફથી ગરમી ઉપર આવવા લાગે છે અને પાણી તેનેય ઠંડું કરતું વહે છે. થોડી વારમાં આપ્યું ફૂકર નું બહારનું વાસણ ઠંડું થઈ જાય છે. આની સરખામાણીમાં કુદરતી ઉત્સર્જન ઘણું ધીમું હોત.

    નેહાએ પાણીમાં દૂધનો પ્યાલો મૂક્યો તેમાં પણ કુદરતી ક્રમ કરતાં જલદી કામ કરવાની યુક્તિ હતી. તેની ભૂલ એટલી હતી ગ્લાસમાંનાં દૂધની સપાટી બહારનાં પાત્રમાં પાણીની સપાટી કરતાંય ઉપર હતી. (જુઓ ચિત્ર. અહીં ડાબી તરફનું ચિત્ર ગરમ દૂધ માટેનું છે તે જુઓ.)
    બાઉલ કે તાંસળીનું જે પાણી ગ્લાસને અડકેલું છે તે ગ્લાસ મારફત દૂધની ગરમી લેશે. ગરમ થયેલ પાણી ઉપર ચડી નવાં ઠંડાં પાણીને ગ્લાસ પાસે આવવા દેશે. જ્યાં લગી બાઉલનું બધું પાણી એક સમાન ગરમ થઈ જાય ત્યાં સુધી આ “ઉપર-નીચે’ ચાલ્યા કરશે. શક્ય છે કે દૂધ બહુ ગરમ હોય તો બાઉલનું પાણી બદલવું પણ પડે.

    પરંતુ આપણને વધારે રસ છે ગ્લાસની અંદર દૂધ કેમ ઠંડું પડે છે તે જોવામાં. અહીં પ્યાલાની ગોળ ફરતી સપાટી પાસેનું દૂધ ઠંડું પડે છે અને નીચે ઊતરે છે. અને ત્યાંથી ગરમ દૂધને ઉપર ધકેલે છે, જે કાળી જાડી રેખાથી બતાવ્યું છે. પરંતુ ઉપર ધકેલાતા આ દૂધની મુસાફરી માત્ર ‘B’ અક્ષરથી બતાવેલ ‘લેવલ” સુધી જ રહેશે. તેનાથી ઉપરનું (A-B હિસ્સાનું) દૂધ તો એટલું ગરમ અને હલકું છે કે ઉપર જતો દૂધનો પ્રવાહ Bથી ઉપર જઈ નહીં શકે. વર્તુળાકાર ગતિમાં ઠંડું અને ગરમ દૂધ ફર્યા કરશે, પણ માત્ર B સપાટીની નીચે જ.  એ જથ્થો આખો સમાન ઉષ્ણતામાને આવી જશે ત્યારે ઉષ્ણતાનું ‘નયન’ ફરતું બંધ થશે, પરંતુ AB હિસ્સો ગરમ જ રહેશે, કારણ કે પ્રવાહીમાં ઘન પદાર્થની જમ સંપર્ક દ્વારા ગરમી નથી જતી. જો પ્યાલો ધાતુનો હશે તો એ AB ભાગની ગરમી BC ભાગને મોકલશે, પરંતુ કાચના પ્યાલામાં એ પણ નથી થતું.

    આ પરિસ્થિતિ ઠગારી એટલે છે કે જો BC હિસ્સા પર હાથ રાખી પ્યાલો ઉપાડો તો એ ઠંડો જ લાગશે ! આથી બાળક વિશ્વાસથી તેને મોઢે લગાડે છે, અને ચોંકે છે. આવું ન બને તે માટે દૂધને ચમચીથી હલાવ્યા કરવું જોઈએ જેથી BC હિસ્સાનું ઠંડું દૂધ વારંવાર ઉપરના ભાગમાં આવ્યા કરે અને ઉષગતામાન બધે એકસમાન રહે. વધુ સરળ રસ્તો છે બહારના પાત્રમાં પાણીની સપાટી ગ્લાસમાંની દૂધની સપાટી જેટલી રાખવાનો.

    ઠંડા દૂધ માટે જુદો નિયમઃ પ્રવાહીમાં ગરમીના પ્રવાસની વિચિત્રતા અનુભવવી હોય તો ઠંડા દૂધ પર આ જ પ્રયોગ કરો. રેફ્રિજરેટરમાંથી કાઢેલ દૂધને સામાન્‍ય ઉષ્ણતામાને (રૂમ ટેમ્પરેચરે) લાવવા માટે ગૃહિગીઓ આ રીતે થોડી વાર બહાર મૂકતી જ હોય છે. એ જ પ્યાલા અને એ જ બાઉલમાં આ ઠંડા દૂધને મૂકો. અને બાઉલનું પાણી ઠંડું થતું જશે અને પ્યાજ્ઞાનું ગરમ થઈ રૂમના ઉષ્ણતામાને આવશે. જમણી તરફના ચિત્રમાં જુઓ કે દૂધની હરફર ડાબા ચિત્ર કરતા જુદી છે. પ્યાલાની દીવાલ તરફનું દૂધ ઠંડી ‘ગુમાવે’ છે તેથી હલકું થઈ ઉપર જાય છે. એને Bની સપાટીને રેખાની મર્યાદા નડતી નથી કારણ એનું ઉષ્ણતામાન છથી ઉપરના ઠંડા દૂધ કરતાં વધારે છે. એ ઉપર જતું જ રહે છે, છેક ટોચ સુધી. ત્યાંથી એ ઠંડા દૂધને નીચે ધકેલશે, જે કાળી જાડી રેખા બતાવે છે. એટલે પ્યાલાનું બધું જ દૂધ ગરમ થવાની પ્રક્રિયામાં ભાગ લે છે અને તેથી થોડી વારે બધા દૂધનું ઉષ્ણતામાન એકસમાન હશે. ગરમ દૂધ જેવું આશ્ચર્ય કે ઝાટકો અહીં નહીં મળે.

    પ્રવાહીની જમ વાયુ અને હવામાં પાણ ગરમીની આપલે ઉષ્ણતાનયનથી જ થાય છે. એક રીતે એ કુદરતનું વરદાન છે. ચૂલા અને ભટ્ટીઓમાંથી નીકળતો ગરમ ધુમાડો આ કારણે ઉપર ચાલ્યો જાય છે. નહીં તો એ આડો ફેલાતો હોત. અપવાદરૂપે પરિસ્થિતિઓમાં હજુય તેમ થાય છે, અને વાયુપ્રદૂષાણનું કારણ બને છે. પૃથ્વી પર વહેતા પવનો આ ‘નયન’ પ્રક્રિયાના ફળસ્વરૂપે જ છે. હવાની બાબતમાં ભેજ પણ આ પ્રક્રિયામાં થોડો ભાગ ભજવે છે અને માવઠાં જવી ઘટનાઓ બને છે જે સરળતાથી સમજવી મુશ્કેલ બને છે. વિશાળ પાયા ઉપર તો ભારતનું ચોમાસું પણ આ પ્રક્રિયાના પરિણામે છે, પરંતુ એ ઘરની બહારની ઘટના હોવાથી આ લેખમાળામાં ચર્ચામાં નહીં લઈએ.

    આમ છતાં એમ કહી શકાય કે કુદરતની આવી પ્રક્રિયાઓ ન સમજાય તો તો ચોંકાવે છે જ, પરંતુ સમજમાં આવે તો પણ આશ્ચર્યમુગ્ધ કર્યા વિના રહેતી નથી.


    સૌજન્યઃ નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો : મંગલાચરણ

    જીના શેઠ

    પ્રાસ્તાવિક :

    વિશ્વના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ ગણાય એવું કુદરત અને જીવન વિશેનું તત્ત્વજ્ઞાન ભારતે આપ્યું છે. સાથે ભારતીય સંસ્કૃતિએ જીવનને સ્પર્શતા દરેક વિષય ઉપર વિશદ છણાવટ કરતાં ગ્રંથો અને શાસ્ત્રો પણ આપ્યાં છે. જેમ કે યો ગ, આયુર્વેદ, જ્યોતિષ, સૌંદર્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નાટયશાસ્ત્ર વગેરે. જેમાં ‘નાટયશાસ્ત્ર’ કે જેને નાટયકલા સંબંધી પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે. તેના રચયિતા હતા ભરતમુનિ. તેમણે નાટ્યશાસ્ત્રમાં નાટક અને તેનાં વિવિધ પાસાં, નટ, અભિનય, નાટ્યગૃહવિધાન અને નવરસ અંગે વિગતે ચર્ચા કરી છે. જે આજે પણ નાટક અને સિનેમાની કથાઓનું મૂળ છે.

    “રંગભૂમિ’ અથવા ‘રંગ’ શબ્દ આપણા દેશમાં લોકસમાજનું રંજન કરવાના પ્રકારો માટે ઘણા પ્રાચીનકાળથી વપરાયો છે. ગીત, વાઘ, નૃત્ય, નાટય આદિ કલાઓના પ્રયોગનાં સ્થળો તેમ જ વ્યાયામ આદિનાં સ્થળો માટે “રંગ” શબ્દ વ્યવહારમાં વપરાતો હતો.

    પૂર્વપરંપરા – ઇતિહાસ અને પુરાવાઓ

    જગતભરના સાહિત્યમાં નાટકે મહત્ત્વનું સ્થાન ધારણ કર્યું છે. સાહિત્યની સર્વ કૃતિઓમાં કાવ્યને શિખરસ્થાન આપવામાં આવ્યું છે અને કાવ્યમાં પણ નાટકને ઉત્તમ માનવામાં આવ્યું છે, માટે જ કહેવાયું છે કે “काव्येषु नाटकम् रम्यम्”- કાવ્યમાં નાટકની કલા રમ્ય છે અથવા “नाटकान्त कवित्वम् – કવિત્વ પ્રમાણે નાટક રચી જાણે તે જ સાચો કવિ એમ પણ કહેવાયું છે.

    કાલિદાસ

    સંસ્કૃતમાં પણ નાટકને બહુ ઊંચું સ્થાન મળ્યું છે. તેમાં ભારવી, સસાર દંડી, કાલિદાસ, શૂદ્રક જેવા નાટયકારોનાં નામ આદરથી લેવાય છે તો ભવભૂતિ, બાણ, શૂદ્રક જેવા લેખકોએ પોતાના નાટકોમાં નવી-નવી વાતો મૂકી છે. એવી જ રીતે ગ્રીક ટ્રેજડીસમાં “ઇડિપસ’ અને ‘ઈલેક્ટ્રા’ જેવાં પ્રયોગશીલ નાટકો થયાં તો શેક્સપિયરે ‘હેમલેટ’ અને ‘ઓથેલો’ની કથા કહી અને ઇબ્સન અને શૉ એ પણ પોતપોતાનાં નાટકો દ્રારા પોતાના સમાજના મહત્વના પ્રશ્રો રજૂ કર્યા, અને લોકમાનસને ઘડયું.

    ઇબ્સન

    નાટક એ બ્રહ્માએ સર્જલો પાંચમો વેદ છે અને કવિ કાલિદાસે તેને ચાક્ષુષ યજ્ઞ કહ્યો છે. સતી પાર્વતી આગળ ભગવાન શિવે પોતે શિવવિન્દકનો પાઠ સાત્વિક અભિનયથી વીતરાગ બની ભજવેલો અને નટરાજ બનેલા. સ્વર્ગમાં પણ નાટકો ભજવાતાં અને ઇન્દ્ર સમા દેવ એને આશ્રય આપતા એમ પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ અનુસાર જાણવા મળે છે. તો રાજા-મહારાજાઓના યુગમાં પણ નાટયકલાને આશ્રય મળી રહેતો.

    જ્યોર્જ બનાર્ડ શૉ

    સોલંકીયુગના સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ નાટકો ભજવાયેલાં અને રાજા સિદ્ધરાજ વેશપલટો કરી નાટક જોવા જતા એવા નિર્દેશો સાંપડે છે. તો ગુજરાતમાં અણહિલપુરમાં અને બીજે
    નાટકો લખાતાં અને ભજવાતાં એની પણ માહિતી મળી આવે છે. વસ્તુપાળની આજ્ઞાથી શત્રુંજય પર – ઋપભદેવ ઉત્સવ પ્રસંગે ‘કરુણા વજયુધ’ નાટક ભજવાયું હતું. આમ, સોલંકીથી વાઘેલાવંશ સુધીના સમયમાં રચાયેલાં કે ભજવાયેલાં નાટકો કે નાટચકૃતિઓના ઉલ્લેખો મળી આવે છે.

    જૈન સાહિત્ય

    ૧૧મી સદીથી અનેક જૈન લેખકો તત્કાલીન ભદ્રવર્ગની ભાષા સંસ્કૃતમાં રચનાઓ કરતા. આ પ્રવાહ લગભગ ૧૮મી સદી સુધી જીવંત રહ્યો. હેમચંદ્રચાર્યના શિષ્ય રામચંદ્ર-ગુણચંદ્રે “નાટય દર્પણ’માં નાટકની વ્યાખ્યા કરી છે કે ‘પ્રેક્ષકોનાં હૃદયને નચાવે તે નાટક.’ રામચંદ્રનાં તો આવાં ૧૧ નાટકો પણ જાણીતાં છે. અનેક જૈન મુનિઓ લોકભાષા ‘જૂની ગુજરાતી’માં પણ લખતા. જૈન સૂરિઓની રાસ અને રાસઉની પ્રણાલી સુવિખ્યાત છે તો બીજી બાજુ ૧૪મી સદીમાં ગુજરાતી લોકનાટય સ્વરૂપે ભવાઈના વેશો પણ ભજવાતા.

    ગુજરાતની અસ્મિતા – ગ્રામ્ય નાટ્યમાં

    ભવાઈ

    ભવાઈ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ છે. ભવ એટલે વિશ્વ અને આઈ એટલે માતા. ભવાઈમાં મા અંબાની ભક્તિને કેન્દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે. ભવાઈના જુદા-જુદા વેશ હોય છે અને તે પ્રત્યેકમાં જુદા-જુદા વિષયો રજૂ થાય છે. ભવાઈ કરનારા કલાકારો નાયક અને ભોજક કોમમાંથી આવે છે અને ‘તરગાળા’ તરીકે ઓળખાય છે. જીવનને જોવાની અને તેમાં રહેલી નિર્બળતાને હાસ્યાસ્પદ રીતે રજૂ કરવાની આવડત તો આ ભવાયાઓને ગળયથૂથીમાંથી વરી છે. એક રાતના પાંચ-છ વેશ ભજવાય. ‘રાત થોડીને વેશ ઝાઝા’ એ કહેવતનું મૂળ અહીં છે.

    અસાઈત ઠાકર

    ભવાઈ અથવા વેશો તખવા માટે “અસાઇત’ની પ્રતિભાને સન્‍માનથી જોવામાં આવે છે. અસાઇત જૈનેતર કવિઓમાં જૂનામાં જૂનો ગણાય છે. એમણે ‘હંસાઊલી’ નામે લાંબું અને એતિહાસિક કાવ્ય રચ્યું છે. અસાઇતના નામે ૩૬૦ વેશો રચ્યાની વાત પણ વારંવાર સાંભળવામાં આવે છે.

    ટૂંકમાં ગુજરાતમાં નાટ્ચકલાનો ઇતિહાસ આમ તો પુરાણાકાળમાં લઈ જાય છે તેમ છતાં અસાઇત ઠાકર રંગભૂમિની પદ્ધતિસરની શરૂઆત લગભગ પોણા

    બસો વર્ષ પૂર્વે થયેલી એમ કહી શકાય. અંગ્રેજોના આવ્યા પછી અને પારસીઓના પ્રારંભિક પ્રયાસોને લીધે આપણે ત્યાં રંગભૂમિએ વ્યવસાવિક સ્વરૂપ ધારણ કર્યું જેથી મનોરંજન અને વિવિધ કલાસ્વરૂપોને માણવાનો અવસર સૌ કોઈને પ્રાપ્ત થયો.

    નાટ્યગૃહનો વિકાસ

    જગતમાં નાટકનો ઉદ્દભવ ધર્મ નિમિત્તે થયો છે અને ત્યારે યજ્ઞવેદીઓ જ નાટ્યશાળાનું પ્રાચીન સ્વરૂપ હતી. યજ્ઞ સમયે નાટકોનો અભિનય રજૂ થતો હતો. ‘હરિવંશ-પુરાણ’ની પ્રદ્યુમ્ન વિવાહની વાર્તામાં વાસુદેવ શ્રીકૃષ્ણે અશ્વમેધ યજ્ઞ કરેલો તેનો ઉલ્લેખ છે અને આ પ્રસંગે ભદ્ર નામના નટ દ્વારા એ સમયે હાજર રહેલા ઋપિમૂનિઓ સામે અદ્ભુત નાટ્યપ્રદર્શન કર્યું હતું અને એથી પુરસ્કારરૂપે તેને અવકાશમાં વિચરણ કરવાનું વરદાન આપવામાં આવ્યું હતું.  પિતામહ બ્રહ્માના આદેશથી મહાન સ્થપતિ વિશ્વકર્માએ બધાં લક્ષણોથી યુક્ત નાટ્યશાળાનું નિર્માણ કર્યું હતું. તેમાં મોટો નાટ્યમંડપ દેવતાઓ માટે, ‘મધ્યમ’ રાજા તથા શ્રેષ્ઠીઓ માટે અને ‘કનિષ્ઠ’ બાકીની પ્રજા માટે નક્કી કરવામાં આવ્યો હતો.

    પારસી નાટકમંડળીના સભ્યો

    પછીના કાળમાં નાટકની ભજવણીનું સ્થળ મોટા ભાગે રાજમહેલની સંગીતશાળા રહેતું. પ્રેક્ષકોમાં વચ્ચે સિંહાસન પ૨ મહારાજા, આજુબાજુ રાજકુટુંબના સભ્યો, પદાધિકારીઓ, સાહિત્યકારો, વિદ્વાનો તથા ખાસ આમંત્રિત પ્રજાજનો બેસતા. કેટલીક વાર નાટકો મંદિરોમાં તથા જાહેર પટાંગણોમાં પણ ભજવવામાં આવતાં. તો કેટલીક વખત જ્ઞાતિઓના વાડામાં કે મોટા કુટુંબીઓના વાડામાં પણ આવા પ્રયોગો થતા. કેટલીક વખત નાટ્યસંસ્થાઓ ખુલ્લી જમીનમાં ખાડો ખોદી પતરાંની વાડ કરી કાચું નાટ્યગૃહ ઊભું કરીને એમાં નાટકો ભજવતી. આથી એ ‘ખાડાનો ખેલ’ કે ‘ખાડાવાળી રંગભૂમિ’ તરીકે પણ ઓળખાતી.
    આમ દરેક સમયે પ્રજાએ પોતપોતાની રીતે રસ્તાઓ કાઢીને નાટક અને રંગભૂમિને પોતાના જીવનમાં સ્થાન આપ્યું જ છે. પાછળથી નાટકોની દેશવ્યાપી રજૂઆત અને પ્રચાર વધતાં નાટ્યશાળા (થિયેટર)ના નિર્માણ માટે પણ રસ જાગ્યો, જેના પ્રતાપે ઘણાં થિયેટરો બંધાયાં.

    રચના અને રજૂઆત

    જૂની રંગભૂમિનાં નાટકોમાં એક રંગમંચની પ્રથા હતી. નાટકની શરૂઆત પહેલાં ત્રણ ઘંટડીઓ વાગતી. પહેલી ઘંટડી વાગે એટલે કલાકારો તખ્તા પર આવે, પડદાની પૂજા થાય. બીજી ઘંટડીએ બધા જ  કલાકારો તેમજ નેપથ્યના કલાકારોને પ્રયોગની શરૂઆત બાબતે સાવધ થવાનું સૂચન થાય પછી ત્રીજી ઘંટડી વગાડાય તે પૂર્વે પ્રેક્ષકો પ્રેક્ષકગૃહમાં સ્થાપન થઈ ગયા હોય અને પડદો ઊંચકાય તે પહેલાં બંદૂકના ધડાકા જેવો ધડાકો થતો. એક લોખંડની નળીમાં પોટાશ ભરી તેને એક સળિયા દ્વારા દબાણ આપીને ધડાકો કરવામાં આવતો. આ ધડાકો રંગમંચ પર કોઈ પણ અનિચ્છનીય તત્ત્વ હોય તો તેને દૂર કરવાનું પ્રતીક હતું. પછી પૌરાણિક ચિત્રોથી શોભતો પડદો ઊંચકાતો. નાટક શરૂ થવાની આ નિશાની હતી.

    તખ્તાની સામે મધ્યસ્થળે હાર્મોનિયમ, તબલાં અને સારંગીવાળા પ્રેક્ષકો તરફ પીઠ કરીને બેઠા હોય. તેમના સંગીતના સૂરો સાથે સૂત્રધાર (દિગ્દર્શક), બાળાઓ અને અન્ય કલાકારો દ્વારા મંગલાચરણથી શુભ શરૂઆત કરવામાં આવતી. આમ બધાં સાથે મળીને જ્યારે સમૂહ પ્રાર્થનાગીત જેવી સ્તુતિ ગાતાં ત્યારે એક જુદા જ પ્રકારની એનર્જી ઉત્પન્ન થતી. જે સામૂહિક ચેતનાને જાગ્રત કરી એક પવિત્ર વાતાવરણ ખડું કરવામાં મદદ કરતી, સંસ્કૃત નાટકોની જેમ મરાઠી તેમ જ ગુજરાતી રંગભૂમિએ આ જ પરંપરા જાળવી રાખી તો બીજી બાજુ માતાજીના ચોકમાં ભજવાતી ભવાઈમાં પણ પ્રારંભ પ્રાર્થના અને પૂજાથી જ થતો.
    મંગલાચરણ એટલે ઈશ્વરની, ઇષ્ટદેવની કે ગણપતિની સ્તુતિ. મંગલ આચરણ પરથી શબ્દ થયો તે મંગલાચરણ. જેમાં તખ્તા પર મંગલ આચરણ શરૂ કરવાનો હેતુ એ જ કે આ તખ્તો મંગલકારી વસ્તુઓનું આચરણ કરી લોકોનું મનોરંજન કરવાનો શુભ હેતુ રાખે છે. અમંગલ આચરણને તખ્તા ઉપર એ સમયે કોઈ અવકાશ ન હતો.

    દરેક નાટક માટે આવી સ્તુતિની અલગ રચના કરવામાં આવતી, જેની બંદિશ શાસ્ત્રીય રાગ આધારિત રહેતી. આવા થોડાંક સ્તુતિ-પદ્યો પ્રસ્તુત છે જેમાં મંગલાચરણના શુભ ભાવોનો સંકેત છે.

    શ્રી ગિરિજાસૂત પૂરણદ્યામ પથમ સ્મરણ પ્રભુ પુનિતદ્યામ
    વિઘ્ન હરણ, ગુણનાથ શરણ
    રિદ્ધિ સિદ્ધિ આપ ચરણ
    સફળ સુયશ દાતા –
    ગુણનિધિ જ્ઞાતા –
    કોટી કોટી કરું પ્રણામ
    શ્રી ગિરિજા સૂત પૂરણદ્યામ

    નાટક : ‘વડીલોના વાંકે’

    લેખક : પ્રભુલાલ દ્વિવેદી
    શ્રી દેશી નાટક સમાજ

    પ્રભો પૂર્ણ અવતારને વંદન વારંવાર
    લલિત ત્રિભંગી આપ લલિતકલાઓનો સાર
    ગોવર્ધન ગોપાલ હે – ગીતાના ગાનારા
    કરે વિનંતી  ભારતી – ધરો ફરી અવતાર

    નાટક : ‘માયા ને મમતા’

    લેખક : મનસ્વી પ્રાંતિવાળા
    શ્રી દેશી નાટક સમાજ

    આ રીતે દરેક નાટકમાં નાટકની કથાવસ્તુ પ્રમાણે નાટ્યકાર તેના મંગલાચરણમાં એ પરમશક્તિને યાદ કરી મંગલકામના કરતો જોવામાં આવતો. જે મંગલમયભાવ સમગ્ર નાટ્યપ્રયોગ દરમિયાન નાટક કરવાવાળા તથા નાટક જોવાવાળા સૌ કોઈના મનોમસ્તિષ્કમાં કાયમ રહેતો. આવા મંગલ અને શુભભાવો સાથે સૌ કોઈ તખ્તાનો મોભો, મરતબો અને માન પણ જાળવતા.

    તખ્તાનો મોભો

    રંગભૂમિના તખ્તાનો મોભો પણ કેવો હતો ? ચાલુ નાટકે બૂટ-ચંપલ પહેરીને તમે ત્યાં જઈ ન શકો. નાટક પૂરતો બીડી, શરાબનો પ્રવેશ આવે એ ભલે બાકી તખ્તા ઉપર તમે તમારી આદત મુજબ એવું કાંઈ કરી ન શકો. મેકઅપ કરી તૈયાર થઈ જેવા કલાકારો તખ્તા ઉપર આવે કે તરત જ મુખ્ય પડદાને સંપૂર્ણ પૂજ્યભાવે નમન કરવાનું, રંગદેવતાનું ધ્યાન ધરવાનું અને પછી જ અન્ય ક્રિયામાં પ્રવૃત્ત થવાનું. જે-જે શહેરમાં સંસ્થા નાટક ભજવવા જાય તેની પ્રથમ રાત્રિએ તખ્તાને સમુદ્રના પાણીથી સાફ કરી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવતી. અગરબત્તીના ધૂપ અને શ્રીફળથી ડ્રોપ પડદાનું પૂજન થતું. હવે માનો તો આ પરંપરા છે, ભક્તિ છે ને ન માનો તો કિયાકાંડ કે વિધિવિધાન છે. આખરે બધું માણસની ભાવના પર આધાર રાખે છે, પણ આ પરંપરાને લીધે નાટકની પવિત્રતા જળવાતી.

    વિશ્વરંગભૂમિના સંદર્ભમાં આજે પણ ભારતીય કાવ્યનાટ્યપરંપરાને આદરથી જોવામાં આવે છે. એ એના માંગલ્યપૂર્ણ જીવનદર્શનને કારણે જ. જીવનદ્રશન એટલે જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ  અને આનંદતો એ વાતનો છે કે આ જીવનદર્શન વ્યવહારમાં પણ આવ્યું. તેથી જ આજે પણ કેટલાય અભિનેતાઓ કે કલાકર્મીઓ સ્ટેજ પર જતાં એને વંદન કરે છે. રમતવીરો પણ મેદાનમાં જતાં પહેલાં તેની માટીને નમન કરીને તેનું ઋણ સ્વીકાર કરતા જોવા મળે છે. તો જૂના જમાનાની વ્યાસાયિક પેઢીઓ પર પણ કેટલાક વણલખ્યા નિયમો પળાતા, મેં, તમે અને આપણે જોયા હશે, કારણ ભારતીય સંસ્કૃતિએ ક્યારે પણ બાહ્ય પ્રવૃત્તિને મહત્ત્વ નથી આપ્યું. આંતર જગત, આંતરિક વિકાસ અને આંતરિક સમૃદ્ધિ જે એનું લક્ષ્ય રહ્યું છે, ક્ષેત્ર ભલે ગમે તે હોય.


    ક્રમશઃ


    હવે પછી – નાન્દી : દુનિયાનું દર્પણ

    સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com