ગુજરાતના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું સેલરા ગામ. ૫૦૦ આહિરોની વસ્તીના આ ગામમાં ક્યારેય સરપંચની ચૂંટણી થઈ નથી. ગામના ચોરે લોકો ભેગા થાય છે અને સર્વસંમતિથી સરપંચની પસંદગી કરે છે. હિન્દુ-મુસ્લિમની સમાન વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ આઝાદી પછી ક્યારેય ગામના સરપંચની ચૂંટણી થઈ નથી. એક ટર્મ હિન્દુ અને બીજી ટર્મ માટે મુસ્લિમ સરપંચની પસંદગી ગામના ૪૮૦૦ મતદારોના પ્રતિનિધિઓ મળીને કરે છે. બનાસકાંઠા જિલ્લાના સૂઈ ગામ તાલુકાના સોનેથ ગામે આ વખતે ગઈ ચૂંટણીના હારેલા ઉમેદવારોના નામની ચિઠ્ઠી ઉપાડીને વગર ચૂંટણીએ સરપંચની પસંદગી કરી છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચમનપર ગામમાં પણ આઝાદીથી આજ સુધી ક્યારેય ગ્રામપંચાયતની ચૂંટણી થઈ નથી. સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલમાં આવી ત્યારથી ચમનપર સમરસ ગ્રામ પંચાયત છે.લોકતંત્રના પાયાના એકમ એવા ગામોની પંચાયતની ચૂંટણીના આ કેટલાક વિશિષ્ઠ ઉદાહરણો છે.
૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના થઈ હતી. ૧લી એપ્રિલ ૧૯૬૩થી રાજ્યમાં ત્રિસ્તરીય (જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત) પંચાયતી રાજ અમલમાં આવ્યું છે. બંધારણના નિર્માતાઓએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષો અને તેના પ્રતીકો વિના લડાય અને ચૂંટણીના દૂષણોથી તે મુક્ત રહે તેની જોગવાઈ કરી છે. તેમ છતાં રાજકારણનાં દૂષણોથી ગામડાં પર રહી શક્યાં નથી. એટલે ક્યાંક ગ્રામજનોની આપસી સમજથી તો ક્યાંક સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાથી ચૂંટણીઓ થતી નથી.
બહુ વાજંબી રીતે સમરસ ગ્રામ પંચાયત યોજનાને નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળની દેણ મનાય છે. પરંતુ ખરેખર તો આ યોજના પ્રથમ વાર ૧૯૯૨માં ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રીકાળમાં એક વરસ માટે જાહેર થઈ હતી. જોકે તેનો પધ્ધતિસર અને વ્યવસ્થિત અમલ ૨૦૦૧થી થયો છે.સેવાને બદલે મેવા મેળવવા કે પછી લોકજાગ્રતિમાં વૃધ્ધિને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ તીવ્ર હરીફાઈ થાય છે. પાંચથી પચીસ હજારની વસ્તીના ગામોમાં લોકો એકબીજાને અવારનવાર મળતા હોય છે. એટલે કોણે ચૂંટણીમાં શું ભાગ ભજવ્યો હતો તે બધા જાણે છે. પરિણામે વેરઝેર, અશાંતિ, કુસંપ , મતભેદ, મનભેદ, વૈમનસ્ય, કાવાદાવા, કલેશ, મારામારી, ધાકધમકી, અણદીઠ હિંસા અને દાદાગીરીની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ચૂંટણી ટાળીને, વિના વિરોધ, બિનહરીફ સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યોની પસંદગીથી ગ્રામ પંચાયતની રચના થાય તે માટે ૨૦૦૧થી સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલી છે. જો સરપંચ અને બધા સભ્યો મહિલા પસંદ થાય તો તે મહિલા સમરસ ગ્રામ પંચાયત બને છે.
છેલ્લે જૂન ૨૦૨૫માં ૮૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી. તેમાં ૫૬ મહિલા અને ૭૬૧ સામાન્ય સમરસ ગ્રામ પંચાયતો બની હતી.તે પૂર્વે ૨૦૨૧-૨૨માં ૧૧૮૯ સામાન્ય અને ૧૧૬ મહિલા સમરસ પંચાયતો હતી. ૨૦૨૫માં ૭૬૧માંથી સૌથી વધુ ૧૦૩ સામાન્ય સમરસ પંચાયતો ભાવનગર જિલ્લામાં જ્યારે ૫૬ મહિલા સમરસ પંચાયતોમાંથી સૌથી વધુ ૯ મહેસાણા જિલ્લામાં રચાઈ હતી. ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીમાં સમગ્ર રાજ્યની સામાન્ય સમરસ પંચાયતોની કુલ સંખ્યા ૧૪,૭૨૧ થઈ હતી. અમલના અઢી દાયકે કુલ મહિલા સમરસ પંચાયતોનો આંકડો ૭૬૮એ પહોંચ્યો છે.
રાજ્ય સરકાર સમરસ પંચાયતોને ખાસ પુરસ્કાર રાશિ આપે છે. ૧૯૯૨માં માત્ર રૂ.૧,૦૦૦ રોકડ પુરસ્કાર હતો. ૨૦૦૧માં રૂ.૬૦,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦ હતો. જે હવે મહત્તમ રૂ. ૧૨ થી ૧૫ લાખ જેટલો છે. સમરસ પંચાયતની રચના એક કરતાં વધુ વખત થાય તો તે પ્રમાણે પુરસ્કાર રાશિમાં વધારો થાય છે. સરકારની પુરસ્કારની રકમ ગામના વિકાસ કામો માટે ખર્ચ કરવાની હોય છે. સરકારે નક્કી કરેલા વિકાસ કામોમાં જાહેર શૌચાલય, ચોખ્ખું પાણી, દૂષિત અને ગંદા પાણીનો નિકાલ, આરોગ્ય સેવા, આંતરિક એપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, પ્રાથમિક શાળાના ઓરડા, જળ સંચય યોજના અને પંચાયત ઘરનો સમાવેશ થાય છે. આ વિકાસ કામોમાંથી યોગ્ય કામ ગ્રામસભા નક્કી કરે છે.સૌથી મહત્વની બાબત એ છે કે પહેલી વાર સમરસ ગ્રામ પંચાયત બને તે ગામમાં એક થી આઠ ધોરણની શાળાની વ્યવસ્થા સરકાર કરે છે. કમ સે કમ આટલી સગવડ માટે પણ સરકારી પ્રાથમિક શાળાવિહોણા ગામોએ સમરસ પંચાયત રચવી જોઈએ.
સમરસ પંચાયત યોજનાના સારા અને નરસા બંને પાસાં છે. જો તે ચૂંટણીના દૂષણો અટકાવે છે તો લોકશાહીમાં નાગરિકનો મહત્વનો મતદાનનો અધિકાર છીનવે છે. જે સર્વસંમતિની વાત છે તે વાસ્તવિક છે કે દેખાડો તે વિચારણીય પ્રશ્ન છે. ગામના હિત ધરાવતા તત્વો, સ્થાપિત હિતો કે પ્રભુત્વ ધરાવતા લોકો પંચાયત પર પોતાનું વર્ચસ કાયમ રહે તે માટે સમરસનો ખેલ કરતા હોવાની ટીકા થાય છે. વળી ગામમાં જ્ઞાતિ અને પૈસાનો ભેદ તો તરત દેખાય છે. એટલે રાજકીય નેત્રુત્વમાં દેખાતી સમરસતા સામાજિક સમરસતા તો બનતી જ નથી. સરકારી ઠરાવ ” વિકાસ કામો માટેનું હકારાત્મક વાતાવરણ ઉભું કરવા સમરસ પંચાયતની રચનાનો હેતુ” હોવાનું જણાવે છે. એટલે વિકાસ કામો માટે ચૂંટણી ટાળવામાં આવે તેવો અર્થ થાય? શું ચૂંટણીઓ વિકાસ માટે અવરોધક છે? જે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે તે પ્રોત્સાહન છે કે પ્રલોભન ? તેવો પણ સવાલ ઉઠે છે. વળી ત્રણ કે પાંચ લાખ રૂપિયાની રકમ વિકાસ કામો માટે બહુ જ ઓછી ગણી શકાય તેમ પણ અનુભવે જણાય છે. માત્ર રાજકીય નેતાઓ જ નહીં સરકારી અધિકારીઓ પણ સમરસ ગ્રામ પંચાયતો રચાય તે માટે એડીચોટીનું જોર લગાવે છે. પરંતુ સમરસ ગામોની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રક્રિયા અને ફલસ્વરૂપ લોકતંત્ર ખતમ થઈ જશે તેની કોઈને ચિંતા નથી.
Illustration: Yogendra Anand / CSE સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
સમરસતા મૂળભૂત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર છે. સમરસતા સમાનતાનો ભાસ ઉભો કરે છે. વાસ્તવમાં સમરસતા એટલે કથિત ઉચ્ચ કે પ્રભુત્વ ધરાવતા વર્ણોમાં અન્યનું સમાઈ જવું તે છે. જ્યારે સમાનતાનો ખ્યાલ જુદો છે. સમાનતામાં દરેક એક સરખા હોય છે અને કોઈએ બીજામાં સમાઈ જવાનું નથી..
૧૪ એપ્રિલ ૧૯૮૩ના રોજ ફૂલે-આંબેડકર ભૂમિ મહારાષ્ટ્રમાં ‘ સામાજિક સમરસતા મંચ’ની સ્થાપન થઈ હતી. એ પ્રસંગે સંઘ વિચારક દત્તોપંત ઠેંગડીએ બે પ્રવચનો આપ્યા હતા. આ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પુસ્તકાકારે પ્રગટ થયો છે. જાણો છો અનુવાદક કોણ હતા? તત્કાલીન સંઘ પ્રચારક અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ પ્રવચનોનો પ્રધાનસૂર એ હતો કે કેવળ સમરસતાના માર્ગે જ સમતા આવી શકે છે. પરંતુ તે સત્ય નથી. સમરસતાથી સમાનતા શક્ય બનતી નથી તે પચીસ વરસોથી ગુજરાતમાં અમલી સમરસ ગ્રામ પંચાયતોના અનુભવો પરથી કહી શકાય છે. એક રીતે તો સમરસ ગ્રામ પંચાયત યોજના સમરસતાના સંઘ વિચારનું ભારતીય જનતા પક્ષે અમલી કરેલું રાજકીય રૂપ છે.
વાદ નહીં, વિવાદ નહીં કેવળ સંવાદ એ સમરસ પંચાયતનો મંત્ર છે પરંતુ વર્ણ અને વર્ગમાં આડો અને ઉભો વહેંચાયેલો અને વહેરાયેલો ગુજરાતી અને ભારતીય ગ્રામ સમાજ આભડછેટથી માંડીને અનેક પ્રકારના ભેદભાવો , વાદ-વિવાદથી ખદબદે છે. તે અંગેનો કોઈ સંવાદ શક્ય જ નથી. અભ્યાસો જણાવે છે કે જ્યારે ગામમાં મહિલા કે દલિત સરપંચનું પદ અનામત આવે છે ત્યારે જ લોકોને સમરસ પંચાયત કરવાનું સૂઝે છે. એ રીતે સક્ષમ મહિલાઓ અને દલિતોને સરપંચ બનતા અટકાવી પોતાના કહ્યાગરા વ્યક્તિઓને આગળ કરાય છે. આખરે આપણું ધ્યેય સમરસ જ નહીં એકરસ એવા સમાન સમાજનું છે. પરંતુ સામાજિક સમાનતા વિનાની રાજકીય સમરસતા અર્થહીન છે.
શ્રમણ પરંપરાના પ્રભાવનાં અતિક્રમણને ખાળવાના વળતા પ્રહાર રૂપે હિંદુ ધર્મને સનાનત પરંપરાના અગ્રીમ ધર્મ બનાવવા માટે વ્યાસ પરિવારના વંશજો, સુતો અને માગધોએ નેતાગીરી સંભાળી. તેઓએ આ અભિયાનને સફળ બનાવવા નીચે મુજબનાં પગલાં લીધાંઃ
૧) ભારતીય સમાજમાં બૌદ્ધ ધર્મની જાતક કથાઓ દ્વારા બોધિસત્વના ચમત્કારપૂર્ણ વ્યાખાનો અને જૈન પરંપરાની મહાન ગાથાઓની સામે રામાયણ અને મહાભારતનું પુનઃસંસ્કરણ કરાયું
આ સમય ગાળો ઇસ્વીની ત્રીજી સદી પૂર્વેનો અને ઇસવીની બીજી સદીના ૫૦૦ વર્ષનો હતો. રામ અને શ્રીકૃષ્ણને વિષ્ણુના અવતારો રૂપે રજૂ કરાયા. પ્રથમ સ્વયંભૂ મનુથી વૈવસ્ત મનુ સુધીમા થયેલા ૪૫ પ્રજાપતિઓના ઇતિહાસને પુરાણકથાઓનાં નવાં સ્વરૂપોમાં સ્થાન આપવામાં આવ્યું. ભૃગુ, અત્રિ, વિશ્વામિત્ર, વસિષ્ઠ અને અરૂંધતી જેવા ઋષિઓને પણ જીવન કવનમાં વણી લેવામાં આવ્યા.
સૂર્ય ચંદ્ર વંશના રાજા અમરિષ, હરિશ્ચન્દ્ર, નળ – દમયંતી અને ઉર્વશી, રાજા ભગીરથ, દશરથ, શાંતનુ ગંગા જેવી અનેક વ્યક્તિઓની પ્રૌરાણિક કથાઓને અદ્વિતિય રીતે રજૂ કરવામાં આવી. શ્રમણ પરંપરાનાં કઠિન આદર્શો, ત્યાગ, તપ અને નિર્વાણ જેવાં જીવનને નકારતાં પરિબળોની જગ્યાએ યોગમાર્ગ જેવી સકારાત્મક જીવન જીવવાની અદ્ભૂત પદ્ધતિઓ વિકસાવાઈ.
શ્રમણ પરંપરાએ સ્તૂપો, ચૈત્યો, વિહારો અને ગૂફા સ્થાપત્યોથી ભારતભૂમિને સંપૂર્ણપણે આચ્છાદિત કરી દીધી હતી. તેને સામે પ્રથમ તો હિંદુ ઉદ્ધારકોએ યજ્ઞોની વેદીઓનૉ બદલે મંદિરો, પ્રાસાદો અને અજંત ઈલોરામાં પણ પોતાના ગૂફાસ્થાપત્યો કાયમ કર્યાં. આપણી મંદિર પરંપરા માટે ખાસ કામિકા આગમ અને અનેક વિષ્ણુ આગમોની રચના કરવામાં આવી. તેમાં મૂર્તિકળા, મદિરમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાને સમજાવાયાં. સ્તૂપોની સામે શિવલિંગો બાંધવામાં આવ્યાં. એટલે બૌદ્ધોનો આપણા સામેનો આક્ષેપ છે કે હિંદુઓએ અમારા પર છૂપો પ્રહાર કર્યો છે.
એ લોકોનું એમ પણ કહેવું છે કે હિંદુઓ મુસ્લિમો દ્વારા ધ્વસ્ત થયેલ મંદિઓ પર પોતાના હક્ક માગે છે ત્યારે તેમાંના કેટલાક ધાર્મિક સ્થાપત્યો પર બૌદ્ધોના હક્કનો પણ સ્વીકાર થવો જોઈએ. વળી, હિંદુઓએ જ્યારે મંદિરો બાંધ્યાં ત્યારે એ મંદિરો પર પ્રાચીન ઇજિપ્ત, સુમર, બેબિલોન અને પર્શિયાના સ્થાપત્યોની પણ અસર વર્તાય છે.
૨) હિંદુ પરંપરાએ બીજું પગલું ઈં-દ્ર, અગ્નિ,સોમ, સિનીવાલી અને કુહુ જેવા વૈદિક કાળમાં પુજાતા દેવોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય અને આદ્યાશક્તિ એવાં પંચદેવોને સ્થાન આપ્યું. પછીથી બ્રહ્માનું સ્થાન ગૌણ બન્યું અને ગણપતિને સ્થાન મળ્યું. હનુમાનજી અને નવગ્રહો પણ ભારતીય પ્રજાના મૂળ દેવો બનવા લાગ્યા. તેમનાં મંદિરો બંધાયાં ઉપરાંત તેમનાં નામો મંત્રોમાં પણ આરાધ્ય ગણાવા લાગ્યાં. આદ્યાશક્તિનાં ૫૧ શક્તિપીઠો સામે બૌદ્ધોના ચોર્યાસી હજાર સ્મારકો હવે નિર્જીવ ભાસવા લાગ્યાંંઆતાજીના સ્વરૂપોમાં દુર્ગા, મહાકાળી અને દસ મહાવિદ્યાઓમાં આ શક્તિપ્પીઠોનો સમાવેશ થયો. અહીં તેઓની સ્થાપના યંત્રોનાં રૂપે કરવામાં આવી. મહામંત્રોની સાથે આ આદ્યાશક્તિના બીજમંત્રોનો પણ હવે વિકસી રહેલા હિંદુ સમાજે સ્વીકાર કર્યો.
૩) બૌદ્ધ ધર્મના વજ્રયાન તંત્રનો પ્રતિકાર કરવા માટે શિવ-શક્તિ અને વિષ્ણુ-લક્ષ્મીના તંત્રોનું પુનઃલેખન કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે, ભૈરવનિર્વાણ તંત્રની રચના કરવામાં આવી. તેમાં શિવના મુખેથી પાર્વતીને જુદી જુદી ૧૧૨ તાંત્રિક વિધિઓની સમજ આપવામાં આવી. પરિણામે, વજ્રયાન તંત્રને આપણી પ્રજાએ જાકારો આપ્યો. પરંતુ આ પ્રક્રિયામાં આપણે બે ધુરંધર બૌદ્ધ ગુરુઓને ગુમાવવા પડ્યા. તેનો ફાયદો ચીન, જાપાન, કોરિયા અને મધ્ય એશિયાના દેશોને થયો.
તાંત્રિક ગુરુઓ પૈકી પહેલા ધર્મસંભવ ચીન ગયા. ત્યાં તેમણે ચેન તાઈ ચી ધ્યાન પદ્ધતિ વિકસાવી, જેને જાપાને ઝેન તરીકે રજૂ કરી. ધર્મસંભવે ચીનના લોકોમાં ધાર્મિક કરતાં વ્યવાહારિક વૃતિ જોઇને કરાટે જેવી લડાયક કળાઓ દ્વારા શારીરિક અને માનસિક રીતે કુશળ બૌદ્ધ ભિક્ષુઓને તૈયાર કર્યા.
ચીનમાં કન્ફ્યુશિયસ નામના મહાન આચાર્ય થઈ ગયા. સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા કઈ રીતે ચીની પ્રજાનું ભલું કરી શકે તે માટે તેમણે સરળ સિદ્ધાંતો આપ્યા. અતિશય ધર્મવાદને બદલે ચીની પ્રજાને ઉદ્યોગો અને જીવનોપયોગી કાર્યોમાં કૌશલ્ય મળ્યું. તે માટે અનેક માર્ગો સૂચવીને તેમણે પ્રજાને તૈયાર કરી.. ધર્મસંભવે ચીની પ્રજાની આ કાર્યકુશળતામાં વધારો થાય તે માટે તેમાં નવા સિદ્ધાંતો આપી પ્રાણ પૂર્યા. ચીનની સંસ્કૃતિના પ્રભાવ હેઠળ જાપાન, કોરિયા અને તાઈવાનની પ્રજાઓ પણ હતી. તેથી ૧૮મી અને ૧૯મી સદીમાં યુરોપની પ્રજાઓએ પોતાની સાયન્સ અને ટેક્નૉલોજી આધારિત ઔદ્યોગિક પરંપરાને લઈને આ ચાર દેશો પર આધિપત્ય જમાવ્યું. આ દેશોએ તેના પ્રત્યુત્તરમાં પોતાની કાર્યકુશળતાના બળે પશ્ચિમના જ્ઞાન વિજ્ઞાન અને ઔદ્યોગિક પાસાંને આત્મસાત કર્યાં. પરિણામે ૨૦મી અને ૨૧મી સદીમાં, પહેલાં જાપાને, અને હવે કોરિયા અને ચીને, પશ્ચિમને પડકાર ફેંક્યો છે. આજે ચીન ઔદ્યોગિક અને નાણાકીય સ્તરે બીજા ક્રમની વૈશ્વિક મહાસતા બની ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે આના પાયામાં ધર્મસંભવે પ્રાચીન સમયમાં ચીનનો જે ઉદ્ધાર કર્યો તેનો ફાળો વિશેષ છે.
બીજા બૌદ્ધિક તાંત્રિક પદ્મસંભવ હતા. હિંદુ ધર્મના પ્રતિકારનો પડકાર ઝીલવાને બદલે તેમણે વજ્ર્યાન તંત્રમાર્ગને વિદેશમાં પઈ જવાનું પસંદ કર્યું. આનો સીધો લાભ તિબેટને મળ્યો. તિબેટમાં એ સમયે કાળા જાદુ અને પ્રેતવિદ્યા આધારિત બોન ધર્મ વિદ્યમાન હતો. પદ્મસંભવે બૌદ્ધ ધર્મનાં સારાં પાસાંઓ પર ભાર મુકીને તિબેટના વજ્રયાન તંત્રને પ્રસ્થાપિત કર્યું. તેની નેતાગીરી લામાઓને સોંપવામાં આવી. ઇ. સ. ૧૯૫૦માં ચીને જ્યારે તિબેટ પર આક્રમણ કર્યું ત્યારે ઘણા તિબેટીઓ તાંત્રિક સાધુઓ હતા. એ લોકો પહેલાં ભારતમાં અને પછી અમેરિકા અને યુરોપમાં સ્થાયી થયા. વિદેશમાં આજે જે બૌદ્ધ પરંપરા વિકસી રહી છે તેનું શ્રેય પદ્મસંભવને જાય છે.
૪) અત્યાર સુધી ભારતીય સમાજ માટે ધર્મસૂત્રો અને મનુસ્મૃતિ જેવા ગ્રંથો લખાયા હતા. આ ગ્રંથોમાં ભારતીય સમાજના જીવન વ્યવહાર પર એટલાં બધાં બંધનો હતાં કે આખી સમાજવ્યવસ્થા જ ખોરવાઈ ગઈ. હિંદુ ધર્મના સુધારકોએ હવે આ નિયમોને વધારે વ્યાવહારિક બનાવતા ‘નિર્ણયસાગર’ અને ‘નિર્ણયસિંધુ’ ની રચના કરી. જે વર્ણસંકર પ્રજા હતી તેને પણ હિંદુ સમાજમાં સ્થાન આપવામાં આવ્યું.
૫) બૌદ્ધ પરંપરાના શુન્યવાદ અને જૈન પરંપરાના ક્ષણભંગુરવાદને પડકાર આપવા દક્ષિણ ભારતના આચાર્યોમાં સંકરાચાર્ય, રામાનુજ, માધવાચાર્ય અને નિંબાર્ક હતા. આ મહાજ્ઞાનીઓએ વેદાંતને ફરીથી ઉચ્ચ સ્થાન આપ્યું. આપણને, તેમજ વિશ્વને. અદ્વૈતવાદ, દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ અને અચિંત્યાભેદવાદના સિદ્ધાંતોની ભેટ મળી. આ પ્રકાંડ તત્વજ્ઞાન પરંપરાએ શ્રમણવાદના તત્વજ્ઞાનનો સંપૂર્ણ પરાજય કર્યો.
૬) મહાયાન બૌદ્ધ પરંપરામાં અને જૈન પરંપરામાં મૂર્તિ પૂજા અને તેની ભક્તિનો પ્રારંભ થયો હતો. એટલે તેનો પ્રતિકાર કરવા માટે હિંદુઓએ નારદ ભક્તિસૂત્ર અને શાંડિલ્ય ભક્તિસૂત્રને નવું સ્વરૂપ આપ્યું. પુરાણ ગ્રંથોમાં પણ શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય અને અન્ય અનેક દેવીઓની પૂજા-અર્ચના વિધિમાં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો.દક્ષિણ ભારતના નયનાર અને આલ્વાર સંતોએ શિવ અને વિષ્ણુના અનેક ભજન-કિર્તન તેમની ભાષામાં લખ્યાં. સમગ્ર દક્ષિણ ભારતમાં આ બે દેવો અને પાર્વતીનાં અનેક મંદિરો બંધાયાં.
દક્ષિણ ભારતના વલ્લભાચાર્યે ઉત્તર ભારતમાં પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનાં ૮૪ પીઠો સ્થાપ્યાં. આ પહેલાં દક્ષિણ ભારતના ભક્તિ માર્ગની અસર ઉત્તર ભારત પર થઈ હતી. તેમાં રામાનંદ સંતે આ ક્રાંતિનો સૂત્રપાત કર્યો. કબીર અને નાનકના તેઓ ગુરુ હતા. આ બન્નેએ ઈશ્વરની નિરંકાર સ્વરૂપે પૂજા-અર્ચના કરી. અનેક ભજન અને અરદાસ દ્વારા તેઓએ ફક્ત એક જ નિરંકારી પરમ સત્તાનાં ગુણગાન ગાયાં. અન્ય સંતોના દેવો આકાર સ્વરૂપે જ હતા. સંત તુલસીદાસે રામનાં ચરિત્રને આપણી સમક્ષ ભગવાન સ્વરૂપે મુક્યું. ચૈતન્ય મહાપ્રભુ, સુરદાસ, નરસિંહ મહેતા અને મીરાબાઈના આરાધ્ય દેવ શ્રીકૃષ્ણ હતા. આ સંતોએ અદ્ભૂત ભજનો અને કિર્તનો દ્વારા શ્રીકૃષ્ણની લીલા આપણને આપી ન્યાલ કરી દીધાં. ઓડિસાના પંચસખાઓએ ભગવાન જગન્નાથની ભક્તિને શીખરે પહોંચાડી. આ બધાંને પરિણામે આજે હિંદુ પરંપરામાં ફક્ત ભક્તિ માર્ગ અગ્રસ્થાન ભોગવે છે.
૭) આ બધું કરવાની સાથે સાથે, શ્રમણ પરંપરાને પરાસ્ત કરવાના અભિયાનમાં હિંદુ ધર્મના પુનરુદ્ધારકોએ કેટલીક બાંધછોડ કરવી પડી. ભારતમાં પહેલાં દરેક માટે ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ પુરુષાર્થો હતા. શ્રમણ પરંપરાના સંસારત્યાગ અને નિર્વાણની વિચારધારાઓને ધ્યાનમાં લઈને હિંદુઓ માટે હવે ચોથો પુરુષાર્થ મોક્ષ (સંન્યાસ) બન્યો. કર્મવાદ, પૂર્વજન્મ અને પુનઃજન્મના સિદ્ધાંતોને પણ પ્રાધાન્ય આપવું પડ્યું. આમ હિંદુ ધર્મે શ્રમણ પરંપરાના નિવૃતિ માર્ગના સિદ્ધાંતો સ્વીકાર્યા. પરિણામે. ભારતીય સમાજમાં કોઈ કાર્ય કરવાની પ્રેરણા ન રહી.
ધર્મનો અતિરેક થવાથી વિશ્વકર્મામાં માનનારા આપણા લુહાર, સુતાર, ચર્મકાર, નાઈ જેવા ઉત્તમ કારીગરોને સમાજે પછાત ગણવા માંડ્યા. તેનું લાંબા ગાળાનું પરિણામ એ આવ્યું કે પશ્ચિમના વિજ્ઞાન, ટેક્નૉલોજી અને ઔદ્યોગિક કૌશલ્યના વિકાસને આપણે સ્વીકારી ન શક્યાં અને પાછળ રહી ગયાં. આઝાદી પછી ઉચ્ચ તકનીકી અને વિજ્ઞાનની આઈ આઈ ટી, આઈ આઈ એમ અને એવી અન્ય શિક્ષણ સંસ્થાઓના આયોજનપૂર્વક કરાયેલા વિકાસને કારણે નારાયણ મૂર્તિ, નંદન નિલકેણી, સત્યમ નડેલા, સુંધર પિછાઈ, જેવા ડીજિટલ ટેક્નોલોજીના કે અવકાશ વિજ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન કરી રહેલા અનેક વૈજ્ઞાનિકો કે ડૉ. સિદ્ધાર્થ મુખર્જી, ડૉ. અતુલ ગવાન્ડે જેવા આધુનિક તબીબી વિજ્ઞાનનાં ખ્યાત વ્યક્તિત્વોની એક નવી પેઢી ભારતીય સમાજની પરંપરાગત છબીની કાયાપલટ કરી રહી છે.
હવે પછીના મણકામાં લેખમાળામાં ઐતિહાસિક મૂલ્યાંકનના સંદર્ભમા હિંદુ ધર્મની વર્તમાન સ્થિતિનાં આલેખન વિશે વાત કરીશું.
અગિયારમી ફેબ્રુઆરીએ દીનદયાલ ઉપાધ્યાય વિશે લખતાં કેમ કે ૩૦ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી એ ગાંધી શ્રાદ્ધ પર્વ છે, કદાચ એક ઉલ્લેખ કરવો જોઈતો હતો. ૧૯૬૮માં એ ગયા તે પછી જે સ્મૃતિગ્રંથ પ્રગટ થયો એમાં એક જનસંઘ સાંસદે (ઘણું કરીને નરેન્દ્ર શર્માએ) એક સ્મરણ ચહીને ટાંક્યું હતું: મેં (શર્માએ) એમને એક વાર કહ્યું કે આપણે આધુનિક ભારત અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વાત કરીએ છીએ, પણ એમાં એક પ્રેરણાપુરુષ તરીકે ગાંધીજીનો ખાસ ઉલ્લેખ નથી કરતા એથી ગલત સંદેશ જાય છે. શર્માએ લખ્યું હતું કે તે પછી દીનદયાલે ‘ઓર્ગેનાઈઝર’/’પાંચજન્ય’માં ખાસ લેખ વાહે ગાંધીજીને વિશેષ રૂપે સંભાર્યા હતા. સંઘ પરિવાર સહિતનો એક વર્ગ આપણે ત્યાં છે જેને ચોક્કસ જ ગાંધીહત્યા ટીકાપાત્ર જણાય છે, પણ એક અંત:સરવાણી ગાંધીવધની અનુમોદનાની છે.
આ ઉલ્લેખને જોગાનુજોગ શ્રાદ્ધ પર્વ આસપાસ જ કંઈક વળ ને આમળા ચઢે, કંઈક તપાસધક્કો લાગે એવો ઘટનાક્રમ સરજાયો છે. ‘હું નથુરામ’ નાટક રાજકોટ-અમદાવાદમાં પડાકારાયું છે, તો બીજી બાજુ અશોકકુમાર પાંડેયના પુસ્તક આધારિત વાચિકમ્ અમદાવાદ-વડોદરા-સુરતમાં પ્રસ્તુત થયું છે જે ગોડસેની કથિત સ્થાપનાને પડકારે છે. જોકે, એક વિગત આ સંદર્ભમાં સંભારવી જોઈએ કે સુરતમાં આ પૂર્વે પોલીસ દરમ્યાનગીરીથી પ્રસ્તુત ‘વાચિકમ્’ અટકાવાયું હતું. રાજકોટમાં કોંગ્રેસના જોકે શાંતિમય નહીં એવા પ્રતિકારથી ‘હું નથુરામ’ અટક્યું અને સુરતમાં પેલું ‘વાચિકમ્’ પોલીસ દરમ્યાનગીરીથી ન થઈ શક્યું, આ બે બીના વચ્ચેનો ભેદ કોઈને પણ સમજાય એવો છે. વિરોધ શાંતિમય હોવો જોઈએ એમ કહેવું બેશક બિલકુલ દુરસ્ત છે. માત્ર, આ વિધાન કરતી વેળાએ સંતુલવિવેક સરખો એ એક મુદ્દો ખયાલમાં રહેવો જોઈએ કે સરકાર અને સત્તા પક્ષ આવે વખતે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ કાયદાના શાસનથી ઉફરાટે ચોક્કસ બાજુને સાચવી લે છે.
જ્યાં સુધી ‘હું નથુરામ’નો સવાલ છે, એ ગોડસેની અદાલતી કેફિયત પર બહુધા ચાલે છે. સંઘ શતાબ્દીએ પહોંચ્યો અને ભાજપ સંખ્યાબંધ રાજ્યો સહિત કેન્દ્રમાં સત્તા સ્થાને પહોંચ્યો એ વર્ષો, ખાસ કરીને છેલ્લો દસકો, આ કેફિયત બાબતે ચાહક વર્ગને ખુલ્લાણમાં આણનાર રહ્યો છે. અર્ધ પરિભાષિતપણે કેમ ન હોય, કંઈક સૈંયા ભયે કોતવાલ શો કિસ્સો આ છે. બીજી બાજુ, આ જ દિવસોમાં ગુજરાતીમાં તુષાર ગાંધી અને ધીરેન્દ્ર ઝાનાં જે પુસ્તકો સુલભ થયાં છે તે ગોડસેની અદાલતી કેફિયત અને ૩૦મી જાન્યુઆરીએ ધરપકડ બાદનું એનું પોલીસ નિવેદન, બે વચ્ચેનું અંતર (અને એથી ગોડસેની- જો નરમ શબ્દોમાં કહીએ તો – અંચઈ) સાફ કરી આપે છે. ગોડસે કેસમાં આખરી ચુકાદો આપનાર ન્યાયમૂર્તિએ કહ્યું છે કે એની કેફિયત એ હદે અસરકારક હતી કે જો અદાલતમાં હાજર રહેલાઓને જ્યુરી લેખી એનો કેસ સોંપવામાં આવ્યો હોત તો તે છૂટી ગયો હોત.
ન્યાયમૂર્તિએ આ વિધાન કોઈ સત્યબોધની રીતે નથી કર્યું. એમણે તો ભલે ને તથ્ય નિરપેક્ષપણે કરાયેલ પણ એક દમદાર રજૂઆત તરીકે આ વાત કરી હતી. વસ્તુત: ‘હિંદુ’ અગર તો આજકાલ વપરાતા ‘સનાતન’ના છેડેથી જોઈએ તો ગોડસેની કેફિયતમાં પાકિસ્તાનને પંચાવન કરોડ આપ્યાથી ગાંધીવધ અનિવાર્ય લાગ્યાની વાત બંધબેસતી નથી, અગર તો હિમદુર્ગનું એક દશાંશમું ટોચકું માંડ છે. સ્વરાજમાં બે-ત્રણ વરસ પર ગાંધીજી મહાબળેશ્વરમાં હતા અને એમના પર ગોડસે સહિતના લોકોએ હુમલો કર્યો ત્યારે આ કોઈ મુદ્દો ક્યાં હતો? ૧૯૩૪ની હરિજન યાત્રા વખતે ગાંધીજી પર હુમલાની કોશિશ થઈ ત્યારે આ મુદ્દો ક્યાં હતો? આ બધા હુમલાના સિલસિલા પાછળની માનસિકતા બે ધાગે કળી કરતી માલૂમ પડે છે. એક તો, આપણે બ્રિટિશન શાહીવાદ સામે લડવાનું છે કે એથી વધુ બલકે એકમાત્ર ‘શત્રુબોધ’ મુસ્લિમમાં શોધી એની સામે લડવાનું છે,
એવી દ્વિધાગ્રસ્તતા- અને, બીજું, હિંદુ એલિટિઝમ અગર સવર્ણવાદના કોચલાની બહાર નીકળી દલિત વંચિત સૌને અપનાવવાની ભૂમિકા અંગે હાડમાં ઝમેલો ને જામેલો ખટકો, આ બે વાનાં લક્ષમાં લઈએ તો સમજાશે કે કોઈ હિંદુ રિનેસાંસની આશા કેમ ઓછી અને પાછી પડે છે. ગોડસે પરિવારના જ ગોપાલ ગોડસેને પણ એકંદર ચર્ચા સંદર્ભે યાદ કરવાપણું લાગે છે. ૧૯૬૪-૬૫માં એ છૂટ્યા અને એમણે પોતાને છેડેથી આખી દાસ્તાં લખી, ‘ગાંધીહત્યા આણિ મીં.’ અગાઉ અહીં કહેવાનું બન્યું છે તેમ બીજી બાબતો ઉપરાંત એની એક નોંધપાત્ર વાત, અમે અમારી જુબાનીમાં સંઘ અને તાત્યારાવ (સાવરકર)ને બચાવી લીધા તે છે.
ગોપાલ ગોડસેનું આ પુસ્તક પ્રકાશિત કરતી વેળાએ પ્રકાશકના આગ્રહથી સુપ્રતિષ્ઠ મરાઠી બૌદ્ધિક નરહર કુરુંદકરે કશી કાપકૂપ વગર છાપવાની શરતે પ્રસ્તાવના લખી હતી. એમાં ગોપાલ ગોડસેની, ગાંધીહત્યાને એક અનિષ્ટ તત્ત્વના વધ તરીકે અને હત્યારા નથુરામને હુતાત્મા તરીકે રજૂ કરવાની મુરાદને એક એક મુદ્દાની અસરકારક છણાવટ વાટે ધ્વસ્ત કરી હતી. દેખીતી રીતે જ પછીની આવૃત્તિમાં એ પ્રસ્તાવના પડતી મૂકાઈ હતી. આ પ્રસ્તાવનાનો સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટે ૧૯૯૯માં પ્રગટ કર્યો હતો જે ફેરરમતો કરવાલાયક છે. મ‘હું નથુરામ’નો વિરોધ તર્કબદ્ધ ઈતિહાસવિગત સાથે પ્રગટપણે જરૂરી કરી શકાય. માત્ર ગોડસે વિધાનમાં રહેલી તોડમરોડ સામે તોડફોડ એ રસ્તો નથી. સવાલ એ પણ છે કે ‘હું નથુરામ’ પાછળનાં તત્ત્વો ને પરિબળો કાયદાના શાસનમાં નથી માનતાં એવું તો નથી ને.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦-૨-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી.
વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી.
નાઝ માંગરોલી
(૨)
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ
શેખાદમ આબુવાલા
(૩)
આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો રડતો હતો ને મનમહીં એ કૈંક બબડતો હતો નજદીક જઈને ધ્યાન આપી સાંભળ્યું તો છક થયો કહેતો હતો: હે રામ! ગાંધી ક્યાં મને નડતો હતો?
શેખાદમ આબુવાલા
(૪)
ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ, ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ, યુદ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ, હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.
પાંચ કલાકની માથાફોડ પાણીમાં ગઇ. ઈટોની આંખના ખુણા લાલચોળ થયા. એ આંખોમાં જાપાની બંદુકો ને તોપો દેખાણી. રાજા ડગ્યો નહિ.
ઈટો પહોંચ્યો પ્રધાનોની પાસે. પશ્ચિમની નિશાળે બરાબર ભણેલો એ અધિકારી સમજાવે છે કે “જુઓ ભાઈઓ, પીળા રંગની બે પ્રજાઓ જો દોસ્તીમાં જોડાય તો આપણે એશિયાને ગોરી પ્રજાના મ્હોમાંથી બચાવી શકશું. અમારે કાંઈ બીજો સ્વાર્થ નથી.”
પ્રધાનોએ ડોકાં ધુણાવ્યાં ઈટો કહે કે “જાન લઇશ. માની જાઓ તો ખીસાં ભરી દઈશ.” પ્રધાનો અડગ રહ્યા.
ઈટાએ જાપાની લશ્કરને સાદ કર્યો. શેરીઓમાં તોપો મંડાણી. સરકારી અદાલતો ને રાજમહેલની ચોપાસ જાપાની સંગીતો ઝબુકી ઉઠ્યાં. રાજાને યાદ આવી ૧૮૯૫ ની પેલી ભયાનક રાત્રી, જે રાત્રીના અંધકારમાં જાપાને કોરીયાની બહાદુર રાણીનું લોહી રેડેલું. રાજાનું તેમજ પ્રધાનોનાં કાળજાં ફફડી ઉઠ્યાં.
જાપાની તોપો બંદુકોથી ઘેરાયેલા એ મહેલની અંદર રાત્રીએ પ્રધાન મંડળ મળ્યું. જાપાની તલવારોના ખણખણાટ પ્રધાનોની બેઠકમાં સંભળાતા હતા. ત્યાં તો જાપાની સેનાપતિની સાથે ઈટો આવી પહોંચ્યો. એણે રાજાજીની સાથે એકાંત મુલાકાતની માગણી કરી. જવાબ મળ્યો કે “નહિ બને.”
પ્રધાન મંડળની સાથે ઇટોને રકઝક ચાલી. કોપ કરીને જાપાની હાકેમ બોલ્યો કે “કબૂલ કરીને ખીસાં ભરી લ્યો, નહિ તો ના પાડીને ડોકાં નમાવો.”
જાપાની સેનાપતિએ તલવાર ખેંચી. કારીયાનો બહાદુર મુખ્ય પ્રધાન બોલ્યો કે “સુખેથી, હિમ્મત હોય તો માથાં ઉડાવી દયો.”
“જોવું છે ?” એમ બોલીને સેનાપતિ વડા પ્રધાનનો હાથ ઝાલી, બીજા ખંડમાં ઘસડી ગયો.
બાકીના પ્રધાનોના મનમાં થયું કે આપણાં માથાં ઉડવાનો પણ હમણાંજ વારો આવી પહોંચશે. આપણી વારે ધાવા કોઈ પરદેશી પ્રતિનિધિ નથી આવ્યો. કોઇ આવવાનું પણ નથી. મરવાથી કાંઈ વળવાનું નથી. એમ સમજીને આખી રાતની એ રકઝકને અંતે પ્રધાનોએ કરારનામા પર સહી કરી. અડગ રહ્યા બે જણા–એક રાજા અને બીજો મુખ્ય પ્રધાન.
કોરીઆની અંદર આંગણે આંગણે આક્રંદ ચાલ્યું. ઈજ્જતદાર પ્રજાજનો, મોટા અમલદારો, અને એક વખતનો યુદ્ધ ખાતાનો વૃદ્ધ સચીવ રાજા પાસે જઈને આજીજી કરવા લાગ્યા કે “કરારનામું રદ કરો.”
આંસુભરી આંખે રાજા કહે “મેં સહી નથી કરી. પણ એ રદ કરવાની તો મ્હારી તાકાત નથી.”
અરજદારો પાછા ગયા,ને ઘેર જઈ રાત્રીએ આપઘાત કરી મુવા.
રાજ મહેલને બારણે બેસી લાંઘણો ખેંચવી ને આખરે ઘેર જઈ જીવ કાઢી નાંખવો, એ કારીયાવાસીઓનો સત્યાગ્રહ.
રાજા તો રઘવાયો બન્યો હતો. પારકાની દયા ઉપર જીવનારને બીજુ શું સૂઝે ? એણે અમેરિકાના પ્રમુખ પાસે ૧૮૮૨ ની સંધિ યાદ દેવા એલચી મોકલ્યો. અમેરીકાધિપતિએ ઉત્તર દીધો, “હું નહિ મળી શકું.”
એશિયાના હૈયામાંથી આ વાત જુગ–જુગાન્તર સુધી નહિ ભૂંસાય. એક શરણાગત દેશની કથની સાંભળવા માટે અમેરિકાના હાકેમ પાસે પાંચ પળની પણ ફુરસદ નહોતી ! અને પેલો ૧૮૭ર નો પુરાણો કોલ ! “હા, હા,” અમેરિકાના હાકેમે પાછળથી ઉચ્ચારેલું, “સંધિ મુજબ તો કોરીઆની સ્વતંત્રતા રક્ષવી જોઇએ પરંતુ, શું એટલી પણ અક્કલ નથી કોરીયાને, કે પોતેજ લમણે હાથ દઇને બેસે ત્યાં પારકી પ્રજા આવીને શું કરી દેવાની હતી ?”
અમેરિકાએ ઈશ્વર–સાક્ષીએ આપેલો આ કોલ ! એશિયાના ગુલામોને કપાળે આવા પ્રહારો ન પડે તો બીજું શું ?
અને પરદુઃખ ભંજન ઈંગ્લાંડ કાં ન ધાયું ? રે ! એને તો ઘણીયે ગણતરીઓ કરવાની હતી, જર્મની સામે ટક્કર ઝીલવા માટે એને ઉત્તર સમુદ્રમાં કાફલો રાખવો હતો, પૂર્વની ભૂમિમાં પોતાનાં વેપાર વાણિજ્ય તેમજ મુલ્કો સુરક્ષિત રાખવા હતાં, ને હિન્દુસ્થાન સામે ટાંપી બેઠેલા રૂશીઅન રીંછને આગળ વધતું અટકાવવું હતું ! શી રીતે ઈંગ્લાંડ પોતાના એ પરમ ઉપયોગી મિત્રને માઠું લગાડવા જાય ! ઈંગ્લાંડની આંગળી ઊંચી થવાની સાથે તો પેલા કાફલાને જાપાન દરીયાને તળીએ પહોંચાડી દે, વેપારનાં વ્હાણો પાછાં વાળે, અને પેલા રીંછને ભારતવર્ષની લીલી ભૂમિ ઉપર છૂટું મેલી દે. રે ! ઈંગ્લાંડે તો જાપાનને રાજી ખુશીથી લખી આપ્યું કે, “કોરીયાની અંદર, તમે રાજ્યદ્વારી, લશ્કરી અને આર્થિક હિત પ્રથમ દરજ્જે ધરાવો છો, એ અમારે મજુર છે !?”
૧૯૦૫ ના તહનામા ઉપર રાજાએ સહી કરી જ નહિ. પોતાના રાજમહેલમાં એ આજ કેદી બન્યો હતો. એના મનમાં ઉદ્ગાર ઉઠ્યો, “જરૂર, કોઇક પ્રજા તો મારી વારે ધાશે. શું કોઈ નહિ આવે ?”
૧૯૦૭ ની હેગ કોન્ફરન્સમાં એણે એલચી મોકલ્યો. એની વાત સાંભળવાની જ કોન્ફરન્સે ના પાડી !
જાપાને પાદશાહને પદભ્રષ્ટ કર્યો. યુવરાજને પૂતળું બનાવી સિંહાસને બેસાડ્યો.
ધારાસભામાં સર્વોપરી સત્તાધારી જાપાની રેસીડન્ટ જન૨લ. એને હાથે જ બધા અધિકારીઓની નીમણુક, અને કોઈપણ પરદેશીને સરકારમાં જગ્યા આપવાની મનાઈ !
ધીરે ધીરે મોટા હોદ્દા પરથી કોરીયાવાસીઓને ખસેડવામાં આવ્યા; તેને બદલે જાપાનીઓની ભરતી થઈ. પણ પશ્ચિમના કોઇ મુસાફરને પોતાનું ન્યાયીપણું બતાવવા ખાતર કેટલાંક કોરીયાનાં પૂતળાંને મોટી જગ્યા ઉપર રખાયેલાં, તો તે દરેકની ઉપર અક્કેક જાપાની સલાહકાર નીમી દીધેલો. સલાહકારની સલાહ ઉથાપનારો કોરીયન અધિકારી બીજે દિવસેજ ઘેર બેસતો.
કોરીયાવાસીઓ માટે જુદાજ કાયદા બન્યા. આરોપીની ઉપર આરોપ સાબીત કરવો જોઇએ તેને બદલે આરોપીએ પોતાનું નિર્દોષપણું પુરવાર કરવું પડે એવા ધારા થયા. જાપાની ભાષા રાજભાષા બની. વારંટ વિના કેદ કરવાની પોલીસને સત્તા મળી. આરોપી બચાવના સાક્ષી આપે તે સ્વીકારવાની મુખત્યારી ન્યાયાધિકારીની રહી. ન્યાયાધિકારી કોણ ? લોહીનો તરસ્યો જાપાની.
કુલ તહોમતદારો
વિના કામ ચાલ્યે સજા પામેલા.
નિદોષ ઠરેલા.
૧૯૧૩
૨૧,૪૮૩
૩૬,૯૫૩
૮૦૦
૧૯૧૪
૩૨,૩૩૩
૪૮,૭૬૩
૯૩
૧૯૧૫
૫૯,૪૩૬
૪૧,૨૩૬
૪૭
૧૯૧૬
૮૧,૧૩૯
૫૬,૦૧૩
૧૨૬
બે કરોડ કંગાળ પ્રજાજનોના ગળામાં સત્તર હજાર અમલદારોનું લોખંડી ચોગઠું આજે લટકી રહ્યું છે.
જુલમ ન સહેવાય ત્યારે અજ્ઞાન પ્રજાજન શું કરે ? ને શું ન કરે ? એને જીવવું અસહ્ય લાગે. જાલીમોના લોહીને માટે એનો પ્રાણ પોકારી ઉઠે. એક નાદાન પ્રજાજનના અંતઃકરણમાં પોતાની માતાને માટે વેદનાની જ્વાળા મળે ત્યારે એ અજ્ઞાન જીવ બીજું શું કરે ? ૧૯૦૯ની સાલમાં રેસીડન્ટ જનરલ કુમાર ઈટોનું એક કોરીયાવાસીએ ખૂન કર્યું. જાપાની જુલ્મને જાગૃત કરવા આ એકજ માણસનો અપરાધ બસ હતો. લશ્કર છુટ્યું, ધરપકડ ચાલી, અખબારો જપ્ત થયાં, અને આખરે ચાર હજાર વરસનો પુરાતન એક સ્વતંત્ર દેશ જાપાનનો એક પ્રાંત બની ગયો. ચાલીસ સૈકાનો ઇતિહાસ એક પળમાં ભૂંસાઈ ગયો. કોઇ વિક્રાળ જાદુગરની છડી અડકતાં, કોરીયાની સૂરત એવી તો પલટી ગઈ કે પોતે પોતાને જ ન પિછાને !
પ્રજાજનો કહે, “કોરીયા માતા તો મરી ગઈ. આપણે જીવીને શું કરવું છે ?” એક પછી એક પ્રજાજન આપઘાત કરી મરવા લાગ્યા. જાપાની દાનવને દેવાલયે માતા કોરીયાએ એકવાર શિલ્પ, સંસ્કૃતિ, સાહિત્ય તેમજ ધર્મનાં પુષ્પો વેર્યાં હતાં. દાનવે ગર્જના કરી કે હવે હું ફુલોનો ભોગી નથી રહ્યો. હે નારી ! મારે રક્ત જોઈએ–સંપત્તિ જોઈએ. આજ કોરીયાએ એ અસૂરને ચરણે પોતાનાં સંતાનોનાં શબનો ગંજ ખડકી દીધો છે.
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” – આ ટચુકડો શબ્દ કે જેમાં પ્રચંડ તાકાત રહેલી છે – એ સર્વોચ્ચ અનુભૂતિને પણ પ્રેમ પારજોયની અનેક રચનાઓમાં કવિવરે આવરી લીધી છે.
Love is an endless mystery because there is no reasonable cause that could explain it. – Tagore
કવિવર એવું દ્રઢપણે માનતા કે પ્રેમ તો એક ગાઢ અને ગૂઢ અનુભૂતિ છે જેના કોઈ કારણો ન હોય… જે અનાયાસે થઇ જાય તે પ્રેમ – પ્રયાસ પૂર્વક કરવામાં આવતો પ્રેમ – પ્રેમ નથી હોતો – તેને કંઈક બીજું નામ આપવું પડે … જેમ તુષારભાઈ શુક્લ લખે તેમ “દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એક પૂછીને થાય નહિ પ્રેમ”
આ અનાયાસે થઇ જતો પ્રેમ જ કદાચ સૃષ્ટિના સર્વે જીવો માટે ચાલક બળ બની રહે છે. અહીં પ્રેમની પરિભાષા માત્ર વિજાતીય પ્રેમ સુધી સીમિત નથી.. કોઈ પણ બે સંવેદનાસભર જીવો વચ્ચે પ્રેમ પાંગરી શકે છે, ખીલી શકે છે, મહોરી શકે છે…
પ્રેમ તો અનાયાસે થઇ જાય, પણ પ્રેમની અભિવ્યક્તિ કરવામાં તો પ્રયાસ કરવોજ પડે. પ્રેમની અભિવ્યક્તિની ઘટના તો પ્રેમ થવા કરતા પણ વધુ અગત્યની છે. તેમાંય ખાસ કરીને વિજાતીય પ્રેમમાં. આ નાજુક સંવેદનાને શબ્દોમાં વર્ણવવી કઠિન છે અને એ તો જેને અનુભવી હોય તેજ સમજી શકે….
આ પ્રેમની અભિવ્યક્તિ કરતી કવિવરની પ્રેમ પારજોયની એક ખુબજ મીઠડી રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1924 માં રચાયેલીઆ રચનાનું શીર્ષક છે ভালোবাসি ভালোবাসি (Bhalobashi Bhalobashi) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “હા, હું તને ચાહું છું….”.આ રચનાનું સ્વરાંકન કવિવરે ખંભાજ રાગ પર કરેલું છે. આ રચનાને દાદરા તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.
હા, હુંતનેચાહુંછું…
હા, હું તને ચાહું છું, ફક્ત તને જ ચાહું છું…
આ દૂર દૂર સુધી પ્રસરતા સૂરીલા સંગીતમાં
આ ચોમેર રેલાતા મધુર વાંસળીના ગીતમાં
આ ગગનમાં ઉભરાતા અશ્રુઓના પુંજમાં
આ ક્ષિતિજે ઉઠતા વિરહી વેદનાના ગુંજમાં
આ કિનારે આવી વિખરાતા મોજાની સરગમમાં
આ વિસરાયેલા ગીતો કેરા શબ્દોના પડઘમમાં
મારા ધબકતા હૃદયના આ અકારણ કંપનમાં
આ ટચુકડી અને મીઠડી રચના પ્રેમની અભિવ્યક્તિની રચના છે. પ્રેમના ઇઝહારની રચના છે. કોઈની સાથે પ્રેમ થવો એ તો એક અલૌકિક ઘટના છે પણ કોઈકને તમારી સાથે પ્રેમ થાય અને એ તમારી પાસે તમારી પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરે તે તો કદાચ અતિ-અલૌકિક ઘટના છે. It is beautiful to express love and it is more beautiful to feel it. આ રચનામાં કવિવરે એવાજ કોઈક પ્રેમીની સંવેદનાઓને વાચા આપેલ છે કે જે સમગ્ર સૃષ્ટિમાં એક સમગ્રતાથી પોતાના પ્રેમીને પ્રેમ કરે છે તે શબ્દો દ્વારા આ રચનામાં અભિવ્યક્ત થયેલ છે. જો કે પ્રેમની અભિવ્યક્તિ હંમેશા શબ્દો દ્વારા જ કરી શકાય તેવું જરૂરી નથી…સાચા અને અલૌકિક પ્રેમની એટલે કે platonic loveની અભિવ્યક્તિ પણ સહજ રીતે થઇ જાય છે. આ અલૌકિક પ્રેમમાં મૌન એ પ્રેમની પરિભાષા અને હાજરી એ પ્રેમના હસ્તાક્ષર બની જાય છે. જોકે આજના યુગમાં તો platonic love કદાચ nonexistent જ છે પણ જો ક્યાંક અને ક્યારેક તમને આવા અલૌકિક પ્રેમની એટલે કે મૌન પ્રેમની સંપૂર્ણ કે આંશિક અનુભૂતિ થાય તો માનજો કે તેમારી પાસે દુનિયાની સૌથી પ્રચંડ તાકાત છે…
તો ચાલો આ પ્રેમની દિવ્ય શક્તિની સમર્થતાને વાગોળતા વાગોળતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
પહાડોમાં ટ્રેકીંગ કરવા જઈએ ત્યારે લીલાંછમ આસમંતમાં ઉગી નીકળેલાં રંગબેરંગી ફૂલ જોઈ મન કેટલું પ્રસન્ન થતું હોય છે એ આપે અનુભવ્યું છે. જીવનના ચઢાણ પણ કંઈક એવા જ હોય છે. ચાલતાં ચાલતાં તન કે મન થાકી જાય, ત્યારે આ પગદંડીની આસપાસ પડેલાં ગીતોનાં ફૂલ નિરખીયે ત્યારે કાનમાં તેમનો સુમધુર ઝંકાર સંભળાય. તેમાં એક એવો પમરાટ હોય છે, જેની સરખામણી આપણી ડાયરીમાં રાખેલાં પુષ્પોની પાંખડીઓ સાથે કરી શકાય. પાનું ખોલતાં તેમાંથી સૌરભ નીકળે એવાં ગીતો જે આધુનિક જગતની ગતિમાં ખોવાઈ ગયા છે. પણ તેનું માધુર્ય એવું જ તાજું રહ્યું છે! આજે સૌથી પહેલાં યાદ આવી સ્વ.ગીતા રૉયની. તેમનાં ઓછાં જાણીતા પણ અત્યંત મધુર ગીતોની વાત કરીએ તો યાદ આવે છે,
‘કોઈ ચૂપકે સે આ કે, અપના બનાકે બોલે કિ મૈં આ રહા હું’
ફિલ્મ ‘અનુભવ’નું આ ગીત ગીતા રૉયે ગાયું અને અભિનય છે તનુજાનો. આ ફિલ્મમાં તનુજાનો અભિનય એટલો તો સુંદર હતો, તે સમયના વિવેચકોએ આ ફિલ્મને ‘તનુભવ’ કહીને બીરદાવી હતી. આ જ ફિલ્મનું બીજું ગીત…
મુકેશજીએ પહેલું ગીત ગાઈને સૌનું ધ્યાન ખેંચી લીધું. તે વખતે તેમણે સીધી સાયગલ સાહેબની ઢબથી ગાવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કોણે તેમને કહ્યું કે ચિત્ર, કથા કે કલામાં નકલ કરતાં મૌલિકતાનું મૂલ્ય અનેકગણું હોય છે. તમે તમારા આનંદ માટે તમારા સ્વત્વને બહાર લાવે તેવું ગાશો તો બીજા કોઈને તે ગમશે કે નહિ, પણ તમે તેનો આનંદ જીવનભર લઈ શકશો! મારી અનભિજ્ઞ દૃષ્ટીમાં તેમણે ગાયેલાં બિન-ફિલ્મી કે ફિલ્મી ગીતોમાં જુદી ભાત પાડી ગયા તે ગીતો છે :
જાણે આપણા ઘરમાં જામેલી મહેફીલમાં મુકેશજી આવીને ગાઈ રહ્યા છે!
***
ઓ.પી. નૈયર માટે કહેવાય છે કે તેમણે સંગીતબદ્ધ કરેલા પહેલા ગીત બાદ સંગીતના ક્ષેત્રમાંથી વિદાય લીધી હોત તો પણ તેઓ ચિરસ્મરણીય થયા હોત! આ ગીત રચવા માટે HMV કંપનીએ તેમને અૉફર આપી : રોકડા વીસ રુપિયા અથવા ‘વેચાય તો રૉયલ્ટી’. પહેલા ગીત માટે તેમણે ‘રોકડી’ કરી લીધી. ગાયકે રૉયલ્ટી પસંદ કરી અને તે જમાનામાં દોઢ લાખ કમાયા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો પગાર ૭૫ રૂપિયા હતો! ગીત હતું
‘પ્રિતમ આન મિલો
દુખિયા જીયા બુલાયે…’
અને ગાયક ચંદ્રુ આત્મા – જેમનું સૂરજ્ઞાન શૂન્યવત્ હતું પણ આત્માની જેમ અમર થઈ ગયા! શ્રેય તો અલબત્ નૈયર સાહેબને!
સદ્ભાગ્યે નૈયર સાહેબે ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને અનેક અણમોલ ગીતોનો વારસો છોડી ગયા.
ઓ પી નય્યરે આ ધુનને ફરી એક વાર કરૂણ આર્જવનાં તીવ સ્વરૂપે પ્રયોજી
આશાજીએ આ ગીત ગાઈને તો કમાલ કરી! ભારતીય સિને સંગીતનો Hall of Fame કદી બનાવવામાં આવે, તેમાં આ ગીત અચૂક આવે!
આશાજીએ ગાયેલાં અદ્વિતિય ગીતોમાં યાદ આવે છે. એક વસમી વિદાયની યાદ આપતું બીજું ગીત: જીવનની બંદીશાળામાં પૂરાયેલી બહેન શ્રાવણની અમિધારા જોઈને ગાય છે- પિતાજી, સાવન આવ્યો છે. આ વરસે તો ભાઈને મોકલી મને પિયર બોલાવો…
‘અબ કે બરસ ભીજ ભૈયા કો, બાબુલ”
***
સ્મૃતિવનની વાત કરીએ તો પંકજદા’ની યાદ આવ્યા વગર ન રહે! યાદ છે આ ગીત?
તેરે મંદિરકા હું દીપક જલ રહા…
ક્રિસમસ કૅરલ, સામાન્ય રીતે, હંમેશા ગવાય છે પાશ્ચાત્ય સંગીતના ઢાળમાં. પરંપરાગત ભારતીય સંગીત, તે પણ કર્ણાટક પદ્ધતિમાં ગવાયેલું આ કૅરલ યાદ છે આપને? એ. આર. રહેમાન જેવા પ્રતિભાશાળી સંગીતકાર જ આવી અપ્રતિમ કૃતિ આપી શકે:
આજના અંકની આખરમાં એક મહાન ગાયકના કંઠે ગવાયેલ અદ્ભૂત ગીત રજુ કરીશ. આ ગીત પણ લગભગ ભુલાઈ ગયું છે. જો કે તેની તાજગી હજી પણ એવીને એવી જ રહી છે. સ્વ. સાયગલ સાહેબે ગાયેલું ચંડીદાસનું કિર્તન …
આપણને કોઇ પ્રશ્ન કરે કે “તમે ખેત ઉત્પાદિત માલની ગુણવત્તા વિશે વધુ કાળજી રાખો કે માલના મણિકા વધુ મળે એ બાબતે ? ” મોટા ભાગના ખેડૂતો તરફથી તુરતમાં જ મળનારો જવાબ હશે- “ ગુણવત્તા બુણવત્તા કોરાણે મૂકી, વધુ ખનખનિયાં જોઇતાં હોય તો માલનો જથ્થો વધારવા તરફ પહેલું ધ્યાન આપવું પડે !”
પણ હવે એવું નથી રહ્યું. પહેલાં માલની ગુણવત્તા તરફ ઓછું ધ્યાન અપાયે ચાલતું હતું. પણ હવે જ્યારે ગ્રાહક માલની ગુણવત્તા [ક્વોલીટી] તરફ વિશેષ ધ્યાન દેવા લાગ્યો છે ત્યારે, માલનો માત્ર જથ્થો [કવોન્ટીટી] વધુ નાણાં નથી અપાવતો. હા, જથ્થો વધુ મળે તેવું આપણું લક્ષ અવશ્ય હોય પણ સાથોસાથ પેલા ડોક્ટરે કર્યા જેવું “ઓપરેશન સફળ પણ દર્દીનું મૃત્યું ” એવું ન થઈ જાય તેય જોવું જોઇશેને ? ક્વોન્ટીટીથીયે વિશેષ ક્વોલિટી પર ધ્યાન આપવાનો તકાદો નવી વૈશ્વિક બજારની સ્પર્ધાએ ઊભો કર્યો છે. એટલે એ બાબત ધ્યાન નહીં અપાય તો ભારતનો ખેડૂત ફેંકાઈ જવાનો.
દાણા અને ફળનું કદ ; અરે ! આપણી પરંપરાગત ચાલુ બજારની રૂખ તપાસો ! દા. ત. ફળોમાં બોર લો. ઉમરાન અને ગોલા બન્ને જાતોનાં ઝાડવાં પર મોટાં અને નાનાં એમ બે પ્રકારનાં બોર મળતાં જોશો. એક પૂરા કદના મૂઠી મૂઠી જેવડાં મોટાં અને બીજા નાનાં – છબ્બા-પાંચિકા ઘાટના ચમેલી બોર. ઝાડવા પરથી સંખ્યાની દ્રષ્ટિએ ચમેલી બોર મળે ઘણાં, કદાચ મોટાની સરખામણીએ વજનમાં પણ બમણાં ! પણ મોટાં બોરની સરખામણીએ ફળો વિણવાની મજૂરી લાગે ત્રણગણી વધારે અને બજારમાં વેચવા જતાં ભાવ મળે મોટાની સરખામણીએ ૬૦ ટકા જ ! [૪૦ % ઓછા ] એવો બે બાજુનો માર એકલા જથ્થાને વળગવા જઈએ તો પડે !
દાડમનું પણ આવું જ. મોટાં દાડમ ૫ કીલોમાં ૮ થી ૧૦ નંગ આવે, જ્યારે નાનાં આવે ૨૦-૨૫. પણ બન્ને વચ્ચે ફરક ભાજી અને ખાજાનો ! બેય વાના ટકે શેર વેચવા હોય તો કોઇ ગંડુરાજાની નગરી ગોતવી પડે. પણ ત્યાંની ખબર છે ને-શોધી ચડાવે શુળીએ જાડા નરને જોઈ !
મગ, ચણા, વાલ જેવા કઠોળ કે જીરૂ-વરિયાળી-રાઇ-ધાણા જેવા મસાલામાં નાનાની સરખામણીએ મોટા કદનો દાણો સમજણા ગ્રાહકની નજરે પહેલી પસંદગી પામે છે.બાજરા, ઘઉં અને જુવારને દળી, તેનો લોટ કરીને ખવાય છે. ત્યાં દાણો ઝીણો હોય કે મોટો, લોટમાં એ દેખાય ખરું ? છતાં મોટા દાણાવાળું અનાજ સવાયા-દોઢા ભાવ આપીને કેમ ખરીદાય છે ? દાણાની ગુણવત્તા લોટમાં ઉતરે. એટલે આપણું ઉત્પાદન માત્ર એકલું વજનમાં વધુ હોય એટલું પૂરતું નથી. પણ કદમાં મોટું અને તેજવાળું આકર્ષક હોય, એ પણ એટલું જ મહત્વનું બની રહે છે.
ઉત્પાદનનો સ્વાદ : ઘણીવાર એવું બનતું હોય છે કે અનાજ, ફળ કે શાકભાજીના સ્વાદ અને સુગંધ એવાં હોય છે કે ખાનારને પરાણે વ્હાલાં લાગે ! કેરીમાં ‘કેસર’ એટલે જાત કેસર ભલેને હોય, પણ મણાર [ભાવનગર જિલ્લો] ની કેસર અને નવસારીની કેસરમાં સો અને છ નો ફેર હોય છે ભાઇ ! એવું જ રીંગણે રીંગણે ફેર, દાણે દાણે ફેર. એક બાજરાનો રોટલો ખાવાથી પણ ખ્યાલ ન આવે કે શું ખાઇએ છીએ ! જ્યારે બીજી જાત એવી હોય છે કે બાજુના ઘેર તાવડીમાં ચડતો હોય અને રોટલાની સુગંધ આપણા ઘેર આવે ! માલ એવો પકાવવો જોઇએ કે માણસ ખાતા કે ઉપયોગ કરતાં ન ધરાય ! હાઇબ્રીડ બાજરી ઉતરે વીઘે ૩૦ મણ અને દેશી બાજરો ઉતરે ૧૫ મણ. પણ ખાનાર ભાવ આપે હાઇબ્રીડની સરખામણીએ દેશીના ત્રણગણા વધુ ! આપણે શું કામ વધુ મણીકા લેવાનો આગ્રહ રાખવો ?
ઉત્પાદનની ચોખ્ખાઇ : આપણે એવું પણ ક્યાં નથી જોયું કે કપાસનો તોલ ચાલુ હોય અને ગાળે-ગોંખલેથી ઉંદરો દ્વારા નુકસાન પહોંચેલ ભડવાળો માલ ભળાય કે થડીના તળીએથી થોડી પીળી ટાંચવાળો કે ભેજવાળો, સહેજ શ્યામ પડી ગયેલો કપાસ ભળાય એટલે તોલાટ તોલ પડ્યો કરી, ભાવમાં કાપકૂપ કરવાની માથાકૂટ શરૂ કરી દે છે. આવું તો માર્કેટયાર્ડમાં પણ એક બે ને ત્રણથી વાહનમાં ભરેલ કપાસનો ભાવ નક્કી કર્યા પછી પણ વેપારી તળીએથી કીટી-કસ્તર કે ડોચકાંવાળો થોડો પણ માલ ભાળી જાય તો ભાવ તોડ્યા વિના તોલ આગળ ચાલુ કરતો નથી.
તમને પણ અનુભવ હશે, કે મગફળીનો તોલ ચાલુ હોય અને વેપારીની ઝીણી નજરમાં એકલ દાણાની શીંગ નજરે પડે તો કચવાતે મને જોખવાનું ચાલુ રાખે છે, પણ શીંગ સાથે થોડીકેય માટી ચોટેલી કે ભાંગલી-તૂટેલી કે સળેલી શીંગ, કે સાથે થોડી ડાંખળી કે થડિયાંના કટકા નજરે ચડી જાય તો વિફરે છે. ટકાવારી ગણીએ તો બે-પાંચ ટકાથી વધુ ખરાબ શીંગ,ડાંખળાં કે માટીનું વજન હોય નહીં ! પણ એ ૧૫ % કડદો કરવાનું નક્કી કરાવીને જ ખુડદો [ભેગો આપણોય } કરતા હોય છે. એટલે માત્ર વધુ વજન એજ આપણું લક્ષ નહીં રહેતાં, ચોખ્ખું પણ એટલું જ હોવું જરૂરી છે.
ઉત્પાદનની એક સમાનતા : પાકાં આમળાં કે બોરના પેકીંગનું મોઢું માર્કેટયાર્ડમાં દલાલ ખોલે કે તરત ખરીદનાર વેપારી ઝબ…..કરતો ને ખોબો ભરે છે. અને એમાં મોટાં ભેળાં જો થોડાકેય નાનાં ફળો ભાળી જાય, એટલે આવી જ બને આપણું ! બસ, “તમારો માલ આવો અધ-બે-હરો ને સાવ નબળો છે” કહી, બને તેટલા નીચા ભાવે પડાવી લેવાની પેરવી આદરે છે.
રીંગણાં કે ભીંડાની પોટકી શાકપીઠમાં હરાજી અર્થે ખોલે અને અંદર જો થોડીકેય છાલ પાકટ થઇ ગયેલાં એકાદ-બે રીંગણાં કે ભીંડાની શીંગ ભલે ને થોડી અમસ્તી નજરે ચડી જાય, એટલે આખી પોટકીનું જ આવી બને ! દૂધીની ભારીમાં ઘરડી દૂધીનો વાંધો લે તે તો સમજાય, પણ વધુ પડતી કૂણી ભાળી જાય, તો તેનો પણ “કાળી પડી જાય” કહી વાંધો દેખાડે. અને સાવ નાખી દીધાના મૂલે માગણી કરે ! અરે, બજાર થોડા મંદ હોય અને દૂધી-રીંગણાંમાં થોડુકેય કહેવાપણું હોય, તો હરાજીમાં જવાને બદલે પોટકાં સીધાં ગાયોના મોઢે ઠલવવાના થાય, અને ચલાખા ખેંચી ઘરભેગા થવું પડે તે વધારામાં.
રસાયણ મુક્ત ઉત્પન્ન : આપણે ત્યાંથી નિકાસ કરીને પરદેશ મોકલેલ હજારો મણ તલ ભરેલી સ્ટીમરો અંદર ઝેરી રસાયણોની અસર માલુમ પડતાં, માલ ઉતાર્યા વિનાની એમનેએમ પાછી આવ્યાની નોંધ આપણા રેકર્ડમાં છે. અને હવે તો આંતરરાષ્ટ્રીય બજારો ખુલ્લા થતાં આપણી પેદાશોમાં કોઇપણ રસાયણકે ઝેરની અસર, તેમને વાંધાજનક હોય તેવા પ્રમાણથી વધુ જણાય, તો તેવું ઉત્પાદન દેખાવમાં ભલેને ખૂબ આકર્ષક અને કદમાં મોટું હોવા છતાં તે નાપાસ થાય છે.અરે ! હવે તો માલ ઉતાર્યા પછીની તેની ટકાઉ શક્તિ [કીપીંગ કેપેસીટી] તે કેટલો સમય બગડ્યા વિના એવીને એવી તાજગી ટકાવી શકે છે , તેનું પણ મૂલ્ય આંકવામાં આવી રહ્યું છે.
યોગ્ય પ્રક્રિયા : જો આ બધાનો વિચાર નહીં કરીએ તો કેમ ચાલશે ? છોડ કે ઝાડ પર તૈયાર થતા દાણા કે ફળ નાનાં હશે કે મોટાં, તંદુરસ્ત પાકશે કે સળેલાં, અરે ! ઝેરી અસરથી મુક્ત હશે કે ઝેરી અસરવાળાં, તેતો પાકની વાવણીથી માંડી લણણી સુધીના ગાળા દરમ્યાન તેને અપાયેલી માવજતો, તેની રોપણી વખતે વપરાયેલ બિયારણની જાત, અને કુદરત તરફથી હવામાનમાં થયેલા ફેરફાર પર આધારિત હોય છે. પણ તે તૈયાર થયા પછી તેને ગ્રાહક, વેપારી કે બજાર સુધી પહોંચાડતાં પહેલાં આપણે ખેડૂતો તેના પર કરવી જોઇતી ચોખ્ખાઇની, ગ્રેડીંગની અને પેકીંગની પ્રક્રિયાઓ કરવા માટે જવાબદાર છીએને ! તો એવું કરવાનું બાજુ પર રાખી વજન વધુ, [મણિકા] થોકબંધ માલ પકાવ્યાની ડંફાસ માર્યા કરીએ એટલે એકડા વિનાનાં એકલાં મીંડાં ગણવા જેવી વાત થઈ ગણાય.
તમે જ કહો !: આપણી કઈ આંખ ફૂટે તો દુ:ખ ન લાગે ? ખેડુતને મન ઉત્પાદનનો “જથ્થો” જમણી આંખ છે, તો તેની “ગુણવત્તા” ડાબી આંખ છે. ડાબી ફૂટે કે જમણી, ઉત્પાદન તો કાણિયું જ કહેવાશે ને ! વધુ જથ્થામાં ઉત્પાદન અને એય પાછું ગુણવત્તામાં અવ્વલ નંબરવાળું ઉત્પન્ન થાય ત્યારે જ તેની નજરે પોતાની અને સમાજની બન્નેની સમૃદ્ધિના દર્શન પામી શકે.
પક્ષીઓ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું તે પહેલાં, એક નાનું રહસ્ય હતું જે ક્યારેય મારાથી ઉકલતું નહોતું.
દર ઉનાળાની બપોરે, મને મારા ઘર નજીક, ધાતુ પર કંઈ ટીપાતું હોય એવો એકતાન, એક વિચિત્ર, અવાજ સંભળાતો.
“ટુક…ટુક…ટુક…ટુક…”
મને હંમેશા એમ લાગતું કે નજીકમાં કોઈ કાર રિવર્સ ગિયરમાં ફસાઈ ગઈ છે. અવાજ એટલો ચોક્કસ અને પુનરાવર્તિત હતો કે તે કૃત્રિમ લાગતો હતો. હું ક્યારેક આસપાસ પણ જોતો કે કયું વાહન આ અવાજ કરી રહ્યું છે. પરંતુ મને ક્યારેય તેનો સ્ત્રોત મળ્યો નહીં. આખરે, મેં તેના પર પ્રશ્ન કરવાનું બંધ કર્યું અને તેને શહેરના પૃષ્ઠભૂમિ અવાજના ભાગ રૂપે સ્વીકાર્યું.
વર્ષો પછી, મેં પક્ષીનિરીક્ષણ કરવાનું શરૂ કર્યા પછી, મેં ફરીથી તે જ અવાજ સાંભળ્યો. આ વખતે, રસ્તા તરફ જોવાને બદલે, મેં ઝાડ તરફ જોયું.
ત્યાં, લીમડાના ઝાડના ગાઢ પાંદડાઓમાં સ્થિર બેઠેલું, એક નાનું લીલું પક્ષી અથાક અવાજ કરી રહ્યું હતું. તે દિવસે મને તે ટુક ટુક અવાજનો સ્ત્રોત મળ્યો – કોપરસ્મિથ બાર્બેટ, જેને ગુજરાતીમાં કંસારો તરીકે ઓળખાય છે, તે નજરે પડ્યું.
“કોપરસ્મિથ” નામનું અંગ્રેજી નામ સીધું તેના અવાજ પરથી મળ્યું છે. તેનો અવાજ જાણે તાંબા-પિત્તળનો કારીગર (કંસારો) સતત ધાતુ પર હથોડી ટીપતો હોય તેવો અવાજ સંભળાય છે. ગુજરાતીમાં, “કંસારો” નામ પણ તેને તેજ કારણથી મળે છે એન્જિન અને ઇલેક્ટ્રોનિક રિવર્સ એલાર્મ અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં, લોકોએ આ પક્ષીના લયની તુલના ધાતુકામના અવાજ સાથે કરી હતી.
સંવર્ધન ઋતુ દરમિયાન, ખાસ કરીને માર્ચથી જૂન દરમિયાન, કંસારો સતત ઘણી મિનિટો સુધી સતત અવાજ કરી શકે છે, ઘણીવાર તે બપોરની ગરમીમાં બોલવાનું શરુ રાખે છે જ્યારે મોટા ભાગના અન્ય પક્ષીઓ શાંત થઈ જાય છે. મધુર ગીત ગાતા પક્ષીઓથી વિપરીત, તે તેના અવાજમાં બહુ ફેરફાર કરતું નથી. તે ફક્ત યાંત્રિક અને પુનરાવર્તિત અવાજ સળંગ કાઢે છે.
[વહેલી સવારે ઊંચી ડાળ પર તડકો સેકતો કંસારો]પહેલી નજરે, કોપરસ્મિથ બાર્બેટ એક સામાન્ય લીલું પક્ષી લાગે, પરંતુ નજીકથી જોવામાં સુંદર વિગતો દેખાય છે: કપાળ પર એક તેજસ્વી લાલ ડાઘ, આંખ આસપાસ પીળી રીંગ, જાડી ભારે ચાંચ, અને ગળા અને છાતી પર સૂક્ષ્મ રેખાઓ. તેનું લીલું શરીર તેને પાંદડા સાથે સંપૂર્ણ રીતે ભળી જવા દે છે. તે અવાજ કરતી વખતે સ્થિર બેસે છે જેની કારણે તે દેખાય ઓછી સંભળાય વધારે છે.
આ પ્રજાતિ ભારતીય ઉપખંડમાં વ્યાપકપણે મળે છે અને માનવોની નજીક રહેવા માટે ટેવાયેલી છે. તે બગીચાઓ, ખેતરો, મંદિરો, કોલેજ કેમ્પસ અને વ્યસ્ત નગરોમાં પણ સામાન્ય છે. તેને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ઓછામાં ઓછી ચિંતાજનક પ્રજાતિ તરીકે તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેની વસ્તી સ્થિર માનવામાં આવે છે. શહેરી વાતાવરણમાં તેની અનુકૂલનક્ષમતાએ તેને ટકી રહેવામાં મદદ કરી છે જ્યાં ઘણી અન્ય પ્રજાતિઓ ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.
કોપરસ્મિથ બાર્બેટ મુખ્યત્વે અંજીર, વડ, પીપળા, ઉંબરા જેવા વૃક્ષોના ટેટા, જામફળ વગેરે જેવા ફળો ખાય છે.આમ કરવાથી, તે બીજ ફેલાવનાર તરીકે મહત્વપૂર્ણ ઇકોલોજીકલ ભૂમિકા ભજવે છે. ફળો ખાધા પછી, તેની ચરક દ્વારા બીજનો ફેલાવ કરે છે, જે પરોક્ષ રીતે નવા વૃક્ષોના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપે છે. આપણા શહેરોમાં છાંયો પૂરો પાડતા ઘણા મોટા વડ, પીપળા અને ઉંબરાના વૃક્ષો તેમના બીજના ફેલાવ માટે કંસારા જેવા ફળાહારી પક્ષીઓ પર નિર્ભર કરે છે. ઘણી વખત બચ્ચાઓને પૂરતું પોષણ પૂરું પાડવા તે ઘણી વખત જીવ-જંતુઓનો પણ શિકાર કરે છે.
આ પક્ષીના નર અને માદા દેખાવમાં સમાન હોય છે, જેના કારણે બાર્બેટની ઓળખ ખૂબ જ સરળ બને છે. તેઓ ઘણીવાર ઝાડના થડ પર ચઢતા જોવા મળે છે, જે લક્કડખોદ જેવું જ વર્તન દર્શાવે છે – તેઓ લક્કડખોદની જેમ ઝાડમાં નાના છિદ્રો પણ ખોદે છે, જે તેમના માટે રહેવા અને માળો બાંધવા માટે પૂરતા મોટા હોય છ. કંસારો કેવીટી નેસ્ટર હોય છે એટલે કે તે ઝાડના પોલાણમાં માળો બાંધતા હોવાથી, કાબર જેવા અન્ય પક્ષીઓ સાથે સ્પર્ધા તેમના માટે થોડી સમસ્યારૂપ છે.તેની મજબૂત ચાંચનો ઉપયોગ કરીને, તે મૃત અથવા નરમ લાકડામાં એક સુઘડ, ગોળાકાર પ્રવેશદ્વાર બનાવે છે અને થડ અથવા ડાળીની અંદર એક ચેમ્બર બનાવે છે. નર અને માદા બંને આ પ્રયાસમાં ભાગ લે છે. આ પોલાણનો પાછળથી અન્ય નાના પક્ષીઓ જેમ કે દૈયડ, રાખોડી રામચકલી વગેરે દ્વારા ફરીથી માળો બાંધવા ઉપયોગ કરી શકાય છે, જે બાર્બેટનો સ્થાનિક ઇકોસિસ્ટમમાં વધારાનો એક નાનો પણ મહત્ત્વનો ફાળો છે.
[માળો બનાવવા માટે ઝાડના થડમાં છિદ્ર ખોદતો કંસારો]આવા નાના પક્ષીઓ જેમણે, શહેરો અને માનવ-પ્રભુત્વ ધરાવતા લેન્ડસ્કેપ્સમાં રહેવા માટે સંપૂર્ણ રીતે અનુકૂલન સાધી લીધું છે, શાંતિથી આપણા રોજિંદા જીવનની પૃષ્ઠભૂમિ બનાવે છે. આપણે તેમને વાયર પર, છત પર, બગીચાઓમાં, અને આપણી બારીઓની બહાર પણ જોઈએ છીએ – છતાં આપણે ભાગ્યે જ તેમની નોંધ કરીએ છીએ, પરંતુ આ પક્ષીઓ સામાન્ય નથી. તેઓ માનવ પ્રવૃત્તિઓના ભારે દબાણ હેઠળ રહેલા ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા જંતુઓની વસ્તીને નિયંત્રિત કરે છે, કુદરતી રીતે જંતુઓ ઘટાડે છે. કેટલાક પરાગનયનમાં મદદ કરે છે, જ્યારે અન્ય બીજ ફેલાવે છે, જેનાથી જગ્યાઓમાં પણ ઉગાડી શકે છે. સફાઈ કરતી પ્રજાતિઓ કચરો સાફ કરે છે, રોગનો ફેલાવો અટકાવે છે.
એવા શહેરોમાં જ્યાં કુદરતી રહેઠાણો સંકોચાઈ રહ્યા છે, આ પક્ષીઓ શાંત ઇકોલોજીકલ કાર્યકરો તરીકે કાર્ય કરે છે. તેઓ શહેરી જીવનને સ્વસ્થ, સ્વચ્છ અને વધુ સંતુલિત બનાવે છે – ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી આવતો.
તેમનું રક્ષણ કરવું એ ફક્ત પક્ષીઓને બચાવવા વિશે નથી; તે માનવ જીવનને ટેકો આપતા નાજુક ઇકોલોજીકલ નેટવર્કનું રક્ષણ કરવા વિશે છે.