-
જીવનનો સ્ટૉક લેવાની તૈયારી
મંજૂષા
વીનેશ અંતાણી

દુનિયાને જોવા અને સમજવા માટે કેટલાક લોકો લાંબા પ્રવાસમાં નીકળી પડે છે. એમણે કાપેલા પંથ વિશે, માર્ગમાં મળેલા અનુભવો વિશે અને આગળની દિશા વિચારવા માટે તેઓ થોડાથોડા સમયે ઊભા રહે છે. એ જ રીતે આપણે પણ થોડાથોડા સમયે આપણા જીવનના ઉદ્દેશ, સફળતા, નિષ્ફળતા વિશે વિચારવું જોઈએ. અંગત જાતતપાસની સાથે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે એની સમગ્રલક્ષી વિચારણા પણ કરતા રહેવું જોઈએ.
આપણે એકવીસમી સદીનાં પહેલાં પચીસ વર્ષોનો પડાવ પાર કરી ચૂક્યા છીએ. ધ્યાનથી જોશું તો આજની દુનિયા કોઈ સ્થિર નકશા જેવી જણાતી નથી. કેલિડોસ્કૉપની જેમ એની ભાતો બદલાતી રહે છે. વ્યક્તિગત જીવનમાં પણ એવું જ બની રહ્યું છે. બદલાતાં દૃશ્યોની ઝડપ એટલી બધી વધારે છે કે સાચું ચિત્ર મેળવવું મુશ્કેલ બની જાય છે. માનવોએ જુદાંજુદાં ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરી છે. ટેક્નોલોજી અને વિજ્ઞાને માનવજીવનને પૂરેપૂરું બદલી નાખ્યું છે. તબીબીક્ષેત્રમાં નવાંનવાં સંશોધનો અને શોધોથી અસાધ્ય બીમારી પર કાબૂ મેળવવાની સંભાવના વધી છે. વાહનવ્યવહારમાં થયેલી પ્રગતિથી આજે દુનિયાના કોઈ પણ સ્થળે વિનાવિલંબે પહોંચી શકાય છે. કોમ્યુનિકેશન ટેક્નોલોજીની હરણફાળથી ક્ષણવારમાં વિશ્વના કોઈ પણ સ્થળમાં વસતા લોકો સાથે જોડાઈ શકાય છે.
આટલી વિરાટ પ્રગતિ થઈ હોવા છતાં ઘણા સંવદેનશીલ અને બૌદ્ધિક લોકોને લાગે છે કે આપણે કશુંક ખૂબ અગત્યનું ચૂકી ગયાં છીએ. ટેક્નોલોજીએ અનેક સુવિધાઓ પૂરી પાડી છે, પરંતુ લોકો માનસિક શાંતિ મેળવી શકતા નથી. માનવજાત પાસે શક્તિશાળી યંત્રો છે, છતાં લોકોના જીવનમાં બેચેની. ચિંતા, અધૂરપ અને અસંતોષનું પ્રમાણ વધ્યું છે. આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવી સગવડોને કારણે એકમેકની સાથે જોડાયા છીએ, છતાં એકલા પડી ગયા હોઈએ એવી લાગણી કોરી ખાય છે. માહિતીઓના ધોધની વચ્ચે સત્ય અને જૂઠને અલગ તારવવાં લગભગ અશક્ય બની ગયું છે. આ પ્રકારના અનેક વિરોધાભાસોના વર્તમાનમાં એક ધારદાર પ્રશ્ન સામે આવીને ઊભો રહે છે કે આપણે બધી રીતે સમૃદ્ધ થયા, છતાં ભીતરથી ખોખલા થઈ ગયા હોઈએ એવું કેમ લાગે છે?
એક યુવતી મહત્ત્વના પ્રોજેક્ટ માટે રિસર્ચ કરતી હતી. એ માટે એણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેરિત માધ્યમોનો ઉપયોગ કરી ઘણી આવશ્યક માહિતીઓ મેળવી. એના આધારે એણે બહુ ઓછા સમયમાં એના પ્રોજેક્ટનો મુસદ્દો તૈયાર કરી લીધો. પછી એ મુસદ્દો વાંચવા બેઠી ત્યારે વિચિત્ર પ્રકારનું ખોખલાપણું અનુભવવા લાગી. એને થયું, એમાંનું કશું એણે પોતે તૈયાર કર્યું નથી, કોઈ બીજા પાસે તૈયાર કરાવ્યું છે. એને મનથી બહુ ખરાબ લાગ્યું કે એણે પોતાની આવડત અને જ્ઞાનને બાજુમાં મૂકી જાતને આઉટસોર્સ કરી દીધી અને જાત સાથે છેતરપીંડી કરી. એ યુવતી પોતાને કોઈ અજ્ઞાત બળને હવાલે કરી દેવાનો અપરાધભાવ સહન કરી શકી નહીં. એણે એ.આઈ. પાસે તૈયાર કરાવેલા પ્રોજેક્ટનો ડ્રાફ્ટ ફાડી નાખ્યો અને જાતે રિસર્ચ કરી પ્રોજેક્ટ પૂરો કર્યો ત્યાર પછી જ એને શાંતિ થઈ.
એવું જ ખોખલાપણું જીવનનાં લગભગ બધાં ક્ષેત્રોમાં ફેલાયું છે. એક સમયે સંયુક્ત કુટુંબો આપણી સામાજિક વ્યવસ્થાનાં આધારસ્તંભ હતાં. આજે સંયુક્ત કુટુંબની ભાવના સંકોચાઈ ગઈ છે. કુટુંબો નાનાંનાનાં એકમોમાં વેરવિખેર થઈ ગયાં છે. ટેક્નોલોજીએ અરસપરસ સંવાદની પદ્ધતિ બદલી નાખી છે. સોશિયલ મીડિયા લોકોને જોડે છે તો તોડે પણ છે. સંબંધો રાતોરાત મજબૂત બનતા નથી, એનાં મૂળ દૃઢ કરતાં વર્ષો લાગે છે, એ સાદું સત્ય ભુલાઈ ગયું છે.
ડિજિટલ યુગમાં અનેક નવી તકો ઊભી થઈ છે, પરંતુ લોકોનું ધ્યાન ક્ષુલ્લક અને બિનજરૂરી બાબતોમાં ગૂંચવાઈ ગયું છે. વિકાસના નામે માનવોએ પ્રકૃતિનો વિનાશ કરી નાખ્યો. જંગલો ઊજડી ગયાં, નદીઓ પ્રદૂષિત થઈ ગઈ. હવા શ્ર્વાસ લેવા માટે શુદ્ધ ન રહી. માનવસમાજમાં ફાટફૂટ પાડવાનું વલણ પણ એક જાતનું પ્રદૂષણ છે. સામાજિક અને ધાર્મિક વિખવાદોથી માણસ માણસ વચ્ચેનું અંતર વધવા લાગ્યું છે. આજે બધાંને માત્ર પોતે જ બોલવું છે, બીજાને સાંભળવાની તૈયારી નથી. મુક્ત વાતાવરણમાં વૈચારિક આદાનપ્રદાનના માર્ગો બંધ થવા લાગ્યા છે. આર્થિક અસમાનતા વધી છે. શ્રીમંતો વધારે શ્રીમંત અને ગરીબો વધારે ગરીબ થવા લાગ્યા છે. આ પ્રકારના સામૂહિક પ્રશ્નોનો સામનો લોકો અંગતજીવનમાં પણ કરી રહ્યા છે. સફળતા પાછળ આંધળી દોટમાં જીવનનો મૂળ હેતુ ચુકાઈ ગયો છે. સફળતાનો અર્થ માત્ર ભૌતિક સુખસુવિધા મેળવવાના પ્રયત્નોમાં જ સમાઈ ગયો છે. લોકો અંગત જીવનમાં સંબંધોની પવિત્રતા ભૂલવા લાગ્યા છે. એક પરિસ્થિતિનો સામનો કરવા જતાં મૂંઝવી નાખે એવી બીજી પરિસ્થિતિઓ સામે આવી જાય છે. જીવનનો લય ખોરવાયો છે. બેફામ ગતિના ગાંડપણમાં ઠરેલ બુદ્ધિ, લાગણીનું ઊંડાણ અને નૈતિક જવાબદારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે.
વર્તમાન પરિસ્થિતિનું સરવૈયું કાઢતા રહેવાથી જીવનમાં સાચી દિશા મળે છે. આધુનિક માનવસભ્યતા સામે ઊભા થતા પડકારો માત્ર ટેક્નોલોજીના વિકાસથી જ નહીં, બાહ્ય પ્રગતિ અને આંતરિક વિકાસની વચ્ચે સમતોલન જાળવવાથી ઉકેલી શકાશે. માનવચિત્તમાં સમભાવ જાગે, કરુણા વિકસે, માનવમૂલ્યો જળવાય અને જૂની પેઢીનું ડહાપણ ફરી મેળવી શકાય તો આપણી અંદર વારંવાર અનુભવાતા ખાલીપણાંને ભરી શકાય. આંતરિક વિકાસ પણ વૈજ્ઞાનિક શોધો અને ટેક્નોલોજીના જાદુ જેટલો જ જાદુઈ છે.
માનવોની સામૂહિક અને અંગત યાત્રામાં ડગલેને પગલે નવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. કોઈએ કહ્યું છે કે સવાલો એના એ જ હોય, પરંતુ એના જવાબ દરવખતે જુદા મળે છે. થોડાથોડા સમયે ઊભા રહી શાંતચિત્તે વિચારવું જોઈએ કે આપણે શું યોગ્ય કરી શક્યા અને ક્યા ખોટા માર્ગે વળ્યા? સાથેસાથે જાતને એ પણ પૂછવું જોઈએ કે આપણે આપણાં સંતાનોને કેવી દુનિયા વારસામાં આપી જવા માગીએ છીએ?
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
કુદરતી ધુમાડો વાતાવરણને શુદ્ધ કરી શકે?
સ્વરૂપ સંપટ

કચરો અને પ્લાસ્ટિક બાળવાથી થતા ધુમાડાથી આપણી આસપાસના પર્યાવરણને, વાતાવરણને અને શરીરને નુકસાન થાય છે. જરા વિચારો!
૨૦૭માં જર્નલ ઓફ એથનોફાર્માકોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસમાં સંશોધકોએ લાકડાંની સાથે ઔષધીય વનસ્પતિઓનું દહન કરવામાં આવે છે તેને ‘મેડિસિનલ સ્મોક’ એવું નામ આપેલું. આની તપાસ સાવ સરળ હતી : કુદરતી ધુમાડો વાતાવરણને શુદ્ધ કરી શકે? એક ઓરડાને કલાક માટે બંધ કરવામાં આવે તો હવામાં રહેલા જીવાણુઓની સંખ્યા માત્ર ૬૦ મિનિટમાં ૯૪ ટકા જેટલી ઘટી જાય. આમાં ક્યાંય પર્ફ્યૂમ નહોતું, તે સૂક્ષ્મ જીવાણુઓના પ્રમાણમાં ઘટાડો હતો. વધારે આશ્ચર્યની વાત એ છે કે તેની અસર થઇ – એ જગ્યા ચોવીસ કલાક માટે ખરા અર્થમાં સ્વચ્છ રહી. એક ખુલ્લા ઓરડામાં ચોક્કસ રોગજન્ય જીવાણુઓ રહેલા હોય છે તે પ્રારંભમાં માત્ર ૩૦ દિવસ ખુલ્લો રાખતા ગાયબ થઇ જાય છે.
અત્યારે જ્યારે સ્વચ્છતા માટે સ્પ્રે કરવામાં આવે છે. સંશોધનો દર્શાવે છે કે વિશિષ્ટ છોડ-પાન આધારિત ધુમાડો કરવાથી ગમે તેવા જીવાણુઓ હોય, તે દૂર થઇ શકે છે. છોડનું વૈવિધ્ય અને માનવ રોગજન્ય જીવાણુ બંધિયાર વાતાવરણમાં હોય તે દૂર થાય છે. આ બાબત આપણી આધુનિક માન્યતા મુજબ વિચાર કરતા કરી મૂકે છે કે ફિલ્ટરેશન પદ્ધતિ અને કેમિકલ ફોર્મ્યૂલેશન્સથી હવાની ગુણવત્તા સુધરે છે.
સનાતન ધર્મમાં આગનો અર્થ અગ્નિ છે, માધ્યમ છે, સંદેશવાહક છે, શુદ્ધ કરનાર છે. સદીઓથી હોમ, હવન, યજ્ઞ કરવામાં આવે છે તેના પવિત્ર અગ્નિમાં ઘી, લીમડાનાં પાન, કપૂર, ચંદન, છાણાં જેવાં વિશિષ્ટ તત્ત્વોનો સમાવેશ થાય છે. આ તમામ સામગ્રીને સંભાળપૂર્વક તૈયાર કરી, ઓષધીઓના મિશ્રણ અને રાળનો પરંપરાગત રીતે જણાવાયેલો હોય તે રીતે ઉપયોગ થાય છે. એક વાર મારા ઘરમાં નાનકડી પૂજાનું આયોજન કર્યું હતું. હવનકુંડ નાનો હતો અને રૂમમાં સૂર્યપ્રકાશ સારો હતો. કોઇ દીવાસળી અને કાગળોનો ઢગલો લઇ આગ પેટાવવા ગયું. ત્યારે પંડિતે તેમને વિનમ્રથી કહ્યું, ‘આવી નકામી વસ્તુઓથી અગ્નિ પ્રજ્વલિત ન કરશો. તેના માટે જે યોગ્ય હવન સામગ્રી હોય તે જ નાખવાની.’ અગ્નિ માટે કરાયેલા આગ્રહ અનુસાર શુદ્ધ રહ્યો. રિવાજ મુજબ તેમાં ઉમેરાતાં તત્ત્વોને કારણે અગ્નિની જ્વાળાઓ સહેજ ઝાંખી લાગી. એ વખતે લાગ્યું કે વૈદિક ભાષામાં રસાયણશાસ્ત્રની સમૃદ્ધિ અભિવ્યક્ત થઇ હતી.
તમે શું બાળો છો તે મહત્ત્વનું છે. પ્લાસ્ટિક બાળવાથી ઝેરી પ્રદૂષકો ઉત્પન્ન થાય છે. કેટલાક કાગળ હાનિકારક રાસાયણિક પદાર્થોનું ઉત્સર્જન કરે છે. તમાકુના ધુમાડામાં નુકસાનકારક તત્ત્વો રહેલાં હોય છે, પણ ચોક્કસ પ્રકારનાં લાકડાં અને ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિઓ જ્યારે નિશ્ચિત રીતે સગળાવીએ છીએ, ત્યારે એન્ટિમાઇક્રોબિયલ અસરો સાથે વિવિધ સંમિશ્રણ ઉત્પન્ન કરે છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ સદીઓથી ધૂમ્ર સમારંભોનું આયોજન કરે છે. તેનાથી જમીન શુદ્ધ થાય છે અને નુકસાન થતું અટકાવે છે. મૂળ અમેરિકાની કેટલીક જાતિઓ ઋષિઓની સૂચના અનુસાર ધુમાડો કરે છે. દરેકમાં છોડની પસંદગી ચોક્સાઇથી થાય છે.
આપણે આધુનિક જમાનાના વિચારોમાં આને પ્રતીકાત્મક રીતે સમજીએ છીએ, પરંતુ તેના અંગે થયેલાં સંશોધનનો સૂચવે છે કે તેનું એક પરિમાણ છે કે શુદ્ધિકરણ સારી રીતે. એવા માપમાં થવું જોઇએ કે જેનાથી હવામાં રહેલાં જીવાણુઓમાં ઘટાડો થાય. આમાં શહેરના એપાર્ટમેન્ટને ધુમાડાથી ભરી દેવાની વાત નથી. અનિયંત્રિત બાયોમાસ સળગાવવાથી થતા પ્રદૂષણથી ઘરની હવા જોખમાવાથી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ થાય છે.
આપણે ઘણા સમયથી નિશ્ચિત રિવાજો અને વિજ્ઞાન સાથે બંધાયેલા છીએ – તેને રક્ષણાત્મક માનીએ છીએ અને અન્ય પ્રત્યેની સંવેદનશીલતા દાખવવામાં થોડી કંજૂસાઇ કરીએ છીએ. સનાતન ધર્મ અગ્નિને મંત્રોચ્ચાર સાથે પ્રગટાવે છે, પ્રજ્વલિત કરે છે અને આદરપૂર્વક ઓલવાઇ જાય છે. હવન કે યજ્ઞ માટે સમિધ એટલે યજ્ઞમાં હોમવાને માટે પવિત્ર ગણાયેલી આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઉમરો, વડ, પીંપર, બીલી, ખીજડો, ધ્રોકડ અને દર્ભ વનસ્પતિઓનાં સૂકાં લાકોટિયાં, છોડિયાં કે તણખલાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચંદનની સુગંધ, કપૂરની તીવ્રતા, ગૂગળ; આ બધાં તત્ત્વોનું સંયોજન છે.
આધુનિક ઘરોમાં ઇલેક્ટ્રિક ડિફ્યુઝર્સ અને એન્ટિમાઇક્રોબાયલ સ્પ્રે ખરીદાય છે. પ્રાચીન જમાનાના ઘરમાં નાનકડો ચબૂતરો બનાવાતો અને તેમાં આંબો વાવવામાં આવતો અને ઉપયોગી ઔષધિઓના છોડ પણ વાવવામાં આવતા. એક નરમ, કૂમળો છોડ અને બીજું મોટું વૃક્ષ. એકની મનમોહક સુગંધ અને બીજામાં માટીની મહેક. બંને એક જ બાબતમાં સમાન રહેતાં – એ જગ્યાને સ્વચ્છ, શાંત અને સલામત રાખવી. નિશ્ચિત ઓર્ગેનિક તત્ત્વોના સંયોજનનું નિયંત્રણ હવાના શુદ્ધિકરણ માટે હતું.
કદાચ ભવિષ્ય પ્યોરિફાયર અને પ્રાર્થના વચ્ચે નથી રહેલું પણ પ્રાર્થના શું છે તે જાણવામાં રહેલું છે. આજે આપણે એવા જમાનામાં જીવીએ છીએ જ્યાં સ્ટરીલાઇઝેશનનું પ્રમાણ તીવ્ર છે. આપણે ફ્લેટમાં ફોગિંગ કરાવીએ છીએ, સપાટીઓને સેનિટાઇઝ કરીએ છીએ, હવાને ફિલ્ટર કરીએ છીએ. ૨૦૦૭થી થયેલો એક અભ્યાસ સૂચવે છે કે કલાક સુધી ચોક્સાઇથી લીધેલા મેડિસિનલ સ્મોકથી હવામાં રહેલા જીવાણુઓના પ્રમાણમાં ૯૪ ટકા જેટલો ઘટાડો થાય છે અને તેની અસર સુગંધિત એરોસોલ કરતાં લાંબો સમય ટકે છે. આડેધડ જે ધુમાડો કરવામાં આવે છે, તે જોખમી અવશ્ય છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ
-
ખંડિત પ્રતિમા
‘વાર્તાઃ અલકમલકની’ શ્રેણીમાં સુશ્રી રાજુલબેનની વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ રહેલી આ ૧૦૦મી અનુવાદિત વાર્તા છે.
આપણને સૌને અનેકવિધ લેખકોની વિધ વિધ વિષયોનો આસ્વાદ કરાવતા આવા અસ્ખલિત પ્રવાહમાં વહેતાં રાખવા બદલ વેબ ગુર્જરી સુશ્રી રાજુલબેનનો હાર્દિક આભાર માને છે.
સંપાદક મડળ – વેબ ગુર્જરી
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પુરાતત્વ વિભાગમાં ખળભળાટ ફેલાયો હતો.
કોઈ પ્રાચીન પ્રતિમાઓની ચોરી કરે એ સમજાય, ચોરી કરીને વેચી દે એ સમજાય, પણ આ તો અનહદ કૌતુકની એવી વાત બની હતી જે સાવ નિયમ બહારની ઘટના હતી. કાયદો હાથમાં લેનાર અન્ય કોઈ નહીં, પણ વર્ષોથી મ્યૂઝિયમની સાચવણી માટે નિયુક્ત કરેલ રામસિંહ હતો.
પુરાતત્વ ખાતાના અધિકારી કશ્યપજી તાબડતોબ ભોપાલથી સાંચી પહોંચ્યા. સાંચીના મ્યૂઝિયમમાં ખાતાના અન્ય અધિકારીઓની સાથે રામસિંહ હાજર હતો.
કશ્યપજીએ જોયું કે, મ્યૂઝિયમમાં મૂકેલી પ્રાચીન પ્રતિમાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.
“આવી બેહૂદી અને ગેરકાનૂની હરકત કોણે કરી છે?”
ક્રોધાવેશમાં ઊંચો થયેલા કશ્યપજીના અવાજથી જાણે એ ઓરડાની દીવાલો સુદ્ધાં ખળભળી ઊઠી. હાજર સૌ અધિકારીઓની નજર રામસિંહ તરફ હતી.
“રામસિંહ, આ મ્યૂઝિયમની જવાબદારી તમારા માથે હતી. વીસ વીસ વર્ષથી તમે આ જવાબદારી ખૂબ ચોકસાઈથી સંભાળી છે. આજ સુધી પ્રતિષ્ઠિત કહી શકાય એવી તમારી કારકિર્દી હતી. હવે રહી રહીને નિવૃત્ત થવાના સમયે આવી હરકત…?
“જાણો છો, તમારા આ કૃત્યથી મંત્રીથી માંડીને પ્રેસને મારે જવાબ આપવો પડશે?
“અત્યારે ને અત્યારે આ ઓરડો સીલ કરીને મારી ઑફિસમાં આવો.” કહીને કશ્યપજી લાંબી લાંબી ડાંફો ભરતા ઑફિસ તરફ ચાલવા માંડ્યા.
વાત એમની સાચી હતી. રામસિંહના પિતાજી અહીં કામ કરતા હતા ત્યારથી એ રામસિંહને ઓળખતા હતા. શૈશવકાળમાં એ રામસિંહ સાથે સાંચીના પત્થરો અને સ્તૂપની વચ્ચે ફરતા ત્યારે રામસિંહ કશ્યપજીને કહેતા, “બાબુજી, આ પત્થરો આપણને કંઈક કહે છે.”
“પત્થરો બોલે છે એવું કહેનાર તો તું પહેલો નીકળ્યો.” કશ્યપજી હસી પડતા.
અને પછી બંને વચ્ચે ચર્ચા થતી.
રામસિંહનું માનવું હતું કે પશુ-પંખીની જેમ પત્થરોની ભાષા હોય. કશ્યપજી એને પત્થરનું વિજ્ઞાન સમજાવતા. પણ, લાગણી અને બુદ્ધિ, દિલ અને દિમાગ વચ્ચે ક્યારેય મેળ નહોતો બેસતો. કશ્યપજીની તાર્કિક વાત સાથે રામસિંહની લાગણીઓને કોઈ લેવાદેવા નહોતી. ક્યારેક કશ્યપજીને સવાલ થતો કે, રામસિંહ પત્થરોની ભાષા જાણતો કે સમજતો હશે !
સમય જતા પુરાતત્વ અને ઇતિહાસનો અભ્યાસ કરીને કશ્યપજીએ દેશ-વિદેશ ફરીને પુરાતત્વ પર સંશોધન આદર્યું જેનાં લીધે એમને નામ અને દામ બંને મળ્યાં. ત્યારબાદ દેશમાં પાછા આવીને ભોપાલ ખાતે પુરાતત્વ ખાતામાં અધિકારીની પદવીએ જોડાયા ત્યારે રામસિંહે સાંચીના મ્યૂઝિયમમાં નોકરી લઈ લીધી હતી.
થોડા સમય પછી કશ્યપજીને જાણ થઈ કે, અકસ્માતમાં રામસિંહે એક પગ અને એક આંખ ગુમાવી છે.
*******
ભોપાલથી સાંચી પહોંચતા સુધીમાં કશ્યપજીના મનમાં ભૂતકાળ સજીવ થઈ ગયો. એમને રામસિંહ પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ હતી, પણ એક અધિકારી તરીકે જે કાનૂની પગલાં લેવા પડે એમાં કોઈ બાંધછોડ એ કરી શકે એમ નહોતા.
“રામસિંહ, તમે જાણો છો કે પુરાતત્વીય જણસો સાથે ચેડાં કરવા એ ગુનો છે છતાં આવું કરવા પાછળનું કારણ?”
“સાહેબ, મને આવું કરવા માટે આ પ્રતિમાઓએ કહ્યું હતું.” કાખઘોડીની ટેકે ઊભેલા રામસિંહના અવાજમાં ડર નહીં સ્વસ્થતા હતી.
ત્યારબાદ રામસિંહે જે વાત કરી એ કલ્પનાતીત હતી.
રામસિંહના કહેવા મુજબ સરકારી શાળામાં મેટ્રિક સુધી અભ્યાસ કરીને અહીં નોકરી લીધી ત્યારથી એ અહીં જ રહે છે. ક્યારેક રાતની ડ્યૂટી પર હોય ત્યારે એમણે પત્થરોને એકમેક સાથે વાત કરતા હોય એવું એમણે સાંભળ્યું છે.
પ્રતિમાઓની વાતોમાં કેટલી ઉદાસી હતી, કેટલી પીડા હતી એ સમજવા દિલ જોઈએ. કેટલીક પ્રતિમાઓને હાથ નહોતા. કેટલીકને પગ, કેટલીકને આંખ, કોઈ પ્રતિમાને કાન તો કોઈને નાક નહોતા. વળી કોઈ પ્રતિમાને માત્ર ધડ જ હતું. આ બધી ખંડિત પ્રતિમાઓને અખંડ સ્વરૂપ જોઈતું હતું.
એક મા પાસે ચૂલો હતો પણ બાળક માટે રાંધવા આખું વાસણ નહોતું. કોઈ બાળક પાસે રમવા માટે સરખું રમકડું નહોતું. ખેડૂતનું હળ તૂટી ગયેલું હતું. રાજાનો રાજદંડ તો સૈનિકના શસ્ત્રો. એક નર્તકીની પ્રતિમાને પગ નહોતો. તો વળી કલાકાર પાસે પડેલું વાદ્ય તૂટેલું હતું.
રામસિંહે એમને અખંડ રૂપ આપવાનું નક્કી કર્યું. એના માટે તક પણ મળી ગઈ. એક દિવસ જ્યારે સીસીટીવી કેમેરા બગડી ગયો એ રાત્રે એક પછી એક પ્રતિમાના ઘા પર જાણે મલમ લગાડવાનું શરૂ કર્યું. બાળક્ પાસે નવું રમકડું મૂકી દીધું. તૂટેલી હાંડીની જગ્યાએ નવું વાસણ મૂક્યું. રાજાને રાજદંડ, સૈનિકોને શસ્ત્રો, ખેડૂતને હળ આપ્યું. સ્ટોન સીલર અને પ્લાસ્ટર ઓફ પેરિસથી આંખ, કાન, નાકથી માંડીને ધડ પર માથું સુદ્ધાં મૂકી દીધું.
રામસિંહની વાત સાંભળીને કશ્યપજીનું દિમાગ ચક્કર ખાઈ ગયું.
“તમે જાણો છો, રોજે આ પ્રતિમાઓની સંખ્યા ગણતરી કરવામાં આવે છે એટલું જ નહીં એની તસવીરો પણ લેવામાં આવે છે? પ્રતિમાઓમાં સહેજ પણ તફાવત દેખાય તો એની નોંધ લેવાય છે અને તમે એને નવા ઘાટ આપવા માંડ્યાં?
“કશું ખોટું હોય એ સુધારવું. જેની પાસે જે નથી એ આપવું એને ગુનો કહેવાય? પગ અને આંખ નથી તો એની પીડા શું છે એ હું જાણું છું, સાહેબ.” રામસિંહે ધીમા અવાજે જવાબ આપ્યો..
“અહીં તો ખંડિત જ પ્રતિમાઓની કિંમત છે. આ તૂટેલા હાથ-પગ, ફૂટેલી આંખની કિંમત છે.” કશ્યપજીના દિમાગનો પારો ઊંચો ચઢવા માંડ્યો.
“મારે પણ એક પગ અને એક આંખ નથી, તો મારીયે કોઈ કિંમત હોવી જોઈએ ને? પણ, જાણું છું નથી સાહેબ. મારી કો..ઈ કિંમત નથી.”
કશ્યપજી ઘા ખાઈ ગયા.
“તમે પ્રતિમા છો?”
“ના, સાહેબ, પણ હવે ખબર પડી કે જીવતા માણસ કરતાં ખંડિત પ્રતિમાઓ વધુ કિંમતી છે. અમારે રહેવા ઘર નથી અને આ પ્રતિમાઓ માટે મોટા, એરકંડિશન ઓરડાઓ….” એમનો અવાજ ભરાઈ આવ્યો.
*******
કશ્યપજીને આજે સમજાતું હતું કે, જીવનભર પત્થરોની પ્રતિમા પર સંશોધન કરીને એ ખુદ પત્થરની જેમ સંવેદનશૂન્ય બની ગયા હતા. સંશોધન કર્યું, પણ સંવેદના પારખવામાં ઊણા ઉતર્યા જ્યારે રામસિંહે સાચા અર્થમાં પત્થરોની પ્રતિમાની જાળવણી કરી હતી.
કેવી છે આ નિષ્ઠુર દુનિયા જ્યાં પત્થરોની પ્રતિમાને લઈને આટલો હોબાળો મચ્યો અને ગરીબ માનવીની હત્યાનો ઉલ્લેખ માંડ થાય છે. ખંડિત પત્થરની પ્રતિમાને સરકાર સાચવવા અઢળક નાણાં ખર્ચે છે, પણ ગરીબ માણસના ક્ષતવિક્ષિત દેહની નોંધ સુદ્ધાં નથી લેવાતી.
કશ્યપજી વગદાર અધિકારી હતા. એમના હોદ્દાનો ઉપયોગ કરીને રામસિંહને મોટી સજામાંથી બચાવી લીધા. નિવૃત્તિના બે મહિના પહેલાં જ રામસિંહને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા.
નિર્ણય લેવાયા બાદ કશ્યપજી ઑફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે રામસિંહ સામે ઊભા હતા. ખીસ્સામાંથી બે મહિનાના પગાર જેટલા રૂપિયા કાઢીને કશ્યપજીએ રામસિંહને આપ્યા.
“તમારા માટે હોટલમાં ચોકીદારની નોકરીનું કહી દીધું છે. કાલથી કામે ચઢી જજો.” કહીને કશ્યપજી રામસિંહને ભેટી પડ્યા એ ક્ષણે એમને લાગ્યું કે, આજે એમણે એક જીવંત ખંડિત પ્રતિમાના ઘા પર મલમ લગાડીને એને શાતા આપી છે.
ગરિમા સંજય દુબે લિખિત વાર્તા
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અભિશાપ
વસુધા ઈનામદાર
આજે પ્રિયા પાછી અમેરિકા જઈ રહી હતી. પ્રિયાની અનિચ્છા છતાં પરમ એને મૂકવા એરપોર્ટ પર આવ્યો હતો. કેટલાય સમય સુધી બંને ચૂપચાપ બેસી રહ્યાં હતાં. પરમને પ્રિયા રહસ્યમય લાગી રહી હતી, પ્રિયાને પરમની દયા આવતી હતી.લાંબા સમયના મૌન બાદ પરમ અચાનક બોલી ઊઠ્યો, “એવું તે શું થઈ ગયું પ્રિયા કે તું આમ…?”
પ્રિયાએ કહ્યું “ પરમ,એના કારણમાં ના પડીશ. કદાચ કારણ હોય તો તે હું જ છું, હું સ્ત્રી છું… માત્ર સ્ત્રી!”
“પણ પ્રિયા…” પરમે પ્રિયા તરફ હાથ લંબાવ્યો.
“પ્લીઝ, ડોન્ટ ટચ મી!”
એકાદી ઊંડી ખીણમાંથી આવતા અવાજ જેવું પ્રિયા બોલી .એ બંનેની વચ્ચે આક્રોશ અને અવિશ્વાસની હવા ફેલાઈ. પ્રિયા તરફ લંબાવેલો પોતાનો હાથ પરમે પાછો ખેંચી લીધો.
“પ્રિયા, પ્લીઝ ટેલ મી, વ્હોટ હેપન્ડ?”
“પરમ , તું કે હું કોઈ નહીં સમજી શકીએ વ્હોટ હેપન્ડ ?વ્હાય ઇટ હેપન્ડ ?”પ્રિયાની આંખે આંસુનું તોરણ બંધાયું!
“તો તું અમેરિકાથી આપણાં લગ્નની ના પાડવા આવી?”
“હા, પરમ… !”
“પ્રિયા, અમેરિકા જઈને તું આવી બદલાઈ જઈશ એવું નહોતું ધાર્યું! પ્રિયા, તેં તારા તન મન ફરતે એક કવચ વીટાળ્યું છે, ને કદાચ તેથી જ તને તારો પ્રેમ પણ સ્પર્શી નથી શકતો!”
“એવું નથી પરમ! હું તો સાવ કવચ વગરની થઈ ગઈ છું. હા, પણ બદલાઈ ગઈ છું જરૂર!”
“પ્રિયા, સમજી શકાય એવું બોલીશ?”
પ્રિયા, અનિમેષ નેત્રે પરમને જોઈ રહી. પરમ બોલ્યે જતો હતો.
“પ્રિયા, તેં એકવાર કહ્યું હતું, મારો પ્રેમ જમીન અને આસમાન વચ્ચેના આકાશ જેવો છે. ત્યાં આપણે પ્રેમનું અનોખું બ્રહ્માંડ રચીશું. જ્યાં આપણો પ્રેમ ઓમકારમય બનીને ગુંજતો રહેશે. આમ પ્રેમના હીંચકે હીંચનારી તું, આપણાં ભાવિ જીવનનાં સપનાને કંડારનારી તું… તારો જ પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો?” પરમે પૂછ્યું.
“પરમ , પ્રેમ શું છે એ તું મને સમજાવીશ? પ્રેમ વર્ષાની ફોરાની જેમ નથી વરસી શકતો, એ તો ઝાકળબિંદુની જેમ સહજ સરી પડે છે. ઝાકળની મહેંક વર્ષાના બિંદુમાં પણ નથી .ઝાકળ બનવા તપવું પડે છે, પરમ!”
“પ્રિયા, આપણે ઓછાં તપ્યાં છીએ? “
“એનો અહેસાસ મને છે એટલે જ સ્તો હું…”
પ્રિયા વાક્ય પૂરું કરે તે પહેલાં જ પરમ બોલ્યો, “અમેરિકાથી લગ્નની ના પાડવા આવી છે, ખરું ને પ્રિયા?”
“પરમ, સાંભળ પ્રેમ ,શ્રદ્ધા, સમર્પણ, ત્યાગ, પવિત્રતા ને ખાસ કરી ને ચારિત્ર વગર માનવ જીવનનું કશું મૂલ્ય નથી ,પણ ક્યારેક એ બધું જ આભાસી લાગે છે. આ બધા શબ્દોને ઘસી ઘસીને ઊજળા કર્યા છે એટલું જ!”
પરમ ચૂપ થઈ ગયો. પ્રિયાની નિકટ સરીને તે બોલ્યો,
“પ્રિયા, તને કોઈ અન્ય સાથે?”
પ્રિયા મ્લાન હસી, “નહીં… પરમ…”
“પ્રિયા, તું લગ્નની ના પાડે છે, પણ તારા હાથની આંગળીમાં આપણાં સગાઈની વીંટી કેમ છે? અને આમ જ કરવું હતું તો આપણી સગાઈ શું એક રમત હતી? “પરમે પૂછ્યું.
“પરમ…” પ્રિયા ચીસ પાડી ઊઠી. એનું સમગ્ર અસ્તિત્વ કંપી ઊઠ્યું. થોડીક ક્ષણો પછી તે સ્વસ્થ થતાં બોલી.
“પરમ, સગાઈ જો તને રમત લાગતી હોય તો લગ્ન મને નાટક જેવું લાગશે. અને એટલે જ…”
“તું અહીં આવીને અમારાં સહુના દિલ તોડી શકે છે!”
“પરમ, તારા આક્ષેપોનો મારી પાસે જવાબ નથી .”
“આ આક્ષેપ નથી ,હકીકત છે!” પરમે કહ્યું.
“તને જે લાગે તે, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, પરમ !”
“આ વાત તો તું આવી છે ત્યારથી કહી રહી છે, પ્રિયા!”
પ્રિયા , ચૂપ હતી. પરમ પ્રિયાના પ્લેનના ઊડવાના સમય સુધી પૂછતો રહ્યો, ક્યારેક પ્રિયા ડગમગી જતી. સમગ્ર તનમનની વ્યથા પરમ આગળ ઠાલવી દેવાની ઇચ્છા એને થઈ જતી, પણ તે પ્રયત્ન પૂર્વક મૌન રહી.
“પ્રિયા, તું મને કેમ ના પાડે છે, તે જાણવાનો મને અધિકાર નથી ? ”
પ્રિયા બોલી, “અધિકાર છે, પણ સાંભળી શકીશ? સાંભળીને સમજી શકીશ? સમજીને મને…”
પ્રિયા , પોતાના અધૂરા વાક્ય સાથે ઊભી થઈ. સૂટકેસ અને પર્સ લઈને ચાલવા લાગી. થોડેક દૂર જઈને, પાછાં વળીને એણે પરમ સામે જોઈને આવજે કર્યું
“પ્રિયા, ઇમેલ કરતી રહેજે.” પરમે ઊંચા સાદે કહ્યું
આસપાસનાં લોકોએ પહેલાં પરમ અને પછી પ્રિયા સામે જોયું. પ્રિયાએ એ સહુ પર ન ઉકેલી શકાય એવો દ્રષ્ટિપાત કર્યો.
પ્રિયા કશું બોલી નહી ,પરમ પ્રિયાની પાછળ ચાલતા ટોળાંને ભેદીને દોડ્યો. સિક્યોરિટીવાળાએ પરમને રોક્યો. પ્રિયાએ ક્ષણેક થોભીને પરમની સામે જોયું. એ જ ચહેરો કઠોર અને મૃદુ!
પ્રિયાને યાદ આવ્યું ,એકવાર વાતચીતમાં પરમે કહ્યું હતું, “પ્રિયા , કોમળ અને કઠોર એકી સાથે બનવાનું, પહેલાં કોમળ અને પછી કઠોર એમ નહીં. એના ચહેરા પર થોડુંક સ્મિત આવ્યું ને આંસુ સરી પડ્યાં. પ્રિયા વિચારવા લાગી હસવું અને રડવું જ્યારે એકમેકમાં ભળી જાય ત્યારે કેવું બધું ધૂંધળું ભાસે છે, પણ કઠોર અને કોમળના મિશ્રણથી ઉદાત્ત માનવી બની શકાય. કદાચ પરમ જેવા. એણે ફરી પાછાં વળીને જોયું. પરમની પોતા પ્રત્યેની પ્રેમથી છલ્લોછલ દૃષ્ટિ… એમાં ડોકાતો એક પ્રશ્ન, “કેમ… પ્રિયા શા માટે?”
પ્રિયા મક્કમ પગલે પાછી ફરી, પરમે દોડતાં આવીને પ્રિયાને અંકમાં લીધી. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
“પરમ, વહાલા પરમ” સત્યની ઊંડી ગુફામાંથી એક વ્યાકુળ અવાજ આવ્યો જે પરમના હૃદય પર પડઘાતો રહ્યો.
“પરમ, મારી ચેતનાને, મારાં શ્વસતાં કુવારાં નારીત્વને કોઈ અનાવૃત્ત કરી ગયું!”
પરમના શરીરમાંથી એક વીજળી પસાર થઈ, એના પ્રેમ ઝરણાંને જાણે સૂકવતી ગઈ. આગની જ્વાળાની જેમ તે સમસમી ગયો.
“ પ્રિયાડડ” પરમની ચીસ એના પોતાના જ ગળામાં ઘૂંટાતી ગઈ. પોતે બેભાન થઈ એરપોર્ટ પર પછડાઈ જશે એવા ભયથી તે પથ્થરની જેમ ઊભેલી પ્રિયાને વળગી પડ્યો. પ્રિયા નિશ્ચલ ઊભી રહી, સાવ ચેતન વિહોણી!”
થોડીક ક્ષણોમાં બંને સ્વસ્થ થયા. પરમે પ્રિયાનો હાથ પકડી લીધો. તે બોલ્યો, “ચાલ, પ્રિયા ચાલ, મારી સાથે ચાલ!” એરપોર્ટથી તે પરમના ઘર સુધીનો રસ્તો બંનેના શ્વાસોની આવનજાવનથી ટૂંકાતો ગયો. પરમના ઘરમાં પ્રવેશતાં જ પ્રિયા બોલી, “પરમ, તને ના પાડવાનું આજ કારણ છે. મારા હૃદયનો પ્રેમ મારી દેહની મર્યાદાથી ગૂંગળાઈ ગયો છે. હું તારી રહીનેય તારી નથી થઈ શકતી.”
પરમની નજીક આવી એનો હાથ પકડી તે બોલી, “આ બનાવ બન્યો ત્યારે હું ઇચ્છતી હતી કે કોઈ જટાયુ બનીને આવે, કોઈ રામ બનીને આવે, કોઈ કૃષ્ણ બનીને આવે! કોઈ ન આવ્યું પરમ! તું પણ ના આવ્યો! હવે જ્યારે હું પાપ અને પુણ્યતા અક્ષાંસ-રેખાંશ પર અટવાઈ રહી છું, ત્યારે હું મારી જાતને પૂછું છું. મારું સ્થાન ક્યાં?”
પરમે પ્રિયાનો હાથ પોતાના હૃદય પર મૂક્યો… “તારું સ્થાન અહીં છે, પ્રિયા! પ્રિયા મને માત્ર પડછાયાની જેમ જ નહીં પણ તારા શ્વાસની જેમ નિકટ આવવા દે! તારી નજીક રહીને તારી પીડાને હું ધીરે ધીરે પી જઈશ!”
“હા, નીલકંઠે વિષ પીધું ને તું મારી પીડા! પરમ તને તો માત્ર પ્રેમ જ અપાય. આ પીડા હું પોતે પીતી રહીશ.”
“પરમ, ક્યારેક આપણે એકલાં કે એકલાં અધૂરાં રહીને જીવવું પડે છે. આપણી પાસે ન જીવવાની સ્વતંત્રતા નથી ! પ્રિયાના દરેક શબ્દમાંથી વેદના ટપકતી હતી.
“પ્રિયા, બીજું બધું હોય કે ન હોય, આપણી પાસે પ્રેમ કરવાની સ્વતંત્રતા છે.” પરમે પ્રિયાની નિકટ આવીને કહ્યું. ચહેરા પરના વિષાદના ભાવ સાથે પ્રિયા બોલી, “મારા એકાંતની મંજૂષા લૂંટાઈ ગઈ છે. એમાં સજાવીને મૂકેલા મેઘધનુષના રંગ વિખેરાઈ ગયા છે. પરમ, મારા એકાંતમાં નર્યો ઘોંઘાટ છે, મારું પોતાનું કહી શકાય એવું એકાંત પણ મારી પાસે નથી “
પરમે કહ્યું, “પ્રિયા આપણાં તનમનનાં એકત્વથી હું તારી લૂંટાઈ ગયેલી મંજૂષા છલકાવી દઈશ. આપણે બંને સાથે મળીને વિશ્વાસ અને શ્રદ્ધાના રંગે તેને શણગારીશું.”
“ના પરમ , એ શક્ય જ નથી. મારા ખંડિત ભિક્ષાપાત્રમાં તારું સ્નેહ ઝાકળ નિર્માલ્યની જેમ વ્યર્થ જશે. તું મારા પરમ સમીપે અને તને જ……! “પ્રિયાની આંખો ભરાઈ આવી.
“પ્રિયા, તારી આ સદીઓ પુરાણી માન્યતાઓનું મારે મન કોઈ મહત્વ નથી .કોઈ અબુધ પુરુષે તને ઘાયલ કરી છે. એ મનોવિકૃત કે મનોરોગી હશે. તારી બદનસીબીની એ ક્ષણો હશે. પ્રિયા, તારે તારું મનોયુદ્ધ એકલાં એકલાં જ લડવું છે. તારા મનોસંગ્રામનો મને સારથી નહીં બનાવે?”
“મનોસંગ્રામ? તું સાચું જ કહે છે પરમ! હું મારાં મનોયુદ્ધમાં અટવાઈ ગઈ છું. મનની સાથે એક અણગમતો નવો સંબંધ બંધાયો છે. એ મુક્ત છે હું માત્ર બંદિશ્ત!!”
“મારા મનની કોર્ટમાં હું ન્યાયાધીશ બનું છું. મારી જાતને દેહદંડની સજાથી માંડીને દરેક હળવી મોટી સજાઓ ફટકારું છું. એ બધી સજાઓ મારા માટે સહ્ય છે, પણ મનને સતત ડ્રીલની જેમ કોતરતી સ્થિતિ અસહ્ય છે. મને લાગે છે કે મરતી વખતે પણ આવી રીતે જીવવા જેટલી પીડા વેઠવી નહીં પડતી હોય! હું વેદનાના હીંચકે બેસીને ક્રોધને હીંચકાવું છું ને ક્યારેક પીછેહઠ કરીને વિચારું છું કે હું વેરની આગ વરસાવું તો કોના પર? પરમ, જવાબ વિનાના સવાલોનું અતુલ યુદ્ધ હું લડી રહી છું. મારી જિંદગી જાણે અનેક પ્રશ્નોનું જંગલ!! એક પછી એક ઊગતા પ્રશ્નથી હું છેદાઈ રહી છું. આ સમયે તું પણ મારી મમ્મીની જેમ લગ્નની વાત કરે છે?” પ્રિયા બોલતાં બોલતાં જાણે હાંફી ગઈ.
પરમે પૂછ્યું, “તેં તારી મમ્મીને વાત કરી? એમણે શું કહ્યું ?”
પ્રિયા બોલી, “ મારી મા, મારા દુઃખને સમજે છે. મારા આશ્ચર્ય વચ્ચે એ આવા દુઃખને સહી શકે છે! તે સ્ત્રીના નાતે બધું સમજે છે, પણ એની સમજણ સહારો બનીતે છવાઈ નથી જતી. તે મૂંગી મૂંગી બરડા પર હાથ ફેરવશે. એનો સ્પર્શ ઘણું બધું કહેવા મથે છે, પણ હું જ જાણે ચેતન વિહોણી બની જાઉં છું ! અત્યાચાર તો સ્ત્રીઓ પર જ થાય એવી માન્યતા સાથે તે મોટી થઈ છે. એ કહેતી હતી, “હું કાંઈ દુનિયાની પહેલી સ્ત્રી નથી જેના પર આવો અત્યાચાર થયો છે. તે કહે છે લગ્ન કરી લે બધું ઠીક થઈ જશે.”
“લગ્ન પહેલાં અને લગ્ન પછી આવી વાતો કોઈનેય કહેવાય નહીં. એવા બીકણ ખ્યાલોથી મા ઘડાઈ છે, પણ પરમ પોતાના મન આગળ ડોઈ ઢાંકપીછેડો થઈ શકતો નથી. તારી સાથે લગ્ન કરીશ તો હું એકલી નહીં હોવું, અનેક અણગમતી સ્મૃતિઓ દહેજમાં લાવીશ!! તેનું શું કરીશું? આ જખમની યાદો વર્તમાનની ક્ષણોમાં ઓગાળવી મારાથી શક્ય બનશે ? ”
“પ્રિયા સમયના ટનલમાં ફોરવર્ડ હોય છે. તું રિવર્સ જવાતું બંધ કરીશ ? જીવન સતત આગે બઢોને લલકારે છે.” પરમે કહ્યું.
“પરમ , હું બધું જ સમજુ છું. તું મારા મનને એ અત્યાચારી ક્ષણોમાંથી મુક્ત કરી શકીશ? એ સમગ્ર ઘટનાએ મારા નારીત્વને છીનવી લઈને મને અપમાનિત કરી છે. આજ સુધીના ઇતિહાસમાં કઈ સ્ત્રીને પોતાની આ પ્રકારની વ્યથાને વ્યક્ત કરવાની છૂટ મળી છે? પરમ, તારી આગળ આજે તારી પ્રિયાનું મન અત્યંત વિશ્વાસપૂર્વક અનાવૃત્ત થયું છે.”
“પ્રિયા,”
પરમ અત્યંત સ્નેહથી બોલ્યો, “તું તારા મનને મોકળું કરીતે ધોધમાર રડી લે. આંસુનું મહાપૂર આવવા દે. એમાંથી તરીને બહાર નીકળ. એ પળનું સ્મરણ પણ એ પ્રવાહમાં જવા દે… એ ક્ષણો અને વેદનામાંથી મુક્ત થવાનો મરણિયો પ્રયાસ એ જ તારો સંકલ્પ!”
“પરમ, તું કોઈ માનસશાસ્ત્રી જેવું બોલે છે!”
“ના ,પ્રિયા, હું એક સહૃદયી પ્રેમી જેવું બોલું છું. આપણી સંસ્કૃતિ મનની ભાવનાઓથી ભરેલી છે. એ આંતરનાદના તારા તાર તૂટી ગયા છે. આમ હારીને બેસીશ તો સ્વસ્થતા ખોઈ બેસીશ. મન અને મક્કમતા વચ્ચે એકત્વ સંધાય ત્યારે જ જીવન સહજતાના માર્ગે આગળ વધે છે. આ પળથી માત્ર મારી થઈને રહે. તારા વર્તમાનની ક્ષણો સુવર્ણ રજથી ભરવા હું પ્રયત્ન કરીશ!”
“ખરેખર પરમ! તો તું એક કામ તારી પ્રિયા માટે કરીશ?”
“પ્રિયા, તારે પૂછવાનું ના હોય! બોલ, પ્રિયા, હું તારા માટે શું કરું?”
પ્રિયાનો કંઠ રૂંધાયો, પણ શબ્દો ભારપૂર્વક ધસી આવ્યા, “
“પરમ, મને શાપ આપ… હા પરમ, તું મને શાપ આપીશ?”
“મારે ,અહલ્યા થવું છે… હા… હા… મારે અહલ્યા થવું છે !!”
વસુધા ઈનામદાર | બોસ્ટન ,અમેરિકા
-
મહેન્દ્ર શાહનાં માર્ચ ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s art creations for March 2026
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ – પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
આલેખનઃ રાજુલ કૌશિક
સમય હશે ૨૦૧૩નો…ત્યારે અખબારમાં એક સમાચાર હતા.
જાણીતા ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસની ૧૦૧મી જન્મજયંતી અને ૨૯મી પુણ્યતિથી નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટક અકાદમી અને શહેરની સંસ્થા ગાથા દ્વારા સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે અવિનાશી અવિનાશ કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં અવિનાશ વ્યાસના ગીતોની રજૂઆત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પુરૂષોત્તમ ઉપાધ્યાયે કહ્યું હતું કે, “અવિનાશ વ્યાસે લખેલા ગીતો ફકત ગીતો જ નહીં, પરંતુ તેમના જીવનની કહાની બયાઁ કરે છે જેમાં તેમની અનેક રાતોના ઉજાગરા અને વર્ષોની મહેનત હતી. એમના શબ્દોના પ્રાસ અને લેખિની એટલી મજબૂત કે જે વિષય પરનું ગીત હોય તેનો અનુભવ કરાવે જ !”
આજે આ વાત યાદ આવવાનું કારણ ૨૦ ઑગસ્ટ.
૨૦ ઑગસ્ટ ૧૯૮૪ નો એ દિવસ અવિનાશ વ્યાસની વિદાયને લઈને સુગમ સંગીત માટે, સુગમ સંગીતના ચાહકો માટે હંમેશ માટે ખાલીપો સર્જતો ગયો.
અવિનાશ વ્યાસ એક એવા ગીતકાર હતા જે હૃદયની લાગણીઓને સહજતાથી શબ્દદેહ આપી શકતા. મા અંબાજીની પરમકૃપા એમની પર હતી. આ પરમકૃપાનો સાક્ષાત્કાર આપણે એમની રચનાઓમાં અનુભવ્યો છે. એક વાત તો સૌએ સ્વીકારવી રહી કે ગીત-સંગીત કે કવિતાના કોઈ ક્લાસ કે ટ્યુશન નથી હોતા એ તો ઉપરવાળાની કૃપાથી ઉતરી આવે અને એ કૃપાથી અવિનાશ વ્યાસ સમૃદ્ધ હતા.
ક્યારેક વિચાર આવે કે કોઈ પણ જીવ જે ક્ષણે જન્મ લે છે ત્યારથી જ એની અંત તરફની યાત્રા પણ શરૂ થઈ જ જતી હોય છે ફક્ત એનો વિચાર ભાગ્યેજ કોઈ કરે પરંતુ કદાચ કોઈને આવનારા મૃત્યુનો અણસાર આવી જાય તો એ શું વિચારે?
કવિઓ, લેખકો, ગીતકારો જીવન વિશે તો લખે સાથે મૃત્યુ વિશે પણ ઘણું લખે છે.
કહે છે કે મૃત્યુ જેની સમજમાં આવી જાય એના માટે જીવન મહોત્સવ બની જાય. જેનામાં નખશિખ માનવતા ભરી હોય એ મૃત્યુને મહોત્સવ બનાવી શકે. અવિનાશ વ્યાસની માનવતા વિશે અનેક વાતો છે જેની વાત ક્યારેક ભવિષ્યમાં કરીશું પણ આજે એ માનવતાની મૂર્તિ સમા ગીતકારે જીવનને કેવા તટસ્થભાવે જોયું અને મૃત્યુ વિશે શું વિચાર્યું એ જાણવાની જીજ્ઞાસા થઈ તો એના જવાબમાં આ ગીત યાદ આવ્યું.
“હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું
ધરમ કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણું.”એક ધર્મ અને બીજું કર્મ એવા બે બળદને સહારે ચાલતું આ જીવનનું ગાડું ધીરજની લગામ થકી સુપેરે હાંકવા મથીએ, પણ અંતે તો હરિ જે કરે એ જ સાચું એવી અપાર શ્રદ્ધા જેનામાં હોય એ સમજે છે કે આ જીવનમાં સુખ-દુઃખ તો દિવસ અને રાતની જેમ આવ્યા જ કરવાના પણ હરિ જેમ કહે એમ કરવું બાકીનું પરહરવું. શબ્દો થોડા જુદા પણ નરસિંહ મહેતા પણ એ જ કહી ગયા છે ને કે, “સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.”
અવિનાશ વ્યાસની વાતમાં કેટલી સાદગી છે ! એ જીવનરથ નથી કહેતાં એ જીવનને ગાડું કહે છે. ન કોઈ ઠાઠમાઠ કે ઠઠેરો બસ સરળતાથી ચાલ્યા કરતું જીવન જે હરિને મંજૂર હોય એમ જીવવાનું.
“સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય,
કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારુ થાય,
મારી મુજને ખબર નથી કઈ, ક્યાં મારું ઠેકાણું, કાંઈ ના જાણું.”એથી આગળ અવિનાશ વ્યાસ જે વાત કરે છે એમાં જીવનનું ગહન સત્ય સાવ સરળતાથી વ્યક્ત થતું સમજાય છે. સૌ જાણે છે એમ ક્યારે અને ક્યાંથી આવ્યા અને ક્યારે ક્યાં જવાના એની કોઈનેય ક્યાં ખબર છે? આ શરીર આપણા આત્માને ધરી રાખતું, સાચવતું એક પીંજર છે એ ક્યારે ઘસાતું જશે કે જૂનું થશે એની આપણને જાણ નથી ત્યારે હરિ જ્યાં જેમ દોરે એમ દોરાવું
“ક્યાંથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું,
અગમ-નિગમનો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું,
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઈ ના જાણું.”શરીરને પીંજરું કહેતા અવિનાશ વ્યાસની એક આ રચના મને સૌથી વધુ સ્પર્શી છે. હૃદયને અડીને આજ સુધી રહી છે અને હંમેશા રહેશે.
“પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠે દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે…”કેમ લખ્યું હશે આ ગીત?
બહુ બધી વાર વિચાર આવતો કે, એવું તો એમણે શું જોયું હશે, અનુભવ્યું હશે કે અંદરથી આવો અજંપો ઉમટ્યો હશે? મનમાં કેવા ભાવ ઉમટ્યા હશે ત્યારે આ રચના કરી હશે? એ કોઈને સમજાવવા મથતા હશે કે પછી પોતાની જાત સાથેની વાત હશે?
હા, જો ઢળતી ઉંમર હોય, તન થાક્યું હોય, મનમાં જીવવાની જિજીવિષા ન રહી હોય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે ત્યારે એને નવા ક્લેવર ધારણ કરવાના, નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગતા હોય એ સમજી શકાય છે પણ ચારેકોર સુખની શૈયા હોય, સુંવાળું જીવન હોય એને ત્યજીને કોને આ અજાણી ભોમકાની વાટે જવાનું મન થતું હશે?
“સોને મઢેલ બાજઠિયો ને રૂપે મઢેલ ઝૂલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમોલો
પાગલ ન બનીએ ભેરુ કોઈના રંગ રાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે.”કશું ન હોવાની વ્યથા હોય તો સમજાય પણ બધુ અભરેભર્યું હોય તેમ છતાં જીવન પરથી મન ઊઠી જાય ત્યારે કેવો અજંપો મનને સતાવતો હશે ?
અન્યની તો ખબર નથી, પણ આજે થોડી હું અંગત થઈ રહી છું. સંથારો શબ્દ છે જેમાં વ્યક્તિ પોતાની આસપાસથી, આપ્તજનોથી માયા સંકેલવા માંડે ત્યારે એની જોડે રહેનારને આ પ્રશ્ન જરૂર થાય કે આટ-આટલી સુખ સાહ્યબી હોવા છતાં આ ઘર છોડીને અણદીઠે દેશ જાવાની તત્પરતા એનામાં કેમ આવી હશે?
આ રચના સાંભળું ત્યારે હંમેશા યાદ આવે છે મહાપ્રયાણની તૈયારી કરતી મારી મા…એને જોઈ છે. ત્યારે થતું કે આમ ભરપૂર જીવન જીવતી વ્યક્તિને અચાનક બધું છોડવા વિચાર કેમ આવતો હશે?
અથવા જેણે ભરપૂર જીવન જીવી લીધું છે એના મનમાં કોઈ ઈચ્છાઓ બાકી નહી રહેતી હોય એટલે આવી સાહજિકતાથી માયા સમેટી શકતી હશે?
મારી મા અને એની અલિપ્તતાને જોતી ત્યારે અવિનાશ વ્યાસની આ રચના યાદ તીવ્રતાથી યાદ આવતી અને આજે આ રચના સાંભળું છું ત્યારે એના શબ્દોમાં મને એમાં મારી મા અનુભવાય છે.
મહાપ્રયાણ કરવાની તૈયારી સાથે સમય પસાર કરતી વ્યક્તિની મનોવસ્થા જ્યારે આ રચનાના અંતિમ ચરણને સમજીએ ત્યારે સમજાય છે.
“જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર
પણ જ્યાં સૂરજ માંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર
અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે
પંખી વાણી ઓચરે આખર જવું એક દાહડે
આ નથી નિજનું ખોળીયું આ તો મકાન રાખ્યું ભાડે
પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે
બહુએ સમજાયું તોયે પંખી નવુ પીંજરું માંગે.”જેની હારોહાર જીવ્યા હોય એવી વ્યક્તિ વગર ભરી ભરી આ દુનિયામાં ખાલીપો સર્જાય, સઘળું વ્યર્થ થઈ જાય ને ત્યારે ભલેને પીંજરું સોનાનું હોય પણ એના પરથી મોહ છૂટી જાય.
આ લખી રહી છું ત્યારે ફરી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે કહેલા આ શબ્દો આજે યાદ આવે છે અને એનું સત્ય સમજાય છે કે અવિનાશ વ્યાસની રચનાઓ જે વિષયને અનુલક્ષીને લખાઈ હોય એનો સીધો જ અનુભવ આપણને પણ થાય છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સુબ્રોતો બાગચી કહે છે પ્રક્રિયાઓનાં મહત્વની વાત
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
સુબ્રતો બાગચીના પુસ્તક “ધ હાઇ પર્ફોર્મન્સ આંત્રપ્રેન્યર ” એ મારા જેવા અનેક ઉદ્યોગસાહસિકોની વિચારસરણીને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એ એક એવું પુસ્તક છે જેણે મને વ્યવસાય કરવાના વ્યવસાયને સમજવામાં મદદ કરી. આ પુસ્તક માઇન્ડટ્રીના વિચારબીજથી IPO સુધીના વિકાસનું દસ્તાવેજીકરણ કરે છે. તે સાથે આ પુસ્તક સંસ્થાઓને ‘અસામાન્ય’ બનાવવાના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પાસાંઓ પર ખૂબ જ રસપ્રદ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.
“પ્રક્રિયા-કેન્દ્રિત સંગઠનનું નિર્માણ” ના એક પ્રકરણમાં, સુબ્રતો બાગચી એક અદ્ભૂત વાત શેર કરે છે જે ફક્ત પ્રક્રિયાના મહત્વને રેખાંકિત કરે છે.
ફ્યુજી ઝેરોક્સ જાપાનની ફ્યુજી અને અમેરિકાની ઝેરોક્સ નું સંયુક્ત સાહસ હતું. મૂળ કંપની, ઝેરોક્સ,ને યુએસમાં ગુણવત્તા માટે માલ્કમ બાલ્ડ્રિજ એવોર્ડ મળે તે પહેલાં જ ફ્યુજી ઝેરોક્સે કુલ ગુણવત્તા વ્યવસ્થાપન માટે સુપ્રસિદ્ધ ડેમિંગ પુરસ્કાર જીત્યો હતો.
એક સજ્જન સમજાવી રહ્યા હતા કે પ્રક્રિયા અભિગમ સ્પર્ધાત્મક સફળતાની ચાવી શા માટે છે.
કોઈએ તેમને પુછવા ખાતર જ પૂછ્યું, “પરંતુ માઇકેલેન્જેલો તો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી?”
હસીને, પેલા નિષ્ણાતે જવાબ આપ્યો, “પહેલાં, માઇકેલેન્જેલો બનો.”
તે પછી તરત જ તેમણે ભારપૂર્વક ઉમેર્યુંઃ બાકીના બધાએ તો પ્રક્રિયાને અનુસરવી જ જોઈએ.
તાજેતરમાં, કોઈએ મારી સાથે દલીલ કરી હતી કે પોતે સર્જનાત્મક ક્ષેત્રમાં હોવાથી, તેને પ્રક્રિયાની જરૂર નથી. મારો મત એ છે કે સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ, પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. કલાકારો, લેખકો અને અન્ય સર્જનાત્મક લોકો હજુ પણ વ્યાવસાયિકો છે જેમને તેમની સફળતાનું પુનરાવર્તન કરવું પડે છે. તેઓ હંમેશા એક પ્રક્રિયાને અનુસરે છે (અને આ એક વ્યક્તિગત પ્રક્રિયા છે જે હંમેશા દરેકને દેખાતી નથી). પ્રક્રિયા એક સાધન છે જે આપણને સર્જનાત્મક વ્યાવસાયિકો તરીકે વધુ અસરકારક બનાવે છે.
સુબ્રતો બાગચી આગળ દલીલ કરે છે કે:
બધા સર્જનાત્મક લોકો ખરેખર એક સશક્ત પ્રક્રિયા અભિગમ ધરાવતા હોય છે, ફક્ત તેમની પ્રક્રિયાનું સંસ્કરણ બીનઅનુભવી આંખને સ્પષ્ટપણે દેખાતું નથી, અને અનુભવી નજરનાં માન્યતાઓનાં પડળ તેને ઓજલ કરી નાખે છે. તેથી, જો તમે કંઈ પણ યાદગાર સર્જન કરવાનું વિચારી રહ્યા હો, તો તમારે પ્રક્રિયાને, અને તેનાં મહત્વને, સમજવાં જોઈશે અને તેનું સન્માન કરવું પડશે.
ટીમ અને સસ્થાઓના ઘડનારાઓ માટે સો વાતની એક વાત એ છે કે “આપણે જે કંઈ કરીએ છીએ તે એક પ્રક્રિયા છે જે હંમેશા સુધારી શકાય છે.”
અહીં મારા પુસ્તક “#QUALITYtweet – 140 Bite-Sized Ideas to Deliver Quality in Every Project માંથી કેટલાક સર્દભોચિત તારવેલા લેખો અહીં ફરીથી યાદ કર્યા છે, જે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ભાર મૂકે છેઃ
ગ્રાહકની તાત્કાલિક સમસ્યાઓના નિવારણમાં આપણી પ્રક્રિયાઓને આડખીલીઓ ન થવા દઇએ છે
કાબેલ લોકો + સારી પ્રક્રિયાઓ = વિખ્યાત ગુણવત્તા
શું સુધારવું છે તે ખબર હોવી જોઇએ
શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ સંદર્ભોચિત હોય છે
પ્રક્રિયા સુધારણાની સફરમાં આવતી ૩ E \ ‘સ’- વાળી આડખીલીઓ
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
તિજોરીનો નિયમઃ વ્યક્તિગત ચઢિયાતાપણાની સ્થાપત્યશૈલી કંડારવી
ધંધેકા ફંડા
ગતાંકમાં આપણે હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! પર આવીને અટક્યાં હતાં. હવે એ માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના પહેલા પડાવ વિશે વિચાર કરીએ ….
ઉત્પલ વૈશ્નવ
I. સાર્વભૌમ ચોકઠું

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી તમારી પાસે શું છે તે તમે કઈ સ્થિતિમાં છો કે કયાં પદ પર છો તેનાથી નક્કી નથી થતું. તે તો તમે કયાં પ્રભાવક્ષેત્રમાં છો તેના પરથી નક્કી થાય છે.
તમારી ખરૂં સાર્વભૌમત્વ તમારી સામેના મંચ પરનાં તમારા “ચોકઠાં” ને સુધારી શકવાની તમારી ક્ષમતા છે. તમને ડર અથવા જીવનરસમાંથી થતા ક્ષયની બહાર નીકળવાની ફરજ પડે એ સમયે તમારાં સાર્વભૌમત્વની સીમા આવે છે.
જ્યારે આપણે આપણી કંપનીના ચાલક બળને દુબઈ જેવા ઇષ્ટતમ કર ધરાવતાં, ખુબ પ્રવૃતિમય કેન્દ્રમાં સ્થાનાંતરિત કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત “પૈસા બચાવતાં” નથી. આપણે આપણા જીવનરસના સંગમની યુતિને કેન્દ્રિત કરતી અવસ્થામાં, સ્થિતિગત સ્તરે, પદોન્નિત કરી રહ્યાં છીએ. પરંપરાગત અમલદારશાહીના ઘર્ષણને દૂર કરીને, આપણે પોતાને મૌનનો વૈભવ બક્ષીએ છીએ. “ભાડે આપનાર”ને સ્થાનમાં ફેરફાર દેખાય છે; “આર્કિટેક્ટ”ને પ્રણાલીગત લાભમાં કાયમી વધારો દેખાય છે.
II. માળખાકીય કવચ તરીકે વ્યૂહાત્મક સમાનુભૂતિ
સાર્વભૌમ સ્થિતિ માટે સૌથી મોટું જોખમ માનવી માનવી વચ્ચેની વાટાઘાટોમાં સંભવિત ઉચ્ચસ્તરીય ઘર્ષણમાટેની સરહદ વચેનું ક્ષેત્ર છે. મોટાભાગના વ્યાવસાયિકો બીજાં લોકો પાસેથી માન્યતા – “ભાડે આપનારની સંમતિ”- મેળવવાની લ્હ્યાયમાં પોતાની સ્વાયત્તતા ગુમાવે છે.
નિષ્ણાત ઘડવૈયો અલગ રીતે કામ કરે છે. આપણે વણપાક્યાં સત્યનો ઉપયોગ રક્ષણાત્મક આશ્રય કવચ તરીકે કરીએ છીએ.
છુપાઈ રહેલી પ્રેરણાઓને અને “ઓરડામાંના હાથીઓ (જેના વિશે લોકો વાત કરવા માગતા નથી એવી કોઈ દેખીતી સમસ્યા અથવા મુશ્કેલ પરિસ્થિતિ)” ને અલગ, કોઈ જ પ્રકારની અસમંજસતા વિનાની સ્પષ્ટતા દ્વારા સમજવાથી, અને સ્વીકારવાથી, આપણે ઘર્ષણ હાઈ વૉલ્ટેજ કક્ષાએ પહોંચે તે પહેલાં જ તેને દૂર કરીએ છીએ.
આપણે મંજૂરી માંગતા નથી; શિષ્ટાચાર સંહિતા સ્પષ્ટ કરીએ છીએ. આપણે સંમતિ શોધતાં નથી; સ્પષ્ટતા શોધીએ છીએ. આ “મુશ્કેલ કરવું” નથી – તે સહભાવપૂર્ણ સ્પષ્ટવક્તવ્ય છે. તે એક સ્થિર, સમાધાનકારી માળખું પૂરું પાડવાનું કાર્ય છે જેના વડે વાસ્તવિક મૂલ્યનું ખરેખર ઘડતર થાય છે.
III. તદ્દન અસ્વીકાર્ય સહનશીલતાનો તર્ક
મજબૂત તિજોરી એ જગ્યા છે જ્યાં વ્યાજબી સમન્યાય અને બૌદ્ધિક સંપત્તિને સંસ્થાકીય સ્મૃતિમાં નક્કર સ્વરૂપ આપવામાં આવે છે. આર્કિટેક્ટનું અંતિમ લક્ષ્ય સરવાળા બાદબાકીની રેખાઓ ચીતરવાથી દૂર ખસીને ગુણાકાર પામેલી આકૃતિ તરફ આગળ વધવાનું છે.
જો કોઈ તંત્રને ટકી રહેવા માટે સતત તમારા દ્વારા પોષક દ્રવ્યોના હસ્તક્ષેપની જરૂર હોય, તો તે એક કામ છે, મશીન નહીં. તિજોરીનો નિયમ જણાવે છે કે આપણે ફક્ત તે જ બનાવવું જોઈએ જેની પ્રતિકૃતિ બની શકે – એવો કોડ જે વધારાના ખર્ચ વિના વિસ્તારી શકાય, એવું માધ્યમ જે આપણી સુષુપ્તાવસ્થામાં પણ આપણને કંઈને કંઈ શીખવતું રહે , અને એવી મૂડી જે માનવીય શ્રમને બદલે વ્યૂહાત્મક સમયબદ્ધતા દ્વારા ચક્રવૃદ્ધિ દરે વધે છે.
ખેલની અંતિમ બાજીમાં, જે સૌથી વધુ ચાલ ચાલે તે વિજેતા નથી, પરંતુ તે એવી વ્યક્તિ છે જેણે એવી સ્થિતિ નિર્માણ કરી છે જેમાં વિશ્વની દરેક ચાલ પોતાના ‘ચોકઠા’નું મૂલ્ય વધારે છે.
હવે પછી શું ?ની આપણી યાત્રાનાબીજા પડાવ Think for yourself! The Sovereign Agenda: Moving from વિશે હવે પછી
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
વૃક્ષને કપાતાં અટકાવવા ધરણાં કરનારા વીરલાઓ સફળ થશે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
એક વૃક્ષને બચાવવા માટે જીવ આપવો પડે તો પણ એ ઓછું છે.’ આમ કહેનાર અમૃતાદેવી બિશ્નોઈએ ખરેખર વૃક્ષને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. વર્ષ હતું ઈ.સ.૧૭૩૦નું. જોધપુરના રાજા અભયસિંહના સૈનિકો મહેલના બાંધકામ માટેનાં લાકડાં લેવા ખીજડાનાં વૃક્ષો કાપવા માટે આવ્યા હતા. એ વખતે અમૃતા દેવી વૃક્ષને વળગી રહ્યાં અને જાન કુરબાન કરી દીધો. તેમની સાથોસાથ બીજા ૩૬૩ લોકોએ પણ જાન ગુમાવ્યા. ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાન માટે આ વૃક્ષ વિશેષ મહત્ત્વનું છે. તેને આ વિસ્તારની જીવાદોરી કહી શકાય.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી કહેવાય છે કે દુષ્કાળના સમયે અહીંના લોકો ખીજડાના વૃક્ષની છાલ ખાઈને ટકી રહ્યા હતા. ખીજડાનાં મૂળ જમીનમાં ત્રણસો ફીટ સુધી ઊતરીને પાણી શોષી શકે છે અને વૃક્ષને બચાવી શકે છે. તેનો એક એક ભાગ ઊપયોગી છે. વરસના દસેક મહિના તો તે પશુઓને અતિશય પૌષ્ટિક એવો આહાર પૂરો પાડે છે. તેનાં ફળ (શિંગ) ખાઈને લોકો પણ પોષણ મેળવે છે. તેના ચારાની બજારકિંમત પ્રતિ ક્વિન્ટલ બે હજાર રૂપિયા અને સૂકાયેલી શિંગની પંદરસોથી બે હજાર રૂપિયા પ્રતિ કિલો જેટલી હોય છે. વરસેદહાડે આ ઝાડ પચાસ-સાઠ હજારનો ચારો અને શાક મેળવી આપે છે. મે-જૂન દરમિયાન તેમાંથી ઝરતો ગુંદર પણ ખાઈ શકાય છે. તેનાં ફૂલોનો રસ મધમાખીઓ પીવે છે, એટલું જ નહીં, તેની પર મધપૂડા પણ બનાવે છે. અનેક પ્રકારની કીડીઓ તેમજ જીવાત આ વૃક્ષ પર નભે છે, અને પક્ષીઓ પણ. આ વિસ્તારના લોકોના જીવનમાં ખીજડાનું વૃક્ષ એટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે કે જન્મથી લઈને મરણ સુધીના વિવિધ પ્રસંગોએ તે એક યા બીજા સ્વરૂપે ઊપયોગમાં લેવાતું રહે છે. મહાભારતમાં પણ ખીજડાના વૃક્ષનો મહત્ત્વનો ઉલ્લેખ કરાયો છે.
સવાલ એ છે કે અચાનક ખીજડાના વૃક્ષનું માહાત્મ્ય કરવાનું શું કારણ? રાજસ્થાનમાં બીકાનેર સૌર ઊર્જાના અતિ મહત્ત્વના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. ફેબ્રુઆરી, ૨૦૨૬માં રજૂ કરાયેલા રાજ્ય સરકારના બજેટ અનુસાર, રાજસ્થાનના કેવલ બે જિલ્લા-બીકાનેર અને જેસલમેરમાં જ સૌર પ્રકલ્પો માટે ૨,૯૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. બધું મળીને આશરે ૪,૮૩૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા સૌર પાર્ક વિકસાવવામાં આવશે. બસ, અહીં ખીજડાનું વૃક્ષ ચિત્રમાં પ્રવેશે છે.
આ પ્રકલ્પોની તૈયારી એકદમ આક્રમકતાથી થવા લાગી છે, અને જે તે વિસ્તારમાંથી ખીજડાનાં વૃક્ષોનો સફાયો કરાવા માંડ્યો છે. કાલાસર અને તેની પાસે આવેલા સવાઈસર ગામમાંથી જ પાંચેક હજાર વૃક્ષો સફાચટ કરી દેવાયાં છે. આ ગામના ખેડૂતો કહે છે કે અમને અણસાર પણ હોત કે સૌર પ્લાન્ટ ઊભો કરવા માટે કમ્પનીઓ ખીજડાનાં ઝાડ કાપી નાખશે તો અમે જમીન આપત જ નહીં, કેમ કે, જમીન લીઝ પર અપાઈ એમાં જોગવાઈ હતી કે એકે વૃક્ષ કાપવામાં નહીં આવે.

In Bikaner district’s Bhanipura village, farmers estimate that 10,000 khejri trees have been cut since 2024 for a solar plant(Photographs: Aziz Bhutta)
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીસ્વાભાવિક રીતે જ આમ બનવાથી આ વિસ્તારના લોકો ક્રોધે ભરાયા અને ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬થી બીકાનેરના બિશ્નોઈ સમાજના લોકોએ ‘ખીજડા બચાવો આંદોલન આરંભ્યું. એક બે કે પાંચ દસ નહીં, સેંકડો લોકો સ્વયંભૂ તેમાં જોડાયા, જેમાં અન્ય રાજ્યોના લોકો પણ સામેલ છે. આ આંદોલનને મળેલા વ્યાપક જનસમર્થનને પગલે આખરે રાજસ્થાનના મુખ્યમંત્રીએ ૫ ફેબ્રુઆરીએ વિધાનસભામાં ખીજડાનાં વૃક્ષો બચાવવા માટેનો કાયદો ઘડવાની ઘોષણા કરવી પડી. આ સરકારી આશ્વાસન પછી બીકાનેરમાં મામલો થાળે પડી ગયો. પણ ખેજડલા રોહી વિસ્તારના કિશનારામ ગોદારા નામના એક ખેડૂત બીકાનેરમાં આવેલા કલેક્ટર કાર્યાલય સમક્ષ છેક ૧૮ જુલાઈ, ૨૦૨૪થી ધરણા કરી રહ્યા છે. આ વિસ્તારના નોખા દૈયા ગામની કુલ ૨,૩૦૦ વીઘાં જમીનમાં સૌર પ્રકલ્પ આવી ગયા છે અને હજી બીજી પાંચસો વીઘાં જમીનમાં તે આવી રહ્યા છે. જુલાઈ, ૨૦૨૪4માં અહીંયાં રાતોરાત ખીજડાનાં વૃક્ષ કાપી નાખવામાં આવ્યા. તેને કારણે કિશનારામે ધરણાંનો આરંભ કર્યો. તેમના સમર્થનમાં બિશ્નોઈ સમાજના અન્ય લોકો જોડાતા ગયા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ તેમના ધરણાનો ૫૬૮મો દિવસ હતો.
કમ્પનીએ સામ, દામ, દંડ, ભેદ જેવા પેંતરા આ ખેડૂતો પર અજમાવ્યા, પણ નિષ્ફળતા મળી. કિશનારામની ત્રણ મુખ્ય માગણીઓ છે. એક તો રાજસ્થાનના રાજવૃક્ષ ગણાતા ખીજડાના કાપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, બીજો રાજસ્થાન ટ્રી એક્ટ બનાવવામાં આવે અને કોઈ પણ વૃક્ષો કાપ્યા વિના સૌર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવે. બિનઉપયોગી જમીન હોય એવે સ્થાને તે ઊભા કરવામાં આવે, કેમ કે, કૃષિલક્ષી જમીન અને પર્યાવરણના ભોગે એને સ્વિકારી શકાય નહીં. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં નહેર આવી રહી છે, આથી વિવિધ પ્રકલ્પો પણ આવી રહ્યા છે અને ખેડૂતોના ભાગનું પાણી આ પ્રકલ્પોને મળી રહ્યું છે. ગામમાં ઊભા કરાયેલા સૌર પ્લાન્ટ માટે રોજેરોજ પાંચ-છ હજાર લિટરની ક્ષમતા ધરાવતી વીસેક ટેન્કર ભરીને પાણી વપરાય છે. કેવડો મોટો જથ્થો! કિશનારામ ભારપૂર્વક જણાવે છે કે પોતે સૌર પ્રકલ્પના વિરોધી નથી.
નાણાં અને વિકાસની લ્હાયમાં પર્યાવરણનું, કુદરતનું નિકંદન કાઢતાં જરાય ન અચકાવું એ આધુનિક યુગની તાસીર બની રહી છે. તેમાં કોર્પોરેટ ક્ષેત્ર સાથે રાજકારણીઓ હાથ મિલાવે એટલે સ્વાર્થ સિવાયનું બધું કોરાણે મૂકાઈ જાય છે. વિકાસ થાય એમ સૌ કોઈ ઈચ્છે છે, પણ એ કેટલો અને ખાસ તો કોના ભોગે એ સવાલનો જવાબ મેળવવાની તસદી ભાગ્યે જ લેવામાં આવે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૩– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧૫
પ્રીતિ શાહ-સેનગુપ્તા
જિયોના કેન્દ્ર ભાગમાં આવેલું નૅશનલ મ્યુઝીયમ એક ખૂબ મોટા મકાનમાં વસાવેલું છે. જેવું બહારથી મોટું છે, તેવું જ એ અંદરથી મોકળું છે. છેક ૧૯૫૧થી આ સંગ્રહાલય ખુલ્લું મૂકાયેલું છે. એમાંનાં પ્રદર્શન પણ સારાં છે. જાણે અહીં બધું જ થોડું થોડું જોવા મળી જાય – દેશનો થોડો ઇતિહાસ, થોડું સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓ વિષે, અને અમરીન્ડિયન પ્રજાની રહેણીકરણી ને પોષાક વેગરે વિષે. કેટલાંક વહાણોનાં મૉડલ મૂકેલાં હતાં, અને અંગ્રેજોના જમાનામાં સરકારને ભેટમાં મળેલી એક રોલ્સરોઇસ ગાડી પણ ત્યાં ગોઠવી દીધેલી.
ઘણા ગરીબ દેશોનાં મ્યુઝીયમ સાવ ધૂળિયાં અને નિસ્તેજ હોય છે, પણ આ એવું બીલકુલ નહતું. આ તો સાફ અને રસ પડે તેવું હતું. થોડાં સ્થાનિક કુટુંબો પણ જોવા આવેલાં, એટલે વસ્તી પણ લાગી. અંદર ફોટા લેવાની મનાઈ હતી, પણ એની બારીમાંથી, બહાર પાસે જ રહેલી નૅશનલ લાયબ્રેરીનો ફોટો મેં લીધો. એનું મકાન નીચું અને લાંબું હતું. એ પણ જોવું ગમ્યું હોત, પણ ત્યાં જવાયું નહીં.

મ્યુઝીયમની સામેના રસ્તા પર થોડી નાની હાટડીઓ હતી. એમાં દેશની હસ્તકળાની ચીજો વેચાતી હતી. કી-ચેનો અને પોસ્ટકાર્ડ ઉપરાંત કેન-વણાટની નાની ચીજો, લૅધરનાં ચંપલ, મણકાની માળા-બંગડીઓ, કોઈએ જાતે ચિતરેલાં ચિત્રો વગેરે વેચાતું હતું. જોવામાં બધું રંગરંગીન અને સરસ લાગે, પણ વપરાય એવું કશું ના લાગ્યું. લોકોને કશી આવક ના કરી શકવા માટે પણ જીવ બળે.
નજીકમાં જ ગયાનાનું મુખ્ય ઍન્ગ્લિકન ખ્રિસ્તી દેવળ હતું. એને ફરતે થઈને અમે ગયાં. એ સમયે એ બંધ હતું, નહીં તો કદાચ અંદરથી જોઈ શકાત. એ આખું લાકડાંનું બનેલું છે, અને ૧૪૩ ફીટ ઊંચું હોઈ, એ આખી દુનિયાની ઊંચામાં ઊંચી લાકડાની બનેલી ઇમારત ગણાય છે. કૅથિડ્રાલનું નવેસરથી સફેદ રંગેલું, કમાનો અને કાચની બારીઓથી સજ્જ આ બાંધકામ બહુ સુંદર દેખાયું. ચાલુ ગાડીએ મેં એક-બે ફોટા લીધા.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી આવાં જૂના વખતનાં મકાનોની સાથે સાથે, કેન્દ્ર વિભાગમાં હવે નવી, મૉડર્ન ઇમારતો પણ થવા માંડી છે. એવાં બે ઊંચાં, મોટાં મકાનો ઑફીસો અને મોટી કંપનીઓ માટેનાં હશે, એમ લાગ્યું. અહીં બધા રસ્તા વન-વે છે, એટલે થોડું ફરવું પડે. શહેરની મુખ્ય માર્કેટ પાસે પહોંચ્યાં ત્યારે ગાડીઓ પાર્ક કરવાની જગ્યા શોધવા માટે પણ ફરવું પડ્યું.
ખૂબ જ ભરચક અને ભીડવાળી જગ્યા. લોકો લોકો, અને સ્થાનિક લોકોના ટ્રાન્સ્પૉર્ટ માટેની, પાર વગરની મિનિ-બસો. સામે, ડાબે, જમણે- બધે એટલો બધો કચરો દેખાય, અને એક તરફ મોટો ઊકરડો થયેલો હતો. નાની-મોટી નકામી ને ભંગારની અસંખ્ય ચીજો ત્યાં ફેંકાયેલી હતી. સાધારણ રીતે, ગરીબ દેશનું આ જ સ્વરૂપ હોય છે. પણ ગયાનાની વસ્તી તો કેટલી ઓછી છે, છતાં આ સ્વરૂપ?, આ સ્વભાવ? ને તે કેન્દ્ર વિભાગમાં જ. અન્યત્ર ક્યાં જોઈ ગંદકી?
ચારે તરફ રસ્તાઓ પર સળંગ દુકાનો થયેલી હતી. અઢળક કપડાં અને પગરખાં બધે દેખાયાં. કાંઈ લેવું ના હોય, એટલે ઊતરીને ત્યાં ફરવા માટે ગાડી પાર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો. વચમાં હતું જિયોની મુખ્ય માર્કેટનું આગવું સ્થાપત્ય. સાઠેક વર્ષ પહેલાં એ બન્યું. ત્રિકોણાકાર છાપરાંવાળા નીચા લાંબા બાંધકામમાં અનેક દુકાનો બનેલી છે. ત્યાં બધુંયે મળે – સસ્તાં શાકભાજીથી માંડીને સોનાનાં મોંઘાં ઘરેણાં.
જોકે, આ સામે તરફથી ખ્યાલ નથી આવતો, કે એનો પાછલો ભાગ છે જ નહીં. એક જમાનામાં ચારે બાજુ દુકાનો હશે, એની અંદર. હવે આ એક બાજુ જ છે. આ સ્ટાબ્રોક માર્કેટની ખાસ નિશાની તરીકે રહેલું છે એક ઊંચું ક્લૉક ટાવર. એની ચારેય દિશામાં ઘડિયાળ તો છે, પણ જે તરફથી જુઓ ત્યાં સમય ખોટો હોય. કોણ જાણે કયા જમાનાથી બંધ પડ્યાં હશે આ જાહેર ઘડિયાળો. છતાં, ગેરુઆ રંગે રંગેલું ટાવર ફોટો લેવા માટે આકર્ષક લાગે ખરું.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી રસ્તામાં દેશનું પાર્લામૅન્ટ હાઉસ જોયું. ૧૮૩૪માં બનેલું, ઇંગ્લિશ કોલોનિયલ શૈલીનું એ સ્થાપત્ય એકદમ મુખ્ય રસ્તા પર છે. બહાર ગાર્ડન નાનો જ છે, અને કોઈ સંતરી પહેરો ભરતા દેખાયા નહીં. જિયોની મ્યુનિસિપાલિટીનું, લાકડાંનું બનેલું મકાન ૧૮૮૯માં બંધાયેલું, અને દેશની હાઈકૉર્ટ ૧૮૮૭માં ખુલેલી. વૃક્ષોની શોભાવાળાં, પહોળા માર્ગો પર રહેલાં, સારી રીતે રંગેલાં અને સ્વચ્છ રખાતાં આ બધાં સરકારી મકાન બહુ સરસ અને મોભાદાર લાગે છે.
પ્રોમેનાડ ગાર્ડન આમ નાનો કહેવાય, પણ છે બહુ જ સરસ. કેટલાં બધાં ઝાડ, ફૂલો, અને ત્રણ-ચાર જુદી જુદી જાતનાં તાડનાં વૃક્ષો. મોટા પંખાના આકારનું એક ઝાડ તરત નજર ખેંચતું હતું.

ફરતાં ફરતાં, ગુલમહોરના એક પુષ્ટ તરુની નીચે, અચાનક અમને ગાંધીજીની પ્રતિમા દેખાઈ ગઈ. એક હાથમાં લાકડી અને ચાલવાની મુદ્રામાં એક પગ આગળ. મોઢા પર અત્યંત મધુર સ્મિત.
અમે ખુશ તો થયાં જ, પણ લાગણીવશ પણ થઈ ગયાં. બધાંએ મળીને ત્યાં ઊભાં ઊભાં, ગાંધીજીને પ્રિય એવું ભજન ‘વૈષ્ણવ-જન’ ગાયું. હાથ જોડીને, આંખો બંધ કરીને ઘડીક થોભ્યાં પણ ખરાં. હૃદયસ્પર્શી હતી એ ક્ષણો અમારાં બધાંને માટે.
આ પછી ઝૂ અને બોટાનિકલ ગાર્ડનમાં ગયાં. એક જ દંપતી ગ્રાન્ડ ચિલ્ડ્રનને બતાવી શકાય તેવા ફોટા લેવાના ઉદ્દેશથી ઝૂમાં ગયું. પાછાં આવીને કહે, કે થોડાં ખાસ પંખીઓ સિવાય બહુ બીજું નહતું. અમે તો જાજરમાન વૃક્ષોની ઘટામાં ટહેલતાં રહ્યાં. એમનો છાંયડો સારો હતો, પણ ક્યાંય અડકાય કે બેસાય તેવું નહતું, કારણકે ઘટાદાર ડાળીઓ પરથી સોનેરી મંકોડા પ્રચુર પ્રમાણમાં માથાં પર પડતા રહેતા હતા. વળી, બોટાનિકલ ગાર્ડન જેવું ખાસ દેખાયું નહીં. કદાચ છે ને પાછલી બાજુ પર હોય, પણ તાપ ને તડકો એવો કે વધારે ચાલવું ગમે તેમ નહતું.
છેલ્લે કાસ્તેલાની હાઉસ નામના મકાનમાં બનેલી આર્ટ ગૅલૅરી જોવા મળી. ગયાનિઝ કળાકારોએ બનાવેલાં ચિત્રો, શિલ્પ, સિરૅમિક વગેરે કૃતિઓ ઘણી સરસ હતી. ખરેખર, કળા-કૌશલ્યને દેશ કે જાતિનાં બંધન ક્યાં નડે છે?
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
