વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગયા મહિને જ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ, અસમ અને પુડુચેરીમાં નવી વિધાનસભાઓની રચના થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સહિતના પ્રધાનમંડળોએ કાર્યભાર સંભાળી લીધો છે. પરંતુ આ પાંચમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોઈ દલિતની પસંદગી થઈ નથી. આ રાજ્યોમાં દલિતોના વોટ નિર્ણાયક હતા અને પશ્ચિમ બંગાળમાં તો દલિતોની વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું છે. તેમ છતાં કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી. આઝાદીના પંચોતેર વરસો પછી દેશમાં માંડ આઠ જ દલિત રાજનેતાઓએ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી છે. તે પૈકી એકને છોડીને કોઈએ પાંચ વરસના કાર્યકાળ માટે તો મુખ્યમંત્રીનું પદ શોભાવ્યું નથી.

    છેલ્લે પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની(જન્મ ૧૯૬૩)ને સપ્ટેમ્બર ૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ના સમયગાળા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.એટલે છેલ્લા પાંચ વરસોથી દેશના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. ૨૦૧૧ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં દલિતોની વસ્તી ૨૦.૧૪ કરોડ હતી. જે કુલ વસ્તીના ૧૬.૬ ટકા હતી. તે પછી વસ્તી ગણતરી થઈ નથી. પરંતુ ૨૦૧૧ પ્રમાણેના ૨૧ કરોડ દલિતોના આટલા મોટા સમૂહને પોણી સદીની સ્વતંત્રતા બાદ માત્ર આઠ જ દલિતો મુખ્યમંત્રી તરીકે મળ્યા હોય તે ચિંતાજનક અને શોચનીય છે.

    રાજ્યના મુખ્યમંત્રીનું સર્વોચ્ચ પદ હાંસલ કરનાર પહેલા દલિત રાજનેતા દામોદરમ સંજીવૈયા(૧૯૨૧-૧૯૭૨) હતા. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૨ના ગાળામાં અવિભાજિત આંધ્રપ્રદેશના  મુખ્યમંત્રી  હતા. તેઓ સ્વતંત્રતા સેનાની અને વરિષ્ઠ કોંગ્રેસી હતા. આંધ્ર કોંગ્રેસના  પ્રદેશ પ્રમુખ તો તેઓ હતા જ બે વાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  પણ બન્યા હતા. ૧૯૫૭માં તેઓ આંધ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૩૦૧માંથી ૧૮૭ બેઠકો પર વિજ્ય મેળવ્યો હતો. પરંતુ મુખ્યમત્રી નીલમ સંજીવ રેડ્ડીને બનાવવામાં આવ્યા હતા. જૂથવાદ અને કોંગ્રેસના ભાગલા પછી એ જ ટર્મમાં  તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ જાન્યુઆરી ૧૯૬૦ થી માર્ચ ૧૯૬૨ સુધી મુખ્યમંત્રી હતા. તેમણે વૃધ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરી હતી. ૩૯ વરસની નાની વયે પહેલા દલિત મુખ્યમંત્રી બનેલા સંજીવૈયા ૫૧ વરસની ઉમરે અવસાન પામ્યા હતા.

    દેશના પહેલા દલિત મહિલા મુખ્યમંત્રી બનવાનું માન માયાવતી (જન્મ ૧૯૫૬) ને જાય છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના નેત્રી માયાવતી ચાર વખત મુખ્યપ્રધાન બન્યા હતા. ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૨માં તેઓ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ ૨૦૦૭માં તેમણે એકલા હાથે વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી અને પૂરા પાંચ વરસ(૨૦૦૭ થી ૨૦૧૨)  યુ.પી. ના સી.એમ પદે વિરાજ્યા હતા. લગભગ ૨૧ ટકા દલિત વસ્તીના આ રાજ્યમાં પોતાની રાજવટ દરમિયાન માયાવતીએ કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યા હતા. દલિત ઉત્થાન અને દલિત સ્મારકો માટે તેમના કાર્યકાળને યાદ કરાય છે. જોકે તે પછીના વરસોમાં તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્યા નથી.

    દલિત મુખ્યમંત્રીની બાબતમાં  બિહારનો ઈતિહાસ સમૃધ્ધ પણ છે અને કલંકિત પણ છે. દેશના આઠ દલિત મુખ્યમંત્રીઓમાંથી ત્રણ તો બિહારના છે. ભોલા પાસવાન શાસ્ત્રી( ૧૯૧૪-૧૯૮૪) રામસુંદર દાસ (૧૯૨૧- ૨૦૧૫) અને જીતનરામ માંઝી( જન્મ ૧૯૪૪) એ ત્રણ દલિત રાજનેતાઓ બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. પણ એકેયને પૂરી પાંચ વરસની મુદત આપી નહોતી. સંજોગોએ તેમને મુખ્યમંત્રીની ગાદીએ બેસાડ્યા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી ૧૯૬૮ થી ૭૨ દરમિયાન ત્રણ વખત મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા. પહેલીવાર ૯૧ દિવસ , બીજીવાર ૧૩ દિવસ અને ત્રીજીવાર ૨૨૨ દિવસ તેઓ મુખ્યપ્રધાન રહ્યા હતા. બહુમતીનો અભાવ અને ગઠબંધન સરકારોએ તેમને લાંબો સમય ગાદીએ ટકવા દીધા નહોતા.

    ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટમાં ભાગ લેવા કોલેજ છોડી જાહેરજીવનમાં આવેલા રામસુંદર દાસને કર્પુરી ઠાકુરે ઓબીસી અનામત લાગુ પાડતા પક્ષમાં સર્જાયેલ જૂથવાદ પછી ૧૯૭૯-૮૦માં  સી.એમ.ની ગાદી મળી હતી. બિહારના છેલ્લા દલિત મુખ્યપ્રધાન જીતનરામ માંઝી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જનતા દળ (યુ)ના ધબડકાની જવાબદારી સ્વીકારીને નીતિશ કુમારે મહાદલિત મુસહર જ્ઞાતિના માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.દસ મહિના પછી તેમને નીતિશ કુમાર માટે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવા કહેવામાં આવ્યું. તો માંઝી કહ્યાગરા મુખ્યમંત્રી બનવાને બદલે હોદ્દો છોડવા નામકર ગયા એટલે પક્ષે તેમને તગેડી મૂક્યા હતા. મીરા કુમાર અને રામવિલાસ પાસવાન ક્ષમતા છતાં સી.એમ. બની ન શક્યા. ભલે આજે ચિરાગ પાસવાન બિહારનું ભવિષ્ય કહેવાતા હોય પણ માંઝી પછી બિહારમાં દલિત મુખ્યમંત્રી વગરનો.એક દાયકો વીત્યો છે.

    રાજસ્થાનના જગન્નાથ પહાડિયા(૧૯૩૨-૨૦૨૧) છેક નહેરુના વારાથી કોંગ્રેસમાં હતા. અને નહેરુ-ગાંધી પરિવારના નજદીકિ હતા. સંજય ગાંધીના ચહેતા તરીકે તેઓ જૂન-૧૯૮૦ થી જુલાઈ ૧૯૮૧ના ૧૩ મહિના માટે મુખ્યમંત્રી બન્યા હતા. પંતપ્રધાનકાળમાં દારુબંધી લાદવાની સિધ્ધિ તેમના નામે છે. મહારાષ્ટ્રમાં સુશીલ કુમાર શિંદે(જન્મ-૧૯૪૧) પણ કોંગ્રેસના જૂથવાદના ઉગાર તરીકે જાન્યુઆરી ૨૦૦૩ થી નવેમ્બર ૨૦૦૪ના બે એક વરસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન  જ વિધાનસભા ચૂંટણીઓ થઈ હતી. કોંગ્રેસનો વિજય થયો પણ તેમને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નહોતા. પંજાબમાં ચન્નીને પણ રાજકીય વ્યૂહનીતિના ભાગરૂપે થોડા મહિના મુખ્યમંત્રી બનાવવાનું નાટક કોંગ્રેસે કર્યું હતું.

    જે છ રાજ્યોમાં દલિતોને મુખ્યમંત્રી બનાવ્યા હતા તેમાં માયાવતીના અપવાદ સિવાય બધા ટૂંકા ગાળા માટે અને રાજનીતિના ભાગ તરીકે બનાવ્યા હતા.  આ મુખ્યમંત્રીઓમાં ૧૯૧૪માં જન્મેલા ભોલા પાસવાન શાસ્ત્રી અને ૧૯૬૩માં જન્મેલા ચરણજીત ચન્ની છે. ૧૯૪૭ પૂર્વે જન્મેલા દલિત મુખ્યમંત્રીઓએ આઝાદી આંદોલનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તમામ આઠેય દલિત મુખ્યમંત્રીઓએ ડો.આંબેડકરનો શિક્ષિત બનોનો મંત્ર આત્મસાત કર્યો હતો. તમામ કોલેજ-યુનિવર્સિટી શિક્ષણ પામેલા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી તેમની વિદ્વતાને લીધે શાસ્ત્રી કહેવાતા હતા.તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃતમાં શાસ્ત્રીની ડિગ્રી મેળવી હતી. એમ બી એ થયેલા ચન્ની મુખ્યમંત્રી બન્યા ત્યારે પીએચડી કરતા હતા. કેટલાક સીધા જ રાજકારણમાં પ્રવેશ્યા નહોતા. પરંતુ સરકારી નોકરી કરતા હતા. એક પણ મુખ્યમંત્રી પાસે રાજકીય વારસો નહોતો. હવે  કેટલાકે પોતાના સંતાનોને રાજકારણમાં ઉતાર્યા છે ખરા. દલિત મુખ્યમંત્રી થવાથી  દલિતોને સામાજિક ન્યાય મળે છે અને રાજકીય સશક્તિકરણ  થાય છે તેનો દાખલો માયાવતીનો કાર્યકાળ છે. જોકે તે રીપિટ થઈ શક્યો નથી.

    દલિત રાજનીતિની ગૂંજ અને દલિત વોટબેન્કની કાગારોળ વચ્ચે ૭૫ વરસોમાં અલ્પ દલિત મુખ્યમંત્રીઓ થવા તે દલિતો અને રાજકીય પક્ષો માટે પડકાર છે. દલિતોને મુખ્યમંત્રીના પદથી અળગા રાખવા તે લોકશાહીની સૌથી અનુત્તરિત ચેલેન્જ છે. ડી..સંજીવૈયા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને મુખ્યમંત્રી થયા હતા.આજે મલ્લિકાર્જુન ખરગે માટે તે શક્ય નથી. કોંગ્રેસ પ્રમુખ ખરગે કર્ણાટકના મુખ્યમંત્રી બની શકતા નથી તે આજના ભારતીય રાજકારણની વાસ્તવિકતા છે.

    રાજકીય પક્ષો પ્રતીક રૂપે થોડા સમય માટે દલિત મુખ્યમંત્રીનો ખેલ પાડે તો કેવું પરિણામ આવી શકે તે કોંગ્રેસે પંજાબમાં જોયું છે. ૨૦૦૭ થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા ચન્ની સી.એમ. બનીને બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા અને બંને પરથી હાર્યા હતા.તે દર્શાવે છે કે પંજાબનો કથિત ઉજળિયાત જ નહીં દલિત મતદાર પણ આ નિર્ણયથી ખુશ નહોતો. દલિતોને સી.એમ. બનાવવામાં કાં તો ઉપેક્ષા થાય છે કાં તો ટોકન તરીકે બનાવાય છે તે સત્ય લોકો સમજી ગયા છે.

    ભારતમાં પંચાયત-પાલિકામાં ટોચના પદે અનામત વર્ગના પ્રતિનિધિત્વના અભાવનો ઉકેલ તેમાં અનામત દાખલ કરીને કાઢવામાં આવ્યો છે પરંતુ મુખ્યમંત્રી કે વડાપ્રધાન માટે આવી અનામત નથી.એટલે દલિતો મોભાદાર પણ સત્તા વગરના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પદ પામે છે પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી થઈ શકતા નથી.

    જો કોઈ મહાનગરનો મેયર દલિત બને અને દલિતના નળમાં પાણી ના આવે કે તેમના ઝૂંપડા પર બુલડોઝર ફરે તો તેના મેયર બનવાનો શો અર્થ? એમ શું દલિતના સી.એમ બનવાથી કશો ફેર પડે? રાજકીય સત્તા બધી સત્તાઓની જનની કહેવાતી હોય તો માયાવતીની જેમ પોતાના દમ પર પાંચ વરસના પૂર્ણ કાર્યકાળ માટે કામ કરી શકે તેવી બહુમતી મળે તો કદાચ દલિત મુખ્યમંત્રી દલિતોના દળદર ફેડી શકે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ચિત્રકથા (૨)

    આસપાસ – ચોપાસ

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    ગયા અંકમાં આપણે જોયું કે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે પારસમણિ સમાં અન્નપૂર્ણાદેવીની સંગીત યાત્રા શરૂ થતાં જ અધુરી રહી જતી જણવા લાગી.
    હવે આગળ….

    અન્નપૂર્ણા દેવીએ જાહેરમાં કાર્યક્રમ ન આપવાની શપથ લીધી તેમણે કાયમ માટે પાળી. લગ્નવિચ્છેદ બાદ પુત્ર શુભેન્દુ (જેનું ટૂંકું નામ શુભ અને બંગાળી ઉચ્ચાર મુજબ ‘શુભો’ થયું) સાથે તેઓ દક્ષિણ મુંબઈમાં આવેલા ‘આકાશગંગા’ બિલ્ડીંગના એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. શુભોને જન્મથી આંતરડામાં અવરોધની કાયમી સ્વરૂપની બિમારી હતી. તેને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો અને રાત ભર સુઈ શકતો નહોતો. મા આખી રાત તેને ગોદમાં લઈ વહાલ કરતાં, સાંત્વન આપતાં અને દિવસે શરૂ થતી સંગીતની સાધના. પતિ તો કાર્યક્રમ આપવા દેશભરમાં ફરતા હતા.

    સંગીતની તાલિમ દરમિયાન એક દિવસે બાબા (ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબ)એ અન્નપૂર્ણા દેવીને તેમનો સુરબહાર બતાવીને કહ્યું, “મારા ગુરૂની વિદ્યા તને શીખવવા માગું છું. તારામાં લોભ લેશમાત્ર નથી. વળી આ વાદ્ય શીખવા માટે અપરિમીત ધૈર્ય અને શાંતિ જોઈએ, જે તારી પાસે છે. તું મારા ગુરૂની વિદ્યા સાચવી શકીશ એવી મને શ્રદ્ધા છે. શરત એક માત્ર છે : તારે સિતાર કાયમ માટે છોડવી પડશે. આ કામ મુશ્કેલ છે, કેમ કે સિતાર જાણકાર અને સામાન્ય શ્રોતા, બન્નેનું લોકપ્રિય છે વાદ્ય છે. જ્યારે સુરબહાર એવા શ્રોતાઓ માટે છે જેઓ સંગીતના ઊંડાણને માપી શક્યા છે અને તેના હાર્દને સમજી શક્યા છે. તેઓ સુરબહારના વાદનના કૌશલ્યને સમજી શકશે અને તેના ધ્વનિની શુદ્ધતાનો આનંદ માણી શકશે. સામાન્ય વ્યક્તિ આ વાદ્યની ખુબી સમજી નહિ શકે અને તેથી કદાચ તારી કલાનો અનાદર થયા જેવું તને લાગશે. પણ સમજદાર અને જાણકાર શ્રોતા તારી કદર કરશે તેને તારો પુરસ્કાર સમજવો જોઈશે. તું તૈયાર છે?”
    અન્નપૂર્ણા દેવીનો જવાબ સરળ હતો. ‘જેવી આપની આજ્ઞા, બાબા.’ અને તેમણે સિતાર ત્યજી સુરબહાર અપનાવ્યો.

    અન્નપૂર્ણા દેવીની પ્રતિભાની વાત વિશે શું કહીએ! તેમણે સુરબહાર જેવા મુશ્કેલ વાદ્ય પર પ્રભુત્વ મેળવ્યું. તેમના બાબા તો મેધાવિ – genius – હતા. તેમની કૃપાનો પ્રસાદ મેળવનારા તેમનાં શિષ્યો વિશે એવા જ મહાન સંગીતકારે કહ્યું, “ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબના geniusના ૮૦ ટકા અન્નપૂર્ણા દેવીમાં, સિત્તેર ટકા તેમના પુત્ર અલી અકબર ખાનમાં અને કેવળ ચાલીસ ટકા રવિશંકરમાં જોવા મળે છે!” આ ઉદગાર છે એક એવા મહાન ગાયકનાં જેમને આપે પંડિત દિગંબર વિષ્ણુ પલુસકર સાથે ફિલ્મ બૈજુ બાવરામાં ‘આજ ગાવત મેરો મન ઝૂમ કે’ તથા ઝનક ઝનક પાયલ બાજેના ટાઈટલ સૉંગમાં સાંભળ્યા છે) તે, ખાંસાહેબ અમીર ખાન સાહેબ. અન્નપૂર્ણા દેવીના મોટા ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબે તો એટલે સુધી કહ્યું, “ત્રાજવાના એક પલડામાં મને, પન્નાલાલ (ઘોષ)ને તથા રવિશંકરને એક સાથે મૂકો અને બીજામાં એકલી અન્નપૂર્ણાને, તો અન્નપૂર્ણાનું પલડું ભારે જ નીકળશે!”

    અન્નપૂર્ણા દેવીના સંગીતની વાત કરતાં પહેલાં તેમનું વાદન સાંભળીશું. (ફોટોગ્રાફમાં મૈહરના તેમના મકાનની ઓસરી પરના પાટ પર બાબા – અલાઉદ્દીન ખાન સાહેબ બેઠા છે અને તેમનાં ચરણો પાસે અન્નપૂર્ણા દેવી. તેમની રહેણી કરણીમાં જે સાદાઈ છે તે અહીં સ્પષ્ટ દેખાશે!)

    માંઝ ખમાજમાં કેટલીક ઝલક

    આલાપ અને જોડ : રાગ કૌન્શી કાનડા

    આપ સાંભળી શકશો તેમણે સર્જેલા સૂરોની ધારદાર શુદ્ધતા, આલાપમાં નીકળતી નાજુક મીંડ, જોડ અને ઝાલા વગાડતી વખતે સુરબહારમાં વિદ્યુત્ ગતિથી ફરતી તેમની આંગળીઓએ અદ્ભૂત સંગીત સર્જ્યું. તેનો અણસાર ઉપરની લિંક્સમાં સાંભળવા મળશે. અહીં તેનું રીતસરનું રેકૉર્ડીંગ સાઉન્ડપ્રૂફ સ્ટુડીઓમાં નથી કરવામાં આવ્યું.

    પં. રવિશંકર સાથેની જુગલબંદીના કાર્યક્રમનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમના હૉલની બહાર બેઠેલ એક વ્યક્તિએ તેના ટેપ રેકોર્ડરમાં કર્યું હતું અને સદભાગ્યે થોડા સમય પહેલાં યૂટ્યૂબ પર ચઢાવવામાં આવ્યું. રાગ યમન કલ્યાણમાં રજુ થયેલી સિતાર- સુરબહારની જુગલબંદીમાં હૃદયની ગુફામાંથી ઉમટતા હોય તેવા ઘેરા અને ધીર ગંભીર સૂર અન્નપૂર્ણા દેવીના સૂરબહારનાં છે. રેકોર્ડીંગમાં પંડિત રવિશંકરની સિતારનો અવાજ સહેજ આછો ઉતર્યો છે, પણ સંભળાય તેવો છે. શ્રોતાઓ તરફથી બન્ને વાદકોને મળેલી વાહ વાહ પણ સ્પષ્ટ સંભળાય છે.

    રાગ યમન કલ્યાણ (આલાપ)

    સંગીતજ્ઞ મદનલાલ વ્યાસ, જેઓ પંડિત રવિશંકરના શિષ્ય હતા અને ૩૪ વર્ષ સુધી મુંબઈના ‘નવભારત ટાઈમ્સ’ના સંગીત વિવેચક હતા, તેમણે લખ્યું, “(તેમનાં સંયુક્ત) કાર્યક્રમના અંતે શ્રોતાઓનું ટોળું અન્નપૂર્ણા દેવીને ઘેરી વળતું. પંડિતજીને તે સહન થતું નહોતું. તેઓ (રવિશંકર) અન્નપૂર્ણા દેવીની સરખામણીમાં ઊણાં પડતા હતા, જે તેઓ સાંખી શકતા નહોતા. અન્નપૂર્ણા દેવી તો મેધાવિની હતાં. તેમના પિતા, જેમણે વાદકની આવડત અને તેની કલાની ગુણવત્તાની બાબતમાં કદી પણ બાંધછોડ નહોતી કરી, તેમણે પણ કહ્યું કે તે (અન્નપૂર્ણા દેવી) સાક્ષાત સરસ્વતીનો અવતાર છે. આનાથી વધુ કોઈ પ્રશંસા હોઈ શકે? લગ્નવિચ્છેદ બાદ અન્નપૂર્ણા દેવીએ પૂરી શક્તિ પોતાની સંગીત સાધના, પુત્ર શુભોની માવજત અને તેના સંગીત શિક્ષણ પર કેન્દ્રીત કરી. શુભોની બાબતમાં તેમને અનહદ પરિશ્રમ કરવો પડ્યો. એક તરફ તેની પ્રકૃતિને સંભાળવામાં સ્નેહની પરાકાષ્ઠા કરતાં હતા. જ્યાં સંગીત શિક્ષણની વાત આવતી ત્યાં શિસ્તનું અનુશીલન કરવામાં કડક થવું પડતું. જેઓ સંગીતને જીવન માને છે, તેમના માટે તેના શિક્ષણ અને રિયાઝને સાધના – અને ઉર્દુમાં ચિલ્લા જેટલું પવિત્ર અને એકાગ્ર ભક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતીય સંગીતના મહાન કલાકારોએ તેમના શિક્ષણકાળમાં દિવસના છ થી આઠ કલાક – ઘણી વાર તો તેથી પણ વધુ સમયનો રિયાઝ કરેલો હોય છે. આ સાધનામાં ગુરૂ જરા પણ બાંધછોડ ન કરે. અન્નપૂર્ણા દેવી, તેમના ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબ, રવિશંકર – આ સૌને ખાંસાહેબ અલ્લાઉદ્દીન ખાન સાહેબે આ કડક શિસ્તમાં પલોટ્યાં હતા. સંગીતની બાબતમાં અન્નપૂર્ણા દેવી માટે શુભો પણ શિષ્ય જ હતો. તેમણે તેને સિતાર શીખવવાનું શરૂ કર્યું.

    શુભોને શૈશવાવસ્થામાં આંતરડાનો રોગ થયો હતો, તેમાં તેને અસહ્ય દર્દ થતું. આખી રાત તે રડતો રહેતો. માતાને તેને ગોદમાં લઈ બેસતાં, તેને વહાલ કરતાં અને સંભાળતાં. શુભોને તેની માંદગી બાદ પણ રાતે ઉંઘ ન આવતી. યુવાવસ્થામાં તેને ઊંઘની ગોળી લેવી પડતી.

    વર્ષો વિત્યાં. શુભોએ સંગીતમાં ઘણી પ્રગતિ કરી. મૈહર ઘરાણાની પરંપરા તેના વાદનમાં સ્પષ્ટ રીતે ઉભરી. રિયાઝની બાબતમાં માતાએ સીંચેલી કડક શિસ્તના કારણે તેણે તેના વાદનમાં દીર્ઘ આલાપ અને મીંડમાં એવું માધુર્ય પ્રાપ્ત કર્યું, સાંભળનારા ચકિત થઈ જતા. કહેવાય છે કે તેમના ઓળખીતા સાઉન્ડ રેકૉર્ડીસ્ટે શુભોના વાદનનું નાનકડું રેકૉર્ડીંગ કર્યું હતું. એક દિવસ તેણે સ્વાનંદ માટે વગાડ્યું. સંજોગવશાત્ પંડિતજી સ્ટુડીયોમાં હતા અને તેમણે તે સાંભળ્યું. તેઓ તરત બોલ્યા, “અરે! આ તો અમારા મૈહર ઘરાણાની સંગીત ધારાનું વહેણ છે. આ વાદન મારૂં તો નથી જ, અને નિખીલ (બૅનરજી)નું પણ નથી લાગતું. કોણ છે આ કલાકાર?”

    “શું વાત કરો છો પંડિતજી! ખુદ પોતાના દીકરાનું સંગીત ઓળખી ન શક્યા?”

    સાંભળી રવિશંકર આશ્ચર્યચકિત થઈ ગયા અને બીજા દિવસે તેને મળવા તેમના મલબાર હિલ પરના ફ્લૅટ પર ગયા. તેમણે શુભોને સિતાર વગાડવા કહ્યું. સાંભળીને તેઓ દંગ થયા અને શુભોને તેમની સાથે અમેરિકા જઈ તેમની સાથે જાહેર કાર્યક્રમ આપવા સૂચવ્યું. શુભો તો તરત તૈયાર થઈ ગયો, પણ અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે જાહેરમાં કાર્યક્રમ આપવા જેટલી તેની તૈયારી નથી. હજી તેને દોઢ વર્ષ જેટલું શીખવું પડશે. તેમની વાત સાંભળતાં મોટો વિવાદ થઈ ગયો. પં. રવિશંકરના મતે તેમનો પુત્ર ‘તૈયાર’ હતો. બાકી રહેલી તાલિમ તેઓ ખુદ તેને અમેરિકા ગયા બાદ આપશે.

    “શુભોને ફક્ત છ મહિના મારી પાસે રહેવા દો. જે મેં શરૂ કર્યું છે, તે મને પૂરૂં કરવા દો. છ મહિનાના ઘનીષ્ઠ શિક્ષણમાં તેને તૈયાર કરી આપીશ. ત્યાર પછી શુભોને જ્યાં જવું હોય તે જઈ શકે છે.”

    શુભોએ પિતા સાથે જવાની હઠ કરી. એક તમાશો ખડો કર્યો અને અમેરિકા ગયો. ત્યાં ગયા બાદ તેના જીવનમાં નવો જ વળાંક આવ્યો. તેનું આગળ શું થયું તે માટે ખાસ લેખ લખવો પડશે! મુખ્ય તો કહેવાનું કે અમેરિકા જતાં વેંત પંડિતજીએ તેને કૅલિફૉર્નિયામાં એક ફ્લૅટ અને નવી નક્કોર ફોર્ડ મસ્ટૅંગ કાર લઈ આપી. તેની તાલિમનું શું થયું કોઈ નથી જાણતું. પંડિતજી તો દેશદેશાવરમાં કાર્યક્રમ આપવા ફરતા હતા. બે વર્ષ બાદ તેમણે શુભો સાથે ન્યુ યૉર્કમાં કાર્યક્રમ આપ્યો. નીચેના વિડિયોમાં કાર્યક્રમ જોઈ-સાંભળી શકશો. શુભોની પાછળ તાનપુરા પર સંગત આપી રહ્યા છે શ્રીમતી સુકન્યા – જેમની સાથે પંડિતજીએ આગળ જતાં લગ્ન કર્યાં.

    ***
    એક દિવસ અન્નપૂર્ણા દેવી પાસે અમેરિકાથી એક સજ્જન તેમના ફ્લૅટ પર પહોંચ્યા અને કૉલ બેલ દબાવી.

     વખતે ખુદ અન્નપૂર્ણા દેવીએ બારણું ખોલ્યું, અને પૂછ્યું, “કોનું કામ છે?”

    “મારૂં નામ ઋષિ કુમાર પંડ્યા છે. હું અમેરિકાથી આપની પાસે સંગીત શીખવા આવ્યો છું.”

    “હું કોઈને સંગીત શીખવતી નથી.”

    “મને તો આપના મોટા ભાઈ – મારા ગુરૂ ખાંસાહેબ અલી અકબર ખાનસાહેબે ખાસ ભલામણ કરીને આપની પાસે મોકલ્યો છે. આપની પાસે ઘણી ઉમેદ રાખીને આવ્યો છું.”

    અન્નપૂર્ણા દેવીએ તેમને અંદર બોલાવ્યા અને કહ્યું, “દાદા પાસે જે શીખ્યા છો તે મને સંભળાવો.”

    ઋષિ કુમારે સિતાર પર કેટલીક ગત વગાડી. તે સાંભળ્યા બાદ અન્નપૂર્ણા દેવીએ તેમને એક કલાક સુધી રાગ દેસ શીખવ્યો. પાઠને અંતે કહ્યું, “શીખી લીધું? હવે પધારો,” કહી તેઓ બારણા પાસે ગયા.

    મૂળ અમદાવાદના પંડ્યાજી પાસે વાતચીતની એવી કલા હતી, અન્નપૂર્ણા દેવી તેમને અાગળ શિક્ષણ આપવા તૈયાર થયાં. ૧૯૮૧માં અચાનક તેમણે અન્નપૂર્ણા દેવીને કહ્યું, “આપ મારી સાથે લગ્ન કરશો?”
    સાંભળીને અન્નપૂર્ણા દેવી આશ્ચર્ય ચકિત થયા અને વિચારમાં પડ્યા. વિચારાંતે તેમણે ઋષિ કુમારનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેમનાં લગ્ન થયા.

    ઋષિ કુમારે અમેરિકા તથા કૅનેડામાં માનસશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી અને વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને કેળવણી આપતા હતા અને ભારતમાં આ કામ સંબંધે આવ્યા હતા. લગ્ન બાદ તેમણે અન્નપૂર્ણા દેવીને ખુબ સંભાળ્યા ; તેમની નાજુક સંવેદનાઓનો ખ્યાલ રાખ્યો અને તેમની સંગીત સાધનામાં જરા પણ વ્યત્યય ન આવે તેની ચોકસાઈ રાખી. અન્નપૂર્ણા દેવીના જીવનમાં લાંબા સમય સુધી તરફથી થયેલી ઉપેક્ષાનું દુ:ખ હતું તે ઋષિ કુમારે દૂર કર્યું. એટલું જ નહિ, તેમણે પં. રવિશંકર સાથે પણ સુચારૂ સંબંધ જાળવ્યો.

    ***

    પંડિતજીએ તેમની આત્મકથા ‘રાગ માલા’માં તેમનાં ‘પ્રથમ પત્ની’ વિશે અણછાજતી વાતો લખી તે વાંચીને અન્નપૂર્ણા દેવીને અત્યંત દુ:ખ થયું. તેમના પુત્ર શુભોને લઈ પુસ્તકમાં પંડિતજીએ જે પ્રકારના આક્ષેપ અન્નપૂર્ણા દેવી પર કર્યા તે વાંચી તેમનાથી રહેવાયું નહિ અને જીવનમાં પહેલી વાર તેમણે Man’s World નામના સામયિકના પ્રતિનિધીને મુલાકાત આપી.1 આ મુલાકાત પણ કેવી! પત્રકાર આવ્યા અને અન્નપૂર્ણા દેવીએ તેમને ઘર બતાવ્યું. લેખિતમાં પ્રશ્નો માગ્યા અને લેખિતમાં જ જવાબ આપ્યા. બન્ને વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ. પણ આ ‘ઈન્ટર્વ્યૂ’ પ્રસિદ્ધ થતાં જ સંગીત વિશ્વમાં ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી જગતભરના સંગીત ચાહકો ફક્ત એટલું જ જાણતા હતા કે ભારત રત્ન પંડિત રવિશંકરનાં પ્રથમ લગ્ન તેમના ગુરૂપુત્રી અન્નપૂર્ણા દેવી સાથે થયા હતા. આ એક પંક્તિમાં જાણે અન્નપૂર્ણા દેવીનું આખું જીવન સમાઈ ગયું હતું. જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં વૈજ્ઞાનીક પત્નીનું નામ કોઈ જાણતું નથી, તેવી હાલત અન્નપૂર્ણા દેવીની થાત. ‘મૅન્સ વર્લ્ડ’માં તેમની મુલાકાત આવી ત્યારે જ લોકોને આ મહાન કલાકારની સિદ્ધી અને સાધના વિશે જાણ થઈ ; જે પંડિતજીને લોકો સંગીતના ભગવાન માનતા હતા, તેમનાં ચરણ કમળનાં નહિ, કાદવનાં હતા તે જાણી સૌ ચોંકી ગયા. જેમની તેમણે આખા જીવન દરમિયાન ઉપેક્ષા કરી હતી, તે ખુદ પંડિતજી કરતાં ઉચ્ચ દરજ્જાના કલાકાર હતા તેની જાણ થઈ ત્યારે સૌ ચકિત થઈ ગયા. ત્યારે જ લોકોએ જાણ્યું કે પંડિત હરીપ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, આશિષ ખાન, બસંત કાબરા જેવા આંતરાષ્ટ્રીય કક્ષાના કલાકારો અન્નપૂર્ણા દેવીનાં શિષ્યો હતા!

    ***

    પં. રવિશંકરે તેમની આત્મકથામાં લખ્યું કે અન્નપૂર્ણા દેવી સાથેનાં તેમનાં લગ્ન ‘અૅરેન્જડ્ મૅરેજ’ હતા. પ્રેમ-બ્રેમ જેવી કોઈ વાત નહોતી!” આગળ જતાં તેમણે લખ્યું કે તેમનાં પત્નિ હઠ કરીને તેમની સાથે બેસીને કાર્યક્રમ આપવા જતાં. એ તો તેમની શરમાળ પ્રકૃતિ કે ‘નર્વસનેસ’ને કારણે solo કાર્યક્રમ નહિ આપવાનો તેમણે નિર્ણય લીધો હતો!

    લગ્ન વિચ્છેદ તથા શુભોની બાબતમાં તેમણે આખો દોષ અન્નપૂર્ણા દેવીને આપ્યો છે. શુભો માંદો રહેતો હતો અને તેની પાછળ રાત રાત જાગવું પડતું હતું તેથી તેમનો સ્વભાવ વઢકણો થઈ ગયો હતો. તેઓ લાંબા સમય સુધી બહારગામ કાર્યક્રમ આપવા જતા અને ઘેર આવતાં જ પત્ની તેમની સાથે લડાઈ કરતા કે તેમનાં અનેક રૂપવતી સ્ત્રીઓ સાથે લગ્નેતર સંબંધો છે. શુભોને સંગીત શીખવવામાં તેની સાથે અત્યંત કડક વર્તતાં તેથી તે કંટાળી ગયો હતો. તેમની સાથે અમેરિકા જવા બાબતમાં શુભો સાથે એટલો ઝઘડો કર્યો હતો કે તેણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લેવાનો પ્રયત્ન કર્યો હતો!

    ‘મૅન્સ વર્લ્ડ’માં આપેલી મુલાકાત અને પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીના સમકાલિન કલાકાર તથા સમીક્ષકોએ સ્પષ્ટ લખ્યું છે કે રવિશંકર સાચે જ પ્રતિભાશાળી કલાકાર હતા, પણ અન્નપૂર્ણા દેવીની મેધા, પ્રતિભા, સંગીત રજુ કરવામાં તેમની કલ્પકતા તથા વૈવિધ્ય અને મુખ્ય તો લોકપ્રિયતા પંડિતજી કરતાં ક્યાંય આગળ હતા. કાર્યક્રમોમાં રવિશંકર પત્નીની આભા નીચે એવા ઢંકાઈ જતા, જે તેમને કદી રૂચ્યું નહિ.

    આ બધું વાંચીને કોઈના પણ મનમાં સહજ પ્રશ્ન ઉઠશે : લગ્ન સમયે રવિશંકર ૨૧ વર્ષના બંગાળી બ્રાહ્મણ (તેમના પરિવારની મૂળ અટક ‘ચૌધુરી’ હતી)ના નબિરા હતા અને રોશન આરા કેવળ ૧૪ વર્ષનાં મુસ્લિમ પરિવારની કન્યા હતા. જો તેમની વચ્ચે પ્રેમ ન હોત તો ખાંસાહેબ અલાઊદ્દીન ખાન સાહેબ તથા તેમનો પરિવાર આ લગ્ન માટે તૈયાર કેવી રીતે થાત? શું લગ્નની સવારે પંડિતજીની માગણી પ્રમાણે રોશન આરા ધર્મ પરિવર્તન માટે તૈયાર થયાં અને તેમનાં બાબા-અમ્મીએ રજા આપી, તે શું ‘એરેન્જ્ડ મૅરેજ’ હતાં તેથી? જ્યારે બન્નેની કેળવણી પૂરી થઈ અને તેઓ જાહેરમાં આત્મવિશ્વાસપૂર્વક કાર્યક્રમ કરી શકશે એવી તેમની તૈયારી જોયા બાદ જ ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબે પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીને જાહેર કાર્યક્રમ આપવાની રજા આપી હતી. આમ કોઈનું પણ કહેવું નિરર્થક છે કે અન્નપૂર્ણા દેવી ‘નર્વસ’ કે ‘શરમાળ’ હતાં અને જાહેરમાં કાર્યક્રમ ન આપવાનો નિર્ણય કેવળ આ કારણસર લીધો હતો.

    કહેવાય છે કે હૃષિકેશ મુખર્જીએ તેમની ફિલ્મ ‘અભિમાન’માં પતિના મનમાં ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, પુરુષ અહંકાર (male ego) અને તેમની સ્ત્રી શક્તિને ગૌણ લેખવાની વૃત્તિને બતાવી છે, તે પંડિત રવિશંકર અને અન્નપૂર્ણા દેવીના જીવન પરથી લીધી. આ વાત ઘણાં લેખકો અને વિવેચકો માને છે.

    અન્નપૂર્ણા દેવીનું સંગીત કેટલું દિવ્ય છે હતું તે વિશે તેમના શિષ્યોની વાત સાંભળીશું. “મા તેમની સાધના એક ખાસ રૂમમાં બંધ બારણે કરતા. કહેવાય છે કે ખુદ મા સરસ્વતી તેમનું સંગીત સાંભળવા આવતાં. કોઈ કોઈ વાર જ્યારે તેઓ સુરબહારના crescendo – ઝાલા (દ્રૂત લય)પર પહોંચતાં, તેમના સાધના ખંડમાંથી ચંદનની ખુશબૂ પ્રસરતી. સૌ જાણે છે કે તેમણે કદી સાધના ખંડમાં ધુપ-બત્તી નહોતી કરી.”

    આ અનુભવ ખુદ ઋષિ કુમારને પણ થયો હતો.

    જ્યારથી અન્નપર્ણા દેવીએ જાહેરમાં વાદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી પચાસ વર્ષ સુધી કોઈ વ્યક્તિની સામે તેમણે સુરબહાર વગાડ્યો નહિ. ખુદ તેમનાં શિષ્યો સામે પણ તેમણે સુરબહાર કે સિતાર ન વગાડ્યાં. તેમને શિક્ષણ આપતા તે સુરાવલી, ગત, આલાપ – બધું ગાઈને સમજાવતાં અને તેનો રિયાઝ કરવાનું કહેતા.

    ફક્ત એક વ્યક્તિની સામે તેમણે સુરબહારનાં સૂર પ્રસ્તુત કર્યાં. બીટલ્સના જ્યૉર્જ હૅરીસન. જ્યારે જ્યારે તેઓ ભારત આવ્યા, અન્નપૂર્ણા દેવીનું સંગીત સાંભળવા મથ્યા,પણ તેમને સફળતા ન મળી. આખરે તેઓ તે સમયનાં ભારતના પ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીને મળ્યા અને તેમની પાસેથી ભલામણ કરાવી. અન્નપૂર્ણા દેવી શ્રીમતિ ગાંધીની વિનંતીને ઉપેક્ષી ન શક્યા. તેમણે એકલા જ્યૉર્જ હૅરીસન માટે તેમના ફ્લૅટમાં અન્ય કોઈની હાજરી સિવાય સુરબહાર વગાડ્યો.

    અન્નપૂર્ણા દેવીના જીવનમાં સૌથી વધુ આઘાતકારક પ્રસંગો હોય તો તે તેમના પુત્ર શુભોને લગતાં હતા. પ્રથમ તો જ્યારે તે માતા પાસેથી મળતું શિક્ષણ અધુરૂં મૂકી પિતા સાથે અમેરિકા જતો રહ્યો તેમને અત્યંત દુ:ખ થયું હતું. એટલા માટે નહિ કે તે તેના પિતા સાથે જઈ રહ્યો હતો. તેમણે પુત્રની સાધના પૂરી થાય તેનો આગ્રહ કર્યો હતો. લગભગ બે દાયકાની મહેનતની પરિણતી માટે સાવ થોડો સમય બાકી રહ્યો હતો તે પૂરો કરે. શુભોમાં પ્રતિભાનો અભાવ નહોતો. જેમ હિરાની કિંમત કસબીના હાથે પાસા પાડવામાં આવે ત્યારે જ થતી હોય છે, તેમ સંગીતકારની પ્રતિભા તેના ગુરૂ પાસેથી મળતું શિક્ષણ અને રિયાઝના અંતે જ પ્રકાશતી હોય છે. રવિશંકરે કહ્યું કે તેઓ તેનો અભ્યાસ પૂરો કરશે, અને શુભોને અમેરિકા લઈ ગયા. બે વર્ષ બાદ તેણે પિતાની સાથે થોડા કાર્યક્રમ (ન્યુ યૉર્ક, પૂણેના સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવમાં) આપ્યા, પણ તે ક્યાંય ઝળકી શક્યો નહિ અને અંતે તે લુપ્ત થઈ ગયો. જે પ્રતિભાશાળી માતા-પિતા અને ખાંસાહેબ અલાઉદ્દીન ખાનસાહેબ જેવા માતામહની પરંપરા ચાલુ રાખી શક્યો હોત, તેણે આજીવીકા કમાવવા ગ્રોસરી સ્ટોરમાં સુદ્ધાં કામ કર્યું. અંતે થાકીને આઠ વર્ષે તે મા પાસે આવ્યો અને આંખમાં આંસુ સાથે એક જ વાક્ય બોલ્યો : “મા, આમિ શીખૂ.” (મા, હું તારી પાસે શીખીશ.) જાણે તે કદી ઘર છોડીને ગયો જ નહોતો તે પ્રમાણે અન્નપૂર્ણા દેવીએ તેને સિતાર આપી અને “લે, બેસ,” કહી તેનું શિક્ષણ શરૂ કર્યું. પણ આઠ વર્ષના ગાળામાં જે છૂટી ગયું હતું તે શુભો આંબી શક્યો નહિ. થોડા જ સમયમાં તે પાછો કૅલિફૉર્નિયાના ગાર્ડન ગ્રવ શહેરમાં જતો રહ્યો. ત્યાં તે સ્થાનિક કલાકાર તરીકે જીવ્યો અને ત્યાં જ અવસાન પામ્યો. લૉસ અૅન્જલીસ ટાઈમ્સના મનોરંજન વિભાગમાં કેવળ ૭૫ શબ્દોમાં તેની અવસાન નોંધ લેવાઈ : “ગાર્ડન ગ્રવના સંગીતકાર અને કૉમ્પોઝર શુભો શંકર, જે પ્રખ્યાત સિતારવાદક રવિશંકરના પુત્ર હતા, પચાસ વર્ષની વયે લૉસ અાલામિટોસ હૉસ્પિટલમાં ન્યુમોનિયાની બિમારીથી મૃત્યુ પામ્યા…” વિ.

    અંતમાં ફરી એક વાર સંગીત વિવેચક મદનલાલ વ્યાસના લેખનો અંશ ઉતારીશ :

    “… She is a genius. Even Baba, the unforgiving and uncompromising Guru called her the embodiment of Saraswati. What higher praise than this?”

     


    આજનો અંક વિવિધ સ્રોત પર આધારીત છે. તેમાંની મુખ્ય લિંક છે:

    1Annapurna Devi: The Tragedy And Triumph Of Ravi Shankar’s First Wife


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • સંભારણું – ૧૭: સેકન્ડ ઈનિંગ્સ

    શૈલા મુન્શા

    સેકન્ડ  ઈનિંગ્સ, બીજી પાળી, ડાયરીમાં એક નવું પાનું, એક નવો અધ્યાય શરુ થયો!! પણ ખરેખર આ બીજી પાળી કે ત્રીજી??

    આમ તો બધા લોકો નિવૃત જીવનને બીજી પાળી તરીકે ઓળખતા હોય, બાળકો મોટાં થઈ પોતપોતાના જીવનમાં ગોઠવાઈ ગયાં હોય, એમના જીવનનું એક સુંદર ઉપવન રચાઈ ગયું હોય. ક્યારેક બાળકો પાસે હોય તો પૌત્ર, પૌત્રીને રમાડવાનું, એમની જરુરિયાત વખતે સાથ આપવાનો મોકો મળે, અને થોડા વખતમાં એ બાળકો પણ પોતાની દુનિયામાં રમમાણ!!

    મારા જીવનનો અધ્યાય કાંઈક જુદી રીતે જ લખાયો! થાય છે આજે તો મન મૂકીને ડાયરીમાં ઠાલવી જ દઉં.

    પચાસ વર્ષની વયે સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઈ, અને પહોંચ્યાં અમે ભારતથી છેક અમેરિકા. નવો દેશ, નવી દુનિયા; અધૂરામાં પૂરું બહેન કે જેણે અમને સ્પોન્સર કર્યાં એમને સાઉદી અરેબિયા જવાનું થયું. સગવડ તો એ બધી જ કરીને ગઈ હતી. પછી પગભર થવાનું, નવા સંબંધ શોધવાના, નોકરી માટે ઈન્ટરવ્યૂ!! ખરી મજા તો ઈન્ટરવ્યૂ આપવામાં થઈ.

    અંગ્રેજોની મહેરબાનીથી આપણા અંગ્રેજી ઉચ્ચાર પર બ્રિટિશ લહેકાની અસર અને અમેરિકન અંગ્રેજી સ્વર, સ્વરના ઉચ્ચાર-ધ્વનિ પર વધુ ભાર આપે. ભલે મારું અંગ્રેજી વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર હોય પણ સામાવાળાને સમજવામાં તકલીફ પડે. અચાનક મને કેપ્ટન નરેન્દ્ર ફણસેના પુસ્તક “જિપ્સીની ડાયરી” નું એક વાક્ય યાદ આવી ગયું. “એક સૈનિકને અનેક મોરચે લડાઈ લડવી પડતી હોય છે, પણ જીવનની લડાઈ તો પ્રત્યેક માણસે પોતે એકલાએ જ લડવી પડે છે” આ પરમસત્યનું જ્ઞાન અમેરિકા આવીને મારા હૈયામાં બરાબર કોતરાઈ ગયું.

    અમેરિકાની ધરતી પર ગોઠવાતા વાર લાગી નહિ. બહેનના મિત્રોનો ભરપૂર સાથ મળ્યો. ભારતની શૈક્ષણિક કારકિર્દીએ અમેરિકન સ્કૂલમાં શિક્ષિકાની નોકરી મેળવવામાં સહાય કરી. નાના દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં કરતાં જીવનમાં એક નવું પાનુ ઉમેરાયું.

    આ નિર્દોષ બાળકોની વ્યથા, તકલીફ, નિર્વ્યાજ પ્રેમ આ રોજનીશીનું અવિભાજ્ય અંગ બની ગયાં. લગભગ રોજ ડાયરીમાં એ પ્રસંગો નોંધાતા ગયા.

    એ રોજનીશીએ સાહિત્ય જગતમાં પ્રવેશવાનો માર્ગ ચીંધ્યો અને હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના ઘણા સાહિત્ય સર્જકો અને સરિતાના દરેક સભ્યો સાથે જાણે પારિવારિક સંબંધોનો સેતુ બંધાયો.

    ત્રેવીસ વર્ષ અમેરિકન સ્કૂલમાં કામ કરતાં કરતાં ત્યાં પણ ઘણા મિત્રો થયા. મારિયા એક ચુલબુલી મેક્સિકન શિક્ષિકાનો ચહેરો અને ડાયરીનું એ પાનું આજે પણ આંખ સામે તરવરે છે.

    કેન્સરને માત આપી જિંદાદિલીથી જીવતી મારિયા અચાનક એક દિવસ મારી સાથે જમતાં જમતાં કહેવા માંડી, “મીસ મુન્શા 55 and up, decide to start my second innings” પહેલીવાર મને સેકન્ડ ઇનિંગ્સનો અર્થ સમજાયો, સ્વેચ્છાએ મારિયા નિવૃત થઈ પોતાના સમવયસ્ક લોકો સાથે રહેવા જવાની હતી; જ્યાં એ પોતાના શોખ પોતાના મિત્રો સાથે માણી શકે. અમેરિકામાં આ વાત બહુ સહજ છે જે પચાવતા થોડી વાર લાગી.

    जिंदगीका सफर है ये कैसा सफर,
    कोई समझा नहीं, कोई जाना नहीं;
    है ये कैसी डगर, चलतें हैं सब मगर;
    कोई समझा नहीं, कोई जाना नहीं!!

    રાજેશ ખન્ના, શર્મિલા ટાગોરनुं પિક્ચર સફર મારા મનગમતાં પિક્ચરની યાદીમાં શામેલ છે. કિશોરકુમારના કંઠે ગવાયેલું અને ઈન્દીવરજીએ લખેલું આ ગીત જીવનનો મર્મ કેવી સુંદરતાથી સમજાવે છે. મારા જીવનની સફર પણ કાંઈક આવી જ છે, चलतें हैं सब मगर, कोई समझा नहीं कोई जाना नहीं।

    અત્યારે ડાયરીનો ત્રીજો અધ્યાય લખાઈ રહ્યો છે. અમેરિકામાં સ્થાયી થવાની ઈચ્છાએ ત્રેવીસ વર્ષ પહેલાં ભારત છોડ્યું. છેલ્લાં બે ત્રણ વર્ષથી કોરોનાના સકંજામાં આખું વિશ્વ ઝડપાયું અને ઘણા આપ્તજનોનો વિયોગ થયો ત્યારથી મનમાં એક ઉત્પાત થઈ રહ્યો હતો, એકલતાનો સામનો કરવો તો કઈ રીતે? એક સ્ત્રી તરીકે કદાચ એ સહી લેવાય પણ એક પુરુષ અને તે પણ હંમેશાં બીજા પર અવલંબિત હોય એનું શું?

    ભારતથી મિત્રોનો વારંવાર વહાલભર્યો સંદેશો આવતો હતો કે પાછી આવી જા, ઉંમરના આ પડાવે મિત્રો જેવો બીજો કોઈ સાથ નથી, એમાં તબિયત એક મુખ્ય નિમિત્ત બની ગયું..

    ડાયરીમાં ત્રીજી પાળી, ત્રીજો અધ્યાય લખાવો શરુ થયો. પોતાને વતન પાછાં ફરતાં જાણે માની ગોદમાં પાછી ફરી હોઉં એવું લાગે છે. વતનની માટી, લોકો અને એની ખુશ્બૂ નિરાળી જ છે!! આ સવાર, બારી બહાર દેખાતો ગુલમહોર અને……

    ઊઘડતી આંખ કોયલના ટહુકારે,
    ઊગતું પ્રભાત સૂર્યકિરણના સથવારે.
    આજનું આ પાનું માતૃવંદના સાથે સમાપ્ત કરું છું.

    “પાલવનો ટુકડો મીઠું વ્હાલ સજાવે,
    આમ તો ના કોઈ કમી જીવનમાં જરાયે
    તો સપનામાં રોજ મા હાલરડાં કાં વાવે
    મોતી ચમકતું આંખ ખૂણે, એ છુપાવે…..

    ઠેસ જ્યાં લાગે જરા, ને મા યાદ આવે.

    ગયા સહુ છોડી એ શું બની જાય તારા?
    કૌતુકભરી નજરો શોધે હશે કોઈ મારા?

    વરસાવે સહુ અઢળક પ્રેમની અમૃત ધારા!

    યાદોના ખૂલે પટારા, અશ્રુનાં તોરણ બંધાવે.

    ઠેસ જ્યાં લાગે જરા, ને મા યાદ આવે.

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • સબંધ: મારી નજરે

    સોરઠની  સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    સૌ જાણે છ એમ તાજેતરમાં ૨૦૧૯થી લઈને આશરે ત્રણેક વરસ કોવીડે દુનિયાની દસેય દિશાને અજગરી ભયડે લીધીતી. આના વિષે ઘણું લખાણું છ ને લખાશે એટલે હું જાજું ન લખતાં એટલું જ કહીસ કે આ રોગના ભોગે અગણિત પરિવાર વેરવિખેર બન્યા, મિત્રોએ મિત્રો ગુમાવ્યા, પાડોસીઓએ પાડોસીઓ ગુમાવ્યા ને જેને કોઈ કે કાંઈ ન ગુમાવ્યું ઈ બધા પણ મોઢે માસ્ક બાંધીને દી’રાત ફરતા થઇ ગ્યાતા. હા, માણસ હાંફતો નથી એટલે આ કાળમુખા રોગને હંફાવા એને જાતજાતની રસીઓ ને પેક્ષલોવીડ જેવી દવાઓ શોધી ને પરિણામે આજે કોવીડ ગરભાઈ ગ્યો છ પણ એનો ફડકો માણસમાત્રમાં પડી ગ્યો છ એની કોઈ દવા હજી નથી શોધાણી. બીજું, આ ખતરનાક રોગ માંથી હેમખેમ ને અડીખમ ઉગ્રી ગ્યા પછી મને એમ હતું કે “ઘીના ઠામમાં ઘી પડી જાસે” ને સૌ સારાંવાનાં થઇ જાસે પણ એવું સાવ તો હજી નથી થ્યું કારણ કે હું જોવું છું ને જીવું છું કે કોવીડ પૂર્વે જે ઘનિષ્ટ સબંધો હતા ઈ મને હવે લાંપડાં લાગે છ. મારી આ લાગણી સાચી છે કે નહીં એનો તાળો મેળવવા હું મારી નજરે ને મારી લેખણીએ પે’લાં “સબંધ” વિષે થોડું લખું ને ભવિષ્યમાં એના ઉપર કોવીડની અસર વિષે.

    જમાનાથી જાણીયે છ કે માણસ એક સામાજિક પ્રાણી છે એટલે ઈ કોઈને કોઈ હારે જોડાયેલો હોય છે જેમ કે ગામની કે નામની ઓળખાણે, પરિવાર હારે, પાડોસ હારે, મિત્ર હારે, વ. બીજું, દરેક જોડાણમાં સબંધ હોય એવું અનિવાર્ય નથી કારણ કે મારી નજરે એકાબીજાની પરસ્પર સમજ અને એમાંથી સમયે ઉદ્દભવતી સ્નેહની ગાંઠે જે સહબંધન થાય એનો અપભ્રંશ ઈ જ “સબંધ.” ઈ ટકાવા માટે પરસ્પર સમજાવાની નહીં પણ મોકળા અને પ્રમાણિક મને સામાને સમજવાની જરૂર છે. ત્રીજું, સંબંધમાં જે એકાબીજાને જરૂરિયાતે ક્યાંક પણ કે’છ ઈ ભલા માટે જ કે’છ ઈ વિશ્વાસ હોવો જરૂરી છે. શ્રી.શાહબુદ્દીન રાઠોડ કયાંક આમ કે’છ કે “આઈ (હું) ઇઝ ઓલ્વેઝ કેપિટલ ને ઈ બે વચ્ચે દીવાલની જેમ ઉભો હોય પણ જો એને આડો પાડી દયો, અર્થાત “હું પણા”ને સુવાડી દયો, તો ઈ જ આઈ સામાના દિલ સુધી પોંચવાનો સીધો અને સરળ રસ્તો બની જાય છ.” ટુંકમાં, સંબંધના બીજને પાંગરવાનું ખાતર પરસ્પર સમજ, લાગણી અને અહમની હવનમાં આહૂતિ છે.

    અગાઉ કીધા પ્રમાણે માણસને વિવિધ પ્રકારનાં જોડાણો હોય સકે ને એમાંથી પારિવારિક જોડાણ સિવાય દરેક વ્યક્તિ પોતાની પસંદે સામા હારે જોડાય છે. બીજું, આવા જોડાણની ચણોઠીએ જોખ પછી જ સમયે હું જેને સબંધ ગણું છું એનાથી વ્યક્તિ બંધાય છે બાકી ઈ જોડાણે જ અટકી જાય છે. એક જમાને ગામની કે નામની ઓળખાણ આમાંથી મહત્વની હતી; દા.ત., મારા મોટા મામા ૧૯૫૦ના અરસેથી અમદાવાદમાં સફળ ને સુખી દાક્તર હતા. ઈ જમાને અમારા વતન જૂનાગઢથી મેડિકલના અભ્યાસ માટે કેટલાક વિદ્યાર્થી અમદાવાદ જાતા ને ઈ દર રવિવારે ને વારતે’વારે “મેસ” બંધ હોય એટલે જૂનાગઢની ઓળખાણે મારા મામાને ઘેર જમવા જાતા. મામામામીને એનું ગૌરવ હતું કે “આ સૌ પ્રેમ છે તો જમવા આવે છ.” મારા મોસાળમાં હજી પણ આ શિરસ્તો નાનામોટા અંશે જીવિત છે.

    અમે પણ ગામડાંઓમાં હતા યાં અમારે ઘેર જૂનાગઢની ઓળખાણે લોકો ગામડાનો આનંદ માણવા કે સિંહ દર્શને અમારે ઘેર ઉતારતા ને મોજથી રે’તા. ઈ જ રીતે જૂનાગઢથી નોકરી અર્થે આવેલા લોકો પોતાનો રૂમ રાખીને રે’તા પણ જમવા અમારે ઘેર આવતા. આ ઉપરાંત અધિકારીઓ ઇન્સ્પેકશન માટે આવે ઈ પણ લાંબા અરસા સુધી અમારા મે’માન થાતા. આ બધાનો મારાં માંપપ્પાને પણ આનંદ હતો કે “માણસને ઘેર માણસ આવે બાકી લોભિયાને ઘેર ઘૂતારોયે ન જાય.”

    નામની ઓળખાણનો તો મારો જ દાખલો છે: નવસારીના મિસ્ત્રી પરિવારનો એક દીકરો – કે જેને હું ફક્ત નામથી જ ઓળખતો – ઈ ૧૯૫૦ના દસકે મારા મોટાભાઇનો વિદ્યાનગર હોસ્ટેલમાં રૂમ પાર્ટનર હતો. ત્યાર બાદ ફક્ત ઈ નામના જ આધારે હું જયારે ૧૯૬૭માં નવસારી ભણવા ગ્યો ત્યારે “દિગી સ્ટ્રીટ”માં ઈ મિસ્ત્રી પરિવાર હારે બેએક અઠવાડિયાં રયોતો ને પછી હોસ્ટેલમાં રે’વા ગ્યોતો. મારી નવસારીની રોકત દરમ્યાન પણ આ પરિવાર હારે મારે સારો નાતો હતો. અલબત્ત, આવાં ગામ ને નામના જોડાણોમાંથી ભાગ્યે જ સબંધ ઉગે છે પણ અમુક જોડાણો લાંબા વખત લગી જીવિત જરૂર રે’છે. મને ખાત્રી છે કે આવાં ઉદાહરણો સૌના ઘરમાં હશે કારણ કે ઈ જમાને નાયલોની નહીં પણ પાણકોરી જોડાણો હતાં.

    પારિવારિક જોડાણમાં માણસને પસંદગી નથી કારણ કે ઈ તો એના જનમ હારે જન્મે છે ને મરણ પછી પણ વ્યક્તિના નામથી તો ઈ જીવે જ છે; જેમ કે મેંદરડામાં મેં નંદાભાઈને કે’તા સાંભળ્યાતા કે “બ્રાહ્મણ શેરી” વાળા હકાબાપા દસેક વરસ પે’લાં જે બીમારીમાં ઉકલી ગ્યા ઈ જ બીમારી એના સાળાનાં સાળાવેલી હિંગળાજબેનને પણ છે એમ હસમુખભાઈ વૈદ કે”તાતા.” મારો જાત અનુભવ છે કે મરણોત્તર યાદ કરાતું કૌટુંબિક જોડાણ માણસની હૈયાતીમાં નિભાવું જાજું કપરું છે કારણ કે આ જોડાણમાં પરસ્પર અપેક્ષા જાજી, ને ઘણી વાર ખોટી, હોય છે ને એટલે બાંધછોડ પણ ઓછી હોય છે. કૌટુંબિક સાંધા નબળા પડવાનાં પણ ઘણા કારણો છે જેમાંના થોડાંક નીચે મુજબ છે;

    સંયુક્ત કુટુંબમાં વધુ દેખાતું એક કારણ ઈ કે ઘણા વડીલો પોતાને હમેશાં અનુભવી ને સાચા જ સમજે છે તો ઉંમરે નાના એમ માનતા હોય છે કે વડીલ આજની દુનિયા ને વખતથી પાછળ છે, એને વાત નહીં સમજાય ને સમજાસે તો પણ સ્વીકારશે નહીં. પે’લાના જમાને વડીલો અને એની બીજીત્રીજી પેઢીએ આવો વિચારભેદ હતો ને એનું કારણ કદાચ ઈ હોય શકે કે ત્યારે વડીલોને સાચીખોટી પણ ઈ બીક હતી કે ઉંમરે નાનાં એવી ભયંકર ભૂલ કરશે કે જેની સંપતિએ કે સમાજમાં કિંમત ચૂકવવી મોંઘી પડશે. હવે “અમે બે ને અમારાં બે”નો પરિવાર થઇ ગ્યો છ ને આજના વડીલો એનાં બાળકો કરતાં આ ભેદ દૂર કરવા વધુ પયત્નશીલ છે એટલે મહદંશે આ ઘૂંચ ઉકલી ગઈ છે.

    આપણા સૌનો અનુભવ ઈ પણ છે કે પરિવારમાં ગંભીર વીચારભેદ ન હોય ને જોડાણ પણ સારું હોય તો પણ કુટુંબનો એકાદ બાધોડકો સભ્ય “મને કેમ ન પૂછ્યું,” “મને કેમ ન જણાવ્યું” કે “મારા વગર ઈ કેમ કર્યું” એવો એકાદ સામાની પરિસ્થિતિ સમજ્યા વિના બેવજૂદ પૂર્વગ્રહ બાંધીને બેઠો હોય. પછી ઈ માણસ વખતોવખત પરિવારના સારાનરસા કામમાં આડો આવે એટલું જ નહીં પણ મેં જોયું છે એમ એના અહમના અંધાપે પરિવાર હારે જોડાણ પણ તોડી નાખે. તો બીજી કોર કુટુંબમાં કોક વળી એવા પણ અકોણા હોય કે જે કૌટુંબકી જોડાણ તોડે નહીં પણ એને તાગે. એક લગ્નપ્રસંગે હું સાક્ષી હતો કે સિત્તેરેક વરસની વરની ફઈ જાનની બસમાં ન બેઠી કારણ કે એને એનો વર – કે જે એની પાડોસણ હારે ભાગ્યોતો ઈ – પેલીવાર બાર વરસે જાન ઉપાડવા ટાણે યાદ આવ્યોતો. પછી ઘરના ડાહ્યા વડીલે ઈ ફઈની સામે પાઘડી પાથરીને કાગલૂદી કરીને સમજાવી એટલે ઈ દોડીને સૌથી મોર બસમાં બેસી ગઈ ને એની સીટે મુકેલ નાસ્તાનું પડીકું અરધોઅરધ ખાય ને ડોબું ધરાય એટલું માથે પાણી પી ગઈ. મારાં માંના મોસાળપક્ષે જયારે ક્યાંક સારો અવસર હોય ત્યારે એક વિઘ્નસંતોષી વડીલ બેન વાય ખાઈને જમીને પડતાં ને પછી એને સુકા મેવા યુક્ત કઢેલ દૂધનો કળશો પાવ એટલે સાજાંનરવાં થઇ જાતાં.

    કૌટુંબિક જોડાણમાં હું ઈ પણ જોવું છું ને ખુદ જીવ્યો પણ છું કે પરિવારમાં કેટલાક લોકો જ્યાં લગી એનો સ્વાર્થ ન સરે યાં લગી વ્યક્તિને પૂજે ને કામ પતી જાય પછી આ સ્વાર્થનાં સગાં ઈ જ વ્યક્તિની અવગણના કરે. હું ઓળખું છ ઈ બે ભણેલગણેલ ભાઈઓ – કે જે જનમથી એક છાપરા હેઠે રે’તા ને એક રસોડે જમતા – બાકસની સળી ગણીને એક જ ઘરના આંગણામાં નોખા થ્યાતા. એના બાપ ગુજરી ગ્યા પછી આ બે ભાઈઓએ એકબીજાને વાંસા અઢેલીને લૌકિક ક્રિયા પણ કરેલ. સાંભળવા મુજબ આ અણબનાવના કારણમાં નાના ભાઈએ મોટા ભાઈની ભલમનસાઈનો લાંબા સમય સુધી લાભ લીધો ને મોટાભાઈની જરૂરિયાતે નાનો ભાઈ “તું કોણ ને હું કોણ” એમ કહીને ખસી ગ્યોતો.

    પૈસાની લાલચ પણ પરિવારની એકતા વીંખી નાખે છે. આનું એક જ ઉદાહરણ ઈ કે હું એક પરિવારને ઓળખું છ કે જેમાં સંસ્કારી પણ સામાન્ય આર્થિક સ્થિતિનાં માબાપે છ દીકરી ને સાત દીકરાનો બોહળો સંસાર ઉજ઼ેર્યો. ભાઈઓએ વારાફરતી નાનીમોટી લોનો લઈને ને પી.એફ.ની રકમ ઉપાડીને બધી બેનોને પરણાવી ને પરણ્યા પછીનો વરસો સુધી માંબાપ વતી બેનોનો વ્યવહાર સાચવ્યો. માંબાપના દેહાંત બાદ નાના ઘરમાં પાંચ ફુટ જમીનના કટકા સારુ પૈસેટકે સૌથી સુખી ને તવંગર બેને કોર્ટકચેરી કરી ને બધા ભાઈઓ ને બાકીની બેનો હારે સંધાણ તોડી નાખ્યું. હાલમાં તો એમાંથી કેટલાક ભાઈઓ હૈયાત પણ નથી ને ઈ બેન પણ વિધવા થઇ ગઈ છ પણ ઈ કેસનો નિવેડો હજી લગી નથી આવ્યો.

    ટૂંકમાં, કૌટુંબિક જોડાણો કાચી માટીના ચૂલા છે. ઈ વિવિધ કારણોસર તૂટી જાય છે કે ડચકાં ભરતાં જીવતાં હોય છ ને છત્તાં એને મનેકમને નિભાવાં પણ પડતાં હોય છે. મારો જાત અનુભવ છે કે આવાં મરવાના વાંકે ઢસડાતાં જોડાણોમાં જો સમજુ માણસ મોટું મન ને દિલ રાખી ભૂતકાળ ભુલીને ઊંચી પગથારે હાલે, અર્થાત “હાઈ રોડ લે,” તો ઈ જોડાણને થોડોક પ્રાણવાયુ મળે છ, એને થીગડું મારી સકાય પણ એમાંથી સમયે સબંધ બંધાવાની શક્યતા ઓછી છે કારણ કે “મન, મોતી ને કાચ ઈ ત્રણ ભાંગ્યા સંધાય નહીં. અલબત્ત, સાચાંખોટાં કારણોસર વિકલાંગ પારિવારિક જોડાણો સામે પેઢીદરપેઢી સ્વાસ્થ્યમય, સ્વ્સ્થ, સરળ, સધ્ધર ને સમૃદ્ધ કૌટુંબિક જોડાણ પણ હું જોવું છું, જીવું છું ને એમાંથી હું જેને સબંધ ગણું છ એમાં પણ હું અતૂટ તાણેવાણે થોડા હારે બંધાયેલ છું. આવા જોડાણમાંથી જનમતા સબંધના પણ વિવિધ કારણો છે પણ અમારા સંબંધનું એક કારણ ઈ કે અમારા પરદાદા ને માંબાપે અમને સૌને બાળપણથી જ મોકેમોકે હારે મોટા કર્યાં ને સારીનરસી પળોમાં પરસ્પર સમજવાની તક આપી કે જે હજી પણ અમારામાં જીવિત છે, ધબકે છે.

    હું પસંદગીથી થાતા પતિપત્ની વચ્ચેના જોડાણ ને એમાંથી ઉદ્દભવતા સબંધ વિષે આજ કાંઈ નથી લખતો કારણ કે ઈ એક ગહન વિષય છે ને એને અલગ ન્યાય આપવો ઉચિત્ત છે. હાલમાં હું એટલું જ કહીશ કે આ સબંધ એક દસકાનો હોય કે અમારી જેમ પાંચ દસકાનો પણ એને અતૂટ તાંતણે બાંઘીને મઘમઘતી ફોરમે નિભાવો ઈ કેસરના ગોટલા માંથી આંબો ઉગાડી ને એની શાખની કે લોટણ કેસર ખાવા જેટલું ધીરજ, સમજ, સંયમ, કાળજી ને ખંતનું કામ છે. જે દંપતી આમાં અફળ જાય છે, છૂટું પડે છે કે છોકરાંઓ, માબાપ કે સમાજ ખાતર જોડાણે જીવે જાય છે ઈ દામ્પત્ય જીવનને હું એળે ગ્યું ગણું છું.

    છેલ્લે, હું જેને સબંધ ગણું છું એના તારવણા રૂપે — સંબંધ ક્યારેય સીધી લીટીમાં નથી હાલતો ને ચડાવઉતાર એની ફિતરત છે. સંબંધને બાંધવાનાં કારણો નથી હોતાં પણ એને તૂટવાનાં ઘણાં હોય છે. સંબંધ ટકાવવા માટે દરેક માણસે યથાશક્તિ પ્રમાણિક પ્રયાસ કરવો જોયેં પણ એમાં સંજોગે કોકની શારીરિક, માનસિક કે આર્થિક જવાબદારી વધુ હોય તો એની ગણત્રી ન કરવી. સંબંધ જાળવવા ક્યારેક એકે જાતું કરવું પડે તો અહંમ છાંડીને જાતું કરી દેવું. સંબંધને ધબકતો ને સદાબા’ર ખીલતો રાખવા સામાને સમજાવા કરતાં એને સમજવા પ્રયત્ન કરવો કારણ કે પાંગરતા સબંધમાં જ “સ્નેહ વધે ને સ્નેહ વધે તો સુખ, શાંતિ, સંતોષ વધે ને બધું વધતવધત થઇ જાય.”


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • અદીઠ સંવેદન

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આ જગથી બેપરવા એવું એ ઝાડ એકદમ અકડુની જેમ ઊભું હતું. એને તો કશાથી કોઈ ફરક પડતો નહીં જ હોય, પણ એને લીધે મા-બાપુ વચ્ચે અવારનવાર વિખવાદ થયે રાખતો.

    “એ કપાશે પછી જ હું ખાઈશ નહીંતર આજથી જ મારે ઉપવાસ.” મા ગુસ્સે થઈને જીદ પર આવી જતી. કેટલીય વાર સમજાવ્યા પછી એ ખાતી, પણ ઘરમાં પાછું એ પુનરાવર્તન થયે રાખતું.

    આંગણાની પરવા કર્યા વગર એ પગ પસારીને ફેલાવા માંડ્યું હતું. દાદાબાપુએ આ ઝાડ દાદા-દાદીની લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે એ વાવ્યું હતું એટલે એને વધતું જોઈને બંને જણા ખુશ થતાં.

    ત્યારે ક્યાં ખબર હતી કે, આ જ ઝાડ એક દિવસ એમનાં દુઃખનું કારણ બનશે ?

    આખા આંગણાંમાં ફેલાયા પછી એ ઘરની છત પર છત્રીની જેમ ફેલાવા માંડ્યું. ગરમીમાં એની છાયા ગમતી, પણ ઠંડીમાં તડકો રોકાવા માંડ્યો ત્યારે પરેશાની શરૂ થઈ. પણ, એને શું ફરક પડ્યો? એનો તો વ્યાપ વધવાની સાથે જાણે રોફ વધતો ચાલ્યો. હા, એ જાગૃત પ્રહરીની જેમ ઘરનું રક્ષણ કરતું.

    પાનખરમાં ઘરના આંગણમાં ખરેલાં પાનનો ઢગલો સાફ કરવાનું કામ વધી જતું. દાદીનો આગ્રહ હતો કે ઘરનું આંગણું એકદમ સાફ હોવું જોઈએ એટલે જેને આ જવાબદારી સંભાળવાની આવતી એને એ ઝાડ પર રોષ ચઢતો.

    દાદાએ દક્ષિણ દિશા છોડીને ઝાડની ફરતે ચબૂતરો બનાવ્યો હતો. સૌની જેમ દીદી પણ સાસરેથી આવે તો પહેલાં આ ચબૂતરા પર બેસી્ને જરા શ્વાસ લઈને જ ઘરમાં આવતી. દીદીને જોઈને દાદી દોડી આવતી. દીદીને વહાલથી ગળે લગાવતી ને ઘરની બધી ફરિયાદોનું પોટલું દીદી આગળ ખોલી દેતી.

    ચબૂતરો કેટલાય અવતારો ધારણ કરતો. ઘડીકમાં એ દાદીની અકળામણ ઠલવવાનું સ્થાન બનતો તો ક્યારેક લક્ષ્મણરેખા.

    લક્ષ્મણરેખા એટલા માટે કે, ચબૂતરો વટાવીને નાનીના પત્રો અંદર લઈ જવાની માની હિંમત નહોતી. દાદીની નજર ચૂકવીને એણે પત્રો અહીં જ વાંચી લેવા પડતાં.

    ક્યારેક ચબૂતરો અમારી રમતોનો, ભણવાના નામે રામાયણ-મહાભારત વાંચતા જોવાનો, દાદીની વાતો સાંભળવાનો તો ક્યારેક મજૂરો સાથે દાદાજીની લમણાઝીક જેવી કેટલીય ઘટનાઓનો સાક્ષી બન્યો.

    કૉલેજમાં કેટલીય રાતો આ ઝાડ નીચે બેસીને વાંચ્યું હશે. રાતના પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રનું અજવાળું આ ઝાડના પાંદડાઓની વચ્ચે ચળાઈને આંગણામાં રેલાઈ આવતું.

    આ ઝાડ સાથે હું અનોખું ઐક્ય અનુભવતો. જાત સાથે વાતો થતી તો જાણે એ મારું અંતરમન વાંચી લેતું. મારી લાગણીઓ એ પારખી લેતું. અમારાં સુખ-દુઃખ એકબીજાનાં હોય એવી મનોસ્થિતિમાં અમારાં બંને વચ્ચે મૌન સંવાદ રચાતો.

    એક દિવસ અચાનક દાદાજીએ હંમેશ માટે વિદાય લીધી. દક્ષિણાભિમુખ મૂકેલી દાદાજીની અર્થીને કાંધ આપીને સૌ લઈ ચાલ્યા. દાદી બેભાન થઈને પડી. ઝાડ એનું’યે સાક્ષી. એ પછી રાતના અંધારામાં દાદીનું મૂક આક્રંદ પણ એ સાંભળતું રહ્યું. સતત બોલ્યા કરતી કરતી દાદી રાતોરાત મૌનયોગી જેવી બની ગઈ. દાદીની સાથે એ ઝાડ પણ સાવ ગુમસૂમ.

    ક્યારેક ચબૂતરા પર બેઠી દાદી જાણે કોઈને લાડ કરતી હોય એમ ઝાડને સહેલાવતી. પોતાના મનની વ્યથા મનમાં જ સમાવીને બહારથી હિંમત દેખાડતી દાદી મનથી કેટલી હિજરાય છે એનુંય સાક્ષી એ ઝાડ. રાત્રે ઘર આખું જંપી ગયું હોય ત્યારે વિલાપ કરતી દાદીને ભલે એ સાંત્વન ન આપી શકતું, પણ એનો શોક સમજી શકતું. એકાદ પાંદડું ખેરવીને સમજાવતું કે, સહન કરવાનું સૌના નસીબમાં લખેલું જ હોય છે.

    દાદાજી કહેતા કે, “સહનશીલ વ્યક્તિઓથી વિપત્તિ પણ હાર માની લે.” દાદાજીની આ વાત ઝાડ બરાબર સમજતું. એની સહનશક્તિ અસીમ, અપ્રમેય હતી. મેં પણ આ વાતને જીવનપથનું ભાથું બનાવી લીધું.

    “ગમે એટલા આંધી-તોફાન આવે, પથરીલા રસ્તે ચાલવાનું થાય કે શાંત પગલે મોત આવીને ઊભું રહે આપણે મેરુની જેમ અટલ રહીશું.” એવા ભાવને મારી જેમ જ એ ઝાડે આત્મસાત કરીને સમય સાથે કદમતાલ મેળવી લીધો હતો. સમય એની પાંખો પસારીને આગળ વધતો રહ્યો. મારી જેમ ઝાડ બાળપણમાંથી યુવાન બનતું ચાલ્યું. પહેલાંથી અધિક ગર્વીલું બનીને સૂર્ય-ચંદ્રની સમીપ જવા પ્રયાસ કરતું રહ્યું. બદલાતી મોસમ સાથે પોતાની રૂખ બદલીને વધુ સશક્ત બન્યું.

    ચબૂતરા પર બેસીને જેવી નોકરી મળ્યાની ઘોષણા કરી કે તરત દાદીએ પડોશમાં રહેતી છોકરી સાથે મારા વિવાહ નક્કી કર્યા. વિવાહ, લગ્ન, દીકરીનો જન્મ, આ બધી ઘટનાનું સાક્ષી આ ઝાડ.

    અચાનક દક્ષિણ દિશાએ ઝાડનો એક ભાગ સુકાવા માંડ્યો. એક વાત ધ્યાનમાં આવી હતી કે, દાદીમા એ બાજુથી મૂળ ખોદીને દરેક આગંતુકને આપતી. હું દાદીમાને ટોકતો તો માબાપુની વઢ પડતી. દાદી તરફ આ સહાનુભૂતિનું કારણ દાદીમાની ઉંમર હતી કે ઝાડ પર એમનો અધિકાર હતો, એ મને નહોતું સમજાતું.

    ઝાડ સુકાવાના લીધે ઘરમાં સૌ વ્યથિત હતાં. જૂની માન્યતાને અનુસરીને પિતાજીએ શાલિગ્રામ પર ચઢાવેલું પાણી લાવીને ઝાડ પર છંટકોર્યું. વહેલી સવારે પાણીમાં સોનું કે ચાંદી નાખીને એ પાણીનો છંટકાવ કર્યો. ઝાડ બચાવવા શક્ય એટલા પ્રયાસો કર્યા.

    કદાચ દાદાજી વગર એ હિજરાતું હશે એમ માનીને દાદીએ દાદાજીનો ફોટો લાવીને ઝાડની નીચે મૂકવાનું કહ્યું. એ ઝાડ અમારા માટે માત્ર ઝાડ નહોતું, ઘરનું એક સદસ્ય હતું. દરેકની જેમ એનામાં  લાગણીઓ હતી. ફરક માત્ર એ હતો કે એની સંવેદના એ વ્યક્ત નહોતું કરતું, પણ એ સમજવા જેટલી સંવેદનશીલતા અમારામાં વિકસી હતી.

    એક દિવસ દાદીએ મને બોલાવીને કહ્યું, “ભલે એ ફળ નથી આપતું, પણ એની દક્ષિણ તરફનું મૂળ કમર પર બાંધવાથી અંડકોષ-વૃદ્ધિને લગતો રોગ મટે છે. તારા દાદાજીના આ નુસખાથી છોકરાંઓને ફાયદો થતો. આ ઝાડનો પાડ માનવો જોઈએ, એની પ્રદક્ષિણા કરી, પાણી સીંચીને માથું ટેકવવું જોઈએ. તું એના માટે જેમતેમ બોલે છે એ બંધ કર. એની મરજીથી એ સુકાયું છે, એની મરજીથી ખીલશે અને અંતે જેટલું સૌના માટે ઉપયોગી થવાનું હશે એટલું થઈને સમય થતાં જાતે મુક્તિ મેળવી લેશે. અને હા, હું ના હોઉં તો જ્યાં સુધી એ છે ત્યાં સુધી તું એની સંભાળ લેજે. તારા પરદાદા બહુ ખુશ થશે, તને ઢગલો આશીર્વાદ આપશે.”

    ઓહ! તો આ હતું ઝાડનું રહસ્ય !? સત્ય જાણ્યા વગર મત આપવા માટે મને જાત પર ચીઢ ચઢી.

    આસપાસના ગામમાં સૌને ફાયદો થાય છે એ જાણ્યા પછી ભલે એ ઝાડ ફળ નથી આપતું, આંગણમાં એના પાંદડા ખરે છે કે તડકો નથી આવતો એ ચિંતા કરવાનું મેં છોડી દીધું.

    સમય જતા સાચે જ ઝાડ નવપલ્લવિત થવા માંડ્યું સાથે દાદીએ પથારી પકડી. દાદીએ પોતાની ઉંમર ઝાડના નામે કરી હોય એમ ઝાડ લીલુંછમ થયું ને દાદી ચાલી નીકળી.

    દાદીના પાર્થિવ શરીરને ઝાડની સાત વાર પરિક્રમા કરાવીને વિદાય આપી. થોડા દિવસ સુધી અસ્થિકુંભ ઝાડ પર લટકાવી રાખ્યો. એક દિવસ એમનાં અસ્થિ ઝાડની બખોલમાં પધરાવી, ખાલી કપડાંની પોટલી અને કુંભનું ગંગામાં વિસર્જન કરી આવ્યો. મને વિશ્વાસ છે ઝાડ અને દાદી બંને એકાકાર થઈ, સમાજ પર અનંતકાળ સુધી ઉપકાર કરતાં રહેશે.

    ‘અસ્થિકુંભ’ના વિસર્જન પછી આવીને ઝાડ પાસે માથું ટેકવ્યું તો દાદીની જેમ ઝાડ મને લાડ કરતું હોય એમ તનમનને શીતળતાનો સ્પર્શ થયો.


    બંદિતા દાશ લિખિત, વિજય અગ્રવાલ અનુવાદિત વાર્તા ‘અનદેખા ભાવ’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક પિતાના દિલના આશીર્વાદ..

    જૂન મહિનામાં આવતો ખાસ દિવસ એટલે પિતૃદિનઃ

    સ્વ. હિમાંશુભાઈ ભટ્ટ એક ગઝલકાર હતા. કેન્સરગ્રસ્ત અવસ્થામાં તેમણે  અમેરિકાના ડલાસ શહેરમાંથી ૨૦૧૩માં વિદાય લીધી હતી.  તે પહેલાં પોતાનાં સંતાનો માટે એક ગઝલ લખી હતી તે અત્રે પ્રસ્તુત છે.


     એક પિતાના દિલના આશીર્વાદ..

    :ગઝલઃ

    પર્વત તને મળે કદી, કે રણ તને મળે
    બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે.
    છો પાનખર મળે કદી, ખિલતું રહે ચમન
    પલળી શકે વસંતમાં, તે મન તને મળે.
    કાબુમાં હો બધું સદા, એમાંય ક્યાં મજા?
    ઊર્મીના અવનવા, રૂડા પવન તને મળે.
    પથમાં ચડાવ છે, અહિં ઊતાર છે ઘણા.
    સ્થિતપ્રજ્ઞ તું રહી શકે, ચિંતન તને મળે.
    કેડી હો પારકી, કદી તો દોડતો નહિં
    તારું છે શું સ્વરૂપ, તે સમજણ તને મળે.
    તારામાં તત્વ છે, અહિં તું એકલો નથી,
    મળવાને કૃષ્ણને, સદા કારણ તને મળે.
    તારાથી મોટો તો, અહિં તું થાય ના કદી
    સાચી ઝલક ધરે જે, તે દર્પણ તને મળે.
    ચાહું છું સાચો કોઈનો તું પ્રેમ પામજે
    મુક્તિ મળે છે જ્યાં, તે બંધન તને મળે.
    એવું બુલંદ કોઈ તો તું ધ્યેય ગોતજે
    જેથી ઘડે જીવન,અહિં તર્પણ તને મળે.
    આંખોમાં ગર્વ હો સદા, હૈયામાં કંપ હો
    પ્રજળે અનંતમાં સદા, જીવન તને મળે.
    મારા ગયા પછી, તને તારા વિચારમાં
    મારા વિચારની, સદા રજકણ તને મળે.

    – હિમાંશુ ભટ્ટ

    ડલાસ,અમેરિકા

  • નર્સ એમિના – “જંગલી ફૂલોનો પ્રેમ..!”

    જયશ્રી વિનુ મરચંટ

    ૨૦૧૪, જૂન માસમાં, ફિલાડેલ્ફિયામાં રહેતી અમારાં ખૂબ જ વહાલાં મિત્રની દીકરીના લગ્નમાં અમને સહકુટુંબ આમંત્રણ હતું.

     વિનુએ છેલ્લાં બે-એક વરસોથી ફોર્મલ પ્રસંગોમાં આવવાનું સાવ મૂકી દીધું હતું. હું પણ એમની મરજીનો આદર કરીને એમને સાથે લઈ જવાનો આગ્રહ નહોતી કરતી. આથી, મેં પણ આર.એસ.વી.પી. કરતાં પહેલાં, માત્ર ઔપચારિકતા ખાતર જ વિનુને પૂછ્યું કે તેઓ લગ્ન માટે ફિલાડેલ્ફિયા આવશે કે નહીં. મારા પતિદેવે ઓચિંતું જ, ખૂબ જ ઉત્સાહથી કહ્યું કે એ પણ આવશે. ૪૨ વર્ષના લગ્નજીવનમાં મારે માટે મોટા shock ની વાત હતી. વિનુ, કે જે, “સમઃ સુખ દુઃખેષુ નિત્યમ્” એને આમ ફિલાડેલ્ફિયા, લગ્ન પ્રસંગ માટે જવાની વાત પર, ઉત્સાહથી તરવરતો, જવાબ આપતાં સાંભળવાનો પણ એક લહાવો હતો! પણ, ત્યારે ક્યાં ખબર હતી કે એ ટ્રીપ એમના જીવનકાળની અંતિમ ટ્રીપ બની જવાની હતી?

    અમે ભારતથી સીધા ફિલાડેલ્ફિયા જ આવ્યા હતાં આથી ફિલાડેલ્ફિયા, વતનથી દૂર, અમારું બીજું વતન હતું. કેલિફોર્નિયા મુવ થતાં પહેલાં અમે ૨૨-૨૩ વરસો સુધી ત્યાં રહ્યાં હતાં અને કુટુંબ જેવા મૈત્રીના સંબંધો બંધાયા હતાં. એ સંબંધો આટલા બધાં વરસોથી ફિલાડેલ્ફિયા છોડ્યા પછી પણ એટલા જ મીઠાશવાળા રહ્યાં હતાં. અમે ફિલાડેલ્ફિયા પહોંચ્યાં.

    લગ્નના પ્રસંગો વચ્ચે એક દિવસ ખાલી હતો. અમારા પહેલા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષથી આ સફર શરુ કરી. એના પછી, અમારા સંતાનોની સ્કૂલો, વિનુના અને મારા પહેલા જોબની જગા અને અન્ય જગાઓ જોવા અમે ઉપડી ગયાં. ચૌદ-પંદર વર્ષોના ગાળામાં ઘણું બદલાઈ ગયું હતું. પછી, છેલ્લે, અમારા હેવરટાઉનના એ પહેલાં ઘરને જોવા ગયાં. હું અને વિનુ કાર પાર્ક કરીને અમારા એ પહેલા હાઉસ પાસે ઊભા રહ્યાં, અને કેટકેટલાં દ્રુશ્યો નજર સામે ફુલસ્પીડથી પસાર થવા માંડ્યાં.

    વિનુએ મને પૂછ્યું, “તું આપાણા ઘરની સામેના ઘરમાં રહેતી નર્સ એમિનાના કોન્ટેક્ટમાં છે? તારી જોડે એને સારા એવા બહેનપણાં હતાં.”

    મેં કહ્યું, “ફેસબુક પર ફ્રેન્ડ છું પણ એમિના ફેસબુક પર બહુ એક્ટિવ નથી. અહીંથી તો એ અનેક વર્ષો પહેલાં જ મુવ થઈ ગઈ હતી અને મારી પાસે એનો ફોન નંબર પણ નથી.”

    પણ આ બાજુ, મારા મનમાં તો એમિના સાથેની અમારી દોસ્તીની ટેકનિકલર ફિલ્મના રીલ ચાલી રહ્યાં હતાં…!

    *****

    એમિના અને અમારી ઓળખાણ તો ૧૯૮૫ના ફેબ્રુઆરીમાં જ્યારે એ અમારા ઘરની સામેનું ઘર લઈ રહેવા આવી, ત્યારે થઈ હતી. મને હજુ યાદ છે કે અમારી દોસ્તી ૧૯૮૫, મે માસથી શરૂ થઈ હતી. એમિના બાય પ્રોફેશન, નર્સ હતી. અમારા ફિલાડેલ્ફિયાના ઘરના ફ્રન્ટયાર્ડમાં સરસ લીલોતરીથી આચ્છાદિત નાનકડો એવો ઢોળાવ હતો. ઉનાળાના આવાગમનની છડી પોકારતા, આ ઢોળાવના લીલા ઘાસની વચ્ચે, જંગલી, (વિડ્સ) નાનાં-નાનાં, પીળાં ફૂલો ખીલવા માંડ્યા હતાં.

    એ દિવસે મારો ડે ઓફ હતો. છેલ્લા ૧૦ દિવસોથી સ્ટાફની તંગીને કારણે લેબમાં મારે સતત કામ કરવું પડ્યું હતું. અને, હવે એનો એક ફાયદો ગણો તો એ કે મને એકસાથે ચાર દિવસો ઓફ મળ્યા હતાં. એમાં શનિવાર ને રવિવાર ઉમેરી દેતાં છ દિવસોનું મિનિ વેકેશન મળી ગયું હતું!

    સવારના સાડા દસ વાગ્યા હતાં. વિનુ ઓફિસમાં ગયા હતાં ને બાળકો સ્કૂલમાં હતાં. સહુ મિત્રો પણ પોતપોતાના કામે હતાં. હું મારા ફ્ર્ન્ટયાર્ડમાં ઊગેલા જંગલી પીળાં ફૂલો ઉખેડી રહી હતી અને મનનું એકાંત માણી રહી હતી. મને થયું કે “જંગલી પીળાં ફૂલોને મૂળ સોતાં ઉખેડી નાંખ્યા પછી પણ દર વર્ષે એનાં મૂળો નાંખીને પાછાં ઊગી જ જાય છે! શું એનું કારણ એ હશે કે જંગલી ફૂલોને માવજતની જરૂર જ નથી પડતી? ગમે ત્યાં, ગમે ત્યારે વચ્ચે ઊગી જવાનું અને લીલા ઘાસના ગાલીચાની શોભા નષ્ટ કરવાની…!” આવા સાવ નકામા લાગતાં વિચારો સાથે સમય વીતાવવો, એ મારા માટે એક પ્રકારે “ઝેનિંગ ઍક્ટિવિટિ ” હતી. તે દિવસે પણ હું આવા જ કઈંક મુડમાં હતી ને, લીલા ઘાસમાં ઊગતાં આ પીળા ફૂલોને આમ ઉખેડતાં હું મારો ‘ઝેનિંગ’ સમય માણી રહી હતી!

    એટલામાં, મને બહાર કામ કરતી જોઈ, એમિના ઓસ્મીર આવી. અમે અનેકવાર આગળ-પાછળ નીકળતી વખતે એકબીજા સાથે વાતો કરવા ઊભા રહેતાં. ત્રીસેક વરસની એમિના એકલી જ રહેતી હતી.

    એણે પૂછ્યું, “હાય મિસિસ મરચંટ. યુ હેવ અ ડે ઓફ ટુડે? સો ડુ આઈ.”

    મેં કહ્યું, “હા, આજે મારો ડે ઓફ છે. તમારો પણ ડે ઓફ છે એ જાણી ખૂબ જ આનંદ થયો. શું પ્લાન છે આજે તમારો?”

    એમિના જવાબ આપતાં અંગ્રેજીમાં કહે, “નથીંગ મચ. જો આજે તમને સમય હોય તો પ્લીઝ, તમે મારી સાથે ઈન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં આવી શકશો?” પછી હસીને મને ઈંગ્લીશમાં કહ્યું, “મારે ત્યાં કાલથી, સમરસિંગ ખન્ના, એક ઈન્ડિયન સિંગર, છ મહિના માટે રહેવા આવવાના છે.”

    “અરે, વાહ! તમારા ફ્રેન્ડ છે?”

    “અરે ના. હું, “IEFAA” – “ઈન્ટરનેશનલ એક્ષચેન્જ ફોર આર્ટ એનહેન્સમેન્ટ” નામની નોન-પ્રોફિટ સંસ્થામાં વોલન્ટિયર છું. આ સંસ્થા દર વરસે, સંગીત અથવા બીજા કોઈ ફીલ્ડના ઉદય પામતાં, નવા આર્ટિસ્ટને, દુનિયાભરમાંથી દર વરસે, ફુલ સ્કૉલરશિપ અને સ્ટાઈપન્ડ આપીને છ મહિના માટે બોલાવે છે. અને અમે, આ સંસ્થાના મેમ્બર્સ વારાફરતી આ આર્ટિસ્ટne પોતાના ઘરમાં રાખીએ છીએ જેથી એ આર્ટિસ્ટને ખર્ચો ઓછો થાય અને થોડા પૈસા બચાવીને અહીંથી પાછા જઈ શકે.”

    મારા માટે આ નવી જ માહિતી હતી. મને રસ પડ્યો. મેં પૂછ્યું, “તમે નક્કી કેવી રીતે કરો કે કોને આ સ્કૉલરશિપ આપવી અને કોને બોલાવવા? અને આ, સમરસિંગ ખન્ના શું કરે છે, આઈ મીન ક્યા ફિલ્ડમાંથી છે?”

    એમિનાએ પ્રોસેસ સમજાવતાં કહ્યુ,” એને માટે અરજી કરવી પડે છે પણ મોટી શરત એ છે કે આર્ટિસ્ટે, એનાં દેશમાં કોઈ સિનિયર પાસે ઓછામાં ઓછાં ત્રણ વરસ કામ કર્યું હોય અને આર્ટિસ્ટની ઉમર ત્રીસથી વધુ ન હોવી જોઈએ.”

    પછી થોભીને પોતાની પર્સ ફંફોસતાં કહે, “વેઈટ. હું આ પેપરમાં જોઈને કહું કે આ સમરસિંગ શું કરે છે.”
    પછી પેપર ખોલીને એક જગા પર આંગળી મૂકીને કહે, “છેલ્લા પાંચ વરસથી એ કોઈ ફેમસ સિંગર, મિ. ‘જાગાજીતસિંગ’ના સ્ટુડન્ટ હતા.”

    મને હવે વધુ જાણવાની ઉત્સુકતા થઈ. “અરે વાહ, જગજીતસિંગના શાગિર્દ હતા! એ તો બહુ મોટા કલાકાર છે. હું એમની ફેન છું. આ તો બહુ સરસ! સમરસિંગ કે બીજા કોઈ પણ આર્ટિસ્ટ અહીં છ મહિના માટે આવે તો કરે શું?”

    એમિના કહે, “અહીં એમના ફિલ્ડની આર્ટ, હિસ્ટરી, અને કલ્ચરથી અમે ઓરિયેન્ટ થઈએ અને આર્ટિસ્ટ અહીં વેસ્ટર્ન આર્ટ, હિસ્ટ્રી અને કલ્ચરથી વાકેફ થાય. જો આર્ટિસ્ટ ઈંગ્લીશ ન જાણતા હોય તો અમે એમને સૌ પ્રથમ એક મહિના માટે ઈંગ્લીશ શીખવીએ.”

    “અરે વાહ, આ એક સાચે જ બહુ સરસ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ છે!”

    “હા, અને આ સાલ, ઈન્ટરનેશનલ ગેસ્ટને હોસ્ટ કરવાનો વારો મારો છે. તમે મને ઈન્ડિયન ફુડ માટેના બેઝિક મસાલાઓ અને અન્ય ઈનગ્રેડિયન્સ લાવવા મદદ કરી શકશો?”

    મેં કહ્યું, “માય પ્લેઝર. મારું આ વિડ્સ ઉખેડવાનું કામ ૩૦ મિનિટમાં થઈ જશે. આપણે એકાદ કલાકમાં જવા નીકળીએ.”

    બસ, એ દિવસથી અમારી બિન-શરતી મૈત્રી વધુ ગાઢ થવાની શરુઆત થઈ હતી.

    એના બીજે દિવસે, સમરસિંગ ખન્ના એમિનાને ત્યાં છ માસ માટે રહેવા આવી ગયા. હું પણ મારાં ઘરનાં બધાં જ કામ પતાવીને એમિનાને ઘરે ગઈ.

    એમિનાએ મને મહેમાનની ઓળખાણ કરાવી અને પછી મને એના કિચનમાં બોલાવીને કહે, “ઓ માય ગોડ! હી ઈઝ સો ગુડલુકીંગ! મને લાગે છે કે મને “લવ એટ ફર્સ્ટ સાઈટ” થઈ ગયો છે! આઈ એમ રેડી ટુ ડાય ફોર હીમ! (એ એટલો દેખાવડો છે કે હું એની સાથે કે એને માટે મરી ફીટવા પણ તૈયાર છું.)

    સમરસિંગ ૨૫-૨૬ વર્ષના ખૂબ જ દેખાવડા, ગોરા અને છ ફૂટ ઊંચા પંજાબી નવયુવાન હતાં.

    “તું છે ને ગાંડી થઈ ગઈ છે! જાણ-પિછાણ વિના આમ કોઈ કરે?” અને એના માથા પર ટાપલી મારીને હું કિચનમાંથી બહાર આવી.

    બહાર આવીને મેં સમરસિંગ સાથે વાતચીત કરતાં કહ્યુ, “યહાં આનેસે પહેલે આપ ગઝલસમ્રાટ જગજીતસિંગકે શાગિર્દ રહે થે પાંચ સાલકે લિયે, ઐસા સુના હૈ. તો, ભાઈસા’બ કુછ અશઆર સુના દિજિયે. મુઝે તો ઉનકી ગાઈ હુઈ સારી ગઝલેં અચ્છી લગતી હૈં!”

    સમરસિંગે અચકાતાં કહ્યું, “દીદી, પહેલે તો, મૈં આપસે બહુત છોટા હું. મુઝે આપ મત કહીએ!” હું આછું સ્મિત આપી મનોમન બોલી, ‘માણસ તો વિવેકી છે.’

    “હાં તો કહીએ, આપ કૈસે જગજીતજી કે શાગિર્દ બને? જગજીતજી કા પ્રોગ્રામ યહાં તીન હપ્તોં કે બાદ હૈ.  આપ કો તો માલૂમ હી હોગા, ઉનકી અમેરિકા કી ઈસ ટૂર કે બારેમેં. યહાં ફિલામેં આપ ઉનકે સાથ સંગત કરના ચાહતે હૈં તો મૈં આપ કો ઓર્ગેનાઈઝર્સ કે સાથ મિલવાકર યહ એરેન્જ કરા સકતી હું. મૈં ઓર્ગેનાઈઝર્સ કો અચ્છી તરહ સે જાનતી હું.”

    આ સાંભળીને સમરસિંગના મુખ એકદમ ઝાંખું પડી ગયું. મને એવું પણ લાગ્યું કે સમરસિંગ થોડા ડરી ગયા હતા.

    એમિના તો હજુ કિચનમાં હતી.

    સમરસિંગે ગભરાટમાં આગળપાછળ જોયું અને કરગરતાં મને કહે, “આપને હું કંઈ કહું તો આપ કોઈને નહીં કહોને?”

    મને થયું કે બિચારા નવા છે અને આ નવા વાતાવરણમાં ડરી ગયા હશે. હું બોલી, “અરે જરા પણ અચકાટ વિના કહો. શું વાત છે સમરસિંગ?”

    સમરસિંગે હાથ જોડતાં હહ્યું, “દીદી, હું પંજાબી ફોક ગાઉં છું પણ કોઈ સાથેય મેં ત્રણ વર્ષ માટે ન તો તાલિમ લીધી છે ન તો જગજીતજીનો શાગિર્દ રહ્યો છું. તેઓ મને જાણતાયે નથી. મેં એ લેટર ખોટો લખ્યો છે, જાલી છે. મને માફ કરો દીદી.”

    હવે ચોંકી જવાનો વારો મારો હતો. મેં મારા પર માંડ કાબુ રાખીને, જરા કડક અવાજે કહ્યું, “જે કહેવું હોય તે જલદી અને સ્પષ્ટ કહો. કોણ છો તમે અને આવા સરસ કલ્ચરલ એકેડેમિક પ્રોગ્રામમાં તમે કઈ રીતે આવી ચડ્યા?”

    “દીદી, દરઅસલ હું પંજાબ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ છું અને યુનિવર્સિટીની ઓફિસમાં ક્લાર્કનું કામ કરું છું. ત્યાં જ મને ખબર પડી કે આ વરસે કોઈ ગાયકને આ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે સ્કૉલરશિપ આપવામાં આવવાની હતી.”

    “તો?” મેં એ જ કડકાઈથી પૂછ્યું.

    “આ પ્રોગ્રામમાં દાખલ થવા માટે પાંચ વરસ મેં જગજીતજી સાથે સંગત કરીને ગાયકી શીખી છે, એવું યુનિવર્સિટીના લેટરહેડ પર લખીને ખોટો કાગળ મોકલી આપ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે મને આવવાનો મોકો મળી ગયો!”

    “આનો અર્થ એ કે તમે ગાયકી વિષે કંઈ નથી જાણતા? અનબિલીવેબલ! આટલું જૂઠ્ઠાણું?”

    ઓલમોસ્ટ રડમસ અવાજે સમરસિંગ બોલ્યા, “નહીં, નહીં, હું ફોક સિંગિંગ કરું છું અને પંજાબમાં લોકલ પ્રોગ્રામો પણ કરતો હતો. પણ જગજીતજી પાસે કોઈ તાલિમ નથી લીધી કે નથી એમનો શાગિર્દ રહ્યો! બસ, આટલું જ ખોટું બોલ્યો છું.”

    મારા મોઢા પર ખૂબ ગુસ્સો હતો. પણ સમરસિંગે આજીજીભર્યા અવાજે પોતાની કથની કહેવાનું ચાલુ રાખ્યું.

    “બાબુજીના ગુજરી જવા પછી મારા માથે ઘરની બધી જ જવાબદારી આવી પડી અને એમાં ત્રણ નાની બહેનોના લગ્નના દહેજ જમા કરવાની જવાબદારી પણ મારે માથે છે. વખાના માર્યા મારે આ કામ કરવું પડ્યું છે. દીદી, પ્લીઝ, મને અહીંથી કઢાવશો નહીં. મારા સ્ટાઈપન્ડમાંથી ચાર પૈસા બચાવીને હું વતન પાછો જતો રહીશ. કમ સે કમ મારી નાની બહેનોનાં લગન તો કરાવી શકીશ!”

    હું સદંતર અવાચક થઈ ગઈ હતી. માંડમાંડ મારા ગુસ્સા અને અવાજ પર કાબુ રાખીને હું બોલી, “તમારા જેવા માણસો આવી રીતે ખોટું બોલીને અહીં આવીને બાકી સહુ ભારતીયોનું નામ ખરાબ કરીને જાય છે. તમે હમણાં જ આ વાત એમિનાને કહો છો કે નહીં? નહીં તો હું કહીશ.”

    સમરસિંગ કરગરી પડ્યો, “ખોટું કરવાનું મને પણ ખરાબ લાગે છે દીદી. પણ, પ્લીઝ, પ્લીઝ, ગરીબ પર દયા કરો!”

    “સમરસિંગ, હું સમજી શકું છું કે તમે વખાના માર્યા છો પણ તોયે આ તો ફરેબ છે, દગો છે! તમને પોતાને પણ ખબર છે કે આ સારું નથી થતું. કમ સે કમ એમિનાને હમણાં ને હમણાં જ સાચું કહો. તમે એનું નમક ખાઈને એની સાથે રહેવાના છો. એનો ભરોસો આમ તમે તોડશો? એ ફરી કદી કોઈ ફોરેનર પર વિશ્વાસ કઈ રીતે કરશે?”

    મારા અવાજમાં સખતાઈ તો હતી પણ પછી એમને સમજાવવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું, “સમરસિંગ, એમિના જે સંસ્થા સાથે સંકળાયેલી છે તે સંસ્થા, સંગીત અને લલિતકળાના વિકાસ માટે આંતરરાષ્ટ્રિય સ્તર પર કામ કરે છે. તમને ખબર છે, કે આ જૂઠાણું પકડાશે તો શું થશે?”

    સમરસિંગના મોઢા પર ભય પણ હતો અને અનિશ્ચિતતાની કાળી છાયા પણ હતી.

    મેં પછી આગળ કહ્યું, “કેટલા બધાં નવા, ઉદય પામતાં કલાકારોને તક આપતાં પહેલાં, આવી નોન-પ્રોફિટ સંસ્થા તમારે લીધે સો વખત વિચાર કરશે.”

    સમરસિંગ હવે એકદમ ડરી ગયો હતો. મને કહે, “દીદી, પ્લીઝ, મુઝે બચાલો દીદી!. મૈં વખ્ત કા મારા હું, પર બૂરા આદમી નહીં હું.”

    એમિના હજુ કિચનમાં જ હતી. આ સાંભળી, મેં જરાક નરમ પડીને કહ્યું, “ભાઈ, તમે ગાયક તો છો જ. બસ, એકવાર સાચું કહી દો કે તમે જગજીતજીના શાગિર્દ નથી. અને તે પછી પણ એમિના અને એની ઇન્સ્ટિટ્યૂટવાળાઓ, તમને રહેવા દે તો મને શું વાંધો હોય? એમિનાને તમે સત્ય કહી દો. પછી એને અને એની સંસ્થાએ જે કરવું હોય તે કરે!”

    સમરસિંગ હજુ ભયભીત હતો.

    “જુઓ, ભાઈ, તમે મને સાચું કહ્યું, એથી આટલું તો સાબિત થાય છે કે તમે બૂરા નથી પણ, એમિનાને સાચું કહી દો. આટલું જ હું કહું છું. હું તમારા પર ભરોસો રાખું છું કે તમે એમિનાને મારા ગયા પછી, તરત સાચું કહી દેશો.”

    સમરસિંગ સૂનમૂન થઈને ઊભો હતો. એની આંખોમાં ડર હતો, પસ્તાવો હતો કે ડરની સાથે પસ્તાવો હતો? જે કઈં પણ હતું એ આંખોમાં, પણ, એ નક્કી કરવાનું કામ મારું ક્યાં હતું? અમારી આ વાત દરમિયાન એમિના હજુ કિચનમાં જ હતી.

    મેં એમિનાને બહારથી જ કહ્યું, “આઈ એમ લિવિંગ, ઓકે? મારે થોડુંક બહાર જવાનું છે.”

    એમિનાએ ડોકું કિચનની બહાર કાઢીને કહ્યું, “બાય, ડિયર. હેલ્પ માટે થેંક્યુ.”

    સમરસિંગની પીઠ એમિના તરફ હોવાથી એ એમિનાને જોઈ નહોતો શકતો. એમિના સમરસિંગને બે-ચાર ફ્લાઈંગ કિસિસ આપતી હતી અને હું મ્લાન, આછું સ્મિત આપી, મારા ઘરે આવી ગઈ.

    પછીના બે દિવસ સુધી ન તો મને એમિના દેખાઈ કે ન તો સમરસિંગ. ત્રીજા દિવસે હું, ફ્રન્ટયાર્ડંમાં કામ કરવા લગભગ સાંજના પાંચેક વાગે આવી. બરાબર એ જ સમયે એમિના તૈયાર થઈને બહાર જવા નીકળી.

    મને જોઈ એણે હાથ ઊંચો કર્યો અને રસ્તો ક્રોસ કરીને મારી પાસે આવીને, ટાઈટ હગ આપીને કહ્યું, “થેંક યુ, માય ફ્રેન્ડ!”

    મેં એને પૂછ્યું, અંગ્રેજીમાં, “યુ આર ઓલવેઝ વેલકમ, પણ શેને માટે થેંક્યુ કહી રહી છે?”

    એણે કહ્યું, “સમરસિંગે મને સાચું કહ્યું, તમારા કહેવાથી, તે મને ગમ્યું.”

    હું ચૂપ રહી, ક્ષણેક, અને પછી બોલી, “તું હર્ટ થઈ હશે! તને તો એની સાથે લવ એટ ફર્સ્ટ સાઇટ થયો હતો ને! સોરી, મારા દેશવાળાએ તારું દિલ તોડ્યું. તેં એને પાછો મોકલી આપ્યો કે નહીં? એ ખોટું બોલ્યો, એ સાચે જ ખરાબ કર્યું!”

    એમિના પળેક અટકી ગઈ. પછી કહે, “હું કોણ છું, કોઈને સાચા કે ખોટા સાબિત કરવાવાળી? મેં અમારી ઇન્સ્ટિટ્યૂટને સાચું કહીને એના રહેવાની વ્યવસ્થા બીજે કરાવી છે. તેઓ એની સિંગિંગ ટેલેન્ટને ઈવેલ્યુએટ કરશે અને બોર્ડ મિટિંગમાં એનો ફેંસલો કરશે. હું સમજું છું કે પોતાની ગરીબી હટાવવા એ ખોટું બોલ્યો છે, પણ સિંગર તો છે. હવે જો એને સંગીત ખરેખર આવડતું હશે તો એ આ પ્રોગ્રામમાં ટકી જશે! ભગવાન કરે અને આ એક્ષચેન્જ પ્રોગ્રામને લીધે એની જિંદગી સારી થાય તો મને ખરેખર આનંદ થશે.”

    આ સાંભળીને એમિનાના હૃદયની વિશાળતા પાસે માથું અનાયસે ઝૂકી ગયું.

    એમિનાએ કહ્યું, “જે થઈ ગયું તે થઈ ગયું. હું તો આજે બ્લાઈન્ડ ડેટ પર હમણાં જઈ રહી છું. વિશ મી લક મિસિસ મરચંટ.” આ સાંભળીને હું આભી બની ગઈ!

    મને લાગ્યું, એનો પહેલી નજરનો પ્રેમ સફળ ન થયો, એથી એ ભાંગી પડી હશે! મને એકાદ મિનિટ કળ વળતાં લાગી અને અનાયસે બોલાઈ જવાયું, “બ્લાઈન્ડ ડેટ?”

    એ હસી પડી. “હું તો પ્રેમમાં પડવાના વિચારના જ ગળાડૂબ પ્રેમમાં છું!”

    “એમિના, હું તારા આ આશાવાદની આજે તો ફેન થઈ ગઈ!”

    ત્યાં તો એમિના હસીને જાણે કંઈ થયું જ ન હોય એમ અંગ્રેજીમાં બોલી, “યુ સી, મિસિસ મરચંટ, પ્રેમ તો આ ઘાસમાં ઊગી જતાં, જંગલી પીળાં ફૂલો સમો છે. જેટલો અને જેટલી વાર ઉખેડશો, એટલીવાર જોરશોરથી પાછો ઊગશે અને ગમે ત્યાં ઊગશે. કારણ જાણો છો? જંગલી ફૂલો કુદરતી છે અને ફૂલોનો સ્વભાવ છે ઊગવાનો! પ્રેમ પણ ફૂલોની જેમ જ કુદરતી ઊગે છે! જે ઓરગેનિક હોય એને કેમ રોકી શકાય?”

    “ખરેખર, આટલી નાની વયમાં પણ તારા મન અને હૃદયની સ્વચ્છતા અને સ્પષ્ટતાને સલામ, માય ડિયર! તને કોઈ માટે પણ નફરત – હેટ્રેડ્ કે પછી નિરાશા જેવું નથી થતું?”

    “કેમ નહીં, મને પણ થાય છે નફરત અને નિરાશા, જેલસી. પણ હું એને રેશનલાઈઝ્ડ – (વ્યાજબી કરવાના કારણો શોધીને)- મારા મનમાં પાળતી નથી. એટલે બચી જાઉં છું!”

    પછી, એક ઊંડો શ્વાસ લઈને કહે, “હેટ્રેડ – નફરત કે ઈર્ષા – જેલસી, એની જાતે નથી ઊગતાં! એ તો મેનમેઈડ છે. આપણે જ એને સિંચીને આપણા મનમાં ઊગાડીને, પેન્ડેમિક- મહામારીના રોગચાળાની જેમ આપણી હયાતી પર ફેલાવીએ છીએ. મને આ જંગલી વીડ્સનાં પીળાં ફૂલો આથી જ માત્ર ગમતાં નથી, પણ હું તો આ જંગલી ફૂલોના પ્રેમમાં જીવું છું, કારણ કે તેને માણસે નથી બનાવ્યા.” સાવ સહજતા, સરળતા અને સ્વાભાવિકતાથી એમિના આ વાત કહી રહી હતી.

    મારાથી ન રહેવાયું અને મેં એને એક ટાઈટ હગ આપતાં કહ્યું, “મને આજે તારી પાસેથી ખૂબ શીખવા મળ્યું છે!”

    એમિનાએ આંખ મીંચકારીને કહ્યું, “નાઉ, ક્મ ઓન મિસિસ મરચંટ! નોટ અ બિગ ડીલ! એની વે, વિશ મી લક, કે હું કોઈ સરસ માણસને – આ જંગલી ફૂલ જેવા કે જેનામાં બનાવટ ન હોય, એવા કોઈને મળું, મારી આ બ્લાઈન્ડ ડેટ પર! મને તો બસ, બધે જ પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ દેખાય છે!”

    મેં ફરી એને હગ આપીને કહ્યું, “બેસ્ટ ઓફ લક, માય ફ્રેન્ડ!”

    એમિના ખુશખુશાલ થનગનતી ચાલે રસ્તો ક્રોસ કરીને, એના ડ્રાઈવ વેમાં પાર્ક કરેલી ગાડીમાં બેઠી અને ગાડીમાંથી હાથ ઊંચો કરીને એણે કાર પૂરપાટ મારી મૂકી અને હું મારા ફ્રન્ટયાર્ડમાં પાછાં ઊગી ગયેલાં પીળાં ફૂલોને ઉખેડવા ફરી બેસી ગઈ હતી.

    *****

    મને એમિનાના શબ્દો આજે ફરી યાદ આવી રહ્યા હતા; “પ્રેમ તો આ ઘાસમાં ઊગી જતાં, જંગલી પીળાં ફૂલો સમો છે. જેટલો અને જેટલી વાર ઉખેડશો, એટલીવાર, જોરશોરથી પાછો ઊગશે. કારણ, જંગલી ફૂલો કુદરતી છે અને ફૂલોનો સ્વભાવ છે ઊગવાનો!”

    આ વાત યાદ શું આવી કે મારા મનમાં હું ગણગણવા માંડી; “અજીબ દાસ્તાં હૈં યે, કહાં શુરુ કહાં ખતમ, યે મંઝીલેં હૈં કોનસી, ન વો સમજ સકે ન હમ!”


    સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૪

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગતછે. રબીન્દ્રસંગીતની આપણી સફર આગળ ધપાવતા, આજે આપણે પ્રેમ પારજોયની ખુબ નજાકત ભરેલી રચનાને જાણીશું અને માણીશું.

    આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમમાં “પડવું” એ એક અવર્ણીય અનુભૂતિ છે અને ખાસ કરીને વિજાતીય પ્રેમમાં પડવાની અનુભૂતિ તો જે ખરેખર પ્રેમમાં પડ્યું હોય તેજ સમજી શકે અને સમજાવી શકે. ક્યારેક અચાનક કોઈકના હૃદયના ટુકડાની સાથે આપણા હૈયાનો ટુકડો પેલા jigsaw puzzleની જેમ જડબેસલાક જોડાઈ જાય એટલે કે it just clicks – ત્યારે બને પક્ષે આ પ્રેમની અનુભૂતિનો સાક્ષાત્કાર થાય…પ્રેમ અને આકર્ષણ વચ્ચે આભ-જમીનનો ફરક છે. પ્રેમ આપીને ખુશ થાય અને આકર્ષણ પામીને ખુશ થાય.. પ્રેમ ઉડવાને મુક્ત આકાશ પૂરું પડે જયારે આકર્ષણ ઉડાનને આંતરે…જોકે આજકાલ પ્રેમ અને આકર્ષણ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે તે જુદી વાત છે…

    જયારે બે પાત્રો વચ્ચે પ્રેમનો પ્રાદુર્ભાવ થાય ત્યાર બાદ હંમેશા એકબીજાના સાંનિધ્યમાં રહેવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. આવાજ કોઈક પાત્રની લાગણીઓને ગુરુદેવે આ રચનામાં ખુબ નજાકત પૂર્વક વાચા આપી છે.1897માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે ভালোবেসে সখী নিভৃতে যতনে | (Bhalobashi Sokhi nibrite jatone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “તારા મન મંદિરે…”
    જેનું સ્વરાંકન કવિવરે કીર્તન પદ્ધતિ પરથી કર્યું છે અને તેને દાદરા  તાલ પરતાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

     તારા મન મંદિરે….

    મારા નામને સાચવીને તું સખી 
    તારા મન મંદિરે ગોપાવી રાખજે 

    મારા ગીતના સૂર સંગાથે સખી 
    તારા નૃત્યના પગલાં થરકાવજે 

    મારી યાદો તણા પંખીને સખી 
    આંગણે આવકાર મીઠો આપજે

    મારા પ્રેમબંધનના કંગનથી સખી 
    તારી નાજુકશી કલાઈ શોભાવજે 

    મારા સ્નેહનું એક તણખલું સખી 
    તારા ઘટાદાર કેશમાં ગુંથી રાખજે 

    ચપટીક સિંદૂર મારા નામનું સખી 
    તારા ચમકીલા ભાલે શણગારજે 

    મારા અસ્તિત્વની સુવાસથી સખી 
    તારી આસપાસ સદાય મહેકાવજે 

    મારા નામને સાચવીને તું સખી 
    તારા મનમંદિરે ગોપાવી રાખજે 

    ©અલ્પા શાહ

    આ રચનામાં કવિવરે ખુબ નાજુકતાથી એક પ્રેમી હૃદયની ઈચ્છા અને મહેચ્છાને વાચા આપેલ છે. પોતાના પ્રિયપાત્રને સાંનિધ્ય, સામીપ્ય અને સાયુજ્યને પામવું એજ એક પ્રેમીની અભિલાષા હોય છે જે દરેકે દરેક પંક્તિમાં કવિવરે શૃંગારિક રીતે વ્યક્ત કરેલ છે. કદાચ તનથી સમીપે રહેવું શક્ય ના હોયતો પણ મનથી એકબીજાની નજીક રહેવાની આકાંક્ષા વ્યક્ત કરેલી છે. રબીન્દ્રસંગીતની આ રચના પ્રેમ પારજોયની એક અતિ વિખ્યાત રચના છે જેને બંગાળી સંગીતના અનેક ધુરંધરોએ પોતાના સુમધૂર સ્વરમાં રજુ કરી છે.

    આ રચનાને જયારે હું સમજવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે મારા મનમાં એક વિચાર ફરકી ગયો. આપણે સૌ જાણીએ છીએ તેમ રાધા-કૃષ્ણ  વચ્ચેના પ્રેમને પ્રેમની પરાકાષ્ટા કે પ્રેમની ચરમસીમા કહી શકાય. જેમ રાધાજીના રોમમાં રોમમાં શ્રી કૃષ્ણનો વાસ હતો તેમ શ્રી કૃષ્ણ   માટે પણ રાધાજી તેમનો શ્વાસ જ હતાને! રાધાજી માટે શ્રી કૃષ્ણ   તેમના હૈયાનો ધબકાર હતો તો શ્રી કૃષ્ણ   પણ રાધાજીમાં એકાકારજ હતાને! . રાધાજીના શ્રી કૃષ્ણ   પ્રત્યેના પ્રેમની ઉર્મિઓને શબ્દો દ્વારા પ્રાચીન કાળથી ઘણા બધા સાહિત્યકારો એ વાચા આપી છે પણ શ્રી કૃષ્ણ ના રાધાજી પ્રત્યેના પ્રેમને વર્ણવતી રચનાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે….શ્રી કૃષ્ણ ના રાધાજી પ્રત્યેના પ્રેમને કદાચ આ રચના દ્વારા વ્યક્ત કરી શકાય એટલી નજાકત આ રચનામાં રહેલી છે.

    તો ચાલો, આ દિવ્ય પ્રેમની પવિત્રતાને માણતા માણતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,


    સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ‘અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા’…

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

     

    તારાશંકર બંદ્યોપાધ્યાયની નવલિકા પર સત્યજીત રાય ‘જલસાઘર’ નામનું (મૂળ નવલિકાના નામનું જ ચિત્રપટ) બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આપ તો જાણો છો કે સત્યજીત રાય સંવેદનશીલ નિર્માતા-દિગ્દર્શક હતા. મૂળ લેખકે તેની કથામાં સર્જેલા પાત્રો રંગભુમિ પર જીવંત થઇ ઊઠે તે માટે તેઓ એવા કલાકારોને શોધી તેમના કસબનું એવું ચિત્રીકરણ કરતા, જાણે આ પાત્રો અપણા સૌના જીવનમાં આવી ગયા હોય, અથવા આપણે તેમને નજીકથી ઓળખતા હોઇએ તેવું લાગે.

    ‘જલસાઘર’ના મુખ્ય પાત્ર જમીનદાર બિશમ્બર રાયે તેમના મહેલના સંગીતકક્ષ – જલસાઘરમાં જીવનનો છેલ્લો કાર્યક્રમ તેમાં હાજરી આપનારાઓના જીવનનો અવિસ્મરણીય બનાવ બની રહે તે માટે તેમણે તેમના જમાનાનાં ઉત્તમોત્તમ ગાયક-ગાયિકાઓને બોલાવ્યા. આજની વાત ‘જલસાઘર’ની નથી: મૂળ કથાના મૂખ્ય પાત્રને જીવંત કરવા તેમણે રાયમોશાયની ભુમિકામાં બંગાળની રંગભુમિના સર્વશ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા છબી બિશ્વાસને ઉતાર્યા. તેમના જીવનની છેલ્લી ઠુમરી ‘ભર ભર આયી મોરી અંખીયા’ને યાદગાર બનાવવી હતી તે માટે તેમણે કોને પસંદ કર્યા હશે? એવી કલાકૃતિ જે શ્રોતાઓના જીવનમાં યાદગાર બની જાય?

    અલબત્, મલિકા-એ-ગઝલ બેગમ અખ્તર સિવાય બીજું કોણ હોય? અને બેગસસાહિબાએ તેમાં પ્રાણ સિંચીને ગાયું. અહીં જોઇશું ‘જલસાઘર’ની ભવ્યતા, ખાનદાની રસીક-રઇસ રાય મહાશય, જાજ્વલ્યમાન અને કલાની અમીરીના ખુમારથી દમકતી ગાયીકા તથા તેમને સાથ આપનારા વાદક કલાકારો! વાહ! શું એ જમાનો હતો! કેવા તો ગાયકો હતા અને કેવી તો એ ગાયકી હતી! આજના ભજનસમ્રાટો અને સેકન્ડહૅન્ડ ગીત-ગઝલ ગાનારા ટિનપાટીયા ‘કલાકારો'(!)ને સાંભળી, TV પર જોઇ ખરા દર્દીઓ ‘ते हि नो दिवसा गता:’ કહી માથું હલાવે તે બનવા જોગ છે.

    આ પહેલાં જિપ્સીએ રત્ન તથા તેને ઊઠાવ આપવા માટેના જરૂરી ગણાતા કિમતી ધાતુઓનાં ઘરેણાંની વાત કરી હતી-કોહિનૂર જેવા હિરાને રાજમુકૂટ જોઇએ-જેવી. પણ આ તો બેગમ અખ્તર હતા! તેમને ચંદ્રની જેમ કોઇના ઉછીના તેજની જરૂર નહોતી. તેઓ પોતે જ સ્વયં પ્રકાશિત હતા. તેમનું જીવન, તેમનો હસમુખો ચહેરો તથા ગાવાનો અંદાજ એવો મીઠો અને અવાજ એવો પ્રવાહી હતો, જાણે ભગવાનને અર્પણ કરવા માટે તેમના પરમ ભક્તે સુવર્ણના ઘડામાં પંચામૃત ન બનાવ્યું હોય! અને તેમને સાંભળનારાઓ માટે તો પરમાત્માએ ખુદ તેનો સ્વીકાર કરી નાદબ્રહ્મમાં રત થયેલા ભક્તોને આ પંચતત્વની પ્રસાદીનો આસ્વાદ કરાવ્યો હોય તેવું લાગે!

    બેગમ અખ્તરના જીવન પર ઇન્ટરનેટ પર તથા પુસ્તક જગતમાં ગણી ન શકાય એટલા પાનાંઓ અને પુસ્તકો મળી આવશે. તેથી તેમાં એક વધારાનું પાનું ઉમેરવાની ધૃષ્ટતા ન કરતાં આપના શ્રવણ આનંદ માટે અહીં તેમના કેટલાક ચૂંટેલા નગીનાઓનો આપણે મળીને રસાસ્વાદ કરીશું.

    અમારા સૈનિક જગતમાં પ્રભાતનાં કિરણોની અને સુપ્રભાતને આગાહ કરવા બ્યુગ્લર reveille વગાડતો હોય છે. બ્યુગલના આહ્લાદક ધ્વનિમાં સૂરજ ઉગે તેમ કોલકાતાની સુવર્ણભુમિમાં બેગમ અખ્તરની પ્રતિભાનો સૂર્યોદય થયો. તેમની કારકિર્દીની શરૂઆતની ગાયકી જોઇએ તો તે ટાન્ઝાનાઇટ જેવા અણમોલ રત્નના સ્ફટિક જેવી લાગશે. જેમ જેમ તેમાં પાસા પડતા ગયા, અદ્ભૂત રોશનીનાં કિરણો પરિવર્તીત થવા લાગ્યા. ટાન્ઝાનાઇટ એટલા માટે કે તેના આછા નીલા પ્રકાશમાંથી જાણે આહ્લાદકતા ઉછળીને બહાર પડતી હોય તેવું લાગે. બીજા અલંકારમાં કહીએ તો જાણે પારિજાતની કળીઓ ખિલવા લાગે અને તેનું મંદ હાસ્ય – જેને ઉર્દૂ કવિઓ તબસ્સુમ કહે છે – તેમ નિખરતું જાય. બેગમ અખ્તરનો પારિજાત એટલો વિશાળ હતો, સવારના પહોરમાં તેનાં ફૂલ તથા તેની ખૂશબૂ આખા વિશ્વ પર વર્ષા કરવા લાગી!

    સુંદર અને સુગંધી ફૂલનું સ્થાન ફૂલદાનીમાં નથી એ ફૂલ સિવાય બીજું કોઇ જાણતું હોય તો તેના ચાહકો. ખુલા ઉદ્યાનમાં તેની મહેક તથા તેની સુંદરતાનો લાભ લેવા લાખોની સંખ્યામાં જતા ચાહકો માટે બેગમ અખ્તરે પોતાની હવેલીની ફૂલદાની છોડી અને સૂરબહારનો સૌરભ પ્રસરાવવા બહાર નીકળ્યા. ત્યાર પછી જે થયું એ તો ઇતિહાસ છે!

    આજે આપણે કેવળ બેગમ અખ્તરની કલાનો રસાસ્વાદ કરીશું.

    તે સમયે બેગમ અખ્તરે કેવળ ‘અખ્તરીબાઇ ફૈઝાબાદી’ના નામે સંગીત જગતમાં પ્રવેશ કર્યો. અને શરૂઅતની પ્રસ્તુતી કંઇક આવી હતી:

    આપે તેમની “અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા’ તો સાંભળી જ હશે! જાણે શહેનાઇમાંથી શબ્દો બહાર પડતા હોય!

    આપે શકીલ બદાયૂંનીએ રચેલી ગઝલ આપે સાંભળવી જ જોઇશે! ફરીદા ખાનુમ જેવી મહાન ગાયિકાએ સુદ્ધાં કહ્યું હતું કે બેગમ અખ્તરે આ ગઝલ એટલી ખુબસુરતીથી ગાઇ છે, વાહ! આફ્રિન! ગઝલ છે, ‘મેરે હમ-સફર, મેરે હમ-નવા..’ શબ્દો હૃદય સુધી પહોંચે, પણ બેગમ સાહિબાએ ગાઇને હૃદયના તાર એવા છેડ્યા, તેનો ઝંકાર હજી પણ અનુભવાય!

    ગુજરાત માટે બેગમ સાહિબાની મુલાકાત આનંદ અને શોકના અગમ્ય સંગમ જેવી નીકળી. ગુજરાતની રંગભુમિનાં જાણીતા પુરસ્કર્તા નીલમબહેન ગામડીયાના આમંત્રણથી બેગમ અખ્તર અમદાવાદ આવ્યા હતા. આ મુલાકાત તેમનાં જીવનની ભૈરવી બની, અને…

    https://www.youtube.com/playlist?list=PLMYQ2DE1_LdbZhDr_ChI-V9CXo-XTsEvs

    એક દીપનું નિર્વાણ થયું અને યુગ વિતી ગયો. અલ્ વિદા બેગમ સાહિબા, આપની રૂહને ખુદા બક્ષે!


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ચોમાસાનો રંગીન રાજદૂત: નવરંગ

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    ભારતીય ઉપખંડના રંગબેરંગી પક્ષીઓમાં જો કોઈ પક્ષી પોતાની અદભુત સુંદરતાથી તરત જ મન મોહી લે, તો તે છે નવરંગ જેનું અંગ્રેજી નામ ઇન્ડિયન પીટ્ટા (Indian Pitta) છે. તેના શરીર પર જાણે પ્રકૃતિએ નવ રંગોની પીંછી ફેરવી હોય તેવું લાગે છે. કદમાં નાનું અને સ્વભાવથી શરમાળ આ પક્ષી એટલું રળિયામણું લાગે છે કે તેને એકવાર જોનાર તેને સહેલાઈથી ભૂલી શકતો નથી.

    પ્રથમ નજરે નવરંગ જાણે કોઈ ચિત્રકારની કલ્પનામાંથી બહાર આવ્યું હોય એવો ભાસ થાય છે. લીલી પાંખો, આછું પીળું પેટ, આંખ પરથી પસાર થતી કાળી પટ્ટી, ખભા પાસેનો વાદળી ઝાંયવાળો રંગ, પાંખ ની અંદર બાજુ વાદળી રંગ અને વચ્ચે સફેદ કૂંડાળા, આ બધું મળીને તેને અદ્વિતીય સૌંદર્ય આપે છે. ઉડાન દરમિયાન તેની પૂંછડી નીચે દેખાતો લાલ રંગ તો તેના રૂપમાં વધુ એક આકર્ષક સ્પર્શ ઉમેરે છે.

    આટલો રંગીન હોવા છતાં નવરંગને ઘાટા જંગલમાં શોધવો એટલો જ મુશ્કેલ છે. તે મોટાભાગનો સમય સૂકા પાંદડાંની વચ્ચે જમીન પર ફરતા-ફરતા ખોરાક શોધવામાં પસાર કરે છે. તેની ચપળતા અને સંતાઈ રહેવાની ટેવને કારણે ઘણીવાર પક્ષીપ્રેમીઓને તેનો અવાજ તો સંભળાય છે, પરંતુ પક્ષી દેખાતું નથી.

    નવરંગનો વ્યાપ સમગ્ર ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. જોકે તે દરેક જગ્યાએ વર્ષભર રહેતું પક્ષી નથી, તે દક્ષિણ ભારતથી મધ્ય અને ઉત્તર ભારત તરફ તે મુખ્યત્વે ચોમાસા એટલે કે પ્રજનનકાળ દરમિયાન સ્થળાંતર કરે છે. ગુજરાતમાં નવરંગ ખાસ કરીને ચોમાસાના આગમન સાથે જોડાયેલું પક્ષી છે. પ્રથમ વરસાદથી ધરતી હરિયાળી બનવા લાગે ત્યારે તે યોગ્ય વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં દેખાવા માંડે છે. ઘણા પક્ષીપ્રેમીઓ માટે નવરંગનું આગમન એ ચોમાસાની શરૂઆતનું એટલું જ જીવંત પ્રતીક છે જેટલું આકાશમાં ઘેરાતા વાદળો કે વરસાદથી ભીની બનેલી માટીની સુગંધ.

    ગુજરાતમાં જૂન-જુલાઈનો સમય નવરંગ જોવા માટે શ્રેષ્ઠ છે. તે સમગ્ર ગુજરાતના ઘાટા જંગલ વિસ્તાર જેમ કે ડાંગ, ગીર, બરડા, શૂલપાણેશ્વર, હિંગોળગઢમાં સારી સંખ્યામાં આવે છે. કચ્છ જેવા સૂકા પ્રદેશમાં તેનું મળવું અસામાન્ય છે, પણ ધીણોધર અને આસપાસના જંગલ વિસ્તારોમાં ચોમાસામાં તેની નોંધ થયેલ છે.

    ઘણા રંગીન પક્ષીઓ વૃક્ષોની ટોચ પર રહેવું પસંદ કરે છે, પરંતુ નવરંગને તો આપણા પગ નીચેની દુનિયા વધુ પસંદ છે. તે જમીન પર પડેલા પાંદડાં વચ્ચે કૂદકાં મારતું ફરતું રહે છે અને અળસિયાં, ભમરડા, કીડીઓ, ઊધઈ તથા અન્ય નાના અપૃષ્ઠવંશી જીવોની શોધમાં રહે છે. થોડા-થોડા અંતરે તે થોભે છે, માથું સહેજ નમાવે છે અને પછી ક્ષણમાત્રમાં પોતાના શિકાર પર ઝપાટો મારે છે.

    આ પ્રક્રિયામાં નવરંગ જંગલના પરિસ્થિતિતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિવિધ અપૃષ્ઠવંશી જીવોનો ભક્ષક હોવાને કારણે તે તેમની સંખ્યાના સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. ખોરાકની શોધ દરમિયાન તે સૂકા પાંદડાંને ઉલટાવતો અને જમીનને હળવેથી ખોતરતો રહે છે, જે સજીવ પદાર્થોના વિઘટન અને પોષક તત્ત્વોના રિસાયકલિંગની પ્રક્રિયાઓને પરોક્ષ રીતે સહાય કરે છે. સામાન્ય નજરે નિર્જીવ લાગતી પાંદડાંની સપાટી હકીકતમાં જીવાણુઓ, ફૂગ, જંતુઓ અને અસંખ્ય સૂક્ષ્મ સજીવોનું જીવંત વિશ્વ છે. નવરંગનું જીવન આ અદૃશ્ય જગત સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને તેની હાજરી આપણને યાદ અપાવે છે કે જંગલનું સાચું જીવન ઘણીવાર આપણી નજરથી ઓઝલ રહેતું હોય છે.

    ઘણીવાર નવરંગ દેખાય તે પહેલાં તેનો અવાજ સંભળાય છે. પ્રજનન ઋતુ દરમિયાન આ પક્ષીનો સ્પષ્ટ અને મધુર દ્વિ-સ્વરીય ટહુકો જંગલમાં દૂર સુધી ગુંજી ઊઠે છે.જે સાંભળતા એવું લાગે કે તે “લાઇન ક્લિયર – લાઇન ક્લિયર”ની ચીસો પાડતું હોય. વરસાદથી ધોવાઈ ગયેલા હરિયાળા જંગલમાં આ ટહુકો સાંભળવાનો અનુભવ પ્રકૃતિપ્રેમીઓ માટે હંમેશા યાદગાર બની રહે છે.

    (નવરંગનો અવાજનો એક સુંદર વિડિઓ

    તેનો પ્રજનનકાળ સામાન્ય રીતે ચોમાસા સાથે સંકળાયેલો હોય છે. નવરંગ જમીનની નજીક ઘાસ, મૂળિયાં, પાંદડાં અને નાની ડાળીઓથી ગુંબજાકાર માળો બનાવે છે. બચ્ચાંના ઉછેરમાં નર અને માદા બંને ભાગ લે છે. થોડા જ સમયમાં બચ્ચાં માળો છોડીને આસપાસના વનપ્રદેશમાં પોતાનું જીવન શરૂ કરે છે.

    [નવજાત બચ્ચા અને માળા પાસે ઊભું એક સુંદર નવરંગ]
    જોકે નવરંગ હજુ પણ વ્યાપક રીતે જોવા મળતું પક્ષી છે, તેમ છતાં તેનું અસ્તિત્વ સ્વસ્થ જંગલો, ગીચ વનસ્પતિ અને સજીવ વનતળિયાં પર નિર્ભર છે. વનોના નાશ, વધતા માનવીય દબાણ અને કુદરતી વસવાટસ્થાનોના હ્રાસથી સ્થાનિક સ્તરે તેની સંખ્યાને અસર થઈ શકે છે. આવા આવાસોનું સંરક્ષણ માત્ર નવરંગ માટે જ નહીં, પરંતુ તેની સાથે અસંખ્ય અન્ય સજીવો માટે પણ જરૂરી છે.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.