વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ઘર એટલે ક્યાં?

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ન્યૂયૉર્ક શહેરમાં અને આસપાસમાં કોઈ કોઈ વર્ષે ઉનાળો બહુ આકરો બનતો હોય છે. જુલાઈના મહિનામાં, આકાશમાંથી આગ વરસતી હોય એવા સળંગ દસ-પંદર દિવસો આવે ત્યારે વાતાવરણ ધૂંધળું બને, રસ્તાઓ પરથી વરાળ ઊઠતી દેખાય, અને ઉષ્ણતામાનનો પારો ચઢતો ચઢતો ૩૭-૩૮ સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય. ઋતુ-વિગ્નાનીઓ જાહેર કરે કે છેલ્લાં કેટલાં વર્ષોમાં આવી કાળઝાળ ગરમી પડી નથી.

    એવો એક દિવસ યાદ છે, જ્યારે સાંજે પણ એવો બાફ હતો કે વાતાનુકૂલ મશિનની પણ અસર ના થાય. છેવટે રાતે અગિયાર વાગ્યા પછી જરા પવન ચાલુ થયો હતો. તે ય પાછો ઠંડકવાળો નહીં, હતો તો હુંફાળો જ, પણ એનાથી સારું તો લાગ્યું જ. મારાથી બોલાઈ ગયું, “આ તો અમદાવાદ જેવો પવન! એક જમાનામાં ગમે તેવી અસહ્ય ગરમી પછી પણ સાંજ ઢળતી ત્યારે આવો જ, ગરમીનો થાક ઉતારી દે તેવો પવન અમદાવાદમાં શરૂ થઈ જતો.”

    આ વળી કેવી યાદ? જાતજાતની ઘણી વાતો આપણને યાદ રહી જતી હોય છે, અને એ સ્વાભાવિક પણ લાગે, પરંતુ પવનનો સ્પર્શ પણ યાદ હોય, તે શું માની શકાય? હા, એ માનવું જ રહ્યું, કારણકે એવું પણ કોઈ હોઈ શકે છે જે પરદેશ-સ્થાયી હોય, પણ જેનું મન કિશોરાવસ્થાના ઘરનાં સ્પર્શ, સુગંધ, સ્વાદ, ધ્વનિથી વિખૂટું ના પડી શકયું હોય.

    ખરેખર, ઘર એટલે વળી ક્યાં? જેને છોડ્યું તે ઘર? જેને માટે છોડ્યું તે ઘર? જ્યાં છીએ તે ઘર? જ્યાં નથી તે ઘર? જ્યાં શરીર છે તે ઘર? જ્યાં મન-હૃદય છે તે ઘર? તો કહો, ખરેખર ક્યાં હોય છે ઘર?

    અમુક લોકો એવા હોય કે જે જૂની ટેવોના ગુલામ બનીને રહેતા હોય, વર્ષો પહેલાંનાં સંવેદનોમાં અટવાયેલા રહેતા હોય, જ્યારે અમુક લોકો એવા પણ હોય જે પારકા દેશ માટે પ્રેમ અને સમજણ કેળવે, અને એ રીતે ત્યાં પણ ઘરના જેવા બની જાય.

    ન્યૂયૉર્ક શહેરની જીવન-ચર્યામાં આવા બનાવો ઘણી વાર જોવા મળી જાય. જેમકે, અહીંના એક કળાગૃહમાં ભારતનાં મધ્યયુગીય મંદિર-શિલ્પોનું પ્રદર્શન કરવામાં આવેલું. આપણે ઘણાંએ નાનપણથી આવાં શિલ્પમંડિત સ્થાનો જોયાં હોય, પણ અહીંનાં પ્રજાજનોને માટે આ પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી હતું. ઉપરાંત, દર્શકોમાં ભારતની લોક-સંસ્કૃતિમાં રસ અને સમજણ પેદા થાય તે માટે દર રવિવારે કથકલી નૃત્ય-પ્રકાર માટેનાં મુખ-ચિત્રણ, ભારતીય વસ્ત્ર-પરિધાન તથા કઠપૂતળીના ખેલ જેવા કાર્યક્રમ પણ યોજવામાં આવેલા.

    આમાં કઠપૂતળીના ખેલથી તો હું પણ ખૂબ પ્રભાવિત થઈ. મંચ પર બરાબર આપણે નાનપણથી જોયું હોય તેવું જ વિરચન કરેલું, પૂતળીઓ પણ એવી જ. ટિપ્પણ અંગ્રેજીમાં થતું, અને એ ખેલ કરનારો પણ હતો એક અમેરિકન જ. આ કળામાં એ સંપૂર્ણપણે નિપુણ હતો. પોતાની સર્જનાત્મક કલ્પના દ્વારા એણે અહીંનાં નાનાં-મોટાં બધાંને મઝા આવે એવી વાતો વણી લીધી હતી.

    ખેલ પૂરો થયા પછી હું એની સાથે વાત કરવા ગઈ. થોડાં વર્ષો પહેલાં એ ઉદેપુરના લોકકળા-કેન્દ્રમાં રાજસ્થાની કઠપૂતળી શીખવા ગયેલો. પછીથી ત્યાં કોઈ એક ગરીબ કુટુંબ સાથે રહેલો. કહે, “એ લોકો દરેકે દરેક વસ્તુમાં મરચું નાખીને ખાય. મારું તો આખૂં શરીર બળતું!”

    પણ વધારે તો, અમેરિકા પાછાં આવીને બે વર્ષ સુધી એ પણ રાજસ્થાની કઠપૂતળીવાળાઓની જેમ આ દેશમાં ઠેર ઠેર ફરતો રહેલો, ને ગામે ગામે ખેલ કરતો રહેલો. પ્રથાગત બધા ખેલ – કસરતબાજ, તલવાર ગળનાર, મદારી અને સાપ, મશાલ સાથેનો ઘોડેસ્વાર, નાચનારી વગેરે – એ જાણતો હતો. સાથે સંગીત પણ વગાડતો. એને ફરી ભારત જવું છે, પણ કળાકાર પાસે વળી પૈસા ક્યાંથી હોય?

    હવે એ પરણ્યો છે. એણે અને એની અમેરિકન પત્નીએ પોતાના કળા-ઉદ્યોગનું નામ ‘લીલા પપેટ થિયેટર’ રાખ્યું છે, અને હજી આખા દેશમાં ખેલ રજૂ કરતાં ફરે છે. સાવ જુદી અને પારકી સંસ્કૃતિ માટે પ્રેમ, સમજણ તેમજ કૌશલ કેળવ્યાં હોય તેવો આ એક પ્રેરણાત્મક દાખલો.

    કોઈ એક બીજા દિવસે ન્યૂયૉર્કના રસ્તા પર એક ટેક્સી ઊભી રાખી. બારણું ખોલતાં જ તલત મહેમુદના અવાજમાં એક સંભળાયું. ચાલક એક હઠ્ઠોકઠ્ઠો, બાંય વગરનું કાળું ગંજી પહેરેલો માણસ હતો. મારે જ્યાં જવું હતું તેનું સરનામું મેં હિન્દીમાં જ આપ્યું. પછી થોડી વાતચિત થઈ.

    એકાદ વરસ પહેલાં જ એ પાકિસ્તાનથી અમેરિકા આવેલો. આખું કુટુંબ હજી ત્યાં જ હતું. એ પોતે અહીં ટેક્સી ચલાવે, અને છોકાઓને કરાટે શીખવાડે. પોતાના દેશભાઈઓ સાથે એક નાના ઘરમાં, શહેરના દૂરના કોઈ લત્તામાં રહે, અને પેલાં સંવેદનોથી બંધાયેલો રહીને, જેને છોડીને આવ્યો છે તે ઘરને માટે ઝૂરે.  પાકિસ્તાન, બૉંગ્લાદેશ ને ભારતના ઘણા પુરુષો ન્યૂયૉર્કમાં ટેક્સી ચલાવતા મળી આવે છે. એમની હાલત વખાના માર્યા જેવી, અને ટેક્સીમાં સવારી કરનારાંને બહુ નવાઈ સાથે પૂછે, “તમે અહીં કઈ નોકરી કરો છો?”

    એ અર્થમાં કે તમારી પાસે ટેક્સીમાં ચડવાના પૈસા કઈ રીતે થયા?

    જે ઘર હતું તેને તો દૂર મૂકી દીધું, અને જ્યાં આવીને રહે છે તેને ઘર ગણી નથી શકતા. એ માટે સમય જોઈએ, જીવનમાં સુખ અને શાંતિ જોઈએ. આર્થિક અને માનસિક કફોડી સ્થિતિ આવા ઘણાની થતી હોય છે. અમેરિકાને બધાં સ્વપ્નોનો દેશ માને છે. અગણ્ય લોકો એને માટે સ્વપ્ન સેવે છે, એ સ્વપ્નોને પૂરાં કરવાની આશાથી વિદેશ-વાસ સ્વીકારે છે, સહે છે, પણ દરેક જણનાં સ્વપ્ન ફળતાં નથી હોતાં. ને ત્યારે એવાં જણ ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં જીવતાં રહી જાય છે. જાણે નહીં દેશી, નહીં વિદેશી, નહીં ગરીબ, નહીં શ્રીમંત.

    ભારતીયોનો ઘણો મોટો વર્ગ આમાં પડતો નથી. એ સુખી વર્ગ છે; એણે ધન-સંપત્તિ, ગ્નાન-અભ્યાસનાં સ્વપ્ન સિદ્ધ કરી લીધાં હોય છે. આ વર્ગ લગ્ન, વર્ષગાંઠ, સ્નાતકીકરણ વગેરે પ્રસંગો ધામધૂમથી ઉજવે છે. બસો-પાંચસો સંબંધીઓ, મિત્રોની હાજરીમાં, અને મોંઘાં વસ્ત્રાભૂષણ, વાતો, ખાણીપીણીના અતિરક સાથે આ પ્રસંગો સંપન્ન થાય છે. મોટે મોટેથી ફિલ્મી સંગીત વાગતું રહે છે.

    અમેરિકન પ્રસંગોની ઉજવણી ખૂબ જુદી પડે. અતુલ્ય શ્રીમંતાઈ હોય ત્યારે પણ વર્તાવ સંયત હોય છે. એક અમેરિકન લગ્નમાં કોઈ હોટેલનો મોટો કક્શ નહીં, પણ લીલા ઘાસ, ગાઢ વૃક્ષો અને રંગીન ફૂલોવાળા બાગનો પરિસર ભાડે રાખેલો. ખ્રિસ્તી પદ્ધતિના વિધિની વચ્ચે વચ્ચે ભારતીય શાસ્ત્રીય વાંસળીવાદન અને તબલાંની સંગતના મધુર, કર્ણપ્રિય વિષ્કંભક રાખવામાં આવેલા. યજમાન અમેરિકન જ હતા, પણ ભારતીય શાસ્ત્રીય સંગીત માટે પ્રેમ ધરાવે, ને તેથી લગ્ન-પ્રસંગને શોભાવે તેવું સંગીતમય વાતાવરણ ઊભું કરાવડાવેલું.

    કોઈ ક્યાંથી આવ્યું, અને ક્યાં રહે છે એમાં એમનો સાચો પરિચય નથી, પણ એમણે શું અપનાવ્યું છે, શું ઊંડાણ પ્રાપ્ત કર્યું છે, અને એ પોતે શું બન્યાં છે એમાં વ્યક્તિનો સાચો પરિચય મળે છે. પરિપક્વતા પામ્યા પછી “બહારનું” અને “ઘરનું” – એ બે વચ્ચેનો નિરર્થક ભેદ રહેતો નથી. જૂની અને નવી સ્મૃતિઓની ઈંટોથી મન અને બુદ્ધિની અંદર એક નિત નવો આકાર રચાતો જાય છે, શણગારાતો જાય છે.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા

    નિસબત

    ચંદુ મહેરિયા

    દૂધને સંપૂર્ણ ખોરાક  ગણવામાં આવે છે. આપણા રોજિંદા આહારમાં દૂધનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધમાંથી પ્રોટીન, મિનરલ્સ અને કેલ્શિયમ જેવા પોષકતત્વો મળે છે. પરંતુ આપણે અવારનવાર દૂધમાં ભેળસેળ થતી હોવાનું અને નકલી દૂધ વેચાતું હોવાનું વાંચીએ-સાંભળીએ છીએ. મિલાવટી મિલ્ક સંપૂર્ણ આહાર મટી આરોગ્યને નુકસાન કરે છે. આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના પાંચેક ગામોના ૧૬ લોકોના મોત ભેળસેળયુક્ત દૂધ પીવાથી થયા હોવાની ઘટના હજી થોડા મહિના પહેલાંની જ છે. દૂધમાં ભેળવેલા ઝેરી તત્વની અસર આ લોકોની કિડની પર થઈ અને મોત પણ થયા.

    ઉજળા દૂધનો કાળો કારોબાર માંડી બેઠેલા લોકો દૂધમાં પાણી મેળવે તે તો હવે સાવ સામાન્ય બાબત છે. પરંતુ દૂધમાં યુરિયા, કોસ્ટિક સોડા, ગ્લુકોઝ, ડિટર્જન્ટ, બ્લીચ, સફેદ રંગ, રિફાઈન્ડ તેલ, ફોર્મેલિન અને બીજાં રસાયણો ભેળવવામાં આવે છે. નેશનલ સર્વે ઓફ મિલ્ક અડલ્ટ્રેશનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. મિલાવટ કરનારા પાણી ભેળવીને દૂધનું પ્રમાણ વધારે છે. તેનાથી દૂધ પાતળું થઈ જાય તો ડિટર્જન્ટ ભેળવીને દૂધને જાડું કરે છે અને ફીણ વળે છે. યુરિયા દૂધમાં મિક્સ કરીને પ્રોટીનયુક્ત દૂધ હોવાનું પુરવાર કરવામાં આવે છે. આ અને આવી ભેળસેળ માનવ શરીર માટે ઘાતક બને છે. તેથી દૂધ સંપૂર્ણ ખોરાક મટીને ઝેર બની જાય છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સંસદના અંદાજપત્ર સત્રમાં રાજ્યસભામાં ઝીરો અવર્સમાં તે વખતના આમ આદમી પાર્ટીના  રાઘવ ચઢ્ઢાએ દૂધમાં ભેળસેળનો મૂદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે દૂધના ૭૧ ટકા નમૂનામાં યુરિયા અને ૬૪ ટકામાં ન્યૂટ્રલાઈઝર જોવા મળ્યું છે. તેમણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા( FSSAI)ના મિલ્ક સર્વેલાન્સ રિપોર્ટનો હવાલો આપ્યો હતો. આ અહેવાલ પ્રમાણે ૨૦૨૨માં જે ૭૯૮ દૂધના નમૂનાની તપાસ થઈ હતી તેમાંથી અડધામાં મિલાવટ જોવા મળી હતી. દર ત્રણમાંથી એક નમૂનો ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ હતો. ૨૦૧૫ કરતાં ૨૦૧૮માં દૂધમાં ભેળસેળ ૧૬.૪ ટકા વધી હતી. સ્વતંત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ ‘ ટ્રસ્ટિફાઈડ’ ના રિપોર્ટમાં દેશના પ્રતિષ્ઠિત બ્રાન્ડના પેકેજ્ડ દૂધમાં કોલિફોર્મ નામના હાનિકારક બેકટેરિયા નિર્ધારિત મર્યાદા કરતાં ૯૮ ગણા વધુ જણાયા હતા.ઉત્તર ભારતમાં કાચા દૂધના ૪૭ ટકા, પશ્ચિમ ભારતના ૨૩ ટકા, દક્ષિણ ભારતના ૧૮ ટકા અને પૂર્વના ૧૩ ટકા નમૂના અપ્રમાણિત હતા. આ હકીકતો દૂધમાં ભેળસેળનું પ્રમાણ કેટલું હાનિકારક અને વધારે પ્રમાણમાં છે તે દર્શાવે છે.

    ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના  ધારાસભ્ય હેમંત આહીરના એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે દૂધના નમૂનાઓના પરીક્ષણમાં તે નિયત ધોરણ મુજબનું કે હલકી ગુણવતાનું હોવાનું માલુમ પડેલ છે. પરંતુ કેમિકલયુક્ત જણાયું નથી. ૧૧૬૪૮ નમૂનાઓના પરીક્ષણમાંથી ૮૬૮ નમૂના નિયત ધારાધોરણ કરતાં સબસ્ટાન્ડર્સ જણાયા હતા, જે કુલ નમૂનાના ૭.૪૫ ટકા છે.

    આંધ્રપ્રદેશમાં મિલાવટી દૂધના કારણે ૧૬ લોકોના મોતનો હાહાકાર મચ્યો હતો ત્યારે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુ તિરુમાલા મંદિરમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગથી લાડુ બન્યા હોવાનું જણાવી રહ્યા હતા. પૂર્વ સરકારના ૨૦૧૯ થી ૨૪ના સમયગાળા દરમિયાન ૫૯.૭૧ લાખ લીટર મિલાવટી ઘી થી ૨૦ કરોડ લાડુ બનાવવામાં આવ્ય હતા અને મોટાપાયે ખાયકી થઈ હતી. તેના ઉકેલ માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે ૪૦ લોકોની ટીમ સાથેની એક લેબોરેટરી બનાવી છે..જે લાડુના સ્વાદ અને સુગંધની તપાસ કરશે. ઈ ટંગ અને ઈ નોઝ બંને સેન્સર અને કમ્યુટર્સ સિસ્ટમ આધારિત છે. જે  ઈલેકટ્રોનિક જીભ અને નાકથી ભેળસેળનું પરીક્ષણ કરશે.

    જોકે વેંકેટેશ્વર  મંદિર જેવી મોંઘી નહીં તો સસ્તી અને સરળ પધ્ધતિથી ભેળસેળ પકડવા માટે ઉત્તરપ્રદેશના  મુઝફ્ફરનગરના ૨૬ વર્ષીય ધ્રુવ તોમરે દૂધની શુધ્ધતાના પરીક્ષણ માટે પેપર પ્રો તૈયાર કર્યું છે. ૪૦ રૂ. ની કિમતનું અને ખિસ્સામાં રાખી શકાય તેવા આ કાર્ડ પર દૂધના થોડાં ટીંપા નાંખીને દૂધની મિલાવટ પકડી શકાય છે. ગ્રાહકો અને નાના દુકાનદારો માટે તે ઉપયોગી બની શકે તેમ છે.

    પ્રતિદિન ૩ કરોડ લીટર દૂધનું વેચાણ કરતી ભારતની સૌથી મોટી અમૂલ ડેરીના દૂધની ગુણવતા સામે સવાલ ઉઠાવતો આશરે ૩૦ મિનિટનો એક વીડોયો ગયા વરસે રાજકોટના નિવૃત હોમિયોપેથિક તબીબે બનાવ્યો હતો.તેમણે અમૂલ દૂધ પેકીંગ પછી સાત દિવસે ગ્રાહકો સુધી પહોંચતું હોવાનો અને દૂધમાં ડીડીટી નામક જંતુનાશક સહિત અન્ય ૨૨ કેમિકલ ભેળવાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. અમૂલ સાથે ગુજરાતના ૧૮,૬૦૦ ગામના ૩૬ લાખથી વધુ કિસાનો અને પશુપાલકો જોડાયેલા છે. તેના દૂધ અને દૂધની અન્ય બનાવટો ભારતભરમાં અને વિદેશોમાં પણ જાણીતી છે એટલે તેના દૂધની ગુણવત્તા સામે સવાલો ઉઠાવનાર સામે અમૂલે પોલીસ ફરિયાદ કરી હતી,. તેણે આરોપોને નિરાધાર, ભ્રામક અને જૂઠ્ઠા ગણાવ્યા હતા.

    દૂધના ઉત્પાદન અને વપરાશમાં સમગ્ર દુનિયામાં ભારત અવ્વલ છે.હાલ ભારતમાં ૨૩૯.૩૦ મિલિયન ટન દૂધનું ઉત્પાદન થાય છે. વિશ્વના કુલ દૂધના ઉત્પાદનમાં ભારતનું યોગદાન ચોથા ભાગનું કે ૨૫ થી ૩૨ ટકા આસપાસનું છે. ૧૯૫૧માં ભારતમાં ૧૭ મિલિયન ટન દૂધનું ઉત્પાદનં થતું હતું. આજે ૨૪૦ મિલિયન ટન ઉત્પાદન થાય છે. દેશના જીડીપીમાં તેનો ફાળો ૫ ટકા છે. દેશમાં દૂધાળા પશુઓ ૧૧૨ મિલિયન છે. આ બધા કારણોથી ૨૦૨૬માં દેશ ૨૪૨ મિલિયન ટન દૂધના  ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે. જોકે દૂધમાં થતી ભેળસેળ માટે દૂધના ઉત્પાદન કરતાં તેનો વપરાશ વધુ હોવાથી તેનો લાભ લઈને ભેળસેળ થતી હોવાની આશંકા રહે છે. દૂધન ઉત્પાદનના ચોક્કસ આંકડા મળે છે પરંતુ ઉપયોગના મળતા નથી તેથી આ આરોપ પુરવાર કરી શકાતો નથી.

    દૂધના વપરાશકર્તા અને ગ્રાહકોએ પણ દૂધમાં થતી મિલાવટથી બચવા સાવધ રહેવાની જરૂર છે. ગ્રાહકોએ દેશની પર્તિષ્ઠિત કંપનીનું જ દૂધ ખરીદવું જોઈએ. દૂધના વપરાશની એકસપાયરી ડેટ સાથે તેના પેકેજિંગની ડેટ પણ ખાતરી કરીને ખરીદવું જોઈએ.દૂધને ચોખ્ખા વાસણમાં સારી રીતે ઉકાળીને ઢાંકીને રાખવાની કાળજી લેવી જોઈ. દૂધને ઉકાળીને રાખવાથી બેકટેરિયા નાશ પામે છે. સરકારી તંત્ર ભેળસેળ અટકાવવામાં નાકામ હોય ત્યારે ગ્રાહકોએ જ જાગ્રત થવું રહ્યું.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સગડ

    સુરેશ જાની

          આગલા દિવસે વરસાદ પડ્યો હતો, એટલે ગઈકાલે પાર્કમાં ચાલતાં આ ત્રણ સગડ (પગેરાં) જોવાં મળ્યાં.

    પહેલી ટ્રેક્ટરના પૈડાંની છાપ તો કોન્ક્રિટના રસ્તા પર પડી હોવાના કારણે જલદી નીકળી જશે. પણ કાદવમાં પડેલાં બીજાં બે પગલાં હવે પછી સૂર્યના તડકામાં સૂકાઈને સચવાઈ રહેશે.

    આમ તો  આ સાવ સામાન્ય ઘટના છે પણ કોણ જાણે કેમ એણે મનમાં વિચારોનાં ટોળેટોળાં ખડાં કરી દીધાં. આપણે સામાન્ય જીવો આવા સગડ અજાણે જ છોડી જતાં હોઈએ છીએ. એની કોઈ યાદ આપણા દિમાગમાં રહેતી નથી. પણ, અમારા ગામથી પચાસેક માઈલ દૂર આવેલા એક સ્થળમાં કરોડો વર્ષ પહેલાં નદીના પટમાં  ચાલેલા ડાયનોસોરના આવા સગડ હજુ આજે પણ જોવા મળે છે.

    પ્રચંડ ધરતીકંપોના કારણે તહસ નહસ થઈ ગયેલી ધરતીના પડનાં આવાં દૃશ્યો પણ એવી કુદરતી ઘટનાનાં સગડ છે.

    પણ કોઈક અસામાન્ય વીરલાઓ અને હીરલાઓને પોતાનાં સગડ કાયમી રીતે સચવાઈ રહે તેવા અભરખા હોય છે! દુનિયાને જીતી લેવાના અભરખાવાળા અમૂક તો બીજાંની સલ્તનતો અને મહાલયોને તહસ નહસ કરી ખંડેરમાં ફેરવી લેવામાં ગૌરવ માણે છે. નાલંદાનાં આ ખંડેર એવા જુલમીઓના સગડ છે.

    ઘણા માંધાતાઓ પોતાના જીવન બાદ પણ લોકો એમને યાદ કરે – એ માટે પોતાની પ્રતિમાઓ જેવાં સગડ છોડી જતા હોય છે. અથવા એમના અવસાન બાદ એમના પ્રશંસકો આવાં શિલ્પ બનાવી એમની યાદ સાચવી રાખે છે. એ પણ સગડ જ ને?!

    અવકાશી પદાર્થો અને ઘટનાઓ વર્ણવતું એક પુસ્તક વાંચતાં પ્રચંડ ધડાકાથી નષ્ટ થઈ જતા તારાઓની વાત વાંચવા મળી.

    આપણા સૂર્ય કરતાં અનેક ગણા વિશાળ તારાના નષ્ટ થઈ ગયાના આ સગડ!

    અમાપ બ્રહ્માંડની  સરખામણીમાં સાવ રજકણ જેવી પૃથ્વી પર રજકણથી પણ નાના એવા આપણા માનવજીવોની ક્ષુદ્રતા પર હસવું કે રડવું?


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મારી આંતરયાત્રા : પ્રસ્તાવના

    પૂર્વી મોદી મલકાણ

    કેટલીક રચનાઓ આપણે લખતા નથી, તે  પોતે જ ઉદ્ભવી  જાય છે. “મારી આંતરયાત્રા” એવી જ એક રચના છે, જેનો ઉદ્ભવ કોઈ પૂર્વયોજના વિના, જીવનના સતત પરિવર્તનો વચ્ચે સહજ રીતે થયો.
    છેલ્લાં પાંચ વર્ષમાં મારા જીવનમાં અસંખ્ય બદલાવો એકસાથે આવ્યા. કદાચ આવું દરેકના જીવનમાં બનતું હશે, પરંતુ જ્યારે પાછળ વળી જોઉં છું ત્યારે સમજાય છે કે આ પરિવર્તનો કેટલા ઊંડા અને નોંધપાત્ર હતાં. ૨૦૨૧થી ૨૦૨૬ સુધીનો સમયગાળો અમારા માટે જાણે વણઝારાની કતાર જેવો રહ્યો—આજે અહીં તો કાલે ક્યાં! નવી જગ્યાઓ, નવા શહેરો, નવી માટી અને નવા લોકો વચ્ચે અમે સતત ફરતાં, અટવાતાં અને કંઈક શોધતાં રહ્યાં.
    આ જ સમયગાળામાં મેં મારા જીવનનો એક મોટા આધારસ્તંભ સમાન  નિજજનો ગુમાવ્યાં . પૂર્વી મોદી મલકાણ માંથી  કેવળ પૂર્વી મલકાણ  પાછળ રહી ગઈ અને સમગ્ર મોદી પરિવારને એક પછી એક ક્ષિતિજની પેલે પાર જતાં જોયો. જે પરિવાર સાથે મારી સવાર ઉગતી હતી અને સાંજ આથમતી હતી, જેની સાથે મારું બાળપણ હસ્યું-રમ્યું હતું, જેની ગોદમાં બેસીને હું મોટી થઈ હતી—એ મારી જીવનયાત્રાની અગત્યની વ્યક્તિઓ મને મૂકીને ચાલી ગઈ. એક સમયે હું ઘરે પહોચી ત્યાં સુધીમાં મને સંભાળનાર અને મને સાંભળનાર કોઈ જ બચ્યું ન હતું.  અલબત્ત, મલકાણ પરિવારનો પ્રેમ અને સાથ આજે પણ મારી સાથે છે, પરંતુ નાનપણની સ્મૃતિઓ સાથે જોડાયેલા ચહેરાઓની ખોટ એક અલગ જ પ્રકારની ખાલી જગ્યા સર્જે છે. એ એકલતાને શબ્દોમાં વ્યક્ત કરવી સરળ નથી.
    કદાચ એ જ કારણ હતું કે હું એક પછી એક સર્જનાત્મક પ્રોજેક્ટમાં વ્યસ્ત થતી ગઈ. લેખન મારા માટે માત્ર વ્યવસાય કે શોખ ન રહ્યું; તે મારા મન સાથેની વાતચીતનું માધ્યમ બની ગયું. પહેલાં એક લેખક તરીકે જેટલી વ્યસ્ત હતી, તેનાથી પણ વધુ વ્યસ્ત બનતી ગઈ. ક્રીયા અને પ્રવાસ વચ્ચે હું એવી સંતાઈ ગઈ કે  મનને સ્મૃતિઓના દરિયામાં ડૂબી જવાની ફુરસદ જ  ન મળે. આજે વિચારું છું તો લાગે છે કે કદાચ આ મારા પોતાના લોકો પાસેથી ભાગવાની પ્રક્રિયા હતી—અથવા કદાચ તેમની યાદોને સહન કરવાની રીત.
    આ જ આંતરિક પ્રક્રિયાએ આ લેખમાળાને જન્મ આપ્યો.
    આ યાત્રા દરમિયાન મને અનેક યાત્રીઓ મળ્યા. કેટલાક થોડા સમય માટે આવ્યા, કેટલાક લાંબો સાથ આપી ગયા, પરંતુ દરેકે મારા જીવનના કોઈ ને કોઈ પાને પોતાનો રંગ જરૂર ભરી દીધો.
    પછી આવ્યો ૨૦૨૫ના નવેમ્બર મહિનાનો સમય. એક નવા પ્રોજેક્ટ માટે ભારત યાત્રાનો કાર્યક્રમ બન્યો. ચાર મહિનાની આ યાત્રા માત્ર ભૂગોળની સફર નહોતી; તે મારા અંતર સુધી પહોંચતી બીજી એક યાત્રા પણ હતી. મને સૂચન મળ્યું કે આ સમગ્ર પ્રવાસને હિન્દી ભાષામાં કોલમ સ્વરૂપે લખવો. પરંતુ રોજના ચારથી પાંચ કલાક ફાળવીને વિગતવાર કોલમ લખવી શક્ય ન હતી. તેથી નક્કી થયું કે દિવસ દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ક્ષણોને હું દર સાંજે કાવ્યરૂપે શબ્દ આપી સંપાદકની કચેરીએ મોકલીશ.
    આ રીતે ભારત યાત્રા શરૂ થયા પછી દરેક દિવસની નોંધ હિન્દી કવિતામાં ઉતરવા લાગી.
    હું પોતાને કવિ નથી માનતી, પરંતુ આ યાત્રામાં કવિતા મારું માધ્યમ ચોક્કસ બની. જ્યાં ગદ્ય થાકી જતું હતું, ત્યાં કાવ્ય મારા માટે બોલતું હતું. જ્યાં શબ્દો ઓછા પડતા હતા, ત્યાં લાગણીઓ પંક્તિઓ બનીને વહેતી હતી.
    આજે એ જ હિન્દી કવિતાઓનો ગુજરાતી અનુવાદ કરીને હું એ તમામ ક્ષણોને વાંચકો સાથે વહેંચી રહી છું.  જોકે આ તમામ ક્ષણમાં આપ સૌને કેવળ લેખિકા પૂર્વી નહીં પણ એક ગૃહિણી, એક પ્રવાસીની  પૂર્વી પણ જોવા મળશે. જે કયારેક હારે છે કયારેય જીતે છે ને કયારેક ખોવાઈ જાય છે.  આશા છે કે મારા અગાઉના લેખોની જેમ આ નવી યાત્રા પણ આપના હૃદય સુધી પહોંચશે અને આપનો પ્રેમ પ્રાપ્ત કરશે.


    હવે પછીઃ


    © પૂર્વી મોદી મલકાણ – યુ.એસ.એ  purvimalkan@yahoo.com

     

  • કરણ ઘેલો -પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના

    ગુજરાત વિશ્વકોશમાં ‘કરણઘેલો’ની પરિચય નોંધ

    લેખક નંદશંકર તુળજાશંકર મહેતાની ગુજરાતની પહેલી ગણનાપાત્ર નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એમાં સમકાલીન રંગો પણ સારી પેઠે પૂરેલા છે. લેખકે વૉલ્ટર સ્કૉટ જેવાની કૃતિથી પ્રેરાઈ આ કથા લખી છે. ઘટનાનિરૂપણ, એની ગૂંથણીની રીતિ, વર્ણનો તથા પાત્રનિરૂપણ પાશ્ચાત્ય નવલકથાની પરંપરા અનુસાર છે.

    પાટણનો રાજા કરણ વાઘેલો એના પ્રધાન માધવની પત્ની રૂપસુંદરીને જોઈ એની પર મુગ્ધ થાય છે અને માધવને કોઈ બહાને પરગામ મોકલી એના ઘર પર હલ્લો કરીને રૂપસુંદરીનું હરણ કરે છે. એમાં માધવનો ભાઈ કેશવ લડતાં માર્યો જાય છે અને કેશવની પત્ની ગુણસુંદરી સતી થાય છે. સતી થતી વખતે તે કરણને શાપ આપે છે કે એનો સર્વનાશ થશે. માધવ એનું વેર લેવા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને પાટણ પર ચઢાઈ કરવા પ્રેરે છે. કરણ પાટણ છોડીને ભાગે છે. અલાઉદ્દીન એની પત્નીને લઈ જાય છે. પાછળથી એની પત્ની એની છોકરીને પણ તેડાવે છે. કરણનું અપમૃત્યુ થાય છે. આ ઐતિહાસિક ઘટનાઓમાં લેખકે સમકાલીન વાતાવરણને વણ્યું છે અને પ્રસંગો અને પાત્રોનું ઉમેરણ કર્યું છે. એ પ્રથમ નવલકથા હોવાથી એમાં થોડી કચાશ છે. છતાં પ્રસંગવર્ણન તથા પાત્રનિરૂપણમાં લેખકની વૈયક્તિક શક્તિઓ દેખાય છે. આ નવલકથા લખવાનો હેતુ ‘વ્યભિચારની હાર અને મગરૂબીનો માર, પાપનો ક્ષય અને ધર્મનો જય’ આલેખવાનો છે. એમાં એમને થોડેવત્તે અંશે સફળતા મળી છે એમ કહી શકાય. ગુજરાતી ગદ્ય કથન અને વર્ણનમાં અહીં ઘડાતું જાય છે. નવલકથાલેખનના પ્રથમ પ્રયાસ તરીકે એનું સાહિત્ય ઇતિહાસમાં સ્થાન છે.

    મણિલાલ હ. પટેલ

    સંપાદકીય નોંધ:  

    ૧. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘’ વિષયમાંથી પસંદ કરેલ છે.

    ૨. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.


    ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા.

    એક વાર્તા.


    કર્ત્તા : નંદશંકર તુળજાશંકર

    આ પ્રાંતના ઘણા ખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્ત્તાઓ વાંચવાનો ઘણો શોખ છે, પણ હજી સુધી એવી વાર્ત્તાઓ ગદ્યમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે, અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પુરી પાડવાને તથા અંગ્રેજી ગાથા તથા વાર્ત્તાના જેવાં ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઈન્સપેકટર મહેરબાન રસલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્ત્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. તે ઉપરથી આ પુસ્તક મેં આસરે ત્રણ વર્ષ ઉપર રચ્યું, પણ કેટલાંએક કારણેને લીધે તેને જલદીથી છપાવવાનું બન્યું નહી.

    જેઓએ અણહિલપુર પાટણનો ઇતિહાસ વાંચ્યો હશે તેઓ આ પુસ્તકમાં લખેલી કેટલીએક બીનાથી જાણીતા હશે. કરણ ઘેલા વિષે જેટલી હકીકત ઇતિહાસ ઉપરથી જણાય છે તેમાં બીજી નવી કલ્પિત વાતો ઉમેરીને આ વાર્ત્તાનો વિસ્તાર કીધો છે, જે વખતે આ સઘળી બીનાઓ બની તે વખતે લોકોની રીતભાત કેવી હતી, તેઓના વિચાર કયા પ્રકારના હતા, ગુજરાતના રજપૂત રાજા તથા દિલ્હીના મુસલમાન પાદશાહની રાજનીતિ વગેરે કેવી હતી, રજપૂતોના પુરૂષો તથા સ્ત્રીઓનું શૂરાતન તથા જાત અને કુલ અભિમાન કેટલું હતું, મુસલમાનોમાં કેટલો જુસ્સો, ધર્માંધપણું, તથા હિંદુઓ ઉપર અને તેઓના ધર્મ ઉપર કેટલો દ્વેશ હતો, એ વગેરે બીજી કેટલીએક હકીકતોનું જેમ બને તેમ ખરેખરું ચિત્ર બતાવી આપવું એ જ આ પુસ્તકનો હેતુ છે, એ હેતુ કેટલે દરજ્જે પાર પડ્યો છે તેનો નિર્ણય કરવાનું વાંચનારાઓને સોંપીએ છીએ.

    આ પુસ્તકમાં ભૂત, પ્રેત, વગેરે વહેમોની વાત આવે છે, તથા કેટલાએક વિષય ઉપર જુદા જુદા માણસોએ પોતાના અભિપ્રાય જણાવ્યા છે – તેઓ સઘળા માનવા લાયક તથા તે વાતો સાચી છે એવો મારો વિચાર નથી. જે વખતે એવી વાત બની એમ લખ્યું છે તે વખતે તેઓ ઉપર લોકોને ઘણો ભરોસો હતો, અને એવી મતલબની દંતકથાઓ હજી પણ આ પ્રાંતમાં ચાલે છે, તે માત્ર જણાવવી એ જ હેતુથી આ પુસ્તકમાં તે દાખલ કીધી છે, અને જે માણસોએ જેવા અભિપ્રાય આપ્યા છે તેવા જ તેઓના ખરેખરા હતા તે બતાવી આપવાને આ ઠેકાણે તે પ્રસિદ્ધ કીધા છે.

    આવી જાતનું પુસ્તક ગુજરાતીમાં પહેલું જ છે માટે તેમાં ખામીઓ તો હશે જ, તેને માટે સુજ્ઞ વાંચનારાઓ તરફથી માફી મળવાની આશા રાખું છું. જો આ પુસ્તકથી વાંચનારાઓને આનંદ માત્ર થશે તો એ લખવાની મતલબ ઘણે દરજ્જે પાર પડી એમ હું સમજીશ.

    નં. તુ.


    હવે પછીઃ પ્રકરણ ૧ લું


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • વાદળ છો કે નેતા છો?

    આ વખતે તો બહુ તરસાવ્યા! વાદળ છો કે નેતા છો?
    ઠાલા ઠાલા હાલ્યા આવ્યા! વાદળ છો કે નેતા છો?
    તમે અમારી તરસ ઉપર પણ તરસ ન ખાધી…..
    આવા અંગારા વરસાવ્યા? વાદળ છો કે નેતા છો?
    ખોબો ટાઢક માંગી’તી કાંઇ બીજું નહોતું માગ્યું હો…
    એમાં ગર્જીને ધમકાવ્યા? વાદળ છો કે નેતા છો?
    એક તમે પણ ના વરસ્યા ને ઉપરથી વીજળીના ફાંફા,..
    શું કામ ખેતર ખેડાવ્યા ? વાદળ છો કે નેતા છો ?
    ચોમાસાની આ સંસદમાં ટીંપુયે પણ નહીં વરસીને…
    ખુદને છાપામાં ચમકાવ્યા! વાદળ છો કે નેતા છો?
    અમે જ ચૂંટી ચૂંટીને વિશ્વાસ તમારી આંખ્યે આંજયો…
    અમને ધોળે દી’ નવરાવ્યા? વાદળ છો કે નેતા છો?
    લાગે છે કે હવે તમે પણ ઘરભેગુ કરતા શીખી ગ્યા….
    કોણે આવા પાઠ ભણાવ્યા? વાદળ છો કે નેતા છો?
    ~ કૃષ્ણ દવે
  • કદર ના જાની, કદર ના જાની

    ધિક્કારનાં ગીતો

    હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના…

    દીપક સોલિયા

    નવામાં નવી પેઢીનાં છોકરાંવ પણ કિશોર-રફી-મુકેશ-લતા-આશાનાં ગીતોથી થોડાઘણા તો પરિચિત છે જ, કારણ કે આ કલાકારોએ  એટલાં બધાં અને એટલાં યાદગાર ગીતો ગાયાં છે કે એ બધાં ગીતો સાવ જ વિસરાઈ જાય એવો યુગ હજુ ઘણો ઘણો ઘણો દૂર છે.

    આ બધાંમાંથી કિશોર કુમાર -અને મુકેશ પણ- એવા ગાયકો હતા જેમણે શાસ્ત્રીય સંગીતની ઝાઝી તાલિમ તો નહોતી લીધી, પરંતુ તેઓ એવી રીતે ગાઈ શકતા જેથી તેમની ગાયકી સીધી લોકોના હૃદયને સ્પર્શી શકે. તેમાં અતિ વિદ્વત્તા, સજ્જતા, શાસ્ત્રીયતાનો ભાર નહોતો. કિશોરના ગીતોમાં ગાવા ઉપરાંત વાત કરવાનો, સંવાદ સાધવાનો ભાવ વધુ પ્રબળ રહેતો. એટલે જ્યારે જ્યારે એવું બન્યું છે કે એક જ ગીત કિશોર કુમારે પણ ગાયું હોય અને અન્ય ગાયક કે ગાયિકાએ પણ ગાયું હોય ત્યારે મોટા ભાગના કિસ્સામાં કિશોરવાળું ગીત પ્રમાણમાં વધુ લોકપ્રિય બન્યું છે. જેમ કે, ફિલ્મ પ્યાર કા મૌસમનું એક ગીત છે, તુમ બિન જાઉં કહાં, કે દુનિયા મેં આકર કુછ ન ફિર ચાહા કભી તૂમ કો ચાહ કે…

    મજરૂહ સુલતાનપુરીએ લખેલા આ ગીતના શબ્દો એકદમ સામાન્ય છે (ફટ જાએંગી દીવારેં સુન કે મેરી સદા), પરંતુ આર. ડી. બર્મનનું સંગીત એકદમ કેચી છે, યાદગાર છે. ફિલ્મમાં આ ગીત કિશોરે પણ ગાયું છે અને રફીએ પણ. રફીએ તો બે વાર ગાયું છે. ફિલ્મના હીરો શશી કપૂરને રફીનો અવાજ મળ્યો છે, જ્યારે ફિલ્મમાં શશી કપૂરના પિતાની ભૂમિકા કરનાર ભારત ભૂષણને કિશોરને અવાજ ફાળવાયો છે. બન્ને ગાયકોએ એટલી શાનદાર ઢબે ગાયું છે કે બેમાંથી બહેતર કોણ એ નક્કી કરવું ન કેવળ મુશ્કેલ છે, બલ્કે એ કવાયતમાં પડવા જેવું નથી. હા, બેમાંથી કયા ગાયકે ગાયલું વર્ઝન વધુ લોકપ્રિય-યાદગાર બન્યું એની વાત કરીએ તો ચુકાદો સ્પષ્ટ છેઃ કિશોરવાળું વર્ઝન વધુ ‘ચાલ્યું’. તમે આ ગીત યાદ કરશો તો તમને ગીતના આરંભે યોડેલિંગ (હા હા હા હં હં આ હા હા)વાળું, કિશોર કુમારવાળું વર્ઝન પહેલું યાદ આવશે.

    એક આડવાત. કિશોર કુમાર યોડેલિંગ માટે જાણીતા છે. યોડેલિંગ એ ગાયકીનો એવો એક પ્રકાર છે જેમાં ઊંચા અને નીચા સ્વર વચ્ચે ઝડપી આવજા કરવામાં આવે છે. યોડેલિંગના મૂળિયાં સ્વિત્ઝર્લેન્ડની રૂપાળી ખીણોમાં રહેલા છે. ત્યાં વસતા સમુદાયો વચ્ચે પ્રત્યાયન (કમ્યુનિકેશન) માટે અને ત્યાંના ભરવાડો દ્વારા ગાયોનું ધણ એકઠું કરવા માટે યોડેલિંગનો ઉપયોગ થતો. કિશોર કુમારે અનેક ગીતોમાં, જેમ કે ફિલ્મ અંદાઝના ગીત ‘જિંદગી એક સફર હૈ સુહાના’માં યોડેલિંગના સુંદર નમૂના પેશ કર્યા છે.

    તો, ‘તુમ બિન જાઉં કહાં’નું કિશોરના યોડેલિંગથી શરૂ થતું અને પછી એકદમ સરળ, લોકભોગ્ય રીતે ગવાયેલું કિશોરવાળું વર્ઝન રફીએ ગાયેલા વર્ઝન કરતાં વધુ લોકો સુધી પહોંચ્યું. અલબત્ત, એનો અર્થ એવો નથી કે કિશોરની ગાયકી વધુ ઊંચી હતી. ના, વાત ફક્ત એટલી જ છે કે કિશોરવાળું વર્ઝન વધુ લોકોને વધુ સમય સુધી યાદ રહ્યું. આવો જ કિસ્સો ફિલ્મ શર્મીલીના ગીત ‘ખીલતે હૈ ગુલ યહાં’નો છે. આ ગીત કિશોરે પણ ગાયું છે અને લતા મંગેશકરે પણ, પરંતુ તમે આંખ બંધ કરીને યાદ કરશો તો લતા કરતાં પહેલાં કિશોરવાળું વર્ઝન તમને યાદ આવે તેની શક્યતા વધુ છે. ફરી એ જ વાત, ગાયકીમાં લતા કરતાં કિશોર ઊંચા હતા એવું નથી, પરંતુ આપણે ફક્ત હકીકત પર જ ફોકસ કરીએ તો લતા કરતાં કિશોરવાળું વર્ઝન વધુ ‘સફળ’ રહ્યું તે સ્વીકારવું પડે. વળી, આ ગીત પૂરતી એક દલીલ એવી પણ થઈ શકે કે આ ગીત પ્યાર માટે આમંત્રણ આપતું ગીત છે અને પ્યારનું આમંત્રણ આપવાનું કામ સામાન્ય રીતે સ્ત્રી કરતાં પુરુષો વધુ કરતાં હોય છે અથવા એમ કહીએ કે પ્યારની પહેલ પુરુષ કરે તે આપણને વધુ સહજ લાગે છે. માટે કદાચ કિશોરવાળું વર્ઝન વધુ ચાલ્યું હોય એવું બને.

    આપણે જે ગીતની વાત કરવાની છે એ છે કિશોર તથા અન્ય ગાયકે ગાયેલા એક ત્રીજા ગીતની. એ ગીત છે હમે તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના.

    આ ગીત પણ લેખના આરંભે નોંધેલા ગીત – તુમ બિન જાઉં કહાં-ની જેમ મજરૂહે લખેલું અને આર. ડી. બર્મને સંગીતમાં ઢાળેલું અને તેને બે ગાયકોએ ગાયેલું, કિશોર કુમારે અને પરવીન સુલતાનાએ. ગીત પોતે સુપરહિટ છે, પરંતુ બેમાંથી વધુ સુપરહિટ વર્ઝન કયું એનો જવાબ સ્પષ્ટ છેઃ કિશોરવાળું વર્ઝન. આજે પણ કિશોરના ગીતોના પ્રોગ્રામમાં આ ગીત તમને અવારનવાર સંભળાશે. ગીતના શબ્દો અને સંગીત બન્ને એકદમ સરળ છે, સંવાદ સાધનારા છે. એ ગીત સાંભળીએ તો એવું લાગે કે એક પુરુષ શાંતિથી ઊભો ઊભો તેની પ્રેમિકાને કહી રહ્યો છે; પદ્યમાં નહીં, બલ્કે જાણે ગદ્યમાં વાત કરી રહ્યો છે કે હું તને કેટલી ચાહું છું એ તો ખબર નથી, પણ એટલી ખબર છે કે તારી વિના જીવી નહીં શકું.

    ખેર, આ ગીતનું કિશોર કુમારવાળું વર્ઝન વધુ લોકપ્રિય બન્યું તેનો કશો જ વિરોધ નથી, પરંતુ એક વાત ભૂલવા જેવી નથી અને ખાસ નોંધવા-સમજવા જેવી છે કે આ ગીતનું વધુ ધારદાર-અણિદાર-શાનદાર વર્ઝન પરવીન સુલતાનાવાળું ફિમેલ વર્ઝન છે. પુરુષ કરતાં સ્ત્રી, કિશોર કરતાં પરવીન વધુ અસરકારક, વધુ હૃદયભેદી રીતે ઇર્ષ્યાનો ભાવ વ્યક્ત કરી શક્યાં છે.

    દ્વેષ-ગીતોની આ શ્રેણીમાં આ પ્રેમાળ ગીત –હમેં તુમસે પ્યાર કિતના-ને સમાવવાનું કારણ છે ઇર્ષ્યા. પહેલી નજરે કોમળ જણાતું આ ગીત અસલમાં ફરિયાદનું ગીત છે, જલનનું ગીત છે, જેમાં ગાયિકા રીપિટેડલી કહે છેઃ કદર ન જાની, કદર ન જાની. તને મારી કદર નથી, તને મારી કદર નથી.


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • વાદ્યવિશેષ : (૪૩) – તાલવાદ્યો (૮) – પખાવજ

    ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    તસવીરમાં જોઈ શકાય છે કે પ્રથમ દૃષ્ટીએ પખાવજનો દેખાવ અગાઉ વર્ણવેલાં ઢોલક, ઢોલકી, માદલ કે ખાસ કરીને મૃદંગ સાથે ખાસ્સો મળતો આવે છે (અમુક જાણકારો પખાવજને મૃદંગનું ઉત્તર ભારતીય સ્વરૂપ કહે છે) . એ બધાં તાલવાદ્યોની જેમ જ પખાવજ પણ સાગ કે અન્ય કોઈ મજબૂત વૃક્ષના થડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થડના લગભગ બેથી અઢી ફીટ જેટલા ટૂકડાને લઈ, તેને અંદરથી પોલો કરી દેવામાં આવે છે. જો કે કેટલાક કલાકારો માટી વડે બનાવાયેલા પખાવજનો આગ્રહ રાખતા હોય છે. તે પછી બન્ને બાજુના ખુલ્લા છેડા પર બકરા, ઘેટા કે ભેંસના ચામડા વડે તેને મજબૂતીથી સેવી લેવાય છે. સીલાઈ માટે ચામડામાંથી બનાવાયેલા પાતળા પટ્ટા વપરાય છે. અપેક્ષિત બોલ નીપજાવવા માટે બેય બાજુના ચામડાનું ખેંચાણ ચોક્કસ દરજ્જાનું કરવા માટે પખાવજની રચનાના નળાકારની ઉપસેલી બાજુએ લાકડાના નાના કદના ઘન નળાકાર ટૂકડાઓ ગોઠવવામાં આવે છે.

    દેખાવે મૃદંગ કે ઢોલ જેવું આ વાદ્ય તેના વાદનથી શી રીતે અલગ પડે તે સવાલ થવો સ્વાભાવિક છે. જાણકારો આ બાબત આસાનીથી સમજી શકે પણ એક સરેરાશ સંગીતપ્રેમી ભાવકને સરળ શબ્દોમાં સમજાવી શકાય કે સરખામણીએ પખાવજનો અવાજ વધુ ઘેરો અને ઊંડાણવાળો હોય છે. આ કારણથી કોઈ ફિલ્મી ગીત સાથે તેનો ઉપયોગ સળંગ થાય તે શક્યતા ઓછી હોય છે. આખા ગીતના કોઈ ચોક્કસ ભાગમાં તે પ્રયોજાતું હોય છે. કાનને શ્રવણથી કેળવતા જવાથી આ તાલવાદ્યના બોલ અલગ તારવી સ્શકાય છે.

    પખાવજનો ઉપયોગ મહદઅંશે ધ્રુપદ શૈલીના શાસ્ત્રીય ગાન સાથે તેમ જ કથ્થક અને ઓડીસી જેવી નૃત્ય શૈલી સાથે સંગત કરવા માટે કરાય છે. સુખ્યાત પખાવજવાદક પંડીત ભવાની શંકરને આ તાલવાદ્ય પર જપતાલ વગાડતા સાંભળવાથી તેના બોલનો ખ્યાલ આવશે.

    હવે કેટલાંક પખાવજપ્રધાન ફિલ્મી ગીતો માણીએ.

    શરૂઆત કરીએ ૧૯૪૯ના વર્ષમાં પરદા પર આવેલી મશહૂર ફિલ્મ મહલનાં બે ગીતો સાથે. તેના સંગીતકાર ખેમચંદ પ્રકાશે એવી ધૂનો સર્જી હતી કે પોણી સદીનાં વ્હાણાં પણ આ ફિલ્મનાં ગીતોની તાજગીમાં કશીય ઝાંખપ લાવી નથી શક્યાં.

    પહેલાં સાંભળીએ પખાવજના તાલથી સભર એવું ગીત, ‘એક તીર ચલા દિલ પર લગા’.

    એ જ ફિલ્મનું અન્ય ગીત ‘દિલ ને ફીર યાદ કીયા, બેવફા લૌટ કે આ’ માણીએ. આ ગીત સાથે પણ પખાવજનો ઉપયોગ મુખ્ય તાલવાદ્ય તરીકે કરાયો છે.

    ૧૯૫૬ની ફિલ્મ ન્યુ દિલ્હીનું ગીત ‘મુરલી બૈરન ભયી’ આજે પણ સંગીતની મહેફીલોમાં ગવાતું/સંભળાતું રહે છે, શંકર-જયકિશનના સંગીતથી સજેલા આ ગીતમાં પખાવજના બોલ સ્પષ્ટ સાંભળી શકાય છે,

    https://www.youtube.com/watch?v=SlnI7xJL5e0&list=RDSlnI7xJL5e0&start_radio=1

    આગળ વધીએ ફિલ્મ નવરંગ (૧૯૫૯)ના ગીત ‘કારી કારી કારી અંધિયારી થી રાત’ તરફ. વસંત દેસાઈના નિર્દેશનમાં બનેલા આ નૃત્યગીતમાં ચોક્કસ સ્થાને પખાવજના તાલનો સંગાથ ખુબ જ ઈષ્ટ લાગે છે. આ ગીતની બાંધણી બહુ વિશિષ્ટ છે. પહેલાં તેમાં શબ્દોનું પઠન છે અને પછી એ જ શબ્દોનું ગાયનરૂપે પુનરાવર્તન થાય છે. આમાં ‘જબ સઘન ગગન પે ગરજ ઉઠી’ શબદાવલી પછી વાદળોના ગરજવાના અવાજની અસર પખાવજવાદન વડે ઉપસાવવામાં આવી છે.

    https://www.youtube.com/watch?v=Vw2DLtEcKzQ&list=RDVw2DLtEcKzQ&start_radio=1

    ૧૯૭૧ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ પાકીઝાની સાફળતામાં તેનાં ગુલામ મહંમદનાં બનાવેલાં ગીતોનું મોટું પ્રદાન હતું. ઉલ્લેખનીય છે કે કેટલાંક કારણોસર આ ફિલ્મનું નિર્માણ અધવચ્ચે અટકી પડ્યું હતું અને છેક અગીયાર વરસ પછી ચાલુ થયું હતું. જો કે એ સમયગાળામાં ગીતો તો રેકોર્ડ થઈ ગયાં હતાં. છેવટે ફિલ્મ પરદા ઉપર આવી, ત્યારે ખેમચંદ પ્રકાશ તેમના સંગીતની સફળતા જોવા માટે આ દુનિયામાં નહોતા રહ્યા. આ ફિલ્મનું પખાવજપ્રધાન ગીત ‘કૌન ગલી ગયો શ્યામ’ સાંભળીએ.

    ફિલ્મ એક નયી પહેલી (૧૯૮૪) માટે ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ તૈયાર કર્યાં હતાં. તેના ગાત ‘ઈસ મન કો ઈક ઠેસ લગી’ના વાદ્યવૃંદમાં તાલવાદ્ય તરીકે પખાવજનો ઉપયોગ થયો છે.

    હવે પછીનું ગીત ૨૦૦૭ની ફિલ્મ ભૂલભૂલૈયાનું ‘મેરે ઢોલના’ છે. પ્રીતમે સ્વરબદ્ધ કરેલા આ ગીતમાં પખાવજના બોલ સતત ધ્યાન ખેંચતા રહે છે.

    ૨૦૧૫માં પરદા પર આવેલી ઐતિહાસિક ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું એક પખાવજના બોલોની સંગત ધરાવતું ગીત ‘બજને દે ધડક ધડક’ સાંભળીએ. આ ફિલ્મનાં ગીતો તેના દિગ્દર્શક સંજય ભણસાલીએ જ તૈયાર કર્યાં હતાં. પરદા ઉપર અલબત્ત, કલાકારો ઢોલ વગાડતા દેખાડવામાં આવ્યા છે.

    આમ તો આ શ્રેણીમાં હિન્દી ફિલ્મી ગીતોનો સમાવેશ કરવાનો ધારો રાખ્યો છે, પણ અપવાદરૂપે એક સંગીતપ્રધાન મરાઠી ફિલ્મ કટ્યાર કલેજિત ઘૂસ લીનું એક ગીત ‘દિલ કી તપીશ’ સાંભળીએ. મૂળ જીતેંદ્ર અભિષેકીએ તૈયાર કરેલી શાસ્ત્રીય ધૂનને ફિલ્મી ગાયકીના ઢાળમાં શંકર-એહસાન-લોયની સંગીતકાર ત્રીપૂટીએ ઢાળી છે. સંગત પૂરાવતા પખાવજના બોલ ખાસ્સા ધ્યાનાકર્ષક બન્યા છે.

    આખરમાં સાંભળીએ ફિલ્મ પદ્માવત(૨૦૧૮)નું પ્રખ્યાત એવું ‘ઘૂમર’ નૃત્યગીત. આ ઐતિહાસિક ફિલ્મના દિગ્દર્શક સંજય ભણસાલીએ ફિલ્મના ગીત-સંગીતનો હવાલો પણ પોતે જ સંભાળ્યો હતો.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • વાદળ

    લતા હિરાણી

    એક નાનકડું વાદળ !  બધા એને છોટુ કહે. આકાશમાં આમતેમ ઊડ્યાં કરે.  ડોલતું જાય, નાચતું જાય, કૂદતું જાય ને વરસતુંયે જાય, એટલે પછી શું થાય ? બોલો બોલો, શું થાય ?  પાણી ખાલી થઈ જાય !  પછી નાનકડું વાદળ સૂકું વાદળ બની જાય !  સાવ સૂકું સૂકું રૂના પોલ જેવું. એને થાય કે હું પાણીથી છલોછલ થઈ જાઉં તો કેવું સારું ! ધરતી પર વરસું. મારાં પાણીથી છોડ ઊગે. વૃક્ષો વધે. જંગલ લહેરાય. ખેતરમાં અનાજ ઊગે. મને એ બધું જોવાની કેવી મજા આવે ! પણ પાણી લાવવું ક્યાંથી ?

    એકવાર એ ફરતું ફરતું પહાડ પર પહોંચ્યું. પહાડના શિખર પર બરફ જ બરફ. એ પહાડના ઢોળાવ સુધી ગયું. ત્યાં જાણે બરફની પાટો જ પાટો ખડકાઈ હતી. એની નીચેથી કૂદતું કૂદતું એક મજાનું ઝરણું વહેતું હતું. વાદળે ઝરણાને જોયું. એને ઝરણું બહુ જ ગમી ગયું. એને થયું હું આ ઝરણા સાથે દોસ્તી કરું. એ મને થોડુંક પાણી આપશે.

    એ ઝરણાની નજીક ગયું.  ‘એય તારું નામ શું ?’

    ઝરણું કંઈ ન બોલ્યું.

    વાદળને લાગ્યું કે ગડબડ થઈ છે. એણે શાંતિથી ને પ્રેમથી કહ્યું,  ‘હાય,  ડિયર…’

    હવે ઝરણાંએ એની સામે જોયું.

    ‘તારું નામ શું છે ? તું મારી સાથે દોસ્તી કરીશ ?’

    ‘મારું નામ સ્માર્ટ છે.’

    ‘હાય સ્માર્ટ, તું મારું દોસ્ત બનીશ?’

    ‘હું તો બધાંનું દોસ્ત છું’ ઝરણું બોલ્યું.

    ‘એ તો બરાબર પણ આપણે પાક્કા દોસ્ત.’વાદળ બોલ્યું.

    ઝરણાએ કહ્યું,  ‘ડન. ચાલ હાથ મિલાવ ! પણ એક શરત છે.  તારે પછી છુપાઈ નહીં જવાનું.  મારી સાથે રહેવું પડશે. રોજ વાતો કરવી પડશે.’

    વાદળ કહે,  ‘ડન ડિયર’

    પછી તો ઝરણું અને વાદળ બંને પાક્કા દોસ્ત બની ગયા. ઝરણું કૂદાકૂદ કરતું નીચે તરફ દોડે. વાદળ પણ એની સાથે દોટ મૂકે.  ક્યારેક વાદળ હાંફી જાય તો ઝરણું એને હાથ પકડીને ખેંચી લે. બંને રોજ કેટલી બધી લાંબી લાંબી વાતો કરે. આ બંનેની વાતો આજુબાજુ ઊગેલા ફૂલ વેલ, અને વૃક્ષો સાંભળે. સહુને મજા પડે.

    એક દિવસ વાદળે કહ્યું.  ‘ઝરણા, મારે તારી પાસેથી કશુંક જોઈએ છે.’

    ‘બોલ ને શું જોઈએ છે ! આપણે તો પાક્કા દોસ્ત છીએ.’

    વાદળ કહે, ‘હું સાવ સૂકું સૂકું છું.  તું મને તારું પાણી ન આપે !’

    ઝરણું કહે, ‘એમાં શું ? પણ થોડા દિવસ રાહ જો. આટલા પાણીથી તારું કંઈ નહીં વળે. મારી સાથે ચાલ. તને ખૂબ પાણી અપાવીશ.’

    વાદળ ખુશ થઈ ગયું. એના પગમાં તાકાત આવી ગઈ.  ઝરણું અને વાદળ પર્વત પરથી દોડવા લાગ્યા. દોડતાં દોડતાં નીચે પહોંચ્યા. ત્યાં એક નદી આવી. ઝરણું તો ભફાંગ કરતું કૂદયું નદીમાં. વાદળ મૂંઝાઈ ગયું.

    વાદળ બહાવરું બનીને ઝરણાંને શોધવા લાગ્યું. ત્યાં નદીમાંથી અવાજ આવ્યો.

    ‘જો વાદળ, હું અહીં છું. અહીં કેટલું બધું પાણી છે ! તારે જેટલું જોઈએ એટલું લઈ લે.’

    વાદળની આંખમાં આંસુ આવી ગયા. એને વહાલું ઝરણું ક્યાંય દેખાતું નહોતું.  ઝરણાંને શોધવા એ તો નદીની સાથે દોડવા માંડ્યુ.

    નદી કહે,  ‘તું દુખી ન થા.  ઝરણું મારામાં ભળી ગયું છે પણ તારે પાણી જોઈએ છે ને, ચાલ મારી સાથે ચાલ.’

    એ નદીની સાથે સાથે દોડવા માંડ્યુ. રસ્તામાં ખેતર આવ્યાં, જંગલ આવ્યાં,, શહેર આવ્યાં,  ગામડાંઓ આવ્યાં. એમ કરતાં કરતાં એક દિવસ દૂરથી દેખાયો દરિયો.  ગરજતો, ઊછળતો દરિયો.  મોટાં મોટાં મોજા ઉછળે અને પાણીની તો રેલમછેલ !

    ‘લઈ લે પાણી તારે જોઈએ એટલું.’ કહેતાં નદી દોડીને દરિયામાં સમાઈ ગઈ.

    વાદળ મૂંઝાઈ ગયું, આ શું થાય છે ! ઝરણું નદીમાં ગુમ થઈ ગયું અને નદી દરિયામાં ગુમ થઈ ગઈ.  કંઈ નહીં.  હવે નિરાશ થયે શું વળે ? હું પાણી ભરી લઉં. એમ વિચારી વાદળે પોતાનામાં ખૂબ પાણી ભરી લીધું.

    દરિયાને બાય બાય કહીને એ તો ઊડ્યું.  રસ્તામાં ધરતી પર છાંટણા છાંટતું જાય.  જીવ, જંતુ, પશુ, પંખી, જંગલ, ઝાડી, માનવ બધાં ખુશ ખુશ થઈ ગયા.  ઊડતું ઊડતું વાદળ ફરી પોતાના પહાડ પર પહોંચ્યું.  નજર માંડી તો પેલું ઝરણું ઊભું ઊભું હસતું હતું.  વાદળને જોઈને ખિલખિલ હસી પડ્યું.

    ‘ક્યારનું તારી રાહ જાઉં છુ. તું ક્યાં હતું?’

    ‘અરે તું ક્યાં ગુમ થઈ ગયું હતું?”

    ‘હું તો અહીં જ છુ.’વાદળ અને ઝરણું ભેટી પડ્યા.

    @@

    લતા હિરાણી * એક હતી વાર્તા * સ્વયં પ્રકાશન ૨૦૨૧

     

  • બતકની ફરિયાદ

    ગિરિમા ઘારેખાન

    એક હતી બતક. એનું નામ બાબી. બાબી એક તળાવમાં રહેતી હતી. એ તો આખો દિવસ પાણીમાં તર્યા કરે અને .ભૂખ લાગે ત્યારે પાણીમાં મોં નાખીને માછલીઓ ખાય. એના પગની નીચે બીજા પંખીઓને હોય છે એવા પંજા જ હતા. એટલે એ બહુ ઝડપથી પાણીમાં તરી શકતી ન હતી. થોડું તરે અને થાકી જાય. માછલીઓ તો બહુ ઝડપથી તરે. એટલે બતક માછલીને પકડવા પાણીમાં મોં નાખે, પણ ચપળ માછલી ઝડપથી દૂર જતી રહે અને બતકના મોં માં આવે નહીં. પંજાવાળા પગથી તરતી તરતી એ કેવી રીતે માછલીની પાછળ ભાગી શકે? પરિણામે  બાબી બતકને બિચારીને ભૂખ્યું રહેવું પડે અને ક્યારેક તો ભૂખ્યા જ સૂઈ જવું પડે.

    એક સવારે બતકે જોયું કે એના તળાવમાં રાત દરમ્યાન થોડી જળકૂકડીઓ રહેવા આવી ગઈ હતી. એ પણ બતક જેવી સફેદ પણ નાની. બતકને થયું કે આ નાની નાની જળકૂકડીઓ માછલીઓને કેવી રીતે પકડશે? પણ એણે જોયું કે એ બધી તો ઊડી શકતી હતી. એ તો પાણીની થોડેક જ ઉપર ઊડ્યા કરે. જેવી પાણીમાં માછલી દેખાય કે ચાંચ અંદર નાખીને માછલીને પકડી લે. એ ભલે બાબી બતકથી નાની હતી, પણ માછલીઓ પકડવામાં બહુ હોશિયાર હતી.

    એમને જોઇને બાબીને બહુ અફસોસ થયો કે મને ભગવાને પાંખો આપી છે, પણ નાની નાની. એ પણ  પાછી જાડી અને થોડી અણીદાર. એટલે મારામાં ઊડવાની શક્તિ પણ નથી. જેમણે મને આવી બનાવી એમને હું ફરિયાદ જરૂર કરીશ. આવી રીતે ભૂખ્યા રહીને તો કેવી રીતે જીવી શકાય?

    બાબી બતકે તો આંખો મીંચીને ભગવાનને પ્રાર્થના કરવા માંડી. એ કહેવા માંડી, ‘હે ભગવાન, તમે મને પંખી બનાવી હોય તો આવી અધૂરી કેમ બનાવી? મને ઉડવાની શક્તિ કેમ ના આપી?’

    ભગવાને એને જવાબ આપ્યો, ‘મેં તો તને પાણીમાં તરવા માટે બનાવી છે, ઉડવા માટે બનાવી જ નથી. તારે પાણીમાં રહેવાનું પછી ઉડવાની કેમ જરૂર પડે?’

    ‘તો પછી ભગવાન મને માછલી જેવી કેમ ના બનાવી કે હું સરસ રીતે પાણીમાં તરી શકું?’

    ‘અરે પણ તને તો માછલીઓથી પણ સારી બનાવી છે. તને તો મેં પાંખો આપી છે.’ ભગવાને બટાકાને સમજાવી.

    ‘પણ ભગવાન, જળકૂકડી તો સહેલાઈથી તરી પણ શકે છે અને ઊડી પણ શકે છે !’ બતકે દલીલ કરી.

    ભગવાને હસીને જવાબ આપ્યો, ‘અરે બતક, જળકૂકડી તો તારી પાસે કંઈ જ નથી. તું પાણીમાં તરતી હોય ત્યારે કેટલી સુંદર લાગે છે ? બધાં માણસો તારી સામે જોયાં જ કરે છે ને? તું હોય ત્યારે કોઈ જળ કૂકડી સામે જુએ પણ નહીં.’

    હવે બાબીને તો રડવું આવી ગયું. એણે કહ્યું, ‘ભગવાન, ભૂખ્યા રહીને સુંદર લાગવાનો શું અર્થ? મારા કરતાં તો પેલા નાના નાના ભૂખરાં દેડકાં વધારે ખુશ છે કે એમના પગના પંજા એવાં છે કે એ ઝડપથી કૂદી શકે છે. તેઓ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલાં ઝડપથી પહોંચી જાય છે ! અરે પેલા કદરૂપા, બિહામણા, મગરની જિંદગી સારી કે આટલા ભારે શરીર સાથે પાણીમાં ઝડપથી તરી શકે છે.’

    ભગવાને બતકને પૂછ્યું, ‘તો પછી બાબી, તું પણ કેમ એમની જેમ ઝડપથી તરતી નથી ? તું પણ તર અને માછલીઓ પકડ ને! ‘

    ‘ભગવાન, આવા પંજા સાથે હું કેવી રીતે ઝડપથી તરી શકું?’ બાબીએ પોતાના પગનો પંજો ઊંચો કરીને ભગવાનને બતાવ્યો.

    હવે ભગવાન વિચારમાં પડ્યા. બતકની વાત તો સાચી હતી. એને પાંખો આપી હતી એટલે જમીન ઉપર ચાલવાના પંખીઓ જેવા પગ સાથે એમણે બતકને પાણીમાં મોકલી દીધી હતી. એણે તરવાનું જ છે એમ વિચારીને ઊડવાને યોગ્ય પાંખો પણ ન હતી આપી. ભૂલ થઇ ગઈ હતી.

    એમણે બતકને એના પગના પંજા વારાફરતી ઊંચા કરવાનું કહ્યું. પછી એમણે એની પગની આંગળીઓને એક પાતળી ચામડીથી જોડી દીધી. હવે બાબી બતકના પંજા દેડકાં, મગર અને બીજાં  જળચર પ્રાણીઓની જેમ હલેસાં જેવા થઇ ગયા. એમણે બાબીને કહ્યું, ‘ઓ બતક, મારી જ ભૂલ થઇ ગઈ હતી. હું તારા પગની નીચે આ ચામડી મૂકવાનું ભૂલી ગયો હતો. જા, હવે તું મોજથી પાણીમાં રહે. હવે તું ઝડપથી પાણી કાપી શકીશ અને સરસ રીતે ઝડપથી તરી શકીશ.’

    બતકે પોતાના નવા બનેલા પંજા જોયાં અને એ ખૂબ ખુશ થઇ ગઈ. ભગવાનનો આભાર માનીને એ ઝડપથી તરતી તરતી પાણીમાં આગળ જતી રહી.

    હવે બતક હલેસાંની જેમ પગ હલાવીને પાણીમાં ઝડપથી તરી શકે છે અને ખોરાક શોધી શકે છે. હવે બતક ખુશ રહે છે.


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯